Saturday, December 25, 2021

એક લગ્ન અને મૈત્રીકથાનો નવો ખંડ

ઘણાખરા લોકોને પોતપોતાની મૈત્રીકથાઓ હશે. તેમાંથી મોટા ભાગનાને એવું લાગતું હશે કે ‘બીજાં બધાં ગ્રુપ સારાં છે, પણ અમારા ગ્રુપની વાત જ જુદી છે.’ આવું ગૌરવ નિર્દોષ અને બિનહાનિકારક હોય છે. એટલે તેના વિશે કશા વાદવિવાદ કે દલીલ-પ્રતિદલીલ વિના, સૌ પોતપોતાના ગૌરવ સાથે આનંદપૂર્વક જીવે છે. આવાં મિત્રમંડળોમાં અમારા મિત્રમંડળનો પણ સમાવેશ થાય. અમારું એટલે બીરેનનું અને કાળક્રમે મારું મહેમદાવાદનું મિત્રમંડળ.

તેનું નામ ઇન્ટેલિજન્ટ યુથ ક્લબ (IYC) અત્યારે જૂનવાણી અને રમૂજી લાગે. ત્રણ-ચાર દાયકા પહેલાં તે નામકરણ થયું ત્યારે પણ તેમાં કશો ગંભીર દાવો ન હતો. ઔપચારિકતા ખાતર એ નામ પડાયું હતું અને તેનો એક સિક્કો બન્યો-બેન્ક ખાતું ખૂલ્યું, એટલે તે સત્તાવાર બન્યું. સ્કૂલકાળમાં સાથે ભણતા બીરેન અને તેના મિત્રોનું એ જૂથ. સ્કૂલ-કોલેજમાં ભણી રહ્યા પછી, કામધંધે લાગ્યા પછી, પરણીને સામાજિક રીતે સ્થિર થયા પછી, કેટલાક મિત્રો પરદેશ ગયા પછી, મિત્રસંતાનો પરણવાલાયક થયાં અને ગયા અઠવાડિયે વિપુલ રાવલના પુત્ર—અમારા લાડકા ભત્રીજા નીલનું યેશા સાથે લગ્ન થયું ત્યાં સુધી, લગભગ ચાર દાયકાના સમયગાળામાં IYCના મિત્રો સતત એકબીજા સાથે સંકળાયેલા રહ્યા છે.

નીલ અને યેશા,19-12-21, વડોદરા
નીલનાં લગ્નના આગલા દિવસે વિધિ વખતે વિપુલ-બિંદુ
આટલા લાંબા ગાળામાં એવા ઘણા વળાંક આવે, જ્યાં કશી કડવાશ વિના કે કશા પ્રયાસ વિના સાથ છૂટી જવાની સંભાવના રહે. ભૌગોલિક રીતે તો બધા જ અલગ પડી ગયાં હતાઃ બીરેન-કામિની વડોદરા, વિપુલ-બિંદુ રાવલ વિદ્યાનગર, અજય-રશ્મિકા પરીખ મણિનગર, મનીષ (મંટુ)-યત્ના શાહ વડોદરા, પ્રદીપ-જયશ્રી પંડ્યા અમેરિકા, તુષાર-અપર્ણા પટેલ અમેરિકા, મયુર-હેતલ પટેલ ઓસ્ટ્રેલિયા, વિજય-શેફાલી પટેલ કેનેડા. એક મિત્ર મુકેશ પટેલ દિવંગત થયા. તેમનાં પત્ની ગીતા વડોદરા. આ ઉપરાંત, નિકટના સંપર્કમાં નહીં રહેલા છતાં ગ્રુપના એક સમયના સભ્યની રૂએ પિયુષ-ભાવશ્રી શાહ અમદાવાદ. છતાં, એવા કેટલાક પ્રસંગ સભાનપણે ટાળવાને કારણે, અમુક રૂઢિઓ કંઈ નહીં તો રૂઢિ લેખે પણ ચાલુ રાખવાને કારણે, IYC ચારેક દાયકા પછી પણ અસ્તિત્વ ધરાવે છે.

આ મિત્રમંડળમાં બે-અઢી દાયકાથી હું જોડાયેલો છું—એ બધાથી છ-સાત વર્ષ નાનો હોવા છતાં. વિપુલ મહેમદાવાદ રહેતા હતા ત્યારે તેમનું 17, નારાયણ સોસાયટીનું ઘર IYCનું બિનસત્તાવાર હેડક્વાર્ટર હતું. રોજ રાત્રે ત્યાં જવાનો નિત્યક્રમ. શિયાળામાં શાલ ઓઢીને, ચોમાસામાં છત્રી લઈને પણ જવાનું ખરું. હું ત્યાં જતો થયો અને ધીમે ધીમે તેમની સાથે-તેમનામાં ભળ્યો. વિપુલની બહેન મનીષા (ટીની) મારાથી ત્રણેક વર્ષે નાની. તે પણ ઘરમાં બધા મિત્રોની અવરજવરને કારણે તેમની સાથે ભળતી. સમય જતાં મહેમદાવાદમાં હું એક જ રહ્યો. અજય પરીખ (ચોક્સી)ની દુકાન મહેમદાવાદમાં. એટલે તે મણિનગરથી અપ-ડાઉન કરે અને દિવસે મહેમદાવાદમાં હોય. તહેવારોમાં બીરેન પરિવાર, વિપુલ પરિવાર, ચોક્સી પરિવાર, મંટુ પરિવાર આ બધા મહેમદાવાદ આવે. સાથે વિપુલના મિત્રમાંથી અમારા એકદમ નિકટના મિત્ર બનેલા પૈલેશ શાહ (પહેલાં ખેડા, પછી નડિયાદ)નો પરિવાર પણ હોય. અમે 17, નારાયણ સોસાયટીના બંગલે મળીએ. સાથે બેસીએ. ત્યારે જ દિવાળી પૂરી થઈ હોય એવું લાગે. વચ્ચે વચ્ચે ક્યારેક કિર્તી-પારુલ પટેલ (અમેરિકા) જેવાં મિત્રો પણ આવી જાય અને તેમના નિમિત્તે શક્ય એટલી મિત્રમંડળીનું મિલન થાય.
દિવાળીના દિવસોમાં 17, નારાયણ સોસાયટીની અંદરનો માહોલઃ શચિએ પાડેલું સેલ્ફી. ફોટોમાં (ડાબેથી) બીરેન, વિપુલ, બિંદુ, ઉર્વીશ, આસ્થા, સોનલ, કામિની, જય, અર્પ, અજય, રશ્મિકા
...અને બહારનો માહોલઃ (ડાબેથી) રશ્મિકા, ફાલ્ગુની, બિંદુ, સોનલ, શચિ, નીલ, કવન, અર્પ

IYCના મિત્રોમાં પ્રકૃતિગત સામ્ય ખાસ નહીં. જૂના વખતમાં તેમણે કરેલાં એવાં મોટાં-યાદગાર પરાક્રમ કે તોફાનો પણ નહીં. (મુકેશ પટેલ અને અમુક અંશે તુષાર પટેલને બાદ કરતાં) એકંદરે નિરૂપદ્રવી, સીધી લીટીમાં કહેવાય એવી તેમની ગતિ. અમુકની મસ્તી ને અવળચંડાઈ હોય, પણ એથી વિશેષ નહીં. સાથે બેસીને નિરાંતે કોઈ મુદ્દા વિશે કે એકબીજાના કામકાજ વિશે કે જીવનસંઘર્ષ-જીવનપ્રસંગો વિશે ઠરીને વાત કરવાનો રિવાજ પણ નહીં. બધાં ભેગાં થાય એટલે જૂની શૈલીની ખેંચતાણ ચાલે. રમુજોમાંથી પણ ઘણી તો વીસ-પચીસ વર્ષથી ચાલતી હોય. નવી પેઢીને તેમાં ભાગ્યે જ રસ પડે. લોક ડાઉન દરમિયાન બીરેને IYCનાં જૂનાં સંભારણાં ઓડિયો સ્વરૂપે ગ્રુપમાં મુક્યાં ત્યારે મિત્રો કરતાં પણ ઘણો વધારે રસ તેમાં મિત્રોનાં સંતાનોને પડ્યો હતો. બાકી, IYC-મિત્રોનાં સંભારણાંની જૂની મૂડીમાં નવો ઉમેરો ઘણો ઓછો. પણ સારી કંપનીના જૂના શેર થોડા હોય તો પણ લાંબા ગાળે સ્થિર સમૃદ્ધિ ઊભી કરે, એવું IYCના કિસ્સામાં થયું.

બધા મિત્રોના પરિવારોમાં IYC મિત્રમંડળીનો મહિમા સ્વીકારાયેલો. ભૂતકાળમાં પ્રસંગોના આયોજનના કોન્ટ્રાક્ટ અપાતા ન હતા અને હાથ પણ છૂટો ન હોય, ત્યારે બધા મિત્રોએ એકબીજાને ત્યાં દિલથી-મહેનતપૂર્વક, સરસ રીતે આયોજનો પાર પાડ્યાં હોય. એ સિવાય પણ જરૂર પડે ત્યારે આ મિત્રોની હૂંફની હૈયાધારણ મનમાં હોય. તેમાંથી પૈલેશ શાહ જેવા લાગણીગત ઉપરાંત પ્રકૃતિગત રીતે પણ ખાંખતવાળા હોય. એટલે તેમનો લાભ બધાને વધારે પ્રમાણમાં અને સામાન્ય સંજોગોમાં પણ મળે. વર્ષો બલ્કે દાયકાઓ સુધી અજય પરીખ (ચોક્સી)નો એવો લાભ બધાને મળ્યો હોય.  

હવે બધા મિત્રો પંચાવન વટાવી ચૂક્યા છે અને ત્રણેક વર્ષમાં સાઠ પાર કરી જશે. ઘણાંખરાં સંતાનો લગ્નવયમાં પ્રવેશી ચૂક્યાં છે અને કેટલાંકનાં લગ્ન થઈ ગયાં છે. તે પ્રસંગોમાં પણ IYCનું સ્થાન અને દરજ્જો પરિવાર જેવાં રહ્યાં છે. લગ્નપ્રસંગોમાં કડાકૂટભર્યાં આયોજનો કરવાનો સમય જમાનાની રીતે અને ઉંમરની રીતે પણ વીતી ચૂક્યો છે. ત્યારે લગ્નોમાં અને બીજા પ્રસંગોમાં IYCના સભ્યોને પછીની પેઢીની સેવાનો લાભ મળવા માંડ્યો છે અને તે બહુ મીઠો લાગે છે.

IYCની દંતકથામિશ્રિત સત્યકથા વિશે વર્ષોથી દાખલા દેવાતા રહ્યા છે અને આદરમાન વ્યક્ત થતાં રહ્યાં છે, પણ આ પોસ્ટનો આશય નવી પેઢી વચ્ચેના મજબૂત જોડાણ વિશે આનંદ અને પોરસ વ્યક્ત કરવાનો છે. તેમને જુનિયર-IYC નહીં કહું. કારણ કે એ તેમની સાવ પ્રાથમિક ઓળખાણ ગણાય. તે બધાંને સાંકળતો મૂળભૂત દોર તેમના પપ્પાઓની દોસ્તીનો અને પછી પારિવારિક સંબંધોનો છે. પણ નવી પેઢી માટે એટલું કદી પૂરતું નથી હોતું. તેમણે પરસ્પર દોસ્તીનાં નવાં સમીકરણ તેમની રીતે નીપજાવ્યાં છે. તે એવાં ઉમળકાસભર, સમજદારીપૂર્વકનાં અને હળવાશભર્યાં છે કે આંખ ઠરે-મનમાં ટાઢક પહોંચે. નીલના લગ્ન નિમિત્તે સાથે રહેવાથી આ અહેસાસ વધારે દૃઢ થયો.

બીરેનની દીકરી શચિ લગ્નમાં આવી શકે તેમ ન હતી. પણ એ અને નીલ પહેલેથી બધાં સાથે સરસ રીતે સંકળાયેલાં રહ્યાં છે. લગ્ન પછી અને નીલના કિસ્સામાં અમેરિકા ગયા પછી પણ તેમણે વડીલો સાથે અને તેમનાથી નાનાં લોકો સાથે નાતો જાળવી રાખ્યો છે. પરંતુ નીલના લગ્નપ્રસંગે બીરેન-કામિનીનો પુત્ર ઇશાન, પૈલેશ-ફાલ્ગુનીના પુત્ર કવન- આકાશ, મંટુ-યત્નાની (પરણીને હૈદરાબાદ સ્થાયી થયેલી) મોટી પુત્રી ઊર્મિ, અજય-રશ્મિકાના પુત્રો (કેનેડાસ્થિત) અર્પ અને જય તથા અમારી (મારી-સોનલની) પુત્રી આસ્થા—આ બધાંએ તેમની વચ્ચેની નવેસરની આત્મીયતાનો પરિચય આપ્યો. ઉંમરનો તફાવત ભૂલાવીને તે જે રીતે સાથે રહ્યાં-આનંદ કર્યો, તેનાથી દોસ્તીનું નવું પ્રકરણ નહીં, તેમની દોસ્તીનો નવો ખંડ શરૂ થયો હોય એવું લાગ્યું. બધાં અઢાર વટાવી ચૂક્યાં હોવાથી અને તેમની વચ્ચે ઉંમરના તફાવત ભૂંસાઈ ગયા હોવાથી. જૂનાં વખતમાં એકમેક સાથે બહુ ફાવતું હોય એવાં પિતરાઈઓ ભેગા થઈને જેવી મઝા કરે, એવી ને એટલી મઝા તેમણે કરી. પુખ્ત વયનાં ને પોતપોતાનાં મિત્રવર્તુળો ધરાવતાં સંતાનો વચ્ચે આવી આત્મીયતા સહજ રીતે નીપજી આવી, તે નીલના લગ્નની (યેશા પછીની) સૌથી મોટી ઉપલબ્ધિ લાગે છે. એ પ્રસંગની અમારા માટે બીજી ઉપલબ્ધિ એટલે મનિષા (ટીની)ના પતિ વિજલભાઈ (ડો. વિજલ કાકા, વડોદરા) સાથેની નવેસરની દોસ્તી અને નિકટતા.
(L to R) કવન, જય, અર્પ, ઊર્મિ, નીલ, ઇશાન, આસ્થા, આકાશ, 19-12-21, વડોદરા
ઉપરની ગેંગના કેટલાક સભ્યો, 2006માં, અમારા જૂના ઘરેઃ (ડાબેથી) અર્પ, જય, નીલ, આસ્થા, કલ્પ (મયુર પટેલ), દીતિ (નીલેશ પટેલ), ઇશાન, આસ્થા
નીલના લગ્ન વખતે IYC 1.0ના ફોટા લેતા IYC 2.0 : (ડાબેથી) ડોલી (મુકેશ પટેલ), હર્ષ (પૈલેશનો ભત્રીજો), હર્ષનાં મમ્મી, ઊર્મિ, કવન, અર્પ, જય, ઇશાન, આસ્થા
નીલના લગ્નમાં જે છોકરાંઓની મંડળી જોઈને અમને મઝા આવી, એ લોકો જુનિયર-IYC નથી, ખરેખર તો તે IYCનું અપડેટેડ વર્ઝન IYC 2.0 છે. તે IYC મિત્રમંડળની સૌથી મોટી મૂડી છે અને બની રહેશે એવું લાગે છે. IYC 2.0નાં મિત્રો દેશદુનિયામાં ગમે ત્યાં રહે, પણ તેમની વચ્ચેનો સંપર્ક અને લાગણીનો સંબંધ સદા જળવાયેલી રહે-તેમની દોસ્તીનાં વર્ઝન સતત અપડેટ થતાં રહે એવી શુભેચ્છા.

અને રહી વાત સ્કૂલકાળથી દોસ્તી નિભાવીને છેક નિવૃત્તિના આરે આવેલા મૂળ IYCની. તે IYC 1.0માંથી અપગ્રેડ થઈને IYC 1.1 વર્ઝન સુધી પહોંચે એ હવે પછીનું લક્ષ્ય રાખવા જેવું છે. લખનાર તરીકે તે શુભેચ્છા છે અને IYC 1.0ના ભાગ તરીકે તે લાગણી પણ છે.

નીલના લગ્નમાં (ડાબેથી): અજય-રશ્મિકા, પિયુષ-ભાવશ્રી, બીરેન-કામિની, મનીષ (મંટુ)-યત્ના, વિપુલ, પૈલેશ-ફાલ્ગુની, ઉર્વીશ-સોનલ, ગીતા મુકેશ પટેલ, કિર્તી-પારૂલ
નીલ-યેશાની લગ્નવિધિ પૂરી થયા પછી(ડાબેથી):પારુલ પટેલ, યત્ના શાહ, ગીતા પટેલ, ભાવશ્રી શાહ, ફાલ્ગુની શાહ, કામિની કોઠારી, બિંદુ રાવલ, યેશા-નીલ, વિપુલ રાવલ, મનીષ શાહ, અજય પરીખ, પૈલેશ શાહ, ઉર્વીશ કોઠારી, બીરેન કોઠારી, પિયુષ શાહ, કિર્તી પટેલ (બેઠેલાં, ડાબેથી) રશ્મિકા પરીખ, સોનલ કોઠારી, ઊર્મિ શાહ, આસ્થા કોઠારી, કવન શાહ, જય પરીખ, ઇશાન કોઠારી, અર્પ પરીખ

Wednesday, December 22, 2021

વરઘોડો એટલે...

કોઈ પણ દુન્યવી ચીજની જેમ વરઘોડાને મુખ્યત્વે બે રીતથી જોઈ શકાયઃ બહારથી અને અંદરથી—અને આ બંને દર્શન સાવ સામા છેડાનાં હોઈ શકે છે.

બહારથી જોનાર માટે વરઘોડો, સારામાં સારું વિશેષણ વાપરીને કહીએ તો ‘જોણું’ હોય છે અને આકરામાં આકરો શબ્દ વાપરીએ તો, ‘ન્યૂસન્સ’. નાનાં ગામ-નગરોમાં વર્ષો સુધી વરઘોડા જોવાની ચીજ ગણાતા હતા. મુખ્ય રસ્તા પર નીકળનારો વરઘોડો જોવા માટે દૂરની પોળોમાં કે સોસાયટીમાં રહેતા લોકો પણ આવી પહોંચતા હતા. વરઘોડાના રસ્તે ઓટલો કે પહેલા માળની અગાસી ધરાવતા લોકોને તેમના મકાનના ભૌગોલિક સ્થાનની રૂએ, ઇચ્છાએ કે અનિચ્છાએ, યજમાનપદ પ્રાપ્ત થતું હતું. દૂરથી ખાસ વરઘોડો જોવા આવેલા લોકોને ચા-શરબતનો વહેવાર ભલે ન કરવો પડે, પણ વરઘોડો જતાં પહેલાં અને તે પસાર થઈ ગયા પછી, થોડાંઘણાં ઓળખીતાં લોકો સાથે હસીને વાત તો કરવી પડે. ઘણી વાર તો એ વાતનો વિષય વર કે તેના પિતાશ્રી કે પરિવારના ‘વિશ્લેષણ’નો હોય, જેને કેટલાક ‘ખોદણી’ કે ‘કુથલી’ જેવાં તુચ્છકારજનક નામે ઓળખાવતા હોય છે.

વર્તમાન સમયમાં ચહીને વરઘોડા જોવા જવાની સંસ્કૃતિ, બીજી ઘણી સાંસ્કૃતિક બાબતોની જેમ, નામશેષ થઈ છે. એટલે લોકોને મુખ્યત્વે સડક પર રહીને વરઘોડા જોવાના થાય છે. માણસ રસ્તા પર વાહન લઈને કે વાહનમાં બેસીને જતો હોય અને આગળ વરઘોડો આવી જાય અથવા સામેથી વરઘોડો પ્રગટ થાય તો? પહેલી વાત તો એ કે, માણસની માનસિકતા ત્યારે વર કે ઘોડો કશું જોવાની હોતી નથી. એટલે વર, ઘોડો અને વરઘોડો એ ત્રણે પર તે મનોમન ખીજાઈ શકે છે. વરઘોડામાં વરનું સ્થાન ભારતના રાષ્ટ્રપતિ જેવું હોય છે. તે વરઘોડાનો ‘પ્રથમ નાગરિક’ ખરો. તેનાં માનપાન સૌથી વધારે. બધું તેના નામે થાય. છતાં, જે કંઈ થઈ રહ્યું છે તેમાં એ કંઈ કરી શકે નહીં અથવા એવું કરવાનું તેને ગમે નહીં. કારણ કે, તેને પણ જે થઈ રહ્યું હોય તે ગમતું હોય.

જૂની અંગ્રેજી વાર્તામાં એક રાજા દરિયાનાં મોજાં રોકે છે એવી વાત આવતી હતી. ઘોડાનશીન ભાઈ ઉર્ફે વરને પણ થોડી વાર માટે એવું લાગી શકે કે જોયું? બાઅદબ, બામુલાહિજા, હોશિયાર...નેકનામદાર, સેનાખાસખેલ, સમશેરબહાદુરની સવારી પસાર થઈ રહી છે અને આખ્ખો ટ્રાફિક તેને કુરનિશ બજાવતો ખડો થઈ ગયો છે. તેમની સરખામણીમાં, શબ્દાર્થમાં ઘોડા પર બેઠા હોવા છતાં, ધ્વન્યાર્થમાં જમીન પર પગ ધરાવતા વરભાઈઓના મનમાં મિશ્ર લાગણી હોયઃ એક તરફ ‘બમુલાહિજા’ વાળું ચાલતું હોય અને બીજી તરફ, દસ દિવસ પહેલાં શોપિંગ કરવા જતી વખતે, આવો જ એક વરઘોડો રસ્તામાં નડ્યો ત્યારે તેણે મનોમન કેવાં સ્વસ્તિવચનો કાઢ્યાં હતાં, એ પણ યાદ આવી શકે. પરંતુ મોં સહેરા પાછળ છુપાયેલું હોય કે સાફામાં અડધું ઢંકાયેલું હોય, એટલે તેની પર રહેલી અવઢવ કળી શકાતી નથી.

વરઘોડાની પાછળ ઉભેલો અને તેના પસાર થવાની રાહ જોનાર જણ મોબાઇલ પર ગેમ રમવાનો પ્રેમી હોય તો તેને વરઘોડામાં આસપાસનું ભાન ભૂલીને નાચતા લોકો, વિડીયો ગેમમાં આવતા અડચણ પેદા કરનારા પદાર્થો જેવા વધારે લાગે. તેને થાય કે તે પણ ગેમના કે સ્ટંટ ફિલ્મના અંદાજમાં દૂરથી વાહન દોડાવતું લાવે અને પછી તેને એવો કૂદકો મરાવે કે આખો વરઘોડો મોં ફાડીને જોયા કરે અને તેનું વાહન વરઘોડો કૂદીને બીજી તરફ નીકળી જાય. પરંતુ એવું શક્ય નથી હોતું. એટલે નાના વાહનના ચાલકો વરઘોડાની સાઇડ પરથી રસ્તો કરીને નીકળવાની વેતરણમાં રહે છે અને મોટા લમણે હાથ દઈને, મનોમન ગણગણાટી કરે છે, જેમાં પોલીસ, કાયદો, સભ્યતા, કોર્ટ, એકેએકને...એવા બધા શબ્દો મુખ્ય હોય છે. આ ક્ષણોમાં ધીરજ, સંયમ, સભ્યતા અને અહિંસા ન ખોનાર કામચલાઉ ધોરણે બુદ્ધ 2.0નો દરજ્જો હાંસલ કરે છે.

વરઘોડામાં રહીને બહારના ટ્રાફિકનું સંચાલન કરતા કેટલાક વરઘોડિયા બુદ્ધ થાઉં થાઉં કરતા લોકોને તેમના સંયમપથ પરથી ચલિત કરવાના ઘણા પ્રયાસ કરે છે. વરઘોડા થકી ગામઆખાનો ટ્રાફિક જામ કર્યા પછી, રાહદારીઓને ટ્રાફિકવિષયક આદેશો આપતા લોકો, લોકશાહીના ઉપદેશ આપતા આપખુદ શાસકો જેવા લાગે છે. પણ બંને કિસ્સામાં બેવડું ધોરણ એટલું ઉઘાડેછોગ હોય છે કે ધ્યાન દોરવાથી કશો ફરક પડતો નથી. ઉલટું, તકરાર થવાની સંભાવના રહે છે. એટલે પ્રગટપણે કજિયાનું અને મનોમન વરઘોડાનું મોં કાળું ગણીને માણસ સુખેદુઃખે વરઘોડો પસાર થઈ જાય તેની રાહ જોતો ઉભો રહે છે.

કદીક સમયનું ચક્ર ફરે અને વરઘોડાપીડિતને વરઘોડામાં જવાનો પ્રસંગ આવે ત્યારે મઝા થાય છે. યુદ્ધ શરૂ થતાં પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં ઉભેલા અર્જુનને જેમ સામે ઉભેલાં સગાંસ્નેહીઓ સાથે યુદ્ધના વિચારથી વિષાદયોગ થયો હતો, તેમ આ ભાઈને પણ વરઘોડાની પાછળ અટવાતાં કે સામેથી આવતાં સમદુઃખીયાં પ્રત્યે અનુકંપા થાય છે. પરંતુ વરઘોડામાં મોટાં અવાજે વાગતાં ગીતો અને તેની પર ઝૂમતા લોકોને લીધે સર્જાયેલા માહોલમાં વિચાર કરવા માટે અનુકૂળ વાતાવરણ હોતું નથી. એટલે પીડિત વરઘોડાની ભીડમાં ક્યાંક ખોવાઈ જવાનું પસંદ કરે છે. અલબત્ત, સમાનુભૂતિની આવી લાગણી ધરાવતા  લોકો જૂજ હોય છે. બાકીના માટે તો ડાન્સ કરવાનાં કે ટ્રાફિકનું સંચાલન કરવાનાં કામ તૈયાર હોય છે.

Monday, December 13, 2021

જમવા જવા વિશે

લગ્નની મોસમમાં કેટલાક સળગતા સવાલ ઉભા થાય છે. ના, લગ્ન તેમાંનો એક નથી. કારણ કે તેમાં એ તબક્કો થોડો પછી આવે છે. અહીં તો જેમનાં અથવા જેમના ઘરે લગ્ન નથી, એવા લોકો માટે સર્જાતા સવાલની વાત છે. તેમાંનો એક છેઃ જમવા જવું કે નહીં.

આટલું વાંચીને મોટા ભાગના લોકોને થશે કે ‘એંહ, આ તે કંઈ સમસ્યા છે? આપણે જમવા જઈએ તે સામા માણસ માટે કદાચ સમસ્યા હોઈ શકે, પણ આપણો તો જઈને, બૅટિંગ કરીને પાછા આવવાનું છે. તેમાં ક્યાં કશી મુશ્કેલી છે?’ આવો વિચાર ખોટો નથી અને લાગે છે એટલો સર્વવ્યાપી પણ નથી. અમુક ઉંમર સુધી જમવા જવા વિશે બહુ ઉત્સાહ રહેતો હોય છે. સ્માર્ટ ફોન પહેલાંના યુગના કેટલાક સ્માર્ટ લોકો સીઝનમાં આવેલી કંકોત્રીઓમાં ક્યાં કયા દિવસે, કયા ટંકે (સવારે કે સાંજે) જમવા જવાનું છે, તેની અલગથી યાદી બનાવી રાખતા હતા. તેમની દલીલ હતી, ’યજમાનને ખોટું લાગે ને આપણે ખાધા વગરના રહીએ—એવો ધંધો શું કામ કરવો?’

ત્રણેક દાયકા પહેલાં સુધી બુફે સર્વવ્યાપી બન્યાં ન હતાં, ત્યારે પંગતભોજનનો યુગ હતો. એટલે, ‘હી કેમ, હી સૉ એન્ડ હી કૉન્કર્ડ’ની જેમ, જઈને, જમીને, જોતજોતાંમાં નીકળી જવાનું શક્ય ન હતું. પહોંચીએ ત્યારે પંગત પડી ચૂકી હોય તો પછી અડધો-પોણો કલાક રાહ જોવી પડે. ક્યારેક નિમંત્રીતોની સંખ્યા વધારે હોય તો પંગતમાં દાળ-ભાત પીરસાય, ત્યારે આગામી પંગતમાં જગ્યા રોકવા માટે જમનારની પાછળ જઈને ઊભા પણ રહેવું પડે. છતાં, એ વખતે બહાર હૉટેલમાં કે લારી-ખુમચા પર જમવાના પ્રસંગો જૂજ રહેતા. બહાર જમવું એ પોતે એક ઘટના ગણાતી અને તેનું આકર્ષણ સામાન્ય ગણાતું હતું.  

છેલ્લાં થોડાં વર્ષોમાં પોસાય કે ન પોસાય, છતાં સૌ કોઈ જમણવારો રાખતા થઈ ગયા. સાથોસાથ, બહાર ખાવાનું જોર પણ વધ્યું. સ્વીગી-ઝૉમેટોના જમાનામાં ઘરે રહીને બહાર ખાવાનું પણ શરૂ થઈ ગયું. એટલે હવે સામાન્ય જમણવારોમાં જમવા જવા માટે સૌ કોઈ એકસરખા ઉત્સાહી નથી હોતા. યજમાનો જેને લગ્નનું અને મહેમાનો જેને જમણવારનું આમંત્રણ ગણે છે, તે કંકોત્રી આવતાં ઘરમાં નીતિવિષયક ચર્ચાઓ શરૂ થઈ જાય છે. કેટલાંક નિમંત્રણો ચર્ચાથી પર હોય છે. કેમ કે, તે એટલાં નિકટનાં અથવા એટલા સમૃદ્ધ યજમાનોનાં હોય છે કે ત્યાં જવા વિશે કોઈ અવઢવ નથી હોતી. પણ એ સિવાયના નિમંત્રણો મહેમાનોને મૂંઝવણમાં મુકી શકે છે. તેમાં પણ એક ટંકનાં આવાં એકથી વધુ નિમંત્રણ ભેગાં થાય, ત્યારે મહેમાનો અટવાઈ શકે છે. ‘મૈં ઇધર જાઉં યા ઉધર જાઉં?’ એવા વિચારમાં તે લશ્કરી વ્યૂહબાજની જેમ મુદ્દાસર ચર્ચાવિચારણા કરી જુએ છે.

ઘણાંખરાં ઠેકાણાં એવાં હોય છે કે જ્યાં જમવા ન જવાથી યજમાનને ખરાબ લાગવાનો પ્રશ્ન હોતો નથી. પણ ન જઈએ તો પેટને કે સ્વાદરસિકતાને અન્યાય થાય, એ શક્યતા તો ચકાસવાની રહે છે. તેથી સૌ પહેલાં ‘પાર્ટી’ (યજમાન)ની સદ્ધરતા, આયોજનશક્તિ, અગાઉના પ્રસંગોની છાપ જેવાં પરિબળ ધ્યાનમાં લેવાય છે.  તેમાંથી એક કે વધુમાં યજમાનનો ટ્રેક રેકોર્ડ નબળો હોય, તો તેમને ત્યાં જમવા જવાની ઇચ્છા મંદ પડે છે. ભૂતકાળમાં એ યજમાનને ત્યાં રસોઈ ખૂટી હોય, બટાટાવડાં ખૂટતાં સમોસા મંગાવાયાં હોય, દાળમાં પાણી કે શાકનો રસો રેડાયાં હોય, ગાજરનો હલવો ખુટતાં દુધીનો હલવો આવ્યો હોય, પાણીપુરીના કાઉન્ટર પર સર્જાયેલી ધક્કામુક્કીમાં બે-ચાર જણ ઘાયલ થયાં હોય...તો એવાં ઠેકાણે જમવા જવાની ઇચ્છા મોળી રહે છે. વડીલોનું વલણ સામાન્ય રીતે સમાધાનકારી હોય છે. તે આશ્વાસન આપતાં કહે છે, ‘આ વખતે તો સાંભળ્યું છે કે ‘એ લોકો પાણીપુરી રાખવાના જ નથી.’ પણ નવી પેઢી વડીલોને જ્ઞાન આપતાં કહે છે,‘એમનો ભત્રીજો મારા ગ્રુપમાં છે. એ કહેતો હતો કે લાઇવ પિત્ઝાનું કાઉન્ટર છે. એટલે બધું એકનું એક જ.’

પાણીપુરી અને લાઇવ પિત્ઝા ધક્કામુક્કીના મામલે એકસરખાં હોઈ શકે, તે જૂની પેઢીને સમજતાં તકલીફ પડી શકે છે. પણ તે સમાધાનકારી રસ્ત કાઢતાં કહી શકે છે, ’હશે. પિત્ઝા તો તું આડેદહાડે ક્યાં નથી ખાતો? એવું હોય તો આપણે લાઇવ કાઉન્ટરોમાં નહીં જવાનું. એ સિવાય પણ બધું હશે તો ખરું ને.’ હા, હોય તો ખરું જ. એક લાલ શાક (પંજાબી), એક લીલું શાક, એક ચાઇનીઝ ફરસાણ, બે-ત્રણ સ્વીટ. કેમ કે, હવેના જમણવારોમાં વાનગીઓની સંખ્યાનો પ્રશ્ન ભાગ્યે જ હોય છે અને એ વાનગીઓના સ્વાદનો પ્રશ્ન ન હોય, એવું ભાગ્યે જ બને છે. યજમાન તો ડીશની સંખ્યાનો ઑર્ડર અને વાનગીઓની યાદી આપીને પરવારી જાય છે. પછી તે કેવું બન્યું, તેના અખતરા મહેમાનોના પર હોય છે. યજમાનો સૌથી છેલ્લા કેમ જમે છે તેનાં કારણો વિશે સંશોધન કરતાં, ઉપરના કારણની પણ આશંકા ગઈ હતી. અલબત્ત, તે આરોપમાં વજૂદ જણાતું નથી. છતાં ભોજનની ગુણવત્તાથી દુઃખી લોકો એવું માનવા પ્રેરાય છે.
 

આ પ્રકારની વૈચારિક કવાયત અને મૂંઝવણનો અંત લગભગ નક્કી હોય છેઃ અનેક વિચારો કર્યા પછી, ‘મેલ કરવત, મોચીના મોચી’ ન્યાયે જમવા તો જવાનું અને પાછા આવીને, ફરી એવા ઠેકાણે જમવા નહીં જવાની પ્રતિજ્ઞા પણ લેવાની.

Thursday, December 09, 2021

રસ્તો શોધવા વિશે

મોબાઇલ કે ટીવીના સ્ક્રીન વગરના બાળપણમાં રસ્તો શોધવો એ સસલાને ગાજર સુધી કે બાળકને ચોકલેટ સુધી પહોંચાડવાની રમત હતી. એવા અટપટા રસ્તા હોય કે શરૂઆતથી અંત સુધી એક ઘાએ પહોંચાય નહીં. ત્યારે એ રમત બહુ અઘરી લાગતી. મોટપણે સમજાયું કે ઘણા ખરા લોકોને બે ટંકના સારા ભોજન સુધી પહોંચવાનું ને બાકીના થોડાને સુખ સુધી પહોંચવાનું આનાથી પણ ઘણું વધારે અઘરું પડે છે—અને એ તો રમત પણ નથી કે ‘નથી રમતા’ કહીને ઊભા થઈ જવાય.

ગુગલ મેપ્સ પહેલાંના યુગમાં ધારેલા સરનામે પહોંચવાની પ્રક્રિયા ખરેખર અઘરી હતી અને હજુ પણ તે પૂરેપૂરી આસાન થઈ નથી. ઘણા લોકો એવા હોય છે કે તેમને એવરેસ્ટ જવાનું કહીએ તો, ત્યાં પહોંચવાનો રસ્તો શી રીતે શોધીશું, એવો જરાય વિચાર ન કરે. તેમને એવું ન થાય કે એવરેસ્ટ એટલે કંઈ સોસાયટીના નાકે પડ્યું છે? ત્યાં પહોંચાય શી રીતે? એ તો ફિલ્મ જોવા જવાનું હોય એટલી સહેલાઈથી તૈયાર થઈ જાય. બીજી બાજુ કેટલાક આત્માઓ એવા હોય, જેમને એવરેસ્ટ જવાની વાત સાંભળીને સૌથી પહેલો વિચાર એવો આવે કે ‘આપણે કેટલા વાગ્યે નીકળવું પડશે? શું છે કે અમારા ઘરની બહારથી રાત્રે નવથી સવારના સાત સુધી રિક્ષા મળતી નથી.’ ટૂંકમાં, તે જીવોની ચિંતાની શરૂઆત એવરેસ્ટની ઊંચાઈએ કેવી રીતે પહોંચીશું તેનાથી નહીં, પણ ઘરની બહારથી રેલવે કે બસ સ્ટેશને જવા રિક્ષા સુધી શી રીતે પહોંચીશું, તેનાથી શરૂ થાય. તેમને તમે વાસ્તવવાદી કહી શકો કે ચિંતાખોર. પણ મૂળે ભૂગોળ સાથેનો તેમનો સંબંધ સારો નહીં એટલી જ હકીકત.

દરેક તબક્કાના સવાલોના સંતોષકારક જવાબ મળ્યા પછી તેમને આખરી તબક્કાના સવાલો જાગેઃ ‘એવરેસ્ટ તો કેટલું મોટું છે. ત્યાં 360 ડિગ્રીમાંથી કોઈ પણ ડિગ્રીએ જઈ શકાય. તો આપણે કઈ ડિગ્રીએથી ચઢાઈ કરવાની છે, તેની શી રીતે ખબર પડે? એક વાર હિમાલયમાં પહોંચી ગયા પછી, આપણને જે દેખાય છે તે એવરેસ્ટ જ છે અને કાંચનજંઘા શીખર નથી, એની શી ખાતરી? તમને થશે કે આ ખોટી ચૂંથ કરે છે, પણ ભઈ, પૂછી લીધેલું સારું. એક વાર ભૂજ જતી વખતે મેં ટિકીટ સ્વામિનારાયણ ટ્રાવેલની લીધેલી ને બેસી ગયો સહજાનંદમાં. મને એમ કે બધું એકનું એક જ ને? એ તો ઠીક છે, બીજા મુસાફરે આવીને વેળાસર ખબર પાડી. પણ એવરેસ્ટ-કાંચનજંઘા છેવટે તો હિમાલય જ. ત્યાં એવું થાય તો ક્યાં જવું? અને મેં પૂરતો અભ્યાસ કર્યો છે. તેમાં ક્યાંય એવું જોવા મળ્યું નથી કે કાંચનજંઘા કે એવરેસ્ટ પર તેમનાં નામનાં બોર્ડ માર્યાં હોય.’

આવા સવાલો મનમાં ઉઠે તે દર્શાવે છે કે પૂછનારનો કશો વાંક નથી. બસ, તેમના મનમાં ભૂગોળનો સોફ્ટવેર બરાબર લોડ થયેલો નથી. એવા લોકોને એવરેસ્ટ-કાંચનજંઘા તો દૂર, કોઈને મળવા ઑફિસની કૅબિનમાં દાખલ થયાના અડધા કલાક પછી બહાર નીકળતી વખતે કૅબિનનું કાચનું બારણું કઈ તરફ હતું, એ પણ યાદ રહેતું નથી. તેમાં તે નિર્દોષ છે. દોષ તો ભૂગોળનો અને બરાબર લોડ નહીં થયેલા ભૂગોળના સોફ્ટવેરનો છે. એવા લોકો પાછા બીજી બાબતમાં સાવ નૉર્મલ હોય અને કેટલાક તો વળી અભ્યાસી પણ હોય. એટલે, તે જેટલું વધારે જાણે એટલા વધારે ગુંચવાય. તેમને એવું પણ થાય કે ‘એવરેસ્ટ પર પહોંચી તો ગયા, વાવટો-બાવટો ફરકાવી દીધો, પણ પછી પાછા ક્યાંથી ઉતરવાનું? અહીં તો ઑફિસમાં દાખલ થયાના કલાક પછી બહાર નીકળવાનો રસ્તો યાદ રહેતો નથી, તો એવરેસ્ટથી પાછા ઉતરવાના ઘણા રસ્તા હોય. તેમાં આપણો કયો, એ કેમ ખબર પડે?’

આવા લોકોમાંથી કેટલાક પોતાની ભૌગોલિક મર્યાદાનો સ્વીકાર કરીને પ્રામાણિકતાપૂર્વક જાહેર કરી દે છે અને ભૂગોળસજ્જ સાથી હોય તો જ અજાણી જગ્યાએ જાય છે. ખતરનાક પ્રજાતિ એ હોય છે, જેમને ભૂગોળ સાથે સુમેળ ન હોવા છતાં, પોતાને તો રસ્તામાં બરાબર ખબર પડે છે, એવો દેખાવ તે ચાલુ રાખે છે. કોઈ રસ્તે બે-ત્રણ ફાંટા આવે ત્યારે આવા લોકો ખાતરીપૂર્વક જાહેર કરે છે, ’ડાબી બાજુ.’ તેમની વાત પર વિશ્વાસ મુકવો કે નહીં, તે ચાલક વિચારી રહે એ પહેલાં તો વિધાન બદલાય છે, ’જોકે, હું એક વાર આવ્યો ત્યારે પાનનો ગલ્લો ડાબેથી બીજી બાજુના રસ્તે હતો.’ ચાલક વધુ ગુંચવાય છે, ત્યાં ત્રીજું નિવેદન આવે છે, ‘આમ તો જમણી બાજુએ વળીએ તો પણ પહોંચી જવાય.’

ચાલક વિચાર કરે છે કે આટલી ઝડપથી તો વડાપ્રધાન પણ નિવેદનો નથી બદલતા. પછી તે પરિસ્થિતિની નજાકત સમજીને, રાજકીય ચિંતન છોડીને અથડાતા-કૂટાતા, ફરી ફરીને સાચા રસ્તે પહોંચે છે. ત્યારે પેલા જાણકાર બોલી ઉઠે છે, ’મેં નહોતું કહ્યું?’ તેમની વાત ખોટી નથી હોતી. કારણ કે, તેમણે એક પછી એક બધા રસ્તા વિશે કહ્યું જ હોય છે.

આવા લોકો વાહનમાં સવાર હોય, ત્યારે વાહનચાલકના મનમાં કેટલીક વાર ખૂન કે આત્મહત્યા, એ બે જ વિકલ્પ ઉભરતા હોય છે. પણ માણસ કેટલીક બાબતોમાં ગુફાયુગમાંથી આધુનિક યુગમાં પ્રવેશ્યો છે. એટલે તે બંને વિકલ્પ ટાળીને ચૂપચાપ વાહન ચલાવ્યે રાખે છે.

Friday, November 26, 2021

બે મિનિટનું મૌન

 મૌન વિશે લોકો બહુ બોલ્યા છે. કેમ કે, મૌનનો મહિમા ગમે તેટલો મોટો હોય, પણ એ વ્યક્ત તો બોલીને જ કરવો પડે છે. ગાંધીજી ફક્ત પેટના નહીં, જીભના પણ ઉપવાસ કરતા હતા એટલે કે દર સોમવારે મૌન પાળતા હતા. તેમનું મૌન આત્મમંથન માટે હતું. કોઈની સ્મૃતિમાં ક્યારેક આદરથી ને મોટે ભાગે ફરજિયાત બે મિનિટ મૌન પાળવાનું તો ઘણાને આવ્યું હશે. એવું મૌન ઉગેલું નહીં, પણ લાદેલું હોય છે. એટલે તે મર્યાદિત લોકોમાં આદરની અને બાકીના લોકોમાં ટાઇમપાસની લાગણી જગાડે છે.

આખો હોલ ભરાયેલો હોય અને અચાનક, ઓડિયન્સને સુવાંગ પોતાના ભોગવટાનું સમજનારો કોઈ ગુજરાતી કોડીલો સંચાલક, કોઈના માનમાં બે મિનિટ મૌન પાળવાની જાહેરાત કરી દે તો? હોલમાં પહેલાં સૌ એકબીજા સામે જોવા લાગે છે, પછી હોલમાંથી મૌનના પૂર્વરંગ તરીકે ખુરશીઓના ઉંચી થવાના વૈવિધ્યપૂર્ણ અવાજો સંભળાય છે. સંચાલકે બે મિનીટ મૌન પાળવાનું કહ્યું કે અડધી મિનીટ ઘોંઘાટ કરવાનું કહ્યું?’ એવો સવાલ પણ હોલમાં ઉપસ્થિત લોકોને થઈ શકે. આવી રીતે બધાં ઊભાં થાય ને જગ્યા પર સેમી-સાવધાન મુદ્રામાં ઉભાં રહે એટલે મૌનની બે મિનીટનો પ્રારંભ થાય છે.

જેમના માનમાં મૌન પાળવાનું હોય તેમના પ્રત્યે લાગણી ધરાવતાં લોકો આર્દ્ર થઈને આંખ મીંચીને મૌન થઈ જાય છે. તેમને દિવંગત સ્નેહી યાદ આવે છે અને બાકીના લોકોને આલ્બર્ટ આઇન્સ્ટાઇન. વધુ ચોક્સાઈથી કહીએ તો આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ. તેમને સમજાય છે કે સંચાલકે બે મિનીટનું મૌન પાળવાનું કહ્યું, ત્યારે તો એમ લાગ્યું હતું કે એંહ, બે મિનીટમાં શું માન આપી દેવાય? માન જ આપવું હોય તો કલાકનું મૌન જાહેર ન કરી દઈએ? અરે, કલાક નહીં, તો કમ સે કમ, અડધો કલાક તો રાખવો જોઈએ કે નહીં?’

પરંતુ મૌનકાળ શરૂ થાય, તે સાથે જ તેમને લાગવા માંડે છે કે સમય જાણે થંભી ગયો છે, ઘડિયાળના સેકન્ડ કાંટાની ઝડપ ધીમી પડી ગઈ છે. સમય સાપેક્ષ છે, એવું કહેનાર આઇન્સ્ટાઇન સાંભરે છે, પણ એમની યાદ તો પાંચ સેકન્ડમાં યાદ આવીને જતી રહે છે. બાકીની સોએક સેકન્ડ ખાલીખમ અને સામે મોં ફાડીને ઉભી છે. તે બોલ્યા વિના પસાર કરવાની છે. એટલે પછી આસપાસના બીજા મૌનપાલકોના નિરીક્ષણની પ્રવૃત્તિ શરૂ થાય છે.

મોટા ભાગના લોકો મૌન પાળતી વખતે એવી રીતે આંખ મીંચી દે છે, જાણે તે મોંથી નહીં, આંખથી બોલતા હોય. તેમને સતત એવી બીક હોય એમ લાગે છે કે તેમની આંખ સહેજ ખુલી જશે, તો મોંમાંથી બે-ચાર વાક્યો ગબડી પડશે. બીજા પ્રકારના, વ્યવહારુ લોકો મૌન પાળવાની બાબતમાં અનુભવી કે રીઢા હોય છે. તેમના મનમાં શું ચાલે છે તેની કોઈને ખબર પણ ન પડે, એવી રીતે બે મિનિટ મૌન પાળતાં એટલે કે મૌનની બે મિનીટ પસાર કરતાં તેમને આવડી ગયું હોય છે. તે સ્વસ્થતાપૂર્વક પોતાની જગ્યાએ ઊભા રહી જાય છે અને ક્યારે સંચાલકનું ઓ..મ સંભળાય એની રાહ જુએ છે. નવોદિતો આટલા સ્થિરચિત્ત હોતા નથી. મૌનની જાહેરાત થાય ત્યારથી તે આસપાસની સૃષ્ટિ જોવામાં ચિત્ત પરોવે છે. આસપાસ, દૂરનજીક ઉભેલાં લોકો, તેમની ઊભા રહેવાની શૈલી, આંખ બંધ કરવાની રીત, ચહેરા પરના હાવભાવ, ચહેરા પર વ્યક્ત થતી ને અદૃશ્ય થઈ જતી અકળામણ...આવું બધું કળવાનો પ્રયાસ તે કરે છે. આસપાસના મૌનીઓનો અભ્યાસ કરવાની તેમની નિષ્ઠા જોઈને ઘડીભર એવું લાગે, જાણે કોઈ સર્વેક્ષણ કંપનીએ તેમને રૂપિયા આપીને, મૌનપાલકોના સર્વેક્ષણ માટે રોક્યા હશે. સર્વેક્ષણકર્તા મૌનપાલકોને જોયા પછી મૌન પાળતી વખતે આંખો બંધ રાખવાના રિવાજનો મહિમા સમજાય છે. આંખ બંધ હોય તેથી મન, કમ સે કમ, બહાર ભટકતું બંધ થાય છે અને અંદર ભટકે છે, જે બીજું કોઈ જોઈ શકતું નથી.

કેટલીક વાર સંચાલક વધુ પડતો લાગણીવશ થઈ જાય અથવા તેની બે મિનીટની ગણતરીમાં ગોટાળો થાય, ત્યારે મૌન છોડાવતાં સહેજ વધુ સમય લાગે છે. સંપૂર્ણ શાંતિ વચ્ચે કંઈ જ કર્યા વિના ઉભેલાં બધાં લોકોના મનમાં એક-એક સેકન્ડનો હિસાબ થતો હોય, ત્યારે થોડો વિલંબ પણ અતિશય આકરો નીવડે છે અને લોકો બેચેન થવા લાગે છે. વ્યવહારુ-અનુભવી મૌનીઓ પણ આંખ ખોલીને સંચાલક તરફ જોવાનું શરૂ કરે છે. સંચાલક જાગ્રત અવસ્થામાં છે કે પછી નિદ્રાસમાધિમાં સરી પડ્યો, એવો અશોભનીય વિચાર તેમને આવી જાય છે. પહેલી લાઇનમાં ઉભેલા અને અકળાતા કેટલાક આત્માઓ પાછળ જોઈને, બીજા લોકો પણ અકળામણ અનુભવે છે કે નહીં, તેની ખાતરી જુએ છે. એવી રીતે નજર કરતાં બીજા કોઈ સાથે નજર એક થઈ જાય, ત્યારે પાછળની લાઇનમાં ઉભેલો જણ આગળ ઉભેલાને ઈશારાથી ઉપર જઈને, સંચાલકને ઢંઢોળવા કહે છે. ત્યાં તો સંચાલક ઓ...મ બોલે છે અને ફરી એક વાર મૌનનું સાટું વાળી નાખવાનું હોય એટલો અવાજ કરીને બધા જગ્યા પર બેસે છે.

બધા બરાબર ગોઠવાય, ત્યાર પછી સંચાલક બોલવાનું ચાલુ કરે છે. ત્યારે ઘણાખરા કિસ્સામાં સુજ્ઞ શ્રોતાઓને થાય છે કે શ્રોતાએ ભલે મૌન છોડ્યું, પણ સંચાલકે મૌન ચાલુ રાખવા જેવું હતું.

Monday, November 22, 2021

રજાના દિવસે સ્નાન

કેટલીક ક્રિયાઓ રોજિંદી હોવાને કારણે તેના પૂરા મહત્ત્વથી ઘણાખરા લોકો અજાણ રહે છે. જેમ કે, સ્નાન. અહીં સ્નાન કરાવવાની—એટલે કે કોઈને નવડાવવાની—નહીં, જાતે નહાવાની વાત છે. મોટા ભાગના લોકોને મન સ્નાન એટલે ‘બે ડબલાં આમ ને બે ડબલાં તેમ’. હકીકતમાં. ‘બાથરૂમનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’ એવી પંક્તિ કોઇ આધુનિક કવિ લખી શકે છે. કેમ કે, રજાના દિવસે નહાવા જવાની વાત આવે એટલે લખનવી વિવેકચાળો ફાટી નીકળે. મહિલા સભ્યોએ તો જવાબદારીપૂર્વક, શક્ય હોય ત્યાં સુધી આવતા પાણીએ, નાહી લીઘું હોય, પણ પુરૂષસભ્યો નહાવાનો વારો આવે એટલે એકબીજા તરફ આંગળી ચીંધે છે. બધાથી પહેલા નહાવા જવું ન પડે એ માટે ‘મારે હજુ દાઢી કરવાની બાકી છે’ જેવા દેખીતા કારણથી માંડીને ‘હજુ મૂડ નથી આવતો’ એવાં શાયરાના કારણો અપાય છે. વધુ દલીલબાજ લોકો ‘રોજ શું નહાવાનું? નહાવામાં આટલો સમય બગાડાતો હશે?’ એવી દલીલ સાથે રોજ ભારતમાં કેટલા માનવકલાકો નહાવામાં વેડફાય છે અને એટલા કલાકો શ્રમમાં વપરાય તો દેશના જીડીપીમાં કેટલો વધારો થાય તેની ગણતરી રજૂ કરી દે છે. યુરોપ-અમેરિકામાં નાગરિકો રોજ નહાતા નથી એટલે જ એ દેશો આટલા આગળ છે, એવી થીયરી પણ તે સમજાવે છે.

કોઇને થાય કે નહાવામાં મૂડની શી જરૂર? પણ રજાના દિવસની સવારે, આઇસક્રીમના ખાલી કપમાં ચોંટી રહેલા આઇસક્રીમની જેમ, જાગ્યા પછી પણ મનમાં થોડીઘણી ઊંઘ ચોંટેલી હોય છે. ત્યારે સુસ્ત થઈને બેસી રહેવાની પણ મઝા હોય છે. એ વખતે કોઈ એમ કહે કે ‘જા, બીજા રૂમમાં ભગવાન પ્રગટ થયા છે’ તો પણ સુસ્તીમાં સેલારા લેતો જણ કહેશે,‘તમે જઈ આવો ને એમને ચા-પાણી કરાવતા થાવ. હું પહોંચ્યો..’ આવા માહોલમાં ‘જા, તારૂં પાણી ગરમ થઈ ગયું છે. નાહી આવ.’ એવો આદેશ સાંભળીને સુસ્તીના સિંહાસન પરથી પદભ્રષ્ટ થવાનું ફરમાન મળ્યું હોય એવું લાગે છે. ઊંઘને ‘લાખ રૂપિયાની’ ગણીએ તો ઉંઘ પછીની સુસ્તી હજારો રૂપિયાની તો ગણાય—અને તેને ‘પાણી થયું છે’ કે ‘મોડું થાય છે’ એવાં મામૂલી કારણસર સુસ્તી લૂંટાવી દેવાની?

ઘણાં ઘરમાં રજાના દિવસે પુરૂષવર્ગ છાપું છોડતો નથી. બધાં બેસણાં અને બધા સમાચાર એ જ ક્રમમાં વાંચી ન લેવાય ત્યાં સુધી તે સ્નાન માટે પ્રેરિત થતા નથી. વચ્ચે વચ્ચે ‘નહાવા જા. ક્યાં સુધી આવો ને આવો અઘોરી રહીશ?’ એવા ઠપકા અપાય છે, પણ તેની અસર થતી નથી. બધું વાંચી લીધા પછી ‘છાપામાં કશું વાંચવા જેવું આવતું જ નથી’ એવો ચુકાદો વધુ એક વાર જાહેર કરીને, જાણે છાપાના નામનું નાહી નાખવાનું હોય એવી રીતે, તે નહાવા જવા તૈયાર થાય છે.

રજાના દિવસે નહાવાની બાબતમાં ઘણા લોકો અંતરના અવાજને અનુસરવાનો દાવો કરે છે. તે કહે છે, ‘મને મન થશે, ત્યારે કોઈનાય કહેવાની રાહ જોવા નહીં રોકાઉં’. આ વાક્યનું ગુજરાતી એવું થાય કે ‘મને મન નહીં થાય, ત્યાં સુધી ગમે તેવી મોટી તોપ હશે, તો પણ એનું કહ્યું નહીં માનું અને નહાવા નહીં જઊં.’ રોજ વહેલા નહાવું પાપ હોય અને તેના અઠવાડિક પ્રાયશ્ચિત તરીકે તે રજાના દિવસે મોડા નહાવાનું હોય, એવો ભાવ એમની વાતમાં સંભળાય છે.
રજાના દિવસે નહાવાનું બાકી હોય એટલું પૂરતુ નથી. પોતાને નહાવાનું બાકી છે અને પોતે રજા ભોગવી રહ્યા છે એ બીજાને દેખાવું પણ જરૂરી છે. એ માટે ઘણા લોકો રજાના દિવસે અગિયાર-બાર વાગ્યા સુધી ચડ્ડા કે બીજા પ્રકારના નાઇટડ્રેસ પહેરીને ફર્યા કરે છે. તેનાથી જોનારને ખબર પડે છે કે આ મૂર્તિએ હજુ સ્નાન કર્યું નથી. ઘડિયાળનો કાંટો આગળ વધે તેમ ‘હજુ’ શબ્દ પર મુકાતું વજન વધે છે અને એક સમય એવો આવે છે, જ્યારે માણસે કચવાતા મને, ‘જે જન્મે છે તેનું મૃત્યુ અને જે ઉઠે છે તેનું નહાવાનું નક્કી છે’ એવી ફિલસૂફી સ્વીકારીને બાથરૂમગમન કરવું પડે છે.

શિયાળામાં આકરી ઠંડી હોય, પહેલો વિચાર કપડાં પહેરીને નહાવાનો આવતો હોય, પણ પીઠ પર મસ્ત ગરમ પાણીનું પહેલું ડબલું પડે ત્યારે શરીરમાં હળવી કંપારી સાથે સ્વર્ગીય સુખની અનુભૂતિ થઇ શકે છે. પીઠ પર પડતા ગરમ પાણીના પહેલા ડબલાનો રોમાંચ મનના તાર ઝણઝણાવી મુકે છે--પાણી વધારે ગરમ રહી ગયું હોય તો એકાદ તાર તૂટી પણ જાય --છતાં નહાવાનું મુખ્ય કામ બાકી હોવાથી લોકો એ વખતે ‘પહેલા ડબલાની યાદમાં’ કે ‘પહેલા ડબલાનો છાંટો’ જેવી કવિતા લખતા નહીં હોય. ઉનાળામાં બફારો-પરસેવો-ઉકળાટ થતો હોય અને એક ડબલું ઠંડા પાણીનું રેડાય એટલે તેની ટાઢક અંતર સુધી પહોંચે છે. પાણી યોગ્ય રીતે ગરમ કે ઠંડું હોય તો પહેલાં બાથરૂમમાં જવા માટે અખાડા કરતો માણસ પછી બાથરૂમમાંથી જલ્દી બહાર નીકળતો નથી.

નહાવાની મઝાથી પુલકિત થયેલો માણસ મનોમન નક્કી કરે છે કે આવતી વખતે રજા આવે ત્યારે વેળાસર બાથરૂમમાં ધૂસી જઇને નિરાંતે નહાવું છે. પણ રજાનું પરોઢ ઉગતાં સુધીમાં એ સંકલ્પો રાજકીય પક્ષના ચૂંટણીઢંઢેરાની જેમ ભૂલાઇ જાય છે.

Tuesday, November 16, 2021

પેટ્રોલ-ચિંતન

કોઈ સમાજશાસ્ત્રીએ હજુ સુધી ભલે કહ્યું નથી, પણ સરેરાશ ગુજરાતીઓ ચિંતનપ્રિય પ્રજા છે. એક સમયે ગુજરાતી હાસ્યકલાકારો ગમે ત્યાંથી હાસ્ય શોધી કાઢવાનો દાવો કરતા હતા (એ હાસ્ય મોટે ભાગે ‘ગમ્મે તેવું’ જ રહેતું એ જુદી વાત છે.) એવી રીતે સરેરાશ ગુજરાતી લેખકો ગમે ત્યાંથી ચિંતન શોધી શકે છે. પરંતુ છેલ્લા થોડા સમયમાં થયેલો પેટ્રોલનો ભયંકર ભાવવધારો એકેય ચિંતનલેખનું કારણ બન્યો નથી. તેનાથી ગુજરાતી ચિંતનવાચકોમાં વિદ્રોહની લાગણી જન્મે અને વિદ્રોહસ્વરૂપે તે જાતે જ ચિંતવાનું શરૂ કરી દે, તેવી ચિંતા રહે છે.
સરકાર પ્રત્યેની વફાદારી જેવા મહત્ત્વના મુદ્દાને બદલે, પેટ્રોલ-ચિંતનના અભાવ જેવી ફાલતુ બાબત માટે ગુજરાતી લેખકોની પ્રતિભા સામે કોઈ આંગળી ચીંધે તે ઠીક નહીં. આ વાક્યમાં કોઈને ‘ગુજરાતી ચિંતક’ને બદલે ‘ગુજરાતી લેખક’ એવો શબ્દપ્રયોગ ખટકે, તે પહેલાં ચોખવટઃ ગુજરાતીમાં કંઈ પણ લખનાર લેખક આપોઆપ ચિંતક, વિચારક ગણાઈ જાય છે—સિવાય કે તેમણે સરકારમાં સોગંદનામું કરીને ગેઝેટમાં જાહેરખબર આપી હોય કે ‘આજ પછી મને ચિંતક યા વિચારક તરીકે ઓળખાવનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી.’

તો ચિંતનનો લીલો દુકાળ ધરાવતી ગુર્જર ભૂમિમાં એન્કાઉન્ટરો વિશે ચિંતન થઈ શકે છે, પણ પેટ્રોલના ભાવવધારા વિશે ચિંતન થતું નથી—આવું મહેણું વહેલી તકે દૂર કરી દેવું જોઈએ. ‘પેટ્રોલ પમ્પની પાળેથી’, ‘પેટ્રોલની નોઝલને દૂરથી જોતાં’, ‘પેટ્રોલના ભાવનું હાઇ-કુ’ એવાં કાવ્યો કે ‘પેટ્રોલના પમ્પ ઉપર સાયબાનો ફોટો/સાયબો છે મારો છેક નફ્ફટ ને ખોટો’—એવી ‘ગીઝલ’ (ગીતનુમા ગઝલ) રચવાની શક્તિ તો નથી. ઉપરાંત, સરકાર દુઃખી ન થાય એવી રીતે કાવ્યસર્જન કરનારા પૂરતી માત્રામાં છે. એટલે થયું કે ગદ્ય ચિંતન પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તો શરૂ કરીએ?

સપનાંની જેમ પેટ્રોલને પણ ઉડવા માટે પાંખોની જરૂર નથી પડતી. તેની હળવાશ એવી તે હળવી હોય છે કે તેને પીંછાનો પણ ભાર લાગે. પીંછાં સાથે તો સૌ કોઈ ઉડે. વગર પીંછે ઉડે તે પેટ્રોલ. ભલે ને તે રસાયણ ગણાતું, પણ તેને ઑર્ગેનિક ન ગણવામાં ઑર્ગેનિકનું અપમાન છે. એમ તો ચિત્તના વ્યાપારો પણ છેવટે રસાયણ જ છે. તેને ‘રાસાયણિક’ તરીકે ઉતારી પાડવાની ધૃષ્ટતા કોઈ દેખાડશે?

ઉડતું પંખી જોઈને આદિમાનવને વિસ્મય થયું હશે, પણ આધુનિક મનુષ્યને તેમાં કશી નવાઈ નથી લાગતી. પેટ્રોલ પહેલી વાર અસ્તિત્ત્વમાં આવ્યું, ત્યારે તેની ઉડ્ડયનશીલ અને જ્વલનશીલ પ્રકૃતિ વિસ્મિત મનુષ્યને દૈવી લાગી હશે, પણ પછી તેનો ઉપયોગ દૈવી તેમ જ આસુરી કાર્યોમાં સામાન્ય થઈ પડ્યો. વર્તમાનમાં સર્જાયેલો પ્રશ્ન તેની સ્વભાવગત નહીં, પણ ભાવગત ઉડ્ડયનશીલતાનો છે.

આપણી સંસ્કૃતિમાં ભાવનું બહુ મહત્ત્વ છે. નાટ્યશાસ્ત્ર હોય કે કાવ્યશાસ્ત્ર, ભાવ, ભાવપલટા, ભાવભંગિમાઓ અને ભાવવિરેચન તેનાં મહત્ત્વનાં અંગો છે. સંસ્કૃત આચાર્યોએ ભાવનો મહિમા કરતાં કહ્યું છે કે ‘જે ભવ તારે છે, તે ભાવ છે.’ (આચાર્યનું નામ યાદ નથી આવતું. કદાચ મેં પણ આવું કહ્યું હોય.) પરંતુ રસશાસ્ત્ર અને ભાવશાસ્ત્ર જનસામાન્યને દુર્બોધ ભાસે છે. તેમનો સીધો સંબંધ અર્થશાસ્ત્ર જેને ‘ભાવ’ તરીકે ઓળખાવે છે અને અંગ્રેજીમાં જેને પ્રાઇસ કહેવામાં આવે છે, તેની સાથે હોય છે. પ્રિયતમાના લહેરાતા કેશ જેવી કાળી ભમ્મર સડક પર પડેલા પેટ્રોલની સપ્તરંગી ઝાંયના સૌંદર્યનો આસ્વાદ માણવાને બદલે જનસામાન્ય પેટ્રોલના ભાવવધારાથી ચકિત થાય છે. વિદ્વજ્જનોની પેઠે પેટ્રોલના સ્થાયી ભાવનું ચિંતવન કરવાને બદલે અથવા પેટ્રોલની પ્રકૃતિગત ઉડ્ડયનશીલતાથી મુગ્ધ થવાને બદલે, તે એક લીટર પેટ્રોલના ભાવને ચિત્ત ધરે છે અને પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવતી વખતે, પમ્પ પર દેખાતા પેટ્રોલના ઊંચા ભાવને (શબ્દાર્થમાં) તાકે છે.  

સંસ્કૃતિના અધઃપતનની ચિંતા અને તેના પુનઃસ્થાપનના પ્રયાસ કેટલા ઔચિત્યપૂર્ણ અને વાજબી છે, તે જનસામાન્યના પેટ્રોલ-વિષયક મનોવ્યાપારોથી એવી રીતે ઉપસી આવે છે, જાણે પેટ્રોલ પમ્પ પર વડાપ્રધાનની તસવીર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો મહિમા ધરાવતી આપણી સંસ્કૃતિમાં પેટ્રોલના ઊંચા ભાવ ‘અર્થ’નો આવશ્યક હિસ્સો છે. ઋષિમુનિઓએ તેને જીવનનો અનિવાર્ય ભાગ ગણ્યો છે, ત્યારે જનસામાન્યે પેટ્રોલના ભાવવધારાને જીવનનો અર્થયોગ ગણીને તેની ઉજવણી કરવી જોઈએ. જીવતરની રોજિંદી ઘટમાળમાં અર્થયોગની કસોટી જેટલી આકરી, એટલી જ મોક્ષની શક્યતાઓ વધારે. આવું ભારતીય સંસ્કૃતિની પરંપરાનો તલસ્પર્શી અભ્યાસ કરનારા એક અમેરિકન ચિંતકે અમેરિકામાં મારા પ્રવચન પછી મને કહ્યું, ત્યારે આપણી સંસ્કૃતિના મહિમાથી મારી આંખ ભીની થઈ હતી. જેટલી વાર પેટ્રોલના ભાવવધારા વિશે કશોક ઊહાપોહ ધ્યાને ચડે છે, ત્યારે મને એ અમેરિકન ચિંતક યાદ આવે છે.

પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવતી વખતે ઘણાને બુદ્ધક્ષણોનો અનુભવ થાય છે. આપણા વડાપ્રધાનશ્રી પોપને મળી આવ્યા, ત્યારે તેમના ચહેરા પર જે ચમક હતી, તે લાખો દેશવાસીઓની આંખોમાં પેટ્રોલ પુરાવતી વખતે, પેટ્રોલનો ભાવ જોઈને આવતી ચમકનું પ્રતિબિંબ હતી. એક લીટરના ભાવ ત્રણ આંકડામાં પહોંચી ગયા પછી કેટલાક દેશવાસીઓને આધ્યાત્મિક વિરક્તિની કામચલાઉ અનુભૂતિ થાય છે, જે મેળવવા માટે પહેલાં ગિરનાર કે હિમાલય જવું પડતું હતું. સરકારશ્રીની આવી અસીમ આધ્યાત્મિક કૃપાનો જગતમાં જોટો જડે એમ નથી. દેશને તેની અસલની, પ્રાચીન આધ્યાત્મિક ઊંચાઈ પર પહોંચાડવા માટે અને વિશ્વગુરુના સ્થાને પુનઃપ્રતિષ્ઠિત કરવા માટે જરૂર છે પેટ્રોલના ભાવવધારાનું અધ્યાત્મ સમજવાની.

Tuesday, September 28, 2021

ખાડાનું અધ્યાત્મ

ભારત આધ્યાત્મિક દેશ છે. કમ સે કમ પશ્ચિમી દેશોમાં ઘણા લોકો એવું માને છે. પશ્ચિમવાળા ટીકા ન કરે ત્યાં સુધી, તે લોકો આપણા વિશે જે કંઈ માને તે આપણને બહુ ગમતું હોય છે. કેટલાક લોકો માને છે કે ભારતમાં અધ્યાત્મ—એટલે કે તેનું બજાર—ખાડે ગયું છે. પરંતુ ખાડા અધ્યાત્મે ગયા છે કે નહીં? તે પણ ચર્ચવા જેવું છે. તેના માટે પાયાનો સવાલ એ છે કે આધ્યાત્મિક એટલે શું?

ભારતીય અધ્યાત્મના જેટલા શેડ છે, એટલા તો કોઈ રંગની કંપનીના શેડકાર્ડમાં પણ નહીં હોય. તેમાંથી કયા શેડનું અધ્યાત્મ સાચું? આ સવાલના જવાબથી અધ્યાત્મની શરૂઆત થાય છે. કારણ કે ખરો આધ્યાત્મિક જણ કહેશે, ’કયું સાચું ને કયું ખોટું, એ નક્કી કરનારો હું કોણ? જેને જે સાચું લાગે તે સાચું.’ આવા ઉચ્ચ વલણને કારણે, નામીચા બદમાશ અને ગુંડા પુરવાર થઈ ચૂકેલા કથિત ધાર્મિક-આધ્યાત્મિક નેતાઓનો પણ વિશાળ અનુયાયી વર્ગ હોય છે.

કેટલાક ઉત્સાહીઓ પોતપોતાના ધર્મ વિશે કહેતા ફરે છે, ’અમારો ધર્મ એ કંઈ નકરો ધર્મ નથી. એ તો જીવન જીવવાની રીત છે.’ મતલબ, ધર્મ અને અધ્યાત્મ જીવનની દરેક બાબતમાં લાગુ પાડી શકાય—અને જો એમ જ હોય તો પછી રસ્તા પર પડતા ખાડાની ચર્ચામાં પણ તેને કેમ ન સાંકળી શકાય? અધ્યાત્મમાં કહ્યું છે કે કોઈ પણ કર્મ થાય, એ સાથે જ તેનું કર્મફળ પેદા થાય છે. એ રીતે જોતાં, ખાડાને રસ્તાનું કર્મફળ ગણી શકાય. જેમ જન્મ એ મૃત્યુનું કારણ છે, તેમ નવા રોડ બનવા એ ખાડા પડવાનું મૂળ કારણ છે. પાકો રસ્તો જ ન હોત અને આખો રસ્તો ખાડાખૈયાવાળો હોત, તો ‘ખાડો પડ્યો’ એવું કોણ કહી શકત? એવા સંજોગોમાં રસ્તા પરનો ખાડો પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત ગણાત—અનાદિ કાળથી પડેલો અને અનંત કાળ સુધી રહેનારો. તેમાં કશો ફેરફાર કરવો—એટલે કે પાકો રસ્તો બનાવવો—એ સૃષ્ટિના ક્રમમાં, અથવા ચિંતનખોરો કહે છે તેમ કૉસ્મિક લયમાં, ભંગ પાડવા જેવું ગણાત.

સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે કંઈ ડામરના કે આરસીસીના રસ્તા હતા? કદી સાંભળ્યું કે તોફાને ચડેલાં ડાયનોસોરોએ દોઢ-બે કિલોમીટરનો પાકો રસ્તો તેમનાં શીંગડાં-ભીંગડાંથી તહસનહસ નાખ્યો? ક્યારેય એવું વાંચવામાં આવ્યું કે પૃથ્વી પર એક લઘુગ્રહ ખાબકતાં દસ કિલોમીટરના વ્યાસમાં આવેલા બધા પાકા રોડ ખાડામાં ફેરવાઈ ગયા? પૃથ્વીનું સૌથી પ્રાકૃત કહો કે પ્રાકૃતિક, તે સ્વરૂપ ખાડાવાળું છે. રસ્તા તો ‘સુધારા’નું પરિણામ છે અને રસ્તા પર પડેલા ખાડા વિશે ફરિયાદ કરવી, એ દુષ્ટ સુધારાવાળાઓનું લક્ષણ છે. આવું ભદ્રંભદ્રે પહેલાં ભલે ન કહ્યું, પણ તે અત્યારે વિદ્યમાન હોત તો જરૂર કહેત.

ખાણીપીણીથી માંડીને સૌંદર્યલક્ષી ચીજવસ્તુઓની બાબતમાં ઘણા લોકો ‘ઑર્ગેનિક’નો આગ્રહ રાખતા હોય છે, એટલે કે, જેમાં કશી અકુદરતી-રાસાયણિક પદાર્થોની ભેળસેળ ન હોય. એ દૃષ્ટિએ જોતાં, થોડું સાહસ એકઠું કરીને કહી શકાય કે ખાડા એ રસ્તાનું ઑર્ગેનિક સ્વરૂપ છે. ઑર્ગેનિક ચીજવસ્તુઓના પ્રેમીઓને આ વાત સૈદ્ધાંતિક રીતે તરત સમજાઈ જશે. જોકે, સિદ્ધાંત સમજ્યા પછી પણ, તેનો જાહેરમાં ખુલ્લા મને સ્વીકાર કરવો-રસ્તાની ‘ઑર્ગેનિક અવસ્થા’ વિશે ફરિયાદ-તકરાર ન કરવી, એ સાવ અલગ બાબત છે. તેના માટે ઉપદેશ અને આચરણ વચ્ચેની એકરૂપતા જેવા, કહેવાતી આધ્યાત્મિક પરંપરામાંથી લગભગ ગાયબ એવા ગુણની જરૂર પડે. તે ગુણની ગેરહાજરીને કારણે દેશની સરેરાશ જનતા અધ્યાત્મવાદી હોવા છતાં અને સંભવતઃ રસ્તા પરના ખાડાનો આધ્યાત્મિક, પૌરાણિક મહિમા સમજતી હોવા છતાં, તેમના વિશે કકળાટ કરી શકે છે. જેમ જેમ માણસની ભૂમિકા ઉચ્ચ થતી જાય અને તે ‘ભક્ત’, ‘પરમ ભક્ત’ જેવાં પગથિયાં ચડતો જાય, તેમ તેને રસ્તાના ખાડામાં આધ્યાત્મિક સંદેશ અને ‘બૅક ટુ નેચર—કુદરત ભણી પાછા વળો’નું આહ્વાન દેખાતું થાય છે. ત્યાર પછી તે ખાડાને તિરસ્કારથી નહીં, કુદરતની લીલા અને પૃથ્વીના આદિ સ્વરૂપ તરીકે જોવાનું શરૂ કરે છે.

કેટલાક અસંતુષ્ટો એવી ફરિયાદ કરે છે કે સરકાર રોડનું બરાબર ધ્યાન રાખતી નથી. બધા જાણે છે કે આ વાત સદંતર ખોટી છે. હકીકતમાં દર વર્ષે સરકારો એકથી વધારે વાર રસ્તા પરના ખાડાનાં સમારકામના લાખો-કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કાઢે છે અને દર વર્ષે નિયમિત રીતે ખાડા પુરાવે છે. ‘સરકાર દર વર્ષે રસ્તાનો જીર્ણોદ્ધાર કરાવે છે કે ખાડાનો?’ એવો સવાલ પણ કંઈક ભાળી ગયેલા જીવોને થઈ શકે છે.

પરંતુ સરકારની આધ્યાત્મિક વૃત્તિ સતેજ છે અને નાગરિકોની આધ્યાત્મિક વૃત્તિની ચિંતા પણ તેના હૈયે વસેલી હોય છે. એટલે ખાડા જેવી આધ્યાત્મિક ઘટનાથી નાગરિકોને વંચિત રાખવાનું પાપ તે વહોરતી નથી. તેના બદલામાં ખાડા પુરવાના અને તેમની ઉપર નવા રસ્તાનું આવરણ કરાવવાના કામમાં કરોડો રૂપિયા ખર્ચવાનું અને લોકનિંદા વેઠવાનું તેને મંજૂર છે. આ કામ કરાવતી વખતે ખર્ચાયેલા રૂપિયાના અભિમાનમાં સરકારો ખાડાની મહત્તા અવગણતી નથી અને એટલી સાવધાની રાખે છે કે બે-ચાર વરસાદી ઝાપટાંમાં ખાડાખૈયાવાળા રોડ પર બનાવેલું નવું આવરણ ઉખડી જાય અને રસ્તો ફરી તેના અસલ, ઑર્ગેનિક સ્વરૂપે આવી જાય એટલે કે તેની પર ઠેરઠેર ઠેકઠેકાણે ખાડા ખીલી ઉઠે.

Tuesday, September 21, 2021

રાજીનામું આપવાની કળા

લેખનું શીર્ષક ખરેખર તો ‘રાજીનામું અપાવવાની કળા’ એવું હોય તો લોકોને વધારે રસ પડે. પણ હકીકત એ છે કે રાજીનામું અપાવવામાં કોઈ કળાની જરૂર હોતી નથી. એમાં તો, આંખ કાઢીને એક લીટીમાં કહી દેવાય તો પણ કામ થઈ જાય. પછી બાકીના પુસ્તકમાં લખવાનું શું? રાજીનામું અપાવનારને જાહેરમાં કેવો મહાન કહેવો પડે છે અને તેના વિશેનો સાચો અભિપ્રાય કેમ ખાનગી રાખવો પડે છે, તેની મજબૂરીભરી મૂંઝવણ?

કળા જેવી કળા જેને કહેવાય એ તો છે રાજીનામું આપવાની કળા. જાણતલો કહેશે કે ઘણા સમયથી આજ્ઞાંકિતતાનો મહાસાગર બની રહેલા લોકોને છેલ્લો કટોરો ઝેરનો પીવામાં એટલે કે રાજીનામું આપવામાં શી તકલીફ પડે? તેમને તો ‘લાઈ હયાત આયે, કઝા લે ચલી ચલે/ અપની ખુશી ન આયે, ન અપની ખુશી ચલે’—એ શેર પ્રમાણે, પોતાની ઇચ્છાથી આવવાનું નથી હોતું ને પોતાની ઇચ્છાથી જવાનું પણ નથી હોતું. તો પછી હાયહાય શાની ને એવા કામમાં કળા પણ કેવી?

વાસ્તવમાં સાવ એવું નથી. લોકો ગમે તે માને, નેતાઓ, સત્તાધીશો—ખાસ કરીને રાજીનામું આપનારા-- આખરે માણસ હોય છે. ચેનલોનાં માઇકની સામે પક્ષની શિસ્ત અને સંગઠનની શક્તિની ચ્યુંઇંગ ગમો ચાવ્યા પછી તેમનું પણ મોં દુખી જાય છે અને થાક લાગે છે. એ વખતે મોં હસતું રાખવા માટે અને હૃદયભંગથી બચવા માટે પણ રાજીનામું આપવાની કળા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આર્ટ ઑફ લિવિંગના વર્ગો ચાલતા હોય, તો આર્ટ ઑફ રિઝાઇનિંગના ક્લાસ, ભલે મર્યાદિત વિદ્યાર્થીઓ માટે, ભલે કોઈ પણ વયજૂથના લોકો માટે, ભલે ખાનગી રાહે, પણ કેમ નહીં?

વિવેચકો અને ઝીણું કાંતનારા પૂછશેઃ રાજીનામું આપવાની કળા એ ‘કળા ખાતર કળા’ છે કે ‘જીવન ખાતર કળા’? તે પાશ્ચાત્ય પ્રભાવથી પ્રેરિત છે કે ભારતીય સંસ્કૃતિથી? પહેલા સવાલનો જવાબ સ્પષ્ટ છેઃ આ જીવન ખાતર, વધુ ચોખવટથી કહીએ તો રાજકીય જીવન ટકાવી રાખવા ખાતરની કળા છે. રાજીનામું આપ્યા પછી સત્તા અને પદ તો જતાં રહે છે, પણ ત્યાર પછીનું જીવન સાવ રાજકીય વનવાસમાં ન જાય રાજીનામા પછી પણ રાજકીય જીવન શેષ રહે, તેના માટે સૂચના મળ્યે રાજીનામું ધરી દેવું જરૂરી છે. તેના આધારે ભવિષ્યમાં બીજા કોઈ હોદ્દાની સંભાવના રહે છે. પરંતુ ઉપરથી કહેવા છતાં રાજીનામું આપવાનો ઇન્કાર કરવાનો તો ઠીક, તે માટેનાં કારણ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવે, તો તે ગેરશિસ્ત લેખાઈ શકે છે. ત્યાર પછી અડવાણીની જેમ અનંત પ્રતિક્ષા પ્રાપ્ત થાય છે. રાજીનામું આપવાની કળા આવડતી હોય તો ગાલ લાલ રાખી શકાય છે અને તે લાલીને તમાચાની અસર નહીં, પણ તંદુરસ્તીનું પ્રતીક ગણાવી શકાય છે. પાળીતાઓ આવા ફરજિયાત આપવા પડેલા રાજીનામાને પણ નૈતિક જીત કે એવું કશું નામ આપીને, પીછેહઠને આગેકૂચ તરીકે વર્ણવી શકે છે.

રહી વાત પ્રભાવને લગતા સવાલની. તો પાશ્ચાત્ય વડાઓ ભલે પોતાની માલિકીની કંપનીઓમાંથી વેળાસર નિવૃત્ત થઈ જતા હોય, પણ એ પરંપરાનાં મૂળ વાનપ્રસ્થાશ્રમની પરંપરામાં રહેલાં છે. રાજીનામું આપીને, દૂરના ભવિષ્યમાં ફરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની આશા જીવતી રાખીને, કામચલાઉ વાનપ્રસ્થમાં જવાનું પગલું ભારતીય પરંપરાને પણ શોભાવનારું છે. આમ, શિસ્તની શિસ્ત, સંસ્કૃતિની સંસ્કૃતિ ને ઉજળી સંભાવનાઓ—આવા ત્રિવિધ ફાયદા રાજીનામું આપવાની કળા દ્વારા મેળવી શકાય છે.

કેટલીક વાર માણસને રાજીનામું લખવાની તક સુદ્ધાં મળતી નથી. રાજીનામું આપવાની કળા ત્યારે પણ ઉપયોગી નીવડે છે. તેના પ્રતાપે ત્યાગ, વિરક્તી, વૈરાગ્ય, નિઃસ્વાર્થ સેવા, સમર્પણ, વફાદારી, કર્મણ્યેવાધિકારસ્તે... વગેરે શબ્દો સાથેની વાતો કરીને પોતાની ઉચ્ચ નૈતિક ભૂમિકા દર્શાવી શકાય છે. તેમના પગ નીચેથી જાજમ ખેંચાઈ ગઈ હોવાને કારણે શારીરિક ભૂમિકા તો અમસ્તી પણ, જમીન પરથી ઉછળીને પટકાતાં પહેલાં હોય એવી ‘ઉચ્ચ’ જ હોય છે.

કેટલાક લોકો એવા હોય છે, જે બીજા પાસેથી રાજીનામું લઈ લેવા અંગે ઉત્સાહી હોય અને રાજીનામું આપવાની પવિત્ર ચેષ્ટાનું પુણ્ય હંમેશાં બીજા કમાય એવું જ ઇચ્છતા હોય છે. તે પોતે કદી રાજીનામું આપતા નથી. એટલું જ નહીં, તેમણે રાજીનામું આપવું જોઈએ એવો વિચાર સુદ્ધાં જેના મનમાં આવતો જણાય, તેનું રાજીનામું તે પહેલી તકે પડાવી લે છે. પહેલાંના સમયમાં નેતાઓનું એટલું વજન રહેતું કે નેતાઓ રાજીનામાની ધમકી આપીને ધાર્યું કામ કઢાવી શકતા હતા. એ વખતે, સ્વીકાર ન થાય એવી રીતે રાજીનામું આપવાની કળાની બોલબાલા હતી. પરંતુ ઘણા સમયથી એ કળાનાં વળતાં પાણી છે.

હવે તો સત્તાધારી પક્ષના બે સિવાયના નેતાઓને હંમેશાં ટેન્શન રહેતું હશે કે ગમે ત્યારે તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં ન આવે. સત્તાધારી પક્ષનો હાઇકમાન્ડ જે રીતે રાજ્યોના મુખ્ય મંત્રીઓનાં રાજીનામાં માગી લે છે તે જોતાં, સરકારમાં ક્યાંક એક નવું રાજીનામા મંત્રાલય ઊભું કરવું પડે તો પણ નવાઈ નહીં. એ મંત્રાલયના મંત્રી પોતે દાખલો બેસાડવા માટે દર મહિને રાજીનામું આપે અને નવા નેતાને એ મંત્રીપદની તક આપે. એવું થાય તો રાજીનામા સાથે સંકળાયેલો ખોફનો માહોલ હળવો થશે અને ભારતીય પ્રજા જેમ પેટ્રોલના તોતિંગ ભાવવધારા સાથે જીવતાં શીખી ગઈ, તેમ નેતાઓ રાજીનામા માગી લેતા હાઇકમાન્ડ સાથે હસીખુશીથી જીવતાં શીખી જશે. એ જ તો છે જીવન જીવવાની ખરી કળા.

Monday, September 06, 2021

સ્મારકોનું નવનિર્માણ

સરકારો અને શાસકો ઇચ્છે કે ન ઇચ્છે, ઇતિહાસ થવાનું તેમના લમણે લખાયેલું હોય છે. શાસકો તે બરાબર જાણતા હોય છે. એટલે તેમનો પ્રયાસ ઇતિહાસની નહીં, પણ પોતાની મરજી પ્રમાણે પોતાનું પ્રકરણ લખીને જવાનો હોય છે. વર્તમાન શાસકો આ બાબતમાં એકદમ આત્મનિર્ભર છે. એટલે તે પોતાનો જ નહીં, પહેલેથી લખાઈ ચૂકેલો ઇતિહાસ પણ પોતાની મરજી પ્રમાણે ફરી લખવા તલપાપડ હોય છે. ગયા સપ્તાહે થયેલું જલિયાંવાલા બાગ સ્મારકનું નવનિર્માણ તેમની એ તલપાપડગીરીનો વધુ એક નમૂનો છે.

વર્તમાન શાસકોને ન્યાય ખાતર કહેવું જોઈએ કે આ વૃત્તિ નાના પાયે શાસિતોમાં-લોકોમાં પણ રહી છે. ઐતિહાસિક સ્થળો, સ્થાપત્યો, ઇમારતો જેવાં સદીઓ જૂનાં સ્થળોએ કે ઇમારતો પર, હાલમાં કોણ કોને પ્રેમ કરે છે, તેને લગતાં લખાણ લખવાં એ આપણી પ્રજાકીય ખાસિયત રહી છે. તેની પાછળનો પવિત્ર આશય પોતાના પ્રેમને ઇતિહાસમાં અમર કરી દેવાનો જ હશે, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્મારકોમાં સામાન્ય લોકો આવું કરે તો તેનાથી સ્મારકને નુકસાન થયું ગણાય. પણ કાયદો બનાવનારા શાસકો પોતે આવું કરે તો તે સ્મારકોનું નવનિર્માણ કહેવાય. વર્તમાન શાસકોની સ્મારક-નવનિર્માણ પદ્ધતિ એવી છે કે તેમના દ્વારા ‘વિકાસ પામેલાં’ સ્મારકોને મનની આંખથી જોતાં ‘આઇ લવ આઇ’ અથવા ‘મોદી લવ્ઝ મોદી’ લખેલું તરત વંચાઈ જાય. મામલો તો આખરે ઇતિહાસમાં અમરત્વ મેળવવાનો છે. તે પોતાની કામગીરીથી ન મળે તો કોઈની કામગીરી પર પોતાનાં લેબલ મારીને પણ હાંસલ કરી લેવું.

નવાં સ્મારક બનાવવાં અને જૂનાં સ્મારકોને જાળવી રાખવાં એ કળા છે. શાસકોને તે કળા આવડવી જરૂરી નથી. તેમનું કામ આવી કળા આવડતી હોય તેવા લોકોને કામ સોંપવામાં છે. વર્તમાન સરકારમાં આવા લોકો નક્કી છે. એટલે આવાં સ્મારકોની જાળવણીનું કે નવા બાંધકામનું કોઈ પણ કામ નીકળે તો તેના આર્કિટેક્ટ કોણ હશે અને કઈ એજન્સી તે સ્મારકનું ઇતિહાસનું, સુશોભનનું તેમ જ ઇતિહાસના અનુકૂળ સુશોભનનું કામ કરતી હશે, એની ધારણા સહેલાઈથી કરી શકાય અને મોટે ભાગે તે ધારણા ખોટી ન પડે. કોઈ તેને મળતીયાઓને લાભાન્વિત કરવાની નીતિ કહી શકે, તો કોઈ સાતત્ય પણ કહી શકે. પરંતુ અંતે નવનિર્મિત સ્મારકની જે દશા થાય છે તે જોતાં એટલું ચોક્કસ સમજાય છે કે ઘણાં નવનિર્માણ ખંડન કે તોડફોડ કરતાં પણ વધારે ખતરનાક હોય છે. કારણ કે તેમાં જૂના સ્મારકની ગરીમાનું-ઐતિહાસિકતાનું-વાતાવરણનું પૂરેપૂરું ખંડન થઈ ગયું હોવા છતાં, તે કહેવાય છે નવનિર્માણ. તેને ‘ખંડન’ તરીકે ઓળખાવનારા સરકારવિરોધી અને એવાં બીજાં વિશેષણો મેળવે છે.

ઘણાંખરાં રેસ્તોરાંની પંજાબી સબ્જી માટે કહેવાય છે કે તેમાં રસો તો એકસરખો જ હોય છે, ફક્ત ઉમેરણ બદલાય છે. વર્તમાન સરકારના નવનિર્માણ પ્રોજેક્ટોનો મામલો પણ કંઈક એવો જ લાગે છે. સ્થળ ગમે તે હોય, પણ તેનું નવનિર્માણ કરવાની કે નવા સ્મારકનું નિર્માણ કરવાની તેની પદ્ધતિ એવી છે કે મુલાકાતી પર સ્મારક કરતા સ્મારકના નવનિર્માણની અને તે પ્રોજેક્ટનો હુકમ આપનાર શાસકની અસર વધારે પડે. જેમ કે, ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’ના પ્રવાસે ગયેલા લોકો પાછા ફરીને બગીચાની, લાઇનોની, તોતિંગપણાની, રેલવે સ્ટેશનની, સ્પેશિયલ ટ્રેનોની, ભૌતિક સુવિધાઓની કે તેમાં પડતી મુશ્કેલીઓની વાત કરશે. સરદાર પટેલના જીવનકાર્ય વિશે ભાગ્યે જ કોઈના મોઢેથી કશું સાંભળવા મળશે. એ છે અસલી ટૅક્નિક, જેમાં સરદારના નામે સ્મારક થઈ ગયું, પણ જયજયકાર જેનું સ્મારક છે તેના કરતાં ઘણો વધારે જેણે સ્મારક બનાવ્યું, તેનો થાય. આ થઈ નવા નિર્માણની વાત. જૂની જગ્યાના નવનિર્માણમાં ‘સરદાર પટેલ સ્ટેડિયમ’નું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ થઈ જાય અને સરદાર પટેલનું નામ આખા રમતગમત સંકુલને આપી દેવામાં આવે. ભક્તો તેને સરદાર પટેલનું પ્રમોશન સાથેનું બહુમાન ભલે ગણાવે, પણ જેમણે સમજ ગીરવે નથી મુકી એવા લોકોને તરત સમજાઈ જાય કે આ તો સિનિયર નેતાઓને માર્ગદર્શક મંડળમાં મુકવા જેવું પ્રમોશન છે.

વર્તમાન સરકારનું સ્મારક નવનિર્માણ તંત્ર બીજી રીતે પણ પંજાબી સબ્જી જેવું છે. નવનિર્માણની તેમની વ્યાખ્યામાં અઢળક ખર્ચ, ટૅક્નોલોજિનો ઔચિત્યભાન વગરનો ઉપયોગ, સ્મારકનો આત્મા હણી નાખે એવી ચકાચૌંધ અને ભવ્યતા, લેસર શો-લાઇટિંગ...ટૂંકમાં ઐતિહાસિક સ્થળને પિકનિક માટેના સ્થળના દરજ્જે ઉતારી દેવું અને ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી લોકો ઇતિહાસને બહુ અડે નહીં અને અડે તો પણ માત્ર સરકારને અનુકૂળ થાય એવા ઇતિહાસના ટુકડાને જ. સબ્જીની જેમ સ્મારક ગમે તે વ્યક્તિ કે બાબતનું હોય, નવનિર્માણની રીત તો આ જ.

તૂટેલાં કપ-કીટલી-કાચનાં વાસણમાં ફૂલછોડ ઉગાડનારાને આખા કપ-કીટલી-વાસણો જોયા પછી એવો વિચાર આવી જાય છે કે તેને તોડી નાખીએ તો સરસ પૉટ થઈ શકે. વર્તમાન સરકારની સ્મારકો વિશની મનોદશા કંઈક એવી જ છે. જ્યાં જીવનનો-આત્માનો સળવળાટ હોય તેવાં ઠેકાણાંને જોઈને પણ તેમને થતું હશે કે જૂનાને ખતમ કરી દઈએ, તો નવું સરસ બનાવી શકાય. ઔચિત્યનો વિચાર કર્યા વિના સરકાર સ્મારકોને જે રીતે બાહ્ય ઝાકઝમાળની જરીમાં ઝબકોળી રહી છે, તે જોતાં વર્તમાન શાસક અને સરકારને તેમનું અલાયદું સ્મારક બનાવવાની ભાગ્યે જ જરૂર પડે. તેમના દ્વારા નવનિર્મિત સ્મારકોમાં તેમનાં વિચારસરણીની-શાસનકાળની-કાર્યપદ્ધતિની-મથરાવટીની સાચી રજૂઆત થઈ ચૂકી છે.

Saturday, August 28, 2021

મેઘાણી વિશે બે દહાડામાં ઘણું બધું લખાઈ ગયા પછી...

ઝવેરચંદ મેઘાણી ('ઊર્મિ અને નવરચના' મેઘાણી સ્મૃતિ અંકમાંથી)

ઝવેરચંદ મેઘાણી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, લોકસાહિત્યના સંશોધક, નાટ્યકાર, વિવેચક, આસ્વાદક, અનુસર્જન કરનાર, પત્રલેખક, પત્રકાર, કટારલેખક, તંત્રી, ગાયક, સ્વતંત્રતા સેનાની...આ બધું જ હતા. ગુજરાતી સાહિત્ય-લેખનમાં આટલી બધી વૈવિધ્યપૂર્ણ સર્જકતા જૂજ લોકોને મળી હશે. બે-એક દિવસથી તેમના વિશે ઘણી વાત થઈ અને થઈ રહી છે ત્યારે, તે શું ન હતા તે પણ નોંધવા જેવું છે. કદાચ તેમના વિશેની સમજમાં થોડા વધુ મુદ્દા ઉમેરાય.

  • ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ અને ગાન ગાંધીજીને ખૂબ પસંદ હતાં. પરંતુ તેમણે ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રિય શાયર’ કહ્યા હોય એવો કોઈ અધિકૃત ઉલ્લેખ ગાંધીસાહિત્યમાંથી કે ગાંધીજીના નિકટના સાથીદારના લખાણમાંથી હજુ સુધી જોવા મળ્યો નથી. તેમના અવસાન પછી સરદારે દિલ્હીથી લખેલા પત્રમાં પણ 'રાષ્ટ્રિય શાયર'નો કોઈ ઉલ્લેખ નથી. હકીકતમાં મેઘાણીની મહાનતાને ‘રાષ્ટ્રિય શાયર’ જેવા કોઈ છોગાની જરૂર નથી. આવાં છોગાં અખબારી મથાળાં માટે ઉપયોગી બને, પણ તેનાથી મેઘાણીની બીજી ઘણી પ્રતિભાઓ અનાયાસે ઢંકાઈ જાય છે. 
    ઝવેરચંદ મેઘાણીના અવસાન નિમિત્તે સરદાર પટેલનો પ્રતિભાવ

  • ‘મેઘાણી એટલે ચારણી-કાઠિયાવાડી સાહિત્ય-તળ સૌરાષ્ટ્રના શબ્દો’—એ માન્યતા પણ બહુ અધૂરી છે. તેનો એક જ નમૂનો છે 'માણસાઈના દીવા'માં મેઘાણીએ આત્મસાત્ કરેલી મહી કાંઠાના ભાષા. રવિશંકર મહારાજ જેવા મહાન સેવકની કામગીરી મેઘાણીએ જે રીતે ઝીલી છે, તેમાં નકરું આલેખન, રિપોર્ટિંગ, દસ્તાવેજીકરણ કે ભાષાના ભભકા નથી. તેમાં માનવમનનાં ઊંડાણની અને તેના પ્રવાહોની સમજ તથા સમસંવેદન છે. આ પુસ્તકની 1947થી 1967 સુધીમાં ત્રણ આવૃત્તિ અને પછી દસ પુનઃમુદ્રણ થયાં હતાં. કારણ કે ત્યારના ગુજરાતની રવિશંકર મહારાજ અને શ્રી શ્રી રવિશંકર વચ્ચે ગોટાળો થાય એવી અવદશા ન હતી.
  • મેઘાણી મુખ્યત્વે મધુર ગીત-કવિતાઓ, ભભક ધરાવતી શબ્દાવલિના કવિ-લેખક કે શૌર્ય પ્રેરતાં કાવ્યોના રચયિતા—એવી માન્યતા પણ યોગ્ય નથી. આપણા સમાજનાં છેવાડાનાં ગણાતા લોકોના જીવનસંઘર્ષને વ્યાપક સ્વરૂપે રજૂ કરતી તેમની ઘણી કવિતાઓ અને કૃતિઓ છે, જે યાદ કરાતી નથી.
  • મેઘાણી એટલે હિંદુ-મુસલમાન એકતાના પ્રખર સમર્થક અને ધાર્મિક લાગણીના આટાપાટા વીંધીને અંદરના માણસનું દર્શન કરાવનાર. સંઘર્ષને બદલે સહઅસ્તિત્વના ઇતિહાસમાંથી બોધ ખેંચનાર અને તેની સુદૃઢતા માટે કોશિશ કરનાર જણ. તેમના આ પાસા વિશે આપણા કહેવાતા રાષ્ટ્રવાદીઓ જાણે કે વાંચે, તો મેઘાણી તત્કાળ ડાબેરી, સેક્યુલર, લિબરલ, હિંદુવિરોધી વગેરેમાં ખપી જાય. (તસવીરમાં ફૂલછાબની ભેટ પુસ્તિકા તરીકે તેમણે તૈયાર કરેલી કેટલીક પુસ્તિકોનાં પૂંઠાં મૂક્યાં છે.) 
    મેઘાણી અને સતીકુમારે તૈયાર કરેલી 'ફૂલછાબ'ની કેટલીક ભેટ પુસ્તિકાઓ
  • મેઘાણી એટલે સાહિત્યમાં અને સાહિત્ય થકી, સામાન્ય માણસમાં રહેલી અસામાન્યતા પ્રગટાવવાની મથામણ કરનાર, તેમનામાં ટમટમતા માણસાઈના દીવાની વાટ સંકોરનારા સર્જક. મુદ્દે, મેઘાણી એટલે લોકના માણસ. તેમનું સાહિત્ય અઘરું નહીં. લોકને સમજાય એવું. લોકભોગ્ય ખરું, પણ લોકરંજક નહીં. લોકને ગલગલિયાં કરાવે એવું બિલકુલ નહીં.
  • ગઈ કાલે એવું વાંચવામાં આવ્યું કે ‘આપણે જે ભાષા બોલીએ છીએ, આપણી નવગુજરાતી પેઢી જે ભાષા સમજે છે એનો પાયો ઝવેરચંદ મેઘાણી, ચંદ્રકાંત બક્ષી જેવા અનેક લેખકોએ નાખ્યો. ન સમજાય એવું ભદ્રંભદ્રિય ગુજરાતી બોલવાને બદલે એમણે આપણને શીખવ્યું કે આપણી જ ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો અને અન્ય ભાષાઓના સારા શબ્દોને આપણી ભાષામાં ઉમેરવાથી ભાષાનું શબ્દભંડોળ અને સમૃદ્ધિ વધે છે.’ 
  • આ વિશ્લેષણમાં બે-ત્રણ પાયાના પ્રશ્નો છે.
    . (1) ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષાના અસંખ્ય પેટાપ્રકાર છે. તેમાં ગલગલિયાંથી ગહન ઊંડાણ સુધીનું વૈવિધ્ય છે. ગાંધીયુગના અને ત્યાર પછીના મોટા ભાગના લેખકો ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષામાં જ લખતા રહ્યા છે. તેમાં મેઘાણીને અલગ તારવી શકાય નહીં. અને એવા બહુ બધા લેખકો હોય તો 'બે અને બીજા ઘણા' એવું કહેવાથી કશો અર્થ ન સરે. વિશેષ ઉલ્લેખ હોય વિશેષતાનો જ હોય. (2) તેમને, ભલે આ બાબત પૂરતા પણ, બક્ષીની હરોળમાં મુકવાની ચેષ્ટા વિશે કંઈ ન કહેવામાં જ સાર છે. (3) આપણી ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો વાપરવાનું મેઘાણીમાંથી કયા ‘નવગુજરાતી’ શીખ્યા? છેલ્લા બે-ત્રણ દાયકાથી તો લખનારામાં પ્રચલિત-રૂઢ શબ્દોની જગ્યાએ અંગ્રેજી ઠઠાડવાની હોડ જામેલી હતી અને હવે તો એ પ્રક્રિયા લગભગ પૂરી થવાના આરે છે. (4) મેઘાણી પ્રચંડ સર્જકતા ધરાવતા હોવાથી, અભિવ્યક્તિની તાલાવેલીમાં તે ઘણા મૌલિક શબ્દો નીપજાવતા હતા. 
  • નકરા શબ્દોના સાથિયા પૂરનારાં, શબ્દાળુ, દૂધમાં ને દહીંમાં પગ રાખનારાં, અપ્રામાણિક, શાસકોની-સત્તાસ્થાનોની ચાપલૂસી કરનારાં લખાણ ન લખવાં, એ મેઘાણીની એક મોટી ખાસિયત હતી. એવાં લખાણ સામેનો તેમનો આક્રોશ અને અભિપ્રાય તેમના અનેક પત્રો-લેખોમાં જોવા મળે છે.

મેઘાણીની અનેકવિધ પ્રતિભાઓ અને વિશાળ પ્રદાન મૂકીને તે જે નથી અને તેમણે જે નથી કર્યું, તે આગળ કરવામાં આવે, ત્યારે કમ સે કમ આટલું યાદ કરવું રહ્યું.

'ઊર્મિ અને નવરચના' (એપ્રિલ 9, 1947) ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ અંકમાં પ્રગટ થયેલી મેઘાણીનાં 83 પુસ્તકોની યાદી 



Tuesday, August 24, 2021

જાહેરખબરમાં ફોટો

કાર્યક્રમોમાં હદ બહારનો સમય બગાડતા સંચાલકો વિશે સુરેશ દલાલે તેમની શૈલીમાં કહ્યું હતું કે આ તો ડ્રોઇંગ રૂમ કરતાં બાથરૂમ મોટો હોય એવી વાત છે. પરંતુ કેટલાક લોકો જેને ન્યૂ ઇન્ડિયા કહે છે તે નવા, પોસ્ટ ટ્રુથ, સત્યને આખરી ગણવાને બદલે તેને ક્યાંય પાછળ છોડીને નીકળી ગયેલા ભારતમાં બાથરૂમ ફક્ત ડ્રોઇંગ રૂમ કરતાં જ નહીં, બધા રૂમ કરતાં મોટો હોય, તે ન્યૂ નૉર્મલ છે. એટલું જ નહીં, આખા ઘરમાં બીજો એકેય રૂમ જ ન હોય અને જ્યાં જ્યાં નજર તમારી ફરે, ત્યાં ઘરમાં ફક્ત ને ફક્ત બાથરૂમો જ જોવા મળે એવી પરિસ્થિતિ છે. લોકોના એક મોટા વર્ગે સચ્ચાઈના નામનું નાહી નાખ્યું છે અને તેમને વારંવાર સચ્ચાઈના નામનું નાહી નાખવાની જરૂર પડે છે, એટલે આવું હશે? એ સંશોધનનો વિષય છે—અને અધ્યાપક આલમનો આંતરિક-અંતરંગ પરિચય ધરાવતા લોકો જાણતા હશે કે લખાણોમાં જેમના માટે આ તો અલગ સંશોધનનો વિષય છે—એવું જાહેર કરવામાં આવે, તે વિષયો પર કદી સંશોધન થતું હોતું નથી.

ન્યૂ ઇન્ડિયાની ડ્રોઇંગ રૂમ કરતાં બાથરૂમ મોટો—એ સ્કીમ સરકારી જાહેરખબરોનાં હોર્ડિંગને પણ લાગુ પડે છે.  તેનો તાજો પરચો ઑલિમ્પિક વિજેતાઓના અભિવાદન અને સન્માન માટે યોજાતા કાર્યક્રમોમાં જોવા મળ્યો. પરદેશથી આવેલાને તો એવો જ સવાલ થાય કે તમારા બધા ઑલિમ્પિક મૅડલ વિજેતા ખેલાડીઓ અને મહિલાઓ સુદ્ધાં એક સરખા કેમ લાગે છે અને બધા આટલી લાંબી સફેદ દાઢી કેમ રાખે છે?’ થોડા વખત પહેલાં વૅક્સિન સર્ટિફિકેટના મામલે આવું થયું હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તે ખરેખર બન્યો હતો કે નહીં, તેની ખબર નથી, પણ તે બન્યો હોય તો નવાઈ કે આશ્ચર્ય ન ઉપજાવે એટલો તાર્કિક હતો.

થયું એવું કે પરદેશના એક એરપોર્ટ પર ભારતીય પ્રવાસી માટે વૅક્સિન સર્ટિફિકેટ માગવામાં આવ્યું. તેમણે એ બતાવ્યું, તો પ્રમાણપત્રો તપાસનાર અધિકારીએ કહ્યું કે તમારો પાસપોર્ટનો ફોટો અને વૅક્સિન સર્ટિફિકેટ ઉપરનો ફોટો મળતા આવતા નથી, માટે તમારું પ્રમાણપત્ર માન્ય નહીં ગણાય. ત્યાર પછી પ્રવાસીએ તેમને ધીરજથી, વિશ્વગુરુની અદાથી જ્ઞાન આપવું પડ્યું કે વૅક્સિન સર્ટિફિકેટ પર તમે જેમનો ફોટો જુઓ છો, તે દાઢિયલ જણ તો અમારા સ્વનામધન્ય વડાપ્રધાનશ્રી છે. ત્યાર પછી, કહે છે કે, એરપોર્ટ પરના અધિકારીએ પોતાનાં બીજાં સહકાર્યકરોને ભેગાં કર્યાં અને આપણું વૅક્સિન સર્ટિફિકેટ બતાવીને તેમને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું. 

એવું જ ઑલિમ્પિકમાં વિજેતા ભારતીય ખેલાડીઓ માટે પણ થઈ શકે એમ હતું. સન્માન સમારંભ ગોલ્ડ મૅડલ જીતનાર ખેલાડી નીરજ ચોપરાનો હોય અને ચોતરફ મોટી મોટી તસવીરો વડાપ્રધાનની જોવા મળે. ખેલાડીઓના ફોટા તો નાનાં ગોળાકારમાં મુકી દીધા હોય. સીધી વાત છે ભાઈ. તમે ગમ્મે તેવા મૅડલ જીતો, કંઈ દેશથી મોટા થોડા થઈ જાવ? અને દેશ એટલે વડાપ્રધાન, એવું ફક્ત સાયબર સૅલ જ નહીં, ભક્તો પણ માને છે. તેમાં ઔચિત્યની વાત વચ્ચે લાવવી નહીં. કેમ કે, ન્યૂ ઇન્ડિયામાં ઔચિત્યભંગની વાત કરનારા માટે હળવામાં હળવો ઠપકો છેઃ તમે તો બહુ નૅગેટિવ છો. તેનાથી આગળ તો લિબરલથી માંડીને અર્બન નક્સલ સુધીની લાંબી યાદી છે.

વડાપ્રધાન જો દિખતા હૈ વો બિકતા હૈના સિદ્ધાંતમાં માને છે, એવું તેમની વીસ વર્ષની કાર્યપદ્ધતિના આધારે કહી શકાય. છેલ્લાં એક-બે વર્ષમાં તે જો દિખતા હૈ, વહ બેચતા હૈનું સૂત્ર ચરિતાર્થ કરવા લાગ્યા હોય એવું પણ લાગે છે. તેમની દેખાવાની શક્તિ વધારે છે કે જોઈ લેવાની, તે વિશે તેમને નજીકથી જાણનારા લોકો અવઢવમાં છે. પરંતુ એ બંને તેમના રસના વિષયો અને આવડતનાં પ્રિય ક્ષેત્રો છે, એ વિશે સર્વસંમતિ છે. બંને પ્રકારનાં કામ વચ્ચે એક સામ્ય એ પણ છે કે તેમને જાહેર ધોરણે કરવામાં આવે, તો જ તેમની મહત્તમ અસર નીપજે છે. કોઈને જોઈ લેવાના થાય, ત્યારે તે કામ એવી રીતે કરવામાં આવે છે કે જેથી બીજા લોકો બીએ અને તેમની નજરમાં ન આવી જવાય, એ માટે આઘાપાછા થઈ જાય. એવી જ રીતે, દેખાવાનું કામ પણ લાજશરમ મુકીને જ કરવું પડે. ક્રેડિટ છીનવવા જવું ને દોણી સંતાડવી—એ જમાનો વીતી ગયો. હવે બીજા કોઈનો ફોટો ન છૂટકે મૂકવો પડે, તો પોતાનો ફોટો તેનાથી બે-ત્રણ ગણો મોટો તો મૂકી જ દેવો પડે. દૂરથી જોનારને સમજાઈ જવું જોઈએ કે આ દેશમાં જે કંઈ (ખાનાખરાબી સિવાયનું) થઈ રહ્યું છે તેના કર્તા કોણ છે. ખાનાખરાબીનો કર્તા કોણ છે, એ જણાવવા માટે તો ફોટો મુકવાની પણ ક્યાં જરૂર છે?

એકનો એક ફોટો જોઈને લોકોને કંટાળો આવશે ત્યારે સાહેબના જુદાં જુદાં પશુપંખીઓ સાથેના ફોટા પણ આવશે. જુદા જુદા પોશાકમાં, દરેક વખતે અલગ માસ્ક સાથે, દાઢીની અલગ અલગ પ્રકારની કર્તનકલા સાથેના, વિવિધ મુદ્રાના એમ કંઈક ફોટા આવી શકે છે. હા, એક બાબતે પ્રજા આશ્વસ્ત રહી શકે છેઃ આ વૈવિધ્યમાં બીજા કોઈ માણસનો ફોટો કદી નહીં આવે અને તે ધારો કે અનિવાર્ય કારણોસર આવે તો પણ તે એવી રીતે આવશે કે જેથી કોનો ફોટો રાષ્ટ્રહિત માટે વધારે અનિવાર્ય છે તે પ્રજાને તરત સમજાઈ જાય.