Wednesday, June 17, 2015

કન્યાકેળવણીનાં ઢોલનગારાં વચ્ચે ચૂપચાપ આગળ ધપતો અનોખો પ્રયોગ : શિક્ષણ થકી વિદ્યાર્થીનીઓનું સશક્તીકરણ

શિક્ષણના શતમુખ વિનિપાતના કકળાટ વચ્ચે એક એવા રચનાત્મક પ્રયોગ-કમ-મૉડેલની વાત, જે શિક્ષણના તમામ સ્તરે અપનાવી શકાય છે--જો નિષ્ઠા અને દાનત હોય તો.

બારમા ધોરણનું પરિણામ આવી ગયું. હવે પ્રવેશની સીઝન ચાલશે. કૉલેજમાં પ્રવેશની મગજમારી અને શાળામાં પ્રવેશના સરકારી ઉત્સવ. બાળકો પ્રવેશ મેળવી લે અને શાળાઓમાં સંખ્યા દેખાય, એટલે સરકારની ફરજ પૂરી. બાળકોને શિક્ષણ મળ્યું કે નહીં, મળ્યું તો કેવું મળ્યું, એ તેમને કશા ખપમાં લાગશે કે નહીં અને આ બઘું તપાસવાની આપણી (સરકારની) જવાબદારી ખરી કે નહીં--એવા વિચારો કરવાનું સરકારને ફાવતું નથી.

એનો અર્થ એમ નથી કે તોતિંગ ફી લેનારી ખાનગી શિક્ષણસંસ્થાઓ વિદ્યાર્થીઓને ઘડીને ઊંધી વળી જાય છે. એવાં ઠેકાણે ઘણી વાર તો વધુ રૂપિયા ખર્ચ્યાના સંતોષ સિવાય બીજી કોઇ બાબતે રાજી થવાપણું હોતું નથી. એની સામે, સરકારી મદદથી ચાલતી શિક્ષણસંસ્થામાં ખાનગીને ટક્કર મારે એવી દૃષ્ટિ, એવો ખંત અને એટલી નિષ્ઠા જોવા મળે એવું પણ બને. (આવા કિસ્સામાં સરકાર સદંતર નિર્દોષ હોઇ શકે, પણ એ જુદી વાત થઇ.) ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અઘ્યાપકોના પગાર આસમાની થયા છે અને જવાબદારીનું સરેરાશ સ્તર પાતાળે પહોંચ્યું છે. પરંતુ નડિયાદની સૂરજબા મહિલા આર્ટ્‌સ કૉલેજ તેમાં સુખદ અપવાદ છે. તેના સ્ટાફ દ્વારા હાથ ધરાતી વિશિષ્ટ પ્રવેશઝુંબેશ અને તેની પાછળ રહેલી સામાજિક નિસબત ઘેરા અંધકારમાં આશાનો ઉજાસ ફેલાવે એવી છે. સરકારી ગ્રાન્ટથી ચાલતી આ કૉલેજ ફક્ત નડિયાદ જ નહીં, આજુબાજુનાં સંખ્યાબંધ ગામડાંમાં રહેતી બારમું ધોરણ પાસ છોકરીઓને કૉલેજનું શિક્ષણ મળે એ માટે પૂરી નિષ્ઠાથી પ્રયાસ કરે છે. શિક્ષણસંસ્થાઓની ફરજ ફી લેવા, પરીક્ષા લેવા અને ડીગ્રી આપવા પૂરતી સીમિત બની ચૂકી હોય, ત્યારે કોઇ કૉલેજ સ્વયંભૂ રીતે પોતાની સામાજિક જવાબદારી વિશે વિચારે, એ જ નવાઇની વાત નથી?

શિક્ષણસંસ્થા અને સામાજિક ઉત્તરદાયિત્વ- આ બે શબ્દો મોટે ભાગે ટીકાના સૂરમાં જ સાથે બોલાય છે, પણ નડિયાદની સૂરજબા મહિલા આર્ટ્‌સ કૉલેજના આચાર્ય હસિત મહેતા અને તેમના સાથીદારોની લાગલગાટ મહેનતના પ્રતાપે, ગયા વર્ષે (૨૦૧૪-૧૫માં) નડિયાદની આજુબાજુુનાં ૧૬૪ ગામની યુવતીઓએ આ કૉલેજમાં અભ્યાસ કર્યો. આ ગામડાંમાંથી મોટા ભાગનાં એવાં કે જેમની ‘વિકસિત ગુજરાત’ના નકશામાં ગણતરી જ ન હોય. શિક્ષણનો લાભ લેનાર મોટા ભાગની યુવતીઓ સામાજિક-આર્થિક રીતે ગરીબ-વંચિત પરિવારની હતી. છેલ્લાં પાંચ વર્ષથી દર વર્ષે આશરે સવાસોથી દોઢસો યુવતીઓ એવી હોય છે, જે કદાચ સામાન્ય સંજોગોમાં બારમું ધોરણ પાસ કર્યા પછી ઊઠી ગઇ હોત. પરંતુ કૉલેજના સ્ટાફના પ્રયાસોથી એ યુવતીઓ કૉલેજનાં પગથિયાં ચઢી શકી અને પરીક્ષા આપવાના છેલ્લા તબક્કા સુધી પહોંચી.

આવું શી રીતે શક્ય બને? કોઇ પણ કામ હાથ ધરવાની બે રીત હોય : એક એનજીઓ પદ્ધતિ, જેમાં એક પ્રશ્ન સાથે સંકળાયેલાં બે પાસાં પર કામ થતું હોય ને બાકીનાં વીસના છેડા લટકતા હોય. બીજી વાસ્તવિક પદ્ધતિ, જેમાં દરેક મુદ્દા વિશે વિચાર કરાતો હોય અને કાર્યપદ્ધતિમાં સતત સુધારા પણ થતા રહેતા હોય. બન્નેમાં પાયાનો ફરક એ કે બીજી પદ્ધતિમાં કોઇ ફંડિંગ એજન્સીને દેખાડવા માટે કાગળીયાં પર કામ બતાવવાનું ન હોય. જાત પાસેથી જ જવાબ માગવાના હોય. નડિયાદની આ કૉલેજના સ્ટાફે એ પ્રકારે કામ શરૂ કર્યું. વર્ષ ૨૦૦૬-૦૭માં કૉલેજના મૂલ્યાંકના માટે આવેલી ‘નેક’ની ટીમે કૉલેજને ‘બી’ ગ્રેડ આપ્યો અને કહ્યું કે ‘વિદ્યાર્થીનીઓની સંખ્યા વરસોવરસ ઘટી રહી છે. એ માટે પણ કંઇક કરવું જરૂરી છે. સંખ્યા વધારવા કરતાં પણ જરૂરી છે લોકોને ભણતા કરવાનું.’


કૉલેજના આચાર્યના મનમાં ચાલતી ગડમથલને ‘નેક’ ટીમના સૂચનથી બળ મળ્યું. તેમણે નક્કી કર્યું કે બારમા ધોરણ પછી વિવિધ કારણોસર અભ્યાસ છોડી દેતી યુવતીઓને શોધી કાઢવી અને તેમને અભ્યાસ આગળ વધારવા માટે સમજાવવી. આ કામ માટે સૌથી પહેલાં કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતી છોકરીઓને સાંકળવામાં આવી. વિદાય સમારંભ વખતે પોતાના ઘરે છોકરીઓને આઇસક્રીમ-પાર્ટી આપ્યા પછી આચાર્યે વિશિષ્ટ ગુરુદક્ષિણા માગીઃ ‘તમે દરેક જણ એક-એક એવી છોકરી શોધી આપો, જે બારમા ધોરણ પછી કૉલેજ જતી ન હોય. હું એટલું જ ઇચ્છું છું કે એ ભણતી થાય. એ આપણી કૉલેજમાં ભણે એ બિલકુલ જરૂરી નથી. એ ગમે ત્યાં ભણે, પણ ભણવી જોઇએ.’

છોકરીઓએ ઉત્સાહભેર વિગતો આપી. તેના આધારે કૉલેજના સ્ટાફે બારમું પાસ કર્યા પછી ઘરે બેસી ગયેલી છોકરીઓનો સંપર્ક કર્યો. તેમને સમજાવી. તેમાંથી ૧૬ છોકરીઓ ભણવા માટે આવી પણ ખરી. આ તો ફક્ત શરૂઆત હતી. કામનો વ્યાપ વધારવો હોય તો વઘુ માહિતી મેળવવી પડે. એ માટે ફક્ત કૉલેજની વિદ્યાર્થીનીઓ પર આધાર રાખીને બેસી ન રહેવાય. એટલે નક્કી થયું કે છોકરીઓ બારમા ધોરણમાં ભણતી હોય ત્યારે જ તેમનો સંપર્ક કરવો. એ માટે કૉલેજના અધ્યાપકો બારમા ધોરણની બોર્ડની પરીક્ષા પહેલાં નડિયાદ અને તેની આસપાસના સોએક ગામડાંને આવરી લેતી શાળાઓમાં પહોંચી જાય, ક્લાસમાં જઇને વિદ્યાર્થીનીઓ સાથે વાત કરે, તેમનાં નામ-સરનામાં-સંપર્ક નંબર મેળવે. ત્યાંથી વિદ્યાર્થીનીઓ સાથે સંપર્ક થાય.

કૉલેજ પાછા ફર્યા પછી તમામ વિદ્યાર્થીનીઓની વિગત અને તેમનાં ગામનાં નામનો ડેટા તૈયાર થાય. દરેક અધ્યાપકના નામની સામે તેમણે કયા ગામની કયા ક્રમમાં મુલાકાત લેવાની અને ત્યાં કેટલી વિદ્યાર્થીનીઓનો સંપર્ક કરવાનો તેની યાદી રૂટ સાથે તૈયાર કરવામાં આવે. ત્યાર પછી બારમા ધોરણની પરીક્ષા પછીના વૅકેશનમાં ધોમધખતા તડકામાં, અઘ્યાપકો વિદ્યાર્થીનીઓનો સંપર્ક કરવા નીકળી પડે.

ગામમાં પહોંચ્યા પછી અધ્યાપકો સરનામાં કે સંપર્ક નંબરના આધારે વિદ્યાર્થીનીઓની ભાળ મેળવે, તેમના કુટુંબ સાથે વાત કરે અને તેમની સાથે બેસીને એક સર્વેક્ષણ ફૉર્મ ભરે. ફૉર્મમાં પ્રાથમિક વિગતો ઉપરાંત બીજી પણ અનેક વિગતો હોય, જે સામાજિક કે સમાજશાસ્ત્રીય અભ્યાસ માટે પણ ઉપયોગી નીવડી શકે. જેમ કે, સર્વેક્ષણ ફૉર્મમાં એક સવાલ છે : વેકેશનમાં શું કર્યું? જવાબી વિકલ્પો : આરામ, કૌટુંબિક પ્રવાસ, કમ્પ્યુટર શિક્ષણ, અંગ્રેજીના વર્ગો, મહેંદી, સંગીત, સિવણ, બ્યુટી પાર્લર, કમાણી, ચિત્ર. ‘ટ્યુશનમાં જતા હતા?’ એવો સવાલ હોય અને ‘ટીચરની કનડગત હતી?’ એવો પણ સવાલ હોય. કૌટુંબિક વિગતોમાં જ્ઞાતિ-પેટાજ્ઞાતિ, સંયુક્ત કુટુંબ-વિભક્ત કુટુંબ જેવા પ્રશ્નો હોય અને કુટુંબની વાર્ષિક આવકનું ખાનું પણ હોય.

સાવ અજાણ્યા ગામમાં છોકરીઓ અને તેમના પરિવાર સાથે વાત કરવાની, પરિવારજનો તરફથી આવતા અણધાર્યા ‘બાઉન્સર’ સવાલોના તેમને સંતોષ થાય એવા જવાબ આપવાના, તેમનો અવિશ્વાસ દૂર કરવાનો, વિશ્વાસ હાંસલ કરવાનો અને છોકરીઓને આગળ ભણાવવા તૈયાર કરવાનાં--આ કામ અધ્યાપકોની આકરી કસોટી કરનારું બની રહે છે. અઘ્યાપકોના અવનવા અનુભવો અને જમીની વાસ્તવિકતાનો તાદૃશ ચિતાર આ પ્રયોગના સંવેદનસભર દસ્તાવેજીકરણ ‘શિક્ષણ થકી સશક્તીકરણ’ અને અંગ્રેજીમાં ‘એમ્પાવરમેન્ટ થુ્ર એજ્યુકેશન’ (લે.બીરેન કોઠારી, સાર્થક પ્રકાશન)માંથી મળી રહે છે.
(શિક્ષણ થકી સશક્તિકરણ- બીરેન કોઠારી- સાર્થક પ્રકાશન - કિંમત રૂ.૫૦)
(Empowerment Through Education - Biren Kothari- Trans : Ishan Bhavsar- Neesha Parikh- Saarthak Prakashan- Rs.50)

વૅકેશનમાં સર્વેક્ષણ ફૉર્મ ભરાઇ ગયા પછી બારમા ધોરણનું પરિણામ આવે, એટલે કૉલેજ તરફથી વિદ્યાર્થીઓનો ફોનથી સંપર્ક કરવામાં આવે છે અને દરેક ફોન વખતે શું વાત થઇ તેની નોંધ સર્વેક્ષણના ફૉર્મ પર તારીખ સાથે રાખવામાં આવે છે. કોઇ યુવતીના વાલી નન્નો ભણવાનું ચાલુ રાખે તો તેમને રૂબરૂ મળીને સમજાવવાનો પ્રયાસ પણ કૉલેજ તરફથી કરવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓ પ્રવેશ માટે કૉલેજમાં આવે ત્યારે ‘પ્રવેશવિધિ’ના નામે તેમને એક ટેબલેથી બીજા ટેબલે ધક્કા ન ખાવા પડે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વાલીઓનેે તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવે છે. વિદ્યાર્થીની પ્રવેશ મેળવી લે એટલે ‘એક માથું ઉમેરાયું’ એવો સંતોષ લઇને કૉલેજ બેસી રહેતી નથી. તે છેલ્લા વર્ષની પરીક્ષા આપે ત્યાં સુધી તેની કાળજી રાખવામાં આવે છે.

આ પ્રકારની કામગીરીમાં આંકડાકીય સફળતા બેશક અગત્યની છે, પરંતુ એટલી જ કે તેનાથી પણ વધારે મહત્ત્વની છે સામાજિક અસરો. ગ્રામ્ય વિસ્તારમાં બારમું ધોરણ ભણીને ઘરે બેસી જતી યુવતીઓ આર્થિક મર્યાદા-સામાજિક રૂઢિચુસ્તતાના ઊંબરા ઓળંગીને કૉલેજમાં જાય અને નવી દુનિયામાં ટકી રહેવાનો આત્મવિશ્વાસ કેળવી શકે, તેની કિંમત શી રીતે આંકવી? 

No comments:

Post a Comment