Tuesday, May 31, 2011

ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશનું ‘ગુજરાત મોડેલ’

અન્ના હજારેની ગુજરાત-મુલાકાત એકંદરે સુખદ રીતે પૂરી થઇ.

ગુજરાતના મુખ્ય મંત્રીના ચાહકોની છાવણી એ વાતે રાજી થઇ કે જાહેરસભામાં- લોક સુનાવણીમાં અન્નાએ મુખ્ય મંત્રીનું નામ પાડીને ટીકા ન કરી.

અન્નાએ કરેલાં ગુજરાતના ‘વિકાસ’નાં વખાણથી ક્ષુબ્ધ થનારા એ વાતે ખુશ થયા કે અન્નાએ ગુજરાતના બહુપ્રચારિત ‘વિકાસ’ની બીજી બાજુ સાંભળી, એ ક્ષેત્રમાં કામ કરતા લોકોને મળ્યા અને તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું કે આ તો ‘ગોટાળા’ છે.

ગુજરાતના વિકાસ અંગે અન્નાનો ‘યુ-ટર્ન’ ઠીક ઠીક ચર્ચાનો વિષય બન્યો. ‘મુખ્ય મંત્રી એટલે ગુજરાત એટલે ગુજરાતની પ્રજા’ એવા સમીકરણમાં રાચતા ઘણા લોકોને, ગુજરાતમાં ગોટાળાની વાત કરતા અન્નાના નિવેદનથી ચચરાટ થયો. ‘કોઇ મુખ્ય મંત્રીનાં વખાણ કરે ત્યારે એનું પ્રમાણપત્ર ગળે લટકાવવું ને ટીકા કરે ત્યારે એને ગુજરાતવિરોધી/ ડામાડોળ માનસિકતા ધરાવનારનો શિરપાવ આપવો’- આવી વિશિષ્ટ માનસિકતા છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પાંગરી છે. તેમાં ‘કોઇ’ તરીકે ‘ઇંગ્લિશ મીડિયા’ પણ હોય ને અન્ના હજારે પણ હોઇ શકે.

અન્નાએ ગુજરાતનાં વિકાસકાર્યો સંદર્ભે કરેલું ‘ગોટાળા’વાળું નિવેદન બેશક ઉતાવળીયું અને અધકચરું છે. એક જનસુનાવણી સાંભળીને કે સ્વૈચ્છિક સંસ્થાના થોડા પ્રતિનિધિઓને મળીને એકદમ આત્યંતિક પ્રકારનું નિવેદન બહાર પાડી દેવામાં અન્નાના પક્ષે ઠરેલપણાની ખોટ કે બિનજરૂરી ઉતાવળ વરતાઇ આવે છે. મઝા એ વાતની છે કે અગાઉ અન્નાએ આથી પણ વધારે ઉભડક રીતે- વગર વિચાર્યે- કેવળ મીડિયાના અહેવાલોના આધારે- ગુજરાતના મુખ્ય મંત્રીની પ્રશંસા ફટકારી દીધી, ત્યારે અન્નાના વર્તમાન ટીકાકારોને તેમના ઠરેલપણા કે ઉતાવળ વિશે શંકા જાગી ન હતી.

ગાડી ચલાવતાં આવડતું ન હોય એવો માણસ પૂરપાટ ગાડી હંકારીને, આપણા અળખામણા પાડોશીના કમ્પાઉન્ડની દીવાલ તોડીફોડી નાખે ત્યારે આપણે હરખાઇએ, પણ એ જ ગાડી આપણા કમ્પાઉન્ડ ભણી ધસી આવતી દેખાય, ત્યારે આપણે ડ્રાઇવરની માનસિક સ્વસ્થતા વિશે કકળાટ કરીએ- એવી આ વાત છે. તેમાં પ્રાથમિક પ્રશ્ન આપણી પોતાની માનસિક સ્વસ્થતા અને વિવેકબુદ્ધિ વિશે ન થવા જોઇએ?

અન્નાનાં આડેધડ નિવેદનનો સીધો અર્થ એટલો જ થાય કે એ સારા ચળવળકાર હોઇ શકે છે- સારા વ્યૂહકાર નહીં. તે ચળવળનો ચહેરો (‘મેસ્કોટ’) બની શકે, પણ આંદોલનના પ્રવક્તા નહીં. કદાચ એ જ કારણથી તેમને હવે પત્રકારો સાથે સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. સાથાસાથ, હકીકત એ પણ છે કે અન્ના વિનાનું આંદોલન એકડા વગરનું મીંડું બની જાય એમ છે. એ એક એવી પરિસ્થિતિ છે, જે ગમે કે ન ગમે, પણ તેનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી.

જમીની વાસ્તવિકતા
‘ગાંધીના ગુજરાતમાં દૂધ કરતાં દારૂ વધારે મળે છે’ એવું અન્નાનું અવતરણ મથાળા તરીકે ચટાકેદાર લાગે, પણ તેનાથી અનેક ગણી વધારે ગંભીરતા તેમની સમક્ષ રજૂ થયેલા જમીનના પ્રશ્નની હતી. મહારાષ્ટ્રમાં સ્થાનિક ગ્રામસભા પરવાનગી ન આપે ત્યાં સુધી રાજ્ય સરકાર જમીન સંપાદિત કરી શકે નહીં, એવો કાયદો લાવવાની ફરજ પાડનાર અન્ના ગુજરાતમાં એવા કાયદાના અભાવે સર્જાતી સ્થિતિ ઝડપથી સમજી શક્યા. લોકસુનાવણીમાં થયેલી રજૂઆતો અન્ના જેવા તૃણમૂલ (ગ્રાસરૂટ) સ્તરે કામ કરી ચૂકેલા કાર્યકર્તાને દ્રવિત કરવા માટે પૂરતી હતી. તેમણે રાબેતા મુજબના ઉત્સાહથી જાહેર કરી દીઘું કે જનલોકપાલનું કામ પૂરું થાય, એટલે સરકારની જમીન સંપાદન (અ)નીતિ અંગેનો મુદ્દો હાથ પર લઇશું અને એ આંદોલનની શરૂઆત ગુજરાતથી કરીશું.

ગુજરાતમાં કોઇ પણ મુદ્દાની ચર્ચાને મુખ્ય મંત્રીની તરફેણ કે વિરોધના સંદર્ભે જોવા-મૂલવવામાં આવે છે. એને કારણે વ્યાપક મુદ્દો અને તેમાં રહેલી શક્યતાઓ ઘણી વાર ચૂકી જવાય છે. (આ મુશ્કેલી તેમના પ્રશંસકોની જ નહીં, ટીકાકારોની પણ છે.)

સરકારના ઘણા નિર્ણયો એવા હોય, જેમાં મુખ્ય મંત્રી તરીકે ગમે તે હોય- ગમે તે પક્ષનો હોય, સરકારી તંત્રના વડા તરીકે તેમની ટીકા કરવાની થાય. લોકશાહીમાં આ બાબત બહુ સામાન્ય ગણાય. દસ વર્ષથી એક જ મુખ્ય મંત્રી હોય, ત્યાં સત્તાધીશવિરોધી વલણ અને મુખ્ય મંત્રીની નીતિરીતિની ટીકા પુનરોક્તિ કે પુનરાવર્તનમાં ખપી જવાની આશંકા રહે છે. ગુજરાતમાં મુખ્ય મંત્રીની ટીકા આપોઆપ રાજ્યની અને તેના અમુક કરોડ પ્રજાજનોની ટીકા બની જાય છે અને એ કરનારને ‘ગુજરાતવિરોધી ટોળકી’માં ખપાવી દેવામાં આવે છે.

અન્ના હજારે અમદાવાદ આવ્યા, રીવરફ્રન્ટની મુલાકાતે ગયા અને જમીનના પ્રશ્ને લોકસુનાવણી સાંભળી, એ માટે પણ રાબેતામુજબ ‘ગુજરાતવિરોધી ટોળકી’ની વાતો ઉછાળવામાં આવી રહી છે. ‘અન્ના સારા માણસ છે, પણ તે ગુજરાતવિરોધીઓથી ઘેરાઇ ગયા’ એવો પ્રચાર જોરમાં છે. આખી ચર્ચાને એકાદ સાથીદારની પ્રસિદ્ધિભૂખ-અંગત ગેરરીતિના સાચાખોટા આક્ષેપોમાં કે મુખ્ય મંત્રીના વિરોધ તરીકે ઉતારી પાડવામાં, કેટલીક નવી-નોંધપાત્ર સંભાવનાઓ ચૂકી ન જવાય તે જોવું રહ્યું. કોઇ એક વ્યક્તિ પ્રત્યેના ગમે તેટલા વાજબી અણગમાને લીધે સમગ્ર ચિત્ર પર કાળો કુચડો ફેરવી દેવાનું યોગ્ય નથી. અન્નાએ ગુજરાતમાં ગોટાળાની અને જમીનનું આંદોલન ગુજરાતમાંથી શરૂ કરવાની જાહેરાત કરી, તેમાંથી અન્નાસહજ આવેગનું મોટું ડિસ્કાઉન્ટ કાપી લઇએ, તો પણ કેટલીક નવી હકીકતો-શક્યતાઓ ઘ્યાન ખેંચે એવી જણાય છે.

સ્થાનિક (છતાં) રાષ્ટ્રિય આંદોલન
શક્ય છે કે અન્નાને જમીનના મુદ્દાથી પરિચિત કરાવવા પાછળ આયોજકોનો આશય ગુજરાતના મુખ્ય મંત્રી પ્રત્યેનો તેમનો અભિપ્રાય બદલવાનો હોય. છતાં જમીનના પ્રશ્નની રજૂઆતનું અંતીમ ઘ્યેય કેવળ મુખ્ય મંત્રીને નીચા પાડવા જેટલું સીમિત કે સંકુચિત ન હોઇ શકે. કારણ કે મૂળભૂત મુદ્દો વંચિતતા વધારે એવા વિકાસના મોડેલનો છે- અને એ બાબતે કોંગ્રેસ કે ભાજપ, મુખ્ય મંત્રી કે વડાપ્રધાન- સૌ એક નાવમાં સવાર છે.

અત્યાર સુધી ભ્રષ્ટાચાર સામે જનલોકપાલની માગણી અંગેની અન્નાની લડત વિશે અનેક સવાલ થતા રહ્યા છે- ખાસ કરીને, એ લડતમાં રહેલા વ્યાપક દર્શનના અભાવ અંગે. ભ્રષ્ટાચારનો મુદ્દો અગત્યનો છે, પરંતુ તે કેવળ રાજકીય કે વહીવટી (નેતાઓ-અફસરોને સ્પર્શતો) નહીં, સામાજિક પ્રશ્ન પણ છે. ભ્રષ્ટાચારનો વિરોધ કરતા નાગરિકોમાંથી પણ કેટલા પોતે ભ્રષ્ટાચારમાંથી બાકાત હોવાનો દાવો કરી શકશે? આ પરિસ્થિતિમાં જનલોકપાલ જેવી સંસ્થાથી થોડોઘણો ફરક પડી શકે, પણ દેશના લાખો સામાન્ય લોકોના અસ્તિત્ત્વ સાથે તેને કેટલી લેવાદેવા હોય એ સવાલ.

પરંતુ અન્ના જેવા લોકોને આંદોલિત કરવાની ક્ષમતા ધરાવતા આગેવાન રાજ્ય કે પક્ષના બાધ વિના, દેશભરના લોકોના વર્તમાન અને ભવિષ્યને સ્પર્શતો જમીનનો મુદ્દો હાથ ધરે તો?

અને એ તરફ આંગળી ચીંધવાનો જશ અન્નાની અમદાવાદ મુલાકાતને મળે તો ?

આ રીતે વિચારતાં, જમીનમુદ્દામાં અન્નાએ લીધેલો રસ આંદોલનના ભટકાવ તરીકે નહીં, પણ વિસ્તાર તરીકે જોઇ શકાય - અને ગુજરાત ફરી એક વાર ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને નવી, વ્યાપક જનહિત ભણીની દિશા આપનારું રાજ્ય બની રહે એવી આશા પણ સેવી શકાય. કેમ કે, અમદાવાદ મુલાકાતમાંથી ફૂટેલા નવા ફણગાના પરિણામે, ભ્રષ્ટાચારવિરોધની આખી ઝુંબેશમાં પહેલી વાર વંચિતોના સીધા હિતનું તત્ત્વ ઉમેરાય એમ છે. કેવળ એક (કેન્દ્ર) સરકારના વિરોધ પર અટકી ગયેલું આંદોલન ત્યાર પછી રાજ્યોમાં ફેલાય, જમીનને લગતા સ્થાનિક સવાલો હાથમાં લે અને ખરા અર્થમાં તે પ્રજાકીય આંદોલન બની રહે. એ આંદોલન માટે મનમોહન, માયાવતી કે મોદી- બધાં સરખાં જ હોય. કારણ કે તેની નિસબત આડેધડ વિકાસનો ભોગ બનતા લોકો પ્રત્યે હોય.

અત્યારે આ શક્યતા દીવાસ્વપ્ન કે આશાવાદ જેવી લાગી શકે, પણ તેને વાસ્તવિક સ્વરૂપ આપવાનું કામ એકલા અન્ના હજારે કે સાથીદારોનું નથી. વઘુ ને વઘુ લોકો આંદોલન સાથે સંકળાય, અત્યાર લગી સંકળાયેલા લોકોમાંથી સ્વચ્છ-નિર્વિવાદ છબી ધરાવતા લોકો મોખરે રહીને વઘુ લોકોને -વઘુ સમુદાયોને- કેટલીક બાબતોમાં મતભેદ ધરાવતા લોકોને પણ જમીનહકના મુદ્દે આંદોલનમાં સાંકળવા પ્રયાસ કરે, તો અન્નાનું આંદોલન નવા, વિસ્તરેલા સ્વરૂપે ફક્ત ગુજરાતના જ નહીં, બીજાં ઘણાં રાજ્યોના વંચિતોનું, સ્થાનિક છતાં રાષ્ટ્રિય આંદોલન બની રહે.

નવું નવનિર્માણ
ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દ્વારા નવી દિશા પૂરી પાડવાની ભૂમિકા અગાઉ પણ એક વાર ગુજરાત ભજવી ચૂક્યું છે. ૧૯૭૪માં થયેલું નવનિર્માણ વિદ્યાર્થી આંદોલન ભલે ધાર્યાં પરિણામ ન લાવી શક્યું, પણ તમામ મર્યાદાઓ સહિત, જયપ્રકાશ નારાયણ જેવા દિગ્ગજ નેતાને તે આંદોલને નવી દિશા-નવી આશા પૂરી પાડી હતી. ખુદ જયપ્રકાશ નારાયણે નોંઘ્યું હતું, ‘ ગુજરાતના આ (નવનિર્માણ) આંદોલને મને પ્રકાશ દેખાડ્યો. દેશની પરિસ્થિતિ વિશે હું ભારે ચિતિત હતો. પણ મને કોઇ માર્ગ સૂઝતો ન હતો. હું અંધારામાં ખંખોળતો હતો, ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ આ આંદોલનની મશાલ ચેતાવી અને તેમાંથી મને પ્રકાશ મળ્યો. પછીથી દેશમાં જે નવી જાગૃતિ આવી, તેનો આરંભ કરવાનું શ્રેય ગુજરાતના વિદ્યાર્થીઓને છે.’

એવી તો કઇ ખૂબી હતી ગુજરાતના આંદોલનની? જેપીના જ શબ્દોમાં : ‘ગુજરાતના આ આંદોલને ભારતમાં પ્રથમ વાર લોકશાહી તંત્રમાં લોકોનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું અને તેય સંગઠિત એવા તમામ રાજકીય પક્ષોની ઉપરવટ જઇને, સામાન્ય લોકોની ઇચ્છાનું પ્રતિપાદન તેણે કર્યું. આમાં સૌથી મુખ્ય વાત એ હતી કે જનશક્તિ રાજ્યશક્તિ કરતાં સર્વોપરી છે, રાજ્યશક્તિ જનશક્તિને આધીન છે.’

ચારેક દાયકા પહેલાં ગુજરાતને મળી હતી- કે ગુજરાતે લીધી હતી- એવી તક ફરી એક વાર અન્નાની મુલાકાતના પગલે ગુજરાત પાસે આવીને ઉભી છે. જરૂર છે ‘રાજ્યશક્તિ’ની વ્યક્તિવાદી-સાંકડી વ્યાખ્યામાંથી નીકળીને, તેની સામે પ્રજાશક્તિની વ્યાપક-વિશાળ વ્યાખ્યાને અપનાવવાની.

Sunday, May 29, 2011

ઘરઆંગણે અમેરિકાના આતંકની યાદ તાજી કરતું ‘ઓપરેશન જરોનિમો’

Geronimo with other Indian chiefs

ઓસામા સામેની લશ્કરી કાર્યવાહીને ‘ઓપરેશન જરોનિમો’ નામ અપાતાં અમેરિકાના ‘ઇન્ડિયન’- આદિવાસી સમુદાયમાં વિરોધોની લાગણી જાગી. કારણ કે જરોનિમો ઘાતકી, લાલચુ અને કપટી માનસિકતા ધરાવતા ધોળા લોકો સામે આઝાદીનો જંગ જારી રાખનાર છેલ્લા ઇન્ડિયન યોદ્ધાઓમાંનો એક હતો.

ઇન્ડિયન સમુદાય સામેના ભેદભાવ હવેના અમેરિકામાં દેખીતી રીતે જણાતા નથી. અમેરિકાના સૈન્ય સહિત બધાં ક્ષેત્રોમાં ઇન્ડિયન લોકોનું પ્રતિનિધિત્વ છે. વિદેશી ભૂમિ પર લડતી અમેરિકન ટુકડીઓમાં પણ આદિવાસી-ઇન્ડિયન સૈનિકો હોય છે. અમેરિકી લશ્કરમાં આક્રમક હેલિકોપ્ટરનો એક પ્રકાર ‘અપાચી’ તરીકે ઓળખાય છે, જે આદિવાસીઓના એક લડાયક કબીલાનું નામ છે. તેમ છતાં, પોતાના સમાજની આઝાદી માટે ઝઝૂમનાર જરોનિમો જેવા લોકોને હજુ ખલનાયક ગણવામાં આવે, તે એકવીસમી સદીના ઘણા ઇન્ડિયન અમેરિકનોને વસમું લાગ્યું.

ફરિયાદની પૂરેપૂરી પરંતુ ઇન્ડિયન લોકો માટેના કાયદા કે જોગવાઇ જાણે ભંગ થવા માટે જ સર્જાતાં હતાં. કારણ ગમે તે હોયઃ સોનું મળી આવવાને કારણે ઇન્ડિયન વિસ્તારોમાં ઉતરી પડતાં ધોળા લોકોનાં ધાડાં હોય કે મેક્સિકો સાથેના યુદ્ધને કારણે ઇન્ડિયનોની હદમાંથી પસાર થતા અમેરિકાના સિપાહી, કાયમી સરહદનો ભંગ લગભગ કાયમી બાબત બની ગઇ.

સવાલ ફક્ત ધૂસણખોરીનો નહીં, પણ આદિવાસીઓ પ્રત્યે ધોળા લોકોના ઘાતકીપણાનો હતો. અમેરિકી લશ્કરના જનરલ ફિલિપ શેરીડન માનતા હતા કે કોઇ આદિવાસી પર ગોળી છોડવામાં આવે અને તે વળતો હુમલો કરે, તો એ જંગલી ગણાય અને તેને મારી નાખવામાં કશો વાંધો નહીં. તેમણે કહ્યું હતું કે ‘ધ ઓન્લી ગુડ ઇન્ડિયન્સ આઇ સો વેર ડેડ.’ (મને તો ફક્ત મરેલા આદિવાસી જ સારા લાગ્યા છે.) ઇન્ડિયન લોકોના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલું આ વાક્ય છેવટે ‘ધ ઓન્લી ગુડ ઇન્ડિયન ઇઝ એ ડેડ ઇન્ડિયન’ (આદિવાસી તો મૂએલો જ સારો) એ સ્વરૂપે અમેરિકામાં પ્રચલિત બન્યું. આ જાતની માન્યતા ધરાવતા અમેરિકનોની પેશકદમીને કારણે ઇન્ડિયન લોકો માટે અલાયદા કરાયેલા ‘અભયારણ્ય’માં પણ શાંતિ જળવાઇ નહીં. ઉલટું, સરકારે તેમના માટે ફાળવેલા વિસ્તારમાં ધોળાઓનું દબાણ સતત વધતું રહ્યું.

કેલિફોર્નિયામાં ઇ.સ.૧૮૪૮માં સોનું મળી આવવાને કારણે થયેલો લોકધસારો ‘ગોલ્ડ રશ’ તરીકે જાણીતો છે. પરંતુ ઇન્ડિયન લોકો માટે ગોલ્ડ રશ ભારે નુકસાનકારક સાબીત થયો. સોનાની લ્હાયમાં સેંકડો અમેરિકનો કાયદાની બીક તજીને આદિવાસીઓના અભયારણ્યમાં પહોંચી ગયા, ત્યારે અમેરિકાની સરકારે તેમને સજા કરવાને બદલે નવું તૂત કાઢ્‌યું. તેનું નામ હતું ઃ ‘મેનિફેસ્ટ ડેસ્ટિની’. આ સરકારી અને સગવડીયા ‘સિદ્ધાંત’નો મતલબ હતોઃ યુરોપ અને અમેરિકાના લોકો ચડિયાતી જાતિના હોવાથી તે આખા અમેરિકા પર રાજ કરવા સર્જાયેલા હતા. એટલું જ નહીં, મૂળનિવાસી ઇન્ડિયન લોકોના જીવ, જમીન, જંગલો અને કુદરતી સંપદા- આ બધાનું રક્ષણ કરવાની જવાબદારી પણ ધોળા લોકોની હતી. બલ્કે, સિદ્ધાંત પ્રમાણે એ તેમની જવાબદારી નહીં, (કુદરતસર્જીત) નિયતિ/ડેસ્ટિની હતી. પોતાની ખોરી નીયતને નિયતિનો ફેંસલો ગણાવી દેવાની ધોળા લોકોની બેશરમ ચેષ્ટાથી ઇન્ડિયન લોકો સામેનું જોખમ અનેક ગણું વધી ગયું. તક અને ગુંજાશ હોય તો તે અમેરિકાના ધોળા લોકોના નહીં, પણ આદિવાસી-ઇન્ડિયન લોકોના પક્ષે હોય. કારણ કે દોઢ સદી પહેલાંના અમેરિકાના સત્તાધીશો, લશ્કરી અફસરો અને નફાખોર વેપારીઓએ તેમની પર વીતાડવામાં કશું બાકી રાખ્યું ન હતું. તેમના સત્તાવાર ભેદભાવના થોડા નમૂનાઃ

અમેરિકાના સાતમા પ્રમુખ એન્ડ્ર્‌યુ જેક્સન (સમયગાળોઃ ૧૮૨૯-૧૮૩૭) દૃઢપણે માનતા હતા કે ધોળા અમેરિકનો અને ઇન્ડિયન આદિવાસી લોકો સંપીને રહી શકે નહીં. તેમણે ૧૮૩૦માં એવો કાયદો પસાર કરાવ્યો કે મિસિસિપી નદીની પશ્ચિમ તરફનો વિસ્તાર ઇન્ડિયન લોકો માટે અમેરિકાના સૈન્યના હાથે ઇન્ડિયન લોકોનો સફાયો થવાનો કે તેમને પકડી પકડીને રીઝર્વેશન તરીકે ઓળખાતી જેલોમાં જાપ્તા હેઠળ રાખવાનો છેલ્લો તબક્કો ચાલતો હતો, ત્યારે અમેરિકાની સર્વોચ્ચ અદાલતે પણ આશ્ચર્યજનક ચુકાદો આપ્યો. માર્ચ, ૧૮૮૩માં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે અમેરિકન ઇન્ડિયન જન્મજાત રીતે પારકો જણ/એલિયન અને પરાધીન/ડીપેન્ડન્ટ છે. સ્વાધીનતાની ભાવના માટે જાણીતા દેશની સર્વોચ્ચ અદાલત પોતાના જ દેશના મૂળનિવાસીને જન્મજાત રીતે પરાધીન જાહેર કરે, એ ફક્ત વક્રતા જ નહીં, ઇન્ડિયન લોકો માટે ઘેરી કરુણતા હતી.

આદિવાસી માટે સરકાર અને લશ્કરી અધિકારીઓ પાસે બે જ વિકલ્પ હતાઃ વિના શરતે શરણે આવો- ‘રીઝર્વેશન’ તરીકે ઓળખાતી સરકારી છાવણીઓમાં રહો અથવા ભાગેડુ બનીને સરકારી સૈન્યની ગોળીનો શિકાર બનો. (થોડા વખત પહેલાં અમદાવાદ આવેલા છત્તીસગઢના કાર્યકર હિમાંશુકુમારે કંઇક આ જ પ્રકારની વાત કરી હતીઃ ત્યાંની સરકારે સ્થાનિક લોકોને કહ્યું હતું કે ‘જે લોકો પોતપોતાનાં ઘરબાર છોડીને સરકારી છાવણીઓમાં રહેવા નહીં આવે તેમને માઓવાદી તરફી ગણી લેવામાં આવશે.’)

લેફ્‌ટનન્ટ વ્હીટમેન અને જનરલ ક્રૂક જેવા કેટલાક સહૃદયી અમેરિકન લશ્કરી અધિકારીઓએ ઇન્ડિયન લોકો પર વિશ્વાસ મૂકીને તેમની સાથે માયાળુ રીતે કામ લીઘું, ત્યારે તેમની વિરુદ્ધ ઘણી કાગારોળ મચી. યુદ્ધખોરીમાંથી કમાણી કરતા કોન્ટ્રાક્ટરથી માંડીને છાપાંએ કકળાટ કરી મૂક્યો. એકલદોકલ અધિકારીઓની સારપ સિવાય બાકીની દિશામાંથી અત્યાચાર ચાલુ હોય અને ઇન્ડિયનો મગજ ગુમાવે એટલે સારા અધિકારીઓની હાલત કફોડી બનતી હતી. આ બન્ને અધિકારીઓને છેવટે ઠપકા સાંભળીને-હેરાનગતિ વેઠીને નોકરી છોડવાનો વારો આવ્યો.

સરકાર અને લશ્કરી અધિકારીઓના ક્રૂર વલણનું પરિણામ એ આવ્યું કે જરોનિમો, તેના પૂર્વસૂરિઓ અને સમકાલીનોએ શક્ય બન્યું ત્યાં સુધી લડાઇ ચાલુ રાખી. શસ્ત્રો, તોપગોળા અને આયોજનબદ્ધ સૈન્ય સામે ભૂખથી પીડાતા, ટાંચાં શસ્ત્રો ધરાવતા અને પોતાની ભૂમિમાં પારકાપણાનો શાપ વેઠતા આદિવાસીઓની લડાઇ બિલકુલ બરાબરીની ન હતી. એટલે જરોનિમો જેવા છેલ્લી પેઢીના ઇન્ડિયન નાયકો માટે શરણે આવવાનો અને સરકારી ‘રીઝર્વેશન’માંથી ભાગી છૂટવાનો સિલસિલો ચાલુ રહ્યો. જરોનિમોની ટુકડીએ છેલ્લી વખત શરણે આવતાં પહેલાં ઘણા સમય સુધી અમેરિકન સૈનિક ટુકડીઓને હંફાવી અને હાથતાળી આપી. લશ્કરી હુમલામાં પોતાનાં પત્ની-બાળકો ગુમાવનાર જરોનિમોએ આદિવાસીઓને ત્રાસ આપવામાં અમેરિકાના સહભાગી મેક્સિકોમાં પણ ઘણા હુમલા કર્યા. તેને કારણે અમેરિકાના સૈન્ય, સરકાર અને પ્રસાર માઘ્યમોમાં જરોનિમોનું નામ આતંકનો પર્યાય બનાવી દેવામાં આવ્યું. સૈનિકો પર કરેલો કોઇ પણ હુમલો જરોનિમોના નામે ચડી જાય એવી તેની છાપ ઉભી કરવામાં આવી. કાયમી ધોરણે અલાયદો- પરમેનન્ટ ઇન્ડિયન ફ્રન્ટીઅર- રાખવામાં આવે. ઇન્ડિયનો રહે ત્યાં સુધી તે આ વિસ્તારનું રક્ષણ કરે. ઇન્ડિયનોના વિસ્તારમાં ધોળા લોકોને વેપારધંધો કરવો હોય તો સરકારી લાયસન્સ લેવું પડે અને ત્યાં વસવાનો તો એમને હક જ નહીં.

Geronimo with his biographer & interpreter

શસ્ત્રબળ, સંખ્યાબળ અને સંસાધનો ખૂટી જવાને કારણે ચોતરફથી ભીંસમાં આવેલો જરોનિમો આખરે શરણે આવ્યો. જીવનના છેલ્લા બે દાયકા સરકારી જેલો-રીઝર્વેશનોમાં અને પ્રદર્શનની જણસ તરીકે વીતાવ્યા. જરોનિમોનું નામ એટલું જાણીતું થઇ ચૂક્યું હતું કે વિવિધ મેળામાં તેને જોણા તરીકે રજૂ કરવામાં આવતો હતો. તેણે આત્મકથા પણ લખાવી, જે ‘જરોનિમોઝ સ્ટોરી ઓફ હિઝ લાઇફ’ નામથી ૧૯૦૬માં પ્રકાશિત થઇ. ઓક્લાહોમા રાજ્યના સુપ્રીટેન્ડન્ટ ઓફ એજ્યુકેશન બેરેટે અપાચી દુભાષિયાની મદદથી જરોનિમોની વાતો સાંભળીને આ પુસ્તક તૈયાર કર્યું હતું. જરોનિમોનું ૧૯૦૯માં ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ થયું, પણ ધોળા લોકોના અત્યાચાર સામે ઇન્ડિયન સમાજની સંઘર્ષકથાના એક પાત્ર તરીકે તેનું નામ લોકસ્મૃતિમાંથી હજુ ભૂંસાયું નથી.

(માહિતીનો મુખ્ય આધારઃ ‘બરી માય હાર્ટ એટ વુન્ડેડ ની’, લેખક : ડી બ્રાઉન)

Saturday, May 28, 2011

ડોન્ટ 'ટેક' ફોટોગ્રાફ્સઃ પ્રશાંત પંજિયાર

prashant panjiar

જેમનું જોઇ-વાંચીને (ઉંમરમાં) મોટા થયા હોઇએ- અમુક પ્રકારની સમજણો ઘડાવામાં જેમના કામે મદદ કરી હોય, એવાં કેટલાંક નામોમાં એક નામ તસવીરકાર પ્રશાંત પંજિયારનું. કાલે એ અમદાવાદ એક સન્માન સમારંભ અને તસવીરી પ્રદર્શન માટે આવ્યા હતા. ઔપચારિક સમારંભ પછી તેમણે પોતાના છેલ્લા કામનો સ્લાઇડ શો બતાવીને થોડી વાતો કરી. મારી અપેક્ષા કદાચ વધારે ઊંચી હશે, એટલે જબરદસ્ત કે યાદગાર કહેવાય એવો અનુભવ ન રહ્યો. છતાં એમની વાતો ધ્યાનથી સાંભળી.

ફોટોગ્રાફીને 'મોસ્ટ ડેમોક્રેટિક આર્ટ ફોર્મ' ગણાવતાં એમણે કહ્યું કે તેમાં ધ્યાન એ રાખવાનું કે બહુ એવરેજ અને મીડિયોકર કામ પણ મોટા પાયે થઇ રહ્યું છે. માધ્યમના બદલાયેલા પ્રવાહ વિશે તેમણે ધ્યાન દોર્યું કે હવે સામયિકોમાં ફોટોફીચર કે ફોટો-એસે માટેની જગ્યા સાવ સંકોચાઇ ગઇ છે. તેના માટેનો સ્કોપ બહુ ઓછો થઇ ગયો છે. તેની સામે ઇન્ટરનેટનો વિકલ્પ નવો ખુલ્યો હોવાનું આશ્વાસન પણ તેમણે વ્યક્ત કર્યું.

પોતાની પારંગતતાના વિષય અંગે તેમણે સૂત્રાત્મક રીતે કહ્યું, ડોન્ટ 'ટેક' ફોટોગ્રાફ્સ. અને વિચારવિસ્તાર કર્યો કે, સારા તસવીરકારો કેવળ તસવીર 'લેતા' નથી, પણ એ તસવીર દ્વારા સમાજને કંઇક 'આપે' છે. ફોટોજર્નાલિઝમના ઇતિહાસમાં યાદગાર બની ગયેલી કેટલીક બહુ જાણીતી તસવીરો (વિયેતનામમાં નેપામ બોમ્બની અસરથી સડક પર ઉઘાડી દોડતી બાળકી, રઘુ રાયનું 'ભોપાલ ચાઇલ્ડ') તેમણે યાદ કરી અને એ તસવીરોથી ચોક્કસ બાબતો અંગે સમાજના અભિપ્રાય પર કેવી પ્રચંડ અસર પડી એ કહ્યું. ડિજિટલ ટેકનોલોજી પછી અમે બધા વધારે પડતી ક્લિકો કરવા માંડ્યા છીએ એ પણ તેમણે કબૂલ્યું. (પ્રશાંત પંજિયારની 'વધારે પડતી'ની વ્યાખ્યા કેટલી હશે? કારણ કે મેં સાંભળેલી દંતકથા પ્રમાણે 'ઇન્ડિયા ટુડે' જેવાં સામયિકો જ્યારે ફક્ત ટીપી (ટ્રાન્સપરન્સી) પર જ ફોટા પડાવતાં હતાં, ત્યારે એક ફોટોની જરૂર હોય તો બે-ચાર રોલ ટીપી પાડવાનું ફોટોગ્રાફરો માટે સામાન્ય ગણાતું હતું.)

છેલ્લે તેમણે ફોટોગ્રાફર દિનેશ ખન્ના સાથે મળીને દિલ્હીમાં શરૂ કરેલા ફોટોગ્રાફી ફાઉન્ડેશનની વાત કરી અને આ વર્ષથી એ લોકો બાકાયદા દિલ્હીમાં ફોટોગ્રાફી ફેસ્ટિવલ શરૂ કરવાના છે એની વિગતો આપી.
દિનેશ ખન્નાનું નામ સાંભળીને યાદ આવ્યું કે પંદરેક વર્ષ પહેલાં મુંબઇમાં તેમની તસવીરોનું પ્રદર્શન હતું, ત્યારે તેમનો ઇન્ટરવ્યુ કર્યો હતો, જે 'અભિયાન'માં તો નહીં, પણ તેના સાંધ્ય દૈનિક 'સમાંતર પ્રવાહ'માં મિત્ર કેતન મિસ્ત્રીએ 'પાથરીને' પ્રેમપૂર્વક છાપ્યો હતો.

આ સમારંભમાં પ્રાણલાલ પટેલ જેવા મહાવડીલ મિત્રથી માંડીને 'ગુજરાત સમાચાર'ના સન્માનિત તસવીરકાર-મિત્ર સુરેશ મિસ્ત્રી અને ફેસબુક પરથી પરિચયમાં આવેલા પારસ જેવા મિત્રો મળ્યા, તેનો વધારાનો આનંદ.

Thursday, May 26, 2011

અમે બરફના ગોળા, ચુસ્કીએ ચુસ્કીએ ઓગળ્યા

કાળઝાળ ઉનાળો ચાલતો હોય ત્યારે બરફનો ગોળો ન ખાવો, એ ઘણાને આગ્રા જઇને તાજમહાલ ન જોવા જેવી વાત લાગે છે. ઉનાળામાં દિવસે આગના ગોળાની (સૂરજની) અને સાંજે-રાત્રે બરફના ગોળાની આણ વર્તે છે. ઉનાળાની બપોર વિશે અનેક વાર નિબંધો પૂછાયા અને લખાયા છે, પણ ઉનાળાની રાત વિશેનો નિબંધ પૂછવા જેટલી મૌલિકતા પરીક્ષકો બતાવી શક્યા નથી. એવું થયું હોત તો ઉનાળાની બપોરના નિબંધમાં જે મહત્ત્વ વૃક્ષના છાંયડાને મળ્યું, તે ઉનાળાની રાત્રે બરફગોળાની લારીને મળ્યું હોત.

ઉનાળામાં કોઠો ટાઢો કરવા માટે આઇસક્રીમ અને ઠંડાં પીણાં જેવી બારમાસી ચીજો ઉપરાંત શેરડીનો કે કેરીનો રસ, તરબૂચ જેવા સિઝનલ વિકલ્પ મોજૂદ છે. એ બધામાં બરફગોળાનું સ્થાન સૌથી વિશિષ્ટ છે. સુવાક્ય-શૈલીમાં કહી શકાય કે કઠોર પરિશ્રમની જેમ બરફગોળાનો પણ કોઇ વિકલ્પ નથી. અલબત્ત, બરફગોળો ખાવા માટે સારો એવો પરિશ્રમ કરવો પડે છે. આઇસક્રીમ કે તરબૂચની જેમ તેને ચમચીએ ચમચીએ ઝાપટી શકાતો નથી કે રસની જેમ પ્યાલો મોંએ માંડીને તેને પી શકાતો નથી. એટલે જ, બરફ ખાવાના પરિશ્રમથી કાયર થતા લોકો બરફગોળાને બદલે તેનું શરબત પીને સંતોષ માની લે, ત્યારે બરફભક્તોનું હૃદય પોકારી ઉઠે છેઃ ‘ગોળાનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને.’

લોકલાજથી, હાઇજિનની ચિતાથી કે કાલ્પનિક પ્રતિષ્ઠાના ખ્યાલથી પીડાતા લોકો માટે સૌથી પહેલો પડકાર લારી સુધી જવાનો હોય છે. ‘હું અને લારી પર ઉભો રહું? કોઇ જુએ તો કેવું લાગે?’

બીજા લોકો તેમને આશ્વાસન આપે છે,‘ચિતા ન કરો. કોઇ તમને બરફની લારીવાળા નહીં ગણીને ‘ચાર ઓરેન્જ’ એવો ઓર્ડર નહીં આપે. કોઇને એવું પણ નહીં લાગે કે તમે તમારો મૂળ ધંધો છોડીને બરફની લારી શરૂ કરી છે. તમે કંઇ છેક એવા નથી લાગતા. ચાલો, એમ ઢીલા ન પડાય.’

સમજાવટ પછી પણ મનનું સમાધાન ન થતાં એ કહે છે, ‘એક કામ કરો. તમે લોકો ગોળો ખાઇ આવો અને મારા માટે ઘેર લઇ આવજો.’

પરંતુ ગોળાના પ્રેમીઓ આવાં છાનગપાતિયાંને પ્રોત્સાહન આપતા નથી. છાશ લેવા જવું ને દોણી શા માટે સંતાડવી? બરફગોળો ખાવા જવું ને જાત શા માટે સંતાડવી?

સામાજિક કારણો નિષ્ફળ જતાં વાંધો પાડનાર પાટો બદલીને આરોગ્યના રસ્તે વળે છે. ‘એમ મને બહાર ગોળો ખાવાનો વાંધો નથી, પણ બહારના ગોળા કેવા હોય? એમાં વપરાતો બરફ કેવો હોય? મેં તો સાંભળ્યું છે કે એ લોકો ગટરના પાણીનો બરફ બનાવે છે.’

આવી દલીલ સાંભળીને બરફપ્રેમીઓનું જૂથ ઘણુંખરું વળતી દલીલ કરવાને બદલે, ‘અત્યાર લગી ખોટો સમય બગાડ્યો. એટલી વારમાં એક ગોળો ખાઇ લીધો હોત.’ એવા ભાવ સાથે મોં મચકોડીને, પગ પછાડીને તે ગોળાની લારી તરફ ડગ માંડે છે. હકીકતે એ પગલાં વિશ્વશાંતિ તરફનાં હોય છે. કારણ કે ગોળાપ્રેમીઓ સાથે હાઇજિનની ચર્ચા વિશ્વયુદ્ધને નિમંત્રણ આપવા બરાબર છે.

ઉનાળાની રાતે બરફની લારી જ્યાં ઉભી હોય તે જગ્યા ‘ફરવાલાયક સ્થળ’નો દરજ્જો પામે છે. લારીની આજુબાજુ પથરાયેલી ખુરશીઓ પર, આડાઅવળાં પાર્ક થયેલાં વાહનો સાથે અને સડક પર નાનાં જૂથોમાં ટોળે વળેલા લોકોને જોઇને એવું લાગે, જાણે ચૂંટણીનાં પરિણામોની કે કોઇ મસ્તમોટો ઝઘડો પૂરો થઇ ગયા પછીની રસિક ચર્ચા ચાલી રહી છે. પેરિસની સડકો પર ચર્ચા માટે વિખ્યાત કાફે હશે, પણ આઘ્યાત્મિક પ્રકાશની જેમ બરફના ગોળાની લારીઓ માટે ભારતના શરણે આવ્યા વિના ઉદ્ધાર નથી.

લારી પર પડેલા બરફના આખા ચોસલા અને બરફના ગોળા વચ્ચે નવલકથા અને વિવેચન જેટલો ફરક હોય છે. કહેવાય બન્ને એક જ પદાર્થનાં (કે ‘પદારથ’નાં) સ્વરૂપ, પણ એક ટાઢુંબોળ, અક્કડ, ભારેખમ પહાણા જેવું, રસ વગરનું, સંપર્કમાં આવનારને સંવેદનબધિર કરી નાખવાની ‘ક્ષમતા’ ધરાવતું અને બીજું? રસસભર, પ્રજાને આદત પાડી દેવાની ખૂબી ધરાવતું, આમજનતા જેનો આનંદ માણી શકે એવું... બરફના આખા ચોસલાને (કે વિવેચનને) બચકાં ન ભરાય, તેની ચુસ્કીઓ ન લેવાય. બહુ તો તેને કંતાન(માં) બાંધીને સાચવી રાખી શકાય.

નવલકથાની જેમ બરફનો ગોળો પણ રસપ્રધાન હોય છે. સાહિત્યની પરિભાષામાં કહીએ તો, તેમાંથી રસનિષ્પત્તિ કે રસાનુભૂતિ થવી આવશ્યક છે. ઘણી નવલકથાઓની જેમ, બરફમાં પોતાનો કોઇ રસ હોતો નથી. એ કેવળ રસ વહન કરવાનું માઘ્યમ છે. રસાનુભૂતિ સિદ્ધ કરવા માટે તેમાં ઉપરથી વિવિધ રસ રેડવામાં આવે છે- મસાલો છાંટવામાં આવે છે. સદ્‌ભાગ્યે, બરફના ગોળાના કે નવલકથાના બહુમતી ભાવકોને ઉપરથી રેડાયેલા રસ કે ભભરાવેલા મસાલા સામે વાંધો હોતો નથી.

બરફના ગોળાનો ઓર્ડર આપ્યા પછી ગોળો હાથમાં આવતાં સુધીનો સમય કસોટીનો હોય છે. એ વખતે રાહ જોનારને એવું લાગે છે, જાણે આખા જગતમાં બધા લોકો બરફગોળો ચૂસી રહ્યા છે, ચોતરફ તેમના સીસકારાનો કર્ણમંજૂલ ઘ્વનિ સંઘ્યાકાળે મંદિરમાં થતા ઘંટારવની જેમ ગુંજી રહ્યો છે અને આપણો જ ગોળો હજુ આવ્યો નથી. વાતચીતમાં મન પરોવાઇ જાય તો જુદી વાત છે. બાકી એક વાર આ ખ્યાલ મનનો કબજો લે, પછી તેના પીડિતોને ચેન પડતું નથી. વારંવાર એ બરફ બનતો હોય ત્યાં- ‘ગ્રાઉન્ડ ઝીરો’ પર- ધસી જઇને તપાસ કરે છે. તેનાથી ગોળો બનવામાં ઝડપ થાય કે ન થાય, પણ ‘કોશિશ તો કી’ એવું આશ્વાસન મળે છે.

બરફના ગોળા હવે પડિયામાં કે બાઉલમાં મૂકીને આપવામાં આવે છે. આ વ્યવસ્થા નાનાં બાળકોની સાયકલ સાથે જોડવામાં આવતાં વધારાનાં બે પૈડાં/પોગો વ્હીલ્સ જેવી છે. બાકી બરફનો અસલી રોમાંચ કોઇ ‘બેક-અપ સીસ્ટમ’ (પડિયો-બાઉલ) વિના, કમરેથી સહેજ આગળની તરફ ઝૂકીને રસટપકતો બરફનો ગોળો ચૂસવામાં છે. એ પદ્ધતિમાં કેટકેટલા પડકાર સમાયેલા છેઃ રસનું ટીપું પણ એળે ન જાય એ જોવું, ચોતરફ પથરાયેલા રસને સરખો ન્યાય આપવો, ગોળો ચૂસવાની પ્રક્રિયામાં કોઇ ઠેકાણેથી ગચ્ચું નીકળી ન જાય તે જોવું, રસલીન અવસ્થામાં ગોળાને ભૂલથી બચકું ભરાઇ જાય તો પણ તેની ‘એકતા અને અખંડિતતા’ જાળવી રાખવી, ગોળો સળીનો સાથ છોડી ન દે એનું ઘ્યાન રાખવું, રસહીન થયેલા બરફ પર નવેસરથી- અને મફતમાં- રસ છંટાવવો...આ પડકારો વિના, રસભરેલા બાઉલમાં ટેકવાયેલો બરફનો ગોળો ખાવાનું કામ અરેન્જ્ડ મેરેજ કરવા જેવું- આનંદદાયક છતાં પરાક્રમના રોમાંચ વિનાનું- હોય છે. ‘હવે શું થશે?’નો દિલધડક અહેસાસ તેમાં મળતો નથી.

હવે તો જાણે ગોળાને રોમાંચરહિત કરવાની હોડ જામી છે. હવે મોંઘીદાટ ક્લબો, મલ્ટિપ્લેક્સ અને દુકાનોમાં પણ બરફના હાઇજેનિક (ગુજરાતી અર્થ : મોંઘા) ગોળા મળે છે. ક્યાંક વળી બરફગોળા પર કાજુ નાખવામાં આવે છે, પણ તેની ટીકા ન કરાય. સમૃદ્ધ ગુજરાતીઓ પીવાના પાણીમાં કાજુ નાખતા નથી, એ બદલ તેમનાં સંયમ અને સાદગીની પ્રશંસા કરવી રહી.

હાઇજિનના હાથી પર સવાર સજ્જનો-સન્નારીઓ મિનરલ વોટરમાંથી બનેલા બરફનો આગ્રહ રાખે છે. મિનરલ વોટર પૂરતું મોંધું આવતું હોવાથી તેની ગુણવત્તા વિશે શંકા કરવાની એમને જરૂર લાગતી નથી.

- અને ‘મોંઘી વસ્તુ સારી જ હોય’ એવી માન્યતાનાં ચોસલાં છીણે એવા રંધા બજારમાં મળતા નથી.

(શીર્ષક પંક્તઃ કવિ અનિલ જોશીની ક્ષમા સાથે)

Tuesday, May 24, 2011

અહોભાવનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

મહાન વિજ્ઞાની તરીકે પ્રતિષ્ઠિત આલ્બર્ટ આઇન્સ્ટાઇને આપેલા બે સિદ્ધાંત વઘુ એક કસોટીમાંથી પાર ઉતર્યા હોવાનું આ મહિને જાહેર થયું. સાપેક્ષવાદના હિસ્સા જેવા એ સિદ્ધાંતોની ખરાઇ સામે અત્યાર સુધી અનેક વાર શંકા વ્યક્ત થઇ છે. એ સાચા છે કે ખોટા તેની આકરી અને અહોભાવ વગરની ચકાસણી કરવામાં આવી છે. છતાં, આ મુદ્દે કોઇ ‘વિજ્ઞાનવાળા’ની લાગણી દુભાઇ હોય એવું જાણવા મળ્યું નથી.

‘આઇન્સ્ટાઇનને પડકારનાર તમે કોણ? તમને એનાથી પણ વધારે ખબર પડે? આખી દુનિયા જેની પ્રચંડ પ્રતિભા આગળ માથું નમાવતી હોય, વીસમી સદીના ‘ટોપ ૧૦૦’ મહાનુભાવોની દરેક યાદીમાં જેનો બિનચૂક સમાવેશ થતો હોય, તેની કોઇ વાત અંગે શંકા કરી જ કેવી રીતે શકાય? આ આઇન્સ્ટાઇનનું જ નહીં, વિજ્ઞાનજગતનું અને સમસ્ત બ્રહ્માંડનું અપમાન છે...’ આવો ઉકળાટ કદી સાંભળવા મળ્યો નથી.

જરા કલ્પી જુઓઃ આઇન્સ્ટાઇનના સિદ્ધાંતને બદલે કોઇ ‘સિદ્ધપુરૂષ’ના ચમત્કારોને ચકાસવાની હિલચાલ થઇ હોત તો? ખરેખર તો કલ્પના કરવાની પણ જરૂર નથી. ચમત્કારના મોટા દાવા કરનારાઓને ભૂતકાળમાં અનેક વાર તેમના ચમત્કારો સાબીત કરવા અથવા તેની તટસ્થ ચકાસણી માટે કહેવાયું છે. પરંતુ બહાનાં કાઢીને કે અમુક કિસ્સામાં નકરી ઉદ્ધતાઇથી એવી દરખાસ્તો ફગાવી દેવામાં આવી છે. ચકાસણીની વાત કરનારાઓને ચમત્કારી બાવાઓના અનુયાયીનો રોષ વહોરવો પડ્યો હોય તે અલગ.

આઇન્સ્ટાઇન જેવા વિજ્ઞાની અને વિવિધ ધર્મો-સંપ્રદાયોના બાવાબાપુઓ વચ્ચેનો આ તફાવત યાદ રાખવા જેવો અને ગાંઠે બાંધવા જેવો છે ઃ ધર્મ-અઘ્યાત્મના ધંધામાં શંકા અને ચકાસણી પ્રત્યે તિરસ્કાર સેવવામાં આવે છે, જ્યારે એ જ બાબતો વિજ્ઞાનમાં ક્ષમ્ય નહીં, જરૂરી અને લગભગ અનિવાર્ય ગણાય છે.

દસ મહાન સિદ્ધાંત આપનાર વિજ્ઞાની અગિયારમો સિદ્ધાંત આપે ત્યારે તેના મૂલ્યાંકનમાં આગળના દસ સિદ્ધાંત થકી મળેલી પ્રતિષ્ઠા કે મોભો કામ લાગતાં નથી. પ્રત્યેક સિદ્ધાંતની ખરાઇ સ્વતંત્ર રીતે, વિજ્ઞાની પ્રત્યે અહોભાવ રાખ્યા વિના કે એ ભાવને બાજુ પર મૂકીને કરવાનો વિજ્ઞાનનો તકાદો છે- અને એમ કરવાથી વિજ્ઞાનીના માનમાં ઘટાડો થતો નથી. વિજ્ઞાનમાં સંશય અને જિજ્ઞાસા એકબીજા સાથે અભિન્ન રીતે સંકળાયેલાં છે. સંશય વિનાની જિજ્ઞાસા ઘણી વાર મુગ્ધતાથી આગળ વધી શકતી નથી અને જિજ્ઞાસા વિનાનો સંશય ઘણે ભાગે વાંકદેખાપણું નોતરે છે.

સંશય અને સજ્જતા
‘પણ લોકો બિચારા અહોભાવ ન રાખે તો શું કરે? બધા લોકો પાસે ક્યાં એવો વિચારવાનો સમય કે એ માટેની સજ્જતા હોય છે!’ એવી દલીલ ઘણી વાર અહોભાવના બચાવમાં નહીં તો, તેની સમજૂતી આપવા માટે પણ થાય છે.

વિશિષ્ટ જ્ઞાન-જાણકારી-માહિતી માગતા અનેક વિષયોમાં જાતે વિચારીને અભિપ્રાય બાંધી શકાય, એટલી સજ્જતા થોડા લોકો પાસે જ હોય છે એ ખરું. પણ સવાલ ફક્ત ક્ષમતાના અભાવનો હોય તો એનો રસ્તો કાઢવો અશક્ય નથીઃ લોકો આંખ મીંચીને બઘું માની લેવાને બદલે સંશય અને ચકાસણીનું મહત્ત્વ સમજે-સ્વીકારે, તેને ‘નકારાત્મક અભિગમ’માં ખપાવી ન દે, તથ્ય અંગે કરાયેલી શંકાને વ્યક્તિગત આરોપ ન ગણે અને લાગણીદુભાવની આળી માનસિકતાથી દૂર રહે... આ બઘું કરવા માટે વિશિષ્ટ જ્ઞાનની નહીં, સામાન્ય સજ્જતાની જરૂર પડે છે, જેનો પ્રયોગ ભાવતાલની રકઝકથી માંડીને સામાજિક વ્યવહારોમાં છૂટથી થતો હોય છે.

પરંતુ મુખ્ય પ્રશ્ન અભિપ્રાય બાંધવાની ક્ષમતાનો નહીં, એ માટે જરૂરી વૃત્તિનો પણ છે. અંગત સ્વાર્થ કે વેર વિના, સમાજના વ્યાપક હિત કે સાચી જાણકારી માટે શંકા કરવી હોય, તો વિચારવાનું કષ્ટ લેવું પડે. ઘણા લોકો પોતાની વિચારી શકવાની શક્તિથી અજાણ હોય છે અથવા સુવિધાપૂર્વક અજાણ રહે છે. (‘આપણે ક્યાં માથાકૂટમાં પડવું! એ બઘું આપણને ના ફાવે.’) હવામાં તરતો અહોભાવ વગર વિચાર્યે અપનાવી લેવાનો ટૂંકો રસ્તો ઘણાખરાને માફક આવી જાય છે. તેમાં વિચારવાનું કષ્ટ લીધા વિના ગાડરિયા પ્રવાહની સાથે વહેવાની અને તેના જોરે ઊંચે ચડવાની સુવિધા મળી રહે છે.

લોકોને તેમની પોતાની વિચારશક્તિની યાદ અપાવવાની- વિચારતા કરવાની જેમની ફરજ છે, એવા વિચારકો પ્રચારક બનીને સાર્થકતા અનુભવતા હોય, ત્યારે શંકા, તપાસ અને ચકાસણીનું મહત્ત્વ ઘણું વધી જાય છે. જાહેર બાબતોમાં તેનો અભાવ ઘણો સાલે છે પણ ખરો.

સેલિબ્રિટી માર્કેટિંગ માટે, માર્કેટિંગ દ્વારા
કોઇના વિશેનો અહોભાવ હવામાંથી પકડી લેવો કે એક ક્ષેત્રમાં કુશળ વ્યક્તિને બાકીની બાબતોમાં નિષ્ણાત ધારી લેવી, એને પણ એક જાતની અંધશ્રદ્ધા ગણી શકાય. માર્કેટિંગના ધોધમાર આક્રમણમાં અંધશ્રદ્ધાનો આ બિનધાર્મિક પ્રકાર વઘુ ને વઘુ વકરી રહ્યો છે. એક ક્ષેત્રની મહાન વ્યક્તિને કેવળ ‘સેલિબ્રિટી’ના દરજ્જે લાવી દેવાની રીત પણ આ અંધશ્રદ્ધાનું પરિણામ છે.

એક ચોટદાર વ્યાખ્યા પ્રમાણે, સેલિબ્રિટી એટલે એવી વ્યક્તિ જે (પોતાના કામ કે પ્રદાનથી નહીં પણ ફક્ત) જાણીતી હોવા બદલ જાણીતી હોય. પહેલાં આ વ્યાખ્યા ‘પેજ-૩’ નાં પાત્રોને લાગુ પડતી હતી. કારણ કે તેમના ચહેરા અને સમાચાર અવારનવાર જોવા મળે, પણ એ લોકો ખરેખર શું કામ કરે છે અને શા માટે પ્રસિદ્ધિમાં ચમકે છે, એ બહુ ઓછા લોકો જાણતા હોય. એ હરોળમાં ક્રિકેટરો અને ફિલ્મી સિતારાનો પણ સમાવેશ થતો હતો. તેમની સિદ્ધિઓ નક્કર હોવા છતાં, મોટા ભાગના લોકો તેમની સિદ્ધિ કરતાં પ્રસિદ્ધિથી વઘુ અંજાતા હતા. એ અર્થમાં તે સેલિબ્રિટી ગણાતા હતા. (દા.ત. ‘સેલિબ્રિટી’ સચિનથી અંજાતા લોકોને કરોડો કમાતા અને જાહેરખબરોમાં છવાતા સચિનની જેટલી અપીલ હોય છે, એટલી ઉત્તમ ખેલાડી બનવા માટે અને એ સ્થાને ટકી રહેવા માટે મહેનત કરતા સચિનની કદર હોતી નથી.) હવે પ્રસાર માઘ્યમો અને ટીવી ચેનલોની કૃપાથી કોઇ પણ ક્ષેત્રની વ્યક્તિ અચાનક ઉંચકાઇને સેલિબ્રિટી બની જાય છે. તેમના વિશેનો અહોભાવ જાણે હવામાં ઓક્સિજનની જેમ ભળી જાય છે અને લોકોના દિલોદિમાગનો કબજો લઇ શકે છે. આ બાબતમાં ભ્રષ્ટાચારવિરોધી લડતમાં અન્ના હજારેનાં સાથી, નિવૃત્ત મહિલા પોલીસ અધિકારી કિરણ બેદીનું ઉદાહરણ લઇએ.

કિરણ બેદીએ પોતાના ક્ષેત્રમાં નક્કર કામગીરી કરીને ચોક્કસ ઊંચાઇ હાંસલ કરી છે, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં જાહેર ક્ષેત્રમાં પથરાયેલો તેમનો પ્રભાવ જોઇને સહેજે સવાલ થાય કે તેમના પ્રત્યે અહોભાવ અનુભવતા લોકોમાંથી કેટલા તેમની કામગીરીથી પરિચિત હશે? અને કેટલા લોકોએ ‘કિરણ બેદી? એ તો બહુ જોરદાર છે બાકી.’ એવો અભિપ્રાય, ઝાઝી પડપૂછમાં પડ્યા વિના કે વઘુ જાણવાની પરવા કર્યા વિના, હવામાંથી ડાઉનલોડ કરી લીધો હશે? આવું થાય એમાં કિરણ બેદીનો દોષ કેટલો (અથવા એમનો દોષ ખરો કે નહીં?) એ વળી જુદો સવાલ છે, પણ વાત આવીને ઉભી રહે છે લોકોમાં રહેલા સંશય અને ચકાસણીના અભાવ ઉપર.

પોતાનો ઉદ્ધાર બીજું કોઇ કરી નાખશે એવી આશા રાખતા લોકો સંશયથી અસુખ અનુભવે છે. ‘શ્રદ્ધાળુ’ બનીને છેતરાવાનું તેમને વઘુ ફાવે છે. એટલે જ, એકના ડબલ કરી આપનારા ગઠિયાઓથી માંડીને અસ્મિતાની વાત કરનારા નેતાઓ સુધી અનેક જાતના ઉદ્ધારકો તેમને છેતરે છે. બહુમતી લોકો પણ એટલી હોંશથી છેતરાય છે, જાણે છેતરાવું એ તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય અને કોઇ પણ હિસાબે એનો ભોગવટો કરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હોય.

‘હું બધામાં ચાલું’
વ્યક્તિની એક ક્ષેત્રની આવડતને બાકીનાં ક્ષેત્રોમાં ‘પ્રસિદ્ધિની રૂએ’ લાગુ પાડવી, એ સેલિબ્રિટી-પૂજકોની સૌથી મોટી ખાસિયત હોય છે. સરસ કપડાં સીવનારને સીવણના એસોસિએશનનો પ્રમુખ બનાવી શકાય. એ બહુ પામતો-પહોંચતો હોય તો તેને ફેશન ડિઝાઇનરોના સમારંભમાં મંચ પર બેસાડી શકાય, પણ તેને સાહિત્ય, સંગીત કે સમાજકારણના મંચ પર મોખરાના સ્થાને શી રીતે સ્થાપી શકાય?

એવી જ રીતે, સફળ કથાકાર અને સફળ યજમાનના ગુણધર્મો ધરાવનારને સાહિત્ય પરિષદના મંચ પર, ફિલ્મઉદ્યોગના સમારંભમાં કે એવા બીજા કોઇ પણ સમારંભના મંચ પર કેવી રીતે બેસાડી શકાય? પરંતુ સેલિબ્રિટી-ઇફેક્ટને કારણે મોટા ભાગના લોકોને તેમાં કશું અજૂગતું લાગતું નથી. ઉલટું, ‘(લોકપ્રિયતા અને સમૃદ્ધિને કારણે) સેલિબ્રિટીને તો આપીએ એટલું માન ઓછું છે’ એવો અહોભાવ સતત વહેતો કરવામાં આવે છે.

સેલિબ્રિટી બની ગયેલા લોકોમાંથી ઘણા સિદ્ધિને બદલે પ્રસિદ્ધિના ચાળે ચડે એટલે તે સ્વધર્મ અને પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે. સેલિબ્રિટીને લાયકાતના કોઇ માપદંડ લાગુ પડતા નથી. તે દરેક ક્ષેત્રમાં ચંચુપાત કરી શકે છે અને કોઇ પણ સ્થાન શોભાવી શકે છે. ‘હું આમાં ન ચાલું’ એવું કહેવા જેટલું વિવેકભાન તેમનામાંથી જતું રહે છે અને જો એ રહે તો પણ ‘મારું કોઇ સાંભળતું નથી’ એવી ભવ્ય મજબૂરી તરીકે જ હોય છે. સામે પક્ષે, ઔચિત્ય જોયા વિના સેલિબ્રિટીને આગળ કરનારા લોકોને પણ, તેમનો ઉપયોગ કરીને પોતાનો ધંધો કરવામાં રસ હોય છે. એટલે બન્નેનું ગાડું સુખેથી ગબડતું રહે છે

- અને અકારણ અહોભાવ સામે ઔચિત્ય- પ્રમાણભાનની વાત કરનાર માટે ‘વિઘ્નસંતોષી’, ‘વાંકદેખા’ જેવાં વિશેષણોની ક્યાં ખોટ છે?

Sunday, May 22, 2011

ઓસામાને ખતમ કરવાનું ‘ઓપરેશન જરોનિમો’ :અમેરિકાના આદિવાસી હીરોને વિલન ગણવાનો વિવાદ

લંડનની ભૂગર્ભ રેલવેમાં બોમ્બવિસ્ફોટ કરનાર ત્રાસવાદીઓને શોધીને સાફ કરી દેવાની કાર્યવાહીને બ્રિટિશ સૈન્ય ‘ઓપરેશન તાત્યા ટોપે’ જેવું નામ આપે તો?

અથવા ગુજરાતમાં કોઇ સાચા ત્રાસવાદીને પૂરો કરવાના મિશનનું નામ ‘ઓપરેશન જોગીદાસ ખુમાણ’ આપવામાં આવે તો?

ઓસામાનો અંત આણનાર ‘ઓપરેશન જરોનિમો’માં કંઇક એવું જ કાચું કપાયું હોવાના સમાચાર, જીતની ખુશાલીમાં ખૂણે હડસેલાઇ ગયા, પરંતુ અમેરિકાની ‘ઇન્ડિયન’ (રેડ ઇન્ડિયન/આદિવાસી) પ્રજામાંથી કેટલાકે તેમના હીરો જરોનિમોને ઓસામા સાથે સરખાવવા બદલ ખેદ અને રોષની લાગણી વ્યક્ત કરી. વધારે દુઃખ તેમને એ વાતનું હતું કે એક-દોઢ સદી પહેલાં પોતાની આઝાદી જાળવવા યુદ્ધે ચડેલા જરોનિમો અને બીજા અનેક ‘ઇન્ડિયન’ને અમેરિકા હજુ દુશ્મન ગણે છે- દુશ્મન તરીકે જુએ છે.

લાગણીનું દુભાવું લગભગ લધુઉદ્યોગ બની ચૂક્યો હોય, ત્યારે ‘ઓપરેશન જરોનિમો’ બાબતે અમેરિકાના ઇન્ડિયનની દુભાયેલી લાગણી કદાચ ગળે ન ઉતરે. ‘નામમાં શું બળ્યું છે?’ એવાં ફિલસૂફી વચનો પણ સાંભરે. એ વખતે લેખના આરંભે મૂકેલા બે સવાલ વિશે વિચારી જોવાથી ‘ઇન્ડિયન’ લોકોનો વાંધો કદાચ સમજાય.
આદિવાસી ‘ઇન્ડિયન’ અને અમેરિકન સહિતના ધોળા લોકો વચ્ચેના સંઘર્ષનો લગભગ ચાર સદીનો ઇતિહાસ ‘સુધરેલી’ માનવજાતના ઇતિહાસનાં સૌથી કાળાં પ્રકરણોમાં સ્થાન પામે એવો છે. (ભારતમાં સદીઓથી દલિતો સાથે થયેલા ભયાનક દુર્વ્યવહાર સામે એ ઝાંખો પડી જાય, એ વળી જુદી વાત થઇ.)

ભારત જવા નીકળેલો સ્પેનનો ક્રિસ્ટોફર કોલંબસ ભૂલથી અમેરિકા પહોંચ્યો અને ૧૨ ઓક્ટોબર, ૧૪૯૨ના રોજ સાન સાલ્વાડોરના કિનારે ઉતર્યો, ત્યારથી ધોળા લોકોનાં શરમજનક અને અમાનવીય કારનામાંનો સિલસિલો શરૂ થયો. અમેરિકાની મૂળનિવાસી નિષ્કપટ આદિવાસી પ્રજાએ કોલંબસને મહેમાન ગણીને આવકાર આપ્યો. બદલામાં સ્વાર્થી કોલંબસ મિત્રતાભર્યો વ્યવહાર કરનાર દસ આદિવાસીઓને છેતરીને, તેમનું અપહરણ કરીને પોતાની સાથે સ્પેન લઇ ગયો. ત્યાં આદિવાસીઓને ‘સંસ્કારી માણસ’ બનાવવાના ભાગરૂપે તેમને ખ્રિસ્તી ધર્મમાં દાખલ કરવામાં આવ્યા.

પણ ધોળા લોકોના સંસ્કારના પરચા આદિવાસીઓને ઝડપથી મળવા લાગ્યા. લોભીયા અને ઘાતકી લોકો આવીને આદિવાસીઓની સુખી-સંતોષી જિંદગીને ખેદાનમેદાન કરવા લાગ્યા. કિંમતી ધાતુઓ કે ચીજવસ્તુઓના લોભે ચડી આવવું, જે હાથ લાગે તે ઉશેટી જવું અને પાછળ બચે તેને સળગાવી દેવું- આ હતાં ‘સુધરેલા’ ધોળાઓનાં લક્ષણ. અભ્યાસીઓએ નોંઘ્યું છે કે કોલંબસના આગમનના એક જ દાયકામાં ધોળાઓનાં ધાડાંએ સમૃદ્ધિના લાલસા ખાતર સેંકડો-હજારો નિર્દોષ આદિવાસીઓને બેરહમીથી મોતને ઘાટ ઉતારી દીધા.
સંઘર્ષની, બલ્કે આદિવાસી જાતિઓના માથે આવનારી આફતની, આ શરૂઆત હતી, જેનો અંત ૧૯મી સદીના અંત અને ૨૦મી સદીના શરૂઆતના ભાગમાં આવ્યો. જરોનિમો (૧૮૨૯-૧૯૦૯) પોતાની સ્વતંત્રતા અને છેવટે અસ્તિત્ત્વ માટે ઝઝૂમનારા છેલ્લા આદિવાસી નાયકોમાંનો એક હતો.

Geronimo

પંડિત સુંદરલાલ લિખિત ‘ભારતમાં અંગ્રેજી રાજ’ના બે દળદાર ભાગ વાંચનાર કોઇ પણ વ્યક્તિને એક જ લાગણી થાયઃ ભારતમાં સામ્રાજ્ય સ્થાપવા અને વિસ્તારવાની અંગ્રેજોની પદ્ધતિ કેટલી સાદી અને એકધારી હતી! પ્રકરણોમાં પાત્રોનાં નામ ભલે જુદાં હોય, પણ દગાફટકા, વિશ્વાસઘાત, જૂઠાં વચનો, ખોટી લાલચ- આ બઘું દરેક પ્રકરણમાં જાણે એકસરખું જ લાગે.

એવી જ લાગણી અમેરિકાના ‘વાઇલ્ડ વેસ્ટ’ તરીકે ઓળખાતા - અને હોલિવુડની ફિલ્મોમાં કાઉબોય કલ્ચરથી જાણીતા બનેલા- પ્રદેશના ઇતિહાસ પર નજર ફેરવતી વખતે થાય. વિશાળ વિસ્તારમાં ફેલાઇને કુદરતના ખોળે સુખેથી જીવતી જુદી જુદી આદિવાસી જાતિઓ, તેમના લડાયક યોદ્ધા અને તેમનાં કુટુંબપરિવારો સાથે અમેરિકાના અફસરોનો વ્યવહાર, ભારતમાં અંગ્રેજોની કુટિલતા કરતાં જરાય જુદો ન હતો. અંગ્રેજો ભારતીયોને અસંસ્કારી અને ગુલામીને લાયક ગણતા હતા. એ રીતે અમેરિકાના ધોળા લોકો પણ મૂળનિવાસી ‘ઇન્ડિયન’ પ્રજાને માણસમાં ગણતા ન હતા.

આદિવાસીઓ સદીઓથી પરંપરાગત રીતે જ્યાં રહેતા હતા, એ જમીન, તેમાંથી મળી આવતી કિમતી ધાતુઓ અને કુદરતી સંપત્તિ- આ બઘું ધોળાઓને સુધરેલા હોવાની રૂએ પોતાની બાપીકી મિલકત જેવું લાગતું હતું. આદિવાસીઓ આ જમીન પર ગેરકાયદે કબજો જમાવીને બેસી ગયા હોય અને તેમને હાંકી કાઢવા એ પરમ ધર્મ કે ઇશ્વરી આદેશ હોય, એવા ઝનૂનથી તેમણે આદિવાસીઓનો સફાયો કરવા માંડ્યો. કોઇ પ્રાણીને મારતાં થાય એટલો ખચકાટ પણ એક આદિવાસીને કે તેના સ્ત્રી-બાળકને મારી નાખતાં મોટા ભાગના ધોળાઓને થતો ન હતો. આદિવાસીઓને જંગલી ગણીને તેમની પર ધોળા લોકોએ કરેલા અત્યાચારની કથની વાંચતાં હૃદય હચમચી ઉઠે અને એક જ સવાલ થાયઃ ઇતિહાસ આ જ હોય, તો ખરેખરા જંગલી કોણ કહેવાય? જંગલમાં રહીને, શાંતિભર્યું જીવન જીવતા આદિવાસીઓ કે ટૂંકા સ્વાર્થ ખાતર તેમને પશુવત્‌ ગણીને રહેંસી નાખનારા- તેમને ગુલામીભર્યું બંધિયાર જીવન જીવવાની ફરજ પાડનારા ધોળાઓ?

‘ઇન્ડિયન’ લોકો પરના અત્યાચાર વિશે ચાર સદી પછી અને એ પણ ફક્ત વાંચીને દઝારો લાગતો હોય, તો એ વખતે આ પરિસ્થિતિમાંથી પસાર થનારા બહાદુર અને ખુમારીવાળા આદિવાસીઓ કેવી રીતે શાંત રહી શકે? જરોનિમો અને તેની પહેલાં મંગસ કોલોરાડો જેવા અપાચી કબીલાના આદિવાસીઓ સહિત બીજાં અનેક આદિવાસી જૂથોએ અમેરિકા અને મેક્સિકોની સૈનિક ટુકડીઓને હંફાવી. તેમના અફસરોને નિષ્ફળતાનો અહેસાસ કરાવ્યો અને આદિવાસીઓની આઝાદીની આશા જીવતી રાખી.

ભારતના ૧૮૫૭ના સંગ્રામમાં જેમ કાનપુરમાં થયેલી અંગ્રેજ સ્ત્રી-બાળકો-પુરૂષોની હત્યાને સતત આગળ ધરીને, અંગ્રેજોના અનેક ગણા વધારે પ્રમાણમાં અને વધારે ઘાતકી અત્યાચારોને સંતાડવામાં આવે છે, એવું જ જરોનિમો જેવા અનેક ‘ઇન્ડિયન’ નાયકોના મામલે પણ જોવા મળે છે. અમેરિકનોને મારી નાખનારા ઘાતકી હત્યારા તરીકેની તેમની છબી ઉભી કરવામાં કોઇ કસર છોડવામાં આવી નથી. છતાં, જેમ એ સમયે, તેમ પછીનાં વર્ષોમાં પણ કેટલાક ધોળા લોકોએ આદિવાસીઓને મદદ કરવાના અને તેમના ઇતિહાસની અધિકૃત નોંધ રાખવાના નક્કર પ્રયાસ કર્યા. તેના પરિણામે, આદિવાસીઓનું નિકંદન કાઢી નાખવાની ધોળા લોકોની ક્રૂર કાર્યવાહી વિશે તથા આદિવાસીઓની રહેણીકરણી અને તેમના સંઘર્ષ વિશે અનેક અધિકૃત દસ્તાવેજો અને પુસ્તકો ઉપલબ્ધ બન્યાં છે. માત્ર જરોનિમો વિશે જ ડઝનબંધ પુસ્તકો લખાયાં છે. જરોનિમો તથા અમેરિકાના આદિવાસીઓના સંઘર્ષ અને તેમની અવદશા વિશે દસ્તાવેજી અને ફીચર ફિલ્મો પણ બની છે.

ઓસામાને ખતમ કરવાના ઓપરેશન સાથે જરોનિમોનું નામ સાંકળવાને કારણે વિવાદ થયા પછી કેટલાક ખુલાસા કે સુધારા પણ કરવામાં આવ્યા. એક સ્પષ્ટતા એવી થઇ છે કે આ કાર્યવાહીનું સત્તાવાર નામ ‘ઓપરેશન નેપ્ચુયન સ્પીઅર’ હતું અને જેરોનિમોનું સાંકેતિક નામ ઓસામા માટે નહીં, પણ તેની ધરપકડ કે મૃત્યુ સૂચવવા વપરાયું હતું. અબોટાબાદમાં ઓસામાને ખતમ કર્યા પછી અમેરિકાના કમાન્ડોએ મોકલેલો સાંકેતિક સંદેશો હતોઃ ‘જરોનિમો ઇકેઆઇએ’ (એનીમી કિલ્ડ ઇન એક્શન). ગુંચવાડામાં અટવાયેલી હકીકત જે હોય તે, પણ જરોનિમોના નામોલ્લેખે અમેરિકાના ઇતિહાસની અળખામણી યાદો તાજી કરી દીધી.
જીવનના છેલ્લા બે દાયકાનો મોટો હિસ્સો ‘રિઝર્વેશન’ તરીકે ઓળખાતી સરકારી છાવણીઓમાં કે જેલમાં ગાળનાર જરોનિમો અને બીજા ‘ઇન્ડિયન’ યોદ્ધાઓની આઝાદી માટેની લોહિયાળ સંઘર્ષકથાના કેટલાક પ્રસંગ આવતા સપ્તાહે.

Saturday, May 21, 2011

Templ-ate

પગરખાં, અહમ્ અને સાચું ગુજરાતી લખવાનો આગ્રહ નીચે ઉતારીને બેસવા વિનંતી:-)

Thursday, May 19, 2011

ઓપરેશન ઓસામા, ગુજરાતના સત્તાવાર અંદાજમાં

અમેરિકાએ પાકિસ્તાનમાં ધૂસી જઇને ખૂંખાર ત્રાસવાદી ઓસામાને ખતમ કર્યો, તેનાથી ઘણાની કલ્પનાશક્તિ જાગી અને ખીલી ઉઠી છે. કોઇ કાળે અસહકારની ભૂમિ તરીકે જાણીતું ગુજરાત છેલ્લાં થોડાં વર્ષથી એન્કાઉન્ટરની ભૂમિ તરીકે ખ્યાતિ પામ્યું છે. તેની છ કરોડ જનતામાં એક લાગણી એવી પણ છે કે અમેરિકાએ ઓસામાને ખતમ કરવા માટે ગુજરાતના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટોની સેવા લેવાની જરૂર હતી.

ધારો કે એવું થયું હોત તો? અને મિશન સફળ થયા પછી શું કરવું એના માર્ગદર્શન માટે ઓબામાએ ગુજરાતના મુખ્ય મંત્રીનો સંપર્ક સાઘ્યો હોત તો?

ગુજરાતના મુખ્ય મંત્રી ઉદાર છે. ઓબામા તેમને ન પૂછે, તો પણ અમેરિકાને સલાહ આપવા તે આતુર હોય છે. તેમની સલાહ લેવા માટે ઓબામાએ વિઝા મંજૂર કરવાની પણ જરૂર નથી. ગાંધીનગરમાં બેસીને વિડીયો કોન્ફરન્સિગથી અમેરિકામાં ભાષણ આપવાનું મુખ્ય મંત્રીશ્રીને સરસ રીતે ફાવી ગયું છે.

- તો કલ્પનાની પાંખે, ઓપરેશન ઓસામા, ગુજરાત સરકારના અંદાજમાં!

***
પત્રકારોથી ખીચોખીચ ભરેલી વ્હાઇટ હાઉસની લોનમાં પત્રકાર પરિષદ- જેને લાડમાં પત્તરફાડ પરિષદ પણ કહેવાય છે- શરૂ થવામાં છે. પ્રમુખ ઓબામા અને તેમના અમેરિકન અફસરોની સાથે બે-ત્રણ ગુજરાતી પોલીસ અફસરો દેખાય છે.

ઓબામાએ છેલ્લા થોડા વખતમાં ગુજરાતના મુખ્ય મંત્રીને દ્રોણાચાર્ય માનીને, અર્જુનભાવે કે એકલવ્યભાવે ઘણું ગ્રહણ કર્યું હોવાની જોરદાર હવા છે. તેની ખરાઇ તો કેમ કરવી? પણ ઓબામાની સ્ટાઇલમાં આવેલો બદલાવ નોંધપાત્ર છે. પરિષદ શરૂ થતાં પહેલાં બધા પત્રકારોને દસ-દસ વાર ‘ઓસામા’ લખવાનું લેસન આપવામાં આવ્યું છે, જેથી કોઇ ‘ઓસામા’ને બદલે ‘ઓબામા’ ન લખી નાખે.

પરિષદ શરૂ થતાં પહેલાં ઓબામાએ લશ્કરી ગણવેશ પહેરીને બાવડાં ફુલાવ્યાં હોય એવી તસવીરોનો એક પોર્ટફોલિયો ઉપસ્થિત તમામ પત્રકારોને વહેંચવામાં આવે છે. વ્હાઇટ હાઉસના જાણકારો કહે છે કે ઓબામાની નવી ‘શિષ્યવૃત્તિ’નું આ પરિણામ છે. એવું પણ જાણવા મળે છે કે આગલી રાતે ઓબામાએ વ્હાઇટ હાઉસમાં અરીસા સામે વારાફરતી ડાબા અને જમણા હાથનાં બાવડાં ફુલાવી જોયાં હતાં. તેમાંથી કયો પોઝ વઘુ સારો લાગે છે, એ નક્કી કર્યા પછી ફોટા રીલીઝ કરવામાં આવ્યા છે.

પરિષદના આરંભે ઓબામા લશ્કરી કાર્યવાહીની અને ઓસામાના મૃત્યુની જાહેરાત કરે છે. ઉપસ્થિત પત્રકારોમાં આનંદ અને ઉત્તેજના ફેલાય છે. ઓબામા કહે છે, ‘મારી સાથે ફોટો પડાવવા ઇચ્છતા પત્રકારો પરિષદ પૂરી થયા પછી મારા સચિવને મળીને ગોઠવણ કરી શકે છે.’

સત્તાવાર જાહેરાત પૂરી થયા પછી વઘુ વિગતો માટે ગુજરાતી જણાતા પોલીસ અફસરને આગળ કરવામાં આવે છે. પત્રકારોને અપાયેલા તેમના ટૂંક પરિચયમાં જણાવાયું છે કે એ ગુજરાત સરકારના ચાહીતા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ છે અને આ ઓપરેશન ડીઝાઇન કરવામાં તેમની અગત્યની ભૂમિકા રહી છે.

ગુજરાતી અફસર માઇક સંભાળીને ઓપરેશન ઓસામા વિશે ‘મનોહર કહાનિયાં’નો આરંભ કરે છે. તેમના વર્ણન પ્રમાણે ઓપરેશન ઓસામા આ રીતે પાર પાડવામાં આવ્યું :

‘ઇન્ટેલીજન્સનો રીપોર્ટ હતો કે ઓસામા પાકિસ્તાનમાં બેસીને સાહેબને મારવાની યોજના ઘડી રહ્યો છે... સાહેબ એટલે અત્યારે ઓબામાની વાત થાય છે.’

‘સાહેબને મારવા આવતા ત્રાસવાદીઓને ખતમ કરવાનો અમને બહોળો અનુભવ છે- અહીં સાહેબ એટલે અમારા મુખ્ય મંત્રીશ્રીની વાત થાય છે- હા, એટલે અમારો અનુભવ એવું કહે છે કે ત્રાસવાદીને સામેથી મારવા જવાને બદલે, એ આપણી ધરતી પર આવે એની રાહ જોવી. એની પાછળની ભાવના એટલી જ કે કદાચ એ સફળ થઇ જાય તો!... આ તો જસ્ટ જોકિગ..હોં. મને સાહેબે કહ્યું હતું કે અમેરિકાના લોકોની સેન્સ ઓફ હ્યુમર સારી હોય છે. એટલે સાવ સરકારી ભાષામાં ન બોલતા.’

‘હું સેન્સ ઓફ હ્યુમરની વાત કરતો હતો. એ તો ઘણા લોકોમાં હોય, પણ અમારા ગુજરાતના લોકોની રીવર્સ સેન્સ ઓફ હ્યુમર બહુ સારી છે.’

ઓસામા વિશેના બ્રીફિગમાં સેન્સ ઓફ હ્યુમર અને એ પણ રીવર્સ. અમેરિકન પત્રકારો મૂંઝાયા. એક-બે જણે આંગળી ઉંચી કરીને પૂછ્‌યું, ‘રીવર્સ સેન્સ ઓફ હ્યુમર એટલે?’

ઓબામાએ સવાલ પૂછનાર પત્રકારો સામે જોઇને ડોળા કકડાવ્યા. અગાઉ એમણે આવું કદી કર્યું ન હતું. પણ એ પત્રકારો ગુજરાતના નહીં, અમેરિકાના હતા. એટલે તેમણે પ્રશ્ન દોહરાવ્યો. તેમને જવાબ આપતાં ગુજરાતી અફસરે કહ્યું, ‘મને ખબર જ હતી કે તમને ખબર નહીં હોય. રીવર્સ સેન્સ ઓફ હ્યુમર એટલે હસવા જેવી વાત ગંભીરતાથી લેવી તે.’

એ સાંભળીને અમેરિકાના પત્રકારો હસી પડ્યા. પણ બ્રીફિગ આગળ ચાલ્યું એટલે તે ફરી ગંભીર થઇ ગયા.

અફસરે આગળ ચલાવ્યું, ‘અમે સાહેબને કહ્યું કે કે ઓલો ઓસામો વાં બેઠો બેઠો તમને મારવાના કારસા ઘડી રહ્યો છે. એ સાંભળીને સાહેબ રંગમાં આવી ગયા. મુઠ્ઠી વાળીને હાથ ઉંચો કરીને કહે, અમેરિકાની ૩૦ કરોડ જનતા માટે હું જાનની બાજી લગાડવા તૈયાર છું. મને મારા જીવની નહીં, મારા ૩૦ કરોડ લોકોની ચિતા છે.’

‘અમે એમને કહ્યું કે સાહેબ, હજુ ચેનલવાળા આવ્યા નથી. આ બઘું એ લોકો આવે ત્યારે કહેવાનું છે. એટલે તરત એમણે મુઠ્ઠી ખોલી નાખી, હાથ મ્યાન કરી દીધો અને પોતાની સુરક્ષાવ્યવસ્થા વધારવાની ચિતામાં લાગી ગયા.’

‘ઓસામા જેવા ત્રાસવાદી પર હુમલાનું પાકું આયોજન કરવું પડે. અમે કોઇ ચાન્સ લેવા માગતા ન હતા. વળી અમેરિકાની લેટેસ્ટ શસ્ત્રસામગ્રી સાથે અમારે ગુજરાતની અહિસક પરંપરાનો પણ વિચાર કરવાનો હતો. એટલે અમે કેટલાક ગુજરાતી સંચાલકોને પણ સાથે રાખવાનું વિચાર્યું હતું. ઓસામા ઘેરાઇ ગયા પછી કોઇ રીતે શરણે ન આવે તો તેની પર જાહેર કાર્યક્રમોના સંચાલકોને છૂટા મૂકી દેવા. એમને સહન કરવા કરતાં શરણે આવવાનું ઓસામા વઘુ પસંદ કરશે, એવી અમારી ગણતરી હતી. પણ હેલિકોપ્ટરોમાં જગ્યા ન રહી, એટલે સંચાલકોવાળો આઇડિયા પડતો મૂકવો પડ્યો.’

‘ઝીણવટભર્યા આયોજન પછી અમે ઓસામાને અબોટાબાદથી ઉઠાવ્યો અને હેલિકોપ્ટરમાં અમદાવાદ લઇ આવ્યા. રસ્તામાં હેલિકોપ્ટર ઉતારીને અમે ઓસામાને પોલીસની જીપમાં બેસાડ્યો. અમારો કાફલો કોતરપુર (અમદાવાદ) હાઇ વે આગળથી પસાર થતો હતો એ વખતે ઓસામાએ હાથનું દોરડું છોડીને બાજુમાં બેઠેલા પોલીસ ઓફિસરની રિવોલ્વર ખેંચી લીધી અને ચાલુ જીપે કૂદકો માર્યો. તરત અમે બધાએ મોરચો સંભાળી લીધો. દસેક મિનિટ સુધી સામસામા ગોળીબાર થયા. એમાં અમારા બે કમાન્ડો ઘાયલ થયા અને ઓસામાનું મોત થયું.’

‘પણ તેના શરીરનું તમે શું કર્યું?’ એક પત્રકારે પૂછ્‌યું.

‘ધાર્મિક વિધિથી નિકાલ કરી નાખ્યો. માણસ જ ન રહે, પછી શરીરનો શો મોહ? આત્મા વિનાનું શરીર તો પક્ષી વિનાનું પિજરુ છે.’

‘પણ અમદાવાદમાં કોઇને આ વાતની ખબર પણ ન પડી?’ હજુ અસંતુષ્ટ પત્રકારે ફરી પૂછ્‌યું.

તરત બાજુમાં બેઠેલા ઓબામાએ ઉશ્કેરાઇને પેલા પત્રકારને પૂછ્‌યું,‘તમારા છાપાનું સર્ક્યુલેશન કેટલું છે?’

પત્રકારે આંકડો કહ્યો, એટલે ઓબામા કહે,‘આટલા સર્ક્યુલેશનમાં એક જ સવાલ પૂછાય.’

પત્રકારો દિગ્મૂઢ થઇને ઓબામાનું નવું સ્વરૂપ જોઇ રહ્યા અને આ જ્ઞાન તેમણે ક્યાંથી મેળવ્યું તેની અટકળ કરવા લાગ્યા, પણ સંશયાત્મા પત્રકારે ઓબામાને વળતો સવાલ પૂછ્‌યો, ‘અમે તમારા જૂઠાણાંની લિમિટ નક્કી કરીએ છીએ? એક પ્રેસ કોન્ફરન્સમાં કે ઇન્ટરવ્યુમાં અમુક વાર જ જૂઠું બોલાય- અમુક જ પ્રશ્નોના જવાબ ગુપચાવી દેવાય, એવું કહીએ છીએ?’

પરંતુ વાત વણસે તે પહેલાં સંશયનિવારણ નિષ્ણાત પોલીસ અફસરે જવાબ આપ્યો, ‘અમે એટલી સિફતથી ઓપરેશન પાર પાડ્યું કે અમારી સાથે આવેલા ઘણા કમાન્ડોને પણ તેની ખબર પડી નથી. ડાબો હાથ જે કરે તે જમણો હાથ પણ ન જાણે, એ અમારી સંસ્કૃતિ છે. જવા દો, તમને ધીમે ધીમે સમજાશે. નો મોર ક્વેશ્ચન્સ, પ્લીઝ.’

એ સાથે જ પત્રકાર પરિષદ પૂરી થઇ અને ત્રાસવાદવિરોધી લડતના ઇતિહાસમાં ઓપરેશન ઓસામા સુવર્ણ અક્ષરે લખાઇ ગયું.

Tuesday, May 17, 2011

માનવ અધિકારઃ અર્થનો અનર્થ, અનર્થનો અર્થ

શબ્દ અનેક કારણથી પોતાનો અર્થ ગુમાવી શકે છે.

‘પાણીચું’ એટલે પાણી ભરેલું નારિયેળ. કોઇને વિદાય આપતી વખતે શુકન તરીકે નારિયેળ આપવાનો રિવાજ હતો. તેની પરથી, કોઇને નોકરીમાંથી રવાના કરવા માટે ‘પાણીચું પકડાવવું’ એવો શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો. ગુણ દર્શાવતા શબ્દ ‘પાણીચું’ પર આ રીતે નકારાત્મક અર્થનો સિક્કો વાગી ગયો.

‘અંતરિયાળ’નો મૂળ અર્થ છેઃ અધવચ્ચે, અરધે રસ્તે, નોંધારું. (દા.ત. એ ઓફિસે જતા હતા, ત્યારે પોલીસે તેમને અંતરિયાળ રોક્યા.) પરંતુ દૂરના-છેવાડાના પ્રદેશો માટે ‘અંતરિયાળ વિસ્તાર’ એ પ્રયોગ એટલો ચલણી બની ગયો છે કે હવે એ અર્થ સાચો લાગે અને અસલી અર્થને ક્યાંક ખૂણામાં શોધવો પડે.

કેટલાક શબ્દોના ખરા અર્થ વિવિધ છાવણીઓનાં સ્વાર્થ-સગવડ કે એજેન્ડા પ્રમાણે રહેંસાતા, પીંખાતા, વિકૃત થતા રહે છે. જેમ કે, માનવ અધિકાર, બિનસાંપ્રદાયિકતા, રેશનાલિઝમ, બૌદ્ધિકો, લોકશાહી...

એક વત્તા એક બરાબર એકવીસ
સરકાર પોતે એક યા બીજા પ્રકારનાં હિસા-દમન-કાનૂનભંગના બનાવોમાં આરોપી હોય, ત્યાં ‘માનવ અધિકાર’નો સરકારી અર્થ થાય છેઃ ‘સરકારનું અહિત ઇચ્છવું’.

ઘણી સરકારો માને છે કે એ પોતે જ દેશ (કે રાજ્ય) છે. કેટલાક સરકારી વડા થોડાં ડગલાં આગળ વધીને એવું માને-મનાવે છે કે ‘હું જ દેશ -કે રાજ્ય- છું.’ (‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ કે ‘મોદી એટલે ગુજરાત’ સિન્ડ્રોમ.) ગોટલો માને કે હું જ કેરી છું- એવી હાસ્યાસ્પદ અને સામાન્ય બુદ્ધિના અપમાન જેવી આ વાત છે. શાસક = સરકાર = રાજ્ય = પ્રજા, એટલે કે શાસક = પ્રજા. આવું તર્કવિકૃત સમીકરણ ચાલતું હોય ત્યાં માનવ અધિકારનો સત્તાવાર અર્થ છેઃ રાજ્યનો કે પ્રજાનો વિરોધ. આ પરિસ્થિતિ મજબૂત બનાવવા માટે ‘માનવ અધિકાર’ શબ્દ પ્રત્યે ભારે સૂગ, ચીડ, તુચ્છકાર અને તિરસ્કારની લાગણી ફેલાવવામાં આવે છે. માનવ અધિકારની વાત કરવી એ જાણે રાજદ્રોહ કે રાષ્ટ્રદ્રોહ હોય એવું શાસકોના આક્રમક બચાવ પરથી લાગે.

ફક્ત શાસકો જ નહીં, તેમની આંખે જોનારા, તેમના તાલે ડોલનારા અને દેખીતા સ્વાર્થ વિના, કેવળ ‘કરપીણ મુગ્ધતા’ (સૌજન્યઃ જયંતિ દલાલ)ને કારણે શાસકોની ગાડીમાં ચડી બેઠેલા સૌ માનવ અધિકારના ઉલ્લેખમાત્રથી ભડકી ઉઠે છે. પ્રતિક્રિયારૂપે તે શેરીયુદ્ધોની શૈલી-કક્ષાની યાદ અપાવે એ રીતે માનવ અધિકાર સંગઠનો-કાર્યકરો-પ્રવૃત્તિ સામે બખાળા કાઢે છે- માઇબાપે બાવાની બીક બતાવીને ઉછેરેલું બાળક, બાવાના ઉલ્લેખમાત્રથી ભેંકડો તાણે એ રીતે.

જુદાં જુદાં સમજણ, આશય, હેતુ અને કક્ષાથી માનવ અધિકારની વાત કરનાર સૌને એક જ લાકડીએ હાંકવાં, તેમની પ્રવૃત્તિ સામે દ્વેષ ફેલાવવો અને ‘માનવ અધિકાર’ને દેશદ્રોહ સમકક્ષ ખરાબ શબ્દ બનાવી દેવો, એ શાસકો તથા તેમની ‘ટોળકી’ (સૌજન્યઃ ગુજરાતના મુખ્ય મંત્રી)નું એક જીવનકાર્ય બની જાય છે.

ક્યાં હતા? ક્યાં છો?
માનવ અધિકારનું કામ કરનાર વ્યકિત-સંસ્થાઓના પક્ષે ઘણા પ્રશ્નો હોય છે. ડોક્ટર, વકીલ, અઘ્યાપક કે પત્રકારની જેમ માનવ અધિકારનું કામ કરતા લોકોમાં પણ સારા, મઘ્યમ અને ખરાબ પ્રકાર હોય છે. બીજાં ક્ષેત્રોની જેમ ત્યાં પણ સારાનું પ્રમાણ ઓછું હોય છે. માનવ અધિકારનું કામ કરનારા સામેના મુખ્ય આરોપ છેઃ ન હોય ત્યાંથી માનવ અધિકારના મુદ્દા ઉભા કરવા, મુદ્દાને તેના આખરી અંજામ સુધી પહોંચાડવાને બદલે એ કામમાંથી પોતાની ખીચડી (કે ખીર) પકાવતા રહેવું, પોતે ઉપાડેલા મુદ્દાને ગાજતો રાખવા માટે સાધનશુદ્ધિની દરકાર રાખવી નહીં- કોઇ પણ હદનું જૂઠાણું બોલતાં-આચરતાં અચકાવું નહીં, વિદેશી ભંડોળના જોરે રૂપિયાના ઘુમાડા કરવા, આંતરરાષ્ટ્રિય સ્તરે એવોર્ડ-પ્રશંસા-ભંડોળ મેળવવા માટે પોતાના રાજ્ય-દેશનું ભૂંડું બોલવું, હંમેશાં લધુમતી (મુસ્લિમો-દલિતો-આદિવાસીઓ વગેરે)નું ઉપરાણું લેવું, માનવ અધિકારના બહાને વિકાસકાર્યોમાં રોડાં નાખવાં...

આરોપોની યાદી પર નજર નાખતાં જણાશે કે છેલ્લા બે આરોપ મુખ્ય અને સૌથી મહત્ત્વના છે. એ બન્ને બાબતો અંગે અસંતોષને કારણે બાકીના મુદ્દા છે એના કરતાં વધારે આંખે ચડે છે. લધુમતી અને ‘વિકાસ’ અંગે સમાજના સરેરાશ બોલકા વર્ગના મનમાં પૂર્વગ્રહની ફળદ્રુપ ભૂમિ તૈયાર હોય છે. શાસકીય કુપ્રચારનાં બીજથી એ ભૂમિમાં લૂમઝૂમ ફસલ લહેરાવા લાગે છે.

ઉદાહરણ તરીકે, બનાવટી એન્કાઉન્ટરમાં માર્‌ર્યા ગયેલા કે કોમી હંિસાનો ભોગ બનેલા મુસ્લિમોને ન્યાય મળવો જોઇએ, એવું કહેનારા વિશે અસંતોષ ફેલાવવામાં સરકારને બહુ મહેનત કરવી પડતી નથી. ‘કાશ્મીર વખતે તમે ક્યાં હતા?’ કે ‘દિલ્હીના શીખસંહાર વખતે તમે ક્યાં હતા?’ એવા સવાલ, જવાબની રાહ જોયા વિના વંિઝ્‌યે રાખનારાં ધાડાં તૈયાર હોય છે. એમને પૂછી શકાતું નથી કે ‘માનવ અધિકારની વાત કરનારા કાશ્મીર અને દિલ્હીમાં પણ સક્રિય હતા. એમને કામ કરતા જોવા માટે તમે ક્યાં હતા?’- અથવા પોતાનાં પોત ઢાંકવા જેમણે તેમને આવા સવાલ શીખવ્યા-ગોખાવ્યા છે, એવા નેતાઓના ધાડાં કદી પૂછતાં નથી કે ‘બીજાની વાત છોડો? કાશ્મીર-દિલ્હીમાં તમે ક્યાં હતા? અને તમે એ મુદ્દાના જોરે મત ઉઘરાવવા સિવાય, તેમને ન્યાય અપાવવા બીજું શું કર્યું?’

દલિતોના માનવ અધિકારની વાત આવે ત્યારે સરેરાશ બિનદલિતો ઉપરાંત પહોંચતા-પામતા વર્ગના દલિતો પણ નાકનું ટીચકું ચડાવે છે. પોતાની માનસિકતા છૂપાવવા માટે આ સૌ દલિતોના અધિકારની વાત કરનાર પર જાતજાતના આરોપ મૂકે છે. ‘હવે પહેલાં જેવું ક્યાં રહ્યું છે?’ અને ‘દલિતો ભણશે એટલે આપોઆપ બઘું બદલાઇ જશે’ એવો આભાસ પંપાળતા લોકોમાંથી ઘણામાં દલિત અધિકારની કામગીરી વિશેનો અણગમો એટલો સાહજિક હોય છે કે તેમને અણગમો વ્યક્ત કર્યાની સભાનતા સુદ્ધાં રહેતી નથી.

‘વિકાસ’ની વાત આવે ત્યારે તેનાથી પીડિત-તેનાં સારાં પરિણામથી વંચિત એવા લોકોને પોતાના હક માટે સરકાર સામે ઉભા કરવાના કિસ્સા વધી રહ્યા છે. સરકારો પ્રજાકીય હકની ચળવળોને ‘વિકાસવિરોધી’ તરીકે ખપાવી દે એટલે થયું. સમાજના બોલકા બહુમતી વર્ગમાંથી મોટા ભાગના લોકો એ ચળવળથી વિમુખ રહે છે અથવા સરકારી પ્રચારના ચશ્માથી તેને જુએ છે.

ખોળામાં માથું નહીં, હાથમાં હાથ
એનો અર્થ એવો બિલકુલ નથી કે માનવ અધિકારનું કામ કરનાર લોકો-સંસ્થાઓનાં હંમેશાં અને બિનશરતી વખાણ થવાં જોઇએ અથવા તેમની ટીકા ન કરવી જોઇએ. ઉલટું, માનવ અધિકારના મુદ્દે કામ કરતી સંસ્થાઓને અઘરા પ્રશ્નો પૂછવાનું, તેમની પાસેથી જવાબો માગવાનું અને તેમના ભટકાવને અંકુશમાં રાખવાનું કામ સમાજના જાગ્રત નાગરિકો તથા નાગરિક સંગઠનોનું છે. એ તેમનો હક પણ છે અને ફરજ પણ. યાદ એટલું રાખવાનું કે આ કામ શાસકોના ખોળામાં બેસીને, શાસકોના આશીર્વાદથી કે તેમનાં હિત જાળવવા માટે કરવાનું ન હોય. સમાજે-નાગરિકોએ સરકાર અને માનવ અધિકાર સંગઠનો બન્નેને ઉત્તરદાયી રાખવાનાં છે, પણ સરકારો-શાસકો પ્રત્યે વિશેષ કડકાઇ જાળવવાની રહે છે. કારણ કે તેમની પાસે ખોટું કરવાની વ્યાપક સત્તા હોય છે.

નાગરિક સમાજ આંખ મીંચીને કોઇના ખોળે બેસી શકે નહીં. માનવ અધિકાર સંગઠનોના ખોળે પણ નહીં. પ્રજાહિતમાં સરકાર પર દબાણ રાખવા માટે નાગરિક સમાજે માનવ અધિકાર સંગઠનો સાથે હાથ મિલાવવા પડે, પણ હાથ મિલાવવા અને ખોળે બેસવા વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજી લેવો જોઇએ.

માનવ અધિકારની કે ‘વિકાસ’કાર્યોને લગતી ઝુંબેશ ઘણી વાર આત્યંતિક વલણ ધરાવતી લાગે, ત્યારે ઝુંબેશને છેહ દઇને સામી પાટલીએ, સરકારના ખોળે બેસી જવાને બદલે, ચોક્કસ મુદ્દા પર વિરોધ ઉભો રાખીને બાકીના મોટા ભાગના વાજબી મુદ્દે ઝુંબેશને ટેકો આપવો,એ નાગરિક સમાજનો તકાદો છે. નર્મદા બચાવ આંદોલન સહિત અનેક ઝુંબેશો આત્યંતિક માગણીઓ માટે વગોવાઇ છે. ગુજરાતની કોમી હંિસા પછી પીડિતો માટે ન્યાય મેળવવાની લડત પણ બેદાગ રહી શકી નથી. તેની ટીકા ચોક્કસ કરીએ, પણ એટલું મનમાં રાખીને કે આટઆટલાં દબાણ પછી પણ સરકાર આ હદે નામકર જતી હોય, ન્યાયપ્રક્રિયામાં શક્ય એટલાં રોડાં નાખતી હોય અને વિસ્થાપિતોને ફરિયાદના મોકા પૂરા પાડતી હોય, તો કોઇ દબાણની ગેરહાજરીમાં તે કેટલી આપખુદ અને બેકાબૂ બને?

એટલે જ, માનવ અધિકાર સંગઠનો-કાર્યકરો વિશે શાસકો કે તેમના ટેકેદારો ટીકા કરે ત્યારે, એમાં સચ્ચાઇનો અંશ હોય તો પણ એ તેમના મોઢે શોભતી નથી. જાણે, દલપતરામની કવિતામાં આવતું ઉંટ બીજાં પ્રાણીઓની ટીકા કરતું હોય એવું લાગે છેઃ અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.

ઓસામા અને માનવ અધિકાર
પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામાને ઠાર મારવાની અમેરિકી કાર્યવાહીના પગલે ફરી એક વાર માનવ અધિકાર ચર્ચામાં છે. ‘ઓસામાના માનવ અધિકારનું શું?’ એવો સવાલ ક્યાંક પૂછાયો છે. એના કરતાં અનેક ગણા વધારે ઉત્સાહથી ‘ગુજરાતનાં એન્કાઉન્ટરો વખતે માનવ અધિકારોની વાત કરનારા ક્યાં ગયા?’ એવા સવાલ રાબેતા મુજબ ઉછળ્યા છે.

માનવ અધિકારની પ્રવૃત્તિ પ્રત્યેનો રાગદ્વેષ બાજુ પર રાખીએ તો કેટલાક મુદ્દા સ્પષ્ટ રીતે જોઇ શકાયઃ અનેક નિર્દોષોની હત્યાનાં સફળ કાવતરાં કરનાર ત્રાસવાદી ઓસામાએ પોતાના ભયંકર ગુના જાહેરમાં અને ગૌરવભેર સ્વીકાર્યા છે. માનવ અધિકારના નામે તેને જરાસરખી પણ તક આપવામાં આવે અને એ જીવતો છટકી જાય, તો અનેક નિર્દોષોની જિદગી માટે તે જોખમરૂપ બની શકે. વળી, ઓસામા છૂટોછવાયો, સોપારી લઇને ખૂન કરનારો ગુંડો નહીં, પણ અલ-કાઇદા જેવી સંસ્થાનો વડો હતો. તેના મોતથી ત્રાસવાદી પ્રવૃત્તિઓ બંધ ભલે ન થાય, પણ તેને સારો એવો ફટકો પડે. આ બાબતો ઘ્યાનમાં રાખતાં, ઓસામાને ઠાર મારવાનો કેસ એકદમ મજબૂત હતો. એવો જ મજબૂત કેસ મુંબઇ પર હુમલો કરનાર કસાબનો કહી શકાય. કસાબ મુંબઇમાં ફરતો હતો ત્યારે કોઇ પોલીસે તેને વીંધી નાખ્યો હોત તો કોઇ માનવ અધિકારવાળાએ તેનો વાંધો ન લીધો હોત. કસાબને માનવ અધિકારવાળાના કહેવાથી નહીં, પણ તેની પાસેથી કાવતરાની વઘુ માહિતી મેળવવા અને પાકિસ્તાનને ભીંસમાં આણવા જીવતો રાખવામાં આવ્યો છે, એ સહેલાઇથી ભૂલી જવાય છે.

ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી, ગુંડા અને ત્રાસવાદી વચ્ચેનો, પોલીસઆશ્રિત ગુંડા અને ‘સ્વતંત્ર’ ગુંડા વચ્ચેનો તફાવત સમજવો, રાજકીય નેતાઓના ઇશારે કે ઇશારા વિના પોલીસ કાયદો હાથમાં લે તેનો વિરોધ કરવો અને સાબીત થયેલી-થયા વગરની, નાની-મોટી બધા પ્રકારની ગુંડાગીરી માટે એક જ સજા-મોતની સજા- ન હોઇ શકે એ સ્વીકારવું...આ વાત માનવ અધિકારની છે કે સામાન્ય બુદ્ધિની?

બાકી, અમેરિકાની કાર્યવાહી પરથી ધડો લેવા તલપાપડ લોકો માટે બીજો પણ એક બોધ રાહ જુએ છેઃ સોરાબુદ્દીન કરતાં સાવ જુદી જ કક્ષાના, અનેક ગણા મોટા અને ત્રાસવાદની ધરી જેવા ઓસામાને તેના ઘરમાં ઠાર કરતી વખતે, તેની પત્નીની હાલત કૌસરબી જેવી કરવામાં આવી નથી. તેને જીવતી રાખવામાં આવી છે.

શું કરીશું? બોધ લેવો છે? કે જવા દઇએ?

Sunday, May 15, 2011

સાપેક્ષવાદના બે સિદ્ધાંતની પ્રેક્ટિકલ ચકાસણીનું પરિણામ: આઇન્સ્ટાઇન ફુલ્લી પાસ, પરીક્ષકને એટીકેટી

બાવન વર્ષની મથામણ અને પંચોતેર કરોડ ડોલરના ખર્ચ પછી જનરલ થિયરી ઓફ રિલેટીવિટીના બે સિદ્ધાંતની તપાસ પૂરી થઇ. ‘નાસા’ના ગ્રેવિટી પ્રોબ-બી યાને આપેલાં અને આ માસના આરંભે જાહેર થયેલાં પરિણામ શું સૂચવે છે?


વર્ષ : ૧૯૧૬
આઇન્સ્ટાઇને સાપેક્ષવાદ તરીકે જાણીતો બનેલો ‘જનરલ થિયરી ઓફ રિલેટીવીટી’નો સિદ્ધાંત આપ્યો. તેમાં
ગુરૂત્વાકર્ષણની સમજૂતી આપતાં આઇન્સ્ટાઇને દર્શાવ્યું કે બ્રહ્માંડનો દરેક પદાર્થ સ્પેસના તાણા અને ટાઇમ (સમય)ના વાણાથી રચાતા અદૃશ્ય, ત્રિપરિમાણીય (થ્રી-ડી) તાણાવાણામાં રહે છે. ગુરૂત્વાકર્ષણ તરીકે ઓળખાતું, મોટો પદાર્થ નાના પદાર્થને પોતાના ભણી ખેંચે એવું બળ પણ અદૃશ્ય તાણાવાણામાં પડતા ઝોલને આભારી છે.

સ્પેસ-ટાઇમના સર્વવ્યાપી તાણાવાણા માટે પ્રચલિત ઉપમા રબરિયા ચાદરની છે. એની અવેજીમાં, સરકસમાં ઝૂલા ના ખેલ વખતે બંધાતી જાળીનું ઉદાહરણ પણ લઇ શકાય. એ જાળી દ્વિપરિમાણીય (ટુ-ડી) હોય છે, પણ પ્રાથમિક ખ્યાલ મેળવવા માટે તે પૂરતી છે.

ધારો કે ઝૂલાના ખેલ વખતે બંધાયેલા જાળીમાં જુદા જુદા વજનના નાના-મોટા ગોળા છૂટાછવાયા મૂકવામાં આવે તો? દરેક ગોળાના કદ-વજન પ્રમાણે જાળીમાં ઝોલ પડે અને ગોળાની આજુબાજૂના જાળીના હિસ્સામાં ઢોળાવ પેદા થાય. એ ઢોળાવની હદમાં કોઇ નાનો ગોળો આવે, તો દેખીતી રીતે જ ઢોળાવ તરફ- અને તે પેદા કરનાર મોટા ગોળા તરફ- આકર્ષાય. સ્પેસ-ટાઇમની થ્રી-ડી ‘જાળી’માં પ્રત્યેક ગોળાના ઝોલ થકી પેદા થતું આકર્ષણ એટલે ગુરૂત્વાકર્ષણ.

થ્રી-ડી ‘જાળી’માં ઝોલ પાડનાર ગોળો સ્થિર નહીં, પણ પોતાની ધરી પર ફરતો હોય તો? તેની આસપાસ રહેલી જાળી પણ ગોળાની ગતિ સાથે મરોડાય કે નહીં? આ બાબત સમજાવવા માટે વૈજ્ઞાનિકોએ પ્રયોજેલી બીજી ઉપમાઃ મધ ભરેલા પ્યાલામાં (પોતાની ધરી પર) ગોળ ફરતી લખોટી નાખવામાં આવે તો? લખોટીની ફેરફુદરડીના- તેના ધરીભ્રમણના પ્રતાપે, લખોટીની આજુબાજુ રહેલા મધનો થોડો હિસ્સો તરડાવો-મરડાવો જોઇએ- પ્યાલામાં ભરેલું બાકીનું મધ ભલે સ્થિર રહે.

વર્ષ : ૧૯૫૯-૬૪
અમેરિકાની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી અને એમ.આઇ.ટી.ના બે સંશોધકોએ વિચાર્યું : પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. તેને કારણે, આઇન્સ્ટાઇનની થિયરી પ્રમાણે, પૃથ્વીની આસપાસ સ્પેસ-ટાઇમની ‘જાળી’માં નજીવો મરોડ આવવો જોઇએ. એ મરોડ માપી શકાય તો આઇન્સ્ટાઇનની થિયરીને પ્રમાણભૂત રીતે સાચી ઠેરવી શકાય. પણ માપણી માટેનાં સાધનો શી રીતે તૈયાર કરવાં? એ સમયે ભારે ચોક્સાઇ ધરાવતાં દિશાસૂચક જાયરોસ્કોપ બનાવવાનું શક્ય ન હતું. ઉપગ્રહયુગની પણ શરૂઆત હતી.

આ મથામણ ચાલુ હતી ત્યારે ૧૯૬૨માં ડોક્ટરેટ પછીના અભ્યાસ માટે ફ્રાન્સિસ એવરીટ સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. તેમણે થિયરીની ચકાસણી માટેની વૈજ્ઞાનિક જરૂરિયાતોથી માંડીને રાજકીય -આર્થિક રીતે પ્રોજેક્ટ માટે લોબીઇંગ કરવામાં ઊંડો રસ લીધો અને ૪૯ વર્ષ જેટલા લાંબા સમય સુધી (છેક અંત સુધી) પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રહ્યા.

૧૯૬૪માં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’એ સ્ટેનફર્ડ યુનિવર્સિટી સાથે મળીને આઇન્સ્ટાઇનની થિયરીના બે મુદ્દા ચકાસવાનું બીડું ઝડપ્યું. વિજ્ઞાનની પરિભાષામાં એ બે મુદ્દા હતાઃ ૧) જીઓડેટિક ઇફેક્ટ :પૃથ્વીને કારણે સ્પેસ-ટાઇમની જાળી પર થતી અસર- તેમાં પેદા થતો ઝોલ ૨) ફ્રેમ ડ્રેગિંગ : પૃથ્વીના ધરીભ્રમણને કારણે સ્પેસ-ટાઇમની જાળીમાં આવતો મરોડ.

વર્ષ : ૨૦૦૪
લગભગ સાડા ચાર દાયકા પછી ‘ગ્રેવિટી પ્રોબ-બી’ મિશન વિચાર મટીને વાસ્તવિકતા બન્યું. એપ્રિલ ૨૦, ૨૦૦૪ના રોજ ‘ગ્રેવિટી પ્રોબ-બી’નું માળખું લો અર્થ ઓરબિટમાં- પૃથ્વીથી ૬૪૨ કિલોમીટર ઊંચે, ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું. તેને ચાર જાયરોસ્કોપથી સજ્જ કરવામાં આવ્યું હતું. જાયરોસ્કોપની ચોક્સાઇ માટેનો દાવો એવો હતો કે તેની દિશામાં દર કલાકે એક અંશના એક અબજમા ભાગ કરતાં વધારે ફરક નહીં પડે. ચારે જાયરોસ્કોપમાં વપરાયેલા ગોળાને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્‌સે અત્યાર સુધીના ઇતિહાસમાં બનેલા ‘મોસ્ટ પરફેક્ટ’ ગોળાનું પ્રમાણપત્ર આપ્યું હતું. ગ્રેવિટી પ્રોબ-બીનાં ચારે જાયરોસ્કોપને આઇએમ પેગાસી નામના એક તારા ભણી તાકવામાં આવ્યાં.


ગુરૂત્વાકર્ષણને મામલે ન્યૂટન સાચો હોય તો બ્રહ્માંડમાં જીઓડેટિક ઇફેક્ટ કે ફ્રેમ ડ્રેગિંગ જેવું કશું બનવાનું ન હતું અને જાયરોસ્કોપની દિશામાં કોઇ ફરક પડવાનો ન હતો. પણ જો આઇન્સ્ટાઇનની થીયરી સાચી હોય તો? તારો ભલે પોતાની જગ્યાએ અવિચળ હોય, પણ પૃથ્વીના ધરીભ્રમણને કારણે સ્પેસ-ટાઇમની ‘જાળી’માં મરોડ પેદા થવો જોઇએ. પરિણામે, ગ્રેવિટી પ્રોબ-બીનાં જાયરોસ્કોપને તારો એની જગ્યાએથો થોડો ખસેલો લાગવો જોઇએ. એટલે કે તારાને તાકી રહેલાં જાયરોસ્કોપની મૂળ દિશા અને થોડા સમય પછીની દિશામાં મામુલી તફાવત નોંધાવો જોઇએ.

વર્ષઃ ૨૦૧૧
ડિસેમ્બર, ૨૦૧૦માં ગ્રેવિટી પ્રોબ-બીનું અવતાર કાર્ય પૂરું થયેલું જાહેર કરવામાં આવ્યું, પરંતુ ત્યાર પહેલાં આ પ્રયોગની કહાણીમાં ઘણા મરોડ આવી ચૂક્યા હતા. પ્રયોગ શરૂ થતાં પહેલાં સાતેક વખત તેને રદ કરવાનો નિર્ણય લેવાઇ ગયો હતો. એ વખતે એવરીટે દૃઢ નિશ્ચય અને મક્કમ પ્રયાસોથી પ્રયોગને જીવતદાન અપાવ્યું. એ માટે નાસાના અધિકારીઓથી માંડીને અમેરિકાના સાંસદોને સમજાવવામાં એવરીટ પાછા પડ્યા નહીં.

એપ્રિલ ૨૦૦૪થી ઓગસ્ટ ૨૦૦૫ સુધી ગ્રેવિટી પ્રોબ-બીએ માહિતી એકઠી કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ તેના દ્વારા મળેલી માહિતી પરથી જણાયું કે અભૂતપૂર્વ ચોક્સાઇ ધરાવતાં જાયરોસ્કોપ ખરાબે ચડીને દિશાભાન ગુમાવી બેઠાં હતાં અને ઘણી વાર આડીઅવળી દિશાઓ ભણી તકાઇ જતાં હતાં. ‘નાસા’ના ઇતિહાસમાં સૌથી લાંબા પ્રોજેક્ટમાંના એક ગણાતા ‘ગ્રેવિટી પ્રોબ-બી’ માટે આ ખેદની વાત હતી. ૨૦૦૮માં ‘નાસા’એ આ પ્રોજેક્ટને ખાડે ગયેલો ગણીને તેને ભંડોળ આપવાનું બંધ કર્યું, ત્યારે ગ્રેવિટી પ્રોબ-બી થકી મળેલી ઘણી માહિતીનો અભ્યાસ અને તેનું પૃથક્કરણ બાકી હતાં. પ્રોજેક્ટ સાથે પોતાનું જીવન જોડી ચૂકેલા એવરેટે હિંમત હાર્યા વગર ખાનગી ભંડોળ માટે પ્રયાસ આદર્યા. એ પ્રયત્નો સફળ થતાં કામ આગળ ચાલ્યું. આખરે ૪ મે, ૨૦૦ના રોજ સંશોધકોએ ‘ગ્રેવિટી પ્રોબ-બી’ના પ્રયોગનાં પરિણામ જાહેર કર્યાં, જે આઇન્સ્ટાઇનની બન્ને થિયરીની પુષ્ટિ કરતાં હતાં.

અલબત્ત, ગ્રેવિટી પ્રોબ-બીનાં પરિણામના મહત્ત્વ અંગે સંશોધકો વચ્ચે મતભેદ પ્રવર્તે છે. ઘણા અભ્યાસીઓ માને છે કે ગ્રેવિટી પ્રોબ-બીનાં પરિણામ નવાં કે પહેલી વારનાં નથી. અત્યાર લગીમાં બીજાં મિશનો દરમિયાન આઇનસ્ટાઇનના બન્ને સિદ્ધાંતની સાબિતી મળતી રહી છે. જેમ કે શનિ અને તેના ઉપગ્રહોના અભ્યાસ માટે ‘નાસા’એ ‘કાસિની’ નામનું યાન રવાના કર્યું હતું. એ યાનમાંથી પૃથ્વી પર આવતા રેડિયોતરંગો સૂર્યના ગુરૂત્વાકર્ષણમાંથી પસાર થતી વખતે (સ્પેસ-ટાઇમની ‘જાળી’માં સૂર્યને કારણે પેદા થયેલા ઝોલની અસરથી) મરોડાયા હતા. બીજો વાંધો ગ્રેવિટી પ્રોબ-બીનાં પરિણામોની ચોક્સાઇ સામે છે. તેના કરતાં અગાઉનાં બીજાં મિશનની આડપેદાશ તરીકે મળેલાં પરિણામ વધારે ચોક્કસ હતાં.

તેમ છતાં, માત્ર ને માત્ર જનરલ થિયરી ઓફ રિલેટીવિટીની ખરાઇ માટેના મિશન તરીકે ગ્રેવિટી પ્રોબ-બીનું નામ વિજ્ઞાનના ઇતિહાસમાં લખાઇ ગયું છે એમાં બેમત નથી.

Saturday, May 14, 2011

ભાવવધારાની પૂર્વસંધ્યાએ બચતનો આનંદ

આજે મધરાતથી પેટ્રોલમાં લીટર દીઠ રૂ. પાંચનો ભાવવધારો જાહેર થયો, તેના થોડા સમય પછી પેટ્રોલપમ્પ જોવા મળેલું આ દૃશ્ય, અગાઉ પણ ઘણી વાર જોયેલું છે અને દરેક વખતે એ જોઇને મેં નવાઇ, રમૂજ, થોડું માન અને એ સિવાયની અનેક લાગણીનું મિશ્રણ અનુભવ્યું છે. (આ તસવીરમાં સામા છેડે થયેલી અને રસ્તા પર ટ્રાફિકમાં થોડી અડચણરૂપ બનેલી કારની લાંબી લાઇન તો દેખાતી નથી.)

પેટ્રોલના દરેક ભાવવધારાની જાહેરાતની સાંજે પમ્પ પર લાઇનો જોઇને મને થાય કે આ લોકો એમ કેટલું પેટ્રોલ પુરાવી લેશે? અને કેટલા રૂપિયા બચાવી લેશે? બચત કરવી-રૂપિયાની કિંમત સમજવી એ સારો ગુણ છે. તેને માન આપવું ઘટે, પણ આ લાઇનોમાંના કેટલા ખરેખર પેટ્રોલનો હિસાબ ગણતા હશે? (ખાસ કરીને કારમાલિકો) અને કેટલા 'ખાળે ડૂચા, દરવાજા મોકળા' ટાઇપના હશે? વાહન ચલાવવાની લોકોની રીત સુધરે તો વાહનની એવરેજ સુધરે અને ઠીક ઠીક બચત થઇ શકે. પણ એમાં બચતની 'કીક' ન આવે. કારણ કે એ અદૃશ્ય અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. એના સીધા ફાયદા દેખાતા નથી. ભાવવધારાની પૂર્વસંધ્યાએ એકસામટું પેટ્રોલ ભરાવીને કરેલી બચત રોકડી ગણી શકાય છે. એવી બચત કરવા માટે લાંબી લાઇનમાં ઉભા રહેવાની અને સમયનો ભોગ આપવાની પણ એક મઝા હશે.

બચતવીરો આ અંગે પોતાના અનુભવો જણાવી શકે છે...

Wednesday, May 11, 2011

હવે દાઉદનું શું થશે?

ઓસામા પર અમેરિકાએ ધડબડાટી બોલાવી એટલે ભારતમાંથી પણ ‘દાઉદનું કંઇક કરવું જોઇએ’ એવી માગણી ઉઠી. તે વ્યાપક સ્વરૂપ પકડે -અને પાછું કોઇ જંતરમંતર પર જઇને ઉપવાસ કરવા બેસી જાય- એ પહેલાં ભારતના નેતાઓની એક સર્વપક્ષીય બેઠક મળે, તો તેમાં કેવી ચર્ચા થાય?
***
નેતા ૧ : આપ સૌને ખ્યાલ હશે, છતાં યાદ કરાવી દઉં કે આપણે કોઇ કૌભાંડની ચર્ચા માટે ભેગા થયા નથી. આ ઓલ પાર્ટી મિટિગ એક ટોપ સિક્રેટ મિશન માટેની છે. તેની કોઇ વિગત ‘વિકિલિક્સ’માં પહોંચી ન જાય, એટલે મિટિગ દરમિયાન આપણે એકબીજાને નામથી નહીં બોલાવીએ.

નેતા ૨ : ટૂંકમાં કહી દો ને કે આજની મિટિગની વિગતો આપણે સ્વિસ બેન્કના ખાતા નંબરની જેટલી ગુપ્ત રાખવાની છે. બધા સમજી જશે.

નેતા ૩ : પણ ટોપ સિક્રેટ મિશન કયું છે? કોમનવેલ્થ ગેમ્સ પછી હવે ઓલિમ્પિક યોજવાની છે? ૪-જી સ્પેક્ટ્રમની ફાળવણીની કોઇ સ્કીમ છે? ભ્રષ્ટાચાર સામેની લડત સામેની લડતનો કોઇ નવો મોરચો ખોલવાનો છે?

નેતા ૧ : ના. આ ત્રાસવાદવિરોધી મિશન છે.

નેતા ૪ : કેમ? અત્યારથી ત્રાસવાદનું શું છે? ચૂંટણીની તો હજી બહુ વાર છે. વખત આવે ત્યારે બે-ચાર ગુંડાને ત્રાસવાદી તરીકે ખપાવીને તેમનાં ફેક એન્કાઉન્ટર કરતાં કેટલી વાર લાગવાની છે? ‘ગુંડાને માર્યો એમાં શું ખોટું કર્યું?’ એવું કહેનારા ચીયરલીડરો તો આપણને મળી રહેવાના છે.

નેતા ૧ : એવું નથી. આ મિશન રાષ્ટ્રહિત માટે છે.

નેતાઓ (સમુહમાં) : હં...રાષ્ટ્રહિત...શબ્દ ક્યાંક સાંભળેલો લાગે છે.

નેતા ૧ : મિશનનો હેતુ આપણા રાષ્ટ્રપ્રેમને અમલમાં મુકવાનો અને રાષ્ટ્રિય ગૌરવની પુનઃસ્થાપના કરવાનો છે.

બે-ચાર બોલકા નેતાઃ એક મિનીટ...તમારી કંઇક ગેરસમજ થાય છે. આ લાલ કિલ્લો નથી અને આજે ૧૫મી ઓગસ્ટ નથી. આ બધી કવિતાઓ શું કામ કરો છો?

નેતા ૧ : પ્લીઝ, થોડી ધીરજ તો રાખો. મિશન ટોપ સિક્રેટ છે.

નેતાઓ (સમુહમાં) : ધીરજ ક્યાંથી રાખે? એ.રાજાએ ધીરજ રાખી. તેમને શું મળ્યું? જેલ? કલમાડીએ ધીરજ રાખી. એમને શું મળ્યું? ધરપકડ? કનિમોઝીએ ધીરજ રાખી. એમને શું મળ્યું? સીબીઆઇનું ચાર્જશીટ? જે હોય તો જલ્દી બોલી જાવ. હવે કોઇ રાષ્ટ્રહિત અને રાષ્ટ્રપ્રેમની વાત કરે એટલે અમને ધંધો જોખમમાં લાગવા માંડે છે.

નેતા ૧ : સારું. તો સાંભળો. આપણે વિચારીએ છીએ કે અમેરિકા પાકિસ્તાનમાં ધૂસીને લાદેનને ખતમ કરે છે, તો આપણે એ રીતે દાઉદનો ખેલ ખતમ ન કરીએ?

નેતા ૪ : આઇડીયા સારો છે. કોનો છે? જેનો હોય એનો, પણ હું તો એમ જ કહીશ કે આ આઇડીયા મેં આપેલો. મારી પ્રજા માની પણ જશે.

નેતા ૧ : હજુ આઇડીયા પર ઘણું કામ કરવાનું છે. તેમાં તમારા સૌનાં સૂચનો લેવા માટે આજની બેઠક યોજી છે.

નેતા ૫ : મને લાગે છે કે સૌથી પહેલાં આપણે ‘રિસ્ક એસેસમેન્ટ’ અને ‘ફિઝીબિલિટી રીપોર્ટ’ તૈયાર કરાવવા જોઇએ. મારા સાળાની મલ્ટિનેશનલ કંપની રિસ્ક મેનેજમેન્ટનું કરે છે. એનું દિવસ-રાત કામ જ આ છે. કહેતા હો તો...

થોડા નેતાઃ કેમ ભાઇ? તમારે એકલાને જ સાળા હોય? અરે, રાજકારણમાં તો અપરણીતોને પણ સાળા હોય છે- મુંહબોલા ને મોંએ ચઢાવેલા...બધાને કમાવાનો સરખો અધિકાર છે. આ લોકશાહી છે.

નેતા ૧ : ઓ.કે.. આગળ વધો.

નેતા ૬ : દાઉદ પાકિસ્તાનમાં સંતાયો છે એવું માની લઇએ તો, સૌથી પહેલાં પાકિસ્તાનના નકશાની જરૂર પડશે. હું સૂચવું છું કે પાકિસ્તાનનો આપણી જરૂરિયાત પ્રમાણેનો નકશો બનાવવા માટે એક કમિટી નીમવી જોઇએ.

નેતા ૧ : પાકિસ્તાનના નકશા જોઇએ એટલા બજારમાં મળે છે.

નેતા ૬ : ત્યાં જ તમે થાપ ખાઇ જાવ છો. આપણે એવો નહીં, ખાસ નકશો જોઇએ. એવો નકશો, જેને તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ આપવો પડે અને જેને તૈયાર થતાં ઓછામાં ઓછા ત્રણ મહિના લાગે.

નેતા ૧ : પણ ત્યાં સુધી શું કરવાનું?

નેતા ૭ : એનો આઇડીયા મારી જોડે છે. પાકિસ્તાનનો આખો નકશો તૈયાર થતો હોય ત્યાં સુધી તેનાં મુખ્ય શહેરો અને જિલ્લા મથકોના નકશા તૈયાર કરવાના કોન્ટ્રાક્ટ પણ આપવા. એવા નકશાની અને કોન્ટ્રાક્ટની સંખ્યા એટલી તો હશે કે અહીં બેઠેલા કોઇને ફરિયાદ કરવાનું કારણ નહીં રહે.

નેતા ૧ (તેમના સહાયકને) : લખ્યું? શહેર પ્રમાણે નકશા. બરાબર. હવે?

નેતા ૨ : તમે લોકો હજુ નકશાની પાછળ પડ્યા છો, પણ હુમલો કેવી રીતે કરશો?

નેતા ૪ : મેં ક્યારનું વિચારી રાખ્યું છે. હું મારા ઉદ્યોગપતિઓને કહી દઇશ તો એ દાઉદ જોડે વેપારના કરાર કરી નાખશે. પછી તેને મારવાની ઝંઝટ નહીં રહે.

નેતા ૧ : પણ એ યોગ્ય રસ્તો નથી. હવે દાઉદનો ખેલ ખતમ કર્યે જ પાર.

નેતા ૪ : તો અમારી પોલીસને કહી દઇશું. એ પાકિસ્તાનમાંથી એવા વેપારીઓને શોધી કાઢશે, જે દાઉદથી અસંતુષ્ટ હોય. તેમની પાસે એ દાઉદની સોપારી લેવાની ઓફર મુકશે અને દાઉદનો ફેંસલો કરીને રૂપિયા ઘરભેગા કરી લેશે. આપણું કામ થઇ જશે ને આપણી પોલીસ બે પૈસા કમાશે. અમારી પોલીસ બહુ કાર્યક્ષમ છે.

નેતા ૬ : મને લાગે છે કે સૌથી પહેલાં આપણે ઓપરેશન માટે અદ્યતન શસ્ત્રો ખરીદવાં જોઇએ. લેટેસ્ટ હેલિકોપ્ટર, એમાંથી છોડી શકાય એવાં મિસાઇલ, અત્યાઘુનિક બંદૂકો, મિશનમાં લઇ જવાના ખાસ કૂતરા...અમુક હજાર કરોડનો મામલો થઇ જશે.

નેતા ૨ : વાહ, મઝા પડી જશે. અત્યાર સુધી આપણને દાઉદની પાછળ પડવાનો આઇડીયા કેમ ન આવ્યો?

નેતા ૩ : આટલી મોટી રકમનો સોદો હોય તો આપણે દૂરંદેશી રાખીને અત્યારથી જ એ સોદામાં ગોટાળાના આરોપની તપાસ માટે ‘એમ્પાવર્ડ ગુ્રપ ઓફ મિનિસ્ટર્સ’ની રચના કરી નાખવી જોઇએ.

નેતા ૭ : એમ થોડું ચાલે? હું પણ કહી દઉં છું. ગુ્રપ ઓફ મિનિસ્ટર્સની કામગીરીથી અમને સંતોષ નહીં જ થાય. એટલે સંયુક્ત સંસદીય સમિતિ- જેપીસી-પણ અત્યારથી નીમી દેવી જોઇએ. આટલા મોટા કામમાં આપણે સંસદીય લોકશાહીની ઉજ્જવળ પરંપરાઓ શી રીતે કોરાણે મૂકી શકીએ?

નેતા ૧ : ઓકે. ડન. અમે તમારી માગણીનો પહેલાં વિરોધ કરીશું અને પછી સ્વીકાર કરીશું. બસ? પછી?
બધા નેતાઃ પણ આ રીતે ઓપરેશન કેટલું લાંબું ચાલશે?

નેતા ૧ : હું જાણું છું કે તમને બધાને ઓપરેશન જલ્દી પૂરું ન થઇ જાય એની બહુ ફિકર છે. ગભરાશો નહીં. આપણું ઓપરેશન લગભગ પંદર -વીસ વર્ષ સુધી ચાલશે. ત્યાં સુધી આપણો બધાનો વારો આવી જશે.

થોડા નેતાઃ પણ આટલું મોડું થશે તો લોકો લોહી પી જશે.

નેતા ૧ : એનો ખુલાસો પણ મારી પાસે તૈયાર છેઃ અમેરિકા જેવા સુપરપાવરને ઓપરેશન ઓસામા પાછળ આઠેક વર્ષ લાગ્યાં, તો આપણને પંદર-વીસ વર્ષ લાગે એમાં શી નવાઇ? ત્યાં સુધીમાં દાઉદ કુદરતી રીતે આપણા રસ્તામાંથી કે એના ધંધામાંથી રવાના થઇ ગયો હશે. એટલે આપણું મિશન સક્સેલફુલ!

બધા નેતા (સમુહમાં) : દાઉદ ઇબ્રાહિમકી..ના, ના, ભારતમાતાકી...

(ઉત્સાહના ઘોંઘાટમાં જયનાદ ડૂબી જાય છે.)

Tuesday, May 10, 2011

જૂની સમજણ, નવા સુધારા

કેટલાંક વાક્યો કે ઉદ્‌ગાર વર્ષોથી શાણપણ, અનુભવ કે આદર્શના નીચોડ તરીકે એવાં ચલણમાં છે કે તેના વિશે ફરીથી વિચારવાની બત્તી ઝટ થતી નથી. મોટે ભાગે સમજ્યા વિના, કેવળ આદતવશ તેમનું રટણ થતું રહે છે. રોજિદા વ્યવહારમાં સગવડે વપરાતાં અને વખતોવખત સુધારોવધારો માગતાં ‘સનાતન સત્ય’ વિશે થોડો ફેરવિચાર.

વ્યક્તિ નહીં, સંસ્થા મહાન છે
આ સૂત્ર ક્યાંથી આવ્યું એ ખબર નથી, પણ વ્યક્તિનું આગવાપણું ઓગાળી નાખવાની ભારતીય પરંપરામાં એ બરાબર જામી પડ્યું. જાહેર પ્રવૃત્તિઓથી માંડીને ખાનગી કંપનીઓમાં ‘મેનેજમેન્ટ’ તરીકે ઓળખાતી વ્યવસ્થાને આ સત્ય દેવવાણી જેવું પવિત્ર અને અફર લાગે એ સ્વાભાવિક છે. કારણ કે તેમાં વ્યક્તિના વ્યક્તિત્વનો ઇન્કાર કરીને તેને વિરાટ યંત્રનો પૂરજો ગણી કાઢવાની- અને એ બદલ અપરાધભાવ નહીં અનુભવવાની- સુવિધા મળી જાય છે. જૂના વખતમાં બ્રાહ્મણોએ જેમ સર્વોચ્ચ સ્થાન મેળવવા-ટકાવી રાખવા તથા બીજાને પોતાનાથી નીચા રાખવા માટે ધર્મગ્રંથોનો દુરુપયોગ કર્યો હતો, એવી જ રીતે મેનેજમેન્ટ કહેવાતું તંત્ર-કે યંત્ર- આ વાક્યને મહાન સત્ય ગણાવીને ટાણેકટાણે ફટકાર્યે રાખે છે.

પરંતુ પરંપરાનો બોજ બાજુએ મૂકીને વિચારતાં આ વાક્યની પોકળતા છતી થઇ જશે. આખરે મહાન સંસ્થાઓ બને છે કેવી રીતે? સાબરમતી આશ્રમ કે શાંતિનિકેતન આકાશમાંથી સીધેસીધાં ધરતી પર આવી પડ્યાં હતાં? નાના પાયે સ્કૂલ કે યુનિવર્સિટીથી શરૂ કરીને મોટા પાયે રાષ્ટ્રની જાહેર સંસ્થાઓ-સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખાનગી કંપનીઓમાં સફળતા ટીમવર્કનું પરિણામ હશે, પણ સહેજ ઝીણવટથી જોતાં તેની પાછળ અવશ્ય કોઇ એક વ્યક્તિનું સ્પષ્ટ, દૂરંદેશી દર્શન કામ કરતું જણાશે. એવા ઠેકાણે વ્યક્તિને બદલે સંસ્થા પર મહાનતાના ગમે તેટલા કળશ ચડાવવામાં આવે, પણ એ વ્યક્તિની ગેરહાજરી છાપરે ચડીને પોકાર્યા વિના નહીં રહે.

ગાંધી વગરના ગાંધીઆશ્રમ-ગાંધીસંસ્થાઓ કે ટાગોર વગરના શાંતિનિકેતનની સ્થિતિ વિશે ફોડ પાડીને કહેવાની જરૂર ખરી? એવું જ દેશની બંધારણીય સંસ્થાઓનું. તેમનું ચરિત્ર પ્રવાહી હોય છેઃ જે વાસણમાં હોય એના જેવો આકાર ધારણ કરે. ટી.એન.શેષાન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા ત્યાર પહેલાં નાગરિકોને ચૂંટણીપંચ જેવી સંસ્થાની ‘મહાનતા’ જોવા મળી હતી? સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતો પોથીપંડિતાઇ મુજબ લોકશાહીની મહાન સંસ્થાઓ છે, પણ તેમને ખરેખર મહાનતા બક્ષવાનું કામ કોઇની શેહશરમ નહીં ભરનારા તટસ્થ ન્યાયાધીશો - એટલે કે વ્યક્તિઓ- જ કરે છે. નાના પાયે સ્કૂલ કે યુનિવર્સિટીમાં એક સારા શિક્ષક કે એક સારા વાઇસ ચાન્સેલરની સજ્જતાની આખી સંસ્થા પર હકારાત્મક અસર પડી શકે છે.

ફક્ત સારી સંસ્થા માટે જ નહીં, ખરાબ સંસ્થાઓ માટે પણ ‘સંસ્થા મહાન છે’નું સૂત્ર પોકળ ઠરે છે. આશ્રમ હોય કે અલ-કાઇદા, અમદાવાદ હોય કે એબોટાબાદ, એક વ્યક્તિનું કેટલું મહત્ત્વ છે તે સૌ જાણે છે. એટલે જ, ઓસામા તેના લડવૈયાઓની જેમ ફીદાઇન બનવાને બદલે, લપાઇછુપાઇને સલામત રહેવાનું પસંદ કરે છે અને સંસ્થામાં એક માણસનું મહત્ત્વ સમજીને, તેને ખતમ કરવા માટે અમેરિકા ડોલરના ઘુમાડા કરે છે, જોખમી ઓપરેશન હાથ ધરે છે.

ભારત જેવા દેશ માટે આ સૂત્રનું વિરોધી સૂત્ર ઘણી વાર વધારે સાચું હોઇ શકે છે. એટલે કે, ‘વ્યક્તિ નહીં, સંસ્થા ખરાબ છે.’ ઘણીખરી સંસ્થાઓનાં માળખાં એવાં ઉભાં કરવામાં આવે છે કે એમાં પ્રવેશેલો સારો માણસ પણ તેમાં ખાસ સુધારો કરી શકે નહીં. તેનાં મોટા ભાગનાં સમય-શક્તિ માળખાને ખાડેથી સપાટી પર લાવવામાં જતાં રહે- ટોચ તો બહુ દૂરની વાત છે. તેની સરખામણીમાં કેટલાક પશ્ચિમી દેશોમાં સીસ્ટમ એવી રીતે ગોઠવાયેલી હોય છે કે વ્યક્તિ ઇચ્છે તો પણ એક હદથી વધારે બગાડો કરવાનું તેના માટે શક્ય ન બને. પરંતુ એવા દેશો તેના વ્યક્તિવાદી, વ્યક્તિકેન્દ્રી અભિગમ માટે જાણીતા છે.

મતભેદ છે, મનભેદ નથી
સીધાસાદા વાદવિવાદથી માંડીને ઉગ્ર શબ્દયુદ્ધોના અંતે ઘણી વાર આ વચન સાંભળવા મળે છે. મતભેદ હોવો ને મનભેદ ન હોવો એ આદર્શ સ્થિતિ છે. કહેનાર એ જાણે છે. એટલે કંઇ નહીં તો પોતાના આદર્શ વર્તનના પુરાવા તરીકે પણ તે આ વાક્ય રમતું મૂકી દે છે.

સાંભળવામાં આ વાક્ય જેટલું ગળચટ્ટું લાગે છે, એટલું તે અસલમાં અને હંમેશાં હોતું નથી. મતભેદને કારણે મનભેદ થાય કે નહીં તેનો ઘણો આધાર મતભેદ ધરાવનાર વ્યક્તિઓના સંબંધ પર હોય છે, પણ એ હકીકત ભાગ્યે જ લક્ષ્યમાં લેવાય છે.

ધારો કે બે મિત્રો વચ્ચે કોઇ ચોક્કસ મુદ્દે મતભેદ થાય તો બને કે એ નિમિત્તે મનમાં ખટકો જાગે, કદાચ એ મુદ્દા પૂરતી મનના ખૂણે ગાંઠ પડે. છતાં મનભેદ ન થાય. કારણ કે બન્ને મિત્રો વચ્ચે બીજા અનેક તંતુઓથી લાગણીબંધન રચાયેલું હોય છે.

કોઇ અજાણી કે અંગત પરિચય વગરની વ્યક્તિ સાથે અમુક મુદ્દે તીવ્ર અસંમતિ થાય ત્યારે બન્ને શક્યતા ઉભી રહે છેઃ સામેની વ્યક્તિના પ્રદાન વિશે અથવા તેમની બીજી કામગીરી વિશે ઉંચો અભિપ્રાય હોય, તો મનમાં રહેલી એમની છબી મતભેદનો ઘસરકો ખમી જાય એટલી મજબૂત હોય છે. પરંતુ કોઇ વ્યક્તિ પ્રત્યે ફક્ત ઉંમર કે વરિષ્ઠતા જેવાં કારણોસર સૌજન્યપૂર્ણ આદર હોય તો, એવો આદર મતભેદ વખતે જોખમમાં આવી પડે છે. એ સંજોગોમાં મતભેદ મનભેદમાં ફેરવાઇ શકે છે.

ઇન્ટરનેટના યુગમાં અજાણી વ્યક્તિઓ સાથે ઓનલાઇન સંપર્ક કે વાતચીત થાય એવા સંજોગ બહુ વધી ગયા છે. વ્યક્તિ અજાણી હોય કે જાણીતી, પણ તેના વિશે બીજી કોઇ રીતે આદરમાન ન હોય કે તેની સાથે પ્રેમભાવનો તંતુ જોડાયેલો ન હોય, ત્યારે અજાણ્યા માણસ માટે વ્યક્તિનો મત તેની એકમાત્ર ઓળખ બની રહે છે. આ પરિસ્થિતિમાં થતા મતભેદ મનભેદમાં ફેરવાય એવી પૂરી સંભાવના રહે છે.

વૈચારિક ઉદારતાનો આદર્શ એવો છે કે કોઇ પણ વ્યક્તિ સાથેના મતભેદ મનભેદમાં ન ફેરવાય. પરંતુ બીજા ઘણા આદર્શોની જેમ આ આદર્શનું ઉપરછલ્લું પાલન પ્રચંડ માત્રામાં દંભ પેદા કરે છે. તેનાથી દોરવાઇને, મનમાં ભારોભાર ખાર કે રોષ ભરીને બેઠેલા દંભીઓ એક તરફ પોતાના મતવિરોધીને શક્ય એટલી તમામ રીતે, સૌજન્યના તમામ તકાદા બાજુ પર મૂકીને, નીચો પાડવાની કોશિશ કરે છે અને બીજી તરફ દંભનું મહોરું ઓઢીને ‘મતભેદ છે, પણ મનભેદ નથી’નું ગાણું ગાયા કરે છે. આ બન્ને વચ્ચે રહેલો દેખીતો વિરોધાભાસ તે જોવા માગતા નથી અને ઇચ્છે છે કે બીજા પણ ‘મતભેદ છે, મનભેદ નથી’ના તેમના રટણથી ભરમાતા રહે.

આવા દંભ કરતાં, ‘હા, મતભેદ છે અને એને કારણે મનભેદ પણ છે’ એવું સ્વીકારી લેવામાં ઘણી વધારે પ્રામાણિકતા રહેલી છે. એ ભલે આદર્શ ન હોય, પણ જો સચ્ચાઇ એ જ હોય તો દંભના દાંડિયારાસ રમવાને બદલે, સચ્ચાઇ સ્વીકારવામાં વધારે ગરવાઇ ને ગરીમા છે. એમ કરવાથી બન્ને પક્ષો વચ્ચે પ્રેમ ભલે ન રહે (જે અમસ્તો પણ નથી હોતો), પણ વચ્ચે રહેતા અંતરને કારણે કડવાશ વધતી અટકે છે અને બીજા લોકો આગળ ‘અમે તો અમથું અમથું લડતા’તા. અમારી વચ્ચે એવું કાંઇ નથી. અમે તો ભેગા થઇને ખાઇ-પીને એય...મોજ કરીએ છીએ.’ એવાં જૂઠાણાં બોલવામાંથી બચી જવાય છે. દોસ્તીના દંભ કરતાં કેટલીક સ્પષ્ટતાઓ સાથેનું અંતર બન્ને પક્ષે વધારે ઉપકારક નીવડી શકે છે.

સીઇંગ ઇઝ બીલિવિગ
ઇ.સં. પૂર્વે (એટલે કે ઇન્ટરનેટ સંવત પહેલાં) અખબારી વાચકો ‘ફોટો ન હોય ખોટો’ એવી ગેરસમજણથી પીડાતા હતા. તસવીરો પાડનાર ઇચ્છે તો વીસ-પચીસ જણના દેખાવને ‘ભવ્ય વિરોધપ્રદર્શન’ તરીકે ઓળખાવી શકે અને ધારે તો પાંચ હજાર માણસની સભામાં છેલ્લે ખાલી પડેલી ખુરશીઓ બતાવીને તેને નિષ્ફળ ગણાવી શકે. આ તરકીબો ટીવી ચેનલોના આગમન પછી વઘુ વિકસી- ફૂલીફાલી. ચેનલોએ ખાસ અહેવાલોમાં, રીઆલીટી શોમાં અને સમાચારમાં સુદ્ધાં ‘સીઇંગ ઇઝ બીલિવિગ’ના સૂત્રનું સાવ શીર્ષાસન કરાવી દીઘું છે. તેના લીધે ઘણા લોકો આંખ અને ટીવી કેમેરા વચ્ચેનો ભેદ પારખતા થયા છે. ટીવી કેમેરાથી જોવા મળે તે બઘું આંખને મળતાં દૃશ્યો જેવું ‘પહેલી ધારનું’ નથી હોતું, એ સમજતા પણ થયા છે.

ફોટોશોપ અને એડિટિગના બીજા અનેક સોફ્‌ટવેરના યુગને કારણે પણ અગાઉનાં બે સૂત્રોની સરખામણીએ આ વાક્યનો મહિમા ઘટ્યો છે. છતાં, પ્રકૃતિવશ કે ટેવવશ સામે દેખાય તેને સાચું માની લેવાની વૃત્તિ માણસને થઇ આવે છે. ‘મેરી નજરેં ધોખા નહીં ખા સકતી...મેં જોયું એ ખોટું?’ એવો છૂપો અહમ્‌ પણ ‘સીઇંગ ઇઝ બીલિવિગ’ની માન્યતા સાથે ભળેલો હોય છે. ઘણી વાર એવું લાગે જાણે દૃશ્યેન્દ્રિય સક્રિય થતાંની સાથે જ વિચારેન્દ્રિય નિષ્ક્રિય ન થતી હોય!

એટલે જ, ઓપરેશન ઓસામા પછી જોતજોતામાં ઓસામાના લોહીલુહાણ ચહેરાની નકલી તસવીરો કે ઓસામા પર હુમલાની નકલી વિડીયો ઇન્ટરનેટ પર ચોમેર ફેલાઇ જાય છે. તેને જોનારા અને જોઇને કે જોયા વિના ફોરવર્ડ કરનારા એ વિચારવાની તસ્દી લેતા નથી કે અમેરિકાએ જારી ન કરેલી આ વિડીયો આપણા સુધી કેવી રીતે પહોંચી ગઇ. ‘વિકિલિક્સ’ જેવી ભંડાફોડને લીધે ગમે તેવાં જૂઠાણાં માની લેવાની લોકોની ‘ક્ષમતા’માં વધારો જરૂર થયો છે, પણ અસલી મુદ્દો મૂળભૂત વૃત્તિનો અને છેતરાવા માટેની તત્પરતાનો છે.

તમે ભણેલા થઇને...
ભણેલા, ડિગ્રીધારી લોકો વિવેકબુદ્ધિ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હોય છે એવું, બાય ડીફોલ્ટ, ડિગ્રીની રૂએ માની લેવામાં આવે છે. એવા લોકો જ્યારે એક યા બીજા પ્રકારની અંધશ્રદ્ધાનું શરણું લે ત્યારે બીજા અંધશ્રદ્ધાળુઓ તેમને પોતાના ટેકામાં ટાંકે છે અને અંધશ્રદ્ધાના વિરોધીઓ નિઃસાસો નાખે છે, ‘ભણેલા થઇને તમે આવું કરો છો!’ હકીકત એ છે કે શ્રદ્ધા-અંધશ્રદ્ધા અને ભણતર વચ્ચે કોઇ સંબંધ નથી- અત્યારે જે ભણતર અપાયે છે તેમાં તો બિલકુલ નહીં. ભણતરથી મુખ્યત્વે સંબંધિત વિષયોનું અને તે પણ પોપટિયું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બહુ ઓછા લોકો વિષયને આત્મસાત્‌ કરીને તેમાં આગળ વધે છે. એવા લોકો પણ છેવટે વિષયના નિષ્ણાત બને છે. સર્જન ડોક્ટર સર્જરીનો નિષ્ણાત હોય, સી.એ. આંકડાનો ખાં હોય, રોકેટ સાયન્ટિસ્ટ તેની થિયરીનો દાદો હોય, પણ આ બધા ધર્મ કે ભક્તિના ક્ષેત્રમાં પ્રવેશે, ત્યારે તેમની ડીગ્રીનાં પીંછાં ખરી પડે છે અને બૌદ્ધિકતા તથા માનસિકતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઇ જાય છે.

વ્યક્તિની માનસિકતા માટે બાળપણના ઉછેરથી માંડીને કૌટુંબિક- વ્યાવસાયિક પરિબળો, ટોચ તરફની ગતિમાં રહેલી અસલામતી, મહત્ત્વાકાંક્ષા, પ્રવાહથી વિરુદ્ધ નહીં જવાનું વલણ, આંતરિક ખાલીપો કે જરૂરિયાત જેવાં અનેક પરિબળ જવાબદાર હોઇ શકે છે. ‘ભણેલાગણેલા’ લોકોની અંધશ્રદ્ધા બીજા અનેક લોકો માટે નમૂનારૂપ બની રહે છે અને બેશક સમાજને નુકસાનકારક નીવડે છે. પણ તેનો સીધો-ટૂંકો ઉપાય એ નથી કે

ભણેલાગણેલાને સુધારવા. એ બહુ લાંબી પ્રક્રિયા છે. વધારે સાદો અને વ્યવહારુ રસ્તો એ છે કે ભણેલાગણેલા લોકોને આગળ જણાવેલી રીતે જોવા-સમજવા અને તેમને તેમના વિષય સિવાયની બાબતોમાં રોલમોડેલ કે આદર્શ ગણવાનું બંધ કરવું.

Monday, May 09, 2011

ડખા-ત્રીજઃ આંખનું કાજળ ગાલે...

(Akho : drawing by Ravishankar Raval)

નવા તહેવારો અને ‘પરંપરા’ કેવી રીતે શરૂ થતી હશે, તેનો એક નમૂનો ત્રણ દિવસ પહેલાંની અખાત્રીજે મળ્યો. તિથીનું મૂળ નામઃ અક્ષયતૃતિયા.એટલે કે પૂનમ પછી ચંદ્રની કળામાં બચતખાતાના વ્યાજદરોની જેમ કપાત થવા લાગે ત્યારે આવતી ત્રીજ. એ તિથીનું હિદુ અને જૈન શ્રદ્ધાળુઓમાં ઘણું મહત્ત્વ. એ દિવસે ત્રેતાયુગ શરૂ થયો હોવાની, ગંગાનું અવતરણ પૃથ્વી પર થયાની કે પરશુરામનો જન્મ થયાની પુરાણકથાઓ તો હવે વિકિપીડીયા પર પણ મળે. દાનપુણ્ય, શુભકામો અને સોનાચાંદીની ખરીદી માટે પણ એ દિવસ શુભ ગણાય.

પરંતુ આ અખાત્રીજે એક નવું તૂત જાગ્યું. ખબર નહીં કોણે, પણ ફક્ત તિથીના નામ પરથી એવું ગબડાવ્યું કે અખાત્રીજ એટલે મહાન ગુજરાતી કવિ અખાની જન્મતિથી! મઘ્ય યુગમાં થઇ ગયેલા અખાનાં જન્મ-મૃત્યુનાં વર્ષોમાં પૂરેપૂરી ચોક્સાઇ ન હોય ત્યારે તેમની જન્મતિથી શી રીતે નક્કી થઇ, એ તો કોણ જાણે? (‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’માં રમેશ મ.શુક્લે તેમનો સમયગાળો ‘અંદાજે ૧૬૦૦-૧૬૫૫’ નોંઘ્યો છે.)

પણ અમદાવાદમાં નામી શિલ્પકાર રતિલાલ કાંસોદરીયાએ તૈયાર કરેલી અખાની સરસ પ્રતિમા પાસે ઉત્સાહીઓ પહોંચી ગયા, હારતોરા કર્યા અને ભલું હશે તો સાંસ્કૃતિક વારસાનું ગૌરવ પણ લીઘું હશે. તેનો સચિત્ર અહેવાલ પણ પ્રગટ થયો. મિત્ર પ્રણવ અઘ્યારુએ ઘ્યાન દોર્યું એટલે એ વિશે જાણ થઇ.

‘હકારાત્મક’ જોવાના આગ્રહીઓ એવું કહી શકે કે ‘ચલો, એ બહાને અખાને યાદ તો કર્યો’, પણ ગાંધીજીને જેમ ‘ચીયર્સ’ કરીને યાદ ન કરી શકાય, એવી જ રીતે અખાને વગર વિચાર્યે, ‘આંખનું કાજળ ગાલે ઘસીને’ શી રીતે યાદ કરી શકાય?

Sunday, May 08, 2011

ભારત-અમેરિકા વચ્ચે સેતુરૂપ બનેલા ગુજરાતી કવિ-નાટ્યકાર, અંગ્રેજી લેખક-પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી

Krishnlal Shridharani

અમેરિકા જનારા ભારતીયો અમેરિકામાં ભારત વિશે કે ભારતમાં અમેરિકા વિશે વાત કરે, ત્યારે તેમાં ભાગ્યે જ પ્રમાણભાન જળવાતું જોવા મળે છે. વૈશ્વિકીકરણના જમાનામાં આ સ્થિતિ હોય, તો ૧૯૩૦ના દાયકામાં કેવી હાલત હશે તેની કલ્પના જ કરવી રહી! પરંતુ કૃષ્ણલાલ શ્રીધરાણીની વાત જુદી હતી.

ગુજરાતી કવિ-નાટ્યકાર અને દાંડીકૂચના સત્યાગ્રહી તરીકે પ્રતિષ્ઠિત શ્રીધરાણી ૧૯૩૪માં અમેરિકા ગયા પછી બન્ને સંસ્કૃતિઓનાં ઉત્તમ તત્ત્વો વિશે સમતાપૂર્વક વિચારતા-વાત કરતા રહ્યા. ભારતમાં એ કારકુનો પેદા કરતી અંગ્રેજ કેળવણીના નહીં, દક્ષિણામૂર્તિ-વિદ્યાપીઠ-શાંતિનિકેતન જેવી રાષ્ટ્રિય શાળાઓના અને સવાઇ રાષ્ટ્રિય શાળાઓની ગરજ સારતી અંગ્રેજ જેલના ‘વિદ્યાર્થી’ રહી ચૂક્યા હતા. (આગળ જતાં અમેરિકાની કેળવણી વિશે તેમણે લખ્યું: ‘અમેરિકામાં વિદ્યાર્થીને શું આવડે છે એ જાણવા માટે પરીક્ષા લેવાય છે અને ભારતમાં વિદ્યાર્થીને શું નથી આવડતું એ જાણવા માટે!’ )

અમેરિકામાં તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. પરંતુ પોતાનાં મૂળીયાં ચાવી ગયા વિના, અમેરિકાની ઉત્તમ બાબતોને તેમણે આત્મસાત્‌ કરી. તેનું પરિણામ એટલે શ્રીધરાણીનું યાદગાર પુસ્તક: ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ (૧૯૪૧).

સત્યાગ્રહના સિદ્ધાંત વિશેના તેમના અગાઉના પુસ્તક ‘વોર વિધાઉટ વાયોલન્સ’ (૧૯૩૯)ની જેમ આ પુસ્તક પણ અમેરિકા અને બ્રિટન એમ બે ઠેકાણેથી પ્રકાશિત થયું, પ્રજ્ઞાચક્ષુ વાચકો માટે તેની બ્રેઇલ આવૃત્તિ તૈયાર થઇ. અમેરિકામાં રંગભેદ સામે લડતી ખ્યાતનામ સંસ્થા ‘કોંગ્રેસ ફોર રેશિઅલ ઇક્વાલિટી’ (‘કોર’) માટે શ્રીધરાણીનું પુસ્તક ‘સેમીઓફિશ્યલ બાઇબલ’ બની ગયું હોવાનું અભ્યાસીઓએ નોંઘ્યું છે.

અમેરિકામાં ભારત વિશેની છાપ ગણીગાંઠી અંગ્રેજી ફિલ્મો કે કેટલાક અંગ્રેજ-અમેરિકન લેખકોની તુક્કાબાજીથી ઉભી થયેલી હતી. પરંતુ શ્રીધરાણીએ લખાણ તથા પ્રવચનો દ્વારા અમેરિકાના લોકો સમક્ષ ભારતનું સાચું ચિત્ર રજૂ કર્યું. સાથોસાથ તેમણે ભારત-અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામોની સરખામણી કરી. એટલું જ નહીં, અમેરિકામાં વસનારા પહેલા ભારતીયો (શીખો) ત્યાં કેવી રીતે સ્થાયી થયા અને અમેરિકાના મુક્ત વાતાવરણમાં ‘ગદર પક્ષ’ની સ્થાપના દ્વારા ભારતની આઝાદીની લડાઇને કેવી રીતે પ્રોત્સાહન મળતું થયું, તેની વિગતો પણ શ્રીધરાણીએ આપી. વિશ્વયુદ્ધમાં અમેરિકા બ્રિટનનું સાથી રાષ્ટ્ર બન્યા પછી ભારતીય ક્રાંતિકારીઓ પર ઉતરેલી તવાઇ વિશે પણ તેમણે લખ્યું અને ભારતમાં ગાંધીજીના સત્યાગ્રહની બોલબાલા પછી અમેરિકાના ક્રાંતિકારી ભારતીયોની દયનીય હાલત પણ પૂરા આદર સાથે નોંધી. ભારતની આઝાદીની લડાઇમાં વિદેશ વસતા ક્રાંતિકારીઓનો ક્યારેક સગવડીયો અને ખપજોગો ઉલ્લેખ થાય છે, પણ તેમાં અમેરિકા તરફથી મળેલા અને પાછા ખેંચાયેલા ટેકાનો ખાસ ઉલ્લેખ જોવા મળતો નથી. એ દૃષ્ટિએ શ્રીધરાણીનું પુસ્તક ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના અને ભારત-અમેરિકા સંબંધના ઓછા જાણીતા ખૂણા પર પ્રકાશ પાડે છે.

અમેરિકા જતાં પહેલાં કિશોરાવસ્થામાં કુંવારા રહેવા માટે કરવો પડેલો સંઘર્ષ અને ‘મારે સારા હિંદુ બનવું હતું, પણ ઇસવી સન પૂર્વે ૧૯૨૫ના હિંદુ નહીં, ઇસવી સન ૧૯૨૫ના હિંદુ!’ એવું વિધાન શ્રીધરાણીની વૈચારિક સ્પષ્ટતાનો ખ્યાલ આપે છે. રાષ્ટ્રવાદી સંસ્કારોને કારણે તે ગાંધીજીના ભક્ત બન્યા હતા અને તેમનો એ ભાવ છેક લગી ટકી રહ્યો. પણ ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા પછી ‘વર્ગોમાં મઝા આવતી ન હતી. તે નીરસ અને અકારણ ગંભીર લાગતા હતા’ અને ‘ભણેલા યુવાનોમાં ફક્ત રોમાંચ ખાતર સત્યાગ્રહમાં જોડાનારાનું પ્રમાણ મોટું હતું’ એવી ટીપ્પણી તે કરી શક્યા હતા.

ગાંધીજી પ્રત્યેનો તેમનો અહોભાવ ‘માય ઇન્ડિયા,માય અમેરિકા’માં તેમણે પૂરા સદ્‌ભાવથી કરેલા ડો.આંબેડકરના ચરિત્રચિત્રણમાં જોઇ શકાય છે. તેમણે ગાંધી-આંબેડકર સંઘર્ષ વિશે કે આંબેડકરના ગાંધી વિશેના અભિપ્રાયો વિશે ઉલ્લેખ સુદ્ધાં કર્યા વિના, ચોટડુક શબ્દોમાં પ્રશંસાના ભાવ સાથે લખ્યું છે, ‘આંબેડકર અને તેમના સાથીદારો અત્યાચારીઓને માયાળુ થવાની તક આપ્યા વિના પોતાની બેડીઓ ભાંગવા નીકળ્યાા હતા.’

અલબત્ત, જ્ઞાતિપ્રથાના અંત વિશે શ્રીધરાણીનાં વિધાનો આજે વઘુ પડતાં આશાવાદી અથવા ગાંધીપ્રભાવથી ગ્રસ્ત લાગે. તેમણે ૧૯૪૧માં લખ્યું હતું, ‘(ગાંધીજીની ચળવળથી) અસ્પૃશ્યતાએ તેની ઘણીખરી સામાજિક માન્યતા ગુમાવી દીધી છે. અસ્પૃશ્યતાનો ઉકેલ આણવાનું કાર્ય અમેરિકાના નીગ્રો પ્રોબ્લેમ કરતાં ઓછું ગંજાવર નીવડ્યું છે. સદીઓ જૂની (અસ્પૃશ્યતાની) પ્રથા એમ એક પેઢીમાં સમાપ્ત ન થઇ જાય, પણ ભારત અસ્પૃશ્યોની અમાનવીય સ્થિતિ ભૂંસી નાખવાના રસ્તે આગળ વધી રહ્યું છે.’

અમેરિકા જતાં પહેલાં ગુજરાતમાં કવિ તરીકે નામ કાઢનારા અને ૧૯૩૧ના કોંગ્રેસ અધિવેશનમાં ‘પ્રજાબંઘુ’ના ખબરપત્રી તરીકે હાજર રહેનાર શ્રીધરાણી એક વાર દેશ છોડ્યા પછી ગુજરાતી ભાષાથી જાણે દૂર જતા રહ્યા. ‘મે, ૧૯૩૪માં ભારતનો કિનારો છોડ્યા પછી હજુ મનમાં ભારત ગુંજતું હતું અને તેનો પડઘો મારી કવિતામાં પડતો હતો, પણ યુરોપની નજીક પહોંચ્યા પછી કાવ્યો રચાવાં બંધ થઇ ગયાં. મારી સામે નવી દુનિયા પડી હતી, જેનાં ગીત રચતાં પહેલાં તેને ઓળખવી જરૂરી હતી.’

છેલ્લી ગુજરાતી કવિતા જૂન, ૧૯૩૪માં પેરિસમાં લખ્યા પછી ૧૯૪૬માં તે ભારત પાછા આવ્યા ત્યારે, તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘જીવનનાં બે પાસાં વચ્ચે ખૈબરખાટ પડ્યો હતો.’ જેલના કેદીઓ વિશેની કથા ‘ઇન્સાન મીટા દૂંગા’ની બીજી આવૃત્તિ (૧૯૫૦)ની ‘અભિજ્ઞાન શ્રીધરાયણમ્‌- એક પ્રસ્તાવના’ માં તેમણે યાદ કર્યું છે કે અમેરિકાથી પાછા આવ્યા પછી કરાચીમાં સભા થઇ હતી. તેમાં ‘ત્રીશ કોટી શિશ પ્રણમે તને ભારતની ઓ ધર્મ-ધજા, નવલખ તારા આશિષ ઝમે, ભારતની ઓ કર્મ-ધજા’ એ ગીત ગવાયું. ગીત પસંદ આવતાં શ્રીધરાણીએ તેના કવિનું નામ પૂછ્‌યું. ત્યારે તેમને જવાબ મળ્યો કે આ તો એમની જ (શ્રીધરાણીનું જ ) રચના છે!

ભારત પાછા ફર્યા પછી થોડો સમય તેમણે પંજાબના શરણાર્થીઓ વચ્ચે કામ કર્યું. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયમાં જવાહરલાલ નેહરુના ‘ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી’ તરીકે સેવાઓ આપી. કોલકાતાના ‘અમૃતબઝાર પત્રિકા’ના દિલ્હીના પ્રતિનિધી તરીકે રહ્યા. સાથોસાથ ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને જાપાનના ‘ટોકિયો શિમ્બુન’ જેવાં નામી અખબારોમાં અને ‘વોગ’ અને ‘સેટરડે રીવ્યુ ઓફ લિટરેચર’ જેવાં સામયિકોમાં તેમણે લખ્યું.

ભારત પાછા ફર્યા પછી ‘ગુજરાતીનો રણકાર પાછો પ્રાપ્ત કરવા માટે બે-ત્રણ વર્ષ નીકળી ગયાં.’ એવું શ્રીધરાણીએ કહ્યું છે. પણ એ રણકાર, જરા જુદા સ્વરુપે અને વચ્ચેના સમયગાળાના અનુભવોમાંથી રસાઇને, પ્રગટ થયો ખરો. ભારત પાછા આવ્યા પછીનું તેમનું કાવ્ય ‘આઠમું દિલ્હી’ (૧૯૫૬) શ્રીધરાણીની યાદગાર કૃતિ ગણાય છે. ‘નવા’ શ્રીધરાણીના મિજાજનો ખ્યાલ આપતી ‘આઠમું દિલ્હી’ની કેટલીક પંક્તિઓઃ

સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ / જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ/ પદવી છે, પહેરામણ છે, છે બિલ્લા એક અનેક/રાજ્યસ€ભા છે, લોકસભા છે ને જાવું જો છેક/ રચજો કવિતા, લખજો નાટક, કરજો રાજ્યપ્રચાર/ નવ દિલ્હીના આકાર!

આ કાવ્યના અંતે ‘ભવિષ્યની કોદાળી જ્યારે નમશે’ ત્યારે પાદર થયેલા દિલ્હીમાંથી શું જડશે? કવિએ લખ્યું હતુ: ‘જડશે ચંદ્રક એક અનેક/ નહીં જડશે શુદ્ધ વિવેક’.

દિલ્હીમાં શ્રીધરાણી દયારામ ગીદુમલનાં પુત્રી સુંદરીના પરિચયમાં આવ્યા અને પરણ્યા. ત્યાર પછી શ્રીધરાણીએ ૧૯૬૦માં ૪૯ વર્ષની વયે અકાળે વિદાય લીધી, પણ નવ દાયકા વટાવી ચુકેલાં સુંદરીબહેન તેમની ખ્યાતનામ કળાસંસ્થા ‘ત્રિવેણી કલાસંગમ’ સાથે હજુ દિલ્હીમાં મોજૂદ છે. તેમના પુત્ર અમર શ્રીધરાણી મુંબઇમાં અને પુત્રી કવિતા અમેરિકા છે. સુંદરીબહેન બિનગુજરાતી હોવાને કારણે અને સંતાનોનો ઉછેર દિલ્હીમાં થવાને લીધે, તે ગુજરાતી વાંચી કે બોલી શકતાં નથી. પરંતુ શ્રીધરાણીના ભત્રીજાઓ મયુરભાઇ અને પંકજભાઇ તેમના કાકા વિશે ગુજરાતીમાં વાત કરી શકે છે.

શ્રીધરાણીની જન્મશતાબ્દિ ઉજવાઇ રહી છે ત્યારે તેમનાં અપ્રાપ્ય ગુજરાતી પુસ્તકો ઉપરાંત સાત-આઠ અંગ્રેજી પુસ્તકો અને દાંડીકૂચ વખતે તેમણે લખેલી- ‘સિનેમાના પડદે રજૂ થતી કોઇ ભવ્ય કથા સમી તાદૃશ’- ડાયરી ઉપલબ્ધ બને તો શતાબ્દિની ઉજવણી વધારે સાર્થક બને.

Thursday, May 05, 2011

ભાષા આધારિત રાજ્યોઃ ભાગ કે ભાગલા?

ગુજરાત-મહારાષ્ટ્રનો સ્થાપના દિન ૧ મે બન્ને રાજ્યોની સત્તાવાર ઉજવણીના માહોલમાં વીતી જાય છે. પરંતુ ૧ મે, ૧૯૬૦ પહેલાં અને ત્યાર પછી પણ ભાષાના આધારે રાજ્યોની વહેંચણીનો મુદ્દો તીવ્ર પ્રતિક્રિયા જગવતો રહ્યો છે.

ગુજરાત આઝાદી વખતે મુંબઇ રાજ્યનો હિસ્સો હતું, એ વાત છેલ્લી એકાદ-બે પેઢીને ‘હા, એવું કંઇક સાંભળ્યું છે ખરું’ પ્રકારની લાગી શકે. ભાષાકીય બહુમતી માટે જુદું રાજ્ય માગવાના મુદ્દે દલીલો અને આક્ષેપો, રાજકારણ ને અર્થકારણના કેવા આટાપાટા ખેલાયા હશે, તેનો અત્યારે ભાગ્યે જ અંદાજ આવે.

પરંતુ લેવાનારા નિર્ણયો વિશેની ગરમાગરમ ચર્ચા અને અભિપ્રાયો, એ નિર્ણયો અમલમાં મૂકાયાના પાંચ-છ દાયકા પછી ફરી તપાસવાની જુદી જ મઝા છે.

આઝાદીની આસપાસ
આઝાદી પહેલાંના મુંબઇ રાજ્યમાં હાલના ગુજરાત-મહારાષ્ટ્રના ઘણા પ્રાંતનો સમાવેશ થતો હતો, પણ રજવાડાંથી છવાયેલું સૌરાષ્ટ્ર અને કચ્છ તેમાંથી બાકાત હતાં. મુંબઇ રાજ્યમાંથી ગુજરાતીભાષી ગુજરાત અને મરાઠીભાષી મહારાષ્ટ્રના અલગ પડવાનો પ્રશ્ન આઝાદી પછીના દાયકામાં ઉભો થયો. તેની સાથેનો, બલ્કે વધારે સળગતો સવાલ હતોઃ મુંબઇને મહારાષ્ટ્ર સાથે જોડવું કે તેને અલગ ‘સીટી સ્ટેટ’ બનાવવું?

મુંબઇ રાજ્યના વિભાજનો વિખવાદ જાગ્યો તેના દાયકાઓ પહેલાં, ૧૯૧૩થી ભાષા આધારિત પ્રાંતોનો ખ્યાલ માથું ઉંચકવા લાગ્યો હતો. તેલુગુભાષીઓને પોતાનું અલગ આંધ્ર જોઇતું હતું. કોંગ્રેસનો એ વખતે ચડતો સિતારો હતો. ગાંધીજીના આગમન પછી નાગપુર અધિવેશન (૧૯૨૦)માં ફક્ત વકીલો-બેરિસ્ટરોને બદલે આમજનતા માટે પણ કોંગ્રેસના દરવાજા ખુલી ગયા. એ અધિવેશનમાં કોંગ્રેસે પક્ષના વહીવટની સરળતા ખાતર આખા દેશને ભાષા આધારિત ૨૧ ભાગ (રાજ્યો)માં વહેંચ્યો. અખંડ ભારતના એ સમયના નકશામાં બર્મા (અત્યારના મ્યાંમાર)નો સમાવેશ પણ થતો હતો.

તેલુગુભાષીઓની ૧૯૧૩થી શરૂ થયેલી માગણી સમય જતાં મોળી પડવાને બદલે મજબૂત બની, પરંતુ અંગ્રેજોનું રાજ હતું ત્યાં સુધી સિધ અને ઓરિસ્સા સિવાય બીજો કોઇ નવો પ્રાંત રચાયો નહીં. આઝાદી હાથવેંતમાં હતી અને ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભા નીમાઇ ત્યારે ભાષાકીય પ્રાંતોની રચના માટેની માગણી સતત ચાલુ રહી. કોંગ્રેસ એ માગણીનો સ્પષ્ટ વિરોધ કરી શકે એમ ન હતી. કારણ કે તેણે પોતે એ સિદ્ધાંતના આધારે પ્રાંતો પાડીને પ્રાદેશિક સમિતિઓ નીમી હતી. એટલું જ નહીં, અંગ્રેજી શાસનમાં થયેલી પહેલી ચૂંટણી (૧૯૩૫)ના ઢંઢેરામાં કોંગ્રેસે જાહેર કર્યું હતું કે ‘રાષ્ટ્રમાં દરેક જૂથ અને પ્રાદેશિક વિસ્તારની સ્વતંત્રતા જળવાઇ રહે તથા રાષ્ટ્રના વિશાળ માળખામાં તેનો વિકાસ થાય...એ માટે ભાષાકીય અને સાંસ્કારિક ધોરણે આ પ્રકારના પ્રદેશો અને પ્રાંતોનો વિચાર થવો ઘટે.’

ગાંધીજીને પ્રાંતોની પુનઃરચના માટે ભાષાકીય પાયો સાચો લાગતો હતો. પણ આઝાદીની આસપાસના અરસામાં તેમનું વલણ એ જાતનું હતું કે ‘અત્યારની અશાંત પરિસ્થિતિ પ્રાંતોની પુનઃરચના કરવાનો યોગ્ય સમય નથી.’ રાજ્યો લડવા-ઝઘડવાને બદલે અંદરોઅંદર સમજીને સરહદો નક્કી કરે એવું તેમનું સૂચન હતું. (જેનો અમલ ત્યારે પણ અશક્ય લાગે એટલી હુંસાતૂંસીનું વાતાવરણ હતું.)

આઝાદી પછી ભાષાઆધારિત પ્રાંતોની લોકલાગણી-માગણી સંતોષવા માટે એસ.કે.ધારની આગેવાની હેઠળ ભાષાવાર પ્રાંત પુનઃરચના માટેનું ‘ધાર કમિશન’ રચાયું. તેનો અહેવાલથી અસંતોષમાં ઘટાડો ન થતાં, એ જ વર્ષે, ૧૯૪૮માં કોંગ્રેસે જવાહરલાલ, વલ્લભભાઇ અને પટ્ટાભિ સીતારમૈયા- એમ ત્રણ વરિષ્ઠ નેતાઓનું બનેલું ‘જેવીપી કમિશન’ નીમ્યું. ૧૯૪૯માં આ કમિશને રજૂ કરેલા અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે ‘ભાષા કેવળ એકતાનું નહીં, વિખવાદનું કારણ પણ છે.’ અને ‘કોંગ્રેસે ભાષાવાર પ્રાંતોના સિદ્ધાંતને બહાલી આપી ત્યારે તેના વ્યવહારુ સવાલોનો અને બધાં પરિણામોનો ખ્યાલ કર્યો ન હતો.’ ભાષા આધારિત વિભાજનની વાત કરતી વખતે દેશની એકતા, સુરક્ષા અને આર્થિક સ્થિતિને પ્રાથમિકતા આપવી જોઇએ, એવું જાહેર કરવા છતાં, લોકલાગણીને માન આપવાનો વિકલ્પ તેમાં રખાયો હતો.

એ દિવસ માટે ઝાઝાં વર્ષ રાહ ન જોવી પડી. ૧૯૫૨માં તેલુગુભાષી આંધ્રપ્રદેશની માગણી સાથે પોટ્ટી સીરામુલુએ આમરણ ઉપવાસ કર્યા. ૫૬ દિવસના ઉપવાસ પછી તેમનું મૃત્યુ થતાં તોફાનો ફાટી નીકળ્યાં, પરિસ્થિતિ બેકાબૂ બની અને કેન્દ્ર સરકારે તરત અલગ આંધ્ર પ્રદેશનું વચન આપી દીઘું. તેનો અમલ પણ કરી દીધો.
આઝાદ ભારતમાં ભાષા આધારિત પ્રાંતરચનાનો આ પહેલો પ્રસંગ હતો.

ગુજરાતીઓ, મુંબઇ અને ડો.આંબેડકર

બંધારણની ડ્રાફિ્‌ટંગ કમિટીના અઘ્યક્ષ, પ્રખર વિદ્વાન અને તેજસ્વી ધારાશાસ્ત્રી ડો.આંબેડકરે ૧૯૪૮માં રચાયેલા ધાર કમિશન માટે એક અભ્યાસપૂર્ણ આવેદનપત્ર તૈયાર કર્યું હતું. ‘મહારાષ્ટ્ર એઝ એ લિગ્વિસ્ટિક પ્રોવિન્સ’ મથાળું ધરાવતી એ રજૂઆતમાં મુખ્ય બે વિવાદાસ્પદ મુદ્દા ચર્ચવામાં આવ્યા હતાઃ મરાઠીભાષીઓના મહારાષ્ટ્રમાં કયા પ્રદેશો લેવા અને મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવું કે સાથે.

અલગ ગુજરાતની રચનામાં વિખવાદો હતા- ખાસ કરીને ડાંગ અને આબુને ગુજરાતમાં ભેળવવા બાબતે. પરંતુ ગુજરાતીઓ-મરાઠીઓ વચ્ચેનો વઘુ આકરો સંઘર્ષ મુંબઇના મુદ્દે જાગ્યો. ભૂગોળની રીતે મુંબઇને ગુજરાત સાથે ભેળવવાનું શક્ય ન હતું. પણ ગુજરાતીઓમાં પ્રવર્તતી સામાન્ય છાપ એવી હતી કે ‘મુંબઇની જાહોજલાલીમાં ગુજરાતીઓનો મોટો હિસ્સો છે. મુંબઇ મહારાષ્ટ્રમાં ભળી જશે તો મુંબઇના ગુજરાતીઓને વેઠવાનું આવશે.’ તેમની માગણી હતી કે મુંબઇનું અસ્તિત્ત્વ મહારાષ્ટ્ર અને ગુજરાત બન્નેથી અલગ રહેવું જોઇએ, જેથી ગુજરાતીઓનું હિત અને ખાસ તો તેમની મુંબઇ પરની પકડ જળવાઇ રહે.

આ હિલચાલથી મરાઠીભાષીઓ ઉકળી ઉઠ્યા હતા. ડો.આંબેડકરે નેતાના ઉકળાટને બદલે વકીલની ટાઢકથી ૧૯૪૮માં ભાષાવાર પ્રાંત પુનઃરચના કમિશન સમક્ષ પોતાની દલીલો રજૂ કરી. આગળ જતાં ૧૯૫૫માં તેમણે ‘થોટ્‌સ ઓન લિગ્વિસ્ટિક સ્ટેટ્‌સ’ નામે અભ્યાસલેખ દ્વારા ફરી એક વાર આંકડા સહિત દાખલાદલીલો ટાંકીને પોતાની સજ્જતા-વિદ્વત્તાનો પરિચય આપ્યો. ભાષાવાર પ્રાંતો અંગે પોતાના અગાઉના કેટલાક વિચારો, પૂરતી માહિતી અને વિગતો મળ્યા પછી બદલાયા છે, એવું જાહેર કરીને ડો.આંબેડકરે લખ્યું હતું કે ‘ભાષાવાર રાજ્યો જરૂરી છે, પણ તે ધાકધમકી કે મવાલીગીરીથી નક્કી થવાં ન જોઇએ. એ જ પ્રમાણે, સાંકડાં પક્ષીય હિતોને ઘ્યાનમાં રાખીને પણ આ સવાલ ઉકેલાવો ન જોઇએ.

પ્રાંત પુનઃરચના કમિશન મુંબઇ રાજ્યને ‘આદર્શ’ પ્રકારનું મિશ્રભાષી રાજ્ય ગણાવતું હતું, પરંતુ ડો.આંબેડકરના મતે ગુજરાતી-મરાઠી ભાષીઓના મિશ્રણ જેવું મુંબઇ સદંતર નિષ્ફળ હતું. તેમણે લખ્યું હતું કે ‘છેલ્લાં વીસ વર્ષમાં ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે જે જાતની શત્રુવટ ઉભી થઇ છે, એ જોતાં ભાગ્યે જ મુંબઇ રાજ્યને કોઇ આદર્શ ગણી શકે.’

‘એક ભાષા લોકોને જોડે છે અને બે ભાષા તેમના ભાગલા પાડે છે’ એમ જણાવીને ડો.આંબેડકરે કહ્યું હતું કે ભાષાવાર રાજ્યો ભલે અલગ પડે, પણ તેમની સત્તાવાર ભાષા એક જ (હિદી) હોવી જોઇએ...જે ભારતીય આ દરખાસ્તને ભાષાવાર પ્રાંતના અભિન્ન અંગ તરીકે સ્વીકારે નહીં, તે કદાચ સો ટકા મરાઠી, સો ટકા ગુજરાતી કે સો ટકા તમિલ હોઇ શકે, પણ સો ટકા ભારતીય કદાપી ન હોય.’ ભાષાવાર રાજ્યોમાં સ્થાનિક ભાષાને સત્તાવાર દરજ્જો આપવાનું પગલું તેમને ભારતની અખંડિતતા માટે વિઘાતક લાગ્યું હતું.

‘મુંબઇ ગુજરાતીઓનું છે’ એવી દલીલને ડો.આંબેડકરે અનેક તાર્કિક જવાબો સાથે ફગાવી દીધી હતી. મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવાના મુદ્દે એ કહેતા હતા કે મદ્રાસ કે કલકત્તા અલગ ‘સીટી સ્ટેટ’ ન હોય તો ફક્ત મુંબઇ જ શા માટે? ગુજરાતીઓના દાવાનો અસ્વીકાર કર્યા પછી જોકે, તેમણે મુંબઇને અલગ રાખવું જ હોય તો તેની આર્થિકથી માંડીને વીજળી સહિતની કઇ જરૂરિયાતોનો વિચાર થવો જોઇએ, તેની વાત કરી હતી. ‘એક રાજ્ય, એક ભાષા’નો ખ્યાલ તેમને મંજૂર હતો, પણ ‘એક ભાષા, એક (જ) રાજ્ય’ તેમને કબૂલ ન હતું. તેમણે મુંબઇ રાજ્યમાંથી અલગ પડેલા મરાઠીભાષી મહારાષ્ટ્રને ચાર ભાગમાં વહેંચવાની યોજના રજૂ કરી હતી. તેમના મતે એક જ ભાષા ધરાવતા પ્રદેશને કેટલાં રાજ્યોમાં વહેંચવો જોઇએ, એ નક્કી કરવા માટે વહીવટી અસરકારકતા, વિવિધ વિસ્તારોની ખાસ જરૂરિયાતો, જુદા જુદા વિસ્તારોની લાગણી અને બહુમતી-લધુમતીનું પ્રમાણ ઘ્યાનમાં લેવાં જોઇએ. ભાષાકીય લધુમતીના હકો જોખમાય નહીં એ માટે તેમણે બંધારણમાં ફેરફાર કરવાનું પણ સૂચવ્યું હતું.

મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવા સામે મરાઠીઓનો વાંધો દૂર કરવા માટે તેમણે મુંબઇને ‘મહારાષ્ટ્ર સીટી સ્ટેટ’ જેવું નામ પણ સૂચવ્યું હતું, જેથી તે મહારાષ્ટ્રનો જ ચોથો હિસ્સો બની રહે. તેમની દૃઢ પ્રતીતિ હતી કે એક ભાષા બોલતા રાજ્યના જુદા જુદા હિસ્સા વચ્ચે પણ અનેક પ્રકારની અસમાનતા હોય છે. (ગુજરાતમાં પણ તે અનુભવી શકાય છે.) તેમને એક છત્ર નીચે લાવવાથી પ્રભુત્વ ધરાવનારા પ્રદેશના લોકો વધારે મજબૂત બનશે અને વંચિત પ્રદેશના લોકો વધુ ને વઘુ ખૂણામાં ધકેલાશે. ડો.આંબેડકરે તો આખા દેશ માટે એક પાટનગર અપૂરતું ગણાવીને, હૈદ્રાબાદ-સિકંદરાબાદ વિસ્તારમાં બીજું પાટનગર સ્થાપવાનું સૂચવ્યું હતું. તેનાથી બીજા ફાયદા ઉપરાંત ‘ઉત્તર ભારતીયો અમારી પર રાજ કરે છે’ એવી દક્ષિણના લોકોની ફરિયાદ પણ દૂર થશે એવી તેમની દલીલ હતી.

આશા અને આશંકા
ભાષાવાર પ્રાંતરચનાનાં જોખમોથી પૂરેપૂરા વાકેફ એવા ડો.આંબેડકર મુંબઇના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાત-મહારાષ્ટ્ર છૂટાં પડી જાય એમ ઇચ્છતા હતા, ત્યારે ઉમાશંકર જોશી કે દાદા ધર્માધિકારી જેવા અગ્રણીઓએ ભાષા આધારિત પ્રાંતોનો કડક વિરોધ કર્યો હતો. ભાષા પુનઃરચના પંચની કામગીરીની આકરી ટીકા કરીને, ડો. આંબેડકરે જે સંયુક્ત મુંબઇ રાજ્યને ‘સદંતર નિષ્ફળ’ નિષ્ફળ ગણાવ્યું હતું, તેના વિશે ઉમાશંકરે લખ્યું હતું, ‘(પંચ) દ્વારા રાજકારણીઓએ દેશની રહીસહી એકતાને છેક ચૂંથી નાખી. તેમાંથી મુંબઇનું બૃહદ રાજ્ય એક આશાસ્પદ અપવાદરૂપે બચી જવા પામ્યું છે. ભવિષ્યમાં પશ્ચિમ મંડળ (વેસ્ટર્ન ઝોન) તરીકે એ વિકસશે અને હિદમાં એવાં બીજાં બેચાર મંડળોની રચના માટે પ્રેરણારૂપ બનશે, એવી આશા રાખીએ. (સંસ્કૃતિ, નવેમ્બર, ૧૯૫૬)

ગુજરાત અને મુંબઇ સહિતનું મહારાષ્ટ્ર ૧ મે, ૧૯૬૦ના રોજ અલગ પડ્યાં, તેના પછીના વર્ષે કંઠી વગરના ગાંધીવાદી વિદ્વાન દાદા ધર્માધિકારીએ કહ્યું હતું, ‘આજે આપણે બહુરાજ્યવાદ અને બહુરાષ્ટ્રવાદમાં ચકચૂર છીએ...આજે દેશમાં...નર્યો ઉદ્દંડ ભાષાવાદ છે. એમાંથી ભાષાવાર રાજ્યોનો જન્મ થયો છે. અહીંનું એ દુર્ભાગ્ય છે કે અહીંની સંસ્કૃતિ, ઇતિહાસ, ભાષા, લિપિ બઘું સંપ્રદાય સાથે ચાલે છે.’

ભાષાવાર પ્રાંતરચનાનો મુદ્દો મોટા ભાગના પ્રાંતો પૂરતો હવે ઉકલી ગયો છે. પરંતુ ‘સંસ્કૃતિ’ (ઓગસ્ટ, ૧૯૫૬)માં ઉમાશંકર જોશીએ આપેલી ચેતવણી, વર્તમાન ગુજરાતના શાસકોના વલણને ઘ્યાનમાં રાખતા યાદ રાખવા જેવી લાગે છે. તેમણે લખ્યું હતું,‘અત્યારે આપણો સૌથી મોટો દુશ્મન છે ઉપરાષ્ટ્રવાદ (સબનેશનાલિઝમ). તેને દૂર કરવા માટે જે કંઇ કરીએ તે ઓછું છે.’

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના પક્ષીય ઝઘડામાં પ્રાંતવાદ અને ઉપરાષ્ટ્રવાદનું ઝેર રેડવાથી સરવાળે રાષ્ટ્રનું હિત થશે કે અહિત, તે સૌએ વિચારવાનું છે.