Tuesday, June 02, 2009

કોંગ્રેસની જીતઃ ‘જય હો’ ની બીજી બાજુ

‘સૌ સારૂં જેનો અંત સારો’ એ કહેણી પ્રમાણે, ચૂંટણીવિજય પછી કોંગ્રેસની પ્રશંસાનાં ગાડાં ઠલવાઇ રહ્યાં છે. સામાન્ય વ્યવહારમાં કહેવાય છે કે ‘સફળતાના અનેક પિતા હોય છે’, પણ કોંગ્રેસની સફળતા બદલ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને (દસ નંબર છોડીને) મનમોહન સિંઘને જશ આપવામાં આવે છે. ૩૯ વર્ષના રાહુલ ગાંધીએ એકલે હાથે કોંગ્રેસને સત્તા અપાવી દીધી હોય એવો માહોલ છે. ફારૂક અબ્દુલ્લાને રાહુલમાં પોતાના મિત્ર રાજીવ ગાંધીનાં દર્શન થાય છે. (આ પ્રશંસા છે કે ટીકા, તેનો આધાર તમારા અર્થઘટન પર છે.)

વાદળાં એવાં બંધાયાં છે કે તેમાંથી રાહુલ ગાંધીનાં ઓવારણાં લેતાં ‘અમીછાંટણાં’ - ખરેખર તો ‘માખણછાંટણાં’- ટપક્યા જ કરે. વડાપ્રધાન મનમોહન સિંઘે પોતાના હોદ્દાની ગરીમાને બદલે પક્ષકીય વફાદારીને વધારે મહત્ત્વ આપીને, રાહુલને મંત્રીમંડળમાં સામેલ થવા વિનંતી કરી હતી. પરંતુ ૨૦૦૪ની ચૂંટણી પછી સોનિયા ગાંધીએ વડાપ્રધાન થવાનું માંડવાળ કરીને પોતાની સ્થિતિ મજબૂત કરી હતી, તેમ આ વખતે રાહુલ ગાંધીએ મંત્રીમંડળમાં સામેલ થવાની ના પાડીને કમ સે કમ ધીરજનો પરચો તો આપ્યો છે.

પ્રમાણ જાળવવાની પળોજણ
રાહુલ ગાંધીની ખૂબીઓની યાદી બનાવવાનું કામ અત્યારે પૂરબહારમાં ચાલુ છે. યુવાન, ભણેલા, સૌમ્ય, કઠણ વાસ્તવિકતાનો પરિચય મેળવી રહેલા, સરળ, લોકો વચ્ચે ધસી જનારા, યુવાનોમાં પ્રિય- આ રાહુલના કેટલાક બહુ જાણીતા ગુણ છે. આ ગુણો નેતા બનવા ઇચ્છનાર માટે બહુ ઉપયોગી છે, પણ એ પૂરતા નથી.

દેખીતી વાત છે કે રાહુલ ગાંધીનો ઉછેર વડાપ્રધાન બનાવવા માટે થઇ રહ્યો છે. કેવળ ગાંધી કુટુંબમાં જન્મ લેવાને કારણે રાહુલ, બીજા અનેક સંભવિત લાયક ઉમેદવારોને બાજુ પર રાખીને વડાપ્રધાન બને, એ વાત લોકશાહીમાં પચાવવી અઘરી છે. છતાં, કોંગ્રેસનું માળખું એવું ગાંધીકેન્દ્રી છે કે બીજા યુવાન સાંસદોમાંથી એક કે ઘણા રાહુલ કરતાં વધારે હોંશિયાર હોય તો પણ તે કદી વડાપ્રધાન બનવાનું સ્વપ્નું જોઇ શકે નહીં. રાહુલ માટે વડાપ્રધાનપદ ખરા અર્થમાં ‘પિતાશ્રીની ગાદી’ છે. એવું ન હોઇ શકે- ન હોવું જોઇએ એટલી સાદી વાત લોકો સ્વીકારી શકતા નથી. તેનું એક કારણ છેઃ સરેરાશ ભારતીય પ્રજાના મનમાં ઉંડે ઉંડે રાજપરિવારો માટે રહેલો આદર અને રૈયતપણાનો દૃઢીભૂત થયેલો ભાવ. તેનાથી પ્રેરાઇને પ્રસાર માઘ્યમો સુદ્ધાં રાહુલ ગાંધીને રાજપરિવારના ગણીને તેમના માટે ‘યુવરાજ’ જેવા શબ્દપ્રયોગ વાપરે છે- કેમ જાણે ભારત પ્રજાસત્તાક દેશ નહીં, રજવાડું હોય.

ટૂંકા જાહેરજીવનમાં રાહુલ ગાંધી હજુ બિનવિવાદાસ્પદ રહ્યા છે. તેમની કોલંબિયન ગર્લફ્રેન્ડનો કિસ્સો હવે ભૂતકાળ છે. એનું સંભવિત કારણ ભારતના રાજકારણમાં સક્રિય થવાની પૂર્વતૈયારી પણ હોય. રાહુલ રાજકારણથી દૂર રહ્યા હોત તો આ તેમની અંગત બાબત હતી, પણ હવે સ્થિતિ જુદી છે. રાહુલની સૌથી મોટી લાયકાત એ ગણાય છે કે તેમની સાથે કોઇ નકારાત્મક બાબત સંકળાયેલી નથી. સોનિયા ગાંધીના વિદેશી મૂળ સામે વાંધો ઉઠાવનારા એ બાબતે રાહુલ સામે વાંધો પાડી શકે એમ નથી. ભણેલા-શહેરી-દેખાવડા તરીકે રાહુલ દેશના મઘ્યમ વર્ગને તથા યુવાનોને આકર્ષી શકે છે. પણ ભારતના વડાપ્રધાન બનવા માટે આટલી લાયકાત પૂરતી છે?

તેનો જવાબ છેઃ ના. આ જવાબ અંગે સોનિયા ગાંધી અને ખુદ રાહુલ ગાંધી સભાન હશે. એટલે જ કદાચ તે પોતાની લાયકાત કેળવી રહ્યા છે. ભારતના વડાપ્રધાન ફક્ત ‘ફીલગુડ’ની લાગણી પેદા કરે એટલું પૂરતું નથી. ભારત નક્કર સમસ્યાથી ઘેરાયેલો દેશ છે. સમસ્યાઓની સમજણ અને તેમની સામે ઝીંક ઝીલવા માટે આંતરરાષ્ટ્રિય બાબતોનો અભ્યાસ આવશ્યક છે. વૈશ્વિકીકરણ પછી વિદેશની સમસ્યાઓનો રેલો ક્યારે ભારતમાં પહોંચી જાય, તેનો ખ્યાલ રહેતો નથી. ઉપરાંત, દેશની ભયંકર આંતરિક સમસ્યાઓ તો ખરી જ. ભારતના સંભવિત વડાપ્રધાનની ચાંચ ફક્ત વર્તમાનકાળમાં જ નહીં, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પણ ડૂબતી હોય એ જરૂરી છે.

અત્યારે કોંગ્રેસની બેઠકસંખ્યા વધારે છે એટલે બધા જૂના જોગીઓ પિંજરામાં પુરાયેલા વાઘની માફક કહ્યાગરા લાગે છે. પણ રાહુલ ગાંધીને જેટલાં વર્ષ થયાં, એના કરતાં વધુ વર્ષોથી રાજકારણમાં પડ્યાપાથર્યા રહેનારા નેતાઓ મોજૂદ છે. તે કાયમ માટે કહ્યાગરા રહેશે એવું માની લેવાને કારણ નથી.

‘આ બધા સાથે પનારો પાડી શકે એવો નેતા ફક્ત આદર્શમાં કે કલ્પનામાં જ હોઇ શકે’ એવું જેમને લાગે, તેમણે યાદ રાખવું કે ચૂંટણીની જીત પછી, રાહુલ ગાંધીની આવી ‘સુપરમેન’ છાપ ઉભી કરવામાં આવી રહી છે. રાહુલની સ્વચ્છ પ્રતિભા અને તેમના યુવા નેતૃત્વ પર ઓળઘોળ થતી વખતે એ ભૂલવું ન જોઇએ કે સહાનુભૂતિના મોજા પર ચૂંટાઇ આવેલા રાજીવ ગાંધી રાહુલ કરતાં પણ વધારે ‘નિર્દોષ’ હતા. છતાં કેટલાક સન્મિત્રોની સાથોસાથ અમુક હજૂરિયાઓ-સલાહકારોની સંગતને કારણે તેમના રાજકીય જીવન પર જ નહીં, પક્ષ ઉપર પણ બોફર્સનો એવો ધબ્બો પડી ગયો જે તેમના મૃત્યુનાં આટલાં વર્ષે પૂરેપૂરો સાફ થયો નથી. રાજકારણમાં વર્ષોથી જમાવેલી પ્રતિષ્ઠા ગુમાવવામાં વર્ષો લાગતાં નથી. એક જ ભૂલ પૂરતી થઇ પડે છે. રાહુલ રાજીવ કરતાં પ્રમાણમાં અનુભવી છે. છતાં હજુ એમને ભૂલ કરવાની તક મળી નથી. એટલે એ બાબતમાં તેમનાં વખાણ વહેલાં ગણાય.

મનમોહનથી મોહાયા વિના
નેહરૂ-ગાંધી પરિવાર સિવાયના કોંગ્રેસી નેતા તરીકે બીજી વાર વડાપ્રધાન બનીને ડૉ.મનમોહન સિંઘે વિક્રમ સર્જ્યો છે. પરંતુ જે રીતે સીતારામ કેસરીએ કે નરસિંહરાવે ગાંધી પરિવારથી સ્વતંત્ર રહીને સત્તા ભોગવી, એવું ડૉ.સિંઘ માટે શક્ય બનવાનું નથી.

સૌમ્ય-શાલીન વ્યક્તિત્વ તરીકે જાણીતા ડૉ. સિંઘ, સહેજ અતિશયોક્તિ વાપરીને કહીએ તો, કેટલીક બાબતમાં રાહુલ ગાંધીની ‘અર્થશાસ્ત્રી આવૃત્તિ’ છેઃ નિર્દોષ, નિરૂપદ્રવી, શહેરી મઘ્યમ વર્ગને પોતાપણાનો અહેસાસ આપે એવા...પરંતુ ‘તહલકા’ સામયિકના તંત્રી તરૂણ તેજપાલે થોડા વખત પહેલાં મનમોહન સિંઘનાં લેખાંજોખાં કરતી વખતે નોંઘ્યું હતું તેમ, આમઆદમીની વાત કરતા ડૉ. સિંઘ ગરીબોનાં હિતની વાત આવે ત્યારે મોટે ભાગે સામા પક્ષે (ધનિકોના પક્ષે) ઉભેલા જોવા મળે છે. ડૉ.સિંઘની શાલીનતા અને નબળાઇ વચ્ચેની ભેદરેખા ભારત-અમેરિકા પરમાણુ સંધિ જેવા કેટલાક મુદ્દા સિવાય મોટે ભાગે અદૃશ્ય રહેતી હોય છે. મુંબઇ પરના ત્રાસવાદી હુમલા પછી તેમણે કેટલાક લોકોની અપેક્ષા મુજબ પાકિસ્તાન સામે યુદ્ધ ન છેડી દીઘું એ સારૂં જ કર્યું, પણ ઘરઆંગણે ત્રાસવાદનો મુકાબલો કરવાના તંત્રમાં થયેલી પ્રગતિ ભાગ્યે જ સંતોષકારક કહેવાય એવી છે.

છેલ્લા થોડા સમયમાં ડૉ.સિંઘનું સૌથી આઘાતજનક વિધાન ૧૯૮૪ના શીખ હત્યાકાંડ વિશેનું હતું. તેમણે એ મતલબનું કહ્યું હતું કે ‘જૂના ઘાને ક્યાં સુધી ખોતર્યા કરવાના?’ ડૉ.સિંઘ પોતે શીખ છે, તેનાથી આખા વિધાનમાં કરૂણતાની સાથે વક્રતા પણ ભળી હતી. ‘જૂના ઘા ક્યાં સુધી ખોતર્યા કરવાના?’ એનો જવાબ બહુ સ્પષ્ટ છેઃ ન્યાય ન થાય ત્યાં સુધી!

કોંગ્રેસ, મનમોહન સિંઘ અને સોનિયા ગાંધી શીખ હત્યાકાંડ વિશે નૈતિક જવાબદારી સ્વીકારીને માફી માગી ચૂક્યાં છે. છતાં એટલું પૂરતું નથી. (ગુજરાતના મુખ્ય મંત્રીને પોતાના રાજમાં આટલા લાંબા સમય સુધી હિંસાચાર ચાલ્યો તેની નૈતિક જવાબદારી સ્વીકારવાનું અને દિલગીરી વ્યક્ત કરવાનું પણ હજુ સૂઝ્યું નથી. લોહીના ડાઘ ઉપર ‘વિકાસ’નો ગાલીચો પાથરવાથી કામ ચાલી જાય?) કોંગ્રેસના મનમાં માફી ‘ઉગી’ હોત તો જગદીશ ટાઇટલર અને સજ્જનકુમારને ટિકિટ મળી ન હોત. જેમની સામે ભયાનક અપરાધના આરોપો છે, એવા લોકો ન્યાયપ્રક્રિયાને બદલે તેની છટકબારીમાંથી બહાર નીકળી જાય, તેને ન્યાય થયો શી રીતે કહેવાય?

કોંગ્રેસવિરોધી એટલે ભાજપી? ભાજપવિરોધી એટલે કોંગ્રેસી?
સમીકરણ તો એવું જ બેસાડવામાં આવ્યું છે. કારણ કે તે અનુકૂળ છેઃ કોંગ્રેસની ટીકા કરે તેને ભાજપી ગણી લેવાના અને ભાજપની ટીકા કરે તેને કોંગ્રેસી/સેક્યુલર/લઘુમતિતરફી!

કોંગ્રેસ-ભાજપ મુખ્ય રાજકીય પક્ષો છે, એ બરાબર. ચૂંટણી વખતે બન્નેમાંથી કોઇ એકને જ મત આપી શકાય છે, એ પણ બરાબર. પરંતુ એવું કોણે કહ્યું કે નાગરિકોએ કોઇ એક પક્ષના ડાબલા પહેરી લેવા પડે? કોંગ્રેસનું તકલાદી સેક્યુલરિઝમ ન ગમતું હોય, ૧૯૮૪નાં શીખ રમખાણોના મુદ્દે કોંગ્રેસી નેતાઓને આકરામાં આકરી સજા થાય એવી દિલી ઇચ્છા રહેતી હોય છતાં, એ બધા વાંધા સહિત- અને ચૂંટણી પછી એ વાંધા ભૂલ્યા વિના- કોંગ્રેસને મત આપી શકાય. એ જ રીતે, ભાજપનું સગવડીયું કોમવાદી વલણ ન ગમતું હોય, રામમંદિરના નામે પોતાની ખીચડી પકાવવાની ચાલ સામે ગુસ્સો હોય, ૨૦૦૨માં ગુજરાતમાં સરકારની નિષ્ફળતા અને તેને છાવરવાની નફ્ફટાઇ અંગે રોષ ચડતો હોય, છતાં સ્થાનિક કે બીજી કોઇ ગણતરીથી ભાજપને મત આપી શકાય. દરેક નાગરિક પાસે એટલી સ્વતંત્રતા હોય છે.

પણ થાય છે શું? કોંગ્રેસ અને ભાજપ બન્નેનાં અન્યાયી વલણોની ટીકા કરવાની સાવધાન વૃત્તિ રાખવાને બદલે નાગરિકો એક યા બીજા પક્ષની છાવણીમાં વિશ્રામ કરતા થઇ જાય છે. એક યા બીજા નેતાના ચગડોળે ચડીને, તેમના અવેતન બચાવકર્તા થઇ જાય છે.

ડૉ. મનમોહન સિંઘ શીખ હત્યાકાંડ વિશે જે કંઇ બોલ્યા, તેની ટીકા ચાલતી હોય ત્યારે ‘તેમના આર્થિક સુધારાની વાત કરો’ એવું કોઇ કહે તો કેવી ખીજ ચડે? ભાજપ-કોંગ્રેસથી દૂર રહેલા એક નાગરિક તરીકે, એવી જ હાલત ૨૦૦૨ના ગુજરાતની વાત વખતે થાય છે. એ વાત શરૂ થાય એટલે તરત ગાડી એ મુદ્દા પર આગળ ચાલવાને બદલે ફટાફટ ૧૯૮૪ હત્યાકાંડ-કાશ્મીરના પંડિતો જેવા પાટા બદલવા લાગે છે. સામાન્ય નાગરિકને ૧૯૮૪ જેટલો જ વાંધો ૨૦૦૨ સામે હોવો જોઇએ, એ વાતને ભૂલાવી દેવામાં આવે છે અને કોઇ પક્ષે ઝલાવેલી તતુડીઓ વગાડતાં ‘એ વખતે તમે ક્યાં હતા?’નું કોરસ ચાલુ થઇ જાય છે.

સાર એટલો કે મતદારો મત ગમે તે પક્ષને આપે, પણ કોઇ પક્ષના કે નેતાના ખોળે માથું મૂકીને ઊંઘી ન જાય અને એ કદી કશું ખોટું કરી જ ન શકે, એવા ભ્રમમાં ન રાચે. ‘બધા પક્ષો સરખા છે’ એમ કહીને પોતાને ગમતા પક્ષનાં દૂષણો છાવરીને ફક્ત વિરોધી પક્ષની છાલ ન ઉતારે.
સંશયાત્માઓનો જય હો.

No comments:

Post a Comment