Sunday, August 29, 2010

યે ધુંઆ સા કહાં સે ઉઠતા હૈ?


કાઠિયાવાડના છકડાને મોડે મોડેથી ‘ગ્રામીણ સંશોધન’નો દરજ્જો મળ્યો, ત્યાર પહેલાંથી અમદાવાદના રસ્તા પર એક ‘સંશોધન’ અથવા ‘સુધારો’ જોવા મળતો હતોઃ ચોમાસાની ઋતુ આવે એટલે કેટલાક વાહનચાલકો રેઇનકોટ જેટલી જ ચોક્સાઇથી રબરની પાઇપનો ટુકડો પણ કાઢે, તેનો એક છેડો સ્કૂટરના સાઇલેન્સરની પાઇપમાં લગાડે અને બીજો છેડો સ્પેરવ્હીલમાંથી બહાર કાઢે.

આવું કરવાનો ફન્ડા એટલો જ કે પાણી ભરાયાં હોય ત્યારે સાઇલેન્સર ડૂબવાથી સ્કૂટર ડચકાં ખાઇને બંધ ન થઇ જાય અને અટક્યા વિના સડસડાટ પાર ઉતરી જાય. અમદાવાદ કોલેજમાં ભણતો હતો એ અરસામાં એએમટીએસની બસની પાછળ પણ આવી પાઇપ લગાડેલી જોઇ હતી. આ રીતે પાઇપ લગાડવી એ કદાચ ચાલકો માટે સાવચેતી, ચતુરાઇ અને અગમચેતી પ્રદર્શીત કરવાનો પણ તરીકો હશે.

બહુ વખત પછી ફરી એક વાર સ્કૂટરની પાછળ આવી પાઇપ લગાડેલી જોઇ, એટલે થયું કે તેની યાદ જરા તાજી કરીએ-કરાવીએ.

Thursday, August 26, 2010

ઝવેરચંદ મેઘાણીની યાદમાં ‘સોરઠી સંતવાણી’

ગુજરાત સરકારે રાજ્યની સ્થાપનાના ૫૧મા વર્ષમાં અને ઝવેરચંદ મેઘાણીની ૧૧૫મી જન્મજયંતિ નિમિત્તે તેમનાં રચેલાં અને સંપાદિત કરેલાં ભજનનો એક કાર્યક્રમ ‘સોરઠી સંતવાણી’ યોજ્યો છે. મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં આયોજિત આ કાર્યક્રમમાં ભીખુદાન ગઢવી, લાખાભાઇ ગઢવી, નિરંજન પંડ્યા, ભારતીબહેન વ્યાસ અને ડો.નિરંજન રાજ્યગુરૂ જેવા સંતકવિઓનાં ભજનો રજૂ કરશે.

28-8-2010 : શનિવાર, રાતના 8.00
માર્કેટ યાર્ડ, નેશનલ હાઈવે 8-A, ચોટીલા

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને તેમના વિશેની વિગતવાર વેબસાઇટ www.jhaverchandmeghani.com તૈયાર કરનાર પિનાકી નાનકભાઇ મેઘાણીએ આપેલી માહિતી પ્રમાણે, ૧૯૪૭માં મેઘાણીનું મૃત્યુ થયું ત્યારે તેમનું પુસ્તક ‘સોરઠી સંતવાણી’ (૧૦૪ પ્રાચીન ભજનનો સંગ્રહ) પ્રેસમાં હતું. અગાઉ ‘સોરઠી સંતો’ (૧૯૨૮) અને ‘પુરાતન જ્યોત’ (૧૯૩૮) સ્વરૂપે મેઘાણીએ બે ભજનસંગ્રહ આપ્યા હતા.

ચોટીલામાં યોજાયેલા કાર્યક્રમ વિશે જાણીને આનંદની સાથોસાથ એવી અપેક્ષા પણ થાય કે આવા કાર્યક્રમનું લાઇવ કે પછીથી પ્રસારણ જોવા મળે અથવા પિનાકીભાઇ થકી તેના અંશો જોવા/સાંભળવા મળે.

Wednesday, August 25, 2010

બારી કે ગિલોટીન?

‘બારી એ મુસાફરની મા છે’ એવું બધું લલિત નિબંધોમાં વાંચ્યું એ પહેલાં ટ્રેનમાં અપ-ડાઉનને કારણે બારીનો મહિમા સમજાઇ ગયો હતો. પણ આ ફોટાને એની સાથે કશી લેવાદેવા નથી.

અહીં દેખાતું દૃશ્ય જોઇને ફ્રેન્ચ ક્રાંતિના સમયનાં ગિલોટીનની અને ‘ખાંડણીયામાં માથાં’ની યાદ તાજી થઇ જાય.તો નવાઇ નહીં.

આ ભાઇ તો નિરાંતે ઉંઘી રહ્યા છે, પણ તેમની મુદ્રા જોતાં જાણે તેમને કોઇએ સજા કરી હોય અને સજાના ભાગરૂપે તેમણે બારી નીચે માથું મૂક્યું હોય એવો કુવિચાર આવી જાય.

Sunday, August 22, 2010

ક્રાંતિકારી વિચારક, કર્મશીલ અને યોદ્ધાઃ નરસિંહભાઇ પટેલ (2)

Narsinhbhai (sitting, extreme left), sitting (extreme right) daughter Shantaben Patel.
(photo courtesy : Sandhyaben Mehta, daughter of Shantaben. Granddaughter of Narsinhbhai)

ઇસ્ટ આફ્રિકા જઇને આર્થિક રીતે સમૃદ્ધ થયેલા ગુજરાતીઓની ગાથાઓ હવે ગુજરાતમાં નવી નથી. પરંતુ તેમાં એક નામ ભાગ્યે જ વાંચવા મળે છેઃ નરસિંહભાઇ પટેલ.
કારણ?

નરસિંહભાઇ બીજા લોકોની જેમ વેપારધંધા જેવા ગુજરાતી ગુણોથી દોરવાઇને નહીં, પણ હવેના ગુજરાતમાં દુર્લભ બનેલા ગુજરાતીપણા જેવા અન્યાય સામે લડવાના મિજાજને કારણે આફ્રિકા પહોંચ્યા હતા. ખરેખર તો તેમને ગાયકવાડી સરકારની નોકરી છોડીને, બ્રિટિશ સલ્તનતની ધરપકડથી બચવા માટે આફ્રિકા જવું પડ્યું હતું. તેમણે લખેલા બોમ્બ બનાવવાની રીતોના પુસ્તક ‘વનસ્પતિની દવાઓ’ પછી અંગ્રેજ સરકાર ભડકી ઉઠી. સી.આઇ.ડી.વિભાગે કોઇ પણ દેશભક્તને પ્રમાણપત્ર લાગે એવા શબ્દોમાં નરસિંહભાઇ માટેનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું,‘આ માણસ ગુનાખોરી માટે તથા ન્યાય વ્યવસ્થાને ઉથલાવી પાડવા માટે કુખ્યાત પાટીદાર જ્ઞાતિનો ખતરનાક નમૂનો છે.’

પરંતુ આ જ અંગ્રેજ સરકારની અદાલતમાં નરસિંહભાઇ ‘સત્યના સમાનાર્થી’ તરીકેની ઓળખ પણ પામ્યા હતા. અંગ્રેજ સરકાર નરસિંહભાઇ રૂપી ખસને ટાઢા નહીં, પણ કાળા પાણીએ કાઢવા માગતી હતી. સરકારની દાનતનો ખ્યાલ આવી જતાં નરસિંહભાઇ પોલીસને હાથતાળી આપીને ફ્રેન્ચ સંસ્થાન પોંડીચેરી પહોંચ્યા. ત્યાં સલામતી ન લાગતાં કોલમ્બો (શ્રીલંકા), સોમાલીલેન્ડ થઇને થઇને આફ્રિકાના મોમ્બાસા બંદરે પહોંચ્યા. કુટુંબને પણ ત્યાં બોલાવી લીઘું. પરંતુ અંગ્રેજ સરકારની ધોંસ ચાલુ રહેતાં તેમણે ફ્રેન્ચ તાબા હેઠળના મુઆન્ઝા શહેરમાં આશરો લીધો. ત્યાં પણ અંગ્રેજ સરકારે પીછો ન છોડતાં તે જર્મન તાબા હેઠળના મુઆન્ઝા શહેરમાં પહોંચ્યા. થોડો વખત નોકરી કરી, ન કરી ત્યાં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થઇ ગયું. તેમાં અંગ્રેજોએ જર્મનીને હરાવતાં નરસિંહભાઇને ફરી ઠેકાણું બદલવું પડ્યું. આ રઝળપાટનું છેલ્લું મથક હતું નાઇલ નદીના મૂળ નજીક આવેલું ગામ જીંજા. ત્યાં નરસિંહભાઇ નવરાશના સમયમાં જર્મન ભાષા શીખ્યા અને વઘુ એક સ્વાતંત્ર્ય વીર ‘વિલિયમ ટેલ’ના જર્મન ચરિત્રનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.

જીંજામાં નિવાસ દરમિયાન નરસિંહભાઇના વિચાર અને જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું. બોમ્બ બનાવવાની રીતોનું પુસ્તક લખનાર આ ‘ખતરનાક પાટીદાર’ ટોલ્સ્ટોયનું પુસ્તક ‘એ મર્ડરર્સ રીમોર્સ’ વાંચીને અહિંસા તરફ વળ્યા. અગાઉ વડોદરામાં હતા ત્યારે ૧૯૦૩માં કવિ ‘કાન્ત’- મણિશંકર ભટ્ટે તેમને ટોલ્સ્ટોયનું પુસ્તક ‘રૂટ ઓફ ધ એવિલ’ વાંચવા આપેલું, પણ બંગાળાના ભાગલાના પગલે જાગેલા તોફાનમાં અહિંસક વિચારોનું સ્થાન હિંસાએ લીઘું. એ વખતે મનમાં દફન થયેલો અહિંસાનો વિચાર, હિંસામાં શ્રદ્ધા સાથે એક દાયકો વીતાવ્યા પછી, આફ્રિકામાં ફરી ટોલ્સ્ટોય થકી સળવળ્યો.

પરંતુ નિરીશ્વરવાદનાં મૂળ નરસિંહભાઇમાં વહેલાં નખાઇ ચૂક્યાં હતાં. શરૂઆતમાં તે પાકા આસ્તિક હતા. પરંતુ તીવ્ર જીજ્ઞાસાવૃત્તિ અને વિચારશીલતા તથા સતત નવું શીખવાની-સમજવાની ઝંખનાને લીધે તે આસ્તિકમાંથી આર્યસમાજી અને છેવટે નિરીશ્વરવાદી બન્યા. એટલું જ નહીં, ગુજરાતીમાં નિરીશ્વરવાદનો આદિગ્રંથ કહેવાય એવું પુસ્તક ‘ઇશ્વરનો ઇન્કાર’ તેમની પાસેથી ૧૯૩૩માં મળ્યું. એ પુસ્તકથી વિવાદ તો થયો જ હશે, પણ કેટલાક જૂની પેઢીના લોકો પાસેથી એવું પણ જાણવા મળ્યું કે તેનું એક પ્રકરણ પાઠ્યપુસ્તકમાં- ભણવામાં આવતું હતું.

આફ્રિકામાં નિવાસ દરમિયાન તેમણે લખેલા પત્રોનું એક પુસ્તક ‘આફ્રિકાના પત્રો’ નામે પ્રસિદ્ધ થયું હતું. તેમાં એક લાંબા- છાપેલાં લગભગ ૧૫ પાનાંના- પત્રમાં તેમણે પોતાના જીવનમાં આવેલાં પરિવર્તનો વિશે પ્રામાણિક અને સચ્ચાઇથી રણકતી ભાષામાં લખ્યું હતું. (પત્ર તારીખઃ ૨૩-૩-૧૯૧૮) ગાંધીજી જ્યારે કોંગ્રેસના સર્વેસર્વા થયા ન હતા, ત્યારે નરસિંહભાઇએ આ પત્રમાં પહેલા વિશ્વવિગ્રહના બોધપાઠો અને ચેતવણીઓ ઉચ્ચારતાં લખ્યું હતું,‘આ (વિશ્વ) વિગ્રહે મ્હારા સંસ્કારોને અનેક રીતે દૃઢ કર્યા. એ પણ સ્પષ્ટ થયું કે યુરોપમાં સુધારણાને નામે- સિવિલાઇઝેશનને નામે- ડેવિલાઇઝેશન ચાલી રહ્યું છે...અહિંસાધર્મ-શાન્તિધર્મ યુરોપના સુધારાએ ઘૂળધાણી કરી નાખ્યો છે. નવા અર્થશાસ્ત્રે દ્રવ્યધર્મ સિદ્ધ કર્યો છે, ગરીબોને મારી નાખવા ને બીજાનું ધન કાયદેસર લૂંટવું એ જ ધર્મ ગણાય છે. બીજી પ્રજાઓ સાથે પણ એ જ રીતે વર્તવું, ત્હેને યુદ્ધસામગ્રીથી ડરાવવી, એનું નામ સ્વદેશાભિમાન પડ્યું છે. અત્યારે મનાય છે એ સ્વરૂપમાં સ્વદેશાભિમાન ભ્રષ્ટ છે...હિંદે એથી શીખવાનું છે...પણ અફસોસ કે હિંદ અત્યારે એ જ માર્ગે દોડે છે. કોંગ્રેસની બધી હિલચાલ તે જ રસ્તે છે...એમને જે સ્વરાજ્ય જોઇએ છે તે દુનિયાનું છે, આત્માનું નથીઃ આત્માના મદ, મોહ, લોભ વગેરે છ વિરોધી ગુણો ઉપર રાજ્ય કરવું, પોતાના વિકારો ઉપર અંકુશ રાખવો એ ખ્યાલવાળા કોંગ્રેસમાં ભાગ્યે જ કોઇ હશે. મ્હને મી.ગાંધી સિવાય બીજો કોઇ એવો નર નઝરે પડતો નથી. એમની પાસે ઈંડિયાએ બહુ શીખવાનું છે.’

મી. ગાંધી ‘મહાત્મા’ બન્યા અને જેલવાસી થયા ત્યારે તે નરસિંહભાઇનાં ‘સમર્પણ’. ‘બુદ્ધ અને મહાવીર’ જેવાં પુસ્તકો ઉપરાંત ‘આફ્રિકાના પત્રો’ પણ મંગાવીને વાંચી ગયા હતા અને મહાદેવભાઇની નોંધ પ્રમાણે ‘આફ્રિકાના પત્રો વાંચ્યા પછી ગાંધીજીએ કહ્યું હતું કે એમનું નિખાલસપણું બહુ વખાણવા જેવું છે.’

આ નિખાલસપણાનો સ્વાદ થોડા સમય નરસિંહભાઇ શાંતિનિકેતનમાં જર્મન ભાષાના શિક્ષક તરીકે રહ્યા, ત્યારે ગુરૂદેવ ટાગોરને પણ મળ્યો હતો. એક વાર રાત્રિબેઠકમાં ગુરૂદેવે જાપાની લોકોની કળાપ્રિયતાનાં બહુ વખાણ કર્યાં. એ અરસામાં જાપાન શસ્ત્રબળના જોરે વિશ્વવિજેતા બનવાનાં ખ્વાબ જોતું હતું. પ્રજા તરીકે જાપાની લોકોનાં વખાણ ‘વઘુ પડતાં’ લાગ્યાં, ત્યારે નરસિંહભાઇએ ઉભા થઇને કહ્યું,‘ગુરૂદેવ, કોરિયાને ગુલામ બનાવીને તેમના પર જુલમ કરનાર કોણ છે?’

ટાગોરભક્તોએ આ મુદ્દો ‘નરસિંહભાઇએ ગુરૂદેવનું અપમાન કર્યું છે’ એ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ક્ષણિક સ્તબ્ધ થયેલા ગુરૂદેવે પોતાની મોટાઇ બતાવતાં કહ્યું,‘તમને જે સત્ય લાગ્યું એ તમે નિર્ભયપણે કહી સંભળાવ્યું. એથી મને તો આનંદ જ થયેલો.’ આ શબ્દો ફક્ત કહેવા ખાતર નહીં, પણ દિલથી ઉચ્ચારાયા હતા તેની ખાતરી એ કે ગુરૂદેવના આગ્રહથી નરસિંહભાઇ વઘુ એક વર્ષ શાંતિનિકેતન રોકાઇ ગયા. પણ છેવટે ઉથલો મારનાર દમના રોગથી ત્રાસીને તે આણંદ આવ્યા અને આજીવન ત્યાં જ રહ્યા. ૧૯૨૪થી તેમણે શરૂ કરેલું ‘પાટીદાર’ માસિક ૨૧ વર્ષ સુધી ચાલ્યું. વચ્ચે તે જેલમાં ગયાં ત્યારે તેમની પુત્રીઓ શાંતાબહેન અને વિમળાબહેને પણ સામિયક સંભાળ્યું. ‘લગ્નપ્રપંચ’ જેવા નારીવાદી પુસ્તક થકી તેમણે ‘સ્ત્રીજાતિના એક મોટા વકીલ’ તરીકેનું બિરૂદ મેળવ્યું. સ્ત્રીના હકોની વકીલાત કરતી વખતે તેમણે ગાંધીજીને પણ ન છોડ્યા. દલિતોને મંદિરપ્રવેશ ન આપતા જગન્નાથ પુરીના મંદિરમાં કસ્તુરબા ગયાં, તેથી ખિજાયેલા ગાંધીજીએ વકીલશૈલીમાં તેમને પૂછ્યું હતું,‘મારે તમારાથી છૂટાછેડા કેમ ન લેવા?’ તેની પર ટીપ્પણી કરતાં ‘પાટીદાર’માં નરસિંહભાઇએ લખ્યું હતું,‘કસ્તુરબાએ મંદિરમાં જવું કે નહીં એ તેમનો સ્વતંત્ર પ્રશ્ન છે. પતિ સાથે સંકળાયેલો નથી...પરંતુ પુરૂષમાં સદીઓથી ચાલ્યું આવતું ધણીપણું મહાત્મા ગાંધીમાં પણ પૂરેપૂરૂં લુપ્તથયું નથી.’ સરદારના મોટા ભાઇ અને ધારાસભાના પહેલા ભારતીય અઘ્યક્ષ વિઠ્ઠલભાઇ પટેલનું સાચું સ્મારક સ્ત્રીકેળવણીની સંસ્થા સ્વરૂપે હોવું જોઇએ, એ આગ્રહ નરસિંહભાઇનો હતો. તેમના પ્રયાસોથી જ નડિયાદમાં ‘વિઠ્ઠલ કન્યા વિદ્યાલય’ની સ્થાપના થઇ.

પાછલાં વર્ષોમાં તબિયત લથડી ત્યારે પણ નરસિંહભાઇનો જુસ્સો અડીખમ હતો. ૨૭ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ ૭૧ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું, ત્યાર પછીના ‘પાટીદાર’ના અંકમાં તેમનાં પુત્રી વિમળાબહેને લખ્યું હતું,‘ડાબે પગે એમને લકવો હતો...છેક અપંગ બની ગયા જેવા જ હતા. પરંતુ છેક પથારીવશ ન થઇ જવાય એટલા માટે વરંડાની ભીંતના તેમ જ લાકડીના ટેકે આંટા મારતા હજીય એ મારી આંખ સામે તરી રહ્યા છે...’ જિંદગી આખી ઝઝૂમનારો એ યોદ્ધો મૃત્યુની રાહ જોતો હતો ત્યારે મોરારજી દેસાઇએ તેમને પૂછ્યું હતું,‘કાકા, હવે ઇશ્વરને માનવો પડશે.’ એક સંબંધીએ તેમને પૂછ્યું હતું,‘તમને આટલી પીડા અને કષ્ટ થાય છે, ત્યારે હવે તો ઇશ્વર છે કે નહીં?’ પરંતુ છેલ્લા શ્વાસ સુધી તેમની વૈચારિક મક્કમતા અડીખમ રહી.

બ.ક.ઠાકોરનું એક અવલોકન નરસિંહભાઇ માટે પ્રયોજતાં કહી શકાયઃ નરસિંહભાઇ જેવાં ચરિત્રોને ભૂલી જનાર સમાજ એવાં ચરિત્રોને પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે.

કોઇ સાબિતીની જરૂર લાગે છે?

Wednesday, August 18, 2010

‘વર્લ્ડ ભૂવા સીટી’માં કેટલાક ભૂવાના ઇન્ટરવ્યુ

અમદાવાદને ‘વર્લ્ડ હેરિટેજ સીટી’નો દરજ્જો મળે ત્યારે ખરો, પણ આ ચોમાસામાં તેને ‘વર્લ્ડ ભૂવા સીટી’નો ઇલ્કાબ મળી ગયો છે.

ગાંધીજીને ‘મહાત્મા’, વલ્લભભાઇને ‘સરદાર’ અને રવીન્દ્રનાથને ‘ગુરૂદેવ’ના ખિતાબ જેમ લોકહૃદયમાંથી મળ્યા હતા, એવી જ રીતે અમદાવાદને પણ લોકોએ પોતાના હૃદયના ભૂવામાંથી- એટલે કે ઊંડાણમાંથી- ‘વર્લ્ડ ભૂવા સીટી’ નું સ્થાન આપ્યું છે. ચોમાસામાં અમદાવાદની મુલાકાતે આવતા વિદેશી પ્રવાસીઓ અમદાવાદની અજાયબીઓમાં ઝુલતા મિનારા અને સીદી સૈયદની જાળીની સાથે ભૂવાનો પણ સમાવેશ કરવા માંડે તો નવાઇ નહીં. કેમ કે, પરદેશી ગાઇડબુકના લેખકો બહુ ખંતીલા હોય છે. એ લોકો અમદાવાદની ગાઇડ બુકમાં ભૂવા વિશે લખવા માંડે તો સંભવ છે કે આપણા જ ભૂવાઓની માહિતી-ઇતિહાસ-ભૂગોળ-લંબાઇ-પહોળાઇ-ઊંડાઇ-આયુષ્ય
જાણવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંગ્રેજી ચોપડીઓ ખરીદવી પડે.

બીજી ચીજોની જેમ ભૂવાની કિંમત સમજવામાં પણ આપણે મોડા ન પડીએ અને પરદેશીઓ જશ ન લઇ જાય, એ માટે નક્કી કર્યું કે અમદાવાદના કેટલાક ભૂવાની વેળાસર મુલાકાત લેવી જોઇએ. મુલાકાતનો આશય ‘વિઝિટ’ પ્રકારનો હતો, પણ થઇ ગયા ‘ઇન્ટરવ્યુ’.

***

આઇ.આઇ.એમ.પાસેનો ભૂવો

પ્રઃ એ રામ રામ ભૂવાભાઇ.
ભૂવોઃ માઇન્ડ યોર લેંગ્વેજ, બોસ. હું રેંજીપેંજી ચાલુ બિઝનેસ સ્કૂલ પાસેનો નહીં, આઇ.આઇ.એમ.-અમદાવાદ પાસેનો ભૂવો છું. આપણું એન્યુઅલ પેકેજ કેટલું છે ખબર છે? અને વોટ ડુ યુ મીન બાય ‘ભૂવાભાઇ’? કેવું દેશી લાગે છે? ‘હેય ડૂડ’ કે ‘હાય ભૂવી’ એવું કંઇક કહ્યું હોત તો?
પ્રઃ સોરી. ફરી ઘ્યાન રાખીશ. પહેલાં એ કહો ઃ કેવું લાગે છે?
ભૂવોઃ સ્ટુપિડ ક્વેશ્ચન, પણ પહેલો છે એટલે ચલાવી લઊં છું ઃ રસ્તા પર હોઇએ એટલે કેવું લાગે? જાણે હજુ સુધી પ્લેસમેન્ટ ન મળ્યું હોય...
પ્રઃ પણ મેં સાંભળ્યું છે કે તમે પહેલાં બહુ અપટુડેટ રોડ જેવા દેખાતા હતા...
ભૂવોઃ વાહ! આ તો બ્રાન્ડિંગના સબ્જેક્ટમાં કામ લાગે એવું છેઃ ‘ભૂવા ભી કભી રોડ થા’.
પ્રઃ જોઊં છું કે તમારી પર આઇ.આઇ.એમ.ની સોબતની બહુ ઘેરી અસર પડી છે.
ભૂવોઃ પણ જ્યાં પડવી જોઇએ ત્યાં-વહીવટકર્તાઓ ઉપર- આઇ.આઇ.એમ.ની અસર પડતી નથી એનું શું? જે શહેરની મેનેજમેન્ટ સંસ્થા આખા દેશમાં વખણાતી હોય, તે શહેર પર સંસ્થાની કશી અસર ન થાય? કે સંસ્થા એ શહેર પર કશી અસર ન પાડી શકે?
પ્રઃ વાહ.
ભૂવોઃ ‘વાહ, વાહ’ કરીને બેસી રહેવાની જરૂર નથી. એ વિચારો કે શું થઇ શકેઃ આઇ.આઇ.એમ. અને એન.આઇ.ડી.ના સહયોગથી હવે પછી જે ભૂવા પડે તેમને પ્રેઝન્ટેબલ બનાવવા માટે નવી ડિઝાઇનો તૈયાર કરાવી શકાય, ભૂવાને ટુરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરવામાં અને અમદાવાદની ‘ભૂવા સીટી’ તરીકે બ્રાન્ડ બિલ્ટ અપ કરવામાં આઇ.આઇ.એમ. કામ નહીં લાગે તો બીજું કોણ કામ લાગશે? થોડું વધારે પ્લાનિંગ કરીને અને રૂપિયા ખર્ચીને ભૂવાને પ્રોફિટેબલ પણ બનાવી શકાય. મેનેજમેન્ટ સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓને મોટાં ને મોટાં પેકેજ મળે છે તે અમસ્તાં? એમાંથી ઘણાને તો અર્થતંત્રના ભૂવા પ્રેઝન્ટેબલ બનાવવા માટે જ આસમાની પગાર મળે છે.
પ્રઃ મને લાગે છે કે શિક્ષણના- ખાસ કરીને મેનેજમેન્ટના શિક્ષણના- હિતમાં આપણે વાત અહીં જ અટકાવી દેવી જોઇએ.

***

મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેનો ભૂવો

પ્રઃ નમસ્કાર.
ભૂવોઃ ભારતમાતા કી જય.
પ્રઃ એક મિનીટ... તમારે વળી ભારતમાતા સાથે શી લેવાદેવા? તમને ક્યાં સીબીઆઇ પૂછપરછ માટે બોલાવે છે?
ભૂવોઃ ગૃહખાતામાં કે પોલીસખાતાં, ગમે ત્યાં ભૂવા પડે તો પણ અમને એકસરખો આનંદ થાય છે અને તમામ ભૂવા તથા તેના પાડનારા માટે અમે હંમેશાં સૂત્રોચ્ચાર કરવા તૈયાર હોઇએ છીએ. બોલો..ભારતમાતા કી....
પ્રઃ તમે આમ વારેઘડીએ ભારતમાતાને વચ્ચે ઢસડી લાવો છો તો કૌરવસભામાં દ્રૌપદીને ઢસડી લાવતા દુઃશાસનની યાદ તાજી થાય છે.
ભૂવોઃ શું કહ્યું? દુઃશાસન? તમને અમારૂં અસ્તિત્ત્વ દુઃશાસનની યાદ અપાવે છે? તમે ખરેખર અમદાવાદવિરોધી, ભારતવિરોધી, હિંદુવિરોધી, સ્યુડોસેક્યુલર લાગો છો. બાકી, તમને ગૌરવ થવું જોઇએ કે મારી ગણના સંભવતઃ એશિયાના સૌથી મોટામાં મોટા ભૂવા તરીકે થાય છે. લિમ્કા બુક માટે તો એપ્લાય કરી દીઘું હતું ને તેના અફસરો આવીને ગયા. તેમણે વાતચીતમાં કહ્યું હતું કે ભારતમાં સૌથી વઘુ ભૂવા ધરાવતા શહેર તરીકે અથવા સૌથી મોટા ભૂવા તરીકે- બેમાંથી એક કેટેગરીમાં આપણું પાકું છે. બોલો, ભારતમાતાકી....ભૂલી ગયો.. ભૂલી ગયો...આદતસે મજબૂર.
પ્રઃ પણ એક સુંવાળી સડકમાંથી આમ ભૂવો બની જતાં તમને દુઃખ નથી થતું?
ભૂવોઃ બિલકુલ નહીં. સડકસ્વરૂપમાં મને કોઇ પૂછતું પણ ન હતું ને ગણતું પણ ન હતું. હવે મારી આજુબાજુ પટ્ટીઓ બંધાય છે- એ પટ્ટીઓ જોઇને ઘણાને એવું લાગે છે, જાણે રાજકારણીઓ એ પટ્ટીઓ કાપીને ભૂવાનાં ઉદ્ઘાટન કરવાના હોય...
પ્રઃ તમે બહુ તોફાની છો.
ભૂવોઃ એટલે તો ભૂવો છું. નહીંતર રોડ ન હોત!
પ્રઃ એક મિનીટ. તમારા લહેકામાંથી મને અસંતોષની ગંધ આવે છે. તમે ક્યાંક અસંતોષને લીધે તો રોડમાંથી ભૂવો બની ગયા નથી ને?
(ભૂવો આંખ મીંચકારીને ‘નો કમેન્ટ્સ’ કહે છે, એ સાથે જ મુલાકાતનો અંત આવે છે.)

***

યુનિવર્સિટીની નજીક પડેલો ભૂવો

પ્રઃ હાય! હાઉ આર યુ?
ભૂવોઃ જસ્ટ ચિલિંગ, મેન!
પ્રઃ ચિલિંગ ઓર કિલિંગ?
ભૂવોઃ ગુડ જોક. પણ મારી ટીકા કરવાની જરૂર નથી. હું ઓલરેડી બળેલો છું.
પ્રઃ કેમ દાઝેલુ દાઝેલું બોલો છો? છોકરાને એડમિશન નથી મળ્યું? સેલ્ફ-ફાઇનાન્સ્ડ સંસ્થા માટે મંજૂરી નથી મળી? ક્યાંક વી.સી. બનવું છે? વર્તમાન કે ભૂતપૂર્વ શિક્ષણમંત્રી નારાજ છે? સાહેબની ગુડબુકમાંથી નામ નીકળી ગયું છે? છઠ્ઠા પગારપંચમાં કોઇ કારણસર સમાવેશ નથી થયો? આખરે પ્રોબ્લેમ શું છે?
ભૂવોઃ આમાંથી એકેય પ્રોબ્લેમ નથી. વાત એનાથી કંઇક વધારે મોટી છે. પણ જવા દો. તમે નહીં માનો.
પ્રઃ આવું કહીને તમે મારી ધીરજની કસોટી કરો છો. કહી દો જે કારણ હોય તે સાચેસાચું. તમારા ખાતર હું ભૂતપ્રેતમાં પણ માનવા તૈયાર થઇ જઇશ.
ભૂવોઃ ના, ના. એમ તો તમે કુલપતિમાં માનો છો એ જ બહુ છે...
પ્રઃ તો પછી શું છે?
ભૂવોઃ યુનિવર્સિટીમાં ને શિક્ષણજગતમાં પડેલા ભૂવાની સાઇઝ જોઇને મને સખત લધુતાગ્રંથિ થાય છે. મને થાય છે કે એ ભૂવા આગળ મારી કોઇ વિસાત નથી. મને મારૂં અસ્તિત્ત્વ નિરર્થક લાગવા માંડે છે...

(રડતો ભૂવો જોવાની ઇચ્છા ન હોવાથી ઇન્ટરવ્યુ તત્કાળ આટોપી લેવો પડે છે.)

Monday, August 16, 2010

માત્ર રાજકીય જ નહીં, સામાજિક-માનસિક આઝાદીના લડવૈયા નરસિંહભાઇ પટેલ

૧૫ ઓગસ્ટ નિમિત્તે થતાં રાજકીય આઝાદીનાં ઉજવણાં વરસોવરસ વઘુ ને વઘુ ફારસ જેવાં લાગી રહ્યાં છે. આઝાદીના ઉત્સવનો આનંદ કયા દેશવાસીને ન હોય? પણ અત્યારે સરકારી રાહે મનાવાતા સ્વાતંત્ર્ય દિન, દાયકાઓ પહેલાં જીતેલા વર્લ્ડ કપની અત્યારે થતી ઉજવણી જેવા લાગે છેઃ એક સમયે તેનું ઘણું માહત્મ્ય હતું. અત્યારે એ સિદ્ધિનો આનંદ છે, પણ પછી શું?

જેમ ક્રિકેટમાં તેમ સમાજજીવનમાં, એક કપ જીતવાથી શું થાય? ત્યાર પછી પ્રજાએ વેઠવા પડેલા અનેક કારમા પરાજયોનું શું? સામાન્ય પ્રજા માટે શાસકો સિવાય બીજી કઇ બાબતોમાં પરિવર્તન આવ્યું છે? આઝાદી પછીના શાસકો ચામડી સિવાય બીજી કઇ રીતે અંગ્રેજો કરતાં જુદા છે?

આવા અનેક અકળાવનારા પ્રશ્નો દર વર્ષની ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી લઇને આવે છે. રાજકીય આઝાદી બેશક મહત્ત્વની અને પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ કમનસીબી એ વાતની છે કે ‘ચૂંટણીશાહી’ને ‘લોકશાહી’ માની લેવામાં આવી છે, એવી જ રીતે ‘રાજકીય આઝાદી’ને ‘(સંપૂર્ણ) આઝાદી’ તરીકે ખપાવી દેવાય છે. ડો.આંબેડકર જેવા પ્રતિભાશાળી રાષ્ટ્રનેતા એટલે જ રાજકીય આઝાદી કરતાં સામાજિક આઝાદીને વધારે મહત્ત્વ આપતા હતા.

સરકારી કે પક્ષીય રાહે આઝાદીની ઉજવણીમાં સૌ પોતપોતાને અનુકૂળ અથવા જેમનાં નામે ચરી ખાવાનું શક્ય હોય, એવાં નામ યાદ કરશે. પરંતુ પ્રજા તરીકે આપણા હીરો કે રોલમોડેલ જુદા હોઇ શકે. અત્યારના સંજોગોમાં તો એવું લાગે કે, રોલમોડેલ જુદા હોવા પણ જોઇએ.

ગુજરાતના દાયરામાં રહીને વાત કરીએ તો, કોઇ પણ પક્ષની સરકારમાં કદી યાદ ન કરાયેલું એક નામ એટલે આણંદના નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલ. તેમની ઓળખાણ આઝાદીનાં ૬૩ વર્ષમાં ઠાલાં બની ગયેલાં વિશેષણોથી આપવાને બદલે, કેટલાંક નક્કર કાર્યોથી જ આપીએઃ

નરસિંહભાઇ એટલે સશસ્ત્ર ક્રાંતિકારી ચળવળના કાર્યકર્તા, વિદેશી ક્રાંતિકારીઓના ચરિત્રલેખક અને બોમ્બ બનાવવાની રીતનાં પુસ્તક લખવા બદલ અંગ્રેજ સરકારની આંખે ચડનારા વિદ્રોહી. રવીન્દ્રનાથ ટાગોરની હયાતીમાં શાંતિનિકેતનમાં નરસિંહભાઇ શિક્ષક હતા (અને જર્મન ભાષા શીખવતા હતા!). વલ્લભભાઇ પટેલની સાથે સ્કૂલમાં ભણેલા નરસિંહભાઇ દાંડીકૂચ કરતા ગાંધીજીનું સામૈયું કરવા આણંદથી બોરિયાવી ગયા હતા અને ગાંધીજી સાથે દાંડીકૂચમાં ચાલતા આણંદ આવ્યા હતા. એ વખતે ખાન અબ્દુલ ગફ્ફારખાન (બાદશાહખાન) નરસિંહભાઇના આણંદના ઘરે રોકાયા હતા.

નરસિંહભાઇની નજર ફક્ત રાજકીય આઝાદી પૂરતી સંકુચિત કે મર્યાદિત ન હતી. પાટીદાર સમાજમાં હાનિકારક જૂનવાણી રૂઢિઓ ફગાવી દઇને સુધારાવાદી વિચારોનો પ્રચાર કરવા માટે તેમણે ઓક્ટોબર, ૧૯૨૪થી ‘પાટીદાર’ માસિક શરૂ કર્યું અને ૨૧ વર્ષ જેટલા લાંબા અરસા સુધી જુસ્સાપૂર્વક ચલાવ્યું. પુસ્તકોના લેખક તરીકે તેમનાં બે પુસ્તકો ‘ઇશ્વરનો ઇન્કાર’ (૧૯૩૩) અને ‘લગ્નપ્રપંચ’ સર્વકાલીન યાદગાર ગુજરાતી પુસ્તકોમાં સ્થાન પામે એવાં છે. કેમ કે, નરસિંહભાઇએ ગુજરાતી સમાજ માટે હજુ આજે પણ જે સ્વીકાર્ય બની શક્યા નથી, એવા વિચારો ધારદાર રીતે સાત દાયકા પહેલાં રજૂ કર્યા હતા. ‘ઇશ્વરનો ઇન્કાર’ ગુજરાતના વિવેકબુદ્ધિવાદી સાહિત્યના આદિગ્રંથ તરીકે પ્રતિષ્ઠિત-પ્રખ્યાત થયું, તો ‘લગ્નપ્રપંચ’ અમેરિકામાં ફેમિનીઝમ (નારીવાદ)નો દોર શરૂ થયો ત્યાર પહેલાંના યુગમાં નારીવાદી દૃષ્ટિકોણથી લખાયેલું યાદગાર પુસ્તક હતું. ગાંધીજીના સાથીદાર અને ખરા અર્થમાં ચિંતક-વિચારક કહી શકાય એવા કિશોરલાલ મશરૂવાળાએ ‘લગ્નપ્રપંચ’ના લેખક નરસિંહભાઇને ‘સ્ત્રીજાતિના એક મોટા વકીલ’ તરીકે ઓળખાવ્યા હતા.

સરદારને ‘પટેલ’ તરીકે અંકે કરી લેવા ઉત્સુક સૌ કોઇએ નરસિંહભાઇને (અલબત્ત, પોતાના હિસાબે અને જોખમે) યાદ કરવાની જરૂર છે. ૧૩ ઓક્ટોબર, ૧૮૭૪ના રોજ ખેડા જિલ્લાના નાર ગામે જન્મેલા નરસિંહભાઇ કેટલીક બાબતોમાં પહેલેથી જ સ્પષ્ટ હતા. પોતાના ભાઇના લગ્નપ્રસંગે પિતાજીએ એ વખતના (અને અત્યારના પણ!) રિવાજ પ્રમાણે કન્યાપક્ષ પાસેથી દહેજ માગ્યું. એ વખતે કોલેજમાં ભણતા નરસિંહભાઇએ દહેજનો વિરોધ કર્યો. વ્યવહારૂ પિતાએ તેમને સમજાવ્યા,‘દહેજ ન લઊં તો તારી કોલેજનો ખર્ચ શી રીતે નીકળશે?’ આ સાંભળીને નરસિંહભાઇએ નિર્ધાર કર્યો,‘મારો અભ્યાસ દહેજના રૂપિયાથી આગળ વધવાનો હોય તો મારે વધારે ભણવું નથી.’ અને તેમણે અધવચ્ચેથી કોલેજનો અભ્યાસ છોડી દઇને ગાયકવાડી રાજમાં શિક્ષકની નોકરી લીધી.

વડોદરામાં મોતીભાઇ અમીન સહિત કેટલાક રાષ્ટ્રવાદીઓની સોબતમાં નરસિંહભાઇના રાષ્ટ્રવાદના સંસ્કાર પાકા થયા. તેમનો રાષ્ટ્રવાદ અત્યારે ચાલતા ‘ફેક’ (નકલી) રાષ્ટ્રવાદ જેવો નહોતો. બંગાળના ભાગલા પછી ફુંકાયેલા વિરોધના વાવાઝોડામાં નરસિંહભાઇએ ઇટાલીના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા ગેરીબાલ્ડીનું જીવનચરિત્ર ગુજરાતીમાં ઉતાર્યું. દેવનાગરી લિપીમાં ૪૧૫ પાનાંના આ દળદાર પુસ્તકની શરૂઆત જ પ્રતિબંધિત કરાયેલા વંદે માતરમ્થી થતી હતી અને તેના લેખકનું નામ હતું ‘નરસિંહ.’

‘ગેરિબાલ્ડી’ (૧૯૦૭) દેખીતી રીતે નિર્દોષ લાગે એવું પુસ્તક હતું, પણ તેના આરંભે નરસિંહભાઇએ લખ્યું હતું,‘સ્વદેશપ્રીતિ(ના) અગ્નિથી બળતો, દેશવાસીઓ પર થતા અત્યાચારથી પીડાતો ને સાઘુસંકલ્પ હૃદયમાં ધારણ કરતો એક પણ મનુષ્ય વારંવાર પ્રયત્ન કરે તો અસાઘ્યને પણ સાધી શકે. ગેરિબાલ્ડીનું જીવનચરિત વાંચી જુઓ ને વિચારો કે શું અશક્ય છે...પ્રયત્ન વિના સમયની રાહ જોઇ બેસી રહેનાર પતિત ભારતવાસીઓ! ત્હમારી પેઠે ઇટાલીવાસીઓ પણ એક દિવસ છતી આંખે આંધળા હતા. પરંતુ ઇશ્વરના અનુગ્રહથી અને બે મહાત્માઓના કરસ્પર્શથી આજ તેમની આંખો ઉઘડી ગઇ છે...આવો ભાઇ! ત્રીસ કરોડ ભારતવાસીઓ ધર્મભેદ અને જાતિભેદ ભૂલી જઇને એક વાર ઇશ્વરનાં અને એકતાનાં ભજન ગાઇએ...’ (એ વખતે નરસિંહભાઇ નિરીશ્વરવાદ તરફ વળ્યા ન હતા.)

ગેરિબાલ્ડી ઉપરાંત અમેરિકાના પ્રમુખ ગાર્ફીલ્ડનું જીવનચરિત્ર ‘પ્રેસિડેન્ડ મહાવીર ગાર્ફીલ્ડ’ (૧૯૦૯) પણ નરસિંહભાઇએ પ્રગટ કર્યું. તેની પ્રસ્તાવનામાં ભારતની આઝાદની વાત વણી લેતાં નરસિંહભાઇએ અસલ ચરોતરી બોલીમાં લખ્યું હતું,‘ભારતમાતા ગાર્ફીલ્ડો અને લિંકનો જણો, એ જ વાસના છે.’

શરૂઆતમાં અંગ્રેજ સરકારને બત્તી ન થઇ, પણ પછી નરસિંહભાઇનાં બન્ને પુસ્તકો પાછળનો અસલી આશય સમજાતાં તેમની પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. પરંતુ નરસિંહભાઇનું સૌથી ચર્ચાસ્પદ પુસ્તક હતું ‘વનસ્પતિની દવાઓ’, જે અરવિંદ ઘોષના નાના ભાઇ અને હિંસક ક્રાંતિના નેતા બારીન્દ્ર ઘોષે લખેલા પુસ્તક ‘મુક્તિ કૌન પથે’નો ગુજરાતી અનુવાદ હતો.

બારીન્દ્ર ઘોષનો ‘મુક્તિપથ’ બોમ્બધડાકાનો હતો. તેમણે પુસ્તકમાં બોમ્બ બનાવવાની રીતો લખી હતી, જે નરસિંહભાઇએ ગુજરાતીમાં ઉતારી. સરકારને છેતરવા માટે એ જ પુસ્તકને ‘વનસ્પતિની દવાઓ’ ઉપરાંત નાવાનો સાબુ, કાયદાનો સંગ્ર, યદુકુલનો ઇતિહાસ, તુસ-એ-ગુલાબ (ગુલાબનો કાંટો) જેવાં જુદાં જુદાં નામે છાપ્યું. નરસિંહભાઇ ગાયકવાડી રાજમાં પહેલાં વડોદરામાં અને પછી મહેસાણામાં પણ રહ્યા હતા. પરંતુ અંગ્રેજ સરકારના દબાણથી ગાયકવાડી રાજે નરસિંહભાઇનું પુસ્તક જપ્ત કર્યું અને તેમને રાજમાંથી પાંચ વર્ષ માટે હદપાર કરવામાં આવ્યા. ઉપરાંત રૂ.૩૦૦નો દંડ થયો, જે ન ભરી શકાય તો હદપારીની મુદતમાં એક વર્ષનો વધારો.

‘વનસ્પતિની દવાઓ’થી નરસિંહભાઇના જીવનનો રઝળપાટ અને અથડામણનો તબક્કો શરૂ થયો, જે આફ્રિકા અને શાંતિનિકેતન થઇને પાછો આણંદમાં સમાપ્ત થવાનો હતો. એ ગાળા નરસિંહભાઇને અગણિત મુસીબતો પડવાની હતી, પણ નરસિંહભાઇ કોઇને, કશાને ગણકારે એવા ન હતા.
(ક્રમશઃ)

Saturday, August 14, 2010

ગાંધીનગરનું થીમસોંગઃ ‘બાબુ’, સમજો ઇશારે...

ભરચોમાસે ગાંધીનગરના વાતાવરણમાં ઉકળાટ, બફારો અને અકળામણ અનુભવાય છે. ‘ઓલ ધ પરફ્યુમ્સ ઓફ અરેબિયા’ની જેમ આખા ગુજરાતમાં થયેલો વરસાદ ગાંધીનગરમાંથી અકળામણ દૂર કરી શક્યો નથી અને ટાઢક ફેલાવી શક્યો નથી. સરકારી કર્મચારીઓ રોજ સાહેબોને છૂટતા પરસેવાની અને આવા બફારામાં ત્રણ માળ લિફ્ટ વિના ચડવાના થશે તો સાહેબની હાલત કેવી થશે, એની ચિંતામાં ગરકાવ છે. (ગાંધીનગરમાં સીબીઆઇની કચેરી ત્રીજા માળે આવેલી છે.)

સાહેબો સંકટ અને સરકારી કર્મચારીઓ ધર્મસંકટ અનુભવી રહ્યા છે. એક શાયરે કહ્યું હતું,‘જીસકી જીતની ચાકરી, ઉતને ઉસકે દામ’. અત્યારના ઉકળાટભર્યા માહોલમાં સાહેબોને ‘સરકાર’ સમજી બેઠેલા અફસરો માટે ‘જીસકી જીતની ચાકરી, ઉતને ઉસકે ડામ’ જેવો ઘાટ થયો છે. જ્યાં દરેક માણસ બીજાનો સાહેબ છે અથવા બીજો એનો સાહેબ છે, એવા ગાંધીનગરમાં સૌથી મોટી સમસ્યા છેઃ રોજેરોજ બનતી ઘટનાઓની ચર્ચા કેવી રીતે, કેવા શબ્દોમાં કરવી કે જેથી સાપ-મતલબ સાહેબ મરે નહીં અને ટીકાની લાઠી પણ ભાંગે નહીં. ગાંધીનગરમાં ચિંતા સમય બગડવાની નહીં, સીઆર(કોન્ફીડેન્શ્યલ રીપોર્ટ/સાહેબ દ્વારા લખાતી ખાનગી નોંધ) બગડવાની હોય છે.

હોદ્દાની રીતે નીચલી પાયરીના ગણાતા કર્મચારીઓને ઝાઝાં બંધનો નડતાં નથી. ખોવાયેલા દાગીના મળી ગયા હોય એવી રીતે એ હરખાતાં હરખાતાં ઓફિસમાં બધાની વચ્ચે કહી શકે છે,‘મળી ગ્યા હોં.’

‘શાની વાત કરો છો, શાહભઇ?’
‘અત્યારે બીજી શેની વાત હોય? રીમાન્ડ મળી ગ્યા.’

ભૂલેચૂકે આવી ‘ગુજરાતદ્રોહી’ વાતચીત ચાલતી હોય ને કોઇ સાહેબ હાજર હોય તો એ તરત કહેશે,‘પણ એમાં તમે ઘેર છોકરો જન્મ્યો હોય એમ રાજી શાના થાવ છો?’

કર્મચારી માથાભારે હોય તો એ સાહેબને વળતા જવાબમાં કહી શકે છે,‘કેમ સાહેબ! રીમાન્ડ નહોતા મળ્યા ત્યારે તમે પણ આટલા રાજી નહોતા થયા? એ વખતે મેં આવું પૂછ્યું’તું?..આ તો સમાચાર આપ્યા, સાહેબ.’

ગુજરાતના ઉચ્ચ અફસરો કેવાં જવાબદારીભર્યાં કામ કરે છે, એ હવે સૌ જાણે છે. એ કામ પ્રજાનાં નહીં ને એમનાં સાહેબોનાં હોય તો પણ શું થયું? જવાબદારી આખરે જવાબદારી છે. ખંડણી ઉઘરાવવી, ‘કસાબ કરતાં પણ વધારે ખતરનાક ત્રાસવાદી’ સાથે ભાગીદારીમાં ધંધો કરવો (જેથી એ ગુજરાતને કશું નુકસાન ન પહોંચાડે!), લારીઓમાં કે દુકાનોમાં ન મળે એવી ચોક્કસ પ્રકારની વિડીયો સીડી બનાવવી, માથે કફન બાંધીને...ફાર્મહાઉસોમાં જવું, કફનમાંથી જુદી જુદી સાઇઝના ઢાંકપિછોડા વેતરવા, ગુજરાતનું એટલે કે સરકારનું એટલે કે સાહેબનું ભલું થતું હોય તો (નિર્દોષોનું) ખૂન વહાવવા પણ તત્પર રહેવું...

ખરેખર, ટીકાકારો ગમે તે કહે, પણ કર્મયોગી શિબિરો પછી ગુજરાતની અફસરશાહીની કાર્યક્ષમતા કેટલી વધી ગઇ! અત્યારે જેલમાં રહેલા પોલીસ અફસરોને તો ગુજરાત સરકારે ખાસ સહિયારો ચંદ્રક આપીને સન્માનિત કરવા જોઇએ..રણજીતરામ ચંદ્રક જેવો સાહિત્યનો ચંદ્રક. કારણ કે તેમણે રચેલી એન્કાઉન્ટરની વાર્તાઓથી ફક્ત ગુજરાતનું સાહિત્ય જ નહીં, ગુજરાતનું રાજકારણ અને જાહેર જીવન પણ સમૃદ્ધ બન્યાં છે. જોકે, અફસરો સર્જકસહજ વિનમ્રતા દાખવીને ચંદ્રક લેવાનો ઇન્કાર કરી દે અને પોતાના પ્રેરણામૂર્તિઓ તરફ આંગળી ચીંધે તો ગુજરાતે એમને પણ ‘પોંખવા’ રહ્યા.

આવી મહત્ત્વની વાતો ચર્ચવાની હોય ત્યારે ગાંધીનગરની ઓફિસોમાં સાહેબો કેવી રીતે વાત કરતા હશે? સુવિધા ખાતર સાહેબોના બે પ્રકાર પાડી શકાય : સાહેબને વફાદાર સાહેબ અને કાયદાકાનૂનને વફાદાર સાહેબ. પહેલા પ્રકારના સાહેબોની બહુમતિ છે. તેમાંથી થોડા સાહેબો અને એકાદ બીજા પ્રકારનો સાહેબ ક્યાંક મળી ગયા હોય અને કામ પૂરૂં થઇ ગયા પછી તેમની વચ્ચે વાતો ચાલી રહી હોય તો..

***
સા.૧ : મારી કેરીયરમાં મેં આવો કેસ જોયો નથી.
સા.૨ : ધીમેથી...નહીંતર જોશો પણ નહીં. કેરીયર અકાળે પતી જશે.
સા.૩ : (સા.૧ને) આપણાથી આવું ના બોલાય સાહેબ. તમે તો ગૃહ ખાતામાં છો. તમારાથી તો ખાસ. સાહેબો ખંડણીના ને ખૂનના આરોપમાં ધંધે લાગ્યા હોય ત્યારે...
સા.૧ : પણ સાહેબ, હું ક્યાં કશું બોલ્યો જ છું? ખંડણી ને ખૂનની વાત તમે કાઢી.
સા.૪ : (સા.૩ તરફ જોઇને) જોયું સાહેબ? આને કહેવાય ગાંધીનગર-ગીરી.
સા.૧ : મેં તો સાહેબ એટલું જ કહ્યું કે મેં આવો કેસ જોયો નથી.
સા.૨ : જુઓ પણ કેવી રીતે સાહેબ? આ ગુજરાત છે ગુજરાત. એની પ્રશસ્તિ તમે વાંચી લાગતી નથી. વાંચી લેજો એક વાર એટલે ખબર પડશે કે જે અહીં છે તે ક્યાંય નથી.
સા.૧ : હું પણ ગુજરાતી જ છું સાહેબ. ગુજરાતને વખાણવા માટે એની ચાંપલી ભાટાઇઓ વાંચવાની મારે જરૂર નથી. તમે નહીં વાચ્યું હોય એટલું ગુજરાતી મેં વાંચ્યું છે, એટલી જગ્યાઓએ હું ફર્યો છું. પણ હું ગુજરાતની વાત નથી કરતો. હું તો સાહેબની વાત કરૂં છું.
સા.૪ : કેટલાં વર્ષ થયાં નોકરીમાં? હજુ તમને એ ખબર નથી પડી કે ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ના જમાના જતા રહ્યા. અત્યારનું સૂત્ર છેઃ સાહેબ ઇઝ ગુજરાત/ સાહેબ જ ગુજરાત છે!
સા.૧ : થોડો થોડો ખ્યાલ હતો, પણ તમે ચોખવટ કરી આપી તે સારૂં થયું. મરવા દો. મારે શું? મારે તો નોકરીથી મતલબ છે.
સા.૩ : પણ નોકરી કરશો કોની? સાહેબની જ ને?
સા.૧ : કેમ? સચિવાલય કોઇના પિતાશ્રીની પેઢી છે? હું પ્રધાનોની નહીં, પ્રજાની નોકરી કરવા જીપીએસસીમાં બેઠો હતો.
સા.૨ : અરે ભગવાન, આમને કંઇક થઇ ગયું લાગે છે. કોઇ ડોક્ટરને બોલાવો...આમને કોઇ સમજાવો...આ સાહેબનું શું થશે...એમનાં બાળબચ્ચાં રખડી પડશે...
સા.૩ : ધીમેથી...કેબિનનો દરવાજો ખોલીને બહાર જોઇ લેવા દો. કોઇ સાંભળતું તો નથી ને. (જાય છે)
સા.૫ : (સા.૩ તરફ જોઇને) જોયું? એમ કરીને પોતે કેવા છટકી ગયા! હવે આ જ જઇને સાહેબને કહેશે કે કોણ શું બોલ્યું. આપણે બધા મરવાના, લખી રાખો તમે.
સા.૨ : (સા.૧ને, સહેજ કડકાઇથી) તમારે આવું બઘું બોલવા જેવું નહોતું. હું ઉપદેશ નથી આપતો. નિયમ સમજાવું છું. આપણે સરકારી કર્મચારી કહેવાઇએ. આપણાથી સરકારની સામે ન બોલાય. રૂલબુકમાં લખેલું છે.
સા.૧ : મારૂં પણ એ જ કહેવું છે સાહેબ. આપણાથી સરકારની સામે ન બોલાય, તો સરકારના ખોળામાં બેસી જવાય? સાહેબોની આરતીઓ ઉતારાય? એમના ગોરખધંધામાં સામેલ થવાય? આ બઘું કઇ રૂલબુકમાં લખ્યું છે?
સા.૨ : તમે મને રૂલ શીખવાડો છો?
સા.૧ : ના સાહેબ. તમને શીખવનાર હું કોણ? હું નથી સીબીઆઇ કે નથી હાઇકોર્ટ અને તમને તો એ બેની જ ભાષા સમજાતી હશે ને!

(સીબીઆઇના ઉલ્લેખથી બન્ને અધિકારીઓ બથ્થમબથ્થી પર આવી જાય છે, કેબિનનો દરવાજો ખોલી નાખવામાં આવે છે, બધા કર્મચારીઓ આવીને તેમને માંડ છૂટા પાડે છે, પણ સાહેબ નં.૨ સૂટ ખંખેરતાં ખંખરેતાં વિદાય લેતાં કહેતા જાય છે,‘ઘ્યાન રાખજો. ક્યાંક એન્કાઉન્ટર ન થઇ જાય! સાહેબો કાયમ જેલમાં રહેવાના નથી!’)

Wednesday, August 11, 2010

શરમ કેવી? આબરૂનો સવાલ છે

એક મહિના પછી યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનાં કૌભાંડોનો કરંડિયો ખુલી ગયો છે. તેમાં થયેલા મનાતા ભ્રષ્ટાચારનું પ્રમાણ જોતાં, ‘કરંડિયો’ કરતાં ‘કન્ટેઇનર’ શબ્દ વધારે યોગ્ય ગણાશે. ટેક્સીઓ ભાડે રાખવાથી માંડીને અનેક બાબતોમાં અઢળક ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠી છે. આમ તો એ ફરિયાદ નવી નથી. સુરેશ કલમાડી સામે અગાઉ પણ આ મુદ્દે આંગળી ચીંધાઇ ચૂકી હતી. પણ રમતોની તારીખ નજીક આવે તેમ ગોટાળાની વઘુ ને વઘુ વિગતો પ્રકાશમાં આવી રહી છે.

ગમે તે થાય, કોમનવેલ્થ ગેમ્સના મુખ્ય વહીવટકર્તા સુરેશ કલમાડીની દાઢીનો વાળ પણ ફરકતો નથી. કમ સે કમ, એમનો પ્રયાસ તો એવું દેખાડવાનો જ છે. ‘હું બધી તપાસ કરાવવા તૈયાર છું.’ કે ‘હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું’ એવું કલમાડી જાણે ભારતવર્ષ પર મોટો ઉપકાર કરતા હોય એમ કહી રહ્યા છે. કોઇ પણ આરોપી ‘તપાસમાં સહકાર આપવા તૈયાર છું’ એવી ફિશીયારી મારે ત્યારે નાગરિક તરીકે તેમનો કાંઠલો પકડીને કહેવાનું મન થાય કે ‘સહકાર શાનો? સીધી રીતે કહી દો કે બધી બાજુ ફાંફાં મારી જોયાં, પણ એકેય બાજુથી છટકવાનો રસ્તો બચ્યો નથી. એટલે હવે, બીજી છટકબારી ન મળે ત્યાં સુધી, તમારી સામે ડાહ્યોડમરો થઇને ઉભો છું.’

ચોરની આબરૂ અંગે કોટવાળને ઠપકો?
પ્રસાર માઘ્યમોમાં બરાબર (કેટલાકના મતે વઘુ પડતા) ચગેલા આ પ્રકરણ વિશે સરકાર પક્ષે ઢાંકપિછોડો થઇ રહ્યો હોય, એવી સ્પષ્ટ છાપ ઉભી થાય છે. છતાં, કલમાડી એન્ડ કંપનીની નિગેહબાની તળે થયેલા બેફામ ભ્રષ્ટાચારને ગાલીચા તળે સંતાડવાનું સરકારી કારણ બહુ વિશિષ્ટ છે. એવું કહેવાય છે કે કોમનવેલ્થ ગેમ્સ નજીક આવી રહી છે ત્યારે આ બધી (કૌભાંડોની) ચર્ચા કરવાથી ‘ભારતની આબરૂ જશે’ અથવા ‘ભારતની પ્રતિષ્ઠાને બટ્ટો લાગશે’.

આ કારણ બેશરમીભર્યું ન હોત તો તેને હાસ્યાસ્પદ ગણવું પડત. કારણ કે ચોર કોટવાળને પ્રતિષ્ઠા અને આબરૂના મુદ્દે ઠપકો આપે એવી આ વાત થઇ. એ ખરૂં કે ‘કોમનવેલ્થ ગેમ્સ નિષ્ફળ જાય’ એવી મણિશંકર ઐયરની હાર્દિક ઇચ્છા નીચે આપણે સહી ન કરીએ. એ પણ ખરૂં કે રમતોત્સવની સફળતા ભગવાનભરોસે હોવાના ખેલ મંત્રી ગીલના નિવેદન સાથે સંમત થઇને એ વિના વિઘ્ને પાર પડી જાય એવો આશાવાદ સેવીએ. પરંતુ કોમનવેલ્થ ગેમ્સનાં કૌભાંડો ચર્ચતી વખતે દેશની આબરૂની આણ આપવામાં આવે ત્યારે રડવું કે હસવું એ સમજાતું નથી.

દેશની આબરૂ ઘૂળધાણી ક્યારે થાય? તેને બટ્ટો ક્યારે લાગે? દેશની પ્રતિષ્ઠાના સવાલ જેવી કોમનવેલ્થ ગેમ્સની તૈયારી નિમિત્તે વ્યાપક પ્રમાણમાં અને શરમજનક રીતે ભ્રષ્ટાચાર થાય તેનાથી? કે એ ભ્રષ્ટાચાર બહાર આવે, તેની ન્યાયી તપાસ થાય અને ગુનેગારોને સજા થાય તેનાથી?

ટીકામાં પ્રમાણભાન જળવાવું જોઇએ એ ખરૂં, પણ ભ્રષ્ટાચારીઓને ઠપકાર્યા વિના, ફક્ત ટીકા કરનારાને પ્રમાણભાનનો ઉપદેશ આપવો એ લુચ્ચાઇ છે. આવા મામલામાં ‘એક વાર પ્રસંગ રંગેચંગે પતી જવા દો. પછી આપણે ભ્રષ્ટાચારવાળા મામલાની તપાસ કરી લઇશું.’ એવું વલણ ‘વ્યવહારૂ’ હોઇ શકે, પણ નૈતિક કે ન્યાયી હરગીઝ નથી. તકલાદી યાદદાસ્ત ધરાવનાર લોકોના દેશમાં તો નહીં જ. આખા કૌભાંડના કેન્દ્રમાં રહેલા કલમાડી આ લખાય છે ત્યાં લગી મુછે લીંબુ લટકાવીને ફર્યા કરે અને ભ્રષ્ટાચારની ટીકા કરનારને ‘રાષ્ટ્રહિત’ના બોધપાઠ આપવામાં આવે, એટલી દેખીતી વક્રતા કેમ ચૂકાઇ જતી હશે?

ફરિયાદ કરતાં શરમ નથી આવતી?
ગુજરાતના એક ગામની વાત છે, પણ હકીકતે એ ગુજરાતના, બલ્કે ભારતના કોઇ પણ ગામની હોઇ શકે એવી છે. એટલે નામોલ્લેખ ઉપલબ્ધ હોવા છતાં એની જરૂર નથી.

એક દલિત મા-દીકરીની કેટલાક બિનદલિતોએ કોઇ નજીવા કારણસર મારઝૂડ કરી. મા-દીકરી જે ગામમાં રહેતાં હતાં, ત્યાં દલિતોનાં વીસ-પચીસ ઘર હતાં. પણ ભેદભાવ-અત્યાચાર સામે લડવાનો તો ઠીક, અવાજ ઉઠાવવાનો પણ ત્યાં રિવાજ નહીં. દલિત બહેનથી અન્યાય સહન ન થયો. એમણે ફરિયાદ નોંધાવવાની કોશિશ કરી, પણ ઘણા બધાને થાય છે એવો અનુભવ એમને થયોઃ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ નહીં. તેમણે સંસ્થાના કાર્યકરોની મદદ લીધી. કાનૂની પ્રક્રિયા જાણતા કાર્યકરોએ સ્થાનિક પોલીસ સ્ટેશનને બદલે ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલમાં ફરિયાદ નોંધાવી.

પરંતુ ખરી કથા ત્યાર પછી શરૂ થઇ. ફરિયાદ નોંધાવનાર બહેન પર દબાણ આવ્યું કે ‘તમે ફરિયાદ નોંધાવી તેના કારણે ગામની પ્રતિષ્ઠા જોખમાઇ છે. ગામમાં રહેવું ને ગામની આબરૂ પર કીચડ ઉછાળતાં તમને શરમ ન આવી? તમારે બીજા કોઇ કારણસર નહીં તો ગામની આબરૂ બચાવવા માટે પણ ફરિયાદ પાછી ખેંચી લેવી જોઇએ અને માફી માગવી જોઇએ.’

આવું કહેવામાં ફક્ત બિનદલિતો જ નહીં, ‘વ્યવહારૂ’ દલિતો પણ સામેલ હતા. લડવાની હિંમત બતાવનાર બહેનના પડખે ઉભા રહેવાને બદલે, આત્મસન્માન વગરનું અને આભાસી સલામતી ધરાવતું જીવન જીવવાનું તેમને વધારે અનુકૂળ લાગતું હતું. અત્યાચાર કરનારા લોકોના શરણે થઇ જવામાં, વખત આવ્યે ‘તમારે કારણે અમે સલામત છીએ’ એવું કહેવામાં પણ તેમને ખચકાટ ન હતો.

દલિતોને કદી ‘ગામ’નો હિસ્સો ન ગણતા લોકોને ‘ગામ’ની આબરૂનો ખ્યાલ ત્યારે જ આવ્યો, જ્યારે બહેને તેમની જ્ઞાતિવાદી જોહુકમી પડકારી. ત્યાર પછી પણ આ શરમજનક ઘટનાના આરોપીઓને ઠપકો આપવાનું કે તેમને ગામની આબરૂની દુહાઇ આપવાનું કોઇને ન સૂઝ્યું. ગામની પ્રતિષ્ઠા જાળવવાની સઘળી જવાબદારી આવી પડી ફરિયાદી બહેનના માથે.

અગાઉ કહ્યું તેમ, આ વલણ કોઇ એકલદોકલ ગામ પૂરતું નથી. જ્ઞાતિ આધારિત ભેદભાવના મુદ્દે આંતરરાષ્ટ્રિય મંચ પર ભારતની તમામ પક્ષોની સરકારનું વલણ આ જાતનું જ રહ્યું છે. ભારતમાં જ્ઞાતિપ્રથાની બોલબાલા કે ભેદભાવોની વિગત રજૂ કરવામાં આવે અને તેની સામે લડત માટે આંતરરાષ્ટ્રિય સહયોગની માગણી કરવામાં આવે, એટલે તરત ભારત સરકારના પ્રતિનિધિઓ કાગારોળ કરવા માંડે છે. તેમના કકળાટનો સૂર એક જ હોય છેઃ ‘તમે લોકો આંતરરાષ્ટ્રિય મંચ પર ભારતની જ્ઞાતિપ્રથાની વાતો કરીને ભારતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડો છો.’ કેમ જાણે, જ્ઞાતિઆધારિત અત્યાચારો અને ભેદભાવોના અવિરત બનાવોથી ભારતની પ્રતિષ્ઠામાં વધારો થતો હોય અને તેની સામે ફરિયાદ કરવાથી ભારતની આબરૂ ઘટી જવાની હોય.

હા, ભારતથી ઓસ્ટ્રેલિયામાં થતા રંગભેદી હુમલા વિશે બોલાય, દક્ષિણ આફ્રિકામાં કાળા-ગોરાના ભેદભાવ વિશે ગાંધીજીને યાદ કરીને સમાનતાના ઉપદેશ અપાય, પણ પોતાના દલિતોથી બહાર જઇને તેમની સાથે રખાતા ભેદભાવની વાત ન થાય. કારણ કે આપણા દેશની આબરૂનો સવાલ છે.

સડો કે સર્જરી?
ગયા અઠવાડિયે એક રાષ્ટ્રિય અખબારમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના ભૂતપૂર્વ ડાયરેક્ટરે ગુજરાતના વર્તમાન પ્રવાહો વિશે લખ્યું હતું. તેમનો દેખાવ તટસ્થતાપૂર્વક વિગતો રજૂ કરવાનો હોય એવું લાગ્યું. ે લેખની શરૂઆતમાં પાંચ-છ ફકરા ભરીને તેમણે સોહરાબુદ્દીન કેટલો ખતરનાક ગુંડો અને ત્રાસવાદી હતો એ સાબીત કર્યું. આઇ.બી.ના ભૂતપૂર્વ વડા પુરતા આધાર-પુરાવા સાથે વિગતો આપતા હોય, ત્યારે તેમની વિગતો માનવી જોઇએ. માની પણ લીધી.

પરંતુ પછી લેખકે પાટો બદલ્યો અને વિગતો પરથી વિચારધારા પર આવી ગયા હોય એવું લાગ્યું. કારણ? તેમણે લખ્યું કે ‘અત્યારે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે તે ખતરનાક છે. તેનાથી લાંબા ગાળે એવી છાપ ઉભી થશે કે બધાં એન્કાઉન્ટર ફેક હોય છે. એવું થાય તો સરકારની વિશ્વસનીયતા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા થશે.’ સોરાબુદ્દીન સાથે સરકારી તંત્રની સાંઠગાંઠ અને સરકારી તંત્ર દ્વારા થયેલા મનાતા સોરાબુદ્દીનના ઉપયોગના આરોપ વિશે તેમને કંઇ જ કહેવાનું ન હતું.

જોવા જેવી વાત એ છે કે આઇબીના ભૂતપૂર્વ ડાયરેક્ટરની અને તેમનાથી સામા છેડાનો અભિપ્રાય ધરાવનારની ચિંતા એક સરખી જ છે ઃ બન્ને પક્ષો સરકારની વિશ્વસનીયતા અંગે ચિંતિત છે. મોટો ફરક હોય તો એટલો કે નિવૃત્ત ડાયરેક્ટર માટે ‘સરકારી વિશ્વસનીયતામાં ગાબડું’ એ ભવિષ્યની શક્યતા છે, જ્યારે બીજા ઘણા લોકો માટે તે ભૂતકાળની ઘટના છે.

ખુદ આઇબી ડાયરેક્ટરે પાંચ-સાત ફકરા ભરીને જેનું ખતરનાકપણું સિદ્ધ કરી આપ્યું હોય, એવો માણસ ગુજરાતના પોલીસતંત્ર કે સરકારી તંત્રના ટોચનાં માથાં સાથે, એમના માટે કામ કરતો હોય, એ આરોપ જ સરકારની વિશ્વસનીયતા સામે મોટો પ્રશ્નાર્થ ઉભો નથી કરતો? એન્કાઉન્ટર કે ફેક એન્કાઉન્ટરનો મુદ્દો તો બહુ પછી આવે છે, પણ વર્દીધારીઓ અને ગુંડાઓ મળીને ખંડણી ઉઘરાવતા હોય, એવા આરોપમાંથી સાફ બહાર આવવું અથવા સડાનો સ્વીકાર કરીને સડેલો ભાગ દૂર કરવો, એ સરકારી વિશ્વસનીયતા માટે વધારે જરૂરી નથી? પરંતુ પક્ષીય વફાદારી કે વ્યક્તિગત ભક્તિભાવના ડાબલા ચડાવેલા હોય ત્યારે આવો દેખીતો પ્રશ્નાર્થ પણ ચૂકી જવાય છે અને તેને બદલે એવા સવાલો ઉદ્ભવે છે કે ‘અત્યારે જે કંઇ થઇ રહ્યું છે તેનાથી ગુજરાતની પ્રતિષ્ઠા જોખમાય છે અથવા આ તો ગુજરાતને બદનામ કરવાનું કાવતરૂં છે.’

ગુજરાતના નાગરિકોને એટલું જ વિચારવાનું છે કે ‘ગુજરાત’ એટલે શું? અને તેની પ્રતિષ્ઠા એટલે શું? ગુજરાત કોઇ વ્યક્તિનું નામ નથી. તેની પ્રતિષ્ઠા કોઇ રાજકીય પક્ષ સાથે સંકળાયેલી નથી કે રાજ્યાશ્રયની મોહતાજ પણ નથી. ગુજરાતની ભૂતકાલીન પ્રતિષ્ઠા તેની સંસ્કૃતિમાં છે, જેની પર કોઇ પક્ષ કે વિચારધારાનો ઇજારો નથી. એ ગુજરાતના તમામ નાગરિકોની સહિયારી માલિકીની છે. બાકી રહી વાત અત્યારની પ્રતિષ્ઠાની. તે શાસક પક્ષ કે વિરોધી પક્ષના નેતાઓના હાથમાં નહીં, ખુદ ગુજરાતના નાગરિકોના હાથમાં છે.

નક્કી નાગરિકોએ કરવાનું છે: સડાની તપાસ કરાવીને તેનું અસ્તિત્ત્વ સાબીત થાય તો સર્જરી થવા દેવી છે? કે આગળ ટાંકેલા બનાવોની જેમ, સડાને ‘આબરૂ’ ગણીને છાતીએ ચાંપેલો રાખવો છે?

Sunday, August 08, 2010

‘ચિત્રલેખા’ અને ચમત્કારિક બાયો ડિસ્ક : ગુમાવેલાં વિશ્વસનીયતા- પ્રતિષ્ઠા બાયો ડિસ્કથી પાછાં આવે ?


મોડી રાત્રે ટીવી પર આવતી ટેલીમાર્કેટિંગની જાહેરખબરોની એક ચોક્કસ સ્ટાઇલ હોય છે. જુદા જુદા માણસો આવીને કોઇ ભળતીસળતી પ્રોડક્ટ વિશે પોતાના અનુભવો જણાવે. સ્ટોરી બધાની જુદી જુદી હોય, બોલવાની સ્ટાઇલ અને ડબિંગ હાસ્યાસ્પદ હોય, છતાં તેનો સાર એકસરખો હોયઃ ‘અમને પહેલાં અમુક તકલીફ હતી. અમુક પ્રોડક્ટ વાપર્યા પછી એ તકલીફ દૂર થઇ ગઇ.’

મોડી રાત્રે આવતી એ જાહેરખબરોનો એક આશય ઉંઘરેટા કે ઉજાગરાગ્રસ્ત લોકોની ગાફેલ માનસિક અવસ્થાનો ફાયદો લેવાનો અને એ રીતે તેમના ભેજામાં કોઇ વાત રમતી મૂકી દેવાનો હોય છે. આઘાતની વાત એ છે કે ‘ચિત્રલેખા’એ ધોળા દિવસે ટેલીમાર્કેટિંગ જેટલી જ લાંબી અને ટેલીમાર્કેટિંગ જેવી જ હાસ્યાસ્પદ જાહેરખબર, એ જ શૈલીમાં વાચકોના માથે મારી છે.

બાયો ડિસ્ક નામની પ્રોડક્ટની વિગતો ‘ચિત્રલેખા’માં પેઇડ જાહેરખબર તરીકે છપાઇ હોત તો કંઇ કહેવાનું ન હતું. પણ ‘ચિત્રલેખા’એ 16 ઓગસ્ટ, 2010ના અંકમાં તેને કવરસ્ટોરી બનાવી છે- પૂરાં છ પાનાંની કવર સ્ટોરી. તેમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે આ ‘સ્પોટલાઇટ ફીચર’ અથવા ‘એડવર્ટોરિયલ’ છે. ઉલટું મોંમાથા વગરના પ્રચારસાહિત્યને વૈજ્ઞાનિક છણાવટ તરીકે ખપાવવાનો અક્ષમ્ય અને હાસ્યાસ્પદ પ્રયાસ કરવામાં આવ્યો છે.

કવર પરનું મથાળું છેઃ (શરીરની વ્યાધિઓને અંકુશમાં લેતી ને નવું જોમ ઉમેરતી) બાયો ડિસ્ક કેટલી તિલસ્મી? તેનાથી એવો દેખાવ ઉભો થાય, જાણે બાયો ડિસ્કના નામે ચાલતા આસમાની દાવાને ચિત્રલેખાએ ચકાસ્યા હશે. પરંતુ કવર સ્ટોરીનાં છ પાનાંમાં (પાંચ-સાત લીટીને બાદ કરતાં) નકરી દાવાબાજી, વિજ્ઞાનના ઓઠા હેઠળ લોકોને ગેરમાર્ગે દોરવાનો ધંધો અને બાયોડિસ્કની કિંમત સહિતની બાકાયદા જાહેરખબર જ છે.

સ્ટોરીમાં કરાયેલા દાવા પ્રમાણે, ‘બાયો ડિસ્ક પરથી તમે પાણી પસાર કરો એટલે ગમે તેવું મૃત જળ પણ જીવંત-ચેતનાયુક્ત બની જાય. એનું બંધારણ સુગઠિત થઇ જાય.’

‘મૃત જળ’ અને ‘જીવંત જળ’ વિશે સ્ટોરીમાં એવી ‘વૈજ્ઞાનિક’ સમજૂતીઓ આપવામાં આવી છે, જે વૈજ્ઞાનિક રીતે માન્ય નથી. ‘સ્ટ્રક્ચર્ડ વોટર’ તરીકે ઓળખાતા ‘ચમત્કારિક પાણી’ વિશે સ્ટોરીમાં કહેવાયું છે, ‘સ્ટ્રક્ચર્ડ વોટર એટલે એવું પાણી જેની પરમાણુ રચના મનોરમ્ય ભૌમિતિક આકૃતિ જેવી સુગઠિત હોય. આવા પાણીમાં માનવશરીરને અત્યાવશ્યક એવાં તમામ ખનિજ યોગ્ય માત્રામાં હોય છે. આવા જળમાં સામાન્ય કરતાં ત્રણ ગણો વધુ ઓક્સિજન હોય છે. આવું પાણી શરીરની કોષિકામાં સહેલાઇથી શોષાઇ જાય છે અને એનાં પોષક દ્રવ્યોનો સીધો ફાયદો વિવિધ અવયવોને મળે છે. સ્ટ્રક્ચર્ડ વોટર પીવાથી શરીરના કોષો એકમેકથી સહેજ છૂટા રહે છે એટલે વિષયુક્ત દ્રવ્યોના નિકાલ માટે રસ્તો સાફ થાય છે.’

સ્ટ્રક્ચર્ડ વોટરનો મહિમા ગાઇ લીધા પછી જણાવવામાં આવ્યું છે કે કુદરતમાં આવું પાણી દુનિયામાં 14 ઝરણાંમાં જ થાય છે. બાકીના પાણીને ‘સ્ટ્રક્ચર્ડ’ બનાવવા માટે બે વિકલ્પ છેઃ લાખો ડોલરના ખર્ચે બનતાં વિવિફાયર્સ મશીન અને આ મશીનની ‘સુધરેલી આવૃત્તિ’ એટલે ‘રકાબી જેવડી અનોખી બાયો ડિસ્ક. ‘આ બાયો ડિસ્ક પરથી તમે પાણી પસાર કરો એટલે ગમે તેવું મૃત જળ પણ જીવંત-ચેતનાયુક્ત બની જાય. એનું બંધારણ સુગઠિત થઇ જાય.’

પછી? બાયો ડિસ્ક પરથી પસાર કરેલા પાણીના પરચા અનંત છે, જે ‘ચિત્રલેખા’ની કવર સ્ટોરીમાં કોઇ પણ જાતની ઉલટતપાસ વિના યથાતથ ટાંકવામાં આવ્યા છે. આવા પાણીથી કોઇને ઘૂંટણનો દુખાવો તો કોઇને પીઠનું હર્પીસ મટી ગયાના દાખલા છે. કોઇની પથરી ઓગળી જાય છે તો કોઇના પરીક્ષામાં 85 ટકા આવી ગયા. કોઇનું ડીપ્રેશન ગયું, તો કોઇના ચશ્માના નંબર. સ્ત્રીઓને માસિક સંબંધી સમસ્યાથી છૂટકારો મળ્યો તો સ્પોન્ડિલાઇટીસ-આર્થરાઇટિસનાં દરદ પણ બાયો ડિસ્ક પરથી પસાર કરેલા પાણીએ મટાડ્યાં. બાયો ડિસ્ક વડે ચાર્જ કરેલા પાણીના ચાર ગ્લાસ પથારીની ચોતરફ રાખીને સૂઇ જવાથી લોકોને રાહત થઇ હોવાનું પણ જણાવાયું છે.

બાયો ડિસ્કના પાણીનો ‘ચમત્કાર’ ઓછો હોય તેમ ‘ચી પેન્ડન્ટ’ નાં ગુણગાન પણ આ સ્ટોરીમાં વર્ણવાયાં છે. ગળામાં ચી પેન્ડન્ટ ઝુલાવી રાખવાથી પણ એકાગ્રતા વધે છે, શક્તિનો સંચાર થાય છે ને દર્દોમાં રાહત થઇ જાય છે.

આવા હાસ્યાસ્પદ દાવા વિશે ‘હવે સિક્કાની બીજી બાજુ’ એમ કહીને છ પાનાંની કવર સ્ટોરીના અંતે જણાવાયું છે,’હકારાત્મક માનસ સાથે બાયો ડિસ્ક અપનાવનારાને જ એ વધુ ફાયદો આપે છે, શંકાશીલ લોકો માટે એ બહુ અસરકારક નથી.’ એટલું જ નહીં, બાયો ડિસ્ક કે બીજી પ્રોડક્ટ્સને કોઇ પણ સરકારી તબીબી સંસ્થા દ્વારા પ્રમાણભૂત કરવામાં આવી નથી.

બાયો ડિસ્કના પ્રચારક ડોક્ટરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ‘અમે કોઇ પણ સંજોગોમાં દરદીને એની તબીબી સારવાર બંધ કરીને બાયો ડિસ્કનો ઉપયોગ કરવાનું કહેતા નથી. બાયો ડિસ્ક એ વૈકલ્પિક સારવાર નથી, પણ વેલનેસ પ્રોડક્ટ છે.’ બીજા શબ્દોમાં કહીએ તો બાયો ડિસ્કનો ઉપયોગ કરવો- ન કરવો એનો નિર્ણય ખુદ દરદીએ જ કરવાનો રહે.

બરાબર છે. પણ આખી વાતમાં ‘ચિત્રલેખા’એ શું કહેવાનું છે?

‘છેલ્લે મુદ્દાની વાત’ એમ કહીને ‘એડિટોરિયલ જજમેન્ટ’ કે ‘એડિટોરિયલ કમેન્ટ’ને બદલે ‘ચિત્રલેખા’ લખે છે, ‘બાયો ડિસ્કની કિંમત 17,750 અને બે નંગના 31,400 રૂપિયા છે. પહેલી દૃષ્ટિએ આ કિંમત સહેજે મોંઘી લાગે, પરંતુ આરોગ્યની સરખામણીએ કશું મોંઘું ન ગણાય...બાયો ડિસ્ક ફક્ત (વેબસાઇટનું નામ) નામની વેબસાઇટ પરથી ક્યુનેટ સાથે સંકળાયેલા લોકો મારફતે જ ખરીદી શકાય છે. તેમ છતાં બાયો ડિસ્ક ખરીદવામાં અગવડ પડે તો સંપર્કઃ (ફોન નંબર)’

***

પોતાના વાચકોને આટલી હદે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવા પાછળ, આર્થિક સમાધાન કર્યા વિના પાળી શકાય એવા પત્રકારત્વના પ્રાથમિક નિયમોને નેવે મૂકવા પાછળ, ડાયમન્ડ જ્યુબિલી ઉજવણીના વર્ષમાં પોતાની કક્ષાનું અભૂતપૂર્વ તળીયું બતાવવા પાછળ, ‘ચિત્રલેખા’ માટે એવાં તો કયાં પરિબળો કામ કરતાં હશે? એવા અનેક સવાલ સખેદ થાય છે.

‘સાઠે બુદ્ધિ....’ સિવાયની કોઇ અટકળ? અંદાજ? અનુમાન? માહિતી?

***

નોંધ 1

જે સામયિક વાંચીને મોટા થયા હોઇએ, કિશોરાવસ્થામાં જેની ધારાવાહિક નવલકથાઓની રાહ જોઇ હોય, મર્યાદિત વાચનને કારણે, જે સામયિક વાંચીને મેગેઝિન જર્નાલિઝમની પ્રાથમિક સમજ મેળવી હોય, જેના ‘ઉંધા ચશ્મા’ થી દુનિયા જોવાની શરૂઆત કરી હોય, જેની સાથે ભૂતકાળમાં અને અત્યારે પણ અનેક મિત્રો સંકળાયેલા હોય, તેના વિશે આ પ્રકારનું લખતાં પહેલાં સામાન્ય સંજોગોમાં મન ઘણું કાઠું કરવું પડ્યું હોત. જય હો બાયો ડિસ્ક અને તેના ચમત્કારિક પાણીનો કે ફક્ત તેના વિશે વાંચવાથી ‘ચિત્રલેખા’ વિશે લખવા અંગેનો મારો ક્ષોભસંકોચ દૂર થયો.

નોંધ 2

પાણીની ‘ચમત્કારિક’ અસરો અને તેના વિશેનાં જૂઠાણાં અંગે કંપનીઓનો પ્રચાર નહીં, પણ કેટલાંક વૈજ્ઞાનિક તથ્યો જાણવાં હોય તો વિજ્ઞાન-ટેકનોલોજીની પ્રતિષ્ઠિત વેબસાઇટ ‘વાયર્ડ’ની આ લિન્ક જુઓ

http://www.wired.com/wiredscience/2008/03/chem-lab-hexago/

થોડી વધુ વિગતો માટેઃ http://www.chem1.com/CQ/gallery.html

Wednesday, August 04, 2010

જૂના શબ્દો, નવા અર્થ : શેતાની શબ્દકોશ

અંગ્રેજીમાં ડેવિલ્સ ડિક્શનેરીતરીકે ઓળખાતા એક પ્રકારમાં શબ્દોના કેવળ પુસ્તકીયા કે ઐતિહાસિક જ નહીં, વાસ્તવિક-વર્તમાન અર્થ પણ આપવામાં આવે છે. ગુજરાતમાં ગાંધીજીએ માથે રહીને સાર્થ જોડણીકોશતૈયાર કરાવ્યો હતો. ગુજરાત સરકારે ગાંધીજીની ઉજ્જવળ પરંપરા આગળ ધપાવી છે. ભાષાપ્રેમીઓ ધારે તો વર્તમાન સરકાર સાથે મળીને નવા અર્થો ધરાવતો નવો શબ્દકોશ તૈયાર કરી શકે છે. વિરોધી તત્ત્વો-કોંગ્રેસીઓ-ડાબેરીઓ-સ્યુડોસેક્યુલારિસ્ટો-દેશદ્રોહીઓ વગેરેનું મોઢું પહેલેથી જ તોડી લેવા માટે, નવા શબ્દકોશનું નામ શેતાની શબ્દકોશરાખવું જોઇએ. તેમાં શબ્દોના નવા બદલાયેલા અર્થ આપી શકાય. (જેમ કે શેતાનીએટલે જીનીયસ, બુદ્ધિશાળી, ચતુર, આવડત ધરાવતું...)

ગુજરાતનાં પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે સાબરમતી જેલમાં એક કાર્યક્રમ યોજીને શેતાની શબ્દકોશનું લોકાર્પણ થઇ શકે. સાબરમતી જેલમાં કાર્યક્રમ યોજવાનું એક કારણ એ પણ ખરૂં કે સર્જક સાથે સાંજપ્રકારનો કાર્યક્રમ અલગથી ગોઠવવો ન પડે. શેતાની શબ્દકોશતૈયાર થઇ જાય અને વાંચે ગુજરાતઅંતર્ગત તેને તરતો મૂકવામાં આવે ત્યારે ખરો, પણ તેમાં સ્થાન પામે એવા ઘણા શબ્દો અને તેના અર્થ અત્યારથી તરતા થઇ ગયા છે. કારણ? (વાંચતાં પહેલાં) સાંભળે છે ગુજરાત અને જુએ છે ગુજરાત.સાર્થ જોડણીકોશ માટેનો જશ જેમ મહાત્મા ગાંધીને આપવામાં આવે છે, એવું શેતાની શબ્દકોશના કિસ્સામાં થઇ શકે? ગુજરાતમાં જે કંઇ બને છે- ખાસ કરીને સારૂં બને છે- તેના ડીફોલ્ટ પ્રેરકપુરૂષને આ કાર્યનો યશ આપવામાં કોઇ હરકત નથી.

ગુજરાતી ભાષાની આવતી કાલની ચિંતા આજે કરનારા અને આજની ચિંતા ગઇ કાલે છોડી ચૂકેલા સૌને માટે આ રહ્યા કેટલાક કાચીંડાછાપ શબ્દો, જે વાતાવરણ જોઇને રંગ બદલે છે અને શેતાની શબ્દકોશને સમૃદ્ધ કરે છે. અસહકારઃ આઝાદી પહેલાં અસહકારનું આંદોલન કરનારને જેલ થતી હતી અને તે મોટા માણસ ગણાતા હતા. હવે આખો ક્રમ ઉલટાઇ ગયો છે. મોટા માણસ જેલમાં જાય છે અને જેલમાં જઇને અસહકારનું આંદોલન કરે છે. ભક્તહૃદયી લોકો તેમની સરખામણી આઝાદી પહેલાંની જેલોમાં ભૂખહડતાળો કરનારા ક્રાંતિકારીઓ સાથે તેમની સરખામણી કરી શકે. જોકે, ‘ખાવાનીબાબતમાં અત્યારના મોટા માણસો અસહકાર કરે એવા નથી. કારણ કે આખી મોંકાણ જ ખાવામાંથી ઉભી થયેલી હોય છે.

ખાવું: અસલના જમાનામાં ખાય અને ખાવા દે એવા માણસો મહાન ગણાતા હતા. સમૃદ્ધ માણસો માટે ખાધેપીધે સુખીએવો શબ્દપ્રયોગ થતો હતો. પરંતુ કળીયુગમાં માણસનો ખોરાક ઘટ્યો ને ભૂખ વધી. પરિણામે ન ખાય, ન ખાવા દે એવા માણસો સારા ગણાવા લાગ્યા. કેટલાકને લાગ્યું કે આ તો ગાંધીજી કરતાં પણ ચડિયાતા કહેવાય. કારણ કે ગાંધીજી તો ફક્ત ન ખાવાના-ઉપવાસના સ્પેશ્યાલિસ્ટ હતા. સામેવાળાને ન ખાવા દેવા અંગે તેમનો કોઇ દાવો ન હતો.

ભૂખ પહેલાં વધી ને પછી વકરી. કોઇને ઉધઇની જેમ (રિઝર્વ બેન્કે છાપેલાં) કાગળીયાંની ભૂખ ઉપડી, તો કોઇને કીડામંકોડાની જેમ જમીનની ભૂખ ઉઘડી. કોઇ મધમાખીની જેમ મધની આસપાસ ગણગણવા વાગ્યા તો કોઇ માખીની જેમ ગંદકીની આજુબાજુ બણબણવા લાગ્યા. ખાવાનું જાણે ખાવાનું મટી ગયું અને એક ફુલટાઇમ ૨૪ કલાક-૩૬૫ દિવસની પ્રવૃત્તિ બની ગયું.

વીફોર વિક્ટરીઃ ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારો બે આંગળી વડેવીફોર વિક્ટરી (વિજય)ની સંજ્ઞા બતાવે એ વાત કૌરવો-પાંડવોના જમાનાની હોય એવી લાગે છે. ટ્વીટર-ફેસબુક યુગમાં જેલમાં જતા મહાનુભાવો પોતાના ચાહક સમુદાય સમક્ષ વીની નિશાની બતાવે છે અને વીફોર વિક્ટિમ’ (શિકાર) તરીકે સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરે છે.

કાયદો અને વ્યવસ્થાઃ બ્રિટિશરાજના ઘણાબધા કાયદા જ નહીં, કેટલાક શબ્દો પણ હજુ આપણો પીછો છોડતા નથી. ગુલામીકાળનું માનસ ધરાવતા લોકો માને છે કે કાયદો અને વ્યવસ્થા એટલે સરકારી તંત્ર અને તેની દેખરેખ નીચે બાકીનાં તંત્રો તથા પ્રજાજીવન સુખરૂપ ચાલવાં જોઇએ. કાયદો-વ્યવસ્થાની નવી વ્યાખ્યા પ્રમાણે મોટાં રમખાણો, પોલીસ અધિકારીઓ દ્વારા ઉઘરાવાતી ખંડણી, તેમના દ્વારા લેવાતી સોપારી, તેમની પર થતા બળાત્કારના આરોપ...આ બઘું કાયદો-વ્યવસ્થાનો નહીં, પણ સરકારનો આંતરિક મામલો છે. તેની સાથે આમજનતાને કશી લેવાદેવા ન હોવી જોઇએ. પ્રજા સરકારની નહીં, પણ સરકાર પ્રજાની ચિંતા કરવા માટે છે. એટલે પ્રજાએ ફક્ત એટલું જ જોવાનું કે બધા તહેવારો બરાબર ઉજવાયા? એકેય વાર કરફ્યુ નંખાયો? પોલીસં હજુ સુધી તમારી પાસે ખંડણી માગી? તમારી સોપારી લીધી? ના? તો પછી કાયદો-વ્યવસ્થાની બૂમો પાડવાની ક્યાં જરૂર છે? કાયદો-વ્યવસ્થાની અભૂતપૂર્વ સ્થિતિ ધરાવતા ગુજરાતમાં આપનું સ્વાગત છે.

ટોર્ચરઃ અત્યાર સુધી આરોપી પાસેથી માહિતી કઢાવવા માટે તેને ઇલેક્ટ્રિક કરન્ટ આપવાની, ઊંધા લટકાવવાની કે ઊંઘવા ન દેવાની પદ્ધતિઓ ટોર્ચરમાં સ્થાન પામતી હતી. પરંતુ ભૂલકણા આરોપીઓ સાથે પનારો પડ્યા પછી ટોર્ચરની વ્યાખ્યા બદલાઇ શકે છે. જેટલી વાર આરોપી મને યાદ નથીએવો જવાબ આપે એટલી વાર તેને શંખપુષ્પી જેવાં ઔષધ કે અખરોટ-બદામ જેવાં યાદશક્તિવર્ધક મનાતા સૂકા મેવા પરાણે ખવડાવવામાં આવે તો અખરોટ-બદામ ને શંખપુષ્પીની શીશી પણ ટોર્ચરનાં સાધન ગણાય.

વિડીયો રેકોર્ડિંગ: વીસમી સદીમાં વિડીયો શૂટિંગ એટલે લગ્ન તેમ જ શુભ પ્રસંગો માટેવિડીયો શૂટિંગ કરનારા યાદ આવતા હતા, પણ નવા યુગમાં વિડીયો રેકોર્ડિંગની વાત થાય એટલે હાઇ પ્રોફાઇલ આરોપી સામે ચાર-છ તપાસ અધિકારીઓ જુદી જુદી મુદ્રામાં બેઠા હોય અને બે બાજુથી વિડીયો કેમેરા દ્વારા રેકોર્ડિંગ ચાલતું હોય એવાં દૃશ્ય મનમાં સર્જાય છે. આ વિડીયો રેકોર્ડિંગમાં અશુભ પ્રસંગના ઓર્ડર પર પૂરતું ઘ્યાન આપવામાં આવે છે અને સ્પેશ્યલ ઇફેક્ટ્સની જરૂર રહેતી નથી.

ખંડણી: ગુંડાઓ વેપારીઓ પાસેથી કે બીજા લોકો પાસેથી ધાકધમકીથી જે નાણાં ઉઘરાવે એ તો લૂંટ કહેવાય. ખંડણી સાથે જવાબદારીનું તત્ત્વ ભળેલું છે. ખંડણી ઉઘરાવનાર સામા પક્ષને એવી નૈતિક બાંહેધરી આપે છે કે જ્યાં લગી મને ફરી ખંડણી લેવાનું મન નહીં થાય, ત્યાં લગી હું તમને ખાલીપીલી હાથ નહીં અડાડું. પ્રોમિસ.પરંતુ આ જ કામ પોલીસ કરે ત્યારે સોનામાં સુગંધ ભળવી જોઇએ. કારણ કે આમ કરીને પોલીસ પોતે પોતાના સંયમિત વર્તનની ખાતરી આપે છે.

ખરેખર તો પોલીસ દ્વારા ઉઘરાવાતી ખંડણી માટે સંયમ-કરકે અહિંસાવેરોજેવો કોઇ શબ્દ પ્રયોજાવો જોઇએ. અકારણ હિંસા ન કરવાના બદલામાં પોલીસ વેરો વસૂલે તો કલ્યાણરાજ્ય અને રામરાજ્યની સ્થાપના માટે નાગરિકો આટલું બલિદાન આપી ન શકે? લાખો કરોડોનાં રોકાણ ધરાવતા ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યના નાગરિકો જરાઅમથી રકમો માટે કેસો કરે ને બધાને પકડાવે એ ગુજરાતને શોભે છે? શું આપણે ગાંધીજીને આટલી હદે ભૂલી ગયા કે અહિંસાતો ઠીક, ‘અહિંસાવેરોપણ આપણને અકારો લાગે?

મોરલ: અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશોમાં આ અંગ્રેજી શબ્દના પર્યાય તરીકે નીતિમત્તા કે નૈતિકતા જેવા શબ્દો વાંચવા મળશે. પણ નવા પ્રસ્તાવિત શબ્દકોશમાં એ શબ્દોનો સ્વતંત્ર ગુજરાતી શબ્દો તરીકે સમાવેશ કરવાનું ગુજરાતના હિતમાં નથી. તેમને શબ્દકોશમાં સામેલ કરવાનું કહેનારા ગુજરાતના હિતશત્રુઓ અને ગુજરાતના વિરોધીઓ છે, જે દુનિયા સમક્ષ ગુજરાતને બદનામ કરવા અને તેને નીચું દેખાડવા ઇચ્છે છે