Wednesday, December 06, 2017

સામાજીક એકતાનું ગુજરાત મોડેલ

સામાજિક એકતાનું કામ બહુ મહત્ત્વનું હોય છે. તે સ્વાર્થી, મતલબી, પોતાના સ્વાર્થ ખાતર સમાજનું અહિત કરતાં ન ખચકાય એવા રાજકારણીઓ પર છોડવા જેવું નથી હોતું. પરંતુ થાય છે એવું કે સમાજના આગેવાનો લોભમાં કે શેહમાં આવીને રાજકીય પક્ષોના હાથા બની જાય છે. એટલે સામાજિક એકતાની દિશામાં આગેકૂચને બદલે પીછેહઠ થતી હોય એવું આઝાદીનાં આટલાં વર્ષ પછી લાગે છે.

સામાજિક ભેદભાવ કે સામાજિક વિષમતાનો મામલો રાજનેતાઓના હાથમાં આવે એટલે તે ધ્યાન રાખે છે કે ભેદભાવ દૂર ન થઈ જાય. નહીંતર, તેમની દુકાનો શી રીતે ચાલતી રહે? અને પોતાની સત્તા સામે જરાસરખી અસલામતી લાગે કે તરત નેતાઓ સમાજની ફોલ્ટલાઇન્સ (ફાટફૂટો)ને વકરાવવાના કે રુઝાઈ ગયેલા ઘાને ફરી ખોલવાના કારસા શરૂ કરી દે છે.  વિચિત્રતા એ છે કે આ બધું તે સમાજનું હિત કરવાના દાવા-દેખાડા સાથે કરે છે. ગુજરાતના ચૂંટણીપ્રચાર દરમિયાન બીજી આરોપબાજીના ઘોંઘાટ વચ્ચે એક નાનકડા સમાચાર આવ્યાઃ વડાપ્રધાને પાલીતાણામાં તેમના ભાષણમાં પટેલો અને ક્ષત્રિયો વચ્ચેની ત્રણ દાયકા પહેલાંની દુશ્મનાવટની યાદ અપાવી અને સભામાં હાજર રહેલા પાટીદારોને પૂછ્યું કે આપણે માનગઢ હત્યાકાંડના લોકોને આશીર્વાદ આપવા છે?

વડાપ્રધાને જેનો ઉલ્લેખ કર્યો તે 1984નો માનગઢ હત્યાકાંડ પટેલો અને દરબારો વચ્ચેની ચાર વર્ષ જૂની શત્રુવટનું પરિણામ હતો. પરંતુ સમય જતાં બંને સમાજ લોહીયાળ દુશ્મનીનો રસ્તો છોડીને એકબીજા સાથે સંપથી રહેતા થયા. માનગઢ હત્યાકાંડના ઘા સંપૂર્ણપણે રુઝાઈ ગયા અને તેની કડવાશ પણ સાવ મટી ગઈ.

આ થઈ સાચી સામાજિક સમરસતા. પરંતુ ‘વિકાસવાદ’ની વાતો કરતા વડાપ્રધાને આવીને ફરી રૂઝાઈ ગયેલી જગ્યાએ ટપલી મારી જોઈ. મુખ્ય મંત્રી તરીકે ગુજરાતમાં રાજકીય ‘સમરસતા’ને ચલણી બનાવનારે પટેલો-દરબારો વચ્ચેના નમૂનેદાર સંપને બિરદાવીને, દેશના લોકોને આ ‘ગુજરાત મોડેલ’ બતાવવાનું હોય કે તેમાં ભંગ પાડવાની કોશિશ કરવાની હોય?

બંને સમાજની સમજણ પાકી અને તેમની વચ્ચેની એકતા સાચી હતી. એટલે તેમણે આ ચેષ્ટા સામે ઉગ્ર પ્રતિક્રિયા આપી. ‘દિવ્ય ભાસ્કર’ની વેબસાઇટ પર પ્રગટ થયેલા સમાચાર પ્રમાણે, ભાવનગર પાટીદાર સમાજના અને ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપરાંત જિલ્લા ખેડુત સમાજના પ્રમુખે પણ આ પગલાની આકરી ટીકા કરી અને વડાપ્રધાન પર ધાર્મિક-સામાજિક લાગણી દુભાય તેવું ભાષણ કરવાનો આરોપ મૂકીને, કાયદેસર કાર્યવાહીની માગણી કરી. (2-12-2017)

આ બનાવને ચૂંટણીલક્ષી છમકલું ગણીને ભૂલી જવા જેવો નથી. વડાપ્રધાનના આશય કરતાં વધારે અગત્યનો મુદ્દો બે સમાજ વચ્ચેની એકતાનો છે. સમાજના ખટરાગ ધરાવતા સમુદાયો વચ્ચે પરસ્પર અવિશ્વાસ દૂર થાય તો જ સમજપૂર્વકની એકતા થાય. આવી એકતામાં કોઈએ એકબીજામાં ઓગળી જવાપણું ન હોય, પણ રોજબરોજના જીવને-સહઅસ્તિત્વને ઘર્ષણમુક્ત અને તનાવમુક્ત બનાવવાનું હોય. હિંદુ-મુસ્લિમો વચ્ચે, ક્ષત્રિયો-પાટીદારો વચ્ચે કે એવા બીજા કોઈ પણ સમુદાયો વચ્ચે કાયમી તનાવ રહે તો તેમાં સૌથી વધુ ફાયદો રાજનેતાઓને અને ધર્મનેતાઓને થઈ શકે. ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટે જે કંઇ પ્રયાસ કર્યા, તેે બંનેમાંથી એકેય પક્ષના કોઈ પણ ધર્મનેતા કરી શક્યા હોત? (કરવા ધાર્યું હોત કે નહીં એ વળી બીજો મુદ્દો છે)

માનવ ઇતિહાસની ભયંકર ઘટનાઓમાં સ્થાન પામે એવા ભાગલાનાં હુલ્લડો વખતે અવિશ્વાસનો દાવાનળ ભભૂકતો હતો. ગાંધીજી પોતાના વ્યક્તિગત નૈતિક પ્રભાવના અમૃતજળની કૂપી લઈને તેને ઠારવા મથતા હતા અને કમાલની વાત એ છે કે ઘણાં ઠેકાણે તે સફળ પણ થયા. તેમનું મુખ્ય કામ અવિશ્વાસ દૂર કરવાનું હતું. કારણ કે અસલામતીના રાજકારણનો પાયો અવિશ્વાસ છે. ગાંધીજીની જન્મશતાબ્દિના વર્ષે ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોથી શરૂ કરીને છેક 2002 સુધી હિંદુ-મુસ્લિમો વચ્ચેનો આવો અવિશ્વાસ અમુક શહેરોના અમુક વિસ્તાર પૂરતો સીમીત રહ્યો. બાકીના મોટા ભાગના ભારતમાં હિંદુ-મુસ્લિમોનું સહઅસ્તિત્ત્વ સહજતાથી ચાલુ રહ્યું. તેમની વચ્ચે ઝઘડા તો થાય, પણ તે ‘કોમી’ ન હોય. એકબીજા સાથે સુમેળથી રહેવાને ‘સેક્યુલરિઝમ’ કહેવાય એવી પણ તેમને ખબર ન હોય. સામે પક્ષે હિંદુહિતના નામે મુસ્લિમવિરોધી પ્રચારમારો, અવિશ્વાસ વધારવાની કોશિશો ધીમી ધારે સતત ચાલુ રહ્યાં હતાં. તેના લીધે ગાંધીહત્યા પછી આવી રહેલી રુઝનો પોપડો બાઝ્યો- ન બાઝ્યો ને તૂટી ગયો.

એ વખતે કોંગ્રેસે મુસ્લિમોનું ખરેખરું હિત ઇચ્છ્યું હોત તો મુસ્લિમ સમાજમાં રહેલા ભણેલાગણેલા, પ્રગતિશીલ, સમજુ લોકોને સમાજના નેતા તરીકે આગળ કર્યા હોત, પાકિસ્તાન જવાનો વિકલ્પ હોવા છતાં ભારતને પોતાનો દેશ ગણીને અહીં રહી ગયેલા મુસ્લિમોનો બાકીના સમુદાયો સાથે સંવાદ-સુમેળ વધે અને અવિશ્વાસની ખાઈ ધીમે ધીમે પુરાય એવા પ્રયાસ કર્યા હોત, મુસ્લિમોમાં રહેલા ગુનેગારોને ‘મુસ્લિમ’ ગણીને વોટબેન્કના રાજકારણમાં તેમનો ઉપયોગ કરવાની લાલચ છોડીને, ફક્ત ‘ગુનેગાર’ તરીકે તેમની સાથે કામ લીધું હોત... તો તેનાથી બે ફાયદા થયા હોતઃ મુસ્લિમ સમાજમાં રૂઢિચુસ્તોનું વજન ઘટ્યું હોત, ધાર્મિક સિવાયના ભણતરનું પ્રમાણ પણ વધ્યું હોત અને હિંદુ-મુસ્લિમો વચ્ચેનું અતર સતત સંવાદના અભાવે ઘટ્યું હોત. આવું થયું હોત તો હિંદુ-મુસ્લિમોના હિતના નામે તેમની વચ્ચે સતત અવિશ્વાસનું રાજકારણ ખેલનારા બંને પક્ષના અંતિમવાદીઓના હાથ હેઠા પડ્યા હોત.

જે વેરઝેરનું સામાજિક મૂલ્ય નથી રહેતું કે તેનો સામાજિક-વૈચારિક મહિમા નથી થતો, એ સમાજમાં ટકી શકતું નથી. એવા વેરઝેરનું વિષ ચલણમાંથી કાઢી નાખવાનું કામ રાજનેતાઓ કરવા ઇચ્છતા નથી અને કરી શકતા પણ નથી. હા, રાજનેતાઓ તેને વકરાવી શકે છે અને એ ખૂણેખાંચરે પડ્યું હોય તો તેને મુખ્ય મંચ પર લાવી શકે ખરા. લોકો પોતાને ઉદ્ધારક કે સંરક્ષક ગણે તે માટે પણ લોકોના મનમાં અસલામતી અને દહેશત ઉભી કરવી જરૂરી છે. બીક હોય તો જ ઉદ્ધારકની ગરજ પડે. આ સત્ય નાગરિકો સમજતા નથી અને નેતાઓ બરાબર સમજે છે. એટલે નાગરિકોના મનમાં રહેલા અવિશ્વાસ-આશંકા-પૂર્વગ્રહોને સતત મોટા કરવામાં આવે છે અને દાવો એવો કરવામાં આવે છે કે આ બધું તેમના લાભાર્થે થઈ રહ્યું છે.

નેતાઓ આપણા રોજિંદા-કાયમી સંબંધોને અભડાવી ન જાય, એ સામાજિક તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે અને તે આપણા હાથમાં હોય છે. ‘ભાવનગર મોડેલ’ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

Saturday, December 02, 2017

તટસ્થતા એટલે...

'તમે તટસ્થ નથી.'
'હા, નથી જ. મને રાષ્ટ્રવાદના નામે ગુંડાગીરી અને કોમવાદ, હિંદુ ધર્મના નામે રાજકીય હિંદુત્વ, નરેન્દ્ર મોદીની-અમિત શાહની આપખુદશાહી અને અદાલતમાં એક યા બીજા કારણસર સાબીત ન થઈ શકેલાં અનેક કારનામાં, ગુજરાતના મામલે ‘બધું મેં જ કર્યું’ એવી ફાંકાફોજદારી સખત નાપસંદ છે. એની ટીકા તો કદી બંધ નહીં થાય.'

'જોયું? અમે નહોતા કહેતા? અમને તો પહેલેથી જ ખબર છે. તમે કોંગ્રેસી કે ‘આપ’વાળા જ છો. એ લોકોની તમે કદી ટીકા જ કરતા નથી.'
‘અચ્છા? મેં લખેલું બધું તમે વાંચ્યું છે? જો એવું હોત તો કોંગ્રેસ અને ‘આપ’ની ટીકા કરવાના અનેક પ્રસંગ આવ્યા છે અને કોંગ્રેસ વિશે સારું બોલવાનો કે તેની પ્રશંસા કરવાનો એકેય પ્રસંગ હજુ સુધી આવ્યો હોય એવું યાદ નથી. એને શું કહેશો?’

‘હશે. તમે કોંગ્રેસની પ્રશંસા નહીં કરી હોય, પણ જોઈએ તેટલી ટીકા પણ નથી કરી. એટલે તમે તટસ્થ તો નથી જ.’
‘મારે ૨૦૦૨થી ન છૂટકે રાજકારણ વિશે લખવાનું થયું. કારણ કે તે સામાજિક ધીક્કાર મુખ્ય રાજકીય એજન્ડા બન્યો. ત્યારથી ગુજરાતમાં મોદીયુગ શરૂ થયો અને કેન્દ્રમાં યુપીએની સરકાર હતી. એ વખતે ગુજરાતમાં મોદીયુગનું વાતાવરણ એટલું ધીક્કારયુક્ત હતું અને તેને એવું લોકસમર્થન હતું કે તેની વિરુદ્ધમાં લખવું મને ધર્મરૂપ લાગ્યું—અને એ લખી શક્યો એનો મને બહુ જ આનંદ છે. ત્યાર પછી યુપીએનાં કૌભાંડો બહાર આવ્યાં ત્યારે તેના વિશે ટીકાઓ કરી જ છે. એ સિવાય ભૂતકાળ વિશે લખવાનું થયું ત્યારે ઇંદિરા ગાંધીના બેહિસાબ ભ્રષ્ટાચાર, નકલી સમાજવાદ, ભીંદરાનવાલે જેવા નેતાઓના સર્જનમાં તેમની ભૂમિકા, કટોકટીના અત્યાચાર, સોનિયા ગાંધીનો કથિત ત્યાગ, હમણાં સુધી રાહુલ ગાંધીની જવાબદારી નહીં લેવાની અને દૂધપાક ખેલાડી તરીકે રહેવાની મનોવૃત્તિ જેવા ઘણા મુદ્દે કોંગ્રેસ વિશે ટીકા કરતાં કદી ખચકાટ થતો જ નથી.’

‘પણ અમે તો કેટલાં વર્ષથી જોઈએ છીએ. તમે ફક્ત મોદીની જ ટીકા કરો છો.’
‘આગળ કહી ગયો. છતાં ફરીથીઃ મેં ફક્ત મોદીની ટીકા નથી કરી. એ સિવાય ઘણું કર્યું છે. (ખાતરી ન થતી હોય તો બ્લોગ કે ફેસબુકનાં સ્ટેટસ જોઈ લેવાં.) પણ તમને ફક્ત મોદીની ટીકા જ યાદ રહી છે. એ મારો પ્રોબ્લેમ નથી.’

'પણ મોદીએ કશું સારું કર્યું જ નથી? તમને કદી એમનાં વખાણ કરવા જેવું કશું લાગ્યું જ નથી?'
'પહેલા સવાલનો જવાબ છેઃ મોદીએ સારાં કામ કર્યા જ હશે--અને એવાં સારાં કામ અાગળની સરકારોમાં પણ થયાં જ છે. પરંતુ મોદીએ જે રીતે દરેક સરકારી કામો પર પોતાનો વ્યક્તિગત સિક્કો મારવાનું ચાલુ કર્યું, તેવું બીજા લોકોએ પહેલાં કર્યું ન હતું. (અમુક અંશે ચીમનભાઈ પટેલને બાદ કરતાં). એટલે તેમણે જે સારું કર્યું, તેમાં કશી ધાડ નથી મારી. એ તેમનું કામ છે. અને તેનો એમણે અપ્રમાણસરનો વધારે જશ લઈ જ લીધો છે. તેમનાં સાચાં જ નહીં, ખોટાં વખાણ કરવા માટે પણ તોતિંગ તંત્ર નભતું હોય, ત્યારે મારે મારી તટસ્થતા પુરવાર કરવા માટે ત્યાં જઈને પણ બે ફુલ ચડાવી આવવાં, એવું હું નથી માનતો.'

‘ટૂંકમાં, તમે એ તો કબૂલો છો કે તમને મોદી સામે વધારે વાંધો છે.’
‘ચોક્કસ. અને અને કબૂલાત ન કહેવાય-વિધાન કહેવાય. કારણ કે જાહેરમાં મેં કદી એનાથી વિપરીત દાવો નથી કર્યો. નરેન્દ્ર મોદીના રાજકારણ સામે-તેમની નીતિરીતિઓ સામે મને બહુ વાંધો છે અને એનાં કારણો પણ જાહેર છે. (કેટલાંક ઉપર લખ્યાં છે). જેમ મારો વાંધો વ્યક્તિ નરેન્દ્ર મોદી સામે નથી (એવું હોત તો તેમના લગ્નજીવન વિશે પણ મેં બહુ હોંશે હોંશે ટીકાઓ કરી હોત), તેમ મારું વાંધો પડવાનું કારણ વ્યક્તિગત નથી.  હું જેની સામાન્ય સમજ પર અહોભાવની કે પક્ષીય વફાદારીની પટ્ટીઓ બંધાયેલી ન હોય, એવો નાગરિક છું. કોંગ્રેસ મને ઓરિજિનલ સિનર (પુરાણી પાપી) લાગી છે અને ભાજપ? એ તો કોંગ્રેસને બધી બાબતમાં બહુ ઝડપથી ટપી ગયેલી પાર્ટી, જેમાં મોદી-શાહ એન્ડ કંપની તો ‘સર્વશુભોપમાયોગ્ય’ છે.

‘એટલે તમે તટસ્થ તો નથી જ ને?’
‘આ સાંભળીને પેલી જોક યાદ આવીઃ પછી હરણની સીતા થઈ કે નહીં?’ :-)

Friday, December 01, 2017

'ત્રણે લોક'માં ક્રાંતિકારી પરિવર્તનનો સ્વપ્નદૃષ્ટાઃ ઇલન મસ્ક

ઇન્ટરનેટની પ્રચંડ લોકપ્રિયતા અને મહાન સંભાવનાઓ છતાં, તેના વિશે એક ફરિયાદ કાયમી રહે છેઃ તેની મોટી કંપનીઓએ માનવજાતનું વાસ્તવિક કલ્યાણ ઓછું ને પોતાના માટે સત્તા-સંપત્તિનું સર્જન મોટા પાયે કર્યું છે.  ગુગલ સર્ચના વ્યવહારુ ઉપયોગ ઘણા છે. પરંતુ ફેસબુક (અને વોટ્સઅેપ), ટ્વીટર જેવાં સોશિયલ નેટવર્ક અને ગુગલની સર્ચ સિવાયની ઘણી સેવાઓથી સરવાળે સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આ કંપનીઓ કોઈ દેશ જેવો પ્રચંડ અને વાસ્તવિક છતાં અદૃશ્ય પ્રભાવ પાડી રહી છે. તેમની ઘણીખરી નવી સેવાઓ અને નવા આઇડીયા માનવજાતના ભલા માટે નહીં, પોતાનું સામ્રાજ્ય કેમ ટકે અને વિસ્તરે, એ ધ્યાનમાં રાખીને આવે છે.

આ બધા આઇટી-સમ્રાટોની વચ્ચે એક એન્જિનિયર છે, જેને અઢળક રૂપિયા કમાવા અને ખર્ચવા જેટલો જ કે એથી પણ વધારે રસ માનવજાતની આવતી કાલ સુધારવામાં પડે છે. તેનું નામ છે ઇલન મસ્ક / Elon Musk. તેમને સિલિકોન વેલીના અબજપતિ તરીકે ખતવી કઢાય તેમ નથી. તેમની મહત્ત્વાકાંક્ષા બહુ ભારે છે અને તેના કેન્દ્રસ્થાને છે માનવજાતની (રોટી-કપડાં-મકાન પછીના ક્રમે આવતી) સમસ્યાઓ.
 Elon Musk / ઇલન મસ્ક
જેમ કે, મસ્કને ચિંતા છે પેટ્રોલિયમ બળતણોથી થયેલા નુકસાનની. તેને વાળી તો શકાય એમ નથી, પણ તેના ઉકેલ માટે તેની કંપની 'ટેસ્લા' ઇલેક્ટ્રિક કાર બનાવે છે--એવી કાર, જે પેટ્રોલ-ડીઝલથી ચાલતી કાર સમકક્ષ અને કેટલીક બાબતોમાં ચડિયાતી હોય, જેમાં 'પર્યાવરણની રક્ષા ખાતર કારની ક્ષમતા સાથે સમાધાન'નું તત્ત્વ ન હોય. આવી કારનું સફળતાપૂર્વક ઉત્પાદન કર્યા પછી મસ્કને થયું કે સડક પર ચાલતી ટ્રકોનું પ્રમાણ ભલે કારની સરખામણીમાં ઓછું હોય, પણ પ્રદૂષણમાં તેમનો ફાળો ઘણો મોટો હોય છે. એટલે તેમની ટીમે ટ્રકની પરંપરાગત ડીઝાઈન ફગાવીને નવેસરથી, બેટરીથી ચાલતી ટ્રક પર કામ શરૂ કર્યું.

ગયા અઠવાડિયે 'ટેસ્લા'ની ટ્રકનું મોડેલ મસ્કે જાહેરમાં બતાવ્યું અને તે સમાચારમાં છવાયેલું રહ્યું. કેમ કે, તેમાં ટ્રકની ડીઝાઇનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. ડ્રાઇવરની કેબિન ટ્રકની છેક આગળ નહીં, પણ વચ્ચોવચ રખાઈ છે. તેની બેઠક અત્યંત આરામદાયક અને સ્ટીયરિંગની બંને બાજુ એક-એક ટચસ્ક્રીનથી સજ્જ છે. બેટરીના એક ચાર્જિંગથી ટ્રક 500 માઇલ (800 કિલોમીટર) ચાલશે અને બેટરીનું ચાર્જિંગ પણ અડધા કલાકમાં કરી શકાશે, એવો 'ટેસ્લા'નો દાવો છે. ઉપરાંત, હાઈ વે પર આ ટ્રક પોતાની મેળે (ડ્રાઇવર વિના) ચાલી શકે એવી પણ ટેકનોલોજી તેમાં સમાવિષ્ટ છે.

મસ્કને બીજી ચિંતા છે કોઈ કુદરતી કે માનવસર્જિત આફતમાં માણસજાત ખતમ થઈ જવાની. તેને લાગે છે કે માણસે પૃથ્વી સિવાય બીજું ઠેકાણું શોધવું જોઈએ, જેથી ભવિષ્યમાં માણસોની ગતિ ડાયનોસોર જેવી ન થાય. એ માટે તેમણે સ્પેસએક્સ (સ્પેસ એક્સ્પ્લોરેશન) નામે કંપની શરૂ કરી. તેનો આશય ચંદ્ર અને મંગળ પર માનવ વસાહતો સ્થાપવાનો અને માણસોને ત્યાં લાવવા-લઈ જવાનો છે. અવકાશગમન જેવી અત્યંત પેચીદી ટેકનોલોજીમાં સપનાં જોવાં સહેલાં છે, પણ મસ્કે સપનાંને સાકાર કરવાની દિશામાં નક્કર પ્રગતિ (ભલે જરા વિલંબ સાથે) બતાવી છે. તેમની કંપનીનાં રોકેટ સફળતાપૂર્વક અવકાશમાં જઈને પાછાં આવ્યાં છે. (રોકેટમાંથી નીકળતા ધુમાડા પર્યાવરણ માટે હાનિકારક નહીં હોય. બાકી, મસ્કે તેના પણ રસ્તા વિચારવાનું શરૂ કરી દીધું હોત.)

આ જ કંપની હવે પૃથ્વી પરનાં બે દૂરનાં શહેરો વચ્ચે રોકેટસેવા શરૂ કરવાના ઘોડા ઘડી રહી છે. તેમાં સફળતા મળે તો એક છેડાના શહેરથી બીજા છેડાના શહેરમાં એકાદ કલાકમાં પહોંચી જવાય. બાકીનાં ઘણાં શહેરોમાં અડધા કલાકમાં. ક્યાંથી ક્યાં કેટલા ઓછા સમયમાં પહોંચાય, તેના આંંકડા વેબસાઈટ પર આપ્યા છે. અલબત્ત, એ પ્રવાસનો વાસ્તવિક સમય છે. જહાજ દરિયામાં જઈને રોકેટને રવાના કરે, તે માટે રોકેટમાં બેસતાં પહેલાંનો અને ઉતર્યા પછીનો સમય પણ ગણતરીમાં લેવો પડે.

બીજું કોઈ આવા આઇડીયા વહેતા મૂકતું હોત, તો તે તરંગતુક્કામાં ખપી જાત. પણ મસ્કની વાત જુદી છે. એ સુપરમેન નથી, તેમ એક સફળતા મેળવીને બેસી ગયેલો અબજપતિ પણ નથી. સૌથી પહેલાં તેણે કમ્પ્યુટર પર શહેરોના નકશા અને માર્ગદર્શન આપતી સર્વિસ Zip2 ચાલુ કરી. તેની સફળતા પછી એ સર્વિસ વેચીને મસ્કે 'પેપાલ' (PayPal) નામે ઓનલાઈન પેમેન્ટની સર્વિસ ચાલુ કરી. ઓનલાઈન ચૂકવણીના બીજા વિકલ્પ ન હતા ત્યારે તે અત્યંત સફળ નીકળી. Ebay કંપનીએ 2002માં 1.8 અબજ ડોલરમાં 'પેપાલ' ખરીદી લીધી. એટલે મસ્ક પાસે અઢળક નાણાં આવ્યાં. એમાંથી તેણે માનવજાતના ભવિષ્યને ઉજળું બનાવવાના પ્રોજેક્ટ શરૂ કર્યા અને કંપનીઓ ખોલીઃ અશ્મિજન્ય (રમુજમાં 'ડાયનોસોર જ્યુસ' તરીકે ઓળખાતાં) બળતણને બદલે ઇલેક્ટ્રિક બેટરીનો ઉપયોગ કરીને વાહનો બનાવવા માટે ટેસ્લા અને અંતરિક્ષને ખેડવા-મંગળ પર માનવવસાહત સ્થાપવા સ્પેસએક્સ. બેટરીથી ચાલતી, સાવ નવી ડીઝાઈનની ટ્રકના મોડેલ દ્વારા મસ્કે ટ્રક વિશેનો આખો ખ્યાલ બદલી નાખ્યો, એવું જ આ પહેલાં તેણે બે શહેરો વચ્ચેનું અંતર ઘટાડવાના મામલે કર્યું. હાલમાં મોજુદ વિકલ્પોમાં સુધારાવધારા કરવાને બદલે, તેણે હાઇપરલૂપના નામે ઓળખાતી ક્રાંતિકારી ટેકનોલોજીનો વિચાર કર્યો, જેમાં બે શહેરો વચ્ચે એક મોટી, પહોળી પાઇપ ઉભી કરવામાં આવે અને પાઇપમાં રહેલા શૂન્યાવકાશમાં નાના-નાના નળાકાર એક હજાર કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે ઝડપે ગતિ કરે. વાહનવ્યવહારનું આ કદી નહીં વિચારાયેલું સ્વરૂપ છે, પણ મસ્કની કંપની તેમાં પ્રગતિ કરી રહી છે. હાઇપરલૂપનો એક રુટ આંધ્રપ્રદેશમાં પણ નખાવાનો છે. હજુ મસ્કની કંપની ખુદ આ ટેકનોલોજીની ચકાસણી અને તેના પ્રયોગ કરી રહી છે. પરંતુ તેની સફળતા વિશે મસ્ક કે તેમના ઇજનેરોના મનમાં કશી અવઢવ નથી.

જમીન અને આકાશ-અવકાશ જેવા બે લોકમાં ક્રાંતિકારી સંશોધનો આદર્યા પછી મસ્કે હવે 'પાતાળ' તરફ મીટ માંડી છે. તેમને લાગે છે કે રસ્તા ગમે તેટલા પહોળા કરવામાં આવે, પણ ટ્રાફિકની સમસ્યા ઉકલશે નહીં અને લોકોનો અઢળક સમય તેમાં બગડતો રહેશે. (ઉલટું એવું જોવામાં આવ્યું છે કે રસ્તા પહોળા કરવાથી સરવાળે ટ્રાફિક પણ વધે છે અને વધારે ગીચ બને છે.) એટલે મસ્કનો વિચાર છે કે જમીનની નીચે ટનલનાં 30-40  સ્તર બનાવવાં, ટૂંકાં અંતરની ટનલમાં પાટા નાખવા, જેથી ગાડીઓ તેની પર સડસડાટ (400 કિ.મી. પ્રતિ કલાક જેવી ઝડપે) દોડી શકે અને ટ્રાફિકની સમસ્યા ઉકલી જાય. વિજ્ઞાનકથા જેવા લાગતા આ પ્રોજેક્ટ માટે થોડા સમય પહેલાં જ સ્થાનિક કાઉન્સિલે મસ્કની કંપનીને પરવાનગી આપી છે. એટલે તેમની સ્પેસએક્સની ઓફિસના ખુલ્લા ભાગમાં પ્રાયોગિક ટનલ બનાવવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે.

બાળપણમાં આઇઝેક અાસિમોવ સહિત ઘણા લેખકોની વિજ્ઞાનકથાઓથી પ્રભાવિત મસ્ક હવે વિજ્ઞાનકથા જેવી કલ્પનાઓને સાકાર કરવામાં વ્યસ્ત છે. પડકાર ઘણા છે, પણ તેમનો અત્યાર સુધીનો રેકોર્ડ, કાબેલિયત, વિચારવાની રીત જેવી બાબતો તેમને બીજા અબજોપતિઓથી જુદા પાડે છે અને તેમના પ્રયાસોની સફળતા માટે આશા ઉભી કરે છે.