Wednesday, October 28, 2015

ટ્રાફિક પોલીસ-ભદ્રંભદ્ર સંવાદ

પૂનમથી પરિચિત હોવા છતાં જેમ શરદપૂનમનું માહત્મ્ય લોકો માટે વિશેષ હોય છે, તેમ બાઇક પર ત્રણ સવારીના દૃશ્યથી ટેવાયેલા નગરજનો ભદ્રંભદ્રને એ સ્થિતિમાં ગોઠવાયેલા (કે સમાયેલા) જોઇને ચકિત થતા હતા. તેમના આશ્ચર્યને અહોભાવ ગણીને ભદ્રંભદ્રને સભા પહેલાં જ વિજયશ્રીની અનુભૂતિ થવા લાગી. નગરનો ધસમસતો ટ્રાફિક જોઇને ભદ્રંભદ્રે કહ્યું, ‘અંબારામ, વિધવિધ વાહનો પર આરૂઢ થઇને સમસ્ત નગરજનો સાયંકાલની સભામાં મારા ઉદ્‌બોધનના શ્રવણાર્થે કેવી ત્વરાથી ધસી રહ્યાં છે. શો તેમનો ઉત્સાહ. શો તેમનો ઉમંગ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે પહોંચવાની ઉત્સુકતામાં તે નિજ પ્રાણની પણ પરવા કરતાં ન હોય એમ ભાસે છે. આપણા ધર્મકાર્યનો પ્રભાવ ખરે જ વિરાટ છે...

બાઇક ચલાવતા રીપોર્ટરે માહિતી આપવાનો પ્રયાસ કર્યો કે આ તો અહીંના લોકોની કાયમી ડ્રાઇવિંગ સ્ટાઇલ છે. લોકો સરકસમાં ચલાવતા હોય એવી જ રીતે હંકારે છે. પણ અનામતનાબૂદીના જુસ્સા અને સનાતન ધર્મના જોસ્સાથી થનગનતા ભદ્રંભદ્રને એ સંભળાયું નહીં. તેમણે પૂર્વવત્‌ ઉત્સાહથી ડોકું સહેજ પાછળ ફેરવવાની ચેષ્ટા સાથે કહ્યું,‘હે અંબારામ, કોટિ કોટિ આર્યજનોની અપેક્ષા મારામાં પરશુરામનું પ્રાગટ્ય પ્રેરે છે. મારું જિહ્વાક્ષત્રિયત્વ દિક્‌કાલની સીમાઓ ઉલ્લંઘવા તત્પર છે...

ભદ્રંભદ્રનું સ્વકથન ચાલુ જ રહ્યું હોત, પણ બાઇકની બ્રેકથી અચાનક તેમનો વાક્‌પ્રવાહ તૂટ્યો. સિસોટી તો પહેલાં વાગી હેતી, પણ ભદ્રંભદ્રના મનમાં તેની નોંધ બાઇક થોભ્યા પછી લેવાઇ. વાક્‌વિહારમાં અને ધર્મયાત્રામાં વિક્ષેપ પડતાં ભદ્રંભદ્ર કોપિત થયા,‘કયો સુધારાવાળો આરક્ષણઉચ્છેદનસ્થલી તરફની યાત્રામાં વિધ્ન સર્જી રહ્યો છે?’

અંબારામે ગુસપુસ સ્વરે ભદ્રંભદ્રને માહિતી આપી, ‘ટ્રાફિક પોલીસ છે.

દરમિયાન ભદ્રંભદ્રની નજર પણ ટ્રાફિક પોલીસ પર પડી. એટલે જયદ્રથ તરફ ધસી જતા અર્જુન જેવી મુદ્રામાં તે ટ્રાફિક પોલીસ પાસે પહોંચ્યા અને રોષપૂર્વક બોલ્યા,‘હે અલ્પમતિ અધર્માચારી યાતાયાતનિયંત્રક, સનાતનધર્મની રક્ષા કાજે અનામતઉચ્છેદન હેતુ પ્રવૃત્ત મહાનુભાવોને પદભ્રષ્ટ એવમ્‌ પથભ્રષ્ટ કરવાનું પાપ વહોરીને તું નર્કનો અધિકારી બન્યો છું, એવું કહેતાં મને રજમાત્ર સંકોચ થતો નથી. તવ કર્તવ્યથી હું જ્ઞાત છે અને કર્તવ્યભાવનાનો હું દૃઢાગ્રહી છું. તથાપિ તારે આર્યાવર્તના જ નહીં, સમસ્ત જંબુદ્વીપના હિત કાજે મારી કર્તવ્યભાવનાનાની વેદી પર તારી કર્તવ્યભાવનાનું બલિદાન અર્પવું જોઇએ. એમાં જ તારી, મારી, આર્યાવર્તની, જંબુદ્વીપની અને દિગદિગંતમાં વ્યાપ્ત સનાતન ધર્મની શોભા છે.

ઘડીમાં રીપોર્ટર સામે, તો ઘડીમાં ભદ્રંભદ્ર સામે જોતા ટ્રાફિક પોલીસને શું કહેવું --અને ખાસ તો, શું કરવું--એ સમજાયું નહીં. ગૂંચવણ ટાળવા માટે ગુસ્સે થવાનો સહેલો વિકલ્પ અપનાવીને પોલીસે પૂછ્‌યું,‘અહીં તમારી એકેય દલીલ નહીં ચાલે, મહારાજ. આ લગનની ચોરી નહીં, ટ્રાફિક  પોઇન્ટ છે. અહીં તમે કહો એમ નહીં, હું કહું એમ થશે. પછી રીપોર્ટર તરફ જોઇને કહે,‘આને કહી દે કે બડબડ ન કરે. એક તો ટ્રિપલ સવારીમાં બેસવું ને..તમે પ્રેસવાળા થઇને સમજતા નથી?’

તેના જવાબમાં રીપોર્ટરે બેશરમીથી શરમનો ભાસ થાય એવું સ્મિત કર્યું, જેનો અર્થ થાય,‘પ્રેસવાળા છીએ, એટલે તો નથી સમજતા. અમે એટલો પણ ગેરલાભ ન લઇ શકીએ તો પછી પ્રેસવાળા હોવાનો શો મતલબ?’

ભદ્રંભદ્રને લાગ્યું કે મામલો ટ્રિપલ સવારીનો અને કાયદો તોડવાનો છે, પણ દરેક સુધારાવાળાને શત્રુ અને શત્રુને સુધારાવાળો માનતા ભદ્રંભદ્રને દૃઢ પ્રતીતિ હતી કે પ્રત્યેક વિવાદમાં પ્રતિપક્ષને શાસ્ત્રાર્થ વડે ચિત કરીને પોતાનો પક્ષ સાચો સાબીત કરી શકાય છે. એટલે તેમણે ટ્રાફિક પોલીસને કહ્યું,‘હે શ્વેતવસ્ત્રધારી, સ્વર્ગલોકમાં યાતાયાતવ્યવસ્થાના નિયમોથી હું જ્ઞાત છું. ત્યાં કાર્તિકેયના મયુર કે  શિવશંભોના નંદી આદિ વાહનો માટે આવો કોઇ બાધ નથી. સ્વર્ગલોકની પ્રણાલિકાને મર્ત્યલોકનાં મનુષ્યોએ અનુસરવું એમ કહેવું ઇષ્ટ એવમ્‌ અભિષ્ટવ છે.

ભગવાનનાં નામ આવ્યાં એટલે ટ્રાફિક પોલીસ જરા નરમ પડ્યો. તેને થયું કે વાતવાતમાં ક્યાંક આ મહારાજની ધાર્મિક લાગણી દુભાઇ ને ટોળું ભેગું થશે તો અઘરું પડશે. એણે સમજાવટના સૂરમાં કહ્યું, ‘મહારાજ, મહાદેવ ને કાર્તિકેયનાં વાહનો વિશે મને ખ્યાલ છે, પણ એમનાં વાહનોને આરટીઓ પાસિંગ કરાવવું પડતું નથી ‌ને એમને લાયસન્સની પણ જરૂર હોતી નથી. એટલે એમના વાદે ન ચડાય. નહીંતર તમે તો જતા રહેશો, પણ આ ભાઇનું લાયસન્સ જપ્ત થઇ જશે.

ભૂતકાળમાં ભદ્રંભદ્રના પોલીસઅનુભવો ખાસ યાદ રાખવા જેવા ન હતા. એમ તો, સુધારાવિરોધી લડાઇનો અનુભવ પણ ક્યાં સારો હતો? પરંતુ ભદ્રંભદ્ર--ના, ભદ્રંભદ્રો--ભૂતકાળને ફક્ત જડતાપૂર્વક વળગી શકે છે. તેમાંથી ધરાર કંઇ પણ ન શીખવા કૃતનિશ્ચયી હોય છે. એ જ તેમના ભદ્રંભદ્ર હોવાનું કારણ છે અને એ જ તેનું પ્રમાણ પણ છે.

ટ્રાફિકપોલીસને જરા નમ્રતાપૂર્વક વાત કરતો જોઇને ભદ્રંભદ્રને જોશ ચડ્યું. ચરણ રુકે ત્યાં કાશીમથુરા ન્યાયે તેમણે મ્યુનિસિપાલિટીના રસ્તાને વ્યાસપીઠનો દરજ્જો આપીને પોલીસને ધર્મપ્રબોધન કરતાં કહ્યું,‘હે લધુશંખિકાધારી, શ્રીકૃષ્ણના પાંચજન્ય શંખના ધ્વનિથી શત્રુસૈન્યનાં ગાત્રો શિથિલ થતાં હતાં, તેમ જ તારી લધુશંખિકાનો સ્વર વાહનચાલકોનાં હૃદયોમાં કિંચિત  ભયનો સંચાર કરે છે તે નિર્વિવાદ છે. કિંતુ તને જ્ઞાત હોવું ઘટે કે તેના માટે લધુશંખિકાનો કે તારો નહીં, પરંતુ રાજ્યસંહિતાનો પ્રભાવ કારણભૂત છે...

ભદ્રંભદ્રની ચાલુ વાતે પોલીસના હાવભાવ બદલાતા જોઇને અંબારામે ઝડપથી, બને એટલો નમ્ર અનુવાદ કરતાં કહ્યું,‘મહારાજના કહેવાનું તાત્પર્ય એમ છે કે તમારી સિસોટીના અવાજથી ભલભલા ધ્રુજી જાય છે. કારણ કે તમારી સિસોટી કોઇ એક માણસનો નહીં, પણ કાયદાનો અવાજ છે.

ભદ્રંભદ્રે વધારે જોશથી આગળ ચલાવ્યું,‘મર્ત્યલોકની સંહિતા મર્ત્ય મનુષ્યો માટે છે. સુધારાના પરાજય અને આરક્ષણના ઉચ્છેદન જેવા ધર્મકાર્યોમાં પ્રવૃત્ત મહાજનો કાજે તે બંધનકર્તા નથી, એવા કથનમાં લેશમાત્ર અસત્યૌચ્ચારણ નથી. ધર્મકાર્યમાં વિઘ્નરૂપ નીવડેલા દુર્જનો દુષ્ટ સુધારાવાળા અને દુષ્ટ આરક્ષણસમર્થકો કરતાં પણ વધારે ઘોર અનિષ્ટ આચરવાના દોષી છે. મૃત્યુપશ્ચાદ્‌ તેમના માટે નર્કપ્રાપ્તિ નિશ્ચિત જાણવી. અશ્વમેધ યજ્ઞ માટેનો અશ્વ રોકનારે જેમ ભીષણ યુદ્ધ અને ઘોર પરાજયની સન્મુખ થવું પડે છે, એવું જ સનાતન ધર્મપ્રીત્યાર્થે પ્રવૃત્ત પ્રતાપી પુરૂષોને રોકવા વિશે પણ જાણવું. એમ કરીને નરકનો અધિકારી બનવાને બદલે...

ફરી નરકના ઉલ્લેખથી અને ભદ્રંભદ્રના ઊંચા થતા જતા અવાજથી ટ્રાફિક પોલીસ ભડક્યો. તેણે બાંધી રાખેલી સંયમની પાળ તૂટી. બોલતાં બોલતાં ભદ્રંભદ્રનો લંબાયેલો હાથ તેણે એક ઝટકાથી નીચે લાવી દીધો અને બરાડો પાડ્યો,‘ચૂપ. ક્યારના બોલતા નથી એટલે સમજે છે શું તારા મનમાં?. હવે એક પણ અક્ષર વધારે બોલ્યો, તો મારી મારીને સુવ્વર બનાવી દઇશ


આરક્ષણસમર્થકોના અને સુધારાવાળાના પરાજય કાજે વરાહઅવતાર પણ સ્વીકાર્ય છે એવું કંઇક ભદ્રંભદ્ર બોલવા જતા હતા, પણ અંબારામના ઇશારાથી તે અટકી ગયા (ક્રમશઃ)  


Tuesday, October 27, 2015

સરદાર, ચીન અને વક્રતાનો સિલસિલો

 ‘ચીનની સરકારે શાંતિમય ઇરાદાઓની જાહેરાતોથી આપણને છેતરવાનો પ્રયત્ન કર્યો છે...આપણે આપણી જાતને ભલે ચીનના મિત્ર માનતા હોઇએ, ચીનાઓ આપણને એમના મિત્ર માનતા નથી. એમની સાથે નથી તે એમની સામે છેએવી સામ્યવાદી મનોવૃત્તિ હોવાથી આ એક અર્થસૂચક ચિહ્ન છે અને આપણે એની યોગ્ય નોંધ લેવી જોઇએ.આ વાક્યો સરદાર પટેલે ૭ નવેમ્બર, ૧૯૫૦ના રોજ, અવસાનનાં માંડ પાંચ અઠવાડિયાં પહેલાં, વડાપ્રધાન નેહરુને એક પત્રમાં લખ્યાં હતાં.

તિબેટના મુદ્દે ચીને ભારતના એલચીને અંધારામાં રાખીને, તેમને શાંતિપૂર્ણ કાર્યવાહીનું આશ્વાસન આપીનેતિબેટ પર સૈન્ય મોકલ્યું. એ કાર્યવાહીને સરદારે વિશ્વાસઘાતગણાવી અને ચીને ભારતને આપેલા ઉદ્ધત-ઉડાઉ જવાબ વિશે લખ્યું, ‘એમ દેખાય છે કે જાણે આ ભાષામાં કોઇ મિત્ર નહીં, પણ ભાવિ દુશ્મન બોલી રહ્યો છે.

ચીન વિશે સરદારની ચિંતા બેધારી હતી : સરહદી અને આંતરિક. ભારત અને ચીન વચ્ચેથી તિબેટનું બફરનાબૂદ થઇ ગયા પછી, ભારતના સામ્યવાદીઓ માટે ચીન પાસેથી શસ્ત્રોની અને બીજી સહાય મેળવવાનું સહેલું બની જાય. એને સરદારે ગંભીર આંતરિક સમસ્યાગણાવી, જ્યારે સરહદી વિસ્તારોમાં ચીનની ઘૂસણખોરી  કે આક્રમણ ચિંતાજનક બાહ્ય શક્યતા હતી. આટલું થયા પછી પણ શાંતિદૂતની ભૂમિકામાં રજૂ થવા આતુર પંડિત નેહરુ યુનોમાં ચીનના સભ્યપદના દાવાને ટેકો આપવાના મતના હતા. તેની સામે ચેતવણી આપવાની સાથોસાથ સરદારે પત્રમાં ચીની ખતરા અંગે અગિયાર મુદ્દા મૂક્યા હતા. તેમાં પહેલો મુદ્દો હતો : ભારતની સરહદ પર અને આપણી આંતરિક સલામતી પર ચીનના જોખમ અંગે એક લશ્કરી અને જાસૂસી મૂલ્યાંકન.નેહરુએ શાંતિપ્રિય દેખાવા માટે સૈન્યસજ્જતાને તડકે મૂકી દીધી, ત્યારે સરદારે ૧૯૫૦માં ચીનના સંદર્ભે લખ્યું હતું,‘આપણે શસ્ત્રો, દારૂગોળો અને બખ્તરિયાં વાહનોનો આપણો પુરવઠો પાકો નહીં કરીએ, તો આપણી સંરક્ષણ સ્થિતિ કાયમ માટે નબળી બનાવી દઇશું...

ચીનની દાનત વિશે સરદારે વ્યક્ત કરેલી બધી આશંકાઓ તેમના મૃત્યુ પછી કરુણ રીતે સાચી પડી. ચીને તિબેટ હડપ કર્યા પછી પણ શાંતિનો દંભ ચાલુ રાખ્યો, પંચશીલના સિદ્ધાંતો પર સહી કરી અને પંડિત નેહરુને સુખદ ભ્રમમાં રાખ્યા. બન્ને દેશો વચ્ચે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધો સ્થપાયા. પરંતુ ચીની દૈત્ય એમ જંપે? તેણે લદ્દાખ અને સિક્કિમના પ્રદેશો પર પોતાનો દાવો કર્યો. ૧૯૬૨માં થયેલા પૂરા કદના યુદ્ધ પછી ચીને જમ્મુ-કાશ્મીરમાં ગણાતો અક્સાઇ ચીનનો આશરે ૩૮ હજાર ચોરસ કિલોમીટરનો પ્રદેશ ભારત પાસેથી પડાવી લીધો, જે હજુ ચીનના કબજામાં છે અને ભારત કશું કરી શક્યું નથી. પાકિસ્તાને ભારત પાસેથી આંચકી લીધેલા કાશ્મીરમાંથી ૫,૧૮૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ ચીનને ભેટ ધર્યો. તેની સામે પણ ભારતનો વિરોધ છે. દરમિયાન, અરુણાચલ પ્રદેશને (ચીનના તાબામાં રહેલા) તિબેટથી અલગ પાડતી મેકમોહન રેખા ચીનને સ્વીકાર્ય નથી. અરુણાચલ પ્રદેશ પર ચીનનો ડોળો મંડાયેલો છે અને ચીનનાં તેવર વધુ ને વધુ આક્રમક બની રહ્યાં છે. લશ્કરી તાકાતની અને દાંડાઇની બાબતમાં ચીન કોઇને ગાંઠે એમ નથી, તો સસ્તા ભાવે તકલાદી માલ ઠાલવીને વ્યાપારી સંબંધોના નામે ભારત જેવા દેશોના અર્થતંત્રને નુકસાન પહોંચાડવામાં ચીન પાવરઘું છે.

ચીનના પ્રતિકાર માટે લાંબા ગાળાની, ઠરેલ અને મક્કમ નીતિની આવશ્યકતા છે. કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારો તેમાં નિષ્ફળ નીવડી હતી, તો વિપક્ષમાં રહીને  રાષ્ટ્રવાદની મર્દાના વાતો કરતા ભાજપ અને તેની આગેવાની હેઠળની સરકારના વડાપ્રધાને ચીનના મુદ્દે શું કર્યું છે? દોઢ વર્ષના સમયમાં તેમના અગાઉના હાકોટાને અનુરૂપ એકેય કદમ ભરાયું હોય એવું લાગ્યું નથી. ઉપરથી તેમણે ચીની વડાને સાબરમતીના રીવરફ્રન્ટ પર સંખેડાના હિંચકે ઝુલાવ્યા અને ચીનવિજય કર્યો હોય એવા ઉત્સાહથી ચીનયાત્રાના સચિત્ર ટ્‌વીટ કર્યા. હવે સમાચાર આવ્યા છે કે વિશ્વમાં સૌથી ઊંચા પૂતળા તરીકેનો રેકોર્ડ સર્જવા માટે તૈયાર થનાર સરદારના પૂતળાનો (સ્ટેચ્યુ ઓફ યુનિટીનો) મહત્ત્વનો હિસ્સો ચીનમાં બનવાનો છે. પૂતળું બનાવવાનો સરકારી કોન્ટ્રાક્ટ તો ભારતીય કંપનીને મળ્યો હતો, પણ એ કંપનીએ પૂતળાનું સ્ટીલનું માળખું અને તેની ઉપરના કાંસાના આવરણ (બ્રોન્ઝ ક્લેડિંગ)નો પેટાકોન્ટ્રાક્ટ ચીનની કંપનીને આપ્યો છે. આ ઉપરાંત, પૂતળા માટે કોન્ક્રીટનો પાયો બનાવવામાં મદદ કરવા માટે ચીનથી કારીગરો ગુજરાત આવવાના છે.

આખી વાતમાં ગુજરાત સરકારે એમ કહીને હાથ ઊંચા કરી દીધા છે કે એમણે તો ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ક્યાં કામ કરાવવું એ હવે કંપની જાણે. પરિણામે બનશે એવું કે ભારતનો ૩૮ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પચાવી પાડનાર ચીનમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદારના પૂતળાનું મુખ્ય માળખું બનશે. ભારતની યુનિટી પર ભૂતકાળમાં તરાપ મારી ચૂકેલા અને ભવિષ્યમાં ખતરા તરીકે ઝળુંબતા ચીનમાં ભારતનું સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર લેશે અને તેના વિશે ભારતીયોએ તેનું ગૌરવ લેવાનું રહેશે. આ સ્થિતિના સર્જનમાં સરકારનો ભલે સીધો વાંક ન હોય, પણ આ સ્થિતિ નભાવી લેવામાં અને તેને કોન્ટ્રાક્ટરનો નિર્ણયગણીને હાથ ખંખેરી નાખવા બદલ સરકાર પૂરેપૂરી દોષી ન ગણાય? ધારો કે આ પેટાકોન્ટ્રાક્ટ ચીનને બદલે પાકિસ્તાનની કોઇ કંપનીને અપાયો હોત તો, ગુજરાત સરકારનું વલણ આવું જ હોત?

આ શરમજનક પરિસ્થિતિમાં રહેલી અને નરી આંખે જોઇ શકાય એવી વક્રતાઓની અછડતી યાદી :

૧) ભારતની એકતા-અખંડિતતાના શિલ્પીની વિશ્વવિક્રમી પ્રતિમાનું સર્જન ભારતની ભૌગોલિક એકતા ખંડિત કરનારા દેશમાં.

૨) અખંડિતતાના શિલ્પીનું પૂતળું ચીનથી જુદા જુદા ભાગોમાં ભારત આવશે. ભારતનું વિલીનીકરણ કરનાર સરદારના પૂતળાના વિવિધ ભાગોનું વિલીનીકરણકરવા માટે ચીનથી ખાસ કારીગરો ગુજરાત આવશે અને સરદારના પૂતળાને એકતા-અખંડિતતા પ્રદાન કરશે.

૩) આવા વખતે  કેન્દ્રમાં અને રાજ્યમાં, ભારતની એકતા-અખંડિતતા વિશે અને જમ્મુ-કાશ્મીર વિશે સૌથી વઘુ રાજકીય ઘોંઘાટ મચાવનાર ભાજપની સરકાર છે.

૪) વડાપ્રધાનની મેક ઇન ઇન્ડિયાઝુંબેશ હજુ ચાલુ છે, પણ તે વિશ્વભરમાં ભારતનો જયજયકાર કરવાના હેતુથી ઊભા થનારા પૂતળાને લાગુ પડતી નથી.

૫) અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવનાર અને પૂતળાંબાજીના વિરોધી સરદારના પૂતળા પાછળ ત્રણ હજાર કરોડ રૂપિયાનો ઘુમાડો.

૬) દેશભરના ખેડૂતો પાસેથી ખેતનાં ઓજારસ્વરૂપે લોખંડ મેળવવાના (અને એનો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉપયોગ કરવાના) દાવા સાથે બધાં રાજ્યોમાં ખટારા રવાના કરવામાં આવ્યા હતા. પણ આ કિસ્સામાં વડાપ્રધાનની આબાદ ઇવેન્ટ મેનેજરી કામયાબ ન થઇ.

૭) દાવો વિશ્વનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવીને અમેરિકાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના પૂતળાને ઢાંકી દેવાનો છે, પણ લધુતાગ્રંથિમાંથી જન્મેલી નકલવૃત્તિને લીધે તેનું નામ પાડ્યું છે : સ્ટેચ્યુ ઓફ યુનિટી’/statue of unity--જે બોલતી વખતે સતત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી/statue of liberty યાદ આવતું રહે.


આને મેડ ઇન ચાઇનારાષ્ટ્રવાદ કહેવાય

Friday, October 23, 2015

ત્રણસવારીમાં સભાસ્થળે ઉપડ્યા ભદ્રંભદ્ર

ભદ્રંભદ્રને ભદ્રેશભાઇતરીકે ઉલ્લેખીને તેમનો ઇન્ટરવ્યુ કરી રહેલી છબછબિયાંચેનલની એન્કરે પૂછ્‌યું,‘તો ભદ્રેશજી, તમે અનામતની નાબૂદી તમે કેવી રીતે કરશો?’

પાંડુપુત્રોએ કૌરવોને પરાજયી કર્યા, શ્રી લક્ષ્મણે ઇન્દ્રજીતને અને શ્રી રામે રાવણને પરાસ્ત કર્યા, તેવું જ મારું આરક્ષણ વિશે જાણવું.ભદ્રંભદ્રે પ્રચંડ આત્મવિશ્વાસથી કહ્યું.

પણ તમે જે ગણાવ્યાં એ બધાં માણસોનાં નામ હતાં. અનામત  માણસ નથી, વ્યવસ્થા છે...

વ્યવસ્થા? એ સનાતનધર્મદ્રોહી, પાપાચારી, આર્યબાલકોના ચિત્તમાં પારાવાર વિક્ષોભ પ્રેરિત કરનારી અવસ્થાને વ્યવસ્થા કહીને હું સ્વર્ગમાંથી સ્થાનભ્રષ્ટ થવા ઇચ્છુક નથી...આર્ય કૌટિલ્યે જેમ ધનનંદના સામ્રાજ્યનું ઉચ્છેદન કર્યું હતું, તેમ હું...

પણ સર? કેવી રીતે? હાઉ? કૈસે?’ એન્કરે બડી ખબરની અધીરાઇ અને તેમાં ભળેલી ચીડ પર માંડ કાબૂ રાખતાં કહ્યું.

શિષ્યશિરોમણી અંબારામના વિનીત અનુરોધ છતાં હું ભીષણ પ્રતિજ્ઞાઓ પૂર્વે કે પશ્ચાદ્‌ મનન એવમ્‌ આયોજનના વિપક્ષમાં છું. આર્યાવર્તની ઉજ્જવલ પરંપરા રહી છે કે વીરજનો પરાક્રમ પૂર્વે મનન કરીને ચિત્તવૃત્તિ અસ્થિર કરતા નથી અને હે પ્રશ્નમાલાધારિણી, તું જાણ કે મહાજનો આયોજનને નહીં, આયોજન મહાજનોને અનુસરે છે... યવનસંસ્કૃતિનાં દુષ્પરિણામ સમાન મુદ્દાશક્તિપ્રણાલિદાસત્વ તપોબલને કારણે મને સ્પર્શી શક્યું નથી.

શું? શું નથી સ્પર્શ્યું? મુદ્દાશક્તિ? એ રક્ષાશક્તિ જેવી કોઇ નવી યુનિવર્સિટી છે?’ એન્કરે ગુંચવાઇને પૂછ્‌યું.

અંબારામે કહ્યું,‘એ પાવરપોઇન્ટ  પ્રોગ્રામ (મુદ્દાશક્તિ પ્રણાલિ)ની વાત કરે છે. એના ગુલામ બની ગયેલા અને એ વિના કશું કરી શકતા લોકો સામે આર્ય ભદ્રંભદ્રને સખત રોષ છે.

ઓકે. ગોટ ઇટ. તો ભદ્રેશભાઇ, સાંજની સભામાં અનામત નાબૂદ કરશો એ તો નક્કી છે. રાઇટ?’

શત પ્રતિશત નિશ્ચિત. સાયંકાલની સભામાં આરક્ષણ નથી કાં હું નથી.છેલ્લા બે શબ્દો બોલતી વખતે ભદ્રંભદ્રનો અવાજ ધીમો પડી ગયો હોય એવો અંબારામને ભાસ થયો. અત્યાર સુધીના અનુભવો પરથી તે જાણતા હતા કે બીજો વિકલ્પ સાચો પડવાની શક્યતા મજબૂત છે. પરંતુ ભદ્રંભદ્રો બોલવા ચડે, ત્યાર પછી અંબારામો પાસે ઉનકે કહનેકે મતલબ યે નહીં થાએવા ખુલાસા કર્યા સિવાય બીજા વિકલ્પ રહેતા નથી.

એન્કરના ઉત્તેજનાસભર અવાજથી અંબારામની વિચારમાળા તૂટી. તો દર્શકમિત્રો, તમે છબછબિયાં ચેનલ પર પહેલી વાર સાંભળી રહ્યા છે મોટો ખુલાસો. ભદ્રેશભાઇએ ચોખ્ખેચોખ્ખું કહ્યું નથી, પણ તેમની વાતમાં આત્મવિલોપનનો નિશ્ચય હોય એવું લાગે છે. તેમની આ ધમકીનું શું થાય છે? સાંજની સભામાં તે અનામત નાબૂદ કરી શકે છે કે નહીં? કરે છે તો કેવી રીતે? આત્મવિલોપન માટે તે કયો રસ્તો અપનાવે છે? એ જાણવા માટે જોતા રહેશો છબછબિયાં ચેનલનું નોનસ્ટોપ કવરેજ.

રેકોર્ડિંગ સ્ટુડિયોની બહાર નીકળ્યા પછી ભદ્રંભદ્ર પ્રસન્ન જણાતા હતા. ભાવિની કોઇ સુખદ ઘટનાનું પૂર્વદર્શન આવતું હોય એવું સ્મિત વારે વારે તેમના ચહેરા પર આવી જતું હતું. થોડી વાર પછી અંબારામે તેમને વિનમ્રતાથી પૂછ્‌યું,‘આપની પ્રસન્નતાનું રહસ્ય જાણીને હું પણ તેમાં આપને અનુસરવા આતુર છું.

અંબારામ, સુધારાના ગઢ સરખી સમાચારવાહિનીમાં વિજયશ્રીને વર્યા પછી મારા આત્મવિશ્વાસે કેવો ધસમસતો વેગ ધારણ કર્યો છે એ સમજાવવું દુષ્કર છે.

પહેલાંના અવતારમાં જમાલપુરથી પસાર થતી વખતે કૂતરાં પાછળ પડ્યાં ત્યારે આપણો જે વેગ હતો એવો?’ અંબારામે પૂછ્‌યું.

ભદ્રંભદ્ર આ સરખામણીથી ખાસ પ્રસન્ન થયા હોય એવું ન લાગ્યું. છતાં તેમણે વિજયી યોદ્ધાને છાજે એવી ઉદારતાથી હસતું મોઢું રાખીને કહ્યું, ‘એથી પણ વિશેષ.

એવામાં ચેનલનો રીપોર્ટર આવી ગયો. તેણે કહ્યું,‘મહારાજ, હવે આપણે રેલીના સ્થળે જવા નીકળીએ. આમ તો હજુ વાર છે, પણ આજે ટ્રાફિકના લોચા હશે.અને હા, અત્યારે ચેનલની ગાડી બીજા કોઇ ભદ્રેશભાઇને લેવા ગઇ લાગે છે. એટલે આપણે મારી બાઇક પર નીકળી જઇએ. એ જ સારું પડશે.

ભદ્રંભદ્રે કહ્યું,‘રથ સિવાયના કોઇ પણ દ્વિચક્રી પર સવાર થવું આર્યધર્મને અનુકૂલ નથી. હા, ચતુષ્ચક્રીનો નિષેધ નથી.

પોતાનું કામ કઢાવવાનું હોય ત્યારે રીપોર્ટરો સહેલાઇથી અંબારામ બની શકતા હોય છે. ચેનલના રીપોર્ટરે કહ્યું,‘આપણે તમારા ધર્મનું મોટું કામ કરવા જઇએ છે, તો આવી નાની બાબતમાં સમાધાન કરી લેવું જોઇએ.

ભદ્રંભદ્રને મનાવી લેવા માટે આ દલીલ પૂરતી હતી. પણ ફાંસીએ ચડતાં પહેલાં છેલ્લી વાર દયાની માગણી કરતા ગુનેગારની મુદ્રામાં અંબારામે રીપોર્ટરને પૂછ્‌યું,‘તમારે ત્યાં ત્રણસવારીની મનાઇ નથી? પોલીસ પકડશે તો?’

 ‘આમ તો પ્રેસની ગાડી હોય એટલે કોઇ પકડે નહીં, પણ આજે તો (ભદ્રંભદ્ર તરફ ઇશારો કરીને) આ છે. એટલે પોલીસના બાપની પણ ચિંતા નથી. જે કોઇ ટઇડપઇડ કરવા જશે તેની પર આમને છૂટા મૂકી દઇશું. રીપોર્ટર આત્મવિશ્વાસથી બોલ્યો.

એકવડિયા બાંધાનો રીપોર્ટર, એવા જ અંબારામ અને તેમની વચ્ચે ભદ્રંભદ્ર બાઇક પર ગોઠવાયા ત્યારે બ્રેડની બે સ્લાઇસ વચ્ચે મોટું બટેટાવડું ગોઠવાયું હોય એવું લાગતું હતું. પણ એ તો દુન્યવી દૃષ્ટિ થઇ. ધર્મદૃષ્ટિથી વિચારતાં એ દૃશ્ય સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિને લાયક હતું. સનાતન ધર્મના વિજય માટે અનેક યોદ્ધાઓએ અસુવિધાઓ વેઠી હતી, પ્રાણાર્પણ કર્યા હતા, કિંતુ ભદ્રંભદ્ર જે અવસ્થામાં બાઇક પર બેઠા હતા, એ જોતાં સહેલાઇથી કહી શકાય કે તેમની અસુવિધા, તેમનો નિર્ધાર, તેમની નિષ્ઠા, તેમનો ત્યાગ અને તેમનું તપોબલ અસાધારણ હતાં. અલબત્ત, તેમની આગળ અને પાછળ માંડ ગોઠવાયેલા રીપોર્ટરને કે અંબારામને પણ પોતાના વિશે આવું લાગવા સંભવ હતો, પરંતુ એ બન્નેનું પૂરેપૂરું ધ્યાન  બાઇકભ્રષ્ટ ન થવાય એની પર કેન્દ્રિત હતું.


બાઇક ઓફિસના દરવાજાની બહાર નીકળીને મુખ્ય રસ્તા પર પહોંચ્યું. એ સાથે જ એક મોટો બમ્પ આવતાં બાઇક થોડું ઉછળ્યું. ભદ્રંભદ્રનું મન તો આરક્ષણના મુદ્દે આંદોલિત હતું જ, પણ બમ્પને કારણે તેમની સમગ્ર કાયા આંદોલિત થઇ ઉઠી. તેનો ધક્કો અંબારામને લાગ્યો. તેનો આઘાત શમે એ પહેલાં અંબારામની પાછળથી, તેમને સહેજ અડીને એક રીક્ષા સડસડાટ નીકળી ગઇ. રસ્તાની ડાબી બાજુ ઊભેલી એક કાર અચાનક ચાલુ થઇ અને જમણી બાજુ વળાંક લઇને બાઇકના આગળના પૈડાને લગભગ અડીને નીકળી ગઇ. ઉપરાછાપરી બનાવોથી અંબારામનો જીવ અદ્ધર થઇ ગયો, પણ ભદ્રંભદ્ર અવિચલ હતા. ધ્યાનથી જોતાં અંબારામને સમજાયું કે ભદ્રંભદ્રે, તેમના કોપથી આસુરી વાહનચાલકો ભસ્મ ન થઇ જાય એ હેતુથી જ, આંખો મીંચી દીધી હતી. (ક્રમશઃ)

Tuesday, October 20, 2015

‘ત્યારે-તમે-ક્યાં-હતા?’ વાદની વસંત

જાહેર બાબતોની ચર્ચાના હેતુ, ધોરણ અને ગુણવત્તાનો પ્રશ્ન આજકાલનો નથી કે ફક્ત સરકારનો પણ નથી. છતાં, સરકારની હિંસક-મુખર જડતામાં ભળેલા વિચારાધારાકીય રસાયણને લીધે, તે જરા વધારે ગંભીર-વધારે ચિંતાજનક લાગે છે.

આઝાદ ભારતના રાજકારણમાં એવું કોઇ પાપ નથી, જે ભાજપે પહેલી વાર કર્યું હોય. આઝાદીના દાયકાઓ સુધી સત્તાધારી હોવાને કારણે કોંગ્રેસે-- ખાસ કરીને ઇંદિરા ગાંધીયુગની કોંગ્રેસે--કરંડિયામાંથી બધા સાપ છૂટા મૂકી દીધા હતા : જ્ઞાતિવાદ, (સેક્યુલરિઝમના અંચળા હેઠળ) કોમવાદ, લોકશાહીની હત્યા (કટોકટી), ગરીબી હટાવોનાં ગુલાબી સપનાં, ભ્રષ્ટાચાર, કૌભાંડો, વ્યક્તિવાદ, રાજકીય વારસાઇ... અને ઇંદિરા ગાંધીની હત્યા પછી શીખોનો સામુહિક હત્યાકાંડ.

પરંતુ વખતે બૌદ્ધિકો ચૂપ હતા કે આંખ આડા કાન કરતા રહ્યા, એવો પ્રચાર જૂઠો છે. વિરોધની તીવ્રતા કે માત્રા વિશે કચવાટ હોઇ શકે, પણ કોંગ્રેસી કુશાસન વખતે બૌદ્ધિકો ચૂપ રહ્યા અને મોદીરાજમાં બધા અચાનક જાગી ઉઠ્યા, એવું સંઘ પરિવાર-ભાજપ એન્ડ કંપનીએ ઊભું કરેલું ચિત્ર વાસ્તવમાં જૂઠાણાં ફેલાવવાની તેમની ક્ષમતાનો ઉત્તમ નમૂનો છે.

કટોકટી પહેલાંના કોંગ્રેસી રાજ વિશે મનુભાઇ પંચોળીએસોક્રેટિસજેવી કૃતિઓના માધ્યમથી અને જાહેર પ્રવચનોમાં પણ ચેતવણીના ગંભીર સૂર કાઢ્યા હતા. તેમની મુખ્ય ચિંતા લોકશાહીના નામે ચાલતીટોળાશાહી અને લાંચ-ભ્રષ્ટાચારથી ખદબદતી મતશાહીવિશેની હતી. કોંગ્રેસી રાજમાં ઉમાશંકર જોશી ગુજરાતના જાહેર જીવનના સ્તંભ અને લોકશાહીવિરોધી બળોના ટીકાકાર તરીકે ઉભર્યા. કટોકટી વખતે તેમણે રાજ્યસભાના નિયુક્ત સભ્ય તરીકે ગૃહમાં હિંમતપૂર્વક સરકારની ટીકા કરી અને તેમના માસિકસંસ્કૃતિમાં સરકારવિરુદ્ધ-લોકશાહીની તરફેણમાં સાફ શબ્દોમાં લખ્યું.

નવનિર્માણ આંદોલન અને બિહારના જયપ્રકાશ આંદોલન વખતે સંખ્યાબંધ બૌદ્ધિકો ઇંદિરા ગાંધીનાં શાસનના અનિષ્ટોની સામે પડ્યા હતા-લડ્યા હતા. સંઘ પરિવાર-જનસંઘ-ભાજપે જેનો ભરપૂર લાભ લીધો બિનકોંગ્રેસવાદ નકરું રાજકીય સર્જન હતો. તેને જન્મ અને બળ આપવામાં બૌદ્ધિકો-વિચારવંતોનો મોટો ફાળો હતો. લોહિયા-જયપ્રકાશ જેવા કેટલાક બૌદ્ધિક અને જનસંપર્ક ધરાવતા નેતાઓ બિનકોંગ્રેસવાદના મૂળમાં હતા, જેની મબલખ ફસલ સંઘ પરિવારની સંસ્થાઓએ ઉતારી.

કટોકટી બિનકોંગ્રેસવાદ માટે ભરતીનો સમય બની. છતાં, મોટા ભાગના ટૂંકી દૃષ્ટિના, સ્વાર્થી નેતાઓનો શંભુમેળો કોંગ્રેસનો વિકલ્પ બની શક્યો નહીં અને ફરી એક વાર વડાપ્રધાન તરીકે ઇંદિરા ગાંધી લમણે લખાયાં. અલબત્ત, નરેન્દ્ર મોદીના કથિત વિકાસપ્રેમનાં વખાણ કરનારો આખો વર્ગ છે, તેમ ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનાં વખાણ કરનારો વર્ગ પણ હતો. અત્યારે જેમ વિકાસના ગુલાબી ગાલીચા તળે લોહીના ડાઘથી માંડીને કુશાસના ઉકરડા ઢાંકી દેવાય છે, તેમ કટોકટી વખતે ટ્રેનો સમયસર આવે એનાથી પ્રભાવિત થઇને કટોકટીને નજરઅંદાજ કરનારા કે તેનાં વખાણ કરનારા લોકો પણ હતા. સરકારની આંખમાં આંખ મિલાવીને સવાલ પૂછવાને બદલે એનીમર્દાનગી’ (ન્યૂસન્સ વેલ્યુ)થી બીવાની જાણે લોકોને મઝા આવતી હતી. કટોકટી વખતે જનસંઘના લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું,‘(સરકારે) લોકોને ઝૂકવાનું કહ્યું ને લેટી પડ્યા.’ નરેન્દ્ર મોદી વધારેકાર્યક્ષમનીકળ્યા. એમણે દેખીતી કટોકટી લાદ્યા વિના, વિકાસની વાતો અને કોમી દ્વેષના સંયોજનથી એવું રસાયણ નીપજાવ્યું કે લોકો ઝૂકવા-લેટવા ઉપરાંત ભાન ભૂલીને ઝૂમવા લાગ્યા.

૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા સાથે ઇંદિરાયુગનો કરુણ અંત આવ્યો. તેના પગલે શીખ હત્યાકાંડ થયો અને રાજીવ ગાંધીએ તેમનું કુખ્યાત બનેલું નિવેદન આપ્યું, ત્યારે બૌદ્ધિકો ચૂપ હતા. પીપલ્સ યુનિઅન ફોર સિવિલ લીબર્ટી જેવી સંસ્થાઓએ શીખ હત્યાકાંડ વિશે વિગતે અહેવાલ તૈયાર કર્યો હતો. તેમાં ચાવીરુપ ભૂમિકા ભજવનાર પ્રો.રજની કોઠારી પ્રત્યે કૃતજ્ઞતાને કારણે શીખ ટેક્સી ડ્રાયવરો તેમની પાસેથી ભાડું લેવાની આનાકાની કરતા હતા, એવું ધીરુભાઇ શેઠ જેવા પ્રો.કોઠારીના સાથીદારો પાસેથી સાંભળ્યું છે.

પાયામાં કોમવાદના બહુ મોટા તફાવતને બાદ કરતાં, કોંગ્રેસ અને ભાજપનું રાજકારણ ખાસ જુદું હતું. છતાં, ભાજપ પાસે સત્તા આવી ત્યાં સુધી એમની વચ્ચે બહુ ફરક હોવાનો આભાસ ટકેલો રહ્યો. બધાં પ્રકારનાં પાપ કોંગ્રેસે અગાઉ કરેલાં હોવાથી, ભાજપેવોટઅબાઉટીઝમ’ (‘ત્યારે-તમે-ક્યાં-હતા?’વાદ)ને પોતાના આક્રમક પ્રચાર અને કહેવાતી ચર્ચાઓનું કેન્દ્રવર્તી સૂત્ર બનાવી દીધું. તમામ બાબતોમાં કોંગ્રેસના પગલે ચાલવા છતાં, ઘણી બાબતોમાં ભાજપે નવા રેકોર્ડ બનાવ્યા. શેરીમાંથી ઉભો થયેલા, ગાંધીવિરોધી-મુસ્લિમવિરોધી-ખ્રિસ્તીવિરોધી માનસિકતાવાળી માતૃસંસ્થા ધરાવતા પક્ષ તરીકે ભાજપે સવાઇ બેશરમીથી બધાં કરતૂત આચર્યાં. (જેમ કે, કોંગ્રેસે ૧૯૮૪માં શીખ હત્યાકાંડ પછી ગૌરવયાત્રા કાઢી હતી. નરેન્દ્ર મોદીએ ૨૦૦૨માં ગુજરાતની કોમી હિંસા પછી વર્ષે ગૌરવયાત્રા કાઢી)   બાબતે ભાજપ-સંઘના નેતાઓ કે સમર્થકોનો કાંઠલો પકડવામાં આવે ત્યારે તેમની પાસે જવાબરૂપી સવાલ તૈયાર હતો : ‘ત્યારે તમે ક્યાં હતા?’

સવાલની બાળાગોળીનું ભાજપ-સંઘ દ્વારા ધૂમ વિતરણ થયું. લોકોએ તેના પર ચોંટાડેલું રાષ્ટ્રવાદનું લેબલ વાંચીને હોંશેહોંશે પીધી અને તેની અસરમાં આવીને પણત્યારે તમે ક્યાં હતા?’ પૂછતા થઇ ગયા. તેના વિસ્તાર તરીકે ઘણા લોકો અત્યારે એવોર્ડ પાછા આપનારા લેખકોની ટીકા પર અનેએવોર્ડ સાથે રૂપિયા પાછા આપ્યા કે નહીં?’ એવી અસંબદ્ધ ચર્ચા પર ઉતરી આવ્યા છે. પરંતુ જે કારણથી એવોર્ડ પાછા અપાઇ રહ્યા છે એની ચર્ચામાં તેમને રસ પડતો નથી. તેમની પાસે સવાલ તૈયાર છે : ‘કોંગ્રેસના રાજમાં આવું થયું ત્યારે તમે ક્યાં ગયા હતા?’

આવું પૂછનારાને સાદો સવાલ : પહેલાં તો કહો કે ચાલુ વર્તમાનકાળમાં બધું બની રહ્યું છે, ત્યારે તમે ક્યાં છો? તમે સ્થાપિત હિત ધરાવતા રાજનેતા કે તેમના પેઇડ પ્રચારક નથી, તો તમે કેમ ભૂતકાળની ઓથે ભરાઇને વર્તમાનની શરમ ઢાંકવા કે એને વાજબી ઠરાવવા કોશિશ કરો છો? કોંગ્રેસી શાસન વખતે વાજબી રીતે પ્રગટેલો ભ્રષ્ટાચારવિરોધનો ઉત્સાહ વ્યાપં ને લલિત મોદીની વાત આવે ત્યારે કેમ ગલ્લાંતલ્લાં પર કે ટેક્નિકલ બાબતો પર ઉતરી અને કંઇ સૂઝે ત્યારેતમે ક્યાં હતા?’ પર ઉતરી જાય છે?

કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી આપ, સરવાળે તે એટલાં સીધાં છે, જેટલાં તેમને રાખવામાં આવે. આપણું કામ એમના ચગડોળે ચડવાનું કે એમનાવોટઅબાઉટીઝમના ચીયરલીડર બનવાનું નથી. તેમની પાસેથી જવાબો માગવાનું છે. એવોર્ડ પાછા આપનારા લેખકો પાસેથી જવાબ માગવામાં રાખ્યો, એનાથી અડધો ઉત્સાહ સત્તાધીશો પાસેથી જવાબ માગવાનો રાખ્યો હોત તો?

પર વો દિન કહાં...