Friday, May 06, 2022

માથું દુઃખે ત્યારે

તમે ભગવાનમાં માનો છો? જવાબ ગમે તે હોય, તેનાથી અહીં કશો ફરક નથી પડવાનો. વાત એમ છે કે, જેમ ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં, તે ખાતરીથી પુરવાર કરી શકાતું નથી, એવી જ રીતે, માથાનો દુઃખાવો પણ છે કે નહીં, તે ચકાસવું અશક્ય છે. ઘણા માટે ભગવાનનું અસ્તિત્વ કે તેનો ઇન્કાર પોતે માથાના દુઃખાવાનું એક કારણ બની રહે છે, તે અલગ વાત છે.

માથાનો દુઃખાવો આમ તો હળવી બિમારી અથવા બિમારીનું લક્ષણ કહેવાય, પણ ઘણા લોકો તેને સામાજિક પરિબળ કે અહિંસક સામાજિક હથિયાર તરીકે પણ જુએ છે અને વાપરે છે. માથાના દુઃખાવાના મુખ્યત્વે બે પ્રકાર છેઃ આવેલો અને કલ્પેલો. સાદા શબ્દોમાં કહેવું હોય તો, સાચો અને ખોટો. તેમાંથી સાચો દુઃખાવો મેડિકલ સાયન્સનો વિષય હોવાથી, તેની વાત કરીને વાંચનારને માથાનો દુઃખાવો આપવાનો કોઈ ઇરાદો નથી. રસ પડે એવો દુઃખાવો બીજા પ્રકારનો, કાલ્પનિક અથવા નોતરેલો છે.

ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે હૃદયની બિમારીથી માંડીને મોટા ભાગની બિમારીઓ માપી શકાય એવી હોય છે. ઘરેબેઠાં નહીં તો દવાખાને જઈને પણ તેનું માપ કાઢી શકાય છે સાદી, ઘરગથ્થુ બિમારીની વાત કરીએ તો, તાવ પણ માપી શકાય છે. એટલે જ, ભૂતકાળમાં પરાક્રમી વિદ્યાર્થીઓ શરીરનું તાપમાન વધારવાના જુદા જુદા નુસખા અપનાવીને સ્કૂલમાંથી ગાપચી મારતા હતા.

તે બધાની સરખામણીમાં માથાનો દુઃખાવો જાદુઈ ચિરાગમાંથી નીકળતા જીન જેવો છે. મનનો જીન ઘસીને તેને ગમે ત્યારે સેવામાં હાજર કરી શકાય છે. તેનો સૌથીર મોટો ઉપકાર એ છે કે તેને માપી શકાતો નથી. એટલે તે શ્રદ્ધાનો વિષય બની જાય છે અને કોઈની શ્રદ્ધાનો ભંગ કરવો, એ તેની ધાર્મિક લાગણી દુભાવવા સમકક્ષ બની શકે છે.

માથાનો સાચો દુઃખાવો ભલે પીડા આપતો, પણ હાજર કરાયેલો, ઐચ્છિક માથાનો દુઃખાવો ઘણી વાર અણગમતી પરિસ્થિતિમાંથી રાહત આપે છે. ઓફિસમાં કે અન્યત્ર માણસ માથું પકડીને બેસી જાય અથવા છડેચોક ટેબલ પર માથું ઢાળીને સુઈ જાય, એટલે જોનાર બોસ એટલું તો વિચારશે કે કુછ તો ગડબડ હૈ. બાકી આ રીતે સવિનય કાનુનભંગ કોઈ કરે નહીં.

છતાં, કડપ છોડ્યા વિના, સાવધાની રાખીને, પણ ઠપકાને બદલે પૂછપરછના અવાજે કારણ પુછવામાં આવે ત્યારે માથું પકડીને કે ઢાળીને બેઠેલું જણ દિલીપકુમારના અંદાજમાં ચહેરો ઊંચો કરીને પૂછનાર સામે જુએ છે. પછી કહે છે, માથું, સર... તે સાંભળીને સાહેબ ગુંચવાય છે અને સામેવાળાએ કટાક્ષ કર્યો, રોષ વ્યક્ત કર્યો કે કશી માહિતી આપી, તે વિચારવાનો પ્રયાસ કરે છે. એવામાં વધુ સ્પષ્ટતા થાય છે, હેડેક સર...માથું પકડાઈ ગયું છે.

સાહેબ તેને શબ્દાર્થમાં લઈને કહે છે, પકડાઈ ગયું છે? પણ એ તો તમે પોતે જ બે હાથે પકડ્યું છે. છોડી દો, એટલે છૂટી જશે. હવે માથું પકડીને બેઠેલો જણ દિલીપકુમારને બદલે મીનાકુમારીની ટ્રેજેડી ક્વિન અદામાં સાહેબ સામે જુએ છે અને કહે છે,માથું ફાટફાટ થાય છે. સખ્ખત દુઃખે છે. માથામાં કોઈ હથાડો મારતું હોય એવું લાગે છે.

યુ મીન, હું બોલું ત્યારે?’

ના સાહેબ, એ સિવાય પણ. દુઃખાવાગ્રસ્ત જણ સ્પષ્ટતા કરે છે. નાનપણથી-સ્કૂલમાં હતો ત્યારથી પ્રોબ્લેમ છે, સર.

સ્કૂલમાં તો મને પણ હતો. સાહેબ ચહેરા પર આવતું સ્મિત માંડ અટકાવીને કહે છે, તમારે હજુ એ જ ચાલે છે?’

આ તો સિરીયસ છે, સાહેબ. એક બાબા પાસે ગયો, ત્યારે તેમણે બ્રેઇન કેન્સરની શક્યતા વ્યક્ત કરેલી અને જાપથી મટાડી દેવાની ગેરન્ટી આપેલી...વચ્ચે તમારી પાસે મેં લોન નહીં માગેલી?’

સાહેબ વિચારમાં પડે છે. માથાનો દુખાવો, સ્કૂલ, બ્રેઇન કેન્સર, બાબા—તેમાં પાછી લોન ક્યાંથી આવી ગઈ? પણ તે અનુભવી સાહેબ છે. જાણે છે કે બહુ વિચારીએ તો સાહેબ ન બનાય અને સાહેબ બન્યા પછી બહુ વિચારવાનું ન હોય. એટલે તે તપાસ અધિકારીની માનદ્ ભૂમિકામાંથી તબીબી અધિકારીનો કામચલાઉ હોદ્દો ધારણ કરે છે અને કહે છે, તમારે બરાબર ધ્યાન રાખવુ જોઈએ. એ કંઈ ઓફિસનું કામ નથી કે તેમાં લબાડગીરી ચાલી જાય, અન્ડરસ્ટેન્ડ?’

યસ સર માથું પકડીને બેઠેલું જણ કહે છે, આવું ક્યારેક જ થાય છે.

એમ તો, હાર્ટ એટેક પણ ક્યારેક જ આવે છે. એટલે એને ગંભીરતાથી નહીં લેવાનો? તમારે ઘેર ઉપડવું હોય તો ઉપડો—અત્યારે જ. તમારી અડધા દિવસની રજા ગણી લઈશું, બસ? અને ઘરે જતાં પહેલાં હોસ્પિટલે થઈને જજો. કદાચ કંઈક ટ્યુમર-બ્યુમર નીકળે તો ગભરાતા નહીં. તમારી જગ્યા માટે દસેક અરજીઓ આવેલી, એ મેં રહેવા દીધી છે. તમારી તબિયત આવી રહી...ગમે ત્યારે સ્ટ્રોક-બ્રોક આવે ને તમને કંઈ થઈ જાય તો? તમારે આરામ જ કરવો જોઈએ.

દુઃખાવો ધરાવનાર માથાને સલુકાઈથી, ઉદારતાપૂર્વક રવાના કરવાની વ્યૂહરચના કેટલાક બોસને ફાવતી નથી. તે શંકા કરે છે અને કહે છે, તમારા મોં પરથી તો લાગતું નથી કે...

કર્મચારી તેમને અટકાવીને કહે છે,સાહેબ, મોં નહીં, માથું દુઃખે છે. એવું હોય તો ડોક્ટર પાસે ચેક કરાવી લઈએ.

તબીબી વિજ્ઞાને આટઆટલી પ્રગતિ કરી, તેમ છતાં માથાનો દુઃખાવો માપવાનું યંત્ર હજુ સુધી કેમ શોધાયું નથી, તેનો ખ્યાલ આવે છે?

1 comment:

  1. Anonymous10:24:00 AM

    “પણ તે અનુભવી સાહેબ છે. જાણે છે કે બહુ વિચારીએ તો સાહેબ ન બનાય અને સાહેબ બન્યા પછી બહુ વિચારવાનું ન હોય.”

    😀😀

    ReplyDelete