Tuesday, May 10, 2011

જૂની સમજણ, નવા સુધારા

કેટલાંક વાક્યો કે ઉદ્‌ગાર વર્ષોથી શાણપણ, અનુભવ કે આદર્શના નીચોડ તરીકે એવાં ચલણમાં છે કે તેના વિશે ફરીથી વિચારવાની બત્તી ઝટ થતી નથી. મોટે ભાગે સમજ્યા વિના, કેવળ આદતવશ તેમનું રટણ થતું રહે છે. રોજિદા વ્યવહારમાં સગવડે વપરાતાં અને વખતોવખત સુધારોવધારો માગતાં ‘સનાતન સત્ય’ વિશે થોડો ફેરવિચાર.

વ્યક્તિ નહીં, સંસ્થા મહાન છે
આ સૂત્ર ક્યાંથી આવ્યું એ ખબર નથી, પણ વ્યક્તિનું આગવાપણું ઓગાળી નાખવાની ભારતીય પરંપરામાં એ બરાબર જામી પડ્યું. જાહેર પ્રવૃત્તિઓથી માંડીને ખાનગી કંપનીઓમાં ‘મેનેજમેન્ટ’ તરીકે ઓળખાતી વ્યવસ્થાને આ સત્ય દેવવાણી જેવું પવિત્ર અને અફર લાગે એ સ્વાભાવિક છે. કારણ કે તેમાં વ્યક્તિના વ્યક્તિત્વનો ઇન્કાર કરીને તેને વિરાટ યંત્રનો પૂરજો ગણી કાઢવાની- અને એ બદલ અપરાધભાવ નહીં અનુભવવાની- સુવિધા મળી જાય છે. જૂના વખતમાં બ્રાહ્મણોએ જેમ સર્વોચ્ચ સ્થાન મેળવવા-ટકાવી રાખવા તથા બીજાને પોતાનાથી નીચા રાખવા માટે ધર્મગ્રંથોનો દુરુપયોગ કર્યો હતો, એવી જ રીતે મેનેજમેન્ટ કહેવાતું તંત્ર-કે યંત્ર- આ વાક્યને મહાન સત્ય ગણાવીને ટાણેકટાણે ફટકાર્યે રાખે છે.

પરંતુ પરંપરાનો બોજ બાજુએ મૂકીને વિચારતાં આ વાક્યની પોકળતા છતી થઇ જશે. આખરે મહાન સંસ્થાઓ બને છે કેવી રીતે? સાબરમતી આશ્રમ કે શાંતિનિકેતન આકાશમાંથી સીધેસીધાં ધરતી પર આવી પડ્યાં હતાં? નાના પાયે સ્કૂલ કે યુનિવર્સિટીથી શરૂ કરીને મોટા પાયે રાષ્ટ્રની જાહેર સંસ્થાઓ-સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખાનગી કંપનીઓમાં સફળતા ટીમવર્કનું પરિણામ હશે, પણ સહેજ ઝીણવટથી જોતાં તેની પાછળ અવશ્ય કોઇ એક વ્યક્તિનું સ્પષ્ટ, દૂરંદેશી દર્શન કામ કરતું જણાશે. એવા ઠેકાણે વ્યક્તિને બદલે સંસ્થા પર મહાનતાના ગમે તેટલા કળશ ચડાવવામાં આવે, પણ એ વ્યક્તિની ગેરહાજરી છાપરે ચડીને પોકાર્યા વિના નહીં રહે.

ગાંધી વગરના ગાંધીઆશ્રમ-ગાંધીસંસ્થાઓ કે ટાગોર વગરના શાંતિનિકેતનની સ્થિતિ વિશે ફોડ પાડીને કહેવાની જરૂર ખરી? એવું જ દેશની બંધારણીય સંસ્થાઓનું. તેમનું ચરિત્ર પ્રવાહી હોય છેઃ જે વાસણમાં હોય એના જેવો આકાર ધારણ કરે. ટી.એન.શેષાન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા ત્યાર પહેલાં નાગરિકોને ચૂંટણીપંચ જેવી સંસ્થાની ‘મહાનતા’ જોવા મળી હતી? સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતો પોથીપંડિતાઇ મુજબ લોકશાહીની મહાન સંસ્થાઓ છે, પણ તેમને ખરેખર મહાનતા બક્ષવાનું કામ કોઇની શેહશરમ નહીં ભરનારા તટસ્થ ન્યાયાધીશો - એટલે કે વ્યક્તિઓ- જ કરે છે. નાના પાયે સ્કૂલ કે યુનિવર્સિટીમાં એક સારા શિક્ષક કે એક સારા વાઇસ ચાન્સેલરની સજ્જતાની આખી સંસ્થા પર હકારાત્મક અસર પડી શકે છે.

ફક્ત સારી સંસ્થા માટે જ નહીં, ખરાબ સંસ્થાઓ માટે પણ ‘સંસ્થા મહાન છે’નું સૂત્ર પોકળ ઠરે છે. આશ્રમ હોય કે અલ-કાઇદા, અમદાવાદ હોય કે એબોટાબાદ, એક વ્યક્તિનું કેટલું મહત્ત્વ છે તે સૌ જાણે છે. એટલે જ, ઓસામા તેના લડવૈયાઓની જેમ ફીદાઇન બનવાને બદલે, લપાઇછુપાઇને સલામત રહેવાનું પસંદ કરે છે અને સંસ્થામાં એક માણસનું મહત્ત્વ સમજીને, તેને ખતમ કરવા માટે અમેરિકા ડોલરના ઘુમાડા કરે છે, જોખમી ઓપરેશન હાથ ધરે છે.

ભારત જેવા દેશ માટે આ સૂત્રનું વિરોધી સૂત્ર ઘણી વાર વધારે સાચું હોઇ શકે છે. એટલે કે, ‘વ્યક્તિ નહીં, સંસ્થા ખરાબ છે.’ ઘણીખરી સંસ્થાઓનાં માળખાં એવાં ઉભાં કરવામાં આવે છે કે એમાં પ્રવેશેલો સારો માણસ પણ તેમાં ખાસ સુધારો કરી શકે નહીં. તેનાં મોટા ભાગનાં સમય-શક્તિ માળખાને ખાડેથી સપાટી પર લાવવામાં જતાં રહે- ટોચ તો બહુ દૂરની વાત છે. તેની સરખામણીમાં કેટલાક પશ્ચિમી દેશોમાં સીસ્ટમ એવી રીતે ગોઠવાયેલી હોય છે કે વ્યક્તિ ઇચ્છે તો પણ એક હદથી વધારે બગાડો કરવાનું તેના માટે શક્ય ન બને. પરંતુ એવા દેશો તેના વ્યક્તિવાદી, વ્યક્તિકેન્દ્રી અભિગમ માટે જાણીતા છે.

મતભેદ છે, મનભેદ નથી
સીધાસાદા વાદવિવાદથી માંડીને ઉગ્ર શબ્દયુદ્ધોના અંતે ઘણી વાર આ વચન સાંભળવા મળે છે. મતભેદ હોવો ને મનભેદ ન હોવો એ આદર્શ સ્થિતિ છે. કહેનાર એ જાણે છે. એટલે કંઇ નહીં તો પોતાના આદર્શ વર્તનના પુરાવા તરીકે પણ તે આ વાક્ય રમતું મૂકી દે છે.

સાંભળવામાં આ વાક્ય જેટલું ગળચટ્ટું લાગે છે, એટલું તે અસલમાં અને હંમેશાં હોતું નથી. મતભેદને કારણે મનભેદ થાય કે નહીં તેનો ઘણો આધાર મતભેદ ધરાવનાર વ્યક્તિઓના સંબંધ પર હોય છે, પણ એ હકીકત ભાગ્યે જ લક્ષ્યમાં લેવાય છે.

ધારો કે બે મિત્રો વચ્ચે કોઇ ચોક્કસ મુદ્દે મતભેદ થાય તો બને કે એ નિમિત્તે મનમાં ખટકો જાગે, કદાચ એ મુદ્દા પૂરતી મનના ખૂણે ગાંઠ પડે. છતાં મનભેદ ન થાય. કારણ કે બન્ને મિત્રો વચ્ચે બીજા અનેક તંતુઓથી લાગણીબંધન રચાયેલું હોય છે.

કોઇ અજાણી કે અંગત પરિચય વગરની વ્યક્તિ સાથે અમુક મુદ્દે તીવ્ર અસંમતિ થાય ત્યારે બન્ને શક્યતા ઉભી રહે છેઃ સામેની વ્યક્તિના પ્રદાન વિશે અથવા તેમની બીજી કામગીરી વિશે ઉંચો અભિપ્રાય હોય, તો મનમાં રહેલી એમની છબી મતભેદનો ઘસરકો ખમી જાય એટલી મજબૂત હોય છે. પરંતુ કોઇ વ્યક્તિ પ્રત્યે ફક્ત ઉંમર કે વરિષ્ઠતા જેવાં કારણોસર સૌજન્યપૂર્ણ આદર હોય તો, એવો આદર મતભેદ વખતે જોખમમાં આવી પડે છે. એ સંજોગોમાં મતભેદ મનભેદમાં ફેરવાઇ શકે છે.

ઇન્ટરનેટના યુગમાં અજાણી વ્યક્તિઓ સાથે ઓનલાઇન સંપર્ક કે વાતચીત થાય એવા સંજોગ બહુ વધી ગયા છે. વ્યક્તિ અજાણી હોય કે જાણીતી, પણ તેના વિશે બીજી કોઇ રીતે આદરમાન ન હોય કે તેની સાથે પ્રેમભાવનો તંતુ જોડાયેલો ન હોય, ત્યારે અજાણ્યા માણસ માટે વ્યક્તિનો મત તેની એકમાત્ર ઓળખ બની રહે છે. આ પરિસ્થિતિમાં થતા મતભેદ મનભેદમાં ફેરવાય એવી પૂરી સંભાવના રહે છે.

વૈચારિક ઉદારતાનો આદર્શ એવો છે કે કોઇ પણ વ્યક્તિ સાથેના મતભેદ મનભેદમાં ન ફેરવાય. પરંતુ બીજા ઘણા આદર્શોની જેમ આ આદર્શનું ઉપરછલ્લું પાલન પ્રચંડ માત્રામાં દંભ પેદા કરે છે. તેનાથી દોરવાઇને, મનમાં ભારોભાર ખાર કે રોષ ભરીને બેઠેલા દંભીઓ એક તરફ પોતાના મતવિરોધીને શક્ય એટલી તમામ રીતે, સૌજન્યના તમામ તકાદા બાજુ પર મૂકીને, નીચો પાડવાની કોશિશ કરે છે અને બીજી તરફ દંભનું મહોરું ઓઢીને ‘મતભેદ છે, પણ મનભેદ નથી’નું ગાણું ગાયા કરે છે. આ બન્ને વચ્ચે રહેલો દેખીતો વિરોધાભાસ તે જોવા માગતા નથી અને ઇચ્છે છે કે બીજા પણ ‘મતભેદ છે, મનભેદ નથી’ના તેમના રટણથી ભરમાતા રહે.

આવા દંભ કરતાં, ‘હા, મતભેદ છે અને એને કારણે મનભેદ પણ છે’ એવું સ્વીકારી લેવામાં ઘણી વધારે પ્રામાણિકતા રહેલી છે. એ ભલે આદર્શ ન હોય, પણ જો સચ્ચાઇ એ જ હોય તો દંભના દાંડિયારાસ રમવાને બદલે, સચ્ચાઇ સ્વીકારવામાં વધારે ગરવાઇ ને ગરીમા છે. એમ કરવાથી બન્ને પક્ષો વચ્ચે પ્રેમ ભલે ન રહે (જે અમસ્તો પણ નથી હોતો), પણ વચ્ચે રહેતા અંતરને કારણે કડવાશ વધતી અટકે છે અને બીજા લોકો આગળ ‘અમે તો અમથું અમથું લડતા’તા. અમારી વચ્ચે એવું કાંઇ નથી. અમે તો ભેગા થઇને ખાઇ-પીને એય...મોજ કરીએ છીએ.’ એવાં જૂઠાણાં બોલવામાંથી બચી જવાય છે. દોસ્તીના દંભ કરતાં કેટલીક સ્પષ્ટતાઓ સાથેનું અંતર બન્ને પક્ષે વધારે ઉપકારક નીવડી શકે છે.

સીઇંગ ઇઝ બીલિવિગ
ઇ.સં. પૂર્વે (એટલે કે ઇન્ટરનેટ સંવત પહેલાં) અખબારી વાચકો ‘ફોટો ન હોય ખોટો’ એવી ગેરસમજણથી પીડાતા હતા. તસવીરો પાડનાર ઇચ્છે તો વીસ-પચીસ જણના દેખાવને ‘ભવ્ય વિરોધપ્રદર્શન’ તરીકે ઓળખાવી શકે અને ધારે તો પાંચ હજાર માણસની સભામાં છેલ્લે ખાલી પડેલી ખુરશીઓ બતાવીને તેને નિષ્ફળ ગણાવી શકે. આ તરકીબો ટીવી ચેનલોના આગમન પછી વઘુ વિકસી- ફૂલીફાલી. ચેનલોએ ખાસ અહેવાલોમાં, રીઆલીટી શોમાં અને સમાચારમાં સુદ્ધાં ‘સીઇંગ ઇઝ બીલિવિગ’ના સૂત્રનું સાવ શીર્ષાસન કરાવી દીઘું છે. તેના લીધે ઘણા લોકો આંખ અને ટીવી કેમેરા વચ્ચેનો ભેદ પારખતા થયા છે. ટીવી કેમેરાથી જોવા મળે તે બઘું આંખને મળતાં દૃશ્યો જેવું ‘પહેલી ધારનું’ નથી હોતું, એ સમજતા પણ થયા છે.

ફોટોશોપ અને એડિટિગના બીજા અનેક સોફ્‌ટવેરના યુગને કારણે પણ અગાઉનાં બે સૂત્રોની સરખામણીએ આ વાક્યનો મહિમા ઘટ્યો છે. છતાં, પ્રકૃતિવશ કે ટેવવશ સામે દેખાય તેને સાચું માની લેવાની વૃત્તિ માણસને થઇ આવે છે. ‘મેરી નજરેં ધોખા નહીં ખા સકતી...મેં જોયું એ ખોટું?’ એવો છૂપો અહમ્‌ પણ ‘સીઇંગ ઇઝ બીલિવિગ’ની માન્યતા સાથે ભળેલો હોય છે. ઘણી વાર એવું લાગે જાણે દૃશ્યેન્દ્રિય સક્રિય થતાંની સાથે જ વિચારેન્દ્રિય નિષ્ક્રિય ન થતી હોય!

એટલે જ, ઓપરેશન ઓસામા પછી જોતજોતામાં ઓસામાના લોહીલુહાણ ચહેરાની નકલી તસવીરો કે ઓસામા પર હુમલાની નકલી વિડીયો ઇન્ટરનેટ પર ચોમેર ફેલાઇ જાય છે. તેને જોનારા અને જોઇને કે જોયા વિના ફોરવર્ડ કરનારા એ વિચારવાની તસ્દી લેતા નથી કે અમેરિકાએ જારી ન કરેલી આ વિડીયો આપણા સુધી કેવી રીતે પહોંચી ગઇ. ‘વિકિલિક્સ’ જેવી ભંડાફોડને લીધે ગમે તેવાં જૂઠાણાં માની લેવાની લોકોની ‘ક્ષમતા’માં વધારો જરૂર થયો છે, પણ અસલી મુદ્દો મૂળભૂત વૃત્તિનો અને છેતરાવા માટેની તત્પરતાનો છે.

તમે ભણેલા થઇને...
ભણેલા, ડિગ્રીધારી લોકો વિવેકબુદ્ધિ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હોય છે એવું, બાય ડીફોલ્ટ, ડિગ્રીની રૂએ માની લેવામાં આવે છે. એવા લોકો જ્યારે એક યા બીજા પ્રકારની અંધશ્રદ્ધાનું શરણું લે ત્યારે બીજા અંધશ્રદ્ધાળુઓ તેમને પોતાના ટેકામાં ટાંકે છે અને અંધશ્રદ્ધાના વિરોધીઓ નિઃસાસો નાખે છે, ‘ભણેલા થઇને તમે આવું કરો છો!’ હકીકત એ છે કે શ્રદ્ધા-અંધશ્રદ્ધા અને ભણતર વચ્ચે કોઇ સંબંધ નથી- અત્યારે જે ભણતર અપાયે છે તેમાં તો બિલકુલ નહીં. ભણતરથી મુખ્યત્વે સંબંધિત વિષયોનું અને તે પણ પોપટિયું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બહુ ઓછા લોકો વિષયને આત્મસાત્‌ કરીને તેમાં આગળ વધે છે. એવા લોકો પણ છેવટે વિષયના નિષ્ણાત બને છે. સર્જન ડોક્ટર સર્જરીનો નિષ્ણાત હોય, સી.એ. આંકડાનો ખાં હોય, રોકેટ સાયન્ટિસ્ટ તેની થિયરીનો દાદો હોય, પણ આ બધા ધર્મ કે ભક્તિના ક્ષેત્રમાં પ્રવેશે, ત્યારે તેમની ડીગ્રીનાં પીંછાં ખરી પડે છે અને બૌદ્ધિકતા તથા માનસિકતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઇ જાય છે.

વ્યક્તિની માનસિકતા માટે બાળપણના ઉછેરથી માંડીને કૌટુંબિક- વ્યાવસાયિક પરિબળો, ટોચ તરફની ગતિમાં રહેલી અસલામતી, મહત્ત્વાકાંક્ષા, પ્રવાહથી વિરુદ્ધ નહીં જવાનું વલણ, આંતરિક ખાલીપો કે જરૂરિયાત જેવાં અનેક પરિબળ જવાબદાર હોઇ શકે છે. ‘ભણેલાગણેલા’ લોકોની અંધશ્રદ્ધા બીજા અનેક લોકો માટે નમૂનારૂપ બની રહે છે અને બેશક સમાજને નુકસાનકારક નીવડે છે. પણ તેનો સીધો-ટૂંકો ઉપાય એ નથી કે

ભણેલાગણેલાને સુધારવા. એ બહુ લાંબી પ્રક્રિયા છે. વધારે સાદો અને વ્યવહારુ રસ્તો એ છે કે ભણેલાગણેલા લોકોને આગળ જણાવેલી રીતે જોવા-સમજવા અને તેમને તેમના વિષય સિવાયની બાબતોમાં રોલમોડેલ કે આદર્શ ગણવાનું બંધ કરવું.

9 comments:

  1. Urvishbhai,
    These are too basic things to be written down as a whole article! It is time for you to grow up and write something more mature and professional. Even my neighbour's kid writes way more concretely than your articles. It seems that you are surrounded by people who don't want to tell you the truth. Or you just don't want to grow up yourself. Grow up man! This is too bad of a writing.
    Ketan Shah

    ReplyDelete
  2. @Ketanbhai: you are entitled to your opinion.
    Only thing i failed to understand: u are commenting on this particular article & issuing certificate for my entire writing.
    It's time to grow up for u, man! by not issuing wild & sweeping certificates for someone's entire writings
    & at least, to learn how not to wrap prejudice in the form of a comment:-)

    ReplyDelete
  3. Urvish, I wanted to write about the piece and just when I was about to do so, I read this illiterate, obviously prejudiced outburst in the comments here. It's obvious that our friend here has a lot of growing up to do and maybe like good wine, that maturity will even show someday!

    On the piece: excellent as always. I like the way you have taken up a bland topic under everyone's noses and wrapped it up in dry humour and impeccable logic. That's the stuff good essays are made of.

    ReplyDelete
  4. Anonymous4:05:00 PM

    Ketan should learn to read things other tham those written by his neighbour's kid or his neighbour should change the neighbourhood.

    ReplyDelete
  5. Anonymous8:02:00 AM

    Dear Kothriji
    well,you are right To put into right track to the literates are difficult and laborious too but last line of the article speaks itself To stop considering them as role model in every field.
    That's End.In other way,wise[learned people]should control their nature for saluting to their role model in a limited subject only.I can write small story in support to this article but I don't feel it is time to write now.
    Good Day sir

    ReplyDelete
  6. I totally agree at least with two points. First is "vyakti nahi, sanstha mahaan chhe". In fact the person in charge makes or shakes the organization. Kamath (ICICI Bank) and Kalmaadi are examples of what a person can do to the organization. The second point is "seeing is believing". Very often, what we see is not actually what we are 'seeing'. Without proper details, we just accept what we have seen, but reality may totally different. If anyone has doubt, I can send a few video-clips(untailored) proving this fact.

    ReplyDelete
  7. Amit Chauhan4:39:00 PM

    ખરેખર સુંદર આર્ટીકલ ઉર્વીશભાઈ. ઘણા સમયે આટલું સુંદર વિસ્લેસ્નાત્મક વાંચ્યું. કેતનભાઈ અ ખરેખર એકડે એક થી સરુઆત કરવાની છે.એક એક વાક્ય-શબ્દ માં માત્ર ને માત્ર તથ્ય.

    ReplyDelete