Sunday, May 01, 2011

અમેરિકાની રંગભેદવિરોધી ચળવળને ગાંધી-સત્યાગ્રહનો પાકો પરિચય કરાવનાર ગુજરાતી સર્જક કૃષ્ણલાલ શ્રીધરાણી

ગુજરાતી કવિ- નાટ્યકાર-વાર્તાકાર, અંગ્રેજી લેખક- પત્રકાર, નમક સત્યાગ્રહના સૈનિક, દક્ષિણામૂર્તિ-વિદ્યાપીઠ-શાંતિનિકેતનના વિદ્યાર્થી, કોલંબિયા યુનિવર્સિટીના પીએચ.ડી...કૃષ્ણલાલ શ્રીધરાણી(૧૯૧૧-૧૯૬૦)નું જન્મશતાબ્દિએ સ્મરણ

Krishnlal Shridharani


૪૯ વર્ષના આયુષ્યમાં કેટલી જિંદગી જીવાય?
આવો મોં-માથા વગરનો લાગતો સવાલ કૃષ્ણલાલ શ્રીધરાણીની કામગીરી-કારકિર્દી વિશે જાણ્યા પછી અર્થસભર લાગી શકે છે.

શ્રીધરાણીનું નામ ગુજરાતી ભણેલા વિદ્યાર્થીઓએ એકાદ વાર (કે એકમાત્ર વાર) ક્યાંક સાંભળેલું લાગવાની શક્યતા ખરી. યાદશક્તિ પર થોડું જોર કરતાં દાંડીકૂચ વિશેની તેમની કવિતા અને ગાંધીજી માટે તેમણે કરેલો શબ્દપ્રયોગ ‘જુવાન ડોસલો’ યાદ આવી શકે. બહુ જોર કરીએ તો કદાચ સાવ બાળપણમાં આવતી કવિતા ‘પીલુડી’ સાંભરી આવેઃ ભાઇ! પેલી પીલુડી/ ઘેરી ઘેરી લીલુડી/ આભલડામાં ચાંદરડાં/પીલુડીમાં પીલુડાં...

પણ શ્રીધરાણીને ફક્ત ગુજરાતી કવિ-નાટ્યકાર તરીકે ખપાવી દેવાનું કેટલું અઘૂરું-અન્યાયી છે, તેનો ખ્યાલ મેળવવા એમના બહુઆયામી જીવનની ઉપરછલ્લી વિગતો પણ પૂરતી થઇ પડે. જેમ કે, મોસાળ ઉમરાળા (ભાવનગર સ્ટેટ)માં સપ્ટેમ્બર ૧૬, ૧૯૧૧ના રોજ જન્મેલા કૃષ્ણલાલની પહેલી કવિતા પ્રતિષ્ઠિત માસિક ‘કુમાર’ના જૂન, ૧૯૨૭ના અંકમાં - અલબત્ત, બાળવિભાગમાં અને નામ વગર- છપાઇ હતી. ‘દક્ષિણામૂર્તિ’માં અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૨૯માં તે ‘ગુજરાત વિદ્યાપીઠ’માં જોડાયા. કાકા કાલેલકરના કૃપાપાત્ર શિષ્ય બન્યા. ત્યાં સુધીમાં પોતાની ઉંમર કરતાં ઘણી વધારે પાકટ સમજણ-અભિવ્યક્તિ માટે શ્રીધરાણી અને તેમની કવિતા વખણાવા લાગ્યાં હતાં. દાંડીકૂચની સફળતા પછી મધરાતે ગાંધીજીની ધરપકડ થઇ, એ પ્રસંગના શ્રીધરાણી સાક્ષી હતા. તેમણે કરેલું ગાંધીજીની ધરપકડનું આલેખન આગળ જતાં ‘દાંડીકૂચ’ વિશેના પુસ્તકમાં લેવાયું. શ્રીધરાણીએ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં પોતાની પીએચ.ડી.ની થીસીસમાં પણ તેનો થોડો અંશ ઉપયોગમાં લીધો.

મીઠાના સત્યાગ્રહમાં ગાંધીજીની મુખ્ય ટુકડી પછીની બીજી ટુકડીના સત્યાગ્રહી તરીકે શ્રીધરાણીની ધરપકડ થઇ. જલાલપુરના મેજિસ્ટ્રેટ સમક્ષ તેમને હાજર કરાયા, ત્યારે મીઠાનો કાયદો તોડવાનો ‘ગુનો’ કબૂલ કરીને મહત્તમ સજાની વિનંતી સાથે શ્રીધરાણીએ કહ્યું હતું, ‘તમે સજા નહીં કરો તો અમે ફરી આ જ ગુનો કરીને પકડાઇને પાછા આવીશું.’ પરિણામ? ત્રણ માસની જેલની સજા. પહેલાં અમદાવાદની સાબરમતી જેલમાં અને પછી નાશિકની જેલમાં. ત્યાં સર્જક સળવળી ઉઠ્યો. જેલજીવનની અનુભૂતિ અને બીજા કેદીઓની જાણવા મળી એટલી કથાઓનો આધાર લઇને તેમણે એક નાટક ‘વડલો’ અને એક લાંબી વાર્તા ‘ઇન્સાન મીટા દૂંગા’ લખ્યાં. ‘ઇન્સાન મીટા દૂંગા’ના પ્રવેશકમાં દક્ષિણામૂર્તિના નિયામક નાનાભાઇ (નૃસિંહપ્રસાદ) ભટ્ટે લખ્યું હતું,‘(આ કથા) આપણા સમાજતંત્રના હાડમાં પેસી ગયેલાં ડર અને સજાની સામે મૂંગી પણ સજ્જડ જેહાદ છે.’

સ્વદેશપ્રેમ અને સ્વાધીનતાની ઝંખનાનો રંગ શ્રીધરાણીની કૃતિઓમાં નવો ન હતો. અમેરિકા જઇને લખેલા પુસ્તક ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ (૧૯૪૧)માં તેમણે નોંઘ્યું છે કે ‘કુમાર’ના ૧૦૦મા અંક માટે મેં ‘ઝબકજ્યોત’ નામનું એકાંકી નાટક મોકલ્યું હતું. એ નિતાંત સાહિત્યિક કૃતિ હતી, પણ સરકારે મારા નાટકને કારણે આખા અંત પર પ્રતિબંધ મૂકી દીધો, તેની તમામ નકલો જપ્ત કરી લીધી અને પ્રકાશકો પાસેથી ભવિષ્યમાં આવું રાજકીય લખાણ નહીં છપાય એવી બાહેંધરી સાથે જામીનગીરી પેટે રૂ.બે હજારની રકમ લીધી.’

હમણાં જ જેનો એક હજારમો અંક પ્રકાશિત થયો એ ‘કુમાર’ના તત્કાલીન તંત્રી રવિશંકર રાવળે શું કર્યું? લેખકને ઠપકો આપ્યો? તેમની કૃતિઓ છાપવાનું બંધ કર્યું? શ્રીધરાણીએ લખ્યું છે, ‘એમણે મને જાણ સુદ્ધાં ન કરી અને મારી કવિતાઓ રાબેતા મુજબ ‘કુમાર’માં પ્રકાશિત થતી રહી. મને તો બહુ પાછળથી આ વાતની ખબર પડી.’

વિદ્યાપીઠ પછી રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં પ્રવેશ મેળવીને શ્રીધરાણીએ જાણે રાષ્ટ્રિય શાળાઓનું આખું વર્તુળ પૂરું કર્યું : વકીલ પિતાના પુત્ર તરીકે કૃષ્ણલાલને ‘બેરિસ્ટર’ બનાવવાનો અને એ માટે બ્રિટિશ કેળવણીની સ્કૂલમાં મૂકવાનો નિર્ણય સ્વાભાવિક હોત. પણ રાષ્ટ્રિય ભાવનાથી પ્રેરાયેલાં કૃષ્ણલાલનાં માતાએ તેમને દક્ષિણામૂર્તિ મોકલ્યા હતા. સાવ નાની વયે જૂનાગઢ મામાને ત્યાં રહેતા કૃષ્ણલાલ પ્રાકૃતિક વાતાવરણનો બાળસહજ આનંદ માણવામાં એવા મસ્ત રહેતા કે નિશાળમાં ચિત્ત ચોંટતું ન હતું. પરીક્ષા વખતે ગણિતનું પેપર તેમણે સાવ કોરું મૂકી દીઘું હતું- સ્વચ્છતાના ૧૦ માર્ક આપવાની વિનંતી સાથે! કંઇક આ જ પ્રકારની હળવાશથી તેમણે ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ પુસ્તકમાં અંગ્રેજી કેળવણી અંગે ભારતીયોના મોહ વિશે લખ્યું હતું. લંડન ગયા પછી આઇ.સી.એસ.માં નાપાસ થતા ભારતીયો મજબૂરીથી બેરિસ્ટર બને છે એમ જણાવીને તેમણે ટીપ્પણી કરી હતીઃ ‘ભારતમાં એમ્બ્યુલન્સ કરતાં બેરિસ્ટરોની સંખ્યા વધારે છે.’

શાંતિનિકેતનમાં દેશવિદેશના વિદ્વાનો અને ખાસ કરીને બે અમેરિકન અઘ્યાપકોના સંપર્કથી તેમના મનમાં અમેરિકા ભણવા જવાનો વિચાર દૃઢ થયો. અંગ્રેજોના દેશમાં ભણવા ન જવાય એવો ખ્યાલ અને અંગ્રેજી શિક્ષણપદ્ધતિની મર્યાદા પણ આ નિર્ણય માટે જવાબદાર હતાં. રવીન્દ્રનાથ ટાગોરે અંગ્રેજીમાં ડિસ્ટિંક્ડિશન સાથે પાસ થયેલા આ વિદ્યાર્થીને ફક્ત પ્રોત્સાહન જ નહીં, ભલામણ ચિઠ્ઠી પણ આપી, જે તેમણે ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી પર લખી હતી.

Krishnlal Shridharani (right) with Tagore (courtesy: Shraddha Shridharani)

પોતાની આવડત અને ટાગોર જેવાની ભલામણને લીધે ભાવનગર રાજ્ય તરફથી તેમને સ્કોરલશિપ મળતાં ૧૯૩૪માં તે અમેરિકા ઉપડ્યા. ગુજરાતમાં તેમને કવિ તરીકે વ્યાપક પ્રતિષ્ઠા અપાવનાર સંગ્રહ ‘કોડિયાં’ તેમના જતાં પહેલાં પ્રકાશિત થઇ ચૂક્યો હતો. પરંતુ અમેરિકામાં સાવ જુદી જ દુનિયા શ્રીધરાણી રાહ જોતી હતી. હા, રાહ જોતી હતી. કારણ કે એ વખતે અમેરિકામાં માંડ ત્રીસેક ભારતીય વિદ્યાર્થીઓ જુદી જુદી યુનિવર્સિટીમાં ભણતા હતા. તેમાં શ્રીધરાણી જેવી સાહિત્યિક સંવેદનશીલતા અને અભિવ્યક્તિ, બન્ને સંસ્કૃતિઓનાં સારાં પાસાં જોઇ શકવાની ખુલ્લાશ તથા ભારત વિશે અંગ્રેજોએ ફેલાવેલી ગેરમાન્યતાઓ દૂર કરી શકવા જેટલી બૌદ્ધિક સજ્જતા શ્રીધરાણી જેવા કોઇકમાં જ હોય.

અમેરિકામાં શ્રીધરાણી ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રના મુખ્ય વિષય સાથે એમ.એ. અને કોલંિબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી એમ.એસ. થયા. ત્યાર પછી કોલંબિયા યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગમાં પીએચ.ડી.ની શરૂઆત કરી. અમેરિકામાં ત્યારે રંગભેદવિરોધી ચળવળનો બાંધો ઘડાઇ રહ્યો હતો. એક તરફ પેસિફિસ્ટ તરીકે ઓળખાતા શાંતિપ્રેમીઓ અને બીજી તરફ ડબલ્યુ.ઇ.બી.દુબોઇસ જેવા વિદ્વાનો પોતપોતાની રીતે ગાંધીજીની અહંિસક ચળવળને સમજવાનો અને રંગભેદવિરોધી લડત માટે અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શાંતિને જ સાઘ્ય ગણતા પેસિફિસ્ટ વિચારધારાના લોકોને ગાંધીજીમાં આઘ્યાત્મિક રીતે અને દુબોઇસ જેવાને સત્યાગ્રહની રાજકીય વ્યૂહરચનામાં રસ પડતો હતો. એ સમયગાળામાં કૃષ્ણલાલ શ્રીધરાણીનું પુસ્તક ‘વોર વિધાઉટ વાયોલન્સ’ (૧૯૩૯) ખરા અર્થમાં પ્રકાશિત થયું.

અસલમાં શ્રીધરાણીએ પીએચ.ડી.ના મહાનિબંધના એક હિસ્સા તરીકે એ લખાણ તૈયાર કર્યું હતું. પણ અમેેરિકા અને બ્રિટન એમ બે દેશોના વ્યાવસાયિક પ્રકાશકોએ તેને ઉલટભેર પ્રકાશિત કર્યું. તેમાં ગાંધીજીના સત્યાગ્રહનાં અનેક પાસાંની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં તેમ જ રાજકીય શસ્ત્ર તરીકે છણાવટ કરવામાં આવી હતી. સત્યાગ્રહ માટે શ્રીધરાણીએ વાપરેલો અંગ્રેજી શબ્દ હતોઃ નોન-વાયોલન્ટ ડાયરેક્ટ એક્શન. તેમાં આવતો ‘ડાયરેક્ટ એક્શન’નો ભાવ શાંતિને સર્વસ્વ માનતા શાંતિવાદીઓને સંઘર્ષનો અહિંસક ગાંધીમાર્ગ ચીંધતો હતો, જે રંગભેદવિરોધી લડતમાં પણ ઉપયોગી બને તેમ હતો. પરિણામે, શ્રીધરાણીનું આ પુસ્તક, એક અભ્યાસીના નોંઘ્યા પ્રમાણે, રંગભેદ સામે ચળવળ ચલાવતી અને ટૂંકમાં ‘કોર’ તરીકે ઓળખાતી સંસ્થા ‘કોંગ્રેસ ફોર રેશિઅલ ઇક્વાલિટી’નું ‘સેમીઓફિશ્યલ બાઇબલ’/ બિનસત્તાવાર ધર્મપુસ્તક બની ગયું.

‘વોર વિધાઉટ વાયોલન્સ’નો સંદેશ પ્રસરે તે પહેલાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં, એ પુસ્તક ભૂલાવા લાગ્યું. બાર વર્ષ પછી ભારત પાછા આવેલા શ્રીધરાણીએ મૃત્યુ પહેલાં ‘વોર વિધાઉટ વાયોલન્સ’ની મૂળ આવૃત્તિમાં વઘુ સામગ્રી ઉમેરીને, તેની નવી આવૃત્તિ તૈયાર કરી. પરંતુ ડો.રાધાકૃષ્ણન્‌ના આવકાર સાથે તે ભારતીય વિદ્યાભવન દ્વારા ફરી (૧૯૬૨)માં પ્રકાશિત થાય, તે પહેલાં હૃદયરોગના હુમલાથી ૨૩ જુલાઇ, ૧૯૬૦ના રોજ દિલ્હીમાં ૪૯ વર્ષની વયે કૃષ્ણલાલ શ્રીધરાણીનું અવસાન થયું.

4 comments:

  1. Anonymous9:08:00 PM

    તેમની જીવનઝાંખી .....

    http://sureshbjani.wordpress.com/2006/09/06/shreedharani/

    ReplyDelete
  2. Anonymous4:32:00 AM

    "નોન-વાયોલન્ટ ડાયરેક્ટ એક્શન...."

    Just superb...offcourse have heard of Shrikrishnalal Shridharani but not did not have as much details as you mentioned.Really enjoyed and all this names of books written by him were really unknown and heard for the first time.Thanks for the valueable information as usual....And he was quiet handsome as picture describe....:)

    ReplyDelete
  3. Fantastic Urvish. I feel almost embarrassed that I had no inkling of this man's existence in all these years (considering I pride myself on my knowledge of contemporary history). I would really urge you now to collate the two wonderful blog pieces you have done on Krishnalal Shridharani, translate them and have a dedicated wiki page on this rare gem of our State. Bravo effort! And very illuminating for people like me.

    ReplyDelete
  4. Anonymous6:34:00 PM

    અદ્ભુત

    ReplyDelete