Tuesday, September 28, 2021

ખાડાનું અધ્યાત્મ

ભારત આધ્યાત્મિક દેશ છે. કમ સે કમ પશ્ચિમી દેશોમાં ઘણા લોકો એવું માને છે. પશ્ચિમવાળા ટીકા ન કરે ત્યાં સુધી, તે લોકો આપણા વિશે જે કંઈ માને તે આપણને બહુ ગમતું હોય છે. કેટલાક લોકો માને છે કે ભારતમાં અધ્યાત્મ—એટલે કે તેનું બજાર—ખાડે ગયું છે. પરંતુ ખાડા અધ્યાત્મે ગયા છે કે નહીં? તે પણ ચર્ચવા જેવું છે. તેના માટે પાયાનો સવાલ એ છે કે આધ્યાત્મિક એટલે શું?

ભારતીય અધ્યાત્મના જેટલા શેડ છે, એટલા તો કોઈ રંગની કંપનીના શેડકાર્ડમાં પણ નહીં હોય. તેમાંથી કયા શેડનું અધ્યાત્મ સાચું? આ સવાલના જવાબથી અધ્યાત્મની શરૂઆત થાય છે. કારણ કે ખરો આધ્યાત્મિક જણ કહેશે, ’કયું સાચું ને કયું ખોટું, એ નક્કી કરનારો હું કોણ? જેને જે સાચું લાગે તે સાચું.’ આવા ઉચ્ચ વલણને કારણે, નામીચા બદમાશ અને ગુંડા પુરવાર થઈ ચૂકેલા કથિત ધાર્મિક-આધ્યાત્મિક નેતાઓનો પણ વિશાળ અનુયાયી વર્ગ હોય છે.

કેટલાક ઉત્સાહીઓ પોતપોતાના ધર્મ વિશે કહેતા ફરે છે, ’અમારો ધર્મ એ કંઈ નકરો ધર્મ નથી. એ તો જીવન જીવવાની રીત છે.’ મતલબ, ધર્મ અને અધ્યાત્મ જીવનની દરેક બાબતમાં લાગુ પાડી શકાય—અને જો એમ જ હોય તો પછી રસ્તા પર પડતા ખાડાની ચર્ચામાં પણ તેને કેમ ન સાંકળી શકાય? અધ્યાત્મમાં કહ્યું છે કે કોઈ પણ કર્મ થાય, એ સાથે જ તેનું કર્મફળ પેદા થાય છે. એ રીતે જોતાં, ખાડાને રસ્તાનું કર્મફળ ગણી શકાય. જેમ જન્મ એ મૃત્યુનું કારણ છે, તેમ નવા રોડ બનવા એ ખાડા પડવાનું મૂળ કારણ છે. પાકો રસ્તો જ ન હોત અને આખો રસ્તો ખાડાખૈયાવાળો હોત, તો ‘ખાડો પડ્યો’ એવું કોણ કહી શકત? એવા સંજોગોમાં રસ્તા પરનો ખાડો પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત ગણાત—અનાદિ કાળથી પડેલો અને અનંત કાળ સુધી રહેનારો. તેમાં કશો ફેરફાર કરવો—એટલે કે પાકો રસ્તો બનાવવો—એ સૃષ્ટિના ક્રમમાં, અથવા ચિંતનખોરો કહે છે તેમ કૉસ્મિક લયમાં, ભંગ પાડવા જેવું ગણાત.

સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે કંઈ ડામરના કે આરસીસીના રસ્તા હતા? કદી સાંભળ્યું કે તોફાને ચડેલાં ડાયનોસોરોએ દોઢ-બે કિલોમીટરનો પાકો રસ્તો તેમનાં શીંગડાં-ભીંગડાંથી તહસનહસ નાખ્યો? ક્યારેય એવું વાંચવામાં આવ્યું કે પૃથ્વી પર એક લઘુગ્રહ ખાબકતાં દસ કિલોમીટરના વ્યાસમાં આવેલા બધા પાકા રોડ ખાડામાં ફેરવાઈ ગયા? પૃથ્વીનું સૌથી પ્રાકૃત કહો કે પ્રાકૃતિક, તે સ્વરૂપ ખાડાવાળું છે. રસ્તા તો ‘સુધારા’નું પરિણામ છે અને રસ્તા પર પડેલા ખાડા વિશે ફરિયાદ કરવી, એ દુષ્ટ સુધારાવાળાઓનું લક્ષણ છે. આવું ભદ્રંભદ્રે પહેલાં ભલે ન કહ્યું, પણ તે અત્યારે વિદ્યમાન હોત તો જરૂર કહેત.

ખાણીપીણીથી માંડીને સૌંદર્યલક્ષી ચીજવસ્તુઓની બાબતમાં ઘણા લોકો ‘ઑર્ગેનિક’નો આગ્રહ રાખતા હોય છે, એટલે કે, જેમાં કશી અકુદરતી-રાસાયણિક પદાર્થોની ભેળસેળ ન હોય. એ દૃષ્ટિએ જોતાં, થોડું સાહસ એકઠું કરીને કહી શકાય કે ખાડા એ રસ્તાનું ઑર્ગેનિક સ્વરૂપ છે. ઑર્ગેનિક ચીજવસ્તુઓના પ્રેમીઓને આ વાત સૈદ્ધાંતિક રીતે તરત સમજાઈ જશે. જોકે, સિદ્ધાંત સમજ્યા પછી પણ, તેનો જાહેરમાં ખુલ્લા મને સ્વીકાર કરવો-રસ્તાની ‘ઑર્ગેનિક અવસ્થા’ વિશે ફરિયાદ-તકરાર ન કરવી, એ સાવ અલગ બાબત છે. તેના માટે ઉપદેશ અને આચરણ વચ્ચેની એકરૂપતા જેવા, કહેવાતી આધ્યાત્મિક પરંપરામાંથી લગભગ ગાયબ એવા ગુણની જરૂર પડે. તે ગુણની ગેરહાજરીને કારણે દેશની સરેરાશ જનતા અધ્યાત્મવાદી હોવા છતાં અને સંભવતઃ રસ્તા પરના ખાડાનો આધ્યાત્મિક, પૌરાણિક મહિમા સમજતી હોવા છતાં, તેમના વિશે કકળાટ કરી શકે છે. જેમ જેમ માણસની ભૂમિકા ઉચ્ચ થતી જાય અને તે ‘ભક્ત’, ‘પરમ ભક્ત’ જેવાં પગથિયાં ચડતો જાય, તેમ તેને રસ્તાના ખાડામાં આધ્યાત્મિક સંદેશ અને ‘બૅક ટુ નેચર—કુદરત ભણી પાછા વળો’નું આહ્વાન દેખાતું થાય છે. ત્યાર પછી તે ખાડાને તિરસ્કારથી નહીં, કુદરતની લીલા અને પૃથ્વીના આદિ સ્વરૂપ તરીકે જોવાનું શરૂ કરે છે.

કેટલાક અસંતુષ્ટો એવી ફરિયાદ કરે છે કે સરકાર રોડનું બરાબર ધ્યાન રાખતી નથી. બધા જાણે છે કે આ વાત સદંતર ખોટી છે. હકીકતમાં દર વર્ષે સરકારો એકથી વધારે વાર રસ્તા પરના ખાડાનાં સમારકામના લાખો-કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કાઢે છે અને દર વર્ષે નિયમિત રીતે ખાડા પુરાવે છે. ‘સરકાર દર વર્ષે રસ્તાનો જીર્ણોદ્ધાર કરાવે છે કે ખાડાનો?’ એવો સવાલ પણ કંઈક ભાળી ગયેલા જીવોને થઈ શકે છે.

પરંતુ સરકારની આધ્યાત્મિક વૃત્તિ સતેજ છે અને નાગરિકોની આધ્યાત્મિક વૃત્તિની ચિંતા પણ તેના હૈયે વસેલી હોય છે. એટલે ખાડા જેવી આધ્યાત્મિક ઘટનાથી નાગરિકોને વંચિત રાખવાનું પાપ તે વહોરતી નથી. તેના બદલામાં ખાડા પુરવાના અને તેમની ઉપર નવા રસ્તાનું આવરણ કરાવવાના કામમાં કરોડો રૂપિયા ખર્ચવાનું અને લોકનિંદા વેઠવાનું તેને મંજૂર છે. આ કામ કરાવતી વખતે ખર્ચાયેલા રૂપિયાના અભિમાનમાં સરકારો ખાડાની મહત્તા અવગણતી નથી અને એટલી સાવધાની રાખે છે કે બે-ચાર વરસાદી ઝાપટાંમાં ખાડાખૈયાવાળા રોડ પર બનાવેલું નવું આવરણ ઉખડી જાય અને રસ્તો ફરી તેના અસલ, ઑર્ગેનિક સ્વરૂપે આવી જાય એટલે કે તેની પર ઠેરઠેર ઠેકઠેકાણે ખાડા ખીલી ઉઠે.

Tuesday, September 21, 2021

રાજીનામું આપવાની કળા

લેખનું શીર્ષક ખરેખર તો ‘રાજીનામું અપાવવાની કળા’ એવું હોય તો લોકોને વધારે રસ પડે. પણ હકીકત એ છે કે રાજીનામું અપાવવામાં કોઈ કળાની જરૂર હોતી નથી. એમાં તો, આંખ કાઢીને એક લીટીમાં કહી દેવાય તો પણ કામ થઈ જાય. પછી બાકીના પુસ્તકમાં લખવાનું શું? રાજીનામું અપાવનારને જાહેરમાં કેવો મહાન કહેવો પડે છે અને તેના વિશેનો સાચો અભિપ્રાય કેમ ખાનગી રાખવો પડે છે, તેની મજબૂરીભરી મૂંઝવણ?

કળા જેવી કળા જેને કહેવાય એ તો છે રાજીનામું આપવાની કળા. જાણતલો કહેશે કે ઘણા સમયથી આજ્ઞાંકિતતાનો મહાસાગર બની રહેલા લોકોને છેલ્લો કટોરો ઝેરનો પીવામાં એટલે કે રાજીનામું આપવામાં શી તકલીફ પડે? તેમને તો ‘લાઈ હયાત આયે, કઝા લે ચલી ચલે/ અપની ખુશી ન આયે, ન અપની ખુશી ચલે’—એ શેર પ્રમાણે, પોતાની ઇચ્છાથી આવવાનું નથી હોતું ને પોતાની ઇચ્છાથી જવાનું પણ નથી હોતું. તો પછી હાયહાય શાની ને એવા કામમાં કળા પણ કેવી?

વાસ્તવમાં સાવ એવું નથી. લોકો ગમે તે માને, નેતાઓ, સત્તાધીશો—ખાસ કરીને રાજીનામું આપનારા-- આખરે માણસ હોય છે. ચેનલોનાં માઇકની સામે પક્ષની શિસ્ત અને સંગઠનની શક્તિની ચ્યુંઇંગ ગમો ચાવ્યા પછી તેમનું પણ મોં દુખી જાય છે અને થાક લાગે છે. એ વખતે મોં હસતું રાખવા માટે અને હૃદયભંગથી બચવા માટે પણ રાજીનામું આપવાની કળા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આર્ટ ઑફ લિવિંગના વર્ગો ચાલતા હોય, તો આર્ટ ઑફ રિઝાઇનિંગના ક્લાસ, ભલે મર્યાદિત વિદ્યાર્થીઓ માટે, ભલે કોઈ પણ વયજૂથના લોકો માટે, ભલે ખાનગી રાહે, પણ કેમ નહીં?

વિવેચકો અને ઝીણું કાંતનારા પૂછશેઃ રાજીનામું આપવાની કળા એ ‘કળા ખાતર કળા’ છે કે ‘જીવન ખાતર કળા’? તે પાશ્ચાત્ય પ્રભાવથી પ્રેરિત છે કે ભારતીય સંસ્કૃતિથી? પહેલા સવાલનો જવાબ સ્પષ્ટ છેઃ આ જીવન ખાતર, વધુ ચોખવટથી કહીએ તો રાજકીય જીવન ટકાવી રાખવા ખાતરની કળા છે. રાજીનામું આપ્યા પછી સત્તા અને પદ તો જતાં રહે છે, પણ ત્યાર પછીનું જીવન સાવ રાજકીય વનવાસમાં ન જાય રાજીનામા પછી પણ રાજકીય જીવન શેષ રહે, તેના માટે સૂચના મળ્યે રાજીનામું ધરી દેવું જરૂરી છે. તેના આધારે ભવિષ્યમાં બીજા કોઈ હોદ્દાની સંભાવના રહે છે. પરંતુ ઉપરથી કહેવા છતાં રાજીનામું આપવાનો ઇન્કાર કરવાનો તો ઠીક, તે માટેનાં કારણ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવે, તો તે ગેરશિસ્ત લેખાઈ શકે છે. ત્યાર પછી અડવાણીની જેમ અનંત પ્રતિક્ષા પ્રાપ્ત થાય છે. રાજીનામું આપવાની કળા આવડતી હોય તો ગાલ લાલ રાખી શકાય છે અને તે લાલીને તમાચાની અસર નહીં, પણ તંદુરસ્તીનું પ્રતીક ગણાવી શકાય છે. પાળીતાઓ આવા ફરજિયાત આપવા પડેલા રાજીનામાને પણ નૈતિક જીત કે એવું કશું નામ આપીને, પીછેહઠને આગેકૂચ તરીકે વર્ણવી શકે છે.

રહી વાત પ્રભાવને લગતા સવાલની. તો પાશ્ચાત્ય વડાઓ ભલે પોતાની માલિકીની કંપનીઓમાંથી વેળાસર નિવૃત્ત થઈ જતા હોય, પણ એ પરંપરાનાં મૂળ વાનપ્રસ્થાશ્રમની પરંપરામાં રહેલાં છે. રાજીનામું આપીને, દૂરના ભવિષ્યમાં ફરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની આશા જીવતી રાખીને, કામચલાઉ વાનપ્રસ્થમાં જવાનું પગલું ભારતીય પરંપરાને પણ શોભાવનારું છે. આમ, શિસ્તની શિસ્ત, સંસ્કૃતિની સંસ્કૃતિ ને ઉજળી સંભાવનાઓ—આવા ત્રિવિધ ફાયદા રાજીનામું આપવાની કળા દ્વારા મેળવી શકાય છે.

કેટલીક વાર માણસને રાજીનામું લખવાની તક સુદ્ધાં મળતી નથી. રાજીનામું આપવાની કળા ત્યારે પણ ઉપયોગી નીવડે છે. તેના પ્રતાપે ત્યાગ, વિરક્તી, વૈરાગ્ય, નિઃસ્વાર્થ સેવા, સમર્પણ, વફાદારી, કર્મણ્યેવાધિકારસ્તે... વગેરે શબ્દો સાથેની વાતો કરીને પોતાની ઉચ્ચ નૈતિક ભૂમિકા દર્શાવી શકાય છે. તેમના પગ નીચેથી જાજમ ખેંચાઈ ગઈ હોવાને કારણે શારીરિક ભૂમિકા તો અમસ્તી પણ, જમીન પરથી ઉછળીને પટકાતાં પહેલાં હોય એવી ‘ઉચ્ચ’ જ હોય છે.

કેટલાક લોકો એવા હોય છે, જે બીજા પાસેથી રાજીનામું લઈ લેવા અંગે ઉત્સાહી હોય અને રાજીનામું આપવાની પવિત્ર ચેષ્ટાનું પુણ્ય હંમેશાં બીજા કમાય એવું જ ઇચ્છતા હોય છે. તે પોતે કદી રાજીનામું આપતા નથી. એટલું જ નહીં, તેમણે રાજીનામું આપવું જોઈએ એવો વિચાર સુદ્ધાં જેના મનમાં આવતો જણાય, તેનું રાજીનામું તે પહેલી તકે પડાવી લે છે. પહેલાંના સમયમાં નેતાઓનું એટલું વજન રહેતું કે નેતાઓ રાજીનામાની ધમકી આપીને ધાર્યું કામ કઢાવી શકતા હતા. એ વખતે, સ્વીકાર ન થાય એવી રીતે રાજીનામું આપવાની કળાની બોલબાલા હતી. પરંતુ ઘણા સમયથી એ કળાનાં વળતાં પાણી છે.

હવે તો સત્તાધારી પક્ષના બે સિવાયના નેતાઓને હંમેશાં ટેન્શન રહેતું હશે કે ગમે ત્યારે તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં ન આવે. સત્તાધારી પક્ષનો હાઇકમાન્ડ જે રીતે રાજ્યોના મુખ્ય મંત્રીઓનાં રાજીનામાં માગી લે છે તે જોતાં, સરકારમાં ક્યાંક એક નવું રાજીનામા મંત્રાલય ઊભું કરવું પડે તો પણ નવાઈ નહીં. એ મંત્રાલયના મંત્રી પોતે દાખલો બેસાડવા માટે દર મહિને રાજીનામું આપે અને નવા નેતાને એ મંત્રીપદની તક આપે. એવું થાય તો રાજીનામા સાથે સંકળાયેલો ખોફનો માહોલ હળવો થશે અને ભારતીય પ્રજા જેમ પેટ્રોલના તોતિંગ ભાવવધારા સાથે જીવતાં શીખી ગઈ, તેમ નેતાઓ રાજીનામા માગી લેતા હાઇકમાન્ડ સાથે હસીખુશીથી જીવતાં શીખી જશે. એ જ તો છે જીવન જીવવાની ખરી કળા.

Monday, September 06, 2021

સ્મારકોનું નવનિર્માણ

સરકારો અને શાસકો ઇચ્છે કે ન ઇચ્છે, ઇતિહાસ થવાનું તેમના લમણે લખાયેલું હોય છે. શાસકો તે બરાબર જાણતા હોય છે. એટલે તેમનો પ્રયાસ ઇતિહાસની નહીં, પણ પોતાની મરજી પ્રમાણે પોતાનું પ્રકરણ લખીને જવાનો હોય છે. વર્તમાન શાસકો આ બાબતમાં એકદમ આત્મનિર્ભર છે. એટલે તે પોતાનો જ નહીં, પહેલેથી લખાઈ ચૂકેલો ઇતિહાસ પણ પોતાની મરજી પ્રમાણે ફરી લખવા તલપાપડ હોય છે. ગયા સપ્તાહે થયેલું જલિયાંવાલા બાગ સ્મારકનું નવનિર્માણ તેમની એ તલપાપડગીરીનો વધુ એક નમૂનો છે.

વર્તમાન શાસકોને ન્યાય ખાતર કહેવું જોઈએ કે આ વૃત્તિ નાના પાયે શાસિતોમાં-લોકોમાં પણ રહી છે. ઐતિહાસિક સ્થળો, સ્થાપત્યો, ઇમારતો જેવાં સદીઓ જૂનાં સ્થળોએ કે ઇમારતો પર, હાલમાં કોણ કોને પ્રેમ કરે છે, તેને લગતાં લખાણ લખવાં એ આપણી પ્રજાકીય ખાસિયત રહી છે. તેની પાછળનો પવિત્ર આશય પોતાના પ્રેમને ઇતિહાસમાં અમર કરી દેવાનો જ હશે, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્મારકોમાં સામાન્ય લોકો આવું કરે તો તેનાથી સ્મારકને નુકસાન થયું ગણાય. પણ કાયદો બનાવનારા શાસકો પોતે આવું કરે તો તે સ્મારકોનું નવનિર્માણ કહેવાય. વર્તમાન શાસકોની સ્મારક-નવનિર્માણ પદ્ધતિ એવી છે કે તેમના દ્વારા ‘વિકાસ પામેલાં’ સ્મારકોને મનની આંખથી જોતાં ‘આઇ લવ આઇ’ અથવા ‘મોદી લવ્ઝ મોદી’ લખેલું તરત વંચાઈ જાય. મામલો તો આખરે ઇતિહાસમાં અમરત્વ મેળવવાનો છે. તે પોતાની કામગીરીથી ન મળે તો કોઈની કામગીરી પર પોતાનાં લેબલ મારીને પણ હાંસલ કરી લેવું.

નવાં સ્મારક બનાવવાં અને જૂનાં સ્મારકોને જાળવી રાખવાં એ કળા છે. શાસકોને તે કળા આવડવી જરૂરી નથી. તેમનું કામ આવી કળા આવડતી હોય તેવા લોકોને કામ સોંપવામાં છે. વર્તમાન સરકારમાં આવા લોકો નક્કી છે. એટલે આવાં સ્મારકોની જાળવણીનું કે નવા બાંધકામનું કોઈ પણ કામ નીકળે તો તેના આર્કિટેક્ટ કોણ હશે અને કઈ એજન્સી તે સ્મારકનું ઇતિહાસનું, સુશોભનનું તેમ જ ઇતિહાસના અનુકૂળ સુશોભનનું કામ કરતી હશે, એની ધારણા સહેલાઈથી કરી શકાય અને મોટે ભાગે તે ધારણા ખોટી ન પડે. કોઈ તેને મળતીયાઓને લાભાન્વિત કરવાની નીતિ કહી શકે, તો કોઈ સાતત્ય પણ કહી શકે. પરંતુ અંતે નવનિર્મિત સ્મારકની જે દશા થાય છે તે જોતાં એટલું ચોક્કસ સમજાય છે કે ઘણાં નવનિર્માણ ખંડન કે તોડફોડ કરતાં પણ વધારે ખતરનાક હોય છે. કારણ કે તેમાં જૂના સ્મારકની ગરીમાનું-ઐતિહાસિકતાનું-વાતાવરણનું પૂરેપૂરું ખંડન થઈ ગયું હોવા છતાં, તે કહેવાય છે નવનિર્માણ. તેને ‘ખંડન’ તરીકે ઓળખાવનારા સરકારવિરોધી અને એવાં બીજાં વિશેષણો મેળવે છે.

ઘણાંખરાં રેસ્તોરાંની પંજાબી સબ્જી માટે કહેવાય છે કે તેમાં રસો તો એકસરખો જ હોય છે, ફક્ત ઉમેરણ બદલાય છે. વર્તમાન સરકારના નવનિર્માણ પ્રોજેક્ટોનો મામલો પણ કંઈક એવો જ લાગે છે. સ્થળ ગમે તે હોય, પણ તેનું નવનિર્માણ કરવાની કે નવા સ્મારકનું નિર્માણ કરવાની તેની પદ્ધતિ એવી છે કે મુલાકાતી પર સ્મારક કરતા સ્મારકના નવનિર્માણની અને તે પ્રોજેક્ટનો હુકમ આપનાર શાસકની અસર વધારે પડે. જેમ કે, ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’ના પ્રવાસે ગયેલા લોકો પાછા ફરીને બગીચાની, લાઇનોની, તોતિંગપણાની, રેલવે સ્ટેશનની, સ્પેશિયલ ટ્રેનોની, ભૌતિક સુવિધાઓની કે તેમાં પડતી મુશ્કેલીઓની વાત કરશે. સરદાર પટેલના જીવનકાર્ય વિશે ભાગ્યે જ કોઈના મોઢેથી કશું સાંભળવા મળશે. એ છે અસલી ટૅક્નિક, જેમાં સરદારના નામે સ્મારક થઈ ગયું, પણ જયજયકાર જેનું સ્મારક છે તેના કરતાં ઘણો વધારે જેણે સ્મારક બનાવ્યું, તેનો થાય. આ થઈ નવા નિર્માણની વાત. જૂની જગ્યાના નવનિર્માણમાં ‘સરદાર પટેલ સ્ટેડિયમ’નું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ થઈ જાય અને સરદાર પટેલનું નામ આખા રમતગમત સંકુલને આપી દેવામાં આવે. ભક્તો તેને સરદાર પટેલનું પ્રમોશન સાથેનું બહુમાન ભલે ગણાવે, પણ જેમણે સમજ ગીરવે નથી મુકી એવા લોકોને તરત સમજાઈ જાય કે આ તો સિનિયર નેતાઓને માર્ગદર્શક મંડળમાં મુકવા જેવું પ્રમોશન છે.

વર્તમાન સરકારનું સ્મારક નવનિર્માણ તંત્ર બીજી રીતે પણ પંજાબી સબ્જી જેવું છે. નવનિર્માણની તેમની વ્યાખ્યામાં અઢળક ખર્ચ, ટૅક્નોલોજિનો ઔચિત્યભાન વગરનો ઉપયોગ, સ્મારકનો આત્મા હણી નાખે એવી ચકાચૌંધ અને ભવ્યતા, લેસર શો-લાઇટિંગ...ટૂંકમાં ઐતિહાસિક સ્થળને પિકનિક માટેના સ્થળના દરજ્જે ઉતારી દેવું અને ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી લોકો ઇતિહાસને બહુ અડે નહીં અને અડે તો પણ માત્ર સરકારને અનુકૂળ થાય એવા ઇતિહાસના ટુકડાને જ. સબ્જીની જેમ સ્મારક ગમે તે વ્યક્તિ કે બાબતનું હોય, નવનિર્માણની રીત તો આ જ.

તૂટેલાં કપ-કીટલી-કાચનાં વાસણમાં ફૂલછોડ ઉગાડનારાને આખા કપ-કીટલી-વાસણો જોયા પછી એવો વિચાર આવી જાય છે કે તેને તોડી નાખીએ તો સરસ પૉટ થઈ શકે. વર્તમાન સરકારની સ્મારકો વિશની મનોદશા કંઈક એવી જ છે. જ્યાં જીવનનો-આત્માનો સળવળાટ હોય તેવાં ઠેકાણાંને જોઈને પણ તેમને થતું હશે કે જૂનાને ખતમ કરી દઈએ, તો નવું સરસ બનાવી શકાય. ઔચિત્યનો વિચાર કર્યા વિના સરકાર સ્મારકોને જે રીતે બાહ્ય ઝાકઝમાળની જરીમાં ઝબકોળી રહી છે, તે જોતાં વર્તમાન શાસક અને સરકારને તેમનું અલાયદું સ્મારક બનાવવાની ભાગ્યે જ જરૂર પડે. તેમના દ્વારા નવનિર્મિત સ્મારકોમાં તેમનાં વિચારસરણીની-શાસનકાળની-કાર્યપદ્ધતિની-મથરાવટીની સાચી રજૂઆત થઈ ચૂકી છે.