Showing posts with label election 2014. Show all posts
Showing posts with label election 2014. Show all posts

Thursday, May 29, 2014

પરિણામ પછીની તપાસ (૨)

લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપને મળેલી જીતથી પક્ષમાં આનંદ-ઉત્સવનો અને વિપક્ષોમાં સન્નાટાનો માહોલ છે. ભાજપ સિવાયના પક્ષોની પરિણામ પછીની સ્થિતિ અને સંભાવનાઓ વિશે ગયા સપ્તાહે વાત કરી હતી. આ વખતે ભાજપની જીત સંબંધિત થોડી વાતો.

જીતનાર પોતે સુખદ આંચકો અનુભવે એવાં પરિણામ પછી નરેન્દ્ર મોદી અને તેમના સાથીદારો વાજબી રીતે વિજયોલ્લાસમાં છે.  દિલ્હી અને ગાંધીનગરમાં સર્જાયેલાં લાગણીસભર દૃશ્યો પછી હવે બન્ને સ્તરે સરકારનું વાસ્તવિક કામ શરૂ થશે. ગુજરાતને પહેલાં મહિલા મુખ્ય મંત્રી મળ્યાં છે, જ્યારે દેશને છેલ્લા ત્રણ દાયકામાં સ્પષ્ટ બહુમતી મેળવનારા પહેલા વડાપ્રધાન. મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની અનેક નીતિરીતિઓનો મુદ્દાસર, આકરો વિરોધ કરનારા સૌએ વડાપ્રધાન મોદી અંગે કેટલીક પ્રાથમિક બાબતોમાં સ્પષ્ટ થવું રહ્યું.

સ્વીકાર અને સંઘર્ષે

સૌથી પહેલો મુદ્દો પરિણામોના ખેલદિલીપૂર્વકના સ્વીકારનો છે. લોકશાહી પદ્ધતિથી થયેલી ચૂંટણીનાં પરિણામ અણગમતાં હોય તો પણ, તેને પૂરા મનથી સ્વીકારવાં પડે. અંગ્રેજીમાં જેને ‘ડીનાયલ મોડ’ અને ગુજરાતીમાં ‘નકારની મનોસ્થિતિ’ કહેવાય, એ ન સર્જાય તો ઉત્તમ. સર્જાય તો બને એટલી વહેલી ખંખેરી નાખવી પડે.

રાજકીય હિત ન ધરાવતા લોકો, નાગરિક ભૂમિકાએ પણ ‘મોદી ન જીતવા જોઇએ’ એવું ઇચ્છી જ શકે. મોદી ન જીતે એ માટે શક્ય એટલા પ્રયાસ કરવામાં  કશું ખોટું નથી. એ બઘું લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે. ત્યાર પછી પણ મોદી જીતી જાય તો? ‘ના,ના, હું માનતો હતો કે મોદી ન જીતે તો સારું. એટલે મોદી જીતી જ ન શકે અને જો એ જીત્યા હોય તો નક્કી કંઇ ગરબડ થઇ હોવી જોઇએ’- આ જાતનાં વિચારવમળ ટાળવા જેવાં છે. કારણ કે તે વાસ્તવિકતાથી દૂર લઇ જનારાં છે. સ્વસ્થ વિચારશક્તિ-સાફ જોવાની શક્તિ પર તેનાથી ખરાબ અસર પડી શકે છે. કોઇ પણ પક્ષની-નેતાની આ પ્રકારની બહુમતી આવે અને એ આક્રમક પ્રચારમાં પાવરધા હોય ત્યારે સાફ જોવાની ક્ષમતા ટકાવી રાખવાનું બહુ અગત્યનું છે.

‘લોકો તર્કથી ક્યાં સમજે છે? નજર સામેના મસમોટા મુદ્દા લોકોને દેખાતા નથી. પછી આપણે શું કરી લેવાના? આપણે ગમે તે કરીએ, તેનો કશો અર્થ નથી.’ આવી નિરાશાવાદી વિચારમાળાથી પણ બચવા જેવું છે. મોદીની જીત કે કોંગ્રેસની હાર સાથે વ્યક્તિગત સ્વાર્થ કે હિત સંકળાયેલાં ન હોય તેમણે શા માટે નિરાશાના કે દુઃખના પહાડ માથે લઇને ફરવું? જેમને મન આ સત્‌ વિરુદ્ધ અસત્‌ની લડાઇ હોય તેમણે એટલું જ વિચારવાનું : જીત અગત્યની છે કે અંગત હિત વિના, કોઇના મોહમાં કે વફાદારીમાં લપટાયા વિના, પોતાને સમજાયેલું - નરી આંખે દેખાતું સત્ય? સ્વાર્થ વગરનું (પોતાને સમજાયેલું) સત્ય મહત્ત્વનું લાગે તો (શક્ય એટલી કટુતા ટાળીને) એ કહેવાનું કામ ચાલુ રાખવું. તેના લેવાલ ચૂંટણીનાં પરિણામ બદલી શકે એટલી મોટી સંખ્યામાં ન થાય તો પણ, એ પ્રયાસ સાવ વ્યર્થ જતા નથી. ધારો કે બીજું કંઇ ન થાય- એક પણ માણસ નવેસરથી વિચારતો ન થાય- તો પણ, ‘સ્વધર્મ’ અને ફરજઅદાયગીની દૃષ્ટિએ તે અત્યંત મૂલ્યવાન છે.

પરિણામના સ્વીકાર સાથે સંકળાયેલો એક મુદ્દો આરોપોને લગતો છે. દિલ્હીમાં થયેલી રાષ્ટ્રિય બેઠકમાં કોંગ્રેસી નેતાઓએ સોનિયા-રાહુલ ગાંધીની નેતાગીરી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ધબડકા માટે ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (ઇવીએમ)ને જવાબદાર ઠેરવ્યાં છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોની બેઠકમાં કોંગ્રેસી નેતાઓએ ઇવીએમ સાથે ચેડાંનો આક્ષેપ મૂકીને જૂની ઢબથી ચૂંટણી યોજવાની માગણી મૂકી છે.

ઇવીએમ સાથે ચેડાંની ફરિયાદ ચૂંટણી પહેલાં આવી હતી. આસામમાં એક ઇવીએમ પર કોઇ પણ બટન દબાવતાં ભાજપને મત મળે એવી ‘ટેકનોલોજી’ છતી થઇ હતી. પરંતુ એ વાત ત્યાં જ આટોપાઇ ગઇ. ત્યાર પછી સૌ પક્ષો ચૂંટણી લડ્યા ત્યારે એ નક્કી હતું કે ઇવીએમ જ વપરાવાનાં છે. એ વખતે કોઇને ઇવીએમ સામે વાંધો ન પડે અને પરિણામ પછી ઇવીએમ સાથે ચેડાંનો કકળાટ થાય, એ સદંતર ગેરવાજબી અને સગવડીયું છે. ઠોઠ કારીગર ઓજારોનો વાંક કાઢે એવો આ ઘાટ છે. તેનાથી સૌથી વધારે નુકસાન ભાજપને નહીં, કોંગ્રેસને પોતાને છે. કેમ કે, ઇવીએમનો દોષ કાઢી દીધા પછી કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસને ખરેખર ડૂબાડનારાં પરિબળો વિશે ગંભીરતાથી કામ તો ઠીક, વિચાર પણ કરવાનો રહેતો નથી.

ત્રીજો મુદ્દો ભાજપને મળેલા મતોની ટકાવારીને લગતો છે. ગોપાલકૃષ્ણ ગાંધી સહિત કેટલાક લોકોએ એવી દલીલ કરી છે કે ભાજપને ફક્ત ૩૧ ટકા મળ્યા છે. એનો અર્થ એ થયો કે ૬૯ ટકા લોકોએ ભાજપને-મોદીને ફગાવી દીધાં છે. નવી સરકારે આ હકીકત ભૂલવી જોઇએ નહીં અને એ લોકોનાં હિતનું ખાસ ઘ્યાન રાખવું જોઇએ.

આ દલીલમાં પણ આંકડાને આગળ કરીને વાસ્તવિકતા નજરઅંદાજ કરવાની વૃત્તિનો ઘણો હિસ્સો હોઇ શકે છે. ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ તરીકે ઓળખાતી, રેસમાં જે સૌથી આગળ હોય તે જીતે એવી ચૂંટણીપદ્ધતિ આપણે સ્વીકારેલી છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીઓનાં પરિણામ આ જ રીતે આવ્યાં છે. તમામ સરકારો આ જ રીતે રચાઇ છે. માટે, ભાજપને ‘ફક્ત ૩૧ ટકા’ મત મળ્યા છે એમ કહેવું અન્યાયી અને ગેરવાજબી છે. ધારો કે એને ૨૧ ટકા મત મળ્યા હોત અને કોંગ્રેસને ૧૯ ટકા મળ્યા હોત તો પણ એ બેઠકસંખ્યામાં તે આગળ હોત તો તેને જ જનાદેશ મળેલો ગણાત અને તેની જીત સ્વીકારવી પડત.

મુખ્ય મંત્રી તરીકે મોદીની મથરાવટી જોતાં વડાપ્રધાન બન્યા પછી તે ફક્ત ભાજપના મતદાતાઓને નહીં, પણ સમગ્ર ભારતના વડાપ્રધાન છે એવું યાદ કરાવવાનું કોઇને મન થઇ શકે. પરંતુ શરૂઆતના દિવસોમાં મોદીએ ગરીમાપૂર્વક, કિન્નાખોરી વિના કામ કરવાની વાતો કરી છે. એ બાબતે તેમની ટીકા કરવાનું અત્યારે કોઇ કારણ નથી. બીજા કોઇ પણ વડાપ્રધાનની જેમ તેમને પણ સુશાસનની અને કામ કરી બતાવવાની તક મળવી જોઇએ.  

ચર્ચાસ્પદ સવાલ એ છે કે વડાપ્રધાન બનેલા મોદીના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળમાં ચીતરાયેલા-ખરડાયેલા ચોપડાનું શું? સીધી વાત છે : વડાપ્રધાન તરીકે તેમને નવેસરથી, જૂની છાપના બોજ વિના કામ કરવાની તક મળવી જોઇએ, પણ એ માટે થઇને તેમના અગાઉના રાજના જૂના-અઘૂરા ચોપડા બાળી નખાય નહીં. આજે મોદી છે. કાલે ઉઠીને બીજા કોઇ પણ હોય. ચૂંટણીમાં મળેલી જીત સંખ્યાત્મક બહુમતીનું સમર્થન સૂચવે છે. લોકશાહીમાં તેનું ચોક્કસ મૂલ્ય છે, પરંતુ એ ન્યાયનો કે કાનૂની કાર્યવાહીનો વિકલ્પ નથી. (એવો જ તર્ક હોય તો શીખ હત્યાકાંડના આરોપી એવા સજ્જનકુમાર કે ટાઇટલર જેવા ચૂંટાયેલા નેતાઓ સામે કયા આધારે કકળાટ કરી શકાય?) કોઇ નેતા ગમે તેટલી પ્રચંડ બહુમતીથી જીતે, તો પણ તેની શેહશરમ કે પ્રભાવ ન્યાયપ્રક્રિયા પર પડવાં ન જોઇએ. જેમ વિકાસ, તેમ ચૂંટણીવિજય પણ ન્યાયના વિકલ્પ તરીકે અથવા ગુનાઇત કૃત્યો કે માનસિકતાને વાજબી ઠરાવવા માટે વાપરી ન શકાય.

આશા-અપેક્ષા

મુસ્લિમો વિશે મોદીની નીતિ કેવી હશે એ ગંભીર અટકળોનો વિષય રહ્યો છે. ભાજપ ‘તુષ્ટિકરણ’માં માનતું નથી અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’માં માને છે એવો પ્રચાર છે. બીજા સમુદાયોથી અલગ પાડીને મુસ્લિમોની વાત ન કરવી જોઇએ, એવું મોદી કહેતા રહ્યા છે. પરંતુ આ વાત કહેનારની દાનત અગત્યની છે. મુસ્લિમોમાં અલગાવની લાગણીને ઉત્તેજન આપવા માટે નહીં, પણ મુસ્લિમ સમુદાયની વિશિષ્ટ સમસ્યાઓનાં ઓળખ અને ઉકેલ માટે, તેમનો અલગથી વિચાર કરવો પડે, તો એ વોટબેન્કનું રાજકારણ બની જતું નથી.

કોંગ્રેસે અત્યાર સુધી મુસ્લિમ સમાજમાં પ્રગતિશીલ નેતાગીરીને ઉત્તેજન નહીં આપવાનું પાપ કર્યું છે, તો નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતની હિંસા પછીનાં વર્ષો સુધી મુસ્લિમ સમુદાયને મલમપટ્ટો લગાડવા માટે કંઇ જ કર્યું નહીં. હિંસાના મહિનાઓ પછીની ગૌરવયાત્રા કે વર્ષો પછીનાં તેમનાં કાંટાદાર પ્રવચનથી માંડીને સર્વોચ્ચ અદાલતે ગુજરાતની બહાર ખસેડવા પડેલા કેસ જેવા મુદ્દે મોદી લાંબા સમય સુધી આક્રમક અને છેલ્લે છેલ્લે ‘બસ, બઘું ભૂલી જાવ. સૌ સારાં વાનાં થશે’ની ભૂમિકામાં રહ્યા છે. તેમની પાસેથી કહેવાતા તુષ્ટિકરણની અપેક્ષા કોઇ ન રાખે, પરંતુ સમાન તકો અને ન્યાયની અપેક્ષા બેશક રહે છે. કોંગ્રેસની જેમ મોદી પણ કેટલાક ચહેરાને મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ તરીકે આગળ ધરીને, તેમના મોઢે પોતાનાં ગુણગાન ગવડાવીને સંતોષ માનતા રહેશે તો, પરિસ્થિતિ ઠેરની ઠેર રહેશે.

ગુજરાત વિધાનસભામાંથી વિદાયવેળા મોદીએ કહ્યું કે ‘કેગના અહેવાલનો ઉપયોગ રાજકીય આક્ષેપબાજી માટે ન થવો જોઇએ. તેમાં સૂચવાયેલાં સુધારાનાં પગલાં પર અમલ થવો જોઇએ.’ મુખ્ય મંત્રી તરીકે મોદી પોતાની સરકારની ટીકા ધરાવતા ‘કેગ’ના અહેવાલને વિધાનસભામાં સત્રના છેલ્લા દિવસે લાવતા હતા, જેથી ઝાઝી ચર્ચાને અવકાશ ન રહે. તેમના પક્ષની કોંગ્રેસવિરોધી ઝુંબેશનો મોટો હિસ્સો ‘કેગ’ના અહેવાલ આધારિત હતો. હવે કેન્દ્ર સરકારમાં આવ્યા પછી એ ‘કેગ’ના રચનાત્મક ઉપયોગોની વાત કરે ત્યારે તેમાં રહેલી વક્રતા ઉડીને આંખે વળગે એવી લાગે છે.

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તેમના વિશે વ્યક્ત કરાયેલી આશંકાઓ ખોટી પાડે અને આક્રમક પ્રચારથી નહીં, પણ વાસ્તવિક કામગીરીથી તેમના બિનપક્ષીય ટીકાકારોને ખોટા પાડી બતાવે તો, તેમના ભક્તોની ખબર નથી પણ,  સૌથી વધારે આનંદ તેમના એવા ટીકાકારોને થશે. 

Thursday, May 22, 2014

પરિણામોની સવારે, આટલું મારા તરફથી

(નોંધ- અત્યાર સુધી એવું બનતું રહ્યું છે કે બ્લોગપોસ્ટની લિન્ક ફેસબુક પર મૂકું. પરંતુ લોકસભા ચૂંટણીનાં પરિણામોની સવારે, ગુજરાત ક્વિનમાં મહેમદાવાદથી મણિનગર જતાં ટ્રેનમાં લખેલું  અને સવારે સાડા દસની આસપાસ ફેસબુક પર સ્ટેટસ તરીકે મૂકેલું આ લખાણ બ્લોગમાં સચવાઇ જાય અને સહેલાઇથી શોધી શકાય, એ હેતુથી અહીં મૂક્યું છે.)

(ફટાકડાના અવાજ), 


‘લો, મોદીની સરકાર તો આવી ગઇ.’

‘હા. બિલકુલ. પૂરી બહુમતીથી.’

‘તમારી વાત કેવી ખોટી પડી, નહીં?’

‘કઇ વાત?’

‘કેમ? ભૂલી ગયા? તમે તો મોદીની કેટલી બધી ટીકા કરતા હતા કે એ તો આમ છે ને તેમ છે...પણ એ તો જીતી ગયા.’

‘તમે બન્ને વાત ભેગી કરી દીધી. મોદી હારી જશે એવી આગાહીઓ ક્યારે મારા લખાણમાં ક્રાયે વાંચી? ને મોદીની ટીકા તો હજી ઉભી જ રહે છે- એ મુદ્દાઓ પર તેમનું વલણ ન બદલાય ત્યાં સુધી. ચૂંટણીમાં તેમની જીતને એની સાથે કશો સંબંધ નથી.’

‘પણ એ હારે એવો પ્રયાસ તો તમે કરતા હતા ને? લોકોએ તમારા જેવા ટીકાકારોની ટીકા ફગાવી દીધી, એ તો તમે માનશો ને?’

‘ચોક્કસ. હું એવો પ્રયાસ કરતો હતો અને લોકોએ મોદી વિશેની ટીકા ઘ્યાન પર ન લીધી, એ હકીકત છે.’

‘તો હવે શું થશે?’

‘કોનું? દેશનું?’

‘ના, તમારા જેવા મોદીના ટીકાકારોનું.’

‘કેમ? શું થશે?’

‘એટલે કે તમે હવે શું કરશો?’

‘કામ. બીજું શું?’

‘કેવું કામ? તમે તો મોદીએ તમને નવરા ન કરી દીધા?’

‘નવરા શા માટે? નવરા કદાચ થાય તો પણ ભક્તો થાય. મારા જેવા મોદીના ટીકાકારોને તો ઉપરથી કામ વઘ્યું.’

‘તમે તો પડ્યા પછી પણ ટંગડી ઊંચી રાખો છો. સ્વીકારી લો ને કે મોદી જીતી ગયા ને તમે હારી ગયા.’

‘એમાં મારા અલગથી સ્વીકારની જરૂર ક્યાં છે? હું કોઇ રાજકીય પક્ષનો માણસ તો છું નહીં કે મારે આવાં જાહેર નિવેદનો બહાર પાડવાં પડે...અને પડવાનો કે ટંગડીનો પ્રશ્ન જ ક્યાં છે? મોદીની સરકાર બન્યા પછી પણ મારું કામ તો ચાલુ જ રહેવાનું છે.’

‘તમે ક્યારના કામ-કામ કર્યે રાખો છો, તે હવે તમે શું કામ કરવાના? મોદીની ભક્તમંડળીઓમાં જોડાઇ જવાના? કે લખવાનું બંધ કરીને બીજો કોઇ વ્યવસાય શોધવાના?’

‘તમે સમજ્યા નહીં. મેં કહ્યું ને કે હવે તો કામ વધી ગયું - પ્રચારથી સચ્ચાઇને અલગ તારવવાનું કામ, ઝાકઝમાળની વચ્ચેથી અસલિયત તારવવાનું કામ, ‘મેન’ને સુપરમેનથી અલગ પાડવાનું કામ, વઘુ ને વઘુ લોકોને ચિત્રની બીજી બાજુ દેખાડવાનું કામ, નાગરિક તરીકે કોઇ પણ વ્યક્તિને ઉદ્ધારક ન ગણવી એ સમજાવવાનું કામ...’

‘મને એમ કે મોદીની જીત પછી તો તમે સુધરી જશો.’

‘એ બાબતમાં હું તમારા પ્રિય નેતા અને હવે મારા દેશના વડાપ્રધાન થનારા મોદીને પહેલી તક આપવા માગું છું. વડાપ્રધાન તરીકે એ તેમનાં હક અને ફરજ બન્ને છે...બસ, આવજો ત્યારે. આપણે તો વારંવાર મળવાનું રહેશે- જોકે, દેશના સંદર્ભમાં ઓછું. ગુજરાતના સંદર્ભમાં વધારે. કારણ કે, મને પહેલેથી દિલ્હી કરતાં ગાંધીનગર વધારે નજીક લાગે છે.’

પરિણામ પછીની તપાસ

લોકસભાની ચૂંટણીનાં વિક્રમસર્જક કહેવાય એવાં પરિણામો અને તેને પગલે છવાયેલો વિજયોલ્લાસનો માહોલ ટૂંક સમયમાં શમવા લાગશે. ત્યાર પછી શાસન અને રાજકારણની રોજિંદી ઘટમાળ ચાલુ થશે. એ દિવસોમાં નાગરિકી ભૂમિકાએથી શું જોવા-તપાસવાની ઇંતેજારી રહેશે? તેની અછડતી યાદી.

કોંગ્રેસ

આ પરિણામોએ કોંગ્રેસનું અભૂતપૂર્વ ધોવાણ કરી નાખ્યું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાંથી જીત્યાં એ જ ગનીમત છે.  રાજીવ ગાંધીની હત્યા પછી શરૂઆતમાં સોનિયા ગાંધી વિના અને પછી સોનિયા ગાંધીની આગેવાની હેઠળ, મોરચા  સરકારો થકી કોંગ્રેસનું ગાડું રગડધગડ ગબડતું રહ્યું. વચ્ચે એક મુદત માટે વાજપેયીની આગેવાની હેઠળની એનડીએ સરકાર આવી, પણ કોઇ એક પક્ષને બહુમતી મળે એ યુગ પૂરો થઇ ગયેલો લાગતો હતો. એટલે વારાફરતી વારાના ન્યાયે ઓછી બેઠકો છતાં સરવાળાના જોરે બે વાર યુપીએની સરકારો બની ગઇ અને કોંગ્રેસનો સત્તાધારી પક્ષ તરીકેનો જૂનો ભ્રમ ટકી રહ્યો.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના ઉદય પછી રાજ્યસ્તરે કોંગ્રેસનું ધોવાણ સંપૂર્ણ બન્યું, જે કોંગ્રેસની નેતાગીરીના ગાફેલપણા કે મેળાપીપણા કે આંતરિક કલહ કે આ બધાના સરવાળા વિના શક્ય ન હતું. ત્યાર પછી રાષ્ટ્રિય સ્તરે કોંગ્રેસનો વારો નીકળ્યો છે.

હવે જોવાનું એ રહે છે કે -

-કોંગ્રેસની નેતાગીરીમાં રાષ્ટ્રિય સ્તરે રાહુલ ગાંધીને ખસેડીને બીજું કોઇ નામ જાહેર કરવામાં આવશે? કે પછી રાબેતા મુજબ, પરિવાર પ્રત્યે વફાદારીનો ઠરાવ પસાર કરીને, આંત્મમંથનના નામે બે-ચાર નેતાઓને વધેરીને સંતોષ માની લેવાશે? રાહુલ ગાંધીને ખસેડવામાં આવે તો પણ તે સોનિયા ગાંધીની જેમ સત્તા વગરની સત્તા ભોગવતા રહેશે? કે કોઇ નવા માણસને તક મળશે? કે પછી પ્રિયંકા ગાંધીમાં નવાં ઉદ્ધારકનાં દર્શન કરીને, તેમને સક્રિય રાજકારણમાં સંડોવવામાં આવશે?

- લોકસભામાં કોંગ્રેસ અને સોનિયા ગાંધી- રાહુલ ગાંધી ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચની જેમ પોતાની હાજરી અને નેતા તરીકેનું વિત્ત, વિપરીત પરિસ્થિતિમાં સિદ્ધ કરી શકશે? (નોંધ : અહીં ભરૂચનો સંદર્ભ અહમદ પટેલ માટે નથી)

- સભારંજની, જૂઠાણાં અને પ્રચારમારા પર મુસ્તાક નરેન્દ્ર મોદી પ્રકારની નેતાગીરી તથા તેમના બહુચર્ચિત ગુજરાત મૉડેલમાં મસમોટાં ગાબડાં હતાં. છતાં કોંગ્રેસ રાજ્યના કે રાષ્ટ્રના, એમ એકેય સ્તરે તે ગાબડાં સરખી રીતે ઉજાગર કરી શકી નહીં અને એ ગાબડાં જોવા- ગંભીરતાથી લેવા માટે નાગરિકોને સમજાવી શકી નહીં. સ‘ગુજરાતમાં કોંગ્રેસ નરેન્દ્ર મોદીની સૌથી મોટી સાથીદાર છે’ એવી રાજકીય રમૂજ જાણીતી હતી. એ ચીલામાંથી કોંગ્રેસ રાષ્ટ્રિય સ્તરે બહાર નીકળશે? નીકળી શકશે? કે પછી ‘ઑટો મોડ’માં રહીને, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું બળતણ ખૂટે તેની રાહ જોઇને બેસી રહેશે?

આમઆદમી પક્ષ

પરિણામો પછી રાષ્ટ્રિય સ્તરના મજબૂત વિપક્ષની જગ્યાએ મોટા પાયે શૂન્યાવકાશ સર્જાયો હોય એવું લાગે છે. મમતા બેનરજી-જયલલિતા-નવીન પટનાયકના પક્ષો અને તેમનું રાજકારણ સ્થાનિક છે. રાષ્ટ્રિય સ્તરે તેમની અપીલ નથી. સરખામણીમાં આમઆદમી પક્ષ લોકસભામાં ભલે ચાર સભ્યો ધરાવતો હોય, પણ તેની પાસે કોંગ્રેસ-ભાજપ કરતાં જુદા અને લોકલક્ષી રાજકારણનું એક ઓજાર છે.

ચૂંટણીમાં સાવ ઓછી બેઠકો મળ્યા પછી, ‘આપ’માંથી નાના પાયે હિજરત થાય એવી શક્યતા પણ રહે. એવું થાય તો પણ, ત્યાર પછી જે ‘આપ’ રહેશે, તેની પાસે અસરકારક વિરોધ પક્ષ તરીકે રાષ્ટ્રિય સ્તરે ઊભરવાની તક છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં એનો દેખાવ સારો રહે કે ન પણ રહે, તેની પાસે લોકસભાની ચૂંટણી પહેલાં હતી એવી જ તક ચૂંટણી પછી, આ વખતે કોંગ્રેસના ધબડકાને કારણે, આવી ઊભી છે. અલબત્ત, એ તક (ચૂંટણી પહેલાંનાં સંભવિત ગણિતોની જેમ) ઇન્સ્ટન્ટ સફળતા અપાવે એવી નથી અને ઘણું કામ માગી લે એવી છે.

આગામી લોકસભા ચૂંટણી સુધીનાં વર્ષોમાં દિલ્હીમાં, મોદી વગરના ગુજરાતમાં, થોડી સફળતા જ્યાં મળી છે તે પંજાબમાં, જ્યાં મોદીતરફી મોજા પછી પણ ‘આપ’ના ઉમેદવારો કોંગ્રેસથી આગળ, બીજા નંબરે આવ્યા છે એવાં ઠેકાણે, જ્યાં ‘નોટા’ને દસ હજાર કે વઘુ મત મળ્યા છે એવી બેઠકો પર- આ બધે અરવિંદ કેજરીવાલ અને ‘આપ’ના સભ્યો ઠરીને કામ કરે, લોકોને ફક્ત આશા જ નહીં, દોરવણી પણ આપે અને રાજકારણના ‘ઉદ્ધારક’ મૉડેલમાંથી જનતાના સશક્તિકરણના મૉડેલ તરફ લોકોને લઇ જવાનો નિષ્ઠાવાન પ્રયાસ કરે, તો તેનાથી દેશને ઘણો ફાયદો થશે. ‘આપ’ ધીરજપૂર્વક અને મક્કમતાથી એ કરી શકશે?

કેજરીવાલ રાજકારણની શતરંજની બાબતમાં નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે એવા ખેલાડી છે. પરંતુ હવે તેમની પાટી ચોખ્ખી નથી. દિલ્હીમાંથી તે જવાબદારી છોડીને નાસી ગયા, એવા સચ્ચાઇથી વેગળા પણ લોકપ્રિય આરોપનો તેમણે સતત સામનો કરવાનો રહેશે. સાથોસાથ,  પોતાના પક્ષની નિષ્ઠા વિશે ભરોસો ઊભો કરવો પડશે. રિવાજ લેખે સત્તાધીશો તરફથી રજૂ થતાં જુસ્સાદાર- ઝાકઝમાળભર્યાં જૂઠાણાંની અસલિયતને ફક્ત ઉજાગર કરવાથી નહીં ચાલે. તેનાથી લોકહિત કેવી રીતે જોખમાય છે - લોકોને કેવું ને કેટલું નુકસાન થાય છે, તે સમજાવવાનું રહેશે. એ કોંગ્રેસની જેમ ફક્ત બોલાવવા પૂરતી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાથી નહી બને.

સત્તાના લાભ વિના કેવળ લોકજાગૃતિ ખાતર રાજકારણ ખેડવાનું સહેલું નથી. આમઆદમી પક્ષના લોકોની તેમાં કઠણ પરીક્ષા થશે. પરંતુ જો એ તેમાં સારી રીતે પાર ઉતરે તો દેશને સારો એવો ફાયદો થઇ શકે છે.

- અને હા, એક રીમાઇન્ડર : દેશ એટલે વડાપ્રધાન નહીં. દેશ એટલે દેશના લોકો.

મોજા-મુક્ત પ્રદેશો

દોઢ મહિના પહેલાં, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક લેખને ટાંકીને અહીં નોંધવામાં આવ્યું હતું કે તામિલનાડુ, આંધ્ર, કર્ણાટક, કેરળ અને બંગાળ જેવાં રાજ્યો રાષ્ટ્રિય સ્તરે મોજું હોય ત્યારે, જાણે સાવ જુદા પ્રદેશો હોય એવી રીતે જ વર્ત્યાં હતાં. આ વખતે પણ કેરળમાં ભાજપની એક પણ બેઠક આવી નથી. તામિલનાડુમાં નરેન્દ્ર મોદી- જયલલિતા વચ્ચે ચૂંટણી સમજૂતી થઇ ન હતી, પણ પરિણામોમાં જયલલિતાના એઆઇડીએમકેનો જયજયકાર છે. એવી જ રીતે, મોદી અને મમતા બેનરજી વચ્ચે ચૂંટણી પહેલાં ઘણી હુંસાતુંસી થઇ હોવા છતાં- અને પરિણામોમાં મોદીતરફી પ્રચંડ મોજું દેખાવા છતાં, બંગાળમાં મમતા બેનરજીનો તૃણમૂલ કોંગ્રેસ મેદાન મારી ગયો છે. ઓડિશામાં લાગલગાટ ચોથી વાર વિધાનસભાની ચૂંટણી જીતીને વિક્રમ સર્જનાર બીજુ જનતા દળના નવીન પટનાયકે લોકસભાની ચૂંટણીમાં પણ મોદીતરફી મોજાને ખાળ્યું છે. આ ઉદાહરણો દર્શાવે છે કે ભાજપની સ્પષ્ટ બહુમતીને લીધી રાષ્ટ્રિય સ્તરે એનડીએને ભલે બીજા પક્ષોની જરૂર ન હોય, પણ તેનાથી જયલલિતા-મમતા બેનરજી-નવીન પટનાયક જેવાં નેતાઓને તેમના પ્રદેશમાં ઓછા આંકવાની અને પ્રાદેશિક નેતાગીરીના અંતનો ઓચ્છવ મનાવી કાઢવાનું હજુ વહેલું છે.  

હાંસિયાની બહાર

મોદીતરફી મોજામાં ફક્ત કોંગ્રેસ જ નહીં, બીજા કેટલાક પક્ષો પણ અકલ્પનીય રીતે ધોવાઇ ગયા. તેમાં મોખરાનું નામ છે માયાવતીનો બહુજન સમાજ પક્ષ. એક સમયે ભારતના વડાપ્રધાનપદ માટે તેમનું નામ પ્રસાર માઘ્યમોમાં ચર્ચાતું હતું અને ખુદ માયાવતી તો હમણાં સુધી પોતાની જાતને એ ભૂમિકામાં જોતાં હતાં. કાંશીરામે ઊભા કરેલા બહુજન સમાજ પક્ષને તેની સ્થાપના પછી ત્રણ દાયકામાં પહેલી વાર લોકસભામાં પ્રવેશ સુદ્ધાં મળ્યો નથી. દલિતલક્ષી રાજકારણ માટે એ ચિંતનનો વિષય છે અને માયાવતી પોતાનું ગુમાવેલું મેદાન હાંસલ કરવા માટે શું કરે છે, એ જોવાનું રહે છે.

જ્ઞાતિવાદ આધારિત મતદાન માટે કુખ્યાત ઉત્તર પ્રદેશમાં માયાવતીએ ‘સામાજિક ઇજનેરી’ના આધારે પહેલાં દલિત મતબેન્કના આધારે અને પછી દલિત-બ્રાહ્મણ જેવી વિશિષ્ટ યુતિના આધારે નોંધપાત્ર વિજયો મેળવ્યા હતા. પરંતુ આ ચૂંટણીમાં બાકીની બેઠકો પર તો ઠીક, દલિતો માટે અનામત બેઠકો ઉપર પણ બહુજન સમાજ પક્ષનો એક પણ ઉમેદવાર વિજયી બન્યો નહીં.

દલિત રાજકારણના ગઢ જેવા ઉત્તર પ્રદેશમાં પોતાનો સિક્કો ફરી જમાવવા માટે અને તેમનો સાથ છોડીને મોદીતરફી મોજામાં વહી ગયેલા દલિતોને માયાવતી મનાવી શકે છે? દલિતહિતના રાજકારણને તે ફરી જીવતું કરી શકે છે? કે પછી ‘લોકસભા અને વિધાનસભામાં મતદાનની તરાહ જુદી હોઇ શકે છે’ એવું આશ્વાસન લઇને, ‘વિધાનસભાની ચૂંટણીમાં જોયું જશે’ એમ વિચારે છે?

તમિલનાડુમાં જયલલિતાના એઆઇડીએમકે સામે કરુણાનિધિના ડીએમકેની અને બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ સામે ડાબેરીઓ બૂરી દશા થઇ છે. બંગાળ વિધાનસભામાં જીત પછી મમતારાજથી લોકો નારાજ હોવાની ચણભણને કમ સે કમ ચૂંટણીમાં તો સંખ્યાત્મક ટેકો મળ્યો નથી. યુપીએની પહેલી મુદત વખતે ભારતના રાજકીય ઇતિહાસમાં શીર્ષ પર પહોંચેલા ડાબેરીઓ માટે ૨૦૦૯ પછી ૨૦૧૪ તો સાવ ખીણબિંદુ જ સાબીત થયું છે. પોતાના રાજકીય અસ્તિત્ત્વ માટે તેમની પાસે કોઇ નવી વ્યૂહરચના હોય તો તે ૨૦૦૯-૧૪ના ગાળામાં જોવા મળી નથી. હવે એ દિશામાં કશું કામ થશે? આ બધા સવાલોના જવાબ પર આવનારા દિવસો-મહિનાઓમાં ભારતના રાજકીય પ્રવાહોનો ઘણો આધાર છે.

(આવતા સપ્તાહે : ભાજપ સંબંધિત અપેક્ષાઓ-ઇંતેજારી-ભયસ્થાનો)

Wednesday, April 30, 2014

ચૂંટણીસ્પેશ્યલ ફિલ્મી મસાલા સ્ટોરી

‘બંદૂકનાં નાળચાં વચ્ચે પાંગરતી પ્રેમકથા’- આવી ટેગલાઇન ફક્ત કાશ્મીર વિશેની કે ‘રામલીલા’ જેવી ફિલ્મો માટે જ વપરાય એવું થોડું છે? મતદાનમથકોમાં પણ આ પ્રકારની ટેગલાઇન વાપરી શકાય એવી ફિલ્મો માટે ફળદ્રુપ સિચ્યુએશન હોય છે : બંદૂકનાં નાળચાં ત્યાં સલામતી માટે હોય જ છે. રહી વાત પ્રેમની. એ તો ગમે ત્યાંથી પેદા કરી શકાય.

કલ્પના કરો :

લોંગ શોટમાં એક ભૂતપૂર્વ છેલબટાઉ હીરો, ચીંથરેહાલ, મજનુ અવસ્થામાં, ભૂખ્યોતરસ્યો ચાલતો આવી રહ્યો છે. ચોતરફ વેરાન ભૂમિ પથરાયેલી છે. કેમેરા નજીક જાય છે, ત્યારે હીરોની આંખોમાં પણ એવો જ સૂનકાર દેખાય છે. અચાનક દૂરનું કોઇ દૃશ્ય જોઇને હીરોની આંખમાં ચમક આવે છે. તેની મડદાલ ચાલમાં જરાતરા પ્રાણ આવે છે. ખિસ્સામાં રહેલી નાનકડી ચબરખી કાઢીને વારંવાર એ તેની પર પ્રેમથી હાથ પસવારે છે. દૂરથી સ્પષ્ટ દેખાતું નથી કે ચબરખી શાની છે, પણ ધારી શકાય છે કે એ તેની પ્રેમિકા માટેનો કે પ્રેમિકા દ્વારા લખાયેલો આખરી સંદેશો હશે.

હીરો થોડું વઘુ ચાલે એટલે એક મકાન અને તેની બહાર નાનકડી લાઇન દેખાય છે. ત્યાં મતદાન ચાલી રહ્યું છે. મત આપવાની અપીલોનો એટલો મારો ચાલ્યો છે કે પ્રેમભંગ થઇને દુનિયા હારી ચૂકેલો હીરો ઇચ્છા ન હોવા છતાં મત આપવા આવ્યો છે. મતદાનનો એટલો મહીમા કરવામાં આવ્યો છે કે હીરોને લાગે છે, કોને ખબર? કદાચ મતદાન કરવાથી ગુમાવેલી પ્રેમિકા પણ મળી જાય. પ્રયત્ન કરવામાં શું જાય છે?

મકાનની નજીક પહોંચીને હીરો આશાભરી નજરે લાઇન સામે જુએ છે. ત્યાં ઊભેલી દરેક વ્યક્તિમાં હીરોને હીરોઇનનાં દર્શન થાય છે. તેને પોતાના પ્રેમ વિશે નહીં, પણ પોતાની સ્વસ્થતા વિશે શંકા થાય છે. એ જરા માથું ઝકઝોરીને ખિસ્સામાંથી પેલી ચિઠ્ઠી કાઢે છે. તેમાં શેરોશાયરી કે પ્રેમિકાનો સંદેશ નહીં, ચૂંટણીપંચે છાપેલી હીરોની વિગત છે. સાથે હીરોનો સારી અવસ્થાનો, દાઢી કરેલો ફોટો પણ છે.

કોઇ પૂછે કે યે ક્યા હૈ, તો છુપાયે ન બને’ એવી રીતે હીરો ચબરખીને હાથમાં સંતાડતો અંદર જાય છે. અંદર ત્રણ સ્ત્રી અને એક પુરૂષ ટેબલ-ખુરશી પર બેઠાં છે. તેમાંથી રજિસ્ટરવાળાં બહેનની સામે હીરો ચબરખી ધરે છે. એ બહેન શંકાથી ઘડીમાં ચબરખી તરફ, તો ઘડીમાં સામે ઊભેલા હીરોના ચહેરા તરફ જુએ છે. તેમને લાગે છે કે આ બન્ને એક માણસ ન હોઇ શકે. પણ ચબરખી અસલી છે. એટલે તે હીરોને આગળ મોકલે છે.

ફિલ્મી સિચ્યુએશન એ છે કે એ જ બહેનની બાજુમાં બેેઠેલી સ્ત્રી હીરોઇન છે. પ્રણયભગ્ન થયા પછી તેણે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકેની નોકરી ફરી ચાલુ કરી દીધી હતી. તે સામે ઊભેલા હીરોને ઓળખી શકતી નથી. હીરોને દરેક સ્ત્રીમાં અને ક્યારેક તો પુરૂષમાં પણ હીરોઇનનાં દર્શન થાય છે. એટલે સામે બેઠેલી હીરોઇનને ઓળખવા છતાં તેને જાત પર શંકા પડે છે અને એ કશો સંવાદ કરતો નથી.

હીરોઇન યંત્રવત્‌ ઔપચારિકતાથી શાહીની લીટી પાડવા માટે હીરોની આંગળી માગે છે. હીરો આખો પહોંચો આપવા તૈયાર છે. પણ હીરોઇનને ફક્ત આંગળી જ ખપે છે. બેકગ્રાઉન્ડમાં વાયોલિનના કરુણ સૂર વાગે છે, જે પહેલી તકે મઘુર સૂરમાં પલટાવા આતુર છે. હીરો ‘સિટીલાઇટ્‌સ’ના ચાર્લી ચેપ્લિન જેવી કરુણતા ચહેરા પર લાવીને આંગળી ધરે છે. હીરોઇન જેવી હીરોની આંગળી શાહીનું ટપકું કરવા માટે હાથમાં લે છે, એ સાથે જ તેને હીરોનો ચિરપરિચિત સ્પર્શ અનુભવાય છે. તે હીરોના ચહેરા અને તેની આંખો તરફ ઘ્યાનથી જુએ છે અને અચાનક ઊભી થઇ જાય છે. આવેશ, આવેગ અને કંઇક ગુસ્સાથી તે ધ્રુજવા લાગે છે. એક લઘરવઘર માણસની સામે ઑન ડ્યુટી ધ્રુજતી હીરોઇનને જોઇને બંદૂકધારી પોલીસ અંદર ધસી આવે છે અને હીરો તરફ કરડી નજર નાખે છે.

અહીંથી સ્ટોરીમાં બે વિકલ્પ આપી શકાય.

એક વિકલ્પમાં પોલીસ હીરોને ઝૂડવાનું અને તેને ઘસડીને બહાર લઇ જવાનું શરૂ કરે છે. હીરોઇન કંઇક બોલવા જાય છે, પણ તેને પોતાની ફરજ યાદ આવે છે. મતદાન પહેલાં અપાતી તાલીમમાં બાકી બઘું શીખવાયું હતું, પણ આવી સિચ્યુએશનમાં શું કરવું એની સ્પષ્ટતા થઇ ન હતી. તેના ચહેરા પર મૂંઝવણ પથરાય છે. પણ પોલીસ એ વખતે ફેસરીડિંગના મૂડમાં ન હોવાથી,  હીરોને ઢોરમાર મારીને બહાર ફેંકી દેવામાં આવે છે.

સાંજ સુધી હીરો બેભાન સ્થિતિમાં પડી રહે છે. સાંજે બૂથનું બઘું કામ પતાવીને બહાર નીકળેલી હીરોઇન હીરોને બેભાન અવસ્થામાં પડેલો જુએ છે. એટલે બીજા સહકર્મચારીઓ આગળ નીકળી જાય એ પછી તે હીરો પાસે જાય છે. તેના માથે વ્હાલથી હાથ ફેરવે છે, એક ચબરખી પર કંઇક લખીને તેના ખિસ્સામાં મૂકી દે છે અને કંઇ જ બન્યું ન હોય એવી બનાવટી સ્વસ્થતાથી ચાલવા માંડે છે.સબીજા દિવસે સવારે હીરોની આંખ ખુલે છે, ત્યારે તેને ખિસ્સામાંથી ચબરખી મળે છે. ધ્રુજતા હાથે તે ચબરખી ખોલે છે. તેમાં લખ્યું છે : ‘પહેલાં તું કહેતો હતો કે આપણે પ્રેમ ચૂંટણીપંચ દ્વારા વપરાતી શાહી જેવો અમીટ છે ને હું રાજી થતી હતી. પણ હવે મારે ચૂંટણીમાં ડ્યુટી આવતી થઇ. એટલે ખબર પડી કે આ શાહીનું અમીટપણું થોડા દિવસ સુધી જ ટકે છે. ...અલવિદા.’

બીજો વિકલ્પ : પોલીસની કરડી નજર જોઇને હીરોઇન ટેબલ-ખુરશી છોડીને આગળ આવે છે, મેલાઘેલા લાગતા હીરોનું રક્ષણ કરતી હોય એ રીતે તેને વળગી પડે છે અને ગર્જના કરે છે, ‘ખબરદાર જો કોઇએ હાથ ઉપાડ્યો છે તો. આ પણ દેશનો એક નાગરિક છે. તેની પાસે ચૂંટણીપંચે આપેલી ચિઠ્ઠી છે. પછી તેની સાથે જબરદસ્તી કરવાનો કોઇને અધિકાર નથી.’

હીરોની આંખમાંથી અશ્રુની ધાર વહે છે, હીરોઇનની આંખમાંથી પણ આંસુ છલકે છે, બન્નેનાં આંસુનું જમીન પર મિલન થાય છે, તેમાં દૃશ્ય ઘૂંધળું (ફેડ આઉટ) થાય છે અને એ ફરી સ્પષ્ટ (ફેડ ઇન) થાય છે ત્યારે ચોતરફ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનાં તોરણ લટકે છે. તેની પરના બેલેટ પેપરમાં દરેક વિકલ્પ પર હીરો-હીરોઇનનું સંયુક્ત નામ લખેલું છે. સામે દિલનું ફિલ્મી પ્રતીક છે. સવારાફરતી એક પછી એક ઇવીએમ પર હીરો-હીરોઇનનું નામ ઝબૂકતું જાય છે. આકાશમાંથી મતદાન-ચબરખીઓનો વરસાદ થાય છે. ઇવીએમના ‘બીપ’ અવાજ સાથે હીરો-હીરોઇનના દિલની ધડકનનો તાલ બેસે છે. જમીન પર ચોતરફ, ભૂંસાય નહીં એવી ચૂંટણીસ્પેશ્યલ શાહીનાં રંગબેરંગી પીપડાં ગોઠવાયેલાં છે. હીરો વારાફરતી એ પીપડાંને લાત મારીને ગબડાવે છે અને હીરોઇન સાથે અંગકસરત જેવો નહીં પણ શાંત, ધીમો, રોમેન્ટિક ડાન્સ ચાલુ કરે છે.

સીનનો જે રીતે આરંભ થયો એની પરથી સ્પષ્ટ છે કે આ ડ્રીમ સિકવન્સ છે. ગીત પૂરું થયા પછી હીરો છેલ્લા પીપડાને લાત મારે છે. તેમાંથી ઢળતી શાહીના રેલામાં ફરી એક વાર દૃશ્ય ઘૂંધળું થાય છે અને એ સ્પષ્ટ થાય ત્યારે હીરો-હીરોઇન મતદાન મથકમાં ઊભાં છે.  આંસુ લૂછીને હીરોઇન પોતાના કામે લાગે છે અને હીરો ફરી ધીમી ગતિએ ચાલે છે, પરંતુ આ વખતે તેની ગતિ વેરાન તરફની નથી. થોડી ક્ષણોમાં તેના પોઇન્ટ ઑફ વ્યુથી હેર કટિંગ સલૂનનું પાટિયું દેખાય છે. હીરોની ચાલમાં મક્કમતા અને તેના ચહેરા પર સ્મિત આવે છે. એ સાથે જ ‘ધ એન્ડ’.

Tuesday, April 29, 2014

મતદાર : ‘ઑડિયન્સ’ કે નાગરિક?

એક ભાઇને એવી ટેવ કે પોતે ચમકતો ગુલાબી ઝભ્ભો પહેરીને આવ્યા હોય, પણ કેવાં કપડાં પહેરવાં જોઇએ તેની વાત નીકળે એટલે એ જોસ્સાભેર કહી દે, ‘હેંહેંહે, ચમકતો અને એ પણ ગુલાબી ઝભ્ભો- એવું તે કંઇ આપણાથી પહેરાતું હશે?’આટલી ઉઘાડી બેશરમી અને બેધડક છેતરપીંડી છતાં, તેમને ખાતરી હોય કે આમ કહેતી વખતે તેમણે પોતે ચમકતો ગુલાબી ઝભ્ભો જ પહેર્યો છે, એ લોકો નજરઅંદાજ કરશે. દસમાંથી સાત લોકો જોયું- ન જોયું કરશે. બાકીના ત્રણમાંથી એકાદ જણ ગણગણાટ કરી શકે છે, પણ સંખ્યાત્મક લોકશાહીમાં તેમની શી વિસાત?

લોકોને આત્મવિશ્વાસપૂર્વક મૂર્ખ બનાવીને કે ભપકાદાર-ભવ્ય જૂઠાણાંથી તેમને આંજીને ‘છવાઇ જવાની’ તરકીબ કટારલેખન કરતાં ઘણી વધારે ગંભીરતાથી રાજકારણમાં પ્રયોજાતી રહી છે.

જેમ કે, કોંગ્રેસ દ્વારા થતી સેક્યુલારિઝમની વાર્તાઓ. કોંગ્રેસે મુસ્લિમ સમાજના પ્રગતિશીલ હિસ્સાને હાંસિયામાં ધકેલીને જૂનવાણી બળોને પ્રોત્સાહન આપ્યું છે - અને આ કરતી વખતે તેની જીભે રટણ તો સેક્યુલારિઝમનું જ હોય. ગુજરાતની કોમી હિંસા વખતે ઘણા કોંગ્રેસીઓ ટોળાં સાથે જોડાઇ ગયા હતા. એટલું જ નહીં, હુલ્લડબાજીના આરોપસર જેલમાં ગયેલા કેટલાકને સ્થાનિક કોંગ્રેસી નેતાઓ ટિફીન પણ પહોંચાડતા હોવાનું નોંધાયું છે. આ એક બાબતમાં સક્રિયતાને બાદ કરતાં, ગુજરાતનું વાતાવરણ થાળે પાડવામાં કોંગ્રેસી નેતાઓ લગભગ નિષ્ક્રિય અને સદંતર નિષ્ફળ રહ્યા. છતાં, તેમનો દાવો તો સેક્યુલારિઝમનો જ. સોનિયા ગાંધી ચૂંટણી વખતે મુસ્લિમ ધર્મગુરુને મળવા જાય અને તેમની પાસેથી કોંગ્રેસતરફી મતદાન માટેની અપીલો કરાવે. છતાં માળા સેક્યુલારિઝમની જપવાની. સહેંહેંહેં, ચમકતો અને એ પણ ગુલાબી ઝભ્ભો - એવું તે કંઇ આપણાથી પહેરાતું હશે?

૧૯૮૪નાં શીખવિરોધી રમખાણોના ઘેરા ડાઘ ધોવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરવાનો નહીં. હૃદયપૂર્વકની માફી પણ બાજુ પર રહી. ઉલટું, ટાઇટલર જેવા નેતાઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવાને બદલે તેમને ચાલુ રાખવાના. પણ ગુજરાતની કોમી હિંસાની વાત આવે એટલે કકળાટ મચાવવાનો. હેંહેંહેં...આપણે તો આવું કરતા હોઇશું?

પણ એક વાત સ્વીકારવી પડે. આ ‘કળા’માં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ખરેખર નંબર વન ‘કળાકાર’ છે. વડાપ્રધાન બનવા માટે તલપાપડ મોદીએ તેમના ચૂંટણીપ્રચારમાં  જે વચન અને નિવેદન આપ્યાં છે, તેમાં રહેલા કાતિલ દંભનું અને બેશરમ આત્મવિશ્વાસનું પ્રમાણ ભયજનક સપાટી વટાવી ગયું છે.  આ નિવેદનો ‘ચમકતા ગુલાબી ઝભ્ભા’ કરતાં ઘણાં વધારે મહત્ત્વપૂર્ણ વિષયો અંગેનાં છે.

એ જુદી વાત છે કે મોદીની સામે અથવા તેમની વાત આવે એટલે ઘણા લોકો નાગરિક મટીને ઑડિયન્સ બની જાય છે- જાદુનો ખેલ જોવા જતું ઑડિયન્સ. જાદુગરો પ્રામાણિક હોય છે. એટલે એ મનોરંજન માટે ઑડિયન્સને નિર્દોષ રીતે છેતરે છે, જ્યારે નેતાઓની - અને અહીં વાત થાય છે તે વડાપ્રધાનપદના ઉમેદવારની- છેતરપીંડી નિર્દોષ હોતી નથી.  તેમણે ઊભું કરેલું સામુહિક સંમોહન ‘ઑડિયન્સ’ને ભીંત ભૂલાવે છે.

આરોપ વઘુ પડતો તીખો લાગે છે? તો, વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકેની મોદીએ આપેલાં વચન અને એ જ બાબતોમાં મુખ્ય મંત્રી તરીકેની તેમની વર્તણૂંકને સાથે મુકવાથી કાતિલ દંભનો મુદ્દો સ્પષ્ટ થઇ જશે.

વડાપ્રધાન બન્યા પછી દેશમાં સ્વચ્છ-ભ્રષ્ટાચારમુકત શાસન આપવાનો દાવો ‘અબકી બાર, મોદી સરકાર’ના પ્રચારમાં કરવામાં આવે છે. પરંતુ એ જ મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે રાજ્યમાં લોકાયુક્તની નિમણૂંકમાં રોડાં નાખવામાં કોઇ કસર છોડી ન હતી,  એ ઉઘાડી અને જાણીતી સચ્ચાઇ છે. સ્વચ્છ-ભ્રષ્ટાચારમુક્ત શાસન ધરાવનાર મુખ્ય મંત્રીએ લોકાયુક્તથી ગભરાવાની જરૂર ન હોય. પરંતુ  અન્ના આંદોલનને હોંશે હોંશે સગવડીયો ટેકો આપનાર મોદી પોતાના શાસનમાં તટસ્થ લોકાયુક્ત નીમાય એ શક્યતાથી શિયાંવિયાં થતા હતા.

‘કેગ’ના અહેવાલના આધારે કેન્દ્ર સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ કરવામાં મુખ્ય મંત્રી મોદી બહુ ઉત્સાહી. પરંતુ એ જ ‘કેગ’ દ્વારા ગુજરાત સરકારના નાણાંકીય વ્યવહારોની ટીકા થઇ, ત્યારે મુખ્ય મંત્રી તરીકે મોદીએ શું કર્યું? રાજીનામું આપી દીઘુંં? ગળે ઉતરે એવો તાર્કિક ખુલાસો આપ્યો? ના, તેમણે વિધાનસભામાં છેક છેલ્લા દિવસે કેવળ ઔપચારિકતા ખાતર ‘કેગ’નો અહેવાલ રજૂ કર્યો હતો. એ જ મોદી વડાપ્રધાન બન્યા પછી ભ્રષ્ટાચારમુક્ત શાસનનો વાયદો કરે છે.

મહિલા સુરક્ષા વિશે વાત કરવા માટે પણ ‘મોદી સરકાર’ ઉત્સુક હોય છે. એક મુલાકાતમાં તેમણે ગુજરાતની નવરાત્રિનો દાખલો આપીને, પોતાના રાજમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે એની વાત કરી હતી. ગુજરાતના નાગરિકોએ વિચારવાનો પ્રશ્ન : ગુજરાતની બહેન-દીકરીઓ મુખ્ય મંત્રી મોદીના રાજ પછી જ- એટલે કે ૨૦૦૧ પછી જ-નવરાત્રિમાં રાત્રે બિનધાસ્ત હરતીફરતી થઇ? ત્યાર પહેલાં એ અસલામતીથી ઘરમાં ગોંધાઇ રહેતી હતી?

પોતે વડાપ્રધાન બને તો રાજકારણને અપરાધીઓથી મુક્ત બનાવશે એવો વાયદો મોદીએ કર્યો છે. તેમણે કહ્યું છે કે એ વડાપ્રધાન બનશે તો દાગી સાંસદો-વિધાનસભ્યો સામે ઝડપથી કેસ ચલાવવા માટે  સર્વોચ્ચ અદાલતને કહેશે. પ્રશ્ન એ થાય કે કોઇ વડાપ્રધાન ગમે તેટલો સારો ઇરાદો હોવા છતાં, અમુક કેસ ઝડપથી ચલાવવા એવું સર્વોચ્ચ અદાલતને કહી શકે? સર્વોચ્ચ અદાલત વડાપ્રધાનની સૂચના પ્રમાણે વર્તતી સંસ્થા નથી. માટે, વડાપ્રધાન બનતાં પહેલાં કોઇ ઉમેદવાર ‘સર્વોચ્ચ અદાલતને હું આમ કહી દઇશ’ એવી વાત કરે ત્યારે તેના અજ્ઞાન કે આપખુદ આત્મવિશ્વાસ વિશે ચિંતા થવી ન જોઇએ?

રહી વાત તેમના અપરાધીમુક્ત રાજકારણના દાવાની. ‘હેંહેંહેં, આપણે તે કંઇ ચમકતો ગુલાબી ઝભ્ભો પહેરતા હોઇશું?’ સ્ટાઇલનો તે વઘુ એક ઉત્તમ નમૂનો છે. સૌ જાણે છે : અમિત શાહ મોદીનો જમણો હાથ છે - અને તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કે કટોકટીના વિરોધમાં નહીં, નકલી એન્કાઉન્ટરના કેસમાં જેલ જઇને જામીન પર છૂટેલા છે.

અમિત શાહ મંત્રીપદે હોય કે ન હોય, ગુજરાતની ‘મોદી સરકાર’માં તેમના હાથ બહુ લાંબા રહ્યા છે. ‘સાહેબ’ના આદેશથી એક ગુજરાતી યુવતી પર જાસુસી કરાવવાના મુખ્ય સૂત્રધાર તરીકે અમિત શાહ વગોવાઇ ચૂક્યા છે. તેમણે, સંભવતઃ ‘સાહેબ’ના આદેશથી જ, એક નિર્દોષ છોકરીની જાસુસી માટે અને તેની રજેરજની હિલચાલની વિગતો મેળવવા માટે તેની પાછળ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ લગાડી દીધી હતી. એ આખો વાર્તાલાપ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને અખબારોમાં પણ આવી ચૂક્યો છે.

અમિત શાહના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પોલીસ અફસરો સહિત ડઝનબંધ વિશ્વાસુ પોલીસ અધિકારીઓ જેલમાં અથવા જામીન પર છે. (દરમિયાન, એકેય એન્કાઉન્ટર રાજ્યના હિતમાં કે મુખ્ય મંત્રીનો જીવ બચાવવા માટે થયાં ન હતાં એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે.) ગુજરાત રાજ્યની સ્થાપનાની સુવર્ણજયંતિ ઉજવાઇ ત્યારે યોજાયેલા ભવ્ય સમારંભમાં મુખ્ય મંત્રી સહિત આખું મંત્રીમંડળ મંચ પર ઉપસ્થિત હતું, પરંતુ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ  ધરપકડની આશંકાથી એ સમારંભમાં ગેરહાજર રહ્યા હતા. આ અમિત શાહને જમણા હાથ તરીકે રાખીને મોદી રાજકારણમાંથી અપરાધીઓને દૂર કરવાનો વાયદો આપે છે.

ફક્ત અમિત શાહ જ શા માટે, કોમી હિંસાનાં આરોપી માયાબહેન કોડનાનીને મુખ્ય મંત્રી મોદીએ પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતું. ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીની પકડ સંપૂર્ણ હોવા છતાં, તેમના મંત્રીમંડળમાં બાબુભાઇ બોખીરીયા અને પુરુષોત્તમ સોલંકી જેવા અપરાધનો ઇતિહાસ ધરાવતા નેતાઓને સ્થાન મળતું રહ્યું છે. અને આ જ મોદી મુખ્ય મંત્રીને બદલે વડાપ્રધાન બની ગયા પછી, રાજકારણને અપરાધીમુક્ત બનાવી દેવાનો વાયદો આપે છે. ટીવી પર મોદીના ફિક્સ્ડ લાગતા ઇન્ટરવ્યુ લેનારા કોઇ એમને પૂછતા નથી કે અમિત શાહ, બોખીરીયા, સોલંકી જેવા મહાનુભાવો વિશે મોદીને શું કહેવાનું છે. ‘અપરાધી સાબીત ન થાય ત્યાં સુધી નિર્દોષ’ની ઘીસીપીટી રેકોર્ડ જ વગાડવાની હોય તો પછી કોંગ્રેસમાં અને મોદીમાં ફરક શો? અને આટલી ગર્જનાઓનો શો અર્થ છે?

ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શિક્ષત ઉમેદવારનું સરકારી રાહે શોષણ કરવા માટે ‘વિદ્યાસહાયક’ અને ‘અઘ્યાપકસહાયક’ જેવી વિશિષ્ટ વ્યવસ્થાઓ ઊભી કરી છે. પાંચ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી મામુલી પગારમાં શિક્ષિતો પાસે નોકરી કરાવવી, એ રાજ્યસ્તરે મોદીનો રોજગારીનો ખ્યાલ છે અને વડાપ્રધાન બન્યા પછી એ રાષ્ટ્રિય સ્તરે બેરોજગારી દૂર કરવાના છે.

યાદ રહે, આ વાતોમાં ક્યાંય મુસ્લિમોનો કે ૨૦૦૨ની કોમી હિંસાનો મુદ્દો તો હજુ સુધી આવ્યો જ નથી. એ સિવાયના મુદ્દા પણ પૂરતા ગંભીર અને ચિંતાજનક છે. લોકો ભલે મનમોહનસિંઘને ‘મૌનમોહન’ કહે, ભીંસમાં આવે ત્યારે નરેન્દ્ર મોદીને પણ ‘મૌનમોહન’ બનતાં વાર લાગતી નથી. (એક ઉદાહરણ : આશ્રમમાં બાળકોની હત્યાના મુદ્દે મુખ્ય મંત્રીનું નિવેદન કદી જોયું-સાંભળ્યું?)

આગળ લખેલી બધી વિગતો જાહેર છે. પ્રસાર માઘ્યમોમાં આવી ચૂકી છે. હવે મતદારોએ નક્કી કરવાનું છે કે તે ‘ઑડિયન્સ’ છે કે જાગ્રત નાગરિક? તે કાતિલ દંભથી છેતરાવા ઉત્સુક છે? કે ખુલ્લી આંખે- ખુલ્લા મને જોઇ-વિચારી શકે છે? આ ચૂંટણીમાં પસંદગી કોઇ પક્ષ કે નેતાની નહીં, આ સવાલોના જવાબની થવાની છે.

Saturday, April 26, 2014

જુરાસિક પાર્કમાં ચૂંટણી

અવનવાં ડાયનોસોરને એક જગ્યાએ ભેગાં રાખવાની કલ્પના સ્ટીવન સ્પિલબર્ગે તેમની ફિલ્મ ‘જુરાસિક પાર્ક’ પાર્કમાં રજૂ કરી હતી. ધારો કે એવા કાલ્પનિક જુરાસિક પાર્કમાં સામાન્ય ચૂંટણી યોજાય તો, જુદાં જુદાં પ્રકારનાં ડાયનોસોર કેવી રીતે ચૂંટણીપ્રચાર કરે? સ‘ક્યાં લોકસભાની ચૂંટણી ને ક્યાં જુરાસિક પાર્ક’ એવું વિચારનારા લોકોને વિનંતી કે નેતાઓની જાડી ચામડી અને તેમની વૃત્તિઓની હિંસકતા વિશે વિચારી જોશો તો એવું થશે કે ‘ક્યાં પેલાં બિચારાં ડાયનોસોર અને ક્યાં આ નેતાઓ?’
***
ડાયનોસોર ૧

અમારાં ડાયનોસોરનાં નામ હોતાં નથી. અમે અમારાં પરિવારનામથી કે જૂથનામથી ઓળખાઈએ છીએ. મને મારા પરિવારનામનું ગૌરવ છે. લોકો કહે છે કે મારી પાસે જો કંઇ હોય તો એ મારું પરિવારનામ જ છે. લોકો એમ પણ કહે છે કે મારો જન્મ સમસ્ત ડાયનોસોર સમાજની નેતાગીરી લેવા માટે થયો છે. આ સાચું છે કે નહીં, એ હું જાણતો નથી. પણ એ વાત માનવામાં મને વાંધો નથી. આખરે રાજ કરવાની જ વાત છે, તો હું ડાયનોસોર સમાજના છેવાડાના સભ્યોના અને આખા જુરાસિક પાર્ક ઉત્થાન માટે એટલો ભોગ આપવા તૈયાર છું.

અમારું જૂથ શાકાહારી છે કે માંસાહારી કે ઉભયાહારી, એ હજુ નક્કી થઇ શક્યું નથી. મારા જૂથનો ઇતિહાસ કહે છે કે અમે શાકાહારી છીએ. અમારા પૂર્વજોએ ‘શાકાહારી’નું અંગ્રેજી ‘સેક્યુલર’ કર્યું હતું.  કેટલાંક વિરોધી જૂથો અમારા દાવા સાથે સંમત નથી. ‘શાકાહારી’ શબ્દની વ્યાખ્યા અંગે અમારી વચ્ચે ગંભીર મતભેદ છે. અમારા જૂથનાં કેટલાંક ડાયનોસોરોએ ભૂતકાળમાં શાકાહારી ડાયનોસોરનો સામુહિક સંહાર કર્યો હતો. અમે માનીએ છીએ કે જો અમારા જૂથે શાકાહારી ડાયનોસોરનો સંહાર કર્યો હોય તો અમે શાકાહારી ગણાવા જોઇએ. કારણ કે અમે હિંસક હોત તો માંસાહારી ડાયનોસોરનો સંહાર કર્યો ન હોત?

પણ હું જાણું છું કે આ તકરારનો અંત નથી. ખરું પૂછો તો, સમસ્ત જુરાસિક પાર્કના હિતમાં આ પ્રકારની તકરારનો કશો મતલબ પણ નથી. એટલું નક્કી છે કે હું પાર્ક પ્રત્યે ફરજ અદા કરવાની બાબતમાં જરાય પીછેહઠ કરવા માગતો નથી. ઘણા લોકો કહે છે કે અત્યાર સુધી અમારા જૂથેે જુરાસિક પાર્ક પર રાજ કર્યું છે, તો હવે અમારે બીજાને તક આપવી જોઇએ. કેટલાક ઉત્સાહીઓ કહે છે, ‘અબકી બારી, માંસાહારી.’ હું એ ચર્ચામાં પડવા માગતો નથી, પણ એટલું જરૂર કહીશ કે હું અમારા જૂથમાં છું, છતાં નથી. હું બીજું કશું ભલે ન કરી શકું, પણ અમારાં જૂથનાં કેટલાંક ડાયનોસોરને ધમકાવી શકું છું. જુરાસિક પાર્કના ડાયનોસોર સમાજને નવા લોહીનો અનુભવ થાય એટલા માટે જ હું આ ચૂંટણી લડવા તૈયાર થયો છું.

આ પવિત્ર મિશનમાં તમે મને સહકાર આપવા ઇચ્છતા હો, તો તમારો કિમતી અને પવિત્ર મત ડાયનોસોરની પૂંછડીને આપજો. પૂંછડીને મત એટલે આપણા દેશના ઇતિહાસને, તેની સમૃદ્ધ પરંપરાને અને દેશના ઉજ્જવળ ભવિષ્યને મત. મારી પૂંછડી સાથે તમારી પૂંછડી મળશે તો આપણા પાર્કનાં સૌથી છેવાડાનાં ડાયનોસોરની પૂંછડી શક્તિશાળી બનશે.

હર પૂંછ શક્તિશાલી, હર પૂંછ ગૌરવશાલી. જોર સે બોલો...હર પૂંછ શક્તિશાલી...

ડાયનોસોર ૨

વર્ષોથી પેલા દંભી શાકાહારી- સેક્યુલર- સમુદાયે આપણા જુરાસિક પાર્ક પર રાજ કર્યું, એમાં ને એમાં પાર્ક ખાડે ગયો છે. પોતે સેક્યુલર-શાકાહારી છે, એવું દર્શાવવા માટે તેમણે પાર્કનાં વૃક્ષોનાં પાંદડાં સુદ્ધાં લીલા રંગે રંગી નાખ્યાં છે. તુષ્ટિકરણની હદ હોય કે નહીં? પણ હવે એ લોકોથી તમે છેતરાશો નહીં. અમે એમના જેવા નથી. અમે શાકાહારી હોવાનો દાવો કરતા નથી અને ચૂંટણીપ્રચાર ચાલુ કર્યો ત્યારથી માંસાહારી હોવાની વાત પણ બંધ કરી છે.

અમે હવે સુધરી ગયા છીએ, એ વાત બીજું કોઇ માને કે ન માને, પણ અમે ગાઇ વગાડીને કહીએ છીએ. અમારા પરિવારની એ જૂની પરંપરા છે કે કોઇ પણ વાત મોટેથી, ગાઇવગાડીને અને વારંવાર કહેવાથી એ સાચી સાબીત થઇ જાય છે. વિરોધી ડાયનોસોરો એને જૂઠાણું કહે છે, પણ અમે એને વચનસિદ્ધિ માનીએ છીએ. અમારી વાતમાં એટલી તાકાત હોય છે કે એ ખોટી હોય તો પણ આખો જુરાસિક પાર્ક એને સાચી માનવા માંડે અને અમારા વતી એનો પ્રચાર કરવા લાગી પડે.

અમારા વિરોધીઓ અમને માંસાહારી તરીકે બદનામ કરે છે, પણ માંસાહારી કોણ નથી? શાકાહારી ડાયનોસોર લીલોતરી ખાય છે તેમાં સૂક્ષ્મ જીવજંતુઓ નહીં હોય? એ કરે તે શાકાહાર અને અમે કરીએ તે માંસાહાર- એવો દંભ બહુ ચાલ્યો. જુરાસિક પાર્કની જનતા આવો દંભ કરનારાને માફ નહીં કરે. એને બદલે અમે ચોખ્ખું કહેનારા શું ખોટા? જોકે, હવે અમે શું ચોખ્ખું કહીએ છીએ, એ ચોખ્ખું કહી શકાય એમ નથી. કારણ કે અમે જુરાસિક પાર્કની સેવા કરવાની સેવા કરવાની અદમ્ય ઇચ્છા ધરાવીએ છીએ. ઘણા તેને સત્તાની લાલસા કહે છે, પણ પાર્કની સેવા કરવામાં ગમે તેટલી બદનામી વહોરવાનું પણ અમને મંજૂર છે. પાર્કની સેવા કરવી એ ગુનો ગણાતો હોય તો અમે ફાંસીએ ચડી જવા પણ તૈયાર છીએ.

હા, ઘણા ચોખલિયાઓને શાકાહાર-માંસાહારનો મુદ્દો બહુ અગત્યનો લાગે છે, પણ અમે એવા જૂનાપુરાણા મુદ્દા પર ચૂંટણી લડવા માગતા નથી. જુરાસિક પાર્કનો વિકાસ અમારું એકમાત્ર ઘ્યેય છે. અમે પોતે આ જ જુરાસિક પાર્કમાં રહીએ છીએ. એટલે પાર્કના વિકાસ માટે અમારો વિકાસ કરવો પડે, આટલી સીધી વાત કેટલાકને સમજાતી નથી. પણ મને ખાતરી છે કે જુરાસિક પાર્કની ડાયનોસોર જનતા એવા લોકોને માફ નહીં કરે.

અમારું વિરોધી જૂથ કહે છે કે અમારા રાજમાં જુરાસિક પાર્કનાં બીજાં જૂથનાં ડાયનોસોર સલામત નહીં રહે. અમે ખાતરી આપવા માગીએ છીએ કે આ જૂઠાણું છે. કેટકેટલાં ડાયનોસોરનો એટલો વિકાસ થઇ ગયો છે કે એ સમુદ્રના તળિયે રહેવાની ક્ષમતા ધરાવે છે. તેને કારણે એ જમીન પર દેખાતાં નથી. એટલે અમારા હિતશત્રુઓ એવો પ્રચાર કરે છે કે એ ડાયનોસોરનાં એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યાં છે. સચ્ચાઇ એ છે કે એ ડાયનોસોરનો વિકાસ થયો એ વિકાસના એટલે કે અમારા વિરોધીઓથી ખમાતું નથી.

સમસ્ત જુરાસિક પાર્કની ડાયનોસોર જનતા દરિયાના તળિયે રહી શકાય એવો વિકાસ સાધવા થનગની રહી છે એની અમને ખાતરી છે. એટલે અમારી જીતને કોઇ રોકી શકે એમ નથી.

ડાયનોસોર ૩

અમારો હાથની જગ્યાએ પાંખો જેવું કંઇક ફૂટ્યું હોય એવો, વિચિત્ર દેખાવ જોઇને નવાઇ પામવાની જરૂર નથી. ડાયનોસોરને ખરેખર પાંખો હોઇ શકે છે. આપણા પાર્કના ઘણા મહાન આગેવાનો ભૂતકાળમાં લખી ગયા છે કે ડાયનોસોરને પાંખો હોઇ જ શકે છે- બલ્કે, ધીમે ધીમે તેમને પાંખો ફૂટવી જ જોઇએ. તો જ એમની ઉત્ક્રાંતિ થઇ કહેવાય. આપણા પાર્કમાં શાકાહાર-માંસાહાર અને વિકાસની વાતો થાય છે, પણ આપણી જાડી ચામડીની વાત કોઇ કરતું જ નથી.

જાડી ચામડી મોટા ભાગની સમસ્યાઓનું મૂળ છે. એ સંવેદનશીલ થાય તો ઉત્ક્રાંતિના રસ્તે આપણે આગળ વધી શકીએ ને કદાચ પાંખો પણ ફૂટે. ચામડીને સંવેદનશીલ કરવા માટે આપણે રગદોળાવું પડે, મહેનત કરવી પડે. અમે રગદોળાયા એટલે અમને પાંખો જેવું કંઇક ફૂટ્યું છે. એ વધે છે કે ખરી જાય છે, તે જોઇશું, પણ એ ઉત્ક્રાંતિનું પ્રતીક છે એટલું નક્કી.

પાંખો વિના તમારામાંથી ઘણા બધાંની જિંદગી ચાલે જ છે. છતાં, એક વાર જાડી ચામડીમાંથી પાંખો જેવું કંઇક ફૂટવાનો અનુભવ લેવો હોય તો અમને યાદ કરજો. બાકી, ડાયનોસોર સમાજ જેના માટે કુખ્યાત છે એવી સુસ્તીથી જીવન વીતાવવું હોય તો બીજા ઉમેદવારો તમારા માટે જ છે.  

Thursday, April 24, 2014

લોકલક્ષી રાજકારણ : વકરો અને નફો

જાણીતી વાર્તા પ્રમાણે, રાજાના દરબારમાં ગુનેગારને સજાના બે વિકલ્પ મળ્યા હતા : પચાસ ફટકા ખાવા અથવા પચાસ ડુંગળી.  ગુનેગાર ફટકા ખાવાનું શરૂ કરે એટલે થોડી વાર પછી એમ થાય કે ‘આના કરતાં ડુંગળી સારી’ અને થોડી ડુંગળી ખાધા પછી રાડ પોકારી જાય એટલે ‘આના કરતાં ફટકા ખાવા સારા’ એવો વિચાર આવે. વાર્તાનો અંત એવો હતો કે ગુનેગાર પચાસ ફટકા પણ ખાય છે ને પચાસ ડુંગળી પણ.

ભારતની લોકશાહીમાં મતદારોની દશા, વાર્તામાં આવતા ગુનેેગાર જેવી લાગે છે. પક્ષીય વફાદારી ધરાવતા લોકો સંમત નહીં થાય, પણ શાસનની બાબતે કોંગ્રેસ-ભાજપ ડુંગળી અને ફટકાની યાદ અપાવે એવા બે ‘વિકલ્પ’ છે. રાજ્યસ્તરે તેમના વિકલ્પ ઉભરતા રહ્યા છે - ક્યારેક સ્થાનિક મુદ્દા, આંદોલન કે રાજકારણના પરિપાક તરીકે, તો ક્યારેક વેરવિખેર રાષ્ટ્રિય મોરચાઓના રહ્યાસહ્યા ટુકડા તરીકે. પરંતુ એ વૈકલ્પિક પક્ષો રાજકારણની દૃષ્ટિએ ‘ડુંગળી-ફટકા પક્ષો’ કરતાં ખાસ જુદા હોતા નથી. કોંગ્રેસ-ભાજપની જેમ એ પણ લોકહિતની ઉપેક્ષા કરીને, મુખ્યત્વે લોકરંજક (પોપ્યુલિસ્ટ) દેખાડાબાજીના જ ખેલ પાડે છે અને વ્યક્તિકેન્દ્રી કે સંકુચિત વિચારધારાકેન્દ્રી બની રહે છે.

ટોળાંને રીઝવે એવાં ભાષણ, નાટકબાજી કે જોણાં કરવાં, રાજ્ય પાસેથી લાભ મેળવી ચૂકેલા-મેળવવા આતુર ઉદ્યોગપતિઓનાં કે પછી રાજ્યનાં નાણાંનો ઘુમાડો કરીને પોતાનો વટ પાડી દેવો, નક્કર કામને બદલે આક્રમક પ્રચાર પર વધારે ઘ્યાન આપવું, ઉત્તરદાયી ન રહેવું- અઘરા સવાલોના જવાબ ન આપવા, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાને બદલે તેનું શક્ય એટલું કેન્દ્રીકરણ કરવું, લોકસેવક હોવાનો દાવો કરતાં કરતાં, લોકશાહી સંસ્થાઓને પંગુ બનાવીને લોકસમ્રાટ બની બેસવું, સેક્યુલરિઝમ કે હિંદુત્વ જેવી લાગણીઓના નામે ચરી ખાવું - આ બધાં લક્ષણો ‘ડુંગળી-ફટકા પક્ષો’ અને તેમના નેતાઓનાં છે.

હમણાં સુધી તેમાંથી કોઇ રાષ્ટ્રિય કે સ્થાનિક પક્ષ બાકાત ન હતો. મોરચા સરકારો ભૂતકાળમાં ઘણી બની હતી, પરંતુ તેમનું રાજકારણ મૂળભૂત રીતે જુદું (લોકલક્ષી કે લોકાભિમુખ) ન હતું. કટોકટી પછી ૧૯૭૭માં રચાયેલી જનતા સરકાર પાસે આપખુદશાહીના વિરોધી અને લોકશાહીને પુષ્ટ કરે એવા રાજકારણની આશા હતી, પરંતુ કોંગ્રેસવિરોધનું દોરડું વિપક્ષી નેતાઓને એક ભારે બાંધવામાં નબળું અને નિષ્ફળ નીવડ્યું. એટલે જનતાપ્રયોગનો કરુણ અંત આવ્યો. સતેનાં વર્ષો પછી- અને લોકાભિમુખ રાજકારણના નામે સદંતર અંધકાર છવાયા પછી કદાચ પહેલી વાર- આમઆદમી પક્ષ થકી ‘ડુંગળી-ફટકા પક્ષો’ના રાજકીય વિકલ્પની - વૈકલ્પિક રાજકારણની આશા ઊભી થઇ છે.

પરિવર્તનનો રસ્તો

મુદ્દો કોઇ રાજકીય પક્ષની તરફેણ કે વિરોધનો નહીં, નાગરિકલક્ષી રાજકારણની તલપનો છે. દાયકાઓથી ભારતના નાગરિકો એક યા બીજા પક્ષ-નેતાની ભક્તિમાં રાચતા આવ્યા છે. સેક્યુલરિઝમ અને હિંદુત્વ, સમાજવાદ અને ઉદારીકરણ - આ બધા પર મૂકેલી આશાઓ છેવટે ઠગારી નીવડી હોવાનું અને બધા છેવટે એકના એક હોવાનું ઘણા નાગરિકોને સમજાયું છે. છતાં, પરિસ્થિતિ સુધરતી નથી, બલ્કે બગડતી જાય છે. કેમ?

લોકલક્ષી રાજકારણમાં જે ‘લોક’ની- એટલે કે નાગરિકોની- વાત છે, તેમના કેટલાક મુખ્ય પ્રકાર આ પ્રમાણે છે :
૧) તમારી બધી વાત સાચી, પણ હું તો વર્ષોથી કમળને (કે પંજાને) જ મત આપું છું.
૨) એક વાર અમુક નેતા (ભૂતકાળમાં ઇંદિરા કે રાજીવ કે સોનિયા, ભવિષ્યમાં નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી) આવે એટલે જોજો તો ખરા. એ દેશનો ઉદ્ધાર કરી નાખશે. આપણો મત તો એમને જ.
૩) અમે તો અમારા સમાજના (જ્ઞાતિ કે સમુદાયના) ઉમેદવારને જ મત આપવાના. એ જેવો હોય એવો, પણ અમારો તો ખરો.
૪) અત્યાર સુધી બધા આવી ગયા, પણ આપણો દહાડો કોણે વાળ્યો? એટલે તમે કહો તો એને મત આપીએ, પણ અમને શું મળશે? (ઉમેદવારના કે પક્ષના ગુણદોષના આધારે મત આપનાર સંખ્યાત્મક લધુમતીને અહીં બાકાત રાખી છે.)

આ યાદીમાં હજુ બીજા કેટલાક પ્રકાર કે પેટાપ્રકારનો ઉમેરો કરી શકાય, પણ તેમાંથી એકેયમાં લોકોની સામેલગીરી ધરાવતા રાજકારણનો ખ્યાલ નથી. મત આપ્યા પછી ને સરકાર રચાઇ ગયા પછી પોતાની કોઇ ભૂમિકા હોઇ શકે અને નેતાઓ પાસેથી પોતે જવાબ માગી- મેળવી શકે, એવો ખ્યાલ મતદારોના મનમાં ઉગતો જ નથી. તેને મૂળમાંથી બાળી નાખવા માટે અત્યાર લગી રાજકીય પક્ષોએ સતત મહેનત કરી છે અને તેમની મહેનત ફળી છે. એટલે પાંચ વર્ષે એક વાર નમ્રભાવે અને વચ્ચે ક્યારેક મહેમાન કલાકારની છટાથી નેતા મતવિસ્તારમાં આવી જાય, એટલી ‘કૃપા’થી લોકો નભાવી લે છે. અપેક્ષા દિવસે દિવસે ઓછી થતી જાય એટલે રાજકારણીઓ સામેનો કચવાટ-કકળાટ ચાલ્યા કરે, પણ ચૂંટણી વખતે મતદાનને પવિત્ર ફરજ સમજીને, આગળ જણાવેલા કોઇ પ્રકારને અનુસરીને મત આપી દેવાય છે.

આ પ્રકારની અંધકારમય ‘વ્યવસ્થા’ની આદત પડી ચૂકી હોય ત્યારે તેમાં ચકમકથી જ્યોત જલાવવાના પ્રયાસ ‘અરાજકતા’ લાગી શકે છે. એ રીતે અરવિંદ કેજરીવાલને અને તેમના રાજકારણને ‘અરાજકતાવાદી’ ગણવાં હોય તો ગણી શકાય. સવાલ એ છે કે કેજરીવાલ અને તેમના રાજકારણને સતત, નાનામાં નાના મુદ્દે ઉતારી પાડવાના પ્રયાસ શા માટે થાય છે? મુદ્દાની હળવી, ભારે કે પરચૂરણ ગંભીરતા વિશે જોયા-વિચાર્યા વિના, પહેલી તકે સોશ્યલ નેટવર્કિંગ કે ટીવી ચેનલો પર કેજરીવાલને ઝૂડવા બેસી જાય છે, એ લોકો કોણ છે? તેમાંથી કેટલા ભાજપ-કોંગ્રેસના વફાદારો છે? કેટલા પોતાનાં આર્થિક કે મનોવૈજ્ઞાનિક કારણોસર કેજરીવાલના ભીંતભૂલ્યા ટીકાકાર બની ગયા છે? અને કેટલા લોકો અગાઉના નેતાઓના વરવા અનુભવો પરથી કેજરીવાલને શંકાની નજરે જુએ છે અને તેમના પ્રકારના - એટલે કે નાગરિકલક્ષી- રાજકારણને સરખી તક આપવા તૈયાર નથી? આ સૌએ વિચારવાનું છે.

કેજરીવાલનાં કેટલાંક પગલાં વિશે મતભેદ હોઇ શકે, ‘આપ’ દ્વારા પસંદ કરાયેલા કેટલાક ઉમેદવારો સામે વાંધો લઇ શકાય, ‘આપ’ પાસેથી કેટલાક મુદ્દે વઘુ સ્પષ્ટતાની અપેક્ષા હોય, પરંતુ પક્ષના મુખ્ય સૂત્રધારો એવા કેજરીવાલ અને યોગેન્દ્ર યાદવની દાનતમાં ખોટ દેખાઇ નથી. તેમનો-‘આપ’નો ઇરાદો બને એટલા વધારે પ્રમાણમાં મતદારોની-નાગરિકોની સામેલગીરીનો હોય એવું લાગ્યું છે. સાથોસાથ ભૂલો સ્વીકારવાની તેમની તૈયારી પણ દેખાઇ છે. પરિવર્તનના રાજકારણમાં સૌથી પાયાની કહેવાય એવી આ બન્ને જરૂરિયાતો બીજો કયો રાજકીય પક્ષ સંતોષે છે?

પણ એના કરતાં વધારે પ્રાથમિક સવાલ છે : નાગરિકોને- એટલે કે આપણને- લક્ષમાં લેતી, વીવીઆઇપી બની ગયા વિના આપણી વાત સાંભળવા તૈયાર અને સવાલોના જવાબ આપે એવી નેતાગીરી આપણે જોઇએ છે? કે પછી કોઇ આવીને આપણો ઉદ્ધાર કરી જશે, એ આશામાં છેતરાતા રહેવું આપણને વધારે પસંદ છે? રાજકારણના ત્રાજવાનું પલ્લું સહેજસાજ નાગરિકો તરફ નમી શકે એવી સંભાવના ઊભી થઇ હોય ત્યારે તેનો શક્ય એટલો કસ કાઢવો છે? કે પછી જેમ છે તેમ જ ધકાવ્યે રાખવું છે.

વફાદારી નહીં, ફરજ

કેટલાક લોકો ઠાવકું મોં રાખીને કહે છે, ‘જુઓ, અમને કેજરીવાલ સામે વાંધો નથી. પણ એમને થોડા ટાઇમની જરૂર છે. અમસ્તી પણ આ વખતે એમની સરકાર બનવાની નથી. તો પછી નકામો મત શા માટે બગાડવો? એના કરતાં મોદીને મત આપો. એ યોગ્ય ઉમેદવાર છે.’ બીજા કેટલાક આ જ તર્ક મૂકીને કહે છે, ‘આપ’ને મત આપવાથી મોદીવિરોધી મત બગડશે. એના કરતાં કોંગ્રેસને જ મત આપો.

‘વ્યવહારુ ડહાપણ’ના નામે રજૂ કરાતી આ દલીલ કુતર્કનો ઉત્તમ નમૂનો છે. કારણ કે દેખીતી રીતે તર્કબદ્ધ લાગતી આ વાત કરનારા પહેલા પગથીયે જ ગોથું ખાય છે. જાગ્રત નાગરિકો માટે સવાલ ‘આપ’ની સરકાર બનશે કે નહીં, એ નથી. (અત્યાર સુધી) કેજરીવાલ લોકલક્ષી રાજકારણનું પ્રતિનિધિત્વ કરે છે. લોકલક્ષી રાજકારણનો પાયો મજબૂત બનશે, તો વડાપ્રધાન ગમે તે થાય, તેમની સરકાર પર નાગરિકોનું- તેમના ખરા પ્રતિનિધિઓનું દબાણ રહેશે અને તે બેફામ બનતા અટકશે. પરંતુ લોકલક્ષી રાજકારણનું થોડુંઘણું બળ પણ ઊભું નહીં થાય, તો પછી વડાપ્રધાન ગમે તે બને, મૂળભૂત રાજકારણમાં કશો ફરક નહીં પડે.

પક્ષીય કે વ્યક્તિગત વફાદારી માનસિક ગુલામીનું લક્ષણ છે. એવી ‘વફાદારી’ કેજરીવાલ કે ‘આપ’ પ્રત્યે પણ ન હોવી જોઇએ.  મહત્ત્વ ‘આપ’નું નહીં, તેના દ્વારા પ્રગટાવાયેલી નાગરિકલક્ષી રાજકારણની ચિનગારીનું છે. એ બુઝાવી ન જોઇએ. ‘આપ’નો વિરોધ થઇ જ શકે, પરંતુ કોંગ્રેસ-ભાજપના ખોળે બેસી ગયા વિના. જાગ્રત નાગરિકો માટે ‘આપ’ માત્ર સાધન છે. અસલી ઘ્યેય નાગરિકોની સામેલગીરીના રાજકારણનો શક્ય એટલો વિસ્તાર કરવાનું છે. કાલે બીજો કોઇ પક્ષ કેજરીવાલ-યોગેન્દ્ર યાદવ જેવા નેતાઓ સાથે ચોખ્ખી દાનત અને લોકસામેલગીરીની વાત લઇને આવે તો જાગ્રત નાગરિકોએ એ પક્ષને પણ ટેકો આપવો જોઇએ.

અત્યાર લગી ‘લેસર એવિલ’ (ઓછા અનિષ્ટ) પક્ષની પસંદગી કરીને થાકેલા નાગરિકોનું વાંકદેખાપણું સમજાય છે. છતાં અનિષ્ટ સિવાયની પસંદગી ઉપલબ્ધ બને ત્યારે એને પસંદ કરવા જેટલી સૂઝ પણ નાગરિકોએ બતાવવી રહી. 

Wednesday, April 16, 2014

ભારત વિશે કેટલાક નિબંધ

અંગ્રેજી પુસ્તકોમાં ‘આઇડીયા ઑફ ઇન્ડિયા’ની ઘણી ચર્ચા કરવામાં આવે છે, પણ આપણા ઘણાખરા નેતાઓની ક્ષમતાને ઘ્યાનમાં રાખતાં એવું અઘરું કામ તો તેમને સોંપાય નહીં. તો પછી, દસમા-બારમા ધોરણના પેપરમાં પુછાતા નિબંધની શૈલીમાં તેમન ભારત વિશે એક નિબંધ લખવાનો કહ્યો હોય તો? કેટલાક કાલ્પનિક નમૂના.
***

નરેન્દ્ર મોદીનો નિબંધ

મિત્રો, ભારત મારો દેશ છે. અહીં ‘મારો’ શબ્દ પર ભાર મૂકીને વાંચવું. કારણ કે ટૂંક સમયમાં હું આ દેશનો વડાપ્રધાન બનવાનો છું. અત્યારે તો હું આ દેશનો મુખ્ય મંત્રી છું.

કોઇને થશે કે દેશનો મુખ્ય મંત્રી કેવી રીતે હોઇ શકે? નાગરિકશાસ્ત્ર પ્રમાણે એ શક્ય નથી. કારણ કે તેમાં લખ્યું છે કે દેશના તો વડાપ્રધાન જ હોય. પણ મિત્રો, મારા ટીકાકારો માને છે કે હું નાગરિકશાસ્ત્રમાં માનતો નથી. આવો પ્રચાર ગુજરાતને - અને થોડા સમય પછી હું વડાપ્રધાન બનીશ તો દેશને- બદનામ કરવાનું કાવતરું છે. (આગળના વાક્યમાં ‘તો’ લખાયું હોય, તો એ પણ દેશને બદનામ કરવાનું દેશવિરોધી તત્ત્વોનું કાવતરું છે. વડાપ્રધાન બનવા જેવી બાબતમાં હું ‘તો’ લખતો હોઇશ? મેં તો લખ્યું હતું, ‘હું વડાપ્રધાન બનીશ ત્યારે’.)

તો મિત્રો, હું નાગરિકશાસ્ત્રમાં માનું કે ન માનું, પણ વડાપ્રધાનપદમાં માનું છું. હમણાંથી નહીં, મુખ્ય મંત્રી હતો ત્યારથી વડાપ્રધાનપદમાં માનું છું. મુખ્ય મંત્રી તરીકે મેં આપેલાં ભાષણ લાલ કિલ્લા પરથી અપાયેલાં ભાષણને હંફાવે એવાં હતાં. એક વાર તો મેં લાલ કિલ્લાનો સેટ ઊભો કરાવીને તેની પરથી મુખ્ય મંત્રી તરીકે ભાષણ આપ્યું હતું અને પાકિસ્તાનના ભુક્કા બોલાવી દીધા હતા.  બોલો, હવે હું દેશનો મુખ્ય મંત્રી ખરો કે નહીં?

આ દેશ મને બહુ વહાલો છે. કેટલો વહાલો છે એનું માપ તો કેવી રીતે બતાવવું? પણ એના વડાપ્રધાનપદ માટે મેં અત્યાર સુધી જેટલા પ્રયાસ અને જેટલો ખર્ચ કર્યા છે, જેટલી કુરબાનીઓ આપી છે અને જેટલાં યુદ્ધ લડ્યો છું, એની પરથી મારો દેશપ્રેમ કોઇ પણ માણસ નક્કી કરી શકે છે- જો એ દંભી સ્યુડો સેક્યુલરિસ્ટ દેશદ્રોહી ન હોય તો. દંભીઓ કહે છે કે મેં કુરબાનીઓ આપી નથી, લીધી છે. પણ મેં પહેલાં જ કહ્યું હતું- અને ન કહ્યું હોય તો હવે કહી દઉં- કે મારા માટે દેશહિત સર્વોપરી છે અને દેશહિત તો જ સાધી શકાય, જો હું વડાપ્રધાન બનું.

મિત્રો, હું એ જ પવિત્ર દેશનો વડાપ્રધાન બનવાનો છું, જ્યાં શ્રીરામની જન્મભૂમિ આવેલી છે. તેણે મારી જ નહીં, લાખો દેશવાસીઓની અને ખાસ તો મારા પક્ષની શ્રદ્ધા પોષી છે. કઇ શ્રદ્ધા તેની વિગતમાં પડવાની જરૂર નથી. એ તો જેવી જેની શ્રદ્ધા. પણ એટલું કહીશ કે મારી શ્રદ્ધા ફળી છે. એટલે ભારતના બંધારણની હદમાં રહીને બોલો, જય શ્રી રામ.

હું જે દેશનો મુખ્ય મંત્રી છું અને ટૂંક સમયમાં જેનો વડાપ્રધાન થવાનો છું, એ દેશની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં કોમી હુલ્લડોમાં મરે છે કોઇક ને ફાયદો કોઇકને થાય છે. કોમી હિંસામાં રાજકર્તાઓને કદી નુકસાન થતું નથી. અદાલતો તેમનું કશું બગાડી લેતી નથી. તપાસસમિતિઓ પહેલી નજરે ગાળિયા લઇને ઊભેલી લાગે, પણ પછી નેતા નજીક જાય એટલે તે ગાળિયો ભીંસવાને બદલે પહોળો કરીને તેમને આખેઆખા અંદરથી પસાર થઇ જવા દે છે અને નેતા પ્રતાપી હોય તો એ ગાળિયો ક્યારે ફૂલનો હાર બની જાય એની પણ ખબર પડતી નથી.

તમને થશે કે મને આ બધી ક્યાંથી ખબર? પણ બઘું થોડું લખાય છે? બોલો, ભારતમાતાકી...જય.

રાહુલ ગાંધીનો નિબંધ

ભારત મારો દેશ છે. બધાં ભારતીયો મારાં ભાઇબહેન છે. (હું કુંવારો છું તેને આ બાબત સાથે કશો સંબંધ નથી.) આ મહાન દેશ પર સદીઓથી મારા વડવાઓ રાજ કરતા રહ્યા છે. હું તેમનો વંશજ છું અને મારો વારો આવે એની રાહ જોઉં છું. હા, આ મહાન દેશ પર રાજ કરવા માટે પહેલાંના વખતમાં ખૂનખાર યુદ્ધ ખેલવાં પડતાં હતાં. હવે ફક્ત રાહ જોવાનું પૂરતું છે. ખાસ કરીને મારા જેવા, મોઢામાં અને આસપાસ ચાંદીના ચમચા લઇને જન્મેલા માણસ માટે.

આ દેશમાં કુતુબમિનાર અને તાજમહાલ આવેલો છે. ગંગા અને જમુના નદી આવેલી છે. હિમાલય આવેલો છે- અને એટલું કહી દઉં કે એમાં નરેન્દ્ર મોદીનો કોઇ ફાળો નથી. (આ તો કદાચ એ વડાપ્રધાન બની જાય અને પછી આવો કોઇ દાવો કરવા લાગે, તો પહેલેથી કહી રાખ્યું.) આ દેશ ગોળ નથી, પણ મને તે ઘણી વાર મારી આસપાસ ગોળ ગોળ ફરતો લાગે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોની ચૂંટણીમાં મેં મોટા ઉપાડે નેતાગીરી લીધી હોય અને પછી પક્ષ હારી જાય ત્યારે ખાસ એવું લાગે છે. પણ એમાં દેશનો વાંક નથી.

ભારતને મેં અનેક સ્વરૂપે જોયો છે. ટીવી પર જોયો છે, ઇન્ટરનેટ પર જોયો છે, પુસ્તકોમાં જોયો છે ને અખબારોમાં પણ જોયો છે. પછી મમ્મીના કહેવાથી હેલિકોપ્ટરમાં ફરીને પણ જોયો છે ને ગાડીમાં બેસીને પણ જોયો છે. ફાઇવસ્ટાર હોટેલમાંથી પણ જોયો છે અને દલિતની ઝૂંપડીમાંથી પણ જોયો છે. આખરે મને એટલું સમજાયું છે કે...આજે નહીં તો કાલે આ દેશ પર રાજ કરવામાં ખાસ વાંધો નહીં આવે. કારણ કે અહીંના લોકોમાંથી રાજાશાહીના વખતના સંસ્કાર હજુ ગયા નથી.

આ દેશની વાત કરીએ અને તેના સંસ્કાર-તેની પરંપરાની વાત ન કરીએ, તે કેમ ચાલે? આ દેશ પરિવારભાવનાથી છલકાતો છે. કુટુંબ દેશના કેન્દ્રસ્થાને છે. કુટુંબના વડાની સૌ કોઇ આમન્યા રાખે છે. કુટુંબના વડાના ગુણદોષ જોયા વિના કે તેમની વાતની ખરાઇની પંચાત કર્યા વિના, તેમની આજ્ઞાઓનું પાલન થાય છે. ઇકબાલે કહ્યું છે કે ‘કુછ બાત હૈ કિ હસ્તી મીટતી નહીં હમારી’ (એક ગાઇડે મને કહ્યું હતું કે નિબંધમાં એકાદ કાવ્યપંકિત નાખવી). મને તો લાગે છે કે દેશની હસ્તી કુટુંબભાવનાને કારણે જ ટકી રહી છે. કુટુંબ ભારતીય સંસ્કારની ધરી અને ભારતીય સભ્યતાનું કેન્દ્રબિંદુ છે. હું સૌને ચેતવવા માગું છું કે કુટુંબ વેરવિખેર થશે તો આ દેશ સલામત નહીં રહે.

હું કયા કુટુંબની વાત કરું છું, એ કહેવાની જરૂર છે?

અરવિંદ કેજરીવાલનો નિબંધ

મૈં તો બ્હોત છોટ્ટા આદમી હું, લેકિન યે દેશ બ્હોત બડા હૈ.  આ દેશ કેવો છે એ હું તમને નહીં કહું. મારા પક્ષનો કોઇ માણસ નહીં કહે. એ તમારે નક્કી કરવાનું છે. કારણ કે દેશ મારો એકલાનો નથી, દેશ આપણા બધાનો છે. એ કેવો છે ને કેવો બનાાવવો છે, એ પણ આપણે બધાએ નક્કી કરવાનું છે. આ દેશ ગાંધીની ભૂમિ તરીકે ઓળખાશે કે અંબાણી-અદાણીની ભૂમિ તરીકે, એ પણ તમારે નક્કી કરવાનું છે. આ દેશ આદર્શ કૌભાંડોથી ઓળખાશે કે આદર્શ માટે થતા આંદોલનથી એ પણ તમારે નક્કી કરવાનું છે. એટલે આ નિબંધ તમે જાતે જ લખજો અને જાતે જ એના માર્ક આપજો. મૈં તો બ્હોત છોટ્ટા આદમી હું, લેકિન યે દેશ બ્હોત બડા હૈ.  

Tuesday, April 08, 2014

કેટલીક ચૂંટણીલક્ષી ગેરમાન્યતાઓ

વાંક મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓનો નથી. એમનો (હવે  સર્વસ્વીકૃત) ધંધો છે લોકોને છેતરવાનો. ચૂંટણીટાણે તો ખાસ. કમનસીબી એ છે કે તેમની ભ્રમજાળમાં ફસાવા મોટો વર્ગ આતુર, ઉત્સુક અને થનગનતો હોય છે. નેતાશ્રી ખોંખારીને દિવસને રાત કહે, તો એ વર્ગ તેમની મર્દાનગી પર મુગ્ધ થઇને તારા ગણવા મંડી પડે છે. નેતાશ્રી કહે કે ‘હું જ ઉદ્ધારક છું. મારો કોઇ વિકલ્પ નથી.’ એટલે ભાવિક વર્ગ ડાયરામાં ડોલતા ઑડિયન્સની પેઠે ‘હા, બાપલા, હા’ની મુદ્રામાં ડોકાં ઘુણાવવા લાગે છે.

લોકશાહીમાં મૂર્ખ બનવાનો હક સૌને મળેલોે છે, પણ મૂર્ખ બનાવવાનો અધિકાર હોતો નથી. ભક્તહૃદયી લોકો ઠીક પડે તેને ઉદ્ધારક ગણી શકે છે, તેના નામના ‘ચાલીસા’ કે (કેટલાક નેતાઓનાં લક્ષણ જોતાં) ચારસોવીસા ગાઇ શકે છે. પરંતુ ‘ચાલીસા’ને વાસ્તવિકતા તરીકે રજૂ કરવામાં આવે, ત્યારે નક્કર હકીકતો સ્થાપિત કરવાનું જરૂરી બની જાય છે.

દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ કેટલાક ભ્રમ ફેલાવવામાં આવ્યા છે. તેના વિશે સિદ્ધાંતચર્ચાને બદલે નક્કર હકીકતોની મદદથી સચ્ચાઇ જાણવાનો પ્રયાસ કરીએ.

ગેરમાન્યતા : દેશહિત માટે નરેન્દ્ર મોદી સિવાય કોઇ વિકલ્પ નથી

પહેલાં થોડો ઇતિહાસ. આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન અને ત્યાર પહેલાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે જવાહરલાલ નેહરુની દેશને એવી ટેવ પડી ગઇ હતી કે ‘નેહરુ પછી કોણ?’ એવો પ્રશ્ન ચિંતાતુર થઇને પૂછવાની ફેશન હતી. નેહરુ જેવી આંતરરાષ્ટ્રિય પ્રતિભાનો કોઇ વિકલ્પ ન હોઇ શકે - તેમના વિના દેશનું શું થશે, એવું બધાને લાગતું હતું. સનેહરુના અવસાન પછી વડાપ્રધાન બનેલા લાલબહાદુર શાસ્ત્રીએ કશા બૂમબરાડા વગર કે છપ્પનની છાતીનાં ભાષણ આપ્યા વિના, પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે દેશને અસરકારક નેતાગીરી પૂરી પાડી. એ વખતે ‘નેહરુ પછી કોણ?’નો સવાલ કોને યાદ આવ્યો હશે? કોઇને નેહરુ યાદ આવ્યા પણ હશે તો કદાચ એ રીતે કે ‘આવું તો નેહરુ પણ ન કરી શક્યા હોત.’

બીજું ઉદાહરણ ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવનું છે. રાજીવ ગાંધીના મૃત્યુ પછી ગાંધીપરિવારઆશ્રિત કોંગ્રેસમાં નેતાગીરીનો શૂન્યાવકાશ સર્જાયો. પતિના કરુણ મૃત્યુ પછી શોકભવનમાં જતાં રહેલાં સોનિયા ગાંધીએ રાજકારણમાં પ્રવેશનો સાફ ઇન્કાર કર્યો. એ વખતે કોણે કલ્પ્યું હશે કે પી.વી.નરસિંહરાવ જેવા બિનગાંધી અને લો પ્રોફાઇલ નેતા વડાપ્રધાન તરીકેનો વિકલ્પ હોઇ શકે છે? અને વડાપ્રધાન બન્યા પછી તે કેવળ ટાઇમ પાસ કરવાને બદલે, આર્થિક પરિવર્તનના નવા યુગના મંડાણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે? છતાં, એ બન્યું અને આઝાદ ભારતના ઇતિહાસમાં નરસિંહરાવનું નામ અમીટ રીતે અંકાઇ ગયું.

ભાજપની વાત કરીએ તો, તેની લોકસભામાં બે બેઠકથી સરકાર રચવા સુધી મજલમાં અનેક નેતાઓનો ફાળો હતો. ભાજપમાં વાજપેયી સક્રિય હતા ત્યારે એવું લાગતું હતું કે તેમનો કોઇ વિકલ્પ નથી. એવી જ રીતે, પ્રમોદ મહાજન જીવીત હતા ત્યારે નવી પેઢીના અને રાજકારણના ખેલ ખેલી જાણતા નેતા તરીકે એ પણ નિર્વિકલ્પ લાગતા હતા.

સાર એટલો કે રાજકારણમાં ‘ફલાણાનો વિકલ્પ નથી’ કે ‘ઢીકણા વિના ચાલે એમ જ નથી’- એવી માન્યતાઓ સાચી હોતી નથી. ઘણુંખરું સંબંધિત પક્ષ કે નેતાઓનાં પ્રચારયંત્રો ગોબેલ્સ-ઝુંબેશથી એવી છાપ ઊભી કરે છે. લોકોનો મોટો સમુદાય એ વાત માનવા માંડે એટલે પ્રચારપુરૂષે પોતાના પ્રચાર માટે- કહો કે, ‘નિર્વિકલ્પ’ બનવા માટે- ખર્ચેલા અઢળક નાણાં અને કરેલા માર્કેટિંગના પ્રયાસ સફળ.

આટલું વાંચ્યા પછી પણ જેમના મનમાંથી એવો અવાજ ઉઠે કેે, ‘બધી વાત બરાબર, પણ નરેન્દ્ર મોદીનો કોઇ વિકલ્પ ક્યાં છે? હોય તો બતાવો’ તો એમના સવાલનો કોઇ જવાબ નથી.

(આખું રામાયણ પૂરું થયા પછી) ‘હરણની સીતા થઇ કે નહીં?’ એવા સવાલનો શો જવાબ હોય?

ગેરમાન્યતા : તરફી કે વિરોધી મોજું રાષ્ટ્રવ્યાપી હોય છે

ચૂંટણી જેવી બાબતમાં ભૂતકાળની વિગતોના આધારે ભવિષ્યની આગાહી કરવાનું બિલકુલ સલાહભરેલું નથી. સાથોસાથ, ભૂતકાળની ચૂંટણીઓના અભ્યાસ થકી મળતી માહિતી દેશનો એકંદર રાજકીય પ્રવાહ સમજવામાં કામ લાગી શકે છે- ભારત જેવા વૈવિઘ્યપૂર્ણ દેશમાં ‘દેશવ્યાપી’ જેવા શબ્દ છૂટથી ફેંકાતા હોય ત્યારે તો ખાસ.

‘વ્હાય વેવ ડોન્ડ મેટર’ એ મથાળા સાથે પ્રવીણ ચક્રવર્તીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૨-૪-૦૪)માં રસપ્રદ માહિતી આપી છે. તેમણે ૧૯૭૭થી શરૂ કરીને પાંચ કથિત ‘ચૂંટણી-મોજાં’ની અસરોનો અભ્યાસ કર્યો છે : ૧૯૭૭માં કટોકટીવિરોધી (કોંગ્રેસવિરોધી, લોકદળતરફી) મોજું, ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા પછી કોંગ્રેસતરફી સહાનુભૂતિનું મોજું, ૧૯૮૯માં બોફર્સકાંડ જાહેર થયા પછી ભ્રષ્ટાચારવિરોધી (કોંગ્રેસવિરોધી, મોરચાતરફી) મોજું, ૧૯૯૯માં તેર મહિનાની સરકાર ચલાવનારા વાજપેયીને કારણે ભાજપતરફી મોજું અને ૨૦૦૪માં ‘ઇન્ડિયા શાઇનિંગ’ ઝુંબેશ થકી ઊભું થયેલું ભાજપતરફી મોજું.

લોકસભાની ૮૦ ટકાથી વઘુ બેઠકો દેશનાં બાર રાજ્યોમાં છે. એટલે પ્રવીણ ચક્રવર્તીએ એ રાજ્યોનાં પરિણામ પર ‘મોજાં’ની અસરના આંકડા તપાસ્યા. તેમાંથી જાણવા મળ્યું કે દેશવ્યાપી તીવ્રતા ધરાવતું કટોકટીવિરોધી (કોંગ્રેસવિરોધી) મોજું હોય કે પછી બોફર્સમુદે પેદા થયેલું મનાતું ભ્રષ્ટાચારવિરોધી (કોંગ્રેસવિરોધી) મોજું, દક્ષિણ ભારતનાં રાજ્યોમાં અને બંગાળમાં ચૂંટણી માટે સ્થાનિક મુદ્દા જ મહત્ત્વના પુરવાર થયા છે. ત્યાં મતદાન પણ એ પ્રમાણે જ થયું છે. ઇંદિરા ગાંધીની હત્યા જેવા બિનરાજકીય-લાગણીભીના મુદ્દાને ગણતરીમાં ન લઇએ તો, કટોકટી પછીનું કોંગ્રેસવિરોધી મોજું સૌથી શક્તિશાળી હતું. કેમ કે, આખા દેશમાં લોકોના નાગરિક અધિકાર છીનવાયા હતા. તેનાથી વધારે મજબૂત મુદ્દો બીજો કયો હોય? છતાં, કટોકટી પછી થયેલી ૧૯૭૭ની ચૂંટણીમાં ૧૨ મોટાં રાજ્યોમાંથી પાંચ રાજ્યોમાં કોંગ્રેસની જીત થઇ હતી. આ રાજ્યો હતાં : તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્ર.

અભ્યાસનું એક તારણ એ પણ નીકળ્યું કે પ્રસાર માઘ્યમોમાં રાષ્ટ્રિય સ્તરના મોજાની ગમે તેટલી વાતો ચાલતી હોય, પણ આગળ જણાવેલાં બધાં મોજાં વખતે તામિલનાડુ, આંધ્ર, કર્ણાટક, કેરળ અને બંગાળ જેવાં (લોકસભાની ૩૧ ટકા બેઠકો ધરાવતાં) રાજ્યો જાણે જુદા પ્રદેશો હોય એવી રીતે જ વર્ત્યાં હતાં. એ રાજ્યોમાં ‘રાષ્ટ્રિય’ મોજાની અસર જોવા મળી ન હતી. સ્થાનિક પક્ષો અને તેમને લગતા મુદ્દા ત્યાં સૌથી અગત્યના બન્યા. એટલે જ, કોંગ્રેસ-ભાજપ જેવા સત્તાવાર રીતે રાષ્ટ્રિય કહેવાતા પક્ષોને દક્ષિણ ભારતમાં કાયમી થાણું જમાવવાનું કઠણ પડે છે અને સ્થાનિક પક્ષો સાથે ઘરઘર રમીને ગાડું ગબડાવવું પડે છે.

ગેરમાન્યતા : અરવિંદ કેજરીવાલ ભરોસાપાત્ર નથી

રાજકારણના પ્રકારનો મોટો ભેદ ખરો, છતાં બીજા પક્ષો કે નેતાઓની જેમ અરવિંદ કેજરીવાલ અને આમઆદમી પક્ષ પ્રશ્નોથી કે ટીકાઓથી પર નથી. હોવા પણ ન જોઇએ. હોઇ શકે પણ નહીં. એટલું ખરું કે ટીકા કરનારાએ પહેલાં પોતાનું ધોરણ જાહેર કરવું પડે - અને એ જ ધોરણ બાકીના નેતાઓને-પક્ષોને પણ લાગુ પાડવું પડે.

કેજરીવાલની વર્તણૂંકને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોતા લોકો નરેન્દ્ર મોદીની વાત આવે ત્યારે આંખે પાટા બાંધીને પછી દલીલ કરે છે કે ‘તમે જ કહો, અમે મોદીને નહીં તો બીજા કોને મત આપીએ? કેજરીવાલને? એ માણસનું કશું ઠેકાણું નથી. દિલ્હીમાં લોકોએ સરકાર ચલાવવાની તક આપી, ત્યારે તો એ સરકાર ચલાવી શક્યા નહીં.’

મત કોને આપવો એ પોતાની મુન્સફીની વાત છે. પણ હકીકતની વાત કરીએ તો, દિલ્હીના મતદારોએ સૌથી વઘુ બેઠકો - એટલે કે સરકાર ચલાવવાની તક - ભાજપને આપી હતી. ભાજપે સિદ્ધાંતના બુરખા તળે રાજકીય સ્વાર્થ સાધવા માટે ચાલબાજી કરી. કહ્યું કે ‘અમારી પાસે સ્પષ્ટ બહુમતી નથી. એટલે અમે સરકાર બનાવીશું નહીં.’ ભાજપની કુટિલ ગણતરી એવી હશે કે પોતે સરકાર બનાવે નહીં અને કેજરીવાલ કદી કોંગ્રેસનો ટેકો લેશે નહીં. એટલે ડેડલૉક સર્જાશે અને નવેસરથી ચૂંટણી કરવાનો વારો આવશે. એવું થાય એટલે ‘જુઓ, જુઓ, કેજરીવાલ સરકાર ચલાવવાથી ભાગે છે’ એવું બૂમરાણ મચાવીને તેમના પ્રભાવને ઉગતો દાબી શકાશે.

ભાજપની અપેક્ષાબહાર કેજરીવાલે સરકાર બનાવી. એટલે ટીકાકારોએ દાવ બદલ્યો. એ કહેવા લાગ્યા, ‘જુઓ, જુઓ, આ માણસે કોંગ્રેસનો ટેકાથી સરકાર બનાવી.’ હકીકત એ હતી કે ભારતના રાજકારણમાં પહેલી વાર સરકાર રચનાર પક્ષે શરતો મૂકી હતી અને ટેકો આપનારે નીચી મૂંડીએ શરતોનું પાલન કરવાનું કબૂલ્યું હતું. બીજી હકીકત એ હતી કે ‘આપ’ સરકારને પાડવા માટે કોંગ્રેસ અને ભાજપ મળી ગયાં હતાં. એ લોકો પોતાની સગવડે, વ્યૂહાત્મક સમયે ચાદર ખેંચી લે અથવા વિધાનસભામાં ડગલે ને પગલે અવરોધો ઊભા કરીને સરકારને નકામી-અળખામણી બનાવી મૂકે એ ચાલબાજીનું બીજું પગથીયું હતું. પરંતુ પહેલી ફૂંક કેજરીવાલે મારી. લોકપાલ જેવા વાજબી મુદ્દે કોંગ્રેસ-ભાજપની મેળાપી અસહકારના વિરોધમાં રાજીનામું આપી દીઘું.

‘આપ’ને ગાળો આપવાથી તબિયત સારી રહેતી હોય તો જુદી વાત છે. બાકી, હકીકતની વાત કરવી હોય તો, ૪૯ દિવસના ટૂંકા ગાળામાં ‘આપ’ની સરકારે જેવું અને જેટલું કામ કર્યું તે અરવિંદ કેજરીવાલને બીજા કોઇ પણ વર્તમાન નેતા કરતાં વધારે ભરોસાપાત્ર અને કાર્યક્ષમ ઠેરવે એવું છે. આ કામની યાદી ઇન્ટરનેટ પર સહેલાઇથી મળી શકે છે, પણ એ ધરાર ઘ્યાને ન લેવી હોય તો શું થઇ શકે?

Tuesday, April 01, 2014

ચૂંટણીનું વણલખ્યું સૂત્ર : ભૂલો અને છેતરાવ

ભારતના નાગરિકો માટે ચૂંટણી એ લોકશાહી પ્રક્રિયાનું સર્વસ્વ બની ગઇ છે : આરંભ ગણો તો આરંભ ને અંત ગણો તો અંત. મોટા ભાગના મતદારો માટે ચૂંટણી લોકશાહીની રૂએ મળેલા અધિકારોનો પહેલો અને ઘણુંખરું છેલ્લો ઉપયોગ બની રહે છે.

સુંદર-સુશીલ યુવતીને આકર્ષવા માટે દુનિયાભરના ડોળ ઘાલતા ને ખેલ પાડતા છેલબટાઉ યુવકોની જેમ, નેતાઓ મતદારોને પોતાના ભણી આકર્ષવા માટે બઘું કરી છૂટે છે. તેમને થ્રી-ડી અને ફોર-ડી સ્વપ્નાં દેખાડે છે. ઉજ્જવળ ભવિષ્યનું આઇ-મેક્સ સાઇઝનું કલ્પના-ચલચિત્ર રજૂ કરે છે. તેની પાછળનો આશય એક જ : બસ, તમે અમને મત આપો અને પછી પાંચ વર્ષ માટે ભૂલી જાવ.

ભૂલી શું જવાનું હોય છે? પોતાના કે દેશના ભવિષ્યની ચિંતા કરવાનું? ના, અત્યાર લગીના રાજ્ય અને દેશના અનુભવમાંથી બોધ લઇએ તો, એક વાર મત આપ્યા ભૂલી એ જવાનું હોય છે કે નાગરિક તરીકે આપણો કશો અવાજ હોઇ શકે છે. ચૂંટણી પછી ‘સરકાર રાખે તેમ રહીએ’ એવી માનસિકતા દૃઢ બનાવવાની હોય છે.

એક વાર મત આપ્યા પછી શું શું ભૂલી જવું પડે? ગુજરાતના છેલ્લા એક દાયકાના અનુભવ પરથી જોઇએ તો -

૧) વિકાસ-રોજગારીનાં બણગાં ફૂંકતી સરકાર જુદી જુદી નોકરીઓમાં ‘સહાયકો’ નીમીને સરકારી રાહે શોષણ કરે, એ ભૂલી જવું પડે.

૨) વિધાનસભા સહિતની લોકશાહી સંસ્થાઓ રાજ્યમાં સાવ પાંગળી બનાવી દેવામાં આવી, એ ભૂલી જવું પડે.

૩) પાટણમાં દલિત યુવતી પર અત્યાચાર થાય કે થાનગઢમાં દલિત કિશોરોને વીંધી નાખવામાં આવે - આ પ્રકારના કિસ્સામાં સરકાર સાવ નામકર જાય અથવા ગુનાઇત ઉપેક્ષા સેવે, એ ભૂલી જવું પડે.

૪) સ્વાઘ્યાયવિવાદમાં પંકજ ત્રિવેદીની હત્યાનો મામલો હોય કે આસારામની ધરપકડ થઇ તેનાં થોડાં વર્ષ પહેલાં ગુજરાતમાં દીપેશ-અભિષેક અપમૃત્યુનો મુદ્દો હોય, ‘સરકાર’ બની બેઠેલા નેતા ગુજરાતના નાગરિકોની પડખે ન રહે અને આસારામ પ્રકારના લોકો સામે કશાં પગલાં ન લે, એ ભૂલવું પડે.

૫) (મહુવા આંદોલનમાં બન્યું તેમ) સરકાર ઉદ્યોગગૃહોના લાભાર્થે જૂઠાણાં આચરે, જળ હોય ત્યાં સ્થળ બતાવે અને હાઇકોર્ટમાંથી હારે નહીં ત્યાં સુધી ગુજરાતના હિતની અવગણના કરે, એ ભૂલી જવું પડે.

૬) ખેતીનું ગુલાબી ચિત્ર આપતી સરકાર ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા અંગે આંખ આડા કાન કરે, એ ભૂલી જવું પડે.

૭) છેલ્લા એક દાયકામાં ઉદ્યોગો માટે વીજળીના કનેક્શનની તમામ અરજીઓ ક્લીઅર કરી નાખનારા રાજમાં ખેડૂતોની વીજજોડાણની તમામ અરજીઓ ઘૂળખાતી પડી હોય, એ ભૂલી જવું પડે.

૮) વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવા માટે પ્રચાર-પ્રસાર-ખરીદવેચાણમાં છૂટા હાથે વપરાયેલાં નાણાં ક્યાંથી આવ્યાં, કોણે કોણે આપ્યાં, એની ગણતરી ભૂલી જવી પડે.

૯) સ્વચ્છ રાજકારણની દુહાઇઓ આપતી ‘સરકાર’ના પ્રધાનમંડળમાં ગુનેગાર અને ભ્રષ્ટાચારનો આરોપ ધરાવતા નેતાઓ હોય, એવા નેતાઓને પક્ષમાં ખુલ્લા હાથે આવકારવામાં આવતા હોય, એ વાસ્તવિકતા પણ ભૂલી જવી પડે.

૧૦) ભ્રષ્ટાચારવિરોધી અને અસરકારક શાસનના મુદ્દે બીજાની ટીકા કરનારા પોતાના રાજમાં ‘કેગ’ના અહેવાલો વિધાનસભામાં છેલ્લા દિવસે રજૂ કરે અને લોકાયુક્તની નિમણૂંક આડે શક્ય એટલા અવરોધો નાખે તો, એ ભૂલી જવું પડે.

૧૧) રાજ્ય એટલે શાસકો નહીં, પણ રાજ્ય એટલે તેના નાગરિકો- એ પણ ભૂલવું પડે.

આ યાદી હજુ ઘણી લંબાવી શકાય.

અફસોસની વાત એ છે કે ઘણા નાગરિકો નેતાની આબરૂને રાજ્યની કે દેશની આબરૂ ગણવાની ભૂલ કરી બેસે છે. નેતાઓ દ્વારા થતો આક્રમક પ્રચાર તેમને સહેલાઇથી છેતરી જાય છે. લોકો ભૂલી જાય છે કે દેશ અથવા રાજ્યની આબરૂ તેના નેતાની સુપરસ્ટાર જેવી છબી સાથે નહીં, પણ સામાન્ય નાગરિકોની સ્થિતિ કેવી છે, તેની સાથે સંકળાયેલી હોય છે. ચૂંટણી આ સત્યને તાજું કરવાનો મોકો પૂરો પાડે છે, જો નાગરિકો એ તક ઝડપવા તૈયાર હોય તો.

હૃદયપરિવર્તન કોનું?

સંપૂર્ણ લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતાઓ પણ એક વાર સરકારમાં બેસે, એટલે તે ‘સરકાર’ થઇ જાય છે. ગુજરાતના મુખ્ય મંત્રી જેવા ઉત્સાહી તો અત્યારથી જ એનડીએની સંભવિત સરકાર વિશે ‘મોદી સરકાર’ જેવો શબ્દપ્રયોગ વાપરવા લાગ્યા છે. ‘સરકાર’ તરીકે ઓળખાવા વિશેનો તેમનો આગ્રહ એવો છે કે ભાજપના પ્રમુખે ટ્‌વીટર પર ‘ભાજપ સરકાર’ લખેલું ભૂંસીને ‘મોદી સરકાર’ લખવું પડે છે.

ધારો કે નરેન્દ્ર મોદીના આક્રમક અને આંજી દેનારા પ્રચારથી લોકસભામા ભાજપ- એનડીએ નહીં, ભાજપ- ૫૦૦ બેઠકો જીતી જાય અને એ સરકાર બનાવે, તો પણ એ સરકારને ‘મોદી સરકાર’ કહેવાય? તેનો જવાબ નાગરિકોની માનસિકતા પર છે : અસરકારક વહીવટના ઓઠા હેઠળ આપખુદ બની જાય એવો નેતા જોઇએ છે? કે પછી  લોકશાહીનાં મૂળીયાં વઘુ મજબૂત બનાવે અને નાગરિકોની સામેલગીરી વધારે એવો નેતા જોઇએ છે?

ભારતમાં પ્રમુખશાહી સંસદીય પદ્ધતિ નથી, જેમાં એક નેતાના નામે ચૂંટણી લડાતી હોય. એટલે, અમેરિકાના પ્રમુખની સરખામણીમાં ભારતના વડાપ્રધાનની સત્તાઓ મર્યાદિત છે. બંધારણની હદમાં રહીને પોતાની સત્તાનો વ્યાપ વધારવા માટે નેતાએ સૌથી પહેલાં પોતાના પક્ષમાં અને પછી સાથીપક્ષો સાથે આપખુદ થવું પડે. અડવાણી, જસવંતસિંઘ, હરીન પાઠક વગેરે નેતાઓની અવદશા જોતાં, પક્ષમાં વિરોધની સફાઇ કરી નાખવાનો પહેલો તબક્કો મોદી વડાપ્રધાન બનતા પહેલાં જ વટાવી ગયા છે. સાથીપક્ષોને બેઠકોના કે નાણાંના જોરે દબાવવાનો બીજો તબક્કો ક્યારથી શરૂ થાય છે એ જોવાનું રહે છે. તેનો આધાર ચૂંટણીનાં પરિણામો અને ભાજપે તથા બીજા પક્ષે મેળવેલી બેઠકસંખ્યા ઉપર પણ રહેશે.

એકધારા પ્રચારને કારણે કેટલાક ધોરણસરના અંગ્રેજી લેખકો પણ એવું માનવા પ્રેરાયા છે કે મોદી તેમની અસલની આપખુદશાહી અને આત્યંતિકતા છોડીને મવાળ-મઘ્યમમાર્ગી-મૉડરેટ થયા છે. આ થિયરીના ટેકામાં તેમના દ્વારા અપાતો એક પુરાવો એ છે કે મોદી ઘણા સમયથી આત્યંતિક અથવા પ્રગટપણે કોમવાદી વાતો કરતા નથી.

આવા લેખકોનો આશાવાદ માનવો ગમેે, પણ વાસ્તવિકતા નજર સામે રાખતાં માની ન શકાય એવો છે. આ પ્રકારની વાતો કરનારામાંથી ઘણા લોકો ‘મોદી વડાપ્રધાન બનવાના જ છે’ એવું માની બેઠા છે. જો એ વડાપ્રધાન બનવાના જ હોય તો એમનાં હકારાત્મક પાસાં કયાં છે અથવા કયાં નકારાત્મક પાસાં ઘણા સમયથી દેખાયાં નથી, એ શોધી કાઢીને બીજાને અને ખાસ તો જાતને આશ્વાસન આપવાનો પ્રયાસ તે કરે છે. ‘મોદીવિરોધી જમાતના સભ્ય’ને બદલે ‘તટસ્થ’ અને ‘વાસ્તવિકતા સાથે સંપર્કમાં રહેનારા’ તરીકેની પોતાની છબી ઊભી કરવા માટે તે મોદીના હૃદયપરિવર્તનની થિયરીમાં શરણું શોધે છે.

મોદી વડાપ્રધાન બનશે કે નહીં એ અહીં ચર્ચાનો મુદ્દો નથી. વિચારવાની વાત એ છે કે કેટલાક લેખકો કહે છે તેમ, એમનું ‘હૃદયપરિવર્તન’ થયું છે કે નહીં. હજુ સુધીનાં તેમનાં વિધાનો અને અભિગમ જોતાં, તેમના પક્ષે પરિવર્તન કે પુનઃવિચારને કશો અવકાશ હોય એવું જણાયું નથી. કોમી હિંસા વખતે તેમની પ્રચંડ નિષ્ફળતાની વાત જવા દઇએ તો પણ, એ સિવાયના પોતાના શાસનની મર્યાદાઓને તેમણે કદી સ્વીકારી નથી, શાસનપદ્ધતિ અને તેના વિવાદાસ્પદ નિર્ણયો સામે પૂછાયેલા સવાલોના તેમણે કદી જવાબ આપ્યા નથી, પત્રકારોને એ કદી તેમણે સીધી મુલાકાત આપી નથી, કેગ-લોકાયુક્તથી માંડીને તેમના પ્રશંસકો જેની પર બહુ ફીદા છે એવા ગુજરાતના વિકાસ વિશે  તેમણે ઘણા સવાલોના જવાબ આપવાના છે. ‘પરઝાનિયા’ જેવી ફિલ્મ હોય કે જસવંતસિંઘનું સરદાર વિશેનું પુસ્તક, સેન્સરશીપ માટેનો તેમનો ઉત્સાહ તેમની એકંદર છાપને દૃઢ બનાવે એવો છે.

ભક્તો-ચાહકો તેમને સવાલ પૂછતા નથી અને વિરોધી મત ધરાવતા લોકો દ્વારા પૂછાતા સવાલોને ‘ગુજરાતીઓના અપમાન’ તરીકે ઓળખાવવાની પ્રયુક્તિ તેમને ફાવી ગઇ છે. અગાઉ ચૂંટણીપ્રચારમાં તેમને પાકિસ્તાનના પ્રમુખ ‘મિંયા મુશર્રફ’ કે પછીની ચૂંટણીમાં સોરાબુદ્દીનને વચ્ચે લાવ્યા વિના ગોઠતું ન હતું. આ વખતે વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઝુકાવ્યા છતાં, અરવિંદ કેજરીવાલને પાકિસ્તાનના એજન્ટ કહેવાની- અને પાકિસ્તાનને ધરાર વચ્ચે લાવવાની- જૂની પ્રકૃતિ એ છોડી શક્યા નથી.

સંસદીય લોકશાહી ધરાવતા દેશમાં કોઇ એક વ્યક્તિ આખેઆખી ચૂંટાયેલી સરકારનો પર્યાય બની જાય- અને એ પોતે પણ (ભાજપપ્રમખુ સાથેના કિસ્સામાં બન્યું તેમ) એવું ઠોકી બેસાડે કે ‘હું જ સરકાર છું’, તો શું થાય? જવાબ માટે બહુ દૂર જવાની જરૂર નથી. આસામના રાજકારણી અને કવિ દેવકાંત બરુઆએ આપેલું ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’નું સૂત્ર રાજકીય ચમચાગીરીનો ઉત્તમ નમૂનો ગણાય છે. તેની વાજબી રીતે ટીકા કરનારા લોકો હવે ‘મોદી ઇઝ ઇન્ડિયા’નું સૂત્ર પોકારવા માટે થનગની રહ્યા છે, એ અસલી કરુણતા છે.

‘મજબૂત’, ‘મર્દાના’ જેવી છબી ધરાવતા નેતાઓ દેશને અસરકારક-નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડશે, એવું સરળીકરણ કેટલું ખોટું છે, એ દર્શાવવા માટે પણ ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ પૂરતું છે. આ પ્રકારના નેતાઓ માટે ‘આઇ, મી, માયસેલ્ફ’થી વધીને  ભાગ્યે જ બીજું કશું હોય છે, પરંતુ વાક્ચાતુરી અને સભારંજનીથી તે દેશપ્રેમ અને દેશસેવાની વાતો કરીને છેતરાવા આતુર લોકોને ઠંડા કલેજે છેતરે છે.

ખરું જોતાં વાંક નેતાઓનો પણ નથી. સામે આટલો મોટો સમુહ અંજાવા માટે તૈયાર બેઠો હોય, તો એ શા માટે કસર છોડે?

Friday, March 28, 2014

ચૂંટણીડાયરીનાં પાનાં

ઉનાળાની અને લોકસભાની ચૂંટણીની ગરમીમાં તાપ અને અસલામતીથી પરસેવે રેબઝેબ થતા નેતાઓ કમ સે કમ એક બાબતમાં- ડાયરી લખવામાં- પ્રામાણિક હોય તો કેવાં લખાણ વાંચવા મળે?
***

સોનિયા ગાંધીની ડાયરી 

આજે જાગવામાં બહુ મોડું થયું. ઘણા બધા લોકો મારા વિશે અને કોંગ્રેસ વિશે પણ આવું માને છે કે અમે મોડાં જાગ્યાં છીએ... બટર લેટ ધેન નેવર. હા, ‘બેટર’ નહીં, ‘બટર’ જ લખ્યું છે. અમારી પાર્ટીને બ્રેડ મળે કે ન મળે, અમને કદી બટરની તંગી પડવાની નથી. કારણ કે અમને હજુુ એવું જ કહેવામાં આવે છે કે ‘આપણને ૩૦૦ સીટ આરામથી મળી જશે.’ મેં ઇન્ડિયન માયથોલૉજી વાંચી છે. આફ્‌ટરઑલ, આય એમ એન ઇન્ડિયન બહુ. ‘નરો વા, કુંજરો વા’ વિશે મેં સાંભળ્યું છે. એટલે ૩૦૦ સીટની વાત કરનારાને જેવી હું સહેજ કડકાઇથી પૂછું કે ‘કઇ સીટની વાત કરો છો?’ એટલે એ તરત ગેંગેંફેંફેં થઇને કહે છે,‘હું તો મલ્ટીપ્લેક્સમાં ગ્રુપ શોના બુકિંગની વાત કરતો હતો.’

મને ખુશામત જરાય ગમતી નથી. મેં કેટલી વાર લોકોને કહ્યું છે કે ‘તમે મને ખરાબ લાગવાની ચિંતા કર્યા વિના સાચી વાત કરો.’ તો એ લોકો કહે છે, ‘મૅડમ, અમે સાચું જ કહીએ છીએ. જરાય મસકા મારતા નથી, પણ હકીકત એ છે કે આ નરેન્દ્ર મોદી તમારાથી ગભરાય છે.’ આ સાંભળીને મેં ડોળા કાઢ્‌યા. એટલે એ કહે, ‘હું જરાય ખુશામત કરતો નથી, પણ તમે જ વિચારો. મોદી તમારાથી ગભરાતા ન હોત અને તમારી લોકપ્રિયતાથી ચિંતિત ન હોત તો એ રાયબરેલીમાં તમારી સામે કે અમેઠીમાં રાહુલબાબા સામે ન ઊભા હોત?’

મેં એમને પૂછ્‌યું, ‘પક્ષ માટે તમે શું કરવા ધારો છો? એ થોડી વાર મારી સામે જોઇ રહ્યા. પછી ઘડીકમાં અહમદભાઇ સામે, તો ઘડીકમાં મઘુસુદન મિસ્ત્રી સામે જોવા લાગ્યા અને પછી ધીમે રહીને કંઇ ગણગણીને જતા રહ્યા. એમના ગયા પછી અહમદભાઇએ મને કહ્યું કે મેડમ, તમારો સવાલ બહુ અદ્‌ભૂત હતો- ‘કેબીસી’માં એક કરોડ રૂપિયા માટે પૂછાય એવો, પણ હમણાં આવા સવાલ ન પૂછતાં. પેલો એવું કહીને ગયો કે ‘મારી ભાજપ સાથે વાટાઘાટો ચાલે જ છે. તમે ટિકિટ નહીં આપો તો અસંતુષ્ટ બનીને, અંદર રહીને ભાંગફોડ કરવાની આપણી પરંપરા આગળ ધપાવવાને બદલે, પક્ષના હિતમાં મારે ભાજપમાં જોડાઇ જવું પડશે.’

રાહુલ ગાંધીની ડાયરી

મારું નામ રાહુલ ગાંધી છે. હું કોંગ્રેસનો વડાપ્રધાનપદનો ઉમેદવાર નથી...એટલે કે છું...એટલે કે આમ છું, પણ આમ નથી...

આટલાં વર્ષે આ બઘું લખવું પડે એ શોભાસ્પદ ન કહેવાય, પણ સાલું, સોરી, મને હમણાનું કોઇ પૂછતું જ નથી. સમાચારોમાં મફલર ને દાઢી બે જ દેખાય છે. મેં કરાંજી કરાંજીને બોલી જોયું, આક્રમક નિવેદન કર્યાં, દાઢી વધારી જોઇ, છપ્પનની છાતીવાળા કુર્તા મંગાવી જોયા, પણ કોણ જાણે કેમ, મીડિયાને મારામાં રસ પડતો નથી. સમારે શું કરવું જોઇએ? એવું પૂછ્‌યું, તો એક જણે કહ્યું, ‘શેઠ, આપણી પાસે સખ્ખત આઇડીયા છે. તમે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરો અને એ પાછું ખેંચવાની છેલ્લી તારીખે તમે ઉમેદવારી પાછી ખેંચી લો. પછી જુઓ. દેશવિદેશમાં મીડિયા કેવી તમારી નોંધ લેશે. ઇન્ટરવ્યુ પર ઇન્ટરવ્યુ...

‘ઇન્ટરવ્યુ’ સાંભળીને મને અર્નબ ગોસ્વામી યાદ આવ્યો. ના, મારે ઇન્ટરવ્યુ નથી આપવો. ના, મારે પણ મોદી થવું છે. મારે ઇન્ટરવ્યુ નથી આપવો. મારે પણ મોદી જેવા પ્રીફેબ્રિકેટેડ ઇન્ટરવ્યુ જ આપવા છે. પરંતુ મારા અંતરનો આર્તનાદ કોઇ મીડિયાવાળા સાંભળતા નથી અને ઉમેદવારી પાછી ખેંચી લેવાની સલાહ આપે છે.

એ માણસે તો એવું પણ કહ્યું કે તમારા કુટુંબમાં બલિદાનની ઉજ્જવળ પરંપરા છે. તમારા પિતાએ જીવનનું બલિદાન આપ્યું, તમારાં માતાએ ચૂંટાયા પછી વડાપ્રધાનપદનો ત્યાગ કર્યો, તો તમારે ચૂંટાતા પહેલાં- ચૂંટણીનો જ ત્યાગ કરીને, સર્વોચ્ચ બલિદાન આપવું જોઇએ. ત્યાર પછી તમારી તરફેણમાં સહાનુભૂતિનું એવું મોજું ઊભું થશે કે વારાણસીમાંથી મીરા કુમાર પણ મોદી સામે ઊભાં રહે તો એ જીતી જાય.

ખરેખર આવું હોય? કે કોઇ મને ચગડોળે ચડાવી રહ્યું છે? મિસ્ત્રીઅંકલને પૂછવું પડશે. પણ એવું હોય તો કરી જોવા જેવું ખરું. મારા ત્યાગથી આખા દેશમાં કોંગ્રેસ જીતી જતી હોય, તો પછી છ મહિનામાં પેટાચૂંટણી લડીને લોકસભામાં ચૂંટાઇ જતાં મને ક્યાં નથી આવડતું? પણ લાગે છે કે મારી આટલી તીવ્ર પ્રતિભાની હજુ ભારતના લોકોને પરખ નથી. એ નરેન્દ્ર મોદી ને અરવિંદ કેજરીવાલ પર એટલા મોહાઇ ગયા છે કે તેમને અમે દેખાતા જ નથી.

કંઇ વાંધો નહીં. એક વાર અમારી સરકાર બની જવા દો. પછી હું પણ રાડિયા ટેપનો કેસ કાઢીને એકે એકને જોઇ લઇશ.

નરેન્દ્ર મોદીની ડાયરી

મેં ચોખ્ખું કહ્યું હતું કે મારા લખવા માટેની ડાયરી ૫૬ સેન્ટીમીટરની લાવજો અને એના દરેક પાના પર ૫૬ લીટી હોવી જોઇએ. પરંતુ બધા હવે અડવાણી થવા જાય છે. વાતે વાતે વાંધા ને વાંકાં. આવી રીતે દેશ કેમ ચાલશે? હું જ્યારે પણ દેશની ચિંતા કરું ત્યારે કેટલાક લોકો ગુસપુસ કરે છે કે ‘સાહેબ, તમે હજુ વડાપ્રધાન થયા નથી.’ આ મને ગમતું નથી, પણ સારું છે. કારણ કે હું ઘણી વાર આ વાત ભૂલી જાઉં છું.

મારા ટીકાકારો કહે છે કે મારી છાતી છપ્પનની નથી. એટલે હું માત્ર વારાણસીથી ચૂંટણી લડવાને બદલે બબ્બે ઠેકાણેથી ચૂંટણી લડી રહ્યો છું. પરંતુ ભારતના સવા અબજ લોકો ભારતનું આવું અપમાન નહીં ચલાવી લે...હવે ‘છ કરોડ’ને બદલે ‘સવા અબજ’ બોલવાની ટેવ પાડવી પડશે...ટીકાકારો કોઇ રીતે સમજવા માગતા નથી. બાકી, હું સૌથી મોટા સલામતીકાફલા સાથેનો સૌથી બહાદુર મુખ્ય મંત્રી ગણાતો હોઉં, તો બે ઠેકાણે લડીને છપ્પનની છાતીવાળો કેમ ન ગણાઉં? કોઇ પત્રકારને ખુલ્લમખુલ્લો ઇન્ટરવ્યુ આપ્યા વિના, ‘મારી સામે લડવાની કોઇની હિંમત નથી’ એવું કહી શકતો હોઉં અને લોકો સ્વીકારી પણ લેતા હોય, તો હું બે જગ્યાએથી લડું તેમાં શો પ્રોબ્લેમ છે?

કેટલાક લોકો કહે છે કે હું અરવિંદ કેજરીવાલથી બીઉં છું અને મેેં એને ગાંધીનગરમાં ઑફિસથી પાંચ કિલોમીટર દૂર રોકી લેવાને બદલે એને બોલાવીને ‘ચાય પે ચર્ચા’ કરી હોત, તો એ આટલો બગડત નહીં.  પણ એ મફલરવાળાનું ઠેકાણું નહીં. ક્યારે પોતાના માથેથી મફલર કાઢીને આપણા ગળામાં વીંટાળી દે...પછી એનડીએની સરકાર બને તો પણ આપણે ક્યાંક રાજ્યપાલ બનવાનો વારો આવે. હું દેશની બહુ બધી સેવા કરવા ઇચ્છું છું. રાજ્યપાલ બનવાથી મારો મોક્ષ થાય એમ નથી ને વડાપ્રધાન બનું નહીં તો પછી સીબીઆઇ ને ન્યાયતંત્ર મારો પીછો છોડે એમ નથી. લોકો અમથા કહે છે કે પાપો ધોવા માટે ગંગા વારાણસીમાં વહે છે. હાથમાં વડાપ્રધાનપદું આવે તો પછી ગંગા જ ગંગા હોય છે.

અરવિંદ કેજરીવાલની ડાયરી

???
??? ???
??? ??? ???
??? ??? ??? ???
(પ્રશ્નો પૂછ્‌યા વિના આ દેશનો ઉદ્ધાર થવાનો નથી, એ બધાને સતત યાદ કરાવવું. બહારના પ્રશ્નો એટલા થવા જોઇએ કે પાર્ટીમાં કોઇ પ્રશ્ન થવાની શક્યતા ન રહે.)

Tuesday, March 25, 2014

ચૂંટણીમુદ્દો : ગુજરાત મૉડેલ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી કયા મુદ્દે લડાશે? ખાતરીપૂર્વક કહી શકાય નહીં. ભારતમાં લોકસભાની ચૂંટણીઓ એક કે વઘુ કેન્દ્રિય મુદ્દાની આસપાસ લડાતી હોય છે, એવું માની લેવું પણ ભૂલભરેલું છે. કેટલીક ચૂંટણીઓ એવી હતી ખરી. જેમ કે, કટોકટી દૂર થયા પછીની ચૂંટણીમાં લોકશાહીની પુનઃસ્થાપનાની વાત મુખ્ય હતી. જનતા સરકારના પતન પછી કોંગ્રેસે સ્થિર શાસન પર ભાર મૂક્યો. બોફર્સ કૌભાંડ બહાર પડ્યા પછી ભ્રષ્ટાચારના વિરોધની હવા હતી. તેમ છતાં, નેતાઓ કહે છે તેમ, ‘કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી’ કોઇ એક મુદ્દે લોકસભા ચૂંટણી લડાય એવું ભાગ્યે જ બને છે. છેલ્લા બે-એક દાયકામાં આવો કોઇ એક, મજબૂત મુદ્દો ઉભર્યો નથી.

ગઇ ચૂંટણી સુધી કોંગ્રેસ ‘આમઆદમી’ના અધિકારોનું ગાણું ગાતી હતી અને વિવિધ કલ્યાણયોજનાઓ આગળ કરીને મત માગતી હતી, પરંતુ આ ચૂંટણીમાં ‘આમઆદમી’ની વ્યાખ્યા બદલાઇ ચૂકી છે. નવી સમજણ પ્રમાણેનો ‘આમઆદમી’ કોર્પોરેટ જગતનાં મીરા સન્યાલ હોઇ શકે છે અને દાદાનું નામ નહીં વટાવનારા સન્નિષ્ઠ-સજ્જ રાજમોહન ગાંધી પણ હોઇ શકે છે. આશિષ ખૈતાન જેવા હિંમતવાન પત્રકાર કે યોગેન્દ્ર યાદવ જેવા જયપ્રકાશ આંદોલનના સંસ્કાર ધરાવતા અભ્યાસી પણ આમઆદમી છે. આ બધા ઉપરાંત અરવિંદ કેજરીવાલ તો ખરા જ. ‘આમઆદમી’ની નવી વ્યાખ્યા વર્ગઆધારિત કે જ્ઞાતિ-ધર્મઆધારિત નહીં, પણ સત્તાઆધારિત હોય એવું અત્યાર સુધી લાગ્યું છે : રાજકારણ કે જાહેર જીવનમાં સત્તાધીશ હોવા છતાં લોકહિતની ઉપેક્ષા કરતા હોય એ ‘ખાસ’ અને બાકીના સૌ ‘આમ’.

ભાજપે તેના વડાપ્રધાનપદના ઉમેદવાર મોદીની આક્રમક-અસરકારક પ્રચારઝુંબેશ અને મેક-અપ (કે પછી મેક-ઓવર?) પર દાવ ખેલ્યો છે. મોદીની ‘વિકાસપુરૂષ’ તરીકે પ્રાણપ્રતિષ્ઠા કરનારાં પ્રચારમાઘ્યમો અને તેમના ‘મૉડેલ’ના પ્રેમીઓ માને છે કે મોદીબ્રાન્ડ વિકાસનું ગુજરાત મૉડેલ મુખ્ય ચૂંટણીમુદ્દો છે -  એ મૉડેલ આખા ભારતમાં લાગુ પાડવાની તક આ ચૂંટણીએ પૂરી પાડી છે.

મોદીબ્રાન્ડ ‘વિકાસ’ના સ્તુતિગાનમાં જગદીશ ભગવતી જેવા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રીથી માંડીને ‘જુઓ, જુઓ, અમારા રસ્તા કેવા સરસ છે’નું સમુહગાન ગાતા પ્રેમીજનો સામેલ છે. તેમાં બૌદ્ધિકતાનો બાધ નથી. પ્રખર બુદ્ધિશાળી સજ્જનોથી માંડીને દસ વર્ષની નોકરી પછી પોતે ખરીદેલા વાહનનો જશ મોદીબ્રાન્ડ વિકાસને આપનારા- એવા તમામ પ્રકારના લોકો તેમાં હોઇ શકે છે.

ગુજરાતનો વિકાસ થયો જ નથી, એવું ન કહી શકાય - અને આવું કોઇ કહે તો એ દલીલ પ્રાથમિક ચર્ચામાં જ ઉડી જાય. સાથોસાથ, સરખામણી અને ન્યાય ખાતર કહેવું પડે કે આ જ વાત બિહાર માટે પણ - અને સમગ્ર ભારત માટે પણ - કહી શકાય. કારણ કે રસ્તા-ઇન્ટરનેટ-વીજળી જેવી ઘણી બાબતોમાં ગુજરાત અને ભારત છેલ્લાં દસ-બાર વર્ષમાં આગળ વઘ્યાં છે. એ ગતિ ધીમી અને અસંતોષકારક છે, પરંતુ ગતિ છે એનો ઇન્કાર થઇ શકે નહીં.

માત્ર ગુજરાતની વાત કરીએ તો, તેના વિકાસને ૪૦૦ મીટરની ‘રીલે રેસ’ સાથે સરખાવી શકાય. (અહીં મુખ્યત્વે ‘વિકાસ’ના સમાનાર્થી ગણાતા ઔદ્યોગિક વિકાસની વાત છે.) ‘રીલે રેસ’ની સ્પર્ધામાં પહેલેથી છેલ્લે સુધીનું અંતર એક દોડવીર કાપતો નથી. એ માટે ચાર જણની ટીમ હોય છે. પહેલા ૧૦૦ મીટર ટીમનો એક ખેલાડી દોડે. પછી તે પોતાના હાથમાં રહેલું ‘બેટન’ ટીમના બીજા ખેલાડીને આપે, એટલે એ દોડવાનું શરૂ કરે. એમ કરતાં, છેલ્લા ૧૦૦ મીટર ચોથોે ખેલાડી પૂરા કરે. એટલે ‘ફિનિશ’ લાઇન પાસેે બેઠેલા લોકોેને એવું દેખાય કે છેલ્લા ૧૦૦ મીટર દોડનાર જ વિજેતા છે. પરંતુ પરિણામ જાહેર થાય ત્યારે છેલ્લા ૧૦૦ મીટર દોડનાર નહીં, આખી ટીમ વિજેતા ગણાય.

ગુજરાતનો મોટા ભાગનો વિકાસ રીલે પદ્ધતિથી થયો છે, પણ વિજેતા ઘોષિત કરવાની વાત આવી ત્યારે જરા જુદું બન્યું. ગુજરાતમાં આઇ.પી.સી.એલ., ગુજરાત રિફાઇનરી જેવા તોતિંગ ઉદ્યોગો અને ‘અમૂલ’ જેવી નમૂનેદાર સહકારી  પ્રવૃત્તિથી માંડીને કંડલા પોર્ટ જેવી સુવિધાઓ નરેન્દ્ર મોદીના શાસનકાળ પહેલાં ઊભી થઇ હતી. એ વખતે મુખ્ય મંત્રીપદે કોણ હતું, એ અત્યારે ભાગ્યે જ કોઇને યાદ હશે. પરંતુ છેલ્લા ૧૦૦ મીટર દોડનારા ખેલાડી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા અને હવે તેમનો આગ્રહ છે કે ગુજરાતના વિકાસના વિજેતા તરીકનો ચંદ્રક ફક્ત એમને એકલાને જ મળવો જોઇએ. તેમનો આ દાવો સ્વીકારવો કે નહીં, એ સૌએ ખુલ્લી આંખે અને ખુલ્લા મને, ‘મર્દાનગી’ જેવા મુગ્ધ  ખ્યાલો બાજુ પર રાખીને વિચારવાનું છે.

શક્યતા અને  સચ્ચાઇ 

આગળ જણાવ્યું તેમ, મુખ્ય મંત્રી તરીકે મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો, એ હકીકત છે. સીધી વાત છે : ગુજરાત ૨૦૦૨માં જેવું હતું, એવું ૨૦૧૪માં નથી જ. તેના રસ્તાથી માંડીને વીજળી સુધીની ઘણી બાબતોમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે.

વિચારવાનો મુદ્દો એ છે કે શું મોદીની જગ્યાએ બીજા કોઇ મુખ્ય મંત્રી હોત તો પણ રસ્તા, વીજળી જેવી સુવિધાઓની બાબતમાં ગુજરાત ૧૨ વર્ષ સુધી ઠેરનું ઠેર રહ્યું હોત? ના, મોટા ભાગની બાબતોમાં એ સ્વાભાવિક ક્રમમાં આગળ વઘ્યું જ હોત. હા, તેમણે પોતાની પ્રસિદ્ધિ માટે સરકારી ખર્ચે આટલો બધો પ્રચાર ન કર્યો હોત .

તો બીજો સવાલ : મુખ્ય મંત્રી તરીકે મોદીના હોવાનો ફરક ક્યાં પડ્યો? તેમણે બીજું એવું શું કર્યું, જે તેમના કોઇ પૂર્વસૂરિ કરી ન શક્યા? અને તેમની જગ્યાએ બીજો કોઇ મુખ્ય મંત્રી હોત તો એ પણ ન કરી શક્યો હોત? તેના મુખ્ય બે જવાબ છે : ૧) નક્કર કામગીરીને ક્યાંય ટપી જાય એવા, ઘૂમ ખર્ચાળ અને ઝાકઝમાળભર્યા તાયફા ૨) ભૂતકાળના ડાઘ ધોઇને,પોતાની છબી ઉજળી કરવા માટે ઉદ્યોગપતિઓને ગુજરાતમાં ખેંચી લાવવાની તત્પરતા. આ બન્ને બાબતો મોદી સ્પેશ્યલ છે. તેને મોદીનું વિકાસમૉડેલ પણ કહી શકાય, જેમાં ફેમિલી પ્લાનિંગની કિટથી માંડીને રાહતસામગ્રીનાં પેકેટ પર, મુખ્ય મંત્રીની ખાસ ફોટોસેશન કરીને પડાવેલી રળિયામણી તસવીરો શોભતી હોય.

‘પોતાની છબી ઉજળી કરવા માટે તો એમ, પણ મોદી ઉદ્યોગપતિઓને લાવે, એમાં ગુજરાતને ફાયદો નથી?’ એવો સવાલ વાજબી કહેવાય. પરંતુ તેનો જવાબ આપતી વખતે એ વિચારવું પડે કે મુખ્ય મંત્રી ઉદાર શરતોએ ઉદ્યોગોને લઇ તો આવ્યા, પણ ત્યાર પછી ઉદ્યોગપતિઓને કેટલો ફાયદો થયો, મુખ્ય મંત્રીની છબીને કેટલો ફાયદો થયો, તેમની ઘૂમ ખર્ચા કરવાની ક્ષમતામાં કેટલો વધારો થયો...અને શિક્ષણ-આરોગ્ય-રોજગારી માટે ઝઝૂમતા ગુજરાતના સામાન્ય લોકોને કેટલો ફાયદો થયો. આનું સરવૈયું કાઢ્‌યા વિના રોકાણોના તોતિંગ આંકડા વાંચ-વાંચ કે સાંભળ-સાંભળ કરીએ તો આંખો એવી અંજાઇ જાય કે સામે હોય તે પણ દેખાતું બંધ થઇ જાય.

કોની કોની છે ગુજરાત?

મુખ્ય મંત્રીના વિકાસમૉડેલ સંદર્ભે વાત કરતી વખતે પાયાનો જવાબ જાણી લેવો પડે કે ‘ગુજરાત એટલે શું?’ અથવા ‘ગુજરાત એટલે કોણ?’ જો આપણી સમજણ એવી હોય કે ગુજરાત એટલે સાબરમતીના પટમાં નર્મદાનું પાણી ઠાલવીને નદીકાંઠે કરોડો રૂપિયાના ખર્ચે બનતો રિવરફ્રન્ટ, ગુજરાત એટલે મૉલ-મલ્ટીપ્લેક્સ-રસ્તા-ફ્‌લાયઓવર અને અમિતાભ બચ્ચનની જાહેરખબરો, ગુજરાત એટલે નામી કંપનીઓની ફેક્ટરીઓ અને તેના માલિકોની સમૃદ્ધિ, ગુજરાત એટલે અદાણી...તો આ ગુજરાતનો ‘સર્વાંગી’ વિકાસ થયો છે અને વિકાસના દાવાનો વિરોધ કરનારા ખોટા છે.

પરંતુ જો આપણી સમજણ એવી હોય કે ગુજરાત એટલે તેના સેંકડો સામાન્ય માણસો, છેલ્લા દોઢેક દાયકાથી વીજળીનું કનેક્શન મેળવવાની જેમની એક પણ અરજી મંજૂર કરવામાં આવી નથી એવા ખેડૂતો, ગુજરાત એટલે ખાનગી કંપની અને સરકારની મિલીભગત સામે લડત આપતા-જીતતા મહુવા લડતના લોકો, ગુજરાત એટલે સંતાનોના શિક્ષણની ગુણવત્તા સતત નીચી અને ખર્ચ સતત ઊંચે જતો જોઇ રહેલા લોકો, ગુજરાત એટલે મસમોટી કંપનીઓ આવવા છતાં પૂરતી રોજગારી ઊભી ન થવાને કારણે બેકારીમાં પિસાતા લોકો, ગુજરાત એટલે વિદ્યાસહાયક અને અઘ્યાપકસહાયકના નામે સરકારી રાહે શોષણનો ભોગ બનતા લોકો...

...તો ઇમાનદારીથી જાતને પૂછી જોજો : આ ‘ગુજરાત’નો વિકાસ થયો છે? અને શું આ લોકો ‘ગુજરાત’ નથી? સમુખ્ય મંત્રીએ કરેલો સૌથી મોટો સામુહિક સંમોહનનો પ્રયોગ એ છે કે ઘણાબધા લોકો મુખ્ય મંત્રી બતાવે એ જ ગુજરાતને અસલી ગુજરાત ગણે છે અને તેનો વિકાસ જોઇને પોરસાય છે. સામુહિક સંમોહનની એ મર્યાદા છે કે તે કદી સો ટકા ઑડિયન્સ પર કામ કરતું નથી. સંમોહનમુક્ત હોય એવા લોકોને મુખ્ય મંત્રી કે અમિતાભ બચ્ચન બતાવે એ સિવાયનું ગુજરાત પણ દેખાય છે- અને એ પણ એટલું જ અસલ છે.

તો, મુખ્ય મંત્રીની વિકાસવાર્તામાં પંક્ચર ન પડે એ માટે, અસલી ગુજરાતને એટલે કે તેના સેંકડો રહેવાસીઓની અવગણના કરવાની? તેમની વાસ્તવિકતાનો અને તેમના અસ્તિત્ત્વનો સ્વીકાર જ નહીં કરવાનો? અને એવું સગવડીયું, હકીકતોને તોડીમરોડીને સગવડીયો ઘાટ આપીને રજૂ કરતું ‘ગુજરાત મૉડેલ’ રાષ્ટ્રિય સ્તરે લાગુ પાડવાથી દેશનો ઉદ્ધાર થઇ જશે, એવાં સ્વપ્નાં જોવાનાં?

ભ્રમ પોષતાં સ્વપ્નાં જોવાં કે પછી આંખો ખોલતી વાસ્તવિકતા? પસંદ અપની અપની.