Tuesday, October 28, 2014

ભારતીય રાજકારણના નવા પ્રવાહો : પ્રો.ભીખુ પારેખની નજરે

એક શ્વાસમાં ગાંધીજી અને વર્તમાન વડાપ્રધાન મોદીનું નામ અહોભાવથી લેવામાં ખચકાટ ન થાય, એવા ‘ભક્તિયુગ’માં  અભ્યાસલક્ષી, આવેગમુક્ત રાજકીય ચિંતનનું ખાસ મહત્ત્વ છે. વડાપ્રધાન પ્રત્યે અભાવ કે અહોભાવ રાખ્યા વિના તેમના મૂલ્યાંકનનો પ્રયાસ કરનારા જૂજ રાજકીય અભ્યાસીઓમાં એક નામ છે : પ્રો.ભીખુ પારેખ/ Prof.Bhikhu Parekh

બ્રિટનની સંસદના ઉપલા ગૃહ (હાઉસ ઑફ લોર્ડ્‌ઝ)ના સભ્ય પ્રો.પારેખનું ‘લૉર્ડ’પણું વટાવી ખાવું- તેમના અભ્યાસલક્ષી અભિપ્રાયોને પોતાના ભક્તિ-રસાયણમાં ઝબકોળીને, પોતાનો રંગ ચડાવીને રજૂ કરવા તે એક વાત છે. તેમાં સૌથી વઘુ અન્યાય પ્રો.પારેખની વિદ્વત્તાને થાય છે. (બૌદ્ધિકતાને ગાળ ગણતા-ગણાવતા લોકોને શી રીતે સમજાય કે ‘લૉર્ડ’ અને ‘પ્રોફેસર’માંથી ‘પ્રોફેસર’નો દરજ્જો વધારે માનભર્યો ગણાય છે)

પ્રો.પારેખ રહેતા ભલે બ્રિટનમાં હોય, પણ વર્ષોથી- અને છેલ્લી લોકસભાની ચૂંટણીનાં પરિણામ પછી તો ખાસ- ભારતના રાજકારણની ગતિને સમજવા સતત મથામણ કરી રહ્યા છે. ગાંધી-આંબેડકરના ઊંડા અભ્યાસી એવા આ પ્રોફેસર ઘટનાઓને લાંબા ઇતિહાસપટના સંદર્ભે જુએ છે અને એક અભ્યાસનિષ્ઠ વિદ્વાનને છાજે એવી નમ્રતાથી તેમને મૂલવવાની કોશિશ કરે છે. ‘બૌદ્ધિક’ શબ્દથી તે મોં મચકોડતા નથી, આત્યંતિકતામાં સરી પડતા નથી અને ‘પબ્લિક ઇન્ટલેક્ચુઅલ’ (‘જાહેર નિસબત ધરાવતા બૌદ્ધિક’) તરીકેની પોતાની ભૂમિકા વિશે જવાબદારીપૂર્વક સજાગ રહે છે.

વડોદરાના બૌદ્ધિક અગ્રણી (સદ્‌ગત) પ્રો.રાવજીભાઇ પટેલ ‘મોટા’ના કંઠી વગરના શિષ્ય પ્રો.પારેખે છેલ્લા થોડા વખતમાં બે વાર નવા રાજકીય પ્રવાહો વિશે ચર્ચા ઊભી કરી છે : ‘વૈશ્વિક માનવવાદ’ના તંત્રી- ‘મોટા’ સ્કૂલના જૂના વિદ્યાર્થી બિપીન શ્રોફને આપેલી લાંબી મુલાકાતમાં અને નવી સરકારના સો દિવસ પછી યોજાયેલી એક વિચારગોષ્ઠિમાં. તેમના વિચારો આખરી નિર્ણયરૂપે નથી હોતા. અઘરામાં અઘરી વાતને તે સરળ શબ્દોમાં મૂકી શકે છે. તેમની સાથે મુદ્દાસર અસંમત થઇ શકાય છે. તે પરંપરાગત કરતાં જુદી રીતે, લાગણી કે આવેગમાં તણાયા વિના, વિચારવા અને સમજવા માટે પ્રેરે છે. તેમનો રસ રાજકીય સિદ્ધાંતચર્ચા ઉપરાંત જાહેર જીવનની નિસબતનો પણ હોય છે.

નવેસરથી વિચાર

લોકસભાની ચૂંટણીનાં પરિણામ પછી બ્રિટનમાં એવી ચર્ચા ચાલી કે ભારતના નવા વડાપ્રધાન હિટલર છે અને તે દેશને ફાસીવાદ ભણી લઇ જશે. આ પ્રકારના આત્યંતિક આરોપ પ્રો.પારેખ સ્વીકારતા નથી. સાથોસાથ તે માનેે છે કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વિચારો, ખ્યાલો અને અભિગમો વિકસ્યા હતા અથવા જેને આધારે દેશમાં પ્રજાતંત્રની એક લાક્ષણિક વૃત્તિ અથવા નૈતિક વલણો વિકસ્યાં હતાં, તે કેટલેક અંશે આ ચૂંટણીનાં પરિણામો પછી હાંસિયામાં મૂકાઇ ગયાં છે અને જે પરિબળો આઝાદીની લડાઇ વખતે હાંસિયામાં હતાં, તે હવે ઝડપથી મુખ્ય પ્રવાહમાં આવવા લાગ્યાં છે.

પ્રો. પારેખને લાગે છે કે નવા પ્રવાહો સમજવા માટે આત્યંતિક વલણને બદલે, નવાં ‘કન્સેપ્ચુઅલ ટૂલ્સ’ (વૈચારિક ઓજાર) વિકસાવવાં જોઇએ. પરિણામોને સમજવા માટે ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘને સમજવાની ઘણી જરૂર છે, એવું પણ તે માને છે. આર.એસ.એસ.ની ‘ગાંધીહત્યારા’ કે ‘મુસ્લિમવિરોધી’ની ઓળખથી આગળ વધીને, તેમની અંદર વૈચારિક મતભેદો છે કે કેમ, એ સમજવું જોઇએ. ‘મારી સમજ પ્રમાણે સંઘ-ભાજપનું મોડેલ ઇઝરાઇલનું મોડેલ છે. તે ભવિષ્યના ભારતના ઇઝરાઇલ જેવું બનાવવા માગે છે. જો ઇઝરાઇલ યહુદીઓનો દેશ હોય તો ભારત હિંદુઓનો દેશ કેમ ન હોય?’ આવો ખ્યાલ લઇને ચાલતા સંઘના વિચારકો સાથે શાંતિથી ચર્ચા કરવા અને તેમના ખ્યાલની મુશ્કેલીઓ દર્શાવવા માટે પ્રો.પારેખ ઉત્સુક છે.

ચૂંટણીનાં પરિણામ વિશે તેમણે કહ્યું કે ‘આ કે પેલો ઉમેદવાર જીતે તેમાં મને કોઇ રસ નથી કે એમાં નવાઇ પામવા જેવું નથી. પણ આ ચૂંટણીમાં નવું શું બન્યું છે?’ તેમણે છ-સાત નિરીક્ષણ રજૂ કર્યાં હતાં.

(૧) દેશભરમાંથી આશરે ૬૦ લાખ મતદારોએ ‘નન ઑફ ધ અબોવ’ (ઉભેલા ઉમેદવારોમાંથી કોઇ નહીં)નો વિકલ્પ પસંદ કર્યો છે. આ રીતે તેમણે બધા રાજકીય પક્ષોને ચીમકી આપી છે કે મતદારોને યોગ્ય લાગે એવા ઉમેદવાર પસંદ કરવા.

(૨) દેશમાં પહેલી વાર અન્ય પછાત જાતિ (ઓબીસી)નો ઉમેદવાર ચૂંટણી લડીને વડાપ્રધાન બન્યા. ચૌધરી ચરણસિંઘ કે દેવે ગૌડા જેવા વડાપ્રધાનો ઓબીસી હતા, પરંતુ તે પોતાના જોરે- ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા ન હતા. બાબુ જગજીવનરામ દેશના વડાપ્રધાન બનવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવતા હોવા છતાં એક યા કારણસર તેમને વડાપ્રધાનપદની ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યા...‘ચાવાળો’ એ શબ્દની મજાક ઉડાવવાની જરૂર નથી. આ ઘટનાએ દેશના સામાન્ય માણસમાં જબ્બર આત્મવિશ્વાસ પેદા કર્યો છે કે આપણી લોકશાહીમાં એક ચાવાળો પણ વડાપ્રધાન બની શકે છે.

(૩) આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વાર વડાપ્રધાન ‘હોમગ્રોન પીએમ’ છે, જેને અંગ્રેજી બરાબર ફાવતું નથી. તે સંસ્થાનવાદી સમયમાં જન્મ્યા નથી. એ સમયે પેદા થયેલા રાજકીય માનસથી તે સંપૂર્ણપણે મુક્ત છે. તેમનાં ભાષા અને સંસ્કાર પણ એ સમયની અસરથી સદંતર મુક્ત છે.

(૪) દેશની ચૂંટણી પ્રમુખશાહી સ્વરૂપની લોકશાહી હોય એવી ઢબે લડાઇ. પહેલા વડાપ્રધાન પંડિત નેહરુ સમગ્ર દેશમાં છવાઇ ગયેલા હતા, પરંતુ તે આ રીતે ચૂંટણી લડ્યા ન હતા. આખા દેશમાં મોદી એક રાષ્ટ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા, પણ જે રાજ્યોમાં પ્રાદેશિક નેતાઓ સક્ષમ હતા ત્યાં મોદી કાઠું કાઢી શક્યા નથી.

(૫) આ ચૂંટણીમાં બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ)નો- ખાસ કરીને ‘ઓવરસીઝ ફ્રેન્ડ્‌ઝ ઑફ બીજેપી’ જેવી સંસ્થાનો- ફાળો ઘણો મોટો હતો. તેમણે આર્થિક સહકાર ઉપરાંત માણસો, ઇલેક્ટ્રોનિક મિડીયા અને ઇન્ફર્મેશન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો, જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વાર બન્યું.

(૬) ૧૨૯ વર્ષ પહેલાં સ્થપાયેલી કોંગ્રેસનો એવો સફાયો થઇ ગયો કે લોકસભામાં વિરોધપક્ષ બનવા માટે જરૂરી બેઠકો પણ તે મેળવી શક્યો નથી. છતાં, સંસ્થાનવાદ સામેની લડતમાં તેનો ફાળો ઓછો આંકવાની જરૂર નથી.

(૭) આ ચૂંટણીમાં લોકોએ વિકાસના મુદ્દાને ઘ્યાનમાં રાખીને મતદાન કર્યું અને જ્ઞાતિનો મુદ્દો પ્રમાણમાં બાજુ પર ધકેલાયો હોય એવું લાગ્યું. જોકે ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણી જીતવાના એક પરિબળ તરીકે જ્ઞાતિ નિર્ણાયક પરિબળ રહી જ હતી.

ચૂંટણીની વાત કર્યા પછી, વડાપ્રધાન મોદીના સો દિવસના શાસનના આર્થિક કે રાજકીય પ્રવાહોની વિગતમાં જવાને બદલે, એ ગાળામાં જોવા મળેલા કેટલાક ભાવિ સંકેત અંગે પણ તેમણે વાત કરી.

૧) રાજકીય સત્તા અને નિર્ણયો લેવાની પદ્ધતિનું કેન્દ્રીકરણ તથા વ્યક્તિકરણ એક અગત્યનો મુદ્દો છે. પ્રો.પારેખે ઉદાહરણો સાથે કહ્યું કે આપણા દેશમાં રાજકીય સત્તા આધારિત નિર્ણય લેવાની પદ્ધતિ હંમેશાં આ પ્રકારની રહી છે. પંડિત નહેરુ નિર્ણય લેવાની બાબતમાં સરદાર સિવાય કોઇની સાથે વાતચીત કરતા નહીં. ઇંદિરા ગાંધી અને નરસિંહરાવના સમયમાં પણ આ પ્રથા ચાલુ રહી. રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ અને વ્યક્તિકરણ થાય ત્યારે રાજકીય સંસ્કૃતિનું પણ કેન્દ્રીકરણ થાય છે. નવા વડાપ્રધાનને ટીમ સ્પિરિટથી કામ કરતાં ફાવતું નથી. વધારામાં, પોતાના સમકક્ષ લોકો સાથે મળીને ટીમ બનાવવાની સંસ્કૃતિ આપણે ત્યાં વિકસી નથી. ટીમની સાથે મુદ્દાની મેરિટના આધારે મતભેદ આવકારવાનું આપણને આવડતું નથી...મોદી વડાપ્રધાન બન્યા પછી (સત્તાના કેન્દ્રીકરણ-વ્યક્તિકરણની પ્રક્રિયા) વધારે વેગથી ચાલુ રહેશે. તેનો ઉપાય શું હોઇ શકે? એ વિચારવાનું છે. પ્રો.પારેખની દૃષ્ટિએ આ સમસ્યા આપણા કલ્ચર અને ફિલોસૉફીની છે.

(૨) વડાપ્રધાને પંદરમી ઑગસ્ટના પ્રવચનમાં વિકાસની વાત કરી છે અને લધુમતીને આર્થિક સહયોગની વાત કરી છે. પ્રો.પારેખે કહ્યું કે  વડાપ્રધાન દ્વારા દેશમાં જે ‘સેક્યુલર ક્લાઇમેટ’ પેદા થવું જોઇએ તે થતું નથી. ઉલટું, એવી સ્થિતિ પેદા થઇ છે કે પહેલા વરસાદ વખતે જમીનમાંથી જીવડાં ફૂટી નીકળે એવી રીતે તેમ, દેશમાં જે પ્રવાહોને ક્યારેય આદરમાન  અપાતું ન હતું એ પ્રવાહો ચૂંટણી પછી મુખ્ય પ્રવાહ તરીકે ઉભરવા લાગ્યા છે અને જે પ્રવાહોનો ગૌરવશાળી ઐતિહાસિક વારસો હતો અને એક સમયે જે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહને માર્ગદર્શન આપતા હતા તેમને વ્યવસ્થિત રીતે હાંસિયામાં ધકેલી દેવાયા છે.

આ વાતને વિસ્તારતાં પ્રો.પારેખે કહ્યું હતું,‘મારા મત મુજબ દેશમાં ઝડપથી એક બદલાવ (શિફ્‌ટ) અને તે પણ વડાપ્રધાનના નેજા હેઠળ આવી રહ્યો હોય એમ દેખાય છે. આ બદલાવ એક નજરે કદાચ ન દેખાય. કેમ કે એવા મુદ્દે વડાપ્રધાન સમજપૂર્વક મૌન સેવે છે અને તેમના પક્ષ કે સાથીદારોને જે કરવું હોય તે કરવા દે છે. આવું ઘણું બઘું મેં પણ બ્રિટનની સંસદમાં સત્તાપક્ષ તરફથી થતું જોયું છે. પરિણામે એ લોકો દેશને જે દિશામાં ખેંચી જવો હોય તે દિશામાં ખેંચી જશે. આ વડાપ્રધાનની વ્યવસ્થિત વ્યૂહરચના પણ હોઇ શકે કે ‘હું લોકોને વિકાસની વાત કરીશ અને તમારે જે કરવું હોય તે કરજો.’ તેને કારણે જે રાજકીય વાતાવરણ પેદા થઇ રહ્યું છે તે જોખમકારક છે...દેશનો ઇતિહાસ બદલનાર પક્ષ, મૂલ્યો અને વ્યક્તિઓનું વારાફરતી ડીહ્યુમનાઇઝેશન કરાઇ રહ્યું છે.’

(આવતા સપ્તાહે : વર્તમાન-ભવિષ્યને સાંકળતાં કેટલાંક વઘુ, વિચારોત્તેજક નિરીક્ષણો)

2 comments:

  1. rasprad niriksan.pro.bhikhbhai parekh,vartman bharat bhagyana
    vidhata banva jai rahel nmona vishisht pasa taraf apno nirdesh
    samjva layak che.

    ReplyDelete