Thursday, March 28, 2024

(શાકા)હાર અને જીત

પોતાને બાકીનાથી ચડિયાતી માનતી એક જ્ઞાતિ વિશે એક રમૂજ હતીઃ

‘કોઈ માણસ (આગળ જણાવેલી) જ્ઞાતિનો છે એવી ખબર પડતાં કેટલી વાર લાગે?’
‘બે મિનીટ.’
‘એમ? શી રીતે?’
‘એ માણસ જાતે જ કહી દે. એનાથી રહેવાય જ નહીં.’
આ રમૂજ તમામ પ્રકારના ઓળખના અભિમાન માટે સાચી છે, પછી તે અભિમાન શાકાહારી તરીકેનું હોય કે માંસાહારી તરીકેનું.

શાકાહારી-માંસાહારીની ખેંચતાણ નવી નથી. દાયકાઓથી માંસાહારીઓ શાકાહારીઓનો ‘દાળભાતખાઉ’ તરીકે અને શાકાહારીઓ માંસાહારીઓનો ‘માંસમચ્છીખાઉ’ તરીકે એકડો કાઢતા રહ્યા છે. શાકાહાર સારો કે માંસાહાર કે બંને સારા કે બંને ખરાબ—એ માહિતીલેખનો વિષય છે, પણ બંને બાજુમાંથી જે ઝનૂનીઓ હોય તેમની માનસિકતા હાસ્યલેખનો વિષય છે.

ભારતીયોને બીજું કશું સ્પર્શે કે ન સ્પર્શે, સ્પર્શ બહુ સ્પર્શે છે. એટલે જ, દુનિયાની બીજી કોઈ સંસ્કૃતિ-પરંપરામાં નથી એવી અસ્પૃશ્યતા ભારતમાં અમુક હજાર વર્ષનો ઇતિહાસ ધરાવે છે અને પરંપરાવાદીઓને તો તે વળી ગૌરવવંતો પણ લાગે છે. પરંપરામાં, ખાસ કરીને કોઈ પણ ધર્મની પરંપરામાં, તર્ક થોપી બેસાડવાનું સૌથી સહેલું અને સાચો તર્ક શોધવાનું બહુ અઘરું હોય છે. અસ્પૃશ્યતા ધર્મ સાથે સંકળાયેલી છે કે નહીં, તે નક્કી કરવાનું કામ ધર્મના એવા જાણકારોનું છે, જેમને નરેન્દ્ર મોદીની આંગળી પકડીને ચાલતા રામના ચિત્ર સામે સરખો વાંધો પડતો હોય, જેમને ખબર હોય કે વૈદિક ગણિતને વેદ સાથે કશી લેવાદેવા નથી અને પુષ્પક વિમાન એ વિજ્ઞાનકથા નહીં, સાદી કથા છે. ટૂંકમાં, જેમને ધર્મ સાથે સંકળાયેલી જ્ઞાનપરંપરાનો સાચો અભ્યાસ હોય.

અસ્પૃશ્યતા ધર્મમાં હોય કે ન હોય, પણ તે સદીઓથી ચાલતી રહી છે ધર્મના નામે અને તેનો ઇન્કાર થઈ એમ નથી. આમ કહ્યા પછી યાદ આવે છે કે આજકાલ તો ગમે તેવા સ્થાપિત સત્યનો પણ ઇન્કાર થઈ શકે છે અને ઇન્કાર કરનારને સરકાર તરફથી ને સમાજ તરફથી પુરસ્કૃત કરવામાં આવે એવું પણ બને છે. છતાં, મુદ્દો એ નથી.

મુદ્દો એ છે કે ધર્મના નામે આચરાતી ઘણી ક્રૂરતાઓ હાસ્યાસ્પદ તર્ક ધરાવતી હોય છે. અસ્પૃશ્યતા પણ એવી જ એક હાસ્યાસ્પદ ક્રૂરતા છે. અત્યાર લગી તેનો સંબંધ અમુક જ્ઞાતિઓ સાથે હતો. ચોક્કસ જ્ઞાતિના લોકોને સ્પર્શ કરવાથી અપવિત્ર થઈ જવાય, એવું મનાતું હતું. નવા જમાનામાં એટલે કે ન્યૂ ઇન્ડિયામાં કેટલાક શાકાહારીઓ હવે તેમના મનમાં ધરબી રાખેલી માંસાહારીઓ પ્રત્યેની અસ્પૃશ્યતા ગૌરવપૂર્વક જાહેર કરી રહ્યા છે. ‘અમે તો માંસાહારમાં વપરાયેલી અને ધોવાઈને સ્વચ્છ થયેલી ચમચી પણ શાકાહારી ભોજન માટે ન વાપરીએ. કારણ કે અમે શુદ્ધ શાકાહારી છીએ.’—એવી દલીલથી માંડીને ‘શાકાહારી ભોજનની ડિલીવરી કરવા માટે અમે ફક્ત શાકાહારી માણસોને જ પસંદ કરીશું’—એવી બાહેંધરીઓ ઉત્તમતાના ભાવ સાથે જાહેર કરવામાં આવે છે.

રેસ્તોરાંમાંથી ભોજન લોકોના ઘરે પહોંચાડતી એક જાણીતી ફૂડ ડીલીવરી કંપનીના એક ભાઈએ તો એટલી હદ સુધી જાહેરાત કરી દીધી કે શાકાહારી ભોજનની ડીલીવરી કરનારા સ્ટાફનો યુનિફોર્મ પણ અલગ રાખવામાં આવશે.
તેમની જાહેરાતની આકરી ટીકા થયા પછી તેમણે અલગ યુનિફોર્મનો નિર્ણય માંડવાળ રાખ્યો છે, પણ અલાયદા શાકાહારી સ્ટાફ માટેની તેમની બાંહેધરી ચાલુ છે.

ઘણા શાકાહારીઓને માંસાહારનાં દર્શન, સુગંધ કે ઉલ્લેખમાત્રથી સુગ ચડી શકે છે. તેનાથી દૂર રહેવું એ તેમનો અધિકાર છે. પરંતુ માંસાહાર કરનારા લોકો ઉતરતી કોટીના, નીચલી જાતિઓના, અપવિત્ર, વિધર્મી કે ધર્મભ્રષ્ટ છે—એવી માન્યતા વ્યક્ત કરવી એ કોઈનો કે કોઈના પિતાશ્રીનો અધિકાર નથી. એટલે જ, માંસાહાર કરનાર શાકાહારને સ્પર્શે તો શાકાહાર અપવિત્ર થઈ જાય, એમ માનવું પૂર્વગ્રહ અને અમુક કિસ્સામાં જ્ઞાતિવાદ કે ધાર્મિક દ્વેષ પણ હોઈ શકે છે.

આ એવી તાર્કિક વાત છે, જે માસિક સ્રાવના દિવસોમાં સ્ત્રીને અસ્પૃશ્ય ગણનારી પ્રજાને સમજાવવી અઘરી છે. કેમ કે, ભારતીય પરંપરામાં અપવિત્રતાને ઇલેક્ટ્રિસિટીની જેમ સ્પર્શથી પ્રસરનારી ગણવામાં આવે છે. કહેવાતા અપવિત્ર માણસને સ્પર્શનાર અપવિત્ર થઈ જાય અને તેને અડનાર ત્રીજો માણસ પણ અભડાઈ જાય. તે બધાએ સ્વચ્છ થવું પડે. આટલું કડક ધોરણ એ પ્રજા રાખે છે, જે અન્યથા ગંદકીમાં રાચે છે અને ગંદકી કરતાં જરાય ખચકાતી નથી. કેમ કે, પવિત્ર લોકોને ગંદકી કરવાનો અધિકાર છે અનેં તેમણે કરેલી ગંદકી સાફ કરનારને સ્પર્શવાથી અપવિત્ર થઈ જવાય, એવું સમીકરણ છે.

રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ના એક કટાક્ષલેખમાં એ મતલબનો સવાલ હતો કે અસ્પૃશ્યને ઘીની લાકડીથી મારવામાં આવે તો મારનાર અભડાય કે નહીં? ન્યૂ ઇન્ડિયામાં, માંસાહાર અને તે કરનારા સામે નવેસરથી જાગેલા ઓળખ-અભિમાનમાં પાઠકસાહેબનો સવાલ જુદી રીતે પ્રસ્તુત બને છે. માંસાહાર કરનાર શાકાહારીના ભોજનના પેકેટ પર પાણીની છાંટ નાખીને તેની ડીલીવરી કરે, તો અભડાયેલો ખોરાક પાછો પવિત્ર થઈ જાય? શાકાહારી ખોરાક ડિલીવરી કરનાર શાકાહારનું પડીકું લઈને માંસાહારી હોટેલની બહારથી પસાર થાય અને તેના રસોડામાંથી બહાર નીકળતી હવા તેને અડે, તો શાકાહારી કે તેની પાસે રહેલો ખોરાક કે બંને અપવિત્ર બને? શાકાહારી ડીલીવરી કરનાર જે વાહન ચલાવતો હોય તેનાં સ્પેરપાર્ટમાં કોઈ પ્રાણીજ પદાર્થનો અંશ હોય તો તેની પાસે રહેલો શાકાહારી ખોરાક અખાદ્ય બને?

એક દેશ તરીકે આટલા મહત્ત્વના અને સળગતા સવાલ આપણી સમક્ષ ઊભા હોય ત્યારે બંધારણ અને લોકશાહીના હાર્દનો ઘડોલાડવો કરવાનાં સતત ચાલતાં કાવતરાં વિશે ચિંતા કરનારને દેશદ્રોહી નહીં તો બીજું શું કહીએ?

Sunday, March 17, 2024

ટેલેન્ટ શોના માળખાનું ‘સજ્જડબંબ પાંજરું પહોળું થયું’

આજે મહિલા દિવસ ન હતો. કોઈ સરકારી બેટી/કન્યાલક્ષી ઉજવણું પણ ન હતું. આમ જુઓ તો હતો નડીયાદની સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજનો ટેલેન્ટ શો. પણ તેનું વિચારબીજ, તે બીજને કેન્દ્રમાં રાખીને થયેલું આયોજન અને આજે સવારે થયેલો તેનો અમલ જોયા પછી થયું કે એક કોલેજ-એક વિદ્યાસંસ્થા ધારે તો શું કરી શકે—અને એ વાત આપણી આસપાસના વાતાવરણમાંથી કેટલી હદે ભૂંસાઈ ગઈ છે.

મહિલા આર્ટ્સ કોલેજ અને ખાસ તો તેની એક વિશિષ્ટ પ્રવૃત્તિ વીરામૃત કોલેજ ઓન વ્હીલ્સ સાથે સંકળાયેલા હોવાનો નાતો અને કોલેજના આચાર્ય-પરમ મિત્ર હસિત મહેતા સાથે લગભગ ત્રણ દાયકાની ગાઢ દોસ્તી –આ બંને પરિબળો બાજુ પર રાખ્યા પછી પણ કહેવું પડે કે આવો અસાધારણ, સંવેદનસભર છતાં સાત્ત્વિક રંજકતાથી ભરપૂર કાર્યક્રમ કદી જોયો નથી.

હસિત મહેતાને ઓળખતા લોકો જાણે છે કે તેમને અવનવા મૌલિક વિચાર આવે છે અને તેને સાકાર કરવા માટે પોતાનાં અને સાથીદારોનાં રાતદિવસ એક કરી-કરાવીને જ જંપે છે. એવો જ એક વિચાર હતોઃ કોલેજના ટેલેન્ટ શો નિમિત્તે કંઈક જુદું કરવાનો. જુદું એટલે એવું કશું, જેમાં મહિલા આર્ટ્સ કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓનો સંઘર્ષ અને તેમની સફળતા ઉજાગર થાય. થોડા મહિના પહેલાં આવેલા આ વિચાર પછી ધીમે ધીમે કાર્યક્રમનું સ્વરૂપ ઘડાતું ગયું અને કેટલાક પાયાના નિયમ નક્કી થતા ગયા. જેમ કે,

  • આ કાર્યક્રમનો આશય કોલેજના પ્રચારનો કે કોલેજ કેટલી મહાન છે, તે દર્શાવવાનો નથી. તેનું સઘળું લક્ષ્ય કોલેજમાં ભણતી છોકરીઓની આવડત પર હોવું જોઈએ.
  • ટેલેન્ટ શોમાં સામાન્ય રીતે હોબીમાં સ્થાન પામતી કળા/આવડતો પ્રદર્શિત થતી હોય છે. આપણા ટેલેન્ટ શોમાં તે સિવાય જીવનલક્ષી કસબો-વ્યવસાયોને પણ સ્થાન મળવું જોઈએ.
  • ફક્ત એવી જ વિદ્યાર્થિનીઓને શો માટે પસંદ કરવી, જે તેમના કસબ કે કળામાંથી કમાતી હોય. કેમ કે, મોટા ભાગના કિસ્સામાં એવી કમાણી તેમના ઘર માટે ઉપયોગી અને ટેકારૂપ હોવાની.
  • કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનો પણ શોમાં સમાવેશ કરવો.
  • કાર્યક્રમ રૂઢ અર્થમાં ટેલેન્ટ શો નથી. એટલે તેના આમંત્રણમાં ક્યાંય તે શબ્દનો ઉલ્લેખ ન કરવો.

હવે સામાન્ય લાગે એવી આટલી સ્પષ્ટતાઓ સુધી પહોંચવામાં ઘણો સમય નીકળ્યો. પછી શરૂ થઈ વૈવિધ્યપૂર્ણ આવડત ધરાવતી વિદ્યાર્થિનીઓની તલાશ. મહિલા આર્ટ્સ કોલેજમાં નડિયાદ અને તેની આજુબાજુનાં આશરે 200 ગામમાંથી છોકરીઓ ભણવા આવે છે. મોટા ભાગની છોકરીઓ સામાન્ય, સંઘર્ષરત પરિવારોની હોય છે. દલિત-મુસ્લિમ-પછાત છોકરીઓનું પ્રમાણ બહુ મોટું હોય છે. ધીમે ધીમે વિવિધ આવડતવાળી છોકરીઓની યાદી બનાવવાનું કામ શરૂ થયું. અધ્યાપકો પ્રમાણે જવાબદારીઓ વહેંચવામાં આવી. કોઈ પણ છોકરીનું નામ આવે, એટલે તેના કસબની વિડીયો અધ્યાપકો મેળવે અને તે હસિતભાઈને બતાવે. તેના આધારે છોકરીને સામેલ કરવી કે નહીં, તે નક્કી થાય. આ તબક્કો લાંબો ચાલ્યો.

અગાઉ આ પ્રકારના કોઈ કાર્યક્રમનો આધાર ન હોવાથી, દરેકેદરેક બાબત નવેસરથી નક્કી કરવાની હતી. એટલે સવાલ આવ્યો કે ગાય-ભેંસ દોહીને ડેરીમાં દૂધ ભરીને કમાણી કરનાર અને ખેતરમાં પાણી વાળવાનું અને બીજું કામ કરીને રૂપિયા કમાનાર વિદ્યાર્થિનીઓનો આ કાર્યક્રમમાં સમાવેશ થાય?  તે માટે ઝાઝો વિચાર કરવો ન પડ્યો. તરત નિર્ણય થયોઃ કેમ નહીં? ચોક્કસ. થવો જ જોઈએ. એવી રીતે ગીત, અભિનય અને નૃત્ય જેવી પરંપરાગત શોની આવડતો ઉપરાંત, મેક અપ, રંગોળી, મહેંદી, સીવણ અને રાંધણ જેવી, સ્ત્રીઓ સાથે પરંપરાથી સંકળાયેલી આવડતો અને સ્વરક્ષણ, પશુપાલન, ખેતમજૂરી, પતંગ બનાવવી, વેસ્ટમાંથી બેસ્ટ જેવી બીજી ઘણી અનોખી અને અભૂતપૂર્વ આઇટેમો પણ કાર્યક્રમનો હિસ્સો બની.

યાદીમાં એક પછી એક ચીજો ઉમેરાતી ગઈ, તેમ આશ્ચર્ય સાથે આનંદ અને ઉત્સાહ વધતાં ગયાં. કોઈ છોકરીને તેની આવડત વિશે શીખવવાનું ન હતું, પણ મંચ પરથી નિશ્ચિત સમયમાં તેની પ્રસ્તુતિ શી રીતે થાય તે માટે ભરપૂર તૈયારી કરાવવામાં આવી. અગાઉ જણાવ્યું તેમ, કાર્યક્રમના કેન્દ્રસ્થાને કોલેજ નહીં, વિદ્યાર્થિનીઓ હતી. એટલે, હસિતભાઈનાં સક્ષમ સહાયક પારુલ પટેલે બીજી અનેક કામગીરી ઉપરાંત ભાગ લેનારી તમામ વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરીને તેમના વિશેની વિગત મેળવી, જેને કાર્યક્રમની સ્ક્રીપ્ટમાં વણી શકાય.

કાર્યક્રમનું નામ હસિતભાઈના મનમાં ચોંટી ગયું હતુઃ સો દાડા સાસુના, એક દાડો વહુનો. તેમના મનમાં એવો ખ્યાલ હતો કે કોલેજ, શિક્ષકો અને આખો સમાજ ઘણાખરા કિસ્સામાં જૂના જમાનાની ફિલ્મી સાસુઓ જેવું વર્તન રાખતો હોવા છતાં, છોકરીઓ સંઘર્ષથી અને પોતાની આવડત વડે રસ્તો કાઢે છે. તેમને બિરદાવવા માટેનો આ એક દિવસ છે. આ એક દિવસ અંત નહીં, પણ શરૂઆત છે—એવી ભાવના પણ તેમાં સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવે.

તે બાબતને કેન્દ્રમાં રાખીને નિમંત્રણ તૈયાર કરવામાં આવ્યું અને કાર્યક્રમની સ્ક્રીપ્ટ પણ બીરેન કોઠારીએ અને મેં હસિતભાઈને સાથે રાખીને લખી. ત્યારથી લઇને ગઈ કાલે નડીયાદના ઇપ્કોવાલા ટાઉન હોલમાં થયેલા ગ્રાન્ડ રીહર્સલ અને આજે થયેલા કાર્યક્રમનો વિગતવાર અહેવાલ લખવાને બદલે, તેના રેકોર્ડિંગની લિન્ક જ અહીં આપું છું. 

કાર્યક્રમ વિશે એટલું જ કહેવાનું કે આખી ટીમે અત્યાર સુધી કરેલી દૃષ્ટિપૂર્વકની મહેનત ફળી, કાર્યક્રમમાં અનેક વિવિધતા હોવા છતાં અને સ્ટેજ પર અનેક પ્રકારની વસ્તુઓ થોડા થોડા સમય માટે લાવવાની હોવા છતાં, ક્યાંક ગરબડગોટાળા કે વિલંબ ન થયા. કાર્યક્રમ એટલી ચુસ્તીથી પૂરો થયો કે ઘણાને તે ટૂંકો લાગ્યો. વચ્ચે થોડી મિનીટ માટે હોલની લાઇટ ગઈ ત્યારે પણ વિદ્યાર્થિનીઓ, વાલીઓ અને બીજા મહેમાનોથી ભરેલા આખા હોલમાં ક્યાંય અશાંતિ ન સર્જાઈ. અંગ્રેજીમાં જેને 'ટીઅરજર્કર' કહેવામાં આવે છે એવી, લોકોને પકડી પકડીને રડાવે એવી કોઈ વાત કે સૂચન ન હોવા છતાં, છોકરીઓના સંઘર્ષ અને સફળતાની કથાઓ અને તેનું જે રીતે મંચ પરથી ગૌરવ કરવામાં આવ્યું, તે જોઈને કેટલાયની આંખો ભીની થઈ. પત્રકારત્વમાં જેને 'હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી' કહેવામાં આવે છે એવી કથાઓ મહિલા આર્ટ્સ કોલેજમાં લગભગ દરેક વિદ્યાર્થિની પાસે હોય છે. પરંતુ કોઈ વાત છાપામાં કે સોશિયલ મિડીયા પર ચડે ત્યાર પછી જ તેની મહત્તા સમજવાની આદત પડી ગઈ છે. આ કાર્યક્રમ સંવેદનશીલતા પર ચડેલી આદતની-વ્યવહારની ધૂળને ખંખેરીને, અસલી સંવેદન અનુભવવાનું નિમિત્ત બની રહ્યો. 

વધુ તો આ લિન્ક જોઈને ખાતરી કરજો. સળંગ સમય ન હોય તો ટુકડે ટુકડે કરીને જોશો તો પણ તેનું અનોખાપણું અને તેની સંવેદનપ્રેરક તાકાત તમે અનુભવી શકશો. 

 વિડીયોમાં જોવા નહીં મળે એવી કાર્યક્રમની કેટલીક તસવીરોઃ

કાર્યક્રમ પહેલાં, બંધ પરદાની પાછળ, ભાગ લેનાર વિદ્યાર્થિનીઓ સામે
'પ્રોફેસર'નો ક્લાસઃ છેલ્લી સૂચનાઓ આપતા હસિત મહેતા
કાર્યક્રમ શરૂ થતાં પહેલાં, પરદા પાછળ, ભાગ લનેાર વિદ્યાર્થિનીઓ
અને સ્ટાફની સર્વધર્મપ્રાર્થના

હોલમાં અચાનક લાઇટો ગઈ એટલે મોબાઈલ ઝગમગી ઉઠ્યા,
પણ હોલની શાંતિ જરાય ખોરવાઈ નહીં

છેલ્લે, મંચ પર આખા સ્ટાફ સાથે, કોલેજની એનસીસી કેડેટોની
હાજરીમાં જનગણમન...


સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ અને વીરામૃત કોલેજ ઓન વ્હીલ્સનો
આખો સ્ટાફ 

Monday, March 04, 2024

ગુસ્સો આવે ત્યારે...

 હાસ્ય માણસ અને બીજાં પ્રાણીઓને જુદાં પાડનારું પરિબળ છે એવું કહેવાય છે. પ્રચલિત અને વૈજ્ઞાનિક રીતે ખોટી માન્યતા પ્રમાણે, બીજાં પ્રાણીઓ હસી શકતાં નથી, જ્યારે મનુષ્યપ્રાણી હસી શકે છે. તેનાથી સાવ જુદા પાટે એમ પણ કહી શકાય કે, ગુસ્સો માણસ અને બીજાં પ્રાણીઓને એકરૂપ કરનારું, એક હરોળમાં બેસાડનારું લક્ષણ છે. કેટલાક તો આગળ વધીને એમ પણ કહે છે કે ગુસ્સો માણસનું પ્રાણીમાં—વધુ ચોક્સાઈથી કહીએ તો, અસામાજિક પ્રાણીમાં--રૂપાંતર કરી નાખે છે. કેટલાક માણસોનો ગુસ્સો જોઈને એવો વિચાર પણ આવે કે તેમના તે સ્વરૂપને પાશવી-પશુ જેવું ગણાવવામાં પશુઓને અન્યાય થવા સંભવ છે.

પ્રાણીઓ વિના કારણે ગુસ્સે થતાં નથી. તે ચા પીતાં ન હોવાથી, તેમને ખરાબ ચાના કારણે ગુસ્સો આવવાનો સવાલ રહેતો નથી. તે ઓફિસમાં કામ કરતાં નથી. એટલે તેમને કર્મચારીઓ પર ગુસ્સો આવવાની સંભાવના પણ નીકળી જાય છે. તે (સરકસ સિવાય) વાહન ચલાવતાં નથી. એટલે તેમને રોડ રેજ પ્રકારનો, વાહનચાલકસહજ ગુસ્સો ચડતો નથી. તેમનામાં લગ્નસંસ્થા નથી, જમણવારો નથી, કપડાં નથી, હાઉસિંગ સોસાયટી અને ફ્લેટની મિટિંગો નથી, રમતગમત નથી, રાજકારણ નથી, ... ટૂંકમાં, ગુસ્સો પ્રેરનારાં પરિબળોમાંથી ઘણાંખરાં પ્રાણીસૃષ્ટિમાં ગેરહાજર હોય છે. છેલ્લા થોડા સમયના ગુજરાતના પ્રવાહો ધ્યાનમાં રાખતાં એ પણ ઉમેરવું જોઈએ કે પ્રાણીઓ ફિલ્મો બનાવતાં નથી. એટલે તેમની ફિલ્મો જોઈને બીજાં પ્રાણીઓને કે ફિલ્મ જોનાર પ્રાણીઓની ટીકાથી ફિલ્મ બનાવનારાં પ્રાણીઓને ગુસ્સો આવે, એવી શક્યતા નથી.

સામાન્ય માણસોને ગુસ્સે થવા માટે કારણ જોઈએ છે, જ્યારે મહાજનો એવી રીતે વિચારતા નથી. તે પહેલાં ગુસ્સે થઈ જાય છે અને પછી તેનું કોઈ ને કોઈ કારણ શોધી કાઢે છે. કોઈ કારણ ન જડે તો, બસ યું હી, પોતાના હોવાની રૂએ અથવા દિવસનો ક્વોટા પૂરો કરવા માટે પણ તે ગુસ્સે થઈ શકે છે. અલબત્ત, એવો ગુસ્સો મુખ્યત્વે સુખીસંપન્ન માણસોને વધારે આવે છે. મોટી માછલી નાની માછલીને ખાય, એવો માત્સ્યન્યાય સૃષ્ટિનો ક્રમ ગણાય છે. તેમાં ઉમેરો કરતાં કહી શકાય કે દરેક સાહેબ તેની નીચેના કર્મચારી પર ગુસ્સો ઠાલવે, એ પણ સૃષ્ટિનો નિયમ છે. જેમની નીચે કોઈ કર્મચારી નથી, એવા કર્મચારીઓ ઓફિસમાંથી પેકેજમાં છેવટે ગુસ્સો મળે છે. ફક્ત અમુક કંપનીના કે તમુક સ્ટોરમાં જ વાપરી શકાય એવા ગીફ્ટ વાઉચરની જેમ, એવો ગુસ્સો ઘરે જ ચાલી શકે એવો હોય છે. એવા લોકોનાં પરિવારજનોને તેનો ભરપૂર લાભ મળે છે.

કોઈની પર અકારણ પ્રેમ ઢોળવાનું કહેવામાં આવે તો તે અજૂગતું લાગી શકે, પણ કોઈની પર અકારણ ગુસ્સે થવાની વાત એટલી વિચિત્ર નથી લાગતી. આ વાતનાં ઉદાહરણ તરીકે ભાડૂતી ટ્રોલથી માંડીને સાહેબલોકો સુધીના અનેક નમૂના સાંભરી આવશે. પીનેવાલોંકો પીનેકા બહાના ચાહિએ—એવી જ રીતે, ગુસ્સે થનારાને ગુસ્સે થવા માટે ઘણી વાર કારણ નહીં, ફક્ત બહાનું જ જોઈતું હોય છે. તે કોઈના બોલવા પર કે મૌન પર, ચાલવા પર કે ઊભા રહેવા બદલ, હસવા બદલ કે ન હસવા બદલ—ઇચ્છે તે બાબત પર ગુસ્સે ભરાઈ શકે છે.

કહેવાય છે કે માણસ ગુસ્સામાં ભાન ભૂલે છે. એમ તો, પ્રેમમાં પણ તે ભાન ક્યાં નથી ભૂલતો? ફક્ત એટલી હકીકતથી ગુસ્સાને પાશવી કે આસુરી ઠેરવવાનું યોગ્ય નથી. વ્યવહારમાં ઘણા લોકો ચહેરા પર એટલાં મહોરાં ચડાવીને રાખતા હોય છે કે તેમનું સાચું સ્વરૂપ તેમની ભાન ભૂલાયેલી અવસ્થામાં જ જોવા મળે છે. તે દારૂના નશામાં ચકચૂર જણની જેમ લથડિયાં નથી ખાતાં એટલું જ.  તેમના વ્યક્તિત્વની, તેમના શિષ્ટાચાર અને સભ્યતાની ખરી કસોટી તે ગુસ્સામાં હોય ત્યારે થાય છે. ગુસ્સે ભરાયા પછી તે ઉશ્કેરાઈને (ઘોડા-ગધેડા જેવાં) કયાં પ્રાણીઓનું આવાહન કરે છે કે સામેવાળાનાં કયાં મહિલા કુટુંબીજનોનું સ્મરણ કરે છે, તેની પરથી તેના ગુસ્સાનું અને વ્યક્તિત્વના એક અંશનું પણ માપ નીકળી જાય છે. ગાળ એ ગુસ્સાની મસિયાઈ બહેન છે, એવું આ ચિંતનલેખ હોત તો જરૂર લખ્યું હોત. ઘણા ચિંતનલેખો હાસ્યલેખ જ હોય છે, પણ આ ખરેખર હાસ્યલેખ છે. એટલે એવી સરખામણી ટાળીને કહેવું જોઈએ કે ગાળ એ ગુસ્સાની આડપેદાશ નહીં, સીધી જ પેદાશ છે.

ગુસ્સો આવે છે એમ કહેવાથી એવો સવાલ પણ થાય કે બજેટના રૂપિયાની જેમ ગુસ્સો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? ગુસ્સો પેદા મગજમાં થાય એ તો જાણે સમજ્યા, પણ ત્યાર પછી તે કોઈની આંખોમાં, કોઈના નાક પર, કોઈની જીભ પર, તો કોઈના આખા ચહેરા પર તે આવે છે. ગુસ્સાના કારણે કોઈની આંખમાંથી અંગારા વરસે છે (જે સગડી સળગાવવા કે શક્કરિયાં શેકવા જેવા કોઈ ઉપયોગમાં લઈ શકાતા નથી), કોઈના નાકનું ટેરવું વગર લિફ્ટે ઉપર ચડી જાય છે, તો કોઈની આખો ચહેરો તેની પર કોઈએ વઘાર કર્યો હોય એવો તમતમી જાય છે. ઘણાના શરીરમાં ગુસ્સાનું સૌથી પહેલું સ્થાપન જ હાથ કે પગમાં થાય છે. અલબત્ત, હાથ-પગમાં સ્થપાતો ગુસ્સો ચેપી નીવડે અને તેનો ચેપ સામેવાળાને લાગે એવી પૂરી સંભાવના રહે છે. એવું થાય ત્યારે માણસને એટલું અર્ધસત્ય ચોક્કસ સમજાય છે કે ગુસ્સો ખરાબ તો છે—ખાસ કરીને સામેના માણસને આવે ત્યારે.