Saturday, June 30, 2018

"આ બધું શું ચાલી રહ્યું છે એ સવાલ લોકોએ આઇટી સૅલને નહીં, પક્ષપ્રમુખને પૂછવો જોઈએ.” : ભાજપના આઇટી સૅલના સ્થાપક પ્રદ્યુત બોરા

(પિયશ્રી દાસગુપ્તા, ફીચર્સ અૅડિટર, હફિંગ્ટન પોસ્ટ, ૨૫-૬-૨૦૧૮ના અંગ્રેજી લેખનો અનુવાદ)

વર્ષ ૨૦૦૭. ઉત્તર પ્રદેશ. ભાજપના પ્રમુખ રાજનાથસિંઘ અને તેમના મિડીયા સહાયક પ્રદ્યુત બોરા કારમાં ચૂંટણીપ્રચાર માટે નીકળ્યા હતા. અચાનક રાજનાથ સિંઘે બોરાને પૂછ્યું, ‘ભાજપે એવું શું કરવું જોઈએ, જેનાથી તે બીજા પક્ષોની આગળ નીકળી જાય?’ ૩૩ વર્ષના બોરાને સવાલ સાંભળીને નવાઈ લાગી. પક્ષમાં જોડાયે તેમને હજુ ત્રણ વર્ષ પણ થયાં ન હતાં ને તે કોઈ રાજકીય પરિવારમાંથી પણ ન હતા. પરંતુ તેમણે તક ઝડપી લીધી. યાદ રહે. આ વાત ૨૦૦૭ની છે, જ્યારે ફેસબુક અને ટ્વિટર માંડ એક વર્ષ જૂનાં હતાં. ઇન્ફર્મેશન ટૅકનોલોજી ક્ષેત્રનો ઉદ્યોગ ધમધમી રહ્યો હતો અને બોરાને લાગ્યું કે એકેય રાજકીય પક્ષ પાસે એવી કોઈ વાત નથી, જે નવા મતદાર બનેલા યુવા વ્યાવસાયિકો આકર્ષી શકે.

આ સંવાદના થોડા મહિના પછી ભાજપના આઇટી સૅલનો જન્મ થયો. બોરા તેના રાષ્ટ્રીય સંયોજક હતા. એ વાતનાં અગીયાર વર્ષ પછી બોરા ગુરગાંવમાં ઑફિસ ધરાવતી ક્લીન એર ટૅકનોલોજીની કંપની ચલાવે છે અને કહે છે કે તેમના માનસસંતાન જેવો ભાજપનો આઇટી સૅલ ઓળખી પણ ન શકાય એ હદે બદલાઈ ચૂક્યો છે. 'એ ફ્રૅન્કેસ્ટાઇને સર્જેલા રાક્ષસ જેવો બની ગયો છે.’


તમે ભાજપમાં કેવી રીતે જોડાયા? 
હું મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું, તેમાં પહેલી પ્રાથમિકતા નોકરી મેળવવાની હોય. એટલે  વિદ્યાર્થી અવસ્થામાં મેં કદી રાજકારણમાં કે બીજી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો ન હતો. સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી હું સાહિત્ય ભણ્યો અને અમદાવાદની IIMમાંથી મેં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન મૅનેજમૅન્ટ કર્યું. પછી નોકરી કરી, પરણ્યો અને ૩૦ વર્ષનો થયો ત્યારે રાજકારણમાં જોડાયો.

રાજકારણમાં જોડાવાનું કેવળ તરંગથી દોરવાઈને થયું? 
હું મૅનેજમૅન્ટ કન્સૅલ્ટન્ટ હતો. કેવી રીતે બદલાવ આણવો તેની સલાહ કંપનીઓને આપતો હતો. મને થયું કે કંપનીઓને કેવી રીતે બદલાવું એ કહી શકતો હોઉં તો દેશને બદલવા માટે કામ કેમ ન કરવું? આમ તો એ ફલક વિસ્તારવાની જ વાત હતી. તમે ૩૦ વર્ષના હો ત્યારે દુનિયા બદલવાનું ને એવું બધું તમને શક્ય લાગતું હોય છે.

આ સપ્ટેમ્બર ૨૦૦૪ના અરસાની વાત છે, જ્યારે ભાજપે કેન્દ્રમાંથી તાજેતાજી સત્તા ગુમાવી હતી.
હું મિસ્ટર વાજપેયીનો મોટો પ્રશંસક હતો. એટલે મને થયું કે એ ફરી જીતવા જોઈએ અને તેના માટે મારે કંઈક કરવું જોઈએ. અલબત્ત, તેમની તબિયત આટલી ઝડપથી કથળી જશે તેનો અમને ખ્યાલ ન હતો. ગમે તે હોય, પણ એ ખ્યાલો અને આદર્શો સાથે હું ૨૦૦૪માં ભાજપમાં જોડાયો. ૨૦૦૭માં મેં આઇટી સૅલની સ્થાપના કરી. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીઓ વખતે મને એલ. કે. અડવાણીની કમ્યુનિકેશન ઑફિસની જવાબદારી સોંપાઈ.

(ભાજપમાં જોડાયા પછી તરત બોરાને દિલ્હી ભાજપના મિડીયા સૅલમાં અરુણ જેટલીના હાથ નીચે મુકવામાં આવ્યા. ત્યારે મિડીયા સૅલના સંયોજક સિદ્ધાર્થનાથ સિંઘ હતા, જેમને બોરા રીપોર્ટ કરતા હતા. રાજકારણમાં જોડાતાં પહેલાં બોરાએ દિલ્હીમાં સિનેમા ધરાવતા ડીટી ગ્રુપ સાથે કામ કર્યું હતું. તેમની પહેલી નોકરી સાહિત્યના પ્રતિષ્ઠિત સામયિક બિબ્લિઓમાં હતી, જે બોરા ગૌરવપૂર્વક સંભારે છે. ૨૦૦૭માં મિડીયા સૅલમાંથી બોરાને પસંદ કરીને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં રાજનાથ સિંઘના મિડીયા સહાયક તરીકે મૂકવામાં આવ્યા. એ વર્ષનો આખો જાન્યુઆરી બોરા રાજનાથસિંઘ સાથે ફર્યા. મે-જૂનમાં પક્ષે બે નવા સૅલની જાહેરાત કરી, જેમાં એક બોરાનો આઇટી સૅલ હતો અને બીજો  હતો કાઉ પ્રોટેક્શન સૅલ.)

આઇટી સૅલ શા માટે અસ્તિત્વમાં આવ્યો?
એક દિવસ અમે કારમાં કાનપુરથી લખનૌ જતા હતા, ત્યારે રાજનાથસિંઘે સાવ એમ જ પૂછ્યું, ‘તો પ્રદ્યુતજી, પક્ષમાં આપણે એવું શું કરવું જોઈએ, જે અત્યારે નથી થઈ રહ્યું?’

મારા દિમાગની બત્તી કેવી રીતે થઈ, મને યાદ નથી. પણ મેં કહ્યું, ‘સર, મૅનેજમૅન્ટના વિદ્યાર્થી તરીકે અમને હંમેશાં CRMતરફ ધ્યાન રાખવાનું શીખવવાનું આવતું હતું. CRM એટલે કસ્ટમર રીલેશનશીપ મૅનેજમેન્ટ. કોઈ વસ્તુ વેચી કાઢવાનું પૂરતું નથી. ત્યાર પછી પણ ગ્રાહક સાથેનો નાતો જળવાઈ રહેવો જોઈએ, જેથી તે ફરી એ વસ્તુ ખરીદવા આવે. કૉર્પોરેટ ક્ષેત્રમાં CRM હોય તો રાજકીય પક્ષોમાં VRM કેમ નહીં? વોટર રીલેશનશીપ મૅનેજમૅન્ટ.’

રાજનાથસિંઘે કહ્યું, 'આઇડીયા તો સારો છે. આપણે કરીએ. પણ એ કરવાનું કેવી રીતે?’
‘સર, પાર્ટીમાં પચીસ સૅલ છે. આપણે વધુ એક સૅલ બનાવીએ—આઇટી સૅલ.’
આઇટી સૅલ બન્યો, ત્યારે પક્ષમાંથી કેટલાક લોકો આવીને મને વધામણી આપી ગયા અને કહ્યું, ઇન્કમ ટેક્સ સૅલ ઉભો કરવા બદલ અભિનંદન.’

તમે આઇટી સૅલની શરૂઆત કરી ત્યારે તમે શું સિદ્ધ કરવા ઇચ્છતા હતા?
આ સોશ્યલ મિડીયા પહેલાંના જમાનાની વાત છે. સૅલનો પહેલો હેતુ પાર્ટીને સ્વયંસંચાલિત બનાવવાનો હતો. મતદારો સુધી પહોંચતાં પહેલાં પાર્ટીને સ્વયંસંચાલિત કરવી જરૂરી હતી. બીજો હેતુ મતદારો સુધી પહોંચવાનો અને ત્રીજો ઇન્ફર્મેશન ટૅકનોલોજીને લગતી નીતિવિષયક બાબતોમાં પક્ષને સલાહ આપવાનો હતો.

આઇટી સૅલ પક્ષને કેવી નીતિવિષયક બાબતોમાં સલાહ આપતો હતો?
ઘણી બધી બાબતોમાં. ૨૦૦૭માં બૅન્ડવિડ્થનો પડકાર બહુ મોટો હતો. ઇન્ટરનેટ સેવાઓના વિસ્તરણ અંગે મુખ્ય વિરોધપક્ષ તરીકે ભાજપની નીતિ શી હોવી જોઈએ? એ વખતે VoIP (વૉઇસ ઑવર ઇન્ટરનેટ પ્રોટોકૉલ)ની ચર્ચા હતી, જેનો અમલ થયો ન હતો. એ મુદ્દે ભાજપનું વલણ શું હોવું જોઈએ? મને યાદ છે ત્યાં સુધી અમે પંદર રાજ્યોમાં આઇટી સૅલ બનાવ્યા.

કેવા પ્રકારની આવડત ધરાવતા લોકોને આઇટી સૅલમાં ભરતી કરવામાં આવતા હતા?
મોટા બાગના લોકો આઇટી વિશે ઉત્સાહી અને તેમના કામમાં નિષ્ણાત હતા. તેમને પક્ષમાં પણ રસ હતો. એ વિશુદ્ધપણે ટૅકનોલોજીનો મામલો હતો. લોકોને ગાળો દેવાની અને ટ્રોલિંગ કરવાની વાત ત્યારે ન હતી.

તમારા કાર્યકાળ દરમિયાન આઇટી સૅલની મહત્ત્વની સિદ્ધિઓ?
મને લાગે છે કે ટૅકનોલોજીનો અમે જેવો ઉપયોગ કર્યો તેવો બીજો કોઈ ત્યારે કરતું ન હતું. કૉંગ્રેસતરફી ધરાવતાં પ્રસાર માધ્યમોએ પણ જાહેર કર્યું હતું કે ટૅક્નોલોજીના મામલે ભાજપ કૉંગ્રેસ કરતાં ઘણું આગળ છે. યુવાનોને આકર્ષવા માટે આઇટી વાપરવાના મામલે અમે બહુ સફળ રહ્યા. વર્ષ ૨૦૦૦ના દાયકાની શરૂઆતનાં વર્ષો આઇટીની ચઢતી કળાનાં હતાં. પહેલાં રાજકારણ વિશે ન કશો વિચાર ન કર્યો હોય એવા ઘણા લોકો એ દિશામાં વિચારી રહ્યા હતા. આઇટીમાં અમારો રસ અને યુવાનોને આકર્ષવા માટે આઇટીનો ઉપયોગ કરવાની અમારી રીતથી ઘણા યુવાનો ભાજપ સાથે સંકળાયા. પક્ષને સ્વયંસંચાલિત બનાવવાની બાબતમાં પણ અમારી કામગીરી સારી રહી.

(બોરાએ હફિંગ્ટન પોસ્ટ, ઇન્ડિયાને આપેલી આઇટી સૅલના લેખિત દસ્તાવેજની નકલની શરૂઆત જ 'જય વિજ્ઞાન'થી થાય છે. આગળ તેમાં એ સમજાવવામાં આવ્યું છે કે રાજકારણમાં ભલે વકીલોનો દબદબો રહ્યો હોય, પણ પક્ષે જોયું છે કે આઇટી ક્ષેત્રના લોકો પણ રાજકારણ તરફ ઢળી રહ્યા છે.

“આઇટી સૅલનો બીજો હેતુ આઇટી ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોને આકર્ષીને તેમને જાહેર ક્ષેત્રમાં કામ કરવા માટેનો મંચ પૂરો પાડવાનો છે. ભારતની સ્વતંત્રતાની ચળવળની આગેવાની પ્રૉફેશનલ્સે લીધી હતી, એ હકીકતમાંથી આઇટી સૅલે પ્રેરણા લીધી છે.” (દસ્તાવેજમાંથી)

દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણે, આઇટી સૅલનું કામ એવું માળખું ઊભું કરવાનું હશે, જેના થકી પક્ષના કાર્યકરો એકબીજા સુધી અને લોકો સુધી સહેલાઈથી પહોંચી શકે. તેણે આઇટી ક્ષેત્રના વ્યાવસાયિકોને વિવિધ મુદ્દે ચર્ચા માટે પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. એવા કેટલાક મુદ્દાઃ "ફક્ત ખાનગી નફાખોરી માટે નહીં, પણ વ્યાપક જનહિત માટે આઇટીનો કેવી રીતે ઉપયોગ થઈ શકે? સરકારી અને ખાનગી સેવાઓ વધુ સારી રીતે પૂરી પાડવામાં તે કેવી રીતે કામ લાગે? આવક રળી આપનારી પ્રવૃત્તિમાં તે શી રીતે મદદરૂપ બની શક? શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેની ખાઈ પુરવામાં તે શું કરી શકે?” (દસ્તાવેજમાંથી)

૨૦૦૯ની ચૂંટણીમાં ભાજપની હાર થયા પછી પક્ષપ્રમુખ તરીકે રાજનાથસિંઘની મુદત પૂરી થઈ. બોરા તેમના વતન આસામમાં પક્ષના જનરલ સેક્રેટરી તરીકે જતા રહ્યા. ત્યાં સુધીમાં આઇટી સૅલનો હવાલો અરવિંદ ગુપ્તાએ સંભાળ્યો હતો. એ નવા પ્રમુખ નીતિન ગડકરી દ્વારા નિમાયેલા હતા. ૨૦૧૫માં બોરાએ ભાજપને રામ રામ કરી દીધા અને આસામમાં નવો પક્ષ સ્થાપ્યોઃ લિબરલ ડૅમોક્રેટિક ફ્રન્ટ. તેમના પક્ષે આસામની ૧૪ બેઠકો પર ઉમેદવારી નોંધાવી અને એ બધે તેમના ઉમેદવારોની હાર થઈ. છતાં તે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે આયોજન કરી રહ્યા છે. )

આઇટી સૅલમાં તમે કેવો વારસો છોડી જવા ઇચ્છતા હતા?
મારો વારસો છે જ નહીં. તેનું તો શીર્ષાસન થઈ ગયું છે. કદાચ ખરાબ લાગે એવું ઉદાહરણ આપીને કહું તો, તમારા વારસાનું શું થયું, એવું મિસ્ટર વાજપેયીના કોઈ પૂછે તો? એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. સદ્નસીબે અમારી વખતે સોશ્યિલ મિડીયા ન હતું. એ ભારતમાં આવ્યું હતું ખરું, પણ એ વખતે લોકોએ તેને અપનાવ્યું ન હતું.

સોશ્યલ મિડીયાના અત્યારના રાક્ષસી સ્વરૂપની સંભાવના તમે વિચારી હતી?
કોઈએ તે વિચારી ન હતી. પણ અમે તેની અસરો અંગે બહુ ઉત્સાહી હતા. એ વખતે અમે તેનો તાગ મેળવી રહ્યા હતા ત્યારે તેમાં લોકશાહીકરણની શક્યતાઓ જ દેખાતી હતીઃ સામગ્રીનું લોકશાહીકરણ, જુદા જુદા અવાજોનું લોકશાહીકરણ, મર્યાદિત પહોંચને બદલે તેનું લોકશાહીકરણ, વૈવિધ્યપૂર્ણ વાસ્તવિકતાઓનાં નિરૂપણ-- ટૂંકમાં, બધું સુંદર સુંદર.

અમને લાગતું કે હવે બધાના હાથમાં મિડીયાની તાકાત આવી જશે અને બધા મિડીયામાલિકો બની જશે. તે અત્યારે જેવું છે, એવા સ્વરૂપની કલ્પના કોઈએ કરી ન હતી.

પક્ષે આઇટી સૅલને ધ્રુવીકરણના હથિયાર તરીકે વાપરવાનું શરૂ કર્યું, એવું તમને ક્યા€રથી લાગવા માંડ્યું?
મને લાગે છે કે ૨૦૧૪ના ચૂંટણીપ્રચાર વખતે. ૨૦૧૪ના ચૂંટણીપ્રચાર વખતે આઇટી સૅલ પર સંપૂર્ણ નિયંત્રણ ગાંધીનગરનું હતું અને તેનું સંચાલન સંપૂર્ણપણે ગાંધીનગરથી થતું હતું. મોદી ટીમ આઇટી સૅલ ચલાવતી હતી અને મારા મતે અનિષ્ટ (rot) ની શરૂઆત ત્યારથી થઈ. આઇટી સૅલના ઔપચારિક વડા હતા ખરા, પણ સૅલનાં તમામ સૂત્રો મોદી ટીમ પાસે હતાં. એટલે, ટીમ મોદીએ અનિષ્ટની શરૂઆત કરી.

અત્યારે તમે આઇટી સૅલ વિશે અને તેની પર થતા આરોપો વિશે વિચારો ત્યારે તમને કેવી લાગણી થાય છે?
તેમણે આઇટી સૅલની જે હાલત કરી છે તે જોવાનું પ્રસંગોપાત પીડાદાયક લાગે છે. પરંતુ હું તે વિશે નિર્લેપ રહેવાનો પ્રયાસ કરું છું. સંસ્થાઓ આવે ને જાય. હું આઇટી સૅલને એવી નાનકડી સંસ્થા તરીકે જોઉં છું, જેની સ્થાપના કરવાનો મને લહાવો મળ્યો.

પણ હવે એ નાનકડી સંસ્થા નથી. થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે ઉત્તર પ્રદેશમાં આઇટી સૅલમાં ભાજપ બે લાખ લોકોની ભરતી કરવા માગે છે. 
(હાસ્ય) તમારી પાસે રૂપિયા હોય, તો તમે કંઈ પણ કરી શકો. એ વખતે અમારી પાસે રૂપિયા ન હતા. હું આખી વાતને એ રીતે જોઉં છું કે મને નોકરી મળી. એ મેં સારી રીતે અને પ્રામાણિકતાથી કરી. હવે કોઈએ તેને (સૅલને) ભોંયભેગો કરી દીધો.

તમે એ પણ જાણો છો કે બીજું બધું બાજુ પર મૂકીને માત્ર આઇટી સૅલની વાત ન થઈ શકે. આઇટી સૅલ ભાજપના પ્રમુખના આદેશ પ્રમાણે કામ કરે છે. પ્રમુખ તમને દિશાનિર્દેશ કરે ને તમારે એ પ્રમાણે કામ કરવાનું.

મેં સૅલમાં કામ કર્યું ત્યારે અમે અમારો ચાર્ટર (હેતુપત્ર) બનાવ્યો અને રાજનાથસિંઘને બતાવ્યો. તેમણે એ મંજૂર રાખ્યો અને કહ્યું, 'બરાબર છે, આ કામ તમારું.’
માટે, આઇટી સૅલ જે કંઈ કરે છે તેનો આદેશ તેમના પ્રમુખ પાસેથી મળ્યો હશે.  એટલે આ બધું શું ચાલી રહ્યું છે એ સવાલ લોકોએ આઇટી સૅલને નહીં, પક્ષપ્રમુખને પૂછવો જોઈએ.

તમે ભાજપ કેમ છોડ્યો?
મિસ્ટર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારથી જ હું પક્ષ છોડવા ઇચ્છતો હતો.

તમને એવું કેમ લાગ્યું?
મને અસુખ લાગતું હતું. મને લાગે છે કે હું ઘણું જાણતો હતો. (એટલે) હું અસુખ અનુભવતો હતો. મને લાગતું હતું કે એ પસંદગી બરાબર નથી. પરંતુ મારા સાથીદારો કહેતા હતા કે જાહેર જીવનમાં દરેકને બીજી તક મળવી જોઈએ. એટલે મોદીને પણ મળવી જોઈએ.

તેમણે એમ પણ કહ્યું, ‘દિલ્હીમાં સંતુલનની ઘણી વ્યવસ્થાઓ છે. સર્વોચ્ચ અદાલત છે, પ્રસાર માધ્યમો વધારે આકરાં છે, સંસદ છે...એટલે અમને લાગે છે કે તે (મોદી) બદલાશે. તેમને બીજી તક આપવી જોઈએ.’
એ શાણપણભરી સલાહ હતી. એટલે મેં તક આપી અને રાહ જોઈએ. ફેબ્રુઆરી, ૨૦૧૫માં મેં રાજીનામું આપ્યું. મેં તેમને (મોદીને દસ મહિના આપ્યા. પછી જોયું કે બધું એનું એ જ થઈ રહ્યું હતું. એટલે મારી સમક્ષ રહેલો એકમાત્ર સન્માનજનક વિકલ્પ મેં લીધો અને પક્ષ છોડી દીધો.

(તમે કહ્યું કે બધું એનું એ જ થઈ રહ્યું હતું) 'એનું એ જ' એટલે શું, જરા સમજાવશો?
એનું એ જ એટલે ગુજરાતમાં જે થયું હતું એ. એક માણસ અને તેના અધિકારીઓ જ બધું ચલાવતા હોય. એ જ કેન્દ્રમાં પણ થવા લાગ્યું. હકીકતમાં એક માણસ દેશ ચલાવે છે અને બીજો એક માણસ પક્ષ ચલાવે છે. ફક્ત એક માણસ અને તેની ટોળકી આખો દેશ ચલાવે છે. પ્રસાર માધ્યમો, સમાજ અને વિરોધી સૂરો પણ ગુજરાતમાં થતી હતી એવી જ જાસુસી અને એવું જ દબાણ. ગુજરાતની માફક એક જ માણસ બધા નીતિવિષયક નિર્ણય લીધા કરે-- નોટબંધી, જીએસટી, આ ને તે. દસ મહિનામાં મને સમજાઈ ગયું કે સ્થિતિ બદલાવાની નથી.

તમે ૨૦૦૪માં ભાજપમાં જોડાયા. ત્યાર પહેલાં ૨૦૦૨માં ગુજરાતમાં રમખાણ થયાં હતાં અને તેનાથી પણ પહેલાં અડવાણી પર અશાંતિ સર્જવાનો આરોપ હતો, જેને કારણે આખરે બાબરી મસ્જિદને તોડી નાખવામાં આવી અને હુલ્લડો ફાટી નીકળ્યાં. તમે કહ્યું કે તમે દેશ માટે કંઈક કરવા ઇચ્છતા હતા. તો પક્ષના કોમી ઇતિહાસને તમે શી રીતે નજરઅંદાજ કર્યો?
મને નથી લાગતું કે આ હિંસા પાછળ કશો તર્ક હોય. ૨૦૦૨માં મને એ વાતનું બહુ ગૌરવ હતું કે વાજપીયે 'રાજધર્મ'ની વાત કરી અને મોદીના ભેદભાવપૂર્ણ રાજકારણ અંગે પોતાની અસંમતિ જાહેર કરી. (આરટીઆઇ દ્વારા મળેલા એક પત્ર થકી જાણવા મળે છે કે ભાગ્યે જ બને એવા ઘટનાક્રમમાં, અટલબિહારી વાજપેયીએ રમખાણો પછી મોદીને એક પત્ર લખ્યો હતો. તેમાં મુખ્ય મંત્રી તરીકેની તેમની ફરજની યાદ અપાવીને લખ્યું હતું કે તેમનું કામ ભેદભાવને હવા આપવાનું નથી.)

એ જુદી વાત છે કે પક્ષના આંતરિક રાજકારણને લીધે તે મોદીને મુખ્ય મંત્રીપદેથી કાઢી શક્યા નહીં. એ કાઢવા ઇચ્છતા હતા ખરા. ગોવાની ફ્લાઇટમાં બધા તેમની પર તૂટી પડ્યા અને એ કશું કરી શક્યા નહીં. તેમની આ લાચારી અંગે મારી તેમના પ્રત્યે સહાનુભૂતિ છે. એક તો, તે ૨૩ પક્ષોની બનેલી યુતિ સરકાર ચલાવી રહ્યા હતા. તેમની સ્થિતિ સંપૂર્ણ સત્તાધીશ તરીકેની ન હતી. પક્ષમાં પણ ખરી સત્તા અડવાણી પાસે હતી. મને લાગતું હતું કે તે (વાજપેયી) બદલાવ ઇચ્છી રહ્યા છે. પણ તે કશું કરી શકતા નથી. મારું ભાજપ પ્રત્યેનું આકર્ષણ ભાજપ કે આરએસએસને કારણે નહીં, મિસ્ટર વાજપેયીને લીધે હતું.

આઇટી સૅલની ગતિને તમે કેવી રીતે વર્ણવશો?
આઇટી સૅલની ગતિ (ટ્રૅજેક્ટરી) કંઈક અંશે 'સીમી' જેવી થઈ. 'સીમી' (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમૅન્ટ ઑફ ઇન્ડિયા)ની શરૂઆતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર તેના પહેલા પ્રમુખ અત્યારે અમેરિકામાં પ્રોફેસર છે અને 'સીમી' પર ભારતમાં પ્રતિબંધ છે. તેમણે 'સીમી'ની શરૂઆત જુદા હેતુથી કરી હતી. તે પછાત મુસ્લિમ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા ઇચ્છતા હતા. શિક્ષણની તાકાતથી આગળ વધવામાં તેમને મદદરૂપ થવાનો સીમીનો મૂળ આશય હતો.

પણ પછી તે પ્રતિબંધિત સંગઠન બન્યું. આઇટી સૅલ પણ બહુ જુદા હેતુથી શરૂ થયો હતો.  તે લોકોને ગાળો દેવા શરૂ નહોતો કરાયો. મને લાગે છે કે ૨૦૦૪માં જે લોકો પક્ષમાં જોડાયા તેમના કે ખુદ પક્ષના પણ એ વખતે એવા સંસ્કાર ન હતા. ભાજપ સંસ્કારી પક્ષ હતો. મતલબ, તેમાં કંઈક ઠેકાણું હતું, કંઈક સભ્યતા હતી. હવે તેણે બધી હદો વટાવી દીધી છે.

આઇટી સૅલના હાલના સ્વરૂપને કેવી રીતે ઠીક કરવું એ વિશે તમે કંઈ સલાહસૂચન આપશો?
જ્યાં સુધી તમે પક્ષપ્રમુખને ઠીક ન કરો, ત્યાં સુધી તમે આઇટી સૅલને સરખો ન કરી શકો.

Link of original articel
https://www.huffingtonpost.in/2018/06/22/its-like-frankensteins-monster-the-father-of-the-bjps-it-cell-says-team-modi-started-the-rot_a_23464587/

Sunday, June 24, 2018

બીજાની માલિકી ધરાવતું સ્ત્રીનું 'સર્વસ્વ'

સ્ત્રીના અધિકારોની, ખાસ કરીને શરીરને લગતા અધિકારની વાત કરતી કોઈ પણ કૃતિ ચર્ચાસ્પદ બને છે-- પછી તે ફિલ્મ હોય, નવલકથા હોય કે કવિતા. ‘આપણી સંસ્કૃતિ’માં સ્ત્રીને કેટલી મહાન- લગભગ દેવીસ્વરૂપ ગણવામાં આવી છે એની વાતો હોંશેહોંશે થાય છે ને તેની 'પવિત્રતા'ની છબીમાં ઘસરકો સરખો પડે, ત્યારે કકળાટ મચે છે. એ જ સમીકરણ પ્રમાણે, સ્ત્રી પર બળાત્કાર થાય ત્યારે તેનું 'સર્વસ્વ' લૂંટાઈ ગયું, એવું કહેવાય છે. તેમાં શરમ અને કલંકનો બધો ભાર સ્ત્રી પર આવે છે. છતાં, સમાજના બહુમતી વર્ગને તેમાં કશો વિરોધાભાસ લાગતો નથી. બળાત્કારની ચર્ચા વખતે માહોલ એવો ઉભો થાય છે, જાણે સ્ત્રીએ પોતાની કોઈ કિમતી ચીજને કાયમ માટે અને ભરપાઈ ન થઈ શકે એ રીતે ખોઈ નાખી.

બીજી તરફ, પુરુષો દ્વારા નાના છોકરાઓથી માંડીને યુવાનોના જાતીય શોષણના કિસ્સા વખતોવખત જાહેર થતા રહે છે. કેટલીક ખ્રિસ્તી ધર્મસંસ્થાઓમાં આવા શોષણ અને માફીનો સિલસિલો વિશ્વસ્તરે ગવાયેલો છે. કોઈ એક ધર્મને તેમાં અલગ પાડવાનો સવાલ નથી. કેમ કે, મુદ્દો ધર્મનો નહીં, પ્રાકૃતિક વૃત્તિના દમન અને બમણા વેગે તેના ઉછાળાનો વધારે હોય છે. પરંતુ આવા સમાચાર આવે ત્યારે કોઈ એમ નથી કહેતું કે એ ભાઈનું (પુરુષનું) સર્વસ્વ લૂંટાઈ ગયું. શારીરિક બળજબરી ને બળાત્કાર અત્યંત ગંભીર ગુના હોવાનું મુખ્ય કારણ એ છે કે તે વ્યક્તિના શરીર પર તેની પોતાની માલિકીના મૂળભૂત અધિકારનો હિંસક રીતે ભંગ કરે છે. આ સમજ પ્રમાણે જોતાં, ભોગ બનનાર સ્ત્રી હોય કે પુરુષ, ગુનો એકસરખો ગંભીર ગણાય.

પરંતુ આપણે જાણીએ છીએ કે પુરુષપ્રધાન સમાજની વાસ્તવિકતા જુદી છે. સ્ત્રી પર થતા બળાત્કાર કે શારીરિક અત્યાચારના કિસ્સામાં તથાકથિત સમાજને અડતો મુદ્દો સ્ત્રીના ગૌરવભંગનો કે તેના અધિકારભંગનો નથી. આખી ઘટનાને એ રીતે જોવા-તપાસવામાં આવે છે, જાણે સ્ત્રીએ ગુમાવેલી 'ચીજ' તેની પોતાની નહીં, પણ બીજા કોઈની (તેના પતિની) મહામૂલી અમાનત હતી અને સ્ત્રી તેનું રક્ષણ કરી શકી નહીં. સ્ત્રીને કેવા માનસિક ત્રાસમાંથી પસાર થવું પડ્યું તેની થોડીઘણી વાત થાય છે, પણ ઇજ્જત, આબરૂ, સર્વસ્વ જેવા ભારેખમ શબ્દો તેની સાથે જોડી દેવાથી આખરે શું સિદ્ધ થાય છે? એ જ કે સ્ત્રીની ઇજ્જત-આબરૂ-સર્વસ્વ તેના આખેઆખા વ્યક્તિત્વની બીજી કોઈ બાબત સાથે નહીં, ફક્ત તેના શરીર સાથે જ સંબંધિત છે. ખરાબ લાગે એવા, પણ સાચા શબ્દોમાં આ વાતનો અનુવાદ થાયઃ સ્ત્રી બરાબર એનું શરીર, બસ.

ગામડાની કે શહેરની, દેશી કે વિદેશી, ભણેલી હોય કે અભણ,--સ્ત્રી કોઈ પણ હોય, તે શરીરને પોતાનું સર્વસ્વ નહીં માનતી હોય. સિવાય કે એ પુરુષપ્રધાન સમાજના ચોકઠામાં બરાબર ગોઠવાઈને એવી જ માનસિકતા ધરાવતી બની ગઈ હોય. (હા, સ્ત્રીઓ પણ પુરુષપ્રધાન માનસિકતાવાળી હોઈ શકે છે.) પરંતુ સ્ત્રીઓ શરીરને બીજા કોઈની નહીં, પોતાની માલિકીનું ગણતી થઈ જાય, એ પુરુષસત્તાક માનસિકતાને શી રીતે પરવડે?

શરીર સ્ત્રીનું સર્વસ્વ છે એ માન્યતા પરાધીનતા પ્રેરનારી છે. તો પછી સ્ત્રીઓ આવી ગુલામીપૂર્ણ માનસિકતા ફગાવી ન દે તેના માટે શું કરવું?  તેના એક ઉપાય તરીકે સ્ત્રીની પવિત્રતાનો ખ્યાલ વહેતો મુકાયો હશે. બાકી, ઈશ્વરમાં માનતા લોકો માટે સ્ત્રી હોય કે પુરુષ, બંને ઈશ્વરનાં જ સંતાન ગણાય. તો પછી સ્ત્રી વધારે પવિત્ર એવું શી રીતે બને? પરંતુ સ્ત્રીઓ વિશે લખવાનું-બોલવાનું આવે ત્યારે તેમને પવિત્ર અને દેવીસમાન ગણાવ્યા કરવાની. એટલે ગુલામી ગૌરવમાં ખપી જાય. અને સ્ત્રીઓ સાથે વર્તન કરવાનું આવે ત્યારે તેમને માણસને બદલે ફક્ત શરીર તરીકે લેખવાની. જાણે, શરીર અને તે પણ જાતીયતા સિવાય સ્ત્રીની કશી હસ્તી જ નથી.  એ જ તેનું 'સર્વસ્વ' છે.

પુરુષસત્તાક સમાજમાં પુરુષો જેની પર માલિકીહક કરી શકે અને વખત આવ્યે જેને તાળાચાવીમાં પણ રાખી શકે, એ જ સ્ત્રીનું 'સર્વસ્વ'. એનો ભંગ થાય એટલે અત્યાચાર વેઠનારનું જે થવું હોય તે થાય, પણ 'માલિક' નારાજ થઈ જાય.  'માલિક'ને એ સ્ત્રી અપવિત્ર લાગવા માંડે. સ્ત્રી માટેની માલિકીનો આ ભાવ 'ખાનદાનકી ઇજ્જત' જેવા રૂપાળા શબ્દપ્રયોગો દ્વારા પણ વ્યક્ત થતો રહે છે.  એ જ કારણથી હુલ્લડો હોય કે યુદ્ધો, તેમાં સ્ત્રીઓને મહત્તમ વેઠવાનું આવે છે. આક્રમણકારીઓ કેવળ જાતીય હેતુ માટે નહીં, પણ સામેના પક્ષની કે દેશની મિલકત લૂંટવાના ઝનૂનથી સ્ત્રીઓ પર અત્યાચારો ગુજારે છે. એ વખતે તેમના માટે સ્ત્રી માણસ નથી હોતી, સામેના પક્ષની મિલકત હોય છે. અને એ એક બાબતે શત્રુપક્ષો પણ એકબીજા સાથે સંમત હોય છે.

સ્ત્રીશરીરને તેના પતિની માલિકીનું ગણવાના 'સંસ્કાર'ને આદર્શ લેખવામાં આવે છે. એટલે ભૂતકાળમાં જ્યારે પણ લગ્ન પછી પતિ દ્વારા થતા બળાત્કારનો મુદ્દો છેડાય, ત્યારે તેના ઝાઝા લેવાલ મળતા નથી. સ્ત્રીનાં કુટુંબીજનોથી માંડીને ઘણા કિસ્સામાં સ્ત્રી પોતે પણ એવું માની બેસે છે કે તેનું શરીર સંપૂર્ણપણે તેના પતિની માલિકીનું છે. વાસ્તવમાં શરીર પર બીજા કોઈની નહીં, તેમની માલિકી છે, એવું સ્ત્રીને કદી કહેવામાં આવતું નથી. 'પારકી થાપણ' જેવા કરુણમધુર શબ્દપ્રયોગોથી માંડીને બીજા અનેક શબ્દપ્રયોગો અને સતીત્વનો મહિમા કરતી પરંપરાઓ સ્ત્રીને એવું જ સૂચવે છે કે તેમણે ભાવિ પતિ માટે જાતને જાળવી રાખવાની છે-- લગ્ન પહેલાં પ્રતીક્ષામાં અને લગ્ન પછી ફરજપાલનમાં.

તો શું છોકરીઓએ સ્વચ્છંદ થઈ જવાનું? પોતાનું શરીર ગમે ત્યાં ફેંકતા ફરવાનું? ગમે તેની સાથે સંબંધો બાંધવાના?-- એવા સવાલ ઉગ્રતાપૂર્વક પૂછી શકાય. તેનો જવાબ બહુ સાદો છે. છોકરીઓને કેટલીક પાયાની બાબતો સમજાવવાનું ખાસ જરૂરી છેઃ તેમના શરીર પર તેમની માલિકીની છે. તેમનું શરીર કોઈની અમાનત નથી. તે પવિત્ર પણ નથી ને અપવિત્ર પણ નથી. તેમણે શરીરનું ધ્યાન બીજા કોઈના માટે નહીં, પોતાના ગૌરવ અને સ્વમાન માટે રાખવાનું છે. અને હા, શરીર તેમનું સર્વસ્વ તો નથી, નથી અને નથી જ. 

Thursday, June 21, 2018

મહેન્દ્ર મેેેેઘાણી @ 95

Mahendra Meghani / મહેન્દ્ર મેેેઘાણી ૯૫મી વર્ષગાંઠે 
મહેન્દ્ર મેઘાણી એટલે સંક્ષેપના માણસ. તેમનું ચાલે તો કવિતાના પણ સંક્ષેપ કરે. એક સમયે તેમનું માસિક 'મિલાપ' સામ્યવાદીઓના પ્રેસમાં છપાતું, એટલે ઘણા તેમને સામ્યવાદી ગણાવતા. (કોઈને સામ્યવાદી ગણાવવા માટે આમ તો કારણની પણ જરૂર નથી હોતી.) ગાંધી બિરાદરીમાં તો ખરા જ. મળવા જઈએ ત્યારે બર્મુડા જેવું કંઈક પહેરીને બેઠા હોય એ જોઈને, ઉપરનું ડીલ ઉઘાડું હોવા છતાં સહજતા-સ્વાભાવિકતાથી સૌ સાથે હળતામળતા ગાંધીજીની તસવીરો મનમાં ઝબકી જાય. મુક્ત હાસ્યમાં પ્રકાશ ન. શાહની સાથે મુકવા માટે તેમનાથી બાર-પંદર વર્ષ મોટા મહેન્દ્ર મેઘાણી સિવાય બીજું કોઈ નામ ગુજરાતના જાહેર જીવનમાંથી તરત સુઝે નહીં.

વિખ્યાત અને કેટલીક વાર તો કુખ્યાત એવા સંક્ષેપકાર જીવનના સાડા નવ દાયકા પછી પણ ખાસ્સા કડેધડે હોય એ પણ કુદરતની લીલા નથી? તેમના આવતા જન્મદિવસે આપણે હોઈશું કે નહીં એવી રમુજ યાદ આવે, એવી તેમની તંદુરસ્તી છે. આંખ-કાન સાબુત છે. મગજ તો ખરું જ.  દોઢ-બે દાયકાથી તેમનો પરિયચ અને છેલ્લાં થોડાં વર્ષોમાં તો વિશેષ. પણ એ બોલે ઓછું. એટલે ઉંમરસહજ (નહીં અટકવાના) ઘણા પ્રશ્નોમાંથી એ બચી ગયા હોય એમ લાગે છે. મહેન્દ્રભાઈનું હાસ્ય મોકળું ને અનેક અર્થો ધરાવતું છે. તેના બધા અર્થ ગુજરાતી લેક્સિકનમાં કે ભગવદ્ગોમંડળમાં પણ નહીં હોય. જીવનમાં અમુક શબ્દકોશો જાતે બનાવી લેવાના હોય છે--ખપજોગું ગાળી લેવાના અદાજમાં.

ગઈ કાલે મહેન્દ્રભાઈની ૯૫મી વર્ષગાંઠ હતી. આ વખતે છેલ્લાં પંદર વર્ષથી ઉનાળામાં અમેરિકા જતા રહેવાનો તેમનો સિલસિલો તૂટ્યો છે. એટલે તે અમદાવાદ તેમનાં પુત્રી મંજરીબહેનના ઘરે હતા. ત્યાં સાંજે દોઢેક કલાક બીજા કેટલાક મિત્રો-વડીલોની સાથે મહેન્દ્રભાઈ સાથે ગપ્પાંગોષ્ઠિ થઈ. મહેન્દ્રભાઈ જાહેર પ્રવચન કરતા નથી. કાર્યક્રમમાં જવું જ પડે એમ હોય ત્યારે કશુંક સારું વાંચે છે. વર્ષગાંઠના દિવસે તેમણે ઝવેરચંદ મેઘાણીના ચુનંદા પત્રોમાંથી કેટલુંક વાંચ્યું.
મહેન્દ્ર મેઘાણી : ૯૫મી વર્ષગાંઠે પિતા ઝવેરચંદ મેઘાણીના કેટલાક પત્રોનું વાચન
મેઘાણીના પત્રોના બે ભાગના દળદાર અને સમૃદ્ધ સંપાદનમાં પણ મેઘાણી જાણે ઠલવાઈ જતા લાગે. (આમ તો ઝવેરચંદ મેઘાણીનાં દરેક લખાણમાં તીવ્ર અનુભૂતિ અને ધસમસતી અભિવ્યક્તિ મૂળભૂત તત્ત્વ હોય છે.) વંચાયેલા પત્રોમાંના થોડા મહેન્દ્રભાઈ પર લખાયેલા પણ ખરા--અને તેમાં પ્રગટ થતા યુવાન, વિદ્રોહી, તોફાની મહેન્દ્રભાઈ વિશે પિતા ઝવેરચંદ મેઘાણીની ચિંતા વાંચ્યા પછી થાય કે આપણે જે મહેન્દ્રભાઈને ઓળખીએ છીએ, તે બીજા તો નહીં હોય?

જ્યાં ભણવામાં ગૌરવ ગણાતું હોય એવી અૅલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રવેશ મળે- ન મળે ને હિંદ છોડો આંદોલન આવે, એટલે મહેન્દ્રભાઈ કૉલેજને કાયમ માટે રામ રામ કરી દે. પિતા દુઃખી થઈ જાય. ભાવનગરના માનભાઈ ભટ્ટ પાસેથી 'ક્રાંતિ'ની સામગ્રી મેળવીને મહેન્દ્રભાઈ છમકલાં કરે ત્યારે સ્થાનિક પોલીસ પિતાનું ધ્યાન દોરે અને તેમને મુંબઈ તથા મુંબઈથી લાહોર મોકલી આપવામાં આવે. (તેમના આ સમયગાળા વિશેની અને પિતા સાથેના સંસર્ગ અને સંબંધોની વાતો સાર્થક જલસો-૪માં લેવાયેલા તેમના વિગતવાર ઇન્ટરવ્યુમાં છે.)

વાચનની સાથે વાતો પણ થઈ. મિત્રદંપતી મેઘશ્રી ભાવે-સંજય ભાવે, ઇન્દુકુમાર જાની (નયા માર્ગ), ચિત્તરંજન વોરા, મનુભાઈ શાહ (ગુર્જર), અજયભાઈ વ્યાસ જેવા થોડા સ્નેહીઓ હતા. આવા પ્રસંગે લાંબી વાતનો અવકાશ ન હોય. પણ કેટલાંક સ્મરણછાંટણા વરસે તો ઘણું. જૂના સ્નેહીઓમાં તેમણે દિલીપ કોઠારીને ખાસ યાદ કર્યા. (તે મુંબઈથી 'શ્રીરંગ' નામે વાર્ષિક કાઢતા હતા. તેનો એક અંક જોવા મળ્યો છે. એ પ્રભાવશાળી હતો) ‘સાહિત્યના જૂના સ્નેહીઓમાં સૌથી વધારે કોણ યાદ આવે?’ જવાબ માટે મહેન્દ્રભાઈને જરાય વિચારવું ન પડ્યું, ‘ઉમાશંકર જોશી. મને જેટલી વાર સપનાં આવે તેમાં બાપુજી કરતાં પણ વધારે ઉમાશંકર આવે છે.’ તેમના કહેવા પ્રમાણે, ઉમાશંકર તેમને સંયત પણ અઢળક પ્રેમ કરતા. તેમને ટોકવા જેવા લાગે ત્યાં ટોકતા પણ ખરા. મહેન્દ્રભાઈ કવિતાના શોખીન. ( 'મને કવિતામાં સમજ ન પડે' એવું તેમણે કાલે વાતચીતમાં કહ્યું, ત્યારે મેં કહ્યું કે 'આવું અમે કહીએ તો કોઈ માને. કારણ કે અમે કાવ્યકોડિયાં કાઢ્યાં નથી, પણ તમે?’) 'મિલાપ'ના બીજા-ત્રીજા-ચોથા ટાઇટલ પણ ઘણી વાર કવિતા હોય. ક્યારેક ઉમાશંકર તેમને કહે પણ ખરા, 'મહેન્દ્ર, અમારી રીજેક્ટ કરેલી કવિતાઓ તું છાપે છે.’
Manjari Meghani-Mahendra Meghani/ પુત્રી મંજરી સાથે મહેન્દ્રભાઈ
મંજરીબહેન પરિવારની મહેમાનગતિ વચ્ચે જમવામાં શું ભાવે એની વાત નીકળી. એટલે મહેન્દ્રભાઈ  કહે, ‘ખીચડી. જેટલી વાર ખીચડી જોઉં એટલી વાર રવિશંકર મહારાજ યાદ આવે છે.’ પહેલાં ઘણી વાર એવું થતું કે મહેન્દ્રભાઈ સાથેની મુલાકાતમાં એ જ આપણને એટલું બધું પૂછે કે એમને પૂછવાનો આપણો વારો ન આવે. સમય જતાં એ સિલસિલો અવળો થઈ શક્યો. ગઈ કાલે પણ એ કહે, 'કોઈ એક જ છાપું વાંચવાનું હોય તો કયું વાંચો?’ મેં કહ્યું, 'ઇન્ડિયન એક્સપ્રેસ'. તેમનું પ્રિય અખબાર પણ ઇન્ડિયન એક્સપ્રેસ છે. એક સમયે તે સ્ટેટ્સમેનના પ્રેમી હતા. અને સદાબહાર 'ન્યૂયોર્ક ટાઇમ્સ' તો તેમનું ઓલટાઇમ ફેવરીટ.

સુપ્રતિષ્ઠ ગુજરાતી કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી કોલંબિયા યુુનિવર્સિટીમાં પત્રકારત્વ ભણેલા. તેમણે 'માય ઇન્ડિયા, માય અમેરિકા' નામે એક અંગ્રેજી પુસ્તક પણ લખેલું. (શ્રીધરાણી અને તેમના પુસ્તક વિશેની પોસ્ટ http://urvishkothari-gujarati.blogspot.com/2011/05/blog-post.html અને http://urvishkothari-gujarati.blogspot.com/2011/05/blog-post_08.html ) મહેન્દ્રભાઈને એ મનમાં વસી ગયું હતું. તેમને હતું કે એ પણ કોલંબિયામાં ભણે અને આવું એકાદ પુસ્તક લખે. એ કોલંબિયા તો પહોંચ્યા, પણ એ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ ને મહેન્દ્રભાઈ ગ્રેજ્યુએટ પણ નહીં. એટલે ત્યાં બીજા કોર્સ કર્યા, 'જન્મભૂમિ' માટે 'અમેરિકાની અટારીએથી' કોલમ લખી અને પાછા આવ્યા પછી 'મિલાપ' શરૂ કર્યું.

ફક્ત ઉંમર કે સક્રિયતાને કારણે નહીં, કામગીરીને કારણે મહેન્દ્રભાઈ અનોખા છે અને છેલ્લા પણ.
તેમને શુભેચ્છા શું આપીએ? તેમની પાસેથી તો શુભેચ્છા લેવાની હોય કે જીવીએ ત્યાં લગી સાર્થકતાનો અનુભવ થતો રહે.   

Sunday, June 17, 2018

ગુજરાતની અસ્મિતાઃ કનૈયાલાલ મુનશી પહેલાં...

અસ્મિતા એટલે 'હું'પણાનો કે હોવાપણાનો ભાવ. પોતાના અસ્તિત્ત્વ વિશેની સભાનતા. અમુક હદે તે જરૂરી ને હદ વટાવે તો જોખમી. તેની ભાવનાનો વિસ્તાર સ્વમાનથી અભિમાન અને મિથ્યાભિમાન સુધી વિસ્તરેલો છે. ગુજરાતના સંદર્ભે પ્રાદેશિક-સાંસ્કૃતિક અસ્મિતાનો ખ્યાલ પ્રચલિત બનાવવાનું શ્રેય કનૈયાલાલ મુનશીને જાય છે. ભરૂચમાં જન્મેલા ને વ્યવસાયે વકીલ એવા મુનશી મિજાજે અસલ મુંબઈગરા હતા. સંઘર્ષ કરીને આગળ આવેલા, સ્વપ્નદૃષ્ટા, ગુલાબી મિજાજ અને કંઈક અંશે નર્મદની યાદ અપાવે એવો જોસ્સો. ઉંમરની રીતે એ ગાંધીયુગમાં થયા, પણ તેમનાં સાહિત્યિક લખાણો ગાંધીપ્રભાવથી ઘણાં દૂર. તેમની સૌથી પ્રસિદ્ધ અને ગુજરાતની અસ્મિતાનો ખ્યાલ દૃઢ કરનારી ત્રણ નવલકથા એટલે 'પાટણની પ્રભુતા’, 'ગુજરાતનો નાથ' અને 'જય સોમનાથ’.
                  K.M.Munshi / કનૈયાલાલ મુુુુનશી
ખુદ મુનશીને ગુજરાતની અસ્મિતાનો ખ્યાલ તેમના માર્ગદર્શક એવા રણજિતરામ મહેતા પાસેથી મળ્યો હતો (જેમના નામે ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન અપાય છે.) રણજિતરામ મહેતાનું અકસ્માતે, અકાળે મૃત્યુ થયા પછી મુનશીએ ગુજરાતની અસ્મિતાના વિચારને બરાબર લાડ લડાવ્યાં અને આજીવન તેના પ્રખર પુરસ્કર્તા બની રહ્યા. તે એટલી હદ સુધી કે 'ગુજરાતની અસ્મિતા એટલે મુનશી' એવું સમીકરણ દૃઢ બન્યું અને નવલકથાઓ દ્વારા ગુજરાતની અસ્મિતાની વાત કરનારા તે પહેલા લેખક હોય એવી છાપ ઉભી થઈ. મુનશીએ આવો દાવો કર્યો હોવાનું જાણમાં નથી, પણ ચર્ચામાં અને સ્મૃતિમાં તો એવો જ ખ્યાલ રહી ગયો.

શબ્દને બદલે ભાવની વાત કરીએ તો, ગુજરાતના અભિમાન કે સ્વાભિમાનની વાત નવલકથાઓના માધ્યમથી કરનારા મુનશી પહેલા ન હતા. તેમનાથી અડધી સદી પહેલાં થઈ ગયેલા મહીપતરામ રૂપરામ નીલકંઠે તેમની ઐતિહાસિક કથાઓ સધરો જેસંગ (૧૮૮૦) અને વનરાજ ચાવડો (૧૮૮૧)માં ગુજરાતના ગૌરવની ગાથાઓ રચી. મુનશીએ પછીથી કર્યું હતું તેમ મહીપતરામે પણ ઇતિહાસનો આધાર લઈને, તેમાં કલ્પનાના રંગ પુરીને ગુજરાતનો મહિમા ગાયો. ('વનરાજ ચાવડો'ને તેમણે સત્ય, અટકળ અને કલ્પનામિશ્રિત કથા તરીકે ઓળખાવી હતી) એ વખતે ગુજરાતનું અલગ ભૌગોલિક એકમ તરીકે અસ્તિત્ત્વ ન હતું.  ગુજરાત, કચ્છ અને અસંખ્ય દેશી રજવાડાંનું બનેલું સૌરાષ્ટ્ર મુંબઈ પ્રાંતનો હિસ્સો હતું. ત્યારે મહીપતરામે લખેલી કથા 'વનરાજ ચાવડો'નું છેલ્લું વાક્ય હતું : ગુજરાતનો જય થાઓ.

તેમનો ધોખો એ હતો કે આપણે કંઈક રાજાઓ ને બાદશાહોના ઇતિહાસ ભણ્યા, પણ ગુજરાતના પ્રતાપી રાજાઓ વિશે ન જાણ્યું. તેમને આપણે ભૂલાવી દીધા. તેનાં પાટણ જેવાં નગરોની સમૃદ્ધિ વિસારી બેઠા. મહીપતરામના મતે, આ કારણે 'ગુર્જર પ્રજામાંથી પ્રજાભિમાન જતું રહ્યું.’ છેવટે વિદ્યાપ્રેમી અંગ્રેજ અફસર અૅલેક્ઝાન્ડર ફાર્બસે ગુજરાતી રાજાઓની કથાઓ શોધી કાઢી. મહીપતરામના શબ્દોમાં કહીએ તો, ‘આ ભલા વિદ્વાને આપણા દેશનું ધન ખોદી કાઢી ગુર્જરોને વાપરવા આપ્યું.’ મુનશીની જેમ જ, મહીપતરામને કેવળ ઐતિહાસિક વાર્તા લખવા ખાતર આ પુસ્તકો લખવામાં રસ ન હતો. એ લખવા પાછળ તેમનો ચોક્કસ હેતુ હતો. ‘ગુજરાતમાં સત્યધર્મ, સ્વદેશાભિમાન, સંપ, વિદ્યા, સદગુણો, હુન્નર અને ઉદ્યમની વૃદ્ધિ થાય, દેશી દરબારો સુધરે, લોક રાજકાજમાં મન ઘાલે, દેશમાં ધંધોરોજગાર વધારવાનું ચિત્ત પર લે, વિનાશકારી રૂઢિઓ તજી સુધારા કરે એ મારી ઇચ્છા છે.’ એ વખતે 'દેશ' શબ્દનો પ્રયોગ પ્રાંતના અર્થમાં થતો હતો. મહીપતરામે લખ્યું હતું, ‘ગુર્જરો સ્વદેશકલ્યાણની પાછળ ઉમંગથી લાગે, રાજાપ્રજા હળીમળીને વર્તી દેશને પાછો ઊંચી પદવીએ ચઢાવે એવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં મારી જોડે સામેલ થવાની આ ગ્રંથ વાંચનારને વિનંતી કરું છું.’

નર્મદની જેમ મહીપતરામની વાતમાં 'સ્વદેશાભિમાન' કેળવવાની ભાવના પર ભાર મુકાયેલો જોવા મળે છે અને એ સ્વદેશાભિમાન એટલે મુનશીએ આલેખેલી ’અસ્મિતા’. તેમણે લખ્યું હતું કે માત્ર પ્રાર્થના કરીને બેસી રહેવાને,  'દ્વારકાથી દાહોદ સુધીમાં અને ડીસાથી દમણ સુધીમાં રહેનારા તથા મુંબઈ વગેરે જઈ વસનારા ગુર્જરી ભાષા બોલનારા સ્વદેશીઓના દિલમાં સ્વદેશાભિમાનનો જુસ્સો પ્રદીપ્ત કરવો. તેમના હૈયાંમાં બંધુભાવ આણવો, આપણે સર્વ એકદેશી અને એક પ્રજા છીએ એમ તેમના મનમાં લાવવું અને ગુજરાતનું રૂડું કરવાની ઇચ્છા જગાડવી, એ મહાન હેતુઓ આ ગ્રંથ રચવામાં યાદ રાખ્યા છે. ધર્મભેદ અને જાતિભેદ છતાં સ્વદેશની પીડા ઓછી કરવામાં, આપણા વહાલા દેશની (એટલે કે ગુજરાતની) ચઢતી કરવામાં આપણે હિંદુ, મુસલમાન અને પારસી સંપથી ચાલી શકીએ. બેફિકરાઈ છોડી દઈ આપણે સર્વે જાગૃત થવું જોઈએ.’

મહીપતરામ સુધારકયુગના હતા. તેમણે જ્ઞાતિની ઉપરવટ જઈને દરિયો ઓળંગ્યો ને પછી માફી માગી ને પછી માફી દિલથી નથી માગી, એવા તાનપલટા દ્વારા ઘણી ટીકા વહોરી લીધી હતી. છતાં, અમદાવાદની સુધારાપ્રવૃત્તિના અગ્રણીઓમાં તેમની ગણના થતી હતી. (તેમના પુત્ર એટલે 'ભદ્રંભદ્ર'ના સર્જક રમણભાઈ નીલકઠં) મહીપતરામે ગુજરાતનું 'સ્વદેશાભિમાન' જગાડવા માટે ઇતિહાસનો આછોપાતળો આધાર ધરાવતી કલ્પનારંગી કથાઓ લખી, ત્યારે ૧૮૫૭ના સંગ્રામને બે દાયકા વીતી ચૂક્યા હતા. છતાં એ સમયના ઘણા સાક્ષરોની જેમ તેમને અંગ્રેજી રાજ અકારું લાગતું ન હતું.  રાજના તે વફાદાર સેવક-અધિકારી હતા. તેમને મન સ્વદેશાભિમાનનો ખ્યાલ નકરો ભૂતકાળના ગૌરવમાં રાચવાનો ન હતો. અંગ્રેજી સંસ્કાર પ્રમાણે તેમણે 'પબ્લિક સ્પિરિટ' શબ્દનો ઉલ્લેખ કરીને લખ્યું હતું, ‘એ બે અંગ્રેજી શબ્દોમાં જે ભાવાર્થ રહ્યો છે તે ગુજરાતી ભાષામાં સમજાવવો કઠણ પડે છે. તેનું કારણ એ કે એ ભાવ આપણા દેશમાં હાલ નથી.’ એ માટે તેમણે સંસ્કૃત ભાષાની સમૃદ્ધિ યાદ કરીને 'સ્વદેશસુખ સંબંધી ઉત્સાહ', ‘દેશહિતકાળજી અને ઉત્સાહ’ જેવા વિકલ્પ આપ્યા.

સુધારક મહીપતરામે આખી વાતને ગૌરવ ઉપરાંત સમાજસુધારાની દિશામાં લઈ જતાં લખ્યું, 'ધર્મના બખેડામાં, નાતની લડાઈઓમાં, લગ્ન કે મરણના જમણવારોમાં અને માત્ર સ્વાર્થમાં જેમનાં મન દટાઈ ગયાં છે, કૂવામાંનાં દેડકાં જેટલું જેમનું જ્ઞાન છે, એવી જ્યાં વસ્તી છે, ત્યાં સ્વદેશાભિમાન, સ્વદેશપ્રીતિ, સ્વદેશકલ્યાણેચ્છા અને સ્વદેશબંધુતા ક્યાંથી હોય. પરંતુ હું નિરાશ થતો નથી...સારા કે નઠારા જેવા છે તેવા એ આપણા સ્વદેશી ભાઈ છે, માટે તેમનું ભલું કરવું એ આપણો ધર્મ છે.’

મુનશીના રોમેન્ટિક ગૌરવયુક્ત અસ્મિતાખ્યાલની સરખામણીએ તેમનાથી પચાસ વર્ષ પહેલાં જન્મેલા મહીપતરામનો સ્વદેશાભિમાન અને 'દેશહિતઉત્સાહ'નો ખ્યાલ વર્તમાન નાગરિકધર્મથી વધારે નજીક નથી લાગતો? 

Sunday, June 10, 2018

ધાર્મિકતા, અધ્યાત્મ અને નાસ્તિકતાઃ ગુંચવાયેલા છેડા

(નવાજૂની, સંદેશ સંસ્કાર પૂર્તિ, ૧૦-૬-૧૮)
ધર્મ, ઇશ્વર, શ્રદ્ધા જેવા શબ્દો એટલા 'ભરેલા' હોય છે કે તુંડે તુંડે તેના ભિન્ન અર્થ થાય. જેમ કે, ધાર્મિક વ્યક્તિ કોને ગણી શકાય? જે ઇશ્વરમાં માને તેને? જે ધર્મસ્થાને નિયમિત જાય તેને? જે આ કશું કર્યા વિના પોતાની મેળે સેવાપૂજા કરે તેને? જે આટલું પણ ન કરે, છતાં કોઈ સર્વોચ્ચ શક્તિ હોવાનું માને તેને?

સવાલોનો આ સિલસિલો હજુ લંબાવી શકાય. પણ મુદ્દો એ જ છેઃ આ બધા શબ્દોની કોઈ એક વ્યાખ્યા નથી અથવા કોઈ એક વ્યાખ્યા વિશે એકમતી નથી. નુસરત ફતેહઅલીખાને ગાયેલી અને નાઝ ખિયાલવીએ લખેલી કવ્વાલીમાં કહ્યું છે તેમ, 'જિસકી પહુંચ જહાં તલક, ઇસકે લિયે વહીં પે તુ' એવું માનનારને ધાર્મિક કહી શકાય અને ઈશ્વરના વિરોધાભાસ ચીંધીને 'તુમ એક ગોરખધંધા' કહેનારને પણ ધાર્મિક કહી શકાય.

યુરોપ-અમેરિકા વિજ્ઞાનમાં ઘણાં આગળ હોવાથી આપણે ઘણી વાર એવું માનવા પ્રેરાઈએ છીએ કે  તે દેશોમાં ધાર્મિકતા કે અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘણું ઓછું હશે. પરંતુ હકીકત એટલી સીધી નથી. યુરોપના દેશોમાં નવજાગરણ (રેનેસાં) અને રાજ્યસત્તા સાથે ધર્મસત્તાના છૂટાછેડાની લાંબી પરંપરાને કારણે સેક્યુલરિઝમનાં મૂળીયાં ઠીક ઠીક પ્રમાણમાં ફેલાયેલાં જોવા મળે છે, જ્યારે અમેરિકાનો મામલો અલગ છે. વાત આગળ વધારતાં પહેલાં એ સ્પષ્ટતા કરી લઈએ કે સાચાખોટા કારણસર બદનામ થયેલા સૅક્યુલરિઝમનો મૂળ અર્થ હતોઃ બિનધાર્મિકતા એટલે કે ધાર્મિક માન્યતાઓ અને સંસ્થાગત ધર્મથી અલગાવ. ધાર્મિક લોકો માને છે કે નીતિમત્તા ધર્મમાંથી જ આવે, જ્યારે સૅક્યુલરિઝમ માને છે કે માણસ ધર્મના ટેકા વિના પણ નૈતિક હોઈ શકે-રહી શકે. પ્રચંડ વૈવિધ્ય ધરાવતા ભારતમાં સૅક્યુલરિઝમ સર્વધર્મસમભાવના અર્થમાં આવ્યું. તે સહઅસ્તિત્ત્વ માટેનો આધાર બની શકે એમ હતું, પણ ગંદા રાજકારણનો અખાડો બન્યું.

ભારતમાં સૅક્યુલરિઝમ ધર્મના કે ઇશ્વરના ઇન્કારનું નહીં, બધા ધર્મો પ્રત્યે આદરનું સૂચક ગણાયું. પરંતુ અમેરિકામાં સૅક્યુલરિઝમ અને નિરીશ્વરવાદ શંકાનો વિષય બન્યાં. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી. એ સમયે આખું વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે સુપરપાવરની છાવણીઓમાં વહેંચાઈ ગયું અને થોડા દાયકા પૂરતો સામ્યવાદનો દબદબો રહ્યો. સામ્યવાદીઓ સૈદ્ધાંતિક રીતે નિરીશ્વરવાદી હોય. એ સમીકરણને ઉલટાવીને અમેરિકા નિરીશ્વરવાદીઓમાં સામ્યવાદીઓ જોવા લાગ્યું. રશિયાના સામ્યવાદનો અમેરિકાના લોકોને રંગ લાગી જાય તેની અમેરિકાના નેતાઓને ભારે ચિંતા હતી. એટલે તેમણે ખ્રિસ્તી ધર્મના લાભાર્થે નહીં, પણ સામ્યવાદના વિરોધાર્થે અમેરિકાને આસ્તિકતાના રંગે રંગી નાખ્યું. ભારતનો રાષ્ટ્રીય ધ્રુવમંત્ર 'સત્યમેવ જયતે' છે, તો વિજ્ઞાનની પ્રગતિનો મુલક ગણાતા અમેરિકાનો રાષ્ટ્રીય ધ્રુવમંત્ર છેઃ ઇન ગૉડ વી ટ્રસ્ટ.

ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી (GOP) તરીકે ઓળખાતો અમેરિકાનો રૂઢિચુસ્ત રીપબ્લિકન પક્ષ ફક્ત ધર્મની બાબતમાં જ નહીં, ધાર્મિક અંધશ્રદ્ધાની બાબતમાં પણ ભારત સાથે ઠીક ઠીક હરીફાઈ કરી શકે એમ છે. અમેરિકામાં દરેક રાજ્ય પોતાના કાયદા બનાવી શકે છે. એ સત્તા પ્રમાણે એકવીસમી સદીના  અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ નહીં, પણ બાઇબલનો સર્જનવાદ ભણાવાય છે. અમેરિકામાં પ્રચંડ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. એટલે ધર્મ અને ધાર્મિક માન્યતાઓની ટીકા બહુ આકરા શબ્દોમાં અને જાહેરમાં થઈ શકે છે. (રીચાર્ડ ડૉકિન્સ જેવા અભ્યાસીને વાંચવા-સાંભળવાથી એ સામગ્રી કેવી તમતમતી હોઈ શકે તેનો ખ્યાલ આવી શકે.) છતાં,  અમેરિકામાં ધર્મ અને ધાર્મિકતાના પાયા હજુ ડગમગ્યા કે હચમચ્યા નથી.

અમેરિકા અને યુરોપના લોકોની ધાર્મિક માન્યતાઓને લગતું એક સર્વેક્ષણ ગયા મહિને પ્રગટ થયું. પશ્ચિમી યુરોપના પંદર દેશોના પચીસ હજાર લોકોના અભિપ્રાય અને એવા જ પ્રકારનું સર્વેક્ષણ અમેરિકામાં કર્યા પછી મળેલા અભિપ્રાય—આ બંનેનું તેમાં સંકલન કરવામાં આવ્યું હતું. તેમાં એક બાબત સ્પષ્ટપણે ઉભરીને આવી કે યુરોપના લોકો કરતાં અમેરિકાના લોકો ઘણા વધારે ધાર્મિક છે.  ધાર્મિકતા નક્કી કરવા માટે તેમાં બે સવાલ મુખ્ય હતાઃ તમે સો ટકા ખાતરીથી માને છો કે ઇશ્વર છે? અને તમે રોજ સેવાપૂજા કરો છો?

મઝાની વાત એ થઈ કે ધાર્મિકતા જેવી વિશાળ અર્થો ધરાવતી બાબતને આ બે માપદંડોથી નક્કી કરવામાં કેટલાંક વિશિષ્ટ અને વિચિત્ર લાગે એવાં પરિણામ પણ મળ્યાં. તેમાં એક તારણ તો એવું હતું કે યુરોપના આસ્તિકોમાંથી ફક્ત ૨૩ ટકા ઈશ્વરના હોવા વિશે સો ટકા ખાતરી ધરાવે છે, જ્યારે અમેરિકાના નાસ્તિકોમાંથી ૨૭ ટકા લોકોને લાગે છે કે ઈશ્વર છે.  આ ગુંચવાડો જેટલો ધર્મ-આસ્તિકતા-અધ્યાત્મ-નાસ્તિકતાની વ્યાખ્યાઓનો છે, એટલો જ અમેરિકા-સ્પેશ્યલ કહેવાય એવો પણ છે.  અમેરિકામાં છેલ્લા થોડા સમયથી 'અૅથિસ્ટ ચર્ચ'નું પ્રમાણ વધી રહ્યું છે. તેનું ગુજરાતી શું કરીશું? નાસ્તિકો માટેનું ચર્ચ? આવું કેવી રીતે બને?

પરંતુ માણસજાત માટે બધું જ શક્ય છે. માણસ ધર્મ પાસે ઘણાં કારણથી જાય છે. ઈશ્વર પરની શ્રદ્ધા તેનું એક મજબૂત કારણ છે, પણ એકમાત્ર કારણ નથી. સંસ્થાગત ધર્મમાં જોવા મળતો જનસમુહ માણસની સમુહજીવનની ઝંખના સંતોષવામાં મદદ કરી શકે છે. 'અૅથિસ્ટ ચર્ચ'માં જનારા ભગવાનના અલૌકિક ચમત્કારોમાં નથી માનતા, પણ ભેગા મળવું, નૈતિકતા વિશેની વાતોનું આદાનપ્રદાન કરવું, સાથે મળીને ધાર્મિક કે શુભ ભાવના ધરાવતાં ગીતો ગાવાં-- આ બધું તેમને આકર્ષે છે. ભારતમાં જોવા મળતા ઘણાબધા સાચાખોટા આશ્રમો અને અાધ્યાત્મિક ગુરુઓ પોતપોતાની બ્રાન્ડના અધ્યાત્મ દ્વારા આ જ કોશિશ નથી કરતા? સ્થાપિત ધર્મના પરંપરાગત માળખાથી કંટાળેલા કે તેની પરથી શ્રદ્ધા ગુમાવી બેઠેલા લોકોને તે બીજા આકર્ષક, સમુહજીવનની અને સાત્વિક સાર્થકતાની લાગણી પૂરી પાડતા રસ્તે લઈ જવાનો દાવો કે વાયદો કરે છે. તેમને સફળતા મળવાનું મોટું કારણ એ છે, જે યુરોપ-અમેરિકામાં થયેલા સર્વેક્ષણમાં પણ બહાર આવ્યું છેઃ લોકોને ધર્મસંસ્થાથી કે ભગવાનથી પરંપરાગત કલ્પનાથી કંટાળો આવી શકે છે, પણ એક યા બીજા પ્રકારે ભેગા મળવું અને સામુહિક પ્રવૃત્તિ તરીકે પોતાની માન્યતાને કે માનસિક જરૂરિયાતને સંતોષવી, એ માણસની મૂળભૂત પ્રકૃતિ છે.

સમાજને નુકસાનકારક બને એવી ધાર્મિકતા કે અંધશ્રદ્ધા સામે ઝુંબેશ ચલાવનારાએ પણ તેમની વ્યૂહરચના માટે આ બાબત ધ્યાનમાં રાખવા જેવી નથી લાગતી?

Monday, June 04, 2018

અંતિમવાદની ટીકા, પ્રસિદ્ધિનો પ્રાણવાયુ

(નવાજૂની, સંસ્કાર પૂર્તિ, 'સંદેશ', ૩-૬-૧૮)

કેટલાંક સત્યો દરેક જમાને નવેસરથી 'શોધાતાં' રહે છે. લોખંડી મહિલા તરીકે ઓળખાતાં બ્રિટનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થૅચરે કહ્યું હતું કે ત્રાસવાદ અને ત્રાસવાદીઓ માટે પ્રસિદ્ધિ પ્રાણવાયુનું કામ કરે છે.  તેમને ખતમ કરવા હોય તો તેમને પ્રસિદ્ધિના પ્રાણવાયુથી વંચિત રાખવા જોઈએ.  તેમનો વિરોધ કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે ભલે શત્રુભાવે, પણ આપણે જ તેમને મોટા ન બનાવી દઈએ. ભૂતકાળમાં દાઉદ જેવા ગેંગસ્ટર-ત્રાસવાદીઓના કિસ્સામાં એ બોધપાઠ મુંબઈના લોકોને, ખાસ કરીને પત્રકારોને મળી ગયો હશે. મુંબઈના ભાઈલોગ કેવા ખતરનાક, તેનાં આલેખનો કર્યે રાખવાથી ગુંડાઓને પ્રસિદ્ધિ મળે છે અને તેમનું કદ વધી જાય છે. (હિંદી ફિલ્મોએ હજુ એ બોધપાઠ શીખવાનો બાકી છે)

અનિષ્ટ બાબતોને પ્રસિદ્ધિનો ઑક્સિજન પૂરો પાડવાનું કેટલું જોખમી છે, તે ગયા મહિને વધુ એક અભ્યાસમાં સ્પષ્ટ થયું. અમેરિકાની ‘ડેટા અૅન્ડ સોસાયટી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ અંતર્ગત વ્હિટની ફિલિપ્સે પ્રગટ કરેલા અભ્યાસનું મથાળું છે : ‘ધ ઑક્સિજન ઑફ અૅમ્પ્લિફિકેશન’. એક વાતને ગાઈવગાડીને રજૂ કરવામાં આવે, તેને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપવામાં આવે એટલે કે અૅમ્પ્લિફાય કરવામાં આવે, તો તેની અવળી અસર થાય છે.  અમેરિકામાં ટ્રમ્પની ચૂંટણી અને તેમાં સોશ્યલ મિડીયાએ ભજવેલી ભૂમિકા પછી સમાજનો નોંધપાત્ર વર્ગ આઘાત ઉપરાંત અભ્યાસ અને આત્મખોજ પણ કરી રહ્યો છે. હજુ દસ વર્ષ પહેલાં અમેરિકામાં જમણેરી અંતિમવાદીઓ 'ટી પાર્ટી’ તરીકે ઓળખાતા હતા. તેમને કોઈ ગંભીરતાથી લેતું ન હતું અને અચાનક એવું તે શું બન્યું કે તે મુખ્ય ધારાની ચર્ચાનો હિસ્સો બની ગયા?

આ સવાલ ફક્ત અમેરિકા માટે જ નહીં, ભારત સહિતના બધા દેશો માટે અગત્યનો છે. કારણ કે વિશ્વભરમાં જુદાં જુદાં કારણે જમણેરી અંતિમવાદ છવાયો છે. તેનો મુકાબલો શી રીતે કરવો અને તેના વિશે લખતી વખતે શું ધ્યાન રાખવું, એવી ઘણી બાબતોની ચાવી વ્હિટનીના અભ્યાસમાં છુપાયેલી છે. તેમાં કશું રૉકેટ સાયન્સ નથી. સામાન્ય સમજની વાત છે. છતાં, જુદી જુદી મુલાકાતો અને પદ્ધતિસરના અભ્યાસ પછી એ વાત કહેવાય, ત્યારે તેનું મહત્ત્વ અને માહત્મ્ય વધે છે.

અભ્યાસનો એક સાર છેઃ કોઈ ધીક્કારપ્રેરક અફવાની કે મામુલી મહત્ત્વ ધરાવતા વિવાદાસ્પદ પગલાની વધુ પડતી ટીકા કરવાથી અવળું પરિણામ આવી શકે છે. બલકે, અમેરિકામાં અને ભારતમાં પણ ઘણા કિસ્સામાં એવાં પરિણામ સામે આવ્યાં છે. (એ જુદી વાત છે કે નેતાઓ તેને આફતને અવસરમાં પલટી નાખવાની કળા તરીકે ખપાવીને, તેને પોતાની આવડત તરીકે ખપાવે છે.) આ જાણ્યા પછી એવો વિચાર સહજ આવે કે ઝેરીલા પ્રચાર અને અમુક પ્રકારની અફવાઓનું ખંડન કરવું જરૂરી ન ગણાય? તેમના વિશે જાણ્યા પછી તેમની સામે આંખ આડા કાન કેવી રીતે કરી શકાય? એ શાહમૃગવૃત્તિ ન ગણાય?

જવાબ છેઃ ના, બધા કિસ્સામાં આ તર્ક સાચો નથી. સોશ્યલ મિડીયાના જમાનામાં અને અમેરિકા-ભારત જેવા દેશોના અનુભવથી કહી શકાય કે ઘણા કિસ્સામાં સાવ ખૂણેખાંચરેથી શરૂ થયેલું 'પડીકું' અમુક જ ગ્રુપના લોકો થોડું આગળ વધારે અને જો તેને કોઈ જાણીતા પત્રકાર કે સમાચારસંસ્થાનો  સ્પર્શ થઈ જાય, તો તેમનું કામ થઈ ગયું.  તેના વિશે લખનારે ભલે એ અફવાના કે ખોટી માહિતીનાં-ફેક ન્યુઝનાં છોતરાં કાઢ્યાં હોય, પણ 'બદનામીમૈં ભી નામ હોતા હૈ’ એ ન્યાયે ખુલાસા કરતાં જૂઠાણું અનેક ગણું વધારે જાણીતું બની જાય. મર્યાદિત વર્તુળોમાંથી પેદા કરાયેલા જૂઠને તોડી પાડવાના આશયથી પણ તેને બીજા લોકો ચર્ચાનો વિષય બનાવે તો, સાચ વિરુદ્ધ જૂઠની એ મૅચમાં જૂઠ ધડાકાબંધ જીતી જાય છે. કારણ કે જૂઠને તો વકરો એટલો નફો છે, પ્રસિદ્ધિ એ જ પુરસ્કાર છે.

ઘણા પત્રકારો સાથેની વાતચીત પરથી વ્હિટનીને સમજાયું કે એ સૌનો આશય ઝેરી ગપગોળા કે ફેક ન્યૂઝનું ખંડન કરવાનો,  ટૂંકમાં, પવિત્ર હતો. પરંતુ તેનું પરિણામ વિપરીત આવ્યું. તેમણે ન ઉપાડી હોત તો કદાચ બાળમરણ પામી હોત એવી ઘણી અફવાઓ અને ફેક ન્યૂઝની સ્ટોરી ખંડન પામ્યા પછી વધારે ચર્ચાતી થઈ, પ્રસિદ્ધ બની અને એકંદરે જાહેર ચર્ચાનો મોટો હિસ્સો પચાવી પાડનારી બની રહી. એ દરેક વખતે જૂઠાણાં ફેલાવનારા અંતિમવાદીઓના હાથ વધારે મજબૂત થયા અને એમ કરતાં જેમને કોઈ ગંભીરતાથી લેતું ન હતું એવા લોકો મુખ્ય ધારાનો હિસ્સો બન્યા.

તેનાથી બીજા છેડાની હકીકત એ પણ છે કે ઘણા લોકો ઇન્ટરનેટ પર ચાલતા ઝનૂની, હિંસક કે પહેલી દૃષ્ટિએ અવાસ્તવિક-ચક્રમ જેવા લાગતા પ્રચારને અવગણવાની ભૂલ કરે છે. તેમાં રહેલો ખતરો તે સમજી શકતા નથી. જેમ કે, અમેરિકામાં ધોળા લોકોની જ બોલબાલા રહેવી જોઈએ, એવો  છડેચોક પ્રચાર કરતાં વ્હાઇટ સુપ્રીમસિસ્ટ જૂથો. શરૂઆતમાં તેમને અવગણવામાં આવ્યાં. ઘણા પત્રકારો ત્યારે તેમની ઠેકડી કરતા હતા.  અને તેમની ગંભીરતાથી નોંધ લેવાતી થઈ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

સવાલ એ થાય કે જૂઠાણાં કે ધીક્કારની અવગણના કરવામાં જોખમ ને તેમને અપ્રમાણસરનો ભાવ આપવામાં પણ ખતરો. તો પછી કરવું શું? એ અંગે અભ્યાસમાં કેટલાંક સૂચન કરવામાં આવ્યાં છે. તેમાનું એક છેઃ જૂઠાણાનું મહત્ત્વ નક્કી કરવું. તેનું ખંડન કરવા જેટલું અગત્યનું એ છે? કે પછી કંઈ નહીં કરીએ તો તે આપમેળે ભૂલાઈ જશે? અંતિમવાદ કે ધીક્કાર ફેલાવતી નાનામાં નાની, મામુલીમાં મામુલી બાબતનો એકસરખા ઉત્સાહ કે જોશથી પ્રતિકાર કરવાની જરૂર નથી. એમ કરવાથી જાણેઅજાણે તેમને સમાચારમાં ચમકવાનો મોકો મળી જાય છે. યાદ કરી જોજોઃ નજીકના ભૂતકાળમાં ચગેલા ઘણા વિવાદ જેની સાથે કશું જાહેર હિત સંકળાયેલું ન હોય એવા હતા. પરંતુ ચોતરફ બ્રેકિંગ ન્યૂઝની કાતિલ હરીફાઈ ચાલતી હોય અને કોણ વધારે મસાલેદાર સ્ટોરી સૌથી પહેલી લઈ આવે તેની હુંસાતુંસી હોય, ત્યારે એટલું સમજાય છે કે વ્હિટની ફિલિપ્સનો અભ્યાસ નિદાન કરતાં વધારે પોસ્ટમોર્ટમ તરીકે ખપ લાગે એવો છે.