Monday, March 16, 2009

વાચન-પ્રસાર 2008 : વાચનરસિયા માટે ખાસ ખબર

ગુજરાતી પ્રકાશનોમાં વાચનસૂચિ (કેટલોગ)નો ખાસ મહિમા નથી. મોટા ભાગની પ્રકાશકસંસ્થાઓ ફક્ત વ્યાવસાયિક હેતુસર સૂચિઓ બહાર પાડે છે. તેમાં સૌંદર્યદૃષ્ટિ કે વાચકાભિમુખતા (રીડર-ફ્રેન્ડ્લીનેસ) ભાગ્યે જ જોવા મળે. તેની સરખામણીમાં જયંત મેઘાણી (‘પ્રસાર’, ભાવનગર) દ્વારા તૈયાર કરવામાં આવેલી પુસ્તિકા ‘વાચન 2008- વરસનાં ચૂંટેલાં ગુજરાતી પુસ્તકો’ ફક્ત પુસ્તકોનું ભાવપત્રક ન બનતાં, દૃષ્ટિવંત વાચનસામગ્રી જેવી બની છે. સૂચિના મુખપૃષ્ઠ અને છેલ્લા ટાઇટલ પર બેકડ્રોપ તરીકે વાર્તાકાર સ્વ.જનક ત્રિવેદીના મરોડદાર હસ્તાક્ષર અને તેમણે કરેલું ચિત્રાંકન વાપરવાનો પ્રયોગ પણ વિશિષ્ટ છે.

64 પાનાંની આ પુસ્તિકામાં સાદું છતાં સૌંદર્યપૂર્ણ મુખપૃષ્ઠ, અનુક્રમ, પુસ્તક વિશેનાં અવતરણ, કેટલાંક ચુનંદાં લખાણ, 2008માં પ્રકાશિત થયેલાં વિવિધ પ્રકારનાં પુસ્તકોની એકાદ-બે લીટીમાં પરિચય સાથે વિગતો આપવામાં આવી છે. પુસ્તિકાના બીજા હિસ્સામાં બીજી સંસ્થાઓનાં પુસ્તકોની યાદી આપવામાં આવી છે. એ યાદી વાંચીને પુસ્તકમેળામાં ફરવાના જૂના દિવસો યાદ આવી ગયા. પુસ્તકમેળામાં ફરવાનું હજુ પણ થાય છે. છતાં ઓછી કિંમતનાં જૂનાં પુસ્તકો મળતાં બંધ થઇ ગયાં છે. (જૂનાં પુસ્તકો પર પ્રકાશકો નવા ભાવની ચબરખી લગાડી દે છે.) આ પુસ્તિકામાં ઘણી સંસ્થાઓનાં પુસ્તકોની જૂની આવૃત્તિ મૂળ કિંમતે ઉપલબ્ધ જોઇને આનંદ થયો- અને વધુ આનંદ એ વાતે થયો કે જયંતભાઇએ પણ આ બાબતની ખાસ નોંધ લીધી છે. એવાં કેટલાંક પુસ્તકો

રાસમાળા (ભાગ 2) – અલેક્ઝાંડર કિ. ફાર્બસ, અનુવાદઃ રણછોડભાઇ ઉદયરામ- કિંમત રૂ. 50
(ફાર્બસ ગુજરાતી સભા, શ્રી કીર્તન કેન્દ્ર, ઉત્પલ સંઘવી સ્કૂલ સામે, સંત જ્ઞાનેશ્વર માર્ગ, મુંબઇ 400049)

નરસિંહરાવની રોજનીશી- નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા- કિંમત રૂ. 18
કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તક-સંગ્રહની સૂચિ
- હીરાલાલ પારેખ- કિંમત રૂ. 5
(ગુજરાત વિદ્યાસભા, પ્રેમાભાઇ હોલ, ભદ્ર, અમદાવાદ-380001)

પુરાતત્ત્વ અને રામાયણ – હસમુખ સાંકળિયા – કિંમત રૂ. 14
યુગાનુસાર અમદાવાદ (અમદાવાદનો ટૂંકો ઇતિહાસ)
– રમણલાલ મહેતા, રસેશ જમીનદાર – કિંમત રૂ. 20
(ગુજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ, 380014)

પુસ્તકોની યાદી ઉપરાંત નિરંજન ભગત અને દીપક મહેતાના લેખો, ઝવેરચંદ મેઘાણી સહિત બીજા લેખકોના ગદ્યાંશ, અવતરણોથી સમૃદ્ધ આ પુસ્તિકા મેળવવા ઇચ્છતા મિત્રો જયંતભાઇનો સંપર્ક કરી શકે છે. આ સૂચિ ઇ-મેઇલથી પણ ઉપલબ્ધ છે.


પ્રસાર
સંચાલન – નીરજ મેઘાણી, જયંત મેઘાણી
1888, આતાભાઇ એવન્યૂ, ભાવનગર 364002
ફોન – 91-278-2568452
ઇ-મેઇલ – prasarak@dataone.in

તા.ક. જયંતભાઇની સૂચિએ ઉશ્કેર્યા પછી આજે જ પ્રેમાભાઇ હોલમાં આવેલી વિદ્યાસભાની ઓફિસે ગયો. તેની મુલાકાત વિશે અને ત્યાં થયેલા સુખદ અનુભવ વિશે અલગ પોસ્ટ લખીશ. પણ રસિકોને જણાવવાનું કે સ્થળસંકોચને કારણે ‘પ્રસાર’ની સૂચિમાં સ્થાન ન પામ્યાં હોય એવાં ઘણાં જૂનાં પુસ્તકો જૂના ભાવે તમારી રાહ જુએ છે. કેટલાક પુસ્તકોના ભાવ સૂચિમાં જણાવ્યા કરતાં થોડા સુધારેલા છે, પણ એ ફરક પાંચ-પચીસનો છે, સો-બસોનો નહીં. (મારાં ખરીદેલાં પુસ્તકો બંધાઇ ગયાં હોવાથી અને બિલમાં પુસ્તકોની કિંમત સિવાયની બીજી વિગત નહીં હોવાથી એ યાદી ફરી ક્યારેક :-)

No comments:

Post a Comment