Wednesday, March 22, 2017

ચૂંટણીનાં પરિણામ અને 'ન્યૂ ઇન્ડિયા'

ઉત્તર પ્રદેશમાં ભવ્ય જીત પછી વડાપ્રધાને તો ઠીક, ઘણા રાજકીય સમીક્ષકોએ પણ જણાવ્યું છે કે આ પરિણામો ‘ન્યૂ ઇન્ડિયા’નો ઉદય સૂચવે છે. ભાજપને મળેલી 312 બેઠકથી ઘણા સમીક્ષકોની વિચારશક્તિ પર વીજળી પડી હોય એવું લાગે છે. વડાપ્રધાન મોદી અને ભાજપ આવો દાવો કરે તેમાં નવાઈ નથી. પરંતુ એ દાવા ગળે ઉતારવા કે નહીં, તે સમીક્ષકોએ અને નાગરિકોએ નક્કી કરવાનું રહે છે.વિરોધ પક્ષોમાં પરિણામનો સાચો અર્થ આપવા જેટલા પણ વેતા હોય એવું જણાતું નથી.

વોટિંગ મશીનનો વાંક કાઢનારા વિપક્ષો અને ‘ન્યૂ ઇન્ડિયા’ના દાવા કરનારા વડાપ્રધાન (તથા તેમના સમર્થકો)ની વચ્ચે, મતની ટકાવારી નાગરિકોને પ્રાથમિક માહિતી પૂરી પાડે છે. આ ટકાવારીથી ભાજપની જીતનો જશ કે તેનો પ્રભાવ રતીભાર ઓછાં થતાં નથી, પણ અતિશયોક્તિભર્યા દાવાની અસલિયત સહેલાઈથી ઉઘાડી પડી જાય છે. ઘણા સમીક્ષકોએ ઉત્તર પ્રદેશનાં પરિણામોને એવી રીતે રજૂ કર્યાંં કે તે વડાપ્રધાનની (નોટબંધી સહિતની) નીતિઓને મળેલું પ્રચંડ જનસમર્થન સૂચવે છે.

પ્રચંડ એટલે કેટલું?

જવાબ છેઃ 403 બેઠકોમાંથી 312 બેઠકો જેટલું, એટલે કે 78 ટકા.

પરંતુ આ અર્થઘટન સાચું નથી. મતની ટકાવારી જોતાં સ્પષ્ટ છે કે કુલ મતદાનમાંથી ભાજપને 39.7 ટકા, બહુુજન સમાજ પક્ષને 22.2 ટકા, સમાજવાદી પક્ષને 21.8 ટકા અને કોંગ્રેસને 6.2 ટકા મત મળ્યા. તેનાથી ભાજપની જીત જરાય ઝાંખી પડતી નથી ને વિપક્ષોની હાર જરાય ઉજળી થતી નથી, તેમ એ પણ સમજાવું જોઈએ કે ઉત્તર પ્રદેશના મતદારોમાંથી 78 ટકા મતદારોએ નહીં, 39.7 ટકાએ ભાજપને મત આપ્યા છે. એ મત વડાપ્રધાનની અને તેમની નોટબંધી સહિતની નીતિની તરફેણમાં હોય, તો 50.2 ટકા લોકોએ તેની વિરુદ્ધમાં (બીજા મોટા પક્ષોને) મત આપ્યા છે.

‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ (જેટલા હોય તેમાં સૌથી વધારે)નો નિયમ ધરાવતી ભારતની ચૂંટણીઓમાં પહેલેથી આ ગણિત ચાલ્યું છે. કોંગ્રેસનુું એકચક્રી રાજ હતું ત્યારે તેની તરફેણમાં મત આપનારા કરતાં તેમના વિરોધમાં મત આપનારાનું પ્રમાણ વધારે રહેતું હતું. ત્યારે પણ વેરવિખેર વિપક્ષોને કારણે કોંગ્રેસ ફાવતી રહી. અભ્યાસી મિત્ર સલિલ દલાલે યાદ કર્યું તે પ્રમાણે, જનસંઘના જમાનામાં અડવાણી જેવા વિપક્ષી નેતા જોરશોરથી ચૂંટણીસુધારાની અને ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ની પદ્ધતિને સુધારવાની હિમાયત કરતા હતા.   અત્યારની કોંગ્રેસ ચૂંટણીસુધારાની વાતની તો ઠીક, સાદી બહુમતી મળી હોય એવાં રાજ્યોમાં સત્તા સ્થાપિત કરવાની ત્રેવડ પણ ધરાવતી નથી (જે મણિપુર અને ગોવામાં દેખાઈ ગયું)

અને માયાવતી? એ સમજવા-સ્વીકારવા તૈયાર નથી કે વાંક વોટિંગ મશીનનો નહીં, તેમની વ્યૂહરચનાનો કે પ્રકૃતિનો છે. સમાજવાદી પક્ષ સાથે તેમણે જોડાણ કર્યું હોત તો બિહારની તરાહ પર તે ભાજપને હંફાવી શક્યાં હોત. આ બોધપાઠ તેમને લોકસભાની ચૂંટણી પછી મળી જવો જોઇતો હતો. કેમ કે, ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80માંથી 71 બેઠકો પર ભાજપ જીત્યો ત્યારે 71માંથી 41 બેઠક એવી હતી, જ્યાં સમાજવાદી પક્ષ-બહુજન સમાજ પક્ષ-કોંગ્રેસને મળેલા મતનો સરવાળો ભાજપના મતો કરતાં વધારે થતો હતો. તેમાંથી પણ 29 બેઠકો એવી હતી, જ્યાં ફક્ત સમાજવાદી પક્ષ-બહુજન સમાજ પક્ષ સાથે મળીને ભાજપને હરાવી શક્યાં હોત. પરંતુ વિપક્ષોમાં એકતા અને પોતાના સ્વાર્થની પણ સમજના અભાવને કારણે ઉત્તર પ્રદેશમાં ભાજપની એવી જીત થઈ કે તે સુપર-પાર્ટી લાગવા માંડે (ભલે ત્રણ રાજ્યોમાં તે બેઠકસંખ્યામાં બીજા નંબરે હોય)

પરિણામો પછી વડાપ્રધાને તેમના હોદ્દાને છાજે એવી ભાષામાં નમ્ર બનવાની વાત કરી, તે આવકાર્ય છે. પરંતુ તેમનાં વાણીવર્તનનો વિરોધાભાસ અવગણવો અઘરો છે. એટલે જ તે ઉત્તર પ્રદેશની ચૂંટણી પછી ‘ન્યૂ ઇન્ડિયા’ની વાત કરે અને તેના પગલે સમુહગાન શરૂ થઈ જાય, ત્યારે તે રમુજી એટલું જ કરુણ લાગે છે. દાવો એવો છે કે ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિનાં સમીકરણનો અને જ્ઞાતિઆધારિત રાજકારણનો અંત આવ્યો અને બધાએ નાતજાતના ભેદભાવ ભૂલીને મોદીને-ભાજપને જીતાડી દીધા. ટાઢકથી વિચારનાર કોઇને પણ સમજાશે કે જ્ઞાતિનાં સમીકરણનો-જ્ઞાતિવાદના રાજકારણનો અંત આવ્યો નથી. તેનો ચહેરો બદલાયો છે. અત્યાર લગી એ ગણિત પર માયાવતી-મુલાયમની પકડ હતી, પણ મોદી-અમિત શાહ અને તેમના બીજા વ્યૂહકારોએ વિપક્ષોને એ સરવાળાબાદબાકીમાં પછાડી દીધા છે (અને અગાઉ જણાવ્યા પ્રમાણે, વિપક્ષોએ એકજૂથ ન થઈને ભાજપને જ મદદ કરી છે.)

વિપક્ષો એટલે જ્ઞાતિવાદ-ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે જ્ઞાતિવાદમુક્ત-ભ્રષ્ટાચારમુક્ત એવું સમીકરણ વડાપ્રધાન અને તેમના સમર્થકો તો રજૂ કરે, પણ બીજા લોકોએ તેનાથી અંજાઈ જવાની કે ભક્તજનોના ઉગ્ર આક્રમણથી બચાવની મુદ્રામાં આવી જવાની જરૂર નથી. મોદીસમર્થકો ઇચ્છે છે કે 312 બેઠકોના ઝળહળાટમાં બીજું કશું જોવામાં ન આવે અને એ જે દાવા કરે તે ચૂપચાપ, નીચી મુંડીએ સ્વીકારી લેવામાં આવે. પણ 312 બેઠકોથી સચ્ચાઈ બદલાતી નથી અને સચ્ચાઈ એ છે કે ભાજપે પણ જ્ઞાતિનાં સમીકરણો માંડ્યાં હતાં ને તેમાં કોમી ધ્રુવીકરણનો પૂરતી માત્રામાં વઘાર કર્યો હતો. હવે જીત્યા પછી તે આ બધું ભૂલાવીને ‘ન્યૂ ઇન્ડિયા’ની વાત કરે તે કેમ ગળે ઉતરે? બીજા લોકો તો ઠીક, જીતના મુખ્ય શિલ્પી મનાતા વડાપ્રધાન મોદી અને પક્ષપ્રમુખ અમિત શાહનાં ચૂંટણીપ્રચારનાં ભાષણની ઝલક સાંભળી જોજો. આ ‘ન્યૂ ઇન્ડિયા’ હોય તો એ ચિંતા ઉપજાવનારું છે--અને હકીકતમાં એ ‘ન્યૂ’ છે જ નહીં. એ કોપીરાઇટર વડાપ્રધાનનું વધુ એક શબ્દાળુ સર્જન છે.

આ એ ‘ન્યૂ ઇન્ડિયા’ છે, જેમાં કોંગ્રેસી સ્ટાઇલમાં રાજ્યપાલોને સાથે રાખીને ગાફેલ વિપક્ષો પાસેથી સત્તા આંચકી લેવામાં આવે છે, જ્યાં વિકાસની ઠાલી વાતો કરીને યોગી આદિત્યનાથ જેવા કટ્ટર અને ગોવધ-લવજેહાદના નામે ધર્મઝનૂન ફેલાવતા માણસને મુખ્ય મંત્રી બનાવવામાં આવે છે, જ્યાં વ્યાપમંથી માંડીને GSPCથી માંડીને ભાજપરાજમાં થતી ગેરરીતિ-ગોટાળા સહેલાઈથી વિસારે પડી જાય છે, જ્યાં ‘સ્ટાર્ટ અપ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવા નારા ખાલી ખખડે છે, સત્તાધારી પક્ષનો છાંયડો ધરાવતાં સંગઠન કોલેજ કેમ્પસથી અદાલતના પ્રાંગણ સુધી સરેઆમ ગુંડાગીરી ચલાવે છે… આ છે ‘ન્યૂ ઇન્ડિયા’?

વડાપ્રધાનના ચાહકો વિશ્લેષણની કોઈ પણ કવાયતને ‘વિજયનો અસ્વીકાર’થી માંડીને ‘ બળતરા’ જેવાં લેબલ લગાડે, એટલે એ કરવાનું છોડી ન દેવાય. તેમની મર્યાદા આપણી મર્યાદા શા માટે બનવી જોઇએ? 

4 comments:

  1. Hiren Joshi10:25:00 PM

    Analyzing the election results in detail is one thing. But please accept the fact that past 15 years of (mis)rule by Mulayam, Mayavati etc. has made UP one of the worst administered states in the union. So before labeling the new chief minister with radicalism one needs to look at his predecessors and serious damage and destruction they inflict all around. New government needs to be given an opportunity to prove instead of suggesting that the combined opposition would have defeated BJP!

    ReplyDelete
  2. Dr.chandani11:29:00 PM

    Tame gujarat samachar ma columnist thavani puri laykat dharavo 6o...

    ReplyDelete
  3. ઉર્વીશ ભાઈ કોઠારી, તમારો લેખ વાંચ્યો તમે જે ચુંટણીનું પૃથુકરણકર્યું છે તે સાચું પણ હોય શકે પણ જે ઉભરતો જુવાળ ભાજપ અને મોદીનો છે તેને કોઈ પણ ટીકાઓ રોકી નહિ શકે,હિન્દુસ્તાનમાં કહેવાતા સુડો-સેક્યુલરોએ દેશની પત્તર ખાંડી નાખી છે,જેમને નેહરુના રાજકારણ ના હજુ સપના આવતા હોય તે તેમાંથી જાગે! આજે ટેકનોલોજી ની સાથે અને જનતાની બુધ્દ્ધી/તર્ક નેહરુના સમયના રાજકારણ કરતા શિક્ષાના હિસાબે વધુ સમૃદ્ધ થયા છે.
    તમારા લેખોમાં ને પત્રકારિત્વમાં જો ભાજપ કે મોદી ના રાજકારણ માટે જો આક્રોશ કે કોઈ તેજોદ્વેષ હોય તો તેની તુલના તેમના વહીવટ ની 'પોલ ખોલ' કરીને છણાવટ જરૂરી બને છે,કોન્ગ્રેસ્સની સરકારો બનતી રહી અને તેમના રાજવહીવટની ટીકાઓ સાધારણ જનતાએ ધ્યાનમાં નાં લીધી અને વોટબેન્કના લાભો લઈને તે પક્ષ સામદામ ને દંડ નીતિ કરીને હિન્દુસ્તાનની જનતા પર 'ઠોકી'ને રાજ કર્યું,આજે તે પક્ષના નમાલા નેતાઓ ભાજપ અને તેના વહીવટની ટીકા કરે છે ત્યારે લોકોને હસવું આવે અને ગુસ્સો પણ કરે.
    હિન્દુસ્તાનની પ્રજા નાત,જાત ને ધર્મના વાડાઓમાં એટલી વહેંચાયેલી છે કે જેને ભાજપ અગર આવી રીતે તોડવાની કોશિશ કરે તો દાદ આવી જોઈએ.
    ચુંટણીઓના પરિણામોના તારણ ને દાખલાઓ આપવા ઠીક છે પણ જયારે પક્ષો ચૂંટાઈને આવ્યા પછી બધાય બીજી આવતી ચુંટણી સુધી ભૂલી જતા હોય છે.
    આ લીટીઓ લખ્યા પછી એટલુંજ ઉમેરવાનું કે સત્તામાં આવેલા લોકો વધુ પ્રમાણિક અને વહેવારુ બને તો ઘણા પશ્નો ઉકેલાઈ જતા હોય છે.

    ReplyDelete
  4. Hiren Joshi7:42:00 PM

    Related to standard, distance and time- I am too far away from the Gujarati Daily you mentioned. But to reap the benefits of my writing you can certainly refer me to Mr. Shreyans Shah!

    ReplyDelete