Tuesday, March 31, 2009

સરૂપ ધ્રુવના પુસ્તક ‘ઉમ્મીદ હોગી કોઇ’નું વિમોચન : ઉમ્મીદ જગાડતી ચર્ચા-પ્રવચનો

(L to R : Ghanshyam Shah, Sultan Ahmed, Tridip Suhrud, Ramesh Dave, Sarup Dhruv, Hiren Gandhi ) :

ગુજરાતના પ્રતિબદ્ધ સાહિત્ય ક્ષેત્રે લેવાતાં ગણ્યાંગાંઠ્યાં નામમાં સરૂપબહેન (ધ્રુવ)નો સમાવેશ થાય છે. તેમનાં લખાણો અને કાવ્યો વીંધે, ચીંધે, ઝકઝોરે, ઠમઠોરે, વિદેશી ભાષાઓમાં અનુવાદિત અને સન્માનિત થાય, દેશી ભૂમિ પર પ્રતિબંધિત પણ થાય...
સરૂપબહેનના હિંદી પુસ્તક ‘ઉમ્મીદ હોગી કોઇ’ નું વિમોચન શનિવારે, 28 માર્ચની સાંજે, ‘કર્મશીલો’ના ‘પીપળા’ જેવા મહેંદીનવાઝજંગ હોલમાં થયું.
2002-2006ના ગુજરાતમાં કેટલાંક પાત્રો-પ્રસંગોની વાત માંડતા ‘ઉમ્મીદ...’ના વિમોચન સમારંભનું આમંત્રણ આકર્ષક હતું. ફોર કલરમાં છપાયેલા બે ફોલ્ડવાળા કાર્ડમાં ઉપર મશહૂર ચિત્રકાર ગુલામ મહંમદ શેખનું ચિત્ર હતું (જે પુસ્તકના ટાઇટલ તરીકે ઉપયોગમાં લેવાયું હતું.) વક્તા તરીકે ઘનશ્યામ શાહ, ત્રિદીપ સુહૃદ, સુલતાન અહેમદ અને રમેશ દવે હતા. પહેલા બે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સહિત અનેક વિષયોમાં ઊંડાણભર્યો રસ ધરાવનારા અભ્યાસી, સુલતાન અહેમદ હિંદીના અધ્યાપક, કવિ, કડક વિવેચક અને રમેશ ર. દવે સાહિત્ય પરિષદના ક.લા.સ્વાધ્યાય મંદિરના નિયામક. (‘આવા કાર્યક્રમમાં તમે ક્યાંથી?’ એ મતલબનું આશ્ચર્ય કેટલાક મિત્રોએ વ્યક્ત કર્યાનું રમેશભાઇએ પ્રવચનના આરંભે જ હળવાશથી કહ્યું)
***
સંવેદન-સાંસ્કૃતિક મંચના કલાકારોએ ‘સચકી યાદ, યાદોંકા સચ’ ગીતથી શરૂઆત કર્યા પછી સરૂપબહેનના સાથી હીરેન ગાંધીએ પુસ્તક વિશેની ભૂમિકા બાંધીને ત્રિદીપ સુહૃદને બોલવા નિમંત્ર્યા. પોલિટિકલ સાયન્સમાં ડોક્ટરેટ મેળવનાર ત્રિદીપભાઇ સુરેશ જોષીના ‘છિન્નપત્ર’ કે ચંદુભાઇ દલાલના હરિલાલ ગાંધી વિશેના પુસ્તકનું અંગ્રેજી પણ કરે ને આશિષ નાંદી-ગણેશ દેવી-પાઉલો ફ્રેરેને ગુજરાતીમાં લઇ આવે. તેમણે પોતાના દસ-પંદર મિનીટના ટૂંકા વ્યાખ્યાનમાં ‘સાક્ષીપણું’ કેન્દ્રસ્થાને રાખીને તેની મીમાંસા કરી. (સરૂપબહેન 2002-2006ના બનાવોનાં સાક્ષી રહ્યાં એ સંદર્ભે)

ત્રિદીપ સુહૃદ
(અત્યાચારની) કોઇ પણ ઘટનામાં ચાર પક્ષ હોયઃ ભોગ બનનાર, અત્યાચાર કરનાર, પ્રેક્ષક અને સાક્ષી. પહેલા બેની ઓળખ બહુ સ્પષ્ટ છે. પ્રેક્ષક એ છે જે દૂર રહીને આનંદ લઇ શકે છે. મોટા ભાગના લોકો પ્રેક્ષક હોય છે. ‘સાક્ષી’નું માહત્મ્ય સમજાવતાં તેમણે કહ્યું,’સાક્ષીનો સીધો સંબંધ સાક્ષાત્કાર સાથે છે અને અસત્યનો-જૂઠાણાંનો સાક્ષાંત્કાર હોઇ શકે નહીં.’ સાક્ષી માટે વપરાતા અંગ્રેજી શબ્દ ‘ટેસ્ટીમની’ને તેમણે ‘ટેસ્ટામેન્ટ’ના કુળનો ગણાવ્યો. (ત્રિદીપભાઇને કદાચ ખ્યાલ નહીં હોય કે કહેવાતા ચિંતકો આવી એકાદ-બે શબ્દરમતો ઉપર આખેઆખી કોલમ ફટકારી પાડે છે.)

સાક્ષી બનવાનું કામ કહો તો કામ ને જવાબદારી કહો તો જવાબદારી ઐતિહાસિક રીતે સ્ત્રીઓના માથે આવી છે, એમ કહીને ત્રિદીપભાઇએ મરિયમ, ઝૈનબ અને દ્રૌપદીના દાખલા ટાંક્યા. મરિયમ સાક્ષી ન હોત તો ઇસુને ક્રોસે ચડાવ્યાની ઘટના અને તેમના પુનરાગમનની ઘટનાનું કદાચ આ મહત્ત્વ ન હોત. આ પ્રકારની ઘટનાઓ સાક્ષી વિના અપૂર્ણ (ત્રિદીપભાઇનો શબ્દ બીજો હતો) રહે છે. આપણે ત્યાં આ પ્રકારનું (સાક્ષીભાવ ધરાવતું) સાહિત્ય બહુ નથી થયું- ભાગલા વખતે થોડાઘણા પ્રયાસ થયા હતા- એટલે આ પુસ્તક સાક્ષીને- જુબાનીને સમજવાની નવી જવાબદારી મૂકી રહ્યું છે.

દિલ્હીસ્થિતિ જાણીતા વિદ્વાન અને સુરતના સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના ભૂતપૂર્વ નિયામક સુધીરચંદ્રએ પ્રસ્તાવનામાં એ મતલબનું લખ્યું છે કે મોદીના ગુજરાતમાં ભાષાનું પણ વિસ્થાપન થઇ ગયું. એટલે સરૂપબહેને હિંદીમાં લખવાની ફરજ પડી છે. આ વિધાન સંદર્ભે ત્રિદીપભાઇએ કહ્યું કે જેમાંથી ન્યાય, પ્રેમ, અનુકંપા, કરૂણા જેવા ગુણ જતા રહે છે એ ભાષા અને સંસ્કૃતિ સાક્ષી બનવા સક્ષમ રહેતાં નથી. તેમણે કહ્યું કે ‘ગુજરાતી ભાષામાં આજે એવું બળ નથી રહ્યું, જે સત્ય ઉચ્ચારી શકે. એટલે પરભાષા- ના, બીજી ભાષામાં- લખવું પડે છે.’ સાક્ષીનું છેલ્લું કર્તવ્ય પુનરુત્થાનનું છે, જે નવી આશા આપે છે.
***
(ગાંધીની) ‘ગુજરાતી ભાષા સાક્ષી બનવા સમર્થ રહી નથી’ એવું ચર્ચાસ્પદ વિધાન ઘણા મિત્રોને નવાઇભર્યું લાગ્યું, પણ બીજા સજ્જ વક્તાઓ બાકી હોવાથી તેની વધુ ચર્ચા થશે એવી અપેક્ષા હતી, જે સાચી પડી.
સુલતાન અહમદ
તેમણે ખાલિસ હિંદીમાં લખેલું પ્રવચન પૂરા ભાવ અને ચડાવઉતાર સાથે વાંચ્યું. આરંભે જ એમણે કહ્યું, ‘પ્રવચન લખીને લાવ્યો છું. જેથી ફરી ન જાઉં.’ આ પુસ્તકનો આશય ચર્ચા છેડવાનો છે, તો તેની શરૂઆત વિમોચન સમારંભથી જ કેમ નહીં! એમ જણાવીને તેમણે કહ્યું, ‘પુસ્તકની સામગ્રી પર પહેલો હક ગુજરાતીનો હોવો જોઇતો હતો. કારણ કે સરૂપબહેન ગુજરાતીમાં વિચારે છે.’

પુસ્તકમાં લખાયેલી વાતોની તેમણે સરસ સમીક્ષા કરતાં કહ્યું કે કેટલાક કિસ્સા ‘બહારનાં ટોળાં આવીને તોફાન કરી જાય છે’ એવા છે, તો કેટલાક કાયમ સાથે રહેનારાઓની બદલાયેલી વર્તણૂકના. ક્યાંક પોલીસ જુલ્મગાર છે, તો ક્યાંક મદદગાર. હિંદુ અને મુસ્લિમ કટ્ટરપંથીઓને આ પુસ્તકની વાતો નહીં ગમે. કારણ કે તેમાં હિંદુઓએ મુસ્લિમોને મદદ કરી હોય એવા ઘણા પ્રસંગો છે. મુસ્લિમ કટ્ટરપંથીઓને આ એટલે નહીં ગમે કે પછી આવા હિંદુઓને એ લોકો કાફિર કેવી રીતે ગણાવી શકે? પુસ્તકમાં હિંદુ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ છે, મુસ્લિમ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ નથી એમ પણ સુલતાને કહ્યું.
એનજીઓ –સ્વૈચ્છિક સંસ્થાઓ વિશેની તીખી આલોચના પાત્રોના મુખેથી થવા દીધી છે, એનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું, ‘આ પુસ્તકના બનાવો વાંચ્યા પછી લાગે કે એનજીઓની ભૂમિકા સંદેહ કે દાયરે સે બિલકુલ પરે નહીં.’
‘ગુડી ગુડી સર્વધર્મસમભાવ’ની પુસ્તકમાં ક્યાંક ટીકા છે, તો ખુદ સરૂપબહેન પણ ક્યાંક એના જોશમાં આવી ગયાં છે, એમ કહીને તેમણે કેટલાંક ઉદાહરણ ટાંક્યાં. સુલતાને કહ્યું, ‘સચ્ચા સેક્યુલરિઝમ ગુડી ગુડી નહીં હોતા, ઇન્કિલાબી હોતા હૈ.’ વિવિધ પાત્રોના ઇન્ટરવ્યુ અંગે તેમણે કહ્યું કે એ વધારે ધારદાર હોવા જોઇતા હતા અને એકના એક મુદ્દે એકથી વધારે વાર વાત થવા જેવી હતી. કારણ કે એક વારની મુલાકાતમાંથી કેટલીક બાબતોની પકડ ન પણ આવે.
રમેશ ર. દવે
સાહિત્યિક-અધ્યાપકીય પરિભાષા અને આ લખાણ કયા સ્વરૂપનું કહેવાય એની વચ્ચે વચ્ચે તળપદાં ઉદાહરણોથી વાત કરી. એમાં રસ પડે એવો સવાલ હતોઃ ‘કમિટમેન્ટ કળાને નડે ખરૂં?’ રમેશભાઇએ કહ્યું, ‘કમિટમેન્ટ ગાય છે ને કળા વાછરડું. ઉછળતું કૂદતું વાછરડું ક્યારેક ગાયની આગળ નીકળી જાય, પણ છેવટે પોષણ માટે તેને ગાય પાસે જ આવવું પડે છે.’ તેમણે કહ્યું, ‘મને આ પુસ્તક સ્પર્શે છે. મૂંઝવે છે કે મને આ કરવાનું કેમ ન સૂઝ્યું? એટલી નિસબત ઓછી. એકલી નિસબતથી પણ કામ થતું નથી. નિર્ભિકતા ન હોય તો નિસબત ઓળપાઇ જાય છે.’
ઘનશ્યામ શાહ
સ્પષ્ટતા, સરળતા અને ઊંડાણનો સમન્વય સાધીને ઘણા મહત્ત્વના મુદ્દા મૂકી આપ્યા. તેમણે કહ્યું કે હું સ્વરૂપચર્ચામાં નહીં પડું. હું આને ‘નેરેટીવ’ કહીશ. સરૂપબહેનનો તટસ્થતાનો દાવો નથી. એમણે સ્પષ્ટ કહ્યું છે કે હું પીડીતોની સાથે છું. ‘તટસ્થતા જેવું કંઇ હોતું નથી’ એ વાત કરતાં ઘનશ્યામભાઇએ કહ્યું, ‘તમે વિષય પસંદ કરો ત્યાંથી જ તમારાં મૂલ્યો આવતાં હોય છે. ચૂપ રહેવું એ પણ એક સ્ટેન્ડ છે.’
કોમી હિંસા વિશે ગુજરાતીમાં કેમ કંઇ લખાતું નથી, એ વિશે તેમના એક-બે મોટા સાહિત્યકારો સાથેના સંવાદ તેમણે કહ્યા. એક મોટા સાહિત્યકારે કહ્યું, ‘અત્યારે તો વાગોળીએ છીએ. મનન કરીએ છીએ...લખાશે એક દિવસ!’
સિતાંશુ યશશ્ચંદ્રનું નામ લીધા વિના તેમણે કહ્યું, એક મોટા વિદ્વાન અને કવિની બે કવિતાઓ વાંચી હતી. એકમાં એવું હતું કે તોફાન રાજકારણીઓ કરાવે છે. બીજા કાવ્યમાં ઘેટા અને વાઘની વાત હતી અને (તોફાનો પછી) પહેલી વાર ઘેટાને થાય છે કે ‘હવે ખુમારી આવી રહી છે.’ ઘનશ્યામભાઇ કહે, ‘આ દલીલ બહુ જૂની છે. 1969નાં કોમી તોફાનો વખતે પણ આવું જ કહેવાયું હતું, 1981માં, 1985માં, 1992માં અને 2002માં પણ એ જ વાત. ‘હવે ખુમારી આવી રહી છે.’ આ કઇ માનસિકતા કહેવાય? અને આ કોઇ સામાન્ય માણસ નથી. ખૂબ જ વિદ્વાન છે.
તમામ નેરેટીવ પરથી પ્લાનિંગનો પણ ખ્યાલ આવે છે. કોમી તોફાનોમાં પ્લાનિંગની વાત થાય, એટલે બચાવપક્ષ લગભગ છાપેલું ટાઇમટેબલ માગવાની મુદ્રામાં આવે છે. ‘કાં ટાઇમટેબલ બતાવો, કાં આરોપ પાછો ખેંચો.’ પણ ઘનશ્યામભાઇએ કહ્યું કે પ્લાનિંગનો અર્થ લાંબા ગાળાનો છે. જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, ત્રિશૂળો વહેંચાતાં હતાં.. એની વાત છે.
તેમણે કહ્યું, ‘સીટીઝન્સ કમિટી સમક્ષ ઓછામાં ઓછાં બે નિવેદન એવાં હતાં કે મિલીટ્રીવાળાએ અમદાવાદમાં આવીને ટ્રેનિંગ આપી હતી.’ એ વખતે આ વાત બહુ ધ્યાન પર ન લીધી હતી, પણ માલેગાંવના વિસ્ફોટની વાત આવી ત્યારે અચાનક બત્તી થઇ અને એ નિવેદનો યાદ આવ્યાં...
પ્લાનિંગ વિશેની ગેરસમજણની જેમ ન્યાયના આગ્રહ વિશે પણ ઘણી ગેરસમજ ફેલાવવામાં આવે છે. એ વિશે તેમણે કહ્યું, ‘ન્યાયની વાત વેરની વાત નથી.’ બધા ભૂલી જવાની સલાહો આપે છે. યાદ રાખવાનો અર્થ રીપીટ કરવું એવો નથી. ફક્ત મૂલ્યો, ઉપદેશ, પ્રતિજ્ઞાઓ કરાવીએ અને આર્થિક-સામાજિક કારણોની ઉપેક્ષા કરીએ તો કદી સફળતા મળવાની નથી.
આપણે ત્યાં હકની વાત નહીં, ફરજની વાત કરો. ફરજ સાથે સરસ શબ્દ સાંકળી દીધો છેઃ ધર્મ. સંડાસ સાફ કરવાં એ પણ ‘ધર્મ’ (મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે ‘જાજરૂની સફાઇ આધ્યાત્મિક કામ છે.’ આ બોલાયેલું નહીં, છપાયેલું છે) મડદાં ઉપાડવાં એ પણ ધર્મ છે. કોઇ હક માગે તે આપણાથી સહન થતું નથી. ઘરમાં કામવાળીને આપણે રૂપિયા વધારી આપીએ તો ઠીક, પણ એ સામેથી માગે તો આપણો પિત્તો છટકે અને કહીએ, ‘તુ માગનાર કોણ?’
‘તુ માગનાર કોણ?’ એ વલણ લઘુમતિઓ પ્રત્યે પણ લાગુ પડે છે. ‘તમને અહીં રહેવા દીધા છે એટલું ઓછું છે? હક માગવાની શી જરૂર? છે એટલું ઓછું છે?’ એવો ભાવ તેમાં હોય છે.
સરૂપબહેને પોતાની વાતમાં ન્યાયતંત્ર અને લોકશાહી વિશે નિરાશા વ્યક્ત કરી હતી. ‘એ અડધી સાચી છે, પણ ગુજરાત સ્વતંત્ર રાજ્ય હોત અને તેમાં લોકશાહી ન હોત તો?’ એવો સવાલ ઘનશ્યામભાઇએ મૂક્યો. ‘આપણો વોઇસ, આપણી સ્પેસ ઓછી છે. જે છે તે નિરાશાથી ભરપૂર છે. પણ એ છોડીને જઇશું તો ક્યાં જઇશું?’ ‘ભાષાના વિસ્થાપન’ સંબંધે એમણે કહ્યું, ‘આપણને કોઇ (આપણી જગ્યા પરથી) ધક્કા મારીને કાઢી મુકે તો આપણે સ્વીકારી લઇશું? આ સરૂપબહેનની વાત નથી. ઘણી વાર અંગ્રેજીમાં લખીએ ત્યારે અમારે પણ આ સવાલ થાય છે. એ જુદી વાત છે. પણ આપણી ભાષામાં એવું સત્વ નથી એ હું સ્વીકારતો નથી. આપણે કોના માટે લખવાનું છે? ઉમ્મીદ આપણે અહીં જ ઉભી કરવાની છે.’
***
પુસ્તકની ભાષા અને ભાષાના વિસ્થાપન વિશે સુલતાન અહમદ અને ઘનશ્યામભાઇની ટીપ્પણીઓ પછી હીરેનભાઇએ ઉગ્રતાપૂર્વક વિસ્થાપનના મુદ્દાનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે અમારી ફરિયાદ ફક્ત સરકાર સામે નહીં, સીવીલ સોસાયટી સામે પણ છે. એમ કહીને તેમણે બે પુસ્તકોનાં ઉદાહરણ આપ્યાં, જે થોડાં વર્ષ પહેલાં છાપેલાં અને એનજીઓના કામનાં હતાં. પણ એ બધાંનાં બંડલેબંડલ તેમના માળીયામાં પડ્યાં છે. એ કોઇએ ખરીદ્યાં પણ નથી ને કોઇએ એનું વિવેચન પણ નથી કર્યું. હવે અમે લખીએ છીએ પણ હિંદીમાં ને નાટકો પણ હિંદીમાં કરીએ છીએ. ભલે ગુજરાત નહીં સાંભળે, દેશભરમાં ફરીએ છીએ.
***
હીરેનભાઇની બળતરા અને લાગણી સાચી હોવા છતાં, એ ફક્ત એમની નથી. ગુજરાતીમાં લખનારા મોટા ભાગના લોકોની છે. એને ‘મોદીરાજમાં ભાષાના વિસ્થાપન’ની હદે લઇ જવામાં પ્રમાણનો ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. હિંદી-અંગ્રેજીમાં લખાય એનો વાંધો નથી. વાંધો શા માટે? આનંદ છે. પણ ગુજરાતીના ભોગે બીજી ભાષામાં લખાય એ દુઃખદ નથી લાગતું? સરૂપબહેનને પણ ગુજરાતીમાં દિલ ઠાલવવાનું વધારે ન ગમ્યું હોત?
રહી વાત પુસ્તકોની. સંસ્થાઓના આર્થિક સહયોગથી ‘પ્રોજેક્ટ’ તરીકે એ કામ કરવાનું થાય છે, એનાથી (પુસ્તક તૈયાર કરવાનો) મોટા ભાગનો સંઘર્ષ સહ્ય બનતો નથી? પુસ્તક ન વેચાય, પડી રહે તેની પીડા જુદા પ્રકારની છે. એનાં કારણો પણ જુદાં છે.
ગુજરાતીમાં આખી જિંદગી લખ્યા પછી ખાસકંઇ વળતર ન મળ્યું હોય, એવા લેખકો આપણે ત્યાં હતા અને છે. એમાંથી ઘણાખરાને તો સરૂપબહેનની જેમ હિંદી પણ નથી આવડતું કે ‘ઓક્સફામ’નો સહયોગ પણ નથી. એ બધા શું કરતા હશે? એમણે શું કરવું જોઇએ?
સ્વૈચ્છિક સંસ્થાઓનાં પુસ્તકો અંદરોઅંદર ખપતાં નથી, તેમાં વધારે ઊંડાં- ખરૂં જોતાં વધારે છીછરાં- કારણો જવાબદાર છે. બાકી, ગુજરાતમાં સ્વૈચ્છિક સંસ્થાઓ એટલી સંખ્યામાં છે કે દરેક સંસ્થા એક-એક નકલ ખરીદે તો પુસ્તકની બીજી આવૃત્તિ કરવી પડે.
-પણ રજવાડાં કદી આપમેળે, સમજીને એક થતાં જાણ્યાં છે?

Saturday, March 28, 2009

સવારીઃ શેરખાનની અને સંભારણાંની

26 માર્ચના રોજ વિજયગુપ્ત મૌર્યનો 100મો જન્મદિવસ હતો. ગત થયેલા દાદાના જન્મદિવસોનું કેટલા પૌત્રોને મન મહત્ત્વ રહેતું હશે? પણ વિજયગુપ્ત મૌર્ય સામાન્ય દાદા ન હતા અને હર્ષલ (પુષ્કર્ણા) સામાન્ય પૌત્ર નથી.

ગુજરાતી ભાષામાં જ્ઞાનવિજ્ઞાનના લેખનની ઉજ્જવળ અને ટકાઉ પરંપરા ઊભી કરનાર વિજયશંકર વાસુ ઉર્ફે વિજયગુપ્ત મૌર્યને અંજલિ આપવા માટે હર્ષલે એવું ગોઠવ્યું હતું કે તેમના 100મા જન્મદિવસે વિજયગુપ્ત મૌર્ય લિખિત ‘શેરખાન’ની ચોથી આવૃત્તિ તૈયાર થાય.

રાબેતા મુજબની છેલ્લી ઘડીની ધમાચકડી પછી 26મી તારીખે નવી આવૃત્તિ હર્ષલના હાથમાં હતી. સુઘડ- લે-આઉટ, સ્વચ્છ અને વાર્તારસથી સભર ચિત્રો, પહેલી અને બીજી આવૃત્તિમાં વિજયગુપ્ત મૌર્યની લખેલી પ્રસ્તાવનાનું સંકલન કરીને મુકેલી પ્રસ્તાવના, ભાગ્યે જ અંગત ઉલ્લેખ કરતા નગેન્દ્રભાઇનું હૃદયસ્પર્શી કથન- આ ‘શેરખાન’ની નવી આવૃત્તિનાં આકર્ષણ છે.

મારી પાસે ‘શેરખાન’ની બીજી આવૃત્તિ (1983) છે, પણ વાતચીતમાં હર્ષલે ત્રીજી આવૃત્તિ વખતની ઘણી વાતો યાદ કરી. 1995માં એ આવૃત્તિ થઇ ત્યારે હર્ષલને નગેન્દ્રભાઇ સાથે કામમાં જોડાયે ચાર-પાંચ વર્ષ થયાં હતાં. ‘સ્કોપ’ અનિયમિત પણ ચાલુ હતું. ‘સફારી’ પણ ખરૂં. જ્ઞાનવિજ્ઞાનના પ્રસાર માટે નગેન્દ્રભાઇએ પસંદ કરેલો રસ્તો અને એ માટેનો સંઘર્ષ આખો અલગ- અને ગુજરાતી પત્રકારત્વ-સાહિત્યમાં ‘વીસમી સદી’વાળા હાજી મહંમદ કે વિજયરાય વૈદ્યની પરંપરાનો છે- ભલે ક્ષેત્ર અલગ રહ્યાં. હર્ષલે પણ કિશોરાવસ્થા પર પુખ્તતાનું ‘એડપ્ટર’ લગાડ્યું અને કામે લાગી પડ્યો. એવા નિર્ધાર સાથે કે અણમોલ જ્ઞાનના બદલામાં અલ્પ વળતરની શોષણ પરંપરા અટકાવીને જંપીશ.

1995માં ‘યુરેનસ બુક્સ’ નામે પ્રકાશન સંસ્થા શરૂ કરી. તેનું પહેલું પુસ્તક હતુઃ શેરખાન. કઝિનના મેકિન્તોશ પર ગુજરાતી ફોન્ટમાં આખા પુસ્તકનું ટાઇપસેટિંગ, લે-આઉટ અને પ્રૂફરીડિંગ હર્ષલે કર્યાં હતાં. 1995માં મેક પર ગુજરાતી સોફ્ટવેર? હાં, ભઇ, હાં. મને યાદ છેઃ 1995માં હું મુંબઇ ‘અભિયાન’માં જોડાયો ત્યારે નગેન્દ્રભાઇનું ‘શતરંજ’ (રાજકીય કોલમ)નું મેટર પણ એ વખતે ભેદી જણાતી ગોઠવણથી સીધું મોડેમથી ઉતરતું હતું, જેને કમ્પોઝ કરાવવું પડતું ન હતું. (એ વખતે ઇન્ટરનેટ આવ્યું ન હતું. ઇ-મેઇલનો સવાલ ન હતો.)

દાદાના પુસ્તકને હર્ષલે તૈયાર તો કરી નાખ્યું, પણ અનુભવના અભાવે પુસ્તકનું ઉઘડતું પાનું અને તેની પાછળનું કિંમત-પ્રકાશક જેવી વિગતો ધરાવતું પાનું કરવાનું જ રહી ગયું. એ પ્રસંગ યાદ કરીને હર્ષલ કહે છે,’શરૂઆતની કોપી જોવા માટે આવી હતી. તેમાં ધ્યાન પડ્યું એટલે ઊભાઊભ એ પાનું કરાવીને ચોપડીમાં ચોંટાડાવ્યું.’

14 વર્ષ પછી ‘શેરખાન’ની નવી આવૃત્તિ નિમિત્તે આ સંભારણાં સૌ ‘સફારી’પ્રેમીઓ માટે.

Thursday, March 26, 2009

હોમાય વ્યારાવાલાનું ‘કાર નામા’, છાપાંના કારનામાં


(અહા! જિંદગીમાં બીરેનની સ્ટોરીનો આરંભ)

બે દિવસથી છાપાં રમણે ચડ્યાં છે. ‘ગુજરાત સમાચાર’ની વડોદરા આવૃત્તિમાં મંગળવારે ચોકઠાબંધ સ્ટોરી પ્રકાશિત થઇઃ ૯૬ વર્ષનાં હોમાય વ્યારાવાલાએ નેનો ખરીદવા વર્ષોજૂની ફિયાટ વેચી.

‘નેનો’ના જયજયકાર વચ્ચે આ સ્ટોરી થવી જોઇએ એવી જ હિટ થઇ! રહી ગયાની લાગણી સાથે અંગ્રેજી અખબારોએ સ્ટોરી લીધી. પી.ટી.આઇ.એ પણ સ્ટોરી લગાડી દીધીઃ ‘ટુ બાય નેનો ૯૬-યર-ઓલ્ડ વુમન ફોટોજર્નાલિસ્ટ સેલ્સ હર ફિઆટ.’ પીટીઆઇના પગલે બુધ/ગુરૂનાં રાષ્ટ્રીય અખબારોમાં પણ એ સ્ટોરી આ જ સ્વરૂપે છપાઇ.

મંગળવારે પહેલી વાર સ્ટોરી છપાઇ, ત્યારે વડોદરાથી મોટા ભાઇ બીરેન કોઠારીનો ફોન આવ્યો. ‘અહા! જિંદગી’ (માર્ચ, ૨૦૦૯)માં તેણે હોમાયબહેન અને તેમની કાર વિશે બે પાનાંની એક સરસ ફીચર લખ્યું હતું. હોમાયબહેન સાથે આઠ-દસ વર્ષના ગાઢ સંબંધના કારણે, ટુકડે ટુકડે તે હોમાયબહેનના તેમની ફિયાટ સાથેના ‘પ્રેમપ્રકરણ’ વિશે જાણતો હતો. (વખતોવખત કારના રિપેરિંગ માટે મિકેનિક પણ તે શોધતો હતો.) એટલે કારના મેઇન્ટેનન્સથી કંટાળીને આખરે હોમાયબહેને પોતાના મુંબઇ સ્થિત સંબંધીને આ કાર - અને ઉપરથી દસ હજાર રૂપિયા- આપવાનો નિર્ણય કર્યો, ત્યારે બીરેનને યોગ્ય રીતે જ લાગ્યું કે એ નિમિત્તે હોમાયબહેન અને કારના લાંબા સંબંધ વિશે લખવું જોઇએ.

આવું લખાણ લાંબું થાય. વિગતો ઉપરાંત ભાવનાત્મક અને વિશિષ્ટ પણ હોય. સારૂં તો હોય જ. એટલે કોણ છાપે એ સવાલ! એ સવાલની ચિંતા કર્યા વિના બીરેને એક દિવસ હોમાયબહેન સાથે ફક્ત કાર વિશે જ વાતો કરવાનો ઉપક્રમ રાખ્યો. ત્યાર પછી પણ કંઇક યાદ આવ્યં તો એમણે ફોન કરીને જણાવ્યું. પછી સાઇઝની ચિંતા રાખ્યા વિના બીરેને લેખ લખ્યો અને ‘અહા! જિંદગી’ના સંપાદક-મિત્ર દીપક સોલિયાને કોઇ પૂર્વભૂમિકા વિના ફક્ત વાંચવા મોકલી આપ્યો. લેખ વાંચીને દીપકે બહુ આનંદ વ્યક્ત કર્યો અને લેખને સજાવટપૂર્વક માર્ચ, ૨૦૦૯ના અંકમાં છાપ્યો.

એ લેખમાંથી કરાયેલા કેટલાક બેઠ્ઠા ઉતારા અને કેટલાંક અનર્થઘટનોને કારણે પહેલાં ગુજરાત સમાચારમાં અને પછી પીટીઆઇના પ્રતાપે બીજે એવી સ્ટોરી પ્રકાશિત થઇ કે ‘હોમાય વ્યારાવાલાએ નેનો ખરીદવા જૂની ફિઆટ કાઢી નાખી’.

તેનાથી વિપરીત, ઇન્ડિયન એક્સપ્રેસ અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ સ્ટોરી વાંચ્યા પછી હોમાયબહેનનો સંપર્ક કરવાની તસ્દી લીધી- જે પેલી તફડંચીબાજીવાળી સ્ટોરીમાં લેવાઇ ન હતી- અને એ બન્નેએ સાચી સ્ટોરી પ્રગટ કરી. તેમાં હોમાયબહેન નેનો ખરીદવા ઇચ્છુક છે એવું જણાવાયું હતું, પણ ‘નેનો માટે ફિઆટ વેચી’ વાળી વાત ન હતી.

પીટીઆઇએ આટલી તસ્દી લીધી નહીં. એટલે એ ગોટાળો રાષ્ટ્રિય સ્તરે પહોંચ્યો અને ડીએનએ, હિંદુસ્તાન ટાઇમ્સ, બિઝનેસ સ્ટાન્ડર્ડ જેવાં દૈનિકોમાં એ સ્ટોરી ખોટી રીતે છપાઇ.

Wednesday, March 25, 2009

ભવનનું મુનશી સન્માનઃ સમાચાર નથી, એ જ સમાચાર નથી?


ફોટો ૧ : (ડાબેથી) સુરેન્દ્રલાલ મહેતા, રાજેન્દ્ર શાહ, યુ.આર.અનંતમૂર્તિ, ગુલઝાર
ફોટો ૨ : કાવ્યોત્સવઃ (ડાબેથી) વિન્દા કરંદીકર, રાજેન્દ્ર શાહ, યુ.આર.અનંતમૂર્તિ, ગુલઝાર, પુષ્પા ભારતી

ગુજરાતી સાહિત્યના એવોર્ડ જગતમાં મૌસમ, ફિલ્મી ગીતમાં કહે છે તેમ, ‘બડી બેઇમાન’ છે. એવા એવા લોકો રણજિતરામ એવોર્ડ મેળવવા ધમપછાડા કરે છે કે લરઝતા હૈ દિલ મેરા...
પરિષદ દર વર્ષે જાહેર થતા સંખ્યાબંધ એવોર્ડમાં પાંચસો-પાંચસો રૂપિયા આપે છે. હકીકતે, એક એવોર્ડ માટે ફાળવાયેલી રકમ રૂ.૧ હજાર છે, પણ તેમાંથી પાંચસો રૂપિયા વહીવટી ખર્ચ પેટે. (સંસ્થા ચલાવી તો જુઓ! ખબર પડશે!) ચૂંટાયેલા માળખા વિના સરકારી સંસ્થા જેવી અકાદમીના એવોર્ડ વિશે શું કહેવું? રકમ પાંચસો રૂપિયા કરતાં વધારે હોય છે, પણ સ્ટેજ પર આવીને પ્રતિભાવ આપવા ન મળે. પરિષદ-અકાદમીના સંખ્યાબંધ એવોર્ડ, હું ભણતો હતો હતો ત્યારે અમારી શેઠ જે.એચ. સોનાવાલા હાઇસ્કૂલમાં પ્રાર્થના પછી વિદ્યાર્થીઓને અપાતાં પેન્સિલનાં ઇનામની યાદ અપાવે છે. જે ભાવ કેન્દ્રસ્થાને હોવો જોઇએ- સન્માનનો- એ જ ભાવ સદંતર ગેરહાજર હોય છે.
ધ.કા. તરીકે ટૂંકમાં ઓળખાતા અને સરખામણીઓની દુનિયામાં ‘મિની રણજિતરામ’ કહેવાતા ‘ધનજી કાનજી ચંદ્રક’નો અર્થ છેઃ (રણજિતરામ કે લિયે) ‘કૃપયા આપ કતારમૈં હૈં. થોડી દેર પ્રતીક્ષા કરેં.’ રણજિતરામ ચંદ્રક એવા લોકોને અપાઇ ચૂક્યો છે અને હજુ તો એવા એવા લોકોને અપાવાની ભીતિ છે કે આપણને રણજિતરામની દયા આવવા લાગે. કેટલાક ભૂતપૂર્વ અને ભાવિ વિજેતાઓનાં નામ વિશે વિચારતાં એવું લાગે કે રણજિતરામ મારા પરદાદા થતા હોત, તો મેં સાહિત્યસભાને વિનંતી કરીને, જોઇએ તો સામેથી થોડા રૂપિયા આપીને, આ ચંદ્રક સાથે જોડાયેલું રણજિતરામનું નામ દૂર કરવા પ્રયાસ કર્યા હોત. પછી ચંદ્રકનું નામ શું રાખી શકાય? અનેક વિકલ્પોમાંનો એક મજબૂત અમદાવાદી વિકલ્પઃ કુમારપાળ દેસાઇ સુવર્ણચંદ્રક. મુંબઇના સજ્જનો ‘હેમરાજ શાહ સુવર્ણચંદ્રક’ જેવું નામકરણ પણ વિચારી શકે.
***
ઇનામો-ચંદ્રકોની આ દુનિયામાં એક નવા, વજનદાર સન્માનનું ધડકતે હૈયે સ્વાગત છે. એ છે ભારતીય વિદ્યાભવને કનૈયાલાલ મુનશીની સ્મૃતિમાં સ્થાપેલું ‘મુનશી સન્માન.’ આ વર્ષથી શરૂ થયેલા સન્માનના વ્યાપમાં ગુજરાતી સાહિત્યકારો ઉપરાંત કળાકારોને આવરી લેવાયા છે. મૂળ યોજના ‘કર્મશીલો’ને પણ સામેલ કરવાની હતી. એ નિમિત્તે ભવનનો ઇરાદો કેટલાક નક્કર કામગીરી કરનારને સન્માનવાનો હતો, પરંતુ ભવન સાથે સંકળાયેલા રમેશ ઓઝા જેવા સ્પષ્ટદૃષ્ટા-સ્પષ્ટવક્તાએ ‘કર્મશીલ’ની સ્થિતિસ્થાપક વ્યાખ્યાની વાસ્તવિક બીક બતાવી હશે. આખરે સર્વાનુમતે ફક્ત સાહિત્યકારો-કળાકારોને એકંદર પ્રદાન (લાઇફટાઇમ એચીવમેન્ટ) બદલ એક લાખ રૂપિયા અને સન્માનપત્રથી સન્માનિત કરવા એવું નક્કી થયું. પહેલું મુનશી સન્માન ૯૭ વર્ષના, જ્ઞાનપીઠ વિજેતા કવિ રાજેન્દ્ર શાહને એક ભવ્ય સમારંભમાં અર્પણ કરવામાં આવ્યું.
***
૭ માર્ચ, ૨૦૦૯ની સાંજે ભારતીય વિદ્યાભવનમાં યોજાયેલા મુનશી સન્માન સમારંભના સંચાલક હતા મઘુ રાય. આરંભે ભવનના પ્રમુખ સુરેન્દ્રલાલ મહેતાએ વિદ્યાભવનની સાત દાયકાની સફરને ‘સાંસ્કૃતિક આંદોલન’ અને રાજેન્દ્ર શાહને ‘સંસ્કારતીર્થ’ તરીકે ઓળખાવ્યાં. રાજન્દ્રભાઇએ સન્માન સ્વીકારીને ભવનને સન્માનિત કર્યું છે, એવું પણ એમણે કહ્યું.
ભવનના હોમી દસ્તૂરે પોતાનાં સંભારણાં દ્વારા કનૈયાલાલ મુનશીનાં વિવિધ પાસાં ઉજાગર કર્યાં. રાજેન્દ્ર શાહ વિશે બે વક્તાઓ હતાઃ સિતાંશુ યશશ્ચંદ્ર અને ચંદ્રકાંત ટોપીવાળા. અગાઉ એક કાર્યક્રમમાં લેખનનાં ત્રણ પાસાં સંબંધે મઘુ રાયને નાટ્યકાર પીરાન્દેલો, અખો અને ??? (આવું જ કોઇ નામ) સાથે સરખાવી ચૂકેલા સિતાંશુભાઇએ આ કાર્યક્રમમાં રાજેન્દ્રભાઇને ‘કબીર કરતાં જરાય ઊણા નહીં’ એવા, સીમાહીન ગગનના કવિ તરીકે ઓળખાવ્યા. તેમના એક વિધાન મુજબ, ‘રાજેન્દ્ર શાહની સ્વતંત્રતાની ભાવના, રાજેન્દ્રની કવિતા, રાજેન્દ્ર શાહનું તત્ત્વજ્ઞાન, આ બઘું જ આપણે પોલિટિકલી વિચારસરણીથી મુક્ત થઇને જોઇએ તો આપણને પરમ આનંદ આપે છે.’ ચંદ્રકાંત ટોપીવાળાએ આ સમારંભને ‘ગમતા કવિને મળવાનું બહાનું ઊભું કરી આપતા ઉત્સવ’ ગણાવીને, રાજેન્દ્ર શાહને આઘુનિકતા વચ્ચે શાશ્વત રૂપે ઊભેલા કવિ તરીકે ઓળખાવ્યા.
રાજેન્દ્ર શાહને કન્નડ ભાષાના રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સાહિત્યકાર યુ.આર.અનંતમૂર્તિએ સન્માન અર્પણ કર્યું, ત્યારે ઉપસ્થિત સૌએ ભાવપૂર્વક ઊભા થઇને આદર વ્યક્ત કર્યો. અનંતમૂર્તિએ કહ્યું કે,‘રાજેન્દ્ર શાહે ૧૯૪૭ પહેલાં જ સ્વતંત્રતા મેળવી લીધી હતી. તેમણે પોતાને જે ગમ્યું, તે જ લખ્યું.’ ઓબામા અને સર્વોદયની, ગુજરાતી ભાષાના સર્જકો પાસેથી ભાગ્યે જ સાંભળવા મળતી વાત છેડીને, અનંતમૂર્તિએ ‘આપણી સંસ્કૃતિ તરફ, આપણા સર્જન તરફ પાછા વળવાની’ વાત કરી.
પ્રતિભાવમાં રાજેન્દ્રભાઇએ કહ્યું,‘નરસિંહ મહેતાની કવિતા ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’માંથી મને જીવનમંત્ર મળ્યો છેઃ હું જ વિલસી રહું સહુ અંગ/ હું જ રહું અવશેષે’. પારિતોષિકની રકમ તેમણે એક સંસ્થાને અને શાલ ‘નવનીત સમર્પણ’ના પૂર્વ સંપાદક ઘનશ્યામભાઇ દેસાઇને અર્પણ કરી. કાર્યક્રમના આ પહેલા હિસ્સાની આભારવિધી કનૈયાલાલ મુનશીના પૌત્ર કીર્તિદેવે કરી.
બીજો હિસ્સો ‘કાવ્યોત્સવ’નો હતો. તેમાં વિન્દા કરંદીકર, યુ.આર.અનંતમૂર્તિ, ગુલઝાર, નિદા ફાઝલી, સિતાંશુ યશશ્ચંદ્ર, અનિલ જોશી, ધર્મવીર ભારતીની કવિતાના પઠન માટે પુષ્પા ભારતી જેવાં વજનદાર નામ ઉપસ્થિત રહ્યાં. વિશ્વનાથ સચદેવે સંચાલન કર્યું. દરેકે પોતાની બે-ત્રણ રચનાઓ વાંચી. આ જ કાર્યક્રમમાં ગુલઝારે પોતાના સુરત અને સિતાંશુ કનેક્શન વિશે વાત કરી હતી, જેનું એક અખબારમાં એ મતલબનું રીપોર્ટંિગ આવ્યું કે ‘ગુલઝારને લખવાની પ્રેરણા સિતાંશુએ આપી હતી’. (ગુલઝારનાં વિવેકવાક્યોનો એ વઘુ પડતો ઉદાર વિચારવિસ્તાર હતો!)
***
અખબારી અહેવાલ પરથી યાદ આવ્યું. ભવન સાથે સંકળાયેલા મિત્ર રમેશ ઓઝા પર સમારંભ નિમિત્તે એક ટોચના ગુજરાતી અખબારમાંથી ફોન આવ્યો. ફોન કરનાર પચાસી વટાવી ચૂકેલા અને એક સમયે રમેશભાઇની સાથે કામ કરી ચૂકેલા પરિચિત પત્રકાર હતા. તેમણે પૂરી નિર્દોષતાથી પૂછ્યું,‘કનૈયાલાલ મુનશીનો ફોન નંબર આપો ને!’
એમનો ઇરાદો નેક. વિચાર્યું હશે કે જેના નામનું સન્માન છે તેને જ ફોન કરીને ક્વોટ લઇએ. પણ રમેશભાઇએ તેમને નિરાશ કર્યા. કહ્યું,‘કનૈયાલાલ મુનશી તો નથી. ઘણાં વર્ષ પહેલાં એ અવસાન પામ્યા છે.’
પણ પેલા મિત્ર એમ નિરાશ થાય એવા ન હતા. તેમણે કહ્યું,‘વાંધો નહીં. રાજેન્દ્ર શાહનો ફોન નંબર આપો. એમની સાથે વાત કરી લઊં.’
આ કિસ્સામાં બિલકુલ અતિશયોક્તિ નથી. કેમ કે, રમેશભાઇએ પોતે આ કિસ્સો કહ્યો છે.
***
મુનશી સન્માન ચંદ્રક સ્વરૂપમાં રાખવું એવી એક વિચારણા હતી. પણ સસ્તા થઇ ગયેલા ચંદ્રકોની હરોળમાં ઉમેરાવાને બદલે, પુરસ્કાર રાશિ પણ સન્માનને અનુરૂપ હોય એ રીતે, લાખ રૂપિયાની રકમ રાખવાનું નક્કી કરવામાં આવ્યું. એ સંજોગોમાં આ સન્માન ગુજરાતી ભાષાનું અને સાહિત્યિક-વિદ્યાકીય સંસ્થા દ્વારા અપાતું સૌથી મોટું સન્માન ગણાવું જોઇએ અને આપણી ભાષામાં આવું સન્માન સ્થપાયું- તેનો પહેલો સમારંભ યોજાયો, તેની ગુજરાતભરમાં નોંધ લેવાવી જોઇએ. પરંતુ મુખ્ય કે સમાંતર, એકેય ધારાનાં પ્રસાર માઘ્યમોએ ‘મુનશી સન્માન’માં ઝાઝો રસ ન દર્શાવ્યો. બહુ થોડાએ કવરેજ કર્યું, એ પણ કરવા ખાતર. મુનશી જીવીત પ્રધાન કે બાપુ-કથાકાર હોત તો જુદી વાત હતી...
રણજિતરામ ચંદ્રક અત્યારે ‘બાય ડીફોલ્ટ’- બીજા વિકલ્પના અભાવે અને જૂની પરંપરાના પ્રતાપે ગુજરાતીનો સૌથી મોટો પુરસ્કાર ગણાય છે. સન્માનોની કદી સ્પર્ધા ન હોઇ શકે, પણ પહેલા મુનશી સન્માનનો કાર્યક્રમ જે રીતે યોજાયો એવું જ ધોરણ (કાર્યક્રમનું અને વિજેતાનું) જળવાઇ રહેશે, તો ‘મુનશી સન્માન’ ગુજરાતી સંસ્કાર જગતનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન બની રહેશે
- અને એ વાતથી મુનશીના ‘ગૉડફાધર’ રણજિતરામ કરતાં વઘુ રાજી બીજું કોણ થઇ શકે?

Tuesday, March 24, 2009

વિનોદ મેઘાણીની યાદગાર શ્રદ્ધાંજલિ-સભા






pics : 1-2-3 Audience includes Elaben Bhatt (SEWA), Jayant Meghani, Nanak Meghani, Bholabhai Patel, Rajendra Patel, Ramesh Dave- Bharatiben Dave, Hiren Gandhi, Rupa Maheta, Shivajibhai Ashar among many other distinguished persons.
4. Meghashree Bhave sings; prof. joshi & prakash n. shah listen attentively. 5. Saumya Joshi 6. Prof. Jayant Joshi 7. Jignesh Mewani 8. Kanubhai Dantani 9. Vishal Patadia
સદગત સાહિત્યકારની પાછળ ભરાતી સભાઓ મોટે ભાગે કંટાળાજનક, ઔપચારિક અને પ્રમાણભાન વગરની પ્રશંસાથી ગંધાઇ ઉઠતી હોય છે. એવી સભાઓમાં ગયા પછી એક જ લાગણી થાયઃ આપણી પાછળ બીજું જે થવું હોય તે થાય, પણ આવી સભા તો ન જ થવી જોઇએ.

શનિવારે મિત્ર સંજય ભાવેએ કેટલીક સંસ્થાઓના સહયોગથી યોજેલી વિનોદ મેઘાણીની શ્રદ્ધાંજલિ સભા પરિષદો-અકાદમીઓ-સંસ્થાઓ માટે નમૂનારૂપ બની રહે એવી થઇ. એક સાચકલા શબ્દસેવીના નક્કર જીવનકાર્યનું સ્મરણ પૂરા પ્રમાણભાન, પ્રામાણિકતા અને લાગણીની ભીનાશ સાથે કેવી રીતે થઇ શકે તે આ સભામાં પ્રત્યક્ષ જોવા મળ્યું.

જેમના સમયપાલનના આગ્રહથી આખા વલસાડમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સમયસર શરૂ થવા લાગ્યા, એ વિનોદભાઇને પહેલી અંજલિ બરાબર સાડા પાંચ વાગ્યે કાર્યક્રમ શરૂ કરીને સંજયભાઇએ આપી. તેમનાં પત્ની અને અચ્છાં ગાયિકા મેઘશ્રી ભાવેએ મેઘાણીના એક ગીત ‘તારા નામમાં ઓ સ્વતંત્રતા’થી આરંભ કર્યો. સંજયભાઇએ પંદર-વીસ મિનીટના ચુસ્ત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા કહીને વિનોદભાઇના જીવનકાર્યનો સરસ ખ્યાલ આપ્યો. ગુજરાતી સામયિકોનું પ્રદર્શન હોય કે વાન ગૉગનાં ચિત્રોનો સ્લાઇડ શો, વિનોદભાઇ તમામ નમ્રતા સહિત પોતાનાં કેટલાંક ધોરણ જાળવી રાખતા હતા, એ યાદ કરીને સંજયભાઇએ કહ્યું,’મંચ પર પ્રસ્થાપિત ધર્મની વ્યક્તિ ન હોય એ તેમની શરત રહેતી. કહેતા કે એ શ્રોતાઓમાં હશે તો ચાલશે.’

સંજય ભાવે પછી સૌમ્ય જોશીએ વિનોદભાઇ સાથે ફોન પર થયેલી વાતચીતનું સંભારણું રજૂ કરીને ‘સળગતાં સૂરજમુખી’માંથી થોડું વાચન કર્યું. એ જ રીતે જિજ્ઞેશ મેવાણીએ પણ થોડી વાત, થોડું વાચન કર્યું. ડીએસઓના જયેશ પટેલે વલસાડમાં સાયકલયાત્રા દરમિયાન વિનોદભાઇ-હિમાંશીબહેને તત્પરતા અને આત્મીયતાથી આપેલા સહકારની વાત કરી.

ભરબપોરે જયેશભાઇ અને મિત્રો ભગતસિંહના પ્રદર્શન સાથે સાયકલો પર વલસાડ પહોંચ્યા, ત્યારે વિનોદભાઇ પણ તડકામાં ઊભા હતા. જયેશભાઇએ થોડી વાર બાજુ પર છાંયામાં પોરો ખાધા પછી કાર્યક્રમ શરૂ કરવાની વાત કરી, એટલે વિનોદભાઇ કહે, ‘તમે તાપમાં જ આવ્યા છો ને. તમારે થાક લાગ્યો હોય ને આરામ કરવો હોય તો જુદી વાત છે.’ જયેશભાઇ કહે,’થાકનો સવાલ નથી. હજુ પ્રદર્શન ગોઠવવાનું છે.’ તો વિનોદભાઇ પ્રદર્શન ગોઠવવામાં મદદ કરવા પણ તૈયાર. કાર્યક્રમ શરૂ થયો એટલે વિનોદભાઇ હાથમાં માઇક સાથે રસ્તા પર આવી ગયા અને જતાઆવતા લોકોને ઊભા રાખીને ‘ખબર છે? આ લોકો કોણ છે? ક્યાંથી આવ્યા છે? અહીં કેમ આવ્યા છે?’ એ બધું કહેતા જાય.

પત્રકાર-મિત્ર વિશાલ પાટડિયાએ સામયિક પ્રદર્શન વખતે અમદાવાદમાં બે દિવસ વિનોદભાઇ સાથે સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું, તેની યાદગીરી તાજી કરીને કહ્યું કે ‘હું એમને અગાઉના (દરિયાઇ) જીવન વિશે પૂછું ત્યારે હંમેશાં ટાળી દે. થોડો એવો પણ ભાવ હોય કે તારા જેવા બહુએ પૂછ્યું છે, પણ મેં કોઇને કહ્યું નથી.’ બહુ આગ્રહ કર્યો એટલે કહે,’હું નવનીત સમર્પણમાં લખવાનો છું.’ ‘સળગતાં સૂરજમુખી’ વિશે વિશાલ કહે,’જીવન જીવવા જેવું ન લાગે ત્યારે- જોકે મારે એવું કંઇ થયું નથી પણ- એવું લાગે ત્યારે આ પુસ્તક વાંચીએ તો હતાશા દૂર થઇ જાય.’

આ સભાની સૌથી મોટી ખાસિયત એ રહી કે બોલનારા સૌએ વિનોદભાઇના આત્માને શાંતિ આપવાની ઔપચારિક પ્રાર્થના કરવાને બદલે, ચાંપલી-ચાંપલી શ્રદ્ધાંજલિ આપવાને બદલે કે ‘હું અને સદગત’ જેવી ડંફાસીયા બડાશો મારવાને બદલે દિલથી વાતો કરી. એટલે બધાનાં વક્તવ્યો અનૌપચારિક, ટૂંકાં, ચોટદાર અને બિનજરૂરી લાગણીવેડા વગરનાં છતાં હૃદયસ્પર્શી બની રહ્યાં. સિવિલ હોસ્પિટલમાં કામ કરનાર મિત્ર કનુ દંતાણીએ વિનોદભાઇ તેમની કેટલી કાળજી લેતા હતા અને કોઇ પૂર્વપરિચય વિના તેમની પર કેટલો સ્નેહ ઢોળ્યો એની વાત કરી.

સરળતા ખાતર જેમની ઓળખાણ સૌમ્ય-અભિજાત જોશીના પપ્પા તરીકે આપી શકાય, એવા પ્રો. જયંત જોશીએ વિનોદભાઇ સાથે અલ્પપરિચયનાં સંભારણાં રજૂ કરીને કહ્યું કે હું તો એમને ‘સળગતાં સૂરજમુખી’ના અનુવાદક નહીં, લેખક જ ગણું છું. હળવાશથી જોશીસાહેબે એમ પણ કહ્યું કે ‘હું વિનોદભાઇને કહેતો, તમે વલસાડમાં રહો છો. વચ્ચે વચ્ચે ભાદરનું પાણી પીવાનું રાખો, જેથી કાઠિયાવાડી ઉચ્ચારો બરાબર આવે.’

અધ્યક્ષીય વક્તવ્ય પહેલાં સંજયભાઇએ શ્રોતાઓમાંથી કોઇને બોલવું હોય તો મંચ પર આવવા જણાવ્યું. પણ એકાદ અપવાદને બાદ કરતાં કોઇને બોલવાની જરૂર ન લાગી. તમામ ઉંમરના લોકોની ઉપસ્થિતિથી સભા ખાસ્સી અનૌપચારિક અને પરંપરાગત શોકસભા કરતાં અલગ લાગતી હતી. માહોલ લાગણીસભર ખરો, પણ સોગીયો બિલકુલ નહીં. કેટલાંક વક્તવ્યો વખતે ખડખડાટ હાસ્યના અવાજ ગુંજ્યા, તો પહેલા એકાદ-બે વક્તવ્યો પછી બાકીનાં વક્તવ્યો વખતે ધીમી ધીમી તાળીઓ પણ પડતી હતી.

જોશીસાહેબના વક્તવ્ય પછી સંજય ભાવેએ ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘મહેમાની’માંથી સાદ્યંત કાઠિયાવાડી છટા ધરાવતા ભોજનને લગતા ગદ્યનો વિનોદભાઇએ કરેલો પ્રાસાદિક અનુવાદ વાંચી સંભળાવ્યો. તેમણે કહ્યું કે વિનોદભાઇ ગુજરાતી શબ્દો ઇટાલિક્સમાં લખી દેવાને બદલે, મૂળને શક્ય એટલા વફાદાર રહીને અંગ્રેજી અનુવાદ કરતા હતા. ‘પરબ’માં છપાયેલો વિનોદભાઇનો એક પત્ર પણ સંજયભાઇએ વાંચ્યો. ઝવેરચંદ મેઘાણીની ટપાલટિકીટ બહાર પડી, એ નિમિત્તે લખાયેલા એ પત્રમાં વિનોદભાઇએ ટિકીટ પરના મેઘાણીના ‘બેહૂદા’ ચિત્રની ફરિયાદ કરીને ભારપૂર્વક કહ્યું હતું કે ‘અમારા પિતાજી આવા તો નહોતા જ. 51 વર્ષની વયે મૃત્યુ થયું ત્યાં સુધી એમની આંખની ચમક ઓછી થઇ ન હતી.’

અધ્યક્ષીય વક્તવ્યનો આરંભ કરતાં પ્રકાશ ન. શાહે કહ્યુ,’બે છેડે બળતી મીણબત્તી જેવું જીવીને વિનોદભાઇ ગયા.’ તેમણે કહ્યું કે 2002ના ગુજરાતમાં કોમી હિંસાના માહોલમાં આખી ચર્ચાને જ્યારે સાંપ્રદાયિકતા વિરુદ્ધ બિનસાંપ્રદાયિકતાના રવાડે ચડાવી દેવામાં આવી, ત્યારે ‘રુલ ઑફ લૉ’નો મુદ્દો સમજનારા બહુ ઓછા લોકોમાં વિનોદભાઇ હતા. લાક્ષણિક પ્રકાશીય શૈલીમાં તેમણે કહ્યું,’હું જ્યારે પણ ફોન કરું ત્યારે વિનોદભાઇ ફોન ઉપાડે, અડધું વાક્ય બોલે- ન બોલે, ને કહે, ‘હિમાંશીને આપું.’ મારા જેવા માણસ સાથે વળી એમણે શી વાત કરવાની હોય એવું, એમને એમના વિશેના કે મારા મારા વિશેના ખ્યાલ પરથી, લાગતું હશે.’
વસંત-રજબની પરિચય પુસ્તિકા નિમિત્તે પ્રકાશભાઇએ ‘લિ. હું આવું છું’નું નવેસરથી વાચન કર્યું, ત્યારે તેમાં એકાદ નોંધ એવી ઉપયોગી મળી આવી, જે બીજે ક્યાંયથી ન મળી હોત. એ યાદ કરીને પ્રકાશભાઇએ કહ્યું,’વિનોદભાઇના સંપાદનમાં-નોંધોમાંથી સિવિલ લીબર્ટી વિશેની એમની સમજણ અને એ ગાળાના આખા વાતાવરણનો- મેઘાણીએ કયા સમયમાં કામ કર્યું તેનો ખ્યાલ મળે છે. આપણે ત્યાં સાહિત્યનું વાચન સિવિલ લીબર્ટીઝની રીતે થતું નથી.’

એચ.કે.આર્ટસ કોલેજે ટોકન રૂ.500નું ભાડું લઇને પોતાનો કોન્ફરન્સ હોલ આ કાર્યક્રમ માટે ભાડે આપ્યો હતો. આપણા જેવાને એવો સવાલ પણ થાય કે પોતાની સાંસ્કૃતિક પરંપરા માટે ગૌરવ લેતી એચ.કે. જેવી કોલેજ આવા કાર્યક્રમો માટે 500 રૂપરડીનાં ભાડાં લેવાને બદલે ઉલટભેર યજમાન ન બની શકે? પોતાના જ બે અધ્યાપકો સંજય ભાવે-સૌમ્ય જોશી કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા હોય તો પણ નહીં? રૂ.500 ઓછા કહેવાય કે ‘ટોકન’- એ મુદ્દો નથી. ‘શિક્ષણનું વ્યાવસાયીકરણ’ ન દેખાતી કઇ સીમાઓ વળોટી ગયું છે તેની વાત છે.

Monday, March 23, 2009

આઇપીએલ અને મોદીઓની મેલી મથરાવટી

બીસીસીઆઇ નામની એક ક્લબની પેટાશાખા જેવી આઇપીએલ ટુર્નામેન્ટના ‘કમિશનર’ લલિત મોદીએ જે તોરથી આઇપીએલ અને ચૂંટણીને અકારણ આમનેસામને ઊભાં કરી દીધાં છે, એ નવાઇ લાગે એવું છે. પોતાના હાથમાં ક્રિકેટરૂપી ચોટલી હોય એટલે જાણે સર્વસત્તાધીશ થઇ ગયા હોય એવું લલિત મોદીનું વલણ રહ્યું છે.

ચૂંટણીની સમાંતરે આઇપીએલ ન યોજાવી જોઇએ, આટલી સાદી વાત સમજવાને બદલે મોદી લલિત તેને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી બેઠા અને ટુર્નામેન્ટને બહાર લઇ જવાની જાહેરાત કરી, તો બીજા મોદી- મોદી નરેન્દ્રભાઇ- મુંબઇ પરના હુમલા પછી રોકડી કરવા કૂદી પડ્યા હતા એ જ સ્ટાઇલથી રાજકીય બેટિંગ કરવા આવી ગયા અને કહ્યું કે આઇપીએલ પરદેશમાં રમાય તે રાષ્ટ્રિય શરમની વાત છે. જે સરકાર ૧૧ ખેલાડીઓનું રક્ષણ નથી કરી શકતી તે ૧૧૧ કરોડ નાગરિકોનું શી રીતે રક્ષણ કરી શકશે વગેરે...

હકીકત નં.૧
આઇપીએલને ભારતીય શરમ કે ગૌરવ સાથે કશી લેવાદેવા નથી.
હકીકત નં.૨
નરેન્દ્રભાઇ મોદીને રાષ્ટ્રિય શરમ સાથે કશી લેવાદેવા નથી. (ચિદમ્બરમે રાજકીય આરોપોનો રાજકીય જવાબ આપતાં આજે ‘અસલી રાષ્ટ્રિય શરમ’ની યાદ તાજી કરાવી આપી છે.)
હકીકત નં.૩
સવાલ ૧૧ ખેલાડીઓના રક્ષણનો નથી. સરકારે ચૂંટણીની સમાંતરે ટુર્નામેન્ટ યોજવા બાબતે સલામતીનો પ્રશ્ન ઊભો કર્યો છે. ચૂંટણી સિવાય સલામતીનો કોઇ પ્રશ્ન નથી એ વાત ભારપૂર્વક કહેવાઇ છે. મોદીએ આખી વાતનું વિકૃત સરળીકરણ કર્યું છે. સ્ટેડિયમમાં મેચ યોજાતી હોય ત્યારે સવાલ ફક્ત ૧૧ જણની સલામતીનો નથી હોતો, એ પણ એક મુખ્ય મંત્રીએ યાદ રાખવું જોઇએ.
હકીકત નં.૪
આજે ઇન્ડિયન એક્સપ્રેસમાં સ્ટોરી છે કે ગુજરાતના ડીજીપીએ પણ ૧૫ એપ્રિલથી ૩ મે સુધી ગુજરાતમાં પણ સલામતી પૂરી પાડવા માટે અશક્તિ જાહેર કરી છે.
http://www.expressindia.com/latest-news/cm-accuses-centre-of-compromising-with-countrys-prestige-on-ipl/437681/

હકીકત નં.૫
ચિદમ્બરમે કરેલી જાહેરાત પ્રમાણે અત્યાર સુધી ફક્ત ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશે આઇપીએલ યોજવાની લેખિત સંમતિ આપી છે અને એ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી.
હકીકત નં.૬
લલિત મોદી આઇપીએલના માલિક ઉદ્યોગપતિઓનો ઝંડો નીચો ન પડે એ માટે આતુર હોય અને નરેન્દ્રભાઇ મોદી એ ઉદ્યોગપતિઓને જીતી લેવા માગતા હોય એ સમજાય એવું છે, પણ અમદાવાદમાં બોમ્બધડાકા અને સુરતમાં ન ફૂટેલા બોમ્બનો આતંક મોદી આટલો જલદી કેમ ભૂલી ગયા?

લલિત મોદીના ઉદ્ધત અભિગમ અને ગેરવાજબી વિવાદ અંગે ઇન્ડિયન એક્સપ્રેસનો આજનો તંત્રીલેખ વાંચવા જેવો છે. http://www.indianexpress.com/news/cricket-hijacked/437652/
પ્રકાશભાઇ (પ્રકાશ ન.શાહ) ઘણા વખત પહેલાં ચૂંટણીને બદલે આઇપીએલને પ્રાધાન્ય આપવાના બિઝનેસ વિશે ‘દિવ્ય ભાસ્કર’માં લખી ચૂક્યા છે. આઇપીએલ પરદેશમાં જાય એ બાબતે આજે ‘ભાસ્કર’ના તંત્રીને પહેલા પાને અભિપ્રાય-લેખ લખ્યો છે. અખબારનું મુખ્ય મથાળું પણ મઝાનું છે. ‘આઇપીએલ ભારતમાંથી આઉટઃ ગુજરાતની તૈયારી’. કેમ જાણે, ગુજરાત ભારતની બહાર હોય!

Friday, March 20, 2009

આણંદનાં ડૉ.નયના પટેલની ‘સરોગેટ ક્રાંતિ’ પુસ્તક સ્વરૂપે

વર્ષો પહેલાં મુંબઇના અખબારમાં ‘ગર્ભાશય નવ મહિના માટે આપવાનું (કે લેવાનું) છે’ એ મતલબની ટચૂકડી જાહેરખબર ખળભળાટ મચાવતી હતી. ‘ચિત્રલેખા’માં તેની લાંબીપહોળી સ્ટોરી થઇ હતી. પણ છેલ્લાં બે-ચાર વર્ષમાં આણંદનાં ડૉ.નયના પટેલના પ્રતાપે ‘સરોગેટ મધર’ લગભગ ગુજરાતી શબ્દ બની ગયો છે. ડૉ.પટેલની મુલાકાત પછી તેમની પ્રવૃત્તિનાં વિવિધ પાસાં વિશેનું વિગતવાર લખાણ બ્લોગ પર અગાઉ મૂક્યું છે.


http://urvishkothari-gujarati.blogspot.com/search/label/surrogate%20mother

બે-એક વર્ષ પહેલાં ડૉ.પટેલને ઇન્ટરવ્યુ માટે મળ્યો, ત્યારે મનમાં ઘણાં સવાલો-શંકા-કુશંકાઓ કૂદકા મારતાં હતાં. અમુક માહિતી એમને કેવી રીતે પૂછવી – તેમની પાસેથી કેવી રીતે કઢાવવી- પ્રશ્નો કેવી રીતે પૂછવા, જેથી તે સીધો નહીં તો ઊંધો કાન પકડે, રૂપિયા-પૈસાની બાબત કેવી રીતે પૂછવી અને પૂછ્યા પછી પણ તે જવાબ ઉડાડી દે તો કેવી રીતે ક્રોસ કરવાં...આવી માનસિક તૈયારી અને સવાલોની લાંબી યાદી સાથે હું ગયો. પણ ડૉ.પટેલે મને નિરાશ કર્યોઃ-)

મારા દરેક સવાલના જવાબ તેમણે મનોમન ગોઠવ્યા વિના, તેમનું નામ કહેતાં હોય એટલી સહજતાથી આપ્યા. દરેકેદરેક માહિતી ઉલટભેર પૂરી પાડી. રૂપિયા-પૈસાની લેવડદેવડ કેટલી અને કેવી રીતે થાય છે તેની વિગતો આપી. દર્દીઓની કેટલીક ફાઇલ નમૂનારૂપે બતાવી. સરોગેટ મધર- દંપતિ વચ્ચે થતા કરારનું ફોર્મેટ આપ્યું...અંગત જીવન વિશે ખુલાસીને વાતો કરી. એમ પણ કહ્યું કે હું નિઃસંતાન હોઉં તો સરોગેટ મધરનો વિકલ્પ પસંદ ન કરું.

ઓપ્રા વિન્ફ્રે શૉથી માંડીને બીબીસી, સીએનએન, નેશનલ જ્યોગ્રોફિક જેવાં વિદેશી પ્રસાર માધ્યમો અને દેશનાં લગભગ બધાં જ છાપાં-સામયિક-ચેનલો ડૉ.પટેલનું વિગતવાર કવરેજ કરી ચૂક્યાં હોવા છતાં એ તેમના દિમાગ પર સવાર થયું હોય એવું જરાય ન લાગ્યું. નૈતિકતાને લગતા સવાલોના પણ તેમણે પ્રામાણિક અને સંતોષ થાય એવા જવાબ આપ્યા. એસએમએસ અને ઇ-મેઇલ પર તેમને સંદેશો મોકલીએ એટલે ત્વરિત વળતો જવાબ આવે જ. પત્રકારસહજ શંકાથી આ બધું ‘મજબૂત પીઆર’નો ભાગ લાગે, પણ એમની સાથેની રૂબરૂ વાતચીતમાં તેમની સરળતા માટે એક જ વિશેષણ વાપરી શકાયઃ ડીસ્આર્મિંગ.

આ બધી જૂની વાતો કરશન ભાદરકાએ આપેલું પુસ્તક ‘આશાનું અંતિમ કિરણ’ જોઇને યાદ આવી. ‘પ્રેરકઃ ડૉ.નયના પટેલ, લેખકઃ કરશન ભાદરકા’ એવી ક્રેડિટ ધરાવતા આ પુસ્તકમાં સરોગેટ મધરના ખ્યાલ વિશે ટૂંકાં પ્રકરણોમાં સરળ ભાષામાં સમજૂતિ આપવામાં આવી છે. કરશનભાઇનાં પત્ની હર્ષા ભાદરકા ડૉ. પટેલ સાથે એમ્બ્રિયોલોજિસ્ટ તરીકે સંકળાયેલાં છે. કરશનભાઇએ સાઠથી પણ વધુ સરોગેટ મધર (પુસ્તકમાં પ્રયોજાયેલો શબ્દઃ કૂખદાત્રી) ની મુલાકાત લઇને કેટલીક વિગતો આપી છે. એક નિખાલસ પ્રકરણ સરોગટ મધરની યુગલ પાસેની અપેક્ષાઓ વિશેનું પણ છે, જેમાં લેખક નોંધે છે કે ’80 ટકા સરોગેટ મધરો ઇચ્છે કે તેમને મળતું નાણું તેમનાં કાર્યની સરખામણીમાં ઓછું છે.’ અને તેની પાછળના માનવસહજ કારણની સમજૂતિ આપવા પ્રયાસ કર્યો છે. ‘સરોગેટ મધરની નજરે સમાજ’ અને ‘સમાજની નજરે સરોગેટ મધર’ પણ અમુક અંશે વિશિષ્ટ પ્રકરણો છે. કેમ કે, તેમાં સરોગેટ મધર બનતી સ્ત્રીઓ પાસેથી કેટલીક વાતો જાણવા મળે છે. જેમ કે, ‘ગર્ભધારણના સમયમાં તો સરોગેટ મધરને સમાજ એક ડરામણો સમૂહ લાગે છે.’ ’90 ટકા સરોગેટ મધર’ કહે છે કે ‘અમે સરોગેટ મધર સમાજ માટે જ બનીએ છીએ અને એ જ સમાજ અમારી સેવાનો લાભ લેતો હોવા છતાં અમારા કાર્યને ન સ્વીકારે તો તે સમાજને માન આપવામાં અમને રસ નથી.’

સરોગટ મધરની થીમ પરથી નૌશિલ મહેતાએ લખેલું વિપુલ મહેતા દિગ્દર્શીત એક નાટક મહિલા દિન (8 માર્ચ) નિમિત્તે મુંબઇમાં રજૂ થયું. તેની પરથી ફિલ્મ બનાવવાની પણ યોજના છે. આ વિષય એટલો ફળદ્રુપ છે કે તેમાં લેનાર કેટલું લઇ શકે છે એ જ જોવાનું.

આર્ટિસ્ટ ફોટોગ્રાફર મિત્ર સુનિલ અદેસરાની સૂચક (સજેસ્ટીવ) તસવીરો પુસ્તકને શોભાવે છે. પુસ્તકનિર્માણની પ્રક્રિયા સાથે સંકળાયેલા વ્યાવસાયિક તરીકે પુસ્તકની કેટલીક મર્યાદાઓ પણ દેખાય એવી છે. તેમાં ફોન્ટની પસંદગી મુખ્ય છે. આખા પુસ્તકમાં ‘વંધ્યત્વ’ને બદલે (ખોટો શબ્દ) ‘વ્યંધ્યત્વ’ શબ્દ વપરાયો છે એ પણ આંખને ખટકે એવું છે.

પુસ્તકના અંતે આપેલા આંકડા પ્રમાણે ડૉ.પટેલે મે, 2003માં સરોગસીની પ્રેક્ટિસ શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં 132 સરોગેટ મધર દ્વારા 175 યુગલોને સંતાનપ્રાપ્તિ કરાવી છે. પોતાના નિવેદનમાં તેમણે લખ્યું છે,’અપૂર્ણ માહિતીને કારણે જ્યારે અન્ય દ્વારા મારા આ સેવાયજ્ઞ માટે અયોગ્ય ઉચ્ચારણો કરવામાં આવે છે ત્યારે થોડો વિવાદ જન્મે છે. આવો વિવાદ તદ્દન અયોગ્ય ગણું છું. છતાં તેને લઇને ઘણી રાત્રીઓ મેં ખુલ્લી આંખે વિચારવામાં પસાર કરી છે. ‘સરોગસી’ બંધ જ કરી દઉં, એવા ક્ષણિક વિચારનો પણ ક્યારેક ભોગ બનું છું. પણ ફરીથી ભૂતકાળની સફળતા, સરોગેટ મધરના જીવનનો આનંદ, યુગલોનો સંતોષ મને પ્રેરે છે...’

આ કાર્ય ભલે ‘સેવાયજ્ઞ’ ન હોય, પણ ‘તબીબી સેવા’ તો છે જ- અને ડૉ.પટેલની મુલાકાત, તેમના કૌટુંબિક બેકગ્રાઉન્ડ અને વાતચીતના અંદાજ પરથી એટલું કહી શકું કે ‘ખુલ્લી આંખે વિચારવાની’ ક્ષમતા તેમનામાં હજુ બચી છે- અને એ અભિનંદનને પાત્ર છે.

Wednesday, March 18, 2009

પરિષદની લેખિકા સૂચિઃ ડાબા હાથનો ખેલ

વાચનસૂચિ વિશે થોડી પોસ્ટ પહેલાં જ વાત થઇ. આજે ‘ગુજરાતી લેખિકાસૂચિ’ ૧૯૦૦-૨૦૦૮ જેવા મહત્ત્વાકાંક્ષી કામ વિશે વાત કરવાની છે. થોડા દિવસ પહેલાં પ્રકાશિત થયેલી આ સૂચિનું સંપાદન દીપ્તિ શાહે કર્યું છે.

શીર્ષક પરથી મોટી અપેક્ષાઓ જગાવતી આ સૂચિના ‘સંપાદકીય’માં સૂચિકારે આગોતરા જામીન લેતાં લખ્યું છેઃ ‘સૂચિકાર્યની એક મર્યાદા એ છે કે તે ક્યારેય પૂર્ણ થતું નથી અને સૂચિકાર ક્યારે સૂચિ પૂર્ણ થઇ છે એવું કહી શકતાં નથી...’

પણ આ સૂચિકાર્યની મર્યાદાઓ ઘણી વધારે મોટી છે. સૌથી મોટી મર્યાદા એ છે કે ૧૯૦૦ થી ૨૦૦૮ જેટલા લાંબા ગાળાની લેખિકાઓની (એમાં કવયિત્રીઓ પણ આવી જાય) માહિતી ફક્ત સાહિત્ય પરિષદમાં ઉપલબ્ધ સ્ત્રોતમાંથી જ લેવામાં આવી છેઃ સાહિત્યકોશ, સાહિત્યકાર પરિચયકોશ, પરિષદનાં ગ્રંથાલયનાં કેટલોગ કાર્ડ, ‘પરબ’માં અવલોકન માટે આવેલાં પુસ્તકો, પારિતોષિક પુસ્તિકા, વિવિધ સામયિકોમાં જાહેરખબરના પ્રતિભાવરૂપે લેખિકાઓએ સામેથી મોકલાવેલાં માહિતીપત્રકો, ક.લા.સ્વાઘ્યાય મંદિરનાં માહિતીપત્રકો.

આવી મર્યાદા સંપાદિકાએ શા માટે બાંધી હશે એ તો એ જ કે એમને કામ સોંપનાર જાણે. પણ અમદાવાદમાં જ આવેલી ગુજરાત વિદ્યાપીઠની વિશાળ લાયબ્રેરી- તેનો કોપીરાઇટ વિભાગ અને ભો.જે. ની લાયબ્રેરી જોયા વિના ૧૦૮ વર્ષની સૂચિ કેવી રીતે કરી શકાય? અને કોઇ કરે તો પણ એ કેવી રીતે મોટા ઉપાડે છાપી શકાય?

સૂચિમાં લેખિકાઓની અટકનાં કક્કો-બારાખડી પ્રમાણે ક્રમવાર નામ, શક્ય એટલી લેખિકાઓની જન્મતારીખ, તેમનાં પુસ્તકોની યાદી અને શક્ય હોય ત્યાં પ્રકાશનવર્ષ તથા છેલ્લે બધી કૃતિઓની કક્કો-બારાખડી પ્રમાણે યાદી, આટલો ઉપક્રમ છે. પણ તેમાં ગોટાળાનો અને અઘૂરપનો પાર નથી.

સૌથી શરમજનક ગોટાળો વિખ્યાત શાયર, પાજોદ દરબાર રૂસ્વા મજલૂમીને ‘લેખિકા’ તરીકે સામેલ કરવાનો છે. પુસ્તક છપાઇ ગયા પછી કોઇનું ઘ્યાન જતાં તેની પર સફેદ પટ્ટી મારવી પડી છે. પટ્ટીવાળા પાનાની તસવીર અહીં મુકી છે. સફેદ પટ્ટીની નીચે રૂસ્વાનું નામ હજુ વાંચી શકાય છે. રૂસ્વા વિશે ગયા વર્ષે રજનીકુમાર પંડ્યા અને બીરેન કોઠારીએ વિગતવાર ચરિત્ર કર્યું, તેમની ડોક્યુમેન્ટરી તૈયાર કરી, છતાં રૂસ્વાનો શુમાર લેખિકાઓમાં થઇ ગયો- અને તે પણ એમની શોકસભા જ્યાં ભરાઇ હતી એ જ પરિષદના પ્રકાશનમાં!

સૂચિઓની લોચાલાપશી તો જોતા જઇએ એમ ખબર પડે, પણ અહીં તો પહેલા કોળિયે ઘણી કાંકરીઓ આવી. કવયિત્રી-મિત્ર મનીષા જોશીના બે કાવ્યસંગ્રહો હોવા છતાં સૂચિમાં તેનું નામ જ નથી. પાસે બેઠેલા મિત્ર સંજય ભાવેએ એશા દારૂવાલાનું નામ શોધીને કહ્યું,‘એ પણ નથી!’ ‘સેવા’નાં ઇલાબહેન ભટ્ટ કે તેમના પુસ્તક (વી આર પુઅર બટ હાઉ મેની/ ગરીબ પણ છૈયેં કેટલાં બધાં)નો પણ ઉલ્લેખ નથી. મારી સાથે ‘નોખા ચીલે નવસર્જન’ લખનાર પૂર્વી ગજ્જર તો ક્યાંથી હોય? અવંતિકા ગુણવંત અને કલ્પના જીતેન્દ્ર આ જ નામે જાણીતાં હોવા છતાં તેમની એન્ટ્રી તેમની અજાણી અટકોના નામથી જ છે. ‘મૂળસોતાં ઉખડેલાં’ ભારતના ભાગલા વખતનું વિખ્યાત પુસ્તક, પણ તેનાં લેખિકા કમળાબહેન પટેલનું જન્મવર્ષ ૧૯૬૨ છપાયેલું છે...

પરિષદને પૂછી જોઇએઃ સૂચિની ભૂલોની સૂચિનું પુસ્તક બહાર પાડવામાં રસ ખરો?

Tuesday, March 17, 2009

વિનોદ મેઘાણીની સ્મૃતિસભા

આ શનિવારે, તા. ૨૧ માર્ચની સાંજે ૫:૩૦ વાગ્યે, એચ.કે.કોલેજ (આશ્રમ રોડ, અમદાવાદ)ના કોન્ફરન્સ હોલમાં વિનોદ મેઘાણીની સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સંજય ભાવે, સૌમ્ય જોશી, જિજ્ઞેશ મેવાણી જેવા મિત્રો તેમાં વિનોદભાઇના જીવન અને કર્તૃત્વ વિશે વાત કરશે. સાહિત્ય, વિનોદભાઇ, ‘સળગતા સૂરજમુખી’ના પ્રેમીઓએ હાજર રહીને વિનોદ મેઘાણી-સ્મરણમાં સહભાગી બનવા નિમંત્રણ.

બહારગામ-વિદેશ વસતા મિત્રો-સ્નેહીજનોને વિનોદભાઇ વિશે ખાસ કંઇ કહેવાનું હોય, કોઇ પ્રસંગવિશેષ કે અનુભવ જણાવવાનો હોય તો આ પોસ્ટની કમેન્ટ તરીકે લખી મોકલે. એ સંજયભાઇનો પહોંચાડવાની જવાબદારી મારી. એ યોગ્ય લાગે તો/એ રીતે ઉપયોગમાં લઇ શકે છે.

ઇલિયા રાજા-રહેમાન અને સ્લમડોગ

આ બ્લોગ પર ચાલેલી રહેમાન અને ‘સ્લમડોગ’ વિશેની ચર્ચાના સંદર્ભમાં તથા સ્વતંત્ર વાચન તરીકે અહીં થોડી સામગ્રી મૂકી છે. તરૂણ તેજપાલે ‘તહલકા’માં સ્લમડોગ વિશે લખેલા પીસની લિન્ક આપું છું.
http://www.tehelka.com/mailerNews/mailer/sendmail.html

એ સિવાય ‘આઉટલૂક’માં આવેલો ઇલિયારાજા-રહેમાન વિશેનો લેખ રજિસ્ટ્રેશનથી ઉપલબ્ધ હોવાથી, એ આખો લેખ અહીં મુક્યો છે. અભ્યાસી મિત્રોને એમાં રસ પડશે.

ખાંખાખોળાં દરમિયાન રહેમાનનું એક સરસ કેરિકેચર મળી આવતાં એ પણ અહીં લગાડું છું.




Jingle-Jangle Morning
Free of cultural colours, Rahman's music rings to global ears
Sadanand Menon on A.R. Rahman

Comparisons are odious. But in south India—and in Chennai at least—you can’t duck the over 15-year-long debate on the comparative ‘genius’ of A.R. Rahman and his musical senior by twenty-three years, Ilaiyaraaja. Rahman’s double Oscar haul might have been a seamless moment of Indian triumph at Kodak Theatre, but in his native Chennai, it reopened the old debate. If Rahman is ‘Mozart’ to his followers, Ilaiyaraaja is ‘Bach’ to his.

The connection between the two goes back a long way. In the early 1970s, as Ilaiyaraaja was trying to find a toehold in Kollywood, working with hit music directors like M.S. Viswanathan, Salil Choudhury, G.K. Venkatesh and such, he was simultaneously trying to compose his own music. The instruments he hired for this were from another south Indian composer, R.K. Shekhar, who happened to be Rahman’s father.

Shekhar passed away shortly thereafter, but the family continued to hire out instruments. By the early 1980s, Ilaiyaraaja had become the stuff of legend, having already rewritten the rules of music composition in south Indian films with his dramatic debut in Annakkili (1976). As a good turn to the family that had helped him on the road to fame, he absorbed the barely 15-year-old Rahman as a keyboard player in his orchestra. For almost 10 years, Rahman continued to perform for Ilaiyaraaja, before Mani Ratnam handed him the baton for Roja (1992). And the rest, as they say, is history.

The hotly debated issue in the south is whether Rahman would have realised any of his potential but for the wide door that had already been pushed open for him—musically— by the pioneering work of Ilaiyaraaja. Interestingly, both are proficient in western classical harmonies and string arrangements. Both have graduated from the Trinity College of Music, London, though Ilaiyaraaja bagged a gold medal there. For classical Indian music, both were students of Dhanraj ‘Master’ in Chennai. Both have awesome proficiency on the piano, keyboard and synthesizer. On top of it, both are versatile vocalists, with a distinctly nasal tinge.

Ilaiyaraaja’s over 30-year-long career has seen him compose over 4,000 songs in six languages, with a dynamic yoking of south Indian folk tunes to western orchestration, which brought him three national awards. Earlier Oscar entries from India like Anjali (1990) and Hey Ram (2000) boasted of his music score. Amazingly, he has sung over 400 songs himself. Rahman has been in the field for roughly half the time of Ilaiyaraaja. He has won four national awards and now holds on to a Golden Globe, a piece of metal from BAFTA and the two Oscar statuettes.

While the similarities between the two are significant, it is their differences that should interest us. Ilaiyaraaja’s music creates itself around and inhabits culturally identifiable frames, whether classical, semi-classical or folk. His compositions are raga-based and even in western classical-inspired numbers, he acknowledges the sanctity of its original structures. Where he makes a departure is in the polyphonic interludes. A typical example would be his amazing foot-tapper, ‘Rakkamma, Kaiyye Thattu...’ (Thalapathi, 1991), in which he moves with panache from a swiftly orchestrated popular folk tune to a serene, quiet solo classical with a deft, magical interlude of hummed bars.

Rahman, on the other hand, is a cleverer sound organiser and it is his artistry with the synthesizer that is the hallmark of his music. In fact, Rahman is perhaps the finest tuner of short jingles that we have, and his early career was built up composing advertisement jingles for coffee, sports shoes and such. This also included, for example, the catchy signature tune for Asianet, the first private regional language TV channel in India.

Listening to these, one can construct a fair map of Rahman’s musical method. Most of his compositions are, in fact, a stringing together of discrete jingles joined together by counterpoints and contrapuntal bridges. A serious examination of his music will reveal the carryover of the seductive values of his lineage in advertising. It is devoid of cultural markers, unlike in Ilaiyaraaja’s work. This, now, becomes his strength as it finds ready resonance in the globalised entertainment industry, which is constantly on the hunt for ‘sounds without shadows’.

It has to be said that serious musical work belongs to Ilaiyaraaja. Rahman’s forte is packaged marketing of catchy jingles. Of course, one hums along.
(courtsey : Outlook)

Monday, March 16, 2009

વાચન-પ્રસાર 2008 : વાચનરસિયા માટે ખાસ ખબર

ગુજરાતી પ્રકાશનોમાં વાચનસૂચિ (કેટલોગ)નો ખાસ મહિમા નથી. મોટા ભાગની પ્રકાશકસંસ્થાઓ ફક્ત વ્યાવસાયિક હેતુસર સૂચિઓ બહાર પાડે છે. તેમાં સૌંદર્યદૃષ્ટિ કે વાચકાભિમુખતા (રીડર-ફ્રેન્ડ્લીનેસ) ભાગ્યે જ જોવા મળે. તેની સરખામણીમાં જયંત મેઘાણી (‘પ્રસાર’, ભાવનગર) દ્વારા તૈયાર કરવામાં આવેલી પુસ્તિકા ‘વાચન 2008- વરસનાં ચૂંટેલાં ગુજરાતી પુસ્તકો’ ફક્ત પુસ્તકોનું ભાવપત્રક ન બનતાં, દૃષ્ટિવંત વાચનસામગ્રી જેવી બની છે. સૂચિના મુખપૃષ્ઠ અને છેલ્લા ટાઇટલ પર બેકડ્રોપ તરીકે વાર્તાકાર સ્વ.જનક ત્રિવેદીના મરોડદાર હસ્તાક્ષર અને તેમણે કરેલું ચિત્રાંકન વાપરવાનો પ્રયોગ પણ વિશિષ્ટ છે.

64 પાનાંની આ પુસ્તિકામાં સાદું છતાં સૌંદર્યપૂર્ણ મુખપૃષ્ઠ, અનુક્રમ, પુસ્તક વિશેનાં અવતરણ, કેટલાંક ચુનંદાં લખાણ, 2008માં પ્રકાશિત થયેલાં વિવિધ પ્રકારનાં પુસ્તકોની એકાદ-બે લીટીમાં પરિચય સાથે વિગતો આપવામાં આવી છે. પુસ્તિકાના બીજા હિસ્સામાં બીજી સંસ્થાઓનાં પુસ્તકોની યાદી આપવામાં આવી છે. એ યાદી વાંચીને પુસ્તકમેળામાં ફરવાના જૂના દિવસો યાદ આવી ગયા. પુસ્તકમેળામાં ફરવાનું હજુ પણ થાય છે. છતાં ઓછી કિંમતનાં જૂનાં પુસ્તકો મળતાં બંધ થઇ ગયાં છે. (જૂનાં પુસ્તકો પર પ્રકાશકો નવા ભાવની ચબરખી લગાડી દે છે.) આ પુસ્તિકામાં ઘણી સંસ્થાઓનાં પુસ્તકોની જૂની આવૃત્તિ મૂળ કિંમતે ઉપલબ્ધ જોઇને આનંદ થયો- અને વધુ આનંદ એ વાતે થયો કે જયંતભાઇએ પણ આ બાબતની ખાસ નોંધ લીધી છે. એવાં કેટલાંક પુસ્તકો

રાસમાળા (ભાગ 2) – અલેક્ઝાંડર કિ. ફાર્બસ, અનુવાદઃ રણછોડભાઇ ઉદયરામ- કિંમત રૂ. 50
(ફાર્બસ ગુજરાતી સભા, શ્રી કીર્તન કેન્દ્ર, ઉત્પલ સંઘવી સ્કૂલ સામે, સંત જ્ઞાનેશ્વર માર્ગ, મુંબઇ 400049)

નરસિંહરાવની રોજનીશી- નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા- કિંમત રૂ. 18
કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તક-સંગ્રહની સૂચિ
- હીરાલાલ પારેખ- કિંમત રૂ. 5
(ગુજરાત વિદ્યાસભા, પ્રેમાભાઇ હોલ, ભદ્ર, અમદાવાદ-380001)

પુરાતત્ત્વ અને રામાયણ – હસમુખ સાંકળિયા – કિંમત રૂ. 14
યુગાનુસાર અમદાવાદ (અમદાવાદનો ટૂંકો ઇતિહાસ)
– રમણલાલ મહેતા, રસેશ જમીનદાર – કિંમત રૂ. 20
(ગુજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ, 380014)

પુસ્તકોની યાદી ઉપરાંત નિરંજન ભગત અને દીપક મહેતાના લેખો, ઝવેરચંદ મેઘાણી સહિત બીજા લેખકોના ગદ્યાંશ, અવતરણોથી સમૃદ્ધ આ પુસ્તિકા મેળવવા ઇચ્છતા મિત્રો જયંતભાઇનો સંપર્ક કરી શકે છે. આ સૂચિ ઇ-મેઇલથી પણ ઉપલબ્ધ છે.


પ્રસાર
સંચાલન – નીરજ મેઘાણી, જયંત મેઘાણી
1888, આતાભાઇ એવન્યૂ, ભાવનગર 364002
ફોન – 91-278-2568452
ઇ-મેઇલ – prasarak@dataone.in

તા.ક. જયંતભાઇની સૂચિએ ઉશ્કેર્યા પછી આજે જ પ્રેમાભાઇ હોલમાં આવેલી વિદ્યાસભાની ઓફિસે ગયો. તેની મુલાકાત વિશે અને ત્યાં થયેલા સુખદ અનુભવ વિશે અલગ પોસ્ટ લખીશ. પણ રસિકોને જણાવવાનું કે સ્થળસંકોચને કારણે ‘પ્રસાર’ની સૂચિમાં સ્થાન ન પામ્યાં હોય એવાં ઘણાં જૂનાં પુસ્તકો જૂના ભાવે તમારી રાહ જુએ છે. કેટલાક પુસ્તકોના ભાવ સૂચિમાં જણાવ્યા કરતાં થોડા સુધારેલા છે, પણ એ ફરક પાંચ-પચીસનો છે, સો-બસોનો નહીં. (મારાં ખરીદેલાં પુસ્તકો બંધાઇ ગયાં હોવાથી અને બિલમાં પુસ્તકોની કિંમત સિવાયની બીજી વિગત નહીં હોવાથી એ યાદી ફરી ક્યારેક :-)

Saturday, March 14, 2009

તાળાબંધ પરબ, સંકુચિત શબ્દસૃષ્ટિ



૧૫થી વઘુ ઉત્તમ અનુવાદો અને ૩ ઉત્તમ સંપાદન આપનાર વિનોદ મેઘાણીનું ગયા મહિને અવસાન થયું. તેમના મૃત્યુની નોંધ સાહિત્ય પરત્વે બુઠ્ઠાં ગણાતાં ગુજરાતી અખબારો ઉપરાંત ટાઇમ્સ-એક્સપ્રેસ જેવાં અંગ્રેજી અખબારોમાં પણ સારી રીતે આવી.
-પણ ગુજરાતની સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના તાજા અંકમાં વિનોદ મેઘાણીના અવસાનના સમાચારનો ઉલ્લેખ સુદ્ધાં નથી. ખરેખર તો એમના વિશે એક ધોરણસરની શ્રદ્ધાંજલિની અપેક્ષા હોય.
પરિષદમાં વહાલાંદવલાંની નીતિ રાખવામાં આવે છે, એ જાણીતી વાત છે. પણ મૃત્યુ પછી છેલ્લી અંજલિ સુધી એ (અ)નીતિના પડછાયા લંબાય, એ પહેલી વારનું ન હોવા છતાં આઘાતજનક છે. આ જ પરિષદવાળા સાહિત્યપ્રસારની વાત આવે ત્યારે છાપાંને ગાળો દેતાં થાકતા નથી, પણ મામુલી પહોંચ અને એનાથી મામુલી પ્રભાવ ધરાવતા ‘પરબ’માં આવા ધંધા ચાલી શકતા હોય તો, લાખો નકલ ધરાવતાં છાપાંના તંત્રી કે માલિક તરીકે આ સાહિત્યિક રાજકારણીઓ શું ન કરે? અને કોને કોને સારા ન કહેવડાવે?
વિનોદ મેઘાણીના મૃત્યુના ખાસ્સા વીસેક દિવસ પછી આવેલા ‘પરબ’માં મેઘાણીના મૃત્યુના સમાચાર કેમ નથી? એવો સવાલ ‘પરબ’ના તંત્રી તરીકે જેમનું નામ છપાય છે એ (વાર્તાકાર) યોગેશ જોષીને પૂછ્યો, ત્યારે યોગેશભાઇએ કહ્યું,‘આ સમાચાર તો પરિષદવૃત્તમાં આવે, ને પરિષદવૃત્ત હું જોતો નથી. એ પરિષદના વહીવટદારો (શબ્દફેર હોઇ શકે છે) તૈયાર કરીને આપે છે. તેમાં હું ફેરફાર પણ કરતો નથી. અગાઉ એક-બે વાર નાના ફેરફાર કર્યા ત્યારે મોટી માથાકૂટ થઇ હતી. ત્યારથી મેં ફેરફાર કરવાનું બંધ કરી દીઘું છે. હું એમની (પરિષદના વહીવટદારોની) સાથે વાત કરી જોઇશ. (કદાચ) આવતા અંકમાં સમાચાર આવે.’
યોગેશભાઇની વાતનો સ્પષ્ટ ઘ્વનિ હતો કે પરિષદવૃત્ત જેવા ‘ફાસફૂસ’ લાગતા સમાચારોમાં પણ કયાં નામો આવવાં જોઇએ અને કયાં નામોને પરબવટો-પરિષદવટો મળવો જોઇએ, તેનું ચુસ્તીપૂર્વક ઘ્યાન રાખવામાં આવે છે.
ગુણવત્તામાં ‘પરબ’ કરતા ચડિયાતા ‘શબ્દસૃષ્ટિ’માં વિનોદ મેઘાણીના મૃત્યુુના સમાચારને ગણીને સાડા ચાર લીટીમાં સુવડાવી દેવામાં આવ્યા છે. બાકીના ઇધરઉધરના સમાચારને તેનાથી વધારે મહત્ત્વ અપાયું છે. વિનોદભાઇની મુખ્ય ઓળખ ‘મેઘાણી સાહિત્યના અનુવાદક’ તરીકે આપવામાં પણ એક પ્રકારનો છૂપો અવિવેક અથવા અવગણના વ્યક્ત થાય છે.
પરિષદ-અકાદમીની મેલી મથરાવટીની વિનોદભાઇને જીવનકાળ દરમિયાન પણ નવાઇ ન હતી. એટલે, ૧૪-૩-૦૯ની સાંજે વલસાડમાં વિનોદભાઇના સ્નેહી ઉદ્યોગપતિ રાજેન્દ્ર આચાર્ય તરફથી એક ગુણાનુવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો, ત્યારે તેના નિમંત્રણમાં ઘણું કહી દેવાયું હતું.
પરબ-શબ્દસૃષ્ટિના અંક તૈયાર થતા હશે, એ વખતે છપાયેલા ગુણાનુવાદ કાર્યક્રમના નિમંત્રણમાં ‘વાત એક અનસન્ગ હીરોની’ શીર્ષક હેઠળ મુકાયેલા લખાણનો એક અંશઃ
‘બધાં ક્ષેત્રોની માફક સરસ્વતીના ખોળામાં રમતા લોકો પણ ગમતાનો કરીએ ગુલાલ અને અણગમતાને કરીએ...(મકરન્દભાઇની આદરપૂર્વક ક્ષમાયાચના સાથે)વાળી રમતો રમે, તો જ એક સક્ષમ અનુસર્જકને પરિષદો, અકાદમીઓ ભૂલી શકે. ચાલો, આપણે તેમને સારો રસ્તો બતાવીએ. ભવિષ્યમાં કોઇને અન્યાય ન થાય તે માટે આવા સર્જકની, ખાસ તો વિદાય પછી, અનુસર્જન પ્રક્રિયાની કામગીરી ઝીણવટથી અવલોકીએ.’
કાર્યક્રમના આવકાર-પત્રમાં વિનોદભાઇના અનુસર્જનો-સંપાદનોની સંપૂર્ણ યાદી સાથે એમ પણ જણાવાયુ હતું કે ‘માત્ર એસ.એસ.સી. હોવા છતાં તેમનાં કેટલાંક અંગ્રેજી અનુસર્જનો (ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરેલા સર્જકતાસભર અનુવાદ) મહાવિદ્યાલયોમાં ભણાવાય છે. અર્થાત્ બીજાં રાજ્યોએ એમની પ્રતિભાની નોંધ લીધી છે.’
વિનોદભાઇની પ્રતિભાની નોંધ ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમીએ પણ પોતાની રીતે લીધી જ છે. એવું ન હોત તો આવું છીછરૂં વર્તન શા માટે કરવું પડ્યું હોત?
(વિનોદભાઇ સાથે ગાઢ અંગત પરિચય ધરાવતા અને ગુણાનુવાદ કાર્યક્રમના એક વક્તા-મિત્ર સંજય ભાવેએ પરબ-શબ્દસૃષ્ટિના નવા અંકો તરફ ઘ્યાન દોર્યું હતું. સંજયભાઇ વલસાડથી પાછા આવે ત્યાર પછી ગુણાનુવાદ કાર્યક્રમનો અહેવાલ પણ અહીં મુકવા ધારૂં છું. )

Tuesday, March 10, 2009

ઓસ્કર એવોર્ડ, રહેમાન અને ભારતીય સંગીતકારો


(ગયા મંગળવારના ‘દૃષ્ટિકોણ’માં રહેમાન વિશે લખેલો આ પીસ અહીં બે ‘વિન્ટેજ’ વિઝ્યુઅલ સાથે મૂકું છું. ‘રોજા’ આવ્યું તે અરસામાં સમસ્ત પ્રસાર માઘ્યમોમાં રહેમાનની આ એક જ તસવીર જોવા મળતી હતી. ફિલ્મસંગીતના પંડિત અને ચાળીસી-પચાસીના સંગીતમાં અમારા ગુરૂ મુંબઇના નલિન શાહ એ અરસામાં મદ્રાસ ગયા હતા. ઇલિયા રાજાએ પોતાના સ્ટુડિયો પર તેમને મળવા પંદર મિનીટ આપી હતી અને પછી પાંચેક કલાકે નલિનભાઇને ફરજિયાત ઊભા થવું પડ્યું, કારણ કે સાંજે રહેમાનને મળવાનું ગોઠવાયેલું હતું. રહેમાન પ્રત્યેનો અમારો ભાવ જાણતા નલિનભાઇ ભેટ તરીકે રહેમાનના ઓટોગ્રાફવાળી આ તસવીર લઇ આવ્યા હતા. ૧૯૯૩ની આસપાસની એ તસવીરની -અને રહેમાનની- ‘બન્ને બાજુઓ’ અહીં મુકી છે!- ઉર્વીશ)
***
બબ્બે ઓસ્કર એવોર્ડ મેળવનાર એ.આર.રહેમાન વિશે ‘જય હો’ સિવાયની કોઇ પણ ચર્ચા જોખમી છે. ‘તમને શું ખબર પડે?’થી ‘ખબરદાર, જો રહેમાનનું નામ લીઘું છે તો...’ સુધીના પ્રતિભાવો તેમાં મળે. છતાં, પ્રમાણભાન લાગણીનાં પૂરમાં તણાઇ જતું લાગે, ત્યારે ફિલ્મસંગીતના પ્રેમી અને તેના ઇતિહાસના વિદ્યાર્થી તરીકે આ ચર્ચા જરૂરી લાગે છે.
રહેમાનઃ અસલી ‘સ્લમડોગ મિલિયોનર’
હવે બધા જાણે છે કે રહેમાનનું બાળપણ અભાવમાં વીત્યું હતું. નવ વર્ષની ઊંમરે પિતાનું મૃત્યુ થતાં રહેમાનને કામે લાગી જવું પડ્યું, તેનો અફસોસ રહેમાનનાં પ્રેરણામૂર્તિ-માતા કરીમાબેગમને આજે પણ છે. ૨૫ વર્ષની ઊંમરે ‘રોજા’ (૧૯૯૨)ના સંગીતથી રહેમાનનું નામ મુંબઇ-મદ્રાસમાં છવાઇ ગયું. ત્યાર પછીનાં ૧૫ વર્ષમાં રહેમાને ૧૦૦થી પણ વઘુ હિંદી, તમિળ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

ફિલ્મો ઉપરાંત ‘બોમ્બે ડ્રીમ્સ’ જેવાં નાટક હોય કે માઇકલ જેક્સન જેવા સુપરસ્ટાર સાથેના પ્રોગ્રામ, ‘જન ગણ મન’- ‘વંદે માતરમ્’ જેવી મ્યુઝિક વીડીયો હોય કે ઓર્કેસ્ટ્રાના પીસ, રહેમાને દરેક ક્ષેત્રમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. રહેમાનના સંગીતમાં પ્રયોગોનો અને વૈવિઘ્યનો પાર નથી. જન્મજાત આંતરસૂઝ, અનુભવ અને મહેનતથી સિદ્ધ કરેલી આવડતનો ભાગ્યે જ જોવા મળતો સમન્વય તેમના સંગીતમાં છે. આ ખૂબીઓને કારણે વર્તમાન સમયમાં રહેમાન યોગ્ય રીતે જ ટોચનું સ્થાન ધરાવે છે.

સાવ નાની વયે ટોચે પહોંચ્યા પછી પણ સફળતા તેના દિમાગ પર ચડી ગઇ નથી. અંગત જીવનમાં તે સંપૂર્ણપણે આઘ્યાત્મિક છે. માતા અને ગુરૂ રહેમાનના જીવનમાં કેન્દ્રસ્થાને છે. રહેમાનના એક નિકટ પરિચિતે થોડા સમય પહેલાં ‘તહલકા’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ગમે તેવો મોટો ઇન્ટરનેશનલ એવોર્ડ સમારંભ હોય, પણ રહેમાનનાં માતાજી કહે કે તારે અમુકતમુક જગ્યાએ દરગાહ પર જવાનું છે’ તો રહેમાન જરાય આનાકાની કે કચવાટ વિના સમારંભ છોડીને દરગાહ પર જાય.’

પ્રચંડ સફળતા પછી પણ સાદગી અને સરળતા જાળવી રાખનાર રહેમાન યોગ્ય રીતે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર અને બહાર આદરનું પાત્ર બન્યા છે. આ થયું રહેમાનનું વર્તમાન સમયના સંદર્ભે મૂલ્યાંકન, જેને ઘણા લોકો કાયમી અથવા ઐતિહાસિક મૂલ્યાંકન ગણી લેવા લલચાય છે.

‘આલમઆરા’ (૧૯૩૧)થી શરૂ થયેલા ફિલ્મસંગીતના સાડા સાત દાયકાના ઇતિહાસમાં રહેમાનનું સ્થાન નક્કી કરવા માટે વર્તમાન સંદર્ભ પૂરતો નથી. કારણ કે તે ઘણી હદે આક્રમક પ્રચાર અને જડબેસલાક માર્કેટિંગથી ગ્રસ્ત હોય છે. નજીકનો ભૂતકાળ મહત્ત્વનો લાગે અને નજીકના ભૂતકાળની સિદ્ધિ હોય એના કરતાં વધારે મોટી લાગે, એ સાધારણ નિયમ છે. રહેમાનને મળેલા બે ઓસ્કર એવોર્ડ વ્યાવસાયિક રીતે સર્વકાલીન મહત્ત્વ ધરાવતી અભૂતપૂર્વ સિદ્ધિ છે, પણ વાત સફળતા અને સિદ્ધિને બદલે ગુણવત્તા અને મહાનતાની નીકળે, ત્યારે મામલો એટલો સીધોસાદો રહેતો નથી. બીજાં અનેક પરિબળો લક્ષ્યમાં લેવાનાં થાય છે.

ફિલ્મસંગીતઃ રહેમાન અને બીજા
રહેમાન વિશે વાત થતી હોય ત્યારે ફિલ્મસંગીતકારોના બે ભાગ પડી જાય છેઃ રહેમાન અને બીજા. (રહેમાનનો આવો કોઇ દાવો નથી, પણ માર્કેટિંગ અને લાગણીના ઉભરાથી આ સ્થિતિ સર્જાઇ છે.) આ વિભાજન છેલ્લાં દસ-પંદર વર્ષમાં આવેલા સંગીતકારો માટે સાચું હશે, પણ ફિલ્મસંગીતના ઇતિહાસમાં રહેમાનની સાથે અથવા તેમની આગળ લેવાં પડે એવાં ઘણાં નામ છે.

૨૫ વર્ષની ઊંમરે રહેમાનની પ્રચંડ સફળતાને બિરદાવતી વખતે એ પણ યાદ રાખવું પડે કે નૌશાદ-અનિલ બિશ્વાસ જેવા અનેક દિગ્ગજ સંગીતકારોએ તેમની સંગીત કારકિર્દીનો આરંભ ૨૫ વર્ષથી પણ ઓછી વયે કરી દીધો હતો. રહેમાનને વેઠવી પડી એવી અથવા એનાથી પણ વધારે પ્રતિકૂળતાઓ વેઠીને આ લોકોએ ફિલ્મસંગીતમાં પોતાનું સ્થાન ઊભું કર્યું.

જૂના અને નવા સંગીતકારો વચ્ચે સીધી સરખામણી કરવા જતાં એ સમયે ફિલ્મના માઘ્યમની પ્રાથમિક અવસ્થાથી માંડીને ‘સિચ્યુએશનની ડીમાન્ડ’ જેવાં ઘણાં પરિબળ ઘ્યાનમાં લેવાં પડે. ઉપરાંત, એ પણ યાદ રાખવું પડે કે ફિલ્મસંગીત ઘણી હદે જમાનાની તાસીર સાથે પણ સંબંધ ધરાવે છે. અફર અને અચળ ચીજ હોય તો એ છે મઘુરતા. તેને શબ્દોમાં વ્યાખ્યાયિત કરવી અઘરી છે, પણ ‘દિલ હૈ છોટા સા, છોટી સી આશા’ સાંભળીને એવું કહી શકાય કે ‘એ મઘુર નથી?’ એ ગીત જૂનું કે નવું નથી- મઘુર છે. તેને સાંભળતી વખતે સમયનો સંદર્ભ ન લઇએ તો પણ ચાલે. એ મઘુર છે અને પચાસ વર્ષ પછી પણ મઘુર રહેવાનું છે.

મહત્ત્વનો સવાલ એ છે કે રહેમાનની સોથી પણ વઘુ ફિલ્મોમાં આવાં નિર્વિવાદ મઘુર ગીતો કેટલાં? અને ફિલ્મ રિલીઝ થાય ત્યારે બહુ ચગ્યા પછી એકાદ-બે વર્ષમાં ભૂલાઇ ગયાં હોય અને તેમનું સ્થાન ચલણમાં નવાં આવેલાં ગીતોએ લઇ લીઘું હોય, એવાં ગીતો કેટલાં? વ્યાપક અને સાચી છાપ એવી પણ છે કે રહેમાનનાં ગીતોમાં ગીતની મેલડી (મઘુરતા) કરતાં રીધમ (તાલ)નો હિસ્સો મોટે ભાગે છવાયેલો રહે છે. થોડાં વર્ષ પહેલાં સહજ વાતચીતમાં રહેમાનનો ઉલ્લેખ નીકળતાં એક સંગીતકારે કોઇ પણ દુર્ભાવ વિના માર્મિક ટીપ્પણી કરી હતી કે ‘રહેમાનને મેલડીની ગિફ્ટ નથી.’

‘આ બધી ટેકનિકલ ચર્ચાનો શો મતલબ? રીધમ હોય કે મેલડી, ગીત સરસ હોય એટલું પૂરતું નથી?’ એવી લાગણી આ તબક્કે થઇ શકે છે. પણ વાત એક સંગીતકારની હોય ત્યારે સૂર અને તાલની વાત અલગથી કરવી પડે- અને એ વાત શાસ્ત્રીય સંગીતની ફૂટપટ્ટીથી નહીં, સામાન્ય ભાવકની સમજણતી પણ શક્ય છે. જેમ કે, અવનવા તાલ અને અનેકવિધ પ્રકારના સંગીતના ટુકડા વિના, માત્ર ને માત્ર મઘુર ઘૂનની વાત કરીએ તો રહેમાનનું ‘તુ હી રે’ યાદ આવે, પણ ત્યાર પછી રહેમાને બનાવેલાં આ પ્રકારનાં કેટલાંક ગીતોમાં કોઇ ને કોઇ રીતે ‘તુ હી રે’ના છાયા સંભળાતી રહે છે.

રહેમાનનું સંગીત નવા જમાનાનું છે અને નવા જમાના પ્રમાણે મઘુર છે એવું કહી શકાય. સાથોસાથ એમ પણ કહેવું પડે કે નૌશાદ-અનિલ બિશ્વાસ-શંકર જયકિશન-ઓ.પી.નૈયર-સી.રામચંદ્ર-સલિલ ચૌધરી જેવા ઘણા સંગીતકારોનું સંગીત તેમના સમયે ‘નવા’ જમાનાનું હોવા છતાં, તે અત્યારે પણ તાજગી અને મઘુરતાની રીતે જૂનું થયું નથી. તેમનાં ઘણાં ગીતો સર્વકાલીન અને ચિરંજીવ મહત્ત્વ ધરાવે છે.

લોકોને પચે એવી પ્રયોગશીલતાના માપદંડથી વાત કરવી હોય તો પંકજ મલ્લિક અને આર.સી.બોરાલ જેવા મહાનુભાવોથી માંડીને પ્રમાણમાં ‘નવા’ કહેવાય એવા આર.ડી.બર્મન સુધી લાઇન લંબાય. જૂના સમયના સંગીતકારો પાસે ટેકનિકલ સુવિધાઓનો કારમો અભાવ હોવા છતાં, તે પ્રચંડ સર્જકતાના જોરે પોતાના જમાનાનું અને તેનાથી આગળ કહેવાય એવું પણ સંગીત આપી શક્યા.

કેટલાક રહેમાન-ચાહકોનો એવો પણ દાવો છે કે અત્યાર સુધીના બધા સંગીતકારો કાં હિંદી ફિલ્મોમાં કાં દક્ષિણ ભારતીય ફિલ્મોમાં હિટ જતા હતા. ભારતના બન્ને હિસ્સામાં સફળ થનાર રહેમાન પહેલા સંગીતકાર છે. આ દાવાને સંગીતની ગુણવત્તા સાથે બહુ ઓછી લેવાદેવા છે - અને દાવો સાચો પણ નથી. દક્ષિણ અને ઉત્તર ભારત વચ્ચે, મંુબઇ અને મદ્રાસમાં એકસરખી સફળતા મેળવનારા સંગીતકારોમાં સલિલ ચૌધરીનું નામ સૌથી જાણીતું ગણી શકાય.

સર્જકતા સાથે સંબંધ ધરાવતા કોઇ પણ ક્ષેત્રમાં મહાનતા નક્કી કરવાની થાય, ત્યારે કલાકારના ઉત્તમ કામની સાથોસાથ તેના નબળા કામને લક્ષ્યમાં લઇને સરવૈયું નીકળવું જોઇએ. એ માટે કોઇ ગાણિતીક સમીકરણ નથી, પણ ચાર-પાંચ દાયકાની કારકિર્દીમાં માંડ ૭૦-૮૦ ફિલ્મોમાંથી મોટા ભાગની ફિલ્મોનાં ઘણાંખરાં ગીતો યાદગાર બનાવનાર નૌશાદ જેવા સંગીતકાર હોય કે શંકર-જયકિશન જેવા ‘ફેક્ટરી’ની જેમ સંગીતનું ઉત્પાદન કરતાં છતાં મઘુરતા જાળવી રાખતા સંગીતકારો હોય, તેમની સરખામણીમાં રહેમાન ક્યાં ઊભા છે, એ પણ વિચારવું જોઇએ. તેના માટેનો સાદો સવાલઃ રહેમાનનું સંગીત ધરાવતી કેટલી ફિલ્મો અને તેમનાં કેટલાં ગીતો કદી હતાં જ નહીં એવી રીતે ભૂલાઇ ગયાં?

રહેમાનની અન્ય એક મર્યાદા તે પ્રાદેશિક સંગીત. ‘બોમ્બે’ ફિલ્મમાં અચાનક રામદેવ પીરનો હેલો ટપકી પડે, ત્યારે સમજણ જ ન પડે કે તે શા માટે અહીં મુકવામાં આવ્યો છે! બસ, રહેમાનને ‘મ્યુઝિકલ એલીમેન્ટ’ તરીકે ગમી જાય એટલે થયું! ‘ગુરૂ’ કે ‘લગાન’ જેવી ફિલ્મોમાં રહેમાને આપેલા સંગીતમાં ગુજરાતી સંસ્પર્શ/ટચ અનુભવાય છે?

એ વખતે રહેમાનની સરખામણી અનાયાસે વનરાજ ભાટિયા જેવા સંગીતકાર સાથે થઇ જાય. તે જે વિષયની, જે સમયગાળાની ફિલ્મમાં સંગીત આપે, તેમાં સ્થાનિકતાની સુગંધ આવે. ‘મંથન’નું ગીત ‘મેરો ગામ કાંઠા પારે’ ગરબાના તાલ ધરાવતું નથી, છતાં વાદ્યોના ઉપયોગથી એ ગીતનું ગુજરાતીપણું દિલમાં ઉતરી જાય એવું બન્યું છે. એવા ઘણા દાખલા આપી શકાય.

વનરાજ ભાટિયાને રહેમાન સંદર્ભે યાદ કરવાનું બીજું કારણ છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક. વનરાજ ભાટિયા, સલિલ ચૌધરી, નૌશાદ કે પંકજ મલિક જેવા સંગીતકારો ફક્ત ગીતોના જ નહીં, બેકગ્રાઉન્ડ મ્યુઝિકના પણ ખાં ગણાયા છે.

‘આ બધા સાથે રહેમાનની સરખામણી કરવાનો શો અર્થ?’ એવું લાગે છે?
- તો એ જ મુદ્દો છે. રહેમાનની લીટી મોટી કરવા માટે તેના પૂર્વસૂરિઓની લીટી નાની કરવાની જરૂર નથી. એ કરવું હોય તો બન્ને વચ્ચેની સરખામણી આવશ્યક બને છે અને તેમાં રહેમાનનું નં.૧ તરીકેનું અત્યારનું સ્થાન ડગમગી જાય એમ છે. હિંદી અને ભારતીય ફિલ્મસંગીતની લાંબી પરંપરાનાં શીર્ષસ્થ નામોમાં રહેમાન અધિકારપૂર્વક સ્થાન ધરાવે છે, એટલું કહેવું પૂરતું નથી?

Monday, March 09, 2009

નેટે ઝૂલે છે તલવાર, મેઘાણી કેરી...


પોતાના પિતા/દાદાના સાહિત્યમાં રસ લેનારાં કુટુંબીજનો બહુ ઓછાં જોવા મળે છે. એવા અપવાદોમાં સૌથી ઓછો જાણીતો દાખલો જ્યોતીન્દ્ર દવેના પરિવારનો (પ્રદીપ-રાગિણી દવેનો) છે, તો સૌથી જાણીતું ઉદાહરણ મેઘાણી પરિવારનું છે.

ઝવેરચંદ મેઘાણીનાં આ હાલતાંચાલતાં સર્જનોમાંથી ઘણાના ખંતના પ્રતાપે મેઘાણીનું સાહિત્ય અને તેમના જીવનની ઘણી વાતો મેઘાણીની વિદાયના છ દાયકા પછી પણ ‘દુર્લભ’ને બદલે સુલભ રહી છે. જમાના પ્રમાણે તાલ મિલાવવાની પરંપરા પ્રમાણે, મેઘાણી પરિવારમાંથી ઝવેરચંદના પુત્ર નાનક મેઘાણી અને નાનકભાઇના પુત્ર પિનાકી મેઘાણીએ મેઘાણીના જીવનકાર્યને આવરી લેતી એક વેબસાઇટ તૈયાર કરી છે. આ સાઇટ પર મેઘાણી વિશેની ઘણી દુર્લભ સામગ્રી, તસવીરો, મેઘાણીનો અવાજ, તેમના પુસ્તકોનાં ટાઇટલ, હસ્તાક્ષર મુકવામાં આવ્યાં છે.

ગુજરાતી ભાષા અને સાહિત્યમાં રસ ધરાવતા સૌએ નિરાંતે જોવા જેવી સાઇટ બનાવવા બદલ નાનકભાઇ અને પિનાકીભાઇને અભિનંદન.

તા.ક.- ભૂલતો ન હોઊં તો હોમ પેજ પર મુકાયેલી ઝવેરચંદ મેઘાણીની અદભૂત તસવીર જગનદાદા (જગન મહેતા) એ લીધેલી છે.

શબ્દાર્થપ્રકાશ # 10

ઉકેલમાસ્તરીઃ યોગ્ય-અયોગ્યનો વિચાર કર્યા વિના ગમે તે રીતે તોડ કાઢવો
-ઉકેલમાસ્તરઃ ઉકેલમાસ્તરીથી તોડ કાઢનાર
વાહ. આનું નામ ઉકેલમાસ્તરી...(7 માર્ચ, 2009, દિ.ભા.)
મીડિયામારીઃ મીડિયાનું આક્રમણ (‘મગજમારી’ની તરાહ પર)
...કોઇ દબાણે- કહો કે મીડિયામારીએ- અસર પાડી હશે... (7 માર્ચ, 2009, દિ.ભા.)
વૃંદવાદનઃ ‘કોરસ’, સમુહગાન, સાગમટે મચી પડવું
...માધ્યમોનો એક વર્ગ લગભગ વૃંદવાદન પેઠે મચી પડ્યો હતો કે... (7 માર્ચ, 2009, દિ.ભા.)
ચિયરાંગનાઃ (20-20 ક્રિકેટની) ચીયર ગર્લ્સ
...એમાં વખત છે ને પેલી ચિયરાંગનાઓ પણ હશે સ્તો... (7 માર્ચ, 2009, દિ.ભા.)
સ્વભાગ્યનિર્ણયઃ પોતાનું ભાગ્ય નક્કી કરવાની પ્રક્રિયા (ચૂંટણી)
...એપ્રિલ અને મે દરમિયાન ભારતવર્ષ સ્વભાગ્યનિર્ણયના સભરમાં હશે. (7 માર્ચ, 2009, દિ.ભા.)
કંચની કર્મઃ કેવળ આર્થિક ફાયદાની વાત
મીડિયામાસ્તરો, તમે કદાચ ચિયરાંગનાઓ સાથે આગોતરા તાલકદમ કે સૂરસરગમ મિલાવવા ઇચ્છતા હશો, પણ લોકોને અને ચૂંટણીચર્યાનેય તમારે આઇપીએલ ઓચ્છવ અન્વયે કંચની કર્મમાં જોતરવા છે? (7 માર્ચ, 2009, દિ.ભા.)
કોરસબદ્ધઃ સામુહિક રીતે
...આઇપીએલ ઓચ્છવવાળી વાસ્તે કોરસબદ્ધ મચી પડવું એનો અર્થ સીધોસાદો એ છે કે... (7 માર્ચ, 2009, દિ.ભા.)
ચોવીસ કલાકના ચેનલશાહોઃ ચોવીસ કલાકની ન્યૂઝચેનલોના ‘કલાકારો’
...જ્યારે ‘સ્લમડોગ મિલિયોનેર’ની ઓસ્કાર ફતેહ સાથે નાનો પડદો અને ચોવીસ કલાકના ચેનલશાહો જે ચાલુ પડી ગયા હતા. (7 માર્ચ, 2009, દિ.ભા.)
શય્યાસુખ વગરની સુહાગરાતઃ નિરર્થક દાખડો
ફિલ્મી પડદે ઝોંપડપટ્ટીનો ઝગમગાટ સૌને ગમે છે. એમાં પણ ચાલનો છોકરડો કરોડપતિ બની જાય. ક્યા કહના...શય્યાસુખ વગરની સુહાગરાત. બીજું શું? (7 માર્ચ, 2009, દિ.ભા.)
ચોવીસના ચેનલબાજોઃ પુખ્તતામાં કદી મોટા ન થતા ચોવીસ કલાકની ચેનલવાળા
ક્ષુધાંકઃ હંગર ઇન્ડેક્સ
...આ ચોવીસના (કદી ‘પચીસ’ના નહીં થઇ શકતા)ચેનલબાજો કને દુનિયામાં ક્ષુધાંક (હંગર ઇન્ડેક્સ)નો અભ્યાસ રજૂ કરતા નક્કર હેવાલ માટે ફુરસદ નહોતી. (7 માર્ચ, 2009, દિ.ભા.)
ઋણવજનિયાં: અન્ડરવેઇટ
એમાં પણ ત્રીસ ટકા તો જન્મે છે જ ઋણવજનિયાં. (7 માર્ચ, 2009, દિ.ભા.)

(કુલ શબ્દોઃ 118)

શબ્દાર્થપ્રકાશ # 9

- નું લૂણઃ -નું સત્ત્વ

-નાગરિક વચ્ચે તેમજ સવિશેષ તો નાગરિક અને શાસન વચ્ચે ન્યાયપૂર્ણ સંબંધ વાસ્તે આગ્ર હોવો, એ તીવ્રતા અને એ તાલાવેલી તો લોકશાહીનું લૂણ છે. (દિ.ભા., ૨૮-૨-૦૯, અભિવ્યક્તિ)

અંગવસ્ત્ર તળે અવસ્ત્રઃ અંદરથી બધા એકના એક અને ઉઘાડા

...ત્યારે કોક હિંદુ હતું તો કોક મુસ્લિમ હતું. કોક ભાજપી હતું તો કોક કોંગ્રેસી હતું. અંગવસ્ત્ર તળે અવસ્ત્ર એવું આ આખું જે રાવણું હતું એમાં નાગરિક શોઘ્યો જડતો ન હતો...(દિ.ભા., ૨૮-૨-૦૯, અભિવ્યક્તિ)

પોટેશ્વર રાષ્ટ્રવાદઃ ‘પોટા’ જેવા ત્રાસવાદવિરોધી કાયદા આશ્રિત રાષ્ટ્રવાદ

રૂપરેખા કે નહીં રૂપરેખા, આપણા કાયદા ઢીલા છે અને મજબૂત કાયદા વગર ચાલવાનું નથી એ તરેહનો પોટેશ્વર રાષ્ટ્રવાદ...એનો પરમ ને પ્રથમ મુદ્દો છે. (દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)

હીનોપમાઃ ઉતરતી કોટીની ઉપમા

હીનોપમાનું આળ વહોરીને પણ કહેવું જોઇએ કે...(દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)

શોભાકારણઃ શોભા વધારનારા બની રહેવાનું રાજકારણ

આમ પેઇજ થ્રીનાં પાત્રોની પેઠે શોભાકારણ અને કોર્ટ જેસ્ટર તરીકેનું બૌદ્ધિક-કારણ એમની પોતાની વાસ્તવિક ગુંજાશ સામે બેહદ ખરાબ હિસાબ આપનારાં પુરવાર થઇ રહ્યાં છે. (દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)

પચાસવર્ષીઃ સુવર્ણજયંતિ

...માર્ટિન લ્યુથર કિંગ ત્રીજા...પોતાના પિતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે ૧૯૫૯માં ભારતની મુલાકાત લીધી એની પચાસવર્ષી ઉજવશે. (દિ.ભા., ૧૪-૨-૦૯, અભિવ્યક્તિ)

ઝીણાયનઃ (અડવાણીએ કરેલી) ઝીણાની પ્રશંસા

હજુ થોડાં વરસ ઉપર, એમના અભિનવ ઝીણાયનને પગલે નાગપુરે અડવાણીને ભાજપની અઘ્યક્ષીય ગાદીએથી ખડખડિયું આપી દીઘું હતું. (દિ.ભા., ૭-૨-૦૯, અભિવ્યક્તિ)

દોષદુરસ્તીઃ ભૂલસુધાર

...એમણે (અડવાણીએ) ઋજે પ્રાપ્ત કરવાનું હતું તે કર્યું, પણ હવેય કશી દોષદુરસ્તી સૂઝે છે ખરી? (દિ.ભા., ૭-૨-૦૯, અભિવ્યક્તિ)

વેશનમૂનોઃ રોલમોડેલ

ઇઝરાયલ આપણે ત્યાં ઘણાને સારૂ વેશનમૂનો (રોલમોડેલ) બની રહેલ છે. (દિ.ભા., ૨૪-૧-૦૯)

તાદાત્મ્ય દોષઃ સિદ્ધિવંત/સફળ સાથે ખોટેખોટી એકરૂપતા અનુભવવાનો દોષ

મારે મીર અને ફુલાય પિંજારા એવો એક માહોલ (ખરૂં જોતાં તાદાત્મ્ય દોષ) આપણએ ત્યાં ઇઝરાયલના મામલામાં વખતોવકથ જોવા મળે છે. (દિ.ભા., ૨૪-૧-૦૯)

જનમ જનમનાં જુવારાં રહેવાં: અંતર રહી જવું

પ્રજાસત્તાક અને- સ્વરાજ વચ્ચે જનમ જનમનાં જુવારાં ક્યાં લગી? (દિ.ભા., ૨૪-૧-૦૯)

ખાણદાણઃ પોષણ- ‘ફોડર’ના સંદર્ભે

આ બધા ધર્મો...સભ્યતાઓના સંઘર્ષ વાસ્તે ખાણદાણ પણ બની રહે એવો એક ભય છે. (દિ.ભા., ૧૦-૧-૦૯)

વિક્રિયાઃ વિકૃતી ભણી દોરી જતી પ્રક્રિયા

...આ આખી પ્રક્રિયા (ખરૂં જોતાં વિક્રિયા) મનુષ્યજાતિને ધર્મકૃપાએ હાણ પહોંચાડતી રહે છે.

કુલ શબ્દોઃ 106

વિશિષ્ટ વાક્યપ્રયોગ

એક બૌદ્ધિક તરીકે ભલે તેઓ (શૌરી) જાહેર જીવનમાં આવ્યા હોત પણ તૃણમૂલ કાર્યાનુભવ (ગ્રાસરૂટ એક્સપિરિયન્સ) વગરના એમને સારૂ સદાશયી ધોરણે પણ કોઇકના ઉપગ્રહ બનવા સિવાય મોક્ષ નથી. (દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)

Friday, March 06, 2009

જૂના ગીત-સંગીત-કલાકારોની અંતરછબિઃ ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ

રજનીકુમાર પંડ્યાનું નામ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે એટલું જ સંગીતપ્રેમી તરીકે જાણીતું છે. સેંકડો ગીતો ઘૂન અને શબ્દો સાથે તેમના ચિત્તમાં અંકાઇ ગયાં છે, જે વાતચીતમાં સહજપણે ઉભરી આવે છે. તલત મહેમુદ-હેમંતકુમાર-જગમોહનના જબ્બર ચાહક રજનીભાઇ સાથે વીસેક વર્ષ જૂનો નાતો વાચક-લેખકમાંથી શિષ્ય-ગુરૂ અને અત્યંત નિકટના સ્વજન તરીકેનો છે, પણ તેનો પાયો મજબૂત કરવામાં મોટી ભૂમિકા જૂનાં ગીતોની.

અનેક જૂના કલાકારો- ગાયકો, ગીતકારો, સંગીતકારો-ના પરિચયમાં આવેલા રજનીભાઇએ એક વાર્તાકારની શૈલીમાં પોતાનાં એ કલાકારો સાથેનાં સંભારણાં ‘આપકી પરછાઇયાં’ (૧૯૯૫) સ્વરૂપે ગુજરાતીમાં રજૂ કર્યાં. એ પુસ્તકનું નામ પહેલાં ‘કાફિલે બહારકે’ હતું (એક બાર ચલ દિયે/ ગર તુઝે પુકારકે/લૌટ કર ના આયેંગે/કાફિલે બહારકે- યે રાત યે ચાંદની ફિર કહાં...પરથી). એ પુસ્તક આવ્યું અને સંગીતપ્રેમીઓમાં સારો આવકાર પામ્યું. રજનીભાઇની શૈલીમાં રહેલી અંગતતા જેમને ખૂંચતી હોય તેમને આ પુસ્તકમાં પણ ખૂંચી અને કેટલાકને તેમાં વઘુ પડતી મુગ્ધતા પણ લાગી. છતાં, મારાં પ્રિય પુસ્તકોમાં ‘આપકી પરછાઇયાં’નો સમાવેશ થાય છે. કારણ કે જે લંબાણથી અને વાર્તાકારની કળાથી તેમણે પ્રદીપજી, શમશાદ બેગ, જયકિશન, મુબારક બેગમ, હેમંતકુમાર, તલત મહેમૂદ જેવાં કલાકારોને રજૂ કર્યા છે, તેવું ફિલ્મી પત્રકારો કે પંડિતો માટે ભાગ્યે જ શક્ય બને.

‘આપકી પરછાઇયાં’ની બીજી આવૃત્તિ થઇ. દરમિયાન, ૧૯૯૯માં દિલ્હીના એક પ્રકાશને એ જ નામે તેની હિંદી આવૃત્તિ પ્રસિદ્ધ કરી અને હવે દિનકર જોષીની આગેવાની હેઠળની ‘ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ના ઉપક્રમે દિલ્હીના ‘પ્રકાશન સંસ્થાન’ તરફથી ‘આપકી પરછાઇયાં’ અંગ્રેજીમાં ‘ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ’ સ્વરૂપે આવ્યું છે. ૨૧૨ પાનાંના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ (સ્વ.) સરલા જગમોહને કર્યો છે.

‘આપકી પરછાઇયાં’ જોઇને કે તેના વાચકો પાસેથી એના વિશે સાંભળીને ગુજરાતી વાંચી ન શકતા ઘણા વાચકો અફસોસ પ્રગટ કરતા હતા. એ સૌના અફસોસનું ઘણી હદે નિવારણ ‘ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ’થી થવું જોઇએ. આ પુસ્તક મેળવવવાનું સરનામું :
Prakashan Sansthan
4715/21, Dayanand Marg, Daryaganj
New Delhi- 110002

Thursday, March 05, 2009

રસ્તો ઓળંગવાની રામાયણ

દુનિયાની કારમી વાસ્તવિકતા માટે ‘દરેકે પોતાનો ક્રોસ જાતે જ ઉપાડવો પડે છે’ એવું વિધાન વધારે પડતું ગંભીર કે અતિશયોક્તિપૂર્ણ લાગે છે? તો તેને આ રીતે પણ કહી શકાયઃ ‘સૌએ પોતાનો રસ્તો જાતે જ ક્રોસ કરવો પડે છે.’

‘ક્યાં ક્રોસ ઊંચકવાનો ત્રાસ અને ક્યાં રસ્તો ક્રોસ કરવા જેવું મામુલી કામ?’ - આવું કોઇને લાગે, તો તેમણે માનવું કે ભારતવર્ષની પ્રગતિ સાથેનો તેમનો સંબંધ કપાઇ ગયો છે અથવા પોતે ગુફાયુગમાં જીવે છે. મહાપુરૂષો માટે જેમ કોઇ કામ નાનું કે મોટું નથી હોતું, એવું સામાન્ય માણસ માટે સમસ્યાનું છે. તેના માટે કોઇ સમસ્યા નાની કે મોટી હોતી નથી. બધી સમસ્યાઓ તેમના માટે એકસરખી ત્રાસરૂપ બની શકે છે. સમસ્યા સાથે પનારો પાડવાની મોટા ભાગના લોકોની પદ્ધતિ સરખી હોય છેઃ પહેલાં સાફ ઇન્કાર, પછી મોળો ઇન્કાર, ત્યાર પછી કચવાતા મને સ્વીકાર અને છેલ્લે કકળાટ. આવું કોઇ મહાપુરૂષ કે મહાસ્ત્રીએ કહ્યું નથી, પણ એટલા માત્રથી તેની કિંમત ઓછી થતી નથી.

રસ્તો ક્રોસ કરવાની સમસ્યા અસલમાં વિદેશી હતી. કારણ કે ભારતમાં તો ઘી-દૂધની નદીઓ વહેતી હતી- અને એ નદીઓ ક્રોસ કરવાની સમસ્યા વળી જુદા પ્રકારની હતી. ભારતમાં ગણ્યાંગાંઠ્યાં શહેરોમાં જેમને ક્રોસ કરવાની તકલીફ પડે એવા રસ્તા હતા. બાકીના ભારતની લાગણી હતીઃ‘રોડ ક્રોસ કરવા માટે રોડ તો જોઇએ કે નહીં? અહીં રોડ જોયો છે જ કોણે?’ કેટલાક ભણેલા લોકો પૂછતા હતા,‘ગાયોના ટોળાને ધણ કહેવાય, એમ ખાડાના સમુહને રોડ કહેવાય, એવું કોઇ જાહેરનામું તો સરકારે બહાર પાડ્યું નથી ને?’

હવે ભારતમાં ઠેરઠેર રસ્તા બનવા લાગ્યા છે. એટલું જ નહીં, સાહિત્ય પરિષદ જેમ પન્નાલાલ પટેલના પુનઃમુલ્યાંકનના પુનઃમુલ્યાંકનનું પુનઃમુલ્યાંકન કરે છે, તેમ મ્યુનિસિપાલિટી એક વાર બની ચૂકેલા રસ્તા ઉપર થર ને તેની ઉપર થર ને વળી તેની ઉપર થર કર્યા જ કરે છે. કોણ કોને પ્રેરણા આપે છે તેની ચર્ચા વિવાદાસ્પદ હોવાથી જવા દઇએ, પણ બન્નેનું પરિણામ સરખું આવે છેઃ યોજકો અને ‘સંબંધિત પાર્ટીઓ’ સિવાય બીજા લોકોને લાંબા ગાળે સંતોષ કે ફાયદો થતાં નથી.

નવા અને સરસ રોડ બને એટલે લોકો તેનો ઉપયોગ કરે છે. બલ્કે, લોકોના ઉપયોગ માટે જ રોડ સરસ કરવામાં આવે છે. પણ ઉપયોગ વધે તેમ ભીડભાડ અને ટ્રાફિકનો ધમધમાટ થાય છે અને જોતજોતાંમાં એ રોડ ક્રોસ કરવા જેવી ગંભીર સમસ્યાઓ પેદા થાય છે. ગેરહાજરીમાં જે ‘વિકાસનો પથ’ લાગતો હતો, તે અસ્તિત્ત્વમાં આવ્યા પછી થોડા સમયમાં ‘યમદ્વારે પહોંચવાનો માર્ગ’ બની રહે છે.

રસ્તા પર ચાલવું એક વાત છે અને રસ્તો ઓળંગવો બીજી વાત. બન્ને વચ્ચે વિવેચન અને સર્જન જેટલો મોટો તફાવત છે. રોડ ક્રોસ કરવાની પ્રક્રિયા મુખ્યત્વે બે રીતે જોઇ શકાયઃ વાહનચાલકના દૃષ્ટિકોણથી અને રાહદારીની નજરે. રોડ ક્રોસ કરવા ઉભેલા કેટલાક રાહદારીઓ જાણે ખભે ક્રોસ લઇને ઊભા હોય તેટલી અધીરાઇ દાખવે છે. તેમને શાની બીક હશે? ‘સતત ૩૬ કલાક સુધી રોડ ક્રોસ કરવામાં નિષ્ફળ ગયેલા ઇસમનું ભૂખ-તરસ-હતાશાથી કરૂણ મૃત્યુ’ આવાં મથાળાં તેમના મનમાં તરવરતાં હશે? ઉતાવળ ધરાવતા કે ઉતાવળીયા રાહદારીઓ એવી અસલામતીથી પીડાય છે કે વાહનોનો પ્રવાહ સતત ચાલુ જ રહેશે, તો રોડ ક્રોસ કરવાના પોતાના મનસૂબાનું શું થશે?

વ્યક્તિ ઊંમરલાયક હોય તો તેને ‘રોડ ક્રોસ કરવામાં બહુ વાર લાગી’ એવું જાહેર કરવા બદલ સહાનુભૂતિ મળે, પણ જુવાનજોધ માણસ એવું કહી શકતો નથી. ‘રોડ ક્રોસ કરવામાં વાર લાગી’ એવું કહેવાથી થનારી હાંસી અને ધસમસતાં વાહનોથી ઉભરાતા રોડ પર ઝંપલાવવાનું જોખમ- આ બન્નેમાંથી હાંસીની બીક વધારે અસરકારક નીકળે છે. એટલે, ‘આ પાર કે પેલે પાર’નો મનોભાવ ધારણ કરીને તે, ટ્રાફિકગ્રસ્ત રોડ ક્રોસ કરવા મેદાને પડે છે. આરંભિક આત્મવિશ્વાસને લીધે ઘડીભર તેને એમ થઇ જાય છે કે ‘મોઝેસને જેમ દરિયાનાં મોજાંએ રસ્તો કરી આપ્યો હતો, તેમ ટ્રાફિકના દરિયામાંથી મારા માટે પણ રસ્તો નીકળી જશે. હું રસ્તા પર ડગ માંડીશ એટલે પૂરપાટ વેગે જતાં વાહનો મારા સાહસથી સ્તબ્ધ બનીને બ્રેકની ચીચુડાટી સાથે ઊભાં રહી જશે અને મને મારગ આપશે.’ ભલું હોય ને ‘અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો’ એવી એકાદ કાવ્યપંક્તિ યાદ આવી જાય એટલે જોસ્સો જળવાઇ રહે છે.

ઉંચાઇ પરથી કૂદકો મારવા માટે ગમે તેટલી માનસિક તૈયારી કરી હોય અને સાધનો સજાવ્યાં હોય, પણ ખરેખર કૂદકો મારવાનો આવે ત્યારે હાંજા કેવા ગગડી જાય? એવું જ રસ્તો ઓળંગવામાં બને છે. રોડ ક્રોસ કરવાની દિશામાં ડગ માંડ્યાં- ન માંડ્યાં કે ત્યાં તો વાહનોના કાતિલ સુસવાટથી એક ડગ આગળ માંડનાર ચાર ડગ પાછળ ખસી જાય છે. યાહોમ કરીને પડવાની વાત કરનારા નર્મદે પણ ‘ડગલું ભર્યું કે ન હટવું’ રોડ ક્રોસ કરવા માટે લખ્યું નથી, એમ વિચારીને તે આશ્વાસન લે છે, પણ રોડ ક્રોસ કર્યા વિના છૂટકો નથી, એ જીવનની અનિવાર્યતા તેનો કેડો મૂકતી નથી.

રોડ ક્રોસ કરવાનું કામ મહાભારતના પ્રખ્યાત કોઠાયુદ્ધ જેવું છે. પહેલો કોઠો રોડના સૌથી બહારના ભાગે હોય છે, જ્યાં પરચૂરણ રથીઓ ખાંડાંની જેમ સાયકલનાં સ્પેરપાર્ટ ખખડાવતા નીકળે છે. સુકલકડી સાયકલ પણ સામેથી આવતી હોય ત્યારે ખૂંખાર લાગે, તો છેલ્લા કોઠામાં આવનારાં મોટર-બસ-ખટારા જોઇને કેવા હાલ થશે? એ વિચારે રાહદારી ઘડીક ખમચાઇને ઊભો રહી જાય છે. મોટાં વાહનો દૂર હોય ત્યારે એ બહુ દૂર લાગે છે અને રાહદારી હરખભેર રોડના બીજા-ત્રીજા કોઠા (સ્કૂટર-બાઇક-રિક્ષાના) કોઠામાં પહોંચી જાય છે, પણ મોટર કે બસની ઝડપ એટલી બધી હોય છે કે પલકવારમાં તે પાસે આવી જાય છે. સાદી મોટરમાં રાહદારીને શબવાહિની દેખાવા લાગે છે.

બીજા-ત્રીજા કોઠાનાં સ્કુટર-રિક્ષાની ઝડપ પ્રમાણમાં ઓછી છતાં છેતરામણી હોય છે. તેમની ઓછી ઝડપ જોઇને રાહદારી સહેજ ગાફેલ રહે તો તે અથડાઇ પડે છે. ત્રણ કોઠા ભેદ્યા પછી છેલ્લો કોઠો ભારે વાહનોનો આવે છે. ત્યાં સુધી પહોંચનાર ઠીક રીઢા થઇ જાય છે અને મોટરોના કદ કે તેમના ધસમસાટને ગાંઠયા વિના સામી બાજુ જતા રહે છે. મોટાં વાહનોથી બીતા લોકો પણ ‘હવે પાછા જવા માટે ફરી બે-ત્રણ કોઠા ભેદવા પડશે’ એ વિચારે મન મક્કમ કરીને, મુઠ્ઠીઓ વાળીને છેલ્લો કોઠો ભેદી નાખે છે.

કેટલાક લોકો આ બન્ને રીતે નિષ્ફળ જાય ત્યારે તે રસ્તાની વચ્ચે ઊભા રહી પડે છે. કોઠા ખોરવાઇ જાય છે, વાહનોનાં હોર્નથી અને વાહનચાલકોના કકળાટથી વાતાવરણ ભરાઇ જાય છે અને સંવેદનશીલ રાહદારીને ધરતી મારગ આપે તો...શાંતિથી રોડ ક્રોસ કરવાનં મન થઇ આવે છે.

વાહનચાલકો રોડ ક્રોસ કરનારા લોકોને અનિષ્ટ તરીકે જોવા ટેવાયેલા હોય છે, તો રાહદારીઓ પણ વાહનચાલકોને ઘાતકી, કાતિલ, યમદૂતના એજન્ટ તરીકે જુએ છે. ‘ચાલતાં નથી આવડતું’ અને ‘ચલાવતાં નથી આવડતું’ એ તકરારનું સૌથી સાત્ત્વિક પાસું એ છે કે તે કાયમી અને વ્યક્તિકેન્દ્રી નથી. એક જ માણસ વાહનચાલક તરીકે રાહદારીને અનિષ્ટ ગણતો હોય, પણ એ પોતે રાહદારી બને ત્યારે તેને વાહનચાલકો ઘાતકી લાગવા માંડે છે. ‘કોઇ માણસ ખરાબ નથી હોતો. તેના સંજોગો ખરાબ હોય છે.’ એવું ફિલસૂફો અમસ્તા કહેતા હશે?

Tuesday, March 03, 2009

તારક મહેતા સમારંભ # ૨ : મુખ્ય મંત્રીનો સુરક્ષા પરિવાર આપને હાર્દિક ત્રાસ આપે છે...




રવિવારની સવારે ૯-૪૫ વાગ્યે લગભગ બારસોની ક્ષમતા ધરાવતા અમદાવાદના ટાઉનહોલમાં સમારંભ રાખવાની હિંમત તો જ થાય, જો એ સમારંભ તારક મહેતાનો હોય.
- અને રવિવારની સવારના ૯-૪૫ વાગ્યાના સમારંભ માટે ૮-૩૦ વાગ્યાથી ચાહકો આવવાના શરૂ થઇ ગયા હોવા છતાં, છેક ૯-૧૫ સુધી ચાહકોને બહાર ઊભા રાખવામાં આવે અને ત્યાર પછી પણ તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવે, ઘણા મહાનુભાવો સાથે બદતમીઝી થાય, સિનિયર સિટીઝનોને ઠેબે ચડાવાય, સંખ્યાબંધ ચાહકો હતાશ થઇને પાછા જાય...આવું તો જ થાય, જો એ સમારંભમાં ગુજરાતના મુખ્ય મંત્રી આવવાના હોય.
તારકભાઇનાં લખાણો અને ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ સિરીયલના પ્રેમીઓ મોટી સંખ્યામાં વહેલી સવારથી સન્માનપૂર્વક પોતાની બેઠક મેળવવા માટે હોલ પર વહેલા આવી પહોંચ્યા. પણ શેઠ મંગળદાસ ટાઉનહોલના બારણે મેટલ ડીટેક્ટરની એક ફ્રેમ સાથે થોડા પોલીસ ઊભા હતા. તેમણે કહી દીઘું કે અંદર જવાનું નથી.
કેમ?
સલામતીનાં કારણોસર.
કોઇ જ દેખીતા કારણ વિના હોલમાં પ્રવેશ ન મળવાથી બહાર ઊભેલા આમંત્રિતોની ધીરજ ખૂટવા લાગી. યાદ રહે કે આવનારા મોટા ભાગના લોકો ‘આમંત્રિતો’ હતા. તેમને કાર્ડ મોકલીને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે રવિવારે સવારે આવજો. લોકો આવ્યા પણ ખરા, કારણ કે પ્રિય લેખકની ઉજવણીમાં સામેલ થવાનું હતું. પણ દરવાજે જ ઘણાખરાનો ઉત્સાહ ટાઢો થઇ ગયો. એટલું જ નહીં, આનંદ ક્રમશઃ ત્રાસ અને ગુસ્સામાં પણ ફેરવાયો.
આમંત્રિતોને અંદર પ્રવેશ આપવાનું શરૂ કર્યા પછી દરેક જણ પાસેથી પાસની પતાકડીઓ ઉઘરાવવાનો અને તેમનું ચેકિંગ કરવાનો આગ્રહ રખાયો, જે વધી પડેલી ભીડને જોતાં અવ્યવહારૂ હતો. જેમ જેમ લોકો આવતા ગયા, તેમ એમનું ચેકિંગ કરીને અંદર બેસાડી શકાયા હોત. સલામતીના નિયમો પાળવાનો કોઇને વાંધો ન હોય. પણ સલામતીના નામે આમંત્રિતોને અપમાનિત સ્થિતિમાં મુકવાનું લાયસન્સ કોઇને ન મળવું જોઇએ.
દરવાજા પર કેવી ધક્કામુક્કી મચી તેની તસવીરો ઉપર મુકી છે. એકાદ વિડીયો પણ યુટ્યુબ પર મુકી છે, જેની લિન્ક અહીં આપું છું.

દરવાજા પર જોવા મળેલી ગીરદી મુંબઇની ટ્રેનોની ગીરદીને સારી કહેવાડવે એવી હતી. થેન્ક્સ ટુ ‘સિક્યુરીટી પર્પઝ’. એકાદ તસવીરમાં તો ઊંચો કરાયેલો દંડો પણ જોઇ શકાય છે.
ભારે ભીડભાડ પછી, એક મિત્રએ કહ્યું તેમ,‘છાપાંની કૂપનોમાંથી ગિફ્ટ લેવાની હોય એમ’, લાઇન કરાવવામાં આવી. દરમિયાન, હાસ્યકાર વિનોદ ભટ્ટની ધીરજ ખૂટી. આર્થરાઇટિસની ગંભીર તકલીફ ધરાવતાં તેમનાં પત્ની નલિનીબહેન સાથે તે ખાસ તારકભાઇ-ઇન્દુબહેનને કારણે આવ્યા હતા. તેમની સાથે રતિલાલ બોરીસાગર પણ હતા. ઘણી રાહ જોયા પછી નલિનીબહેનથી ઊભા ન રહેવાતાં એ લોકો માંડ માંડ હોલના પાછળના દરવાજે ગયા. ઓળખાણ આપી. તકલીફનો ખ્યાલ આપ્યો. છતાં ત્યાં ઊભેલા કર્મચારીઓ પર કશી અસર ન થઇ. તેમની એક જ વાતઃ ‘આગળના દરવાજે જાવ.’ વિનોદભાઇ કહે કે ભાઇ, અહીં સુધી જ માંડ આવ્યાં છીએ. હવે મારી પત્નીને ચલાવીને આગળના દરવાજે લઇ જઇ શકાય એમ નથી. પણ સાંભળે જ કોણ?
કંટાળીને વિનોદભાઇએ કહ્યું,‘ગાડી બોલાવો. આપણે ઘરે જતા રહીએ.’ એ વખતે રતિલાલ સહિત બીજા લોકોની ચાલુ રહેલી માથાકુટ અને સમજાવટ પછી તેમને માંડ અંદર લીધાં.
બહાર લાઇનમાં આયોજન ‘નવભારત સાહિત્ય મંદિર’ના સ્ટાર નવલકથાકાર અશ્વિની ભટ્ટ અને તેમનાં પત્ની નીતિભાભી પણ હતાં. તેમની પાસે કોઇ કારણસર પાસ ન હતા. કાર્યક્રમના એક વક્તા જય વસાવડાએ પણ બીજા ચાહકોને પાસ આપી દેતાં તેમની પાસે પણ પાસ નહીં. મારો પાસ ક્યાંક ખોવાઇ ગયો હતો. અમને બધાને સિક્યુરીટીવાળાએ બાજુ પર ઊભા રાખી દીધા. અમારે પણ વિનોદભાઇની જેમ કહેવું પડત કે ‘ચાલો ઘરે.’ મિત્ર મનીષ મહેતાએ તત્કાળ ખિસ્સામાંથી ચાર-છ પતાકડાં કાઢીને સિક્યુરીટીવાળાને ધરબ્યાં. દરમિયાન, અશ્વિની ભટ્ટને બાજુ પર ઊભા રહેવાનું કહેતાં મારો પારો છટક્યો. મેં કહ્યું,‘જરા માણસને તો ઓળખો. આ કોણ છે, ખબર છે? અશ્વિની ભટ્ટ. ગુજરાતના બહુ મોટા લેખક.’
પેલા ભાઇ ગુજરાતીમાં કહે,‘પણ અહીં તો બહારની પોલીસ છે.’
‘તો થોડી અહીંની પોલીસ પણ રાખો.’
આ બધા સંવાદો નિરર્થક અને પથ્થર પર પાણી જેવા હતા.
અંદર ગયા પછી પણ અવ્યવસ્થાનો પાર નહીં. થોડા વખત પછી હોલનાં બારણાં અંદરથી ભીડી દેવાયાં. ત્યાર પછી બહાર લાંબી લાઇનમાં ઉભેલા પાસધારકો માટે પણ એન્ટ્રી બંધ !
વધારાનો મોટો ત્રાસ ત્યારે થયો જ્યારે સાડા નવ- પોણા દસથી અંદર આવી ગયેલા લોકોને સાડા અગિયાર સુધી ધરાર બહાર જતા અટકાવવામાં આવ્યાં. કુદરતી ક્રિયાઓ માટે આઘાપાછા થતા સિનિયર સિટિઝનો દરવાજે દરવાજે ધક્કા ખાઇને બહુ આગ્રહ-વિનવણી કરે એટલે ચોકિયાત કહે,‘બહાર જવું હોય તો પછી અંદર આવવા નહીં મળે.’ પાસ તો પહેલેથી જ ઉઘરાવી લેવામાં આવ્યા હતા. એટલે અંદર પેઠા પછી કેદ!
મુખ્ય મંત્રી એક કલાક મોડા આવ્યા. આયોજકો એ વિશે જાણતા હોવાથી કાર્યક્રમ શરૂ થઇ ગયો હતો. પછી જાણવા મળ્યું કે બીજા બધાને તો ઠીક, તારકભાઇ-ઇન્દુબહેનને પણ સીધેસીધો અંદર પ્રવેશ મળ્યો ન હતો! થોડાં વર્ષ પહેલાં તારકભાઇનાં પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ ભાઇકાકા હોલમાં હતો, ત્યારનો અનુભવ તાજો થયો. એ સાંજે હું તારકભાઇને ઊભાઊભ મળીને નીકળી જવાના ઇરાદે હોલ પર પહોંચ્યો, ત્યારે તારકભાઇ અને તેમની સાથેના બે-ત્રણ જણને મુખ્ય મંત્રીના સલામતી રક્ષકો અંદર જતાં અટકાવી રહ્યા હતા. એ દૃશ્યના સાક્ષી બન્યા પછી નક્કી કર્યું કે ઝેડ પ્લસ સુરક્ષાવાળા મહાનુભાવોના કાર્યક્રમમાં કદી જવું નહીં અને ક્યારેક અનિવાર્યપણે જવું પડે તો પણ, ધોળા ધરમે તેમને આપણા કાર્યક્રમમાં બોલાવવા તો નહીં જ.
આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રીને બોલાવવા માટે તારકભાઇનો કોઇ આગ્રહ ન હતો, એ હું જાણું છું. આયોજક નવભારત સાહિત્ય મંદિરની આરંભિક ઇચ્છા હોવા છતાં મુદતો પર મુદતોને કારણે તેમણે ઇચ્છા પડતી મુકી હતી. છતાં, કેટલાક આગ્રહોથી મુખ્ય મંત્રીને લાવવામાં આવ્યા અને આ સ્થિતિ સર્જાઇ.
સારઃ
૧. મુખ્ય મંત્રી જે કાર્યક્રમમાં આવવાના હોય, ત્યાં યજમાન તરીકે પોલીસોનાં ધાડાં આવી જાય છે. અસલી યજમાનના ‘માનવંતા મહેમાનો’ સહિત બીજા સૌ કોઇ ગૌણ બની જ નહીં, બીજા નું કોઇ અસ્તિત્ત્વનું કશું મહત્ત્વ રહેતું નથી. એટલે મુખ્ય મંત્રી ટાઇપની સુરક્ષા વ્યવસ્થાથી ઘેરાયેલી વ્યક્તિઓને વાચક-લેખક મિલન પ્રકારના કાર્યક્રમોમાં બોલાવવી નહીં.
૨. આયોજકો, પેટા આયોજકો કે પડદા પાછળના આયોજકો- જેમને મુખ્ય મંત્રીની ભક્તિ કરવી હોય, તેમણે અંગત ધોરણે કરવી. પોતાની ભક્તિમાંથી નીપજતો ત્રાસ બીજાના માથે મારવો નહીં.
૩. તેમ છતાં, મુખ્ય મંત્રીને આ પ્રકારના કાર્યક્રમોમાં બોલાવવામાં આવે જ, તો એવા કાર્યક્રમોમાં જવું જ નહીં.
છેલ્લા નંબરનો સાર મેં વર્ષો પહેલાંથી અમલમાં મુક્યો છે. તારકભાઇ જેવા પ્રેમાળ વડીલ માટે તેમાં અપવાદ કરવાનો અફસોસ ન જ હોય. છતાં, એ સાર દૃઢ થયો તેનો રંજ છે.
જેમના ઘરે કુરિયર આપવા આવનારને પણ નિયમલેખે પ્રેમથી પાણીનો ભાવ પૂછાતો હોય, એવાં તારકભાઇ-ઇન્દુબહેનના સમારંભ નિમિત્તે આવી અવ્યવસ્થા થાય, તે વિશેષ ખેદજનક છે. તેના માટે તારકભાઇ-ઇન્દુબહેને નહીં, પણ મુખ્ય મંત્રીને બોલાવવાનો જેમણે આગ્રહ રાખ્યો હોય, તેમણે દિલગીરી વ્યક્ત કરવાની રહે છે.