Monday, June 04, 2018

અંતિમવાદની ટીકા, પ્રસિદ્ધિનો પ્રાણવાયુ

(નવાજૂની, સંસ્કાર પૂર્તિ, 'સંદેશ', ૩-૬-૧૮)

કેટલાંક સત્યો દરેક જમાને નવેસરથી 'શોધાતાં' રહે છે. લોખંડી મહિલા તરીકે ઓળખાતાં બ્રિટનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થૅચરે કહ્યું હતું કે ત્રાસવાદ અને ત્રાસવાદીઓ માટે પ્રસિદ્ધિ પ્રાણવાયુનું કામ કરે છે.  તેમને ખતમ કરવા હોય તો તેમને પ્રસિદ્ધિના પ્રાણવાયુથી વંચિત રાખવા જોઈએ.  તેમનો વિરોધ કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે ભલે શત્રુભાવે, પણ આપણે જ તેમને મોટા ન બનાવી દઈએ. ભૂતકાળમાં દાઉદ જેવા ગેંગસ્ટર-ત્રાસવાદીઓના કિસ્સામાં એ બોધપાઠ મુંબઈના લોકોને, ખાસ કરીને પત્રકારોને મળી ગયો હશે. મુંબઈના ભાઈલોગ કેવા ખતરનાક, તેનાં આલેખનો કર્યે રાખવાથી ગુંડાઓને પ્રસિદ્ધિ મળે છે અને તેમનું કદ વધી જાય છે. (હિંદી ફિલ્મોએ હજુ એ બોધપાઠ શીખવાનો બાકી છે)

અનિષ્ટ બાબતોને પ્રસિદ્ધિનો ઑક્સિજન પૂરો પાડવાનું કેટલું જોખમી છે, તે ગયા મહિને વધુ એક અભ્યાસમાં સ્પષ્ટ થયું. અમેરિકાની ‘ડેટા અૅન્ડ સોસાયટી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ અંતર્ગત વ્હિટની ફિલિપ્સે પ્રગટ કરેલા અભ્યાસનું મથાળું છે : ‘ધ ઑક્સિજન ઑફ અૅમ્પ્લિફિકેશન’. એક વાતને ગાઈવગાડીને રજૂ કરવામાં આવે, તેને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપવામાં આવે એટલે કે અૅમ્પ્લિફાય કરવામાં આવે, તો તેની અવળી અસર થાય છે.  અમેરિકામાં ટ્રમ્પની ચૂંટણી અને તેમાં સોશ્યલ મિડીયાએ ભજવેલી ભૂમિકા પછી સમાજનો નોંધપાત્ર વર્ગ આઘાત ઉપરાંત અભ્યાસ અને આત્મખોજ પણ કરી રહ્યો છે. હજુ દસ વર્ષ પહેલાં અમેરિકામાં જમણેરી અંતિમવાદીઓ 'ટી પાર્ટી’ તરીકે ઓળખાતા હતા. તેમને કોઈ ગંભીરતાથી લેતું ન હતું અને અચાનક એવું તે શું બન્યું કે તે મુખ્ય ધારાની ચર્ચાનો હિસ્સો બની ગયા?

આ સવાલ ફક્ત અમેરિકા માટે જ નહીં, ભારત સહિતના બધા દેશો માટે અગત્યનો છે. કારણ કે વિશ્વભરમાં જુદાં જુદાં કારણે જમણેરી અંતિમવાદ છવાયો છે. તેનો મુકાબલો શી રીતે કરવો અને તેના વિશે લખતી વખતે શું ધ્યાન રાખવું, એવી ઘણી બાબતોની ચાવી વ્હિટનીના અભ્યાસમાં છુપાયેલી છે. તેમાં કશું રૉકેટ સાયન્સ નથી. સામાન્ય સમજની વાત છે. છતાં, જુદી જુદી મુલાકાતો અને પદ્ધતિસરના અભ્યાસ પછી એ વાત કહેવાય, ત્યારે તેનું મહત્ત્વ અને માહત્મ્ય વધે છે.

અભ્યાસનો એક સાર છેઃ કોઈ ધીક્કારપ્રેરક અફવાની કે મામુલી મહત્ત્વ ધરાવતા વિવાદાસ્પદ પગલાની વધુ પડતી ટીકા કરવાથી અવળું પરિણામ આવી શકે છે. બલકે, અમેરિકામાં અને ભારતમાં પણ ઘણા કિસ્સામાં એવાં પરિણામ સામે આવ્યાં છે. (એ જુદી વાત છે કે નેતાઓ તેને આફતને અવસરમાં પલટી નાખવાની કળા તરીકે ખપાવીને, તેને પોતાની આવડત તરીકે ખપાવે છે.) આ જાણ્યા પછી એવો વિચાર સહજ આવે કે ઝેરીલા પ્રચાર અને અમુક પ્રકારની અફવાઓનું ખંડન કરવું જરૂરી ન ગણાય? તેમના વિશે જાણ્યા પછી તેમની સામે આંખ આડા કાન કેવી રીતે કરી શકાય? એ શાહમૃગવૃત્તિ ન ગણાય?

જવાબ છેઃ ના, બધા કિસ્સામાં આ તર્ક સાચો નથી. સોશ્યલ મિડીયાના જમાનામાં અને અમેરિકા-ભારત જેવા દેશોના અનુભવથી કહી શકાય કે ઘણા કિસ્સામાં સાવ ખૂણેખાંચરેથી શરૂ થયેલું 'પડીકું' અમુક જ ગ્રુપના લોકો થોડું આગળ વધારે અને જો તેને કોઈ જાણીતા પત્રકાર કે સમાચારસંસ્થાનો  સ્પર્શ થઈ જાય, તો તેમનું કામ થઈ ગયું.  તેના વિશે લખનારે ભલે એ અફવાના કે ખોટી માહિતીનાં-ફેક ન્યુઝનાં છોતરાં કાઢ્યાં હોય, પણ 'બદનામીમૈં ભી નામ હોતા હૈ’ એ ન્યાયે ખુલાસા કરતાં જૂઠાણું અનેક ગણું વધારે જાણીતું બની જાય. મર્યાદિત વર્તુળોમાંથી પેદા કરાયેલા જૂઠને તોડી પાડવાના આશયથી પણ તેને બીજા લોકો ચર્ચાનો વિષય બનાવે તો, સાચ વિરુદ્ધ જૂઠની એ મૅચમાં જૂઠ ધડાકાબંધ જીતી જાય છે. કારણ કે જૂઠને તો વકરો એટલો નફો છે, પ્રસિદ્ધિ એ જ પુરસ્કાર છે.

ઘણા પત્રકારો સાથેની વાતચીત પરથી વ્હિટનીને સમજાયું કે એ સૌનો આશય ઝેરી ગપગોળા કે ફેક ન્યૂઝનું ખંડન કરવાનો,  ટૂંકમાં, પવિત્ર હતો. પરંતુ તેનું પરિણામ વિપરીત આવ્યું. તેમણે ન ઉપાડી હોત તો કદાચ બાળમરણ પામી હોત એવી ઘણી અફવાઓ અને ફેક ન્યૂઝની સ્ટોરી ખંડન પામ્યા પછી વધારે ચર્ચાતી થઈ, પ્રસિદ્ધ બની અને એકંદરે જાહેર ચર્ચાનો મોટો હિસ્સો પચાવી પાડનારી બની રહી. એ દરેક વખતે જૂઠાણાં ફેલાવનારા અંતિમવાદીઓના હાથ વધારે મજબૂત થયા અને એમ કરતાં જેમને કોઈ ગંભીરતાથી લેતું ન હતું એવા લોકો મુખ્ય ધારાનો હિસ્સો બન્યા.

તેનાથી બીજા છેડાની હકીકત એ પણ છે કે ઘણા લોકો ઇન્ટરનેટ પર ચાલતા ઝનૂની, હિંસક કે પહેલી દૃષ્ટિએ અવાસ્તવિક-ચક્રમ જેવા લાગતા પ્રચારને અવગણવાની ભૂલ કરે છે. તેમાં રહેલો ખતરો તે સમજી શકતા નથી. જેમ કે, અમેરિકામાં ધોળા લોકોની જ બોલબાલા રહેવી જોઈએ, એવો  છડેચોક પ્રચાર કરતાં વ્હાઇટ સુપ્રીમસિસ્ટ જૂથો. શરૂઆતમાં તેમને અવગણવામાં આવ્યાં. ઘણા પત્રકારો ત્યારે તેમની ઠેકડી કરતા હતા.  અને તેમની ગંભીરતાથી નોંધ લેવાતી થઈ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

સવાલ એ થાય કે જૂઠાણાં કે ધીક્કારની અવગણના કરવામાં જોખમ ને તેમને અપ્રમાણસરનો ભાવ આપવામાં પણ ખતરો. તો પછી કરવું શું? એ અંગે અભ્યાસમાં કેટલાંક સૂચન કરવામાં આવ્યાં છે. તેમાનું એક છેઃ જૂઠાણાનું મહત્ત્વ નક્કી કરવું. તેનું ખંડન કરવા જેટલું અગત્યનું એ છે? કે પછી કંઈ નહીં કરીએ તો તે આપમેળે ભૂલાઈ જશે? અંતિમવાદ કે ધીક્કાર ફેલાવતી નાનામાં નાની, મામુલીમાં મામુલી બાબતનો એકસરખા ઉત્સાહ કે જોશથી પ્રતિકાર કરવાની જરૂર નથી. એમ કરવાથી જાણેઅજાણે તેમને સમાચારમાં ચમકવાનો મોકો મળી જાય છે. યાદ કરી જોજોઃ નજીકના ભૂતકાળમાં ચગેલા ઘણા વિવાદ જેની સાથે કશું જાહેર હિત સંકળાયેલું ન હોય એવા હતા. પરંતુ ચોતરફ બ્રેકિંગ ન્યૂઝની કાતિલ હરીફાઈ ચાલતી હોય અને કોણ વધારે મસાલેદાર સ્ટોરી સૌથી પહેલી લઈ આવે તેની હુંસાતુંસી હોય, ત્યારે એટલું સમજાય છે કે વ્હિટની ફિલિપ્સનો અભ્યાસ નિદાન કરતાં વધારે પોસ્ટમોર્ટમ તરીકે ખપ લાગે એવો છે. 

2 comments:

  1. આ નવી પણ સાચી વાત છે.

    ReplyDelete
  2. Dost Urvish--"રિએક્શન" માં ભરવાઈ જવું અર્થાત દરેક આલિયા માલીયા ની વાત નો જવાબ આપવા માં પડવું, તમે આન્સરિંગ મશીન બની જાઓ. લોકો પોતાની વાત પહેલે થી જ સાચી માની ને સામે વાળા ની ખોટી ; આ સાબિત કરવામાં જ બધાં આર્ગ્યુમેન્ટ્સ કરતાં રહે છે. શું સાચું છે તે નહીં પરંતુ," મારુ સાચું છે" તેની આગ માં બંને સળગે છે --તેનું નામ રિએકશન
    રિસ્પોન્સ આપવા માં વ્યક્તિ ની વિવેક બુદ્ધિ વપરાય /પરખાય છે. જવાબ માં કોને કેહવું, કેટલું કેહવું,અને ક્યારે ના કેહવું- આ ત્રણેય રિસ્પોન્સ છે. ઉમર માં નાના હોય, શીખે તેમ હોય તો તેમને કરુણા રાખી ને સાચી વાત સવિસ્તારે સમજાવાય। ઉમર માં મોટા હોય ને શીખવા માટે બંધ હોય તેમની પાછળ સમય ના બગાડાય। અમુક વખતે મૌન સૌથી સારો રિસ્પોન્સ હોય છે. સાચો રિસ્પોન્સ બંને ને શાંતિ અર્પે છે.

    ReplyDelete