Tuesday, July 15, 2008

જોવા જેવી ફિલ્મઃ કેપ્રિકોર્ન વન

થિયેટરમાં જઇને ફિલ્મો જોવાનું મારે બહુ ઓછું બને છે. પણ હમણાં અસલી/પાઇરેડેટ ડીવીડીની અસીમ કૃપાથી, અડસટ્ટે, કોઇ પણ જાતની પસંદગી કે પૂર્વજાણકારી વિના સારી એવી ફિલ્મો જોવાનું બને છે. તેમાંની કેટલીક ફિલ્મોમાં એવો જલસો પડે છે કે તેની વાત મારી સાથે એટલા જ રસથી ફિલ્મો માણતી મારી પત્ની કે વડોદરા રહેતા મારા ભાઇ બીરેન સિવાય પણ બીજા મિત્રો સાથે ‘શેર’ કરવાનું મન થાય.
મઝા ‘શેર’ કરવાની લાગણીથી ‘જોવા જેવી ફિલ્મ’ શીર્ષક હેઠળ વચ્ચેવચ્ચે ફિલ્મ વિશે કંઇક લખતો રહીશ. એ રીવ્યુ નહીં હોય, પણ ફિલ્મમાં કેમ મઝા પડી (કે ન પડી) એની ટૂંકમાં વાત હશે. ફિલ્મોમાં થોડો ઉંડો રસ ધરાવતા લોકો એ ફિલ્મોથી પરિચિત હોય એવી પૂરી શક્યતા છે. એવા લોકો આ પોસ્ટની કમેન્ટ્સમાં કંઇક વધારે લખશે તો આનંદ થશે. આટલી પૂર્વભૂમિકા પછી હમણાં જોયેલી ફિલ્મ ‘કેપ્રીકોન વન’ (હિંદી ડબિંગ)ની વાત.

કેપ્રિકોર્ન વન
‘અમેરિકાના અવકાશયાત્રીઓ ખરેખર ચંદ્ર પર ગયા જ નથી’ એવી એક અફવા વર્ષોથી ચાલે છે. ઇન્ટરનેટના યુગમાં તેનું ચલણ વૈશ્વિક બન્યું છે. ‘કેપ્રિકોર્ન વન’ જોઇને સૌથી પહેલી એ અફવા યાદ આવે- અને ફિલ્મની સરસ-ચુસ્ત વાર્તાના પ્રવાહમાં તણાઇ જઇએ તો એ અફવા માની લેવાની પણ લાલચ થઇ આવે. નવાઇની વાત એ છે કે ‘કેપ્રિકોર્ન વન’માં ‘નાસા’ અને અમેરિકન સરકારના- ભલે કાલ્પનિક વાર્તામાં- છોંતરાં કાઢી નાખ્યાં છે. એ લોકો પોતાની મનમાની કરવા માટે કઇ હદના ગોરખધંધા કરી શકે છે, તેનું સંસ્થાઓના નામજોગું આ ફિલ્મમાં ચિત્રણ છે. છતાં એ ફિલ્મ અમેરિકામાં ચાલી અને તેની પર રાજદ્રોહનો આરોપ ન થયો. લાગે છે કે ગુજરાતના મુખ્ય મંત્રીને કમ સે કમ આટલું શીખવવા માટે અમેરિકાએ વિઝા આપવા જોઇએ. :-)

ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયેલી આ ફિલ્મમાં મંગળ પર અવકાશયાત્રીઓ મોકલવાનો ખર્ચો કરવાની અમેરિકાના પ્રમુખની ઇચ્છા નથી. એટલે એ બધો દેખાવ અને યાનનું લોન્ચિંગ સુદ્ધાં ગોઠવે છે તો ખરા, પણ...

સ્ટોરી લખવામાં મઝા નથી. એટલું કહી દઊં કે આ ચોંટાડી રાખે એવું થ્રીલર હોવા છતાં, તેમાં ચીલાચાલુ તરકીબો નથી, સસ્તાપણું નથી. લોહીના ફુવારા કે ખુનખરાબા નથી. હત્યાનાં દ્રશ્યો એટલાં સલુકાઇથી બતાવ્યાં છે કે સુરૂચિનો ભંગ થયા વિના તેની ચોટ બરાબર પહોંચે છે.
ફિલ્મના અંતમાં ફક્ત સત્યની જીત બતાવીને વાત પૂરી કરી દેવામાં આવી છે. પ્રેક્ષકોને જે જોવામાં બહુ આનંદ આવે છે, એવો વિલનનો વિગતવાર કરૂણ અંજામ બતાવાયો નથી. ફિલ્મમાં ‘નહીંઇઇઇઇઇઇઇ...’ કરીને ચીસ પાડે એવી કોઇ હીરોઇન નથી. છતાં તેની ખોટ સાલતી નથી. ‘ડીફરન્ટ’ વિષયની ફિલ્મ બિલકુલ જકડી રાખે એવી રીતે, પ્રયોગખોર થયા વિના કેવી રીતે બનાવી શકાય તેના ઉમદા નમૂનામાં આ ફિલ્મનો સમાવેશ થઇ શકે. ફિલ્મ જોઇ પાડ્યા પછી એના વિશે વઘુ વાંચવાની ઇચ્છા થાય તો http://www.imdb.com/title/tt0077294/

અઘ્યાત્મનું અન્ડરવર્લ્ડ

‘સાબરમતી આશ્રમ જાના હૈ.’ થોડાં વર્ષ પહેલાં અમદાવાદ આવેલા ‘ધ હિંદુ’ અખબારના પ્રતિનિધિએ રિક્ષાવાળાને કહ્યું. તેમને હતું કે અમદાવાદમાં ગાંધીજીના આશ્રમે પહોંચવા માટે આનાથી વધારે સમજૂતી આપવાની જરૂર નહીં પડે. પણ થોડા સમય પછી રિક્ષાવાળાએ તેમને સાબરમતીમાં આવેલા આસારામ આશ્રમે લાવીને ઊભા રાખી દીધા અને કહ્યું કે ‘સાબરમતી આશ્રમ તો યહી હૈ’. એ સાંભળીને પત્રકારને બોધિવૃક્ષની જરૂર ન પડી. રિક્ષાના હુડ નીચે જ તેમને બ્રહ્મજ્ઞાન થઇ ગયું કે અમદાવાદ ગાંધીયુગમાંથી ધંધાદારી બાવા-બાપુઓના યુગમાં પહોંચી ગયું છે.

‘હિંદુ’ના પ્રતિનિધિને જે સમજાયું, તેનાથી સ્થાનિક લોકો અજાણ હતા? બિલકુલ નહીં. ખરેખર તો, એ સ્થિતિ સર્જવામાં પણ સૌએ પોતાનો ફાળો આપ્યો હતો. હવે આસારામ આશ્રમ ખૂનકેસમાં સંડોવાતાં દિમાગ પર ચડેલો ‘શ્રદ્ધા’ અને ‘સત્સંગ’નો નશો ઓસર્યો છે અને ચીલાચાલુ ફિલ્મી ડાયલોગની જેમ ઘણા લોકોને થાય છે ઃ ‘મૈં કહાં હું?’ ભક્તો, શ્રદ્ધાળુઓ અને સત્સંગીઓની આ ‘સોબર’ અવસ્થા - અને ગુનેગારોને સજા કરાવવાનો જુસ્સો- ક્યાં સુધી ટકે છે, એ મહત્ત્વનો સવાલ છે. સાથોસાથ, ગુરૂ કોને ગણવા અને ગુનેગાર કોને, એ પણ વિચારવા જેવું છે.

તફાવત શોધોઃ ગુરૂ અને ગુનેગાર

ટીલાંટપકાં-માળા-કામળી-ભગવાં વસ્ત્રો, આ બધી ફેન્સી ડ્રેસની આઇટેમ ભારતીય જનમાનસની દુઃખતી નસ છે. તેમાંથી કોઇ એક કે વઘુ ચીજ ધારણને જોઇને સરેરાશ ભારતીયના હાથ આપોઆપ જોડાઇ જાય છે અને માથું સહેજ ઝૂકી જાય છે. સામેની વ્યક્તિનો દેખાવ જેટલો પ્રભાવશાળી, એટલાં શ્રદ્ધાળુનાં શારીરિક-માનસિક ઉચ્ચાલનો લપટાં અને પગમાં પડી જવાની વૃત્તિ પ્રબળ.

આ માનસિકતા સમજીને ગાંધીજીએ દેશસેવા કરવા આવેલા સ્વામી આનંદને ભગવાં તજી દેવા કહ્યું. સ્વામી પણ માનતા હતા કે ‘સાઘુ ‘દો રોટી, એક લંગોટી’ના હકદાર. એથી વઘુ જેટલું સમાજ પાસેથી લે, તેટલું અણહકનું, હક બહારનું. લીધેલાની દસ ગણી ફેડ એક ગૃહસ્થનો ગજ. સાઘુનો સહસ્ત્રનો. સાઘુ લે એનાથી સહસ્ત્ર ગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી. દુનિયાની ઘરેડે જ ચાલ્યો. અદકું કશું ન કર્યું. એથી વઘુ કરે તેની વશેકાઇ.’ સ્વામી આનંદના ગજથી માપતાં, આજના કેટલા બાવા-બાપુ-ગુરૂઓને ‘સાઘુ’ કહી શકાય?

જૂના વખત સન્યાસીઓ જ્યારે માથું મુંડાવી નાખતા હતા, અને મુંડાઓ સન્યાસી તરીકે ચરી ખાતા હતા ત્યારે એક કહેવત પ્રચલિત હતીઃ ‘સિર મુંડનમેં તીન ગુન, સરકી જાવે ખાજ (ખંજવાળ)/ ખાને કો લડ્ડુ મિલે, લોગ કહેં મહારાજ’. હવેના જમાનામાં દાઢી માટે આવી કોઇ કહેવત કરવાની જરૂર હોય એવું લાગે છે. લાંબી દાઢી પવિત્રતાના મેક-અપનો આવશ્યક હિસ્સો ગણાય છે. અનુયાયીઓની વિવેકબુદ્ધિ પર જાણે લાંબી દાઢી પથરાઇ જાય છે.

આમ પણ કેટલા અનુયાયીઓ જ્ઞાનપ્રાપ્તિ માટે કે આઘ્યાત્મિક કારણોસર બાવાબાપુઓ પાસે જાય છે? મોટા ભાગના લોકો ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અને એ સુખો મળી ચૂક્યાં હોય તો એ ટકી રહે એના માટે અને એ ટક્યાં હોય તો તેમાંથી ઊભા થયેલા બીજા પ્રશ્નોથી દુઃખી થઇને કહેવાતા આઘ્યાત્મિક ગુરૂઓના શરણે જાય છે. સેક્સોલોજિસ્ટની જેમ આઘ્યાત્મિક ગુરૂ બનવા માટે કોઇ ડીગ્રીની, અભ્યાસની કે જ્ઞાનની જરૂર નથી. ઝુકતી દુનિયાને ઝુકાવવાનો નફ્ફટ જુસ્સો હોવો આવશ્યક છે. બન્ને વચ્ચે મોટો ફરક એ છે કે સેક્સોલોજિસ્ટને ‘બોગસ’ વિશેષણનો અને પોલીસની તપાસનો હંમેશાં ડર રહે છે, જ્યારે બોગસ બાવાઓને આવી કોઇ ચિંતા હોતી નથી.

ગુરૂ-શિષ્યનું ગોટાળીયું ગણિત

એક વ્યક્તિના જોરે, તેની આવડત-નફ્ફટાઇ-ગુંડાગીરી-પ્રભાવ અને વિશ્વાસુ સાગરીતોની મદદથી એક પંથ, સંપ્રદાય, ગુરૂ કે ફિરકાનું સામ્રાજ્ય ઊભું થઇ શકે છે. પણ તેને ધમધમતું રાખવા માટે અનેક પાયાની જરૂર પડે છે. વગદાર અનુયાયીઓ એ ભૂમિકા ભજવે છે. બહારથી જોતાં બન્ને વચ્ચે ગુરૂ-અનુયાયીનો સંબંધ હોય એવું લાગે, પણ હકીકતમાં બન્ને પક્ષ પોતપોતાનાં સ્થાપિત હિતો આગળ ધપાવે છે. સામાજિક પ્રભાવ ધરાવતા ગુરૂ વગદાર-પૈસાપાત્ર અનુયાયીઓને હાથમાં રાખે છે અને એ અનુયાયીઓ ગુરૂને હાથમાં રાખે છે. બન્ને પોતાના સ્વાર્થ માટે બીજાને રમાડે છે, પણ સરવાળે બન્નેનો સ્વાર્થ સધાતો હોવાથી કોઇ પક્ષે ફરિયાદ નથી.

કેટલાક ધનિક ભક્તો સ્થાપિત હિતને બદલે ‘સંસ્કાર’ની કે સ્ટેટસની કમી પૂરી કરવા માટે આઘ્યાત્મિક ક્લબોમાં જોડાય છે. આ સમીકરણમાં સામાન્ય, ગરીબ કે મઘ્યમ વર્ગના અનુયાયીનું સ્થાન ક્યાં? સીધી વાત છેઃ બાવાજીઓના બિઝનેસમાં સામાન્ય અનુયાયીનું મહત્ત્વ ફક્ત સંખ્યાત્મક છે. એ ન હોય ત્યાં સુધી બાવાજીનો ધંધો ન ચાલે, પણ એ આવી જાય એટલે તેનું સ્થાન ટોળામાં જ રહે છે. તેણે દૂરથી બાવાજીનાં દર્શન કરીને ધન્ય થવાનું. મહેનત વગરની, અણહકની અઢળક સંપત્તિ મળે, રૂપિયા, જમીનો, મકાનો, નેતાઓ સાથે નિકટતા, અફસરો સાથે સંબંધ- આ બધાને કારણે ગુરૂના મનમાં એવી રાઇ ભરાય છે કે તે કાયદાથી પર છે. તેમનું કોઇ કશું બગાડી શકે એમ નથી. સામાન્ય અનુયાયીઓમાં એટલી હિંમત કે શક્તિ નથી અને ખાસ અનુયાયીઓ પોતાનાં સ્થાપિત હિત જાળવવા બગાવત કરે એમ નથી. તેમ છતાં, કોઇ આધુંપાછું થાય તો પોલીસ-વહીવટી તંત્ર અને સરકાર આપણાં જ છે. આવી માન્યતા તે ધરાવતા થાય છે. અફસોસની વાત એ છે કે દુષ્ટ ગુરૂઓ સામે સોપો પડી જાય એવી કાર્યવાહી થવાને બદલે, તેમની માન્યતાઓ સાચી ઠરે એવી ઘટનાઓ વધારે બને છે.

સ્વાઘ્યાય પરિવારનો કિસ્સો બહુ જૂનો નથી. એક પક્ષમાં ‘સૈદ્ધાંતિક મતભેદ’ની ઓથે સત્તાની સાઠમારીમાંથી બે તડાં પડે, અસંતુષ્ટોનું એક જૂથ જુદું પડે, અસંતુષ્ટોના બોલકા આગેવાનની ધોળે દહાડે હત્યા થઇ જાય અને છતાં સરકારની શીળી છાયા તળે આરોપીઓ પોતાના અનુયાયીબળ (વાંચોઃ વોટબેન્ક)ના જોરે, ‘આઘ્યાત્મિક’ દબદબા સાથે બહાર ફરતા રહે- રાજકારણ સહિત બીજા કોઇ પણ ખરાબ ગણાતા ક્ષેત્રમાં આનાથી વઘુ ખરાબ બીજું શું થઇ શકે? આઘ્યાત્મિકતાનો છૂટક અને જથ્થાબંધ ધંધો કરતા સ્ત્રી અને પુરૂષ ગુરૂઓ રાજકારણમાં આવે, તો તેમને આશ્રય આપનારા નેતાઓ જ તેમનાં કરતૂત ઉઘાડાં પાડી બતાવે. પણ ગુરૂઓમાં એટલી સ્વાર્થબુદ્ધિ સાબૂત હોય છે. તે પોતે કદી રાજકારણમાં જતા નથી. એટલે રાજકારણીઓ તેમની સાથે સ્પર્ધાભાવ અનુભવતા નથી અને વોટબેન્કનો ફાયદો મેળવવા માટે, બઘું જાણીને પણ કહેવાતા ગુરૂઓને છાવર્યા કરે છે.

લાગણી કેમ દુભાતી નથી?

વેલેન્ટાઇન ડેની ઉજવણીથી માંડીને દેવીદેવતાઓનાં ચિત્ર બાબતે ઘણા લોકોની લાગણી દુભાય છે અને એ લોકો તોડફોડ પર ઉતરી આવે છે. હિંદુત્વના આ સગવડીયા રખેવાળોની લાગણીનું બાવા-બાપુઓ-બહેનોનાં કૌભાંડો બહાર આવે ત્યારે શું થાય છે, એ જાણવા મળતું નથી. હિંદુ ધર્મની ખરી બદનામી કોઇ વિદ્યાર્થીએ દોરેલા એકાદ ચિત્રથી વધારે થાય કે હિંદુ ધર્મની ઓથે ગોરખધંધા કરનારા બાવાઓથી?

પરંતુ લાગણી દુભાવવાની બૂમો પાડનારાઓનાં પણ સ્થાપિત હિત હોય છે. હિંદુ અને બીજા ધર્મીઓ વચ્ચેની ખાઇ વધવાની હોય તો જ તેમને લાગણી દુભાવવાની મઝા આવે છે. પણ ગુરૂકુળોમાં ખૂનખરાબા થાય, આશ્રમોમાં લોકોને ગોંધી રખાય કે તેમની હત્યા થાય, બાવાઓ હરીફોનાં અપહરણો કરાવે, બાવાઓનાં બે જૂથ વચ્ચેની અથડામણને કારણે ગામમાં કરફ્યુ નખાય...આવા અસંખ્યા બનાવ બન્યા પછી પણ લાગણીશૂરાઓની લાગણી કેમ દુભાતી નથી? હિંદુ ધર્મને આગળ ધરીને, લોકોની માનસિક નબળાઇને ગેરફાયદો ઉઠાવીને પોતાની શારીરિક-માનસિક-આર્થિક વાસનાઓ સંતોષતા ધર્મગુરુઓ જે કરે છે, તે હિંદુ ધર્મનું હળહળતું અપમાન નથી?

બાવાઓનો પાપાચાર હદ વટાવી જાય ત્યારે થોડા અનુયાયીઓનો હૃદયભંગ થાય છે. બનાવટી બાવાઓ અને તેમના ધંધા પ્રત્યે થોડા અનુયાયીઓના મનમાં વૈરાગ્ય જાગે છે, જે ઘણુંખરૂં સ્મશાનવૈરાગ્ય સાબીત થાય છે. બાકીના અનુયાયીઓની આંખ પોતાનાં હિત ન જોખમાય ત્યાં સુધી ઉઘડતી નથી- અને આંખ ઉઘડે છે ત્યારે બહુ મોડું થઇ જાય છે.

અભેદ્ય ગઢમાં ફેરવાઇ ગયેલા અનિષ્ટોના અડ્ડા જેવા આશ્રમોને સરકારી કાર્યવાહી દ્વારા કંપનીમાં ફેરવી નાખવામાં આવે, તેના હિસાબકિતાબ જાહેર કરવાની ફરજ પાડવામાં આવે, તેના દરવાજા બહારની તટસ્થ તપાસ માટે ખુલ્લા રહે અને અનુયાયીઓને સવાલો પૂછવાની સત્તા મળે તો સ્થિતિમાં સુધારો થવાની આશા રાખી શકાય. બાકી, આસારામ આશ્રમના વિવાદથી આઘ્યાત્મિક ક્ષેત્રનાં કૌભાંડોની લાંબી યાદીમાં વઘુ એક કૌભાંડના ઉમેરા સિવાય બીજો કશો ફરક પડવાનો નથી.

Monday, July 14, 2008

શિક્ષણક્ષેત્રનો વિરોધાભાસઃ ગુણમાં તેજી, ગુણવત્તામાં મંદી

‘એસ.એસ.સીની પરીક્ષામાં ‘ટોપ ૧૦’ સ્થાને કેટલા વિદ્યાર્થીઓ હતા?’ આવો સવાલ સાંભળીને પ્રશ્ન પૂછનારની સમજણ વિશે સવાલો જાગે એવી પૂરી શક્યતા છે. એક રીતે જોઇએ તો એ સવાલ ‘સાડા નવની લોકલ કેટલા વાગ્યે આવે?’ તેના જેવો છે. પણ તેનો જવાબ સાંભળ્યા પછી એ સવાલનું સ્તબ્ધ કરી મુકે એવું વાજબીપણું સમજાય છે.
એસ.એસ.સી.ની પરીક્ષામાં ‘ટોપ ૧૦’- એટલે કે પહેલા દસ સ્થાન પર આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા હતીઃ ૫૩. ટકાવારીની રીતે જોઇએ તો, ૯૬.૩૧ ટકાથી ૯૪.૭૭ ટકા વચ્ચે- એટલે કે દોઢ ટકાના (૧.૫૪ ટકાના) સાંકડા પટ્ટામાં ૫૩ વિદ્યાર્થીઓની ભીડ થઇ. આ ટ્રેન્ડ અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યનાં પરિણામોમાં પણ જોવા મળ્યો. અમદાવાદ શહેરમાં ‘ટોપ ૧૦’ સ્થાને ૨૫ વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં ‘ટોપ ૧૦’ની યાદીમાં ૨૩ વિદ્યાર્થીઓ સ્થાન પામ્યા હતા. પહેલા અને દસમા નંબર વચ્ચેનો તફાવત માંડ દોઢ ટકા જેટલો જ હતો.
ટકાવારીને હોંશિયારી સાથે સાંકળતા લોકો આ પ્રકારનાં પરિણામોને ‘તેજસ્વીતાનો વિસ્ફોટ’ ગણીને હરખાઇ શકે છે, પણ એ વિસ્ફોટમાં આખી શિક્ષણપ્રણાલીનો ખુરદો નીકળી જાય છે તેનું શું? પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના માહોલમાં અર્થતંત્રના ફુગાવાની ચર્ચા અને ચિંતા ચોમેર થાય છે, પણ બોર્ડની પરીક્ષાઓમાં દર વખતે માથું ઉંચકતો ટકાવારીનો ફુગાવો સૌએ ચૂપચાપ, લગભગ નીયતી ગણીને, સ્વીકારી લીધો છે. આજથી પંદર-વીસ વર્ષ પહેલાં ખાનગી શિક્ષણની હાટડીઓ ધરાવતા મહારાષ્ટ્રમાં ટકાવારીની આ જ સ્થિતિ હતી. ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ (૬૦ ટકા) લાવીને રાજી થતા હોય અને ડિસ્ટીંક્શન (૭૦ ટકા) બહુમતિ લોકો માટે સ્વપ્નું જ હોય, એ વખતે મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ ગુણ ભરીને ગુણ લઇ આવતા હતાઃ ૯૦ ટકા, ૯૨ ટકા, ૯૫ ટકા... કેમ કે, તેમને આગળ ઉપર રાજ્યમાં ચાલતી ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓનો પુરવઠો પૂરો પાડવાનો હતો. કડક પરિણામ આવે તો ખાનગી હાટડીઓ શી રીતે ચાલે? ડોનેશનથી ઓછા ટકાવાળાને એડમિશન આપી દેવું એ આજના જમાના પ્રમાણે જરા પછાત રિવાજ લાગે. એટલે ગુણવત્તાનો દંભ પોસાય, છતાં ખાનગી શિક્ષણની દુકાનો બંધ ન થાય, એવું શી રીતે બને?
તેનો જવાબ છેઃ ટકાની લહાણી કરો. તેનાથી ‘ફીલગુડ’ની લાગણી પેદા થશે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આશ્વાસન લઇ શકશે કે ‘બિચારા/બિચારીના ૭૦-૮૦ ટકા તો આવ્યા, પણ એડમિશન ન મળ્યું તેમાં એ શું કરે?’ મુખ્યત્વે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના લાભાર્થે શરૂ થયેલી ટકાવારીની લહાણીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાનો વાંક જોશે. ‘જમાનો સ્પર્ધાનો છે અને આપણે સ્પર્ધામાં પાછળ રહી ગયા’ એવું અનુભવશે અને ‘સેકન્ડ ક્લાસ સીટીઝન’ની જેમ ‘સેકન્ડ ક્લાસ સ્ટુડન્ટ’ તરીકે મન મારીને આગળ વધશે.
સવાલ પ્રત્યેક ખાનગી શૈક્ષણિક સંસ્થાના વિરોધનો નથી.. પણ સરકારી સંસ્થાઓને ઇરાદાપૂર્વક નબળી પાડીને, તેમાં ભણતા વિદ્યાર્થીઓને રઝળાવીને ગુણવત્તાનો આભાસ ઊભો કરતી સરેરાશ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને માતેલી બનાવવા સામે વાંધો છે.

Monday, July 07, 2008

હોમાય વ્યારાવાલાઃ ખુદ્દાર જિંદગીની બોલતી તસવીર

‘આ ઊંમરે તમે મરચાં ખાવ છો? ગાર્ડનિંગ કરો છો? અને ગાડી પણ ચલાવો છો?’ ‘આય ઊંમરે એટલે વોટ ડુ યુ મીન? આઇ એમ જસ્ટ ૯૪.’ (‘આ ઊંમરે’ એટલે તમે શું કહેવા માગો છો? હજુ તો મને ૯૪ જ થયાં છે.) એવો કડક-મીઠો જવાબ આપનાર ‘ફક્ત ૯૪ વર્ષનાં’ માયજી એટલે હોમાય વ્યારાવાલા. સંભવતઃ ભારતનાં પહેલાં મહિલા ન્યૂઝ ફોટોગ્રાફર. હોમાય વ્યારાવાલાએ લીધેલી તસવીરો રાષ્ટ્રના ઇતિહાસની મૂલ્યવાન જણસ ગણાય છે. તેમના વિશે અત્યાર સુધીમાં સ્થાનિક-રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સામયિકોમાં ઘણું લખાઇ ચૂક્યું છે.

થોડા સમય પહેલાં પ્રકાશિત થયેલું દળદાર પુસ્તક ‘કેમેરા ક્રોનિકલ્સ ઓફ હોમાય વ્યારાવાલા’ (લેખિકાઃ સબીના ગડીહોકે) ફોટોગ્રાફી અને ઇતિહાસનો એક ઉત્તમ દસ્તાવેજ છે. ફોટોગ્રાફર તરીકે હોમાય સક્રિય હતાં ત્યારે સરદાર પટેલથી ઈંદિરા ગાંધી સુધીનાં અનેક નેતાઓ તેમને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. સરદાર પટેલ ‘વો તો હમારી ગુજરાતન હૈ’ કહીને રાજી થતા હતા, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ જેવા વિદ્વાન રાષ્ટ્રપતિ પ્રેસ કોન્ફરન્સમાં હોમાયને ન જુએ એટલે તેમના વિશે પૂછપરછ કરે. ૧૪ ઓગષ્ટ, ૧૯૪૭ની મધરાતે લાલ કિલ્લા પરથી થયેલું ઐતિહાસિક ઘ્વજવંદન હોય કે ગાંધીજીની અંતીમ યાત્રા જેવો પ્રસંગ, લોર્ડ માઉન્ટબેટનની ગાર્ડન પાર્ટી હોય કે નેહરૂના દૌહિત્રો રાજીવ-સંજયની બર્થ ડે પાર્ટી, આ બધા પ્રસંગે હોમાય વ્યારાવાલા ફોટોગ્રાફર તરીકે-મોટે ભાગે પુરૂષ ફોટોગ્રાફરના ઝુંડ વચ્ચે એકમાત્ર ભારતીય મહિલા ફોટોગ્રાફર તરીકે- હાજર હોય. વડા પ્રધાન નેહરૂ હોમાય વ્યારાવાલાનો પ્રિય વિષય હતા. નેહરૂના મિજાજ અને લોકપ્રિયતાના અનેક તબક્કા તેમણે ખેંચેલી તસવીરોમાં જોવા મળે છે. તેમાંનો એક અત્યંત જાણીતો ફોટો ‘ફોટોગ્રાફી નોટ એલાઉડ’ ના પાટીયા પાસે ઊભા રહીને ફોટો પડાવતા વડા પ્રધાન નેહરૂનો છે.

સભર અને સમૃદ્ધ ભૂતકાળની સરખામણીમાં, વડોદરામાં છાણી પાસે એક બંગલાના પહેલા માળે રહેતાં હોમાય એકલતાની મૂર્તિ લાગે. બે-ત્રણ રૂમનું તેમનું ઘર અને તેમની ટેરેસ એટલે ફુલછોડ અને હોમાયબહેને જાતે જરૂર પ્રમાણે તૈયાર કરેલી ચીજવસ્તુઓનું મ્યુઝીયમ. તેની શરૂઆત બંગલામાં પ્રવેશવાની ઝાંપલીથી થાય. ત્યાં એમણે સ્વર્ગસ્થ પુત્રના ‘બુલવર્કર’ની (કસરતના સાધન)ની સ્પ્રીંગ એવી રીતે લગાડી છે કે આગંતુક નાનો દરવાજો ખેંચીને ઉઘાડે, પછી દરવાજો આપમેળે સ્પ્રીંગના સંકોચાવાથી બંધ થઇ જાય. ઘરની અંદર દીવાનખાનાનું સુશોભન સાદું છતાં કળાત્મક. રહેનારની ઉંચી કળાદ્રષ્ટિનો ખ્યાલ આપે એવું. દીવાલો હજુ સફેદ છે. તેનું કારણ આપતાં હોમાયબહેન કહે છે,‘વડોદરા રહેવા આવી ત્યારે વિચારતી હતી કે ચાર-પાંચ વર્ષ જીવવું ત્યાં કલરની શી માથાકૂટ? પણ એમ ને એમ ૧૮ વર્ષ વીતી ગયાં.’

‘લોકોને મરવાની વાત કરતાં બીક લાગે છે, પણ મને આનંદ અને મજાક સૂઝે છે.’ એવું હોમાયબહેન ફક્ત કહેવા ખાતર નથી કહેતાં. પોતાના મૃત્યુ વિશે ફિલસૂફી ઝાડવી સહેલી છે, પણ પતિના મૃત્યુની વાત કરતી વખતે સ્થિતપ્રજ્ઞ રહેવું બહુ અઘરૂં હોય છે. હોમાય વ્યારાવાલા જો કે જુદી માટીનાં બનેલાં છે. એ કહે છે,‘આઇ એમ નોટ ઇમોશનલ ટાઇપ. (હું લાગણીપોચી નથી). ખોટી દવા લેવાને કારણે મારા હસબન્ડનું મૃત્યુ થયું ત્યારે હું રડી ન હતી. હું એના માટે પ્રાર્થના કરતી હતી.’ આટલું ઓછું હોય તેમ, હોમાયબહેને પારસી સમાજની મરજીથી વિરૂદ્ધ જઇને પતિની ઇચ્છા પ્રમાણે તેમના અંતીમ સંસ્કાર કર્યા.

મૃત્યુની બાબતમાં ભલભલા સાઘુસંતો કરતાં વધારે અનાસક્ત અને સ્થિતપ્રજ્ઞ હોવા છતાં, હોમાયબહેનનો જીવનરસ કોઇ પણ જુવાનિયાને શરમાવે એટલો પ્રબળ છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવચન માટે આમંત્રણ મળ્યા પછી તેમણે પોતાનો પાસપોર્ટ નવો કઢાવ્યો. પાસપોર્ટ તૈયાર થઇને આવી ગયો, એટલે તેમણે વડોદરાના સ્નેહી-મિત્ર બીરેન કોઠારીને રાબેતા મુજબ એક પોસ્ટકાર્ડ લખીને સમાચાર આપ્યા અને વધારામાં લખ્યું,‘હું રૂપિયા બગાડવામાં માનતી નથી. એટલે હવે તો નવા પાસપોર્ટની મુદત પૂરી થાય ત્યાં સુધી જીવવું પડશે.’

(હોમાય વ્યારાવાલા સાથે (ડાબેથી) કામિની- બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારીઃ અમેરિકા જતાં પહેલાં અમદાવાદની ‘ગ્રીનહાઉસ’ રેસ્ટોરાંમાં)

તેમના જીવનરસનો સૌથી મોટો પુરાવો એ છે કે એકાદ બાબતને બાદ કરતાં જીવન પ્રત્યે તેમને કોઇ ફરિયાદ નથી. એક સમયે સરદાર પટેલ-નેહરૂ જેવા નેતાઓ સાથે પરિચય કે દિલ્હીની ‘પેજ ૩’ પાર્ટીઓનો અનુભવ હોવા છતાં, તેમની વાતોમાં કદી ભવ્ય ભૂતકાળના રોદણાં સાંભળવા મળતાં નથી. એ કહે છે,‘હું કુટુંબ સાથે પણ સુખી હતી અને કુટુંબ વગર પણ હું દુઃખી નથી.’

૯૪ વર્ષની ઊંમરે ઘરનું બઘું કામ તે જાતે કરે છે. રસોઇ, બાગકામ અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવવાની કારીગરી તેમના એવા શોખ છે, જેના પ્રતાપે તે ગૌરવભેર કહી શકે છે,‘મને ટાઇમ મળતો નથી.’ જીવનમાં શ્રમનું મહત્ત્વ સમજાવતાં એ કહે છે,‘દરેક જણે પોતાની જુવાનીમાં શારીરિક શ્રમ સંકળાયેલો હોય એવો એકાદ શોખ રાખવો જોઇએ. ફક્ત વાંચવાનું કે સંગીત સાંભળવાનું પૂરતું નથી. શ્રમકેન્દ્રી શોખ હોય તો એ વૃદ્ધાવસ્થામાં બહુ કામ આવે છે.’

સદા પ્રવૃત્તિમય રહેતાં હોમાયબહેન પતિ માણેકશા સાથે દિલ્હી રહેતાં હતાં ત્યારે સવારમાં દીકરાનું કામ અને ઘરકામ, બપોરે બ્રિટિશ હાઇકમિશનની ઓફિસે ફોટોગ્રાફર તરીકે કામ અને સાંજે ઘેર આવીને સ્નાન કરીને પાર્ટીનું કે ફોટોગ્રાફીનું બીજું કામ- આવું તેમનું શીડ્યુલ હતું. છતાં, સમય કાઢીને તે બીજી પ્રવૃત્તિઓમાં રસ લેતાં હતાં. સુથાર, લુહાર કે રસ્તા પર ચંપલ સાંધનારા માણસને કામ કરતો જોવા તે ઊભાં રહેતાં અને ઘ્યાનથી તેની કામગીરીનું નિરીક્ષણ કરતાં હતાં. ત્યાર પછી એ અખતરો ઘરે થતો. આ રીતે તેમણે ઘણા હુન્નર આત્મસાત્ કર્યા. બાગકામ એ પુસ્તકો વાંચીને શીખ્યાં. તેમનો તરવરાટ એવો કે સાયકલ લઇને દીકરાને સ્કુલે લેવા જાય, ત્યારે દીકરાના દોસ્તો એને કહે,‘યોર સીસ્ટર હેઝ કમ.’ (તારી બહેન લેવા આવી ગઇ).

દિલ્હીમાં ફોટોગ્રાફર તરીકે તેમણે નિષ્ઠા અને ખંતથી કામ કર્યું, પણ એ ફક્ત વ્યવસાય તરીકે. ‘અમે ઘણા બધા ફોટોગ્રાફર સાથે હોઇએ એટલે મને મારા કામનું મૂલ્ય સમજાયું ન હતું. પણ આઝાદીનાં પચાસ વર્ષ નિમિત્તે બધા લોકો જૂના ફોટોગ્રાફ્સ શોધતા આવ્યા, ત્યારે મને મારા કામની કિંમત સમજાઇ.’ ફોટોગ્રાફર તરીકેના વ્યવસાયમાંથી ગરીમાનો લોપ થતાં તેમણે કેમેરા છોડ્યો અને પીલાની જઇને વસ્યાં.

‘દિલ્હીમાં ફોટા અને નેગેટીવ અમે જેમ આવે તેમ એક કવરમાં મુકતાં હતાં. એક જ કવરમાંથી મૈયતના ફોટા હોય અને મજલિસના પણ હોય. પીલાની જઇને મેં બઘું વ્યવસ્થિત ગોઠવ્યું. બૂટના ખોખા જેવડા એક મોટા બોક્સમાં સૌથી અગત્યના ફોટાની નેગેટીવ હતી- મારા કામનો લગભગ ૬૦ ટકા હિસ્સો એ ખોખામાં હતો. પણ એ ખોખું ક્યાંક ખોવાઇ ગયું. એ સિવાય ઘણી બધી (બે હાથ પહોળા કરીને બતાવવી પડે એટલી) પ્રિન્ટ નકામી લાગતાં તેને સળગાવી દીધી. એ વખતે મને આ કામની કિંમત ન હતી. એ બઘું સાચવી રાખવા પાછળ એક જ લોજિક હતુંઃ કદાચ મારા દીકરાને કામ આવે.’

બંધ ખોખામાં સચવાયેલી થોડીઘણી પ્રિન્ટ સત્તર વર્ષ પછી ‘આઉટલૂક’ અને ‘ઇન્ડિયા ટુડે’ના વિશેષાંકો માટે પહેલી વાર તેમણે ખોલી, ત્યારે એ પ્રિન્ટોની ગુણવત્તા જોનાર છક થઇ ગયા. હજુ હમણાં જ તૈયાર કરી હોય એવી એ તસવીરો હતી. અને જે જોઇને મંત્રમુગ્ધ થઇ જવાય એ તો ખજાનાનો માંડ ૪૦ ટકા હિસ્સો હતો. ૬૦ ટકા હિસ્સો તો કાળના પ્રવાહમાં ક્યાંક ગુમ થયો હતો. આટલો મોટો ખજાનો ખોવાયો, એની વાત કરતાં હોમાયબહેનનો અવાજ નથી ભીનો થતો કે નથી તેમની આંખોમાં લાચારી પ્રગટતી.

વડોદરામાં એકાંતવાસનાં અઢાર વર્ષ પછી બીજી કોઇ બાબતે તેમના અવાજમાં ફરિયાદનો સૂર પ્રગટતો નથી, પણ લોકોમાં રહેલી સિવિક સેન્સની- તેના અભાવની વાત આવે, એટલે હોમાયબહેનનો ચહેરો તમતમી જાય છે. પોતાના મકાનની સામે ક્રિકેટ રમતાં અને ફુલછોડને નુકસાન પહોંચાડતાં તોફાની છોકરાંથી તે બહુ નારાજ છે. એ છોકરાંના માતા-પિતા પોતાનાં છોકરાંને ટોકવાને બદલે ‘પોલીસમાં ફરિયાદ કરો’ એવી સલાહ આપે, એ વાતનું તેમને વધારે દુઃખ છે. કોઇની પાસેથી મદદ ન માગતાં, સ્વમાનભેર પોતાના જીવનનો આખરી તબક્કો વીતાવી રહેલાં સિદ્ધિવંત હોમાયબહેન ફક્ત બીજા લોકો હેરાન ન કરે એટલી જ અપેક્ષા રાખે છે. અફસોસની વાત એ છે કે તેમની આટલી મામૂલી અપેક્ષા પણ તેમની આજુબાજુના લોકો કે તેમનું સન્માન કરીને પોતાના માટે પ્રસિદ્ધિ ઉઘરાવી લેવા માગતા લોકો સંતોષી શકતા નથી.
નોંધઃ આ લેખ લખાયા પછી હોમાય વ્યારાવાલા અમેરિકા અને બ્રિટનની કેટલીક યુનિવર્સિટીનાં આમંત્રણથી, તેમનાં ચરિત્રલેખિકા સબીના ગડીહોકે સાથે અમેરિકા અને બ્રિટન જઇ આવ્યાં. (ઉપરની તસવીર) પણ થોડા દિવસ પહેલાં જ તે (મારા મોટા ભાઇ) બીરેન કોઠારીને કહેતાં હતાં,‘લાગે છે કે ફરી અમેરિકા જવું પડશે. આય વિઝિટમાં બહુ મઝા નહી આવી.’

Friday, July 04, 2008

Excretion of all types

Here is a hoarding, like many others in the entire city of Ahmedabad, congratulating Gujarat CM for getting selcted as no.1 CM three times in a row in a survey.
Tough to digest is the flattery that accompanies the congratulatory lines. It is quoted from popular Hindi song and read :
Mandiron mein shankh baaje,
Mashidon mein ho ajaan,
Sheikh ke haram aur
din-e-barahman azad hai
Ab koi gulshan na ujade, Ab watan azad hai'

Meaning 'Sound of conch-shell in temples and ajaan (prayers) from Mosques, the Muslim and the Hindu are free from all religious restrictions... Because Watan (motherland) is Azad (free).

The question is : The motherland is free from whom? and how? Wasn't it already free before Mr. Modi's rule?
But as one know, flattery knows no rules or doesn't care for logic.
Sad thing about this hoarding : It's put by noted stage singee and voice of 'Mohd. Rafi' Bankim Pathak. There were several haordings in the city.
Best thing about this hoarding : It's location. Just near Sulabh Shauchalay - Pay & Use Public Toilet.
In case of Mr.Modi the CM, He has used (hatred) and Gujarat has paid!

Thursday, July 03, 2008

From Sahajanand Swami to 'Aishwarya Swami' : Headgear and Brainwave

The 'idea' ad needs no elaboration. The other one, an appeal to remove pollution, is curious as it appears with painting of Sahajanand Swami, founder of Swaminarayan sect. The sect, founded for noble cause as usual, has come in to focus for all the wrong reasons, including accusations of murder, rape and financial misappropriations. To be fair with the sect, there are many others keeping the company.
Pollution needs to be removed from the sect first, it seems!

મેગાસીટીના મેગા-ભૂવા, ન જોયા તે જીવતા મૂઆ

‘ગુજરાત પાસે પ્રવાસન (ટુરિઝમ) ખીલવી શકાય એવી કેટલી બધી જણસો છે! પણ ખાતામાં એવી આવડત જ નથી.’ આવો કચવાટ ઘણા લોકોનો પ્રિય ટાઇમપાસ છે. તેમને લાગે છે કે ‘આટલો લાંબો દરિયાકિનારો, પહાડો અને રણથી સમૃદ્ધ ગુજરાત મુકીને અસંતુષ્ટોને બળવો કરવા ઠેઠ ખજૂરાહો જવું પડે એ કેવી કરૂણતા?’

પર્યટન ઉદ્યોગ ન ખીલવી શકવાની ગુજરાતની ખાસિયત આજકાલની નહીં, વર્ષોજૂની હોય એવું લાગે છે. કારણ કે ગુજરાતના આતિથ્યને બિરદાવવા માટે વારંવાર વપરાતા દુહામાં પણ કહેવાયું છેઃ ‘કાઠિયાવાડમાં કોક દી’ ભૂલો પડ્ય ભગવાન...’ આ પંક્તિમાં એવું સ્વીકારી લેવાયું લાગે છે કે કાઠિયાવાડ કે ગુજરાતમાં માણસ ઇરાદાપૂર્વક, તેનાં પ્રચાર કે ખ્યાતિથી આકર્ષાઇને આવે એવી શક્યતા નથી. એ ભૂલો પડે તે જ એક વિકલ્પ છે. પ્રવાસન ખાતું આ દુહાનો પોતાના બચાવ માટે ઉપયોગ કરી શકે, પણ તેનાથી સમસ્યા હલ થતી નથી. અસલ મુદ્દો એ છે કે પ્રચાર જોરદાર હોય તો કોઇ પણ સ્થળને પ્રવાસનસ્થળ તરીકે વિકસાવી શકાય છે. તે કોઇનું ઘર હોઇ શકે, ઘરની બહાર ભરાયેલું ખાબોચિયું હોઇ શકે અથવા સડક પર પડેલો ભૂવો પણ કેમ નહીં?

‘ભૂવો’- એ શબ્દ સાંભળીને તેની અમદાવાદી અર્થચ્છાયાથી અપરિચિત ઘણા લોકોને ભયાનક દેખાવ ધરાવતા અને અડધા ખુલ્લા શરીરે ઘૂણતા ભૂવાની યાદ આવી શકે છે. મેગાસીટી અમદાવાદમાં કાચા કામને કારણે પાકો રસ્તો ‘બેસી’ જાય, ત્યારે ‘ભૂવો પડ્યો’ એવું કહેવાય છે. ખરેખર, ભૂવો પડતો નથી, પણ ભૂવાના લીધે રસ્તા પર ચાલતા લોકો પડવા જેવા થઇ જાય છે.

બે પગાળો ભૂવો માણસની માનસિક નબળાઇ અને રસ્તા પર પડેલો ભૂવો સડકની આંતરિક નબળાઇ સૂચવે છે. એક ઘૂણે છે, તો બીજો તમામ રાહદારીઓને - અને લોકો કકળાટ કરે ત્યારે વહીવટીતંત્રને- ઘૂણાવે છે. જીવતાજાગતા ભૂવાનો મહિમા અંધશ્રદ્ધાનો વિષય છે, તો સડક પર પડેલા ભૂવાનું મહત્ત્વ શ્રદ્ધાનો વિષય છે. અગાઉના સમયમાં- એટલે કે અહમદશાહના જમાનામાં નહીં, પણ થોડાં વર્ષ પહેલાં - અમદાવાદની ઘણીખરી સડકોની હાલત એવી હતી કે નાગરિકો ફિલસૂફ થઇ ગયા હતા અને ‘ભૂવા પડે ત્યારે જ સડકના અસ્તિત્ત્વ વિશે જાણ થાય છે.’ એમ વિચારીને સંતોષ અનુભવતા હતા. હવે સડકો સુધરી છે. (કારણ કે, તે માણસ નથી.) છતાં, ભૂવાની બોલબાલા ઓછી થઇ નથી.

વરસાદની સીઝન શરૂ થાય, ત્યાર પછી પણ ઘરગથ્થુ હવામાનશાસ્ત્રીઓ કહે છે,‘એંહ, આ સાલ હજુ ક્યાં વરસાદ જ પડ્યો છે! એકેય ભૂવો તો પડ્યો નથી!’ આમ ભૂવા હવે રસ્તાના નહીં, પણ ચોમાસાના અસ્તિત્ત્વની ખાતરી આપવા માટે વપરાય છે. સીઝનની શરૂઆતમાં એકાદ વાર વરસાદનું ઝાપટું પડે એટલે ‘સંભવામિ ચોમાસે ચોમાસે’નું નહીં આપેલું વચન પૂરૂં કરવા ભૂવા સડક પર દેખા દે છે. ઠેકઠેકાણે સડક બેસી જાય છે. ક્યાંક કામ ચાલતું હોવાથી, તો ક્યાંક કામ પૂરૂં થઇ ગયું હોવાથી. સડકની છાતીનાં પાટીયાં બેસી ગયાં હોય એવું દ્રશ્ય ભૂવા પાસે સર્જાય છે. એટલે બરાબર સ્થળ પરથી જ રીપોર્ટંિગ કરવાના ચોવટીયા ચેનલોના રિવાજની જેમ, કેટલાક લોકો બરાબર ભૂવાના કાંઠે ઊભા રહીને તેના સ્વરૂપનો તાગ મેળવે છે. ભૂવાની વ્યુત્પત્તિથી સર્જનપ્રક્રિયા, સ્વરૂપમીમાંસા, વિવેચન અને રસદર્શન સુધીની સાહિત્યિક ગતિવિધીઓ લોકો પોતાની રૂચિ અને ક્ષમતા પ્રમાણે કરે છે અને આ કંઇ ન કરતા લોકો ભૂવાની નજીકમાં ઊભેલા એકાદ લારી-ખૂમચા પરથી પડીકું ખરીદીને શ્રોતા તરીકેની ભૂમિકા અદા કરે છે.

ચોમાસાના પ્રેમીઓમાંથી અડધાઅડધ લોકો ભૂવાના પ્રેમી હોય છે. ચોમાસું આવે એ સાથે જ તે ભૂવાના સામૈયા માટે સજ્જ થઇ જાય છે. એક વરસાદ પડે એટલે તેમના મોબાઇલ રણકવા માંડે છે. ‘હલો, કંઇ જાણ્યું? હમણાં જ અમારા એક સગા વસ્ત્રાપુર બાજુથી આવતા હતા. એમણે કહ્યું કે ફલાણા મોલની સામે એક મોટો ભૂવો પડ્યો છે.’ અથવા ‘મારા એક ફ્રેન્ડની કઝિનસીસ્ટરની ફ્રેન્ડ યુનિવર્સિટી રોડ પરથી જતી હતી ત્યારે તેની નજર સામે ત્રણ જણ ભૂવામાં ઉતરી ગયા.’ આ પ્રકારની માહિતી ફોન પર આપનારા, મહાત્મા ગાંધીની અંતિમ યાત્રાના જીવંત પ્રસારણની રનિંગ કોમેન્ટ્રી આપવા જેટલી ઉત્તેજના અનુભવે છે.

રસ્તા પર ભૂવા પડે એટલે વિરોધપક્ષોને ઘૂણવાનું વઘુ એક કારણ મળી જાય છે. આઝાદી પછી બધા જ પક્ષોને સત્તાધીશ બનવાની તક મળી છે. એટલે સત્તા પર હોય તે પક્ષ ભૂવા માટે અને ખરાબ રસ્તા માટે આગલા પક્ષનું નામ ધરે છે. ભૂવામાં હિંદુ-મુસ્લિમ સૌ કોઇ પડી શકે છે. એટલે ભૂવાને સેક્યુલર ગણીને, ભારતની બિનસાંપ્રદાયિક પરંપરા ખાતર ભૂવાને આરક્ષિત જાહેર કરવા જોઇએ, એવી દલીલ કોંગ્રેસ પાસેથી સાંભળવા મળી શકે છે. ભાજપ પણ ગાંજ્યો જાય? એ કહી શકે છે,‘ભારતમાં આર્યોના જમાનાથી ભૂવા પડતા આવ્યા છે અને હજુ પણ પડતા રહેશે. તમારાથી થાય તે કરી લેજો. ભૂવા હિંદુ સંસ્કૃતિનું ગૌરવ છે. દંભી બિનસાંપ્રદાયિકોની ચાલબાજીને અમે સફળ નહીં થવા દઇએ. વંદે માતરમ્. ભારત માતાકી જે.’

અંધેરી નગરી અને ગંડુ રાજા પ્રકારની સિચ્યુએશનમાં અંધેરી નગરી તરીકે અમદાવાદ જેવું કોઇ શહેર હોય અને ભૂવો પડવાનો પ્રશ્ન ઊભો થાય તો શું થાય? સૌથી પહેલાં તો ભૂવામાં પડેલા રાહદારી કે વાહનચાલકને ‘ડેન્જરસ ડ્રાઇવિંગ’ કે ‘ડેન્જરસ વોકિંગ’ બદલ દંડની પહોંચ પકડાવી દેવામાં આવે. ઉપરથી ટ્રાફિક પોલીસ પોતાની પ્રામાણિકતા અને ફરજપરસ્તીનું પ્રદર્શન કરતાં કહે પણ ખરા,‘સાહેબ, આ પૈસા સરકારમાં જ જવાના છે.’ ત્યાર પછી અંદર પડેલા માણસની ફરિયાદ નોંધાય અને તેના આધારે તપાસ નીમાય. મોટે ભાગે કોઇ ભૂતપૂર્વ ન્યાયાધીશના અઘ્યક્ષપદે ‘ભૂવો પડવાનાં કારણોની તપાસ અને ભૂવાની અસરો’ માટે એક કમિશન નીમવામાં આવે. આટલું થાય ત્યાં સુધીમાં શહેરમાં બીજા ૨૭ ભૂવા પડે, એટલે એ તમામને પણ કમિશનના કાર્યક્ષેત્રમાં સામેલ કરી દેવામાં આવે. છેવટે, તપાસપંચની નિયત મુદતમાં પાંચ-સાત એક્સટેન્શન થયા પછી અને તપાસપંચના એકાદબે અઘ્યક્ષો ગયા પછી જાહેર થયેલા અહેવાલમાં કહેવામાં આવે કે,‘ભૂવા ન પડવા જોઇએ, તો પણ પડે છે. ભૂવામાં માણસો ન પડવા જોઇએ તો પણ પડે છે. માણસો ન પડે તો ભૂવા બદનામ ન થાય. એ બદનામ ન થાય તો સમસ્યા તરીકે તેમનું અસ્તિત્ત્વ મટી જાય. એ સંજોગોમાં આ પ્રકારનાં કમિશન નીમવાની જરૂર રહેશે નહીં.’

ચોમાસાની ઋતુમાં ભૂવાની બોલબાલા અને લોકો પરનો તેનો પ્રભાવ ચાલુ રહ્યાં તો થોડા સમય પછી ‘ઔડા વિસ્તારોમાં ભૂવાના વિકાસ પાછળ રૂ.૧૫ કરોડની ફાળવણી. મુખ્ય મંત્રીએ જાપાની કંપની સાથે કરેલો એમઓયુ’ એવા સમાચાર વાંચવા મળી શકે છે. ઘણા લોકો ભૂવાને રસ્તાના અસ્તિત્ત્વના પુરાવા તરીકે નહીં, પણ અમદાવાદના સાંસ્કૃતિક પ્રતીક તરીકે જોતા થયા છે. અમદાવાદમાં થતાં સન્માનોમાં સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિને બદલે ભૂવાને કારણે ભાંગી પડેલા રસ્તાની પ્રતિકૃતિ ભેટમાં આપવાનો રિવાજ ચાલુ થાય, તો તેને આવકારવો જોઇએ.

Wednesday, July 02, 2008

મોબાઇલ(નો) ‘કેર’

ડાકોરના રણછોડજી મંદિરની બરાબર બહાર આવેલી ‘મોબાઇલ કેર’ની લારી.
તેની જાહેરખબર કંઇક આ રીતે થઇ શકેઃ ‘તમારી કેર ભલે રણછોડરાયને સોંપી હોય, પણ તમારા મોબાઇલની કેર લેવા માટે અહીં પધારો. એમાં રણછોડરાયનું કામ નહીં.’

Rules No Bar! It's Celebration Time, Cops !

http://www.youtube.com/watch?v=O3M3lSC8GCk
This is how celebration goes at send off party of a traffic cop at Maninagar (Ahmedabad). By cracking firecrackers right at the busy traffic junction just opposite Maninagar railway station. It turned a traffic PSI (police sub inspector) was retiring and colleagues were in celebration mood.
What does traffic police expect from citizens? It's mentioned in this photograph.
Instruction in Gujarati reads 'cracking firecrackers on the road for any reason whatsoever amounts to offence.- by order of police commissioner, Ahmedabad City!
Writing on the wall? well, everything is fair in love, war and celebration. Especially for cops.

Tuesday, July 01, 2008

ઓબામા, હનુમાનજી અને શંકા-દહન

‘સબકો માલૂમ હૈ ઔર સબકો ખબર હો ગઇ’ એ પ્રકારની વાત છેઃ અમેરિકાના પ્રમુખપદ માટેના મજબૂત દાવેદાર મનાતા ઉમેદવાર બરાક ઓબામા હનુમાનજીના ભગત છે. જુઓ કેટલાંક અંગ્રેજી અખબારોનાં મથાળાં ‘ઓબામા હનુમાનજીના આશીર્વાદ માગે છે’, ‘હનુમાનજી વ્હાઇટ હાઉસમાં’, ‘હનુમાનજી ઓબામાને ચૂંટણીમાંથી પાર ઉતારશે’...‘દીવાર’ના અમિતાભ બચ્ચનની સ્ટાઇલમાં તેમણે ઓબામાના મોઢે એવો સંવાદ મુકવાનો જ બાકી રાખ્યો છે કે, ‘મેરે પાસ હનુમાનજી હૈ.’

આખા મામલામાં ઉત્સાહનો ઉભરો લાગે છે? ઠીક છે. થોડું વાજબી કરીએઃ ઓબામા ભલે હનુમાનભક્ત ન હોય, પણ પ્રમુખપદની ચૂંટણી જીતવા માટે જે ‘લકી’ ચીજવસ્તુઓ સાથે રાખે છે, તેમાં હનુમાનજીની મૂર્તિ પણ છે. આ વાત કોઇ પ્રચારબહાદુર નહીં, પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું સામયિક ‘ટાઇમ’ કહે છે.
હજુ મનમાં શંકા સળવળે છે? હજુ વધારે વાજબી રાખવાનું છે? સારૂં, પણ હવે છેલ્લી વારઃ ‘ટાઇમ’ મેગેઝીને એવું પણ નહોતું લખ્યું કે બરાક ઓબામા હનુમાનના ભગત છે કે હનુમાનની મૂર્તિ રાખે છે. તેણે એવું પણ જાહેર કર્યું ન હતું કે ‘ઓબામા હનુમાનજીના આશીર્વાદ માગે છે’.

અતિશયોક્તિના ઉભરા વગરની સપ્રમાણ સચ્ચાઇ એટલી છે કે ‘ટાઇમ’ની વેબસાઇટ પર, ‘વ્હાઇટ હાઉસ ફોટો બ્લોગ’ વિભાગમાં ૨ જૂનના રોજ ત્રણ તસવીરો મુકવામાં આવી. તેમાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના મુખ્ય ઉમેદવાર ઓબામા, હિલેરી અને જોન મિકેઇનની ‘લકી’ ચીજો દર્શાવાઇ. તસવીરો અને તેની ફોટોલાઇનમાં જણાવ્યા પ્રમાણે, રીપબ્લિક પક્ષના ઉમેદવાર મિકેઇન નિકલ ધાતુનો એક સિક્કો પોતાની સાથે રાખે છે અને એક ‘લકી’ રબરબેન્ડ કાંડે પહેરી રાખે છે. એમનું એક શુકનવંતું સ્વેટર પણ છે. તેમના મુખ્ય હરીફ ઓબામાની લકી ચીજો છે ઃ ઇરાકના મોરચે રહેલા એક સૈનિકનું બ્રેસલેટ, મેડોના અને બાળક (ઇસુ ખ્રિસ્ત)ની છબી, ‘એ ગેમ્બલર્સ લકી ચીટ’ (જુગારી માટે નસીબવંતી નીવડેલી વસ્તુ), ‘એ ટાઇની મંકી ગૉડ’ (વાનરદેવની ટચૂકડી મૂર્તિ) ...

ઓબામા પાસે રહેતા ‘ટાઇની મંકી ગૉડ’ હિંદુ છે કે નહીં, એવી કોઇ સ્પષ્ટતા, જ્ઞાન કે અજ્ઞાનને કારણે, ફોટોલાઇનમાં કરવામાં આવી ન હતી. હિંદુ સિવાયના કેટલાક ધર્મોમાં પણ વાનર-દેવની વાત આવે છે. ભારત ઉપરાંત ચીન સહિતના ઘણા દેશોમાં પ્રતાપી વાનરનાં ચરિત્ર પ્રાચીન ગાથાઓમાં જોવા મળે છે. એટલે, ‘મન્કી ગૉડ’ હંમેશાં હનુમાન જ હોય, એવું માની લેવાય નહીં. પરંતુ સદીઓ પહેલાં અખાએ કહ્યું હતું તેમ,‘વા વાયો ને નળીયું ખસ્યું...’ ઓબામાની હનુમાનભક્તિની સ્ટોરી એક વાર ચાલી એટલે પછી ચાલી નીકળી. કોઇએ મસ્તી ખાતર કરી, તો કોઇએ હિંદુ સંસ્કૃતિની મહાનતા અને તેના પ્રભાવના લેટેસ્ટ પુરાવા તરીકે સ્ટોરી ચગાવી.

આંખનું કાજળ ગાલે ઘસ્યું
દિલ્હીના સંકટમોચન મંદિરના પૂજારીઓ ઓબામાની કહેવાતી હનુમાનભક્તિના સમાચાર સાંભળીને એવા ગેલમાં આવી ગયા કે તેમણે ઓબામાના વિજય માટે ખાસ હવનની જાહેરાત કરી. પૂજારી બ્રજમોહન ભામાએ કહ્યું કે ‘એક હનુમાનભક્ત આ પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી માણસ બનવાનો છે. એટલે અમે તેમને (ઓબામાને) હનુમાનજીની એક મૂર્તિ ભેટ આપવાનું નક્કી કર્યું છે.’ હરખઘેલા પૂજારીઓએ કહ્યું કે,‘હનુમાનભક્ત ઓબામા અમેરિકાના પ્રમુખ બનશે તો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ઘણો સુધારો થશે.’

દિલ્હીની અમેરિકન એલચી કચેરીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સેનેટર ઓબામા પાસે રહેતી ‘મંકી કિંગ’ની મૂર્તિ હનુમાનની છે કે નહીં, તે અમે જાણતા નથી. પણ અહીંના લોકો એવું માને છે.’ માને છે એટલે કઇ હદે? સંકટમોચન મંદિર દ્વારા ઓબામની જીત માટે યોજાયેલી ખાસ પ્રાર્થના પછી, ઓબામાની પ્રતિનિધિ અને ‘ડેમોક્રેટ્સ એબ્રોડ ઇન્ડિયા’નાં ચેરપર્સન કેરોલીનને બે ફૂટ ઉંચી અને ૧૫ કિલો વજન ધરાવતી, આશરે એકાદ લાખ રૂપિયાની કિંમતની હનુમાનજીની મૂર્તિ અર્પણ કરવામાં આવી. આ ચેષ્ટાના પ્રતિભાવમાં કેરોલીને વિવેકપૂર્વક આભાર માન્યો અને કહ્યું કે ‘હું ઓબામાને તમારી શુભેચ્છાઓ સિવાય બીજું કંઇ પહોંચાડી શકું એમ નથી. કારણ કે અમેરિકાના કાયદા પ્રમાણે કોઇ પણ સેનેટર ૧૦ ડોલર કરતાં વધારે કિંમતની ભેટ સ્વીકારી શકે નહીં.’ (ઓબામા પ્રમુખ બને ત્યારે ખરા, પણ હજુ તે સેનેટર જ છે.)
આ સમાચાર જાણ્યા પછી સંકટમોચન મંદિરના પૂજારીઓએ કહ્યું, ‘હનુમાનજીની મૂર્તિ કેરોલીન નહીં પહોંચાડે તો બીજા કોઇ દ્વારા અમે તેને મોકલવાની વ્યવસ્થા કરીશું. પણ ગમે તે સંજોગોમાં આ મૂર્તિ પ્રમુખપદની આખરી ચૂંટણી પહેલાં અમેરિકા પહોંચાડી દઇશું.’

ઓબામાના હનુમાન કયા?
‘ઓબામા હનુમાનભક્ત કેવી રીતે હોઇ શકે?’ એવી શંકાના જવાબમાં કહેવાય છે કે ‘તેમના જીવનનો થોડો હિસ્સો ઇન્ડોનેશિયામાં વીત્યો હતો. અગ્નિ એશિયાના ઘણા દેશોની જેમ ઇન્ડોનેશિયામાં રામાયણનો પ્રસાર થયો હોવાથી, ઓબામા હનુમાનજી વિશે જાણકારી ધરાવતા હોય એવી પૂરી શક્યતા છે.’ આ દલીલમાં રહેલું તથ્ય સ્વીકારતી વખતે એ પણ યાદ રાખવું જોઇએ કે વાલ્મિકી રામાયણ ભલે અસલી ગણાતું હોય, પણ રામાયણની કથામાં પ્રાંતે પ્રાંતે ફરક જોવા મળે છે. મૂળ કથાબીજ એક સરખું હોવા છતાં પાત્રોનાં નામથી માંડીને પેટાકથાઓમાં મોટા પાયે - અને ક્યારેક તો આંચકાજનક લાગે એવાં - વૈવિઘ્ય જોવા મળે છે. જેમ કે, થાઇલેન્ડમાં ‘રામાયણ’ સામાજિક વારસાનો હિસ્સો ગણાય છે. થોડા સમય પહેલાં થાઇલેન્ડ ગયેલા મિત્ર મૌલિક ચોક્સીના જણાવ્યા પ્રમાણે, એર પોર્ટ પર રાવણનાં મોટાં શિલ્પ મુકવામાં આવ્યાં છે.

થાઇલેન્ડના ‘રામાયણ’માં હનુમાનજી બ્રહ્મચારી નથી. ત્યાંની કથા પ્રમાણે, શ્રી રામ હનુમાનને લંકા સુધીનો સેતુ બાંધવાનું કહે છે, ત્યારે રાવણ મત્સ્યકન્યા સુપર્ણખાને એ સેતુ તોડી નાખવાનો આદેશ આપે છે. મત્સ્યકન્યા અને માછલીઓનું ટોળું આવી પહોંચે છે, પણ મત્સ્યકન્યા અને હનુમાનજી પ્રેમમાં પડે છે અને તેમને એક પુત્ર થાય છે.

આપણા પરિચિત રામાયણમાં આવતી હનુમાનજીના પરસેવાના ટીપાથી ગર્ભવતી બનેલી માછલીના પુત્ર મકરઘ્વજની વાત થાઇલેન્ડમાં જુદા સ્વરૂપે પ્રચલિત છે. એટલું જ નહીં, આ કથાના આધારે તૈયાર થયેલું હનુમાનજી અને મત્સ્યકન્યાનું શિલ્પ પણ, કથાનો ટૂંકસાર ધરાવતા હોર્ડંિગ સાથે, જોવા મળે છે. થાઇલેન્ડની કથાથી કોઇ સ્થાનિક હનુમાનભક્તે દુભાવાની જરૂર નથી. મુદ્દો ફક્ત એટલો જ છે કે ઓબામા ખરેખર હનુમાનજીમાં શ્રદ્ધા ધરાવતા હોય તો પણ, તેમણે હનુમાનજીની કઇ કથા સાંભળી હશે તે કહેવું અઘરૂં છે.

કોણ કોનાથી ધન્ય થાય?
લાખ રૂપિયાનો - અમેરિકાની વાત છે એટલે મિલિયન ડોલરનો- સવાલ એ છે કે ઓબામા ‘લકી’ ચીજ તરીકે ‘મંકી ગૉડ’ની મૂર્તિ સાથે રાખતા હોય, એટલે એ હનુમાનના ભક્ત થઇ ગયા? તેમની લકી ચીજોમાં એક સૈનિકનું બ્રેસલેટ અને જુગારીની લકી આઇટેમ પણ છે. એ બધાનું મહત્ત્વ ‘મંકી ગૉડ’ કરતાં જરાય ઓછું નથી. સાદી ભાષામાં કહીએ તો, આ બધા મનના ખૂણેખાંચરે પડેલી અસલામતીની લાગણી પર કાબુ મેળવવાના ‘ટુચકા’ છે, જેના માટે અંધશ્રદ્ધા સિવાય બીજો કોઇ શબ્દ વાપરી શકાય નહીં. અંગત ધોરણે એને ભલે ‘શ્રદ્ધા’ તરીકે ખપાવવામાં આવે, પણ વિશ્વના સૌથી પાવરફુલ હોદ્દા માટેનો ઉમેદવાર ચૂંટણી જીતવા માટે બૌદ્ધિક પ્રયાસો ઉપરાંત લકી ચીજવસ્તુઓ સાથે રાખવામાં માનતો હોય, તે કહેવાતી આઘુનિકતાની અનોખી તાસીર છે

‘લકી’ ચીજોના પ્રભાવમાં માનનારા માટેની માહિતી એ છે કે ઓબામા સામેની હરિફાઇમાંથી આઉટ થઇ ગયેલાં હિલેરી ક્લિન્ટન પણ લકી ચીજો રાખતાં હતાં. તેમાં પોતાની માન્યતા ઉપરાંત કોઇ શુભેચ્છક તરફથી મળેલી ભેટનો સમાવેશ થતો હતો. લાગે છે કે તેમના નસીબના માઇલેજ વહેલા ખૂટી ગયા.
છેલ્લો મુદ્દોઃ ઓબામા હનુમાનજીના ભક્ત હોય, તેમાં હનુમાનજીનું ગૌરવ વધે કે ઓબામાનું? આપણા હનુમાનભક્તોના હરખ પરથી એવું લાગે છે, જાણે ઓબામાએ હનુમાનજીનું ગૌરવ વધાર્યું! પરદેશમાં મંદિરોની ચેઇન ધરાવતા ઘણા સંપ્રદાયો-ધર્મો અને તેના વડાઓ પણ આ પ્રકારની આવી માનસિકતામાં રહે છે. મંદિરમાં કે ધર્મસ્થાનમાં આવીને વિદેશી હસ્તીએ ધન્યતા અનુભવવી જોઇએ, પણ થાય છે એનાથી ઉલટું. પરદેશી વીઆઇપીનાં પુનિત પગલાંથી પપૂધઘૂઓ ધન્ય થાય છે અને પોતાના ફિરકાની મહાનતાનો છાકો પાડવા માટે વિદેશી હસ્તીઓની મુલાકાતની તસવીરોનો છૂટથી પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે.

હવે આગળ શું? ચૂંટાઇને હોદ્દો ગ્રહણ કરતાં પહેલાં ઓબામા મીની સાઇઝના ડોલચામાં તેલ લઇને હનુમાનજીના મંદિરે જશે? જવાબી ફારસ માટે પ્રમુખપદની ચૂંટણી સુધી રાહ જુઓ.