Thursday, March 02, 2017
મહેતાસાહેબ-જેઠાલાલ સંવાદ
(તારકભાઈની વિદાયના સમાચાર પછી અંજલિ તરીકે લખેલો લઘુસંવાદ)
‘બસ, આવું કરવાનું ને, મહેતાસાહેબ?’
‘શું થયું જેઠાલાલ? વળી પાછું તમને કોઇ ચૂનો લગાડી ગયું? ફરી પાછા બાપુજીએ તમને ધમકાવ્યા? કે ટપુનું કોઈ નવું તોફાન? કે પછી પોલીસનું કંઈ લફરું? ’
‘આ જ તમારી ખૂબી છે, મહેતાસાહેબ. તમે બધાં કારણ ગણાવી દીધાં, પણ તમારી વાત ન કરી?’
‘મારી શું વાત કરવાની, જેઠાલાલ? હું એક ગુજરાતી લેખક... આખી જિંદગી આનંદથી લખ્યું., વાચકોનો અઢળક પ્રેમ મેળવ્યો, કુટુંબીજનો-મિત્રો-સ્નેહીઓએ ભરપૂર ચાહ્યો... ’
‘તમેે યાર જરાય સમજતા નથી. ’ જેઠાલાલ અકળામણથી પોતાની મૂછો ચાવવા લાગ્યા. એટલે ચંપકલાલે ઝુકાવ્યું,
‘અલા મહેતિયા, હું જોઉં છું કે તું ક્યારનો જેઠાને જેઠો બનાવે છે... એની સીધી વાતને તું હમજતો કેમ નથી? તું તો માણસ છું કે મચ્છરદાનની?’
‘એવું નથી મુરબ્બી...’
‘મહેતાઅંકલ, તમે આવું કરશો તો હું તમારા વિરોધમાં ટ્વીટર પર ઝુંબેશ ચલાવીશ... #DownWithMahetaUncle’ ટપુડો તેના વાળનો ગુચ્છો ઉછાળીને બોલ્યો.
‘જોયું મહેતાસાહેબ? હવે તમને મારી ફરિયાદની ગંભીરતા સમજાઈ?’
‘પણ તમારી ફરિયાદ તો કહો.’
‘લો, એ પણ તમને કહેવી પડશે? તમે કેમ મને મૂકીને એકલાએકલા ઉપડી ગયા?’
‘ઓહો, જેઠાલાલ. કાગનો વાઘ કરવાની તમારી ટેવ ગઈ નહીં. ’ જેઠાલાલની નજીક જઈને, જરા ધીમા અવાજે તોફાની સ્મિત સાથે, ‘તમે પણ સમજતા નથી યાર. બધેે તમને સાથે લઈ જવા જરૂરી છે? ક્યાંક મારે એકલા પણ ન જવાનું હોય?’
-અને જેઠાલાલને જ નહીં, લાખો વાચકોને મૂકીને તારક મહેતા ચાલી નીકળ્યા તેમના ગુરુ જ્યોતીન્દ્ર દવેને મળવા.
(તારકભાઈને વિગતવાર અંજલિ માટે જુઓ)
http://urvishkothari-gujarati.blogspot.in/2017/03/blog-post_2.html
‘બસ, આવું કરવાનું ને, મહેતાસાહેબ?’
‘શું થયું જેઠાલાલ? વળી પાછું તમને કોઇ ચૂનો લગાડી ગયું? ફરી પાછા બાપુજીએ તમને ધમકાવ્યા? કે ટપુનું કોઈ નવું તોફાન? કે પછી પોલીસનું કંઈ લફરું? ’
‘આ જ તમારી ખૂબી છે, મહેતાસાહેબ. તમે બધાં કારણ ગણાવી દીધાં, પણ તમારી વાત ન કરી?’
‘મારી શું વાત કરવાની, જેઠાલાલ? હું એક ગુજરાતી લેખક... આખી જિંદગી આનંદથી લખ્યું., વાચકોનો અઢળક પ્રેમ મેળવ્યો, કુટુંબીજનો-મિત્રો-સ્નેહીઓએ ભરપૂર ચાહ્યો... ’
‘તમેે યાર જરાય સમજતા નથી. ’ જેઠાલાલ અકળામણથી પોતાની મૂછો ચાવવા લાગ્યા. એટલે ચંપકલાલે ઝુકાવ્યું,
‘અલા મહેતિયા, હું જોઉં છું કે તું ક્યારનો જેઠાને જેઠો બનાવે છે... એની સીધી વાતને તું હમજતો કેમ નથી? તું તો માણસ છું કે મચ્છરદાનની?’
‘એવું નથી મુરબ્બી...’
‘મહેતાઅંકલ, તમે આવું કરશો તો હું તમારા વિરોધમાં ટ્વીટર પર ઝુંબેશ ચલાવીશ... #DownWithMahetaUncle’ ટપુડો તેના વાળનો ગુચ્છો ઉછાળીને બોલ્યો.
‘જોયું મહેતાસાહેબ? હવે તમને મારી ફરિયાદની ગંભીરતા સમજાઈ?’
‘પણ તમારી ફરિયાદ તો કહો.’
‘લો, એ પણ તમને કહેવી પડશે? તમે કેમ મને મૂકીને એકલાએકલા ઉપડી ગયા?’
‘ઓહો, જેઠાલાલ. કાગનો વાઘ કરવાની તમારી ટેવ ગઈ નહીં. ’ જેઠાલાલની નજીક જઈને, જરા ધીમા અવાજે તોફાની સ્મિત સાથે, ‘તમે પણ સમજતા નથી યાર. બધેે તમને સાથે લઈ જવા જરૂરી છે? ક્યાંક મારે એકલા પણ ન જવાનું હોય?’
-અને જેઠાલાલને જ નહીં, લાખો વાચકોને મૂકીને તારક મહેતા ચાલી નીકળ્યા તેમના ગુરુ જ્યોતીન્દ્ર દવેને મળવા.
![]() |
| Jyotindra Dave-Tarak Mehta / જ્યોતીન્દ્ર દવે- તારક મહેતા |
(તારકભાઈને વિગતવાર અંજલિ માટે જુઓ)
http://urvishkothari-gujarati.blogspot.in/2017/03/blog-post_2.html
તારક મહેતા : આખરે વિદાય
![]() |
| 'દુનિયાને ઊંધા ચશ્મા' / A memento at Tarak Mehta's place |
| Indu-Tarak Mehta / ઇન્દુ-તારક મહેતા (photo : Binit Modi) |
તારકભાઈએ ગુજરાતી હાસ્યમાં ઘટનાપ્રધાન છતાં બધી વખત સ્થૂળ નહીં, અને સંવાદમાં (ગાળ), (ગાળ) આવતું હોવા છતાં, અશિષ્ટ નહીં એવું હાસ્ય લંબાણથી આપ્યુંઃ લાંબા લેખો દ્વારા અને લાંબા સમય સુધી. છતાં, ગુજરાતી સાહિત્યના ધુરાધારીઓને મન (અશ્વિની ભટ્ટની જેમ) તારક મહેતા સાહિત્યકાર તરીકે ગણતરી ન પામ્યા. એ જુદી વાત છે કે અશ્વિનીભાઈની જેમ તારકભાઈએ પણ પરિષદ-અકાદમીની તખ્તોં-તાજોંની દુનિયાને પોતાની ગણતરીમાંથી ક્યારની કાઢી નાખી હતી. તેમને 'પદ્મશ્રી' મળ્યો હતો. છેલ્લે છેલ્લે સાહિત્ય અકાદમીએ રમણભાઈ નીલકંઠના નામે શરૂ કરેલું સન્માન તારકભાઈ માટે જાહેર કર્યું, ત્યારે તેમાં તારકભાઈ કરતાં અનેક ગણું વધારે તો અકાદમીનું સારું દેખાયું હતું. તારકભાઈ વર્ષોથી માનસન્માનો અને બાહ્ય પ્રસિદ્ધિથી પર થઈ ગયા હતા. આશરે બે દાયકાના તેમની સાથેના સંપર્કમાં સૌથી સ્પર્શે એવી તેમની ખાસિયત હતી તેમની સાલસતા-નિર્ભારપણુંં. પોતે તારક મહેતા ધ ગ્રેટ છે, એવો ક્યાંય ફાંકો નહીં. અત્યંત પ્રેમથી અેન નમ્રતાથી વાતો કરે.
![]() |
| દિવાળીની શુભેચ્છાનો તારકભાઈએ આપેલો જવાબ, 28-10-95 |
આ જ વર્ષે (1995માં) હું પત્રકારત્વમાં આવ્યો અને મુંબઈ 'અભિયાન'માં કામ શરૂ કર્યું, ત્યાર પછી પણ તે ક્યારેક પત્ર કે જવાબ લખવાનો થાય ત્યારે પ્રોત્સાહનના શબ્દો લખતા હતા. જેમ કે, આ પત્રમાં તેમણે મારા નડિયાદ વિશેના અહેવાલ (સિટી પ્રોફાઇલ) વાંચ્યાનો ઉલ્લેખ કર્યો છે. (આ જ અહેવાલથી હસિત મહેતાનો પરિચય થયો, જે અાગળ જતાં અત્યંત ગાઢ મૈત્રીમાં ફેરવાયો. હસિતના પપ્પા હરવિલાસભાઈ અને તારકભાઈ કુટુંબી થાય. તારકભાઈનાં બાળપણનાં થોડાં વર્ષ નડિયાદમાં વીત્યાં હતાં.)
તારકભાઈ સાથે અંગત પરિચય અને ખાસ તો તેમના ઘરે વિના સંકોચે છૂટથી અવરજવરનું સંપૂર્ણ શ્રેય બિનીત મોદીને જાય છે. તે પોતાની ઘસાઈ છૂટવાની વૃત્તિને કારણે 'તારકકાકા-ઇન્દુકાકી'નો પ્રિય બની ગયો. તેની સાથે જ એક વાર (વર્ષ 200માં) તારકભાઈ-ઇંદુકાકી મહેમદાવાદના જૂના ઘરે આવ્યા હતા. એ વખતની આ તસવીર
![]() |
| (L to R) Tarak Mehta, Pappa, Mammy, Indu Mehta, Urvish Kothari, Sonal Kothari (ડાબેથી) તારક મહેતા, પપ્પા, મમ્મી, ઇન્દુકાકી, ઉર્વીશ, સોનલ |
![]() |
| Tarak Mehta, Vinod Bhatt / તારક મહેતા, વિનોદ ભટ્ટ |
![]() |
| અદાલતનો તખ્તોઃ ન્યાયાધીશો વિનોદ ભટ્ટ-રતિલાલ બોરીસાગર, ફરિયાદી પક્ષના વકીલો હસિત મહેતા, પ્રણવ અધ્યારૂ, બચાવ પક્ષના વકીલ બિનીત મોદી |
![]() |
| ... અને 'ભરી અદાલત'માં બેઠાં બેઠાં જુબાની આપતા 'સાક્ષી' તારક મહેતા |
અસિત મોદીની હિંદી સિરીયલ 'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા' તારકભાઈ માટે લોકપ્રિયતાનો નવો અને અનેક ગણો મોટો ડોઝ લઈને આવી. જેના નામમાં જ લેખકનું નામ સમાવિષ્ટ હોય એવી કદાચ આ પહેલી સિરીયલ હતી અને ભારતની હિંદી સિરીયલના ઇતિહાસમાં તે સૌથી લાંબી ચાલનારી સિરીયલ બની રહી છે. તેનાં વિવિધ નિમિત્તે અનેક ઉજવણાં થયાં ્ને તેમાં સહભાગી બનવાનો આનંદ લીધો છે. એ બધામાં તારકભાઈ દુઃખી નહીં, તો આનંદથી ઉત્તેજિત પણ નહીં એવી રીતે આવતા હતા. કોઈ પણ ઉંમરે, કોઈ પણ અવસ્થામાં માથે ચડી જાય એવી લોકપ્રિયતાથી જલકમલવત્ ને પછી તો કંઇક અલિપ્ત થઈ ગયા હતા.
| Press Conference : 400 episodes of 'Tarak Mehta Ka Oolta Chashma' 'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા'ના ચારસો હપ્તાની ઉજવણી નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ |
![]() |
| Disha Vakani taking interview of Tarak Mehta તારક મહેતાનો મસ્તીભર્યો ઇન્ટરવ્યુ લેતાં દિશા વાકાણી |
![]() |
| Rajnikumar Pandya with Tarak Mehta રજનીકુમાર પંડ્યા, તારક મહેતા તેમના અવસાનના થોડા દિવસ પહેલાં |
એ સાંભળીને થયેલી પહેલી લાગણી રાહતની અને વિશિષ્ટ પ્રકારના, ગમગીનીમિશ્ર આનંદની હતી.
26 ડિસેમ્બર, 1929ના રોજ જન્મેલા તારકભાઈએ 1 માર્ચ, 2017ના રોજ, 88 વર્ષનું ભરપૂર જીવન જીવીને વિદાય લીધી હોય અને કોઈ પણ પ્રકારના એક્શન રીપ્લે વગરની આ વિદાયથી તેમને પીડામુક્તિ મળી હોય તો એનો આનંદ જ હોય--તારકભાઈને પણ એ જ ગમે.
![]() |
| આત્મકથા પર તારકભાઈના હસ્તાક્ષરના પ્રતીક જેવો તારલો, 10-12-2000 |
![]() |
| Tarak Mehta's Auto-biography 'Action Reply' (in two volumes) તારકભાઈની બે ભાગની આત્મકથા : એક્શન રિપ્લે |
Tuesday, February 28, 2017
ભાજપનું ‘કૉંગ્રેસીકરણ’ : અર્થ અને અનર્થ
સ્થાપિત હિત સામે
લડવામાં સૌથી મોટું ભયસ્થાન એ હોય છે કે લડનાર પોતે ક્યારે સ્થાપિત હિત થઈ જાય છે
તેનો ખ્યાલ રહેતો નથી. સ્થાપિત હિત સામેની લડાઈ શરૂ થઈ હોય ત્યારે તે મૂલ્ય અને
વિચારોની હોય છે, પરંતુ આગળ જતાં એ જ મૂલ્યો-વિચારો બોજરૂપ
લાગવા માંડે છે. સરખામણીમાં, મૂલ્યોને બદલે વ્યક્તિ સામેની લડાઈ વધારે
સહેલી-વધારે ફળદાયી જણાય છે. પછી એ સમય બહુ દૂર રહેતો નથી, જ્યારે સ્થાપિત હિત સામે લડનાર અને જીતનાર વધારે મોટું સ્થાપિત હિત બની
જાય. (અહીં સ્થાપિત હિત એટલે એવું જૂથ જેને પોતાના સ્વાર્થ સિવાય બીજી બાબતો સાથે
નહીંવત્ નિસબત હોય છે.)
ભારતના રાષ્ટ્રીય
સ્તરના રાજકીય પક્ષોના સંદર્ભમાં કૉંગ્રેસ એ જૂનું સ્થાપિત હિત હતો. આઝાદીની
લડતમાં મજબૂત પ્રદાન અને મર્યાદાઓ છતાં લોકશાહીને મજબૂત કરનારી જવાહરલાલ નેહરુની
નેતાગીરીને લીધે કૉંગ્રેસનું એકચક્રી રાજ બે દાયકા જેટલું ટક્યું. લાલબહાદુર
શાસ્ત્રીના ટૂંકા શાસન પછી, ઇંદિરા ગાંધીના રાજમાં કૉંગ્રેસ પાકા પાયે
સ્થાપિત હિત બની. કૉંગ્રેસના જૂના જોગીઓને તડકે મૂકીને, તેમણે પોતાની કૉંગ્રેસ રચી અને તેને અસલી કૉંગ્રેસ તરીકે ઠરાવી દીધી.
ભ્રષ્ટાચાર, બંધારણમાં છેડછાડ, ન્યાયતંત્ર સાથે ચેડાં, મુસ્લિમ-
દલિત સમાજોને કેવળ મતબેન્ક તરીકે ગણીને તેને સેક્યુલરિઝમ કે દલિતોદ્ધાર તરીકે
ખપાવવાની ચેષ્ટા, મુસ્લિમોમાં પ્રગતિશીલ ચહેરાને બદલે રૂઢિચુસ્ત
કે માથાભારે નેતાગીરીને પ્રોત્સાહન,
પક્ષ પર એકહથ્થુ-વ્યક્તિકેન્દ્રી
શાસન, ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદે જવામાં શરમસંકોચ નહીં...
આ હતી ઇંદિરા ગાંધીની કૉંગ્રેસની સંસ્કૃતિ.
ઇંદિરા ગાંધીની
હત્યા પછી ટૂંક સમયમાં કૉંગ્રેસના એકચક્રી શાસનનો યુગ પૂરો થયો. રાજીવ ગાંધીએ
શાહબાનો ચુકાદો ઉલટાવીને અને સલમાન રશદીના પુસ્તક ‘સેતાનિક વર્સીસ’ પર પ્રતિબંધ મૂકીને મુસ્લિમ લાગણીનો ખેલ પાડ્યો. તેમાં મુસ્લિમ સમાજના
હિતની નહીં, તેમના મતની ચિંતા કેન્દ્રસ્થાને હતી. રાજીવના
આ કોમવાદી પગલાએ ભાજપના-સંઘ પરિવારના કોમી રાજકારણને સારું એવું બળતણ પૂરું
પાડ્યું.
કેવળ કોમવાદથી
કેન્દ્રમાં સત્તા નહીં મેળવી શકાય તેના અહેસાસ પછી, ભાજપ-સંઘ દ્વારા
(ગોવિંદાચાર્યના યાદગાર શબ્દપ્રયોગ પ્રમાણે) વાજપેયીરૂપી ઉદારમતવાદી મહોરાનો ઉપયોગ
કરવામાં આવ્યો. ત્યારે મોરચા સરકારનો યુગ શરૂ થઈ ગયો હતો. ‘કોએલિશન ધર્મ’ જેવો પ્રયોગ આગળ જતાં મનમોહન સિંઘે પ્રયોજ્યો, પણ તેના નામે સાથી પક્ષોના ગેરવાજબી દબાણને વશ થવાની શરૂઆત રાજીવ ગાંધીની
હત્યા પછીના અરસામાં થઈ ચૂકી હતી. એ સમયે ભાજપની ઓળખ ‘પાર્ટી વિથ ડિફરન્સ’ તરીકે પ્રચારવામાં આવતી હતી. તેનો સંદેશો
સ્પષ્ટ હતોઃ આ પાર્ટી કૉંગ્રેસ જેવી નથી—કૉંગ્રેસી સંસ્કારોથી
મુક્ત છે. કેન્દ્રમાં સંપૂર્ણ સત્તાથી વંચિત હોવાને કારણે તેના દાવાની કસોટી થઈ ન
હતી અને ભાજપની સત્તા ધરાવતાં ગુજરાત જેવાં રાજ્યોમાં કૉંગ્રેસનાં ઘણાં (અપ)લક્ષણ
ભાજપમાં પ્રગટવા લાગ્યાં હતાં, પરંતુ ભ્રષ્ટાચાર કૉંગ્રેસી સંસ્કૃતિ સાથે
સંકળાઈ ગયેલો શબ્દ બની ગયો હતો. રાષ્ટ્રીયસ્તરે હવાલાકાંડ વખતે જૈન ડાયરીમાંથી
અડવાણીનું સાંકેતિક નામ નીકળતાં તેમણે રાજીનામું આપી દીધું હતું. જોકે, એ ધોરણ ગુજરાત ભાજપમાં લાગુ પડતું ન હતું.
‘પાર્ટી વિથ ડિફરન્સ’ના દાવાને મજબૂત બનાવવા માટે બેક સીટ ડ્રાઇવિંગ કરનાર સંઘ પરિવાર મોજૂદ
હતો. તે દેશગૌરવના નામે હિંદુગૌરવ અને હિંદુગૌરવના નામે મુસ્લિમ-ખ્રિસ્તીવિરોધની
લાગણી ફેલાવવા વિશે ઉત્સાહી હતો. તેને ‘કોમવાદી’ કહીને ભાંડનાર કૉંગ્રેસ પાસે કોમવાદનું પોતીકું સ્વરૂપ હતું. એ વખતના
રાજકીય વિકલ્પ ઉઘાડા કોમવાદ અને છૂપા કોમવાદ વચ્ચે, ભાજપી કોમવાદ અને
કૉંગ્રેસી કોમવાદ વચ્ચે અને ગુજરાતની વાત કરીએ તો, ભાજપી ભ્રષ્ટાચાર તથા
કૉંગ્રેસી ભ્રષ્ટાચાર વચ્ચે હતા. યાદ રહે, નરેન્દ્ર મોદી
પહેલાંના ભાજપી મુખ્યમંત્રી કેશુભાઈને ભૂકંપ પછી પુનઃવસનના કામમાં ઢીલાશ અને
સરકારી ભ્રષ્ટાચારના આરોપો પછી સત્તા છોડવી પડી હતી. નરેન્દ્ર મોદીના શાસનમાં પણ
ગુજરાતની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના સંગીન આરોપોની ક્યારેય કમી ન હતી. તેમના
શાસનમાં ભ્રષ્ટાચારનો સ્કેલ ઊંચો ગયો, એવું ગાંધીનગર સાથે
કામ પાડનાર કોઈ પણ જાણકાર કહી શકે,
પરંતુ ‘ખાતો નથી, ખાવા દેતો નથી’ પ્રકારનાં ચબરાકીયાંથી, હિંદુહિતરક્ષક તરીકેની નરેન્દ્ર મોદીની એ વખતની છાપથી ને ઘણી વાર નકરી
મુગ્ધતાથી લોકો વાસ્તવિકતા નજરઅંદાજ કરતા રહ્યા. (બાકી, મમતા બેનરજીને પણ પરિવાર નથી, છતાં ભાજપના આરોપ
પ્રમાણે, તે ભ્રષ્ટાચાર કરી શકે, જયલલિતાને-માયાવતીને
પણ પરિવાર નહીં. છતાં તે ભ્રષ્ટાચાર માટે કુખ્યાત. પણ નરેન્દ્ર મોદી માત્ર ને
માત્ર પરિવાર ન હોવાને કારણે ભ્રષ્ટાચાર ન કરે, એવું ઘણા હોંશેહોંશે
માને-મનાવે.)
માત્ર ભ્રષ્ટાચાર
નહીં, એ સિવાયની ઘણી બાબતોમાં ભાજપના ‘કૉંગ્રેસીકરણ’નું ગુજરાત પૂરતું રહેલું પોત 2014માં
કેન્દ્રમાં સરકાર સ્થપાયા પછી રાષ્ટ્રીયસ્તરે પણ પ્રકાશવા લાગ્યું. તેનો પહેલો કે
છેલ્લો નહીં, પણ તાજો દાખલો મહારાષ્ટ્રનાં શહેરોની
મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં જોવા મળ્યો છે. ત્યાં ભાજપે આંખ મીંચીને
કૉંગ્રેસ-એનસીપીના નેતાઓને ભાજપમાં આવકાર્યા અને ઘણા કિસ્સામાં પોતાના જૂના
કાર્યકરોને અવગણીને નવા પક્ષપલટુઓને ઉમેદવાર બનાવ્યા. સંજય ગાંધીની કદમબોસી માટે
કુખ્યાત કૉંગ્રેસી એન.ડી. તિવારીના પુત્રને આવકારવામાં ઉત્તર પ્રદેશ ભાજપને કશી
લાજશરમ નડી નહીં. ભાજપની સઘળી સત્તા નરેન્દ્ર મોદીમાં કેન્દ્રિત છે અને તેનો સઘળો
વિરોધ સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી સામે. (‘ગાંધી પરિવાર’માં એમ પણ ન કહેવાય. કારણ કે મેનકા ગાંધી-વરુણ ગાંધી ભાજપમાં છે.)
યુપીએની બીજી
મુદતમાં પોલિસી પેરેલિસીસની અને કૌભાંડો પર કૌભાંડોની જે છાપ ઊભી થઈ હતી, તેની સરખામણીમાં ઘણાને નરેન્દ્ર મોદી બહુ કાર્યક્ષમ લાગે છે. તેમની
કાર્યક્ષમતા અને ખાસ તો પ્રચારકાર્યક્ષમતા વિશે બેમત નથી. સવાલ તેની દિશાનો, આશયનો અને તેની ધરીનો છે. ઇંદિરા ગાંધીની જેમ જ તે સત્તાને છાતીસરસી ચાંપીને
બેઠા છે. ચૂંટણીસભાઓ સંબોધવામાં અને કપિલના કોમેડી શોમાં ચાલે એવી (સસ્તી)
રમૂજો-વાક્પ્રહારો કરવામાં તેમનો જવાબ નથી, વખત આવ્યે તે આંસુ
સારતા ટ્રેજેડી કિંગ દિલીપકુમાર કે માતૃપ્રેમી અમિતાભ બચ્ચનને અભિનયમાં ટક્કર આપી
શકે છે. ટૂંકનામો પાડવામાં તેમને બાળસહજ આનંદ અને કોપીરાઇટર-સહજ સંતોષ મળતો હોય એમ
લાગે છે. રાજકીય શતરંજ ખેલવાની તેમની ક્ષમતા નિર્વિવાદ છે. આ બધી બાબતોને લીધે
તેમનું વડાપ્રધાનપદું અને એકંદરે ભાજપનું શાસન કૉંગ્રેસથી ઘણાં અલગ લાગે છે, પરંતુ આ બધા વેશની જરાક જ પછવાડે નજર કરતાં ઘૂઘવાટા મારતી કૉંગ્રેસી
સંસ્કૃતિ, સંઘસંસ્કારના વઘાર સાથે, દેખાય છે. ભાજપે કૉંગ્રેસને ખતમ કરી દીધી એ બાહ્ય સત્ય છે અને કૉંગ્રેસી
સંસ્કૃતિએ ભાજપને (તેની અલગતાને) ખતમ કરી દીધી, તે આંતરિક સચ્ચાઈ છે.
Labels:
bjp,
congress,
indira gandhi,
Narendra Modi/નરેન્દ્ર મોદી,
politics
Monday, February 27, 2017
સાહસિકોએ નહીં, સંશોધકોએ શોધેલા બે નવા ‘ખંડ’
તરણા ઓથે ડુંગર—એ કહેવતની યાદ અપાવતો એક અભ્યાસ જિઓલોજિકલ સોસાયટી ઓફ અમેરિકાના જર્નલ GSA Todayના માર્ચ-એપ્રિલ
2017ના અંકમાં પ્રસિદ્ધ થયો છે. તેનો સાર એ
છે કે ન્યુઝીલેન્ડનો ટચુકડો ટાપુસમુહ વાસ્તવમાં એક તોતિંગ પોપડાનો હિસ્સો છે—એવો પોપડો,
જેનો 94 ટકા હિસ્સો પાણીમાં ગરક થયેલો છે. જળસમાધિ લેનાર એ
પોપડાનું ક્ષેત્રફળ આશરે 49 લાખ ચોરસ કિલોમીટર છે. આથી તેને ખંડનો દરજ્જો આપીએ, તો પૃથ્વીનો સૌથી નાનો ખંડ ગણી શકાય. તેને નામ અપાયું છે ઝીલેન્ડિઆ.
અહીં જે પોપડાની વાત કરી છે, તેનું વૈજ્ઞાનિક નામ કોન્ટીનેન્ટલ ક્રસ્ટ—એટલે કે જમીનનો એવો હિસ્સો જેનાથી પૃથ્વીની ઉપરની સપાટી બનેલી છે. આશરે પચાસ કરોડ પહેલાં પૃથ્વીની જમીન જુદા જુદા ભાગોમાં વહેંચાઈ ન
હતી. એ સળંગ, વન પીસ જમીની હિસ્સો ગોંદવાના તરીકે ઓળખાતો હતો. પૃથ્વીની જમીની સપાટી (કોન્ટીનેન્ટલ ક્રસ્ટ) અને દરિયાનું તળીયું (ઓશનિક ક્રસ્ટ) એમ બધો પથારો સાત મોટા અને બીજા નાના વિભાગમાં વહેંચાયેલો છે. આ વિભાગો ‘પ્લેટ’ તરીકે ઓળખાય છે. પૃથ્વીના નીચલા સ્તરમાં થતી વિવિધ હલચલોને કારણે આ બધી પ્લેટ અત્યંત ધીમી ગતિએ સરકે છે અને એકબીજાથી દૂર જાય છે.
આશરે 18.5
કરોડ વર્ષ પહેલાં એક તબક્કો એવો આવ્યો, જ્યારે પ્લેટોની ધીમી પણ મક્કમ ગતિને લીધે પૃથ્વીની સળંગ જમીની સપાટીના ટુકડા થવા લાગ્યા અને એ ટુકડા એકબીજાથી અલગ દિશામાં આગળ વધ્યા. કલ્પના કરોઃ એક ટાપુને જુદી જુદી દિશામાં ધીમી ગતિ કરતાં સાત જહાજો સાથે દોરડે બાંધી દીધો હોય તો શું થાય? શરૂઆતમાં એ ટાપુ ચોતરફથી આવતા દબાણની ઝીંક ઝીલે, પરંતુ જહાજોનું દબાણ સતત ચાલુ રહે, એટલે એ ટાપુ બટકે અને તેના ટુકડા થાય. કંઇક એવું જ
પૃથ્વીના જમીની ટુકડાનું થયું.
ચોકલેટનો બાર આખો અને સળંગ હોવા છતાં, તે આંકા ધરાવતા ટુકડામાં વહેંચાયેલો હોય છે. તેને હાથથી દબાણ આપીએ ત્યારે સૌથી પહેલાં તે આંકામાંથી બટકે છે ને ક્યારેક આડોઅવળો પણ તૂટે છે. પૃથ્વીની જમીની સપાટી અને દરિયાઈ સપાટી પણ આવા સાત મુખ્ય અને બીજા નાના, બટકવાપાત્ર આંકામાં વહેંચાયેલી છે. એ આંકા સંબંધિત પ્લેટની સરહદ સૂચવે છે. પ્લેટોની ધીમી છતાં સતત ગતિથી પૃથ્વીની જમીની સપાટી ચોકલેટબારની જેમ, આંકામાંથી બટકવા લાગી. ફરક એટલો કે એ
આંકા ચોકલેટબાર પર હોય એવા સુરેખ નહીં, પણ વાંકાચૂકા-આડાઅવળા હતા.
તેમની બટકામણીથી પૃથ્વીની ભૂમિના સાત મોટા ટુકડા (ખંડ) પડ્યા અને સમય જતાં આજનો નકશો અસ્તિત્ત્વમાં આવ્યો.
કરોડો વર્ષ ચાલેલી આ
પ્રક્રિયા દરમિયાન સાત મોટા ખંડની સાથોસાથ કેટલાક નાનામોટા ટુકડા પણ અલગ પડ્યા હતા, જે વખત જતાં જમીની સપાટી પરથી અદૃશ્ય બન્યા. આશરે
6 કરોડથી 8.5 કરોડ વર્ષ પહેલાંના અરસામાં ગોંદવાનામાંથી એવો એક (સાત ખંડ સિવાયનો) વિશાળ ટુકડો છૂટો પડ્યો અને તેણે જળસમાધિ લીધી. એ ટુકડો એટલે જ
ઝીલેન્ડિઆ. હાલમાં તેને ઓસ્ટ્રેલયા ખંડનો હિસ્સો ગણવામાં આવે છે, પણ તેને અલગ ખંડનો દરજ્જો આપવા માગ કરવામાં આવી છે.
આ ટુકડાને ઝીલેન્ડિઆ તરીકેની અલગ ઓળખ 1995માં એક અમેરિકન વિજ્ઞાનીએ આપી હતી. ન્યુઝીલેન્ડના ઉત્તરી અને દક્ષિણી ટાપુઓ દરિયામાં ગરક થયેલા ઝીલેન્ડિઆના સૌથી ઊંચા પર્વતી વિસ્તારો છે. ઉપરાંત, ન્યૂ કેલેડોનિઆ સહિતના બીજા કેટલાક નાના ટાપુઓ પણ બહારથી ભલે એકબીજા કરતાં અલગ દેખાતા હોય, પણ દરિયાઈ સપાટીની નીચે તે ઝીલેન્ડિઆના જ ભાગ છે. તેંના વિશે GSA Todayમાં પ્રગટ થયેલો તાજો અભ્યાસ ન્યૂઝીલેન્ડના ત્રણ સહિત કુલ પાંચ વિજ્ઞાનીઓના સંશોધનનું પરિણામ છે. તેમણે ચોખવટ કરી છે કે ન્યુઝીલેન્ડના ટાપુઓની નીચે રહેલા ભૂભાગને ખંડનો દરજ્જો આપવાની માગણી ન્યૂઝીલેન્ડના ગૌરવનો મામલો નથી, પણ પૃથ્વીની ભૂગોળ અને ખંડોની સર્જનપ્રક્રિયા સમજવામાં તે ઉપયોગી નીવડી શકે છે.
ન્યુઝીલેન્ડ અને આસપાસના ટાપુઓના તળીયે પથરાઈને પડેલા ઝીલેન્ડિઆની ચર્ચા ઠીક ઠીક સમયથી થાય છે. તેની સરખામણીમાં મોરિશિઆની ભાળ થોડા સમય પહેલાં જ મળી. હિંદ મહાસાગરમાં મોરિશિયસ ટાપુઓ નીચે ખંડોના સર્જન વખતનો છૂટો પડેલો એકાદ પોપડો સંતાયેલો હોવાનો સંશોધન અહેવાલ વિખ્યાત વિજ્ઞાન સામયિક 'નેચર'ના જાન્યુઆરી
31,2017ના અંકમાં પ્રગટ થયો. તેનો ટૂંકસાર એ
હતો કે હિંદ મહાસાગરમાં આવેલા ટચુકડા ટાપુ-દેશ મોરેશિયસની નીચે કોન્ટીનેન્ટલ ક્રસ્ટનો ટુકડો ધરબાયેલો છે. તેનો વિસ્તાર કેટલો છે એ નક્કી થઈ શક્યું નથી, પણ તેમાં રહેલા જ્વાળામુખીમાંથી સતત લાવા નીકળવાના કારણે અને એ
લાવા ઠરવાના કારણે, ઉપર મોરેશિયસ ટાપુઓ બની ગયા અને તેની નીચે ગોંદવાનાના હિસ્સા જેવા ભૂભાગ મોરિશિઆનું અસ્તિત્ત્વ ઢંકાઈ ગયું.
અભ્યાસલેખ પ્રમાણે, ૯૦ લાખ વર્ષ પહેલાં મોરિશિઆની ઉપર લાવા ઠરવાનું શરૂ થયું. પછી ત્યાં ટાપુ બન્યા અને ઝાડપાન ધરાવતી સૃષ્ટિ પાંગરી. પરંતુ અભ્યાસીઓએ મોરેશિયિસમાં પાંચ જુદાં જુદાં ઠેકાણેથી લીધેલાં સેમ્પલની ઝીણવટભરી તપાસમાં ઝિર્કોન ધાતુના અંશ મળી આવ્યા. આવરદાની માહિતી મેળવવામાં ઝિર્કોન અત્યંત ઉપયોગી પુરવાર થાય છે. તેમના વિશ્લેષણ થકી ખબર પડી કે એ
ઝિર્કોન તો કરોડો વર્ષ જૂના છે. મતલબ, તે મોરિશિઆનો હિસ્સો હશે અને તેમાંથી જ્વાળામુખીના લાવા સ્વરૂપે તે નવા સર્જાયેલા મોરેશિયસનો હિસ્સો બન્યા. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, આશરે ૧૨ કરોડ વર્ષ પહેલાં અખંડ ગોંદવાનામાંથી ભારતનો હિસ્સો છૂટો પડ્યો હશે ત્યારે ભારત અને ગોંદવાના વચ્ચેનો કેટલોક ભાગ બટકાઈને દરિયામાં ગયો હશે.
માંડ બે હજાર ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા મોરેશિયસની નીચે કંઇક ગરબડ છે, એવું વિજ્ઞાનીઓને ઘણા વર્ષથી લાગતું હતું. કારણ કે પૃથ્વી પર જુદાં જુદાં સ્થળોએ ગુરુત્વાકર્ષણમાં વધઘટ જોવા મળે છે. તેનું કારણ છેઃ જમીની પોપડાનો જથ્થો અને તેની ઘનતા. જ્યાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં પોપડો જામ્યો હોય એવા હિસ્સા માસ કોન્સન્ટ્રેશન (માસકોન) તરીકે ઓળખાય છે. મોરેશિયસમાં ગુરુત્વાકર્ષણનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે હોવાથી તેની નીચે પણ આવો જથ્થો હોવાની અને એ
જથ્થો ભૂતકાળમાં ખોવાયેલો ગોંદવાનાનો ટુકડો હોવાની સંભાવના સંશોધક લુઇસ અેશ્વલે રજુ કરી હતી. ઝિર્કોનના અંશોની ઉંમર પરથી તેમની થિયરીને સમર્થન મળ્યું છે.
મોરિશિઆ અને ઝીલેન્ડિઆ એવા ખંડ નથી કે જ્યાં જઈને નવાં સાહસ ખેડી શકાય, પણ તેમની શોધ થકી પૃથ્વીના ભૂતકાળ અને ગોંદવાનાના વિસર્જન-ખંડોના સર્જન વિશેની સમજમાં ઘણો ઉમેરો થાય એમ છે. એ દૃષ્ટિએ સંશોધકો માટે આ
બન્ને ખંડોની શોધ પણ ઓછી રોમાંચક નથી.
નોંધઃ મૂળ લેખમાં મોરિશિઆને બદલે સરતચૂકથી મોરિશિઆના લખાયું હતું, તે અહીં સુધાર્યું છે. સરતચૂક બદલ દિલગીરી.
Labels:
science/વિજ્ઞાન
Subscribe to:
Posts (Atom)
















