Saturday, June 30, 2018

"આ બધું શું ચાલી રહ્યું છે એ સવાલ લોકોએ આઇટી સૅલને નહીં, પક્ષપ્રમુખને પૂછવો જોઈએ.” : ભાજપના આઇટી સૅલના સ્થાપક પ્રદ્યુત બોરા

(પિયશ્રી દાસગુપ્તા, ફીચર્સ અૅડિટર, હફિંગ્ટન પોસ્ટ, ૨૫-૬-૨૦૧૮ના અંગ્રેજી લેખનો અનુવાદ)

વર્ષ ૨૦૦૭. ઉત્તર પ્રદેશ. ભાજપના પ્રમુખ રાજનાથસિંઘ અને તેમના મિડીયા સહાયક પ્રદ્યુત બોરા કારમાં ચૂંટણીપ્રચાર માટે નીકળ્યા હતા. અચાનક રાજનાથ સિંઘે બોરાને પૂછ્યું, ‘ભાજપે એવું શું કરવું જોઈએ, જેનાથી તે બીજા પક્ષોની આગળ નીકળી જાય?’ ૩૩ વર્ષના બોરાને સવાલ સાંભળીને નવાઈ લાગી. પક્ષમાં જોડાયે તેમને હજુ ત્રણ વર્ષ પણ થયાં ન હતાં ને તે કોઈ રાજકીય પરિવારમાંથી પણ ન હતા. પરંતુ તેમણે તક ઝડપી લીધી. યાદ રહે. આ વાત ૨૦૦૭ની છે, જ્યારે ફેસબુક અને ટ્વિટર માંડ એક વર્ષ જૂનાં હતાં. ઇન્ફર્મેશન ટૅકનોલોજી ક્ષેત્રનો ઉદ્યોગ ધમધમી રહ્યો હતો અને બોરાને લાગ્યું કે એકેય રાજકીય પક્ષ પાસે એવી કોઈ વાત નથી, જે નવા મતદાર બનેલા યુવા વ્યાવસાયિકો આકર્ષી શકે.

આ સંવાદના થોડા મહિના પછી ભાજપના આઇટી સૅલનો જન્મ થયો. બોરા તેના રાષ્ટ્રીય સંયોજક હતા. એ વાતનાં અગીયાર વર્ષ પછી બોરા ગુરગાંવમાં ઑફિસ ધરાવતી ક્લીન એર ટૅકનોલોજીની કંપની ચલાવે છે અને કહે છે કે તેમના માનસસંતાન જેવો ભાજપનો આઇટી સૅલ ઓળખી પણ ન શકાય એ હદે બદલાઈ ચૂક્યો છે. 'એ ફ્રૅન્કેસ્ટાઇને સર્જેલા રાક્ષસ જેવો બની ગયો છે.’


તમે ભાજપમાં કેવી રીતે જોડાયા? 
હું મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું, તેમાં પહેલી પ્રાથમિકતા નોકરી મેળવવાની હોય. એટલે  વિદ્યાર્થી અવસ્થામાં મેં કદી રાજકારણમાં કે બીજી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો ન હતો. સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી હું સાહિત્ય ભણ્યો અને અમદાવાદની IIMમાંથી મેં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન મૅનેજમૅન્ટ કર્યું. પછી નોકરી કરી, પરણ્યો અને ૩૦ વર્ષનો થયો ત્યારે રાજકારણમાં જોડાયો.

રાજકારણમાં જોડાવાનું કેવળ તરંગથી દોરવાઈને થયું? 
હું મૅનેજમૅન્ટ કન્સૅલ્ટન્ટ હતો. કેવી રીતે બદલાવ આણવો તેની સલાહ કંપનીઓને આપતો હતો. મને થયું કે કંપનીઓને કેવી રીતે બદલાવું એ કહી શકતો હોઉં તો દેશને બદલવા માટે કામ કેમ ન કરવું? આમ તો એ ફલક વિસ્તારવાની જ વાત હતી. તમે ૩૦ વર્ષના હો ત્યારે દુનિયા બદલવાનું ને એવું બધું તમને શક્ય લાગતું હોય છે.

આ સપ્ટેમ્બર ૨૦૦૪ના અરસાની વાત છે, જ્યારે ભાજપે કેન્દ્રમાંથી તાજેતાજી સત્તા ગુમાવી હતી.
હું મિસ્ટર વાજપેયીનો મોટો પ્રશંસક હતો. એટલે મને થયું કે એ ફરી જીતવા જોઈએ અને તેના માટે મારે કંઈક કરવું જોઈએ. અલબત્ત, તેમની તબિયત આટલી ઝડપથી કથળી જશે તેનો અમને ખ્યાલ ન હતો. ગમે તે હોય, પણ એ ખ્યાલો અને આદર્શો સાથે હું ૨૦૦૪માં ભાજપમાં જોડાયો. ૨૦૦૭માં મેં આઇટી સૅલની સ્થાપના કરી. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીઓ વખતે મને એલ. કે. અડવાણીની કમ્યુનિકેશન ઑફિસની જવાબદારી સોંપાઈ.

(ભાજપમાં જોડાયા પછી તરત બોરાને દિલ્હી ભાજપના મિડીયા સૅલમાં અરુણ જેટલીના હાથ નીચે મુકવામાં આવ્યા. ત્યારે મિડીયા સૅલના સંયોજક સિદ્ધાર્થનાથ સિંઘ હતા, જેમને બોરા રીપોર્ટ કરતા હતા. રાજકારણમાં જોડાતાં પહેલાં બોરાએ દિલ્હીમાં સિનેમા ધરાવતા ડીટી ગ્રુપ સાથે કામ કર્યું હતું. તેમની પહેલી નોકરી સાહિત્યના પ્રતિષ્ઠિત સામયિક બિબ્લિઓમાં હતી, જે બોરા ગૌરવપૂર્વક સંભારે છે. ૨૦૦૭માં મિડીયા સૅલમાંથી બોરાને પસંદ કરીને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં રાજનાથ સિંઘના મિડીયા સહાયક તરીકે મૂકવામાં આવ્યા. એ વર્ષનો આખો જાન્યુઆરી બોરા રાજનાથસિંઘ સાથે ફર્યા. મે-જૂનમાં પક્ષે બે નવા સૅલની જાહેરાત કરી, જેમાં એક બોરાનો આઇટી સૅલ હતો અને બીજો  હતો કાઉ પ્રોટેક્શન સૅલ.)

આઇટી સૅલ શા માટે અસ્તિત્વમાં આવ્યો?
એક દિવસ અમે કારમાં કાનપુરથી લખનૌ જતા હતા, ત્યારે રાજનાથસિંઘે સાવ એમ જ પૂછ્યું, ‘તો પ્રદ્યુતજી, પક્ષમાં આપણે એવું શું કરવું જોઈએ, જે અત્યારે નથી થઈ રહ્યું?’

મારા દિમાગની બત્તી કેવી રીતે થઈ, મને યાદ નથી. પણ મેં કહ્યું, ‘સર, મૅનેજમૅન્ટના વિદ્યાર્થી તરીકે અમને હંમેશાં CRMતરફ ધ્યાન રાખવાનું શીખવવાનું આવતું હતું. CRM એટલે કસ્ટમર રીલેશનશીપ મૅનેજમેન્ટ. કોઈ વસ્તુ વેચી કાઢવાનું પૂરતું નથી. ત્યાર પછી પણ ગ્રાહક સાથેનો નાતો જળવાઈ રહેવો જોઈએ, જેથી તે ફરી એ વસ્તુ ખરીદવા આવે. કૉર્પોરેટ ક્ષેત્રમાં CRM હોય તો રાજકીય પક્ષોમાં VRM કેમ નહીં? વોટર રીલેશનશીપ મૅનેજમૅન્ટ.’

રાજનાથસિંઘે કહ્યું, 'આઇડીયા તો સારો છે. આપણે કરીએ. પણ એ કરવાનું કેવી રીતે?’
‘સર, પાર્ટીમાં પચીસ સૅલ છે. આપણે વધુ એક સૅલ બનાવીએ—આઇટી સૅલ.’
આઇટી સૅલ બન્યો, ત્યારે પક્ષમાંથી કેટલાક લોકો આવીને મને વધામણી આપી ગયા અને કહ્યું, ઇન્કમ ટેક્સ સૅલ ઉભો કરવા બદલ અભિનંદન.’

તમે આઇટી સૅલની શરૂઆત કરી ત્યારે તમે શું સિદ્ધ કરવા ઇચ્છતા હતા?
આ સોશ્યલ મિડીયા પહેલાંના જમાનાની વાત છે. સૅલનો પહેલો હેતુ પાર્ટીને સ્વયંસંચાલિત બનાવવાનો હતો. મતદારો સુધી પહોંચતાં પહેલાં પાર્ટીને સ્વયંસંચાલિત કરવી જરૂરી હતી. બીજો હેતુ મતદારો સુધી પહોંચવાનો અને ત્રીજો ઇન્ફર્મેશન ટૅકનોલોજીને લગતી નીતિવિષયક બાબતોમાં પક્ષને સલાહ આપવાનો હતો.

આઇટી સૅલ પક્ષને કેવી નીતિવિષયક બાબતોમાં સલાહ આપતો હતો?
ઘણી બધી બાબતોમાં. ૨૦૦૭માં બૅન્ડવિડ્થનો પડકાર બહુ મોટો હતો. ઇન્ટરનેટ સેવાઓના વિસ્તરણ અંગે મુખ્ય વિરોધપક્ષ તરીકે ભાજપની નીતિ શી હોવી જોઈએ? એ વખતે VoIP (વૉઇસ ઑવર ઇન્ટરનેટ પ્રોટોકૉલ)ની ચર્ચા હતી, જેનો અમલ થયો ન હતો. એ મુદ્દે ભાજપનું વલણ શું હોવું જોઈએ? મને યાદ છે ત્યાં સુધી અમે પંદર રાજ્યોમાં આઇટી સૅલ બનાવ્યા.

કેવા પ્રકારની આવડત ધરાવતા લોકોને આઇટી સૅલમાં ભરતી કરવામાં આવતા હતા?
મોટા બાગના લોકો આઇટી વિશે ઉત્સાહી અને તેમના કામમાં નિષ્ણાત હતા. તેમને પક્ષમાં પણ રસ હતો. એ વિશુદ્ધપણે ટૅકનોલોજીનો મામલો હતો. લોકોને ગાળો દેવાની અને ટ્રોલિંગ કરવાની વાત ત્યારે ન હતી.

તમારા કાર્યકાળ દરમિયાન આઇટી સૅલની મહત્ત્વની સિદ્ધિઓ?
મને લાગે છે કે ટૅકનોલોજીનો અમે જેવો ઉપયોગ કર્યો તેવો બીજો કોઈ ત્યારે કરતું ન હતું. કૉંગ્રેસતરફી ધરાવતાં પ્રસાર માધ્યમોએ પણ જાહેર કર્યું હતું કે ટૅક્નોલોજીના મામલે ભાજપ કૉંગ્રેસ કરતાં ઘણું આગળ છે. યુવાનોને આકર્ષવા માટે આઇટી વાપરવાના મામલે અમે બહુ સફળ રહ્યા. વર્ષ ૨૦૦૦ના દાયકાની શરૂઆતનાં વર્ષો આઇટીની ચઢતી કળાનાં હતાં. પહેલાં રાજકારણ વિશે ન કશો વિચાર ન કર્યો હોય એવા ઘણા લોકો એ દિશામાં વિચારી રહ્યા હતા. આઇટીમાં અમારો રસ અને યુવાનોને આકર્ષવા માટે આઇટીનો ઉપયોગ કરવાની અમારી રીતથી ઘણા યુવાનો ભાજપ સાથે સંકળાયા. પક્ષને સ્વયંસંચાલિત બનાવવાની બાબતમાં પણ અમારી કામગીરી સારી રહી.

(બોરાએ હફિંગ્ટન પોસ્ટ, ઇન્ડિયાને આપેલી આઇટી સૅલના લેખિત દસ્તાવેજની નકલની શરૂઆત જ 'જય વિજ્ઞાન'થી થાય છે. આગળ તેમાં એ સમજાવવામાં આવ્યું છે કે રાજકારણમાં ભલે વકીલોનો દબદબો રહ્યો હોય, પણ પક્ષે જોયું છે કે આઇટી ક્ષેત્રના લોકો પણ રાજકારણ તરફ ઢળી રહ્યા છે.

“આઇટી સૅલનો બીજો હેતુ આઇટી ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોને આકર્ષીને તેમને જાહેર ક્ષેત્રમાં કામ કરવા માટેનો મંચ પૂરો પાડવાનો છે. ભારતની સ્વતંત્રતાની ચળવળની આગેવાની પ્રૉફેશનલ્સે લીધી હતી, એ હકીકતમાંથી આઇટી સૅલે પ્રેરણા લીધી છે.” (દસ્તાવેજમાંથી)

દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણે, આઇટી સૅલનું કામ એવું માળખું ઊભું કરવાનું હશે, જેના થકી પક્ષના કાર્યકરો એકબીજા સુધી અને લોકો સુધી સહેલાઈથી પહોંચી શકે. તેણે આઇટી ક્ષેત્રના વ્યાવસાયિકોને વિવિધ મુદ્દે ચર્ચા માટે પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. એવા કેટલાક મુદ્દાઃ "ફક્ત ખાનગી નફાખોરી માટે નહીં, પણ વ્યાપક જનહિત માટે આઇટીનો કેવી રીતે ઉપયોગ થઈ શકે? સરકારી અને ખાનગી સેવાઓ વધુ સારી રીતે પૂરી પાડવામાં તે કેવી રીતે કામ લાગે? આવક રળી આપનારી પ્રવૃત્તિમાં તે શી રીતે મદદરૂપ બની શક? શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેની ખાઈ પુરવામાં તે શું કરી શકે?” (દસ્તાવેજમાંથી)

૨૦૦૯ની ચૂંટણીમાં ભાજપની હાર થયા પછી પક્ષપ્રમુખ તરીકે રાજનાથસિંઘની મુદત પૂરી થઈ. બોરા તેમના વતન આસામમાં પક્ષના જનરલ સેક્રેટરી તરીકે જતા રહ્યા. ત્યાં સુધીમાં આઇટી સૅલનો હવાલો અરવિંદ ગુપ્તાએ સંભાળ્યો હતો. એ નવા પ્રમુખ નીતિન ગડકરી દ્વારા નિમાયેલા હતા. ૨૦૧૫માં બોરાએ ભાજપને રામ રામ કરી દીધા અને આસામમાં નવો પક્ષ સ્થાપ્યોઃ લિબરલ ડૅમોક્રેટિક ફ્રન્ટ. તેમના પક્ષે આસામની ૧૪ બેઠકો પર ઉમેદવારી નોંધાવી અને એ બધે તેમના ઉમેદવારોની હાર થઈ. છતાં તે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે આયોજન કરી રહ્યા છે. )

આઇટી સૅલમાં તમે કેવો વારસો છોડી જવા ઇચ્છતા હતા?
મારો વારસો છે જ નહીં. તેનું તો શીર્ષાસન થઈ ગયું છે. કદાચ ખરાબ લાગે એવું ઉદાહરણ આપીને કહું તો, તમારા વારસાનું શું થયું, એવું મિસ્ટર વાજપેયીના કોઈ પૂછે તો? એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. સદ્નસીબે અમારી વખતે સોશ્યિલ મિડીયા ન હતું. એ ભારતમાં આવ્યું હતું ખરું, પણ એ વખતે લોકોએ તેને અપનાવ્યું ન હતું.

સોશ્યલ મિડીયાના અત્યારના રાક્ષસી સ્વરૂપની સંભાવના તમે વિચારી હતી?
કોઈએ તે વિચારી ન હતી. પણ અમે તેની અસરો અંગે બહુ ઉત્સાહી હતા. એ વખતે અમે તેનો તાગ મેળવી રહ્યા હતા ત્યારે તેમાં લોકશાહીકરણની શક્યતાઓ જ દેખાતી હતીઃ સામગ્રીનું લોકશાહીકરણ, જુદા જુદા અવાજોનું લોકશાહીકરણ, મર્યાદિત પહોંચને બદલે તેનું લોકશાહીકરણ, વૈવિધ્યપૂર્ણ વાસ્તવિકતાઓનાં નિરૂપણ-- ટૂંકમાં, બધું સુંદર સુંદર.

અમને લાગતું કે હવે બધાના હાથમાં મિડીયાની તાકાત આવી જશે અને બધા મિડીયામાલિકો બની જશે. તે અત્યારે જેવું છે, એવા સ્વરૂપની કલ્પના કોઈએ કરી ન હતી.

પક્ષે આઇટી સૅલને ધ્રુવીકરણના હથિયાર તરીકે વાપરવાનું શરૂ કર્યું, એવું તમને ક્યા€રથી લાગવા માંડ્યું?
મને લાગે છે કે ૨૦૧૪ના ચૂંટણીપ્રચાર વખતે. ૨૦૧૪ના ચૂંટણીપ્રચાર વખતે આઇટી સૅલ પર સંપૂર્ણ નિયંત્રણ ગાંધીનગરનું હતું અને તેનું સંચાલન સંપૂર્ણપણે ગાંધીનગરથી થતું હતું. મોદી ટીમ આઇટી સૅલ ચલાવતી હતી અને મારા મતે અનિષ્ટ (rot) ની શરૂઆત ત્યારથી થઈ. આઇટી સૅલના ઔપચારિક વડા હતા ખરા, પણ સૅલનાં તમામ સૂત્રો મોદી ટીમ પાસે હતાં. એટલે, ટીમ મોદીએ અનિષ્ટની શરૂઆત કરી.

અત્યારે તમે આઇટી સૅલ વિશે અને તેની પર થતા આરોપો વિશે વિચારો ત્યારે તમને કેવી લાગણી થાય છે?
તેમણે આઇટી સૅલની જે હાલત કરી છે તે જોવાનું પ્રસંગોપાત પીડાદાયક લાગે છે. પરંતુ હું તે વિશે નિર્લેપ રહેવાનો પ્રયાસ કરું છું. સંસ્થાઓ આવે ને જાય. હું આઇટી સૅલને એવી નાનકડી સંસ્થા તરીકે જોઉં છું, જેની સ્થાપના કરવાનો મને લહાવો મળ્યો.

પણ હવે એ નાનકડી સંસ્થા નથી. થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે ઉત્તર પ્રદેશમાં આઇટી સૅલમાં ભાજપ બે લાખ લોકોની ભરતી કરવા માગે છે. 
(હાસ્ય) તમારી પાસે રૂપિયા હોય, તો તમે કંઈ પણ કરી શકો. એ વખતે અમારી પાસે રૂપિયા ન હતા. હું આખી વાતને એ રીતે જોઉં છું કે મને નોકરી મળી. એ મેં સારી રીતે અને પ્રામાણિકતાથી કરી. હવે કોઈએ તેને (સૅલને) ભોંયભેગો કરી દીધો.

તમે એ પણ જાણો છો કે બીજું બધું બાજુ પર મૂકીને માત્ર આઇટી સૅલની વાત ન થઈ શકે. આઇટી સૅલ ભાજપના પ્રમુખના આદેશ પ્રમાણે કામ કરે છે. પ્રમુખ તમને દિશાનિર્દેશ કરે ને તમારે એ પ્રમાણે કામ કરવાનું.

મેં સૅલમાં કામ કર્યું ત્યારે અમે અમારો ચાર્ટર (હેતુપત્ર) બનાવ્યો અને રાજનાથસિંઘને બતાવ્યો. તેમણે એ મંજૂર રાખ્યો અને કહ્યું, 'બરાબર છે, આ કામ તમારું.’
માટે, આઇટી સૅલ જે કંઈ કરે છે તેનો આદેશ તેમના પ્રમુખ પાસેથી મળ્યો હશે.  એટલે આ બધું શું ચાલી રહ્યું છે એ સવાલ લોકોએ આઇટી સૅલને નહીં, પક્ષપ્રમુખને પૂછવો જોઈએ.

તમે ભાજપ કેમ છોડ્યો?
મિસ્ટર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારથી જ હું પક્ષ છોડવા ઇચ્છતો હતો.

તમને એવું કેમ લાગ્યું?
મને અસુખ લાગતું હતું. મને લાગે છે કે હું ઘણું જાણતો હતો. (એટલે) હું અસુખ અનુભવતો હતો. મને લાગતું હતું કે એ પસંદગી બરાબર નથી. પરંતુ મારા સાથીદારો કહેતા હતા કે જાહેર જીવનમાં દરેકને બીજી તક મળવી જોઈએ. એટલે મોદીને પણ મળવી જોઈએ.

તેમણે એમ પણ કહ્યું, ‘દિલ્હીમાં સંતુલનની ઘણી વ્યવસ્થાઓ છે. સર્વોચ્ચ અદાલત છે, પ્રસાર માધ્યમો વધારે આકરાં છે, સંસદ છે...એટલે અમને લાગે છે કે તે (મોદી) બદલાશે. તેમને બીજી તક આપવી જોઈએ.’
એ શાણપણભરી સલાહ હતી. એટલે મેં તક આપી અને રાહ જોઈએ. ફેબ્રુઆરી, ૨૦૧૫માં મેં રાજીનામું આપ્યું. મેં તેમને (મોદીને દસ મહિના આપ્યા. પછી જોયું કે બધું એનું એ જ થઈ રહ્યું હતું. એટલે મારી સમક્ષ રહેલો એકમાત્ર સન્માનજનક વિકલ્પ મેં લીધો અને પક્ષ છોડી દીધો.

(તમે કહ્યું કે બધું એનું એ જ થઈ રહ્યું હતું) 'એનું એ જ' એટલે શું, જરા સમજાવશો?
એનું એ જ એટલે ગુજરાતમાં જે થયું હતું એ. એક માણસ અને તેના અધિકારીઓ જ બધું ચલાવતા હોય. એ જ કેન્દ્રમાં પણ થવા લાગ્યું. હકીકતમાં એક માણસ દેશ ચલાવે છે અને બીજો એક માણસ પક્ષ ચલાવે છે. ફક્ત એક માણસ અને તેની ટોળકી આખો દેશ ચલાવે છે. પ્રસાર માધ્યમો, સમાજ અને વિરોધી સૂરો પણ ગુજરાતમાં થતી હતી એવી જ જાસુસી અને એવું જ દબાણ. ગુજરાતની માફક એક જ માણસ બધા નીતિવિષયક નિર્ણય લીધા કરે-- નોટબંધી, જીએસટી, આ ને તે. દસ મહિનામાં મને સમજાઈ ગયું કે સ્થિતિ બદલાવાની નથી.

તમે ૨૦૦૪માં ભાજપમાં જોડાયા. ત્યાર પહેલાં ૨૦૦૨માં ગુજરાતમાં રમખાણ થયાં હતાં અને તેનાથી પણ પહેલાં અડવાણી પર અશાંતિ સર્જવાનો આરોપ હતો, જેને કારણે આખરે બાબરી મસ્જિદને તોડી નાખવામાં આવી અને હુલ્લડો ફાટી નીકળ્યાં. તમે કહ્યું કે તમે દેશ માટે કંઈક કરવા ઇચ્છતા હતા. તો પક્ષના કોમી ઇતિહાસને તમે શી રીતે નજરઅંદાજ કર્યો?
મને નથી લાગતું કે આ હિંસા પાછળ કશો તર્ક હોય. ૨૦૦૨માં મને એ વાતનું બહુ ગૌરવ હતું કે વાજપીયે 'રાજધર્મ'ની વાત કરી અને મોદીના ભેદભાવપૂર્ણ રાજકારણ અંગે પોતાની અસંમતિ જાહેર કરી. (આરટીઆઇ દ્વારા મળેલા એક પત્ર થકી જાણવા મળે છે કે ભાગ્યે જ બને એવા ઘટનાક્રમમાં, અટલબિહારી વાજપેયીએ રમખાણો પછી મોદીને એક પત્ર લખ્યો હતો. તેમાં મુખ્ય મંત્રી તરીકેની તેમની ફરજની યાદ અપાવીને લખ્યું હતું કે તેમનું કામ ભેદભાવને હવા આપવાનું નથી.)

એ જુદી વાત છે કે પક્ષના આંતરિક રાજકારણને લીધે તે મોદીને મુખ્ય મંત્રીપદેથી કાઢી શક્યા નહીં. એ કાઢવા ઇચ્છતા હતા ખરા. ગોવાની ફ્લાઇટમાં બધા તેમની પર તૂટી પડ્યા અને એ કશું કરી શક્યા નહીં. તેમની આ લાચારી અંગે મારી તેમના પ્રત્યે સહાનુભૂતિ છે. એક તો, તે ૨૩ પક્ષોની બનેલી યુતિ સરકાર ચલાવી રહ્યા હતા. તેમની સ્થિતિ સંપૂર્ણ સત્તાધીશ તરીકેની ન હતી. પક્ષમાં પણ ખરી સત્તા અડવાણી પાસે હતી. મને લાગતું હતું કે તે (વાજપેયી) બદલાવ ઇચ્છી રહ્યા છે. પણ તે કશું કરી શકતા નથી. મારું ભાજપ પ્રત્યેનું આકર્ષણ ભાજપ કે આરએસએસને કારણે નહીં, મિસ્ટર વાજપેયીને લીધે હતું.

આઇટી સૅલની ગતિને તમે કેવી રીતે વર્ણવશો?
આઇટી સૅલની ગતિ (ટ્રૅજેક્ટરી) કંઈક અંશે 'સીમી' જેવી થઈ. 'સીમી' (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમૅન્ટ ઑફ ઇન્ડિયા)ની શરૂઆતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર તેના પહેલા પ્રમુખ અત્યારે અમેરિકામાં પ્રોફેસર છે અને 'સીમી' પર ભારતમાં પ્રતિબંધ છે. તેમણે 'સીમી'ની શરૂઆત જુદા હેતુથી કરી હતી. તે પછાત મુસ્લિમ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા ઇચ્છતા હતા. શિક્ષણની તાકાતથી આગળ વધવામાં તેમને મદદરૂપ થવાનો સીમીનો મૂળ આશય હતો.

પણ પછી તે પ્રતિબંધિત સંગઠન બન્યું. આઇટી સૅલ પણ બહુ જુદા હેતુથી શરૂ થયો હતો.  તે લોકોને ગાળો દેવા શરૂ નહોતો કરાયો. મને લાગે છે કે ૨૦૦૪માં જે લોકો પક્ષમાં જોડાયા તેમના કે ખુદ પક્ષના પણ એ વખતે એવા સંસ્કાર ન હતા. ભાજપ સંસ્કારી પક્ષ હતો. મતલબ, તેમાં કંઈક ઠેકાણું હતું, કંઈક સભ્યતા હતી. હવે તેણે બધી હદો વટાવી દીધી છે.

આઇટી સૅલના હાલના સ્વરૂપને કેવી રીતે ઠીક કરવું એ વિશે તમે કંઈ સલાહસૂચન આપશો?
જ્યાં સુધી તમે પક્ષપ્રમુખને ઠીક ન કરો, ત્યાં સુધી તમે આઇટી સૅલને સરખો ન કરી શકો.

Link of original articel
https://www.huffingtonpost.in/2018/06/22/its-like-frankensteins-monster-the-father-of-the-bjps-it-cell-says-team-modi-started-the-rot_a_23464587/

No comments:

Post a Comment