Tuesday, April 25, 2017

અડવાણીઃ જે પોષતું, તે મરાતું?

રાજકારણનો ધંધો ગેંગ જેટલો જ કે ગેંગ કરતાં વધારે ખતરનાક છે. ગેંગ વિશે બે વાતનું સુખ હોય છેઃ એક તો, તે લોકસેવા કે લોકોનું પ્રતિનિધિત્વ કરતો પક્ષ નથી અને સત્તા-સંપત્તિ માટે ચાલતી ગેંગ છે તેની બધાને ખબર હોય છે.  બીજું, તેનું કામ બંદૂકના કે રૂપિયાના જોરે ચાલે છે--ચાલી જાય છે. દેશના બંધારણ ને બંધારણીય સંસ્થાઓ સુધી પહોંચવાની તેને જરૂર પડતી નથી. પોલીસ-ન્યાયતંત્ર સાથે તેનો પનારો સતત ખરો ને તેમાં છીંડાં પાડવાના પ્રયાસ તે કરે, પણ તેના પાયામાં ઘા કરવાનું ગેંગની પહોંચથી બહાર રહે છે. રાજકારણમાં એ સુવિધા પણ મળી રહે છે.  હિંદી ફિલ્મોના પ્રતાપે સૌ જાણે છે કે કાનૂનના હાથ લાંબા હોય છે, પણ કાનૂનના લાંબા હાથ મરોડીને કાનૂનની જ કાનપટ્ટી પકડાવવાનું કામ રાજનેતાઓ કરી શકે છે. (ઘણા) રાજકીય પક્ષોની જેમ ગેંગમાં એક જ બોસ હોય છે. બાકીના બધા પીટર-રોબર્ટ-ટોની-માઇકલ (કે એવા પ્રકારનાં ભારતીય નામ). ગેંગમાં વડીલોનું કામ હોતું નથી--આજ્ઞાંકિત ન હોય એવા વડીલોનું તો બિલકુલ જ નહીં. રાજકારણમાં પણ લગભગ એવું જ હોય છે. એ કઠોર સત્ય સમજવામાંથી નાદુરસ્ત વાજપેયી બચી ગયા, પણ તંદુરસ્ત અડવાણી-મુરલી મનોહર જોશીને તે બરાબર સમજાઈ રહ્યું છે.

અડવાણી વિશે આગળ વાત કરતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લેવી જોઇએ કે માત્ર ને માત્ર માનવીય ધોરણ સિવાય બીજી કોઈ રીતે તેમની દયા ખાઈ શકાય તેમ નથી.  વડાપ્રધાન મોદીની ઘણી કાર્યપદ્ધતિ સામે વાંધો હોય, તેનાથી અડવાણી આદરણીય રાજપુરુષ બની જતા નથી--અને છેલ્લા એકાદ દાયકામાં તેમણે કરેલાં છૂટાંછવાયાં નિવેદનોના જોરે તે કોમવાદી રાજકારણના રીઢા આરોપી મટી જતા નથી.
વાસ્તવમાં દેશના રાજકારણને નિર્ણાયક કોમવાદી વળાંક આપવામાં અડવાણી અગ્રસ્થાને રહ્યા છે. સરદાર પટેલને મુસ્લિમવિરોધી તરીકે ખપાવવામાં અને એ જ 'લાયકાત'થી પોતાને 'છોટે સરદાર' માનવાની બાબતમાં અડવાણી નરેન્દ્ર મોદીના પૂર્વસૂરિ હતા.

ગાંધીજીની હત્યા પછી દેશમાં લાંબા સમય સુધી કોમી તોફાન બંધ રહ્યાં. પરંતુ રાષ્ટ્રવાદના નશીલા પ્રવાહીમાં કોમવાદનું ધીમું ઝેર ભેળવીને તેનું વિતરણ ધીમી ધારે સતત ચાલુ રહ્યું. તેની રાજકીય રોકડી કરવાનો મોકો દેશમાં કોંગ્રેસનું એકચક્રી શાસન સમાપ્ત થયા પછી આવ્યો. ત્યારે વી.પી.સિંઘે મંડલ પંચના અભરાઈ પર ચઢાવાયેલા અહેવાલ પરથી ધૂળ ખંખેરીને ઓબીસી માટે 27 ટકા આરક્ષણની ભલામણનો અમલ કર્યો. દેશભરમાં ખળભળાટ મચ્યો. તે સમીકરણનોનો આધાર જ્ઞાતિ હતી. તેની સામે અડવાણીએ રામજન્મભૂમિ આંદોલન નિમિત્તે કોમી ધ્રુવીકરણનો માહોલ ઊભો કર્યો.  'મંડલ વિરુદ્ધ કમંડલ' તરીકે ઓળખાયેલું આ રાજકીય દંગલ ભાજપને ઘણું ફળ્યું. તેણે ભાજપને રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા, 'લુનેટિક ફ્રિંજ' એટલે કે છેવાડે રહીને ઉધમ મચાવતા પક્ષને બદલે મુખ્ય ધારાના રાજકીય પક્ષ તરીકે સ્થાપિત કર્યો.

ગઝનીના મહેમૂદે કરેલા સંખ્યાબંધ હુમલા પછીનાં વર્ષોમાં સોમનાથ હિંદુ-મુસ્લિમ વૈમનસ્યનું કેન્દ્ર બન્યું હોય કે નહીં, પણ વીસમી સદીમાં (આગળ જતાં વિશ્વ હિંદુ પરિષદના સ્થાપક બનેલા) કનૈયાલાલ મુનશીની નવકથાઓએ સોમનાથ સાથ કથિત હિંદુ ગૌરવના રાજકારણને આકાર આપવામાં નોંધપાત્ર ફાળો આપ્યો. તેથી રામમંદિરની 'મંદિર વહીં બનાયેંગે’ ઝુંબેશ માટે રથયાત્રાના આરંભબિંદુ તરીકે સોમનાથની પસંદગી સમજાય એવી હતી. સોમનાથથી અયોધ્યાની એ યાત્રા હિંદુઓળખના નામે કોમવાદી રાજકારણને નવેસરથી સ્થાપિત કરવામાં, મુસ્લિમવિરોધ પ્રત્યેનો ખચકાટ દૂર કરીને તે દ્વેષને સરાજાહેર- મુખ્ય ધારામાં લઈ આવવામાં અને કોંગ્રેસના સગવડિયા સેક્યુલરિઝમની સાથોસાથ જમીની હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્વ, , સર્વધર્મસમભાવ જેવી બાબતોના પાયામાં ઘા કરવામાં મહત્ત્વની બની. આ કામ પાર પાડવામાં અડવાણી એકલા ન હતા. સાધ્વી ઋતંભરા જેવાં બિનરાજકીય પાત્રોથી માંડીને સંઘ પરિવારનાં અન્ય સંગઠનો અને ભાજપના નેતાઓ પણ તેમાં સામેલ હતા.  એ સમયના, હિંદુ કટ્ટરવાદના મહા-રથી તરીકે ઉભરેલું નામ અડવાણીનું હતું.  

હિંદુ ગૌરવના નામે કોમી ધ્રુવીકરણના પ્રતિક જેવી સોમનાથ-અયોધ્યા રથયાત્રામાં અડવાણીના સારથી (ભલે કૃષ્ણ જેવા નહીં) નરેન્દ્ર મોદી હતા. એ વિશે સોમનાથમાં એપ્રિલ, 2017માં બોલતી વખતે ગુજરાતના એક મંત્રી ગૌરવથી કેવા ફાટફાટ થઈ શકે છે, એ તેમના જ શબ્દોમાંઃ'તમને આ જણાવતાં આનંદ થાય છે કે આ સમગ્ર રથયાત્રાના શિલ્પી, સમગ્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રામનામના ઝંકારો, આખા દેશની અંદર પ્રસ્થાપિત કરવા અમે સમર્પિત થયા હતા.’

કોમી દ્વેષ અને વૈમનસ્ય ભડકાવનારી રથયાત્રાના 'શિલ્પી’ આજકાલ 'ન્યૂ ઇન્ડિયા’ના ઘડતરમાં વ્યસ્ત છે અને 'છોટે સરદાર'માંથી 'મોટે નહેરૂ'ની ઐતિહાસિક ભૂમિકા માટે આગળ વધી રહ્યા છે. એ ચહેરાંમહોરાં વળી જુદી ચર્ચાનો વિષય છે, પણ રથના અસવાર, એનડીએ સરકારના વખતના નાયબ વડાપ્રધાન અને 'લોહપુરૂષ’ અડવાણી હવે ભંગારખાતે છે.  નાયબ વડાપ્રધાન અને પીએમ-ઇન-વેઇટિંગ (પ્રતીક્ષારત ભાવિ વડાપ્રધાન) સુધી પહોંચેલા અડવાણી તેમના ખંડ-શિષ્ય નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી, ચાલાકી, આયોજન, વ્યૂહબાજી અને નાણાંકીય તાકાત સાથે કદમ મિલાવી શક્યા નહીં. એટલે 2002માં ગુજરાતની કોમી હિંસા પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને બચાવનાર અડવાણી એક દાયકામાં એ જ મોદીના નબળા હરિફ બની ગયા. ‘નરેન્દ્ર મોદીને રૂપિયાની શી જરૂર? તેમને ક્યાં પરિવાર છે?’ આવી બાળબોધી દલીલ કરનારા (ઘણી બાબતોની જેમ) એ વિચારતા નથી કે ગુજરાતમાં રહીને નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય સંગઠનને અને સંઘ પરિવારને શી રીતે વશ કર્યાં.

ઉંમરની અસર, વધુ પડતો આત્મવિશ્વાસ,  'હાર્યો જુગારી બમણું રમે'ની વૃત્તિ--આવાં એક કે વધુ કારણે અડવાણીએ નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ ટીકાનો રસ્તો અપનાવ્યો અને નાના ફટાકડા ફોડતા રહ્યા,  જે દેખાવમાં બોમ્બ લાગે પણ ફૂટે ત્યારે ટેટી જેવી અસર થાય.  એ વખતની અડવાણીની સ્થિતિ 2002 પછીના ગુજરાતમાં કેશુભાઈ પટેલની સ્થિતિની યાદ અપાવે એવી હતી. કેશુભાઈ એટલા નસીબદાર કે તેમને જતી જિંદગીએ કોરટકચેરી થાય એવા સંજોગો ઊભા ન થયા અથવા તે નહીં સમજે તો એવા સંજોગો ઉભા થઈ શકે તેમ છે, એવા ઈશારાથી તે સમજી ગયા. સચ્ચાઈ જે હોય તે, પણ અડવાણી-મુરલી મનોહર જોષી-કલ્યાણસિંઘ-ઉમા ભારતી જેવા નેતાઓ સામે સર્વોચ્ચ અદાલતે બાબરીધ્વંસ કેસમાં ગુનાઇત કાવતરાનો આરોપ બહાલ કરતાં--અને તેમાં સરકારી એજન્સી ગણાતી સીબીઆઈની ભૂમિકા ધ્યાનમાં રાખતાં--અડવાણી ફસાયા છે. જે પક્ષને સત્તા પર આણવા માટે અડવાણીએ કોમી દ્વેષ અને ધ્રુવીકરણનો આશરો લીધો-અશાંતિનો માહોલ જગાડ્યો, એ પક્ષની સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર કેન્દ્રમાં છે અને 89 વર્ષના અડવાણીના માથે કોર્ટયોગ-જેલયોગ તોળાઈ રહ્યા છે.  કર્મના સિદ્ધાંત કે કવિન્યાય જેવું કશું રાજકારણમાં હોતું નથી. છતાં, અડવાણીની વર્તમાન સ્થિતિ એવી છે કે તેમના માટે એ લાગુ પાડવાની લાલચ થઈ આવે.

Wednesday, April 19, 2017

અશાંતિના 'અપશુકન' કરાવતું મહાસત્તાઓનું ત્રેખડ

જેમ્સ બોન્ડની ફિલ્મોના વિશ્વનું એક સુખ હતુંઃ બીજા વિશ્વયુદ્ધ પછી રશિયા-અમેરિકા વચ્ચેના શીતયુદ્ધનો જમાનો, પરમાણુ હથિયારોથી સજ્જ માથાભારે મહાસત્તા રશિયાની વિલનગીરી અને ત્રીજું વિશ્વયુદ્ધ-દુનિયાની તબાહી અટકાવવા મેદાને પડેલાં બ્રિટન-અમેરિકા. સોવિયેત રશિયાના વિઘટન પછી તેના મહાસત્તા તરીકેના દબદબાનો અંત આવ્યો. દ્વિધ્રુવી વિશ્વમાં ફક્ત એક જ ધ્રુવ રહી ગયોઃ અમેરિકા.  ત્યાર પછીની બોન્ડ ફિલ્મોમાં ઉત્તર કોરિયા જેવા દેશોનો વિલન તરીકે પ્રવેશ થયો, જેના ઘાતકી અને સત્તાલોભી સરમુખત્યારો આધુનિક ટેકનોલોજીની મદદથી વિનાશ વેરવા માગતા હોય.

પરંતુ હવે જેમ્સ બોન્ડ પણ ગુંચવાઈ જાય એવા સંજોગો વાસ્તવિક વિશ્વમાં પેદા થયા છે. બોલ્યા પ્રમાણે કરી બતાવવું એ હંમેશાં સદગુણ નથી હોતો--એવો બોધપાઠ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ઉપરથી મળ્યો છે. ટ્રમ્પનું ચરિત્ર જેમ્સ બોન્ડની ફિલ્મોમાં વિલન તરીકે આબાદ બંધ બેસે એવું છેઃ ફક્ત બેફામ બોલવાની રીતે નહીં, રીઆલીટી ટીવી સ્ટાર અને અબજોપતિ તરીકે સાવ નજીકના ભૂતકાળમાં તેમનાં કારનામાંથી પણ.

જેમ કે, રેસલિંગ (કુસ્તી)ના નામે ચાલતા ફારસમાં દસ વર્ષ પહેલાં ટ્રમ્પ અને બીજા અબજપતિ મેકમોહને શરત મારી કે તેમના પહેલવાનો લડે અને જેનો પહેલવાન જીતે તે અબજપતિએ સામેવાળા અબજપતિનો ટકો કરવાનો. ટ્રમ્પનો પહેલવાન જીતી ગયો. એટલે ટ્રમ્પ અને તેમના પહેલવાને ભેગા મળીને મેકમોહનને ખુરશી પર બાંધીને અસ્ત્રા વડે તેમનો જે રીતે ટકો કર્યો, તે દૃશ્યો જોવાલાયક છે. એમ કરતાં પહેલાં ટ્રમ્પ જે રીતે મેકમોહન પર ધસી જાય છે અને તેમને પછાડીને મુક્કા મારે છે એ દૃશ્ય, જોયા પછી પણ માનવાનું મન ન થાય એવું છે.  કબૂલ કે અમેરિકાના મનોરંજન જગતમાં આવું બધું ચાલતું હોય છે, પણ છીછરી હરકતોમાં આટલી હોંશથી ભાગ લેનાર ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ છે એ ગળે ઉતારવું અઘરું છે. (Youtubeમાં Trump, Macmohan, Shaving આ ત્રણ શબ્દો નાખવાથી એ ધન્ય ક્ષણો જોવા મળશે.)

જેમ્સ બોન્ડની ફિલ્મોમાં વિલનગીરીના મજબૂત દાવેદાર તરીકે ટ્રમ્પ એકલા નથી.  પુતિનના શાસન હેઠળ રશિયા ફરી એક વાર બોન્ડ ફિલ્મોમાં વિલનનો પાઠ મેળવી શકે એવું બન્યું છે. રશિયા અમેરિકા જેટલું સમૃદ્ધ નથી, પણ તેના પ્રમુખ પુતિન દાંડાઈ, મહત્વાકાંક્ષા અને ચબરાકીના કાતિલ સંયોજન ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘ(UN)માં 'વીટો' ધરાવે છે. તે ગમે તેવા દાંડ દેશનું ઉપરાણું લઈને, તેના વિરોધમાં થતા આંતરરાષ્ટ્રીય ઠરાવોનો વીંટો વાળી શકે છે. માથાભારે પુતિને સોવિયેત રશિયાના ભૂતપૂર્વ ઘટક જેવા યુક્રેન અને ક્રિમીયામાં લશ્કરી જોરજબરદસ્તીથી અડિંગા જમાવ્યા છે. ઓબામાના શાસન હેઠળ અમેરિકાએ તેમની સામે પ્રતિબંધો લાદ્યા હતા. ત્યાર પછી પ્રમુખપદની ચૂંટણી વખતે પુતિન (સ્વાભાવિક કારણોસર) ટ્રમ્પના પ્રશંસક હતા. તેમને લાગતું હતું કે ટ્રમ્પ સાથે તેમનું બરાબર ભળશે અને રશિયા-અમેરિકાની વર્ષોજૂની હુંસાતુંસી સમાપ્ત થશે. ટ્રમ્પના પુતિન સાથેના સંબંધ હંમેશાં આરોપોનો વિષય રહ્યા છે. પુતિને અમેરિકાની ચૂંટણીમાં રસ લઈને દૂરથી શક્ય એટલો દોરીસંચાર કર્યો હોવાનો આરોપ છે.  ટ્રમ્પ અને પુતિનની જુગતજોડી શરૂઆતમાં તો જામી હોય એવું લાગ્યું હતું. સિરીયના આંતરિક યુદ્ધે તેમને જાહેર દોસ્તી માટેની તક પૂરી પાડી.

સિરીયામાં 2011થી શરૂ થયેલા આંતરયુદ્ધમાં લાખો લોકો માર્યા ગયા છે,  લાખો જીવ બચાવવા માટે પહેરેલા કપડે સિરીયા છોડીને નિરાશ્રિત તરીકે ભાગ્યા છે. છતાં હજુ યુદ્ધનો અંત આવતો નથી. તેમાં એક તરફ સરમુખત્યાર-પ્રમુખ અસદ છે. તેની સામે વિરોધ કરનાર સ્થાનિક વિદ્રોહીઓ છે અને ત્રીજો પક્ષ છે ત્રાસવાદી સંગઠન ISIS. આ ત્રણે પક્ષો એકબીજા સામે લડે છે અને તેમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય છે.  આટલો ગુંચવાડો ઓછો હોય તેમ, વિશ્વના દેશોએ સિરીયાને પોતાની ચોપાટનું મેદાન બનાવી દીધું છે. કારણ કે અખાતી દેશો પાસે જે નથી, તે દરિયાકિનારો અને એ રસ્તે યુરોપ સાથે વેપાર કરવાની તક સિરીયા પાસે છે.

ભૂમધ્ય સમુદ્રમાં પોતાનો પગદંડો રાખવા માટે રશિયાને સિરીયામાં રસ છે. તે પહેલેથી અસદની પડખે રહ્યા છે અને સક્રિય લશ્કરી ટેકો પૂરો પાડ્યો છે. ઇરાન-ઇરાક-સિરીયાની શિયા મુસ્લિમ ધરી સાથે રહેલા પુતિન ઇરાનના ગેસભંડારોને યુરોપ સુધી પહોંચાડતી પાઇપલાઇનમાં રસ ધરાવે છે, ગેસના મોટા ભંડાર ધરાવતું રશિયા પણ યુરોપના દેશોને મોટા પ્રમાણમાં ગેસનો પુરવઠો પૂરો પાડે છે.  ઇરાન-ઇરાક-સિરીયાની ધરી તેમની સાથે મળી જાય, તો તેમની તાકાત અનેક ગણી વધી જાય. આ ઉપરાંત ISIS અને ઇસ્લામના નામે ચાલતો આતંકવાદ ઘરઆંગણે ન પહોંચે તેનો પણ ખ્યાલ પુતિનને હોવાનું કહેવાય છે.

અલબત્ત, સિરીયામાં રહેલાં રશિયાનાં દળો ફક્ત ISISની જ નહીં, અસદવિરોધી બળવાખોરોની પણ સામે છે. અસદ પર પોતાના નાગરિકો સામે રાસાયણિક શસ્ત્રો વાપરવાનો આરોપ પહેલી વાર મુકાયો, ત્યારે તત્કાલીન પ્રમુખ ઓબામાએ કહ્યું હતું કે અસદે 'હદ (રેડ લાઇન) ઓળંગી છે.’ ત્યારે રશિયાએ સિરીયાનાં રાસાયણિક શસ્ત્રો મૂકાવીને, વૈશ્વિક મહાસત્તા તરીકે નવેસરથી ઊભી થઈ રહેલી પોતાની ભૂમિકાને ઘાટી કરી આપી હતી. સિરીયાના મુદ્દે ટ્રમ્પ-પુતિન એક થવાની હવા બંધાઈ હતી, પણ ટ્રમ્પે રાસાયણિક શસ્ત્રો વાપરવાના આરોપસર સિરીયા પર મિસાઇલ હુમલો કરાવ્યા પછી, બન્ને વચ્ચેના સંબંધ તળીયે પહોંચ્યા છે--અને બન્ને પક્ષો તરફથી એ મતલબનાં જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યાં છે. આમ, જે સિરીયાના મુદ્દે રશિયા-અમેરિકા ભેગાં થાય તેમ હતાં, એ જ સિરીયાને આગળ કરીને રશિયા-અમેરિકા લડી પડે એવી સંભાવના ઊભી થઈ છે.

અને આ કમઠાણમાં હજુ ઉત્તર કોરિયા-ચીનની વાત તો કરી જ નથી. અમેરિકાને ગાંઠ્યા વિના પરમાણુશસ્ત્રોના માર્ગે આગળ વધી રહેલું ઉત્તર કોરિયા ફક્ત ચીનનું થોડુંઘણું સાંભળતું હોવાની છાપ છે. એટલે, ટ્રમ્પ ઉત્તર કોરિયાને કાબૂમાં રાખવા માટે તે ચીનનો સાથ ઇચ્છે છે. આમ કરીને તેમણે બે મોટા નીતિપલટા માર્યા છેઃ એક તો, ચૂંટણીપ્રચાર વખતે તેમણે ચીન પર અમેરિકાની નોકરીઓ છીનવી લેવાનો આરોપ મૂક્યો હતો અને બીજો વધારે ગંભીર આરોપ અમેરિકાની ચીજવસ્તુઓની નકલનો હતો. તેના માટે તે ચીનને કોર્ટમાં ઢસડી જવાની શેખી મારી ચૂક્યા હતા. બીજું, આંતરરાષ્ટ્રીય શતરંજમાં પણ તે રશિયા સાથે દોસ્તીની અને ચીનને દૂર રાખવાની વાત કરતા હતા. તેને બદલે હવે તે ચીન સાથે દોસ્તી અને રશિયા સાથે દુશ્મની ઊભી કરી રહ્યા છે.

ટ્રમ્પ અને પુતિનની સરખામણીમાં ચીન તેમના જેટલું જ બળુકું, પણ તેમનાથી ઘણું વધારે ખંધું પુરવાર થયું છે. તેની પાસે પરમાણુશસ્ત્રોનો જ નહીં, વિદેશી હુંડિયામણનો અઢળક ભંડાર છે અને તેની વિસ્તારવાદી મહત્ત્વાકાંક્ષાનો પાર નથી. ઉત્તર કોરિયાને કાબૂમાં રાખવા ચીનનો સહકાર ઇચ્છતા ટ્રમ્પે ચીનનાં બીજાં અનેક આંતરરાષ્ટ્રીય દુઃસાહસો સામે આંખ આડા કાન કરવાના થાય. આમ, વિશ્વની ત્રણ મહાસત્તાઓ અત્યારે એકબીજાની સામે ને સાથેના પેંતરા બદલી રહી છે, પણ તેમની રમતમાં વિશ્વનો ખો નીકળે એ નક્કી છે. 

Sunday, April 16, 2017

દાદા ધર્માધિકારીનું લોકશાહી-ચિંતનઃ નાગરિક કોને જવાબદાર?

દાદા ધર્માધિકારીના લોકશાહી વિશેના કેટલાક વિચારોની ગયા સપ્તાહે વાત કરી હતી. બીજા ચિંતકો અને ગાંધીજનોની સરખામણીમાં દાદાનું સુખ એ છે કે તે સરેરાશ ગાંધીવાદીઓની ખાસિયત બની ગયેલા દંભથી દૂર રહ્યા હતા. અહીં જેની વાત કરવાની છે એ વિચાર તેમણે ૧૯૬૧માં આપેલાં પ્રવચનમાં વ્યક્ત કર્યા હતા--અને ત્યારે કોંગ્રેસનો-જવાહરલાલ નેહરુનો સૂરજ ધખતો હતો ત્યારે પણ દાદાને લોકશાહી વિશે ચિંતા-ચિંતન કરવાપણું લાગ્યું હતું. તેમની ખેવના એ હતી કે નેતાઓ અને પક્ષો અગત્યના નથી. મહત્ત્વની છે લોકશાહી અને તેમાં રહેલા લોક.

લોકશાહીનો વિચાર પશ્ચિમમાંથી આવ્યો છે અને એ ભારતીય નથી, તે સ્વીકારવામાં દાદાને નથી ખચકાટ, નથી ગૌરવ. તેમને એ વાતનો આનંદ હતો કે સમાજના નીચલામાં નીચલા સ્તરના લોકોની તમા કરતો લોકશાહી જેવો વિચાર ભારતમાં આવ્યો. લોકશાહીમાં લોક એટલે ખેડૂતો ને મજૂરો--એવી સામ્યવાદ પ્રેરિત સમજણ પણ આ ગાંધીવાદીને બહુ વહાલી લાગતી હતી. તેમને પક્ષનો કે વિચારધારાનો કશો બાધ ન હતો. તેમને લોકની પરવા હતી અને તે લોકશાહીના ચોકઠામાં રુંધાવાને બદલે કેવી રીતે વધારે મજબૂત બને, એ તેમનું મુખ્ય લક્ષ્ય. એટલે જ, લોકશાહી ચૂંટણીકેન્દ્રી કે પક્ષકેન્દ્રી બની જાય તેની સામે એમનો વિરોધ હતો. છેક ૧૯૬૧માં તેમણે કહ્યું હતું, ’અમે ભૂદાનવાળા પણ કંઈ દૂધમાં ધોયેલા નથી. અમે પાંચ કરોડ એકર જમીન મેળવવાનો સંકલ્પ કરેલો. જમીન પ્રાપ્ત થતી ગઈ, પણ દિલ બદલવા તરફ ધ્યાન ન અપાયું. હવે આજે રોઈ રહ્યા છીએ કે જમીન તો ખડકાઈ ગઈ, પણ લોકોના હૃદયનો કણમાત્ર હાથ ન આવ્યો.’ આવું ચૂંટણીમાં ન થાય અને ચૂંટણી જીતવાની-મત એકઠા કરવાની લ્હાયમાં લોકોને કેળવવાનું બાજુ પર ન રહી જાય, તે માટે દાદાએ ચેતવણી આપી હતી.

એક બાબતે દાદા બહુ સ્પષ્ટ હતાઃ મતયાચક- લોકોના મતની ભીખ(કે કૃપા) માગવા નીકળેલો માણસ લોકોનું ઘડતર ન કરી શકે. ચૂંટણી અને લોકશાહીના નામે ચાલતી પક્ષીય વફાદારી પણ ઘણી હદે અનિષ્ટકારી છે. એ સમયે બધા નેતાઓ પોતપોતાના પક્ષને મજબૂત બનાવવાની વાત કરતા હતા. તેનાથી ચોક્કસ સમુદાયો બળવાન થતા હતા. તેનો વિરોધ કરવામાં આવે ત્યારે એવી દલીલ થતી હતી કે 'પક્ષ કે મજબુત થશે, તો લોક આપોાપ મજબૂત થશે.’ પરંતુ વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે એવું બનતું નથી. કોંગ્રેસે આટલાં વર્ષ મુસ્લિમો કે દલિતોની ભેર તાણવાના દાવા કર્યા. પણ તેમના માટે એ મહદ્ અંશે ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા હતી. એટલે સામાન્ય દલિત કે મુસ્લિમનું સશક્તિકરણ ન થયું. ઉલટું, અોળખોની અણી વધારે નીકળી. ભાજપ એવી જ રીતે હિંદુ હિતની વાત કરે છે. પક્ષ કે જૂથ પ્રત્યેની વફાદારી સરવાળે રાષ્ટ્રની જ વફાદારી છે, એવા ચાલાકીથી ભરમાવા જેવું નથી. દાદાએ કહ્યું હતું,’જૂથવાદ માનવીય મૂલ્યો વિશે અંધ હોય છે. એને પોતાના સિવાય બીજા કશા રંગ દેખાતા નથી...સાધારણ નાગરિક જે નિષ્પક્ષ છે, તે પક્ષાપક્ષીની દુનિયામાં ભૂલો પડ્યો છે. બધા અલગ અલગ જૂથોમાં વહેંચાઈ ગયા છે અને જે બાકી રહ્યા છે તે સામાન્ય નાગરિક છે. ’

દાદાએ કહ્યું કે ધર્મોમાં પણ રાજકીય પક્ષ જેવી જ સ્થિતિ પ્રવર્તે છે. ‘મુસલમાનને પૂછો તો કહેશે કે માનવીય સમાનતાની વાત જેવી ઇસ્લામ ધર્મમાં કહી છે, એવી બીજા કોઈ ધર્મમાં નથી કહેવાઈ. ખ્રિસ્તીઓને પૂછીશું તો કહેશે કે અમારા ધર્મમાં તો ઇશ્વર અમારો પિતા છે ને મનુષ્ય માત્ર અમારા ભાઈ છે. હિંદુ ધર્મ કહેશે કે અમે તો ઘટઘટમાં ઇશ્વર જોઇએ છીએ. પથ્થરથી માંડી મનુષ્ય સુધી બધામાં ભગવાન છે. અમારો તો અધિક સમતાનો ધર્મ છે. પણ જ્યારે આ બધા પોતપોતાના સંગઠન બનાવે છે ત્યારે શું થાય છે?’ સવાલનો જવાબ આપણે બરાબર જાણીએ છીએ અને અનુભવીએ પણ છીએ.

પરંતુ પક્ષનિષ્ઠા, પક્ષ પ્રત્યેની શિસ્તબદ્ધ વફાદારી વિના પક્ષોનું અસ્તિત્વ કેવી રીતે ટકે? અને પક્ષો વિના લોકશાહીનું શી રીતે ચાલે? તેનો દાદા પાસે ચોખ્ખો અને આકરો જવાબ હતો. દાદા નાતજાતના ભેદભાવમાં માનતા ન હતા. એટલે દલિતો સાથે ભોજન કરવા બેઠા ત્યારે તેમના દાદાએ ઠપકો આપ્યો કે આવું ને આવું કરશે તો નાતજાત રહેશે નહીં અને તેના વગર સમાજ પણ શી રીતે ટકશે? ત્યારે દાદા ધર્માધિકારીએ કહ્યું કે બીજા એકેય ધર્મમાં નાતજાત નથી. છતાં સમાજ છે જ. એટલે નાતજાત વિનાનો સમાજ ટકી જ શકે. એવી રીતે, પક્ષ ન હોય તો પણ લોકશાહી ટકી જ શકે. ઉલટું, દાદાએ ભારપૂર્વક કહ્યું, ‘પક્ષનિષ્ઠા, સંપ્રદાયનિષ્ઠા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી લોકનિષ્ઠા ક્ષીણ થતી જશે.’

ફરી ફરીને યાદ કરવું પડે છે કે અહીં આપેલા દાદાના વિચારો દાદાએ ૧૯૬૧માં પ્રવચનસ્વરૂપે કહ્યા હતા, જેને યજ્ઞ પ્રકાશન (વડોદરા) દ્વારા વિશ્લેષણ જેવા સીધાસાદા મથાળા હેઠળ ગ્રંથસ્થ કરવામાં આવ્યા. તેથી બીજાં ઘણાં ઉત્તમ પ્રવચનોની જેમ, આ પ્રવચનો વાહવાહી પછી હવામાં ઉડી જવાને બદલે પાંચ દાયકા પછી પણ વિચારભાથું પૂરું પાડવા માટે ઉપલબ્ધ બન્યાં. એ વખતે દાદાએ કહ્યું હતું, ‘પક્ષીય નેતાઓને મેં અપ્રામાણિક નથી માન્યા, પક્ષનિષ્ઠ માન્યા છે. એમને સૌને મારું નિવેદન છે કે તમે સૌ મળીને વ્યાપક નાગરિકતાનું સંરક્ષણ કરો. આજે એ શક્ય નથી બનતું. કારણ કે આજે સત્તાની સ્પર્ધા ચાલે છે. જે પોતાની તરફેણમાં લોકમત ઊભો કરી દે તે રાજ્યસત્તાનો પ્રતિસ્પર્ધી બની શકે છે.’

લોકશાહીમાં ઉત્તરદાયિત્વનું મહત્ત્વ સમજાવતાં દાદાએ કહ્યું હતું,’લોકશાહીમાં એક વાર ચૂંટાઈ ગયા પછી તે પ્રતિનિધિ આખા ક્ષેત્રનો ગણાય છે. જેણે એને મત ન આપ્યો હોય કે એની વિરુદ્ધ મત આપ્યો હોય તેનોય તે પ્રતિનિધિ ગણાય છે. છતાં તે આજે પોતાના પક્ષને જવાબદાર છે. પ્રતિનિધિ આખા ક્ષેત્રનો અને જવાબદાર પોતાના પક્ષને. આથી સુપ્રીમસી ઓફ વોટર્સ—મતદારોની અંતિમ સત્તા કલુષિત થાય છે, દૂષિત થાય છે.’

પ્રતિનિધિ નાગરિકને જવાબદાર, પણ નાગરિકનું શું? તેનો જવાબ છેઃ નાગરિકોનું ઉત્તરદાયિત્વ એકમેક પ્રત્યે હોય. દરેક નાગરિક પોતાના પાડોશીને જવાબદાર હોય.  એક નાગરિકનો સંરક્ષક બીજો નાગરિક જ બની શકે, પોલીસ કે ફોજનો સિપાહી નહીં. દાદાના મતે નાગરિક સંખ્યા ન બને અને વ્યક્તિ જ રહે, એ જરૂરી છે. ‘સમુદાયને એકમ માનવો એ વ્યક્તિનું અપમાન છે. સામ્યવાદે વર્ગને એકમ માન્યો, કુટુંબવાદીઓએ કુટુંબને એકમ માન્યું, જાતિવાદીઓએ જાતિને એકમ માની. માં વ્યક્તિનું કોઈ સ્થાન ન રહ્યું.’

રાજકીય પક્ષો સામે મીટ માંડવાને બદલે નાગરિકોમાં પરસ્પર જવાબદારીની-ઉત્તરદાયિત્વની લાગણી પેદા કરવી તે 1961માં પણ પડકાર હતો અને 2017માં વધુ મોટો પડકાર છે.

Friday, April 14, 2017

લોકશાહી, લોકરાજ્ય અને લોકસત્તાનો તફાવતઃ દાદા ધર્માધિકારીની નજરે

ગાંધીજીની આસપાસ એકઠા થયેલા લોકોમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક—એમ અનેક ક્ષેત્રના ધુરંધરોનો સમાવેશ થતો હતો. વિદ્વત્તામાં અથવા કાર્યકુશળતામાં અથવા બન્નેમાં તેમની પ્રતિભા એટલી મોટી કે ગાંધીજી વિના પણ તે જાહેર જીવનમાં ઝળકી ઉઠે. પરંતુ એ સૌએ સ્વેચ્છાએ ગાંધીજીના સાથી થવાનું સ્વીકાર્યું. મહાદેવભાઈ જેવા અપવાદોને બાદ કરતાં ઘણા સાથીદારો એવા કે ગાંધીજી સાથે બધી વાતમાં સંમત ન હોય. પોતાના સ્વતંત્ર વિચાર અને વિચારશક્તિ તેમણે જાળવ્યાં હોય. છતાં ગાંધી પ્રત્યે તેમનો ભાવ અનન્ય હોય. ગાંધીજીના આવા વિશિષ્ટ સાથીદારોમાંના એક એટલે દાદા ધર્માધિકારી. સગવડપૂર્વક તેમની ઓળખાણ ભૂતપૂર્વ ન્યાયાધીશ અને પ્રખર વક્તા ચંદ્રશેખર ધર્માધિકારીના પિતા તરીકે આપી શકાય. તેમની આત્મકથા  'મનીષીની સ્નેહગાથા’ ગાંધીઘરાણાના સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
Dada Dharmadhikari/ દાદા ધર્માધિકારી

દાદા ધર્માધિકારીની વિશિષ્ટતા એટલે તેમનું ધારદાર, મૌલિક અને જમીન સાથે જોડાયેલું ચિંતન.  ગાંધીમૂલ્યોને છોડ્યા વિના, પણ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ભારતની લોકશાહી કેમ મજબૂત બને, તે દાદાના ચિંતનનો એક મહત્ત્વનો વિષય હતો. ભારતને આઝાદી મળી ગઈ, પણ ત્યાર પછી પ્રજાનું નાગરિકી ઘડતર કરવાનું કામ બાકી રહી ગયું--એવો એકરાર કહો તો એકરાર ને આલોચના કહો તો આલોચના આચાર્ય કૃપાલાણી જેવા ઘણા ગાંધીજનોને કરવાની આવી.  આ સંદર્ભે આઝાદીને માંડ દોઢ દાયકો પણ થયો ન હતો, ત્યારે દાદા ધર્માધિકારીએ કેટલાંક પ્રવચન આપ્યાં હતાં. તેમણે 1961માં આપેલાં આ પ્રવચન વડોદરાનાં યજ્ઞ પ્રકાશને 'વિશ્લેષણ’ એવા સામાન્ય મથાળા સાથે છાપ્યાં. બની તો એ માંડ 130 પાનાંની પુસ્તિકા, પણ તેમાં રહેલું વિચારભાથું  સાડા પાંચ દાયકા પછી એટલું જ તાજું ને પ્રસ્તુત છે. એક રીતે એ કમનસીબી પણ ગણાય. કારણ કે નાગરિકઘડતરનો અધૂરો એજેન્ડા આ પુસ્તિકા બહાર પાડ્યા પછી પણ પૂરો ન થયો. બલ્કે, આઝાદીના આંદોલન અને ગાંધીયુગની હવાના થોડાઘણા સંસ્પર્શ પણ નેસ્તનાબૂદ થયા.

લોકશાહી ચૂંટણીમાં સમાઈ જતી નથી અને સરકાર-વિરોધ પક્ષોની રાજકીય લડાઈમાં લોકોનો કશો શક્કરવાર વળવાનો નથી, એ બાબતની ચિંતા અને ચિંતન દાદાનાં પ્રવચનોમાં ચોટદાર રીતે જોવા મળે છે. સૌથી પહેલાં તો તેમણે લોકશાહી, લોકરાજ્ય અને લોકસત્તા--એ ત્રણ શબ્દોના અર્થ જુદા પાડ્યા--અને એમ કરવામાં કશી શબ્દાળુતા, ચાવળાશ કે ચબરાકી ન હતી. લિંકનને ટાંકીને લોકશાહીની વ્યાખ્યા કરતાં તેમણે કહ્યુંં કે તેમાં તંત્ર સંપૂર્ણપણે લોકોના હાથમાં હોય. લોકરાજ્યને તેમણે આ રીતે સમજાવ્યુંઃ લોકોનું, પોતાના ઉપર, પોતાના દ્વારા ચાલતું રાજ્ય. પરંતુ લોકસત્તાની વ્યાખ્યા આટલી સીધી કે સહેલી નથી. તેમના મતે, લોકસત્તા એ છે, જેમાં લોકોનું અસ્તિત્વ અભિવ્યક્ત થાય છે. ‘રાજ્યપદ્ધતિ એ એક ચીજ છે, તંત્ર એ વળી બીજી ચીજ છે અને લોકોની સત્તા, તેમનું અસ્તિત્વ સર્વ જગ્યાએ પ્રતીત થાય એ બિલકુલ અલગ ચીજ છે.’

ઇતિહાસમાં જઇને દાદા કહે છે, ‘આપણા દેશમાં આજે જે લોકશાહી છે એનો આરંભ અંગ્રેજોના આગમન બાદ થયો, એ વાતનો નમ્રભાવે સ્વીકાર કરવો જોઇએ... જેની પરંપરામાં ક્યાંય આ પ્રકારની લોકસત્તા નહોતી, જેની પરંપરામાં ધર્મનિરપેક્ષ સત્તા કદી હતી જ નહીં, જેની પરંપરાએ બધા માણસને એક સ્તર પર માન્યા જ નહોતા, એવી પ્રજાએ વગર વિરોધ અનાયાસ આ લોકસત્તાનો સ્વીકાર કરી લીધો, એ અદભૂત ઘટના છે. એનું શ્રેય આપણા નેતાઓને છે. ’

આમ, લોકશાહી ભારતની પરંપરામાં નથી એ દર્શાવ્યા પછી પણ, તેની ઇચ્છનીયતા વિશે દાદાના મનમાં જરાય અવઢવ નથી. એવી જ રીતે, સામ્યવાદી ન હોવા છતાં દાદા કહે છે,’સામ્યવાદી પક્ષે સૌ પ્રથમ લોક શબ્દને વ્યાપક બનાવવાનો પ્રયત્ન કર્યો. ‘લોક’ શબ્દ આટલો વ્યાપક માર્કસવાદી વિચાર પહેલાં કદી નહોતો. આ 'લોકો'એટલે કોણ? વિવેકાનંદે દરિદ્રનારાયણ શબ્દનો પ્રયોગ કર્યો. ગાંધીએ પણ કહ્યું કે આ દેશનો આરાધ્યદેવ દરિદ્રનારાયણ છે. લોકમાન્ય તિલકે જનતાત્માને પરમેશ્વર કહ્યો. પરંતુ સૌ પ્રથમ સામ્યવાદીઓએ કહ્યું કે દેશના ખેડૂત અને મજૂર એ 'લોક’ છે. લોકસત્તાનું સિંહાસન ખેડૂત અને મજૂરનું છે. આવું પહેલાં કોઇએ નહોતું કહ્યું.’

લોકની આ સમજ સ્પષ્ટ કર્યા પછી દાદાને છેક 1961માં ભારતની લોકશાહીમાંથી 'લોક'ખોવાયેલા લાગે છે.  માર્મિક શબ્દોમાં દાદા કહે છે, ‘આ કંઇક એવો લગ્નોત્સવ છે, જેમાં જાન તો આવી ગઈ છે, પણ વરરાજાનો જ પત્તો નથી. જાનૈયા ખુશ થઈ રહ્યા છે, આતશબાજી થઈ રહી છે, મહેફિલો ઊડી રહી છે, પણ વરરાજા ખોળ્યો જડતો નથી...આજની લોકશાહીમાં બધાય નજરે ચઢે છે, માત્ર 'લોક'નો પત્તો નથી. ’

લોકશાહી અથવા વધારે સાચી રીતે કહેવું હોય તો લોકસત્તા દૃઢ કરવામાં રાજકીય પક્ષો શો ભાગ ભજવી શકે? દાદાએ કોંગ્રેસ, પ્રજા સમાજવાદી પક્ષ, સામ્યવાદી પક્ષ જેવા પક્ષોનાં સારા તત્ત્વોનો ઉલ્લેખ કર્યો  અને તેની મર્યાદાઓ પણ ચીંધી. પ્રજા સમાજવાદી પક્ષે સમાજવાદ અને લોકશાહીનો સમન્વય સ્વીકાર્યો એટલો જશ આપીને તેમણે લખ્યું કે 'સમાજવાદ અને લોકશાહીનો આવો સમન્વય કરવાની ભૂમિકા સમાજવાદના અગ્રદૂત જવાહરલાલની રહી છે પણ જવાહરલાલના પક્ષની નહીં.’  સાડા પાંચ દાયકા પહેલાંના રાજકીય પક્ષો દાદાને તેમની ભૂમિકામાં ઊણા ઉતરતા લાગતા હોય, તો પછી એ દિશામાં સતત અને ઝડપી આગેકૂચ થઈ છે. પરંતુ લોકસત્તાને બદલે લોકશાહી અને લોકશાહીને પણ ચૂંટણીશાહી બનાવી દેવાની સમસ્યા દાદાએ આગોતરી પારખી અને તેનું ચોટડૂક નિદાન પણ કર્યું, જે તેમનાં પ્રવચનમાં જણાય છે.

દાદા કહે છે,  'આ દેશના બધા પક્ષોએ લોકોને ઘરાક માની લીધા છે. તેઓ એમ માને છે કે અમે રાજ્યકર્તા છીએ, વ્યવસ્થાપક છીએ અને જેમની વ્યવસ્થા કરવાની છે, તેનું નામ લોક છે. પરિણામે સામાન્ય માણસ ઇતિહાસનો એજન્ટ---ઇતિહાસને અસર કરનારને બદલે ઇતિહાસનો ઓબ્જેક્ટ- ઇતિહાસનો (નિષ્ક્રિય) વિષય બની ગયો છે. ઇતિહાસ રચવાનાં સાધન જેના હાથમાં રાજસત્તા છે તેના હાથમાં જતાં રહ્યાં છે. '

તો પછી લોકોને આ નિષ્ક્રિયતામાંથી કેવી રીતે બહાર કાઢવા? રાજકીય પક્ષોની વફાદારી લોકસત્તા માટે કેટલી હાનિકારક છે? અને રાજકીય પક્ષો રાજકારણ માટે અનિવાર્ય છે?  વ્યાવસાયિક નીતિમત્તા ચડે કે વ્યક્તિગત નીતિમત્તા? આવા ઘણા મહત્ત્વના મુદ્દાની દાદા ધર્માધિકારીએ કરેલી ચર્ચા હવે પછી.

Wednesday, April 12, 2017

નવું રાજકારણઃ ભૂતકાળ એ જ ભવિષ્યકાળ?

'ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ'—આ નામ હતું 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના વિખ્યાત કટારલેખક થોમસ ફ્રીડમેનના પુસ્તકનું. 2005માં તે આવ્યું ત્યારે ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) ક્ષેત્રમાં ભારતનો સિતારો બુલંદીએ પહોંચ્યો હતો. ફેસબુક, ગુગલ, ટ્વિટર જેવી તોતિંગ અને મૌલિક વિચાર ધરાવતી અનેક કંપનીઓ ભારતમાં ન સર્જાઈ, પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ઇન્ફોસીસ, વિપ્રો જેવી સોફ્ટવેરનું કામ કરતી ભારતીય કંપનીઓ અમેરિકામાં પહોંચી, ત્યાંથી તગડા કોન્ટ્રાક્ટ મેળવવા લાગી અને આઇ.ટી. ઉદ્યોગમાં ભારતની સફળતાની ગાથાના પ્રતિક જેવી બની.  ઇન્ફર્મેશન ટેકનોલોજીના પ્રતાપે ભૌગોલિક અંતર ગૌણ બની ગયાં, એ સ્થિતિને વર્ણવવા માટે ફ્રીડમેન સાથેની વાતચીતમાં નંદન નીલેકેનીએ 'વર્લ્ડ ઇઝ ફ્લેટ' એવો પ્રયોગ કર્યો હતો. (દુનિયા જાણે ગોળ નહીં, સપાટ થઈ ગઈ અને બધા માટે સરખી તક, લેવલ પ્લેઇંગ ફિલ્ડ, ઊભું થયું.)

એ વાતના એક દાયકા પછી, અમેરિકામાં ટ્રમ્પની જીત સહિતના વૈશ્વિક પ્રવાહો જોતાં લાગે છે કે દુનિયા ફરી ભૌગોલિક વાડાબંધીની દિશામાં આગળ વધી રહી છે--પેલો શબ્દપ્રયોગ ઉલટાવીને કહેવું હોય તો, તે ફરી ગોળ બની રહી છે. અમેરિકાના પ્રમુખ અને તેમના ટેકેદારસમુહમાંથી ઘણાને વૈશ્વિકીકરણ અકારું લાગે છે. કારણ કે (તેમના મતે) ભારતીય સહિતના બીજા લોકો અમેરિકામાં આવે છે અને સ્થાનિક લોકોની નોકરીઓ છીનવે છે. આવું 'ફ્લેટ' વિશ્વ તેમને ખપતું નથી. મેક્સિકો-અમેરિકાની સરહદે કરોડો ડોલરના ખર્ચે ઊંચી દીવાલ બાંધવાનો તઘલઘી તુક્કો આપનાર ટ્રમ્પને તે પ્રમુખપદે ચૂંટી શકે છે. એ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ત્રાસવાદના પ્રતિકારના નામે અને અમેરિકનોની નોકરીઓ બચાવવાના નામે, દરવાજા ભીડી રહ્યા છે.

કેટલાક ઇતિહાસકારો અને આઇ.ટી.ક્ષેત્રના અભ્યાસીઓ માને છે કે અમેરિકનોની નોકરીઓ છીનવવામાં અને તેમની બેકારી વધારવામાં પરદેશથી આવતા લોકો કરતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી અનેક ગણી વધારે ભારે પડવાની છે. આવું માનનારા નિષ્ણાતોમાં ઇઝરાઇલના અભ્યાસી પ્રોફેસર હરારી/ Prof.Harari નો પણ સમાવેશ થાય છે.  'સેપિઅન્સ'/ Sapiens નામના પુસ્તકમાં માનવજાતનો ૭૦ હજાર વર્ષનો ઇતિહાસ થોડા સો પાનાંમાં લખનાર અને ત્યાર પછીના 'હોમો ડેઅસ'/ Homo Deus પુસ્તકમાં આગામી સો વર્ષનો ચિતાર આપનાર પ્રો. હરારી માને છે કે દુનિયાભરમાં રાજકીય નેતાગીરી પાસે ભવિષ્યનું કોઈ મોડેલ નથી. ભવિષ્ય માટે તેમનો એક જ નારો છેઃ ચાલો, ભૂતકાળમાં હતા તેવા બની જઇએ.

ટ્રમ્પનું પ્રચારસૂત્ર હતું, 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન.’ રશિયાના વડા પુતિનના મનમાં રશિયાના સદીઓ જૂના ભૂતકાલીન ગૌરવનું છે-- અને પ્રો. હરારીને એ તો ખબર પણ નથી કે ભારતમાં ગોરક્ષાના રાજકારણની કેવી બોલબાલા છે અને જેના મોડેલ દેશવિદેશમાં ચર્ચા છે, તે ગુજરાતના મુખ્ય મંત્રી મંચ પર વાછરડાને હાર પહેરાવે છે. ગરજે કોને શું કહેવું પડે, તેની કહેવતો બદલવાનો સમય ભારતમાં આવી ગયો છે. ભારતના વડાપ્રધાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરનારા છે. પરંતુ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક માનસિકતા બન્ને જુદી જણસો છે. એટલે જ, સ્ટાર્ટ અપ ને સ્માર્ટ સિટી ને મેક ઇન ઇન્ડિયાના પ્રચારની વચ્ચે ગોરક્ષાના નામે ગુંડાગીરી માથું ઉંચકી રહી છે-શીંગડાં ઉલાળી રરહી છે.

ખેડૂત કે પશુપાલક પોતાની ગાયને કે ગોવંશને કે બધાં દૂધાળાં ઢોરને પ્રેમ કરતો જ હોય છે. તેના માટે એને હિંદુ સંસ્કૃતિનાં ઠેકેદાર બની બેઠેલાં સંગઠનોના પ્રચારની જરૂર પડતી નથી. પરંતુ છેલ્લા થોડા વખતથી ઉભરાઈ રહેલા ગોરક્ષાના ઉત્સાહ અને ગોહત્યાના વિરોધમાં ગોપ્રેમ નહીં, ગાયના નામે ચાલતું રાજકારણ દેખાય છે.  આ રાજકારણના ઘટકો છેઃ મુસ્લિમવિરોધ, (તક મળ્યે) દલિતવિરોધ અને પ્રાચીન ભારતના ગૌરવના નામે સનાતન ધર્મની સ્થાપનાનો મુગ્ધ ઝનૂની ઉત્સાહ. ટૂંકમાં, મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન.

પ્રાચીન કાળમાં અમારી ભૂમિ બહુ મહાન હતી, એવી માન્યતા ફક્ત ભારતીયો જ નહીં, અમેરિકનો સહિત બીજા લોકો પણ ધરાવતા હોય છે.  આ માન્યતા ભ્રમ નથી, એવું સિદ્ધ કરવા માટે તેમની પાસે નક્કર પુરાવા પણ હોય છે. ભારતની વાત કરીએ તો, સુશ્રુત-ચરક કે આર્યભટ્ટ-બ્રહ્મગુપ્ત-ભાસ્કર જેવા અનેક વિદ્વાનોએ પોતપોતાનાં ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું હતું. અમેરિકનોને બીજા વિશ્વયુદ્ધ પછી ઉભી થયેલી અમેરિકાની સુપરપાવર તરીકેની છબી અને તાકાતનું ખેંચાણ હોઈ શકે છે.

પરંતુ ભૂતકાળનો મહિમા કરવામાં વાત હંમેશાં આટલી સીધીસાદી હોતી નથી. અમેરિકાને ફરી ગ્રેટ બનાવવાની વાત સાચી, પણ કયા સમયગાળા જેવું ગ્રેટ? સ્થાનિક આદિવાસીઓને ધોળા લોકોના આગમન પહેલાંનું અમેરિકા ગ્રેટ લાગી શકે, ધોળાપણાનું અભિમાન ધરાવનારા લોકોને ચામડીનો રંગ તેમના ચઢિયાતાપણાનું પ્રતીક હતો અને કાળા લોકો સાથે તે મનમાન્યો વ્યવહાર કરી શકતા હતા, એ સમય ગ્રેટ લાગી શકે. કાળા લોકોમાંથી ઘણાને લાગી શકે કે અમેરિકા તેમના માટે તો હજુ પહેલી વાર ગ્રેટ બનવાનું જ બાકી છે. એટલે ફરીથી ગ્રેટ બનાવવાની વાત અપ્રસ્તુત છે.

એટલે પાયાનો સવાલ ઊભો રહે છેઃ ભૂતકાળમાં ક્યાં સુધી પાછા જવું? ભારતમાં ગોરક્ષાના નામે ઉશ્કેરણીનું રાજકારણ આચરતા લોકો ધર્મ ને સંસ્કૃતિના ઓઠા તળે આ બધું કરે છે. પરંતુ ધર્મ અને સંસ્કૃતિની તેમની કટ ઓફ લાઇન કઈ? કયા સમયનો ધર્મ-કયા સમયની સંસ્કૃતિ તેમને શ્રેષ્ઠ લાગે છે? સનાતન ધર્મમાં પાછળ ને પાછળ જતાં બ્રાહ્મણો ગોમાંસભક્ષણ કરતા હોવાના આધારભૂત ઉલ્લેખ મળે છે. ઋગ્વેદમાં ફક્ત ગાયોને જ નહીં, તમામ દૂધાળાં ઢોરને ન મારી શકાય એવું કહેવાયું છે, તો ગાય સહિતનાં દૂધાળાં ઢોર બીજી રીતે નિરૂપયોગી બની જાય, તો તેમને મારવામાં અને તેમના ભક્ષણમાં કશો બાધ નથી, એવા ઉલ્લેખ પણ અભ્યાસીઓએ આધારભૂત રીતે વેદમાં મેળવ્યા છે. સનાતન ધર્મનું પાલન કરનારા માટે વેદ આખરી સત્તા જેવો ધર્મગ્રંથ ગણાય. તો સમયનો કયો ખંડ સાચી ભારતીય સંસ્કૃતિ કહેવાય, એ કોણ નક્કી કરે? અને બધા હિંદુઓ વતી કોઈ એ કેવી રીતે નક્કી કરી શકે? અને આ જ ભૂમિ પર આર્યો પહેલાં થયેલી સિંધુ સંસ્કૃતિની પરંપરાઓ સુધી કોઇને જવું હોય તો, એ દેશદ્રોહી ગણાય?

ધર્મ-રાષ્ટ્રના ભૂતકાળના ગૌરવના નામે પોતાના સ્વાર્થનો વેપલો કરનારા સામે આવા અનેક પાયાના, પ્રાથમિક સવાલ થઈ શકે. પરંતુ સવાલ કરીને કકળાટ વહોરવાને બદલે પોતાની કલ્પના પ્રમાણેના ભૂતકાળમાં છબછબીયાં કરવા-કરાવવાની જુદી મઝા છે.  દેશને-દેશવાસીઓને ગ્રેટ બનાવવા નીકળેલા પક્ષો ને નેતાઓ મંત્રેલા પાણીથી કેન્સર મટાડવાનો દાવો કરનારા લેભાગુઓ જેવા હોય છે.  મેડિકલ સાયન્સ પાસે જેનો ઇલાજ ન હોય એવો રોગ ધરાવનાર દર્દી અને તેનાં સગાંવહાલાં વાક્ચતુર બાબાની જાળમાં હોંશે હોંશે ફસાય અને પોતે ખાટી ગયાનું ગૌરવ લે, એવી આ વાત છે. તેને માનવસહજ નબળાઈ તરીકે સમજી-સ્વીકારી શકાય, પણ તેને વાજબી, આવકાર્ય કે ઇચ્છનીય સુદ્ધાં ગણી ન શકાય  

Thursday, April 06, 2017

સાર્થક પ્રકાશનઃ પાંચમા વર્ષે...

ગુરુજનોની હાજરીમાં, મિત્રો-સ્નેહીઓની સાખે સાર્થક પ્રકાશનનો પ્રારંભ
લોકોને વાંચવાનો ટાઇમ જ નથી...ગુજરાતીઓ વાંચે છે જ ક્યાં...ગુજરાતી ભાષા મરવા પડી છે... સારાં પુસ્તકો કોણ ખરીદે?... પુસ્તકો વેચાઈ વેચાઈને કેટલાં વેચાય?...સાચાજૂઠાનું મિશ્રણ ધરાવતી આવી અનેક વાતો શ્વાસની સાથે અંદર અને ઉચ્છવાસની સાથે બહાર આવતી હોય, ત્યારે ખાતરીપૂર્વક, ન જ કરવા જેવું કામ જો કોઈ હોય તો એ પ્રકાશન શરૂ કરવાનું.

અને એ અમે કર્યું. ચાર વર્ષ પહેલાં. શરૂઆત કરનારા અમે ચાર. દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી, કાર્તિક શાહ અને ઉર્વીશ કોઠારી. ખ્યાલ એવો હતો કે લખનારાનું એક પ્રકાશન હોય. (આ વિચારમાં  અશ્વિનીભાઈની---અશ્વિની ભટ્ટની--સોબતની થોડી અસર પણ હોઈ શકે છે.)  દીપકને, ધૈવતને કે મારે પોતાનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવા માટે પ્રકાશકની મુશ્કેલી પડે તેમ ન હતી. પણ ખ્યાલ એવો હતો કે બીજાં પણ થોડાં ગમતાં પુસ્તક પ્રકાશિત કરી શકાય. કેટલાંક પુસ્તક એવાં હોય છે કે વ્યાવસાયિક પ્રકાશકોને તેમાં રસ ન પડે અને આપણને તે કરવાં (ફરજના અર્થમાં) ધર્મરૂપ લાગતાં હોય.  એવું કંઈ હોય તો કોઈને પૂછવાની કે કોઈની મંજૂરી લેવાની ન રહે અને સ્વતંત્રતાથી નિર્ણય લઈ શકાય, એ માટે પ્રકાશન શરૂ કરવાનો વિચાર આવ્યો. (સાર્થક પ્રકાશનનો ઉલ્લેખ ધરાવતો પ્રતિલિપિ પરનો મારા ઇન્ટરવ્યુની લિન્ક )

પ્રકાશન શરૂ કરવાનાં કારણ એક-બે હતાં અને તે કેમ શરૂ ન કરવું જોઇએ, તેનાં કારણ (આરંભે જણાવ્યાં તેમ) ઘણાં હતાં. છતાં, લેખકો-મિત્રો દીપક-ધૈવતના સાથ, મિત્ર અને આર્થિક બાબતોના નિષ્ણાત એમ બન્ને ભૂમિકા એકસરખી ઉત્કટતાથી અદા કરનાર કાર્તિક શાહના ભારે સાથસહયોગ- માર્ગદર્શન તથા પુસ્તકક્ષેત્રની તમામ કળાઓના પારંગત અપૂર્વ આશરના સક્રિય સહકારથી આ સાહસ નામે સાર્થક પ્રકાશન શરૂ થઈ શક્યું.

એ વખતે ફક્ત પુસ્તક પ્રકાશનનો ખ્યાલ હતો, પણ મોટા ભાઈ બીરેન કોઠારી,  પરમ મિત્ર અમિત જોશી અને બીજા પણ થોડા મિત્રોના ઉત્સાહથી એક સામયિકનો વિચાર આવ્યો. તેમાંથી છ માસિક 'સાર્થક જલસો’નો જન્મ થયો અને જોતજોતાંમાં તે સાર્થકનું અત્યંત સંતોષ આપનારું કામ બની રહ્યું. આ મહિનાના અંતભાગમાં તેનો સળંગ આઠમો અંક આવશે. (સાર્થક જલસો વિશે સિડનીના સુરસંવાદ રેડિયોનાં આરાધના ભટ્ટે લીધેલા ઇન્ટરવ્યુની લિન્ક)

‘સાર્થક’નાં ચાર વર્ષ વિશે દીપકે તેમની અનોખી શૈલીમાં ફેસબુક પર લખ્યું છે. તે પ્રમાણે, પુસ્તકોના મામલે અમે કરવું જોઇએ એટલું કામ સંખ્યાની રીતે કરી શક્યા નથી. હજુ થોડાં વધારે પુસ્તક થઈ શકે એમ હતાં. આ વર્ષે અમે એ કસર સરભર કરવા કોશિશ કરી રહ્યા છીએ. એવી જ રીતે 'સાર્થક જલસો’ સારું વાચન ઝંખતા ઘણા મિત્રોને--અને વાચક તરીકે અમને પણ—જલસો પાડે છે.  દરેક 'જલસો' વખતે થતા લેખકો-સાથીદારો-વડીલોના મેળાવડામાં ક્યારેક રમેશ ઓઝા અને નીલેશ રૂપાપરા જેવા વડીલો-મિત્રો  છેક મુંબઈથી ચહીને આવે છે, તો અમદાવાદના ઘણા વડીલ ગુરૂજનો પ્રતિકૂળતાની પરવા કર્યા વિના અચૂક અને નિરાંતે હાજરી આપે છે. લેખન-પત્રકારત્વ-જાહેર જીવન-વિચાર જેવાં કેટલાંક ક્ષેત્રોના ઉત્તમ કહેવાય એવા અને ત્રણ પેઢીના પ્રતિનિધિ એવા મિત્રો-વડીલો એ અનૌપચારિક મિલનને ખરેખરો 'જલસો' બનાવે છે. આ પરમ સંતોષની સાથે એ વાત પણ ખરી કે પુસ્તકો અને 'સાર્થક જલસો’ આ બન્નેના પ્રચારપ્રસારમાં અમે અા ચાર વર્ષમાં પૂરતું ધ્યાન આપી શક્યા નથી.

યુવાન મિત્રો અનીશ દેસાઇ અને શર્મિલી પટેલના પ્રેમભાવથી સાર્થકની વેબસાઈટ શરૂ કરી, જેનું લોન્ચિંગ અમે (ગુજરાતના જાહેર જીવન અને લેખનમાં જેમનું નામ બહુ આદરપૂર્વક લેવાવું જોઇએ અને સાર્થક મિત્રમંડળમાં તેમનું એવું જ સ્થાન છે એવા) ચંદુભાઇ મહેરિયાના હાથે કરાવ્યું હતું.)  તેના કારણે ઓનલાઇન ઓર્ડરની વ્યવસ્થા ઉભી થઈ શકી. પરંતુ સાતત્યપૂર્વકના પ્રચારપ્રસારના અભાવે હજુ એવા ઘણા લોકો સુધી સાર્થકનાં પુસ્તકો અને 'સાર્થક જલસો’ની વાત પહોંચી નથી.  માટે, આવનારા વર્ષમાં અમે આ બન્નેની વાત વધુ લોકો સુધી પહોંચાડવા ઇચ્છીએ છીએ.  તેના માટે તમારા, વધુ ને વધુ મિત્રોના સહકારની અને સૂચનોની માગણી અમે દોસ્તીદાવે કરીએ છીએ.

કેટલાક મિત્રો અમને પણ આનંદ અને આશ્ચર્ય થાય એટલા ઉમળકાથી સાર્થકનાં પુસ્તકો અને જલસોનો પ્રસાર કરી રહ્યા છે. તેમના અમે ફક્ત આભારી જ નથી.  તેમની આ ચેષ્ટા અમને કામ કરવાનું બળ પૂરું પાડે છે. કેમ કે, અમે પણ માણસ જ છીએ. આશા-નિરાશા, થાક-કંટાળો, ધીરજ-ખીજ જેવા અનેક લાગણીઓ ક્યારેક અમને પણ થતી હોય છે. એ વખતે એક તરફ સાર્થક દ્વારા થયેલા કામ પર અને બીજી તરફ આ મિત્રોની લાગણી પર નજર નાખવાથી અમારું તત્કાળ રિચાર્જિંગ થઈ જાય છે.

દીપકે તેમના લેખમાં 'સાર્થક' દ્વારા આ વર્ષે પ્રગટ થનારા એક મહત્ત્વના પુસ્તક તરફ ઇશારો કર્યો છે. તેમણે સસ્પેન્સ રાખ્યું છે, તો મારે પણ રાખવું જ પડે..બસ, જલસો-૮ સુધી રાહ જુઓ. તેમાં એક નહીં, બબ્બે મોટી જાહેરાતો સાર્થક પ્રકાશન દ્વારા થશે. આ બન્નેનો અમારે મન—અને અમને માથા સુધી ખાતરી છે કે ગુજરાતી વાંચનારાને મન—પણ ભારે મહિમા હોવાનો છે..બસ, વધુ ત્રણ અઠવાડિયાંની પ્રતિક્ષા.

'સાર્થક પ્રકાશન’ પહેલેથી વાચકોની રુચિ સંતોષવા ઉપરાંત તેમની રુચિ (અમારી સમજ પ્રમાણે) ઘડવામાં પણ માને છે. એટલે, 'સાર્થક જલસો’માં ઘણા બિનપરંપરાગત અને ગુજરાતી ભાષામાં બીજે ક્યાંય વાંચવા ન મળે એવા અનોખા લેખો આવે છે. 'સાર્થક પ્રકાશન’નાં ઘણાં પુસ્તક પણ એટલા માટે જ વિશિષ્ટ હોય છે--અને એટલે જ તેના પ્રચારપ્રસારમાં તમે સૌ મિત્રો યથાશક્તિ મદદરૂપ થાવ એવી અપીલ અને અપેક્ષા રાખીએ છીએ અને અમે અમારી મર્યાદામાં રહીને તમારા સુધી પહોંચવાના શક્ય એટલા પ્રયાસ કરવાની ખાતરી આપીએ છીએ.

સાર્થકના સૌ વાચકો-શુભેચ્છકો-મદદગારો-મિત્રો અને વડીલો સામે ભાવપૂર્વક માથું ઝુકાવીને આદર વ્યક્ત કરીએ છીએ

સાર્થક પ્રકાશનના આરંભની વાત વાંચવા માટેની લિન્ક
સાર્થક પ્રકાશન ઉત્સવ-1
સાર્થક પ્રકાશ ઉત્સવ-2
સાર્થક પ્રકાશન ઉત્સવ-3
સાર્થક પ્રકાશન ઉત્સવ-4
સાર્થક પ્રકાશન ઉત્સવ-5

Tuesday, April 04, 2017

સેવા અને કટ્ટરતાની કાતિલ જુગલબંદી

દેશભરમાં તેની 173  સ્કૂલ ચાલે છે, જ્યાં આશરે અઢાર હજાર વિદ્યાર્થીઓ ભણે છે. એક રાજ્યમાં તેની ત્રણ હોસ્પિટલ અને 66 એમ્બ્યુલન્સ ચાલે છે. બે હજાર ડોક્ટર ત્યાં માનદ્ સેવા આપવા તૈયાર હોય છે.  હોસ્ટિપલમાં આંખની લેસર સર્જરી મફત થાય છે. તેનાં દવાખાનામાં દાંતની રૂટકેનાલ સર્જરી (બે વર્ષ પહેલાંના અહેવાલ પ્રમાણે) ફક્ત પચાસ રૂપિયામાં થતી હતી. ધરતીકંપ અને પૂર વખતે તેના સ્વયંસેવકોએ રાહતકાર્યોમાં સક્રિય ભાગ લઇને ભારે કામ કર્યું હતું. તેની સેવાપ્રવૃત્તિનો એક હેતુ ખ્રિસ્તી મિશનરી પ્રભાવનો મુકાબલો કરવાનો પણ છે...

ઉપરનું વર્ણન વાંચીને તમારા મનમાં જે સંગઠનનું નામ આવ્યું હોય તે (અને જે આદરભાવ છલકાયો હોય તે), પણ તે વર્ણન પાકિસ્તાની સંગઠન જમાત-ઉદ્-દાવાનું છે. તે નામચીન ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની એક પાંખ છે.
***

કોરી ને નકરી કટ્ટરતા કદાચ ટકાઉ બનતી નથી. તેને લાંબું ટકાવવી હોય અને મુખ્ય ધારામાં મહત્ત્વનું પરિબળ બનાવવી હોય તો તેમાં ધર્મ ભેળવવો પડે. ઘણી વાર કટ્ટરતાનું જન્મસ્થાન જ ધર્મ હોય છે. આ ધર્મ એટલે આદર્શ- સાચો ધર્મ નહીં, પણ વ્યક્તિગત-સંસ્થાગત-પક્ષગત સ્વાર્થ સાધવામાં મદદરૂપ થાય એવો સગવડીયો ધર્મ.  કટ્ટરતા અને સગવડીયા ધર્મનું ઘાતક મિશ્રણ થયા પછી નિર્દોષ માનવીઓથી માંડીને મહાત્માઓની હત્યાને વાજબી ઠેરવી શકાય. વાજબી જ નહીં, 'ધર્મ્ય' ગણાવી શકાય.

સ્વાર્થ માટે ખપમાં લેવાયેલો ધર્મ પરંપરાગત સ્થાપિત ધર્મ જ હોય એવું જરૂરી નથી. રાષ્ટ્રવાદને પણ એ અર્થમાં '(સગવડીયો) ધર્મ' બનાવી શકાય—એવો 'ધર્મ’, જેનું મુખ્ય કામ રાષ્ટ્રના તમામ નાગરિકોને સાથે રાખવાનું-તેમનું હિત ઇચ્છવાનું નહીં,  તેમનામાં વિભાજન પ્રેરીને કટ્ટરતા ફેલાવવાનું હોય.

અંતિમવાદના ધંધામાં રહેલા લોકોને ઘણા કિસ્સામાં કટ્ટરતા અને સગવડીયા ધર્મનું મિશ્રણ પૂરતું લાગતું નથી. એ વખતે તેમાં ઉમેરાતું ત્રીજું પરિબળ છેઃ સેવા. કટ્ટરતાની કે સગવડીયા ધરમની ટીકા થઈ શકે, પણ સેવાની ટીકા કોણ કરી શકે? અને સેવાની કોઈ ટીકા કરે, તો તેમાં કિંમત ટીકાકારની ન થાય? ધારો કે કુદરતી હોનારત વખતે કોઈ સંસ્થા પીડિતોની મદદ કરે, સરકારી તંત્ર કરતાં વધારે કાર્યક્ષમતા-પ્રતિબદ્ધતાથી બચાવકાર્ય કરે, તો તેની ટીકા કેવી રીતે કરી શકાય?

સેવાની ઢાલનો અસરકારક ઉપયોગ કરવાનું અંતિમવાદી સંસ્થાઓને બહુ ફાવે છે ને બહુ અનુકૂળ પણ પડે છે. કારણ કે તેમનાં ઉઘાડેછોગ અંતિમવાદી વલણોની ટીકા થયા કરતી હોય છે.  તેમાં સગવડીયા ધર્મનો ભેગ કર્યા પછી પણ ટીકાથી પૂરેપૂરી મુક્તિ મળતી નથી.  તેનો શો ઉપાય? જવાબ છેઃ સમાજસેવા. હા, એક મ્યાનમાં કટ્ટરતા અને સમાજસેવા, ત્રાસવાદ અને રાહતકાર્ય, અંતિમવાદ અને સેવાકાર્ય રહી શકે છે. સામાન્ય લોકો તે બન્ને વચ્ચેની એકરૂપતા જોઈ શકતા નથી. કટ્ટરવાદની તલવારને છુપાવવા માટે સેવાની મખમલી મ્યાન વાપરવાની વ્યૂહરચના તેમને સમજાતી નથી.  કોઈ સમજાવે ત્યારે પણ તે સ્વીકારવાનું મન થતું નથી.  (સગવડીયા) ધર્મ કે (વિભાજક-ધીક્કારપ્રેરક) રાષ્ટ્રવાદ જેવાં પરિબળોની શરમ નડી જાય છે.

સમાજસેવા અને હિંસક કટ્ટરતા-અંતિમવાદ-આતંકવાદની જુગલબંદી આજકાલની નથી. શ્રીલંકાના તમિલ ટાઇગર્સ (LTTE), પેલેસ્ટાઇનનું 'હમાસ’,  લેબનોનનું હિઝ્બુલ્લા, ઇજિપ્તનું ઇસ્લામિક બ્રધરહુડ, પાકિસ્તાનનું જમાત-ઉદ્-દાવા... આ તો કેટલાંક અત્યંત જાણીતાં નામ છે. આમ તો આ મોડેલ બહુ જૂનું અને જાણીતું છે.  થોડી છૂટછાટ સાથે આપણે તેને 'રોબિનહુડ મોડેલ' કહી શકીએ, જેમાં 'વ્યાપક જનહિતમાં અમુક લોકોનું અહિત' કરવામાં આવે છે અને તેને વાજબી, ન્યાયી, ધર્મ્ય તરીકે ખપાવવામાં આવે છે. રોબિનહુડની અસલ કથા મુઠ્ઠીભર શોષણખોર અમીરોને લૂંટીને ગરીબોને વહેંચતા દિલેર જવાનની હતી. કટ્ટર, અંતિમવાદી જૂથોના 'શત્રુ' મુઠ્ઠીભર નહીં, ઘણા બધા હોય છે.  તેમની સામે શબ્દોથી કે શસ્ત્રોથી કે બન્ને વડે ધીક્કાર–અને વખત આવ્યે હિંસક કાર્યવાહી--આચરવામાં આવે છે.  ઇસ્લામમાં અંદરોઅંદર લડતાં શિયા-સુન્ની જૂથોને બોમ્બધડાકા કરાવીને નિર્દોષોને મારી નાખવામાં કશો ક્ષોભ થતો નથી.  છતાં એવાં અમાનવીય કૃત્યો કરાવનારની કે તેને સમર્થન આપનારની સેવાસંસ્થાઓ ચાલતી હોઈ શકે અથવા અમુક આફતોના સમયે તેમની કેડર સક્રિય થઈ શકે.

સવાલ એ થાય કે આ પ્રકારની સેવાપ્રવૃત્તિને કારણે તેમની કટ્ટરતા, તેમનો અંતિમવાદ, તેમણે ફેલાવેલી વિભાજક વિચારધારા કે ત્રાસવાદ વિસારે પાડી દેવાનાં? એ બધાં કરતૂતો ભણી આંખ આડા કાન કરવાનાં? બે-પાંચ માણસની ઠંડા કલેજે હત્યા કરનાર જણ કીડીયારું પૂરે કે પાણીમાં ડૂબતા મંકોડાને પાંદડા પર ચડાવીને તેનો જીવ બચાવે, તો 'તટસ્થતા'ની આણ આપીને તેની જીવદયાનાં વખાણ કરવાનાં? કે પછી પ્રમાણભાન જેવી કોઈ ચીજનો પણ ઉપયોગ કરવાનો?

પરંતુ પ્રમાણભાનનો ઉપયોગ હંમેશાં સૌથી ઓછો આકર્ષક રહ્યો છે. લાગણીના ને પ્રચારના ધસમસતા વહેણમાં કશી મહેનત કર્યા વિના આગળ વધવાનું સુખ છોડીને, પ્રમાણભાનની પંચાતમાં કોણ પડે? એમાં વળી સરકારોની ઉપેક્ષા કે તેમનો ગેરવહીવટ ઉમેરાય છે. સરકારો જે કરી શકતી નથી, તે બીજી (ભલે અંતિમવાદી, ત્રાસવાદી કે કટ્ટર કે સાંપ્રદાયિક) સંસ્થાઓ કરી બતાવે એટલે પ્રમાણભાન ગૌણ બની જાય છે.  ‘ગમે તે હોય, પણ પેલી આફત વખતે આ જ લોકોએ કેવું જોરદાર કામ કર્યું હતું’ એવી પ્રશંસા અને તેનો પ્રચારપ્રસાર કટ્ટર સંસ્થાઓનાં મૂળીયાં મજબૂત બનાવે છે. ISISકે અલ કાઈદા જેવાં સંગઠનો નકરાં ત્રાસવાદી સંગઠન ગણાયાં છે. તેમની સેવાપાંખ નથી. તે ફક્ત ખૂનખરાબામાં અને ધીક્કાર ફેલાવવામાં માને છે. તેમની સામે અમેરિકા સહિતના દેશો ધડબડાટી બોલાવી શકે છે. અલ કાઇદાનો મુખ્ય ત્રાસવાદી લાદેન છુપાયો હોવા છતાં તેને શોધીને ખતમ કરી શકે છે. પણ લશ્કર-એ-તૈયબા (અને જમાત-ઉદ્-દાવા)નો હાફિઝ સઇદ ખુલ્લેઆમ છૂટો ફરે છે. તેના માથે મોટું ઇનામ છે. છતાં તેને હાથ અડાડી શકાતો નથી.  તેનું એક કારણ પાકિસ્તાનના લશ્કરી કે જાસૂસી કે બન્ને તંત્રો તરફથી તેને મળતો ટેકો તો ખરો જ. ઉપરાંત, સેવાપ્રવૃત્તિની આણ પણ ખરી.

આવી સેવાપ્રવૃત્તિ થોડા નાગરિકોને ટૂંકા ગાળાનો ફાયદો કરતી હશે, પણ લાંબા ગાળે સમાજના-દેશના વાતાવરણમાં ઝેર ઘોળે છે. ધીક્કાર એવી બંદૂક છે, જેની બન્ને બાજુએ રહેલા લોકોમાં બીક, અસલામતી, અવિશ્વાસ અને સરવાળે અશાંતિ જન્મે છે. તે લાંબા ગાળે રાજ્યને કે દેશને નાજુક પરિસ્થિતિમાં લાવીને મૂકી દે છે. કટ્ટરતા સાથે સીધી સાંઠગાંઠ ધરાવતી સેવા ધીમા ઝેરમાં ભેળવેલી ગુણકારી દવા જેવી નીવડે છેઃ ટૂંક સમયમાં ઝેરનો પ્રભાવ દવાની અસરને આંબી જાય છે.  હવે પછી કોઈ કટ્ટરતાવાદી સેવાની ધોંસ જમાવવા જાય ત્યારે આ વિગતો તેમની સામે ધરજો. તેમને દલીલમાં હરાવવાનું જરૂરી નથી. નાગરિક તરીકે આ વાત જાતે સમજવાનું ને સેવારૂપી ઘેટાની ખાલ તળે રહેલા કટ્ટરતાના વાઘને ઓળખવાનું જરૂરી છે.