Wednesday, December 31, 2008

ALL-MIGHTY : complete group of 'Hasya Adalat'


sitting (L to R) Prakash N. Shah, Urvish, Ratilal Borisagar, Tarak Maheta, Vinod Bhatt, Rajanikumar Pandya, Ashwinee Bhatt, Biren Kothari
standing (L to R) Ketan Rupera, Pranav Adhyaru, Sonal & Aastha Kothari, Salil Dalal, Binit Modi, Ashwin Chauhan, Chandu Maheriya, Ayesha Khan, Purvi Gajjar, Kartikey Bhatt, Bakul Tailor, Dipak Soliya, Hasit Maheta
(Children) Shachi & Ishaan Biren Kothari, Aastha Urvish Kothari (with book)

Monday, December 29, 2008

બત્રીસે કોઠે સંતોષ


'Na Bhuto, Na Bhavishyati' Gathering
sitting (L to R) Prakash N. Shah, Urvish, Ratilal Borisagar, Tarak Maheta, Vinod Bhatt, Rajanikumar Pandya, Ashwinee Bhatt, Biren Kothari
standing (L to R) Ketan Rupera, Pranav Adhyaru, Sonal & Aastha Kothari, Salil Dalal, Binit Modi, Ashwin Chauhan, Chandu Maheriya, Ayesha Khan, Shachi Kothari (niece), Purvi Gajjar, Kartikey Bhatt, Hasit Maheta, Dipak Soliya
‘જવા દે, મોદી. પ્રોગ્રામ-બ્રોગ્રામ કંઇ કરવું નથી. લાંબા થઇ જઇશું.’
‘ચૂપ. આમાં તારું કંઇ ચાલવાનું નથી. હું કહું છું કે પ્રોગ્રામ કરવાનો છે એટલે કરવાનો છે. બસ. આ વિશે બીજી કશી દલીલ મારે સાંભળવી નથી.’
આવો સંવાદ દોઢ-બે મહિના પહેલાં બિનીત મોદી અને મારી વચ્ચે થયો. બિનીત સામાન્ય રીતે ડોળા કકડાવતો નથી. પણ મેં પ્રોગ્રામ પર ટાઢું પાણી રેડવાની વાત કરી ત્યારે મોદીનો બચ્ચો બગડ્યો. એને બગાડીને મારે ક્યાં જવું? ને મારી પ્રોગ્રામ કરવાની ઇચ્છા તો હતી જ. પણ ‘આરપાર’ના ઘણા કાર્યક્રમોના અનુભવો પરથી, પ્રોગ્રામ સાથે સંકળાયેલા બીજા બધા વહીવટોથી હું કાયર થતો હતો. મોદીનો વીટો આવી ગયો, એટલે એ દિશામાં વિચારવાનું ન રહ્યું.

અગિયાર વર્ષ પહેલાં ‘સંદેશ’માં હાસ્યની કોલમ ‘ગુસ્તાખી માફ’ શરૂ કરી અને મિત્ર રમેશ તન્નાએ પહેલી વાર એનો સંગ્રહ કરવાનું સૂચન કર્યું, ત્યારથી એટલું નક્કી હતું કે હાસ્યના પુસ્તકનો પ્રોગ્રામ આપણે અનોખો કરવો. ભલે એમાં ગણ્યાગાંઠ્યા મિત્રો જ હાજર હોય, પણ કાર્યક્રમ કંઇક જુદો, કંઇક ભળતોસળતો કરવો. હવે કાર્યક્રમ કરવાનું નક્કી થયું એટલે ‘ભળતોસળતો’માં શું થઇ શકે, એની ચર્ચા પ્રણવ (અધ્યારુ) અને બિનીત સાથે શરૂ થઇ. રાબેતા મુજબ, પ્રણવે વાતવાતમાં આઇડીયા આપ્યો,’મોક-કોર્ટ કરીએ તો કેવું?’

જ્યોતીન્દ્ર દવે વિશેના સંશોધન નિમિત્તે એમની અને બીજી કેટલીક મોક-કોર્ટ વિશે હું જાણતો હતો. તારક મહેતા અને હરકિસન મહેતાની મોક-કોર્ટ વિશે સાંભળ્યું હતું. પણ અમદાવાદમાં કોઇ મોક-કોર્ટ થઇ હોય એવું જાણમાં ન હતું.

કદી ન થઇ હોય કે ભાગ્યે જ થઇ હોય એવી વસ્તુ સારી રીતે પાર પાડવાની ચેલેન્જ ઉપાડી લેવી અને એમાં ધંધે લાગી જવું, એ અમારી ટુકડી (કે ટોળકી?)ની ખાસ સ્ટાઇલ. એટલે મોક-કોર્ટની ચેલેન્જ અમે ઉપાડી લીધી.

નિમિત્ત ભલે મારા હાસ્યસંગ્રહ ‘બત્રીસ કોઠે હાસ્ય’ના પ્રકાશનનું હોય, પણ મારો આશય મારો જયજયકાર કરાવવાનો કે મારા વખાણનાં ગાડાં ઠલવાય એવો ન હતો. મારે તો મારા ગમતા-નિકટના-અંગત સ્નેહી ગુરૂજનો અને વિવિધ ક્ષેત્રના મિત્રોને એક મંચ પર ભેગા કરવા હતા અને એક અભૂતપૂર્વ ઐતિહાસિક યાદગીરી સર્જવી હતી.

ત્યાર પછીના ઘણા તબક્કાની રસિક કથાઓ ધીમે ધીમે બ્લોગ પર મુકતો રહીશ, પણ અત્યારે એટલું જ કહું છું કે અમારા બધાની મહેનત ફળી. હાસ્ય-અદાલતનો કાર્યક્રમ તો સફળ રહ્યો જ, પણ એ નિમિત્તે મંચ પર અને મંચની સામે થયેલું ગેધરિંગ કોઇ પણ હિસાબે ‘ઐતિહાસિક’ કરતાં જરાય ઓછું ન હતું. કેટલાકે કંઇક રમૂજમાં, કંઇક ગંભીરતાથી એમ પણ કહ્યું કે તારા લખાણથી-તારી સાથેના વિચારભેદોથી એટલી તો ખબર હતી કે તારા ‘દુશ્મનો’ બહુ હશે, પણ તારા આટલા બધા દોસ્તો હશે અને આટલા બધા લોકો સાથે તારે આટલું બધું ફાવતું હશે એ આજે જ ખબર પડી.

તારક મહેતા, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, સલીલ દલાલ, પ્રકાશ ન. શાહ, ચંદુ મહેરિયા, બકુલ ટેલર, દીપક-હેતલ, પૂર્વી ગજ્જર, આયેશા ખાન...આ લોકો પોતપોતાની પ્રતિકૂળતાઓને અવગણીને, ફરજથી નહીં, હકથી આવ્યા. તારકભાઇની નાદુરસ્ત તબિયત, ખાસ કરીને મોંના ચોકઠાની જબરી સમસ્યા હોવા છતાં, એમણે સ્ટેજ પર એન્ટ્રી કરી અને બોલ્યા. અશ્વિનીભાઇએ ઓડિયન્સમાંથી એન્ટ્રી લઇને તોફાન કર્યું. વિનોદભાઇની તોફાની હ્યુમર અને બોરીસાગરસાહેબની સૂક્ષ્મ, અદાલતી પરિભાષાની રમૂજને કારણે પહેલી જ મિનીટથી વાતાવરણ બંધાઇ ગયું હતું. તે છેલ્લી મિનીટ સુધી જળવાયેલું રહ્યું.

મિત્ર હસિત મહેતા સવારે સાત વાગ્યે કીમ (સુરત)થી રતિલાલ અને પ્રકાશભાઇ સાથે કારમાં નીકળ્યા હતા. એ બપોરે સમયસર અમદાવાદ આવી રહ્યા અને કાર્યક્રમમાં જોતરાઇ ગયા. પ્રણવ-બિનીત ઉપરાંત કાર્તિકેય ભટ્ટ છેલ્લા થોડા દિવસથી અમારા ત્રાસમાં સહભાગી બન્યા અને સેટ વગેરેની જવાબદારી એમણે ઉપાડી લીધી. અભિયાનના મિત્રો લાલજી અને કેતન રુપેરા, ચંદ્રશેખર વૈદ્ય, મુંબઇથી ખાસ આવેલો પ્રેમાળ મિત્ર, અજિંક્ય સંપટ...અહીં નામાવલિ ઉતારવાનો ઉપક્રમ નથી. પણ આ બધા મારા નહીં, એમના સમારંભમાં આવ્યા હોય એ રીતે આવ્યા અને વર્ત્યા. એમનાં પ્રેમ અને લાગણીથી સદાય ભીંજાયેલો રહેવા ઇચ્છું છું, એટલે ‘થેન્ક યુ’નું પોતું મારતો નથી.

તારકભાઇએ છેલ્લે એમની સ્ટાઇલમાં અમને સૌને આપેલાં કોમ્પ્લીમેન્ટ આ સૌને હું અર્પણ કરું છું. એમણે કહ્યું,’ધોનીની ટીમ જેવું ટીમવર્ક હતું.’

Thursday, December 25, 2008

તારક મહેતાઃ એંસી કી તૈસી

મોટા ભાગના ગુજરાતી લેખકને સ્વપ્નવત્ લાગે એવી લોકપ્રિયતા લેખન દ્વારા હાંસલ કરનારા તારક મહેતા આવતી કાલે 80મા વર્ષમાં પ્રવેશ કરશે. તેમના એંસી-પ્રવેશના વર્ષમાં તેમના ટપુડા સીરીઝના લેખો પરથી બનેલી સીરિયલ ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ આજકાલ દેશભરમાં લોકપ્રિય બની છે, એ તેમના સૌ ચાહકો માટે આનંદની વાત છે. એ સિરીયલના પ્રોડ્યુસરના તારક-પ્રેમની પણ દાદ આપવી જોઇએ કે તેણે સિરીયલના નામમાં તારકભાઇના નામનો સમાવેશ કર્યો અને તેનું ટાઇટલ સોંગ પણ એ જ પ્રમાણે બનાવ્યું.

સ્વભાવે અત્યંત સાલસ, પ્રેમાળ, આંટીઘૂંટી વગરના, તબિયતની અનેક મર્યાદાઓ છતાં શક્ય એટલી મદદ કરવા સદા તત્પર તારકભાઇ અને તેમને એંસી વર્ષ સુધી ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવનારાં ઇન્દુકાકીને અભિનંદન-શુભેચ્છાઓ.

અદાલતનાં ચક્કર

અદાલત સાચી હોય કે ખોટી, અસલી હોય કે નકલી, એક વાર એના રવાડે ચડ્યા એટલે ધંધે લગી ગયા સમજવું. શાણા માણસો જેને દૂરથી જ નવ ગજના નમસ્કાર કરે, તેને મારા જેવા સામે ચાલીને બોલાવેઃ-)
અદાલતનાં ચક્કરમાં કેટલાક મુદ્દા વિશે મારે વિગતે લખવાનું બાકી રહ્યું છે. એની અછડતી નોંધ લઇને, એકાદ અઠવાડિયા પછી એના વિશે વિગતે લખવા ધારું છું.
· સંદેશની પૂર્તિમાં સૌરભ શાહની જેલડાયરી વિશે અહીં વાત કરવામાં આવી હતી. એ કોલમનું બાળમરણ થયું છે.
· પાંચેક વર્ષના સિલસિલા પછી ‘દિવ્ય ભાસ્કર’માં હવે પ્રકાશ ન. શાહના તંત્રીલેખો પ્રગટ થશે નહીં. એટલે ‘શબ્દાર્થપ્રકાશ’ની મુખ્ય સામગ્રી હવે સહજતાથી, રોજેરોજના અખબારમાંથી નહીં મળે. પરંતુ આ માધ્યમ થકી ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી અજયભાઇ ઉમટને એવી વિનંતી કરીએ કે ‘ભાસ્કર’ની લાયબ્રેરીમાંથી ‘શબ્દાર્થપ્રકાશ’ શરૂ થયા પહેલાંનાં ભાસ્કરની ફાઇલો સુલભ કરાવી આપે, તો એ કામ આગળ વધારી શકાય. મહિને-પંદર દિવસે એકાદ વાર હું ભાસ્કરની ઓફિસે જઇને કલાક બેસીને આ કામ કરી શકું.
· ‘ટાઇમ્સ’ સાથે મફત આવતું ‘મિરર’ હવે અલગ થયું છે અને તેનો એક રૂપિયો વધારાનો આપવાનો થાય છે.
· ‘ટાઇમ્સ’માં મિત્ર આશિષ વશીએ લખેલો શતાયુ તસવીરકાર પ્રાણલાલ પટેલનો ઇન્ટરવ્યુ, અને ખાસ તો અમારા એક જૂના સાહસની યાદ તાજી કરાવતા તેમના જૂના ફોટા સાથે એ જ સ્થળોની નવી તસવીરોનો વિભાગ. (પ્રાણલાલદાદાને ગઇ કાલે મળ્યો ત્યારે તેમણે ચાળીસ વર્ષના માણસની જેમ કહ્યું,’વચ્ચે આ ઘૂંટણમાં થોડો દુઃખાવો થયો હતો. પણ હવે સારું છે. તમારા કાર્યક્રમમાં આવીશ જ.’
આ બધા વિષયો અંગે કાર્યક્રમમાંથી પરવાર્યા પછી વધુ વાતો કરીશ. હમણાં કાર્યક્રમની તૈયારીઓને લીધે બ્લોગનાં ગાબડાં માફ.

...હાજિર હો

અભૂતપૂર્વ, ઐતિહાસિક, ન ભૂતો, ન ભવિષ્યતિ...આ બધાં વિશેષણો જેના માટે અતિશયોક્તિ વિના વાપરી શકાય, એવો કાર્યક્રમ આ રવિવારે, 28 ડિસેમ્બરની સાંજે ભાઇકાકા હોલ (લૉ ગાર્ડન) અમદાવાદમાં યોજાવાનો છે. એ વાંચીને થશે,’કરો, કરો, જાતનાં વખાણ જાતે કરો.’ કારણ કે એ કાર્યક્રમ મારા હાસ્યલેખોના પુસ્તક ‘બત્રીસ કોઠે હાસ્ય’ના વિમોચન નિમિત્તે છે. પણ તેના માટે વિશેણોનો ખડકલો કરવાનું કારણ એ નથી. એક તો, એ કાર્યક્રમ ચીલાચાલુ વિમોચન નહીં, પણ મોક-કોર્ટ સ્વરૂપનો છે, બીજું, ગુજરાતી લેખન-પત્રકારત્વ જગતના જુદા જુદા પ્રવાહોના જેટલા ધુરંધરો અહીં હાજર રહીને કાર્યક્રમમાં ભાગ લેવાના છે, એવું ભૂતકાળમાં બન્યું નથી અને ભવિષ્યમાં બને એમ પણ નથી. મોક-કોર્ટના કાર્યક્રમને લગતી કેટલીક ત્રાસદાયક છતાં રસિક, પડદા પાછળની વાતો લખવાનો અત્યારે ઉપક્રમ કે સમય નથી. એના માટે અઠવાડિયું રાહ જુઓ. દરમિયાન, આ સાથે એ કાર્યક્રમનું નિમંત્રણ મુકું છું.
‘આ કુમકુમ પત્રિકાને રૂબરૂ મળ્યાતુલ્ય ગણીનૈ પધારશો’ એવું કશું લખવાનું નથી. એટલું કહું કે અમદાવાદમાં કે આસપાસમાં રહેતા મિત્રોએ આ મોકો ગુમાવવા જેવો નથી.

Friday, December 19, 2008

બ્લોગમહિમ્નસ્ત્રોત

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, બ્લોગનું માઘ્યમ અને આ બ્લોગનું પ્રશંસાત્મક પૃથક્કરણ વાંચવામાં રસ ધરાવતા મિત્રો માટે ‘નિરીક્ષક’ના ૧-૧૨-૦૮ના અંકમાં પ્રગટ થયેલો દિવ્યેશ વ્યાસનો લેખ અહીં મુક્યો છે. ફોટો પર ક્લીક કરીને એન્લાર્જ કરવાથી લેખ વાંચી શકાશે.

Thursday, December 18, 2008

ભૂલ તુમ્હેં ભેજી હૈ ખતમેં


‘ભૂલનો સ્વીકાર કરવાનું બહુ સહેલું છે- ખાસ કરીને બીજાની ભૂલનો!’ આવું કોઇએ કહ્યું નહીં હોય તો કહેશે. પણ હકીકતમાં પોતાની ભૂલનો જાહેર સ્વીકાર કરવાનું કાઠું છે. ભૂલ ન થાય એ આદર્શ છે, જે વ્યવહારમાં હંમેશાં જળવાતો નથી. એ વખતે ભૂલ સ્વીકારવાનું વલણ બહુ ઉપયોગી થાય છે. જો કે, અત્યારે ચાલતો તેનો બીજો અંતીમ એવો છે કે નફ્ફટાઇથી ભૂલ સ્વીકારી લેવાની અને ગરજીને કહેવાનું,‘ભૂલ સ્વીકારી તો ખરી. હવે શું છે!’
બે દિવસ પહેલાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં બીજા પાને ‘કરેક્શન્સ’ નામની એક કોલમની ઊભી પટ્ટી જોવા મળી. તેમાં અખબારમાં થયેલી ભૂલોનો, ઘ્યાન દોરનારના નામ સાથે ઉલ્લેખ હતો. જ્યાં સ્પષ્ટતાની જરૂર હતી ત્યાં સ્પષ્ટતા પણ ખરી. અગાઉ એકાદ-બે વર્ષ પહેલાં ‘ધ હિંદુ’ અખબારમાં ‘રીડર્સ એડિટર’ની નિમણૂંક થઇ ત્યારે ત્યાં પણ આ પ્રકારનો સિલસિલો શરૂ થયો. પણ ‘રીડર્સ એડિટર’ની આખી પોસ્ટ આ કામ માટે ઊભી થઇ હોવાથી, એ કોલમનું કદ વાંચી ન શકાય એવી રીતે વધી ગયું. ‘એક્સપ્રેસ’માં આવું અગાઉ થયું હોય તો ખ્યાલ નથી. મારી નજર પહેલી વાર પડી.
પ્રસાર માઘ્યમો બને ત્યાં સુધી ભૂલો ન થાય તેનું ઘ્યાન રાખે, પણ મર્ફીના કે બીજા નિયમોને આધીન એ થાય જ, તો સ્વીકારવા જેટલી ખુલ્લાશ (નફ્ફટાઇ નહીં, ફક્ત ખુલ્લાશ) બહુ આવકાર્ય છે. આમ પણ મુંબઇના ત્રાસવાદી હુમલા પછી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ કવરેજના મામલે, ઘણી જુદા પ્રકારના અને સારા રીપોર્ટંિગ દ્વારા કમ સે કમ અમદાવાદ આવૃત્તિમાં મેદાન મારી ગયું હોય એવું લાગતું હતું. તેમાં ‘કરેક્શન્સ’ની કોલમ જોઇને આનંદ થયો. કોલમની નીચે મુકેલા ચોકઠામાં ભૂલ ચીંધવા માટે ફક્ત ઇ-મેઇલ એડ્રેસ મુકવામાં આવ્યું છે, એ બદલાયેલા જમાનાની અને અંગ્રેજી વાચકવર્ગની તાસીર છે. અંગ્રેજી છાપું વાંચતો માણસ ઇ-મેઇલ વાપરતો જ હોય એવું તેમાં નીહીત છે.
ગુજરાતી અખબારો શાણાં છે. એ આવા બધામાં પડતાં નથી, પડે તો અઠવાડિયામાં એક પૂર્તિ કદાચ ભૂલોની જ કાઢવી પડે. એનું નામ શું રાખી શકાય? એ માટેનાં ક્રીએટીવ સૂચનો આવકાર્ય છે. એવાં સારાં નામની સંખ્યા ૧૦થી વધારે થશે, તો તેને અલગ પોસ્ટ તરીકે મુકવામાં આવશે.

Tuesday, December 16, 2008

એક તરફ ભારત-પાકિસ્તાન, બીજી તરફ ઇન્ડોનેશિયા : ત્રાસવાદના મુકાબલાની સરખામણી

‘મુસ્લિમોની સૌથી વઘુ વસ્તી ધરાવતો દેશ કયો?’ એવા સવાલના જવાબમાં પાકિસ્તાન કે અખાતી દેશોનાં નામ જીભે ચડે, પરંતુ સાચો જવાબ છેઃ ઇન્ડોનેશિયા. આશરે ૧૭ હજાર ટાપુઓના સમુહથી બનેલા અને ત્રણ ટાઇમઝોન લાગુ પડે એવો પ્રચંડ વિસ્તાર ધરાવતા આ દેશમાં મુસ્લિમોનું પ્રમાણ ૮૮ થી ૯૦ ટકા જેટલું છે. સંખ્યાઃ આશરે ૨૦ કરોડ. (ભારતમાં અંદાજે ૧૫ કરોડ અને પાકિસ્તાનમાં ૧૬ કરોડ મુસ્લિમો છે.)

વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશની બે-ત્રણ લાક્ષણિકતાઓ નોંધપાત્ર અને ઓછી જાણીતી છે. સૌથી પહેલી ખાસિયત એ કે મુસ્લિમોની ૮૮ ટકા વસ્તી હોવા છતાં આ દેશ પાકિસ્તાનની માફક ‘મુસ્લિમ રાષ્ટ્ર’ નથી. તેના બંધારણમાં મુસ્લિમો ઉપરાંત હિંદુઓ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધોને પણ સમાન અધિકારો આપવામાં આવ્યા છે. બીજી ખૂબીઃ આ દેશમાં લોકશાહી છે. મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશોમાં અમેરિકા-ઇઝરાઇલ માટે ધિક્કાર ધરાવતાં આતંકવાદી જૂથોનો પગદંડો મજબૂત બની રહ્યો છે, ત્યારે મુસ્લિમોની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ લોકશાહી હોય, તે બાકીના જગત માટે સમાચાર છે. ત્રીજી લાક્ષણિકતાઃ મુસ્લિમોની પ્રચંડ બહુમતિ હોવા છતાં, આ દેશમાં ઇસ્લામનું કટ્ટરતાવાદી અર્થઘટન કરીને આતંક મચાવનારાં મુસ્લિમ જૂથો છે, જેમાંનું એક અલ કાઇદા સાથે સંબંધ ધરાવે છે.

અમેરિકા અને ભારત પછી વિશ્વની ત્રીજા નંબરની લોકશાહી ગણાતો ઇન્ડોનેશિયા મુસ્લિમ બહુમતિ ધરાવતા પાકિસ્તાન સહિતના ઘણા દેશો માટે કેટલીક બાબતોમાં દીવાદાંડીરૂપ બની શકે છે, તો ભારત માટે ઇન્ડોનેશિયાએ ત્રાસવાદનો મુકાબલો કરવા લીધેલાં પગલાં રસનો વિષય બની શકે છે.

બાલી બોમ્બવિસ્ફોટઃ કઠણાઇ અને કડકાઇ
ત્રાસવાદના નકશા પર ઇન્ડોનેશિયાનો ધમાકેદાર પ્રવેશ ઓક્ટોબર, ૨૦૦૨ના બાલી બોમ્બવિસ્ફોટથી થયો. ભારે જાનહાનિ ધરાવતા અત્યાર સુધીના સૌથી મોટા ત્રાસવાદી હુમલાઓમાં બાલી વિસ્ફોટોનો સમાવેશ થાય છે, જેમાં રેસ્ટોરાં ને નાઇટક્લબોમાં મોજમજા કરવા આવેલા ૨૦૦થી પણ વઘુ પ્રવાસીઓ માર્યા ગયા. તેનાથી એક વર્ષ પહેલાં હતપ્રભ કરી નાખતા હુમલાનો ભોગ બની ચૂકેલું અમેરિકા ખળભળી ઉઠ્યું. વિશ્વમાં સૌથી વઘુ મુસ્લિમ વસ્તી ધરાવતો લોકશાહી દેશ ત્રાસવાદથી ખદબદવા માંડે તો જતે દહાડે તેનો રેલો અમેરિકાને દઝાડ્યા વિના ન રહે. બાલી હિંદુ બહુમતિ ધરાવતો વિસ્તાર હોવા છતાં, વિસ્ફોટો મુખ્યત્વે વિદેશી (પશ્ચિમી) પ્રવાસીઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યા હતા, એ સ્પષ્ટ હતું.

ત્રાસવાદ સામે ઇન્ડોનેશિયાને સજ્જ કરવા તથા તેના મુખ્ય ત્રાસવાદી સંગઠન ‘જીમા ઇસ્લામિયા’ની પાંખો કાપવા માટે અમેરિકાએ પહેલ કરી. સૈન્યનો ઉપયોગ કરવાને બદલે ઇન્ડોનેશિયાના પોલીસદળમાંથી જ અલગ ત્રાસવાદવિરોધી ટુકડી બનાવવામાં આવી. તેને અમેરિકાએ તાલીમ અને આઘુનિક શસ્ત્રો પૂરાં પાડ્યાં. લડાઇ ઉપરાંત જાસૂસી અને ગુનાશોધન જેવા કસબ પણ શીખવ્યા. બાલી વિસ્ફોટોના બીજા વર્ષે ‘ડીટેચમેન્ટ ૮૮’ (અથવા ‘ડેલ્ટા ૮૮’) તરીકે ઓળખાતી ત્રાસવાદવિરોધી ટુકડી તૈયાર હતી.

હોલિવુડની ફિલ્મના ટાઇટલ જેવા આ ટુકડીના નામના ત્રણેક અર્થ કરવામાં આવે છે. બાલી વિસ્ફોટોમાં સૌથી વઘુ - ઓસ્ટ્રેલિયાના ૮૮ નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં, તે પહેલો અર્થ. અંગ્રેજીમાં ‘૮’ના આંકડાનો કદી છેડો આવતો નથી. એટલે કામગીરીની અનંતતા આઠના આંકડા દ્વારા સૂચવાતી હતી. ઉપરાંત અંગ્રેજી આઠનો હાથકડી જેવો આકાર પણ ઘ્યાને લેવાયો હતો.

‘ડીટેચમેન્ટ ૮૮’ માટે કામની કમી ન હતી. પાકિસ્તાનની મેરિયટ હોટેલમાં આ વર્ષે થયો, એવો આત્મઘાતી હુમલો ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તાની મેરિયટ હોટેલ પર ૨૦૦૩માં થયો હતો. ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયાની એલચી કચેરીની બહાર કારબોમ્બથી હુમલો થયો અને ૨૦૦૫માં ફરી બાલીનાં બે રેસ્ટોરાંમાં વિસ્ફોટ. આ હુમલા ઇન્ડોનેશિયા-અમેરિકાના સહિયારા પ્રયાસો જેવા ‘ડીટેચમેન્ટ ૮૮’ માટે ખુલ્લા પડકાર હતા, પણ એ ટુકડી હાથ જોડીને બેઠી ન હતી. તેણે ૩૦૦થી પણ વધારે ત્રાસવાદીઓની ધરપકડ કરી. બે મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓમાંથી એક- અઝહરી બિન હુસૈન ‘ડીટેચમેન્ટ ૮૮’ સાથે સામસામા ગોળીબારમાં ઠાર થયો, બાલી બોમ્બિંગના ચાર સૂત્રધારો સહિત ‘જીમા ઇસ્લામીયા’ના ૩૦૦થી પણ વઘુ સભ્યોને જેલભેગા કરવામાં આવ્યા.

લશ્કરનો મજબૂત ટેકો ગુમાવી બેઠેલા ઇન્ડોનેશિયાના પ્રમુખ સુહાર્તોએ વિવિધ ઉદ્દામવાદી મુસ્લિમ સંગઠનોને આર્થિક અને રાજકીય રીતે પોષ્યાં. ૨૦૦૪ની ચૂંટણીમાં યુધોનોયો ઇન્ડોનેશિયાના પ્રમુખ બન્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઇસ્લામના નામે ચાલતો ત્રાસવાદ ફક્ત પાશ્ચાત્ય દેશો માટે નહીં, ઇન્ડોનેશિયા માટે પણ ખતરારૂપ છે. તેમણે અમેરિકાવિરોધી લાગણીમાં ઘી હોમવાને બદલે ત્રાસવાદી હુમલામાં મૃત્યુ પામતા ઇન્ડોનેશિયાના લોકોની વાત કરી.

એનો અર્થ એવો નથી કે યુધોનોયો દૂધે ધોયેલા છે. સત્તા ટકાવી રાખવા માટે તેમને ઉદ્દામવાદી મુસ્લિમ સંગઠનો સાથે સારા સંબંધ રાખવા પડે છે. હજરત મહંમદને છેલ્લા પેગંબર ન ગણતા અને આશરે ૨ લાખ અનુયાયીઓ ધરાવતા અહમદીયા મુસ્લિમ સંપ્રદાયને યુધોનોયોએ ઉગ્રવાદી મુસ્લિમોના ભારે દબાણ પછી ઇન્ડોનેશિયામાં પ્રતિબંધિત કરવો પડ્યો છે. (પાકિસ્તાનમાં તેની પર પહેલેથી પ્રતિબંધ છે.) આ પગલાની ટીકા પણ મોટા પાયે થઇ છે.

ત્રાસવાદનો સત્તાવાર ઢબે સ્વીકાર અને તેના વિરોધની કલ્પના પાકિસ્તાનના સંદર્ભે થઇ શકે? પાકિસ્તાની શાસકો અલ કાઇદા સહિત ત્રાસવાદી જૂથોના પ્રભાવનો સ્વીકાર કરતા ન હોય, ત્યાં એની સામે લડવા માટે ‘ડીટેચમેન્ટ ૮૮’ બનાવવાનો કે ત્રાસવાદી સંગઠનોના ૩૦૦-૪૦૦ સભ્યોને જેલમાં પૂરવાનો સવાલ રહેતો નથી. પાકિસ્તાન એવો ભ્રમ સેવે છે કે ત્રાસવાદથી એ ભારતને ખોખલું કરી નાખશે. હકીકતમાં ભારત પરનો દરેક ત્રાસવાદી હુમલો પાકિસ્તાનની વઘુ ને વઘુ પનોતી નોતરશે. મુંબઇ પરના હુમલાથી શરૂઆત થઇ ચૂકી છે. પાકિસ્તાન મને કે કમને ઇન્ડોનેશિયાના રસ્તે ન ચાલે, તો ભવિષ્યમાં ત્રાસવાદીઓ કે ભારત કરતાં પહેલાં, અમેરિકા અને યુરોપના દેશોના હાથે પાકિસ્તાન પાયમાલ થઇ જશે.

ત્રાસવાદનો મુકાબલો
કટ્ટરતાની વિચારસરણીને વરેલા ત્રાસવાદીઓ સાથે કેવી રીતે કામ પાડવું એ ત્રાસવાદની સમસ્યા ધરાવતા સૌ દેશો માટે મૂંઝવનારો સવાલ છે. અમેરિકાએ ત્રાસવાદનો જવાબ ત્રાસવાદથી આપીને સરવાળે ત્રાસવાદને વૈશ્વિક સ્તરે ઉત્તેજન આપ્યું છે. ભારત જેવી ઢીલીઢસ નીતિ ત્રાસવાદ સામે ન ચાલે, એ પણ હકીકત છે. આ બાબતમાં પણ ઇન્ડોનેશિયાનું વલણ વિશિષ્ટ છે. તે ‘ચૌદમા રતન’ (અત્યાચાર)નો પ્રયોગ કરવાને બદલે સમજાવટ અને કાનૂની કાર્યવાહી જેવાં બાકીનાં રતનનો ઉપયોગ કરે છે. ફક્ત શંકાના આધારે ધરપકડ કરીને શકમંદો પર અત્યાચાર ગુજારવાનો અને પછી તેમને નિર્દોષ છોડી મુકવાનો ભારતીય કે અમેરિકન તરીકો ઇન્ડોનેશિયાએ અપનાવ્યો નથી. સાથોસાથ, ત્રાસવાદના કેસ ઝડપથી ચાલે એ માટેની અદાલતી વ્યવસ્થા ત્યાં છે. તેમાં એક વાર અપરાધ પુરવાર થઇ જાય, પછી દયા-માયાને કે માનવીય ચર્ચાને કોઇ સ્થાન નથી.

બાલી બોમ્બવિસ્ફોટ કેસના ચાર આરોપીઓ સામે ગુનો સાબીત થતાં, તેમાંથી ત્રણને આ વર્ષના નવેમ્બર મહિનામાં ફાયરિંગ સ્ક્વોડ સામે ઊભા રાખીને ગોળીએ દેવામાં આવ્યા. સજાની પદ્ધતિમાં ફેરફાર કરવાની આરોપીઓની વિનંતીને પણ ફગાવી દેવામાં આવી. ૮૮ ટકા મુસ્લિમ વસ્તી અને ઉદ્દામવાદનું વધતું જોર ધરાવતા દેશમાં ઇસ્લામના નામે ત્રાસવાદ ફેલાવતા ૩ મુસ્લિમોને ફાયરિંગ સ્ક્વોડ સામે ઊભા રાખી દેવાનું લાગે છે એટલું સહેલું નથી. છતાં, ઇન્ડોનેશિયામાં તે શક્ય બન્યું. તેનું એક સંભવિત કારણ એ ગણાય કે તેનું ‘રેડીકલાઇઝેશન’ (ઉદ્દામીકરણ) થઇ રહ્યું હોવા છતાં, હજુ તે ‘મુસ્લિમ દેશ’ બન્યો નથી.

ચારમાંથી ત્રણ આરોપીને કેમ મૃત્યુદંડ અને એકને કેમ જન્મટીપની સજા? એના જવાબ માટે ઇન્ડોનેશિયાની બીજી, અમેરિકા-ભારત જેવા દેશોને વિરોધાભાસી લાગે એવી, લાક્ષણિકતા જાણવી પડેઃ ત્રાસવાદીઓ સામે તે યુદ્ધના ઝનૂનથી નહીં, પણ ‘સોફ્ટ’ રીતે - નરમાશથી વર્તવામાં માને છે. ‘જીમા ઇસ્લામીયા’ના પકડાયેલા તમામ સભ્યોને ઉદારમતવાદી મુસ્લિમ મૌલવીઓ ધર્મોપદેશ આપે છે, તેમને ઇસ્લામનો સાચો મર્મ સમજાવે છે અને આતંકના રસ્તેથી પાછા વળવા જણાવે છે. આ રીતે ત્રાસવાદ તજીને સરકારની સહાય કરવા તૈયાર થયેલા લોકોને જેલમાંથી તત્કાળ મુક્તિ મળી જતી નથી, પણ તેમના પરિવારની સારસંભાળ અને તેમનાં બાળકોના શિક્ષણની જવાબદારી સરકાર ઉપાડે છે. અત્યાર સુધી આવી રીતે ત્રાસવાદના માર્ગેથી પાછા વળનારાની સંખ્યા બહુ મોટી નથી. છતાં, દસ-વીસ જણને આ રસ્તેથી પાછા વાળી શકાય, તેમાં સરકારને ‘સોફ્ટ’ વર્તન વસૂલ લાગે છે.

રીઢા ત્રાસવાદીઓ મરણ પછી પણ ત્રાસવાદનો સંદેશ આપવાનું ચૂકતા નથી, તે ફાયરિંગ સ્ક્વોડની સજા પામેલા એક ત્રાસવાદીના વસિયતનામા પરથી સ્પષ્ટ થયું છે. ઇમામ સમુદ્ર નામના એ ત્રાસવાદીએ વસિયતમાં મુસ્લિમોને ઉદ્દેશીને કહ્યું છે કે ‘તમારાં બાળકોને ત્રાસવાદી બનાવજો.’ બીજી તરફ, બાલી બોમ્બવિસ્ફોટ કરનારા ચારમાંથી એક ગુનેગાર અને ફાયરિંગ સ્ક્વોડની સજા પામનાર અમરોઝીના ભાઇ અલી ઇમરોને પશ્ચાતાપ વ્યક્ત કરતાં તેને મૃત્યુદંડમાંથી માફી આપીને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે.

ઇન્ડોનેશિયાની ત્રાસવાદ સામેની લડાઇ વધતા ઉદ્દામવાદને કારણે કઠણ થતી જાય છે. છતાં, ૨૦૦૫ પછી ત્યાં ત્રાસવાદની એક પણ ઘટના બની નથી, એ હકીકત છે. ૯/૧૧ પછી એક પણ હુમલો ન થયાની વાત કરતા પરંતુ છાશવારે ત્રાસવાદી હુમલાની એલર્ટ વચ્ચે ભયગ્રસ્ત જીવન જીવતા અમેરિકા કરતાં ઇન્ડોનેશિયાની સિદ્ધિ વધારે મોટી ન ગણાય?

મુસ્લિમો માટે નેતાગીરીનો આદર્શઃ બાદશાહખાન

અખંડ ભારતના મુસ્લિમ સમાજની એ કઠણાઇ કહેવાય કે તેમને આઝાદી પહેલાંના સમયગાળામાં કોઇ ગાંધી-આંબેડકર ન મળ્યા. બિનસાપ્રદાયિકમાંથી સગવડીયા કોમવાદી બનેલા મહંમદઅલી ઝીણા અને લિયાકતઅલીખાનથી માંડીને કોમવાદી માનસિકતા ધરાવતા અલીબંઘુઓ મુસ્લિમોમાં વ્યાપક સ્વીકૃતિ ધરાવતા નેતા બન્યા, જ્યારે રાષ્ટ્રીય સ્તરે મૌલાના આઝાદથી માંડીને સ્થાનિક સ્તરે બદરૂદ્દીન તૈયબજી જેવા નેતાઓ એમના પોતાના સમાજમાં મોટો પ્રભાવ ઊભો કરી શક્યા નહીં. બાદશાહખાન આ બન્ને પ્રકાર કરતાં જુદા હતા. પરંતુ તેમનું મહત્ત્વ અને મહત્તા સમજવા માટે વીસમી સદીના હિંદુ-મુસ્લિમ સંઘર્ષની અછડતી રૂપરેખા ઉપયોગી થાય એમ છે.
૧૮૫૭ના સંગ્રામમાં હિંદુ-મુસ્લિમોની સંયુક્ત તાકાત જોઇને અંગ્રેજોએ મુસ્લિમોને રીતસર હાંસિયામાં ધકેલવાનું શરૂ કર્યું હતું. (દા.ત. લશ્કરમાં તેમની ભરતી બંધ કરી દીધી) મુસ્લિમોમાં ધાર્મિક સિવાયના શિક્ષણનો પ્રશ્ન ગંભીર હતો, જ્યારે હિંદુઓ ઝડપથી ‘સાહેબની ભાષા’ (અંગ્રેજી) શીખીને, અંગ્રેજ વ્યવસ્થામાં ગોઠવાઇ રહ્યા હતા. અંગ્રેજોએ સભાનતાપૂર્વક અપનાવેલી નીતિ અને સરેરાશ મુસ્લિમોમાં નવા જમાનાને અનુરૂપ શિક્ષણના અભાવને કારણે હિંદુ-મુસ્લિમો વચ્ચેનું સામાજિક અંતર વધતું ગયું.

મુસ્લિમો શિક્ષણને કારણે પાછળ રહી ન જાય એ માટે સર સૈયદ અહમદે ૧૮૭૫માં ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી’ની સ્થાપના કરી. (એ વખતે તેનું નામ ‘મોહમેડન એન્ગ્લો-ઓરિએન્ટલ કોલેજ’ હતું) તે શિક્ષિત મુસ્લિમોની ચેતનાનું એક કેન્દ્ર પણ બની. છતાં, અંગ્રેજો દ્વારા થતા અન્યાય અને બીજા વર્ગોની - ખાસ કરીને હિંદુઓની પ્રગતિ જોઇને સામાન્ય મુસ્લિમોનો માનસિક કચવાટ વધી રહ્યો હતો. વીસમી સદીના આરંભના અને વિશેષતઃ ગાંધીજીના આગમન પછીના સમયમાં, અંગ્રેજોએ મુસ્લિમોની અસલામતીનો પૂરો લાભ ઉઠાવ્યો અને તેમનો ઉપયોગ ગાંધી તથા કોંગ્રેસને ઉલઝાવવામાં કર્યો. અસલામત મનોદશાથી ગ્રસ્ત બહુમતિ મુસ્લિમોને અંગ્રેજ શાસકોએ એવું માનતા કરી દીધા કે તેમની આ અવદશા પ્રગતિ કરી રહેલા હિંદુઓને આભારી છે અને આવું જ ચાલશે તો ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય અંધકારમય છે.

રાજકારણ અને સમાજકારણના આ પ્રવાહો વચ્ચે અખંડ ભારતના સરહદ પ્રાંતમાં ઝનૂની પઠાણોની વચ્ચે, બાદશાહખાન એક એવા નેતા તરીકે ઉભર્યા, જેમની સરખામણી ગાંધીજી સિવાય ભાગ્યે જ બીજા કોઇ નેતા સાથે થઇ શકે. ગાંધીજી કરતાં ૨૧ વર્ષ મોડા ૧૮૯૦માં જન્મેલા ખાન અબ્દુલ ગફ્ફારખાને મુસ્લિમ મઝહબી નેતાગીરીની એવી મિસાલ ઊભી કરી, જેની આજે એક સદી પછીના વિશ્વમાં સૌથી વધારે જરૂર છે.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના તમામ નેતાઓ કરતાં સૌથી આકરો જેલવાસ, પોલીસના અત્યાચાર અને યાતના વેઠનારા બાદશાહખાને પઠાણોને હિંસા છોડીને અહિંસાના માર્ગે ચલાવવાનું અને તેમને શિક્ષિત કરવાનું જીવનકાર્ય ઉપાડ્યું. એ વખતે તેમની મુલાકાત ગાંધીજી સાથે થઇ ન હતી. ૧૯૦૧માં અંગ્રેજ સરકારે પંજાબમાંથી સરહદ પ્રાંત (નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ)ને અલગ કર્યો ન હોત તો કદાચ બાદશાહખાન ‘સરહદના ગાંધી’ નહીં, પણ ‘પઠાણોના ગાંધી’ તરીકે ઓળખાયા હોત.

પોતાના વતન અને પ્રાંતમાં વિદ્યાલયો શરૂ કરવાની ગફ્ફારખાનની પ્રવૃત્તિથી અંગ્રેજો એટલા અકળાતા હતા કે તેમણે ગફ્ફારખાનના પિતાને બોલાવીને સમજાવ્યા,‘લોકો આરામથી બેઠા છે ને તમારો દીકરો ગામડે ગામડે ફરી નિશાળો ખોલી રહ્યો છે. એને કહો કે શાંતિથી ઘરે બેસે.’

પિતાએ ઘરે આવીને આ વાત કહી, એટલે ગફ્ફારખાને વળતો સવાલ કર્યો,‘તમે કોઇને નમાજ ન પઢવાનું કહેશો?’
‘એ કેવી રીતે બને? નમાજ તો આવશ્યક કર્તવ્ય છે.’
ગફ્ફારખાન કહે,‘એ જ પ્રમાણે વિદ્યાપ્રસાર અને જાતિની સેવા આવશ્યક કર્તવ્ય છે.’
બાદશાહખાન માનતા હતા કે ‘હિંદુઓ અને મુસ્લિમો કરતાં શીખોમાં વધારે ધર્મભાવ છે. કારણ કે તેમનો ધાર્મિક ગ્રંથ માતૃભાષામાં છે. એટલે તેના શબ્દોના અર્થ તે બરાબર સમજી શકે છે. આપણે- હિંદુ અને મુસલમાન- જે ભાષામાં ઇશ્વરભક્તિ કરીએ છીએ, તે ભાષા પૂરી સમજતા નથી.’ ગાંધીજી સાથેની ચર્ચામાં એક વાર તેમણે કહ્યું હતું, ‘દરેક ધર્મના આચારમાં ધર્મ જ્યાં પેદા થયો હોય એ વિસ્તારની ખાસિયતો આવે. સ્વચ્છતાનું દરેક ધર્મમાં મહત્ત્વ છે. હિંદુ ધર્મ પાણીની છત ધરાવતા નદીકાંઠાના વિસ્તારોમાં વિકસ્યો હોવાથી તેમાં દરેક પવિત્ર કામ કરતાં પહેલાં નહાવાનો મહિમા છે. જ્યારે પાણીની અછતવાળા રણપ્રદેશમાં વિકસેલા ઇસ્લામમાં કંઇ નહીં તો અઠવાડીયે એક વાર સ્વચ્છતાથી નહાવાની વાત છે. એનો અર્થ એવો થોડો થાય કે મુસલમાનોએ રોજ ન નહાવું અને રોજ નહાય તે ખરો મુસલમાન ન કહેવાય?’

બાદશાહખાને સ્થાપેલા ખુદાઇ ખિદમતગારોના સંગઠન વિશે આઠમા-દસમા ધોરણના ઇતિહાસમાં આવતી ટૂંકનોંધ પૂરતી નથી. વાતે વાતે ખૂનખરાબા પર ઉતરી પડતા - અને અત્યાર સુધી પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બની રહેલા પઠાણોને તેમણે શીખવ્યું કે ‘ખુદાને ખુદને ખિદમતની જરૂર નથી. તેથી ખુદાની સૃષ્ટિ (મખલૂક)ની સેવા એ જ ખુદાની સેવા છે. હું માનવમાત્રની સેવા કશાય સ્વાર્થ વિના ખુદાની ખાતર કરીશ. હું હિંસા નહીં કરૂં અને કોઇ રીતે વેરનો બદલો નહીં લઊં.’ ખુદાઇ ખિદમતગારોની આ પહેલી પ્રતિજ્ઞા હતી

અહિંસક રીતે સમાજસુધારાની અને લોકજાગૃતિની પ્રવૃત્તિ કરતા ખુદાઇ ખિદમતગારો પર અંગ્રેજ સરકારે સિતમો વરસાવ્યા. છતાં મુસ્લિમ લીગને તેની કશી પરવા ન હતી. કારણ કે ખુદાઇ ખિદમતગારોને ‘પાકિસ્તાન’માં રસ ન હતો. બાદશાહખાનને કહ્યું હતું, ‘આપણી લડાઇ અંગ્રેજો સામે છે ને મુસ્લિમ લીગ અંગ્રેજો સામે લડવાની તાકાત ધરાવતી નથી. અંગ્રેજોએ તેમને હિંદુઓ જોડે લડાવવા ને ભિડાવવા માટે સુરક્ષિત રાખ્યા છે.’ કોંગ્રેસે ખુદાઇ ખિદમતગારોને રાષ્ટ્રીય આંદોલનમાં સાંકળીને બદલામાં તેમને ટેકો આપ્યો. ગાંધીજી સરહદ પ્રાંતની મુલાકાતે પણ ગયા. પરંતુ કોંગ્રેસે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને ટેકો આપ્યો ત્યારે બાદશાહખાને તેમાંથી રાજીનામું આપી દીઘું. ભાગ્યે જ નમાજ ચૂકતા આ મજહબી નેતાએ કહ્યું,‘અમારે દુનિયામાં કોઇની સાથે લડાઇ નથી...અમારો નિયમ કોઇની કતલ કરવાનો નહીં, જાતનું બલિદાન આપવાનો છે.’

બાદશાહખાનના ભાઇ ડો.ખાનસાહેબનાં પત્ની વિદેશી હતાં. તેમના ધર્મ વિશે ગાંધીજીએ એક વાર બાદશાહખાનને પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું,‘એ મુસ્લિમ છે કે ખ્રિસ્તી એની તો મને ખબર નથી, પણ લગ્ન કર્યા પછી તેમણે ધર્મપરિવર્તન કર્યું નથી એટલું હું જાણું છું. લગ્નને ધર્મ સાથે-વ્યક્તિની શ્રદ્ધા સાથે શી લેવાદેવા?’ ગાંધીજીએ આ જવાબ માટે આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું,‘આ બાબતમાં ઘણા લોકો તમારા જેવું નહીં વિચારતા હોય.’ બાદશાહખાને તરત કહ્યું,‘એ જ તો વાંધો છે. ઇસ્લામનો સાચો મિજાજ ઓળખનારા કેટલા છે? મોટા ભાગની તકરારો પાછળનું કારણ આ જ છે. તેનો લાભ લઇને હિત ધરાવતા પક્ષો બન્ને બાજુના પૂર્વગ્રહો અને લાગણી ઉશ્કેરીને પોતાનું કામ કઢાવી લે છે.’

ભાગલા પડ્યા ત્યારે કોંગ્રેસે ખુદાઇ ખિદમતગારોને મુસ્લિમ લીગના ભરોસે (બાદશાહખાનના પ્રખ્યાત શબ્દોમાં ‘વરૂઓના ભરોસે’ છોડી દીધા. આઝાદી પહેલાં અંગ્રેજ શાસકોએ પઠાણોને આઠ ભૌગોલિક વિસ્તારોમાં વહેંચીને તેમને લડાવ્યે રાખ્યા હતા. આઝાદી પછી એ કામ મુસ્લિમ લીગની સરકારે કર્યું. પઠાણોના ‘પખ્તૂનિસ્તાન’નું સ્વપ્ન જોવા બદલ બાદશાહખાનને પંદરેક વર્ષ પાકિસ્તાનની જેલમાં ગાળવાં પડ્યાં. લાંબા સંઘર્ષ પછી ૯૮ વર્ષની વયે, ૨૦ જાન્યુઆરી, ૧૯૮૮ના રોજ તેમનું અવસાન થયું. પણ તેમણે રજૂ કરેલો ઇસ્લામી નેતાગીરીનો આદર્શ ગાંધીજીએ રજૂ કરેલા સર્વધર્મસમભાવ અને અહિંસાના આદર્શની હારોહાર ઊભો રહે એવો છે. ગાંધીની જેમ બાદશાહખાન પણ વર્તમાન સમાજમાં અપ્રસ્તુત થવાના નથી.

Saturday, December 13, 2008

નગેન્દ્રવિજયની અણનમ અડધી સદી



ગુજરાતી પત્રકારત્વમાં પચાસ વર્ષ સ્વમાનભેર અને પોતે જે કરવું હોય તે જ કરીને પૂરાં કરવાં, એ કેટલી મોટી સિદ્ધિ છે તેનો ખ્યાલ બિનગુજરાતી કે બિનપત્રકારોને ભાગ્યે જ આવે. ‘જો મિલ ગયા ઇસીકો મુકદ્દર સમજ લીયા’ની ફિલસૂફી ધરાવતા ગુજરાતી વાચકોએ બિચારાએ કદી ધોરણનો આગ્રહ રાખ્યો નથી. જે અને જેવું મળ્યું તેવું ચૂપચાપ વાંચી લીઘું છે અને એ ખરેખર બહુ ખરાબ હોય તો તેને વખાણ્યું પણ છે!

પત્રકારોને મળતા પગાર કે મહેનતાણાની શી કરવી? છેલ્લા પાંચ-સાત વર્ષના પ્રવાહોને બાદ કરતાં, ભલભલા લેખકોને ત્રણ આંકડામાં ‘પુરસ્કાર’ મળતા હતા અને એક લેખના એક હજાર રૂપિયા આસમાની રકમ ગણાતી હતી.
લગે હાથ પત્રકારોની કક્ષાની વાત પણ અસ્થાને નથી. ‘જૂના બધા સારા અને નવા બધા ખરાબ’ એવા સામાન્યીકરણથી બચીએ તો પણ, એકંદરે જૂના પત્રકારોમાં મહેનત કરવાની વૃત્તિ પ્રમાણમાં વધારે હતી, સંઘર્ષ વધારે હતો અને કંઇક કરી બતાવવાની- સમાજ માટે કંઇક કરી છૂટવાની થોડીઘણી ભાવના પણ ખરી.
આવા સંજોગોના સંગમમાં પોરબંદરના મેજિસ્ટ્રેટમાંથી પૂર્ણસમય લેખક બનેલા ‘વિજયગુપ્ત મૌર્ય’- વિજયશંકર વાસુના પુત્ર નગેન્દ્રવિજયે ૧૪ વર્ષની ઊંમરે કલમ હાથમાં પકડી, ત્યારે ગુજરાતી પત્રકારત્વના એક અતુલનીય, અભૂતપૂર્વ પ્રકરણનો આરંભ થયો. ૧૫ ડિસેમ્બર, ૨૦૦૮, સોમવારના રોજ નગેન્દ્રવિજય ૬૫મા વર્ષમાં પ્રવેશ કરશે. ગુજરાતી પત્રકારત્વમાં તેમની કામગીરીનું આ પચાસમું વર્ષ ચાલી રહ્યું છે.

જન્મભૂમિ પ્રવાસી, વેણી, મુંબઇ સમાચાર, ગુજરાત મિત્ર, અભિયાન, શ્રીરંગ, ગુજરાત સમાચાર, સંદેશ- આ બધાં અખબારો-સામયિકોમાં નગેન્દ્રવિજયની કલમે જે ઠલવાયું છે- ના, જે પીરસાયું છે- તેની તુલના કોઇ પણ ગુજરાતી પત્રકારના પ્રદાન સાથે થઇ શકે એમ નથી. ગુજરાતી ભાષા અને પ્રજા માટે શરમની વાત એ છે કે તેણે સાહિત્યમાં જે સ્થાન ‘કુમાર’ કાઢનારા બચુભાઇ રાવતને આપ્યું, એવું જ- એની બરાબરીનું, પણ જ્ઞાનવિજ્ઞાનના પત્રકારત્વનું સ્થાન- નગેન્દ્રવિજયને આપ્યું નથી. પરંતુ એ ગુજરાતનો પ્રોબ્લેમ છે, નગેન્દ્રભાઇનો નહીં!

બહારનાં પ્રકાશનો માટે નગેન્દ્રભાઇએ લખેલી સામગ્રીની વિપુલતા, વૈવિઘ્ય અને ગુણવત્તાનો મુકાબલો એક જ રીતે થઇ શકેઃ સામેના પલ્લામાં નગેન્દ્રવિજયનાં પોતાનાં પ્રકાશનો - ન્યૂઝવીકલી ‘ફ્લેશ’, અભૂતપૂર્વ વિજ્ઞાન સામયિક ‘સ્કોપ’ અને ‘બુદ્ધિશાળી બાળકોનું’ મટીને ઘણાં વર્ષોથી ‘બુદ્ધિશાળી બાળકોનું’ બનેલું ‘સફારી’ - આ ત્રણેની સામગ્રી મુકવી પડે.

નગેન્દ્રવિજયનાં પ્રકાશનો એટલે ૧૦૦ ટચની, ગેરન્ટેડ ગુણવત્તા. ‘સચ, સચ કે સિવા કુછ ભી નહીં’ - એવી તેમની શાખ. ગુજરાતીમાં પ્રકાશનોમાં ‘લે-આઉટ’ એટલે શું એની જ્યારે કોઇને ખબર પડતી ન હતી (એનો અર્થ એ નથી કે અત્યારે બધાને ખબર પડે છે!) ત્યારે સ્કોપમાં ચાર્ટ-ડાયાગ્રામ-બોક્સ અને મોટાં પોસ્ટર આવતાં હતાં. ‘હોબી’ વિભાગ મારા જેવા ઘણા વાચકોનો સૌથી પ્રિય હતો. બાકીની બાબતોમાં એ વખતે ‘પીચ પડવાની’ શરૂઆત હતી. ‘બ્રહ્માંડના ભમ્મરીયા કૂવાઃ બ્લેકહોલ’ એવું ટાઇટલ ‘સ્કોપ’ના કવરપેજ પર વાંચીને એક કિશોર તરીકે, બ્લેકહોલની જાણકારીથી પણ પહેલાં એ વાતનો રોમાંચ થયો હતો કે ‘નગેન્દ્રવિજય જેવા મોટા લેખક મહેમદાવાદના ભમ્મરીયા કૂવા વિશે જાણે છે! તેને વિશેષણ તરીકે વાપરે છે!’

કેટલાક લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે ‘એમાં શું? નગેન્દ્રભાઇ સારૂં લખે જ ને! એમની લાયબ્રેરી કેટલી મોટી છે?’ એમના અત્યાર સુધી લેવાયેલા કદાચ એકમાત્ર સત્તાવાર ઇન્ટરવ્યુ - ખરેખર તો અનૌપચારિક પણ રેકોર્ડેડ વાતચીત દરમિયાન- એમને મેં આ વાત કહી ત્યારે એમણે નગેન્દ્રવિજય સ્પેશ્યલ શૈલીમાં કહ્યું હતું,‘એમ તો મારા કરતાં જન્મભૂમિ પ્રવાસીની લાયબ્રેરી વધારે મોટી છે...’

લેખક તરીકે નગેન્દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિંગથી માંડીને એઇડ્સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્સ પ્લાન્ક સુધીના વૈવિઘ્યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી. નગેન્દ્રભાઇ માહિતી ઠાલવતા નથી. એમની પાસેથી આવતો એકેએક શબ્દ ‘પ્રોસેસ્ડ’ સ્વરૂપે આવે છે, જે દરેક કક્ષા ધરાવતા વાચકને સહેલાઇથી ગળે ઉતરી જાય છે અને વાંચનારમાં આત્મવિશ્વાસ પ્રગટાવે છેઃ‘અરે, આ તો મને પણ સમજણ પડી.’

એકાદ-બે વર્ષ પહેલાં મેં ‘અહા! જિંદગી’ સામયિક માટે તેમનો ઇન્ટરવ્યુ કર્યો હતો અને ‘ભાસ્કર’ જૂથના વિશેષ પ્રકાશન ‘ઉત્સવ’માં નગેન્દ્રભાઇના જૂના સાથીદાર દેવ ગઢવીની કાર્ટૂનકલા વિશેનો મેં દોઢેક વર્ષ પહેલાં કરેલો તેમનો ઇન્ટરવ્યુ પણ છપાયો હતો. (અહીં એ ઇન્ટરવ્યૂની સામગ્રી અનુકૂળતાએ મુકીશ.) અમદાવાદના સીટી મેગેઝીન ‘સીટીલાઇફ ન્યૂઝ’ના કામ માટે એકાદ વર્ષ તેમની સાથે કામ કરવાનું મળ્યું, તેને અંગત રીતે મારા માટે બહુ મોટી અને જેમાં મારી કોઇ કમાલ ન હોય એવી ઉપલબ્ધિ ગણું છું.

નગેન્દ્રભાઇ વિશે ભાગ્યે જ વાંચવા-સાંભળવા મળે છે. સામાજિક સંબંધોથી પસંદગીપૂર્વક અલિપ્ત રહેનારા નગેન્દ્રભાઇએ કેવળ ને કેવળ જ્ઞાનપ્રસારને લક્ષ્ય બનાવીને ગુજરાતી પત્રકારત્વ જેવી દુર્ગમ અને અકારી- ‘ઇનહોસ્પિટેબલ’ જગ્યાએ પચાસ વર્ષ કાઢી નાખ્યાં છે, તે કોના માટે? આપણા માટે જ, વાચકો! મારા-તમારા જેવા વાચકોને જ્ઞાનસમૃદ્ધ કરવા માટે જ! આપણી જિંદગી પર એમનું બહુ મોટું ઋણ છે. હવે તેમનો પુત્ર હર્ષલ પુષ્કર્ણા નગેન્દ્રભાઇની સાથે જોડાઇને તેમનું મિશન આગળ વધારી રહ્યો છે. નગેન્દ્રભાઇના જીવનના લાંબા પરીક્ષાકાળનાં સાથીદાર દક્ષાબહેને પણ તેમને સતત હસતા મોંએ ટેકો આપીને નગેન્દ્રભાઇને ન નડવા ઉપરાંત, સક્રિય સહાય પણ કરી છે.

૧૫ ડિસેમ્બરે નગેન્દ્રવિજયને ૬૫મું વર્ષ બેસશે, પણ આપણા વાચકો માટે પત્રકારત્વમાં તેમનાં ૫૦ વર્ષનો અવસર બહુ મોટો છે. એ નિમિત્તે તમારી લાગણી અહીં અથવા ‘સફારી’ની વેબસાઇટ પર અભિવ્યક્ત કરી શકાય છે. (http://www.safari-india.com/)

આપણી તો એટલી જ સ્વાર્થી શુભેચ્છા હોય કે નગેન્દ્રવિજય હજુ બીજાં પચાસ વર્ષ લખે અને તેમની અણનમ સદીની બ્લોગપોસ્ટ લખવા હું જીવતો હોઊં.

Thursday, December 11, 2008

ત્રાસવાદનો સામનો કેવી રીતે ન કરવો?

‘અફઝલ ગુરૂને ફાંસી અપાવી જ જોઇએ- સંસદ પર હુમલો કરવા બદલ નહીં, એ હુમલામાં નિષ્ફળ જવા બદલ!’

ગયા અઠવાડિયે મળેલા આ ‘સેલ-સંદેશ’ (એસએમએસ) પરથી થોડો અંદાજ આવી શકે છે કે મુંબઇ પરનો હુમલો સંસદ પરના હુમલા કરતાં વધારે ગંભીર કેમ ગણાયો. નેતાઓ પ્રત્યેના રોષ અને ‘મૂઆ મરતા!’ જેવા ડોશી-ઉદ્ગાર ઉપરાંત, એક કારણ એ પણ ખરૂં કે સંસદમાં બૌદ્ધિકો અને શેઠિયાઓ જલસાપટ્ટી કરવા જતા નથી, જ્યારે તાજ-ઓબેરોય ‘એમના’ અડ્ડા છે. એવા અડ્ડા, જ્યાં ભૂતકાળના ભયંકર ત્રાસવાદીઓ હુમલાઓ વખતે એમના રંગમાં ભંગ પડ્યો ન હતો. એ અડ્ડાના બહુમતિ બંધાણીઓ પોતાની મસ્તીમાં મસ્ત હતા.

‘દુનિયા એટલે અમેરિકા’ એવું માનતા જ્યોર્જ બુશ જુનિયરને જેમ ૯/૧૧ પછી બાકીના જગતના અસ્તિત્ત્વ વિશે ભાન થયું, એવું જ કંઇક તાજ-ઓબેરોયની ઘણીખરી ખાસજનતાના કિસ્સામાં બન્યું. એ લોકો માટે આ વખતનો ત્રાસવાદી હુમલો કોફી કે શરાબની ચુસ્કીઓ ભરતાં ભરતાં રસિક ચર્ચા કરવાનો મુદ્દો ન રહ્યો. કારણ કે એમાં ખાસજનતાના ઓળખીતા-સ્નેહી-પરિચિતો અસરગ્રસ્ત હતા. ત્રાસવાદના રક્તનો રેલો એમના પગ તળે પહેલી વાર આવ્યો અને એ છળી ઉઠ્યા.

‘દેશ’ એટલું શું? અથવા ‘દેશ એટલે કોણ?’ એ હજુ સુધી ન સમજ્યા હોય એવા લોકો માટે ત્રાસવાદી હુમલાએ જ્ઞાનનાં દ્વાર ખોલી આપ્યાં છે. સંખ્યાની રીતે અણુમતિ અને પ્રભાવની રીતે પ્રચંડ બહુમતિ ધરાવતા વર્ગને પહોંચેલી ચોટથી આખો દેશ આંદોલિત થઇ ઉઠ્યો છે. સર્વત્ર ત્રાસવાદના મુકાબલાની વાતો ચાલે છે.

સૌ પહેલાં લોકોનો ગુસ્સો (વાજબી રીતે) નેતાઓ પર ઉતર્યો. મુંબઇ પર આટલા ગંભીર હુમલા પછી મુખ્ય મંત્રી બદલવામાં અઠવાડિયું કાઢી નાખનાર કોંગ્રેસ કયા મોઢે નિર્ણયાત્મક બનવાની વાતો કરી શકે? અને સામાન્ય બુદ્ધિ ધરાવતો કયો માણસ તેનો ભરોસો કરે? ત્રાસવાદી હુમલા પછી મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમે કોંગ્રેસ માટે ઢાંકણીમાં - કે અરબી સમુદ્રમાં- ડૂબી મરવું પડે એવી સ્થિતિ ઊભી કરી છે.

ભાજપ કોંગ્રેસનું પ્રગટપણે કોમવાદી અડધીયું છે. કોંગ્રેસનો કોમવાદ એના હાડમાં- એની નસોમાં છે, ને ભાજપનો શરીર પર ચાઠાં-ઢીમણાં-ફોલ્લા-ખરજવા સ્વરૂપે. કોંગ્રેસ કોમવાદ છુપાવીને મતો માગે છે અને ભાજપ કોમવાદ વકરાવીને. એ સિવાય બન્ને વચ્ચે ભાગ્યે જ કશો તફાવત રહ્યો છે. આ સ્થિતિમાં આમ અને ખાસ- તમામ પ્રકારની જનતાને ત્રાસવાદનો મુકાબલો કરવાના અનેક તુક્કા સૂઝે છે. પોતાનો તુક્કો દરેકને તીર લાગે. એમાં વિચારધારા કે વ્યક્તિપૂજાનો રંગ ભળે તો ખાસ. ભક્ત સંગઠનો અને ભક્તવિશેષો આવી વખતે સક્રિય બનીને પોતપોતાના આરાઘ્ય પુરૂષ (કે સ્ત્રી)ને ‘આશાનું એકમાત્ર કિરણ’ ગણાવીને તેમનું બેશરમ માર્કેટિંગ કરવા મચી પડે છે. આવા ‘સેલ્સપર્સનથી સાવધાન’નું પાટિયું ગળામાં લટકાવીને, ત્રાસવાદના મુકાબલા માટે ચર્ચાતા કેટલાક વિકલ્પો જોઇએ.

પાકિસ્તાન પર હુમલો
તત્કાળ તાળીઓ મેળવી આપનારો વિકલ્પ છેઃ પાકિસ્તાન પર આક્રમણ. ‘આવું ક્યાં સુધી ચલાવી લેવાનું? એના કરતાં એક વાર ધડબડાટી બોલાવી દો. એટલે કાયમની નિરાંત.’ એવું આ વિકલ્પ સૂચવનારા કહે છે. પાકિસ્તાનનાં લક્ષણ અવળાં છે એ હકીકત છે. દાઉદથી માંડીને બીજા અનેક ભારતવિરોધી ગુંડાઓને તે આશરો, મદદ અને કદાચ સોપારી પણ આપતું હોય તો કહેવાય નહીં. પરંપરાગત રીતે ભારતદ્વેષ એ પાકિસ્તાનના રાજકારણનું મુખ્ય હથિયાર રહ્યું છે. છતાં, શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વ જેવા આદર્શની વાત ન છેડીએ તો પણ, વ્યૂહાત્મક દૃષ્ટિએ પાકિસ્તાન પર ભારતનું આક્રમણ લાગે છે એટલો સહેલો અને એવો અસરકારક વિકલ્પ નથી.

ભારત ધારો કે પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં ચાલતા ત્રાસવાદી કેમ્પ પર હવાઇ આક્રમણ કરે તો આંતરરાષ્ટ્રિય સ્તરે તેની પ્રતિક્રિયા ગંભીર આવે. અમેરિકા પણ લાંબા સમય સુધી આંખ આડા કાન કરી ન શકે. ધારો કે ભારત અમેરિકા અને ‘મિત્ર રાષ્ટ્રો’ને પોતાની સાથે રહેવા સમજાવી શકે, તો પણ પાકિસ્તાનને થોડોઘણો પાઠ ભણાવી શકાય- ત્રાસવાદીઓને નહીં.

પાકિસ્તાન ત્રાસવાદીઓને આશરો આપે છે, પણ ‘ત્રાસવાદીઓ એટલે પાકિસ્તાન’ એ સમીકરણ ભૂલભરેલું છે. ‘ઇસ્લામનાં વિકૃત અને સગવડીયાં અર્થઘટન કરીને ત્રાસવાદ ફેલાવનારા લોકો પાકિસ્તાનના કોઇ એક ઠેકાણેથી સઘળો દોરીસંચાર કરે છે ને એ ઠેકાણા પર ધડબડાટી બોલાવીશું, એટલે સૌ સારાં વાનાં થશે’ એવા ખ્યાલમાં રાચવાની જરૂર નથી. આ ત્રાસવાદીઓ પાકિસ્તાન-અફઘાનિસ્તાનથી માંડીને સોમાલિયા, નાઇજિરીયા, ઇન્ડોનેશિયા સહિત કેટલાય દેશોમાં થાણાં ધરાવે છે અથવા ત્યાં પગદંડો ધરાવતાં જૂથો સાથે સહયોગ સાધી શકે છે.

પાકિસ્તાન પર પૂરા કદના આક્રમણનું સ્વપ્ન આત્મઘાતી વિચાર છે. કારણ કે ભારત અણુશસ્ત્રોનો પ્રથમ પ્રયોગ નહીં કરવા માટે બંધાયેલું છે, જ્યારે પાકિસ્તાને એવું કોઇ બંધન સ્વીકાર્યું નથી. (ચીન એવા બંધનમાં હોવા છતાં એને ગમે ત્યારે ફગાવી શકે છે એ જુદી વાત થઇ.) ભાજપી-સંઘી વિચારધારાના લોકોના મનભાવન સ્વપ્ન તરીકે, પાકિસ્તાન પર અણુહુમલો કરીને ભારત તેને સાવ ખતમ કરી નાખે, એવો વિકલ્પ દિલબહેલાવ માટે ઠીક છે, પણ એવું કર્યા પછી આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતની કેવી દશા થાય એ વિચારવું જોઇએ.

અમેરિકાના દબાણથી ધારો કે પાકિસ્તાન ચુમાઇને બેસી રહે અને ભારત તેના ચુનંદા વિસ્તારો પર હુમલા કરે, તો તેનાથી પાકિસ્તાનમાં આંતરિક અસંતોષ એટલી હદે ફાટી નીકળે કે દેશનો પૂરેપૂરો દોર સૈન્ય અને આઇએસઆઇમાં રહેલાં ઝનૂની તત્ત્વોના હાથમાં જતો રહે. અમેરિકા પાકિસ્તાનને દબાવે, તેને ટેકો આપે અને પાકિસ્તાન ખુદ ઘરઆંગણે પથારા પાથરીને બેઠેલા ત્રાસવાદીઓનો સફાયો શરૂ કરે, એ સૌથી ઇચ્છનીય અને પરસ્પર હિતનો વિકલ્પ છે. ૯/૧૧ના હુમલા પછી મુશર્રફને એ રસ્તે ચાલવાની ફરજ પડી હતી. છતાં, આગળ કહ્યું તેમ, એ રસ્તે સફળતા ઓછી અને ‘કંઇક કર્યાનો સંતોષ’ વધારે પ્રમાણમાં મળે છે.

કરવાનાં અને ન કરવાનાં કામ
ગુપ્તચર એજન્સીઓની સજ્જતાથી માંડીને સુરક્ષા માટેનો ખર્ચ વધારવા સહિતના અનેક ઉપાયો સૂચવાઇ રહ્યા છે. એની ચર્ચામાં ટેકનિકલ અને વહીવટી સહિતનાં અનેક પાસાં સંકળાયેલાં હોવાથી, તેમને બાજુ પર રાખીને પ્રજા તરીકે આપણે ત્રાસવાદના મુકાબલાના નામે શું ન કરવું, એટલું અવશ્ય વિચારી શકીએ.

‘ઇસ્લામી ત્રાસવાદની સામે હિંદુ ત્રાસવાદ’ના સામસામા છેદ ઉડાડવામાં સાર નથી. કટ્ટર ઇસ્લામ કે કટ્ટર હિંદુત્વ ત્રાસવાદ માટેની પ્રેરણા હોઇ શકે છે. એટલા પૂરતું તેને ‘ઇસ્લામી ત્રાસવાદ’ કે ‘હિંદુ ત્રાસવાદ’નું લેબલ મારવામાં આવે એ યોગ્ય ન હોય તો પણ સ્વાભાવિક છે. પણ આપણી નિસબત અને વાંધો ઇસ્લામી કે હિંદુ ત્રાસવાદના પરિણામ સામે છે. ત્રાસવાદી કૃત્ય પાછળનું પ્રેરણાબળ હિંદુ હોય કે મુસ્લિમ, પણ ત્રાસવાદી કૃત્યનું પરિણામ માત્ર ને માત્ર ગંભીર ગુનો જ બને છે. તેને મુસ્લિમનો ગુનો કે હિંદુનો ગુનો લેખવાને બદલે ફક્ત ગંભીર ગુનો લેખીને યથાયોગ્ય સજા થવી જોઇએ.

સાઘ્વી પ્રજ્ઞાના કિસ્સામાં કેટલાક ઉત્સાહીઓએ શોધી કાઢ્યું કે ‘સાઘ્વી પર પોલીસે અત્યાચાર કર્યા ત્યારે દંભી સેક્યુલર કર્મશીલો ચૂપ રહ્યા.’ મુસ્લિમ ત્રાસવાદ સામે હિંદુ ત્રાસવાદને ‘૧ ગ્રામ સામે ૧ ટન’ના માપથી પણ ઓળખાવવામાં આવ્યો. ત્રાસવાદ માટે શબ્દાર્થમાં જુદાં જુદાં કાટલાં અને એ પણ તટસ્થતાના નામે!

સાઘ્વી પર પૂછપરછના નામે થતો અત્યાચાર બીજા અનેક મુસ્લિમો પર વારંવાર થતા એ જ પ્રકારના અત્યાચાર જેટલો જ ખરાબ અને વખોડવાને પાત્ર છે. ફરક એટલો કે સાઘ્વી પરનો કથિત અત્યાચાર વખોડવા ભાજપ-સંઘનું તંત્ર હાજરાહજૂર હતું, જ્યારે મુસ્લિમ શકમંદો પર અત્યાચાર થાય ત્યારે ‘દંભી સેક્યુલર કર્મશીલો’ તરીકે ગાળ ખાતા લોકો સિવાય બીજું કોઇ આગળ આવતું નથી. એટલા જુસ્સાથી તો નહીં જ.

પોતાના પગ નીચે રેલો આવે ત્યારે જ કાગારોળ મચાવનાર ભાજપી નેતાઓના ૧ ટન દંભને નજરઅંદાજ કરીને કે સહેજસાજ ટપારીને, કર્મશીલોના ‘દંભ’ પર ઝનૂનપૂર્વક તૂટી પડનારા હુમલાખોરોને શું કહીશું? પણ જવા દો. એમનું નામ પાડવામાં વખત બગાડવા જેવો નથી. એ આપણી પ્રાથમિકતા પણ નથી.

ત્રાસવાદના મુકાબલા માટે - અને શું ન કરવું જોઇએ એ માટે પણ- આપણી પ્રાથમિકતાઓ સ્પષ્ટ હોય એ જરૂરી છે. આપણી પ્રાથમિકતા ત્રાસવાદને લગતી દરેક સમસ્યા માટે ‘સેક્યુલર કર્મશીલો’ને ઝૂડ્યા કરવાની છે કે કોઇ પણ પ્રકારના ત્રાસવાદને ગંભીર ગુનો ગણીને તેની સામે યથાયોગ્ય-ઝડપી અને અસરકારક કાનૂની કાર્યવાહી કરવાની છે?

આપણી પ્રાથમિકતા ત્રાસવાદવિરોધી કાયદાનાં ગાજર લટકાવતા નેતાઓ પાછળ લાળ ટપકાવીને દોરાતા જવાની છે? કે ત્રાસવાદી હુમલાનાં નવાં ઠેકાણાં- નવી ગંગોત્રીઓ પેદા ન થાય અને સામાન્ય મુસ્લિમો કાયમી શકમંદ તરીકે વઘુ ને વઘુ હાંસિયામાં ન ધકેલાતા જાય એ જોવાની છે?

બિનસાંપ્રદાયિક કે સાંપ્રદાયિક, દંભી કે બિનદંભી, હિંદુ કે મુસ્લિમ, કોઇ પણ વ્યક્તિ આ દેશના કાયદાથી ઉપર નથી, એ સત્ય વારંવાર ધૂંટવાની જરૂર છે? કે આ બધા વચ્ચે વહાલાંદવલાંનાં ખેલ ખેલીને, ત્રાસવાદીઓ કરતાં વધારે અસરકારક રીતે દેશના ટુકડા થઇ રહ્યા છે, એ પ્રક્રિયાને અટકાવવાની જરૂર છે?

સૌએ બીજાને જવાબ આપતાં પહેલાં કે બીજાનો જવાબ માગતાં પહેલાં, પોતાની જાતને જ જવાબ આપવાની જરૂર છે.

Monday, December 08, 2008

મતિ અને સાબરમતી


ગુજરાતી પત્રકારત્વની દુનિયાના - ઘણા લોકો યોગ્ય રીતે જ કહે છે તેમ, પત્રકાર ‘આલમ’ના - અંગત ચોપડા ન ખોલવાનું સામાન્ય ધોરણ આ બ્લોગ માટે સ્વીકાર્યું છે. પરંતુ ગઇ કાલથી સંદેશની રવિવારની પૂર્તિમાં સૌરભ શાહની કોલમ ‘મારા જેલના અનુભવો’ મોટા ઉપાડે છપાય અને તેમાં લખનાર કે છાપનારના પક્ષે જરાસરખો પણ અપરાધભાવ ન હોય, એ નોંધપાત્ર છે. હર્ષદ મહેતા કે કેતન પારેખના જમાનામાં તેને આઘાતજનક કે આશ્ચર્યજનક તો કેમ કહેવાય?

આ તસવીરમાં મુકેલાં બે કટિંગ એન્લાર્જ કરીને તેમાંથી ડાબી બાજુના કટિંગ પર જરા ગૌર કરો. ખાસ કરીને તેની છેલ્લી લીટીઓ. આ કટિંગ ૧૬ જૂન, ૨૦૦૮ના ‘સંદેશ’નું છે. તેમાં લખ્યા પ્રમાણે, સૌરભ શાહે ‘વિચારધારા’ સામયિકની જાહેરાતો ‘સંદેશ’ દૈનિકમાં છપાવીને તેના બીલના રૂ.૧૩,૬૬,૫૬૦ નહીં આપીને છેતરપીંડી કરી હતી. આ અંગે પોલીસ સ્ટેશનમાં સંદેશના લીગલ ઓફિસર સુરેન્દ્રભાઇ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી.

હકીકતે, લવાજમ અને જાહેરાતોની રકમ બાબતે છેતરાયાની લાગણી અનુભવતા અને ફરિયાદ નોંધાવી ન હોય એવા લોકો મોટી સંખ્યામાં છે. પણ અહીં નોંધપાત્ર મુદ્દો એ છે કે ‘સંદેશ’ની ફરિયાદને આધારે સૌરભ શાહને સાબરમતી જેલમાં જવું પડ્યું.

ખરો ટિ્વસ્ટ એ છે કે તેમને જેલમાં મોકલનાર ‘સંદેશ’માં હજુ તો કેસ પણ પૂરો થાય તે પહેલાં, એમની કોલમ શરૂ થઇ છે. વક્રતા એ પણ ખરી કે સંદેશની એ પૂર્તિનું નામ ‘સંસ્કાર’ પૂર્તિ છે.

નીદા ફાઝલીની બે પંક્તિઓ છેઃ
સાત સમંદર પાર સે, કોઇ કરે વ્યાપાર
પહેલે ભેજે સરહદેં, ફિર ભેજે હથિયાર

ગુજરાતી પત્રકારત્વના સંદર્ભમાં કહી શકાયઃ
સાતોં દિન અખબારમેં, કોઇ કરે વ્યાપાર
પહેલે ભેજે જેલમેં, ફિર છાપે કટાર

સૌરભભાઇએ કોલમની શરૂઆતમાં મુકેલા લખાણમાં ‘ગુજરાતી ભાષામાં જેલના અનુભવો વિશે મૌલિક સાહિત્ય ઝાઝું નથી’ એવું કહીને ગાંધીજી, કાકાસાહેબ જેવા રાજકીય કેદીની સરખામણીમાં પોતાની જાતને ‘સામાન્ય’ અને ‘બિનરાજકીય’ કેદી તરીકે ઓળખાવી છે. આવી ઓળખ આપનાર અને છાપનાર બન્ને ધન્ય છે.

મિત્ર બિનીત મોદી કહે છે, દર ત્રણ દાયકે ગુજરાતી પત્રકારત્વના જેલસાહિત્યમાં નવો મોડ આવે છે. બેંતાળીસની ચળવળ પછી આપણને જયંતિ દલાલ જેવા કેદીઓ મળ્યા, જેમણે સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લઇને જેલ વેઠી. ૧૯૭૭માં કટોકટીના કારણે પ્રકાશ ન. શાહ અને વિષ્ણુ પંડ્યા જેવા પત્રકારો-લેખકોના જેલના અનુભવો આપણને મળ્યા અને હવે ૨૦૦૮માં? આર્થિક ઉચાપત બદલ જેલમાં ગયેલા સૌરભ શાહ પોતાના જેલના અનુભવો જણાવશે. જય હિંદ.

‘અર્ધી રાત્રે આઝાદી’ બ્લેકમાં! (અશ્વિની ભટ્ટ અમદાવાદમાં-૨)

જોડકાં નામ- લજ્જા સન્યાલ, શૈલજા સાગર, નીરજા ભાર્ગવ, આશકા માંડલ અને પછી એક-એક શબ્દ - ફાંસલો, આખેટ, કટિબંધ- નાં શીર્ષક ધરાવતી નવલકથાઓ લખનારા અશ્વિનીભાઇએ લેખકજીવનના આરંભે ઘણા અનુવાદો કર્યા. મુખ્યત્વે એલિસ્ટર મેકલીન જેવા લેખકોની ‘ચપોચપ વેચાતી’ નવલકથાઓના પોકેટબુકસ્વરૂપ અનુવાદો. પરંતુ અનુવાદોમાં તેમના માટે સૌથી યશોદાયી કૃતિ નીવડી ‘ફ્રીડમ એટ મિડનાઇટ’. તેનો ‘અર્ધી રાત્રે આઝાદી’ નામે કરેલો અનુવાદ સૌથી પહેલાં એક ચીલાચાલુ પ્રકાશકે છાપ્યો હતો.

એ ભાઇએ ‘અર્ધી રાત્રે આઝાદી’ની ૩,૨૫૦ કોપી છાપી. અશ્વિનીભાઇને મહેનતાણા પેટે- હા, મહેનતાણા પેટે જ- રૂ.૩૦૦૦ હજાર આપવાનું નક્કી થયું હતું, પણ તેમને રૂ.૧,૫૦૦ જ ચૂકવાયા. પછી અશ્વિનીભાઇ કહે છે તેમ, ‘ગાળાગાળી કરીને ગમે તે રીતે બાકીના વસૂલ કર્યા.’ મહેનતાણામાં ગોટાળા થશે એવો અંદેશો હોવાથી અશ્વિનીભાઇએ ૫૦ કોપી પહેલેથી અંકે કરી લીધી હતી.

એક નકલની કિંમત ૪૫ રૂ. રાખવામાં આવી હતી, જે એ સમય પ્રમાણે ઠીક ઠીક મોંઘી કહેવાય. છતાં પહેલી આવૃત્તિની ૩,૨૦૦ નકલો ફટાફટ વેચાઇ ગઇ. અશ્વિનીભાઇ પાસેની ૫૦ નકલોમાંથી દસેક તેમણે ભેટમાં આપી હતી. બાકીની એમની પાસે સલામત પડી હતી. એક દિવસ પ્રકાશકના ભાઇનો ફોન આવ્યો. પ્રકાશક બહારગામ ગયો હતો. ભાઇએ કહ્યું,‘ચોપડીઓનો ઓર્ડર આવ્યો છે ને અત્યારે માલ નથી. તમારી પાસે છે?’ અશ્વિનીભાઇએ હા પાડી અને કામચલાઉ ગોઠવણ તરીકે પોતાની ૪૦ નકલો એને આપી દીધી. થોડા દિવસ પછી પ્રકાશક પાછો આવ્યો ત્યારે તેમને જાણવા મળ્યું કે પુસ્તક તો સાવ ખલાસ થઇ ગયું છે. એટલે તેની બીજી નકલો અશ્વિનીભાઇને મળી શકે એમ નથી. એટલું જ નહીં, પેલી ૪૦ નકલોના પૈસાના પણ વાંધા પડ્યા. કારણ કે પ્રકાશકનો ભાઇ એના કહ્યામાં ન હતો. પ્રકાશકે ઉલટું અશ્વિનીભાઇને કહ્યું,‘તમે એને નકલો શું કામ આપી? એ તો રોકડી કરીને જુગાર રમી આવ્યો.’

‘અર્ધી રાત્રે આઝાદી’ની નકલથી સદંતર વંચિત થઇ ચૂકેલા અશ્વિનીભાઇનો તેમના પુસ્તક સાથેનો ભેટો, તેમની નવલકથાઓમાં આવતી હીરો-હીરોઇનની મુલાકાત જેવો જ રોમાંચક અને પહેલી મુલાકાત જેવો ‘ટીઝીંગ’ રહ્યો. એક વાર અશ્વિનીભાઇ ભૂસાવળ સ્ટેશનેથી ટ્રેન પકડવાના હતા. ત્યાંના વ્હીલર બુક સ્ટોલ પર એક ખૂણે તેમની નજર પડી. ત્યાં ‘અર્ધી રાત્રે આઝાદી’ની એક નકલ પડી હતી. અશ્વિનીભાઇએ એ માગી, એટલે સ્ટોલના માલિકે શુદ્ધ હિંદીમાં ના પાડી દીધી અને કહ્યું કે ‘એ વેચવા માટે નથી. મે મારા માટે રાખી છે.’

અશ્વિનીભાઇએ કહ્યું, ‘ભાઇ બરોબર છે, પણ એ મારી જ ચોપડી છે. મેં જ એનો અનુવાદ કર્યો છે.’

સ્ટોલમાલિક ઘડીભર જોઇ રહ્યો. અશ્વિનીભાઇ કહે છે તેમ, જોઇ રહ્યા પછી પણ ખાસ ઇમ્પ્રેસ થયો નહીં. એટલે અશ્વિનીભાઇએ કહ્યું,‘ભાઇ, મારી જોડે એની એકેય કોપી નથી. એવું હોય તો થોડા વધારે રૂપિયા લે, પણ મને એ ચોપડી આપ.’

એટલે એ સુવ્વરે કહ્યું, ૧૦૦ રૂપિયા.’ અશ્વિનીભાઇ સ્પેશ્યલ ઉદ્ગાર.

‘મેં એને કહ્યું, અલ્યા, એની કિંમત પીસ્તાલી રૂપિયા છે. જોઇ લે પૂંઠા પર. એના સો તો બહુ કહેવાય.’ છેવટે એમણે ૭૫ રૂપિયામાં ચોપડીનો સોદો પાડ્યો.

લેખકો માટે આ પ્રસંગનો બોધપાઠઃ પોતાના પુસ્તકની ત્રણ નકલો ‘નથી કરીને’ માળીયે ચડાવી દેવી. (ઘણાના કિસ્સામાં તો વાચકો પણ એવું જ કરતા હોય છે.) વાચકો માટે બોધપાઠ એ કે અમુક ચોપડીઓ સાચવીને રાખી મુકવી. ક્યારેક એના લેખકને જ એ પાછી- અને વધારાના રૂપિયા ખંખેરીને- વેચી શકાય છે.

...જ્યારે ભારતીય નૌકાદળે સમુદ્રી માર્ગે હુમલો કરીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો

ત્રાસવાદનો મુકાબલો કરવામાં રાજકીય રીતે તકવાદી, વ્યૂહાત્મક રીતે બિનકાર્યક્ષમ અને અસરકારકતાની રીતે સદંતર નિષ્ફળ સાબીત થયેલી ભારતની સરકારોનો સિલસિલો જોતાં આ વાત ફક્ત ૩૭ વર્ષ જૂની નહીં, ૧૩૭ વર્ષ જૂની લાગે.

૧૯૭૧માં પણ રાજકારણ ખાસ વખાણવાલાયક ન હતું. નેહરૂ અને શાસ્ત્રી પછી ઈંદિરા ગાંધી વડાપ્રધાન બન્યાં હતાં. ભાગલા પછી પૂર્વ અને પશ્ચિમ- બે હિસ્સામાં વહેંચાયેલા પાકિસ્તાનમાંથી, પૂર્વ પાકિસ્તાનમાં શાસકોનો ત્રાસ એટલો વધી ગયો કે ત્યાંથી હજારો નિરાશ્રિતો ભારતમાં આવી ગયા. ભારતની દશા વણનોતર્યા પરોણા વેઠતા ગરીબ યજમાન જેવી થઇ. એ સ્થિતિ લાંબું ચાલે તો ભારતની કમર તૂટી જાય એ નક્કી હતું.

ઈંદિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનની સમસ્યાનો કાયમી ફેંસલો આણી દેવા અને ભારતના ભાગલા પાડનાર પાકિસ્તાનના ભાગલા પાડીને, પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર (બાંગલાદેશ) તરીકે છૂટું પાડવાનું નક્કી કરી લીઘું. ત્યાર પછી સૈન્ય અને ગુપ્તચર સંસ્થાઓ કામે લાગી ગઇ. ઈંદિરા ગાંધીએ વિદેશપ્રવાસો કરીને પોતાનો કેસ મજબૂત કર્યો. પાકિસ્તાનના પડખે બેઠેલા અમેરિકાની સામે તેમણે રશિયાને ભારતના પક્ષે લીઘું. છતાં, યુદ્ધ જેમ બને તેમ ઝડપી આટોપી લેવું જરૂરી હતું. યુદ્ધ લાંબું ચાલે તો અમેરિકા અવશ્ય પાકિસ્તાનનું ઉપરાણું લઇને યુદ્ધમાં ઝંપલાવે.

પાકિસ્તાનની પહેલથી ૩ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ યુદ્ધ શરૂ થયું, ત્યારે ભારત ઊંઘતું ઝડપાયું ન હતું. ઘણી બાબતોની જેમ પાકિસ્તાનના નૌકાદળને કેવી રીતે નાકામ બનાવવું તેનું આયોજન દિવસો પહેલાં ઘડાઇ ચૂક્યું હતું. અગાઉં ચીન (૧૯૬૨) અને પાકિસ્તાન (૧૯૬૫) સાથેનાં યુદ્ધમાં ભારતીય નૌકાદળની ભૂમિકા નગણ્ય હોવાથી, ૧૯૭૧માં તેની પાસેથી ઝાઝી અપેક્ષા ન હતી. નૌકાદળના તત્કાલીન વડા એડમિરલ નંદાએ પોતાનાં સંભારણાંમાં નોંઘ્યું છે કે ‘૧૯૭૧માં યુદ્ધની શક્યતાઓ ઘ્યાનમાં રાખીને સૈન્ય અને ગુપ્તચર તંત્રના ટોચના અફસરો સાથે વડાપ્રધાનની મીટિંગ યોજાય, ત્યારે ચર્ચા પૂરી થયા પછી કાંડા ઘડિયાળ તરફ નજર કરીને લગભગ ઉભાં થતાં થતાં ઈંદિરા ગાંધી મને પૂછતાં હતાં,‘તમારે કંઇ કહેવું છે, એડમિરલ?’ આ હતી ભારતીય નૌકાદળની સ્થિતિ.

પાકિસ્તાનનું નૌકાદળ નવી સબમરીનો અને જહાજથી સજ્જ હતું, પણ તેની પાસે નૌકામથક એક જ હતું: કરાચી. તેની પર ધડબડાટી બોલાવવામાં આવે, તો પાકિસ્તાનના નૌકાદળનો ઘરઆંગણે જ ઘડોલાડવો થઇ જાય. એવું ન થાય અને પાકિસ્તાનની નવી સબમરીનો- યુદ્ધજહાજો બહાર ફરતાં થઇ જાય તો મુંબઇ જેવાં દરિયાકાંઠાનાં શહેરો પર સમુદ્રી આક્રમણનું મોટું જોખમ રહે.

એડમિરલ નંદાએ પૂરતો વિચાર કર્યા પછી, યુદ્ધના બે મહિના પહેલાં, ઓક્ટોબર ૧૯૭૧માં વડાપ્રધાન ઈંદિરા ગાંધી સમક્ષ અકલ્પનીય કહેવાય એવો વિચાર રજૂ કર્યો,‘કરાચી પર નૌકાદળના આક્રમણની યોજના સામે રાજકીય દૃષ્ટિએ તમને વાંધો ખરો?

ઈંદિરા ગાંધીએ ચોંકી પડવાને બદલે કહ્યું,‘કેમ આવો સવાલ પૂછવો પડ્યો?’

એડમિરલે ખુલાસો કર્યો,‘લશ્કરી પાસાની જવાબદારી નૌકાદળના વડાની છે, પણ રાજકીય અસરોને ઘ્યાનમાં રાખતા ંવડાપ્રધાન તરફથી મંજૂરી મળવી જરૂરી છે.’

‘વિચારી જોઊં’ કે ‘સલાહકારોને પૂછીને કહીશ’ એવો જવાબ આપવાને બદલે ઈંદિરા ગાંધી થોડી ક્ષણ મૌન રહ્યાં. પછી મૌન તોડીને કહ્યું,‘વેલ એડમિરલ, ઇફ ધેર ઇઝ એ વોર, ધેર ઇઝ એ વોર.’ (યુદ્ધ એટલે યુદ્ધ! એમાં શું થાય ને શું ન થાય, એની ચિંતા કરવાની જરૂર નથી.)

૩ ડિસેમ્બરના રોજ પાકિસ્તાનના હવાઇ આક્રમણને પગલે યુદ્ધ શરૂ થતાં ૪ ડિસેમ્બરની રાતે કરાચી પર હુમલાનો પ્લાન અમલમાં મુકાયો. ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’ ના સાંકેતિક નામે ઓળખાતા આ મિશનમાં બે ફ્રિગેટ (કિલ્તાન અને કટચાલ) તથા ત્રણ મિસાઇલ બોટ (નિપાત, નિર્ઘાત અને વીર) ભાગ લેવામાં હતાં. ચોથી મિસાઇલ બોટ અનામત તરીકે સાથે રાખવામાં આવી હતી. દરેક મિસાઇલ બોટ ચાર સ્ટીક્સ પ્રકારનાં મિસાઇલથી સજ્જ હતી. સામાન્ય રીતે તેમનો ઉપયોગ મધદરિરે જહાજો પર હુમલો કરવા માટે થતો હતો. કિનારા પરનાં જહાજો કે બીજાં મથકોના વિનાશ માટે તેમનો ઉપયોગ કરવાનો વિચાર એડમિરલ નંદાને સ્ફુર્યો.

સ્ટીક્સ મિસાઇલ ધાતુની વસ્તુઓને ઓળખીને તેમની પર ત્રાટકતાં હતાં. એટલે બઘું બરાબર પાર ઉતરે તો, નિશાન તરીકે પાકિસ્તાની યુદ્ધજહાજો ઉપરાંત કરાચીના કિનારે એકાદ માઇલના વિસ્તારમાં પથરાયેલી ક્રુડ ઓઇલની ટાંકીઓનો પણ વારો ચડી જાય એમ હતો. મહત્ત્વનો સવાલ એક જ હતોઃ બઘું બરાબર પાર ઉતરે તો.

મર્યાદિત બળતણ અને એવી જ સંહારશક્તિ ધરાવતા કાફલાથી છેક શત્રુના ઘરમાં જઇને તેનો ખાતમો બોલાવવાનું સાહસ ભારતીય નૌકાદળે આ પહેલાં કદી કર્યું ન હતું. ભારત આવું વિચારી શકે, એ પણ પાકિસ્તાનની કલ્પના બહારની વાત હતી. આખા હુમલામાં આશ્ચર્યનું તત્ત્વ સૌથી મહત્ત્વનું હતું અને એ છેવટ સુધી જળવાઇ રહ્યું. પાકિસ્તાની સૈન્ય કંઇ સમજી શકે ત્યાં સુધીમાં ભારતીય મિસાઇલોએ કરાચીના બારામાં લાંગરેલાં ડીસ્ટ્રોયર ‘ખૈબર’, માઇન સ્વીપર (દરિયાઇ સુરંગો દુર કરનાર) ‘મુહાફિઝ’ અને અમેરિકા તરફથી દારૂગોળો લઇને આવેલા વેપારી જહાજ ‘વેનસ ચેલેન્જર’ને ડૂબાડી દીધાં. કરાચીના જમીની વિસ્તાર પર થયેલા મિસાઇલ હુમલા અંગે મતમતાંતર પ્રવર્તે છે, પણ નૌકાદળના આ કમાન્ડો ઓપરેશનથી પાકિસ્તાન હતપ્રભ થઇ ગયું એ નિર્વિવાદ હકીકત છે. બીજા વિશ્વયુદ્ધ પછી નૌકાદળના સૌથી મોટા અને સાહસપૂર્ણ ઓપરેશન તરીકે ગણાતા ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’ની યાદગીરીમાં ૪ ડિસેમ્બરને ‘નેવી ડે’ જાહેર કરવામાં આવ્યો.

૩૭ વર્ષ પહેલાંનો આ ઘટનાક્રમ યાદ કરવાનો મતલબ એવો હરગીઝ નથી કે ઈંદિરા ગાંધી કોંગ્રેસી હતાં ને અત્યારની કોંગ્રેસ એમની વારસદાર છે. હકીકતમાં, ઈંદિરા ગાંધી પોતે પોતાનો વારસો નિભાવી શક્યાં ન હતાં. રેકોર્ડ ખાતર એ પણ યાદ રહે કે ‘કોંગ્રેસે જ દેશની આ હાલત કરી છે’ એવું કહેનાર ભાજપ અને એનડીએના રાજમાં દેશની સંસદ પર ત્રાસવાદી હુમલા થયા અને કારગીલમાં પાકિસ્તાને ધૂસણખોરી કરી હતી. છતાં, એનડીએ સરકાર કોઇ પ્રકારની નિર્ણયાત્મક કાર્યવાહી કરી શકી ન હતી. કારગીલ યુદ્ધમાં સૈનિકો બહાદુરીથી લડ્યા, પણ પાકિસ્તાની ધૂસણખોરી વિશે સરકાર છેવટ સુધી અંધારામાં રહી એ ન ભૂલી શકાય એવો મુદ્દો હતો.

૧૯૭૧ના ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’નો સાર એટલો જ કે રાજકારણમાં હાકોટા પાડવાથી કે આત્મઘાતી ઝનૂનથી કામ ચાલતું નથી. રાજકીય ઇચ્છાશક્તિ અને શસ્ત્રબળ ઉપરાંત આંતરરાષ્ટ્રિય કૂટનીતિમાં નિપુણતા, ચુસ્ત નેટવર્ક, સ્પષ્ટ નિર્ણયશક્તિ અને ઠંડી તાકાતની જરૂર પડે છે, જે એસઇઝેડ- સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન-માં બનાવી શકાતાં નથી, જીડીપીથી સિદ્ધ કરી શકાતાં નથી કે ‘ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ’ થકી હાંસલ કરી શકાતાં નથી.

નોંધઃ ૧૯૭૧ના યુદ્ધની વિગતરવાર કથા માટે નગેન્દ્રવિજય લિખિત ‘યુદ્ધ-૭૧’ વાંચવું રહ્યું

Friday, December 05, 2008

આતંકવાદ, તકવાદ અને (છેલ્લી) તક

કેટલાક પ્રસંગો એવા હોય છે, જ્યારે ગમે તેટલા સંવેદનાપૂર્ણ, સમજણભર્યા શબ્દો પણ ઠાલા લાગે. એવા શબ્દોથી વ્યવહાર તો નભી જાય, પણ બોલનાર અને સાંભળનાર, લખનાર અને વાંચનાર બન્નેને ખબર હોય કે મનનો ઉદ્વેગ સમયનો પોપડો વળ્યા વિના શમે એમ નથી. મુંબઇનો આતંકવાદી હુમલો એવો પ્રસંગ છે.

મુંબઇના હુમલાની તમામ ભયાનકતા, ભારે જાનહાનિ અને આયોજનબદ્ધ આતંકના પૂરેપૂરા શોક સાથે એ ન ભૂલવું કે દિલ્હીમાં સંસદ પર થયેલો હુમલો પ્રતીકાત્મક રીતે વધારે ગંભીર હતો. કેમ કે, તે હુમલો ઓછામાં ઓછી સલામતી ધરાવતાં છત્રપતિ શિવાજી ટર્મિનસ જેવા જાહેર સ્થળો પર નહીં, પણ રાષ્ટ્રની સૌથી મહત્ત્વની બંધારણીય સંસ્થાના મકાન પર થયો હતો. વીઆઇપીઓની સુરક્ષા પાછળ જ્યાં વર્ષેદહાડે કરોડો રૂપિયા ખર્ચાય છે, એવા દેશના પાટનગરમાં એ હુમલો યોજી શકાયો હતો. આનાથી વઘુ બુલંદ, કાન ફાડી નાખે એવો, ‘વેક અપ કોલ’ (સૂતેલાને જગાડવા માટેનો પોકાર) કયો હોઇ શકે? અફસોસની વાત એ છે કે કળ વળ્યા પછી આ પ્રસંગોમાંથી બોધપાઠ લેવાતા નથી. બઘું પૂર્વવત્ થઇ જાય છે.

ત્રાસવાદી હુમલો લાંબા સમયથી ચાલતા એક સિલસિલાની લેટેસ્ટ કડી છે, જે આખરી હોવાનો આશાવાદ રાખી શકાય એમ નથી. હુમલાનાં માપ બદલાયાં છે, પણ તેના વિશેના રાજકીય પ્રતિભાવોમાં કોઇ ફરક પડ્યો નથી. ચૂંટણીઓ માથે છે ત્યારે રાજકીય પક્ષો ત્રાસવાદની આગ પર પોતાના રોટલા ન શેકે એવી આશા પણ નથી. હજુ તો કમાન્ડો ઓપરેશન પૂરૂં પણ ન થયું હોય ત્યારે અડવાણી કહી શકે છે, ‘રાજ્યના ગુપ્તચર તંત્રનું ઘ્યાન કથિત હિંદુ આતંકવાદ પાછળ કેન્દ્રિત હોવાથી ત્રાસવાદીઓ મુંબઇ પર હુમલાનો પ્લાન સફળતાપૂર્વક પાર પાડી શક્યા.’ આ ભાઇ આપણા વડાપ્રધાન થવા માગે છે. પ્રજા માટે જાણે એક કમનસીબીનો વિકલ્પ બીજી કમનસીબી જ છે.

ઘરઆંગણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં ન લઇ શકેલા ગુજરાતના મુખ્ય મંત્રીને અત્યારે બીજાને સલાહો આપતા, વટ પાડવા મુંબઇ દોડી જતા અને ટીવી ચેનલો સામે ‘ભારત’ને ધરાર ‘હિંદુસ્તાન’ તરીકે ઉલ્લેખતા જોઇને ખૂણેખાંચરે રહેલો આશાવાદ પણ ઉડી જાય છે.

સંવેદનને બધિર બનાવતું રાજકીય પ્રદૂષણ
રોજેરોજની પેટિયું રળવાની ઝંઝટમાં મોટા ભાગના લોકો પાસે સમાજ કે દેશ વિશે વિચારવા જેટલાં સમય કે સ્વસ્થતા હોતાં નથી. પરિણામે, જાહેર જીવનને લગતા નાના-મોટા તમામ મુદ્દાને લગતી સઘળી જવાબદારી આપોઆપ પ્રસાર માઘ્યમો અને રાજકીય પક્ષો પર આવી પડે છે. આ બન્ને ધંધાદારીઓની નિષ્ફળતા હવે જાણીતી અને ચર્ચાથી પર છે. સામાજિક સૌહાર્દ અને સદ્ભાવનાની જાળવણી બન્નેમાંથી કોઇનું લક્ષ્ય નથી. સમાજ અને દેશને ખોખલો કરતી, તેમને નબળો પાડતી દરેક દુર્ઘટના આ બન્ને માટે ધંધો વધારવાનો મોકો બને છે. તેનો પૂરેપૂરો લાભ કોમવાદ અને ઉશ્કેરણીનું રાજકારણ ખેલતા રાજકીય પક્ષો ઉઠાવે છે.

વાંક ફક્ત નેતાઓનો નથી અને પ્રજાના મનમાં પણ કોમવાદનું ઝેર વ્યાપેલું છે એ ખરૂં, પરંતુ એ ઝેરને સક્રિય અને સ્થાયી કરનારા ઉદ્દીપક તરીકે રાજકીય પક્ષો તથા નેતાઓ ભયાનક ભૂમિકા ભજવે છે. ઝેરીલા પ્રચાર દ્વારા તે અસલામતી, પૂર્વગ્રહો અને કોમી દ્વેષ જેવી, સામાન્ય માણસોના મનમાં એકંદરે માપમાં રહેલી લાગણીઓને ટકોરા મારે છે અને તેને વકરાવે છે. વઘુ ને વઘુ ટુકડામાં વહેંચાઇ રહેલા સમાજને સાંધવાની કોશિશ તો બાજુ પર રહી, રાજકીય પક્ષોએ તેના વઘુ ને વઘુ ટુકડા પાડવાનું જ કામ કર્યું છે - કોઇએ હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે, તો કોઇએ લધુમતીના હિતરક્ષણના બહાને. કોઇએ પ્રાદેશિક લાગણીઓ ભડકાવીને, તો કોઇએ જ્ઞાતિવાદનું રાજકારણ ખેલીને.
- અને કામ હજુ ચાલુ જ છે.

દેશમાં ફેલાયેલા રાજકીય પ્રદૂષણની સરખામણી માટે વટવા-નંદેસરી-વાપી-અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં સાંજે જોવા મળતું ઝેરીલું ઘુમ્મસ યાદ આવે છે. જુદાં જુદાં કારખાનાંની જાતજાતની દુર્ગંધોના મિશ્રણથી ગુંગળાવી નાખે એવું અસહ્ય વાતાવરણ સર્જાય છે. આપણે સૌ ભારતીયો ઘણા સમયથી આવા હાનિકારક રાજકીય-સામાજિક વાતાવરણમાં જીવીએ છીએ. તેમાં તાજી હવા માટેનાં ઠેકાણાં રહ્યાં નથી. નવાં ‘કારખાનાં’ એમ જ માને છે કે નફો કરવો હોય તો પ્રદૂષણની પરવા ન કરવી. લોકોનું જે થવાનું હોય તે થાય.

આવી સ્થિતિમાં લાંબા સમયથી રહેવાને કારણે પ્રજાનું સંવેદનતંત્ર બધિર બની ગયું છે. યાદદાસ્ત ગુમાવ્યા પછી ચકળવકળ આંખે જોયા કરતા અને વચ્ચે વીજળીના આંચકા અપાયે ત્યારે ક્ષણ-બે ક્ષણ માટે યાદદાસ્ત પાછી મેળવતા દર્દી જેવી આપણી સ્થિતિ થઇ છે.

યાદશક્તિની સમસ્યા
આપણી યાદદાસ્ત-સંવેદના-સમજણ થોડા સમય પૂરતી પણ પાછી લાવવાની કિંમત બહુ આકરી હોય છે. ત્રાસવાદીઓ મુંબઇ-દિલ્હી પર હુમલા કરે ત્યારે જ આપણને યાદ આવે છે કે આપણે સૌ છેવટે- હા, છેવટે જ- ભારતીય છીએ. બાકી, હું મરાઠી ને તું બિહારી, હું દક્ષિણનો ને તું હિંદીભાષી, હું બહુમતિ ને તું લઘુમતિ, હું ક્રોસ ને તું ત્રિશૂળ, આપણે હિંદુસ્તાની, પેલા પાકિસ્તાની...આ બધામાં ભારતીય? એ વળી કઇ બલાનું નામ છે? અમને તો એમ કે, ભારતીય ફક્ત એમને જ કહેવાય, જે વર્ષો પહેલાં ભારત છોડીને અમેરિકાના નાગરિક થઇ ચૂક્યા હોય અને ઓબામાની ટીમમાં જેમનો સમાવેશ થાય અથવા ‘નાસા’ અવકાશયાત્રી તરીકે જેમની પસંદગી કરે.

સંકુચિત ઓળખનાં સઘળાં આવરણ ત્રાસવાદીઓના ઘાતકી હુમલાથી ઘડીભર છિન્નભિન્ન થઇ જાય છે, પણ એ આવરણો રાવણનાં માથાં જેવાં છે. હમણાં છેદાયાં ને હમણાં નવાં તૈયાર. એમાં વાર કેટલી?

ભારતીય હોવાનો અહેસાસ કરવા માટે આપણે પાકિસ્તાની ત્રાસવાદીઓની જરૂર પડે છે, એવી જ રીતે પ્રામાણિક અફસરોના મૃત્યુથી જ તેમની કાર્યક્ષમતાનો અહેસાસ અચાનક જાગી ઉઠે છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના વડા હેમંત કરકરેની વાત છે. ત્રાસવાદી હુમલાના પગલે અડવાણી-મોદી જેવા નેતાઓ સરકાર અને જાસુસી તંત્ર-પોલીસ તંત્ર પાસેથી લાંબીપહોળી અપેક્ષાઓ રાખે છે અને એ પૂરી ન કરવા બદલ સરકારના માથે માછલાં ઘુએ છે. પરંતુ એ જ તંત્રના એક અફસર હેમંત કરકરે માલેગાંવ વિસ્ફોટમાં હિંદુ અંતિમવાદીઓની સંડોવણી વિશે નક્કર તપાસ કરતા હતા, ત્યારે ભાજપી-સંઘી મંડળીએ કાગારોળ મચાવી મુકી હતી. કરકરેની બેદાગ કારકિર્દીની ધરાર અવગણના કરીને તેમની પર હિંદુઓની પાછળ પડી ગયા હોવાના આરોપ આ જ મંડળીએ મુક્યા હતા, જે હવે કરકરેની શહાદતનાં વખાણ કરતાં થાકતી નથી. કરકરે ત્રાસવાદીઓની ગોળીથી મૃત્યુ પામ્યા (કેટલાકને એ વિશે શંકા છે, પણ એ રાજકીય મુદ્દો છે), ત્યાર પછી ભાજપ-સંઘ સહિત હિંદુત્વનાં સંગઠનોને તેમની મહાનતા યાદ આવી છે અને એ પણ થોડા સમય માટે.

આપણે શું કરી શકીએ?
ત્રાસવાદનો સામનો બે સ્તરે થાય છેઃ રાજનૈતિક સ્તરે અને સામાજિક સ્તરે. રાજનૈતિક ક્ષેત્રનું આપણે નાહી નાખવાનું છે. કેમ કે, કોંગ્રેસ નબળી છે અને હિંદુત્વના સ્ટીરોઇડથી બાવડાં ફુલાવીને મતદાતાઓને આકર્ષવા નીકળેલા ભાજપમાં પણ દમ નથી. કોઇ પક્ષ પાસે રાષ્ટ્રિય સુરક્ષા માટેની નીતિ તો ઠીક, એ માટેની નૈતિક દૃઢતા અને રાજકીય ઇચ્છાશક્તિ હોય એવું પણ જણાતું નથી. કોંગ્રેસની દુકાન જાણે રાહુલ ગાંધીને ગાદીએ બેસાડવા માટે જ હજુ સુધી ચાલુ રાખી હોય એ રીતે ચાલે છે અને ભાજપ ગમે તેટલી વિકાસવાર્તા અને રાષ્ટ્રવાદની વાતો કરે, પણ તેના મૂળભૂત કોમી દ્વેષના અને સામાજિક અશાંતિ થકી સત્તા હાંસલ કરવાના સંસ્કાર ઢાંક્યા ઢંકાતા નથી. બીજા બધા પક્ષો પણ પોતપોતાના સંકુચિત લક્ષ્યને અનુરૂપ સગવડ પડે એમ વિચારધારાઓ તોડીમરોડી કે બદલી રહ્યા છે. એમાંથી કોઇને ત્રાસવાદનો સામનો કરવા જેવા ગંભીર અને અખંડ નિષ્ઠા માગી લેતા કામમાં રસ હોય કે એ કામ માટે તેમની ત્રેવડ હોય એવું લાગતું નથી.

એ સ્થિતિમાં પ્રજા તરીકે આપણે સમાજમાં સામાન્ય પરિસ્થિતિ જળવાઇ રહે એનું ઘ્યાન રાખવાનું છે. એ આપણા હાથમાં છે અને આપણે ઇચ્છીએ તો જરૂર કરી શકીએ. ખુલ્લેઆમ કટ્ટરતા દેખાડનારાં તત્ત્વો બધા પક્ષોમાં થોડાં જ હોય છે. બાકીના લોકોનું મૌન એ લોકોની મોટી તાકાત બને છે. રાજકીય પક્ષોએ કે ધર્માંધ કટ્ટરતાવાદીઓએ પ્રેરેલા ધિક્કારને અપનાવી લઇને આપણે એમના જેવા જ બની જઇએ છીએ. હિંદુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી તરીકેની આપણી ઓળખ ગુમાવ્યા વિના ભારતીય તરીકે શાંતિથી એકબીજા સાથે રહેવાનું શક્ય છે. મોટા ભાગના વિસ્તારોમાં વર્ષો સુધી લોકો એ રીતે રહ્યા છે ને ઘણી જગ્યાએ હજુ પણ રહે છે.

‘મુસલમાન એટલે આક્રમણખોર’ અને ‘હિંદુ એટલે કાફર’ એવો ઇતિહાસ ગોખાવનારા અને સંસ્કૃતિના નામે સગવડીયો અપમાનબોધ સતત યાદ કરાવનારાને જાકારો આપવાનું આપણા હાથમાં છે. એના માટે લાંબા-પહોળા અભ્યાસો કરવાની કે રાજકારણમાં ઉંડા ઉતરવાની જરૂર નથી. એક જ સવાલનો જવાબ આપવાનો છેઃ ‘એકબીજા સાથે શાંતિથી રહીને મુશ્કેલીઓનો સામનો કરવો છે? કે રાજકીય પક્ષોના રવાડે ચડીને જેટલી શાંતિ છે એટલી પણ ગુમાવવી છે?’

એકબીજા સાથે શાંતિથી રહેવાનો વિકલ્પ પસંદ કર્યા પછી તત્કાળ ત્રાસવાદી હુમલા બંધ નહીં થઇ જાય. પણ સમાજમાં પરસ્પર અવિશ્વાસનું વાતાવરણ ઓગળશે, હિંસા અને ત્રાસવાદને કોમને બદલે કાયદો-વ્યવસ્થાની સમસ્યા તરીકે જોવાશે, છેવટનું નુકસાન પ્રજાને થાય છે એ અહેસાસ તીવ્ર બનશે, હિંસાની દરેક ઘટનાને હિંદુ ત્રાસવાદ કે મુસ્લિમ ત્રાસવાદ જેવાં લેબલ આપનારા નેતાઓની બદદાનતનો સાચો પરિચય થશે...

- અને પ્રજા બદલાશે તો લાંબા ગાળે નેતાઓને પણ બદલાવું પડશે. કારણ કે તેમને મત આ પ્રજા પાસેથી જ લેવાના છે. આ રસ્તો લાંબો લાગે છે? પણ પ્રજા પાસે એ જ એકમાત્ર રસ્તો છે.

શાસકો ઈંટના જવાબ પથ્થરથી આપે ને પ્રજા બેફિકર થઇને ધૂમેફરે એવું ઇઝરાઇલ કે અમેરિકામાં પણ નથી બન્યું. અમેરિકામાં ૯/૧૧ પછી એકેય ત્રાસવાદી હુમલો ભલે ન થયો, પણ હુમલાની એલર્ટ કેટલી વાર જાહેર થાય છે અને પ્રજાની નસો તંગ થઇ જાય છે, એ ભૂલવા જેવું નથી. અઢળક સંપત્તિ અને ઓછી વસ્તી ધરાવતા દેશોમાં જે શક્ય નથી બન્યું, તે ભારતમાં સંભવ બનશે એવું માનનાર આશાવાદી અને શેખચલ્લી વચ્ચે થોડા દોરાનો જ ફરક રહે છે.

Tuesday, December 02, 2008

અશ્વિની ભટ્ટ અમદાવાદમાં: સૂડી, સોપારી અને સીકેકે

ખરેખર મથાળું એવું હોવું જોઇએઃ હાથે લખેલાં કાગળ-પુસ્તકોની મોટી બેગ સાથે અશ્વિની ભટ્ટ અમદાવાદમાં. નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સજોડે અમદાવાદ આવી પહોંચેલા અશ્વિનીભાઇને આજે બે કલાક માટે મળવાનું થયું. અશ્વિનીભાઇને રોજ મળતા હોઇએ, તો પણ વાતો ખૂટે નહીં. આ તો ઘણા વખતે મળવાનું થયું. એમની સાથે થયેલી અને ‘શેર’ કરવાલાયક કેટલીક અગત્યની વાતોઃ
  • અશ્વિનીભાઇને આ બ્લોગમાં બહુ રસ પડ્યો છે. વાતચીતમાં ત્રણ-ચાર વાર તેમણે વચ્ચે વચ્ચે બ્લોગને યાદ કર્યો. હું એમને મળવા પહોંચ્યો એટલે દરવાજામાં જ એમણે કહ્યું, ‘તુ અંદર આવ. હું કહીશ તો તું માનીશ નહીં.’ અંદર જઇને જોયું, તો ‘પ્રિય ઉર્વીશ’ના સંબોધન સાથે હાથે લખેલાં ત્રણ પાનાં હતાં. એક પાનું અઘૂરૂં હતું. એ કહે,‘તારા બ્લોગમાં મઝા પડે છે. મારે તને બે-ત્રણ વસ્તુ બ્લોગ માટે લખીને આપવી છે. એમાં એક તો મારી એર ઇન્ડિયાની મુસાફરીનો હાસ્યલેખ.’ દલાસથી ન્યૂ જર્સી-લંડન-અમદાવાદની યાત્રાના અનુભવોનું ટ્રેલર તેમણે આપ્યું. ટૂંક સમયમાં અશ્વિની ભટ્ટ સ્પેશ્યલ સેન્સ ઓફ હ્યુમર સાથે લખાયેલા એ અનુભવો આ બ્લોગ પર મુકવા આપવાના છે.

  • ત્રાસવાદની થીમ ધરાવતી તેમની નવી નવલકથાનાં સાત પ્રકરણ લખાઇ ગયાં છે. એની થોડી વાત થઇ. તેમાં વિશેષ રસની વાત એ છે કે હીરોઇન દલિત આઇપીએસ સ્ત્રી છે. - અશ્વિનીભાઇ પાસે પ્લોટનો તોટો કદી હોતો જ નથી. એટલે તે એક પુસ્તક એવું બનાવવાનું વિચારે છે, જેમાં ફક્ત નવલકથાના પ્લોટ જ હોય. ‘નવલકથા કેવી રીતે લખવી?’ એવું કંઇક ટાઇટલ અને અશ્વિની ભટ્ટનું નામ હોય તથા એનું યોગ્ય માર્કેટિંગ કરવામાં આવે, તો એ પુસ્તક તેમની કોઇ પણ નવલકથા જેટલું કે એનાથી પણ વધારે વેચાય અને ઉપયોગી બને.
  • આ મુલાકાતમાં અશ્વિનીભાઇ ઘણું અપ્રગટ સાહિત્ય, ખાસ કરીને તેમની લખેલી ટૂંકી વાર્તાઓ, નાટકો અને જૂના અનુવાદો પ્રકાશિત કરવા ધારે છે. એ બઘું કામ પૂરૂં થાય એ માટે ‘અમેરિકાથી સીંગલ ટિકીટ લઇને આવ્યો છું’ એવું એ કહે છે.
  • અશ્વિનીભાઇ આપણને હેમખેમ મળી શક્યા, એ માટે નીતિભાભી અને તેમના પુત્ર નીલ-કવિતા પરિવાર ઉપરાંત અમેરિકાની તબીબી સેવાઓનો પણ આભાર માનવો પડે. અમેરિકામાં એક તબક્કે સામાન્ય રીતે બોલતાચાલતા અશ્વિનીભાઇના હૃદયના ધબકારા ઘટીને (૧ મિનીટના) ૬ જેટલા થઇ ગયા અને નીતિભાભીના કહેવા પ્રમાણે, ૧૨ સેકંડ સુધી હૃદય બંધ પડી ગયું હતું. પણ આપણું અશ્વિનીભાઇ સાથે લેણું ઓછું છે? એટલે એ ઉગરી ગયા અને હવે મોહનથાળનાં ચકતાંની સાથે રોટલી પર ઘીની ટોયલી ઊંધી રેડીને, એમના રાબેતા મુજબના મિજાજમાં આવી ગયા છે.
  • અમદાવાદ અશ્વિનીભાઇને બહુ બદલાઇ ગયેલું લાગે છે. હવે પછી એ અમદાવાદ સ્થાયી થવાને બદલે ક્યાંક બહાર રહેવા માગે છે. અગાઉ એકથી વઘુ વાર એમણે મારી પાસે મહેમદાવાદની પણ તપાસ કરાવી હતી. અશ્વિનીભાઇ મેગાસીટી બન્યા પહેલાંના જૂના અમદાવાદની ફ્લેવર ધરાવતા જીવ છેઃ વાતરસીયા, સમયની પાબંદી વગરના, શિસ્તભંગપ્રેમી અને વધારામાં સાચી આત્મીયતાથી છલકાતા. અમદાવાદી કંજૂસી તો નહીં, પણ જૂના જમાનાની વાજબી કરકસર એમનામાં સચવાઇ રહી છે. એટલે અમદાવાદ આવ્યા પછી લખવાનું પાટિયું લેવા દુકાને ગયા અને બહેને ૫૭ રૂપિયાનું પાટિયું બતાવ્યું એટલે અશ્વિનીભાઇ ઉવાચ,‘મુકી દો બહેન પાછું. આટલા મોંઘા પાટિયા પર લખીએ તો પેન ઓગળી જાય.’ પછી કહે,‘આટલા મોંઘા પાટિયા પર લખતી વખતે એવા વિચારો જ આવે કે ‘જે લખીએ છીએ એમાંથી ૫૭ રૂપિયા નીકળશે?’
  • ‘આરપાર’માં ‘આક્રોશ અને આકાંક્ષા’ સિરીઝ લખ્યા પછી અશ્વિનીભાઇ અમુક મિત્રોમાં ચર્ચાને અને અમુક બાબતે- અમુક હદે ટીકાને પાત્ર બન્યા હતા. આ વખતે બીજા જ સંદર્ભે તેમણે કહ્યું,‘અમેરિકામાં મેં કુરાનનો ચાર મહિના સુધી ઉંડો અભ્યાસ કર્યો. તેની મર્યાદાઓ અને ખાસિયતો જાણી. મુસ્લિમોએ જ લખેલાં કુરાન વિશેનાં પુસ્તકો વાંચ્યાં. ત્યાર પછી હું તારા બ્લોગ માટે અંગ્રેજીમાં લખવા બેઠો કે અત્યારની સ્થિતિમાં આપણે શું કરી શકીએ? લેખનું મથાળું મેં રાખ્યું હતું, ‘વીચ વે લાઇઝ હોપ’. વર્ષો પહેલાં રીચાર્ડ ગ્રેગ નામના માણસે આ મથાળું ધરાવતા પુસ્તકમાં જુદાં જુદાં ‘ઇઝમ’ની ચર્ચા કરીને છેવટે એવું કહ્યું હતું કે ‘ગાંધીના રસ્તે જ આશા છે.’ હું લખવા તો બેઠો, પણ પછી એ લખાણ ખાસ્સું લાંબું થઇ ગયું એટલે હવે તને તો આપીશ, પણ એવો વિચાર છે કે એની બુકલેટ પણ છપાવું.’ અશ્વિનીભાઇએ કહ્યું કે ‘આપણે હાથ પર હાથ જોડીને બેસી રહેવાની વાત નથી અને રીટાલીએટ થવાની પણ વાત નથી. રીટાલીએશનથી અંત આવતો નથી અને એનાં પરિણામો વેઠવાની પણ આપણી તૈયારી હોતી નથી. એના સિવાય બાકી રહેલા રસ્તામાં પહેલું પગથિયું સંપર્કનું છે. નિયમિતપણે એકબીજા સાથે સંપર્ક સ્થાપિત થાય, એ બહુ જરૂરી છે.
અશ્વિનીભાઇની નવલકથાઓ-વાર્તાઓ-નાટકોની તો ક્યારની પ્રતીક્ષા છે જ. પણ તેમણે આ વાત કર્યા પછી અત્યારના સંજોગોમાં તેમના ‘વીચ વે લાઇઝ હોપ’ની પણ એટલી જ પ્રતીક્ષા છે.

શબ્દાર્થપ્રકાશ # 7

એક્યંક્તિકાઃ વન લાઇનર
...એમની કને કેમ જાણે લગભગ એકની એક એક્યંક્તિકા (વનલાઇનર) મોંવગી હતી કે પાડ માનો પરમેશ્વરનો, કાલે શુક્રવાર નથી.(દિ.ભા.૧૪-૧૧-૦૮)
નિયમસિદ્ધકર અપવાદઃ આખરે તો નિયમને જ સિદ્ધ કરનારો અપવાદ
આ જાલિમ જમાનામાં આવાં આહ્લાદક આશ્ચર્યો પણ (બેલાશક, નિયમસિદ્ધકર અપવાદરૂપે) સરજાતાં હોય છે...(દિ.ભા.૧૪-૧૧-૦૮)
ખુલ્લાદિલવાળી કરવીઃ ઉદાર બનવું
એડી અને આરીનો બોધઃ (પ્રાણીની) ગતિ વધારવા માટેના વિવિધ ઉપાયોની અસર
બેન્કોમાં વ્યાજદરના ઘટાડા બાબતે રિઝર્વ બેન્ક હજુ થોડી ખુલ્લાદિલવાળી કરે તો ઔદ્યોગિક વિકાસના અશ્વને, એની સંભવિત મંદગતિ છતાં, એડી અને આરીનો બોધ થઇ શકે એમ છે...(દિ.ભા.૧૪-૧૧-૦૮)
વિગતપુષ્ટઃ વિગતોના આધારે પુષ્ટિ ધરાવતી
વાયકા બલકે વિગતપુષ્ટ વાત તો હતી કે આપણો વીર ફોર્મમાં નથી. (દિ.ભા.૧૫-૧૧-૦૮)
નાબાદઃ નોટ આઉટ
૧૩૮ નાબાદ. (દિ.ભા.૧૫-૧૧-૦૮)
દોડબંઘુઃ રનર
તંત્રે એની દાઝ જાણીને દોડબંઘુ પણ સંપડાવ્યો હતો...(દિ.ભા.૧૫-૧૧-૦૮)
દીર્ઘાદુલારઃ ગેલેરી પ્લેઈંગ
...હિંસક તામિલ આંદોલનકારીઓને પણ મર્યાદામાં રહેવાનો સ્પષ્ટ સંકેત કોઇ પણ પ્રકારના દીર્ઘાદુલાર (ગેલેરી પ્લેઈંગ) અભિગમથી પરહેજપૂર્વક આપવો રહે છે.(દિ.ભા.૧૭-૧૧-૦૮)
અંગીકારવું: અંગીકાર કરવું
જ્યારથી માનવ વિકાસ આંકનું વલણ દુનિયાના દેશોએ, ખાસ કરીને પશ્ચિમને મુકાબલે હજુ વિકસતા આવતા દેશોએ એક કસોટી તરીકે અંગીકાર્યું...(દિ.ભા.૧૮-૧૧-૦૮)
ક-ખ્યાતઃ ‘ક’થી શરૂ થતાં નામવાળી સિરીયલોથી જાણીતી (એકતા કપૂર)
પૂછો ક-ખ્યાત કપૂર કન્યાને...(દિ.ભા.૨૦-૧૧-૦૮)
કિંદર્શિતવ્યમૂઢઃ શું જોવું એની ખબર ન પડે એવી મૂઢતા
અનુભવતાખરૂં જોતાં આ જેણે પરાણે પોરો ખાવાવાળી થઇ તેનો લાભ લઇને કિંદર્શિતવ્યમૂઢ સૌએ ‘સોપ’ની ક્ષ-તપાસનો ઉપક્રમ હાથ ધરવો જોઇતો હતો. (દિ.ભા.૨૦-૧૧-૦૮)
મેળમથામણઃ (બે ધારાઓ વચ્ચે) મેળાપની મથામણ
...રમણભાઇ નીલકંઠ અને ગણેશ વાસુદેવ માવળંકર જેવાઓ પણ રાજકારણ અને પ્રજાકારણ વચ્ચે રૂડી મેળમથામણના જીવ હતા. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
મનમુરાદઃ મન ફાવે તેમ
...નાગરિક સ્વાધીનતાની મુદ્દલ પરવા વગરના મનમુરાદ શાસકીય વહેવાર માટેનો એ ધરાર પરવાનો છે. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
અસ્ફુટરમણીયતાઃ સ્પષ્ટપણે વ્યક્ત ન થવાને કારણે ઊભી થતી રમણીયતા
...અસ્મિતા પર્વમાં કોઇ સાહિત્યિક મુદ્દે અસ્ફુટરમણિયતાનો જે મહિમા હોઇ શકે છે એવી કોઇ સુવિધા અહીં તો છે નહીં. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
ધરમમજબહફેઇધઃ હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી ધર્મ સૂચવતું
સરેરાશ આદિવાસીની બુનિયાદી જરૂરત કોઇ ધરમમજહબફેઇધની નહીં...(દિ.ભા.૨૨-૧૧-૦૮)
કાર્યચમૂઃ ટાસ્કફોર્સ
...તે માટે કાર્યચમૂ (ટાસ્કફોર્સ) રચવાનો નિર્ણય લેવાયો છે. (દિ.ભા.૨૪-૧૧-૦૮)
રણરંગમાં: રણે ચડવાના રંગમાં
...અડવાણી આજકાલ બરાબરના રણરંગમાં જણાય છે.(દિ.ભા.૨૫-૧૧-૦૮)
તરણોપાયઃ તરી જવાના ઉપાય તરીકે
...અડવાણી વારેવારે ‘પોટા’નો તરણોપાય તરીકે કેમ ઉલ્લેખ કરે છે એ સમજાતું નથી. (દિ.ભા.૨૫-૧૧-૦૮)
વાણિજ્યધાનીઃ આર્થિક રાજધાની
(ન્યૂયોર્ક અને મુંબઇ) વાણિજ્યધાની તો એ બંને છે જ. (દિ.ભા.૨૮-૧૧-૦૮)
કુલ શબ્દોઃ 79
વિશિષ્ટ વાક્યપ્રયોગો
  • વૈશ્વિક નાણાકટોકટી ઔદ્યોગિક વૃદ્ધિને નરમ પાડશે એ તો નેનોની નાતનાં નરખાં બલકે નગારાં વચ્ચે બધિર કાને પણ સમજાય એવી વાત છે. (દિ.ભા.૧૪-૧૧-૦૮)
  • કાલે શુક્રવાર નથી, એમ કહ્યે શક્કરવાર વળવાનો નથી. (દિ.ભા.૧૪-૧૧-૦૮)
  • શુક્રવારની સવારે સવારે શી ખબર કિયું વાયક કિયે ખૂણેથી ફરી ગયું’તું કે દુખતે વાંસે ને કકળતી કમરે આપણો આ બેલ્ટબંધો મેદાને ઉતર્યો તે ઉતર્યો જ. (યુવરાજસિંઘની રાજકોટ ઇનિંગ વિશે, દિ.ભા.૧૫-૧૧-૦૮)
  • ભાઇ, આ તો વન-ડે કહેતાં ફટાફટ ક્રિટે હતી. જૂના વારાના મુસ્તાક અલી અને સી.કે.નાયડુ મહાકાવ્યની કરામત હાયકુમાં દાખવે એમ...(દિ.ભા.૧૫-૧૧-૦૮)
  • બધી સીરીઅલો, પછી એ કૃતક મેટ્રોમાનવોની નિરૂપણથી હોય કે લગ્નબાહ્ય સંબંધો લટકાં કરે લગ્નબાહ્ય સંબંધો સામે એ ન્યાયે મંડિત હોય...(દિ.ભા.૨૦-૧૧-૦૮)
  • સાગર, સબાર ઉપરે ચાંચિયા, તબાર ઉપરે કોઇ નાહીં (ચાંચિયાઓના યુદ્ધજહાજને પછાડનાર ‘આઇએનએસ તબાર’ની કામગીરી સંદર્ભે, ‘સબાર ઉપરે માનુષ’ની પેરડી (દિ.ભા.૨૧-૧૧-૦૮)
  • ...હજુ હમણાં સુધી છૂટથી પ્રયોજાતી ભાષાથી હટવાછટકવાબચવા માગે છે. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
  • નિર્બોમ્બ વિસ્ફોટો (દિ.ભા.૨૨-૧૧-૦૮)
  • ભલાભાઇ-ભોળાભાઇ-લૂગડાંસંકોર ભાઇ હોવું એ કોઇ નાગરિકપણું નથી. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
  • દિલ્હી હાઇકોર્ટે ઠીક ઉધડો લીધો. તંત્રલુપ્તા! સુએજસરસ્વતીથી સાવધાન! (દિ.ભા.૨૭-૧૧-૦૮)
  • બોર્ડ આશ્વસ્ત હતું કે એક વાર મુદત પડી એટલે આપણે મુદતે મુદતે એ...ઇ માણીગર માણારાજની પેઠે મહાલ્યા કરશું. (દિ.ભા.૨૭-૧૧-૦૮)

બજારમાં મંદી, ફૂટપાથ પર તેજી

બાળપણમાં એવું સાંભળેલું કે કાશ્મીરમાં અખરોટના કે ગોવામાં કાજુના ઢગલેઢગલા વેચાય છે. પણ એ યાદીમાં અમદાવાદનું નામ સાંભળવા મળ્યું ન હતું.
જે સાંભળ્યું પણ ન હોય, એ સીધું જોવા મળે તો કેવી હાલત થાય?

રોજની જેમ સવારે સરદાર બ્રિજ પરથી પસાર થતી વખતે થોડા દિવસ પહેલાં અનોખું દૃશ્ય જોવા મળ્યું. સહેજ આગળ જઇને મેં સ્કૂટર થોભાવ્યું અને ખાતરી કરવા પાછળ ફરીને ધ્યાનથી જોયું. મેં જે જોયું તે સાચું જ હતું. સરદાર પૂલની ફૂટપાથો પર બન્ને બાજુ કાજુ, અંજીર, બદામ, અખરોટ અને બીજા સૂકા મેવા ઢગલામાં વેચાતા હતા. વેચનારા માણસોના દેદાર સૂકા મેવાના વેપારી જેવા બિલકુલ નહીં. એ લોકો બદામ કે કાજુ ન વેચતા હોત તો ડુંગળી કે બટટા વેચતા હોત.

‘યે મેં ક્યા દેખ રહા હું?’ એવા આંચકામાંથી બહાર આવ્યા પછી એક યુવાન ફેરિયા સાથે સહજ વાતચીત કરી. એમાંથી જાણવા મળ્યું કે સરદાર બ્રિજ પર અને કાંકરિયા તળાવ સહિત બીજાં કેટલાક ઠેકાણે અચાનક ફૂટી નીકળેલા સૂકા મેવાના છૂટક વિતરકો અમદાવાદના જ છે.

‘દુકાનો મૂકીને તમારે ત્યાંથી શું કામ લોકો ખરીદવા આવે?’ એના જવાબમાં એણે કહ્યું,’બજારમાં સૂકો મેવો 400 રૂપિયે કિલો મળે છે. અમે 380 રૂપિયે આપીએ છીએ. પછી લોકો અમારે ત્યાંથી શું કામ ન લે?’

ખરીદી કરી આવેલાં ઓફિસનાં એક જાણકાર બહેને માહિતી આપી હતી કે ‘બરાબર બારગેઇનિંગ કરવાનું. હું 325 રૂ.માં કિલો બદામ લાવી અને સારી છે.’

‘લોકો ખરીદવા આવે છે?’
‘હા, આખો દિવસ લોકોની અવરજવર રહે છે.’
‘તમે સસ્તામાં કેવી રીતે વેચી શકો છો? તમને કેવી રીતે પોસાય?’
‘અમે જથ્થાબંધ વેપારીને ત્યાંથી કે દિલ્હીથી માલ લાવીએ છીએ.’ આટલું કહીને પછી એણે જવાબને વધારે ‘કન્ટેમ્પરરી ટચ’ આપવા કહ્યું,’મંદી છે ને. એટલે ભાવ ઘટી ગયા.’

મારા જેવા માણસ માટે સમાચાર એ નથી કે સૂકા મેવાના ભાવ 400 રૂપિયે કિલોમાંથી 380 કે 350 થઇ ગયા. મને નવાઇ એ વાતની લાગે છે કે 350 રૂપિયે કિલો સૂકો મેવો સસ્તો લાગે અને ‘ઐસા મૌકા ફિર કહાં મિલેગા’ એમ માનીને એની ખરીદી માટે ઉમટી પડે, એવો વર્ગ તૈયાર થઇ ચૂક્યો છે. ‘સસ્તું’ સાંભળીને તેના કાન તેજ થાય છે, આંખો પહોળી ને મગજ બંધ.

સ્થિતિ આવી રહેશે તો અમદાવાદથી અમેરિકા-ઇંગ્લેન્ડ જનારા ‘ત્યાં’નાં સગાં માટે કાજુ-બદામનાં પેકેટ લઇ જતા થઇ જશે અને ભારત સુપરપાવર થઇ જશે.

Saturday, November 29, 2008

સુરસંવાદ પરથી ‘દૂરસંવાદ’

સીડનીના ગુજરાતી એફએમ રેડિયો ‘સુરસંવાદ’ પરથી, તેનાં સંચાલક આરાધના ભટ્ટે લીધેલો મારો ટેલિફોનિક ઇન્ટરવ્યુ આવતી કાલે પ્રસારિત થશે. તે વેબ પર પણ સાંભળી શકાશે.
થોડાં અઠવાડિયાં પહેલાં ફોન પર થયેલી વાતચીતમાં આરાધનાબહેને ‘હા તો ઉર્વીશભાઇ, આપનું નામ જણાવશો?’ એવા ‘ક્લાસિકલ’ સવાલો પૂછવાને બદલે, સમસામયિક વિષયો પર મોકળાશથી વાત (અને ‘બેટિંગ’:-) થઇ શકે એવા સવાલો પૂછ્યા હતા. એટલે મઝાની વાતચીત થઇ હતી. તેનું વ્યવસ્થિત એડિટ થયેલું સ્વરૂપ સાંભળવા ઇચ્છતા સૌ માટે સંપર્ક સરનામું http://www.sursamvaad.net.au/

‘તાજના સાક્ષી’ અદાણીઃ પહેલો પુરૂષ, બે વચન ?

મુંબઇની હોટેલ તાજમાં ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ હતા. એ હેમખેમ ઉગરી ગયા, પણ કેવી રીતે તેમનો છૂટકારો થયો એ વિશે ‘દિવ્ય ભાસ્કર’ અને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ માં સાવ જુદા સમાચાર છે. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ની અમદાવાદ આવૃત્તિએ પહેલા પાને છાપેલા સમાચારનું મથાળું હતું: ‘ગૌતમ અદાણી ફેલ્ટ સેફ ઇન તાજ ટોઇલેટ.’

સમાચારમાં જણાવાયું હતું કે અદાણી તાજના રેસ્ટોરાંમાં બેઠા હતા ત્યારે તેમણે ૧૫ ફૂટ દૂરથી ત્રાસવાદીઓને જોયા. અદાણી પહેલાં હોટેલના રસોડામાં અને ત્યાર પછી ટોઇલેટમાં સંતાઇ રહ્યા, જ્યાં પહેલેથી બે આફ્રિકનો મોજૂદ હતા. અદાણીએ ‘ટાઇમ્સ’માં જણાવ્યા પ્રમાણે, દુબઇ પોર્ટ ટ્રસ્ટના સીઇઓ સાથે જમીને એ તરત નીકળી ગયા હોત તો ત્રાસવાદીઓ એમને લોબીમાં જ મળત અને મુસીબત થાત. પણ તેમણે કોફી પીને જવાનું નક્કી કર્યું.

આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, અદાણી બે કલાક રસોડામાં રહ્યા. ત્યાંથી બેઝમેન્ટ અને લોનમાં થઇને એમને બિઝનેસ લોન્જમાં લઇ જવાયા. ત્યાં બેસીને એમણે બધા સાથે ફોન પર વાતો કરી અને માન્યું કે આફત ટળી ગઇ છે. એવામાં લોન્જની બહાર ગ્રેનેડ ફેંકાતા એ ટોઇલેટમાં સંતાવા ગયા.

‘દિવ્ય ભાસ્કર’માં પ્રગટ થયેલા અદાણીના બયાન પ્રમાણે, ‘પેમેન્ટ ચૂકવીને ઊભા જ થતા હતા ત્યાં તો દસથી બાર ફૂટ દૂર મેં ત્રણ-ચાર લબરમૂછિયા બલકે નવલોહિયા જવાનોને હાથમાં એકે ૪૭ રાઇફલ સાથે હોટેલમાં ધસી આવતા જોયા.’ ત્યાર પછીના લાંબા બયાનમાં તેમનાં સલામત રીતે સંતાવાનાં સ્થળો આ પ્રમાણે છેઃ કિચનની સર્વિસ એન્ટ્રી તરફથી બેઝમેન્ટમાં - ત્યાંથી ઉપરના માળે આવેલા તાજ ચેમ્બર હોલમાં- ત્યાંથી પોલીસવાનમાં અને છેલ્લે ચાર્ટર પ્લેનમાં. આ સ્થળોમાં ટોઇલેટનો ઉલ્લેખ ક્યાંય આવતો નથી
બન્ને બયાનો પહેલા પુરૂષ એકવચનમાં હોય અને તેમાં આવો વિરોધાભાસ હોય, તેને શું કહેવાય? પહેલો પુરૂષ, બે વચન?

Friday, November 28, 2008

મુંબઇઃ આતંકવાદ, તકવાદ અને તક

કોઇ દિલધડક મસાલા ફિલ્મનાં દ્રશ્યોની નહીં, આખેઆખી ફિલ્મની યાદ અપાવે એવા મુંબઇ પરના ત્રાસવાદી હુમલા વિશે પ્રતિક્રિયા આપવા માટે યોગ્ય શબ્દો જડતા નથી. કારણ કે બધા શબ્દો કોમવાદી-પ્રાંતવાદી રાજકારણમાં રગદોળાઇને નકામા થઇ ચૂક્યા છે.

શિવસેનાની ગુંડાગીરીનો ભોગ બની ચૂકેલા મરાઠી લોકસત્તાના તંત્રી કુમાર કેતકરે આજે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં આજે ફરી એક વાર મુંબઇની મુશ્કેલીઓની સાથોસાથ સહિષ્ણુતાના પાઠની વાત યાદ કરી છે. લગે હાથ એમણે ‘મોરબીડ કોઇન્સીડન્સ’ (દુઃખદ યોગાનુયોગ) તરીકે એ પણ યાદ કર્યું છે કે આ હુમલા ‘એ વેનસડે’ના રોજ થયા.

આવી કોઇ પણ પ્રકારની દુર્ઘટનાની નૈતિક જવાબદારીમાંથી સરકાર છટકી શકતી નથી. આપણા માટે સવાલ એ છે કે આ બાબતમાં બધી સરકારો એકસરખી નિષ્ફળ સાબીત થઇ છે. કારણ કે રાજકીય પક્ષો રાષ્ટ્ર પરના હુમલા જેવા પ્રસંગે પણ તકવાદ છોડી શકતા નથી. એમનો ઘાટ ‘સબકો અપની હી કીસી બાત પે રોના આયા’ જેવો હોય છે. નાગરિકો અને દેશ પડે વસઇની ખાડીમાં.

એક વાત વારંવાર સંભળાય છેઃ અમેરિકામાં ૯/૧૧ પછી એક પણ હુમલો થયો નથી, ને આપણા દેશમાં વારંવાર કેટલા બધા હુમલા? કારણ કે, આપણી સરકારો નક્કામી છે. એ ખરૂં. પણ અમેરિકાની આર્થિક તાકાત, સલામતી પાછળ અઢળક ડોલરનો ઘુમાડો કરવાની ક્ષમતા અને ત્રાસવાદીઓએ અમેરિકામાં પેસાડી દીધેલી- હજુ નહીં ઓસરેલી ફડકને સાવ નજરઅંદાજ કરવા જેવાં નથી. છાશવારે અમેરિકામાં ત્રાસવાદી હુમલાની એલર્ટ અપાય છે અને લોકોના દિમાગની નસો તંગ થઇ જાય છે.

સરકારો અને રાજકીય પક્ષો નકામા અને તળીયા વગરના લોટા જેવા છે એ તો જાણે ચર્ચાથી પર બની ગયેલી હકીકત છે. પણ એ પક્ષો છેવટે લોકશાહીમાં અને પ્રજાના મતથી કામ કરે છે, એ પણ ઘણી વાર યાદ આવે છે. થાય કે એક બાજુ દરિયો ને બીજી બાજુ દૈત્ય (‘ડેવિલ એન્ડ ડીપ સી’નું ‘પ્રકાશશાહી’ ગુજરાતી). આપણે જવું ક્યાં? એ નિરાશા સાચી છે. એ સમયે આમજનતા ઉશ્કેરાટ અને અસહિષ્ણુતાના ચગડોળે ચડવાને બદલે સમભાવ અને સદ્ભાવથી કામ લે, તો રાજનેતાઓ અને પક્ષોને પણ લાંબા ગાળો પોતાની પ્રાથમિકતાઓ બદલવાની ફરજ પડે. કમ સે કમ એવી આશા રહે.

બાકી, હમણાં સુધી તો રાજ ઠાકરેઓને લીલાલહેર છે. કોઇ કહેનાર-પૂછનાર નહીં. બહાર રહો તો પણ હીરો. જેલમાં જાવ તો પણ હીરો. ગુજરાતની રાજકારણસર્જિત કે તાપીના પુર જેવી આફતો વખતે મૌન ધારણ કરી લેતા ગુજરાતના મુખ્ય મંત્રી હોંશથી મુંબઇને અને કેન્દ્રને શિખામણો આપે ત્યારે શું કહેવું? મોદી કાયદો-વ્યવસ્થા અને સલામતી જાળવવાનું શીખવાડે એ આખી વાત વિરોધાભાસી છે. અને ગમે તેટલો ઉત્સાહ હોય, પણ આવી સ્થિતિમાં મુંબઇ દોડી જવામાં કેટલી સેવા થાય? ને કેટલી સસ્તી પબ્લિસિટી?

ભાજપ હોય કે કોંગ્રેસ, શિવસેના હોય કે નવનિર્માણ સેના, આ લોકોનાં લક્ષણ આવાં ને આવાં રહ્યાં, તો આપણે મરી રહ્યા છીએ એમ જ મરતા રહેવાના! અને આવા નેતાઓ અને પક્ષોને ચલાવી લેવા, પોષવા અને પ્રોત્સાહિત કરવા બદલ આપણો પણ એમાં હિસ્સો હોવાનો.

Wednesday, November 26, 2008

કલઇઃ વાસણોની, તિજોરીની અને સ્મૃતિઓની

જમાનો બદલાય અને વપરાશની ચીજવસ્તુઓ બદલાય, એમ ભાષાના પ્રયોગોમાં પણ ફેરફાર થાય છે. ‘અમુલ બટર’ પહેલાં ખાનગી માલિકીની ‘પોલસન’ ડેરીના યુગમાં મસકા મારવા માટે ‘પોલ્સન મારવા’ એવો શબ્દ ગુજરાતીમાં પ્રચલિત હતો. (‘રહેવા દો ભાઇ, ખોટા પોલસન ના મારશો!’) એ જમાનામાં કોઇના રૂપિયા ચાંઉ કરી જવા માટે શબ્દપ્રયોગ હતોઃ કલઇ કરી નાખવી. દા.ત. વોલસ્ટ્રીટના ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોએ અમેરિકાના અર્થતંત્રની કે કેતન પારેખે સહકારી બેન્કોની કલઇ કરી નાખી કહેવાય.

બોલચાલની ભાષામાં ‘કલ્લઇ’ તરીકે ઓળખાતી કલઇ (કે કલાઇ) પિત્તળનાં વાસણો માટેની આવશ્યક ચીજ હતી. એ સમયે સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો ‘લક્ઝરી’ ગણાતાં અને ઘરગથ્થુ વપરાશનાં વાસણોમાં એલ્યુમિનિયમ- જર્મન સિલ્વર ઉપરાંત પિત્તળનાં વાસણો મોટા પ્રમાણમાં રહેતાં. બહારથી સોના જેવો દેખાવ અને અંદર ચાંદી જેવી સફેદી, એ પિત્તળનાં વાસણોની ખાસિયત. (એટલે સોનાને ઊંચું દેખાડવા તેની સરખામણી સરખો દેખાવ ધરાવતા પિત્તળ સાથે કરવામાં આવતી હતી.) પિત્તળનાં વાસણો લાગે મજાનાં. હોય પણ ખાસ્સાં વજનદાર. તેની મોટી મર્યાદા એ કે થોડા થોડા વખતે તેની અંદરની સફેદ ચમક ક્ષીણ થવા લાગે અને અંદરની સપાટી કાળાશ ધારણ કરતી જાય. એ વખતે ફુવડ ન હોય એવી ગૃહિણીઓ વાસણને કલઇ કરાવે.

(વાસણને) કલઇ કરનારા એ વખતે મોટા પ્રમાણમાં જોવા મળતા હતા. નાની સાઇઝના કોલસા, હેન્ડલવાળી યાંત્રિક ફૂંકણી, જેનાથી કોલસાને જલતા રાખી શકાય, નવસારનો ભૂકો, કલઇનો ટુકડો અને રૂનો પેલ- આટલો એમનો અસબાબ. એક ગુણીમાં આ બઘું નાખીને એ લોકો ફરે. જ્યાં કલઇ કરવાનો ઓર્ડર મળે, ત્યાં એ મહોલ્લામાં બાજુ પર કે સડકના કિનારે અડ્ડો જમાવે. પેલી યાંત્રિક ફૂંકણી જમીનસરસી રાખે અને તેની પાઇપ જમીનમા નાખે. એ પાઇપના બીજા છેડેના ખાડામાં દેવતા સળગાવવામાં આવે.

હેન્ડલ ફેરવવાથી ફૂંકણીમાંથી વાતો પવન બીજા છેડે દેવતાને પહોંચે અને દેવતા રાખોડી ખંખેરીને ઝગઝગે. ગૃહિણીઓ તપેલી-તપેલાં, તાંસળાં, કથરોટ, વઘારિયાં, કડછા, થાળી-વાટકી- પ્યાલા જેવાં વાસણોનો ઢગ કરી જાય. કલઇવાળા ભાઇ વાસણ હાથમાં લે, પછી કલઇનો નાનો ટુકડો ગરમ વાસણની અંદરની સપાટી પર ઘસે અને તેની પર નવસારના પાવડરમાં રગદોળેલો રૂનો મોટો ગુચ્છ ફેરવે. વાસણોને કલઇ થતી હોય, ત્યારે એની વિશિષ્ટ સુગંધ આવે.

ઘણા વખતથી નાકથી દૂર થઇ ગયેલી એ સુગંધ આજે હવામાંથી આવી, ત્યારે તરત ઓળખાઇ ગઇ. જોયું તો એક કાકા લારીમાં કલઇનો સામાન લઇને નીકળ્યા હતા. એમનું નામ વસંતભાઇ. ‘ક્યારથી ધંધો કરો છો?’ એવું પૂછ્યું, તો એમનો જવાબ,‘જવાહરલાલ નેહરૂના જમાનાથી.’

‘કાકા, કલઇનો ધંધો ચાલે છે હજુ? ’ એવું પૂછ્યું એટલે કાકા કહે,‘ભાઇ, માણસ મરી જાય. ધંધા થોડા મરી જાય? એ તો ચાલુ જ રહે.’

‘કલઇકામ ક્યાં મળે? લોકો તો પિત્તળનાં વાસણ બહુ રાખતા નથી.’ ‘હજુ વાડીઓમાં પિત્તળનાં વાસણ વપરાય છે. જૈન અપાસરા (ઉપાશ્રયો)માં પણ કામ મળે.’

હું સ્કુટર પર હતો ને કાકા જવાની ઉતાવળમાં. એટલે કલઇની સુગંધ અને એ ધંધા વિશેની જાણકારી તાજી કરાવવા બદલ એમનો આભાર માનીને હું ઓફિસે આવવા નીકળ્યો.
ફોટો ૧: કલઇની મિકેનિઝમ
ફોટો ૨: કલઇના ટુકડાનો ક્લોઝ-અપ


Tuesday, November 25, 2008

વયવિહીન (‘એજલેસ’) કલમ અને કેમેરા

ગુજરાતી છાપાં-સામયિકોના વાચકોના લાભાર્થે આ ‘ઐતિહાસિક’ જુગલબંદીની ‘લાક્ષણિક’ તસવીર મુકી છે, જે અમદાવાદમાં થોડા સમય પહેલાં યોજાયેલા વૃદ્ધોના લગ્નમેળામાં ‘ટીવી- ૯’ના મિત્ર પુરવ પટેલે લીધી હતી. તસવીરમાં આગળ કાંતિ ભટ્ટ છે અને તેમની પાછળ ટ્રેડમાર્ક ફેલ્ટ સાથે ઝવેરીલાલ મહેતા બેઠા છે. બન્ને મહાનુભાવો કાર્યક્રમમાં મહેમાન હતા એટલી સ્પષ્ટતા.

નોંઘઃ છેલ્લા થોડા દિવસોથી કામની ભારે વ્યસ્તતાને કારણે બ્લોગ પર પોસ્ટિંગ મુકી શકાયાં નહીં, પણ હવે ફરી રાબેતા મુજબ...

રેન્ડમ એક્સેસઃ એક દસકો બરાબર એક યુગ?

ટેકનોલોજીની ઝડપી પ્રગતિના જમાનામાં બદલાવની ગતિ એટલી તેજ છે કે બે-પાંચ વર્ષ જૂની વાત હોય, એ વર્ષોજૂની લાગે અને દાયકો વીતે એમાં આખો યુગ પસાર થઇ ગયાનો અહેસાસ થાય.

આ બઘું અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા સાયબર કાફે ‘રેન્ડમ એક્સેસ’ પર ‘વેચવાનું છે’નું પાટિયું જોઇને યાદ આવ્યું. ‘રેન્ડમ એક્સેસ’ અમદાવાદનું પહેલું સાયબર કાફે હતું. ભૂલતો ન હોઊં તો, એ વખતની ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની ‘જિંદાલ ઓનલાઇન’ની માલિકીનું જ હતું. એ ૧૯૯૭ની આસપાસ ખૂલ્યું હશે. ત્યારે અમદાવાદમાં ઇન્ટરનેટ નવાઇની ચીજ હતી. અત્યારે કેનેડા રહેતા મિત્ર ઉત્પલ ભટ્ટ અને તેના અમેરિકા રહેતા ભાઇ જયુલ ભટ્ટ જેવા કેટલાક ઉત્સાહીઓ ત્યારે બુલેટિન બોર્ડની વાત કરતા હતા. હું એ વખતે નગેન્દ્રવિજયના તંત્રીપદ અને હર્ષલ (પુષ્કર્ણા)ના એક્ઝિક્યુટીવ તંત્રીપદ હેઠળ પ્રગટ થતા અમદાવાદના સીટી મેગેઝીન ‘સીટીલાઇફ ન્યૂઝ’માં હતો. પખવાડિક સીટીલાઇફના પાંચમા અંકમાં (બરાબરને હર્ષલ/ઉત્પલ?) અમે ઇન્ટરનેટની કવર સ્ટોરી કરી, તે કદાચ ગુજરાતી પ્રસાર માઘ્યમોમાં પહેલી હશે. ત્યાર પછી ‘સીટીલાઇફ’માં અમે એક પાનાની ઇન્ટરનેટ વિશેની કોલમ શરૂ કરી, જે ભેદી કારણોસર ગુજરાતી સામયિકોમાં આટલા વર્ષ પછી પણ કોઇ કરતું નથી. (‘દિવ્ય ભાસ્કર’માં મોડી મોડી પણ મિત્ર હિમાંશુ કીકાણીની કોલમ ‘સાયબર સફર’ શરૂ થઇ અને ચાલી એ સુખદ અપવાદ.)

‘રેન્ડમ એક્સેસ’માં એ વખતે સર્ફંિગના બે ભાવ હતા ઃ ૧ કલાકના ૭૦ રૂ. (એક વ્યક્તિ માટે) અને ૮૦ રૂ. (બે વ્યક્તિ માટે). કેમ કે, ઇન્ટરનેટ ત્યારે જોવાની ચીજ હતી અને એકને બદલે બે જણ જુએ તો વધારે રૂપિયા આપવા ન પડે? એકાદ વાર બપોરે રેન્ડમ એક્સેસમાં ગયો ત્યારનો એવો પણ સીન યાદ આવે છે કે નેટસેવી પ્રજા હોટમેઇલમાં એન્ટર આપ્યા પછી, ખાતું ખુલવાની રાહ જોતી બગાસાં ખાતી હોય.

ત્યાર પછી સાબરમતીમાંથી ઘણું પાણી અને ‘કેબલ’માંથી ઘણો ડેટા વહી ગયા. ડોટ કોમ બબલ ફૂટ્યો. ગુજરાતી પોર્ટલો ભૂતકાળ બન્યાં. સર્વિસ પ્રોવાઇડરોનો યુગ આથમી ગયો. બ્રોડ બેન્ડ આવ્યું. સાયબર કાફે સામાન્ય બન્યાં અને એક વ્યક્તિ-બે વ્યક્તિના ભાવફરક ન રહ્યા.
‘રેન્ડમ એક્સેસ’ પરનું આ પાટિયું એ યુગ પૂરો થયાનું પ્રતીક નથી લાગતું?

નળાખ્યાન અને નળદમન

વર્ષો પહેલાંની વાત છે. એક પ્લમ્બરનો એકનો એક પુત્ર અવસાન પામ્યો. વિલાપ કરતો પ્લમ્બર એક મહાત્મા પાસે પહોંચ્યો અને કહ્યું,‘ભગવન્, મારા પુત્રને જીવતો કરી આપો.’ મહાત્માએ મંદ હાસ્ય કરીને કહ્યું,‘હે વત્સ, એ માટે મારે ફક્ત એક ડબલું પાણી જોઇએ. શરત એટલી કે એ ડબલું એવા નળમાંથી ભરેલું હોવું જોઇએ, જે ટપકતો ન હોય.’ આટલું સાંભળતાં પ્લમ્બર ચૂપચાપ પોતાના ઘરે પાછો ફરી ગયો અને પોતાના ઘરના ટપકતા નળ ભણી ફિલસૂફદૃષ્ટિ નાખીને જીવન જીવવામાં લાગી પડ્યો.

આ કથામાં અતિશયોક્તિ છે એમ કહી દેવું, એ અડધા ભરેલા ગ્લાસને અડધો ખાલી કહેવા બરાબર છે. ખરેખર તો આ કથામાં વાસ્તવિકતા છે એ સ્વીકારવું જોઇએ. માણસો જેમ શ્વાસ લે છે તેમ નળ ટપકે છે. બન્ને માટે આ ક્રિયાઓ સહજ અને આવશ્યક છે- પોતાના જીવતા હોવાનો તે અહેસાસ છે. સંસારની માયાનાં બંધનોમાં જકડાયેલા મનુષ્યો નળની ટપકવાની ક્રિયાને નળની ખામી ગણે છે અને ટપકતો નળ તેમને ‘બગડેલો’ લાગે છે.

નળ સાથે નવેનવો પનારો પડ્યો હોય ત્યારે માણસને નળ પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા એ યાદ હોય છે. એટલે તે નળ સાથે જરા વિવેકથી વર્તે છે અને તેને જરા પ્રેમથી ચાલુ-બંધ કરે છે. નળ પણ નવો હોય ત્યાં સુધી પોતાની મર્યાદા ચુકતો નથી અને વાપરનાર બંધ કરે ત્યારે બંધ, ચાલુ કરે ત્યારે ચાલુ થઇ જાય છે. પ્લમ્બરોના સદ્ભાગ્યે નળ અને વાપરનારનું શાંતિપૂર્ણ સહજીવન લાંબું ટકતું નથી.

નર અને નળ વચ્ચે ઘણી બાબતોમાં સામ્ય છેઃ બન્ને સાથે ગમે તેટલું પ્રેમપૂર્ણ કે કડકાઇભર્યું વર્તન કરવામાં આવે, પણ છેવટે તો એ તેમને જે કરવું હોય તે જ કરે છે. ફક્ત પ્રેમ કરવાથી તેમને કાયમી ધોરણે સીધા ચલાવી શકાતા નથી અને કડકાઇથી તેમનાં સ્ખલન અટકાવી શકાતાં નથી. સ્ખલન એ બન્નેની મૂળભૂત પ્રકૃતિ છે. એ મુદ્દે જોરજબરદસ્તી કરવાથી વિપરીત પરિણામ આવે છે અને ન કરવાથી પણ પરિણામમાં ખાસ ફરક પડતો નથી. હવેના જમાનામાં હિંમતભેર કહી શકાય કે બન્ને નવા લાવવાનું સરખું જ માથાકુટીયું છે. કારણ કે નવા નર/નળમાં આ પ્રોબ્લેમ નહીં થાય તેની કોઇ ગેરન્ટી હોતી નથી. બલ્કે, એ થશે જ એની ગળા સુધીની ખાતરી હોય છે. સામે પક્ષે, નર અને નળ પણ પડ્યું ‘પાનું’ નિભાવી લઇને સ્ખલનપ્રવૃત્તિ અસ્ખલિત રીતે ચાલુ રાખે છે. નળ કે નર સોનેમઢેલા હોય, તો પણ તેમનું ‘વાઇસર’ તરીકે ઓળખાતું ‘વોશર’ સાવ સસ્તું હોય છે અને મોટા ભાગના નળ/નરની ‘સ્થિરતા’ બહાર દેખાય છે એટલી નહીં, પણ અંદર રહેલા, ન દેખાતા વોશર જેટલી જ ટકાઉ અને કિમતી હોય છે.

રાજકીય દૃષ્ટિએ જોતાં નળના અનેક પ્રકાર જણાય છે. ધનિકોના બંગલામાં રહેલા ઘણા નળ રાષ્ટ્રપતિ જેવા હોય છે. તે પોતાની ભવ્યતા દ્વારા શોભામાં અભિવૃદ્ધિ કરે છે, પણ મહેમાનોને પ્રભાવિત કરવા સિવાય તેમનો ખરેખરો ઉપયોગ ભાગ્યે જ થાય છે. મઘ્યમ વર્ગીય પરિવારોનાં બાથરૂમ-બેસિનમાં રહેલા નળ બંધારણીય ગૃહોના અઘ્યક્ષ જેવા થઇ જાય છે. બધા એમની પર ત્રાસ ગુજારવા મચી પડે છે, પણ તેમની પાસે ચૂપચાપ ગરીમાપૂર્વક પોતાની ફરજ બજાવ્યા સિવાય છૂટકો હોતો નથી. ગરીબોના ઘરમાં રહેલા મ્યુનિસિપાલિટીના નળ ગાંધીવાદી હોય છે. તેમનાં સ્ખનલ અનિયતકાલીન અને જાણે સ્ખલનનું પ્રાયશ્ચિત કરવાનું હોય એમ દરેક સ્ખલન પછી લાંબા ઉપવાસ! પણ મ્યુનિસિપાલિટીના નળની ગાંધીવાદી પ્રકૃતિને ઓળખી ગયેલા સમજુ લોકો નળના દરેક ઉપવાસને આગામી સ્ખલનની તૈયારી તરીકે જોઇને હિંમત હારતા નથી.

અત્યારે ઇન્ટીરીયર ડીઝાઇનની આઇટેમ ગણાતા નળ જૂના વખતમાં ફક્ત ‘ચકલી’ સ્વરૂપ હતા. ‘બાથરૂમ ફીટીંગ’ તરીકેની ઓળખ તો બાજુ પર રહી, તેમને નળ જેવા માનસૂચક નામે પણ કોઇ સંબોધતું ન હતું. તેમનું વજન એ તેમનો એકમાત્ર ગુણ હતું. અત્યારના ફેશનેબલ, નજાકતપૂર્ણ નળ જોઇને ઘણા વડીલો નિઃસાસો નાખતાં કહે છે,‘આ તે કંઇ નળ કહેવાય? આના કરતાં અસલના જમાનાની ચકલીઓ સારી હતી. આપણા ઘરની પિત્તળની ચકલી કોઇને માથામાં મારી હોય તો એ પાણી ન માગે અને ચકલીને ભંગારમાં વેચીએ તો બે ટંક ટૂંકા થાય.’ તેમની ચકલી-પ્રીતિ વિશે જાણ્યા પછી ઘડીભર લાગે કે તેમણે ભવિષ્યની પેઢી માટે રૂપિયા-દાગીનાને બદલે ચકલીઓ ભેગી કરી નથી એટલું સારૂં છે.

જમાનો જૂનો હોય કે નવો, નળનો ટપકવાનો ગુણધર્મ બદલાતો નથી. સીધો ચાલતો નળ ટપકવા લાગે એટલે પહેલાં તો વડીલો બાળકોને ધમકાવે,‘તને કેટલી વાર કહ્યું? નળ સરખો બંધ કરતાં શીખ. પાણી ભરવામાં કેટલું જોર પડે છે, ખબર છે?’ પણ થોડા વખત પછી તેમને સમજાય છે કે બાળકો જાય તે પહેલાં નળ કાબૂ બહાર જતો રહ્યો છે. એટલે તે નવી સૂચના જારી કરે,‘આપણો બાથરૂમનો નળ ટપકે છે. જે જાય તેણે નળ બરાબર બંધ કરવો.’

આમ ઘરમાં નળદમનનાં મંડાણ થાય છે. ઘરનાં તમામ સભ્યોને નળની સાન ઠેકાણે લાવવાનો એવો ઉત્સાહ ચડે છે કે તે એક વાર નળ ચાલુ કર્યા પછી તેને ચાર વાર બંધ કરે છે. એક વાર નળ બંધ કર્યા પછી તેમને સંતોષ થતો નથી. એટલે તે ફરી નળ થોડો ચાલુ કરીને, પહેલાં કરતાં વધારે જોરથી નળની ચાકી ફેરવે છે. સહેજ જોર લગાડ્યા પછી પણ નળની ટપકામણ ચાલુ રહે એટલે માનહાનિની લાગણી સાથે નળ પર વઘુ જોર કરવામાં આવે છે. હથેળીઓમાં નળની ચાકીઓ વાગે છે. છતાં નળમાંથી ટપકાં અટકવાનું નામ લેતાં નથી. એટલે નળ બંધ કરનાર ‘મૈં હાર માનનેવાલોં મેં સે નહીં’ એવી મુદ્રા સાથે પોતાનું સઘળું જોર નળ પર લગાડે છે. આ દ્વંદ્વ જોનાર કોઇ હોય તો તેને અવશ્ય એવું લાગે કે ‘કાં હું નહીં, કાં એ નહીં’નો આ મુકાબલો છે.

બળને બદલે બુદ્ધિને પ્રાધાન્ય આપનારા નળ બંધ કરવાની અવનવી તરકીબો શોધી કાઢે છે. નળ સાથે દ્વંદ્વમાં ઉતરીને પરાસ્ત થવાના આરે ઊભેલા મહેમાનને સહેજ ઠપકાના સૂરે તે કહે છે,‘ચાલશે. રહેવા દો. તમારાથી એ નહીં થાય. એમાં જોર લગાડવાનું નથી. ઉપરની ચાકી બે વાર અડધી, એક વાર આખી અને ફરી એક વાર અડધી ફેરવશો તો જ એ ટપકતો બંધ થશે.’

આ સાંભળીને મહેમાન સાપેક્ષવાદનું સમીકરણ સાંભળ્યું હોય એવા બાઘાઇમિશ્રિત અહોભાવથી જોઇ રહે છે અને ભલું હોય તો યજમાનને પૂછે છે,‘આવી ફોર્મ્યુલા તમે કેવી રીતે શોધી કાઢી?’

ઘરમાં એક નળ ટપકતો થાય, એટલે ઘરના સભ્યોના મનમાં સંશય જાગ્રત થાય છે. તેમને પોતાના-પરાયા સઘળા નળ શકમંદ લાગે છે. નળ-જાત પરથી તેમની શ્રદ્ધા ઉઠી જાય છે. તેમને લાગે છે કે નળ વંઠે તે પહેલાં આપણે આગોતરી સાવચેતી તરીકે તેમને બરાબર કસીને, ભીંસીને, દબાવીને, મચેડી-મરોડીને, કચકચાવીને, કોઇ પણ રીતે બરાબર બંધ કરવા જોઇએ. બળવાના જરાસરખા અણસારને કડકાઇથી દબાવી દેતા અંગ્રેજ શાસકોની જેમ, ઘરના લોકો નળ સાથે બિનજરૂરી કડકાઇથી વર્તવા લાગે છે. પોતાના તો ઠીક, બીજાના ઘરે જાય ત્યારે પણ એ યજમાનના કાનમાં ફૂંક મારી દે છે,‘આ નળને દાબમાં રાખજો. એમને બહુ સારા-બહુ સારા કહીને ચડાવી મારતા નહીં. પછી કહ્યામાં નહીં રહે ને ટપકતા થઇ જશે. અમે તો નળ ફીટ બંધ કરવા ખાસ પક્કડ લાવ્યાં છીએ. દરેક જણ નળ ખોલ્યા પછી પક્કડથી જ નળ બંધ કરે.’

જોર વગર બંધ થતા નળ બિનજરૂરી બળપ્રયોગથી બગડીને ટપકવા લાગે, એટલે બળ વાપરનારા કહે છે,‘જોયું? મેં નહોતું કહ્યું? આ પણ બગડી જ જવાનો છે! એટલે હું પહેલેથી એને કચકચાવીને જ બંધ કરૂં છું.’ નળ-દમયંતિની વાર્તામાં, દમયંતિસ્વયંવર વખતે બધા દેવો નળનું રૂપ લઇને આવ્યા હોવાથી, કયો નળ સાચો છે એની મૂંઝવણ થઇ હતી. અનેક ડીઝાઇન અને આકારપ્રકારના નળ જોયા પછી, આમાંથી કયો નળ ફીટ કરાવ્યા પછી ટપકશે નહીં એ નક્કી કરવાની કસોટી દમયંતિની પરીક્ષા કરતાં વધારે કઠણ નથી?

Tuesday, November 18, 2008

રેશનાલિઝમઃ અજવાળું અને આગ

ઇશ્વર વિશેની ચર્ચા મોટે ભાગે નિરર્થક સાબીત થાય છે. કારણ કે ઇશ્વરમાં ન માનનારાને લાગે છે, ‘આ શ્રદ્ધાળુઓ કદી સમજવાના નથી.’ અને ઇશ્વરમાં માનનારા? એમને લાગે છે કે ‘આ નાસ્તિકો કદી સ્વીકારવાના નથી.’

બીજા ઘણા સવાલોની જેમ ઇશ્વરના મામલે જગત ફક્ત બે ભાગમાં વહેંચાયેલું નથી. ઘણા લોકો એવા પણ છે, જેમને ઇશ્વર હોય કે ન હોય એથી કશો ફરક પડતો નથી. ઇશ્વર પ્રત્યે તેમનો અભિગમ ‘હશે ભાઇ! એ હોય તો જ્યાં હોય ત્યાં સુખી રહે!’ એવો છે. ઇશ્વરનું નામ પડતાં આ લોકોની મુઠ્ઠીઓ ભીંસાતી નથી, તો હથેળીઓ જોડાતી પણ નથી. એવા લોકો ધર્મસ્થાનોમાં ઘેટાંબકરાંની ગીરદી કરવા જતા નથી. છતાં, અનિવાર્ય લાગે ત્યારે - ખાસ કરીને બીજા કોઇના મહત્ત્વના હિતની જાળવણી ખાતર- ધર્મસ્થાનમાં જવામાં ધર્મસંકટ અનુભવતા નથી. એમ કરવામાં ‘મારી વિવેકબુદ્ધિ ભ્રષ્ટ તો નહીં થાય ને?’ એવી અસલામતી તેમને થતી નથી. ઇશ્વરની માન્યતાથી માનનારને કે બીજાને કોઇ નુકસાન ન થતું હોય અને માન્યતા ધરાવનારને મનોવૈજ્ઞાનિક ટેકો મળતો હોય, તો એમાં તેમને ખાસ કંઇ વાંધાજનક લાગતું નથી. ઇશ્વરની ટેકણલાકડી ધરાવતા માણસોને આત્મશ્રદ્ધા - વૈચારિક સમજણથી સજ્જ અને સ્વનિર્ભર કર્યા પહેલાં, ઇશ્વરની ટેકણલાકડી સીધેસીધી ખસેડી ન લેવાય, એટલું સમજવાની વિવેકબુદ્ધિ તેમનામાં છે.

રેશનાલિઝમઃ સાઘ્ય કે સાધન?
ફિલસૂફો-વિદ્વાનોની સિદ્ધાંતચર્ચા બાજુ પર રાખીએ તો, ઇશ્વરના અસ્તિત્ત્વ વિશેની ઘણીખરી ચર્ચામાં બને છે એવું કે વાત ઇશ્વર પર અડી જાય છે ને માણસાઇ- મનુષ્યત્વનો સૌથી મહત્ત્વનો મુદ્દો બાજુ પર રહી જાય છે. માણસ સારો છે કે નહીં, તેનો સંપૂર્ણ આધાર તે ઇશ્વરમાં માને છે કે નહીં એની પર છે? ના. સૈદ્ધાંતિક રીતે એવું કહી શકાય કે ઇશ્વરમાં-સ્થાપિત ધર્મમાં ન માનનાર માણસ ગેરમાન્યતા-પૂર્વગ્રહ-કુંઠાઓથી મુક્ત રહી શકવાને કારણે વઘુ સારો માણસ બની શકે. પરંતુ વ્યવહારમાં એવું ઓછું જોવા મળે છે. પોતાની જાતને ‘રેશનાલિસ્ટ’ કહેવડાવવા આતુર ઘણા લોકોએ રેશનાલિઝમને કેવળ ઇશ્વરના ઝનૂની વિરોધનો અને પોતાની નિરંકુશ સ્વચ્છંદતાને વાજબી ઠરાવવાનો પર્યાય બનાવી દીઘું છે. રેશનાલિઝમનો પાયો ભલે ઇશ્વર અને અંધશ્રદ્ધાના નકારનો હોય, પણ તેનો વ્યાપ જીવન અને વ્યવહારના બધા વિષયોને આવરી લે છે. બધી બાબતોમાં રેશનલ (વિવેકબુદ્ધિયુક્ત) અભિગમ રાખવો, કશું ઇશ્વરને આધીન છોડવું નહીં અને એક માણસને છાજે એવું જીવન જીવવું, એ રેશનાલિઝમનું મૂળભૂત ઘ્યેય છે. બીજા શબ્દોમાં કહીએ તો, રેશનાલિઝમ પોતે સાઘ્ય નથી, પણ સાધન છે- તે સારા માણસ બનવાની દિશામાં આગળ વધવાનો નકશો છે. આ વ્યાખ્યા દરેક ધર્મને પણ લાગુ પાડી શકાય. ફરક એટલો કે ધર્મોના આદર્શની સરખામણીમાં આદર્શ રેશનાલિઝમ વધારે ઉદાર, ભેદભાવરહિત, અહિંસક, શોષણવિરોધી, ઝનૂનરહિત હોય છે.

મુખ્ય તકલીફ આદર્શની નહીં, પણ વાસ્તવિકતાની છે. આદર્શ કોણ જોવા ગયું છે? લોકો પોતાની આસપાસ જે જુએ તેની પરથી હિંદુત્વની, ઇસ્લામની કે રેશનાલિઝમની વ્યાખ્યા બાંધે છે. એ રીતે વિચારતાં, કેવી છે રેશનાલિઝમની પ્રચલિત વ્યાખ્યા?

બહારની ઝાંય, અંદરનો રંગ
સૌથી સાદી સમજણ પ્રમાણે રેશનાલિઝમ એટલે અંધશ્રદ્ધાનો અને ઇશ્વરનો ઇન્કાર. એ છાપને અનુસરીને ‘ઇન્સ્ટન્ટ રેશનાલિસ્ટ’ બનવા ઇચ્છતા ઉત્સાહીઓ લાગલા ઇશ્વરના ઇન્કારની ગાડીમાં ચડી બેસે છે - અને તેમની ગાડી કદી પ્લેટફોર્મ પરથી ઉપડતી જ નથી! તેમની સફર ઇશ્વરના ઇન્કારથી શરૂ થઇને ત્યાં જ પૂરી થઇ જાય છે અને વિવેકબુદ્ધિનો ભંગ કરતી બાકીની બધી વૃત્તિ-પ્રવૃત્તિ એમની એમ જ રહે છે. રેશનાલિસ્ટ તરીકેની વિશિષ્ટ ઓળખ અને ‘અમે તો વીર સમાજની પરવા નહીં કરવાવાળા’ એવા ગુમાનને કારણે કદાચ અંકુશમાં રાખવાલાયક વૃત્તિઓ વકરે છે. ગુજરાત-મુંબઇનાં રેશનાલિસ્ટ વર્તુળોમાં આ પાઘડીની સાઇઝને બંધબેસતાં ઘણાં માથાં મળી આવશે.

કેવળ ચમત્કારવિરોધ-ઇશ્વરવિરોધની ટૂંકી મૂડી ધરાવતા ‘રેશનાલિસ્ટો’ અને કોઇ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે ઝાઝો તાત્ત્વીક ફરક રહેતો નથી. એવા રેશનાલિસ્ટોનું રેશનલાઝિમ વ્યક્તિકેન્દ્રી બને છે. પરિણામે સંપ્રદાયો કરતાં અનેક ગણા નાના રેશનાલિસ્ટ વર્તુળમાં મોટા પાયે હુંસાતુંસી અને ખેંચતાણો થાય છે, ચોકા ઊભા થાય છે, ભક્તમંડળો રચાય છે.

કોઇ પણ ધાર્મિક માણસ જેવી માનસિકતાના બાહ્ય આવરણ પર રેશનાલિઝમનો ભડક રંગ લગાડવાથી પહેલી નજરે તેમાં વિવેકબુદ્ધિની ઝાંયનો ભાસ થાય, પણ સહેજ નખ મારતાં નવો રંગ ઉખડી જાય છે અને અંદરની અસલિયત દેખાઇ આવે છે. અંદર સુધી ઉતરેલા વિવેકબુદ્ધિવાદના રંગને બદલે આભાસી ઝાંય ધરાવતા રેશનાલિસ્ટોનું પ્રમાણ વધે તેમ, એ લોકો રેશનાલિઝમના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બની જાય છે.

આવું થાય તો કેવી કરૂણ સ્થિતિ સર્જાય, તેની કલ્પના કરવાની જરૂર નથી. ગુજરાત અને મંુબઇના ગુજરાતી રેશનાલિસ્ટોની ટૂંકી બિરાદરીમાં અત્યારે મહદ્ અંશે એવી જ સ્થિતિ સર્જાયેલી છે. રેશનાલિઝમની પ્રવૃત્તિ સામુહિક સ્તરે અને વૈચારિક ચળવળની જેમ કાઠું કાઢવાને બદલે ધર્મ કે સંપ્રદાયોની જેમ અનેક ફાંટામાં વિભાજીત થયેલી છે. સ્વૈચ્છિક સંસ્થાઓની જેમ રેશનાલિઝમની સંસ્થાઓ ‘કોમન મિનિમમ પ્રોગ્રામ’ (લધુતમ સામાન્ય મુદ્દા) ઉપર પણ એકમતિ સાધી ન શકે, એટલી હદે તે વ્યક્તિગત કે સંસ્થાગત રજવાડાંમાં ફેરવાઇ ચુકી છે. એટલે, ગુજરાતને વિવેકબુદ્ધિની સૌથી વધારે જરૂર છે, એવા સમયગાળામાં રેશનાલિસ્ટો તરફથી ઘોર નિરાશા સિવાય ભાગ્યે જ બીજું કંઇ મળે છે.

બ્રાન્ડ ‘રેશનાલિસ્ટ’
એક જમાનામાં સ્વાઘ્યાયીઓ ‘અમારે ત્યાં બધા બૌદ્ધિકો આવે છે’ એમ કહીને, લોકોને કંઇ નહીં તો ‘બૌદ્ધિક’ દેખાવાની લાલચ આપીને સ્વાઘ્યાય પ્રવૃત્તિ ભણી ખેંચવા પ્રયાસ કરતા હતા. રેશનાલિઝમમાં પણ કંઇક અંશે એવી સ્થિતિ પેદા થઇ છે. બૌદ્ધિક દેખાવાનો સૌથી ટૂંકામાં ટૂંકો ઉપાય છેઃ બે-ચાર પ્રચલિત અંધશ્રદ્ધાઓ નકારી કાઢીને, એક-બે ધર્મગુરૂઓની ઉપરછલ્લી ટીકા કરીને પોતાની જાતને રેશનાલિસ્ટ તરીકે જાહેર કરી દેવી. આટલું કર્યા પછી પોતપોતાના પૂર્વગ્રહો-અજ્ઞાન-ઝનૂન યથાતથ રાખીને, ચોકામાં વહેંચાઇને પરસ્પર પીઠખંજવાળની પ્રવૃત્તિ દ્વારા સુખેથી બૌદ્ધિક-રેશનાલિસ્ટ તરીકે કોલર ઉંચા રાખીને ફરી શકાય છે.

રેશનાલિઝમ જેમના માટે સાઘ્ય મટીને પોતાની કારકિર્દી ઘડવાનું, ઓળખના સિક્કા જમાવવાનું, અનુયાયીગણ પોષવાનું કે ધંધો કરવાનું સાધન બની ગયું હોય, એવા લોકોની સંખ્યા ઘણી વધી છે. આ લોકોને રેશનાલિસ્ટ તરીકેના પોતાના બ્રાન્ડિંગમાં જેટલો રસ છે, તેનાથી દસમા ભાગનો પણ રેશનલ વ્યક્તિ બનવામાં નથી.

રેશનાલિસ્ટ બન્યા પછી પણ મોટા ભાગના માણસો પોતાની મૂળભૂત પ્રકૃતિમાંથી છટકી શકતા નથી. વાંધો પ્રકૃતિનો નથી, પણ દાવાનો છે. પોતાનો ધર્મ સૌથી મહાન છે એવું માનતા ધાર્મિકોની જેમ રેશનાલિસ્ટો પણ કટ્ટરતા અને ઝનૂનથી એવું માનવા લાગે કે રેશનાલિઝમ શ્રેષ્ઠ છે, અમે રેશનાલિસ્ટ હોવાથી અમે શ્રેષ્ઠ છીએ અને બાકીનાં તો ધાર્મિકતામાં ખદબદતાં જંતુડાં છે.

ધાર્મિકતાનો અતિરેક અને અંધશ્રદ્ધા માણસોને જંતુવત્ બનાવી શકે છે, તો રેશનાલિઝમના નામે તેનાં બાહ્ય લક્ષણોનું જડ અનુકરણ કરનારા પણ ‘માણસ’ રહી શકતા નથી. પોતાનું અધકચરૂં રેશનાલિઝમ બીજા પર થોપવાની વૃત્તિ, ચેલા મૂંડવા સદા આતુર રહેતા બાવાઓ કરતાં જરાય જુદી નથી હોતી.

રેશનાલિઝમઃ અજવાળાનો પર્યાય
આટલું વાંચીને ઇશ્વરવાદીઓ કહી શકે છેઃ ‘જોયું? અમે નહોતા કહેતા? આ નાસ્તિકો (રેશનાલિસ્ટો)ના રવાડે ચડાય નહીં.’ એવા ઇશ્વરવાદીઓના કમનસીબે એવા રેશનાલિસ્ટો પણ મોજુદ છે, જે ઝનૂની રેશનાલિસ્ટ નથી. તે ઇશ્વર કે નીયતી પર ટેકો દઇને જીવન જીવવાને બદલે જિજ્ઞાસા અને સંશોધનથી જીવનની સમસ્યાઓનો સામનો કરે છે. ક્રૂર-ઘાતકી રાજા જેવાં લક્ષણો ધરાવતા ઇશ્વર સાથે તેમને કશી લેવાદેવા હોતી નથી. મોટી ક્લબોમાં ફેરવાઇ ગયેલા સ્થાપિત ધર્મો અને ધાર્મિક પ્રવૃત્તિઓથી તે દૂર રહે છે.

મનુષ્યજાતિના સામુહિક ઉત્કર્ષ માટે મહાન સંશોધનો કરનારા વૈજ્ઞાનિકો તેમને કાલ્પનિક સગવડીયા ઇશ્વર કરતાં વઘુ મહાન લાગે છે. વિજ્ઞાન પ્રત્યે તે અનન્ય ઋણભાવ અનુભવે છે અને સાચા રેશનાલિઝમ દ્વારા પોતાના જીવનમાં જે અજવાળું પથરાયું, તે બીજાના જીવનમાં પણ પથરાય એવી તેમની સતત લાગણી રહે છે. એવા રેશનાલિસ્ટો પોતાના પ્રચાર કે ધંધા માટે નહીં, પણ બીજા લોકો પ્રત્યેની લાગણી અને અનુકંપાથી પ્રેરાઇને ધીરજપૂર્વક રેશનાલિઝમનો ફેલાવો કરવાનો પ્રયાસ કરે છે. અકાળે આ દુનિયામાંથી વિદાય લેનારા રવજીભાઇ સાવલિયામાં આ બધાં લક્ષણોનો દુર્લભ સમન્વય હતો. તેમના જેવા વ્યવહારૂ, પૂર્વગ્રહમુક્ત, ઝનૂનરહિત અને સંવેદનશીલ રેશનાલિસ્ટોની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થઇ રહી છે, એ અંધશ્રદ્ધા નહીં પણ નક્કર હકીકત છે. રેશનાલિસ્ટોના વર્તમાન સમુહે ઇશ્વર કે અંધશ્રદ્ધાની સાથોસાથ અરીસા સામે જોઇને પણ ઝુંબેશો છેડવાની જરૂર છે.