Sunday, July 23, 2023

અમદાવાદના અકસ્માત વિશે થોડા પ્રાથમિક-પાયાના વિચાર

 1. ઘણા ગુનામાં કોઈ એક ગુનેગાર નહીં, ઘણા બધા ગુનેગાર હોય છે. આ કિસ્સામાં સૌથી મોટો ગુનેગાર બેદરકાર ડ્રાઇવિંગથી 11 જણને કચડી નાખનાર તથ્ય પટેલ છે. તેનો અર્થ એવો નથી કે બાકીની એજન્સીઓ (ટ્રાફિક પોલીસ, રસ્તાનું ધ્યાન રાખતું કોર્પોરેશન વગેરે) નિર્દોષ ઠરે છે. 

2. એવી જ રીતે, ફ્લાય ઓવર પર અંધારું હતું, ફ્લાયઓવર પર ચડતાં દૃષ્ટિ અવરોધાઈ જાય છે, ટોળું ત્યાં શું કરતું હતું, ટ્રાફિક પોલીસે બેરીકેડ કેમ ન લગાડી--આ બધા મુદ્દા સાચા હોવાને કારણે, તથ્ય પટેલનો ગુનો જરાય ઓછો થતો નથી. એટલે, એ મુદ્દા તથ્ય પટેલના બચાવમાં વાપરી શકાય નહીં. 

3. બુલડોઝરની કાર્યવાહી ક્યાંય પણ થાય, તે ગુફાયુગની પ્રથા છે. બુલડોઝર ચલાવી દેવું એ ટોળાંનો બદલો હોઈ શકે, ન્યાય નહીં. સરકાર જેવી સરકાર ટોળાંશાહીની રીતે, ટોળાંની લાગણી સંતોષવા હિંસા આચરતી થઈ જાય, ત્યારે કોઈ સલામત નથી રહેતું --અને એ અત્યારે આપણે જોઈ જ રહ્યાં છીએ. 

4. ગુનેગારને ફાંસી થવી જોઈએ--એવું બૂમરાણ મચાવવાથી કીક આવે છે અને સરકારને તેના મનગમતા--કાયદો હાથમાં લેવાના--રસ્તે આગળ વધવા પ્રોત્સાહન આપી શકાય છે. પણ મૂળ મુદ્દો એ છે કે કાયદામાં આ પ્રકારની સજાની જોગવાઈ છે ખરી? 

5. એક પણ નિર્દોષનો જીવ જાય, તો તેનો જીવ લેનારને કે જીવ લેવામાં પોતાની બેદરકારીથી કારણભૂત બનનારને તેની આકરી કિંમત ચૂકવવી પડે--એ ન્યાય છે. સૌથી પહેલાં એની ચર્ચા થવી જોઈએ કે તથ્ય પટેલ પ્રકારના કિસ્સામાં કાયદાની શી જોગવાઈ છે? અને તેમાં કશા ફેરફારની જરૂર છે? દરેક કેસ વખતે આરંભિક હોબાળા પછી, ગુનેગાર રૂપિયાના જોરે છૂટી જાય (કે ન પણ છૂટે) તેના કરતાં,  કાયમી ધોરણે કાયદામાં ફેરફાર થાય અને આ પ્રકારના ગુનાની સજા ગંભીર બને તે વધારે જરૂરી છે. 

6. તથ્ય પટેલે કે તેના પિતાએ કે તેના વકીલે અગાઉ શું કરેલું, એની કથાઓ રસિક હોઈ શકે છે, પણ તે મીડિયા ટ્રાયલ માટે કામની છે-અસલી ન્યાય માટે નહીં. અત્યારે તથ્ય પટેલને શક્ય એટલી મહત્તમ સજા થાય અને રૂપિયાના આધારે બધું મેનેજ થઈ જાય છે--એવો મેસેજ ન જાય, તે સૌથી મહત્ત્વનું છે. 

7. તથ્ય પટેલને સજા થઈ જાય એટલા માત્રથી પણ ન્યાય થઈ જતો નથી. તથ્ય પટેલને સજા થાય અને મૃતક પરિવારોને તથ્ય પટેલની કૌટુંબિક સંપત્તિમાંથી દાખલો બેસે એટલી મોટી રકમ વળતર સ્વરૂપે આપવાનો હુકમ થાય, તે પણ જરૂરી છે. 

8. અમીર હોવું એ તથ્ય પટેલનો ગુનો નથી, પણ આ ગુનામાં તેની અમીરી તેની તાકાત ન બની જાય, તેનું ધ્યાન રાખવું એટલું જ મહત્ત્વનું છે. 

9. આખી ઘટનાને કરુણ સિરીયલ કે એશોઆરામમાં જીવતા નબીરાનાં કરતૂતની વેબ સિરીઝ તરીકે રજૂ કરવાથી બચવા જેવું છે. કારણ કે, એમ કરવા જતાં ગુનેગારને સજા-પીડિતને ન્યાયનો મુખ્ય મુદ્દો કેન્દ્રમાંથી ખસી જાય છે અને મનોરંજન-સનસનાટી-રોમાંચ મુખ્ય બની જાય છે.

1 comment: