Thursday, July 31, 2008

આંખનું કાજળ ગાલે # 1 : યે ભાવના સોમૈયા ક્યા ચીજ હૈ?

સૌથી પહેલાં, મથાળામાં જણાતા દેખીતા અવિવેક વિશે સ્પષ્ટતાઃ 20 જુલાઇના રવિવારની સંદેશ સાપ્તાહિક પૂર્તિમાં જાણીતાં ફિલ્મપત્રકાર ભાવના સોમૈયાના લેખનું મથાળું છેઃ યે બાબુરાવ પટેલ ક્યા ચીજ હૈ?
અંગ્રેજી ‘જી’ અને ‘સ્ક્રીન’નાં તંત્રી રહી ચૂકેલાં અને મુંબઇની ફિલ્મી આલમમાં અચ્છુંખાસું નામ ધરાવતાં ભાવનાબહેને સંદેશની કોલમનો આખો લેખ ‘ફિલ્મઇન્ડિયા’ના તંત્રી બાબુરાવ પટેલ વિશે ઠપકાર્યો છે.

હા, ઠપકાર્યો છે. કારણ કે લેખમાં ‘ફકરે ફકરે કાદુ તારા લોચા’ એવો મામલો છે. બાબુરાવ પટેલના મૃત્યુનો મહિનો ખોટો લખ્યો છે. ઉત્સાહમાં આવીને ભાવનાબહેન એ મતલબનું પણ કહી બેઠાં છે કે બાબુરાવના રીવ્યુથી ફિલ્મો તરી અથવા ડૂબી જતી હતી.
બાબુરાવની શૈલી છટાદાર અને તેજાબી હતી. જૂના ફિલ્મસંગીતના-ફિલ્મોના વિદ્યાર્થી તરીકે મેં અઢળક ફિલ્મઇન્ડિયાં જોયાં-વાંચ્યાં-માણ્યાં છે. બાબુરાવની શૈલીનો હું પણ પ્રેમી છું. છતાં તેમના રીવ્યુની બોક્સઓફિસ પર અસર થઇ નથી. પ્રોડ્યુસર-ડાયરેક્ટર અને કલાકારો તેમની કલમથી ગભરાતા હતા, પણ ક્યાં ફિલ્મઇન્ડિયા વાંચનારું મર્યાદિત ઓડિયન્સ અને ક્યાં હિંદી ફિલ્મો જોનારો વિશાળ જનસમૂહ!
ફક્ત આટલા તર્કથી મારો મુદ્દો સાબીત કરવાનો નથી. બાબુરાવ રીવ્યુમાં કેવો માર ખાતા હતા અને સારી ફિલ્મો- સારા સંગીતને ધીબેડી નાખવાની સાથે ખરાબ ફિલ્મોને છાપરે ચડાવતા હતા, એ બધું મારા ભવિષ્યના લેખોનો વિષય છે. પણ એક-બે સેમ્પલઃ

દિલીપકુમારની પહેલી ફિલ્મ ‘જ્વારભાટા’(1944) જોયા પછી બાબુરાવે એ મતલબનું લખ્યું હતું કે ફિલ્મનો હીરો કોઇ રીતે ફિલમલાઇનમાં ચાલે એમ નથી. એટલે એ જ્યાંથી આવ્યો હોય ત્યાં પાછો જતો રહે એમાં જ તેની ભલાઇ છે.--(

નૌશાદ પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતા બાબુરાવે ‘બૈજુ બાવરા’ના સંગીત માટે ‘સારી મહેનત કરી છે’ એવાં કોમ્પ્લીમેન્ટ આપ્યાં હતાં અને ‘શબાબ’નાં અદભૂત ગીતોમાંનું એક ‘મરના તેરી ગલીમેં, જીના તેરી ગલીમેં’ ટાંકીને બાબુરાવ ઉવાચઃ ‘શબાબમાં નૌશાદે તેરી ગલી, મેરી ગલી જેવાં સસ્તાં ગીતો બનાવ્યાં છે.’ ધેટ્સ ઓલ, યોર ઓનર.

ઓર, ધેટ્સ નોટ ઓલ. ભાવનાબહેન લખે છે કે રાજકારણમાં પડેલાં બાબુરાવથી ગભરાતાં ઇંદિરા ગાંધીએ તેમને રાજ્યસભાનું સભ્યપદ આપીને પટાવી લીધા હતા. આ વાત સદંતર ખોટી છે, એટલી મને ખબર હતી, પણ બાબુરાવના ભક્ત-ચાહક અમદાવાદના મહેન્દ્રભાઇ શાહ વધારે વિગત આપતાં કહે છે કે ‘બાબુરાવ મધ્ય પ્રદેશની ઉજ્જૈન પાસે આવેલી એક બેઠક (શાજપુર) પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. તેમને ગ્વાલિયરનાં રાજમાતા સિંધીયાએ સ્પોન્સર કર્યા હતા અને જનસંઘે ટેકો આપ્યો હતો. આ ચૂંટણીમાં ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્ય મંત્રી લીલાધર મિશ્રાને હરાવીને બાબુરાવ લોકસભાના સભ્ય બન્યા હતા.

બાબુરાવ ડોક્ટર ન હતા, છતાં ધરાર પોતાના નામ આગળ ‘ડો.’ લખતા હતા. અમદાવાદના એક જાણીતી કોલેજના આચાર્યને પણ એવો જ શોખ છે. બહરહાલ, વો કિસ્સા ફિર કભી...

વાત ભાવનાબહેનની ચાલે છે. એટલે ભૂલોનો અંબાર ખડક્યા પછી તેની પર ‘ટોપિંગ’ જેવી ભૂલઃ લેખ સાથે છપાયેલી બે તસવીરોમાંથી એક તસવીર બાબુરાવનાં બીજાં પત્ની સુશીલારાણી પટેલની છે, પણ તેમની સાથેની તસવીર બાબુરાવ પટેલની નથી. એ તસવીર કોની છે? મહેન્દ્ર શાહ કહે છે કે ‘ફિલ્મ ઇન્ડિયા’ ના હોલિવુડના કોરસ્પોન્ડન્ટ રામ બાગાઇની છે.

ભાવનાબહેન, ગુજરાતી છાપાના વાચકો માટે આમ ડાબા હાથે લખશો તો કેમ ચાલશે? તમે લખો છો એ જગ્યાએ વર્ષો સુધી સલીલ દલાલ લખતા હતા. એમનું વાંચીને અમે મોટા થયા. વલ્લભવિદ્યાનગરના સલીલભાઇનો તમારા જેવો કોઇ દાવો ન હતો. છતાં તેમણે અનેક વિષયોને એક ધાગે પરોવીને લખવાની પ્રવાહી શૈલી વિકસાવી. ગુજરાતી છાપાંમાં ‘ફિલમની ચિલમ’ ડાલડા અને ઝેરોક્સની જેમ વિશેષ નામ મટીને સામાન્ય નામ બની ગયું.

હવે તમે મુંબઇમાં જ રહો, ત્યાંના ‘સ્ટાર્સો’ સાથે સંપર્કમાં હો, છતાં આવા ભીંડા મારો તો શું થશે? કે પછી આમ જ હલાવવું પડશે?

નોંધઃ ‘આંખનું કાજળ ગાલે’ ના મથાળા હેઠળ આવી વાનગીઓ મુકવાનો વિચાર છે. ‘પ્રોફેશનલ એથિક્સ’ મુજબ મારે જણાવવું જોઇએ કે હું ‘ગુજરાત સમાચાર’ સાથે સંકળાયેલો છું.
એ કહ્યા પછી બીજા જ શ્વાસમાં એ જાહેર કહેવાનું થાય છે કે આમ તો સમગ્રપણે મારા લેખનમાં, છતાં આ બ્લોગમાં સવિશેષ, હું માત્ર મારી સાથે અને વાચકો સાથે સંકળાયેલો છું. બહારની જેમ અહીં પણ હું એક યા બીજા છાપા કે મેગેઝીનના ‘વફાદાર’ કે ‘ટીકાકાર’ તરીકે પેશ થતો નથી. ‘આંખનું કાજળ ગાલે’ની આ પહેલી એન્ટ્રી હોવાથી આટલી સ્પષ્ટતા.

જોવા જેવી ફિલ્મઃ બેટમેન- ‘ધ ડાર્ક નાઇટ’

તેર વર્ષ પહેલાંની વાત છે. પત્રકારત્વ જેવા કોઇ ક્ષેત્રના અસ્તિત્વ વિશે હું અજાણ હતો. બે-ચાર જુદા જુદા પ્રકારની નોકરીઓ પછી ‘નવનીતલાલ એન્ડ કંપની’માં કમને ક્લાયન્ટ સર્વિસિંગમાં અટવાયો હતો. એ વખતે ‘અભિયાન’ માં નવા રીપોર્ટર-કમ-સબએડિટરની જગ્યા માટે જાહેરાત આવી. મેં પરંપરાગત અરજીને બદલે જરા જુદી રીતે મારી રજૂઆત કરતો પત્ર લખ્યો. થોડા મહિના પછી ઇન્ટરવ્યુ અને ‘અભિયાન’માં પસંદગી જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબીત થઇ. (વધુ વિગતો માટે જુઓઃ ઇમેજ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત સંપાદનઃ ‘મારા જીવનનો વળાંક’)

સૌને થશે કે આ ભાઇનું ‘કાંતિ ભટ્ટકરણ’ થઇ ગયું કે શું? ચિંતા ન કરશો. હજી મારું ઠેકાણે છે. ઉપર લખેલી વાતનો આ એન્ટ્રી સાથે સીધો સંબંધ છે. ‘અભિયાન’માં મારી પસંદગી પહેલાં આવેલાં પત્રો-અરજી જોઇને હેતલ દેસાઇએ મારો પત્ર જુદો તારવ્યો હતો- ‘આમાં કંઇક છે’ એવું લાગવાથી.

‘અભિયાન’માં જોડાયા પછી મઝા આવતી હતી, પણ પત્રકારત્વમાં મારા ભવિષ્ય વિશે હું અવઢવમાં હતો, ત્યારે અભિયાનના તત્કાલીન ચીફ રીપોર્ટર દીપક સોલિયાએ તેમની સહજ આત્મીય શૈલીમાં મારા માટે ‘લંબી રેસકા ઘોડા’ જેવો અભિપ્રાય આપ્યો હતો- ‘આમાં કંઇક છે’ એવું લાગવાથી.

સમય જતાં દંપતિ અને મિત્રદંપતિ બનેલાં હેતલ- દીપકની પસંદગી વિશે આટલું લખ્યા પછી મુદ્દાની વાતઃ હેતલ દેસાઇ લખે છે કે ‘બેટમેનની નવી ફિલ્મ ‘ધ ડાર્ક નાઇટ’ અચૂક જોવા જેવી છે. હું ખચકાટ સાથે જોવા ગઇ હતી, પણ બહુ જ મઝા પડી.’ હેતલે એમ પણ લખ્યું છે કે ‘આ ફિલ્મ વિશે ‘જોવા જેવી ફિલ્મ’ વિભાગમાં લખવા જેવું છે.’ કારણ? ‘આમાં કંઇક છે.’

અત્યારે કેટલાંક કારણસર ફિલ્મ જોવાનો જોગ થાય તેમ નથી. એટલે હેતલના સૂચન નીચે વિના ખચકાટે મારી સહી કરીને અહીં મુકું છું. હેતલ-દીપક જેવા મિત્રો આ બ્લોગ વાંચે છે અને આવાં સૂચનો પણ કરે છે, એટલે બ્લોગેચ્છાનો ‘જોસ્સો’ જળવાઇ રહે છે

Tuesday, July 29, 2008

સાવધાન, બોમ્બવિસ્ફોટથી થયેલા નુકસાનનો ફાયદો બીજું કોઇ ન ઉઠાવી જાય

શ્રેણીબઘ્ધ બોમ્બધડાકા- આ શબ્દ અને તેની સાથે સંકળાયેલો ખૌફ ઘણા સમયથી મુંબઇ-દિલ્હીની હદ છોડી ચૂક્યાં હતાં. હવે તે ધડાકાભેર અમદાવાદ મારફત ગુજરાતમાં પ્રવેશ્યાં છે. ધડાકાથી થતી જાનમાલની ખુવારી મોટી હોય છે. સાથોસાથ, પ્રજાના મનમાં ભયની વૃત્તિ ઘર કરી જાય અને લોકો ઉચાટમાં જીવતા થઇ જાય એ નુકસાન પણ નાનું નથી હોતું. ઉચાટગ્રસ્ત અને અસલામત મનોદશા ધરાવતી પ્રજાને તમામ પ્રકારના નેતાઓ બહુ સહેલાઇથી પોતાના ફાયદામાં વાળી શકે છે. પ્રજાકીય હિતને માથે તોળાતા આ જોખમ સામે ક્યાંય રેડ એલર્ટ જાહેર કરવામાં આવતી નથી. એટલા માટે એ વધારે ખતરનાક છે.

બોમ્બધડાકાનો બેવડો ફટકો
બોમ્બધડાકા જેવી ઘટના બને એટલે સૌથી મોટું નુકસાન નાગરિકોના જીવનું હોય છે. ભારત જેવા દેશમાં નાગરિકોના જીવની ‘કિંમત’ બહુ હોતી નથી. ગરીબોના જીવની તો લગભગ નહીંવત્. મૃતકો વિશે બીજા લોકો આંકડાની રીતે વિચારે છેઃ ‘ત્રીસ-ચાળીસ બહુ ન કહેવાય. સો-દોઢસો હોય તો મામલો ખરેખર ગંભીર કહેવાય.’ હકીકતમાં એક મૃત્યુ થાય તો પણ એક આખો પરિવાર ભાંગી પડે એવું બની શકે છે. બીજું નુકસાન જાહેર અને ખાનગી સંપત્તિનું હોય છે. ઉપરાંત માનસિક આઘાત પણ ખરો.

આટલા બધા મોરચે ફટકા પડ્યા હોય, ત્યારે શાણપણ એમાં છે કે ખાતર પર દીવો ન થાય. જેટલું નુકસાન થઇ ચૂક્યું છે, તેની પાછળ વધારે નુકસાન ન થવા દઇએ, પ્રજાને થયેલા નુકસાનમાંથી બીજું કોઇ ફાયદો ઉઠાવવાની કોશિશ કરે તો તેને સફળ ન થવા દઇએ, તેને ઉત્તેજન ન આપીએ અને તેના ચગડોળે ન ચડીએ. પહેલી નજરે સરકારી સૂચના જેવી લાગતી આ વાત ઠંડા કલેજે વિચારવા જેવી છે. કારણ કે અમદાવાદમાં વિસ્ફોટોને કારણે થયેલી ખુવારી પછી, તેના ‘આફટરશોક’ જેવા વધારાના નુકસાનનો દૌર ચાલુ થઇ શકે છે.
ધડાકા અમુક પક્ષે કરાવ્યા કે તમુક બાવાએ કરાવ્યા, એવાં અનુમાનો ઉછાળવાનો આ સમય નથી. કેમ કે, એવા આરોપ કદી અટકળ કે ગુસપુસથી આગળ વધી શકતા નથી. તેમની સચ્ચાઇ વિવાદાસ્પદ રહેતી હોવાથી એમાં સમય બગાડવાનો અર્થ નથી. પ્રજાકીય દ્રષ્ટિકોણથી જરા જુદી રીતે આ બાબતનો વિચાર કરી શકાયઃ અમદાવાદના બોમ્બવિસ્ફોટોથી કોને કોને ફાયદો મળી શકે એમ છે? અને એ લોકો બોમ્બસિફોટ જેવી કરૂણ ઘટનાનો ફાયદો ખાટી ન જાય, તે માટે આપણે શું કરી શકીએ?
કોને ફાયદો?
‘બોમ્બધડાકાનો ફાયદો? એ કેવી રીતે લેવાય?’ એવું પૂછવા જેટલું ભોળપણ હવે લોકોમાં રહ્યું નથી. એટલે સીધા મુદ્દાની વાત પર આવીએ. સવાલ એ નથી કે ‘બોમ્બધડાકામાંથી કોણ કોણ ફાયદો લેવા માગે છે?’ જાગ્રત નાગરિક તરીકે વિચારવાની વાત એ છે કે ‘બોમ્બધડાકાથી કોને કોને ફાયદો થઇ શકે? અને કેવી રીતે?’

ગુજરાત સિવાય બીજું કોઇ પણ રાજ્ય હોત, તો ધડાકાનો ફાયદો મેળવનારની યાદીમાં સૌથી પહેલું નામ વિરોધપક્ષનું આવ્યું હોત. સામાન્ય રિવાજ પ્રમાણે, જેના શાસનમાં બોમ્બધડાકા થાય તે મુખ્ય મંત્રી અને સરકાર પર વિપક્ષો નિષ્ફળતાનો આરોપ મુકે છે. આ રિવાજ માટે મુખ્યત્વે પ્રજા પ્રત્યેની નિસબત નહીં, પણ હરીફને ભીડાવવાની વૃત્તિ કારણભૂત હોય છે.

પણ ગુજરાતમાં અવળી ગંગા (કે નર્મદા) છે. ગુજરાતમાં બઘું ધડાકાભડાકા વગર સમુંસૂતરું ચાલે, તો મુખ્ય મંત્રી શાંતિ જાળવી રાખ્યાનો જશ મેળવે છે અને બોમ્બધડાકા થાય તો તે આતંકવાદીઓનું નિશાન બનવા બદલ સહાનુભૂતિ અને ‘આતંકવાદીઓને (પકડ્યા પહેલા) નહીં છોડીએ’ની વાતો કરીને અહોભાવ ઉઘરાવી શકે છે.

છેલ્લા થોડા સમયથી ગુજરાતના મુખ્ય મંત્રી કદાચ અત્યારના સુધીના તેમના શાસનકાળનો સૌથી કપરો સમય વીતાવી રહ્યા છે. તેમની પર રાજકીય આફતો ઘણી આવી ને ગઇ, પણ પ્રજાકીય વિશ્વાસનું સ્તર આટલું નીચું કદી ગયું નથી. આસારામના મુદ્દે મૌન, ઢીલાશ અને પ્રજાને બદલે પ્રજા પર હુમલો કરનાર આસારામ એન્ડ કંપનીને રક્ષણ પૂરું પાડવાના મુખ્ય મંત્રીના વલણથી તેમના ઘણા ચુસ્ત સમર્થકો પણ નારાજ થયા છે. તેમનો અહોભાવ સાવ ઓસરી ગયો નથી. પણ સાડા પાંચ કરોડ ગુજરાતીઓના હિતનો દાવો કરતા મુખ્ય મંત્રીનું આ સ્વરૂપ જોઇને તેમને લાગે છે કે ‘આસારામ મુદ્દે પ્રજાહિત અને લોકલાગણીની ધરાર અવગણના મુખ્ય મંત્રી કેવી રીતે કરી શકે?’ આમ, આસારામની સાથોસાથ મુખ્ય મંત્રી પણ પ્રજાના રોષનું કેન્દ્ર બની રહ્યા હતા. બોમ્બધડાકા પછી એ કેન્દ્ર બદલાય અને પ્રજાનો સઘળો રોષ ત્રાસવાદીઓ તરફ, પોટાનાબૂદી તરફ અને અફઝલ ગુરુની ફાંસી જેવા મુદા તરફ કેન્દ્રીત થઇ જાય, તો આસારામ પ્રકરણમાં મુખ્ય મંત્રીની પ્રજાવિરોધી ગણાયેલી ભૂમિકા વિસરાઇ જાય.

આસારામના કહેવાતા સાધકોના ત્રાસ, અત્યાચાર અને ગોરખધંધાના મુદ્દે, ઘણા વખત પછી અમદાવાદમાં અને ગુજરાતમાં લોકોના વિરોધનું મજબૂત વાતાવરણ જામ્યું હતું. પ્રજાનો મિજાજ એટલી હદે ઉગ્ર બન્યો હતો કે ગાંધીનગર જઇને મુખ્ય મંત્રીના હાથે પારણાં કરી આવેલા મૃત બાળકના પિતાને મુખ્ય મંત્રી સાથે કરેલું સમાધન ફોક કરીને ઉપવાસ ચાલુ રાખવા પડ્યા. અઘ્યાત્મના અંચળા હેઠળ ચાલતી આસારામ એન્ડ કંપનીની દાદાગીરી સામે વર્ષોથી ખદબદતો રોષ છેવટે બહાર આવ્યો હતો. આસારામ અમદાવાદથી દિલ્હી પહોંચે ત્યાર પછી જ અમદાવાદ આશ્રમમાં પોલીસની ફોજ ઉતારવા જેવી સરકારી નીતિ છતાં, આસારામની પ્રવૃત્તિઓ પ્રત્યે લોકોના રોષની ભીંસ મજબૂત બની રહી હતી.
- અને બોમ્બધડાકા થયા.

હવે અત્યાર સુધી ઊભો થયેલો લોકજુવાળ બહારના અજ્ઞાત ત્રાસવાદીઓ તરફ ફંટાઇ જશે? એવું થાય તો ધડાકાનો સૌથી મોટો ફાયદો આસારામને થશે. બોમ્બધડાકાનું નુકસાન પ્રજાએ વેઠ્યું. હવે એ નુકસાનનો ફાયદો આસારામને થવા દેવો કે નહીં, તે પ્રજાએ નક્કી કરવાનું છે.

ત્રાસવાદવિરોધનું રાજકારણ અને વાસ્તવિકતા
ત્રાસવાદી હુમલા થાય ત્યારે નેતાઓને પ્રજાની ચિંતા કરતાં પોતાના પક્ષને બચાવવાની અને વિપક્ષોને દોષી ઠરાવવાની તાલાવેલી વધારે હોય છે. ત્રાસવાદ નાથવો એ કોઇ રાજકીય પક્ષનું નહીં, પણ રાજકારણથી પર એવું રાષ્ટ્રિય કક્ષાનું કામ છે. છતાં, ત્રાસવાદી હુમલાની ડમરી શમે તે પહેલાં રાજકારણ ખેલાવાનું શરૂ થઇ જાય છે. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હોય કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર, કોઇએ ત્રાસવાદને નાથવામાં બીજાને ભાંડી શકાય એવું કશું પોતે ઉકાળ્યું નથી. હકીકતમાં, એકબીજાને ભાંડવાની વૃત્તિને કારણે જ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે યોગ્ય સંકલન સધાઇ શકતું નથી. પરિણામે ત્રાસવાદીઓને ફાવતું જડે છે. આટઆટલા ત્રાસવાદી હુમલા છતાં એકેય પક્ષ રાજકીય મતભેદ ભૂલવા જેટલી પુખ્તતા બતાવી શક્યો નથી, એ ત્રાસવાદી હુમલા જેટલી જ અફસોસની વાત છે.
ત્રાસવાદી હુમલા કોઇ રાજકીય પક્ષ પર નહીં, પણ દેશ પર અને દેશની પ્રજા પર થાય છે. પ્રજાનું મનોબળ તૂટી જાય અને તે દહેશતમાં જીવતી થઇ જાય, એ ત્રાસવાદીઓનો મુખ્ય હેતુ હોય છે. સામસામી આરોપબાજી કરીને રાજકીય પક્ષો પોતાની રીતે ત્રાસવાદનાં મૂળીયાં મજબૂત કરવામાં ફાળો આપે છે.

ત્રાસવાદી હુમલામાંથી રાજકીય પક્ષો એન્કાઉન્ટર જેવી ગુનાખોરી કે મુસ્લિમો પ્રત્યેનો દ્વેષ વાજબી ઠેરવવા જેવા રોટલા શેકી લે છે. વર્તમાન મુખ્ય મંત્રીના રાજમાં બાજુ પર હડસેલાઇ ગયેલા ભૂતપૂર્વ હિંદુહિતરક્ષકો નવેસરથી ધિક્કારનું રાજકારણ ખેલવા મેદાને પડે છે. બોમ્બવિસ્ફોટમાં થયેલા નુકસાન પછી, પોતાનો ધંધો કરવા ઈચ્છતા નેતાઓને આપણી હાલાકીમાંથી ફાયદો ઉઠાવવા દેવો કે નહીં તે પણ પ્રજાએ નક્કી કરવાનું છે.

ત્રાસવાદ સામેની લડાઇ લાંબી છે. પ્રજામાં આંતરિક અવિશ્વાસ હોય ત્યાં સુધી એ લડાઇ અસરકારક રીતે લડી શકાતી નથી. પ્રજાના સમુહો વચ્ચે અવિશ્વાસ વધારનારા નેતાઓ એક રીતે ત્રાસવાદીઓના મદદગાર બને છે. પોલીસ અને ઈન્ટેલીજન્સની પૂરી ક્ષમતાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને બદલે, મહદ્ અંશે પોતાના ફાયદા માટે એ તંત્રનો ઉપયોગ કરનારા નેતાઓ ત્રાસવાદી સામે લડાઇના ખોંખારા ખાય ત્યારે તેમનો અભિનય જોવાલાયક હોય છે.

અમદાવાદમાં બોમ્બધડાકા કરનારાએ આતંક ફેલાવવાનો હેતુ સિદ્ધ કરી લીધો છે. હવે એ જ ધડાકામાંથી બીજા કોણ કેવી રીતે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે, એ જોવા-જાણવા બહુ રાહ નહીં જોવી પડે.

Sunday, July 27, 2008

Ahmedabad shattered : Tiffins, Bicycles and Bombs

Blasts rocked Maninagar and many other suburbs of Ahmedabad yesterday evening.
I took train from Maninagar Station- few yards away from 2 blast sites- aprox 30 minutes after the blasts took place.
As I was not aware of the gravity and spread of the incidence at that time, I wasn't worried much. Only after getting news of more more blasts, sense of grief increased.
Initially, phonelines jammed. Purvi Gajjar, a close friend from Australia, was first to call. Other friends & wellwishers followed.
Thanks for all your concern and warmth.
Aftershocks of bomb-blast will continue to rock public life of gujarat.
Check this blog regularly to have an insight.

Saturday, July 26, 2008

લોકસભા અને વિશ્વાસનો મત, ઇ.સ.૨૦૨૫

‘દલાલ સ્ટ્રીટ’ નામ ધરાવતું પાટિયું સડક પર દેખાય છે, પરંતુ આ દ્રશ્ય મુંબઇનું નથી, નવી દિલ્હીનું છે. વર્ષ ઇ.સ.૨૦૨૫ કે ૨૦૩૫ કે ૨૦૪૫નું છે.
ભારતની લોકશાહીને પારદર્શક અને વાઇબ્રન્ટ સ્વરૂપ આપવા માટે, સંસદભવન જ્યાં આવેલું છે એ રસ્તાનું નામકરણ ‘દલાલસ્ટ્રીટ’ તરીકે કરવામાં આવ્યું છે.

સંસદભવન પર તિરંગો ફરકે છે, પણ તેમાં ત્રણને બદલે છ પટ્ટા છે. મૂળ રંગના ત્રણે પટ્ટા ઉપરના એક-એક પટ્ટામાં લોકસભાને સ્પોન્સર કરનારી કંપનીઓના ‘લોગો’ ખીચોખીચ ગોઠવાયેલા છે.ભારતના રાષ્ટ્રઘ્વજમાં ફક્ત ત્રણ જ પટ્ટા હોવાનો ઘણા લોકોને અફસોસ છે. અમેરિકાના રાષ્ટ્રઘ્વજની જેમ તેમાં ઢગલાબંધ સ્ટાર હોત, તો દરેક સ્ટારની સ્પોન્સરશીપ દીઠ કંપનીઓ પાસેથી રોકડી કરી શકાત. બીજું કંઇ નહીં, પણ એ આવક રાષ્ટ્રના વિકાસમાં- સડકો, એરપોર્ટ, ફ્લાયઓવર, સેઝ બનાવવામાં- કામ લાગત. ‘રાષ્ટ્રઘ્વજમાં ફક્ત ત્રણ રંગ હોવાને કારણે જ ભારત દેશ પાછળ રહી ગયો હશે’ એવું કેટલાક યુવા નાગરિકો માને છે.

સંસદભવનના પ્રાંગણમાં વિશાળ બગીચો છે. તેમાં છોડ કરતાં પણ વધારે સંખ્યામાં પૂતળાં મુકાયેલાં છે. થોડી ખાલી જગ્યામાં ‘પૂતળાં માટે આપવાની છે. રસ ધરાવનારે સચિવનો સંપર્ક કરવો’ એવી નોટિસ જોવા મળે છે. દરેક પૂતળા નીચે એ સભ્ય જે કંપનીના પ્રતિનિધિ હોય તે કંપનીનો લોગો જોવા મળે છે.

યાદ રહે, આ ભવિષ્યની વાત છે. દરેક સાંસદ કોઇ રાજકીય પક્ષનું નહીં, પણ કોઇ કંપની કે ક્લબનું પ્રતિનિધિત્વ કરે છે. તેનો મૂળ આઇડીયા વર્ષો પહેલાં, ઇ.સ.૨૦૦૮માં શરૂ થયેલી ‘૨૦- ટ્વેન્ટી ક્રિકેટ સ્પર્ધા’માંથી આવ્યો હતો. એ સ્પર્ધાને મળેલી વ્યાવસાયિક સફળતા પરથી સાંસદોએ ધડો લીધો. તેમને થયું કે રાજકીય પક્ષના સભ્ય તરીકે પૂરેપૂરી મોકળાશ મળતી નથી. હાથ બંધાઇ જાય છે અને ખિસ્સાં સંતાડીને રાખવાં પડે છે. તેનાથી લોકશાહી તંદુરસ્ત રહેતી નથી. એટલે ‘લોકશાહી પરનો ખતરો અમે કોઇ પણ ભોગે- જરૂર પડ્યે લોકશાહીના ભોગે પણ- ટાળીશું’ એવા નિર્ધાર સાથે જુદા જુદા પક્ષના કેટલાક પ્રતિબદ્ધ સાંસદો ભેગા થયા અને ભારતની લોકશાહીને બચાવવાનો પ્લાન તેમણે ઘડી કાઢ્યો.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે, ડાબેરીઓ અને જમણેરીઓ વચ્ચે, સમાજવાદીઓ અને બહુજનવાદીઓ વચ્ચે વિચારધારાનો ફરક ક્યારનો નાબૂદ થઇ ચૂક્યો હતો. ‘વિચારધારા’ શબ્દ રાજકારણમાં જૂનવાણી અને પ્રાગૈતિહાસિક ગણાતો હતો. તેની જગ્યાએ ‘આચારધારા’ની બોલબાલા હતી. દરેકની આચારધારા એક જ હતીઃ કોઇ પણ રીતે સત્તા હાંસલ કરવી અને મળેલી સત્તા કોઇ પણ રીતે ટકાવી રાખવી. આ સ્થિતિમાં નવા પ્લાન મુજબ, ભારતમાંથી તમામ રાજકીય પક્ષોની માન્યતા રદ કરી દેવામાં આવી. કોઇ રાજકીય પક્ષ જ નહીં. એટલે વિચારધારાના મુદ્દે વિરોધ કે તરફેણનો કોઇ આરોપ પણ નહીં.

બીજા પગથિયા તરીકે, ૨૦- ટ્વેન્ટી ટુર્નામેન્ટની પદ્ધતિ પ્રમાણે આખા દેશને રાજ્યોને બદલે ઝોન (વિભાગ)માં વહેંચી દેવામાં આવ્યો. દરેક વિભાગ માટે રાજકીય નેતાઓની પસંદગી જાહેર હરાજીથી કરવામાં આવી. કોઇ પણ ભારતીય કંપની (જેમાં વિદેશી કંપનીનો હિસ્સો ૪૯ ટકા કરતાં વધારે ન હોય) હરાજીમાં ભાગ લઇ શકે.

અત્યાર સુધી ડર અને લાલચના માર્યા અનેક રાજકીય પક્ષોને ખાનગી રીતે ભંડોળ પૂરૂં પાડનારા ઉદ્યોગપતિઓને ખુલ્લેઆમ નેતાઓ ખરીદવાની તક મળી- અને તે પણ પક્ષની વાડાબંધી વિના. અત્યાર સુધી ઉદ્યોગપતિઓના પૈસે રાજકીય પક્ષોના આગેવાનો સાંસદો કે વિધાનસભ્યોનું ખરીદવેચાણ કરતા હતા. હવે આ કડીમાં વચ્ચેથી રાજકીય પક્ષો ઉડી ગયા અને ખરીદવેચાણનું કામ સીઘું ઉદ્યોગપતિઓના હાથમાં આવી ગયું. કેટલીક મોટી કંપની બધા પ્રાંતોની ટીમ ખરીદવા ઇચ્છતી હતી. તેમની દલીલ એવી હતી કે ‘આ તો અમારી જૂની પરંપરા છે. અમે પહેલેથી બધા પક્ષના સાંસદોને ખિસ્સામાં રાખતા આવ્યા છીએ’ પણ નવા કાયદા હેઠળ, એક જ કંપની બધી ટીમની માલિક થઇ જાય તો રમતમાં રોમાંચનું તત્ત્વ ન રહે. એટલે તેમને એક ટીમની માલિકીથી ચલાવવું પડ્યું.

કંપનીઓને ફાયદો એ થયો કે કોઇ પણ પક્ષના નેતાઓને પોતાની ટીમમાં ખરીદી શકે. એટલે એક જ ટીમમાં એક ગાંધી હોય અને એક અડવાણી, એક ચેટર્જી હોય ને એક યાદવ, એક સિંઘ હોય ને એક રેડ્ડી એ શક્ય બન્યું. નેતાઓને સુખ એ થયું કે પહેલાં તેમને કંપનીઓ સાથે પોતાને કશી નિસ્બત નથી અને પોતે તટસ્થ છે, એવું બતાવવા માટે બહુ મહેનત કરવી પડતી હતી. હવે એ બોજ દૂર થવાથી સૌ નેતાઓ હળવાફૂલ થઇ ગયા.

સંસદમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એમ બે ભાગ યથાવત્ રહ્યા. નીચલા ગૃહમાં ખરીદાયેલા સાંસદો પોતપોતાની ટીમ પ્રમાણે બેસતા હતા. ફરક ઉપલા ગૃહમાં પડ્યો. તેમાં ટીમના માલિકો બેસવા લાગ્યા. આ રિવાજ નાના પાયે વીસમી સદીથી શરૂ થઇ ગયો હતો. ફક્ત રૂપિયાના જોરે ધંધાદારીઓ રાજ્યસભા સુધી પહોંચી જતા હતા. એટલે નવા રિવાજમાં લોકોને નવાઇ કે આઘાત જેવું કંઇ લાગ્યું નહીં.

ખરીદવેચાણના નિયમો ૨૦-ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ જેવા જ હતા. માલિક પોતે ખરીદેલા નેતાને ગમે ત્યારે ‘ખરાબ દેખાવ બદલ’ તગેડી શકતો હતો. નેતાના ભાવનો આધાર તેની પ્રતિષ્ઠા અને ક્ષમતા પર હતો. કેટલાક લોકોએ ક્રિકેટટીમની જેમ સંસદમાં પણ વિદેશી નેતાઓેને ખરીદીને ટીમમાં સામેલ કરવાની માગણી મુકી હતી. તેની પર વિચાર ચાલુ હતો.

સંસદભવના પર લબૂકઝબૂક થતી લાલભૂરી લાઇટોમાં લખ્યું હતું ‘બીસીસીઆઇઃ બોર્ડ ઓફ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ ઇન ઇન્ડિયા.’ તેનું સ્લોગન હતું ‘સબ બીકતા હૈ’. આકાશમાંથી જતાં-આવતાં વિમાનો જોઇ શકે એવા મોટા અક્ષરે એ સ્લોગન સંસદભવન પર મુકાયેલું હતું. રીઝર્વ બેન્કની ચલણી નોટો પર અને ભારતની રાજમુદ્રા તરીકે જૂના સૂત્ર ‘સત્યમેવ જયતે’ને રદ કરવામાં આવ્યું હતું અને તેના સ્થાને ‘સબ બીકતા હૈ’ આવી ગયું હતું.

(૨૦૨૫ કે ૨૦૩૫કે ૨૦૪૫માં) સંસદમાં બીસીસીઆઇની મેનેજિંગ કમિટીને વિશ્વાસનો મત લેવાની નોબત આવી, ત્યારે વિશ્વાસના મતનું સંચાલન હરાજી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ક્રિસ્ટીઝ કંપનીને સોંપવામાં આવ્યું. કાર્યવાહી દરમિયાન શોરબકોર વધી પડે ત્યારે ‘ક્રિસ્ટીઝ’નો પ્રતિનિધિ ટેબલ પર હથોડો પછાડીને કહેતો હતો,‘આ સંસદની નહીં, હરાજીની કાર્યવાહી છે. જરા શાંતિ રાખો.’ ઉપલા ગૃૃહમાં બેઠેલા બધા માલિકોને મન પડે એટલા નેતાઓ ખરીદવા કે વેચવાની છૂટ હતી. એ માટે સંસદના ફ્લોર પર બે કલાકનો સમય આપવામાં આવ્યો હતો. ત્યાર પછી સૌએ પોતાનું સંખ્યાબળ રજૂ કર્યું. અંતે હોલમાં શાંતિ પથરાઇ અને ક્રિસ્ટીના પ્રતિનિધિએ કહ્યું,‘ભારતીય સંસદ...એક વાર...ભારતીય સંસદ... બે વાર...અને ભારતીય સંસદ...ત્રણ વાર...’ બાકીનો ભાગ વિજયઘેલા સાંસદો અને તેમના માલિકોના ઉલ્લાસભર્યા ઘોંઘાટમાં ડૂબી ગયો.

Thursday, July 24, 2008

Ashwinee Bhatt on Asaram episode : "let us have tea together before I am sent to hospital or the morgue"

My Dear Urvish.
I have yet to learn to type in Gujarati hence this in english.
Read your blog on Asaram.
I am not surprised. You may recall an incident at 65 (my residence). Several years before asaram zealots had illegally grabbed some land in Surat and beaten the rightful possessors. A reporter from Abhiyan had covered the event.
As there was some on going feud about the land at Hansol between Asaram and another trust founded by Late Mr. Prabodh Raval (which is yet not resolved inspite of several violent incidents including use of guns).
The asaram crowd felt that the report about the violent incident at Surat was written at the instance of (late) Mr. Prabodh Raval to smear Asaram. As I was connected with Abhiyan and the gujarat bureau was being operated from 65. The Asaram goons decided that the article not only originated from 65 and that I was responsible for it.
A group of about twenty people broke into to my house and ransacked the house and manhandled me. There was no question of resisting the goons. It was sheer luck that I was saved by my stance and some bluff about Asaram being my ardent fan and friend. I insisted to allow me to put a telephone call to him before they started beating me up at the same time I ordered tea and snacks for the crowd and though I was scared to death I just said "let us have tea together before I am sent to hospital or the morgue. Some how the bluff paid and one of the goons was ready to listen to my side of the story about the Surat coverage and that I had nothing to do with the rented Abhiyan bureau being operated from 65. It was a close save.
Any way this is their Modus operandi.
The political parties are well aware of such practices of the Gurus and their chelas who can be brainwashed into carrying out an agenda well suited for power mongering and winning elections.The outcome is a solid nexus between religious cults and political leaders and that makes the so called Gurus imune from any legal consequences or criminal prosecusion. And to try a crowd for a criminal assault is difficult when the crowd is supported by the State or a political party. I can site a number of such events that happened at 65 for voicing an opinion that was against some state policies.
So when the State or the political buccaneers join hands with the so called Gurus God himself would find it hard to save the society. The media too is always interested in baking its pie. For the newspapers truth is where the money. You can write volumes about that.
However in short The responsibilities lie with us to raise our voices. Let us begin with collecting facts.
Let us find out how many acres of land has been gifted or sold at negligible price for Ashrams and temples by the state ( especially in Gandhinagar) and what has been given to the original land holders. Let us find out the annual income of various kinds of religious institutions. This can be the first step towards creating remedies.
I think you blog can be instrumental in preparing a people's white paper on religious institutions

yours
ashwinee bhatt

(Ashwinee Bhatt is one of the most popular Gujarati Novelist, was actively associated with Narmda Bachao Andolan and had first hand experience of Government-supported Goondagiri during Chimanbhai Patel era. We, the ex-Abhiyaan people call him 'Guru' affectionately. He stays at US since few years. )

Wednesday, July 23, 2008

‘દુનિયાને ઉંધા ચશ્મા’ હવે ટીવી પર

ગુજરાતી વાચકોની બે-ત્રણ પેઢી જે વાંચીને મોટી થઇ અને હજું પણ ‘ચિત્રલેખા’ હાથમાં પકડ્યા પછી ઘણા લોકો સૌથી પહેલાં જે શોધે છે, તે કોલમ એટલે ‘દુનિયાને ઉંધા ચશ્મા’. તારકભાઇ-ઇન્દુબહેન મુંબઇ છોડીને અમદાવાદ સ્થાયી થયાં, ત્યાર પછી પણ ‘ઉંધા ચશ્મા’નો માળો વીખરાયો નથી.

અત્યંત લોકપ્રિય નીવડેલાં તારકભાઇનાં ‘ઉંધા ચશ્મા’નાં લખાણો પરથી સબ ટીવીએ સિરીયલ તૈયાર કરી છેઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.’ (સબ ટીવીના પ્રેસરીલીઝની જોડણી પ્રમાણે લખીએ તોઃ ‘તારક મેહતા કા ઉલ્ટાહ ચશ્માહ’.)

અગણિત ભૂલો ધરાવતા બે પાનાના ગુજરાતી પ્રેસરીલીઝમાં કેવું ગુજરાતી વપરાયું છે, તેના કેટલાક નમૂનાઃ‘ લોકપ્રિય પત્રકાર અને કોલમનીષ્ટ તરીકે જાણિતા, તારક મેહતા હવે તેમની રમૂજને હવે નાના પડદા પર પણ વહેંચે છે. રમૂજની સુવાસ યુક્ત વિષયલક્ષતા અને તેમના તારક ટ્રેડમાર્ક પર દૃષ્ટિપાત કરતા વિભિન્ન દૃષ્ટિકોણ સાથે વસ્તુલક્ષી રીતે શણગારાએલ સંયોજન.’ (કવિ શું કહેવા માગે છે, કંઇ સમજાયું?)

બિનગુજરાતી એડ એજન્સીઓ ગુજરાતી ભાષાનો કેવો કબાડો કરે છે, તેનાં આવાં અનેક ઉદાહરણ આપી શકાય એમ છે. આ બ્લોગ પર એવા લોચાલાપસી મુકવાનો વિચાર પણ છે. દરમિયાન, એક લેખક અને એક વ્યક્તિ તરીકે તારકભાઇના ચાહક તરીકે એ વાતનો આનંદ છે કે ‘ઉંધા ચશ્મા’ તારકભાઇને વ્યવસાયિક રીતે હજુ સુધી ફળી રહી છે.

સમયઃ ૨૮ જુલાઇથી, સોમવારથી ગુરૂવાર રાત્રે સાડા આઠ વાગ્યે, સબ ટીવી પર.

કલાકારોમાં દિલીપ જોશી અને દિશા વાકાણી જેવાં પ્રતિભાશાળી કલાકારો છે. ખુદ તારક મહેતાનું પાત્ર પણ એક અભિનેતા ભજવવાના છે.

અગાઉ મઘુ રાય (કિમ્બલ રેવન્સવુડ), હરકિસન મહેતા (જડચેતન, વેરવૈભવ), અશ્વિની ભટ્ટ (કટિબંધ), રજનીકુમાર પંડ્યા (કુંતી)ની અત્યંત લોકપ્રિય કૃતિઓ હિંદી સીરીયલ તરીકે ટીવી પર આવી છે અને મહદ અંશે તેમનું કચુંબર થયું છે. પણ ગુજરાતી લેખકોને સામાન્ય રીતે ન મળે એટલા રૂપિયા ટીવી રૂપાંતરમાં મળતા હોવાથી, એટલા પૂરતું તેમના ચાહક તરીકે આપણે રાજી થવું જોઇએ.

‘ઊલ્ટાહ ચશ્માહ’માં શું થાય છે? જુઓ, ૨૮ જુલાઇની રાત્રે સાડા આઠ વાગ્યાહ થી.

અવિશ્વાસની એક દરખાસ્ત, નેતાગીરી સામે

ગુજરાતની બહેન-દીકરીઓની સલામતી વિશે મુખ્ય મંત્રીએ શું કહ્યું હતું?
ચોક્કસ વિધાન યાદ ન આવે તો વાંધો નહીં. સવાલનો જવાબ પૂછવાલાયક ઠેકાણાં ગુજરાતમાં ઘણાં છે. પૂછો પાટણની સરકારી પીટીસી કોલેજની એ યુવતીને, જેણે અઘ્યાપકો વિરૂદ્ધ જાતીય શોષણની ગંભીર ફરિયાદો કરી છે.
એક ફરિયાદ અપૂરતી લાગતી હોય અને ‘એ છોકરી તો એવી જ હતી!’ એવી દલીલ કરવાનું મન થતું હોય, તેમને જણાવવાનું કે પાટણ પીટીસી કોલેજની ૯૦થી પણ વધારે છોકરીઓએ આ જ પ્રકારની રજૂઆતો પોતાના અઘ્યાપકો સામે કરી છે. એમાં તમારી લાડકી સામેલ થાય ત્યારે જ ઘટનાની ગંભીરતા સમજાવાની હોય તો જુદી વાત છે.
પાટણનો કિસ્સો એકલદોકલ નથી. પૂછો પીલવાઇ પીટીસી કોલેજની યુવતીઓને. તેમણે પણ અઘ્યાપકો દ્વારા થતા જાતીય શોષણની ફરિયાદ કરી છે. પાટણ કે પિલવાઇ દૂર પડતાં હોય, તો ‘આજ તક’નાં મહિલા પત્રકાર ગોપી ઘાંઘરને પણ ગુજરાતમાં બહેન-દીકરીઓની સલામતી અંગે પૂછી શકાય છે. તેમની પર કોઇ ગામડાગામમાં નહીં પણ ગુજરાતના એકમાત્ર મેગાસીટી અમદાવાદમાં, ધોળે દિવસે આસારામના દસ-પંદર સાધક (નવો અર્થઃ ગુંડા) લાકડીઓ લઇને તૂટી પડ્યા હતા. પોલીસ ક્યાં હતી? શું કરતી હતી-અથવા કરતી ન હતી? કેમ? એવા બધા સવાલો પૂછવાની મનાઇ છે. વિદ્યાર્થીની કે મહિલા પત્રકારની નહીં, સામાન્ય સ્ત્રીની વાત કરવી છે? તો પૂછો અમદાવાદમાં આસારામના આશ્રમની આસપાસના વિસ્તારોમાં રહેતી બહેનદીકરીઓને કે આસારામના ગુંડાઓની ગુંડાગીરી અને મારઝૂડથી તે ગયા શુક્રવારે સલામત રહી શક્યાં હતાં?
બહેન-દીકરીઓની સલામતી અંગેનો ગુજરાતના મુખ્ય મંત્રીનો દાવો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં એન્ટ્રી તરીકે કામ લાગે એવો છે. સારા ટુચકા તરીકે તેનો કદાચ નંબર લાગી જાય.
એમાં મુખ્ય મંત્રી શું કરે?
સવાલ ફક્ત મુખ્ય મંત્રીનો નથી. સરકારના બીજા મંત્રીઓ, અસંતુષ્ટો, વિપક્ષ અને પોતાની જાતને નેતા ગણાવતા સૌ કોઇનો છે. પરંતુ શરૂઆત સ્વાભાવિક રીતે જ સાડા પાંચ કરોડ ગુજરાતીઓની વાત કરતા મુખ્ય મંત્રીથી કરવી પડે.
મુખ્ય મંત્રીનો ટીકાકાર-સમુદાય કહેશે કે ‘જોયું? જોયું? એમના રાજમાં ગુજરાતમાં વિદ્યાર્થીનીઓનું કેટલું બઘું શોષણ થાય છે!’ અને મુખ્ય મંત્રીપ્રેમને ગુજરાતપ્રેમનો પર્યાય માનતો તેમનો ભક્તસમુદાય કહેશે,‘પાટણ કે પિલવાઇમાં વિદ્યાર્થિનીઓનું શોષણ થાય, તેમાં મુખ્ય મંત્રી બિચારા શું કરે?’ સરકારી પીટીસી કોલેજોમાં વિદ્યાર્થીનીઓનું શોષણ થાય, નર્મદા કેનાલમાં ગાબડું પડે કે સરકારી તંત્રની ભૂલને કારણે સુરત શહેર પાણીમાં ડૂબી જાય- એ બધી બાબતો માટે આ જ સવાલ પૂછી શકાયઃ ‘એમાં મુખ્ય મંત્રી શું કરે? એ જાતે ડેમનું પાણી છોડવા જાય? એ જાતે વિદ્યાર્થીનીઓનું રક્ષણ કરવા જાય? જાતે આસારામના ગુંડા સામે પત્રકારોનું રક્ષણ કરવા જાય?’
ના, કોઇ પણ મુખ્ય મંત્રી કે રાજકારણી પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહીં. સાથોસાથ, એટલું પણ ઉમેરવું પડે કે નૈતિક જવાબદારી જેવી કોઇ ચીજ હોય છે. કંઇ પણ હકારાત્મક થાય કે એવો ભ્રમ ઊભો કરવામાં આવે, ત્યારે સાચોખોટો જશ લેવામાં મુખ્ય મંત્રી પાછા પડે છે? તો પછી અપજશની નૈતિક જવાબદારી પણ એમની જ ન ગણાય?
કાયદો બનાવનારા સાંસદોના ભાવ પચીસ-ત્રીસ-ચાળીસ કરોડ રૂપિયા બોલાતા હોય, એ સમયે ‘નૈતિકતા’ની વાત કરવાનું અવ્યવહારૂ લાગતું હોય તો જવા દો. નૈતિક જવાબદારીની વાત નહીં કરીએ. પણ ધૃણાસ્પદ-શરમજનક ઘટનાઓ બની ગયા પછી ગુજરાતની બહેનદીકરીઓ ફરિયાદ કરે ત્યારે મુખ્ય મંત્રી તેમને નિર્ભય થઇને ન્યાયની લડાઇ લડવા માટેની હિંમત આપી ન શકે? પરંતુ ફરિયાદીની પડખે ઊભા રહેવાનું, તેને ન્યાયની આશા આપવાનું બાજુ પર રહ્યું, મુખ્ય મંત્રી અને તેમની સરકાર જાણે ફરિયાદીની પાછળ પડી ગયાં હોય અને ગમે તે રીતે ફરિયાદનો વીંટો વાળવા માગતાં હોય એવી છાપ પડે છે.
ફરિયાદીઓ અને સાક્ષીઓને ફોડવાની મથરાવટી સરકાર માટે નવી નથી. ફરક માત્ર એટલો કે અગાઉ ૨૦૦૨ની કોમી હિંસાના સંદર્ભમાં મુસ્લિમ ફરિયાદી કે સાક્ષીઓનો વારો હતો. હવે એ જ પદ્ધતિઓનો ઉપયોગ હિંદુ બહેન-દીકરીઓ માટે પણ થાય છે. ‘સઘળી તરકીબો ફક્ત મુસ્લિમોને દાબમાં રાખવા કે તેમને પાઠ ભણાવવા પ્રયોજાઇ રહી છે.’ એવું મુખ્ય મંત્રીના ઘણા સમર્થકો માનતા હતા. એમાંથી ઘણાને હવે દિવ્ય જ્ઞાન થયું હશે કે આપખુદશાહી હિંદુ-મુસ્લિમનો ફરક કરતી નથી. એટલે જ, પાટણ કે પિલવાઇની ફરિયાદી છોકરીઓને કદી એવું લાગતું નથી કે ‘સરકાર અમારી સાથે છે.’ આ મુદ્દે મુખ્ય મંત્રી નૈતિક નહીં, દેખીતી રીતે આરોપીના કઠેડામાં આવી જાય છે. કેમ કે, છેક મુંબઇ જઇને સભાઓ ગજવનારા અને આતંકવાદીઓને ‘ચુન ચુન કે’ મારવાની વાતો કરનારા મુખ્ય મંત્રીની જીભ આસારામના આતંક સામે સીવાઇ જાય છે. પાટણ કે પીલવાઇની વિદ્યાર્થીનીઓની શોષણકથાઓ સાંભળીને તેમનું લોહી ઉકળી ઉઠતું નથી. એટલે, શોષણકાંડના અપરાધીઓને ચુન ચુન કે સજા અપાવવાના ખોંખારા સાંભળવા મળતા નથી.
ફક્ત મુખ્ય મંત્રી જ શા માટે? મંત્રીમંડળમાં બીજા નેતાઓ નથી? બીજા કોઇ નેતામાં એટલી કરોડરજ્જુ બચી નથી કે લોકહિતના મુદ્દે તે લોકોની સાથે, લોકોની વચ્ચે જઇને ઊભા રહી શકે? શરમજનક ઘટનાઓ અટકાવી ન શકે એ સમજ્યા, પણ ફરિયાદીઓને ન્યાયની ખાતરી આપી શકે અને એના માટે છેવટ સુધી લડવાનું પીઠબળ પૂરંુ પાડી શકે, એવા કોઇ નેતા નથી? અને એવા કોઇ નેતાનો અભાવ પ્રજાને સાલતો નથી?

પ્રજાલક્ષી નેતાગીરીનો અભાવ

ગાંધી-રવિશંકર મહારાજ-ઇન્દુલાલ યાજ્ઞિક- ઉછંગરાય ઢેબર-શામળદાસ ગાંધી જેવા નેતાઓ આ જ ગુજરાતમાં થઇ ગયા હશે? અને આ જ પ્રજાએ એવા નેતાઓ પેદા કર્યા હશે? ઇતિહાસમાં લખાયું ન હોય તો માન્યામાં ન આવે. નેતાઓની એ પેઢીને વિદાય થયે હજુ પૂરાં પચાસ વર્ષ પણ વીત્યાં નથી. છતાં, એ બધી વાતો રામાયણ-મહાભારત જેવી - દૂરના ભૂતકાળની અથવા કાલ્પનિક લાગે છે. વાસ્તવિકતા એ છે કે આખી દુનિયા ગાંધી પાસેથી આંદોલન અને ચળવળની પ્રેરણા મેળવે છે, પણ ગાંધીની જન્મભૂમિ ગુજરાતમાં બઘું રાબેતા મુજબ!
વાંક ફક્ત નેતાઓનો જ છે, એવું પણ ન કહેવાય. નેતાઓ છેવટે ચંદ્ર કે મંગળ પરથી ટપકતા નથી. આ જ સમાજમાંથી આવે છે. એટલું જ કે સમાજની જરૂરિયાતો, નબળાઇઓ અને લાક્ષણિકતાઓ સમજવામાં નેતાઓ વધારે પાવરધા હોય છે. એ આવડતના જોરે તે ‘સેફોક્રસી’ (આંકડાશાહી- સૌજન્યઃ આશિષ નાંદી) બની ગયેલી ‘ડેમોક્રસી’ માં આગળ આવી જાય છે.
પ્રજાની મનોદશા એવી હોય છે કે કોઇ નેતા પર વરસી પડે ત્યારે પાછું વાળીને જુએ નહીં. ‘એપલ’ કંપનીનો નવો આઇ-ફોન વાપરવાથી જે ‘ફીલ ગુડ ઇફેક્ટ’ ઊભી થાય, એનું શ્રેય પણ મુખ્ય મંત્રીને આપનારા પડ્યા છે. ગુજરાતમાં સ્વાભાવિક, ક્રમિક પ્રક્રિયા તરીકે જે કંઇ વિકાસ થવાનો હોય, તે વિકાસનું શ્રેય મુખ્ય મંત્રીને આપીને તેમને ગુજરાતના એકમાત્ર ઉદ્ધારક ગણનારા તો ઘણા છે. એ પોતાના ફ્લેટ-ગાડી-રસ્તા-ફ્લાયઓવરથી આગળ વિચારતા થાય, એટલી જ અપેક્ષા રહે છે.
રાજકીય પરંપરાનું અનુસંધાન ન્યાય મેળવવાના નાગરિકોના પ્રયાસને રાજ્ય સરકાર તરફથી ઉત્તેજન મળવાને બદલે તેમની પર સીઘું કે આડકતરૂં દબાણ લાવવામાં આવશે તો અંજામ નક્કી છે. એ અંજામ જોવા પણ મળી રહ્યો છે. સવિનય કાનૂનભંગની પરંપરા હવે ટોળાશાહી અને ટોળાના ન્યાયની હદ સુધી નીચે ઉતરી ચૂકી છે. કોઇ મુદ્દે વિરોધી મત માટેનો અવકાશ ઘટતો જાય છે. આ પરંપરાની શરૂઆત વર્તમાન મુખ્ય મંત્રીએ કરી નથી. ગુજરાત કોંગ્રેસના નવા વરાયેલા અઘ્યક્ષ સિદ્ધાર્થ પટેલના પિતા ચીમનભાઇ પટેલના મુખ્ય મંત્રીપદ હેઠળ ગુંડાઓને રાજ્યાશ્રય આપવાની અને ભિન્નમત પ્રગટ કરનારને ‘ગુજરાતદ્રોહી’ ઠેરવવાની પ્રવૃત્તિ પૂરબહારમાં ખીલી હતી. હાલના મુખ્ય મંત્રી એ પરંપરાનું યથાશક્તિ વહન કરી રહ્યા હોય એવું આસારામ-સ્વાઘ્યાય કે પાટણ-પીલવાઇ જેવા બનાવોમાં તેમના વલણ પરથી જણાય છે.
એ સંજોગોમાં પ્રજાકીય નેતાગીરીના ક્ષેત્રે સંપૂર્ણપણે શૂન્યાવકાશ છે. પ્રજાહિતમાં નિર્ણય લે અને જરૂર પડ્યે પ્રજાને કડવાં સત્ય કહી શકે, છતાં પોતે ‘ગુજરાતના નાથ’ બની ગયાની હવાથી મુક્ત રહે, એવા નેતાની ગુજરાતને તાતી જરૂર છે. એવો નેતા પેદા કરવાની ત્રેવડ રાજકીય પક્ષોમાં નથી હોતી. માત્ર પ્રજા જ એ કરી શકે છે. ગુજરાતની પ્રજા એ કરી શકે છે કે નહીં, તે જોવાનું છે.

Tuesday, July 22, 2008

જૂનું ઘર ઉતારતાં...

‘જૂનું ઘર ખાલી કરતાં’ એ કવિતા અને તેમાં રહેલો ભાવ બહુ જાણીતાં છે. પણ જૂનું ઘર ઉતારવાની પ્રક્રિયામાંથી પ્રમાણમાં ઓછા લોકોએ પસાર થવું પડે છે. અમે અત્યારે એ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ. પરદાદાનું બનાવેલું આશરે ૭૦-૭૫ વર્ષ જૂનું અને અત્યંત વહાલું મકાન તેની આવરદા આવી રહેતાં ઉતારવાનું થયું. તેની કેટલીક તસવીરો અહીં સ્લાઇડ-શો તરીકે મુકી છે. http://www.slide.com/r/gAbYyTGfiT_0bhtseRcXnxusas3Zfn3-?previous_view=mscd_embedded_url&view=original

Saturday, July 19, 2008

અઘ્યાત્મના અન્ડરવર્લ્ડની જંગાલિયતનું જાહેર પ્રદર્શન

આસારામના સાધકો આવા જ સાધકો સ્વાઘ્યાયના કે સ્વામિનારાયણના કે બીજા કોઇ પણ પંથ-સંપ્રદાયના હોઇ શકે છે. સવાલ માત્ર આસારામનો નથી. લોકોનાં ટોળાં થકી સત્તા હાંસલ કરતા અને સાઘુત્વના નામે સાહ્યબી ભોગવતા તમામ બાવા-બાવીઓનો છે. તેમની સામે પડકાર થાય ત્યારે તેમના ગુંડા સીધી કે આડકરતી રીતે મેદાનમાં ઉતરી પડે છે. 18-7-08 (તસવીરસૌજન્યઃ દિવ્ય ભાસ્કર)

‘આજ તક’ ચેનલનાં પત્રકાર ગોપી ઘાઘર પર આસારામના દસ-પંદર સાધકોનું ટોળું તૂટી પડ્યું, એ શરમજનક ઘટનાની એક તસવીર. 18-7-08 (તસવીરસૌજન્યઃ દિવ્ય ભાસ્કર)

Friday, July 18, 2008

જોવા જેવી ફિલ્મઃ એક સુધારો

વાચકમિત્ર ચિરાગ પટેલે ઘ્યાન દોર્યું છે કે ‘ફિફ્ટી-ફિફ્ટી’ ફિલ્મ ૧૯૯૨-૯૩ની હોય તો તેની ‘શોલે’ પર અસર કેવી રીતે હોય?
તેમની વાત સાચી છે. બન્યું એવું કે આ ફિલ્મ થોડા વખત પહેલાં જોઇ હતી. ત્યારથી એવું જ લાગતું હતું કે (સામાન્ય રિવાજ પ્રમાણે) ‘શોલે’ પર આ ફિલ્મની અસર હશે. પોસ્ટ લખતી વખતે ફક્ત ફિલ્મની સાલ જોઇ અને ફક્ત ડેટા તરીકે લખી નાખી. એટલે મનમાં ભરાઇ ગયેલી ‘શોલે પર અસર’વાળી વાત નીકળી નહીં.
હવે કહેવું હોય તો કહી શકાય કે કે ‘ફિફ્ટી-ફિફ્ટી’ પર શોલેની અસર છે! થેન્ક્સ, ચિરાગભાઇ. સોરી, અનુપમા ચોપરા!

જોવા જેવી ફિલ્મઃ ફિફ્ટી- ફિફ્ટી

આપણી ‘મસાલા ક્લાસિક’ સદાબહાર ‘શોલે’ વિશે અનુરાધા ચોપરાએ સરસ ચટપટી ચોપડી લખી છેઃ ‘શોલેઃ ધ મેકિંગ ઓફ એ ક્લાસિક. જાણવાની બહુ ચટપટી હોય અથવા જે જાણવામાં બહુ રસ પડે એવી અનેક નાનીમોટી વાતો તેમણે આ પુસ્તકમાં લખી છે.

દા.ત. ‘જો ડર ગયા, સમઝો મર ગયા’ બોલનારા ગબ્બર અમજદખાનને માંડ આ ફિલ્મમાં ચાન્સ મળ્યો હતો. સંઘર્ષ ચાલતો હતો, પત્ની સગર્ભા હતી અને શરૂઆતમાં કેમેય કરીને ડાયલોગ-ડીલીવરીમાં દમ આવતો ન હતો...‘મહેબૂબા મહેબૂબા’ ગીત ફિલ્મમાં ક્યાંય ન હતું. પ્રિય સીપ્પીસાહેબે સજોડે પરદેશના કોઇ રેસ્ટોરાંમાં એક મોજીલું-મસ્તીલું-થનગનતું ગીત સાંભળ્યું અને તેમને થયું, આ તો આપણામાં ક્યાંક નાખી દેવું જોઇએ. અને તેમણે આ ગીત આર.ડી.ના હવાલે કરી દીઘું. અંગ્રેજી ગીત ન સાંભળતા લોકોએ પણ આ ગીત - ‘સે યુ લવ મી, લવ મી, લવ મી’ - ગાયકઃ ડેમીસ- પૂરતો અપવાદ કરવા જેવો છે. તેમના મોઢેથી ‘અસલ એટલે અસલ’ એવો ઉદ્ગાર નીકળ્યા વિના નહીં રહે.

વાત આડા પાટે ચડી હોય એવું લાગે છે? પણ એવું નથી. કહેવાનો મુદ્દો છે કે અનુરાધા ચોપરા ( તે એનડી ટીવીવાળા વિક્રમ ચંદ્રાની બહેન અને વિઘુ વિનોદ ચોપરાનાં પત્ની) એ એક વાત લખી નથી. તે એ કે ‘શોલે’ના કથાવસ્તુ પર ‘ફિફ્ટી ફિફ્ટી’ની ભારે અસર છે.
‘શોલે’ની જેમ ફિફ્ટી-ફિફ્ટીમાં પણ બે ગુંડા છે. હિંદી ફિલ્મોના પોલીસ અફસરો જેમને ‘છટે હુએ બદમાશ’ કહે છે એવા. બન્ને ગુંડા બચ્ચન-ધર્મીન્દર આણી કું.ની જેમ બહાદુર અને દિલેર છે. બન્ને એકબીજાની સારીએવી ફિલમ ઉતારે છે. સ્ટોરી અમેરિકાની છે, એટલે એકાદ દેશમાં લોકશાહી સ્થાપવાથી ઓછી વાત તો હોય જ નહીં! આ બન્ને બદમાશ બહાદુરોની મદદ એક દેશમાં લોકશાહી સ્થાપવા માટે લેવામાં આવે છે. એ લોકો સ્થાનિક લોકોને સશસ્ત્ર તાલીમ આપે છે અને નાટકીય ઘટનાક્રમને અંગે ધાર્યું ધરણીધરનું (બન્ને હીરોનું) થાય છે. બન્ને ગુંડા એટલી હદે આરાઘ્ય બને છે કે સરમુખત્યારની ચુંગાલમાંથી છૂટેલા દેશવાસીઓ બન્નેની બહાદુરી બિરદાવવા માટે દેશના નવા ચલણી સિક્કા પર તેમનું ચિત્ર મુકે છે.

સિક્કા પરથી યાદ આવ્યું. ભાઇ બચ્ચનની જેમ આ ફિલ્મના બે હીરોમાંનો એક પણ સિક્કો રાખે છે અને વારેતહેવારે ઉછાળે છે. સ્વતંત્ર રીતે મસાલા પ્રોડક્ટ તરીકે આ ફિલ્મ બહુ મઝાની છે. તેમાં ‘શોલે’ની એક ગંગોત્રી સુધી પહોંચ્યાનો આપણો ભાવ ઉમેરાય, એટલે મઝા બેવડાઇ જાય છે.
ઇન્ટરનેટની દયાથી જાણવા મળે છે કે ‘ફિફ્ટી-ફિફ્ટી’નામની ઘણી ફિલ્મો છે. અહીં જેની વાત છે એ ફિલ્મ ૧૯૯૨-૯૩ની છે. તેના ડાયરેક્ટર છે ચાર્લ્સ માર્ટિન સ્મિથ.

Thursday, July 17, 2008

અઘ્યાત્મનું અંડરવર્લ્ડઃ આપણી ભૂમિકા

બાવાઓના લેખ વિશે કેટલાક મિત્રોએ પૂછ્યું છે કે ‘આ તો થઇ સમસ્યાની વાત. હવે તેનો ઉકેલ શું?’
આ લાગણી સમજું છું. છતાં કેટલીક સ્પષ્ટતા કરવા ઇચ્છું છું.
સમસ્યાની વાત થઇ જાય પછી તે સામાન્ય લાગે છે. છતાં પહેલો મોટો સવાલ સમસ્યાની ઓળખનો છે. અત્યારે તમામ છાપાં ‘આસારામબાપુ’ને બદલે ‘આસારામ’ લખતાં થઇ ગયાં છે. આ જ છાપાં આસારામ-બાપુના સત્સંગના સમાચાર અને તેમનો મહિમા પણ છાપતાં હતાં. લોકોનો મૂડ જોઇને તેમણે સુકાન ફેરવ્યું અને ‘બાપુ’નું લટકણિયું છોડીને ‘આસારામ’નું વાજબી સંબોધન ચાલુ કર્યું.
પહેલું પગથિયું આ છેઃ આસારામનું તેજવર્તુળ વિખરાઇ જવું જોઇએ.
આસારામ-જયશ્રી ‘દીદી’ જેવા લોકો ‘સંભવામિ દાયકે દાયકે’ હોય છે. તેમને પાંગરવા માટેની જમીનમાં જ્યાં સુધી બીજું કંઇક ન વાવીએ ત્યાં સુધી આવા લોકો જ તે જમીનનું ભેલાણ કરી જવાના.
લખનારા માણસ આ જમીનમાં ‘કંઇક બીજું’ વાવવાનો પ્રયાસ કરે છે. જેટલા લોકોના મનમાં તે ઉગ્યું તે ખરૂં. વાંચનારા શું કરી શકે? દરેક વાંચનારાની પણ પોતાની સર્કિટ-સામાજિક સંબંધો-મિત્રો-પરિચિતો હોય છે. ધાર્મિક શ્રદ્ધાની બાબત ચર્ચાનો વિષય નથી. છતાં, દસમાંથી બે-ત્રણ એવા ઓળખીતા-પરિચિતો હોય છે, જેમની સાથે કંઇક ચર્ચા થઇ શકે. એવા લોકો સાથે ચર્ચા કરવી. એકસાથે બધા બદલાઇ જવાના નથી. પણ જેના મનમાં સંશય ૧ ટકો હોય, તેનું પ્રમાણ વધારવું એને હું મારૂં કામ ગણું છું.
નિરાશ થવું હોય તો કહેવાય કે ‘નર્મદ અને કરસન મૂળજી થાકી ગયા, તો તમારાથી શું થવાનું?’ હું એટલું જ કહું છું કે ‘આપણેય થાકી જવાનું, પણ બેઠાં બેઠાં નહીં- પ્રયાસ કરતાં કરતાં.’

જોવા જેવી ફિલ્મઃ ગુડવિલ હન્ટિંગ

કુદરતી બક્ષીસ ધરાવતો એક છોકરો આ ફિલ્મનો હીરો છે. એનું વર્તન વિચિત્ર અને ગણિતનું જ્ઞાન અગાધ છે. ગણિત જ નહીં, કોઇ પણ વિષય અંગે એ તેના નિષ્ણાતને ઇમ્પ્રેસ કરે એટલું જ્ઞાન ઝાડી શકે છે. પણ એના મનમાં જંપ નથી. એ સહેલાઇથી પ્રોફેસર કે રીસર્ચર બનીને જિંદગી ગાળી શકે છે, પણ એના ભેજામાં ગણિતના જ્ઞાનની સાથે ભૂસું પણ ભરેલું છેઃ એને બોરિંગ નોકરીઓ કરવી નથી. એટલે તે સફાઇકામ કરે છે, કન્સ્ટ્રક્શન સાઇટ પર પથરા તોડે છે, મારામારી કરે છે, જેલમાં જાય છે, પણ પ્રોફેસર થતો નથી.

એનાં ઘણાં કારણો છે. તેની પ્રતિભા ઓળખીને એક પ્રોફેસર તેને પોતાના માનસશાસ્ત્રી મિત્ર પાસે લઇ જાય છે. અડીયલ છોકરા અને મસ્તમૌલા માનસશાસ્ત્રી વચ્ચે ધીમે ધીમે લાગણી ઊભી થાય છે અને છોકરાનાં બંધ પડ ખુલતાં જાય છે.

આખી સ્ટોરીમાં મુખ્ય ત્રણ-ચાર થ્રેડ છે. એકમાં છોકરાની કોલેજિયન દોસ્તીના નફિકરા અને ધમાલમસ્તીના પ્રસંગો આવે છે. બીજામાં તેની એક છોકરી સાથેની દોસ્તી, પ્રેમ અને વિચ્છેદની વાત, ત્રીજામાં માનસશાસ્ત્રી સાથેના તેના સંબંધ અને ચોથા નાનકડા થ્રેડમાં ‘નિષ્ફળ’ માનસશાસ્ત્રી તથા સફળ ગણિતશાસ્ત્રી વચ્ચેની દલીલબાજી.

આટલું વાંચીને ફિલ્મ જોવાનું મન નહીં થાય એ મને ખબર છે. છતાં, અહીં ફિલ્મનું રસદર્શન કરાવવાનું નથી. એટલું જ કહેવાનું છે કે તક ઊભી કરીને પણ ફિલ્મ જોઇ પાડવી. કેરિયર, જિંદગી, દોસ્તી, પ્રેમ વિશે સરસ સંવાદો અને દ્રશ્યો હોવા છતાં, ફિલ્મ જરાય દિવેલીયા કિસમની નથી. મઝા કરાવે એવી છે. સંવાદોમાં પણ ઘણી વાર વાક્યે વાક્યે ફટકાબાજી આવે છે.

ફિલ્મ અંગ્રેજી સબટાઇટલ સાથે જોવા મળે તો ઠીક છે. નહીંતર હિંદી ડબિંગ પણ મઝા આવે એવું છે. હિંદીમાં તેનું નામ છેઃ ‘મેરી જિંદગી, મેરા ફેંસલા’. હિંદી ડબિંગને નીચી નજરથી જોનારા આવી થોડી ફિલ્મો જુએ તો એમનો અભિપ્રાય જરૂર બદલાય. એ ખરૂં કે તેમાં મૂળ અંગ્રેજી સંવાદોની ફ્લેવર અને તેની અદાયગી ન હોય. છતાં, મૂળ ફિલ્મનો ભાવ અસરકારક રીતે પહોંચે છે.

સાવ અલગ વિષય પર સતત જકડી રાખે એવી ફિલ્મ કેવી રીતે બની શકે તેનું આ વઘુ એક ઉદાહરણ છે. આપણા બમ્બૈયા- ચૈન્નૈયા ડાયરેક્ટરો થોડું કંઇક જુદું કરે એમાં ગામઆખામાં ગાઇ વળે છે અને ‘અમારી નાતમાં આટલુંય કોણ કરે છે?’ એવું કહીને રીતના ૮૦ માર્ક માગે છે. રીતના બે-પાંચ માર્ક હોય. એંસી ના હોય. એટલું પણ એ અને એમના ભક્તો સમજતા નથી. ‘ગુડવિલ હન્ટિંગ’ જેવી ફિલ્મ બોક્સઓફિસ પર ઘૂમ ચાલે છે, એ પણ નવાઇની વાત છે.

ફિલ્મ જોયા પછી વાંચ્યું ત્યારે ખબર પડી કે તેને બે ઓસ્કાર મળ્યા છે. લાયક ફિલ્મોને પણ ઓસ્કાર મળે છે, તે આનંદની વાત છે.

Tuesday, July 15, 2008

જોવા જેવી ફિલ્મઃ કેપ્રિકોર્ન વન

થિયેટરમાં જઇને ફિલ્મો જોવાનું મારે બહુ ઓછું બને છે. પણ હમણાં અસલી/પાઇરેડેટ ડીવીડીની અસીમ કૃપાથી, અડસટ્ટે, કોઇ પણ જાતની પસંદગી કે પૂર્વજાણકારી વિના સારી એવી ફિલ્મો જોવાનું બને છે. તેમાંની કેટલીક ફિલ્મોમાં એવો જલસો પડે છે કે તેની વાત મારી સાથે એટલા જ રસથી ફિલ્મો માણતી મારી પત્ની કે વડોદરા રહેતા મારા ભાઇ બીરેન સિવાય પણ બીજા મિત્રો સાથે ‘શેર’ કરવાનું મન થાય.
મઝા ‘શેર’ કરવાની લાગણીથી ‘જોવા જેવી ફિલ્મ’ શીર્ષક હેઠળ વચ્ચેવચ્ચે ફિલ્મ વિશે કંઇક લખતો રહીશ. એ રીવ્યુ નહીં હોય, પણ ફિલ્મમાં કેમ મઝા પડી (કે ન પડી) એની ટૂંકમાં વાત હશે. ફિલ્મોમાં થોડો ઉંડો રસ ધરાવતા લોકો એ ફિલ્મોથી પરિચિત હોય એવી પૂરી શક્યતા છે. એવા લોકો આ પોસ્ટની કમેન્ટ્સમાં કંઇક વધારે લખશે તો આનંદ થશે. આટલી પૂર્વભૂમિકા પછી હમણાં જોયેલી ફિલ્મ ‘કેપ્રીકોન વન’ (હિંદી ડબિંગ)ની વાત.

કેપ્રિકોર્ન વન
‘અમેરિકાના અવકાશયાત્રીઓ ખરેખર ચંદ્ર પર ગયા જ નથી’ એવી એક અફવા વર્ષોથી ચાલે છે. ઇન્ટરનેટના યુગમાં તેનું ચલણ વૈશ્વિક બન્યું છે. ‘કેપ્રિકોર્ન વન’ જોઇને સૌથી પહેલી એ અફવા યાદ આવે- અને ફિલ્મની સરસ-ચુસ્ત વાર્તાના પ્રવાહમાં તણાઇ જઇએ તો એ અફવા માની લેવાની પણ લાલચ થઇ આવે. નવાઇની વાત એ છે કે ‘કેપ્રિકોર્ન વન’માં ‘નાસા’ અને અમેરિકન સરકારના- ભલે કાલ્પનિક વાર્તામાં- છોંતરાં કાઢી નાખ્યાં છે. એ લોકો પોતાની મનમાની કરવા માટે કઇ હદના ગોરખધંધા કરી શકે છે, તેનું સંસ્થાઓના નામજોગું આ ફિલ્મમાં ચિત્રણ છે. છતાં એ ફિલ્મ અમેરિકામાં ચાલી અને તેની પર રાજદ્રોહનો આરોપ ન થયો. લાગે છે કે ગુજરાતના મુખ્ય મંત્રીને કમ સે કમ આટલું શીખવવા માટે અમેરિકાએ વિઝા આપવા જોઇએ. :-)

ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયેલી આ ફિલ્મમાં મંગળ પર અવકાશયાત્રીઓ મોકલવાનો ખર્ચો કરવાની અમેરિકાના પ્રમુખની ઇચ્છા નથી. એટલે એ બધો દેખાવ અને યાનનું લોન્ચિંગ સુદ્ધાં ગોઠવે છે તો ખરા, પણ...

સ્ટોરી લખવામાં મઝા નથી. એટલું કહી દઊં કે આ ચોંટાડી રાખે એવું થ્રીલર હોવા છતાં, તેમાં ચીલાચાલુ તરકીબો નથી, સસ્તાપણું નથી. લોહીના ફુવારા કે ખુનખરાબા નથી. હત્યાનાં દ્રશ્યો એટલાં સલુકાઇથી બતાવ્યાં છે કે સુરૂચિનો ભંગ થયા વિના તેની ચોટ બરાબર પહોંચે છે.
ફિલ્મના અંતમાં ફક્ત સત્યની જીત બતાવીને વાત પૂરી કરી દેવામાં આવી છે. પ્રેક્ષકોને જે જોવામાં બહુ આનંદ આવે છે, એવો વિલનનો વિગતવાર કરૂણ અંજામ બતાવાયો નથી. ફિલ્મમાં ‘નહીંઇઇઇઇઇઇઇ...’ કરીને ચીસ પાડે એવી કોઇ હીરોઇન નથી. છતાં તેની ખોટ સાલતી નથી. ‘ડીફરન્ટ’ વિષયની ફિલ્મ બિલકુલ જકડી રાખે એવી રીતે, પ્રયોગખોર થયા વિના કેવી રીતે બનાવી શકાય તેના ઉમદા નમૂનામાં આ ફિલ્મનો સમાવેશ થઇ શકે. ફિલ્મ જોઇ પાડ્યા પછી એના વિશે વઘુ વાંચવાની ઇચ્છા થાય તો http://www.imdb.com/title/tt0077294/

અઘ્યાત્મનું અન્ડરવર્લ્ડ

‘સાબરમતી આશ્રમ જાના હૈ.’ થોડાં વર્ષ પહેલાં અમદાવાદ આવેલા ‘ધ હિંદુ’ અખબારના પ્રતિનિધિએ રિક્ષાવાળાને કહ્યું. તેમને હતું કે અમદાવાદમાં ગાંધીજીના આશ્રમે પહોંચવા માટે આનાથી વધારે સમજૂતી આપવાની જરૂર નહીં પડે. પણ થોડા સમય પછી રિક્ષાવાળાએ તેમને સાબરમતીમાં આવેલા આસારામ આશ્રમે લાવીને ઊભા રાખી દીધા અને કહ્યું કે ‘સાબરમતી આશ્રમ તો યહી હૈ’. એ સાંભળીને પત્રકારને બોધિવૃક્ષની જરૂર ન પડી. રિક્ષાના હુડ નીચે જ તેમને બ્રહ્મજ્ઞાન થઇ ગયું કે અમદાવાદ ગાંધીયુગમાંથી ધંધાદારી બાવા-બાપુઓના યુગમાં પહોંચી ગયું છે.

‘હિંદુ’ના પ્રતિનિધિને જે સમજાયું, તેનાથી સ્થાનિક લોકો અજાણ હતા? બિલકુલ નહીં. ખરેખર તો, એ સ્થિતિ સર્જવામાં પણ સૌએ પોતાનો ફાળો આપ્યો હતો. હવે આસારામ આશ્રમ ખૂનકેસમાં સંડોવાતાં દિમાગ પર ચડેલો ‘શ્રદ્ધા’ અને ‘સત્સંગ’નો નશો ઓસર્યો છે અને ચીલાચાલુ ફિલ્મી ડાયલોગની જેમ ઘણા લોકોને થાય છે ઃ ‘મૈં કહાં હું?’ ભક્તો, શ્રદ્ધાળુઓ અને સત્સંગીઓની આ ‘સોબર’ અવસ્થા - અને ગુનેગારોને સજા કરાવવાનો જુસ્સો- ક્યાં સુધી ટકે છે, એ મહત્ત્વનો સવાલ છે. સાથોસાથ, ગુરૂ કોને ગણવા અને ગુનેગાર કોને, એ પણ વિચારવા જેવું છે.

તફાવત શોધોઃ ગુરૂ અને ગુનેગાર

ટીલાંટપકાં-માળા-કામળી-ભગવાં વસ્ત્રો, આ બધી ફેન્સી ડ્રેસની આઇટેમ ભારતીય જનમાનસની દુઃખતી નસ છે. તેમાંથી કોઇ એક કે વઘુ ચીજ ધારણને જોઇને સરેરાશ ભારતીયના હાથ આપોઆપ જોડાઇ જાય છે અને માથું સહેજ ઝૂકી જાય છે. સામેની વ્યક્તિનો દેખાવ જેટલો પ્રભાવશાળી, એટલાં શ્રદ્ધાળુનાં શારીરિક-માનસિક ઉચ્ચાલનો લપટાં અને પગમાં પડી જવાની વૃત્તિ પ્રબળ.

આ માનસિકતા સમજીને ગાંધીજીએ દેશસેવા કરવા આવેલા સ્વામી આનંદને ભગવાં તજી દેવા કહ્યું. સ્વામી પણ માનતા હતા કે ‘સાઘુ ‘દો રોટી, એક લંગોટી’ના હકદાર. એથી વઘુ જેટલું સમાજ પાસેથી લે, તેટલું અણહકનું, હક બહારનું. લીધેલાની દસ ગણી ફેડ એક ગૃહસ્થનો ગજ. સાઘુનો સહસ્ત્રનો. સાઘુ લે એનાથી સહસ્ત્ર ગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી. દુનિયાની ઘરેડે જ ચાલ્યો. અદકું કશું ન કર્યું. એથી વઘુ કરે તેની વશેકાઇ.’ સ્વામી આનંદના ગજથી માપતાં, આજના કેટલા બાવા-બાપુ-ગુરૂઓને ‘સાઘુ’ કહી શકાય?

જૂના વખત સન્યાસીઓ જ્યારે માથું મુંડાવી નાખતા હતા, અને મુંડાઓ સન્યાસી તરીકે ચરી ખાતા હતા ત્યારે એક કહેવત પ્રચલિત હતીઃ ‘સિર મુંડનમેં તીન ગુન, સરકી જાવે ખાજ (ખંજવાળ)/ ખાને કો લડ્ડુ મિલે, લોગ કહેં મહારાજ’. હવેના જમાનામાં દાઢી માટે આવી કોઇ કહેવત કરવાની જરૂર હોય એવું લાગે છે. લાંબી દાઢી પવિત્રતાના મેક-અપનો આવશ્યક હિસ્સો ગણાય છે. અનુયાયીઓની વિવેકબુદ્ધિ પર જાણે લાંબી દાઢી પથરાઇ જાય છે.

આમ પણ કેટલા અનુયાયીઓ જ્ઞાનપ્રાપ્તિ માટે કે આઘ્યાત્મિક કારણોસર બાવાબાપુઓ પાસે જાય છે? મોટા ભાગના લોકો ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અને એ સુખો મળી ચૂક્યાં હોય તો એ ટકી રહે એના માટે અને એ ટક્યાં હોય તો તેમાંથી ઊભા થયેલા બીજા પ્રશ્નોથી દુઃખી થઇને કહેવાતા આઘ્યાત્મિક ગુરૂઓના શરણે જાય છે. સેક્સોલોજિસ્ટની જેમ આઘ્યાત્મિક ગુરૂ બનવા માટે કોઇ ડીગ્રીની, અભ્યાસની કે જ્ઞાનની જરૂર નથી. ઝુકતી દુનિયાને ઝુકાવવાનો નફ્ફટ જુસ્સો હોવો આવશ્યક છે. બન્ને વચ્ચે મોટો ફરક એ છે કે સેક્સોલોજિસ્ટને ‘બોગસ’ વિશેષણનો અને પોલીસની તપાસનો હંમેશાં ડર રહે છે, જ્યારે બોગસ બાવાઓને આવી કોઇ ચિંતા હોતી નથી.

ગુરૂ-શિષ્યનું ગોટાળીયું ગણિત

એક વ્યક્તિના જોરે, તેની આવડત-નફ્ફટાઇ-ગુંડાગીરી-પ્રભાવ અને વિશ્વાસુ સાગરીતોની મદદથી એક પંથ, સંપ્રદાય, ગુરૂ કે ફિરકાનું સામ્રાજ્ય ઊભું થઇ શકે છે. પણ તેને ધમધમતું રાખવા માટે અનેક પાયાની જરૂર પડે છે. વગદાર અનુયાયીઓ એ ભૂમિકા ભજવે છે. બહારથી જોતાં બન્ને વચ્ચે ગુરૂ-અનુયાયીનો સંબંધ હોય એવું લાગે, પણ હકીકતમાં બન્ને પક્ષ પોતપોતાનાં સ્થાપિત હિતો આગળ ધપાવે છે. સામાજિક પ્રભાવ ધરાવતા ગુરૂ વગદાર-પૈસાપાત્ર અનુયાયીઓને હાથમાં રાખે છે અને એ અનુયાયીઓ ગુરૂને હાથમાં રાખે છે. બન્ને પોતાના સ્વાર્થ માટે બીજાને રમાડે છે, પણ સરવાળે બન્નેનો સ્વાર્થ સધાતો હોવાથી કોઇ પક્ષે ફરિયાદ નથી.

કેટલાક ધનિક ભક્તો સ્થાપિત હિતને બદલે ‘સંસ્કાર’ની કે સ્ટેટસની કમી પૂરી કરવા માટે આઘ્યાત્મિક ક્લબોમાં જોડાય છે. આ સમીકરણમાં સામાન્ય, ગરીબ કે મઘ્યમ વર્ગના અનુયાયીનું સ્થાન ક્યાં? સીધી વાત છેઃ બાવાજીઓના બિઝનેસમાં સામાન્ય અનુયાયીનું મહત્ત્વ ફક્ત સંખ્યાત્મક છે. એ ન હોય ત્યાં સુધી બાવાજીનો ધંધો ન ચાલે, પણ એ આવી જાય એટલે તેનું સ્થાન ટોળામાં જ રહે છે. તેણે દૂરથી બાવાજીનાં દર્શન કરીને ધન્ય થવાનું. મહેનત વગરની, અણહકની અઢળક સંપત્તિ મળે, રૂપિયા, જમીનો, મકાનો, નેતાઓ સાથે નિકટતા, અફસરો સાથે સંબંધ- આ બધાને કારણે ગુરૂના મનમાં એવી રાઇ ભરાય છે કે તે કાયદાથી પર છે. તેમનું કોઇ કશું બગાડી શકે એમ નથી. સામાન્ય અનુયાયીઓમાં એટલી હિંમત કે શક્તિ નથી અને ખાસ અનુયાયીઓ પોતાનાં સ્થાપિત હિત જાળવવા બગાવત કરે એમ નથી. તેમ છતાં, કોઇ આધુંપાછું થાય તો પોલીસ-વહીવટી તંત્ર અને સરકાર આપણાં જ છે. આવી માન્યતા તે ધરાવતા થાય છે. અફસોસની વાત એ છે કે દુષ્ટ ગુરૂઓ સામે સોપો પડી જાય એવી કાર્યવાહી થવાને બદલે, તેમની માન્યતાઓ સાચી ઠરે એવી ઘટનાઓ વધારે બને છે.

સ્વાઘ્યાય પરિવારનો કિસ્સો બહુ જૂનો નથી. એક પક્ષમાં ‘સૈદ્ધાંતિક મતભેદ’ની ઓથે સત્તાની સાઠમારીમાંથી બે તડાં પડે, અસંતુષ્ટોનું એક જૂથ જુદું પડે, અસંતુષ્ટોના બોલકા આગેવાનની ધોળે દહાડે હત્યા થઇ જાય અને છતાં સરકારની શીળી છાયા તળે આરોપીઓ પોતાના અનુયાયીબળ (વાંચોઃ વોટબેન્ક)ના જોરે, ‘આઘ્યાત્મિક’ દબદબા સાથે બહાર ફરતા રહે- રાજકારણ સહિત બીજા કોઇ પણ ખરાબ ગણાતા ક્ષેત્રમાં આનાથી વઘુ ખરાબ બીજું શું થઇ શકે? આઘ્યાત્મિકતાનો છૂટક અને જથ્થાબંધ ધંધો કરતા સ્ત્રી અને પુરૂષ ગુરૂઓ રાજકારણમાં આવે, તો તેમને આશ્રય આપનારા નેતાઓ જ તેમનાં કરતૂત ઉઘાડાં પાડી બતાવે. પણ ગુરૂઓમાં એટલી સ્વાર્થબુદ્ધિ સાબૂત હોય છે. તે પોતે કદી રાજકારણમાં જતા નથી. એટલે રાજકારણીઓ તેમની સાથે સ્પર્ધાભાવ અનુભવતા નથી અને વોટબેન્કનો ફાયદો મેળવવા માટે, બઘું જાણીને પણ કહેવાતા ગુરૂઓને છાવર્યા કરે છે.

લાગણી કેમ દુભાતી નથી?

વેલેન્ટાઇન ડેની ઉજવણીથી માંડીને દેવીદેવતાઓનાં ચિત્ર બાબતે ઘણા લોકોની લાગણી દુભાય છે અને એ લોકો તોડફોડ પર ઉતરી આવે છે. હિંદુત્વના આ સગવડીયા રખેવાળોની લાગણીનું બાવા-બાપુઓ-બહેનોનાં કૌભાંડો બહાર આવે ત્યારે શું થાય છે, એ જાણવા મળતું નથી. હિંદુ ધર્મની ખરી બદનામી કોઇ વિદ્યાર્થીએ દોરેલા એકાદ ચિત્રથી વધારે થાય કે હિંદુ ધર્મની ઓથે ગોરખધંધા કરનારા બાવાઓથી?

પરંતુ લાગણી દુભાવવાની બૂમો પાડનારાઓનાં પણ સ્થાપિત હિત હોય છે. હિંદુ અને બીજા ધર્મીઓ વચ્ચેની ખાઇ વધવાની હોય તો જ તેમને લાગણી દુભાવવાની મઝા આવે છે. પણ ગુરૂકુળોમાં ખૂનખરાબા થાય, આશ્રમોમાં લોકોને ગોંધી રખાય કે તેમની હત્યા થાય, બાવાઓ હરીફોનાં અપહરણો કરાવે, બાવાઓનાં બે જૂથ વચ્ચેની અથડામણને કારણે ગામમાં કરફ્યુ નખાય...આવા અસંખ્યા બનાવ બન્યા પછી પણ લાગણીશૂરાઓની લાગણી કેમ દુભાતી નથી? હિંદુ ધર્મને આગળ ધરીને, લોકોની માનસિક નબળાઇને ગેરફાયદો ઉઠાવીને પોતાની શારીરિક-માનસિક-આર્થિક વાસનાઓ સંતોષતા ધર્મગુરુઓ જે કરે છે, તે હિંદુ ધર્મનું હળહળતું અપમાન નથી?

બાવાઓનો પાપાચાર હદ વટાવી જાય ત્યારે થોડા અનુયાયીઓનો હૃદયભંગ થાય છે. બનાવટી બાવાઓ અને તેમના ધંધા પ્રત્યે થોડા અનુયાયીઓના મનમાં વૈરાગ્ય જાગે છે, જે ઘણુંખરૂં સ્મશાનવૈરાગ્ય સાબીત થાય છે. બાકીના અનુયાયીઓની આંખ પોતાનાં હિત ન જોખમાય ત્યાં સુધી ઉઘડતી નથી- અને આંખ ઉઘડે છે ત્યારે બહુ મોડું થઇ જાય છે.

અભેદ્ય ગઢમાં ફેરવાઇ ગયેલા અનિષ્ટોના અડ્ડા જેવા આશ્રમોને સરકારી કાર્યવાહી દ્વારા કંપનીમાં ફેરવી નાખવામાં આવે, તેના હિસાબકિતાબ જાહેર કરવાની ફરજ પાડવામાં આવે, તેના દરવાજા બહારની તટસ્થ તપાસ માટે ખુલ્લા રહે અને અનુયાયીઓને સવાલો પૂછવાની સત્તા મળે તો સ્થિતિમાં સુધારો થવાની આશા રાખી શકાય. બાકી, આસારામ આશ્રમના વિવાદથી આઘ્યાત્મિક ક્ષેત્રનાં કૌભાંડોની લાંબી યાદીમાં વઘુ એક કૌભાંડના ઉમેરા સિવાય બીજો કશો ફરક પડવાનો નથી.

Monday, July 14, 2008

શિક્ષણક્ષેત્રનો વિરોધાભાસઃ ગુણમાં તેજી, ગુણવત્તામાં મંદી

‘એસ.એસ.સીની પરીક્ષામાં ‘ટોપ ૧૦’ સ્થાને કેટલા વિદ્યાર્થીઓ હતા?’ આવો સવાલ સાંભળીને પ્રશ્ન પૂછનારની સમજણ વિશે સવાલો જાગે એવી પૂરી શક્યતા છે. એક રીતે જોઇએ તો એ સવાલ ‘સાડા નવની લોકલ કેટલા વાગ્યે આવે?’ તેના જેવો છે. પણ તેનો જવાબ સાંભળ્યા પછી એ સવાલનું સ્તબ્ધ કરી મુકે એવું વાજબીપણું સમજાય છે.
એસ.એસ.સી.ની પરીક્ષામાં ‘ટોપ ૧૦’- એટલે કે પહેલા દસ સ્થાન પર આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા હતીઃ ૫૩. ટકાવારીની રીતે જોઇએ તો, ૯૬.૩૧ ટકાથી ૯૪.૭૭ ટકા વચ્ચે- એટલે કે દોઢ ટકાના (૧.૫૪ ટકાના) સાંકડા પટ્ટામાં ૫૩ વિદ્યાર્થીઓની ભીડ થઇ. આ ટ્રેન્ડ અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યનાં પરિણામોમાં પણ જોવા મળ્યો. અમદાવાદ શહેરમાં ‘ટોપ ૧૦’ સ્થાને ૨૫ વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં ‘ટોપ ૧૦’ની યાદીમાં ૨૩ વિદ્યાર્થીઓ સ્થાન પામ્યા હતા. પહેલા અને દસમા નંબર વચ્ચેનો તફાવત માંડ દોઢ ટકા જેટલો જ હતો.
ટકાવારીને હોંશિયારી સાથે સાંકળતા લોકો આ પ્રકારનાં પરિણામોને ‘તેજસ્વીતાનો વિસ્ફોટ’ ગણીને હરખાઇ શકે છે, પણ એ વિસ્ફોટમાં આખી શિક્ષણપ્રણાલીનો ખુરદો નીકળી જાય છે તેનું શું? પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના માહોલમાં અર્થતંત્રના ફુગાવાની ચર્ચા અને ચિંતા ચોમેર થાય છે, પણ બોર્ડની પરીક્ષાઓમાં દર વખતે માથું ઉંચકતો ટકાવારીનો ફુગાવો સૌએ ચૂપચાપ, લગભગ નીયતી ગણીને, સ્વીકારી લીધો છે. આજથી પંદર-વીસ વર્ષ પહેલાં ખાનગી શિક્ષણની હાટડીઓ ધરાવતા મહારાષ્ટ્રમાં ટકાવારીની આ જ સ્થિતિ હતી. ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ (૬૦ ટકા) લાવીને રાજી થતા હોય અને ડિસ્ટીંક્શન (૭૦ ટકા) બહુમતિ લોકો માટે સ્વપ્નું જ હોય, એ વખતે મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ ગુણ ભરીને ગુણ લઇ આવતા હતાઃ ૯૦ ટકા, ૯૨ ટકા, ૯૫ ટકા... કેમ કે, તેમને આગળ ઉપર રાજ્યમાં ચાલતી ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓનો પુરવઠો પૂરો પાડવાનો હતો. કડક પરિણામ આવે તો ખાનગી હાટડીઓ શી રીતે ચાલે? ડોનેશનથી ઓછા ટકાવાળાને એડમિશન આપી દેવું એ આજના જમાના પ્રમાણે જરા પછાત રિવાજ લાગે. એટલે ગુણવત્તાનો દંભ પોસાય, છતાં ખાનગી શિક્ષણની દુકાનો બંધ ન થાય, એવું શી રીતે બને?
તેનો જવાબ છેઃ ટકાની લહાણી કરો. તેનાથી ‘ફીલગુડ’ની લાગણી પેદા થશે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આશ્વાસન લઇ શકશે કે ‘બિચારા/બિચારીના ૭૦-૮૦ ટકા તો આવ્યા, પણ એડમિશન ન મળ્યું તેમાં એ શું કરે?’ મુખ્યત્વે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના લાભાર્થે શરૂ થયેલી ટકાવારીની લહાણીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાનો વાંક જોશે. ‘જમાનો સ્પર્ધાનો છે અને આપણે સ્પર્ધામાં પાછળ રહી ગયા’ એવું અનુભવશે અને ‘સેકન્ડ ક્લાસ સીટીઝન’ની જેમ ‘સેકન્ડ ક્લાસ સ્ટુડન્ટ’ તરીકે મન મારીને આગળ વધશે.
સવાલ પ્રત્યેક ખાનગી શૈક્ષણિક સંસ્થાના વિરોધનો નથી.. પણ સરકારી સંસ્થાઓને ઇરાદાપૂર્વક નબળી પાડીને, તેમાં ભણતા વિદ્યાર્થીઓને રઝળાવીને ગુણવત્તાનો આભાસ ઊભો કરતી સરેરાશ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને માતેલી બનાવવા સામે વાંધો છે.

Monday, July 07, 2008

હોમાય વ્યારાવાલાઃ ખુદ્દાર જિંદગીની બોલતી તસવીર

‘આ ઊંમરે તમે મરચાં ખાવ છો? ગાર્ડનિંગ કરો છો? અને ગાડી પણ ચલાવો છો?’ ‘આય ઊંમરે એટલે વોટ ડુ યુ મીન? આઇ એમ જસ્ટ ૯૪.’ (‘આ ઊંમરે’ એટલે તમે શું કહેવા માગો છો? હજુ તો મને ૯૪ જ થયાં છે.) એવો કડક-મીઠો જવાબ આપનાર ‘ફક્ત ૯૪ વર્ષનાં’ માયજી એટલે હોમાય વ્યારાવાલા. સંભવતઃ ભારતનાં પહેલાં મહિલા ન્યૂઝ ફોટોગ્રાફર. હોમાય વ્યારાવાલાએ લીધેલી તસવીરો રાષ્ટ્રના ઇતિહાસની મૂલ્યવાન જણસ ગણાય છે. તેમના વિશે અત્યાર સુધીમાં સ્થાનિક-રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સામયિકોમાં ઘણું લખાઇ ચૂક્યું છે.

થોડા સમય પહેલાં પ્રકાશિત થયેલું દળદાર પુસ્તક ‘કેમેરા ક્રોનિકલ્સ ઓફ હોમાય વ્યારાવાલા’ (લેખિકાઃ સબીના ગડીહોકે) ફોટોગ્રાફી અને ઇતિહાસનો એક ઉત્તમ દસ્તાવેજ છે. ફોટોગ્રાફર તરીકે હોમાય સક્રિય હતાં ત્યારે સરદાર પટેલથી ઈંદિરા ગાંધી સુધીનાં અનેક નેતાઓ તેમને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. સરદાર પટેલ ‘વો તો હમારી ગુજરાતન હૈ’ કહીને રાજી થતા હતા, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ જેવા વિદ્વાન રાષ્ટ્રપતિ પ્રેસ કોન્ફરન્સમાં હોમાયને ન જુએ એટલે તેમના વિશે પૂછપરછ કરે. ૧૪ ઓગષ્ટ, ૧૯૪૭ની મધરાતે લાલ કિલ્લા પરથી થયેલું ઐતિહાસિક ઘ્વજવંદન હોય કે ગાંધીજીની અંતીમ યાત્રા જેવો પ્રસંગ, લોર્ડ માઉન્ટબેટનની ગાર્ડન પાર્ટી હોય કે નેહરૂના દૌહિત્રો રાજીવ-સંજયની બર્થ ડે પાર્ટી, આ બધા પ્રસંગે હોમાય વ્યારાવાલા ફોટોગ્રાફર તરીકે-મોટે ભાગે પુરૂષ ફોટોગ્રાફરના ઝુંડ વચ્ચે એકમાત્ર ભારતીય મહિલા ફોટોગ્રાફર તરીકે- હાજર હોય. વડા પ્રધાન નેહરૂ હોમાય વ્યારાવાલાનો પ્રિય વિષય હતા. નેહરૂના મિજાજ અને લોકપ્રિયતાના અનેક તબક્કા તેમણે ખેંચેલી તસવીરોમાં જોવા મળે છે. તેમાંનો એક અત્યંત જાણીતો ફોટો ‘ફોટોગ્રાફી નોટ એલાઉડ’ ના પાટીયા પાસે ઊભા રહીને ફોટો પડાવતા વડા પ્રધાન નેહરૂનો છે.

સભર અને સમૃદ્ધ ભૂતકાળની સરખામણીમાં, વડોદરામાં છાણી પાસે એક બંગલાના પહેલા માળે રહેતાં હોમાય એકલતાની મૂર્તિ લાગે. બે-ત્રણ રૂમનું તેમનું ઘર અને તેમની ટેરેસ એટલે ફુલછોડ અને હોમાયબહેને જાતે જરૂર પ્રમાણે તૈયાર કરેલી ચીજવસ્તુઓનું મ્યુઝીયમ. તેની શરૂઆત બંગલામાં પ્રવેશવાની ઝાંપલીથી થાય. ત્યાં એમણે સ્વર્ગસ્થ પુત્રના ‘બુલવર્કર’ની (કસરતના સાધન)ની સ્પ્રીંગ એવી રીતે લગાડી છે કે આગંતુક નાનો દરવાજો ખેંચીને ઉઘાડે, પછી દરવાજો આપમેળે સ્પ્રીંગના સંકોચાવાથી બંધ થઇ જાય. ઘરની અંદર દીવાનખાનાનું સુશોભન સાદું છતાં કળાત્મક. રહેનારની ઉંચી કળાદ્રષ્ટિનો ખ્યાલ આપે એવું. દીવાલો હજુ સફેદ છે. તેનું કારણ આપતાં હોમાયબહેન કહે છે,‘વડોદરા રહેવા આવી ત્યારે વિચારતી હતી કે ચાર-પાંચ વર્ષ જીવવું ત્યાં કલરની શી માથાકૂટ? પણ એમ ને એમ ૧૮ વર્ષ વીતી ગયાં.’

‘લોકોને મરવાની વાત કરતાં બીક લાગે છે, પણ મને આનંદ અને મજાક સૂઝે છે.’ એવું હોમાયબહેન ફક્ત કહેવા ખાતર નથી કહેતાં. પોતાના મૃત્યુ વિશે ફિલસૂફી ઝાડવી સહેલી છે, પણ પતિના મૃત્યુની વાત કરતી વખતે સ્થિતપ્રજ્ઞ રહેવું બહુ અઘરૂં હોય છે. હોમાય વ્યારાવાલા જો કે જુદી માટીનાં બનેલાં છે. એ કહે છે,‘આઇ એમ નોટ ઇમોશનલ ટાઇપ. (હું લાગણીપોચી નથી). ખોટી દવા લેવાને કારણે મારા હસબન્ડનું મૃત્યુ થયું ત્યારે હું રડી ન હતી. હું એના માટે પ્રાર્થના કરતી હતી.’ આટલું ઓછું હોય તેમ, હોમાયબહેને પારસી સમાજની મરજીથી વિરૂદ્ધ જઇને પતિની ઇચ્છા પ્રમાણે તેમના અંતીમ સંસ્કાર કર્યા.

મૃત્યુની બાબતમાં ભલભલા સાઘુસંતો કરતાં વધારે અનાસક્ત અને સ્થિતપ્રજ્ઞ હોવા છતાં, હોમાયબહેનનો જીવનરસ કોઇ પણ જુવાનિયાને શરમાવે એટલો પ્રબળ છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવચન માટે આમંત્રણ મળ્યા પછી તેમણે પોતાનો પાસપોર્ટ નવો કઢાવ્યો. પાસપોર્ટ તૈયાર થઇને આવી ગયો, એટલે તેમણે વડોદરાના સ્નેહી-મિત્ર બીરેન કોઠારીને રાબેતા મુજબ એક પોસ્ટકાર્ડ લખીને સમાચાર આપ્યા અને વધારામાં લખ્યું,‘હું રૂપિયા બગાડવામાં માનતી નથી. એટલે હવે તો નવા પાસપોર્ટની મુદત પૂરી થાય ત્યાં સુધી જીવવું પડશે.’

(હોમાય વ્યારાવાલા સાથે (ડાબેથી) કામિની- બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારીઃ અમેરિકા જતાં પહેલાં અમદાવાદની ‘ગ્રીનહાઉસ’ રેસ્ટોરાંમાં)

તેમના જીવનરસનો સૌથી મોટો પુરાવો એ છે કે એકાદ બાબતને બાદ કરતાં જીવન પ્રત્યે તેમને કોઇ ફરિયાદ નથી. એક સમયે સરદાર પટેલ-નેહરૂ જેવા નેતાઓ સાથે પરિચય કે દિલ્હીની ‘પેજ ૩’ પાર્ટીઓનો અનુભવ હોવા છતાં, તેમની વાતોમાં કદી ભવ્ય ભૂતકાળના રોદણાં સાંભળવા મળતાં નથી. એ કહે છે,‘હું કુટુંબ સાથે પણ સુખી હતી અને કુટુંબ વગર પણ હું દુઃખી નથી.’

૯૪ વર્ષની ઊંમરે ઘરનું બઘું કામ તે જાતે કરે છે. રસોઇ, બાગકામ અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવવાની કારીગરી તેમના એવા શોખ છે, જેના પ્રતાપે તે ગૌરવભેર કહી શકે છે,‘મને ટાઇમ મળતો નથી.’ જીવનમાં શ્રમનું મહત્ત્વ સમજાવતાં એ કહે છે,‘દરેક જણે પોતાની જુવાનીમાં શારીરિક શ્રમ સંકળાયેલો હોય એવો એકાદ શોખ રાખવો જોઇએ. ફક્ત વાંચવાનું કે સંગીત સાંભળવાનું પૂરતું નથી. શ્રમકેન્દ્રી શોખ હોય તો એ વૃદ્ધાવસ્થામાં બહુ કામ આવે છે.’

સદા પ્રવૃત્તિમય રહેતાં હોમાયબહેન પતિ માણેકશા સાથે દિલ્હી રહેતાં હતાં ત્યારે સવારમાં દીકરાનું કામ અને ઘરકામ, બપોરે બ્રિટિશ હાઇકમિશનની ઓફિસે ફોટોગ્રાફર તરીકે કામ અને સાંજે ઘેર આવીને સ્નાન કરીને પાર્ટીનું કે ફોટોગ્રાફીનું બીજું કામ- આવું તેમનું શીડ્યુલ હતું. છતાં, સમય કાઢીને તે બીજી પ્રવૃત્તિઓમાં રસ લેતાં હતાં. સુથાર, લુહાર કે રસ્તા પર ચંપલ સાંધનારા માણસને કામ કરતો જોવા તે ઊભાં રહેતાં અને ઘ્યાનથી તેની કામગીરીનું નિરીક્ષણ કરતાં હતાં. ત્યાર પછી એ અખતરો ઘરે થતો. આ રીતે તેમણે ઘણા હુન્નર આત્મસાત્ કર્યા. બાગકામ એ પુસ્તકો વાંચીને શીખ્યાં. તેમનો તરવરાટ એવો કે સાયકલ લઇને દીકરાને સ્કુલે લેવા જાય, ત્યારે દીકરાના દોસ્તો એને કહે,‘યોર સીસ્ટર હેઝ કમ.’ (તારી બહેન લેવા આવી ગઇ).

દિલ્હીમાં ફોટોગ્રાફર તરીકે તેમણે નિષ્ઠા અને ખંતથી કામ કર્યું, પણ એ ફક્ત વ્યવસાય તરીકે. ‘અમે ઘણા બધા ફોટોગ્રાફર સાથે હોઇએ એટલે મને મારા કામનું મૂલ્ય સમજાયું ન હતું. પણ આઝાદીનાં પચાસ વર્ષ નિમિત્તે બધા લોકો જૂના ફોટોગ્રાફ્સ શોધતા આવ્યા, ત્યારે મને મારા કામની કિંમત સમજાઇ.’ ફોટોગ્રાફર તરીકેના વ્યવસાયમાંથી ગરીમાનો લોપ થતાં તેમણે કેમેરા છોડ્યો અને પીલાની જઇને વસ્યાં.

‘દિલ્હીમાં ફોટા અને નેગેટીવ અમે જેમ આવે તેમ એક કવરમાં મુકતાં હતાં. એક જ કવરમાંથી મૈયતના ફોટા હોય અને મજલિસના પણ હોય. પીલાની જઇને મેં બઘું વ્યવસ્થિત ગોઠવ્યું. બૂટના ખોખા જેવડા એક મોટા બોક્સમાં સૌથી અગત્યના ફોટાની નેગેટીવ હતી- મારા કામનો લગભગ ૬૦ ટકા હિસ્સો એ ખોખામાં હતો. પણ એ ખોખું ક્યાંક ખોવાઇ ગયું. એ સિવાય ઘણી બધી (બે હાથ પહોળા કરીને બતાવવી પડે એટલી) પ્રિન્ટ નકામી લાગતાં તેને સળગાવી દીધી. એ વખતે મને આ કામની કિંમત ન હતી. એ બઘું સાચવી રાખવા પાછળ એક જ લોજિક હતુંઃ કદાચ મારા દીકરાને કામ આવે.’

બંધ ખોખામાં સચવાયેલી થોડીઘણી પ્રિન્ટ સત્તર વર્ષ પછી ‘આઉટલૂક’ અને ‘ઇન્ડિયા ટુડે’ના વિશેષાંકો માટે પહેલી વાર તેમણે ખોલી, ત્યારે એ પ્રિન્ટોની ગુણવત્તા જોનાર છક થઇ ગયા. હજુ હમણાં જ તૈયાર કરી હોય એવી એ તસવીરો હતી. અને જે જોઇને મંત્રમુગ્ધ થઇ જવાય એ તો ખજાનાનો માંડ ૪૦ ટકા હિસ્સો હતો. ૬૦ ટકા હિસ્સો તો કાળના પ્રવાહમાં ક્યાંક ગુમ થયો હતો. આટલો મોટો ખજાનો ખોવાયો, એની વાત કરતાં હોમાયબહેનનો અવાજ નથી ભીનો થતો કે નથી તેમની આંખોમાં લાચારી પ્રગટતી.

વડોદરામાં એકાંતવાસનાં અઢાર વર્ષ પછી બીજી કોઇ બાબતે તેમના અવાજમાં ફરિયાદનો સૂર પ્રગટતો નથી, પણ લોકોમાં રહેલી સિવિક સેન્સની- તેના અભાવની વાત આવે, એટલે હોમાયબહેનનો ચહેરો તમતમી જાય છે. પોતાના મકાનની સામે ક્રિકેટ રમતાં અને ફુલછોડને નુકસાન પહોંચાડતાં તોફાની છોકરાંથી તે બહુ નારાજ છે. એ છોકરાંના માતા-પિતા પોતાનાં છોકરાંને ટોકવાને બદલે ‘પોલીસમાં ફરિયાદ કરો’ એવી સલાહ આપે, એ વાતનું તેમને વધારે દુઃખ છે. કોઇની પાસેથી મદદ ન માગતાં, સ્વમાનભેર પોતાના જીવનનો આખરી તબક્કો વીતાવી રહેલાં સિદ્ધિવંત હોમાયબહેન ફક્ત બીજા લોકો હેરાન ન કરે એટલી જ અપેક્ષા રાખે છે. અફસોસની વાત એ છે કે તેમની આટલી મામૂલી અપેક્ષા પણ તેમની આજુબાજુના લોકો કે તેમનું સન્માન કરીને પોતાના માટે પ્રસિદ્ધિ ઉઘરાવી લેવા માગતા લોકો સંતોષી શકતા નથી.
નોંધઃ આ લેખ લખાયા પછી હોમાય વ્યારાવાલા અમેરિકા અને બ્રિટનની કેટલીક યુનિવર્સિટીનાં આમંત્રણથી, તેમનાં ચરિત્રલેખિકા સબીના ગડીહોકે સાથે અમેરિકા અને બ્રિટન જઇ આવ્યાં. (ઉપરની તસવીર) પણ થોડા દિવસ પહેલાં જ તે (મારા મોટા ભાઇ) બીરેન કોઠારીને કહેતાં હતાં,‘લાગે છે કે ફરી અમેરિકા જવું પડશે. આય વિઝિટમાં બહુ મઝા નહી આવી.’

Friday, July 04, 2008

Excretion of all types

Here is a hoarding, like many others in the entire city of Ahmedabad, congratulating Gujarat CM for getting selcted as no.1 CM three times in a row in a survey.
Tough to digest is the flattery that accompanies the congratulatory lines. It is quoted from popular Hindi song and read :
Mandiron mein shankh baaje,
Mashidon mein ho ajaan,
Sheikh ke haram aur
din-e-barahman azad hai
Ab koi gulshan na ujade, Ab watan azad hai'

Meaning 'Sound of conch-shell in temples and ajaan (prayers) from Mosques, the Muslim and the Hindu are free from all religious restrictions... Because Watan (motherland) is Azad (free).

The question is : The motherland is free from whom? and how? Wasn't it already free before Mr. Modi's rule?
But as one know, flattery knows no rules or doesn't care for logic.
Sad thing about this hoarding : It's put by noted stage singee and voice of 'Mohd. Rafi' Bankim Pathak. There were several haordings in the city.
Best thing about this hoarding : It's location. Just near Sulabh Shauchalay - Pay & Use Public Toilet.
In case of Mr.Modi the CM, He has used (hatred) and Gujarat has paid!

Thursday, July 03, 2008

From Sahajanand Swami to 'Aishwarya Swami' : Headgear and Brainwave

The 'idea' ad needs no elaboration. The other one, an appeal to remove pollution, is curious as it appears with painting of Sahajanand Swami, founder of Swaminarayan sect. The sect, founded for noble cause as usual, has come in to focus for all the wrong reasons, including accusations of murder, rape and financial misappropriations. To be fair with the sect, there are many others keeping the company.
Pollution needs to be removed from the sect first, it seems!

મેગાસીટીના મેગા-ભૂવા, ન જોયા તે જીવતા મૂઆ

‘ગુજરાત પાસે પ્રવાસન (ટુરિઝમ) ખીલવી શકાય એવી કેટલી બધી જણસો છે! પણ ખાતામાં એવી આવડત જ નથી.’ આવો કચવાટ ઘણા લોકોનો પ્રિય ટાઇમપાસ છે. તેમને લાગે છે કે ‘આટલો લાંબો દરિયાકિનારો, પહાડો અને રણથી સમૃદ્ધ ગુજરાત મુકીને અસંતુષ્ટોને બળવો કરવા ઠેઠ ખજૂરાહો જવું પડે એ કેવી કરૂણતા?’

પર્યટન ઉદ્યોગ ન ખીલવી શકવાની ગુજરાતની ખાસિયત આજકાલની નહીં, વર્ષોજૂની હોય એવું લાગે છે. કારણ કે ગુજરાતના આતિથ્યને બિરદાવવા માટે વારંવાર વપરાતા દુહામાં પણ કહેવાયું છેઃ ‘કાઠિયાવાડમાં કોક દી’ ભૂલો પડ્ય ભગવાન...’ આ પંક્તિમાં એવું સ્વીકારી લેવાયું લાગે છે કે કાઠિયાવાડ કે ગુજરાતમાં માણસ ઇરાદાપૂર્વક, તેનાં પ્રચાર કે ખ્યાતિથી આકર્ષાઇને આવે એવી શક્યતા નથી. એ ભૂલો પડે તે જ એક વિકલ્પ છે. પ્રવાસન ખાતું આ દુહાનો પોતાના બચાવ માટે ઉપયોગ કરી શકે, પણ તેનાથી સમસ્યા હલ થતી નથી. અસલ મુદ્દો એ છે કે પ્રચાર જોરદાર હોય તો કોઇ પણ સ્થળને પ્રવાસનસ્થળ તરીકે વિકસાવી શકાય છે. તે કોઇનું ઘર હોઇ શકે, ઘરની બહાર ભરાયેલું ખાબોચિયું હોઇ શકે અથવા સડક પર પડેલો ભૂવો પણ કેમ નહીં?

‘ભૂવો’- એ શબ્દ સાંભળીને તેની અમદાવાદી અર્થચ્છાયાથી અપરિચિત ઘણા લોકોને ભયાનક દેખાવ ધરાવતા અને અડધા ખુલ્લા શરીરે ઘૂણતા ભૂવાની યાદ આવી શકે છે. મેગાસીટી અમદાવાદમાં કાચા કામને કારણે પાકો રસ્તો ‘બેસી’ જાય, ત્યારે ‘ભૂવો પડ્યો’ એવું કહેવાય છે. ખરેખર, ભૂવો પડતો નથી, પણ ભૂવાના લીધે રસ્તા પર ચાલતા લોકો પડવા જેવા થઇ જાય છે.

બે પગાળો ભૂવો માણસની માનસિક નબળાઇ અને રસ્તા પર પડેલો ભૂવો સડકની આંતરિક નબળાઇ સૂચવે છે. એક ઘૂણે છે, તો બીજો તમામ રાહદારીઓને - અને લોકો કકળાટ કરે ત્યારે વહીવટીતંત્રને- ઘૂણાવે છે. જીવતાજાગતા ભૂવાનો મહિમા અંધશ્રદ્ધાનો વિષય છે, તો સડક પર પડેલા ભૂવાનું મહત્ત્વ શ્રદ્ધાનો વિષય છે. અગાઉના સમયમાં- એટલે કે અહમદશાહના જમાનામાં નહીં, પણ થોડાં વર્ષ પહેલાં - અમદાવાદની ઘણીખરી સડકોની હાલત એવી હતી કે નાગરિકો ફિલસૂફ થઇ ગયા હતા અને ‘ભૂવા પડે ત્યારે જ સડકના અસ્તિત્ત્વ વિશે જાણ થાય છે.’ એમ વિચારીને સંતોષ અનુભવતા હતા. હવે સડકો સુધરી છે. (કારણ કે, તે માણસ નથી.) છતાં, ભૂવાની બોલબાલા ઓછી થઇ નથી.

વરસાદની સીઝન શરૂ થાય, ત્યાર પછી પણ ઘરગથ્થુ હવામાનશાસ્ત્રીઓ કહે છે,‘એંહ, આ સાલ હજુ ક્યાં વરસાદ જ પડ્યો છે! એકેય ભૂવો તો પડ્યો નથી!’ આમ ભૂવા હવે રસ્તાના નહીં, પણ ચોમાસાના અસ્તિત્ત્વની ખાતરી આપવા માટે વપરાય છે. સીઝનની શરૂઆતમાં એકાદ વાર વરસાદનું ઝાપટું પડે એટલે ‘સંભવામિ ચોમાસે ચોમાસે’નું નહીં આપેલું વચન પૂરૂં કરવા ભૂવા સડક પર દેખા દે છે. ઠેકઠેકાણે સડક બેસી જાય છે. ક્યાંક કામ ચાલતું હોવાથી, તો ક્યાંક કામ પૂરૂં થઇ ગયું હોવાથી. સડકની છાતીનાં પાટીયાં બેસી ગયાં હોય એવું દ્રશ્ય ભૂવા પાસે સર્જાય છે. એટલે બરાબર સ્થળ પરથી જ રીપોર્ટંિગ કરવાના ચોવટીયા ચેનલોના રિવાજની જેમ, કેટલાક લોકો બરાબર ભૂવાના કાંઠે ઊભા રહીને તેના સ્વરૂપનો તાગ મેળવે છે. ભૂવાની વ્યુત્પત્તિથી સર્જનપ્રક્રિયા, સ્વરૂપમીમાંસા, વિવેચન અને રસદર્શન સુધીની સાહિત્યિક ગતિવિધીઓ લોકો પોતાની રૂચિ અને ક્ષમતા પ્રમાણે કરે છે અને આ કંઇ ન કરતા લોકો ભૂવાની નજીકમાં ઊભેલા એકાદ લારી-ખૂમચા પરથી પડીકું ખરીદીને શ્રોતા તરીકેની ભૂમિકા અદા કરે છે.

ચોમાસાના પ્રેમીઓમાંથી અડધાઅડધ લોકો ભૂવાના પ્રેમી હોય છે. ચોમાસું આવે એ સાથે જ તે ભૂવાના સામૈયા માટે સજ્જ થઇ જાય છે. એક વરસાદ પડે એટલે તેમના મોબાઇલ રણકવા માંડે છે. ‘હલો, કંઇ જાણ્યું? હમણાં જ અમારા એક સગા વસ્ત્રાપુર બાજુથી આવતા હતા. એમણે કહ્યું કે ફલાણા મોલની સામે એક મોટો ભૂવો પડ્યો છે.’ અથવા ‘મારા એક ફ્રેન્ડની કઝિનસીસ્ટરની ફ્રેન્ડ યુનિવર્સિટી રોડ પરથી જતી હતી ત્યારે તેની નજર સામે ત્રણ જણ ભૂવામાં ઉતરી ગયા.’ આ પ્રકારની માહિતી ફોન પર આપનારા, મહાત્મા ગાંધીની અંતિમ યાત્રાના જીવંત પ્રસારણની રનિંગ કોમેન્ટ્રી આપવા જેટલી ઉત્તેજના અનુભવે છે.

રસ્તા પર ભૂવા પડે એટલે વિરોધપક્ષોને ઘૂણવાનું વઘુ એક કારણ મળી જાય છે. આઝાદી પછી બધા જ પક્ષોને સત્તાધીશ બનવાની તક મળી છે. એટલે સત્તા પર હોય તે પક્ષ ભૂવા માટે અને ખરાબ રસ્તા માટે આગલા પક્ષનું નામ ધરે છે. ભૂવામાં હિંદુ-મુસ્લિમ સૌ કોઇ પડી શકે છે. એટલે ભૂવાને સેક્યુલર ગણીને, ભારતની બિનસાંપ્રદાયિક પરંપરા ખાતર ભૂવાને આરક્ષિત જાહેર કરવા જોઇએ, એવી દલીલ કોંગ્રેસ પાસેથી સાંભળવા મળી શકે છે. ભાજપ પણ ગાંજ્યો જાય? એ કહી શકે છે,‘ભારતમાં આર્યોના જમાનાથી ભૂવા પડતા આવ્યા છે અને હજુ પણ પડતા રહેશે. તમારાથી થાય તે કરી લેજો. ભૂવા હિંદુ સંસ્કૃતિનું ગૌરવ છે. દંભી બિનસાંપ્રદાયિકોની ચાલબાજીને અમે સફળ નહીં થવા દઇએ. વંદે માતરમ્. ભારત માતાકી જે.’

અંધેરી નગરી અને ગંડુ રાજા પ્રકારની સિચ્યુએશનમાં અંધેરી નગરી તરીકે અમદાવાદ જેવું કોઇ શહેર હોય અને ભૂવો પડવાનો પ્રશ્ન ઊભો થાય તો શું થાય? સૌથી પહેલાં તો ભૂવામાં પડેલા રાહદારી કે વાહનચાલકને ‘ડેન્જરસ ડ્રાઇવિંગ’ કે ‘ડેન્જરસ વોકિંગ’ બદલ દંડની પહોંચ પકડાવી દેવામાં આવે. ઉપરથી ટ્રાફિક પોલીસ પોતાની પ્રામાણિકતા અને ફરજપરસ્તીનું પ્રદર્શન કરતાં કહે પણ ખરા,‘સાહેબ, આ પૈસા સરકારમાં જ જવાના છે.’ ત્યાર પછી અંદર પડેલા માણસની ફરિયાદ નોંધાય અને તેના આધારે તપાસ નીમાય. મોટે ભાગે કોઇ ભૂતપૂર્વ ન્યાયાધીશના અઘ્યક્ષપદે ‘ભૂવો પડવાનાં કારણોની તપાસ અને ભૂવાની અસરો’ માટે એક કમિશન નીમવામાં આવે. આટલું થાય ત્યાં સુધીમાં શહેરમાં બીજા ૨૭ ભૂવા પડે, એટલે એ તમામને પણ કમિશનના કાર્યક્ષેત્રમાં સામેલ કરી દેવામાં આવે. છેવટે, તપાસપંચની નિયત મુદતમાં પાંચ-સાત એક્સટેન્શન થયા પછી અને તપાસપંચના એકાદબે અઘ્યક્ષો ગયા પછી જાહેર થયેલા અહેવાલમાં કહેવામાં આવે કે,‘ભૂવા ન પડવા જોઇએ, તો પણ પડે છે. ભૂવામાં માણસો ન પડવા જોઇએ તો પણ પડે છે. માણસો ન પડે તો ભૂવા બદનામ ન થાય. એ બદનામ ન થાય તો સમસ્યા તરીકે તેમનું અસ્તિત્ત્વ મટી જાય. એ સંજોગોમાં આ પ્રકારનાં કમિશન નીમવાની જરૂર રહેશે નહીં.’

ચોમાસાની ઋતુમાં ભૂવાની બોલબાલા અને લોકો પરનો તેનો પ્રભાવ ચાલુ રહ્યાં તો થોડા સમય પછી ‘ઔડા વિસ્તારોમાં ભૂવાના વિકાસ પાછળ રૂ.૧૫ કરોડની ફાળવણી. મુખ્ય મંત્રીએ જાપાની કંપની સાથે કરેલો એમઓયુ’ એવા સમાચાર વાંચવા મળી શકે છે. ઘણા લોકો ભૂવાને રસ્તાના અસ્તિત્ત્વના પુરાવા તરીકે નહીં, પણ અમદાવાદના સાંસ્કૃતિક પ્રતીક તરીકે જોતા થયા છે. અમદાવાદમાં થતાં સન્માનોમાં સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિને બદલે ભૂવાને કારણે ભાંગી પડેલા રસ્તાની પ્રતિકૃતિ ભેટમાં આપવાનો રિવાજ ચાલુ થાય, તો તેને આવકારવો જોઇએ.

Wednesday, July 02, 2008

મોબાઇલ(નો) ‘કેર’

ડાકોરના રણછોડજી મંદિરની બરાબર બહાર આવેલી ‘મોબાઇલ કેર’ની લારી.
તેની જાહેરખબર કંઇક આ રીતે થઇ શકેઃ ‘તમારી કેર ભલે રણછોડરાયને સોંપી હોય, પણ તમારા મોબાઇલની કેર લેવા માટે અહીં પધારો. એમાં રણછોડરાયનું કામ નહીં.’

Rules No Bar! It's Celebration Time, Cops !

http://www.youtube.com/watch?v=O3M3lSC8GCk
This is how celebration goes at send off party of a traffic cop at Maninagar (Ahmedabad). By cracking firecrackers right at the busy traffic junction just opposite Maninagar railway station. It turned a traffic PSI (police sub inspector) was retiring and colleagues were in celebration mood.
What does traffic police expect from citizens? It's mentioned in this photograph.
Instruction in Gujarati reads 'cracking firecrackers on the road for any reason whatsoever amounts to offence.- by order of police commissioner, Ahmedabad City!
Writing on the wall? well, everything is fair in love, war and celebration. Especially for cops.

Tuesday, July 01, 2008

ઓબામા, હનુમાનજી અને શંકા-દહન

‘સબકો માલૂમ હૈ ઔર સબકો ખબર હો ગઇ’ એ પ્રકારની વાત છેઃ અમેરિકાના પ્રમુખપદ માટેના મજબૂત દાવેદાર મનાતા ઉમેદવાર બરાક ઓબામા હનુમાનજીના ભગત છે. જુઓ કેટલાંક અંગ્રેજી અખબારોનાં મથાળાં ‘ઓબામા હનુમાનજીના આશીર્વાદ માગે છે’, ‘હનુમાનજી વ્હાઇટ હાઉસમાં’, ‘હનુમાનજી ઓબામાને ચૂંટણીમાંથી પાર ઉતારશે’...‘દીવાર’ના અમિતાભ બચ્ચનની સ્ટાઇલમાં તેમણે ઓબામાના મોઢે એવો સંવાદ મુકવાનો જ બાકી રાખ્યો છે કે, ‘મેરે પાસ હનુમાનજી હૈ.’

આખા મામલામાં ઉત્સાહનો ઉભરો લાગે છે? ઠીક છે. થોડું વાજબી કરીએઃ ઓબામા ભલે હનુમાનભક્ત ન હોય, પણ પ્રમુખપદની ચૂંટણી જીતવા માટે જે ‘લકી’ ચીજવસ્તુઓ સાથે રાખે છે, તેમાં હનુમાનજીની મૂર્તિ પણ છે. આ વાત કોઇ પ્રચારબહાદુર નહીં, પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું સામયિક ‘ટાઇમ’ કહે છે.
હજુ મનમાં શંકા સળવળે છે? હજુ વધારે વાજબી રાખવાનું છે? સારૂં, પણ હવે છેલ્લી વારઃ ‘ટાઇમ’ મેગેઝીને એવું પણ નહોતું લખ્યું કે બરાક ઓબામા હનુમાનના ભગત છે કે હનુમાનની મૂર્તિ રાખે છે. તેણે એવું પણ જાહેર કર્યું ન હતું કે ‘ઓબામા હનુમાનજીના આશીર્વાદ માગે છે’.

અતિશયોક્તિના ઉભરા વગરની સપ્રમાણ સચ્ચાઇ એટલી છે કે ‘ટાઇમ’ની વેબસાઇટ પર, ‘વ્હાઇટ હાઉસ ફોટો બ્લોગ’ વિભાગમાં ૨ જૂનના રોજ ત્રણ તસવીરો મુકવામાં આવી. તેમાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના મુખ્ય ઉમેદવાર ઓબામા, હિલેરી અને જોન મિકેઇનની ‘લકી’ ચીજો દર્શાવાઇ. તસવીરો અને તેની ફોટોલાઇનમાં જણાવ્યા પ્રમાણે, રીપબ્લિક પક્ષના ઉમેદવાર મિકેઇન નિકલ ધાતુનો એક સિક્કો પોતાની સાથે રાખે છે અને એક ‘લકી’ રબરબેન્ડ કાંડે પહેરી રાખે છે. એમનું એક શુકનવંતું સ્વેટર પણ છે. તેમના મુખ્ય હરીફ ઓબામાની લકી ચીજો છે ઃ ઇરાકના મોરચે રહેલા એક સૈનિકનું બ્રેસલેટ, મેડોના અને બાળક (ઇસુ ખ્રિસ્ત)ની છબી, ‘એ ગેમ્બલર્સ લકી ચીટ’ (જુગારી માટે નસીબવંતી નીવડેલી વસ્તુ), ‘એ ટાઇની મંકી ગૉડ’ (વાનરદેવની ટચૂકડી મૂર્તિ) ...

ઓબામા પાસે રહેતા ‘ટાઇની મંકી ગૉડ’ હિંદુ છે કે નહીં, એવી કોઇ સ્પષ્ટતા, જ્ઞાન કે અજ્ઞાનને કારણે, ફોટોલાઇનમાં કરવામાં આવી ન હતી. હિંદુ સિવાયના કેટલાક ધર્મોમાં પણ વાનર-દેવની વાત આવે છે. ભારત ઉપરાંત ચીન સહિતના ઘણા દેશોમાં પ્રતાપી વાનરનાં ચરિત્ર પ્રાચીન ગાથાઓમાં જોવા મળે છે. એટલે, ‘મન્કી ગૉડ’ હંમેશાં હનુમાન જ હોય, એવું માની લેવાય નહીં. પરંતુ સદીઓ પહેલાં અખાએ કહ્યું હતું તેમ,‘વા વાયો ને નળીયું ખસ્યું...’ ઓબામાની હનુમાનભક્તિની સ્ટોરી એક વાર ચાલી એટલે પછી ચાલી નીકળી. કોઇએ મસ્તી ખાતર કરી, તો કોઇએ હિંદુ સંસ્કૃતિની મહાનતા અને તેના પ્રભાવના લેટેસ્ટ પુરાવા તરીકે સ્ટોરી ચગાવી.

આંખનું કાજળ ગાલે ઘસ્યું
દિલ્હીના સંકટમોચન મંદિરના પૂજારીઓ ઓબામાની કહેવાતી હનુમાનભક્તિના સમાચાર સાંભળીને એવા ગેલમાં આવી ગયા કે તેમણે ઓબામાના વિજય માટે ખાસ હવનની જાહેરાત કરી. પૂજારી બ્રજમોહન ભામાએ કહ્યું કે ‘એક હનુમાનભક્ત આ પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી માણસ બનવાનો છે. એટલે અમે તેમને (ઓબામાને) હનુમાનજીની એક મૂર્તિ ભેટ આપવાનું નક્કી કર્યું છે.’ હરખઘેલા પૂજારીઓએ કહ્યું કે,‘હનુમાનભક્ત ઓબામા અમેરિકાના પ્રમુખ બનશે તો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ઘણો સુધારો થશે.’

દિલ્હીની અમેરિકન એલચી કચેરીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સેનેટર ઓબામા પાસે રહેતી ‘મંકી કિંગ’ની મૂર્તિ હનુમાનની છે કે નહીં, તે અમે જાણતા નથી. પણ અહીંના લોકો એવું માને છે.’ માને છે એટલે કઇ હદે? સંકટમોચન મંદિર દ્વારા ઓબામની જીત માટે યોજાયેલી ખાસ પ્રાર્થના પછી, ઓબામાની પ્રતિનિધિ અને ‘ડેમોક્રેટ્સ એબ્રોડ ઇન્ડિયા’નાં ચેરપર્સન કેરોલીનને બે ફૂટ ઉંચી અને ૧૫ કિલો વજન ધરાવતી, આશરે એકાદ લાખ રૂપિયાની કિંમતની હનુમાનજીની મૂર્તિ અર્પણ કરવામાં આવી. આ ચેષ્ટાના પ્રતિભાવમાં કેરોલીને વિવેકપૂર્વક આભાર માન્યો અને કહ્યું કે ‘હું ઓબામાને તમારી શુભેચ્છાઓ સિવાય બીજું કંઇ પહોંચાડી શકું એમ નથી. કારણ કે અમેરિકાના કાયદા પ્રમાણે કોઇ પણ સેનેટર ૧૦ ડોલર કરતાં વધારે કિંમતની ભેટ સ્વીકારી શકે નહીં.’ (ઓબામા પ્રમુખ બને ત્યારે ખરા, પણ હજુ તે સેનેટર જ છે.)
આ સમાચાર જાણ્યા પછી સંકટમોચન મંદિરના પૂજારીઓએ કહ્યું, ‘હનુમાનજીની મૂર્તિ કેરોલીન નહીં પહોંચાડે તો બીજા કોઇ દ્વારા અમે તેને મોકલવાની વ્યવસ્થા કરીશું. પણ ગમે તે સંજોગોમાં આ મૂર્તિ પ્રમુખપદની આખરી ચૂંટણી પહેલાં અમેરિકા પહોંચાડી દઇશું.’

ઓબામાના હનુમાન કયા?
‘ઓબામા હનુમાનભક્ત કેવી રીતે હોઇ શકે?’ એવી શંકાના જવાબમાં કહેવાય છે કે ‘તેમના જીવનનો થોડો હિસ્સો ઇન્ડોનેશિયામાં વીત્યો હતો. અગ્નિ એશિયાના ઘણા દેશોની જેમ ઇન્ડોનેશિયામાં રામાયણનો પ્રસાર થયો હોવાથી, ઓબામા હનુમાનજી વિશે જાણકારી ધરાવતા હોય એવી પૂરી શક્યતા છે.’ આ દલીલમાં રહેલું તથ્ય સ્વીકારતી વખતે એ પણ યાદ રાખવું જોઇએ કે વાલ્મિકી રામાયણ ભલે અસલી ગણાતું હોય, પણ રામાયણની કથામાં પ્રાંતે પ્રાંતે ફરક જોવા મળે છે. મૂળ કથાબીજ એક સરખું હોવા છતાં પાત્રોનાં નામથી માંડીને પેટાકથાઓમાં મોટા પાયે - અને ક્યારેક તો આંચકાજનક લાગે એવાં - વૈવિઘ્ય જોવા મળે છે. જેમ કે, થાઇલેન્ડમાં ‘રામાયણ’ સામાજિક વારસાનો હિસ્સો ગણાય છે. થોડા સમય પહેલાં થાઇલેન્ડ ગયેલા મિત્ર મૌલિક ચોક્સીના જણાવ્યા પ્રમાણે, એર પોર્ટ પર રાવણનાં મોટાં શિલ્પ મુકવામાં આવ્યાં છે.

થાઇલેન્ડના ‘રામાયણ’માં હનુમાનજી બ્રહ્મચારી નથી. ત્યાંની કથા પ્રમાણે, શ્રી રામ હનુમાનને લંકા સુધીનો સેતુ બાંધવાનું કહે છે, ત્યારે રાવણ મત્સ્યકન્યા સુપર્ણખાને એ સેતુ તોડી નાખવાનો આદેશ આપે છે. મત્સ્યકન્યા અને માછલીઓનું ટોળું આવી પહોંચે છે, પણ મત્સ્યકન્યા અને હનુમાનજી પ્રેમમાં પડે છે અને તેમને એક પુત્ર થાય છે.

આપણા પરિચિત રામાયણમાં આવતી હનુમાનજીના પરસેવાના ટીપાથી ગર્ભવતી બનેલી માછલીના પુત્ર મકરઘ્વજની વાત થાઇલેન્ડમાં જુદા સ્વરૂપે પ્રચલિત છે. એટલું જ નહીં, આ કથાના આધારે તૈયાર થયેલું હનુમાનજી અને મત્સ્યકન્યાનું શિલ્પ પણ, કથાનો ટૂંકસાર ધરાવતા હોર્ડંિગ સાથે, જોવા મળે છે. થાઇલેન્ડની કથાથી કોઇ સ્થાનિક હનુમાનભક્તે દુભાવાની જરૂર નથી. મુદ્દો ફક્ત એટલો જ છે કે ઓબામા ખરેખર હનુમાનજીમાં શ્રદ્ધા ધરાવતા હોય તો પણ, તેમણે હનુમાનજીની કઇ કથા સાંભળી હશે તે કહેવું અઘરૂં છે.

કોણ કોનાથી ધન્ય થાય?
લાખ રૂપિયાનો - અમેરિકાની વાત છે એટલે મિલિયન ડોલરનો- સવાલ એ છે કે ઓબામા ‘લકી’ ચીજ તરીકે ‘મંકી ગૉડ’ની મૂર્તિ સાથે રાખતા હોય, એટલે એ હનુમાનના ભક્ત થઇ ગયા? તેમની લકી ચીજોમાં એક સૈનિકનું બ્રેસલેટ અને જુગારીની લકી આઇટેમ પણ છે. એ બધાનું મહત્ત્વ ‘મંકી ગૉડ’ કરતાં જરાય ઓછું નથી. સાદી ભાષામાં કહીએ તો, આ બધા મનના ખૂણેખાંચરે પડેલી અસલામતીની લાગણી પર કાબુ મેળવવાના ‘ટુચકા’ છે, જેના માટે અંધશ્રદ્ધા સિવાય બીજો કોઇ શબ્દ વાપરી શકાય નહીં. અંગત ધોરણે એને ભલે ‘શ્રદ્ધા’ તરીકે ખપાવવામાં આવે, પણ વિશ્વના સૌથી પાવરફુલ હોદ્દા માટેનો ઉમેદવાર ચૂંટણી જીતવા માટે બૌદ્ધિક પ્રયાસો ઉપરાંત લકી ચીજવસ્તુઓ સાથે રાખવામાં માનતો હોય, તે કહેવાતી આઘુનિકતાની અનોખી તાસીર છે

‘લકી’ ચીજોના પ્રભાવમાં માનનારા માટેની માહિતી એ છે કે ઓબામા સામેની હરિફાઇમાંથી આઉટ થઇ ગયેલાં હિલેરી ક્લિન્ટન પણ લકી ચીજો રાખતાં હતાં. તેમાં પોતાની માન્યતા ઉપરાંત કોઇ શુભેચ્છક તરફથી મળેલી ભેટનો સમાવેશ થતો હતો. લાગે છે કે તેમના નસીબના માઇલેજ વહેલા ખૂટી ગયા.
છેલ્લો મુદ્દોઃ ઓબામા હનુમાનજીના ભક્ત હોય, તેમાં હનુમાનજીનું ગૌરવ વધે કે ઓબામાનું? આપણા હનુમાનભક્તોના હરખ પરથી એવું લાગે છે, જાણે ઓબામાએ હનુમાનજીનું ગૌરવ વધાર્યું! પરદેશમાં મંદિરોની ચેઇન ધરાવતા ઘણા સંપ્રદાયો-ધર્મો અને તેના વડાઓ પણ આ પ્રકારની આવી માનસિકતામાં રહે છે. મંદિરમાં કે ધર્મસ્થાનમાં આવીને વિદેશી હસ્તીએ ધન્યતા અનુભવવી જોઇએ, પણ થાય છે એનાથી ઉલટું. પરદેશી વીઆઇપીનાં પુનિત પગલાંથી પપૂધઘૂઓ ધન્ય થાય છે અને પોતાના ફિરકાની મહાનતાનો છાકો પાડવા માટે વિદેશી હસ્તીઓની મુલાકાતની તસવીરોનો છૂટથી પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે.

હવે આગળ શું? ચૂંટાઇને હોદ્દો ગ્રહણ કરતાં પહેલાં ઓબામા મીની સાઇઝના ડોલચામાં તેલ લઇને હનુમાનજીના મંદિરે જશે? જવાબી ફારસ માટે પ્રમુખપદની ચૂંટણી સુધી રાહ જુઓ.