Friday, November 13, 2009
ગૂગલનું ‘ગૂગલી’ ગુજરાતી
ગૂગલ જેવી ખ્યાતનામ કંપનીએ ગુજરાતીમાં વિવિધ સેવાઓ આપવાનું શરૂ કર્યું, ત્યારે આનંદની સાથોસાથ થોડો ફડકો પણ હતો. અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય બ્રાન્ડ પ્રાદેશિક ભાષાઓમાં આવે, ત્યારે ભાષાનો તે જબરો કબાડો કરે છે. જેમ કે, કોઇ ઈંગ્લીશ એડ કેમ્પેઇન ગુજરાતી ભાષામાં રીલીઝ થાય, ત્યારે તેની પ્રીમિયમ બ્રાન્ડનાં કપડાં ઉતરી જાય એવી રેઢિયાળ ગુજરાતી ભાષા જાહેરખબરમાં મૂકાય છે. (હિમાંશુ કીકાણી જેવા કોપીરાઇટર અપવાદ!) આવી જાહેરખબરો તમારા લમણે પણ અથડાઇ હશે. યાદ આવે તો લખી મોકલશો.
કંપનીઓના સદનસીબે ગુજરાતીઓ ભાષા બાબતે બહુ ટચી નથી. એટલે તેમનું ગાડું નભી જાય છે. આટલી ભૂમિકા સાથે વાત ‘ગૂગલ’ની.
તેની ‘જી-મેઇલ’ સાઇટ પરનું ગુજરાતી વાંચીને ઘણા સમયથી રમૂજ થતી હતી. છેવટે આજે થયું કે તેનો મોક્ષ કરી જ નાખવો જોઇએ.
Gmail ની રચના એ ખયાલને આધારે કરવામાં આવેલી છે કે, ઇમેઇલ વધુ અંતઃપ્રજ્ઞાવાળા, પ્રભાવી અને ઉપયોગી હોઈ શકે છે. અને સાથેસાથે મજેદાર પણ હોઈ શકે છે. તેમ છતાં, Gmail માં:
આ અંતઃપ્રજ્ઞા એટલે શું, કોઇ કહેશે? (અંગ્રેજી સાઇટ પરનો શબ્દ છેઃ ઇન્ટ્યુટીવ. )
અંગ્રેજીમાં લખે છેઃ આફ્ટરઓલ, જીમેઇલ હેઝ...
સાવ વિરોધાભાસી એવું ગુજરાતી થયું છેઃ તેમ છતાં, જીમેઇલમાં...
ઝડપી શોધો
તે ક્યારે મોકલ્યો હતો કે પ્રાપ્ત થયો હતો તે લક્ષ્યમાં લીધા વિના, તમે ઇચ્છતા હોવ તે ચોક્ક્સ સંદેશ શોધવા Google શોધનો ઉપયોગ કરો. :-)))))
‘લોટ્સ ઓફ સ્પેસ’નું ગુજરાતી છેઃ ઘણી બધી જગ્યા અને
‘ઓવર 7390.727254 ’નું ગુજરાતી છે વધુ 7390.727254 !
અને આ નમૂનો ગૂગલ સર્ચના ગુજરાતીનો
તમને વધુ સુસંગત પરિણામ દેખાડવા,અમે પહેલાંથી જ પ્રદર્શિત 12 જેવી કેટલીક સમાન એન્ટ્રિ કાઢી નાખી છે. જો તમને ઇચ્છા હોય, તો તમે કાઢી નાખેલા શોધ પરિણામ વળે ફરી શોધ કરી શકો છો
કવિ આ વાક્ય ‘વળે’ (એટલે કે વડે) શું કહેવા માગે છે, તે સમજવા કેટલું વળવું પડે છે!
Thursday, November 12, 2009
શબ્દાર્થપ્રકાશ # 11
એમના ગયાના સમાચાર આવ્યા અને પ્રભાષ જોશી સાથેની સૂચિત સ્નેહસંગીતિ હૃદયમાં જ લય પામી ગઇ. (દિ.ભા., ૭-૧૧-૦૯)
સર્વજનવિહારીઃ સમાજના તમામ વર્ગના લોકો સાથે સહજતાથી હળનાર-મળનાર
વિદ્યાવિલાસવ્યાસંગીઃ વિદ્યાપ્રવૃત્તિઓને બોચિયા જેવી શુષ્કતાથી નહીં, પણ રસિકતાથી સેવનાર.
ફક્કડ, સર્વજનવિહારી, વિદ્યાવિલાસવ્યાસંગી પણ છતાં એકલા, અલગારી. (પ્રભાષ જોશી વિશે, (દિ.ભા., ૭-૧૧-૦૯)
કુશાંદેઃ આરામદાયક (પ્રકાશભાઇના કહેવા પ્રમાણે ‘કુશાંદે’ યુરોપીયન શબ્દપ્રયોગ છે.)
(કૈં નહીં તો છેવટે રાજ્યસભની કુશાંદે બેઠકમાં) હોઇ શકતા હતા. (દિ.ભા., ૭-૧૧-૦૯)
અગ્નિદિવ્યઃ સચ્ચાઇની તાવણી કરતો અગ્નિ
એ અને ‘જનસત્તા’ બેઉ અગ્નિદિવ્યમાંથી બહાર આવ્યાં. (દિ.ભા., ૭-૧૧-૦૯)
નવમૂલ્યનઃ (અવમૂલ્યનની તરાહ પર) નવેસરથી મૂલ્યાંકન
એમના નવમૂલ્યનનો એક મોકો આવી મળે છે. (દિ.ભા., ૩૧-૧૦-૦૯)
પૌગંડઃ મુગ્ધ
એક પ્રજા તરીકે આપણે પુખ્ત થવું છે કે પછી પૌગંડ (એડોલેસન્ટ)ના પૌગંડ જ રહેવું છે...(દિ.ભા., ૩૧-૧૦-૦૯)
હારણઃ ડીફીડન્ટ
ભાજપ લગભગ દિશાશૂન્ય અને હારણ મનોદશામાં માલૂમ પડે છે. (દિ.ભા., ૨૪-૧૦-૦૯)
પ્રામુખ્યઃ મહત્ત્વ
જો આપણને ‘ગવર્નન્સ’નું પ્રામુખ્ય વસ્યું હોય તો...(દિ.ભા., ૨૪-૧૦-૦૯)
તાંબુલવાહિનીઃ રાણી કે યુવરાણીની સાથે ફરતી તેની અનુચરી...
તો પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્વરૂપ ક્યાં ગયું? તે મરાઠી માણુસ અને રાજકીય તકવાદની તાંબુલવાહિની માત્ર બની રહ્યું એમ જ ને.(દિ.ભા., ૨૪-૧૦-૦૯)
ભીતભ્રાન્તઃ ભયભીત કરનારી ભ્રમણાઓથી ગ્રસ્ત
...કંઇક એવી ભીતભ્રાન્ત અને આક્રાન્ત એટલી જ આક્રમક વિચારરૂખ શૌરી અને બીજાઓમાં વખતોવખત દેખા દેતી રહે છે. (દિ.ભા., ૧૭-૧૦-૦૯)
રાજ્યકૈવલ્યવાદ/બજારકૈવલ્યવાદઃ (અનુક્રમે) ફક્ત રાજ્ય કે બજારનું જ હિત સાધતો અને તાકતો વાદ
એ વંચિત છે એમ કહેવું કદાચ અપૂરતું છે. કેમ કે એને વંચિત કરાયેલ છે, વંચિત રખાયેલ છે. કોઇ વાર રાજ્યકૈવલ્યવાદના છેડેથી તો આજકાલ વળી બજારકૈવલ્યવાદના છેડેથી... (દિ.ભા., ૧૦-૧૦-૦૯)
ર્દૈત્યકાય ઇમારતવાદઃ મોટી મોટી ઇમારતો બનાવવાની રાજકીય ઘેલછા
ક્યાં છે એ નવું રાજકારણ, જેના કેન્દ્રમાં વંચિત હોય? જો એ માયાવતીના દૈત્યકાય ઇમારતવાદમાં નથી તો...(દિ.ભા., ૧૦-૧૦-૦૯)
દેદાકૂટઃ પ્રકાશભાઇના જણાવ્યા પ્રમાણે, દેદો કૂટવો એટલે કોઇ પ્રસંગે અવાજ ઉઠાવવો એ મતલબના શબ્દપ્રયોગ પરથી. (‘ભગવદ્ગોમંડળ’ પ્રમાણે ‘દેદો’ એટલે દિવાળી પર થાપેલું પહેલું છાણું)
‘કેપિટાલિઝમ ઇઝ ડેડ’ની દેદાકૂટ તો કૈં આ અપેક્ષિત કડાકૂટનો અવેજ નથી. (દિ.ભા., ૧૦-૧૦-૦૯)
સોક્રેટિક બગાઇઃ સોક્રેટિસની જેમ નાગરિક ચિંતાથી રાજકારણીઓનું ‘લોહી પીનારા’- તેમને જંપીને જીવવા ન દેનારા વ્યાપક અર્થમાં રાજકારણતી કદાપિ પરહેજ નહીં કરનાર આ બેઉ (જયપ્રકાશ અને લોહિયા)...નાગરિકને છેડેથી રાજને સારૂ સોક્રેટિક બગાઇ બની રહ્યા.
Wednesday, November 11, 2009
સ્વાઇન ફ્લુમાંથી સાજા થયેલા મુખ્ય મંત્રીને પત્ર
ગુજરાત રાજ્યની સાડા પાંચ કરોડ (માઇનસ અમુક કરોડ) જનતાના લાડીલા મુખ્ય મંત્રીશ્રી,
નમસ્તે.
સાદા નમસ્તે, હોં. પેલા ‘નમસ્તે સદા વત્સલે..’વાળા નહીં.
આજકાલ બીમારીના બહુ વાવર છે. ‘ડોક્ટર’ મોહન ભાગવતે ભાજપને કેન્સરનું નિદાન કર્યું અને એ અરસામાં તમને સ્વાઇન ફ્લુ થયાના સમાચાર સાંભળ્યા એટલે ચિંતા થઇ. ભાજપવિરોધી એટલે કે હિંદુવિરોધી એટલે કે દેશદ્રોહીઓનું આ કાવતરૂં નથી ને? જેની ટીકા કચરાટોપલીમાં નાખીને વખાણ મેડલની માફક લટકાવવામાં આવે છે એ ઈંગ્લીશ મીડિયાનાં કરતૂત તો નથી ને? એવી શંકાકુશંકાઓ મનમાં જાગી.
શંકાની જ વાત નીકળી છે તો તમને ખ્યાલ હશેઃ તમને ખરેખર સ્વાઇન ફ્લુ થયો છે, એ બાબતે તમારા ઘણા પ્રશંસકો અને ટીકાકારોના મનમાં શંકા હતી. તમે સ્વાઇન ફ્લુમાંથી બહાર આવી ગયા, પણ ઘણા લોકો એ શંકામાંથી બહાર આવી શક્યા નથી. તમારા પ્રશંસકો કહે છે,‘જોયું? એકલા અમેરિકાને નડનારો બિન લાદેન શી ચીજ છે? આખી દુનિયાને નડી જનારા સ્વાઇન ફ્લુને સાહેબે કેવો પોતાની સેવામાં લગાડી દીધો!’ છેલ્લાં સાત-આઠ વર્ષમાં તમારી અભિનયપ્રતિભાથી અંજાઇ ચૂકેલા ટીકાકારો ઇર્ષ્યાથી કહે છે કે ‘આ તો બધું નાટક છે’. તમારા લોહીના સેમ્પલનો ટેસ્ટ ‘રમેશ’ નામથી થયો, એ જાણીને કવિ રમેશ પારેખના ચાહકો એક શેર યાદ કરે છેઃ ‘કેટલી કાચી ઊંમરમાં જ્ઞાન આ પામ્યા ‘રમેશ’ /દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ.’
સૌથી વઘુ મનોરંજન પૂરૂં પાડનાર કોઇ હોય તો એ તમારા ‘તટસ્થ ભક્તો’નો સમુદાય. એ લોકો કહી શકે છે, ‘સાહેબને સ્વાઇન ફ્લુ એટલે કે સુવ્વર ફ્લુ થયો એટલે સેક્યુલરિસ્ટોની જીભ પર કેવાં તાળાં લાગી ગયાં? હમણાં ‘મેડ કાઉ ડીસીઝ’ થયો હોત તો એ લોકો ગાયો અને હિંદુઓ પર માછલાં ધોવા બેસી જાત! પણ કોઇ સેક્યુલરિસ્ટની મજાલ છે કે સુવ્વરની ટીકા કરે? ગોબરૂં સેક્યુલરિઝમ સાડા પાંચ કરોડ વાર મુર્દાબાદ. અમારી તટસ્થ ભક્તિ ઝિંદાબાદ. મહાત્મા ગાંધી ઝિંદાબાદ. મુખ્ય મંત્રી મોદી ઝિંદાબાદ.’
આપણી સંસ્કૃતિમાં બીમારની ખબર કાઢવા જવાનો અને એ રીતે તેના દુઃખમાં સહભાગી બનવાનો રિવાજ છે. બીમારનું દુઃખ હળવું કરવાની સૌથી પ્રચલિત પદ્ધતિ છેઃ એ કેવી રીતે બીમાર પડ્યા તે પૂછવું. દા.ત. તમને પૂછી શકાય કે ‘અરર, કેમ કરતાં થયું? અચાનક જ? હજુ અઠવાડિયા પહેલાં તો તમને રશિયામાં હરતાફરતા જોયા હતા! એ વખતે તમારા મોં પરથી જરાય લાગતું ન હતું કે તમને સ્વાઇન ફ્લુ થશે. ખરેખર, વાતાવરણ બહુ સાચવવા જેવું છે. આજકાલ ડબલ સીઝન છે. રાતે ઠંડી ને દિવસે ગરમી લાગે છે.’
તમને જો કે સવાલો ગમતા નથી એવી તમારી છાપ છે. એટલે તમારા પક્ષના કે વિપક્ષના સાથીદારો ‘કેમ કરતાં થયું?’ એવો વ્યવહારિક સવાલ પણ નહીં પૂછી શકે. વ્યવહારિક અને બિનવ્યવહારિક બધા સવાલો નાગરિકોએ જ પૂછવાની ટેવ પાડવી પડશે.
તમારા કિસ્સામાં ખબર નથી, બાકી બીમાર માણસોની સૌથી મોટી તકલીફ એ હોય છે કે ‘કેમ કરતાં થયું?’ એવા ટૂંકા સવાલનો જવાબ એ અઢાર અઘ્યાયમાં આપે છે. એકતા કપૂરના એપિસોડ જેવો એમનો જવાબ શરૂ થાય, એટલે ખબર જોવા આવનારની તબિયત બગડવા લાગે છે. ઘણા લોકોને ‘જામ-એ-સેહત’ને બદલે ‘જામ-એ-બીમારી’ના ધુંટડા ભરવામાં એટલી ‘કીક’ આવે છે કે બીમારી મટી જાય છે, પણ એની કથાઓ મટતી નથી. ‘હજારો વર્ષ ચાલે એટલી બીમારી કથાઓ’ વારેતહેવારે પુનઃપ્રસારિત થતી રહે છે.
બીમારીની ખરી સાર્થકતા તેમાંથી પેદા થતા મહત્ત્વમાં છે. પરિવારનો ગમે તેટલો અણમાનીતો સભ્ય પણ બીમાર પડે એટલે તેનો ભાવ આવી જાય છે. તેની ‘લાઇન’ સીધી છે કે નહીં એ વિશે હંમેશાં શંકા અને ચિંતા સેવતાં માતાપિતા, સહેજ છણકો કરીને પણ ‘દવા લેજે બરાબર ટાઇમસર અને હમણાં રખડીશ નહીં. ક્યારેક અમારે કહ્યું પણ સાંભળતો જા.’ એટલું કહ્યા વિના રહી શકતાં નથી.
સ્વજનો સેવાની સાથે સલાહ આપતા હોવાથી તે પાણીની સાથે અપાતી ગોળી જેવું કામ કરે છે, પણ ખબર જોવા આવનારા પાણી વગરની કેપ્સૂલ જેવી કોરી સલાહો આપ્યા કરે છે. એ ગળે ઉતારી શકાતી નથી ને કચરાટોપલીમાં ફેંકી શકાતી નથી. કેટલાક અનુભવીઓને આશંકા છે કે ખબર જોવા આવનારાની સલાહોમાંથી બચી શકાય એ માટે જ તમે સ્વાઇન ફ્લુ જેવા, એકાંત માગી લેતા રોગ પર પસંદગી ઉતારી. હા, ‘પસંદગી ઉતારી’- કારણ કે તમારા પ્રશંસકો માને છે કે ગુજરાતમાં તમારી ઇચ્છા- અને તમારાં હોર્ડિંગ- વિના પાંદડું પણ હાલતું નથી. ક્યારેક બોમ્બ ફૂટી જાય, પણ એવું તો ક્યાં નથી થતું?
રૂબરૂ તમારી ખબર કાઢવા ન આવી શકેલા લોકોએ પાઠ અને યજ્ઞો કરાવીને સંતોષ માન્યો છે. યજ્ઞો સ્થાનિક ધોરણે હતા એટલે પ્રજાને બહુ રાહત રહી હતી. કારણ કે એસ.ટી.ની એક પણ બસ ચાલુ રૂટ પરથી ખસેડીને યજ્ઞના સ્થળે દોડાવવી ન પડી.
‘સાહેબના આરોગ્ય માટે સુંદરકાંડના પાઠ રાખ્યા છે’ એવું પહેલી વાર એક કાર્યકરે કહ્યું ત્યારે બીજો કાર્યકર ઉત્સાહથી બોલી ઉઠ્યો હતો,‘શું વાત છે? ગોધરાકાંડના પાઠ રાખ્યા છે? જોરદાર આઇડીયા છે.’ પણ પહેલા કાર્યકરે તરત આંખો કાઢીને તેનું મોં બંધ કરી દીઘું અને કહ્યું,‘મનમાં હોય એ બઘું બોલવાની શી જરૂર છે? આવું ને આવું કરશો તો આખી જિંદગી કાર્યકર જ રહી જશો અને તમારા માટે ગરૂડપુરાણ સિવાય બીજા કોઇ પાઠ નહીં થાય.’
બીમારી દરમિયાન તમારા એકાંતવાસ વિશે જાણીને ઘણાને ચિંતા થતી હતી. કોઇ ખબર જોવા ન આવે તો સમય શી રીતે જાય? એ વિચારે તમારા ઘણા પ્રશંસકોનો જીવ કચવાતો હતો. ‘નવરૂં મગજ શયતાનનું કારખાનું છે’ એ કહેણી યાદ કરીને પણ ઘણા લોકો ચિંતા કરતા હતા.
અમારા એક પરિચિત કાર્યકરને સ્વાઇન ફ્લુ થયો ત્યારે ફ્લુને તો એ જીરવી ગયા, પણ એકાંતમાં રહેવાનું એમને આકરૂં લાગતું હતું. તેમને ફોન પર એકાદ રાજકીય વડીલે સમજાવ્યા કે ‘તમારી અને સાહેબની એક જ બીમારીને લીધે તમારો વટ પડી જશે. વિધાનસભાની ટિકીટની પણ તૈયારી કરવા માંડજો. દિલ્હી હાઇકમાન્ડ નહીં તો ગાંધીનગર ‘આઇ’કમાન્ડ સ્વાઇન ફ્લુમાંથી ઉભા થયેલાને પહેલી પસંદગી આપે એવી શક્યતા છે.’
સત્તાવાર અહેવાલમાં એવું કહેવામાં આવ્યું કે એકાંતમાં તમે બીજા દેશોના વિકાસની ડીવીડી જોઇને સમય પસાર કરો છો. હશે ભાઇ. ભવિષ્યમાં બીમારી સિવાયના કોઇ કારણસર પણ સમય પસાર કરવાનો થાય ત્યારે તમે બીજા દેશોને બદલે ગુજરાતના જ વિકાસની- ફ્લાયઓવર, બીઆરટીએસ, કિલ્લેબંધ કાંકરીયા ઉપરાંતના વાસ્તવિક વિકાસની- ડીવીડી જોઇને સમય પસાર કરી શકો એવી હાર્દિક શુભેચ્છા.
લિ.સાડા પાંચ કરોડમાંનો એક ગુજરાતી
Tuesday, November 10, 2009
માથા પરથી વહેતાં માઓવાદનાં પાણી
‘બધા મુસ્લિમો આતંકવાદી નથી હોતા, પણ બધા આતંકવાદીઓ મુસ્લિમ હોય છે’ એવાં ચબરાકીયાં સૂત્રો સાથે જોરશોરથી ભારતમાં ત્રાસવાદની જાહેર ચર્ચાઓ થતી હતી, ત્યારે માઓવાદનો આતંક ભારતમાં ચૂપચાપ અને ચિંતાજનક ગતિએ પ્રસરી રહ્યો હતો.
‘ચૂપચાપ’ તો ખરેખર ન કહેવાય, કારણ કે માઓવાદી હિંસાનો સિલસિલો કોઇને પણ સંભળાય એવા ધડાકાભડાકા સાથે વણથંભ્યો જારી હતો- એ જેલમાંથી ધોળા દિવસે કેદીઓ ઉઠાવી જવાની ઘટના હોય કે સુરક્ષાદળો પર થતા ઘાતકી હુમલાના બનાવ. રાજકીય પક્ષો ત્યારે સાંસદોના સરવાળા-બાદબાકીમાં અને ચૂંટણીઓ જીતવામાં વ્યસ્ત હતા. કેટલાક નેતાઓ બોમ્બધડાકાના પગલે સર્જાતી કોમી તંગદીલી સર્જાય છે કે નહીં એ તપાસવામાં અને શક્ય હોય તો તેની રોકડી કરવાની વેતરણમાં હતાં.
એ સમયગાળા દરમિયાન શું થયું? તેનો જવાબ કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમે આપેલા આંકડામાંથી મળે છેઃ ગયા મહિને ચિદમ્બરમે આપેલી સત્તાવાર માહિતી પ્રમાણે, નક્સલવાદી-માઓવાદી હિંસા ભારતનાં ૨૦ રાજ્યોના ૨૨૩ જિલ્લાનાં ૨૦૦૦થી પણ વઘુ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ફેલાઇ ચૂકી છે. ૨૦૦૮માં નક્સલવાદી હિંસાના ૧૫૯૧ બનાવો નોંધાયા હતા, જેમાં ૭૨૧ના જાન ગયા હતા. આ વર્ષે ઓગસ્ટ સુધીમાં જાનહાનિનો આંકડો ૫૮૦ સુધી પહોંચી ગયો હતો. ૨૦૦૮માં નક્સલવાદી-માઓવાદી હિંસામાં ૨૩૧ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા, જ્યારે આ વર્ષે ૨૫૦થી પણ વઘુ સુરક્ષાકર્મીઓ નક્સલવાદી-માઓવાદી હિંસાનો ભોગ બની ચૂક્યા છે. આ તો સત્તાવાર આંકડા છે. સચ્ચાઇ એના કરતાં ઘણી વધારે ખોફનાક હશે.
વાદના નામે ત્રાસવાદ
ડાબેરી રાજકારણના લોહિયાળ સ્વરૂપ જેવા નક્સલવાદ-માઓવાદનો આરંભ ૧૯૬૭માં પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામે થયો. એ ગામના નામ પરથી જમીનદારો સામે શ્રમિકોનો સશસ્ત્ર વિદ્રોહ ‘નક્સલ ચળવળ’ તરીકે ઓળખાયો અને સમય જતાં તે નક્સલવાદ બન્યો.
નક્સલબારી આંદોલનના નેતા ચારૂ મઝુમદારે ૧૯૬૯માં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓઇસ્ટ-લેનિનિસ્ટ)- ટૂંકમાં સીપીઆઇ (એમ-એલ)- ની સ્થાપના કરી. તેમાંથી અનેક પેટાસંગઠનો રચાયાં. આ પક્ષની સમાંતરે માઓઇસ્ટ કમ્યુનિસ્ટ સેન્ટર (એમસીસી)નો પણ આરંભ થયો, જેમાં સીપીઆઇ (એમ-એલ)થી અસંતુષ્ટ એવા નક્સલવાદીઓ જોડાયા. ૧૯૮૦માં આંધ્ર પ્રદેશમાં પીપલ્સ વોર ગુ્રપ (પીડબલ્યુજી) અસ્તિત્ત્વમાં આવ્યું. વેરવિખેર સ્વરૂપે કામ કરતાં આ સંગઠનો ૨૦૦૪માં એક થઇ ગયાં અને તેમાંથી સીપીઆઇ (એમ) તરીકે ઓળખાતું માઓવાદી હિંસક સંગઠન અસ્તિત્ત્વમાં આવ્યું, જે અત્યારે સરકારોની ઊંઘ હરામ કરી રહ્યું છે. એ દૃષ્ટિએ જોતાં નક્સલવાદ અને માઓવાદ વચ્ચે હવે કશો તાત્ત્વિક કે વાસ્તવિક ફરક રહ્યો નથી. બન્ને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વાપરી શકાય છે
માઓવાદનો સૌથી વધારે ઉપાડો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં છે. હકીકતે, ભારતના નકશામાં આ રાજ્યોનો આખો પટ્ટો બિનસત્તાવાર રીતે ‘રેડ બેલ્ટ’ તરીકે ઓળખાવા લાગ્યો છે.
નક્સલવાદી આંદોલનનો આરંભ શોષણ અને ગરીબી સામેના વિદ્રોહમાંથી થયો, પણ ત્યાર પછી સમય અને સંજોગો ઘણા બદલાયાં છે. હવેનો માઓવાદ સામાજિક-આર્થિક પ્રશ્ન પણ છે અને કાયદો-વ્યવસ્થાનો સવાલ પણ! માઓવાદનો ખતરો વર્ણવવા માટે ‘કાયદો-વ્યવસ્થા’ જેવા શબ્દો ટાંચા પડે. વાસ્તવમાં તે સમગ્ર દેશના માથે તોળાઇ રહેલો આંતરિક સુરક્ષાનો ગંભીર પ્રશ્ન છે.
તેમ છતાં ઘણા બૌદ્ધિકો માઓવાદીઓ પ્રત્યે ઓછેવત્તે અંશે સહાનુભૂતિ ધરાવે છે. આ લાગણીના મૂળમાં ગરીબોને થયેલા અન્યાયનો અને તેમના સામાજિક-આર્થિક પછાતપણાનો અહેસાસ કારણભૂત હોય છે. એ જ અપરાધભાવ તેમને માઓવાદી હિંસાની ખોંખારીને, બિનશરતી ટીકા કરતાં રોકે છે. સિદ્ધાંતચર્ચામાં પડી જતા બૌદ્ધિકો એ વાસ્તવિકતા સ્વીકારી શકતા નથી કે માઓવાદીઓનું ઘ્યેય કોઇ કાળે ગરીબોના ઉત્કર્ષનું અને સમાનતા સ્થાપવાનું હશે, પણ હવે તેમની લડાઇ બહુ જુદી દિશામાં ફંટાઇ ચૂકી છે. તેમનો મુખ્ય રસ હવે સરકારી તંત્રને ઉથલાવીને પોતાની સમાંતર સત્તા જમાવવામાં, રૂપિયા ઉઘરાવવામાં અને ધાક જમાવવામાં રહી ગયો છે. જે ગરીબ, શોષિત સમુદાયના હિતનો વિચાર કરીને બૌદ્ધિકો માઓવાદ વિશે સહાનુભૂતિ સેવે છે, એ સમુદાયની વાસ્તવિક સ્થિતિ વિશે વિચાર કરવામાં આવતો નથી. માઓવાદીઓના ગઢ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબોની દશા સૂડી વચ્ચે સોપારી જેવી થાય છે. એક તરફ માઓવાદીઓની બંદૂક અને બીજી તરફ સાલ્વા છત્તીસગઢ સરકારના જૂડુમ કે એવાં જ બીજાં સરકારી દળોની બંદૂક. એમાં જીવનનિર્વાહની મૂળભૂત સુવિધાઓ અને ગરીમાપૂર્વક જીવન જીવવાના અધિકારની ક્યાં વાત રહી? ગોળી ન વાગે એ જ ગનીમત.
માઓવાદીઓની બોલબાલા હોય એવાં સ્થળોની પરિસ્થિતિ કેવી છે? પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ જેવાં રાજ્યોમાં માઓવાદીઓ કોઇ પણ નવા પ્રોજેક્ટ સામે વાંધા પાડે છે. વિરોધ પાછળ દેખીતું કારણ આમજનતાના હિતનું આપવામાં આવે છે, પણ અસલી ખતરો પોતાનું રજવાડું ગુમાવવાનો હોય છે. નક્સલવાદીઓની આણ ધરાવતા વિસ્તારમાં તેમનું શબ્દાર્થમાં રજવાડું ચાલે છે ઃ એ લોકો રાજ ચલાવે છે, કરવેરા ઉઘરાવે છે, ન્યાય તોળે છે અને સજા ફરમાવે છે. બદલામાં પ્રજાને શું મળે છે? માઓવાદીઓના ખોફમાંથી કામચલાઉ મુક્તિ, જે કોઇ પણ સમયે માઓવાદીઓ તરફથી કે સરકારી દળો તરફથી જીવના જોખમમાં પરિવર્તીત થઇ શકે છે. માઓવાદીઓને કારણે સંબંધિત વિસ્તારનો વિકાસ થવાનું બાજુ પર રહ્યું, તેમનો પ્રભાવ ધરાવતા ઇલાકા વઘુ ને વઘુ પાછળ ધકેલાતા જાય છે. જરાસરખી શંકાના આધારે માઓવાદીઓ આત્યંતિક પગલાં લેતાં ખચકાતા નથી.
પોતાના રજવાડામાં સરકારની ‘દખલગીરી’ દૂર કરવા માટે નક્સલવાદીઓ સ્કૂલ-દવાખાનાં અને સરકારી મકાનો જેવી જાહેર સંપત્તિ પર હુમલા કરીને ભાંગફોડ મચાવતા રહે છે. ગયા મહિને બિહારમાંથી પકડાયેલા માઓવાદી નેતા અને કૃષિ વૈજ્ઞાનિક રવિ શર્માએ આ હુમલા વાજબી ઠરાવીને કહ્યું હતું કે જ્યાં સુધી પોલીસ આ મકાનો ખાલી નહીં કરે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે. માઓવાદીઓ દ્વારા ઉઘરાવાતાં નાણાં ગરીબોને સુવિધા પૂરી પાડવામાં વપરાતાં હોવાનો દાવો તેમણે કર્યો હતો, પણ વ્યાપક માઓવાદી નેટવર્ક અને તેની ધમધમતી પ્રવૃત્તિઓ જોતાં નાણાંનો મોટો હિસ્સો ક્યાં વપરાતો હશે, એ કલ્પી શકાય એવું છે.
માઓવાદઃ સરહદ પાર
માઓવાદી કે નક્સલવાદી તરીકે ઓળખાતા સમુહમાં અનેક પ્રકારના લોકો હોઇ શકે છેઃ હિંસક હુમલાની વ્યૂહરચના નક્કી કરનાર ટોચના નેતાથી માંડીને તેમના હુકમોનું પાલન કરનાર-કરાવનાર બીજી હરોળના નેતાઓ, ભોળા-આદર્શઘેલા કાર્યકરો, બીજો વિકલ્પ ન હોવાથી મજબૂરીને કારણે માઓવાદીઓ સાથે ભળેલા સ્થાનિક લોકો, ‘સરકાર કરતાં માઓવાદીઓ સારા’ એવું વિચારનારા લોકો...
આ તમામને ‘માઓવાદી’નું લેબલ મારીને પહેલી તકે તેમનું ‘એન્કાઉન્ટર’ કરી નાખવાથી સમસ્યા ઉકેલાય એમ નથી અને એ શક્ય પણ નથી. કારણ કે પંજાબના ત્રાસવાદીઓની માફક માઓવાદીઓ એકાદ રાજ્ય પૂરતા સીમિત નથી.
સાથોસાથ, રીઢા અને કોઇના પણ ભોગે પોતાનું રજવાડું જાળવવા કૃતનિશ્ચયી માઓવાદી નેતાઓને તેમની શરતોએ વાટાઘાટો માટે નિમંત્રણ આપવાથી પણ ઝાઝો અર્થ સરે તેમ નથી. કારણ કે બંદૂક સિવાયની ભાષામાં વાતચીત કરવાની તેમની ટેવ છૂટી ગઇ છે. પોતાનું ધાર્યું થાય ત્યાં સુધી સુલેહભર્યું વલણ રાખવું અને પોતે નમવાનું આવે ત્યારે ટેબલનો ઉલાળીયો કરી દેવો એ તેમની પદ્ધતિ છે.
માઓવાદીઓની પ્રકૃતિ અને પદ્ધતિ જાણવા માટે પાડોશી દેશ નેપાળનું ઉદાહરણ હાથવગું છે. ત્યાં નાગરિકોના વિરોધ સહિત ઘણાં પરિબળોને કારણે રાજાશાહીનો અંત આવ્યા પછી માઓવાદીઓ ચૂંટણીપ્રક્રિયામાં જોડાયા અને સરકારમાં સામેલ થયા. પ્રચંડ તરીકે ઓળખાતા માઓવાદી નેતા પુષ્પકમલ દહલ વડાપ્રધાન પણ બન્યા. છતાં માઓવાદીઓને લોકશાહી ઢબે શાસન ચલાવવાનું ફાવતું નથી. પ્રચંડે વડાપ્રધાન તરીકે ક્યારનું રાજીનામું આપી દીઘું છે અને હવે માઓવાદીઓ બીજા રસ્તે સત્તા કબજે કરવાની તૈયારી કરી રહ્યા છે.
માઓવાદી ખતરાની ગંભીરતામાં વધારો કરનારું પરિબળ છેઃ ચીન સાથે માઓવાદીઓનો સંબંધ. ભારત સાથે સરહદોના મુદ્દે સતત તકરાર કરતું ચીન ભારતના માઓવાદીઓનું મદદગાર હોય એ મજબૂત સંભાવનાથી આખી સમસ્યા ફક્ત કાયદો-વ્યવસ્થાની ન રહેતાં, આંતરરાષ્ટ્રિય ત્રાસવાદની બને છે. આ બાબતમાં પાકિસ્તાન (યોગ્ય રીતે જ) ઘણું નામીચું છે, પણ સરહદપારના ત્રાસવાદમાં પાકિસ્તાનની સાથે ચીનની ગણતરી કરવામાં આવતી નથી. માઓવાદીઓના વધતા ઉપાડા પછી એ વિશે પણ નવેસરથી વિચારવાનું થાય છે.
પહેલું પગથિયું ચડવાના વાંધા
માઓવાદીઓ સાથે બે ધાગે કામ પાડવા માટે રાજકીય લાભાલાભનાં ગણિત બાજુ પર મૂકાય તે પહેલી શરત છે. પરંતુ એ પ્રાથમિક કસોટીમાં ભારતના રાજકીય પક્ષોનો દેખાવ અત્યાર લગી બહુ કંગાળ રહ્યો છે. માઓવાદીઓનો ઉપયોગ પોતાના ફાયદામાં કેમ કરી લેવો (રાષ્ટ્રને ભલે તેનાથી નુકસાન હોય) એની હરીફાઇ પાણી માથા પરથી વહી ગયા પછી પણ અટકી નથી. તેનો તાજો દાખલો રાજધાની એક્સપ્રેસના અપહરણ વખતે જોવા મળ્યો. મમતા બેનરજીએ શરૂઆતમાં ડાબેરીઓ પર અપહરણનો આરોપ મૂકી દીધો. ત્યાર પછી રહસ્ય ખૂલ્યું કે રાજધાનીનું અપહરણ કરનાર જૂથ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ સાથે નજીકનો સંબંધ ધરાવતું હતું. સિંગુર અને નંદીગ્રામના સંઘર્ષો વખતે પણ બંગાળની ડાબેરી સરકાર સામે મમતા બેનરજીને માઓવાદીઓ તરફથી કાર્યકરોનો ટેકો મળ્યો હોવાના મજબૂત આરોપ ઉભા છે.
મમતાના કટ્ટર વિરોધી અને પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પણ માઓવાદીઓનો મુકાબલો કરવામાં નબળા પુરવાર થયા છે. માઓવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કરીને કેદ પકડેલા એક અફસરને છોડાવવા માટે ભટ્ટાચાર્ય સરકારે માઓવાદીની તમામ શરતો મંજૂર રાખી. એટલું જ નહીં, પ્રસાર માઘ્યમોની હાજરીમાં બંદીઓની લેવડદેવડ થઇ ત્યારે માઓવાદીઓએ પોલીસ અફસરના ગળામાં ‘પીઓડબલ્યુ’ (પ્રીઝનર્સ ઓફ વોર- યુદ્ધકેદી)નું બોર્ડ ચીતર્યું હતું. એ શબ્દપ્રયોગ સામાન્ય રીતે બે દેશ વચ્ચેના યુદ્ધ દરમિયાન પકડાયેલા કેદીઓ માટે વપરાતો હોય છે.
યુદ્ધે ચડેલા માઓવાદીઓ સામે મોડી મોડી જાગેલી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો એકબીજા સાથે હાથ મિલાવવાને બદલે ટાંટિયા ખેંચવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી માઓવાદીઓનું રજવાડું ફૂલતુંફાલતું રહેશે.
Thursday, November 05, 2009
જગદીપ સ્માર્તની અણધારી વિદાય

ગઇ કાલે મિત્ર સંજય ભાવેનો ફોન આવ્યો,‘સુરતના ચિત્રકાર જગદીપ સ્માર્ત ગયા.’
સુરતના અને ગુજરાતના સાંસ્કૃતિક જગતમાં જગદીપભાઇનું નામ જાણીતું હતું- પહેલાં કાકા વાસુદેવ સ્માર્ત થકી અને પછી પોતાના કામના અને ઉત્સાહી સ્વભાવના બળે. પાંચેક વર્ષ પહેલાં મિત્ર બકુલભાઇ ટેલર સાથે જગદીપભાઇના ઘરે ગયો હતો. બકુલભાઇના એ જિગરી મિત્ર. બકુલભાઇ થકી જ એમની
અનેકવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી મળી.માત્ર ચિત્ર જ નહીં, નાટક, કવિતા અને બીજી તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જગદીપભાઇ ઊંડાણપૂર્વક અને ઉત્સાહભેર રસ લેતા હતા. મૃત્યુ સમયે એમની ઊંમર ફક્ત ૫૩ વર્ષ હતી. અગાઉ આઠ-નવ વર્ષ પહેલાં તેમને હૃદયરોગનો એક હુમલો આવી ચૂક્યો હતો, પણ તેમનો જીવનરસ જોતાં હજુ તો આયુષ્યની સફરમાં એ અડધે પહોંચેલા લાગતા હતા.
સુરતની નર્મદ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટી શરૂ થયા પછી તેમાં જીવ રેડીને કામ કરનારા જગદીપભાઇને તેમના વિદ્યાર્થીઓએ ભવ્ય અંજલિ આપી. ગઇ કાલે તેમનું અવસાન થયા પછી અંતિમ યાત્રા આજે સવારે હતી, પણ વિદ્યાર્થીઓ આખી રાત જગદીપભાઇના ઘરે રહ્યા. પોતાના પ્રિય ગુરૂજીને અંજલિરૂપે તેમણે ચિત્રો બનાવ્યાં અને સવારે જે ખુલ્લા વાહનમાં જગદીપભાઇનો મૃતદેહ ગોઠવાયો, એ વાહનને ચારે બાજુથી વિદ્યાર્થીઓએ દોરેલાં અંજલિચિત્રોથી શણગારવામાં આવ્યું. એક કલાકારને આનાથી મોટું માન બીજું કયું હોઇ શકે? (આ અંતિમયાત્રાની તસવીરો મળશે તો ભવિષ્યમાં બ્લોગ પર મૂકવા ધારૂં છું. )
દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે સ્ટડી ટુર પર જનારા જગદીપભાઇ આ દિવાળીએ ખજૂરાહો-સાંચી જેવાં સ્થળોએ સપરિવાર અને પચાસેક વિદ્યાર્થીઓ સાથે ગયા હતા. જગદીપભાઇનો પુત્ર રાજર્ષિ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ભણાવે છે અને દીકરી કૃષ્ણપ્રિયા એ જ ફેકલ્ટીમાં ભણે છે. તેમનાં પત્ની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરે છે.
જગદીપભાઇનાં અનેકવિધ કામોમાં એમ.એફ.હુસેનની સ્મૃતિકથાનો પણ સમાવેશ થતો હતો. (એ કામ હજુ અઘૂરૂં છે.) અગાઉ હુસેનની આત્મકથાનો જગદીપભાઇએ ગુજરાતીમાં ‘દાદાનો ડંગોરો લીધો, તેનો તો મે ઘોડો કીધો’ એ નામે કર્યો છે. જગદીપભાઇના બાળપણનો મોટો હિસ્સો વારાણસીમાં વીત્યો હોવાથી ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ તે સહજતાપૂર્વક લખી શકતા હતા. મિત્રો-દોસ્તોનો ગણેશનાં જુદાં જુદાં સ્વરૂપો દોરી આપવા માટે તે જાણીતા હતા.
તેમણે અજમાવેલાં કલાસ્વરૂપોમાં કઠપૂતળીઓનો પણ સમાવેશ થાય છે. એ વિષય પર તેમણે ચિત્રો પણ કર્યાં હતાં. સાહિત્યપ્રેમને કારણે વિનોદ મેઘાણીએ કરેલા ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોના અંગ્રેજી અનુવાદોમાં પણ જગદીપભાઇનાં ચિત્રો હતાં. જગદીપભાઇએ યોજેલા એક કલામહોત્સવમાં વાન ગોગનાં ચિત્રોના સ્લાઇડ શો માટે આવેલા વિનોદ મેઘાણી અને હિમાંશી શેલતની મુલાકાત થઇ હતી. એ બન્નેના લગ્નમાં જગદીપભાઇએ એક સાક્ષી તરીકે સહી કરી હતી.
જગદીપભાઇના આકસ્મિક મૃત્યુનો આઘાત પચાવતાં મિત્રોને ઘણો સમય લાગશે.
Tuesday, November 03, 2009
ગાંધી અને સરદાર
31 ઓક્ટોબર, સરદાર જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ સ્મારક, કરમસદમાં પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ અને વર્તમાન મંત્રી ફકીરભાઇ વાઘેલાની ઉપસ્થિતિમાં આપેલું વક્તવ્ય.
સામાન્ય સંજોગોમાં આ પ્રકારનાં મારાં વક્તવ્ય હું બ્લોગ પર મૂકતો નથી, પણ કેટલાક મિત્રોને એવી ચટપટી હતી કે હું સરકારી મંત્રીની હાજરી હોય એવા ભાજપબ્રાન્ડ સમારંભમાં શું કામ ગયો.
મારે એટલું જ કહેવાનું કે જે બોલવું હોય તે બોલવા મળે તો કોઇની હાજરીની આભડછેટ પાળવાની જરૂર હું જોતો નથી.
આપણી સ્વરાજત્રિપુટી ગાંધીજી-સરદાર-નેહરુમાંથી બે નેતાઓ ગુજરાતી હતા એ આપણું અહોભાગ્ય. કારણ કે એ બન્ને જણને આપણે માતૃભાષામાં સાંભળી ને વાંચી શક્યા. તકલીફ એ થઇ કે આપણે કાચુંપાકું વાંચી-સાંભળીને, એમના ગુજરાતી હોવાનું ગૌરવ લઇને સંતુષ્ટ થઇ ગયા. એમને સમજવાનું કામ ચાલુ જ ન થયું અથવા અધુરું રહી ગયું.
આજે સાઠેક વર્ષના ગાળા પછી ગાંધીજી અને સરદારને એકસાથે યાદ કરતાં કેવી લાગણી થાય? પત્તાં ટીચતા અને સિગરેટના ધુમાડા કાઢતા ફોજદારી વકીલ વલ્લભભાઇ મોટા ભાઇ વિઠ્ઠલભાઇના પગલે રાજકારણમાં ન આવ્યા, પણ ગાંધીજીની પછવાડે ખેંચાયા. કોઇની શેહમાં ન આવે એવા વલ્લભભાઇને આકર્ષી શકવાની ગાંધીજીની શક્તિ અત્યારે ઘણી વાર ભૂલાવી દેવાય છે. અહીં આવીને લોકલાડીલા નેતાઓ એવું પણ બોલી જાય છે કે સરદાર વિના ગાંધી અધૂરા છે.
જે ગાંધીજીને સરદારે આજીવન ગુરુ માન્યા તેમની લીટી ટૂંકી કરીને સરદારને મહાન બનાવવાના? હું પૂછું છું, સરદાર એટલા નબળા નેતા હતા કે તેમને મહાન ચિતરવા માટે ગાંધીજી અને નેહરુની લીટી નાની કરવી પડે? બિલકુલ નહીં. સરદારનું પ્રદાન પોતાના જોરે ઉભું રહી શકે એટલું નક્કર છે. તેને રાજકીય પક્ષોના તકલાદી અને તકવાદી ટેકાની જરૂર નથી.
ગાંધીજી પ્રત્યે સરદારનો આદરભાવ એટલો ઉંડો હતો કે ક્યારે વૈભવશાળી જીવન છોડીને સરદારે સાદગી અપનાવી લીધી તેનો ખ્યાલ પણ ન આવે. છોકરાંની હોસ્ટેલ ફી પાછળ સો રૂપિયા જેવી મોટી રકમ ખર્ચનારા અને ઓફિસમાં મોંઘામાં મોંઘું ફર્નિચર વસાવનારા સૂટબૂટધારી બેરિસ્ટર વલ્લભભાઇએ સહજતાથી ખાદીની ધોતી ને પહેરણ અપનાવી લીધાં. કોઇ જાતને ઢંઢેરો પીટ્યા વગર.
સાથે એ પણ ખરું કે એમનો ગાંધીટોપી પહેરેલો એક પણ ફોટો જોવા મળતો નથી. અમદાવાદ રહેવા છતાં એ કદી આશ્રમવાસી બન્યા નહીં. લોકો આ બધો બહારનો રંગ જોઇને છેતરાય- ખાસ કરીને ગુજરાતના લોકો. આખો દેશ સરદારને ગાંધીજીના અંધ અનુયાયી માનતો હતો ત્યારે ગુજરાતના ઘણા લોકો વલ્લભભાઇને ગાંધીજીના અનુયાયી જ માનતા ન હતા, એવું જુગતરામ દવેએ નોંધ્યું છે. પણ નેહરુએ 1935-36માં આત્મકથામાં લખ્યું હતું કે ગાંધીજીના આદર્શો પ્રત્યે વલ્લભભાઇ જેટલી આદરભક્તિ બીજા કોઇ સાથીની નહીં હોય. ને એવું પણ લખ્યું હતું કે એવો દાવો તો મારાથી- એટલે કે જવાહરલાલથી- પણ થાય એમ નથી.
ગાંધીજી અને સરદાર વચ્ચેનો સંબંધ ફક્ત રાજકીય ન હતો.એમની વચ્ચે ગુજરાતીમાં થતા પત્રવ્યવહારોમાં એમના સંબંધોની ઉષ્મા જોવા મળે છે. ગાંધીજીએ સરદારને એક પત્રમાં લખ્યું હતું કે તમારામાં માતાનો પ્રેમ ભર્યો છે અને એ ગુણ તમારા કાગળોમાં જ્યાંત્યાં ઝર્યા કરે છે ને એ ગુણ સર્વવ્યાપી છે.
વલ્લભભાઇ આખા દેશના સરદાર બન્યા ત્યાર પછી પણ ગાંધીજીના સિપાહી જ રહ્યા. એમાં ઉંચાનીચા દરજ્જાનો નહીં, પણ કામ કરવાની ગોઠવણનો સવાલ હતો. બારડોલી સત્યાગ્રહનો વિજય તાજો હતો ત્યારે ગાંધીજીએ એક અંગ્રેજ પત્રકારને કહ્યું હતું કે વલ્લભભાઇ તો સૈનિક છે. એ જાતને ભૂંસી નાખવામાં માને છે. એવું નથી કે એમના પોતાના વિચારો નથી. પણ એ માને છે કે મૂળભૂત બાબતોમાં સંપૂર્ણ સંમતિ હોય તો વિગતોના પ્રશ્નો ઉઠાવવાનો કોઇ અર્થ નથી.
ગાંધીજીના સંદર્ભે જાતને ભૂંસી નાખવાની વાત આવે એટલે સ્વાભાવિક રીતે જ કેટલીક અકળાવનારી યાદો તાજી થાય. ગાંધીજીના ઇશારે સરદાર ચાર-ચાર વાર કોંગ્રેસના પ્રમુખપદની હરીફાઇમાંથી ખસી ગયા. તેમાં છેલ્લો કિસ્સો સૌથી ચર્ચાયેલો અને ખરડાયેલો છે. એમાંથી કોઠી ધોઇને કાદવ કાઢવાનું કામ અત્યાર સુધી રાજકીય પક્ષોએ સરસ રીતે કર્યું છે. આપણે અસલિયતની નજીક જવાનો પ્રયાસ કરી જોઇએ.
ગાંધીજીએ સરદારને બદલે નેહરુની પસંદગી કેમ કરી એ સવાલનો જવાબ આપી શકે એવાં તમામ પાત્રો હયાત નથી. પરંતુ કેટલીક હકીકતો અને અવતરણો પરથી આપણે અનુમાનો તારવી શકીએ. એ પહેલાં આપણે એટલું સ્વીકારવું પડે કે ગાંધી-સરદાર-નેહરુ આપણા બધા કરતાં વધારે દેશભક્ત અને દેશની ચિંતા કરનારા હતા.
1946માં કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી વખતે સરદારની ઉંમર 71 વર્ષ હતી, જ્યારે નેહરુ 57 વર્ષના હતા. સરદાર ભલે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા હોય- એ વિશેષણ વળી જુદી ચર્ચાનો મુદ્દો છે. પણ સરદારની તબિયત ઘણી લથડી ચૂકી હતી. એ ગાળાની ઘણી તસવીરોમાં સરદાર વ્હીલચેરમાં બેઠેલા જોવા મળે છે.
ઉંમરમાં તફાવત એક મુદ્દો. બીજો મુદ્દો નેહરુની પ્રકૃતિનો. ગાંધીજીને બરાબર ખ્યાલ હતો કે નેહરુ ફક્ત નં.1 તરીકે કામ કરી શકે એમ છે, જ્યારે સરદાર એવી માનસિકતા ધરાવતા નથી. ગાંધીજીના શબ્દો ટાંકું છું-
જવાહરલાલ બીજું સ્થાન સ્વીકારશે નહીં. વિદેશોમાં તે સરદાર કરતાં વધારે જાણીતા હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તે ભારતને મહત્ત્વનું સ્થાન અપાવી શકશે, જ્યારે સરદાર દેશની આંતરિક બાબતોની દેખરેખ રાખશે. સરકારનો ભાર બન્ને સાથે મળીને જ ખેંચશે.
અત્યારે આત્યંતિક નેહરુભક્તિ અને આત્યંતિક નેહરુદ્વેષ વચ્ચે ચાચા નેહરુ તો જાણીતા છે, પણ સાચા નેહરુ ખોવાઇ ગયા છે. એટલે કોઇને પણ એવો સવાલ થાય કે નેહરુ બીજું સ્થાન ન સ્વીકારે તો તેમને વહેતા મૂકવા જોઇએ. પણ એ સમયે દેશવિદેશમાં નેહરુની લોકપ્રિયતા અને આદર અત્યારે કલ્પી પણ ન શકાય એટલાં મોટાં હતાં.
ગાંધીજી અને સરદાર એ બન્નેનો અભિગમ કોમી હુલ્લડો અને કોમવાદના પ્રશ્ને જુદો હતો, પણ એ ફક્ત જુદો હતો. વિરોધી નહીં. કોમી હુલ્લડો થાય ત્યારે મહાત્મા તરીકે ગાંધીજી સઘળો દોષ પોતાના માથે ઓઢીને આત્મશુદ્ધિ માટે ઉપવાસ શરૂ કરી દેતા હતા. વલ્લભભાઇ નખશીખ વહીવટકર્તા હતા. ગૃહપ્રધાન તરીકે તેમની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની હતી. સરદારના વલણ વિશે અનેક ગેરસમજણો ફેલાવવામાં આવી છે. વિરોધીઓ સરદારને બદનામ કરવા તેમને મુસ્લિમદ્વેષી ગણાવે છે અને કેટલાક પ્રેમીઓ સરદારને મુસ્લિમદ્વેષી તથા હિંદુહિતરક્ષક તરીકે ખપાવવાનો પ્રયાસ કરે છે. હકીકત શી હતી? એક જ દાખલો જોઇએ.
ભાગલાને કારણે પશ્ચિમ પંજાબ પાકિસ્તાનમાં ગયું ને પૂર્વ પંજાબ ભારતમાં રહ્યું. પાકિસ્તાનમાં શીખો અને હિંદુઓ પર થતા અત્યાચારના સમાચાર સાંભળીને પૂર્વ પંજાબમાં પણ હિંસાનો દોર ચાલ્યો. મુસ્લિમ નિરાશ્રિતોને લઇ જતી ટ્રેનો પૂર્વ પંજાબમાંથી પસાર થતી હતી. એ ટ્રેનો પર હુમલા થતા હતા. ઘણા ગામોમાં પાટા ઉખાડી નાખવામાં આવતા હતા. એ વખતે ગૃહપ્રધાન તરીકે સરદાર પટેલે શું કર્યું? ન્યૂટનનો નિયમ યાદ કર્યો? શીખોને 72 કલાક આપ્યા? ના, સરદારે હુકમ કાઢ્યો કે દિવસે ને રાત્રે પહેરો ભરવા ગામના લોકોની ચોકિયાત ટુકડી ઉભી કરવી. જે ગામના સીમાડામાં રેલવેના પાટાને નુકસાન થશે અથવા ટ્રેનો પર હુમલા થશે, એ ગામ પર સામુહિક દંડ નાખવામાં આવશે. ફક્ત હુકમ કાઢીને બેસી રહેવાને બદલે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દરેક વખતે હુમલા થાય કે તરત જ આવો દંડ નાખવો. આવા સરદારનું નામ લેવાની લાયકાત ને પાત્રતા આપણા કયા રાજકીય પક્ષમાં ને કેટલા શાસકોમાં છે?
ગાંધીજી અને સરદાર વચ્ચેનો સૌથી કમનસીબ સંબંધ ગાંધીજીની હત્યા નિમિત્તે ઉભો થયો. સરદારના કેટલાક ટીકાકારોએ ગાંધીહત્યા માટે ગૃહમંત્રી તરીકે સરદારને જવાબદાર ઠેરવ્યા. સરદાર અને ગાંધીજી વચ્ચેના સંબંધોનું ઉંડાણ જાણનાર કોઇ પણ વ્યક્તિ સ્વપ્નમાં પણ વિચારી ન શકે એવો આરોપ હતો. તેનો આડકતરો પણ જડબાતોડ જવાબ ઉમાશંકર જોશીએ સંસ્કૃતિના અંકમાં નોંધ્યો હતો. એમની નોંધ પ્રમાણે સરદારના મૃત્યુ પછી હિંદુ મહાસભાનું વાર્ષિક અધિવેશન ભરાયું, ત્યારે સરદારના અવસાનનો શોકઠરાવ પસાર કરવો કે નહીં એ વિશે ઘણી ચર્ચા થઇ. અંતે હિંદુ મહાસભાએ નક્કી કર્યું કે સરદારના મૃત્યુનો શોકઠરાવ પણ પસાર કરવો નહીં. સરદારને તેમણે ઔપચારિક શોકઠરાવને લાયક પણ ન ગણ્યા.
ગાંધી અને સરદારની છેલ્લી એક વાત. ગાંધીજીને કોઇ વાણિયા તરીકે ઓળખવે અને તેમના નામે વણિક સમાજની પાટિયાસંસ્થાઓ ઢગલામોઢે શરૂ થઇ જાય તો કેવું લાગે? ગાંધીજી પર વણિકોનો ને સરદાર ઉપર પટેલોનો કોઇ વિશેષાધિકાર કે ખાસ દાવો ન હોઇ શકે. એવો દાવો કોઇ કરે તો એ માન્ય રાખી શકાય નહીં. કારણ કે ગાંધીજી અને સરદાર જેવા નેતાઓને જ્ઞાતિની સંકુચિત ઓળખમાં બાંધવા એ તેમનું અને તેમના જીવનકાર્યનું ઘોર અપમાન કર્યા બરાબર છે.
700 પાનાંના કોઇ પુસ્તકમાં સરદારના માંડ છ-સાત ઉલ્લેખ હોય, એ વાંચ્યા વિના જ તેનાથી દુભાઇ જઇને આપણે પ્રતિબંધો મૂકી શકીએ, હડતાળ પાડી શકીએ, વિરોધ કરી શકીએ, પણ છાશવારે થતા સરદારના નામના દુરુપયોગની આપણી ઉપર કશી અસર થતી નથી. એ જોઇને સરદાર જ્યાં હશે ત્યાં મૂછમાં મરકતા મનોમન શું વિચારતા હશે? એની કલ્પના કરવાનું કામ તમારા સૌ પર છોડું છું.
Monday, November 02, 2009
ભૌતિકવિજ્ઞાની હોમી ભાભાની જન્મશતાબ્દિઃ અણુશક્તિના આશક અને આદ્યસ્થાપકને અંજલિ
ઉપગ્રહવિદ્યા અને અણુશક્તિ - આ બન્ને ક્ષેત્રોમાં ભારત આંગળીના વેઢે ગણાય એટલા ચુનંદા દેશોની હરોળમાં સ્થાન ધરાવે છે. એ સ્થાને ભારતને પહોંચાડવામાં નોંધપાત્ર હિસ્સો ધરાવતાં બે ગુજરાતી નામ એટલે ડો.વિક્રમ સારાભાઇ / dr.vikram sarabhai અને ડો.હોમી ભાભા/dr.Homi Bhabha. ગર્ભશ્રીમંત પરિવારમાં ઉછરેલા અને વિદેશી કેળવણીનો લાભ મેળવનાર આ બન્ને વૈજ્ઞાનિકોએ સંશોધનકાર્ય ઉપરાંત માતબર સંસ્થાઓ સ્થાપીને સ્વતંત્ર ભારતના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો.Friday, October 30, 2009
દિવાળી પછી કામના પહેલા દિવસે
અષાઢસ્ય પ્રથમ દિવસે, ઘેરાયેલાં વાદળો જોઇને વિરહી યક્ષના હૈયામાં થઇ હશે, એવી જ ઉથલપાથલ વેકેશન પછીના ઉઘડતા (પહેલા) દિવસે અનેક લોકોના મનમાં થાય છે. ખોટ હોય તો એ લાગણીને મહાકાવ્ય સ્વરૂપે ઢાળનાર કાલિદાસની.
‘ડોન ઝખ્મી હૈ તો ક્યા હુઆ, ડોન આખિર ડોન હૈ’ એવા ડોન-ન્યાયે, વેકેશન લાંબું હોય કે ટૂંકું, વેકેશન આખરે વેકેશન હોય છે- એ પછી વિદ્યાર્થી અવસ્થામાં આવતું દોઢ મહિનાનું હોય કે નોકરિયાત અવસ્થામાં આવતી બે-ચાર દિવસની રજાઓનું. લાંબાટૂંકા વેકેશનની મઝા ઓછીવત્તી હોઇ શકે, પણ એ પૂરૂં થયા પછી કામે ચડવાનો દિવસ આવે ત્યારે એકસરખી કીડીઓ ચડે છે.
‘મોડાં ઉઠશું, મોડાં જમશું, કાલે કરશું સારાં કામ’ એ વેકેશન દરમિયાન મોટા ભાગના લોકોનો જીવનમંત્ર હોય છે. રોજ જે સમયે માણસ કર્મચારી બની જાય, એ સમયે વેકેશનમાં તેનો માણસ અવતાર ચાલતો હોય છે. સવારે આઠ-નવ વાગ્યે પથારીમાં પડી રહેલા માણસનાં નસકોરાંના અવાજમાંથી પણ જાણે ‘ઘરેડ... ભાંગ...ઘરેડ...ભાંગ’ એવો ઘ્વનિ સંભળાય છે. સરકારી આયોજનોમાં પાંચમી યોજનામાં ધારેલાં કામનાં છઠ્ઠી યોજનામાં ઠેકાણાં ન હોય, એવું વેકેશનમાં થાય છે. રોજના પરવારવાના સમયે માણસ ઉઠેલો પણ હોતો નથી અને રોજના ઓફિસમાં પહોંચીને ચા પીવાના સમયે વેકેશનમાં ઘરની ચાનું ઠેકાણું હોતું નથી. આખા સમયપત્રક પર જાણે ‘વેકેશન હોવાથી રદ’નો મોટો, લંબચોરસ લાલ રંગનો સિક્કો મારીને તેને વાંધાજનક દસ્તાવેજો સાથે ફાઇલ કરી દીઘું હોય એવો માહોલ સર્જાય છે.
દિવાળીના વેકેશનમાં સમયપત્રક ખોરવી નાખવાનું ઘણાને ખટકે છે. ‘સપરમા દહાડે અઘોરીની જેમ પડી રહેવાતું હશે? ઉઠો, સાત વાગી ગયા’ એવાં પ્રેરક વચનોથી દિવાળીના તહેવારોમાં વેકેશનગ્રસ્ત સભ્યોને ઉઠાડવાના પ્રયાસ થાય છે, પણ સૂતેલાંને જગાડવાનું કામ કેટલું અઘરૂં છે એ સૌ જાણે છે. તેમાં જગાડનાર સૂઇ જાય એવી પૂરી શક્યતાઓ રહે છે. ‘દિવાળીના દિવસોમાં એક વાર તૈયાર થઇને બેસી જાવ. પછી તમારે જે કરવું હોય તે કરજો.’ એવી આભાસી લાલચ ઘરનો મહિલાવર્ગ આપે છે, પણ અનુભવીઓ જાણે છે કે સૌથી મોટું અને મુખ્ય કામ પથારીમાંથી ઉઠવાથી તૈયાર થવા સુધીનું જ હોય છે. એમાં વિલંબ થાય તો જ વેકેશન જેવું લાગે. બાકી, આઠ વાગ્યામાં પરવારી ગયા પછી ‘જે કરવું હોય તે’માં બાકી શું રહે?
ઘણા ખરા નોકરિયાતો માટે ‘દિવાળી છે માટે રજા છે’ એમ નહીં, પણ ‘રજા છે એટલે દિવાળી છે’ એ વાક્ય વધારે સાચું હોય છે. કાલિદાસે ભલે ભારતીયોને ઉત્સવપ્રિય ગણાવ્યા હોય, પણ સરેરાશ ભારતીય નોકરિયાતો ઉત્સવપ્રિય કરતાં રજાપ્રિય વધારે હોય છે. તેમના માટે દરેક રજા ઉત્સવ હોય છે ને રજા ન હોય એવો કોઇ ઉત્સવ તેમનામાં ઉલ્લાસ પેદા કરી શકતો નથી.
દિવાળીનો ઉત્સવ અને તેનું વેકેશન બીજી રજાઓ કરતાં કેટલીક બાબતોમાં જુદાં પડે છે. કોઇ મલ્ટીસ્ટાર ફિલ્મની જેમ દિવાળી માટે ‘આવે છે...આવે છે...ટૂંક સમયમાં આવે છે’નો પ્રચાર બહુ વહેલો શરૂ થઇ જાય છે. કેટલાક ઉત્સાહીઓ નવા વર્ષે નવું કેલેન્ડર (કે નવો દટ્ટો) લાવે ત્યારે સૌથી પહેલાં આવતા વર્ષે દિવાળી ક્યારે- કયા વારે છે એ જોઇ લે છે. દિવાળી આડે પહેલાં મહિના, પછી અઠવાડિયાં અને છેવટે દિવસો ગણાય છે. બીજી ચીજોની સાથે ‘હવે પહેલાં જેવું નથી રહ્યું’, ‘બજારમાં ગઇ સાલ જેવો માહોલ લાગતો નથી’ એ પ્રકારના સંવાદો પણ મનના માળીયામાંથી ઘૂળ ખંખેરીને કાઢવામાં આવે છે. વી.આઇ.પી.ની ગાડી પહેલાં આવતી પાયલોટ કારની જેમ દિવાળી પહેલાં નવરાત્રિ આવે છે અને દિવાળીના આગમન વિશે સૌને ઢંઢોળી મૂકે છે. શરદપૂનમથી જાણે દિવાળીનું કાઉન્ટડાઉન શરૂ થઇ જાય છે અને દિવાળી પહેલાંની અગિયારસથી વેકેશનોત્સુક હૈયાંને થાય છે,‘બસ, હવે બે-ચાર દિવસ કામ કર્યું- ન કર્યું ને પછી વેકેશન.’
ઉર્દુ શાયરીમાં ‘વસ્લકી રાત’ (મિલનની રાત)ની જે સ્થિતિ હોય છે, એવું જ કંઇક મોટા ભાગના લોકોને દિવાળીની બાબતમાં લાગે છેઃ ‘દિન ગિને જાતે થે જીસ દિન કે લિયે’ એ દિવસો આટલા ટૂંકા! આટલા ઓછા! બે-ત્રણ દિવસની રજા હોય એવા લોકોને તો ‘વેકેશન’ શબ્દ વાપરવામાં પણ સંકોચ થાય છે. એમને દિવાળી વરસાદની શક્યતા ધરાવતાં પણ વરસ્યા વગર જતાં રહેલાં વાદળો જેવી લાગે છે- ‘આવે છે...આવે છે..’ વાળી મલ્ટીસ્ટાર ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધી પડે ત્યારે તે ક્યારે આવીને ક્યારે જતી રહી એની ખબર પડતી નથી. દિવાળીની રજાઓ માટે પણ એવું બની શકે છે. દિવાળીમાં ફક્ત બે દિવસની રજા હોય તો ‘દો આરઝૂમેં કટ ગયે, દો ઈંતઝારમેં’ની જેમ, એક દિવસ આગલા દિવસોનો ભાર ઉતારવામાં જતો રહે છે અને બીજો દિવસ આવનારા કામના દિવસોના માનસિક ભાર તળે વીતે છે. એમ કરતાં નવા વર્ષમાં પહેલી વાર ઓફિસે જવાની ઘડી આવી પહોંચે છે.
દિવાળીમાં લાંબી રજા ભોગવનારા અને સુખી થવાની ક્ષમતા ધરાવતા લોકો લગભગ ભૂલી ગયા હોય છે કે એ ક્યાંક નોકરી કરે છે. રજાઓ પૂરી થવા આવે એટલે તેમને ફરી યાદ આવે છે અને ‘ફિર વહી શામ, વહી ગમ, વહી તન્હાઇ’ જેવી પણ તેનાથી સાવ અવળી લાગણી (ફરી એ જ સવાર, એ જ બોસ, એ જ કકળાટ) તેમને ઘેરી વળે છે. ‘લીટી ભેગો લસરકો’ કરવાની- આટલી રજાઓ ભેગી એક વઘુ રજા ખેંચી કાઢવાની- તેમને ઇચ્છા થાય છે, પણ ઘરમાંથી કોઇ અને કોઇ ન મળે તો તે જાતે શ્રીકૃષ્ણની ભૂમિકા ધારણ કરે છે અને ‘ઉઠ, જાગ અને કામધંધે જા. એ તારો ધર્મ છે અને તેમાં તારૂં શ્રેય છે’ એવો ઉપદેશ પ્રસારિત કરે છે.
આખરે એ દિવસ આવી પહોંચે છે, જ્યારે અગાઉથી વિવિધ યુક્તિપ્રયુક્તિઓ દ્વારા તૈયાર કરેલું મન કામે ચડવા માંડ તૈયાર થાય છે. સવારે વહેલા ઉઠ્યા પછી રણમેદાને ચડતા યોદ્ધાની અદાથી અને ‘પાછો આવું કે ન પણ આવું’ની ગંભીરતા સાથે ચા-પાણીનો કાર્યક્રમ ચાલે છે. નોકરીએ જવા માટે સ્નાન કરતી વખતે આખા વેકેશનના નામનું નાહી નાખ્યું હોય એટલો શોક થાય છે. વેકેશન પછીના પહેલા દિવસે સફેદ કે કાળાં વસ્ત્રો પહેરીને ઓફિસે જવાની ઇચ્છા થાય છે, પણ વ્યવહારની બીકે એ વિચાર માંડવાળ કરવો પડે છે. બસમાં ઓફિસે જવાનું હોય અને થોડા વખત સુધી બસ ન આવે તો ‘આજે બધી બસો બગડી ગઇ હશે? બસસર્વિસ બંધ હશે? કોઇ વીવીઆઇપીનું મૃત્યુ થયું હશે? રજા પડી ગઇ હશે? હું ઘેર જતો રહું?’ એવા પ્રશ્નો હારમાળા સ્વરૂપે મનમાં જાગે છે. વાહન લઇને ઓફિસે જતા લોકો, વાહન ચાલુ થવામાં થોડી પણ વાર લગાડે એટલે વિચારે છે,‘વાહનની ઇચ્છા લાગતી નથી. પાડી દઊં રજા?’ કોઇ બળ તેમને ઘર તરફ ખેંચતું હોય એવું લાગે છે, પણ અદૃશ્ય હાથ જાણે પાછળથી ધક્કા મારીને ઓફિસ તરફ મોકલે છે.
એ નાજુક છતાં બળવાન હાથ લક્ષ્મીના હોય છે અને ખિસ્સામાંથી નીકળીને પેટ સુધી પહોંચે છે.
Wednesday, October 28, 2009
શબ્દકોશમાં ન હોય એવા પ્રચલિત ‘ગુજરાતી’ શબ્દોનો ઇ-સંગ્રહઃ લોકકોશ
![]() |
| Lokkosh team with Ashok Karania (standing extreme right)(sitting L to R) Pradip Khandwalla, Ratilal Chandaraya, Nita Shah |

અંગ્રેજી વિશ્વભાષા બની તેનું રહસ્ય શું છે? વિશ્વભરમાં પથરાયેલા અંગ્રેજી સામ્રાજ્ય ઉપરાંત અંગ્રેજી ભાષાનું ખુલ્લાપણું તેની સૌથી મોટી તાકાત છે. એક અંદાજ પ્રમાણે, દર ૯૮ મિનીટે અંગ્રેજી ભાષામાં એક નવો શબ્દ ઉમેરાય છે, જે મોટે ભાગે અંગ્રેજી નથી હોતો. દર ૯૮ મિનીટને બદલે ૧૯૮ કે ૨૯૮ મિનીટે નવો શબ્દ ઉમેરાતો હોય તો પણ મૂળ મુદ્દામાં કશો ફરક નથી પડતો. એ મુદ્દો છે પરિવર્તનશીલતા અને ગતિશીલતાનો. ગુજરાતી ભાષા એ બાબતમાં ઘણી પાછળ રહી છે.
ઇન્ટરનેટ પર ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ, જોડણીકોશ અને ભગવદ્ગોમંડલ શબ્દકોશ જેવાં ભગીરથ કામ પાર પાડી ચૂકેલા ૮૮ વર્ષના રતિલાલ ચંદરયા અને અશોક કરણીયાની આગેવાની હેઠળ તેમની ટીમે એક મહિનામાં આ કોશનું માળખું ઇન્ટરનેટ પર મૂકી દીઘું છે. આજે તે વેબસાઇટનું વિધિવત્ રતિકાકા, પ્રદીપ ખાંડવાલા, નીતાબહેન શાહ, અશોક કરણીયા અને તેમની ટીમની હાજરીમાં વિધિવત્ લોન્ચિંગ થયું.
![]() |
| Ratikaka with Karania Jr.- symbol of GenNext Gujarati-- for whom he has envisaged Lokosh; Mrs. Karania looks on |
Monday, October 26, 2009
આંખે ડાબલા ઉર્ફે Blinkered vision



