Saturday, January 31, 2009

‘જી’ ગુજરાતીનું આવજો, રામ રામ


‘આખિર વહી હુઆ જિસકા ખૌફ થા’ એવો ફિલ્મી સંવાદ ‘જી’ના ફેબુ્રઆરી અંકના છેલ્લા પાને મુકાયેલી ‘નોંધશો...જી!’ વાંચીને સાંભર્યો. તેમાં લખ્યા પ્રમાણે, ‘જીનો આ તાજો અંક આપના હાથમાં રમતો આખરી અંક છે...અત્યારે ભલે અમે વિરામ લઇ રહ્યા છીએ પણ કોને ખબર ભવિષ્યમાં સાવ જ નવા રૂપરંગમાં આપની સમક્ષ કંઇક લઇને ફરી હાજર થઇએ!’
વર્ષ ૫૧, અંક ૪, સળંગ અંક ૮૭૬, ફેબુ્રઆરી, ૨૦૦૯- આ ‘જી’નો આંકડાકીય પરિચય. સંસ્થાપકઃ વજુ કોટક અને તંત્રી, મુદ્રક, પ્રકાશકઃ મઘુરી કોટક. આ સત્તાવાર પરિચય. પણ અનેક ફિલ્મપ્રેમીઓ માટે ‘જી’ એટલે હરીશ રધુવંશીનું સ્કોરબોર્ડ, સવાલ-જવાબની કોલમ, વ્રજ શાહના અંગ્રેજી ફિલ્મ વિશેના લેખ, વજુ કોટકનાં પ્રારંભવચનો, અગાઉ આવતા નલિન શાહના જૂના ફિલ્મસંગીત વિશેના (અનુવાદીત) લેખ, રજનીકુમાર પંડ્યાની સિરીઝ, ઇસાક મુજાવરના જૂની ફિલ્મો વિશેના લેખ અને વચ્ચે એક વાર આવેલી દીપક સોલિયાની હપ્તાવાર નવલકથા...
વિનોદ તિવારીના તંત્રીપદ હેઠળ નીકળેલા ‘માઘુરી’ અને પછી ‘પ્રિયા’ જેવાં હિંદી ફિલ્મ સામયિકોની સરખામણીએ ‘જી’ ક્યારેય એક હદથી વધારે સારૂં અથવા ગમે એવું ન થયું. છેલ્લાં વર્ષોમાં તો એનું ફક્ત ખોળીયું રહી ગયું હતું. પણ મિત્રોને કારણે એટલો ખ્યાલ રહેતો હતો કે વયોવૃદ્ધ છતાં ઉત્સાહના ફુવારા જેવાં મઘુરીબહેન ‘જી’નું મુખ્ય ચાલક બળ હતાં.
પંડિતો જેને ‘પસ્તીવૉર’ કહે છે એવો, ગુજરાતી અખબારોમાં રોજિંદી પૂર્તિઓનો રિવાજ શરૂ થયો ત્યારે એવી આશંકા હતી કે સામયિકો (અભિયાન-ચિત્રલેખા) પર તેની અસર પડશે. વાચકોના દુર્ભાગ્યે અને સામયિકોના સદભાગ્યે પૂર્તિઓ ગુણવત્તાની બાબતમાં ખાસ કંઇ ઉકાળી શકી નહીં. પણ શુક્રવારની સિનેમાની પૂર્તિ એ બાબતમાં કદાચ સૌથી વઘુ ઘાતક નીવડી. દર અઠવાડિયે સિનેમાના સટરપટર લેખો, મોટી તસવીરો અને એવો બધો માલ ધરાવતી પૂર્તિઓએ ‘જી’ની હાજરી સહેલાઇથી ભૂલાવી દીધી.
‘જી’ આ કારણથી બંધ થયું હશે એમ માનવાને કારણ નથી. તંત્રીનોંધમાં વ્યક્ત કરાયેલા આશાવાદ પ્રમાણે કદાચ એ બીજા કોઇ સ્વરૂપે અથવા બીજી કોઇ માલિકી હેઠળ ફરી શરૂ પણ થાય. કોઇ પણ પ્રકાશન બંધ થાય ત્યારે તેની સાથે કશો સીધો સંબંધ ન હોય તો પણ હળવી ઠેસ અવશ્ય લાગે છે. ‘જી’ની ગેરહાજરી ભલે ન વરતાય, પણ તેની એક સમયની હાજરી અને ઉપર લખી છે એવી કેટલીક બાબતો કાયમ યાદ રહેશે.

‘ગાંધી વિશે રાહુલ ગાંધી’ વિશે થોડું

મહાત્મા ગાંધી વિશે રાહુલ ગાંધીએ વિઝિટર્સ બુકમાં જે લખ્યું, તે ગાંધી આશ્રમના ત્વરિત અને ડિજિટલ સહયોગથી અહીં મુક્યું છે.
પહેલી વાતઃ રાહુલ ગાંધી આટલું લખવા માટે વિઝિટર્સ બુક પોતાની સાથે લઇ ગયા હતા. કારણ કે ત્યાં કદાચ તેમની પાસે સમય ન રહ્યો. (આમ તો એમના દરેક કાર્યક્રમોમાં એ કલાક-બે કલાક મોડા પડ્યા હતા) રાહુલનો આભાર કે એમણે ગાંધી આશ્રમ સાથે લઇ જવાનો આગ્રહ ન રાખ્યો. નહીંતર...બાંધી આપવો પડત. બીજું શું?

બીજી વાતઃ રાહુલના અક્ષર ઈંગ્લીશ મીડિયમના વિદ્યાર્થીઓની લાક્ષણિકતા ગણાતા બીબાઢાળ ‘કર્સીવ’ નથી.
ત્રીજી વાતઃ રાહુલ ગાંધી સરદાર સ્મારક પણ ગયા હતા. સામાન્ય રીતે ગાંધી પરિવારનાં તમામ સાઇઝનાં બાળકો ત્યાં જવાનું ટાળતા હોય છે. હવે રહી રહીને ભાજપે પણ સરદારને હાઇજેક કરીને છોડી દીધા પછી કોંગ્રેસને સરદાર યાદ આવ્યા તે આનંદની વાત છે.

Friday, January 30, 2009

જગન મહેતાના તસવીર પ્રદર્શન નિમિત્તે

જેનો ત્રીજો માળ મોટે ભાગે ખાલી હોય છે, એવી ગુજરાતની લલિત કળા અકાદમીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઇ કાલે જગન મહેતાની તસવીરોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું. ૧૦૦ વર્ષના તસવીરકાર પ્રાણલાલ પટેલ, ૮૪ વર્ષના નારાયણ દેસાઇ, શિલ્પકાર કાંતિ પટેલ અને બીજા કળાકારો-કળાપ્રેમીઓ એ પ્રસંગે હાજર રહ્યા. ગાંધીજીની તસવીરોથી દેશવિદેશમાં ખ્યાતિ મેળવનાર જગન મહેતા ૯૩ વર્ષની વયે ૨૦૦૩માં અવસાન પામ્યા. પ્રેસનોટ પૂરી થઇ.

હા, પ્રેસનોટમાં તો આટલું જ આવે. એમાં એવું થોડું આવે કે જગન મહેતા ત્રીસીના દાયકામાં વિયેના (ઓસ્ટ્રિયા) ભણવા ગયા, ત્યારે ત્યાં જ રહેતા સુભાષચંદ્ર બોઝના પરિચયમાં આવ્યા હતા. તેમની તસવીરો પણ પાડી હતી. એ જ સુભાષચંદ્ર જ્યાં વાજતેગાજતે કોંગ્રેસપ્રમુખ બન્યા, તે સુરત નજીક આવેલા હરિપુરા કોંગ્રેસ અધિવેશન (૧૯૩૮?)માં પણ જગનદાદા કેમેરા લઇને પહોંચી ગયા હતા. વિયેનામાં હિમવર્ષા વચ્ચે સુભાષચંદ્ર બોઝ બીમાર જગન મહેતાની ખબર કાઢવા આવે છે અને ભાવનગરથી તેમણે આણેલી બદામપુરી પહેલાં ખચકાતા ખાય છે અને પછી ખૂબ ભાવતાં એક પોતાની સેક્રેટરી (પ્રેયસી) માટે લઇ જાય છે, એ દૃશ્યથી રજનીકુમાર પંડ્યાએ જગન મહેતાના શબ્દચિત્રની શરૂઆત કરી છે. પત્રકાર બનતાં પહેલાં રજનીકુમાર થકી જગનદાદા સાથે પરિચય થયો હતો.

‘જગન મહેતા ક્લિક્સ વન્સ’ એ તેમની ખુમારી અને એ તેમનો આત્મવિશ્વાસ. એકસાથે ધડાધડ ક્લિક કરવાના ડિજિટલ યુગમાં ફ્લેશ વિના ઉત્તમ તસવીરો લેનાર જગનદાદા બહુ યાદ આવે. ઝવેરીલાલ મહેતાથી વિવેક દેસાઇ સુધીની તસવીરકારોની બે-ત્રણ પેઢી સાથે દાદાને સરસ ભળે. દાદા મૂળે વ્યાવસાયિક નહીં. એટલે દામ ઉપજાવતાં કે કામ કઢાવતાં આવડે નહીં. સરકારોની, પ્રધાનોની કે સચિવોની દાઢીમાં હાથ નાખવાનું ગમે નહીં. એવોર્ડ માટે અરજી કરવામાં તેમને અપમાન લાગે. (ખરેખર તો કોઇને પણ લાગવું જ જોઇએ.)

નોઆખલીનાં તોફાનો પછી બિહારમાં ફાટી નીકળેલી કોમી આગ ઠારવા ગાંધીજી બાદશાહખાન સાથે પહોંચ્યા, ત્યારે જગનદાદા પણ તેમની યાત્રામાં જોડાયા. મૃદુલા સારાભાઇ પણ સાથે હતાં. એ યાત્રાની જગનદાદાની તસવીરો વિના કોઇ પણ ગાંધી સંગ્રહાલય અઘૂરૂં ગણાય. ગાંઠના ખર્ચે સાહિત્યકારોની અદ્ભૂત તસવીરો પાડવાનો દાદાને જબરો ઉત્સાહ. તેમના અને રમેશ ઠાકર (રાજકોટ)ના ઉત્સાહ વિના ગુજરાતી સાહિત્યકારોના ઠેકાણાસરના ફોટોગ્રાફ્સ ધરાવતા પુસ્તક ‘ગુજરાતના પ્રતિનિધિ સાહિત્યકારો’નું પ્રકાશન અશક્ય હતું. યાદ આવે છે ત્યાં સુધી, પાંચ-છ વર્ષ પહેલાં પરિષદના મેદાનમાં ભરાયેલા પુસ્તકમેળામાં પરિષદના સ્ટોલમાં જગનદાદાએ પાડેલી સાહિત્યકારોની તસવીરો હતી. તેમાં જગનદાદાની ક્રેડિટ ન હતી, એ પણ યાદ છે.

સાહિત્યકારો પ્રત્યે દાદાની મમતા અને દસ્તાવેજીકરણની ચીવટ એવી કે એક દિવસ કહે,‘મહેમદાવાદમાં એક ગઝલકાર રહે છે. હનીફ સાહિલ. એમનો ફોટો પાડવાનો રહી ગયો છે. તું પાડીને મને એની કોપી આપીશ?’ હનીફ સાહિલ ઉર્ફે પઠાણસાહેબ અમારા બાયોલોજીના શિક્ષક. રદીફ-કાફિયા ને મત્લા-મક્તાની દુનિયાનો પરિચય પણ એમના થકી જ થયેલો. એમની તસવીરો પાડવાનું કામ જગનદાદા સોંપે એ બેવડા ગૌરવની વાત હતી. મેં જ્યાં સુધી એ કામ ન કર્યું ત્યાં સુધી જ્યારે મળવાનું થાય ત્યારે દાદા યાદ કરાવે. છેવટે ચાર-પાંચ તસવીરો પાડી આપી ત્યારે દાદાને સંતોષ થયો.

દાદાની બે વર્ષગાંઠો યાદ રહી ગઇ છે. એક વર્ષગાંઠના બે-ચાર દિવસ પહેલાં મહેન્દ્રભાઇ મેઘાણી સાથેની મુલાકાતમાં વાત નીકળી અને મેં કહ્યું કે જગનદાદાને મળવા જવાનો છું એટલે મહેન્દ્રભાઇએ એમની લાક્ષણિક નિર્ભાર શૈલીમાં કહ્યું,‘મને લઇ જશો?’ ‘હમારા બજાજ’ પર મહેન્દ્ર મેઘાણીને પાછળ બેસાડીને હું જગનદાદાને ઘેર પહોંચ્યો. થોડી વારમાં બિનીત (મોદી) પણ આવી પહોંચ્યો. દાદા બહુ ખુશ હતા. અમારી સાથે ચા પીધી. ઉભા થઇને અંદર ગયા અને પોતે પાડેલું ઝવેરચંદ મેઘાણીનું પોટ્રર્ેટ લઇ આવ્યા. એ તેમણે મહેન્દ્રભાઇને યાદગીરી તરીકે ભેટ આપ્યું. એ પ્રસંગની એક-બે તસવીરો મહેન્દ્રભાઇને મોકલી એટલે તેમનો એવો જ જવાબ આપ્યો. તેમાંનું એક વાક્ય હતું,‘જગનભાઇ સાથે તસવીરમાં મારી જાતને જોઇને ધન્ય થયો.’

દાદાની ૯૨મી વર્ષગાંઠ (૧૧-૫-૦૧) વખતે હું કેમેરા લઇને મળવા ગયો હતો. એમના એકલાની અને પછી એમની પૌત્રવઘુ સાથે થોડી તસવીરો લીધી. તેમાંની બે તસવીરો આ પોસ્ટ સાથે મુકી છે.

ઘણા આયોજન પછી હેન્ડીકેમની ખરીદી કરી. પછી વિચાર આવ્યો કે જગનદાદાની મુવી લઊં. એક બપોરે એમને ઘેર ગયો, ત્યારે એમનાં પૌત્રવઘુએ કહ્યું,‘દાદા સૂતા છે.’ એટલે ‘ફરી આવીશ’ કહીને નીકળી ગયો. એના થોડા દિવસમાં ખબર આવ્યા કે દાદા ગયા. તેમનો દાંત વગરનો હસતો ચહેરો, રોષે ભરાઇને તંગ થતો ચહેરો, ભાવાવેશને કારણે સહેજ ઉંચો થતો અને ભરાઇ આવતો અવાજ... કશું ભૂલાયું નથી.

તેમની તસવીરોનું પ્રદર્શન જોઇને બઘું ફરી એક વાર તાજું થઇ આવ્યું. અમદાવાદમાં રહેતા મિત્રોએ આવતા મહિનાની દસમી તારીખ સુધી ચાલનારૂં આ પ્રદર્શન ચૂકવા જેવું નથી. તસવીરોની સાઇઝ નાની છે. ગોઠવણ પણ ગીચોગીચ છે. છતાં તેના ઐતિહાસિક મહત્ત્વની અને ગુણવત્તાની દૃષ્ટિએ એ જોવા જેવું છે. જગનદાદાને મળવાનો હવે એ જ એકમાત્ર રસ્તો છે.

Thursday, January 29, 2009

Chupake Chupake Bol Maina: First Documentary film of its kind on Juthika Roy

Legendary bhajan singer Juthika Roy, 88, is an artist much heard and least seen. ‘Chupake Chupake Bol Maina’ is an opportunity at last for her fans to have closer glimpse of their favourite singer.
‘Chupake Chupake…’ is a 25 minute journey into life of an alltime great singer, produced by Fizaben & Navneetlal Shah of Hiralakshmi Foundation (Mumbai) under able leadership & guidance of Rajanikumar Pandya, directed by Vipul Acharya. It features clippings of Juthika Roy singing live, rare pics & some rarest audio tracks including a piece from a qawwali sung by Juthikaji, her songs in 2 films and the song she sung on 15th Aug, 1947 among other gems.
As a towering figure of Indian music scenario in 20th century, Juthikaji’s fan-list include Gandhi, Nehru, Sarojini Naidu, Moraraji Desai, Lata Mangeshkar among many others. Unmoved by her fame and fan-list, Juthikaji has shunned glamour and led a simple & single life according to principles of Ramkrishna Mission.

We were fortunate to have her at Ahmedabad in a public felicitation program in May, 2008 under the banner of 5 member ‘Juthika Roy Sanman Samiti’. Rajanikumar Pandya, noted writer-journalist & music lover took the lead and arranged for the funds of graceful felicitation program and large scale publication of Juthikaji’s autobiography in Gujarati (‘Chupake Chupake Bol Maina’) along with other committee members namely Dhiru Parikh (poet, editor ‘Kumar’, Ahmedabad), Neela Shah (close associate of Juthikaji since decades, Mumbai), Lalit Dalal (music lover, brother of Neelaben, Ahmedabad) & Urvish Kothari. The autobiography was translated from Bengali by Ms.Sugna Shah & edited by Biren Kothari. Juthikaji was presented a cheque of Rs. 1.88 lakhs as token of appreciation. She was also felicitated at Bhartiya Vidya Bhavan campus, Andheri, Mumbai after Ahmedabad function. (Photo: Rajnikumar Pandya, Juthika Roy, Neelaben Shah)

Interested music lovers may contact
Rajnikumar Pandya E-mail : rajnikumarp@ gmail.com
Mobile: 91-98980 15545 (except 2-5 pm)

Tuesday, January 27, 2009

MoU – Gujarat plays Monopoly

(Originally written in Gujarati titled ‘MoU : Gujarat no navo vepaar’ in my humor column, friend-journalist Ayesha Khan took pains to translate it for larger circulation. It has some unmistakable Gujarati flavour. Still, it may be worth a look)

After earthquake and communal violence, MoUs are now the main subject of discussion in Gujarat. It is bit fortunate that newspapers nowadays are not printed from lead types. Otherwise, they would have run short of types for number Zero while printing the figures of MoUs. More so the newspapers would have been forced to enter in a MoU worth some thousand crores with some mould manufacturing company.

Communal violence and before that the earthquake – both were reported in such a manner, that all other facts- be it social, religious, educational, financial or miscellaneous matters were discussed only with their reference. Following some lakh crores worth MoUs that took place in Vibrant Gujarat this year, what will happen if MoUs were to take place in all walks of life ?

***

A prospective groom accompanies his parents at a girl's home. The girl and boy are talking to each other in a room. Outside, the boy's father(Father 1) and girl's father (Father 2) discuss.

Father 1: What do you think?
Father 2 : Can't predict anything about this generation.
Father 1: How about doing a MoU ourselves till both of them talk? You have come all the way to our home. It just will not do that you return empty handed.
Father 2: You are right. Let us do a MoU of ten lakh rupees.
Father 1: What !!!! Hush... If anyone listens, we both will sound like fools. Are we taking some LIC policy that we talk in lakhs? We are doing a MoU. Think of Gujarat’s prestige.
Father 2: I was just testing you. Is Rs 700 crore MoU ok with you?
Father 1: Arrey, we might as well as add up it a bit. Let us keep it at 1000-1200 crore worth. We have done MoUs worth 22,000 crore , but still there is no match available for the boy.
Father 2: Be patient. We also had to end up doing MoUs worth 17,000 Crore Rs for the girl. It happens.

A NRG relative present on the occasion is surprised at the conversation. He end up asking , ‘What is the point of a MoU when a girl and boy merely talk to each other for marriage?''
Father 1: Now if they like each other, will they not marry and set up a home? And if they set up a home, will they not incur expenses? Consider the expense of a family- wife, husband and their two children in these times of inflation. Assume that their married life will last for fifty years, now calculate the expenses. Add up some zeros to the expenses and if we do a MoU worth it now only…..
NRG: But what will that mean? The marriage has not been fixed yet and you talk in thousands, crores. And even if the marriage happens – what is the point in gloating over a figure that they might spend in 25 to 50 years together?
Father 1: You seem to have no idea of how Gujarat works. Gujarat is on the road of development and others are jealous. That is why they come up with such arguments. Are you against Gujarat?
NRG: No, but are you against common sense?
Father 1: There is no merit in such argument.
NRG: O.K. After I return, I will do a MoU worth hundred million pounds with an airline, for the sake of the foreign travel my future generations will undertake. I will also do MoU worth seven hundred million pounds with grocery store and one billion pound with hospital.
Father 1: Now you sound like vibrant Gujarati. This is some vibrant talk which our chief minister be proud of. Look, you should organize one big party every year. You should invite all the bigwigs from big industries, and if they don't come, even shopkeepers will do. Fete and feed them. And the expense you incur on them should be accounted as investment and do MoUs worth million of pounds with them. Then just watch out, you actually can throw your weight around. People will acknowledge you as some one really important. – A year ago he signed a MoU worth one billion dollars, while this year he signed MoU worth four billion dollars…
NRG: Oh, it sounds so vibrant!
***

Though we have zeros raining in vibrant Gujarat, Some are dry as hay. They argue : “It is different altogether that how many of these MoUs turn out to be actually projects. Industrialists are to benefit most if the MoUs turn in actual projects. And even if they don't turn as projects, the chief minister benefits anyway. What has the common man to do with it?”

To silent such arguments and also to demonstrate how Vibrant Gujarat can make a difference in the lives of the poorest, here is a sample of list of MoUs that can be done for the sake of common man. The rest can add up in the list according to their wisdom.

Datun seller – Neem twig seller (Agriculture sector).
Can't we consider this Datun seller as the poorest of the poor- when earlier they eked living exchanging this twigs for a chappati or two, and sometimes at the most Rs 1? Of course we can. Then, one day catch hold of one such seller and do a MoU worth Rs 25 crores promising to buy datun on behalf of the entire Pol (neighbourhoods in walled city area). Then watch out - everyday you will get fresh datum, and in times of global recession how Gujarat's datum industry picks up momentum, while global players also enter the market!

Bus-Auto-Train (Transport/Green technology sector)

Amdavadis can have a MoU with AMTS, like the Barodians with VITCOs, Rs 50-100 crores per person considering the lifetime ticket costs for the bus service. Similarly, the daily train passengers can have a MoU with central government. And those who prefer ticketless traveling will be also eager for the MoU. This will have the most common person, strutting around, and instead of handing out some simple ticket or season ticket - can flourish out some crore worth MoU document- when asked for a ticket.

Phenyl seller (Chemical sector)
Don't consider these phenyl sellers who come on their cycles to sell in the streets or housing societies any lesser. You can actually do a MoU worth Rs. 25-50 crores with them, and if the figure is inadequate, just add couple of zeroes to the amount.

Newspaper vendors (media sector):
It hardly suits the citizen of Vibrant Gujarat to have monthly dealing of some Rs 100-200 nominal amount. Instead one can have a MoU of Rs 100 crores both with the newspaper vendor and the other with waste newspaper dealer.

Those who expected ``understanding'', justice and Rajdharma from the chief minister following the communal riots should stop criticizing him and instead have a stall during Vibrant Gujarat. If one can be hopeful of ‘understanding’ from government just by signing memorandum, why not try it out?

ભૌતિક શાસ્ત્રની વર્કશોપ અને કેટલીક ‘ભૌતિક’ બાબતો

રવિવાર (25-1-09)ના દિવસે સાયન્સ સીટીમાં ‘ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ’ તરફથી એક વર્કશોપ યોજાઇ. આમ તો મારે આખી વાત સાથે કશી લેવાદેવા નહીં. પણ વલ્લભ વિદ્યાનગરની એસપી યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના વડા જોષીપુરાસાહેબે પ્રેમપૂર્વક મારો નંબર શોધીને ‘પ્રિન્ટ મીડિયામાં વિજ્ઞાન’ એ વિષય પર બોલવા કહ્યું.
કાર્યક્રમમાં પીઆરએલ (ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી)ના બે ભૂતપૂર્વ ડીરેક્ટર સુધીરભાઇ પંડ્યા અને અમેરિકાથી આવેલા ડી.(દેવેન્દ્ર) લાલ, જે. એન. દેસાઇ જેવાં ખમતીધર નામો હતાં. કટારલેખક વિહારી છાયા અને પ્રકાશક તરીકે મહેશ દવે (ઇમેજ) પણ બીજા સેશનમાં હતા.
કેમિસ્ટ્રીના સ્નાતક તરીકે કોલેજમાં બે વર્ષ ફિઝિક્સ ભણેલો. ‘ભણેલો’ કહેવામાં અતિશયોક્તિ છે. ખરેખર તો મેં ફિઝિક્સના ક્લાસ ભરેલા ને પેપરો આપેલાં ને પાસ પણ થયેલો. છતાં લગભગ જલકમલવત્.

સદભાગ્યે મારે ફિઝિક્સ વિશે નહીં, પણ મીડિયામાં વિજ્ઞાન વિશે બોલવાનું હતું. એ મને આવડતું હતું. એટલે આવડ્યું એવું બોલ્યો. અહીં એની કથા કરવાની નથી. એ સિવાયની કેટલીક નજરે ચડેલી - કે પડેલી વાતો કરવી છે.
  • અધ્યાપકોના સેમિનાર અને વર્કશોપમાં ‘સૌએ પોતાનાં ટીએ ફોર્મ ભરી દેવાં’ એ આખા સેમિનારનો કેન્દ્રીય કાર્યક્રમ અથવા કેન્દ્રવર્તી ધ્વનિ હોય એવું લાગે. એ જાહેરાત એવા સમયે અને એવી રીતે કરવામાં આવે કે મારા જેવાઓને તો એવું જ સંભળાયઃ ‘આ બધા પરચૂરણ કામમાંથી પરવારો એટલે પેલું અગત્યનું કામ-ટીએ ફોર્મ જમા કરાવવાનું- ભૂલતા નહીં.
  • વક્તાઓના સમય નિયત કરેલા હોય અને તેનો છાપેલો કાર્યક્રમ વક્તાઓને આપ્યો હોય, છતાં વક્તાઓ ઘડિયાળ સામે, શ્રોતાઓ સામે કે અધ્યક્ષ સામે જુએ નહીં અને ‘હું લખીને લાવ્યો છું એટલું બોલવું મારો અધ્યાપનસિદ્ધ હક છે ને તે હું મેળવીને જ જંપીશ’ એવા તિલક-પાઠમાં આવી જાય. જે.એન.દેસાઇ જેવા સિનિયર સાહેબ એકથી વધારે વાર પોતાની ખુરશી પરથી ઉભા થઇને વક્તાને ઇંગિત કરે, શ્રોતાઓનાં ઓલરેડી દ્રવી ચૂકેલાં દિલ આ ચેષ્ટાથી વધારે દ્રવી જાય. છતાં વક્તા પર તેની કશી અસર નહીં.
  • આખા દિવસનો કાર્યક્રમ થાય. રૂડાં ભોજનીયાં રખાય. કડકડતાં ટીએ બિલ ચૂકવાય. અધ્યાપકોને તો જાણે આ જ કામ હોય એટલે એમને પગાર ઉપરાંત મળનારા ટીએ બિલથી આનંદ થાય. પણ મારા જેવા બિનઅધ્યાપકોનું શું? તેમને ટેક્સીભાડા તરીકે આઠસો-હજાર-બારસો રૂપિયા મળે, પણ એક વ્યાવસાયિક તરીકે તેમની હાજરી બદલ તેમને સન્માનનીય રકમનો પુરસ્કાર મળવો જોઇએ એવો સુવિચાર આયોજકોને આવતો નથી. એટલે થાય એવું કે કાર્યક્રમ સાથે સંકળાયેલા સૌ કોઇ- ડેકોરેટર, કેટેરર અને ખુરશીવાળા સુદ્ધાંને તેમના મહેનતાણાના રૂપિયા મળે. પણ જેના થકી એ બધું છે તે બોલનારને સમાજની-સંસ્થાની સેવા કરીને સંતોષ માનવાનો. તેનો ઉપાય ફક્ત એ નથી કે આવી જગ્યાએ ન જવું. પણ હવેથી આવી જગ્યાએ શરમ મુકીને ગરીમાપૂર્વક ફી વિશે વાત કરવી.
  • સાયન્સ સીટીનો હોલ હોય, ડી.લાલ જેવા પહેલી વાર સાયન્સ સીટી આવ્યા હોય, એ પ્રવચન કરે પણ આખા કાર્યક્રમના કે કમ સે કમ ડી.લાલના પ્રવચનનું પણ ઓડિયો રેકોર્ડિંગ ન મળે. અને આખા કાર્યક્રમ દરમિયાન બાજુ પર બે કમ્પ્યુટર લઇને ગડમથલ કરતા માણસો જોઇને એવું સમજે કે ‘આ લોકો કાર્યક્રમનું વેબકાસ્ટિંગ કરે છે કે શું?’ કમ્પ્યુટરના જમાનામાં આવા કાર્યક્રમોનું વિડીયો રેકોર્ડિંગ શા માટે ન થવું જોઇએ? એમાં ખર્ચનો નહીં, દૃષ્ટિનો સવાલ છે.
  • સાયન્સ કમ્યુનિકેશન વિશેની વર્કશોપ હોય અને મારા સિવાય બીજા કોઇની વાતમાં નગેન્દ્રવિજયના કે ‘સ્કોપ’ના પ્રદાનનો ઉલ્લેખ ન થાય એ પણ કેવું વિચિત્ર. જેમણે આ દિશામાં સૌથી વધારે કામ કર્યું. તેમની જાણે કે નોંધ નહીં. આપણને થાયઃ આ તે ફિઝિક્સ પ્રોફેસરોનું મંડળ છે કે ગુજરાતની સાહિત્ય પરિષદ? જો કે મારી પેઢીના કેટલાક મિત્રો મળ્યા. તેમણે ઉમળકાભેર નગેન્દ્રભાઇને યાદ કર્યા, જોષીપુરાસાહેબની જેમ જ પ્રેમથી વાતો કરી અને સંપર્કમાં રહેવા કહ્યું.
  • બિનીત મોદી અને લલિત ખંભાયતા પણ હતા. લલિતે ડી.લાલનો ઇન્ટરવ્યુ અગાઉ કરેલો. આજે પણ ઉત્સાહપૂર્વક લલિતે તેમની સાથે જમવાના સેશનમાં થોડી વાતો કરી. ઝીણી ઝીણી બાબતોમાં એમની ચીવટ, સહકાર આપવાની વૃત્તિ અને મોટપ જણાઇ આવતી હતી. મૂળ બનારસના પણ અમેરિકામાં વસતા દેવેન્દ્ર લાલ ધ્રુવપ્રદેશ પરના પાંત્રીસથી ચાળીસ હજાર વર્ષ જૂના બરફના થરનું અને ‘નાસા’ પાસેથી મેળવેલા ચંદ્રના ખડકોનું અધ્યયન કરી ચૂક્યા છે. ‘તમે કદી એન્ટાર્કટિકા ગયા છો?’ એવું લલિતના સવાલોની વચ્ચે પૂછ્યું, એટલે ડો.લાલ કહે,’ના, તક તો હતી, પણ મારા માથામાં સાયનસનાં એવાં પોલાણો છે કે એનો વ્યુ બતાવું તો તમને લાગે કે આ માણસને મગજ છે જ નહીં.’
    Photoline L to R : 2 former PRL directors Prof. Devendra Lal & Prof. Sudhir Pandya (photo : binit modi)

Monday, January 26, 2009

આર.સી.મહેતા: પદ્મભૂષણ અને પંચાજીરી




પત્રકારત્વમાં આવા યોગાનુયોગ ઓછા બને છે. ‘અહા જિંદગી’ના ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પ્રગટ થનારા અંક માટે મોટા ભાઇ બીરેન કોઠારીએ તેની ‘ગુર્જરરત્ન’ કોલમ માટે વડોદરાના પ્રોફેસર આર.સી. (રમણલાલ છોટાલાલ) મહેતાનો પ્રોફાઇલ લખ્યો. અંક છપાઇ ગયો છે અને આજે 91 વર્ષના મહેતાસાહેબને ‘પદ્મભૂષણ’ મળ્યાના સમાચાર આવ્યા છે.

મહેતાસાહેબ સાથે પહેલો પરોક્ષ પરિચય વિનોદભાઇ (ભટ્ટ)ને લીધે થયો. એમણે કરેલા ગુજરાતી હાસ્યલેખકોની એક-એક કૃતિના સંચયમાં એક ઉત્તમ લેખ ‘કવિ બનવાની તરકીબો’ હતો. તેના લેખક તરીકે નામ વાંચવા મળ્યું. રમણલાલ મહેતા. લેખ એટલો પ્રભાવક હતો કે લેખક વિશે તપાસ કરવાની ઇચ્છા થાય. વિનોદભાઇને પૂ્છ્યું, એટલે તેમણે કહ્યું,’બહુ સારો હાસ્યકાર. પણ તેમનું એક જ પુસ્તક છે. પંચાજીરી. એ વડોદરામાં રહે છે. સંગીતની કોલેજમાં પ્રિન્સિપાલ હતા.’

થોડા વખત પછી 1951માં પ્રકાશીત થયેલા તેમના એકમાત્ર હાસ્યલેખસંગ્રહ ‘પંચાજીરી’ ની 1993માં પ્રકાશિત થયેલી બીજી આવૃત્તિની થોડી નકલો વિનોદભાઇ પાસે આવી. તેમણે એમાંથી એક યાદ રાખીને પ્રેમપૂર્વક મને આપી. મહેતાસાહેબના હાસ્યની કક્ષાનો એ વાત પરથી ખ્યાલ આવશે કે જ્યોતીન્દ્ર દવેએ તેના પુસ્તકનું પાછલું આવરણ લખ્યું હતું એ તો ઠીક (‘ઠીક’ એટલા માટે કે જ્યોતીન્દ્રનાં ધોરણો પ્રમાણમાં ઉદાર હતાં) પણ રા.વિ.પાઠકે પુસ્તકની પ્રસ્તાવના લખી હતી. લેખક તરીકે મહેતાસાહેબના બે બોલ પણ તેમની સૂક્ષ્મ છતાં પ્રચંડ હાસ્યવૃત્તિના પરિચાયક હતા.

વધુ થોડાં વર્ષ પછી મેં જ્યોતીન્દ્ર દવે વિશે સંશોધન ચાલુ કર્યું. ત્યારથી મનમાં હતું કે જ્યોતીન્દ્રએ મહેતાસાહેબના પુસ્તકનું પાછલું પૂંઠું લખ્યું હતું, એટલે મહેતાસાહેબને પણ મળવું જોઇએ. તેમનું સરનામું પણ હતું- આંબેગાંવકર્સ હાઉસ, હસમુખ પ્રેસની સામે, જંબુબેટ, દાંડિયાબજાર, વડોદરા. ઘણી વાર વડોદરા આવવા-જવાનું થયું. પણ જોગ ખાધો નહીં. વચ્ચે વચ્ચે વિનોદભાઇ સાથે વાત થયા કરતી. મહેતાસાહેબની ઉંમર વધતી હતી. પણ મળવાનું ન થયું તે ન થયું.

ગયા વર્ષે યોગાનુયોગ એવો થયો કે અમારે રજનીકુમાર પંડ્યાની સાથે મળીને મહાન ગાયિકા જુથિકા રૉયના સન્માન સમારંભ અને તેમની આત્મકથાના ગુજરાતી અનુવાદના પ્રકાશન સાથે સંકળાવાનું થયું. આખો કાર્યક્રમ રંગેચંગે અને યાદગાર રીતે પાર પડ્યો. એ પુસ્તક ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’માં મારો અને બીરેનનો એક સંયુક્ત લેખ પણ હતો, જેમાં જુથિકા રૉય સાથેના અમારા પ્રથમ પરિચયથી માંડીને આ સમારંભ-પુસ્તક સુધીની સફર શી રીતે તય થઇ તેનું છેલ્લાં સત્તર-અઢાર વર્ષના ઘટનાક્રમનું બયાન હતું. એ વાંચીને એક દિવસ બીરેન પર ફોન આવ્યો. ફોન કરનારે કહ્યું,’હું પ્રોફેસર આર.સી.મહેતા.’
મહેતાસાહેબ સંપર્ક કરવામાં અમારા કરતાં વધારે ચીવટવાળા નીકળ્યા. બીરેનના સુખદ આશ્ચર્યનો પાર નહીં. જેમનો સંપર્ક કરવાની એક અરસાથી ઇચ્છા હતી, તેમનો આટલાં વર્ષ પછી સામેથી ફોન આવે. ત્યાર પછી થોડા વખતમાં મારે વડોદરા જવાનું થયું ત્યારે 31 ઓક્ટોબર, 1918ના રોજ જન્મેલા મહેતાસાહેબની 91મી વર્ષગાંઠના થોડા દિવસ પહેલાં અમે એમને પહેલી વાર મળ્યા.

જૂના વડોદરામાં પોતાના ઘરમાં એકલા અને આનંદમાં રહેતા મહેતાસાહેબે એકાદ કલાક સુધી પ્રેમથી વાતો કરી. ફોટા પાડવા દીધા. તેમની સંગીતકારકિર્દી વિશે પણ વાતો થઇ. 91મે વર્ષે તેમનો જીવનરસ પ્રચંડ હતો. જ્યોતીન્દ્ર વિશે પણ થોડી વાતો થઇ. મઝાની વાત એ હતી કે આ ઉંમરે મહેતાસાહેબ એક આસિસ્ટન્ટ રાખીને ઇ-મેઇલ પણ વાપરતા હતા. 91 વર્ષના માણસનું ફંક્શનલ (કાર્યરત) ઇ-મેઇલ એડ્રેસ મેળવવાની પણ એક મઝા હોય છે.

બહાર નીકળ્યા પછી અમને પહેલો વિચાર એ આવ્યો કે મળ્યા ભલે અંગત રીતે, પણ મહેતાસાહેબ વિશે લખવું જોઇએ. બીરેને ત્યાર પછી ત્રણ વિસ્તૃત મુલાકાત લીધી. મહેતાસાહેબ ગુજરાતના એકમાત્ર મ્યુઝીકોલોજિસ્ટ (સંગીતશાસ્ત્રજ્ઞ) હોવાનું બહુમાન ધરાવે છે. તેમના વિશેનો પ્રોફાઇલ, તેમને પદ્મભૂષણ મળ્યા પહેલાં, છાપવાનો થાય તો મોટા ભાગના તંત્રીઓ કહી દે:’આપણા વાચકોને આવું ન ગમે.’ પણ દીપક સોલિયા સાથે કામ કર્યું હોય એ જાણે છે. તેમણે પ્રોફાઇલ વાંચ્યો અને રાબેતા મુજબ, મુક્ત કંઠે આનંદ વ્યક્ત કર્યો. હવે મહેતાસાહેબને પદ્મભૂષણ જાહેર થયા પછી એમના વિશે છાપાંની કોલમોમાં અને બીજે ઘણું લખાશે. તેનો આનંદ જ છે. પણ તેમના વિશે, ‘પદ્મભૂષણ મળ્યાથી કેવું લાગે છે?’ એ સિવાયના સવાલોના જવાબો અને બીજી વાતો જાણવી હોય તો ‘અહા જિંદગી’ના ફેબ્રુઆરીના અંકમાં બીરેને લખેલો તેમનો પ્રોફાઇલ વાંચવો રહ્યો.

મહેતાસાહેબને પદ્મભૂષણ ભલે સંગીત ક્ષેત્રે સેવા માટે મળ્યો, પણ આપણને તેમના હાસ્યમાં વિશેષ રસ પડે. એટલે મહેતાસાહેબની ‘પંચાજીરી’માં ‘લેખકના બે બોલ’ની એક વાનગીઃ

‘એક અસ્વસ્થ-રોમાન્ટિક-પ્રકૃતિ ધરાવતા વિવેચક લખે છે,’સવાર હતી ન હતી, બપોર હતી ન હતી, સંધ્યા હતી ન હતી ને આંખ ઉઘાડીને જોયું તો ટપાલી બૂમ પાડી રહ્યો છે. ખરેખર, રમણલાલભાઇનું પુસ્તક હોય ને ટપાલી બૂમ પાડે જ કેની? આવ્યું કે તરત જ છેલ્લે પાનેથી વાંચવા માંડ્યું. આઇ કુડ ફિનિશ ધ બુક ઇન નો ટાઇમ. મોડી સાંજે ચા વખતે ચાની કીટલી પરથી પુસ્તક ઉઠાવતી વેળા રેણુએ પૂછ્યું,’કોની બનાવેલી ચોપડી છે? તે ખરીદ્યું?’ મેં કહ્યું,’રમણલાલની ચોપડી છે- છે પુસ્તક અમૂલ્ય. આજે જ ટપાલમાં આવી. હા, પણ આજે ચા સરસ થઇ છે.’ રેણુએ સ્મિતકુસુમો વેરતાં કહ્યું,’ચા તો દરરોજ એકસરખી બને છે. પણ આજે કીટલી પરનું ઢાંકણ તૂટી જતાં આ ચોપડી ઢાંકી હતી.’ મેં રેણુના કમળના પત્ર સરીખા હાથ હૃદયસરસા ચાંપીને કહ્યું,’રેણુકા રેણુ પુસ્તકો પ્રત્યે તારી દૃષ્ટિ પણ અનોખી છે.’
પણ માફ કરજો, આ પુસ્તક સંબંધી મારો અભિપ્રાય તદ્દન જુદો છે. આ પુસ્તક અમૂલ્ય નથી અને સવા બે રૂપિયા એ એનું છાપેલું મૂલ્ય છે ને તે દીવા જેટલું સ્પષ્ટ જણાય એમ છે.

contact : profrcmehta@yahoo.com
phone : 91-265-2425388

Sunday, January 25, 2009

મધુ રાયના સાત રંગ




(photoline (L to R) : 1. Pranav Parekh, Lalit Khambhayta, Dhaivat Trivedi, Divyesh Vyas, Manish Maheta with Madhu Rye 2. Kshma Kataria, Urvish Kothari, Ketan Rupera with Madhu Rye 3. Madhu Rye 4. Pranav Adhyaru, Pranav Adhyaru 5. Urvish, Ketan, Binit Modi)
ગુજરાતી સાહિત્ય અને વાચકજગતમાં મહાન કે યાદગાર કૃતિઓ ઘણી છે, પણ સદાકાળ યાદ રહી જાય એવાં પાત્રો ઓછાં. હોય એ પણ મુખ્યત્વે નવલકથાઓમાં. ટૂંકી વાર્તામાં એક પાત્રને લઇને અનેક યાદગાર વાર્તાઓ લખાઇ હોય એવું બહુ જાણ્યું નથી. (જાણકારો જણાવી શકે છે.) પણ મધુ રાયનો ‘હરિયો’ એમાં સુખદ અને મજબૂત અપવાદ છે. મધુ રાયની હરિયા સિરીઝની વાર્તાઓ એવી છે કે સૌ પોતપોતાની કક્ષા પ્રમાણે તેમને માણી શકે. મને અત્યંત ગમતી ‘ઇંટોના સાત રંગ’ અને ‘કાન’ જેવી વાર્તાઓ વાંચીને માણસ આફરીન પોકારી જાય અને વિચારે પણ ચડી જાય. ‘ઇંટોના સાત રંગ’ તો ઘણી વાર હું જીવન ફિલસૂફી ઘડનારી વાર્તાઓમાંની એક ગણું છું. ક્યારેક જે કરી રહ્યા હોઇએ તે નિરર્થક લાગવા માંડે ત્યારે ‘ઇંટોના સાત રંગ’ વાંચી લેવાની...
આટલી પૂર્વભૂમિકા એટલા માટે કે અમેરિકાનિવાસી મધુ રાય આજકાલ ગુજરાતમાં છે. હમણાં તો એમની નવી ઓળખાણ પણ છેઃ તેમની નવલકથા ‘કિમ્બલ રેવન્સવુડ’ પરથી આશુતોષ ગોવારિકર ફિલ્મ બનાવી રહ્યા છેઃ ‘વોટ્સ યોર રાશિ?’ તેના સંબંધે લક્ષ્મીવિષયક જિજ્ઞાસા થાય. પણ મધુ રાય કહે,’લક્ષ્મી વિશે પૂછનારે સરસ્વતી સાંભળવી પડે.’

બે વર્ષ પહેલાં મધુ રાય આવ્યા ત્યારે રજનીકુમાર પંડ્યા, બિનીત મોદી અને ચંદ્રશેખર વૈદ્ય સાથે મધુ રાય સાથે ધોરાજી જવાનું અને બે-ત્રણ દિવસ સાથે રહેવાનું થયું હતું. આ વખતે હું અને બિનીત તેમને નિરાંતે- સાથે જમવા માટે- મળવાનું વિચારતા હતા. પછી મધુ રાયની કલમના ચાહક એવા બીજા મિત્રોની પણ યાદ આવી. એટલે સૌએ ભેગા મળીને તેમની સાથે 23 જાન્યુઆરીની સાંજ વસ્ત્રાપુર તળાવની સામે આવેલા ‘રૂડું કાઠિયાવાડ’ રેસ્ટોરાંમાં ગાળવાનું ગોઠવ્યું, દસ-અગિયાર મિત્રો મળ્યા. બે-ત્રણ કલાક મધુ રાય સાથે સત્સંગ કર્યો અને તેમના ગયા પછી પાંચ-છ મિત્રો સાથે રાત્રે દોઢ વાગ્યા સુધી એક્સ્ટેન્ડેડ સત્સંગ થયો.

‘મધુ રાયના સર્જનની થવી જોઇએ એવી કદર થઇ નથી’ એવું લખવામાં બીક લાગે છે. કારણ કે એમાંથી એવું ફલિત થવાની આશંકા રહે છે કે બીજા સર્જકોની કદર થઇ છે. ખુદ મધુભાઇ આ વાતને ‘લેન્ગ્વેજ ઇઝ ડેસ્ટીની’ના ખાનામાં નાખે છે. ગુજરાતીમાં લખો એટલે સીમાડા બંધાઇ જાય. બાકી ઘણી વાર મારા જેવા અંગ્રેજીનું- ખાસ કરીને સાહિત્યનું- ઓછું વાચન ધરાવતા લોકોને થાયઃ આ અંગ્રેજી લેખકો એવું તે શું લખીને લાખો ડોલરના એડવાન્સ મેળવતા હશે, જે મધુ રાય કે રજનીકુમાર પંડ્યાને નથી આવડતું?

મધુ રાયનાં પુસ્તકો ઓછાં. તેના પ્રકાશનમાં થયેલા સારા અનુભવો એથી પણ ઓછા. ‘કલ્પતરુ’ નવલકથાના મુખપૃષ્ઠ માટે વિખ્યાત ચિત્રકાર ભૂપેન ખખ્ખરે ચિત્ર બનાવી આપેલું. (મિત્ર વિજય પટેલ એ ચિત્ર પરથી આ પુસ્તકને ‘માથામાં ઝાડ ઉગે એવું’ કહેતા હતા.) ભૂપેન ખખ્ખરનું અસલ ચિત્ર પ્રકાશકથી ખોવાઇ ગયું. મધુભાઇ કહે છે,’આજે એ ચિત્ર હયાત હોત તો...’ અસાઇત સાહિત્ય સભાવાળા વિનાયક રાવલે તેમનાં નાટકો છાપવા માગ્યાં. એ વાતને વર્ષો વીત્યાં. હજુ તેનું ઠેકાણું પડ્યું નથી. આવી બધી ઘટનાઓનો વિષાદી પડઘો મધુભાઇની વાતમાં આંતરપ્રવાહ (અન્ડરકરન્ટ) તરીકે વહેતો સંભળાય?

‘કેમ લખતા નથી?’ એવું પૂછતાં તરત જવાબ મળે,’કોણ છાપે છે?’ મનીષ મહેતાએ પૂછ્યું,’છાપીએ તો તમે આત્મકથા લખો?’ મધુ રાય હસ્યા. જેનો અર્થ એ જઃ ‘કોણ છાપે?’ મેં કહ્યું,’આપણા તંત્રીઓ એવા છે કે આત્મકથા હોય તો પણ લેખકને કહે,’અંગત ઉલ્લેખો ટાળજો.’ દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં તેમની કોલમ આવે છે. પણ મધુ રાયની અસલ ફ્લેવર તેમાં ક્યારેક જ જોવા મળે. માત્ર એ કોલમ વાંચતા હોય એ લોકોને મધુ રાયના પ્રતાપી ગદ્યનો અંદાજ ન આવે.

નાટકો મધુ રાયનાં. ‘સંતુ રંગીલી’ હજુ લોકો યાદ કરે છે. મધુ રાયની ‘સંતુ’ વિશે લખવા- જે કંઇ સારામાઠા અનુભવો હોય એ લખવા- ફરી એક વાર પ્રેમાગ્રહ કર્યો. ‘ખેલંદો’ અને કેતન મહેતાએ ભજવેલું ‘ચાન્નસ’ મધુ રાયે કદી જોયાં નથી. તેમનાં નાટકોનાં ઓડિયો રેકોર્ડિંગ પણ કોઇ સહૃદયી શોધી કે મેળવી આપે તો કામ થાય. ‘કુમારની અગાસી’ અમેરિકામાં યુવાનોના એક જૂથે ‘ટેરેસ’ નામે ભજવેલું, તે મધુ રાયને આકસ્મિક જાણવા મળ્યું. નાટકના શો વખતે એ પહોંચી શક્યા નહીં, પણ અઠવાડિયા પછી એ ગામ જવાનું થયું. છોકરાઓ ઉત્સાહથી મધુ રાયને મળ્યા. કહે,’નાટક સરસ છે. પણ અમે અંત બદલી નાખ્યો. જરા વધારે મજા આવે.’

એટલે હવે છોકરાઓ નાટક ભજવે છે એવું જ્યારે સાંભળવા મળે ત્યારે મધુ રાયને ફાળ પડે છે અને અંત વિશે અમંગળ વિચારો આવે છે. એટલે જ ભાઇ ધૈવત ત્રિવેદીએ કહ્યું કે ‘હમણાં કોઇ કોલેજ ફેસ્ટિવલમાં તમારું ‘કોઇ પણ એક ફૂલનું નામ બોલો તો’ ભજવાયું’ એટલે તત્કાળ ઇન્ક્વાયરી શરૂ થાય છે.

નિરાંતે કાઠિયાવાડી ભોજન જમ્યા પછી નિર્દોષ પાન જમાવીને વાતોનો બીજો દૌર શરૂ થાય છેઃ બક્ષીનામા. એક વાર બક્ષીએ મધુ રાયને કહ્યું,’એવી નવલકથા લખવી છે કે માણસ બોરીવલીથી પાન મોમાં દબાવીને બેઠો હોય તો ચર્ચગેટ આવે ત્યારે પણ પાન એમનું એમ જ હોય.’
મધુ રાયઃ સરસ કહેવાય.
બક્ષીઃ શું?
મધુ રાયઃ પાન, વળી.

‘બક્ષી બાબત 116 જોક્સ’ મધુ રાયના અને બક્ષી વિશેના સદાબહાર લેખોમાંનો એક લેખ છે, જેનાં ઘણાં અવતરણો હું અવારનવાર ટાંકુ છું. એક ‘સામ્પલ’- નર્મદ કરતાં મારા વાચકો વધારે છે એવા બક્ષીબાબુના દાવા અંગે મધુ રાયઃ ‘એના માટે ગુજરાતી પ્રજાનું વાચન નહીં, પણ પ્રજનન જવાબદાર છે.’
અગીયાર વાગ્યે મધુ રાયના ભાઇ અરુણ ઠાકર અને તેમના બનેવી આવી પહોંચ્યા. એટલે તેમણે મહેફિલની વિદાય લીધી.

મધુ રાય, અશ્વિની ભટ્ટ, રજનીકુમાર પંડ્યા જેવા સિત્તેરની આસપાસના લેખકોની આત્મકથા હોવી જોઇએ એવું તીવ્રપણે લાગ્યા કરે છે. તેમના જેટલી ચડાવઉતારવાળી જિંદગી બહુ ઓછા માણસોને જોવા મળી હશે. હવે એવાં છાપાં રહ્યાં નથી, જે આ લોકોની આત્મકથા હપ્તાવાર છાપે. બાકી, કોઇ છાપે તો આ લોકો જરૂર લખે. પણ છાપાંના કર્મચારીઓના કારણ વગરના વાંધા અને ‘લેખકોનો બહુ પ્રચાર થઇ જાય’ એવી નબળી બીકને લીધે વાસ્તવમાં એ શક્ય બનતું નથી. સામયિકો પાસેથી પણ એવી આશા નથી. માણસ હોય ત્યારે તેની પાસેથી બધું કઢાવી લેવાને બદલે, એની બિનહયાતીમાં આપણાથી શું શું ન થઇ શક્યું એનો વસવસો કરવાનું વધારે સગવડભર્યું હોય છે.

Wednesday, January 21, 2009

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માઃ અસરો અને આડઅસરો


ગુજરાતી વાર્તાઓ કે નવલકથાઓ પરથી સિરીયલ બનવાની હવે નવાઇ રહી નથી. હરકિસન મહેતા, રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, મહેશ યાજ્ઞિક, વર્ષા અડાલજા અને બીજા ઘણા નામી- ઓછા નામી લોકોની કૃતિઓ ટીવી પર પહોંચી છે. તેમાં ફક્ત પ્રોડ્યુસરને જ નહીં, લેખકને પણ તંદુરસ્ત રકમ અને લોકપ્રિયતા મળી હોય એવાં ઉદાહરણોમાં અત્યાર સુધી રજનીકુમાર પંડ્યાની અધિકારી બંઘુઓએ બનાવેલી સિરીયલ ‘કુંતી’નું નામ આવતું હતું. હવે તેની સાથે ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ને મુકવી પડે. તેનું વિશેષ મહત્ત્વ એ પણ ખરૂં કે સિરીયલના નામમાં અને તેના ટાઇટલ ગીતમાં ગૌરવપૂર્વક લેખકનું નામ મુકવામાં આવ્યું છે.
અત્યારે એ સિરીયલની લોકપ્રિયતા અને તેની હકારાત્મક આડઅસરોથી લેખક તારકભાઇના ચાહક અને માણસ તારકભાઇના પ્રેમી તરીકે ઘણો આનંદ થાય છે. ‘હકારાત્મક આડઅસરો’ એટલે? મારાં એક કઝિન પારૂલ પરીખની કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી દીકરી નિશા પહેલાં આ સિરીયલની ચાહક બની અને હવે ઘરમાં મમ્મી-પપ્પા-ભાઇએ વસાવેલાં તારક મહેતાનાં પુસ્તકો વાંચતી થઇ છે. અંગ્રેજી મીડિયમમાં ભણતી નિશાના કહેવા પ્રમાણે, તેના મિત્રો- અને તેની પેઢીના- ઘણા લોકો આ સિરીયલ થકી તારકભાઇના પરિચયમાં આવ્યા છે અને તેમના ચાહક બન્યા છે.
‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ની સફળતા માટે તારકભાઇ-ઇન્દુકાકીને અને સિરીયલ બનાવનાર એમના પ્રેમી નિર્માતા-નિર્દેશકને તેમના સૌ ચાહકો વતી અભિનંદન.
(ફોટોલાઇનઃ લગભગ છ મહિના પહેલાં સિરીયલનો આરંભ થયો એ વખતના સમારંભની આ તસવીરો.) તમામ તસવીરોઃ બિનીત મોદી
photolines: Tarak Maheta with characters he created. Tarak Maheta- Induben Maheta sitting with Dayaben & Tapu.

એમઓયુઃ ગુજરાતનો ‘નવો વેપાર’

ભૂકંપ અને કોમી હિંસા પછી ગુજરાતમાં એમઓયુ માટે ચર્ચામાં છે. અખબારો બીબાંથી છપાતાં નથી એટલું સારૂં છે. નહીંતર, વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુના આંકડા છાપવા માટે મીંડાનાં બીબાં ખૂટી પડત અને બીબાં બનાવતી કંપનીઓ સાથે અખબારોએ અમુક હજાર કરોડ રૂપિયાના એમઓયુ કરવા પડત.

કોમી હિંસા અને તેની પહેલાં ભૂકંપ પોતપોતાના સમયમાં એવાં છવાયાં હતાં કે બાકીની બધી -સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આર્થિક અને પરચૂરણ- વાતો તેમના સંદર્ભે જ થાય. વાઇબ્રન્ટ ગુજરાતમાં આ સાલ થયેલા અમુક લાખ કરોડ રૂપિયાના એમઓયુ પછી બાકીનાં તમામ ક્ષેત્રોમાં એમઓયુ-ચાળો ફેલાય તો?

***
છોકરીને જોવા માટે મુરતિયો તેનાં માતા-પિતા સાથે આવ્યો છે. છોકરો-છોકરી એક રૂમમાં વાતો કરે છે. બહાર છોકરાના પપ્પા (પપ્પા ૧)ની છોકરીના પપ્પા (પપ્પા ૨) સાથે ચર્ચા કરી રહ્યા છે.
પપ્પા ૧: શું લાગે છે?
પપ્પા ૨: હવેનાં છોકરાંનું કંઇ કહેવાય નહીં.
પપ્પા ૧: પણ એ લોકો વાતો કરે ત્યાં સુધી આપણે એમઓયુ તો કરી નાખીએ! એમાં બન્નેના ગમવાની રાહ જોવાની ક્યાં જરૂર છે? તમે અહીં આટલે સુધી આવ્યા ને સાવ ખાલી હાથે જાવ એ કેમ ચાલે?
પપ્પા ૨: બરાબર છે. આપણે દસ લાખ રૂપિયાનો એમઓયુ કરીએ.
પપ્પા ૧: શ્શ્શ્શ્શ્...ધીમેથી બોલો. કોઇ સાંભળી જશે તો આપણા બન્નેની આબરૂ જશે. આ તે કંઇ એલઆઇસીનો વીમો લેવાનો છે કે તમે લાખમાં વાત કરો છો? એમઓયુ કરવાનો છે, એમઓયુ! બસો-પાંચસો કરોડ રૂપિયાનો ન કરીએ તો દેશ ને દુનિયા આગળ આપણું ને આપણા ગુજરાતનું કેવું લાગે?
પપ્પા ૨: હું તો તમારી પરીક્ષા કરતો હતો. સાતસો કરોડનો એમઓયુ કરી નાખીશું?
પપ્પા ૧: હવે લીટી ભેગો લસરકો. હજાર-બારસો કરોડ રાખી દો. અત્યાર સુધી આ છોકરા માટે બાવીસ હજાર કરોડ રૂપિયાના એમઓયુ કરી ચૂક્યા છીએ, પણ એનું હજુ ગોઠવાતું નથી.
પપ્પા ૨: હશે. ધીરજ રાખવી. ના, ના કહેતાં અમારે પણ આ છોકરી માટે સત્તર હજાર કરોડ રૂપિયાના એમઓયુ કરવા પડ્યા છે. સંસાર છે. એમઓયુ તો ચાલ્યા કરે.

સ્થળ પર હાજર એક એનઆરજી સંબંધી આંખો અને મોં પહોળાં કરીને આ બઘું સાંભળી રહ્યા છે. અંતે ન રહેવાતાં એ પૂછે છે,‘પણ આ છોકરો-છોકરી એકબીજાને જુએ એમાં એમઓયુ કરવાની શી જરૂર?’'
છોકરાના પપ્પાઃ જુઓ, બન્ને જણ એકબીજાને પસંદ પડે તો પછી એ સંસાર માંડવાના કે નહીં? સંસાર માંડે તો એમને ખર્ચ થવાનો કે નહીં? પતિ-પત્ની અને તેમનાં બે બાળકોનો આ મોંઘવારીના જમાનામાં ખર્ચ ગણો અને એમનો સંસાર પચાસ વર્ષ ટકશે એવો અંદાજ બાંધો તો કુલ ખર્ચ કેટલો થાય? એવો જાડો અંદાજ બાંધીને તેમાં બે-ચાર મીંડા ઉમેરીને એટલી રકમનો એમઓયુ અત્યારથી બન્ને પાર્ટીઓ કરી નાખે તો...
એનઆરજીઃ પણ એનો અર્થ શો? હજુ લગ્ન નક્કી ન હોય ને હજારો કરોડની વાતો... અને લગ્ન થઇ જાય તો પણ શું? જે રકમ આવતાં પચીસ કે પચાસ વર્ષમાં ખર્ચાવાની છે એનાથી અનેક ગણી વધારે રકમના આંકડા અત્યારે ઉછાળીને હરખાવાનો શો મતલબ?
છોકરાના પપ્પાઃ ‘તમને અહીંના રિવાજમાં ખબર ન પડે. ગુજરાત પ્રગતિના પંથે છે ને એની પ્રગતિ લોકોથી ખમાતી નથી. એવા લોકો જ આવી દલીલો કરે છે. તમે ગુજરાતવિરોધી છું?
એનઆરજીઃ ના, પણ તમે સામાન્ય બુદ્ધિના વિરોધી છો?
છોકરીના પપ્પાઃ દલીલબાજીનો કશો અર્થ નથી.
એનઆરજીઃ ઓ.કે., હવે પાછો જઇને હું એરલાઇન્સ સાથે હન્ડ્રેડ મિલિયન પાઉન્ડના એમ ઓયુ કરીશ- મારી આવતી પેઢીઓની વિદેશયાત્રાઓના ખર્ચા પેટે. ગ્રોસરી સ્ટોર સાથે સેવન હન્ડ્રેડ મિલિયન પાઉન્ડના અને હોસ્પિટલ સાથે વન બિલિયન પાઉન્ડના એમઓયુ પણ કરી નાખીશ.
છોકરાના પપ્પાઃ હવે તમે ગુજરાતના મુખ્ય મંત્રીને ગૌરવ થાય એવી વાઇબ્રન્ટ વાત કરી. જુઓ, તમારે દર વર્ષે ત્યાં એક મોટી પાર્ટી રાખવાની. એમાં આવી બધી કંપનીઓવાળા ને એ ન મળે તો સ્ટોરવાળાને બોલાવવા, જલસાપાણી કરવાં, એ બધામાં જે ખર્ચો થાય તેને ઇન્વેસ્ટમેન્ટ ગણવો અને એ લોકોની સાથે મિલિયન્સ ઓફ પાઉન્ડના એમઓયુ સાઇન કરવા. પછી જુઓ, તમારો કેવો વટ પડે છે. લોકો કહેશે, આ તો બહુ મોટી પાર્ટી છે. બે વર્ષ પહેલાં વન બિલિયન ડોલરના એમઓયુ સાઇન કર્યા હતા અને આ વર્ષે ફોર બિલિયન ડોલરના એમઓયુ સાઇન કર્યા છે...
એનઆરજીઃ બસ. હવે હું છું, કંપનીઓ છે ને એમઓયુ છે.

***
વાઇબ્રન્ટ ગુજરાતમાં મીંડાના વરસાદ પછી પણ કોરાકટ રહ્યા હોય એવા લોકો કહે છે, ‘કેટલા એમઓયુ વાસ્તવિક પ્રોજેક્ટમાં ફેરવાય છે એ તો જુદી વાત છે. પણ એમઓયુ પછી ખરેખર પ્રોજેક્ટ થાય તો મોટો ફાયદો ઉદ્યોગપતિઓને છે ને પ્રોજેક્ટ થાય કે ન થાય, મુખ્ય મંત્રીને ફાયદો જ ફાયદો છે. એમાં આમજનતાને શું?’
આવા લોકોને ચૂપ કરવા માટે અને વાઇબ્રન્ટ ગુજરાતનો મિજાજ છેવાડાના માણસની જિંદગીમાં કેવો ફરક પાડી શકે, એ બતાવવા માટે અહીં આમજનતા કોની કોની સાથે એમઓયુ કરી શકે, તેની અછડતી, નમૂનારૂપ યાદી અહીં આપી છે. તેમાં સૌ પોતપોતાની સમજણ પ્રમાણે ઉમેરા કરી શકે છે.
દાતણવાળા (એગ્રીકલ્ચર સેક્ટર)
અગાઉ ભાખરી-રોટલીના સાટામાં કે હવે રૂપિયો-બે રૂપિયાની કિંમતમાં દાતણની ઝૂડી વેચનારા લોકો છેવાડાના ગણાય કે નહીં? ગણાય! તો એમને એક દિવસ ઝડપી લો અને તેમની સાથે આખી પોળ વતી આજીવન દાતણ ખરીદવા માટે પચીસ કરોડ રૂપિયાનો એમઓયુ કરી નાખો. પછી જુઓ, રોજ કેવાં તાજાં દાતણ આવે છે, વૈશ્વિક મંદીના વાતાવરણમાં ગુજરાતનો દાતણઉદ્યોગ કેવો તેજીમાં આવે છે ને તેમાં કેટલા ગ્લોબલ પ્લેયર પ્રવેશે છે!
બસ-રીક્ષા-છકડા-ટ્રેન (ટ્રાન્સપોર્ટ/ગ્રીન ટેકનોલોજી સેક્ટર)
અમદાવાદના લોકો એએમટીએસ સાથે કે વડોદરાના લોકો ‘વીટકોસ’ સાથે આજીવન ભાડા પેટે માથા દીઠ પચાસ-સો કરોડ રૂપિયાના એમઓયુ કરી શકે છે. ટ્રેનમાં અપ-ડાઉન કરતા લોકો કેન્દ્ર સરકાર સાથે એવી જ રકમના એમઓયુ કરી શકે છે. સામાન્ય સંજોગોમાં ટિકીટ ન લેતા હોય એવા લોકો પણ એમઓયુ માટે ઉલટભેર તૈયાર થશે. આ રીતે સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ઉન્નત મસ્તકે ફરી શકશે અને ટિકીટ માગતાં તુચ્છ ટિકિટ કે સીઝન ટિકીટને બદલે અમુક સો કરોડ રૂપિયાના એમઓયુનો કાગળ બતાવશે.
ફીનાઇલવાળા ( કેમિકલ સેક્ટર)
શેરીમાં કે સોસાયટીમાં સાયકલ કે લારી લઇને ફીનાઇલ વેચવા આવનારને ઓછા આંકવા નહીં. તેમની સાથે પણ પચીસ-પચાસ કરોડના એમઓયુ કરી શકાય અને ટાર્ગેટમાં ફીગર ખૂટતી હોય તો આ બધે એક-બે મીંડાં ઉમેરી દેવાના. ઘી ઢળ્યું તો ખીચડીમાં ને મીંડાં પડ્યાં તો એમઓયુમાં!
છાપાનો ફેરિયો (મીડિયા સેક્ટર)
દર મહિને સો-બસો રૂપૈડીનું બિલ આપવા-લેવાનું વાઇબ્રન્ટ ગુજરાતના નાગરિકોને શોભે? એને બદલે છાપાંવાળા સાથે સાગમટા છાપાં અને પસ્તી માટે પચાસ-સો કરોડ રૂપિયાના એમઓયુ કરી નાખ્યા હોય તો?

ગુજરાતનાં કોમી રમખાણોમાં સરકાર પાસેથી ન્યાય, રાજધર્મ અને ‘અન્ડરસ્ટેન્ડિંગ’ની અપેક્ષા રાખતા લોકોએ હવે મુખ્ય મંત્રીની ટીકા કરવાનું છોડીને આવતા વાઇબ્રન્ટ ગુજરાત માટે એક સ્ટોલ રાખવો જોઇએ. મેમોરેન્ડમ કરવાથી સરકાર પાસેથી ‘અન્ડરસ્ટેન્ડિંગ’ની આશા રહેતી હોય તો એ રસ્તો અજમાવી જોવામાં શું વાંધો?

Saturday, January 17, 2009

૧૫૦મી પોસ્ટઃ શબ્દાર્થપ્રકાશ # 8

આટાપાટાભંડારાઃ કોઠાકબાડા, દાવપેચ
મુસ્લિમ ટેરર (અને હવે હિંદુ ટેરર)ને ધોરણે મતબેન્કોના આટાપાટાભંડારા બહુ થયા.(દિ.ભા.૨૯-૧૧-૦૮)
ધન્યોદગારઃ (કટાક્ષમાં) શરમજનક ઉદગાર
...મહારાષ્ટ્ર સરકારના ડિપોટી આર.આર.પાટિલ ‘આ કોઇ મોટો બનાવ નથી’ જેવા ધન્યોદગારથી અન્યથા પણ બોક્સમાં હતા જ. (દિ.ભા.૨-૧૨-૦૮)
પરિધાનપ્રવીણઃ સારાં કપડાં પહેરીને મહાલવામાં એક્કા
વાત માત્ર પરિધાન પ્રવીણ શિવરાજ પાટિલની....જ નથી. (દિ.ભા.૨-૧૨-૦૮)
(શિવરાજ પાટિલ એક દિવસમાં જુદાં જુદાં ત્રણ સફારી પહેરીને ટીવી કેમેરા સામે પેશ થયા હતા એ સંદર્ભે)
પાંચકામાં: પાંચ વર્ષના સમયમાં
આખલકૂદઃ બુલ રન
છેલ્લા દસકામાં બલકે પાંચકામાં આખલકૂદ અગર દોટ (બુલ રન) આપણે જોઇ છે! (દિ.ભા.૫-૧૨-૦૮)
ભોં ભાંગવીઃ ખરેખરૂં કામ કરવું
જોઇએ, જે બધી ખામીઓ વિસે ચિદમ્બરમ નિખાલસપણે પેશ આવ્યા છે એમાં તેઓ દુરસ્તી માટેની ભોં કેમની ભાંગે છે. (દિ.ભા.૬-૧૨-૦૮)
અનારંભીઃ નોનસ્ટાર્ટર
એનડીએ કાળથી હમણાં લગી વહેવારમાં કેવળ અનારંભી (નોનસ્ટાર્ટર) બની રહેલા આ સૂચન પર...(દિ.ભા.૬-૧૨-૦૮)
રાજવટઃ ગવર્નન્સ
સત્તા પર કોંગ્રેસ હોય કે ભાજપ કે બીજા, આ બધા સવાલો અંતે તો ધોરણસરની રાજવટના- ગવર્નન્સના છે. (દિ.ભા.લેખ, ૬-૧૨-૦૮)
મોળપ અને કૂણપઃ નરમાશ...પાક સંડોવણી સબબ ક્લિન્ટન તંત્રે નો-નોનસેન્સ અભિગમ લીધો. છતાં જે મોળપ અને કૂણપ હતી તેમાં ૯/૧૧ના સ્વાનુભવ પછી અમેરિકાએ ખાસી દુરસ્તી કરી છે. (દિ.ભા.૮-૧૨-૦૮)
અરાજક કરવૈયાઓઃ નોન-સ્ટેટ એક્ટર્સ
દેખીતી રીતે જ, આ બધા તો અરાજક કરવૈયાઓ (નોન સ્ટેટ એક્ટર્સ) છે એમ કહીને પોતાની એક રાજ્ય તરીકેની બનતી જવાબદારી બાબતે હાથ ઉંચા કરી દેવાના પાક રવૈયા કરતાં...(દિ.ભા.૧૦-૧૨-૦૮)
ઉડ્ડાન ગબીઃ ટેક ઓફ પોઇન્ટ?
એ માટે ૨૬મી નવેમ્બરે મુંબઇ પર ત્રાટકેલા આતંકવાદીઓનો અને આ નોનસ્ટેટ એક્ટર્સ’ની ઉડ્ડાન ગબી રૂપ પાકિસ્તાનનો જ આભાર માનવો રહે. (દિ.ભા.૧૨-૧૨-૦૮)
અમે-તમારાથી-ચડિયાતા-શાઇઃ વન અપમેનશિપ
કદાચ ચૂંટણીના બાકી દોરને લક્ષમાં રાખીને જ અમે-તમારાથી-ચડિયાતા-શાઇ વન અપમેનશિપનો જોસ્સો ભાજપે કમ નહોતો દાખવ્યો. (દિ.ભા. ૧૨-૧૨-૦૮)
વારણઃ વારવાની ક્રિયા
ભારત સરકારે મંદીના વારણ અને મારણ માટે મસમોટું પેકેજ જાહેર કર્યાને હજુ તો...(દિ.ભા.૨-૧૨-૦૮)
પીછેકૂચઃ અવળી ગતિ
છેલ્લા વરસમાં એની પીછેકૂચ રહી છે. (દિ.ભા.૧૩-૧૨-૦૮)


(કુલ શબ્દોઃ 93)
વિશિષ્ટ વાક્યપ્રયોગો
  • બને કે ઝેડ પ્લસ સિક્યુરિટીની દોમ દોમ સ્ટેટસ સિમ્બોલ સામે ખુલ્લી દરિયાઇ સરહદથી મગતરાં પેઠે મરી શકતા માણસો, એ બેઉ મળીને જે અમાનવીય સહોપસ્થિતિ રચે છે તે આમ માનસને સારૂ જીરવવી દોહ્યલી હોય. (દિ.ભા.૨-૧૨-૦૮)
  • પાકિસ્તાને, ક્યારેક પોતે જ સરજેલ પરિબળોના ગ્રહણમાંથી છૂટવાની રીતે ભારત સાથે સહયોગનો રાજમાર્ગ હિંમતભેર અપનાવવા જેવો છે. એ સિવાય કોઇ પણ ટૂંકા રસ્તે તે લાંબું થઇ જશે...(દિ.ભા.૩-૧૨-૦૮)
  • બાનુઓ કેન્ડલ લઇને નીકળી એમાં આપણા ભાઇને કેમ જાણે સ્કેન્ડલ-બોધ થયો. ((દિ.ભા.લેખ, ૬-૧૨-૦૮, મુંબઇ હુમલા પછી ભાજપી નેતા સઇદ નકવીએ લીપસ્ટીક લગાડીને કેન્ડલ લઇને નીકળી પડેલી સ્ત્રીઓની ટીકા કરી હતી એ વિશે.

નોંધઃ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશભાઇનો છેલ્લો તંત્રીલેખ ૧૩-૧૨-૦૮ના શનિવારે પ્રકાશિત થયો. ૧૪-૧૨ના દિવસે રવિવાર અને ૧૫-૧૨ના દિવસે છાપું ખોલ્યું અને તંત્રીલેખનું પહેલું વાક્ય વાંચીને શું થયું હશે, તે આ વાક્ય જાતે વાંચીને જ નક્કી કરી લોઃ

‘મારે મિયાણા ને ફુલાય પીંજારા. અમેરિકા અને બ્રિટન પાકિસ્તાનને ધમકાવે એમાં ભારત કાખલી કૂટીને તાબોટા પાડી રહ્યું છે...

જય સિયારામ !

હવે પછી ભાસ્કરમાં શનિવારની અઠવાડિક કોલમ દ્વારા પ્રકાશભાઇની હાજરી રહેશે એવું જાણવા મળ્યું. વાઇબ્રન્ટ ગુજરાત વખતે એમાં પણ ખાડો પડ્યો. કારણો એ જ, જૂનાં અને જાણીતાં. એમણે વાઇબ્રન્ટ ગુજરાતની વાસ્તવિકતા વિશે લખ્યું હશે, જે ‘મેનેજમેન્ટ’ને અનુકૂળ નહીં આવ્યું હોય...

હવે પછી શબ્દાર્થપ્રકાશ વિભાગમાં તેમના અઠવાડિક લેખો અને નિરીક્ષકના લેખમાંથી શબ્દો મુકીશું. ઉપરાંત આ વિભાગ શરૂ થતાં પહેલાં ‘ભાસ્કર’માં એમણે જે તંત્રીલેખો લખ્યા છે, તેમાંથી પણ અવનવા શબ્દો સંદર્ભો સાથે રજૂ કરવાનું ચાલુ રાખીશું.

Friday, January 16, 2009

આસમાની સુલતાની 2009




On the top (Vasi Uttarayan on 4th floor of Pranav's Raypur house) : 1. Ashwinee Bhatt- Neeti Bhatt 2. Three generations of Gujarati novel writing : Pranav-Ashwineebhai-Mahesh Yagnik
3. Ketan Rupera-Urvish Kothari- Lalji Chavada- Pranav Adhyaru flying kite. 4. Ketan-Vishal Patadiya-Lalji-Pranav

આ શબ્દપ્રયોગ આફતના સંદર્ભમાં થાય છે, પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ધાબા પર સુલતાની ભોગવતા પ્રણવ જેવા મિત્રોને જોઇને આ પ્રયોગ યાદ આવે. આ વાસી ઉત્તરાયણના દિવસે પ્રણવના રાયપુરના ઘરે, ચોથા માળ પર કેટલાક મિત્રો ભેગા થયા હતા. અહીં તસવીરમાં નથી એવા ડોક્ટર તુષાર કાપડિયા પણ સપરિવાર થોડા સમય માટે આવ્યા હતા. અમારો કાયમી સાથીદાર બિનીત મોદી કોઇ કારણસર ફોટોમાં આવ્યો નથી. નવલકથાકાર-વડીલ મિત્ર મહેશ યાજ્ઞિક આકસ્મિક રીતે આવી ચડ્યા. એટલે પ્રણવ-મહેશભાઇ-અશ્વિનીભાઇએ પતંગ સાથે ફોટો પડાવ્યો. આગલા દિવસે પ્રકાશ ન.શાહ અને વિપુલ કલ્યાણી એ ધાબાની મુલાકાત લઇ ચૂક્યા હતા. હવે ‘ઉર્ઘ્વગતિશીલ’ (અપવર્ડલી મોબાઇલ) લોકોને પોળમાં રહેવાનું ગોઠતું નથી. પ્રણવ જેવા જૂજ લોકો પોળનાં ઘરમાં ટકી રહ્યા છે. એટલે ઉત્તરાયણ જેવા તહેવારો નિમિત્તે તેમને ઘેર મેળો ભરાય છે.
પ્રણવ-મહેશભાઇ-અશ્વિનીભાઇની તસવીરની ફોટોલાઇનમાં કોઇ ભૂલ નથી. પ્રણવ અગાઉ ભળતાં નામે બે નવલકથાઓ લખી ચૂક્યો છે. એનામાં નવલકથા લખવાની સારીએવી આવડત છે. પણ અનિવાર્ય ન હોય ત્યાં સુધી ન લખવાની તેની પ્રકૃતિને લીધે એ લખતો નથી. આશા રાખીએ કે આવતી ઉત્તરાયણ પહેલાં એને ક્યાંક એવી ફરજ પડે.

Wednesday, January 14, 2009

પતંગ, કન્ના અને એ.કે.56

વર્ષોથી પતંગ ચગાવતા કે પકડતા લોકોમાં કેટલાક શબ્દો- તેના મૂળ કે અર્થની મગજમારીમાં પડ્યા વિના વર્ષોથી વપરાતા હોય છે. એવો એક શબ્દ છેઃ પતંગને બાંધવાની કન્ના. અમે એને ‘કિન્યા’ કહેતા હતા. કેટલાક ‘કિન્ના’ખોરોઃ-) એને કિન્ના કહેતા હતા. પણ આજકાલ ‘સુધરેલા’ લોકોના મોઢેથી ‘કિન્નાર’ કે ‘કન્નાર’ જેવો શબ્દ સાંભળીને કૂતુહલ થયું. એમાંથી ખબર પડી કે મૂળ સંસ્કૃત શબ્દ છેઃ કર્ણ. પેલો દાનેશ્વરી નહીં, પણ ભૂમિતિમાં આવતો હતો એ. (‘કાટકોણ ત્રિકોણના કાટકોણ સિવાયના બે ખૂણાને જોડતો રેખાખંડ’) ‘કર્ણ’ પરથી ‘કન્ન’ થયું અને એમાંથી કિન્ના, કન્યા અને હવે કિન્યાર. અ..ર..ર..ર..ર

ઉત્તરાયણનો બીજો ટ્રેન્ડ દોરાની બ્રાન્ડને લગતો છે. પહેલાં ‘સાંકરાંઠ’ (સાંકળ આઠ) અને ‘મોદી’ દોરા આવતા. ‘મોદી’ની બ્રાન્ડ ‘એમટીએમ’ (મોદી થ્રેડ મિલ)ના નામે જાણીતી હતી. તેના ટ્રેલર પર પેન્ટ પહેરેલા મરઘાનું ચિત્ર આવતું હતું. અત્યારના સંજોગોમાં એને વાઇબ્રન્ટ મરઘો કહી શકાય. બજારમાંથી દોરીનાં ‘ટેલર’ (ટ્રેલર) લાવીને પીવડાવવા આપવાનાં રહેતાં. સાવ નાનપણમાં પતરાંની લાંબી અગાસીમાં, ઘરે બનાવેલી લુગદીમાં એક છેડેથી બીજા છેડે દોરીના આંટા વીંટાળેલા હોય અને ‘કાચ વધારે પડ્યો કે ઓછો’ની ચર્ચાઓ વચ્ચે દોરી પીવડાવાતી હોય, ‘સરેશ’ જેવા ભેદી પદાર્થોનો ઉલ્લેખ આવતો હોય, આજકાલ ‘એલોવેરા’ તરીકે લોકો પર ધાક જમાવતું કુંવારપાઠું પણ લુગદીમાં વપરાય, લુગદીની વિશિષ્ટ સુગંધ..

એને બદલે હવે ‘ચેઇન એટ’ અને ‘ગેંડા’ જેવી બ્રાન્ડનાં મોટાં હોર્ડિંગ શહેરોમાં ઉત્તરાયણના દિવસો પહેલાંથી જોવા મળે છે. પ્રચારમાં એ લોકો આટલા બધા રૂપિયા ખર્ચી શકે એટલું કમાતા હશે એ જાણીને નવાઇ લાગે છે. (‘ગેંડા’ની જાહેરખબરમાં નામ ગેંડા, નીચે અંગ્રેજીમાં ‘બીઅર’ અને એક હિંસક રીંછનું ચિત્ર બતાવાય છે.) એથી પણ વધુ નવાઇ એ.કે.56 કે આરડીએક્સ જેવાં હિંસક નામો પતંગના દોરાની બ્રાન્ડ માટે છૂટથી વપરાતાં અને સ્વીકારાતાં જોઇને થાય છે. પતંગબાજીનો ભારે મહિમા ધરાવતા અફઘાનિસ્તાનમાં પતંગના દોરાની બ્રાન્ડનાં નામ આવાં હોય તે સમજ્યા, પણ ગુજરાતમાં?

વાઇબ્રન્ટ ગુજરાતી એટલે ઇંગ્લીશ?

હમણાં પૂરા થયેલા વાઇબ્રન્ટ એમઓયુ મહોત્સવ વિશે અને તેના ભક્તિભાવ વિશે જરા નિરાંતે વાત કરીશું. ફિલહાલ, વાત છે આજના ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીલેખના મથાળાની – અને એ પ્રકારના ટ્રેન્ડની. એનું મથાળું કહે છેઃ ‘ગુજરાત ઇઝ બિહેવિંગ લાઇક અ નેશન.’
એક નિતાંત ગુજરાતી તંત્રીલેખના મથાળામાં એકાદ શબ્દ નહીં, પણ આખેઆખું વાક્ય અંગ્રેજીમાં અને તે પણ કોઇ દેખીતા કારણ વગર. ફક્ત ભાવનાના ઉભરામાં? હા ભઇ હા. ભાવનાના ઉભરા આપણને અંગ્રેજીમાં આવે છે. એ બોલચાલ પૂરતા મર્યાદીત હોય ત્યાં સુધી સમજ્યા, પણ ગુજરાતી તંત્રીલેખના મથાળે, જેને સહેલાઇથી ગુજરાતીમાં વ્યક્ત કરી શકાય એમ હોય એવી લાગણી માટે અંગ્રેજી વાક્ય ફટકારી દેવા પાછળ શું તર્ક હશે? પાછી તંત્રીલેખની શરૂઆત એ જ અંગ્રેજી વાક્યના ગુજરાતીથી થાય છેઃ ગુજરાત એક દેશની જેમ વર્તી રહ્યું છે.
ગુજરાતની વાત છોડો, તંત્રીલેખના લેખકમિત્રને વિનંતી કે એ એ શાની અથવા કોની જેમ વર્તી રહ્યા છે એ વિચારે...

Tuesday, January 13, 2009

બત્રીસ કોઠે હાસ્ય અને મોક કોર્ટની પડદા પાછળની વાતો – 2


photoline 1 (L to R) : Kartikey Bhatt, Pranav Adhyaru, Ashwin Chauhan, Urvish. Photo 2 : Urvish, Pranav, Hasit Maheta, Chandrashekhar Vaidya, Biren Kothari in Gymkhana Library.
(એક સીન)
સમયઃ કાર્યક્રમની બપોરે એક વાગ્યાની આસપાસ.
સ્થળઃ એલિસબ્રીજ જિમખાનામાં આવેલી વડીલ મિત્ર ચંદ્રશેખર વૈદ્યની લાયબ્રેરી

લેપટોપની બેટરી ઉતરી ગઇ હોવાથી એ ચાર્જિંગમાં મુક્યું છે. ત્યાં બીજો પ્લગ નથી. એટલે ડિજિટલ કેમેરાના સેલ ચાર્જ કરવા માટે શેખરભાઇ બીજે ક્યાંક મુકી આવ્યા છે. હું ભાઇ બીરેનના પરિવાર સાથે બેઠો છું. પ્રણવ થોડા કલાક પછી વકીલ તરીકે પહેરવાનો કોટ ખુરશી પર ટાંગીને બેઠો છે. મહેમદાવાદથી અમદાવાદ સુધી બીરેનની ગાડીમાં આવતાં મેં કરેલો સ્ક્રીપ્ટનો ફાઇનલ ડ્રાફ્ટ પ્રણવ જુએ છે. વચ્ચે થોડી વાતચીત થતી રહે છે.
બીજા ‘વકીલ’ હસિત મહેતા ઠેઠ કીમ (સુરત)થી રતિલાલ બોરીસાગર અને પ્રકાશ ન. શાહને વહેલી સવારે લઇને નીકળેલા, એ બન્ને જણને ઘરે ઉતારીને, ગાડીમાં રહી ગયેલી બોરીસાગરસાહેબની દવાઓ આપવા માટે ફરી એક વાર એમને ઘેર જઇ આવ્યા પછી સેવામાં હાજર છે. સવારે સાત-સાડા સાત વાગે કીમથી નીકળીને, ડ્રાઇવિંગ કરીને સાડા બાર વાગ્યે અમદાવાદ પહોચેલા માણસનો હોય એવો એમનો ચહેરો છે. મોબાઇલની સીસ્ટમ અમુક જગ્યાએ સતત ટાવર શોધતી હોય, એવી રીતે એમનો ચહેરો શાંતિ અને આરામ ઝંખી રહ્યો છે. પણ એની વચ્ચે ‘મૈં હું ના’ વાળો ભાવ સંતાઇ ગયો નથી. કાર્યક્રમ સાંજે સાડા પાંચે છે ને બપોરે એક વાગ્યે એમણે અડધી અડધ ‘ટેન્ટેટીવ’ સ્ક્રીપ્ટ વાંચી નથી. નાટકના સ્પેશ્યાલિસ્ટ અને મિત્ર તરીકે ‘પ્રોફેસર’ તરીકે ઓળખાતા કાર્તિકેય ભટ્ટ હાજર છે. આખી સ્ક્રીપ્ટની પ્રિન્ટ અને તેની નકલો કઢાવવા માટે મિત્ર પત્રકાર કેતન રૂપેરાની કુમક માગવામાં આવે છે. કેતન આવી પહોંચે છે અને પેનડ્રાઇવમાં ફાઇલ લઇને રવાના થાય છે. રસ્તામાં નડિયાદથી સાથે લીધેલા કુટુંબને ભોજનભેળું કરીને હસિત કહે છે,’હું અડધો કલાક ગાડીમાં આડો પડી લઉં.’

બકુલ ટેલર ગુજરાત એક્સપ્રેસમાં છે. રાત્રે એમના પેટમાં તોફાન ફાટી નીકળ્યું હતું. 'ગોળી’બાર જેવાં આકરાં પગલાંથી તેને દાબીને તે નીકળી ચૂક્યા છે. ટ્રેનમાં સિગ્નલની અવરજવર થાય છે. એટલે એ હોલ પર પહોંચે પછી જ તેમની સાથે વાત કરવી, એવું નક્કી થાય છે. બકુલભાઇએ સ્ક્રીપ્ટનાં દર્શન સુદ્ધાં કર્યાં નથી. એનો કોઇ ઉચાટ પણ નથી. એવામાં એક સાક્ષી, પત્રકારત્વના અધ્યાપક અશ્વિન ચૌહાણ આવે છે. ‘અરે, આવો આવો’ના ઉત્સાહભર્યા પોકારથી તેમનું સ્વાગત થાય છે અને પ્રણવ એમને એક બાજુ પર બેસાડીને સ્ક્રીપ્ટ પકડાવી દે છે. એમનો ભાગ અમને સૌથી ફૂલપ્રૂફ લાગે છે. કારણ કે તેમાં સ્યુડો-કવિતાની પંક્તિઓ તૈયાર છે.
પંક્તિઓ લલકારવાની પ્રેક્ટિસ ચાલે છે, એવામાં એ દિવસે સવારે મુંબઇથી સજોડે આવેલા દીપક સોલિયા અત્યારે એકલા દાખલ થાય છે. ફરી હર્ષનાદો. પ્રણવ તેમની સાથે થોડી ચર્ચા કરવાનો પ્રયાસ કરે છે. એક સાક્ષી અને ઇતિહાસનાં અધ્યાપક ફાલ્ગુની પુરોહિતનો ફોન આવે છે. તેમને શારીરિક સમસ્યા છે. એટલે આવી શકાય એમ નથી. આગલા દિવસે હર્ષલે કહ્યું હતું કે તેને બહાર જવાનું હોવાથી આવી શકશે નહીં. પ્રશાંત તેની સ્ટાઇલ પ્રમાણે કંઇ પણ કહ્યા-કારવ્યા વિના ગુમ છે. એટલે આપણે ધારી લેવાનું રહે છે કે એ નહીં આવે. અને હવે ફાલ્ગુની. એમનું કારણ સૌથી નક્કર છે. દુરાગ્રહનો સવાલ નથી. છતાં એ પોતાની જાતને આશ્વાસન આપતાં હોય એમ કહે છે,’હજુ હું સાડા ત્રણે તમને ફાઇનલ કહીશ.’

એક વાર પ્રિન્ટ કઢાવીને તેની નકલો લઇને કેતન આવે છે. તેની પર અશ્વિનભાઇને સાક્ષીઓના ક્રમ લખવાનું કામ સોંપવામાં આવે છે. પ્રણવ એક બંચ હાથમાં લઇને જુએ છે. પછી પૂછે છે,’આમાં સલિલભાઇનું ક્યાં છે? પૂર્વી ક્યાં છે? પ્રકાશભાઇ નથી.’ હું જોઉં છું અને થાય છેઃ ‘ગાડીમાં અનેક ફાઇલમાંથી એક ફાઇલ કરવામાં કેટલાકનું રહી ગયું છે. હવે?’ ઘડિયાળના કાંટા ત્રણની નજીક છે. હું કમ્પ્યુટર પર બેસી જાઉં છું. ઉતાવળે બાકી રહી ગયેલી સ્ક્રીપ્ટો ગોઠવું છું. એક ફાઇલ તૈયાર થાય છે. પુનરપિ કેતન રૂપેરા. પુનરપિ પેન ડ્રાઇવ. મિત્ર અને કસ્ટમ-એક્સાઇઝ ઇન્સ્પેક્ટર બીરેન મહેતા દાખલ થાય છે. એ રતિલાલ બોરીસાગરને હોલ પર ઉતારીને આવ્યો છે. અગાઉ ફાલ્ગુની પ્રકાશભાઇને લઇને આવવાનાં હતાં. હવે બીરેનને પ્રકાશભાઇનો હવાલો સોંપવામાં આવે છે.

દરમિયાન સલિલ દલાલના બે ફોન આવી ચૂક્યા છે. એક રસ્તામાંથી અને બીજો અમદાવાદમાં પ્રવેશ્યા પછી. હવે ત્રીજો ફોન હોલ પરથી આવે છે. બકુલ ટેલર પણ હોલ પર પહોંચ્યા છે. ‘બસ તમે ત્યાં જ રહો. અમે આવ્યા.’ આદર્યાં અધૂરાં રાખીને અમે હોલ પર પહોંચીએ છી્એ. ત્યાં કેતન રૂપેરાનો ફોન આવે છે. ‘પેન ડ્રાઇવમાં વાઇરસ છે. આ ભાઇ પ્રિન્ટ કાઢવાની ના પાડે છે.’ હું એ ભાઇ સાથે વાત કરું છું. સમજાવું છું કે જે સંદેશો આવે છે તે વાઇરસનો નહીં, પણ ‘વાઇરસ ડીલીટેડ’નો છે. અડધા કલાક પહેલાં એ જ પેનડ્રાઇવમાંથી પ્રિન્ટ કાઢનાર ભાઇ આ વખતે સ્પષ્ટ શબ્દોમાં ના પાડીને કહે છે,’પેનડ્રાઇવ ના નંખાય. સર્વરમાં લોચો પડે.‘ કેતન કહે છે, ‘ચિંતા ન કરો. હું બીજેથી પ્રિન્ટ કઢાવીને પહોંચું છું.’

અમે હોલ પર પહોંચીએ છીએ. કાર્તિકેય ભટ્ટે સેટ ગોઠવવાનો હવાલો સંભાળી લીધો છે. મુંબઇથી ખાસ આવેલો મિત્ર અને એક સમયે વર્લ્ડસ્પેસ રેડિયોની ગુજરાતી ચેનલ પર અનોખા મૌલિક કાર્યક્રમ આપનારો આર.જે. અજિંક્ય સંપટ પૂછતો નથી કે ‘કંઇ કામકાજ હોય તો કહેજો.’ એ બેનર લગાડવાના વહીવટમાં લાગી ગયો છે. હોલની બહાર પૂરા થયેલા પ્રોગ્રામનું ટાઇવાળાઓ અને વાળીઓનું ટોળું ઉભેલું છે. એટલે શરૂઆતમાં આવનારા મૂંઝાય છે. રતિલાલ બોરીસાગર હોલ પર આવી ગયા છે. ધીમે ધીમે બીજા લોકો આવે છે. પછી એક પછી એક વડીલો આવે છે. મિત્ર ઉષ્મા શાહ વિનોદભાઇ (ભટ્ટ)ને લઇને આવે છે. પૂર્વી –તેજસ (ગજ્જર) તારકભાઇ-ઇન્દુકાકી સાથે આવે છે. પ્રકાશભાઇ પહોંચે છે. અશ્વિનીભાઇની સગી ભાણીનું એ દિવસે લગ્ન છે. એટલે નીતીભાભીથી અવાય એમ નથી. પણ અશ્વિનીભાઇ સમયસર આવી પહોંચે છે.

સ્ટેજ પર ગોઠવેલા એક ટેબલ પર હસિત મહેતા એમના કેટલાક સાક્ષીઓ- સલિલભાઇ, બકુલ ટેલરને સ્ક્રીપ્ટનાં દર્શન કરાવી રહ્યા છે. લગે હાથ થોડી વાતચીત પણ. બીજી વાર પ્રિન્ટ કઢાવીને આવી ગયેલા કેતન રૂપેરા બંચ અલગ કરી રહ્યા છે, પણ સ્ટેપલર? પ્રણવ ભેદી રીતે તેની બેગમાંથી ટચૂકડું સ્ટેપલર કાઢે છે. હોલ ધીમે ધીમે ભરાઇ રહ્યો છે. એટલે મને થાય છે કે હવે તૈયારીમાંથી ધ્યાન હટાવીને થોડી વાર બધાને મળું. એટલે પંદર-વીસ મિનીટમાં હું ઓડિયન્સમાં બેસતા મિત્રો –વડીલોને મળી શકું છું અને ઓડિયન્સમાં અનેક પ્રિયજનોની હાજરીથી સંતુષ્ટ હૃદયે, આખા ભરાયેલા હોલના સુખદ દૃશ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થાય છે.

ફિરકીઃ પતંગબાજીની વણઉકલી સમસ્યા

‘નેસેસીટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન’ એવી કહેણી ભારતમાં બહુ લાગુ પડતી નથી. નવું શોધવાનો ઉત્સાહ લોકોને બહુ ચડતો નથી ને ચડે એને ખાસ પ્રોત્સાહન મળતું નથી. એટલે, માથાકૂટીયા સમસ્યાના મૌલિક અને વ્યવહારુ ઉકેલો ખાસ જોવા મળતા નથી.

વાત ઉત્તરાયણની અને ફિરકીની છે. પતંગ ચગાવવા માટે વપરાતાં દોરી અને ફિરકી સ્વતંત્ર હાસ્યલેખનો વિષય છે. (અત્યાર સુધી ઘણા લખી પણ ચૂક્યા છે.) સામાન્ય રીતે હળવાશમાં લેવાતી ફિરકીની સમસ્યા ખરેખર ગંભીર હોય છે. ઘરમાં કોઇ ફિરકી પકડનાર ન હોય ત્યારે એક હાથમાં ફિરકી પકડીને બીજા હાથે પતંગ ચગાવનારની લાચારીની દયા ખાવી, કૌશલ્યની દાદ દેવી કે ‘ગમે તે થાય, પણ હું તો પતંગ ચગાવીશ’ એવા સ્પિરિટને બિરદાવવો, એનો આધાર જોનારની દૃષ્ટિ પર છે. પણ દૃષ્ટિ ગમે તે હોય, પેલા એક-બાહુ-ફિરકીધર પાસે વિકલ્પ હોય તો તે અવશ્ય ફિરકી ‘સલામત હાથોમાં’ આપવાનું પસંદ કરે. ‘આજનો ફિરકી પકડવાવાળ આવતી કાલનો પતંગ ચગાવવાવાળો છે’ એવાં સૂત્રો પહેલાં અમે પતંગ પર લખતા હતા, પણ એવાં સૂત્રોનો મૂળ આશય ફિરકી પકડનારને આશા આપવાનો અને ‘કોઇ કામ નાનું નથી’નો સંદેશ બુલંદ કરવાનો હોય છે. તેમને એવું પણ સમજાવવામાં આવે છે કે પતંગના પેચનો બહુ મોટો આધાર ફિરકી પકડનાર પર છે. પતંગ ચગાવનાર ડફોળ હોય તો પણ ફિરકીવાળો ધારે તો પેચમાં હરાવી કે જીતાડી શકે. (એક આડવાતઃ મરાઠી ભાષામાં સ્પિન બોલિંગ માટે ‘ફિરકી ગોલંદાજી’ જેવો શબ્દ છે.)

ફિરકીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક ઉત્સાહી પાડોશીએ લાકડાનું ફિરકી-સ્ટેન્ડ બનાવ્યું હતું. એ દેખાવમાં સરસ હતું, પણ કાર્યક્ષમતાના પ્રશ્નો હતા. ફિરકીનો એક દાંડો ઉપસેલા છાપરામાં ખોસીને પણ પતંગ ચગાવેલી છે. છતાં, દરેક પદ્ધતિમાં બાર સાંધતાં તેર તૂટે (કે ગૂંચવાય) એવું જ બનતું. કોઇ મિત્ર આ સમસ્યાના શોધાઇ ચૂકેલા કે શોધાઇ શકે એવા ઉપાયો કે એ વિશેના પોતાના સફળ-નિષ્ફળ પ્રયોગો અંગે પ્રકાશ પાડશે તો આનંદ થશે.

બત્રીસ કોઠે હાસ્ય અને મોક કોર્ટની પડદા પાછળની વાતો - 1

‘યે શાદી નહીં હો સકતી’ (પાછળ ‘ઢેનટેણેન’ જેવું ધમાકેદાર મ્યુઝિક)- એ ડાયલોગ હિંદી ફિલ્મોના સૌથી જાણીતા સંવાદોમાંનો એક છે. એ ચવાઇ ગયેલો ડાયલોગ ‘મોક કોર્ટ’ના આયોજન પહેલાં અમને પણ સાંભળવા મળ્યો- અલબત્ત, ‘ઢેનટેણેન’ને બદલે અમારે ‘ભાઇકાકા હોલ’ના મુખ્ય વહીવટકર્તા યાદવભાઇની કારણ વગરની કરડાકીથી ચલાવી લેવું પડ્યું.

બન્યું એવું કે ભાઇકાકા હોલનું બુકિંગ કરાવતી વખતે ભાઇ બિનીતે વિગતે પૂછપરછ કરી હતી. પોલીસ પરમિશન વિશે પણ પૂછ્યું હતું. એ વખતે હાજર ભાઇએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પોલીસ પરમિશનની જરૂર નથી. કાર્યક્રમના એક અઠવાડિયા પહેલાં અમે બન્ને હોલ પર આમંત્રણ કાર્ડ આપવા અને હોલ પર એક નજર નાખી આવવા માટે પહોંચ્યા, ત્યારે ત્યાં બેઠેલા યાદવભાઇ સાથે થોડી વાતચીત થઇ. એમનો અંદાજ એવો હતો જાણે ‘ક્યાંથી હાલ્યા આવો છો.’ અમે કોઇક ‘ઇનડીસન્ટ પ્રપોઝલ’ સાથે આવ્યા હોઇએ એવી રીતે વાતચીતની શરૂઆત થઇ. અરજદારની મુદ્રામાં ઊભા રહેવાનું. કોઇ બેસવાનું પણ કહે નહીં. ઊંચા સૂરમાં પૂછાયેલા સવાલોના જવાબ આપવાના. આ બધું એટલા માટે કે આપણે હોલ નોંધાવવાનો ફોજદારી ગુનો કર્યો છે.

ગ્રાહકોના અધિકાર બાબતે અત્યંત ઉત્સાહી બિનીતને તેમની સાથે તત્કાળ ‘ઠેરી ગઇ’. આમંત્રણ કાર્ડ વાંચીને યાદવભાઇએ કહ્યું,’આવો પ્રોગ્રામ અહીં થઇ શકે નહીં. તમે તો કહ્યું હતું કે આ પુસ્તકનો કાર્યક્રમ છે ને આ તો હાસ્યનો કાર્યક્રમ છે. એમાં તો પોલીસ પરમિશન જોઇએ.’ આ બધી માહિતી એટલા ડેસિબલમાં અપાતી હતી કે કાર્યક્રમનાં કાર્ડ ન વહેંચાઇ ગયાં હોત તો એક વાર એવો પણ વિચાર આવી જાત કે ‘મારો ગોળી કાર્યક્રમને, જો આવા જ માણસો જોડે કામ પાડવાનું હોય તો.’ પણ મને નજર સામે કાર્ડ દેખાતાં હતાં. મેં એમને પૂછ્યું,’તમારો પ્રોબ્લેમ શું છે? કાર્યક્રમ નહીં થાય એવું હવે પછી કહેશો નહીં. તમારે પોલીસ પરમિશન જોઇએ છે? તો મળી જશે.’

આવી ફાલતુ બાબતમાં અડધો-પોણો કલાક વાગ્યુદ્ધ કરવાનું થાય તેનો કેવો ત્રાસ પડે. એ પડ્યો. પછી હોલ જોવાની વાત થઇ એટલે એ ભાઇ અમને લઇને હોલમાં આવ્યા અને એમનું ભેદી લોજિક સમજાવ્યું, જે ભાઇકાકા હોલ સાથે કોઇ પણ રીતે સંકળાયેલા સૌ કોઇના લાભાર્થે હું રજૂ કરું છું. યાદવભાઇ ખાલી હોલની એક સીટ પર બેઠા અને અભિનય સાથે સમજાવ્યું કે હાસ્યના કાર્યક્રમમાં લોકોનું ધ્યાન હસવામાં હોય. એ વખતે કોઇ સીટ નીચે બોમ્બ મુકીને ચાલતું થાય (અભિનય) અને લોકો હસતા હોય (અભિનય) તો કોઇને ખ્યાલ આવે નહીં. પણ સાદો ચોપડીનો કાર્યક્રમ હોય ને ભાષણો ચાલતાં હોય ત્યારે લોકો સીટ પર આમથી તેમ થતા હોય (અભિનય). એટલે એમાં કોઇ સીટ નીચે બોમ્બ મુકે (અભિનય) તો ખબર પડી જાય. એટલે હાસ્યના કાર્યક્રમમાં પોલીસ પરમિશન જોઇએ.

એ વખતે હાસ્યનું લખવા બદલ હું લગભગ અપરાધભાવ અનુભવવાની તૈયારીમાં હતો. પણ એ વખતે વ્યવસ્થાભાવ સિવાય બીજા કોઇ ભાવ માટે જગ્યા ન હતી. એટલે હોલની બહાર નીકળીને પોલીસ પરમિશનની તૈયારીમાં પડી ગયા. મિત્ર અને ‘અભિયાન’ના સજ્જ પત્રકાર લાલજી ચાવડાએ જવાબદારીપૂર્વક, ધક્કા ખાઇને પરમિશનની વિધી પૂરી કરી. પણ ‘ભાઇકાકા’ હોલના યાદવભાઇની, સરેરાશ ભારતીય સંસ્થાઓના સ્ટાફની વર્તણૂંક જેવા વ્યવહારે કંઇ પણ કરતાં પહેલાં કડવો સ્વાદ છોડી દીધો. આવી સંસ્થાઓમાં કાઉન્ટર પર બેઠેલા લોકોના સુખદ અનુભવ ઓછા અને કડવા અનુભવો વધારે હોય છે. કહીએ કે ‘અહીં ઉપરી કોણ છે?’ એટલે આવા લોકો ઊંચા સ્વરને વધુ ઊંચો કરીને કહેતા હોય છે,’બોલો ને તમે. શું કામ છે? હું જ છું.’ અથવા ‘તમારે જેને કહેવું હોય તેને કહો. કશો ફરક નહીં પડે.’

કેવી રીતે કશો ફરક નહીં પડે? સીધી તરકીબ છે. સાહેબ સમક્ષ આખી સમસ્યાને જુદા સ્વરૂપે રજૂ કરવાની. જેમ કે, ‘સાહેબ, આ લોકો અત્યાર સુધી પોલીસ પરમિશન લાવ્યા નથી. વચ્ચે રજાઓ આવે છે ને સાહેબ પરમિશન ન આવે તો તકલીફ પડે’ વગેરે...

કોણ કહે છે, અસહકારના આંદોલનનો મિજાજ ગાંધી સાથે મરી પરવાર્યો છે?

Thursday, January 08, 2009

100 અને 6

Pranlal Patel with Aastha Kothari
શતાયુ તસવીરકાર પ્રાણલાલ પટેલની સત્તાવાર વર્ષગાંઠ અને મારી દીકરી આસ્થાની વર્ષગાંઠ એક જ દિવસે છેઃ ૧ જાન્યુઆરી.
દર વર્ષે આસ્થાની વર્ષગાંઠે હું થોડા કલાક એની સાથે ગાળું છું. પ્રાણીસંગ્રહાલયમાં કે બગીચામાં તેની સાથે જવાનું, રમવાનું...આ વર્ષે નક્કી કર્યું કે તેને લઇને મારા સૌથી વડીલ મિત્ર, ‘દાદા’ (પ્રાણલાલ પટેલ)ને ઘેર જવું. કારણ કે તેમને ૧૦૦મું વર્ષ બેસવાનું હતું ને આસ્થાને ૬ પૂરાં થયાં
બોક્સ કેમેરા અને ડિજિટલ કેમેરા જેવો તફાવત ધરાવતી આ બે પેઢીને એક ફ્રેમમાં લઇ લેવાના અને એક અંગત યાદગીરી સર્જવાના આ પ્રસંગની તસવીર.

સાહિત્ય પરિષદનો નવીન ‘માર્શલ લૉ’




photoline : 1) Ratan (RM) - Narayan Desai 2) RM- N. Desai- Raghuvir chaudhari- Dhirubhai Parikh (behind Raghuvirbhai) 3) Yezadi Karanjia with RM 4) Ratan Marshal's 'Best Friend' : pet 'Simba' 5) Dhiruben Patel with RM 6) Prakash N. Shah speaking

ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ લખનાર, ગુજરાતી વિષયમાં પીએચ.ડી. કરનાર પહેલા પારસી (કદાચ પહેલા ગુજરાતી) રતન માર્શલ સદીના ઊંબરે ઊભા છે. તેમણે લખેલો પત્રકારત્વનો ઇતિહાસ પત્રકારત્વની નિશાળોમાં ટેક્સ્ટ બુક તરીકે ચાલતો હોવાથી માર્શલસાહેબ ઘણા લોકો માટે દંતકથાના પાત્ર જેવા છે. આ અભ્યાસ પછી જો કે માર્શલસાહેબની મુખ્ય કામગીરી પારસી પંચાયતની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં રહી છે. પત્રકારત્વ અને સાહિત્ય સાથેનો તેમનો સંબંધ ઝાંખોપાંખો રહ્યો છે ને એમણે એ વિશે કદી દાવા પણ કર્યા નથી. ટેકનોલોજીના ફાયદા ધરાવતાં વર્તમાન અખબારો-સામયિકો વિશે માર્શલસાહેબની મુગ્ધતા નવાઇ પમાડે એવી લાગે. ‘કથારતન’ શીર્ષક ધરાવતી આત્મકથામાં તેમણે જે કહેવાનું હતું એ કહી દીઘું છે. તેમની પાસે સ્મૃતિઓનું અક્ષયપાત્ર નથી. પારસી નાટકો સાથે તેમનો ગાઢ સંબંધ રહ્યો છે. સાહિત્યના ક્ષેત્રે તેમનું પ્રદાન ઝાઝું નથી. છતાં, માર્શલસાહેબનો પત્રકારત્વનો ઇતિહાસ, માણસ તરીકે તેમની સરળતા-પ્રેમભાવ અને સદી નજીકની ઊંમર- આ બઘું ઘ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્ય પરિષદને, પ્રમુખ નારાયણ દેસાઇના સૂચનથી માર્શલસાહેબનું સન્માન કર્યું.
વર્ષો સુધી સુરતમાં રહેલા માર્શલસાહેબ થોડાં વર્ષો પહેલાં પડી ગયા પછી હવે અમદાવાદમાં તેમના પુત્ર, હાઇકોર્ટના એડવોકેટ રૂસ્તમ માર્શલના બંગલે સુખેથી રહે છે. (એડવોકેટ રૂસ્તમભાઇનું આખું નામઃ રૂસ્તમ રતન રૂસ્તમ માર્શલ!) ત્યાંના શ્વાન ‘સિમ્બા’ને માર્શલસાહેબ પોતાનો ‘બેસ્ટ ફ્રેન્ડ’ ગણાવે છે. તેમની અશક્તિગ્રસ્ત અવસ્થાને લીધે પરિષદે માર્શલસાહેબને બહાર બોલાવવાને બદલે, પોતે એમને ઘેર જઇને સન્માન આપવાનું નક્કી કર્યું. પરિષદને આવું સૂઝે તેનાથી આનંદ અને નવાઇ બન્નેની લાગણી થાય.
રવિવાર (૪-૧-૦૯)ની સાંજે માર્શલસાહેબના બંગલે યોજાયેલા નાનકડા સમારંભમાં પરિષદપ્રમુખ નારાયણ દેસાઇ, પ્રકાશ ન.શાહ, રધુવીર ચૌધરી, ધીરૂબહેન પટેલ, ‘કુમાર’ના તંત્રી ધીરૂભાઇ પરીખ, યેઝદી કરંજિયા સજોડે(સુરત), રજનીકુમાર પંડ્યા, મનસુખ સલ્લા, વિપુલ કલ્યાણી જેવા સાહિત્યકારો હાજર રહ્યા. મિત્ર બિનીત મોદી તો હોય જ. એને તો માર્શલસાહેબે પોતે ભૂલી ગયા હોય એવા કેટલાક લોકોને આમંત્રણ આપવાનો ‘પાવર ઓફ એટર્ની’ આપ્યો હતો.
પરિષદ કોઇને ઘેર જઇને સન્માન આપે, એવા ઐતિહાસિક પ્રસંગની બિનીતે પાડેલી કેટલીક તસવીરો અહીં મુકી છે. તસવીરો પર ક્લિક કરવાથી તે મોટી સાઇઝમાં જોવા મળશે.
(તમામ તસવીરોઃ બિનીત મોદી)

Wednesday, January 07, 2009

સ્મશાનમાં વસંત?

ઘણા સમયથી જતાં ને આવતાં આ પાટિયું વાંચીને મનમાં હસવું આવતું હતું. જમાલપુર નજીક સપ્તર્ષિ સ્મશાન પર તકતી મારેલી છેઃ ‘દિવ્ય ભાસ્કર દ્વારા નવપલ્લવિત’.

ઉજ્જડ થઇ ગયેલા બાગમાં નવાં ફૂલ આવે તો એ નવપલ્લવિત થયો ગણાય. એકલવાયા વૃદ્ધનું જીવન બાળકો આવે ત્યારે નવપલ્લવિત થઇ ઉઠે. એ ન્યાયે સ્મશાન ક્યારે ‘નવપલ્લવિત’ થયું ગણાય? ત્યાં રોજેરોજ અનેક ચિતાઓ ભભૂકતી રહે ત્યારે...

દિવ્ય ભાસ્કરે પોતાના આરંભિક આક્રમક માર્કેટિંગના ભાગરૂપે ઘણાં ‘સામાજિક’ કાર્યો કર્યાં (જેમ કે, ડાકોર જતા પદયાત્રીઓ માટે જય રણછોડ લખેલાં પેમ્ફ્લેટ છપાવ્યાં કે અમદાવાદના વૃદ્ધો માટે દેવદર્શનની ટુર ગોઠવી) તેમાંનું એક સપ્તર્ષિ સ્મશાનના પુનરોદ્ધારનું હતું. એટલે આ સ્મશાન ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા નવનિર્મિત કે નવસર્જિત કે પુનર્નિર્મિત થયું કહી શકાય. પરંતુ નવપલ્લવિત?

લોકો ગમે તે કહે, પણ ‘ભાસ્કર’ બીજાં કોઇ પણ ગુજરાતી છાપાં જેવું જ ખરાબ (કે સારૂં?) આવે છે. એટલે એ છાપું વાંચનારાથી સ્મશાન નવપલ્લવિત થઇ ગયું હશે, એમ કહેવું ‘ભાસ્કર’ને અન્યાયકર્તા ગણાય. પણ આડેધડ ફેંકાયેલા શબ્દો રોજ જોઇને મનમાં કુવિચારો આવે છે.

જૂનાં સામયિકની જાદુઇ સૃષ્ટિ અને બીજી વાતો



(photolone 1: Mahendra Meghani (in topi), Narayan Desai, Hasit Maheta 2) L to R : Jaydev Shukla, Dipak Maheta 3) Narayan Desai (speaking), Raman Soni 4) All the guests proceeding towards seminar hall 5) Mahendra Meghani 6) Raghuvir Chaudhary : a 'rear' portrait
જ્યારે પણ જૂનાં સામયિકો જોવાનાં થાય છે- અધ્યાપકીય શૈલીમાં કહું તો, ‘જૂનાં સામયિકોમાંથી પસાર થવાનું બને છે’- ત્યારે ભારે રોમાંચ અને ઝીણા અફસોસની લાગણી થાય છે. જૂની ફિલ્મો અને જૂની જાહેરખબરોથી માંડીને મુદ્દે નોસ્ટાલ્જિયામાં તીવ્ર રસ હોવાને કારણે, જૂનાં સામયિકો જોતી વખતે મારી મનોદશા ગુફામાં પ્રવેશેલા અલાદ્દીન જેવી કે ચોતરફ સોનું ધરાવતી જગ્યાએ આવી પહોંચેલા ‘મેકેનાઝ ગોલ્ડ’ જેવી ફિલ્મના ચરિત્ર જેવી થાય છે. ખજાનાથી ઘેરાયેલા હોવાનો રોમાંચ અને તેમાં ડૂબેલા રહેવાનું મળતું નથી એનો ઝીણો અફસોસ.
જૂનાં સામયિકો પ્રત્યેના આવા ખેંચાણને કારણે પરમ દિવસે (5 જાન્યુઆરી, 2009) નડિયાદમાં એક સેમિનાર સાંભળવા ગયો હતો. નડિયાદના પરમ મિત્ર, પ્રિન્સિપાલ – અને મોક કોર્ટમાં પ્રોસીક્યુશનના એક વકીલ- હસિત મહેતાએ તેમની મહિલા આર્ટસ કોલેજમાં આ સેમિનાર યોજ્યો હતો. તેમાં ગુજરાતી સાહિત્યના સુધારક યુગથી આધુનિક યુગ સુધીનાં સાહિત્યિક સામયિકો વિશે વક્તાઓ વાત કરવાના હતા. વક્તાઓની યાદી ધોરણસરની હતી.. સેમિનારનો ઉઘાડ નારાયણ દેસાઇ કરવાના હતા અને અંત મહેન્દ્ર મેઘાણી-રઘુવીર ચૌધરીનાં વક્તવ્યોથી થવાનો હતો. અભ્યાસ-પ્રવચનોમાં ‘પ્રત્યક્ષ’ના તંત્રી રમણ સોની, ‘સમીપે’ના એક સંપાદક અને સાવલી કોલેજના જયદેવ શુક્લ, મુંબઇથી દીપક મહેતા, હસિત પોતે- આ લોકો વાત કરવાના હતા.
સવારે નવ વાગ્યાથી સાંજના સાડ પાંચ વાગ્યા સુધી આ સેમિનારમાં નિરાંતે બેઠો, મહેન્દ્ર મેઘાણી, નારાયણ દેસાઇની કેટલીક સરસ તસવીરો લીધી, મારા (જ્યોતીન્દ્ર દવે વિશે સંશોધનના) સ્વાર્થની બે વાતો જાણી. 85 વર્ષના મહેન્દ્ર મેઘાણી અને 84 વર્ષના નારાયણ દેસાઇની તાજગી અને તરવરાટ માણ્યાં.
મહેન્દ્રભાઇની નમ્રતા બીજા અનેક ગાંધીવાદીઓ જેવી કૃત્રિમ ન લાગતાં, અંતરમાંથી સ્ફુરતી લાગે. તેમના પત્રોમાં લિખિતંગ ‘સેવક મહેન્દ્ર મેઘાણી’ લખે છે, તે સેવકભાવ તેમણે આત્મસાત્ કર્યો હોય એવું તેમના વર્તનમાંથી, તેમની બોડી લેન્ગ્વેજમાંથી સતત લાગે. સંસ્થામાં આવ્યા પછી એ થોડી લટાર મારવા નીકળે, સામાન્ય કર્મચારીઓ સાથે વાત કરવા ઊભા રહે, ‘સંસ્થામાં કેટલા વિદ્યાર્થીઓ છે?’ એવી બધી પૂછપરછ કરે, પરિસંવાદ પૂરો થયા પછી વિદ્યાર્થીઓ ઓટોગ્રાફ લેવા આવે ત્યારે સાફ ભાષામાં, હાથ જોડીને ટાળી જાય અથવા બાજુમાં ઉભેલા રઘુવીર તરફ આંગળી ચીંધીને, કટાક્ષના કોઇ પણ ભાવ વિના કહેઃ ‘રઘુવીરભાઇ પાસે જાવ. એ આપશે.’
સાંજે સીધા અમદાવાદ જવાનું હોવાથી હું મહેન્દ્રભાઇ-રઘુવીરભાઇ-રમણ સોની- કિન્નરી ભટ્ટ (ગાંધી આશ્રમમાં ડોક્યુમેન્ટેશનના કામ સાથે સંકળાયેલાં) સાથે જોડાયો. રસ્તામાં મહેન્દ્રભાઇ સાથે થોડી સટરપટર વાતો કરી. મને યાદ છે, બાર-તેર વર્ષ પહેલાં ‘નવજીવન’માં હું એમને મળવા ગયો ત્યારે એ ફોટો પાડવા દેવા માટે રાજી ન હતા. હવે એ થોડા ‘સુધર્યા’ છે.
મહેન્દ્રભાઇ અમેરિકા જાય ત્યારે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ વાંચીને તેમાંથી મારા કે સંજય ભાવે જેવા બીજા થોડા લોકો માટે અમારા દાવનાં હોય એવાં કટિંગ મોકલતા રહે છે.’ન્યૂયોર્ક ટાઇમ્સ સિવાય બીજું કોઇ છાપું વાંચો?’ એવું પૂછતાં એમણે કહ્યું,’ના, પણ ન્યુયોર્ક ટાઇમ્સનું સવારે એક કલાક સુધી સેવન કરું.’ ભારતમાં તે વર્ષો સુધી ફક્ત ‘સ્ટેટ્સમેન’ લવાજમ ભરીને મંગાવતા હતા, પણ હવે એમણે એનું ધોરણ પણ પહેલાં જેવું ન જળવાતાં બંધ કર્યું છે. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં મહેન્દ્રભાઇ બીજાં લખાણ ઉપરાંત ‘વર્લ્ડ ઇઝ ફ્લેટ’વાળા થોમસ ફ્રીડમેનની કોલમના પ્રેમી છે. સમારંભોમાં એ પોતે પોતાનું પ્રવચન કરતા નથી. અગાઉ પ્રગટ થયેલાં લખાણમાંથી ચૂંટેલાં લખાણ કે અનુવાદ વાંચે છે.
અધ્યાપક આલમમાં સામાન્ય રીતે એવો રિવાજ હોય છે કે પરિસંવાદમાં પોતાનું વક્તવ્ય હોય એ સમય તાકીને જવાનું અને વક્તવ્ય ફેંકીને સડસડાટ નીકળી જવાનું. પણ અહીં નારાયણભાઇનું વક્તવ્ય પહેલું હોવા છતાં એ લગભગ છેવટ સુધી બેઠા અને મહેન્દ્રભાઇ-રઘુવીર ચૌધરીનાં વક્તવ્ય સાવ છેલ્લાં હોવા છતાં એ સવારના નવ વાગ્યાથી હાજર થઇ ગયા. સાથે કોલેજના ટ્રસ્ટી અને હસિતના સ્નેહી, પ્રામાણિક અને કાર્યક્ષમ અમલદાર તરીકે જાણીતા, એંસી આસપાસના કુલીનકાકા (કુલીનચંદ્ર યાજ્ઞિક) પણ હતા.
રમણભાઇ સોનીએ એક-બે મઝાના કિસ્સા યાદ કર્યા હતા. યશવંત શુક્લ ‘પરબ’ના તંત્રી અને જયંત કોઠારી સહતંત્રી હતા ત્યારે એક પ્રતિષ્ઠિત લેખકની નબળી કૃતિ આવી અને જયંતભાઇની જાણબહાર છપાઇ ગઇ. જયંતભાઇએ વાંધો પાડ્યો, ત્યારે યશવંતભાઇ કહે, ‘મોટા લેખકોની પ્રતિષ્ઠાનો વિચાર એમણે જ કરવાનો હોય.’ જયંતભાઇએ તરત પૂછ્યું ‘પણ સંપાદકની પ્રતિષ્ઠાનું શું?’
સુરેશ જોષી ‘ક્ષિતિજ’ કરતા હતા, ત્યારે આદિલ મન્સુરીએ તેમને એક પત્ર લખ્યો હતો. તેની પર ‘આદિલશાઇ’ શૈલીમાં લખ્યું હતું- સુરેશ જોષી, સંપાદક, લેખક, વાચક, ‘ક્ષિતિજ’.
મુંબઇના અભ્યાસી દીપક મહેતાએ ઓગણીસમી સદીના પૂર્વાર્ધનાં કેટલાંક સામયિકોનો નામોલ્લેખ કરીને કહ્યું કે આ સામયિકોનાં ફક્ત નામ મળ્યાં છે. સદેહે તેનાં દર્શન થયાં નથી. કોઇને પણ તેનો અતોપતો મળે તો એ આ બ્લોગ પર જાણ કરી શકે છે. એ સામયિકોનાં નામઃ વિદ્યાસાગર, ખોજદોસ્ત, જ્ઞાનપ્રસારક, જ્ઞાનદીપક, બુદ્ધિવર્ધક, સ્ત્રીબોધ, પારસી પંચ, સત્યદીપિકા. આ તમામ 1840 થી 1860 વચ્ચેનાં છે.
મિત્ર હસિતે રમણલાલ નીલકંઠના સામયિક ‘જ્ઞાનસુધા’ વિશેની વાતમાં ભદ્રંભદ્ર વિશે જે કહ્યું તેની અલગથી પોસ્ટ લખવા ધારું છું.

ભદ્રંભદ્ર અને ‘પોસ્ટ’? શિવ. શિવ. શિવ. આર્યધર્મની નીતિરીતિગીતિપ્રીતિ...ના ઉપાસકના કર્તૃત્વ માટે આંગ્લભાષાનો પ્રયોગ? ભદ્રંભદ્ર આ વાંચે તો એમણે સ્નાન કરવું પડે. હસિત મહેતા એમને કોઇ શાસ્ત્રનો હવાલો આપીને સ્નાનમાર્ગેથી પાછા વાળે એ જુદી વાત થઇ.

Friday, January 02, 2009

મહેન્દ્ર મેઘાણી તરફથી સપ્રેમ

‘બત્રીસ કોઠે હાસ્ય’ના પ્રકાશન પ્રસંગે યોજાયેલી હાસ્યઅદાલતમાં ફક્ત મંચ ઉપર જ નહીં, મંચની સામે પણ એવાં સન્માનનીય વ્યક્તિત્વો બેઠેલાં જોવા મળ્યાં હતાં કે તેમને જોઇને આનંદ અને અમુક જણના કિસ્સામાં સાર્થકતાની લાગણી થાય. એવું એક નામ એટલે મુરબ્બી મહેન્દ્રભાઇ મેઘાણી.

કાર્યક્રમ પછી બીજા દિવસે પ્રતિભાવ તરીકે તેમણે લખેલું પોસ્ટકાર્ડ અહીં મૂક્યું છે. લાગણી અને લાગણીપૂર્વકની ટકોર બદલ મહેન્દ્રભાઇનો આભાર. એટલી સ્પષ્ટતા કે હોલ પર ઉમટેલા લોકોમાં ફક્ત મારા જ નહીં, બીજા ઘણા લેખકોના ચાહકોનો પણ સમાવેશ થતો હતો.
પોસ્ટકાર્ડની પાછળ એમણે આ સૂચક પંક્તિઓ ટાંકી છેઃ
આખરને અવસરીયે ભણું
જુહાર જ્યાં વારંવાર,
ત્યારે જ મેં અરે જાણ્યું, મારે
આવડો છે પરિવાર!
- રાજેન્દ્ર શાહ

હસ્તાક્ષરોનું હસ્તધૂનન

સાહિત્યજગતમાં સામાન્ય રીતે દોસ્તી કરતાં દુશ્મનીઓ- હરીફાઇઓ-કડવાશોનાં પ્રકરણો વધારે લખાતાં-ચર્ચાતાં હોય છે. એવા કિસ્સાઓમાં ઉભા રહ્યે ન બનતું હોય એવા બે લેખકોનાં પુસ્તકો લાયબ્રેરીના ‘ઘોડા’માં પાડોશી તરીકે શાંતિથી રહી શકે છે અથવા એક પુસ્તક પર કુમેળ ધરાવતા બે લેખકોના હસ્તાક્ષર આસપાસમાં બિરાજી શકે છે.

વર્ષો પહેલાં સુરૈયાના હસ્તાક્ષર લીધા, એ જ પાના પર, તેની સાથોસાથ દેવ આનંદના હસ્તાક્ષર માગ્યા ત્યારે દેવ આનંદે સુરૈયાના હસ્તાક્ષર ભણી જોયું, ‘અચ્છા!’ એવી દૃષ્ટિ મારા ભણી ફેંકી અને ‘હવે કશો ફરક નથી પડતો’ એ અદામાં હસ્તાક્ષર કરી આપ્યા, એ પણ આ પોસ્ટ લખતાં યાદ આવે છે.

હાસ્ય અદાલતના કાર્યક્રમ પછી મોટે ભાગે પ્રણવ (અઘ્યારૂ)ને સૂઝ્યું કે ‘બત્રીસ કોઠે હાસ્ય’ની એક નકલ પર કાર્યક્રમ સાથે સંકળાયેલા સૌના હસ્તાક્ષર હોવા જોઇએ. તેના પરિણામસ્વરૂપે આ પાનું. તેમાં હસ્તાક્ષરનો ક્રમ આ પ્રમાણે છે. (હસ્તાક્ષરો પરથી કોઇને કંઇ કહેવું હોય તો પાનું ખુલ્લું છે!)

પહેલી કોલમ (ઉપરથી નીચે)
અશ્વિન ચૌહાણ (ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વના અઘ્યાપક), પ્રણવ અઘ્યારૂ (કટારલેખક અને ‘અભિયાન’ના સંપાદક), રજનીકુમાર પંડ્યા (વાર્તાકાર-નવલકથાકાર- પત્રકાર- ‘ઝબકાર’ અને ‘કુંતી’ ફેઇમ- જૂના ફિલ્મસંગીતના અભ્યાસી, દસ્તાવેજીકરણના માહેર), બીરેન કોઠારી (લેખક- અનુવાદક-દસ્તાવેજીકરણનું કામ કરનાર મોટો ભાઇ), કાર્તિકેય ભટ્ટ (પીલવઇ કોલેજમાં અર્થશાસ્ત્રના અઘ્યાપક, લેખક, નાટ્યકાર), દીપક સોલિયા (‘આહા! જિંદગી’ના સંપાદક, કટારલેખક, નવલકથાકાર), આયેશા ખાન (‘ઇન્ડિયન એક્સપ્રેસ’નાં પત્રકાર, લેખિકા-સંપાદિકા)
બીજી કોલમ
બિનીત મોદી (પત્રકાર, અનુવાદક, સંકલનકાર), અશ્વિની ભટ્ટ (પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા નવલકથાકાર, વાર્તાકાર)
ત્રીજી કોલમ
ઉર્વીશ કોઠારી (આપનો વિશ્વાસુ), સોનલ કોઠારી (ગૃહિણી), પૂર્વી ગજ્જર (ભૂતપૂર્વ પત્રકાર, ‘નોખા ચીલે નવસર્જન’માં મારી સહલેખિકા), તારક મહેતા (ઉંધા ચશ્મા), વિનોદ ભટ્ટ (‘ઇદમ તૃતીયમ’ સહિત અનેક કોલમો, અખબારો અને સામયિકોમાં દાયકાઓ સુધી હાસ્ય રેલાવનાર હાસ્યકાર), પ્રકાશ ન. શાહ (વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી, ખરેખર વરિષ્ઠ પત્રકાર, નાગરિક જીવનને લગતા મુદ્દા પર સ્વસ્થ વિચાર કરનાર અગ્રણી), રતિલાલ બોરીસાગર (સૂક્ષ્મ હાસ્યનું વિરાટ નામ), બકુલ ટેલર (કટારલેખક, લેખક, પત્રકાર, નાટક-સંગીત-ફિલ્મો-સાહિત્યના ઉંડા અભ્યાસી), હસિત મહેતા (નડિયાદ મહિલા આર્ટ્સ કોલેજના આચાર્ય, ગુજરાતીના અઘ્યાપક, બકુલ ત્રિપાઠી પર પીએચ.ડી., ‘ડાહીલક્ષ્મી લાયબ્રેરી’ના સંચાલક અને નડિયાદમાં થતી અનેકવિધ આશ્ચર્યજનક ગુણવત્તા ધરાવતી સાહિત્યિક પ્રવૃત્તિઓના કર્તા), સલિલ દલાલ (‘ફિલમની ચિલમ’ કોલમથી જાણીતા, ફિલ્મી ગીતકારો વિશેના મજબૂત પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’ ના લેખક), કેતન રૂપેરા (‘અભિયાન’ના ઉત્સાહી નવોદિત પત્રકાર), ચંદુ મહેરિયા (લેખક, વિચારક, દલિત સાહિત્ય અને એકંદરે સમસ્ત સાહિત્યના ઉંડા અભ્યાસી, ‘દલિત અધિકાર’ પખવાડિક અને વિચારમંચ ‘અધિકાર’ના સંચાલક)