Sunday, January 24, 2016

હાડોહાડ જિજ્ઞાસુ, તંતોતંત કળાકાર રમેશ ઠાકરની વિદાય

Ramesh Thakar (27-6-1931, 15-1-2016) Photo : Biren Kothari
કળાજીવી--આવો શબ્દ બહુ વપરાતો નથી, પણ રમેશ ઠાકરને જેટલી વાર મળીએ એટલી વાર એ મનમાં ઉગે-- કળા થકી ગુજરાન ચલાવનારના અર્થમાં નહીં, કળાને જીવતા માણસના અર્થમાં. પરંપરાગત અર્થમાં રમેશભાઇ કળાકાર ન ગણાયા. ગુજરાતના કળાકારોની--જૂનાનવા ચિત્રકારોની કે તસવીરકારોની પ્રચલિત યાદીઓમાં તેમનું નામ ભાગ્યે જ વાંચવા મળે. પરંતુ કળાનાં અનેક ક્ષેત્રોમાં તેમનું માતબર પ્રદાન જોયા પછી લાગે કે આ માણસનું નામ કળાક્ષેત્રે પહેલી હરોળમાં એમની નહીં, આપણી ગરજે મૂકાવું જોઇએ.

કઇ કળાના ક્ષેત્રે?’ એવા સવાલનો ટૂંકો જવાબ મેળવવાની ગણતરી હોય, તો માથું ખંજવાળવાનો વારો આવે. ઓછામાં ઓછી રેખાઓમાં વ્યક્તિત્વ ઝીલતા સ્કેચ? હા. માથાના વાળની કે કપાળની કરચલી જેટલી બારીક વિગત ધરાવતા સ્કેચ? એ જોઇને તો લાગે કે પેન્સિલથી આવું કામ થઇ જ કેવી રીતે શકે? નક્કી એ કોઇ મંતરેલીપેન્સિલ વાપરતા હશે.ચિત્રોના વિવિધ પ્રકાર? હા. તસવીરકળા? એની તો વાત જ મૂકી દો. એક વાર વાતચીતમાં તેમણે કહ્યું હતું,‘માણસનો ફોટો ૩૬૦ ડિગ્રીથી પાડી શકાય. તેમાં કઇ ડિગ્રીએ જોતાં એ સૌથી સારો લાગે છે, એ શોધવાનું કામ મારું.અને એ કામ તે એટલી ખૂબીથી કરતા હતા કે તેમના કેમેરામાં ઝીલાયેલા ચહેરા કદી બદસૂરત લાગી ન શકે. અટલબિહારી વાજપેયી જેવા રાજનેતા હોય કે અમૃતા પ્રીતમ જેવાં સાહિત્યકાર, રમેશભાઇએ પાડેલી તેમની તસવીરો જોઇને એ હસ્તીઓનો તો બરાબર, તસવીર પાડનારની હસ્તીનો પણ પરિચય મળે.

અમૃતા પ્રીતમની રમેશભાઇએ પાડેલી આ તસવીર જોઇને ઇમરોઝે કહ્યું હતું
કે આ તસવીરમાં મને દસ-દસ તસવીરો દેખાય છે.
આપણે કલ્પના પણ ન કરી શકીએ, એવા મહાનુભાવોની રમેશભાઇ પાસે (અને ઘણા કિસ્સામાં તેમની સાથે) તસવીરો મળે. પંડિત રવિશંકર, પક્ષીવિદ્‌ સલીમઅલી, જાદુગર ગોગિયા પાશા, ક્રિકેટર દુલીપસિંહ, પંડિત ઓમકારનાથ, ગાયિકા ગીતા દત્ત, લોકસેવક બાબા આમ્ટે, પૃથ્વીરાજ કપૂર, લેખક મુલ્કરાજ આનંદ, કવિ મૈથિલીશરણ ગુપ્ત, ગાંધીચરિત્રકાર લુઇ ફિશર, પર્વતારોહક તેનસિંગ, શ્રી અરવિંદ...આટલી ઝલક તો ફક્ત ક્ષેત્રવૈવિઘ્ય દર્શાવવા પૂરતી. અનેક હસ્તીઓના સ્કેચ પર તો ખુદ એમના હસ્તાક્ષર પણ હોય. સ્કેચ જોઇને  માણસ મોંમાં આંગળાં નાખી જાય, એવી અદલિયત તેમાં ઝીલાઇ હોય.  પેન્સિલ સ્કેચની બારીકી એવી કે પૂર્વ રાષ્ટ્રપતિ વેંકટરામને એક સ્કેચમાં રીતસર નખ મારી જોયો હતો--એ ખાતરી કરવા કે એ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર નહીં, પેન્સિલથી કરેલો સ્કેચ છે. એક અંદાજ પ્રમાણે, તેમણે કરેલા વિવિધ સ્કેચની સંખ્યા ૧,૮૦૦ના આંકડે પહોંચી હતી.

મોટા ભાગના સ્કેચ પર રમેશભાઇએ રૂબરૂ હસ્તાક્ષર મેળવ્યા હોય, પણ કેટલીક હસ્તીઓના કિસ્સામાં એ શક્ય ન હોય તો રમેશભાઇ ટપાલથી સ્કેચ મોકલીને તેની પર હસ્તાક્ષર આપવા વિનંતી કરે--અને તેમને એવી રીતે હસ્તાક્ષર આપનારા પણ કેવા? અમેરિકાના પ્રમુખ આઇઝનહોવર, વિચારક બર્ટ્રાન્ડ રસેલ, વિન્સ્ટન્ટ ચર્ચિલ, રાણી એલિઝાબેથ... અને ક્યારેક જૉન કૅનેડી જેવું પણ થાય. તેમનાં પત્ની જૅકી કેનેડી ભારત આવ્યાં તસવીર પરથી બનાવેલો જૉન અને જૅકીનો સ્કેચ લઇને રમેશભાઇ ઉદેપુર પહોંચી ગયા. જૅકીએ તો ઑટોગ્રાફ આપી દીધા, પણ જૉન કેનેડીના ઑટોગ્રાફનું શું? રમેશભાઇની વિનંતીને માન આપીને, જૅકી એ સ્કેચ સાથે લઇ ગયાં, પણ થોડા વખત પછી જૉન કેનેડીની ઑફિસમાંથી રમેશભાઇ પર ઑટોગ્રાફ સાથેના સ્કેચને બદલે એક પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું,‘તમારો સ્કેચ અંગત સંગ્રહ માટે રાખી લેવામાં આવ્યો છે. ઑટોગ્રાફ માટે બીજો સ્કેચ મોકલવા વિનંતી.

સ્કેચના મામલે રમેશભાઇનું સૌથી ઐતિહાસિક કહેવાય એવું કામ એટલે તેમણે તૈયાર કરેલા ગાંધીજીના ૧૦૦ સ્કેચ અને તેની પર ગાંધીજીના સમકાલીનો પાસે તેમના હસ્તાક્ષરમાં લખાવેલા સંદેશ. જૂન ૨૭, ૧૯૩૧ના રોજ જન્મેલા રમેશભાઇ ગાંધીજીનો સ્કેચ દોરી શક્યા નહીં કે તેમના હસ્તાક્ષર મેળવી શક્યા નહીં, એ વસવસો તેમને કોરી ખાતો હતો. તેને હળવો કરવા માટે છેક સાઠના દાયકાથી રમેશભાઇએ, આજની પરિભાષામાં કહીએ તો ગાંધી પ્રૉજેક્ટશરૂ કર્યો. તેના વિશે પહેલી વાર રજનીકુમાર પંડ્યાએ લખ્યું. તેમના થકી જ રમેશ ઠાકરનો પરિચય થયો અને એ સ્કેચ જોવા મળ્યા. 
'હિમાલય' બંગલાના વાસ્તુ વખતે રમેશભાઇ-કાંતાબહેન,
કેદારભાઇ અને બીનાબહેનની સંપરિવાર તસવીર, 1994

બીરેન, બિનીત, ઉર્વીશ, રમેશભાઇ, ફેબ્રુઆરી, 1994 (રાજકોટ) . તેમના બંગલા
'હિમાલય'ના વાસ્તુ વખતે અમે ખાસ ત્યાં ગયા હતા એ વખતની યાદગાર તસવીર
એક જોઇએ ને એક ભૂલીએ એવા ગાંધીજીના સ્કેચ, તેની નીચે છોડેલી કોરી જગ્યામાં વિવિધ મહાનુભાવોના ગાંધીજીને લગતા સંદેશ. તેમાં ગુજરાતી, હિંદી ને અંગ્રેજી ઉપરાંત બાદશાહખાનનો ઉર્દુ હસ્તાક્ષર ધરાવતો સંદેશો પણ હોય. કોઇ પણ ગાંધીપ્રેમી-ઇતિહાસપ્રેમી-કળાપ્રેમી માટે અમૂલ્ય ખજાના જેવા રમેશભાઇના આ જીવનકાર્યને જીવનના અંતિમ વર્ષોમાં નવજીવન ટ્રસ્ટે પૂરા દબદબા સાથે પ્રકાશિત કર્યું. ૧૦૦ ટ્રિબ્યુટ્‌સનામે પ્રગટ થયેલું એ પુસ્તક અંગત ખરીદીમાં મોંઘું પડે તો પુસ્તકાલયોમાં મંગાવવા જેવું ને કંઇ નહીં તો અમદાવાદ નવજીવન કાર્યાલયમાં આવીને એક વાર નિરાંતે જોવા જેવું છે. (navajivantrust.org પર તેની ઝલક જોવા મળી શકે છે.)

રમેશભાઇ જે વિષયમાં રસ લે તેમાં એટલા ઊંડા ખૂંપે કે તેનાથી સાવ જુદા વિષયમાં પણ તે એટલા જ પહોંચેલાહશે તેની કલ્પના ન આવે. જેમ કે, ગાંધીમાં ઓતપ્રોત રમેશભાઇ પાટો બદલીને મહાન ગાયક કુંદનલાલ સાયગલની વાત પર આવે, ત્યારે એમ લાગે કે આ તો સાયગલના પરમ આરાધક છે. ૧૯૪૪માં રમેશભાઇના પિતા કરાચીમાં રહેતા હતા ત્યારે તેમની પાડોશમાં સાયગલ આવ્યા. એ વખતે તેર વર્ષના રમેશભાઇએ ફોટોગ્રાફીના શોખીન એવા ટેલીગ્રાફમાસ્તર પિતા સોમનાથ ઠાકર પાસેથી કૅમેરા માગીને સાયગલનો ફોટો પાડ્યો હતો. ત્યાર પછી સાયગલ સાથે સંકળાયેલા ઘણા લોકોને તે મળ્યા. તેમાંથી એક સાયગલનાં ગીતોનું રેકોર્ડિંગ કરનાર માણસ પણ હતો. સુવાચ્ય, મરોડદાર અક્ષરોમાં લાંબા પત્રો લખતા રમેશભાઇએ વીસેક વર્ષ પહેલાં એક પત્રમાં એ રેકોર્ડિસ્ટની વાત કરતાં લખ્યું કે ક્યા હમને બિગાડા હૈએ ગીતમાં એક ઠેકાણે સાયગલ ખોટી જગ્યાએ એક શબ્દ ગાઇ ગયા છે, એ વાત યાદ કરતાં બુઢા રેકોર્ડિસ્ટની આંખમાં આંસુ આવ્યાં હતાં.ફિલ્મ ભંવરા’ (૧૯૪૪)નું એ ગીત સાંભળેલું, પણ એ જગ્યા રમેશભાઇનો પત્ર વાંચ્યા પછી જ ધ્યાનમાં આવી. 
(નીચે આપેલી યુટ્યુબની લિન્કમાં કાઉન્ટ 2:52 મિનીટ પર)



--અને રમેશભાઇના શોખના-કામના વિષયોની યાદી હજુ અધૂરી છે. તેમની પાસે ટપાલટિકિટોનો મોટો સંગ્રહ હતો. ગિરના સિંહોની અને હિમાલયની અઢળક તસવીરો એટલી તસવીરો લીધેલી કે તેની પરથી ઉત્તમ પુસ્તકો બની શકે. ભારતનાં બાર જ્યોતિર્લિંગ વિશેનું તેમનું પુસ્તક દ્વાદશજ્યોતિર્લિંગતો પ્રકાશિત થયેલું છે. આવા અનેકાનેક વિષયો પર અદ્‌ભૂત ખેડાણ કરનાર રમેશભાઇને તેમનાં પત્ની કાન્તાબહેન, એરફોર્સમાં ઊંચા હોદ્દે કાર્યરત પુત્ર કેદાર અને આકાશવાણીમાં કામ કરનારાં (હવે નિવૃત્ત) પુત્રી બીનાનો આજીવન સહયોગ મળ્યો. આર્થિક ઉપાર્જન માટે અઢાર વર્ષ સુધી ડીએસપી કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરી હતી. પરંતુ ઘણાં વર્ષથી તેમનું જીવન પોતાને ગમતા વિષયોમાં ઓતપ્રોત રહ્યું. છેવટ સુધી તેમની બાળસહજ જિજ્ઞાસા અને તેને સંતોષવાની ખાંખતીયા વૃત્તિ ટકી રહ્યાં. જાન્યુઆરી ૧૫, ૨૦૧૬ના રોજ, થોડી બિમારી પછી, દિલ્હીની લશ્કરી હોસ્પિટલમાં ૮૫ વર્ષના રમેશભાઇએ વિદાય લીધી. આશા તો એવી જ રહે કે થોડા વખત પછી પાંચ-છ પાનાં ભરીને રમેશભાઇનો પત્ર આવશે અને તેમાં એમણે મૃત્યુના અનુભવ વિશે વિગતે લખ્યું હશે.


મલયેશિયાથી રમેશભાઇએ લખેલું પિક્ચર પોસ્ટકાર્ડ (click to enlarge)

રમેશભાઇ વિશે સંદેશની મહેફિલ પૂર્તિમાં 1999માં લખ્યું હતું. એ વિશેના તેમના
ચાર પાનાંના પ્રતિભાવપત્રનું પહેલું પાનું. (click to enlarge)


Tuesday, January 19, 2016

સોશ્યલ નેટવર્કિંગના સામાજિક પડકાર

કોઇ પણ ક્રાંતિ થાય ત્યારે બે ભયંકર શક્યતા હોય છે : ૧) ક્રાંતિ નિષ્ફળ જાય અથવા ૨) ક્રાંતિ સફળ થાય. પરિણામો જોતાં લાગે કે ઘણી વાર પહેલી કરતાં બીજી શક્યતા વધારે ખરાબ નીવડે છે. જેમ કે, ૧૮૫૭નો સંગ્રામ નિષ્ફળ ગયો, તો બીજાં ૯૦ વર્ષ પછી અંગ્રેજી શોષણમાંથી ભારતનો છૂટકારો થયો. પરંતુ જો એ સફળ થયો હોત તો? કેવાં રૂઢિચુસ્ત, રાજાશાહી, સામંતવાદી, જ્ઞાતિવાદી પરિબળો આ દેશ પર નહીં, તેના અસંખ્ય ટુકડા પર રાજ કરતાં હોત, એની કલ્પના આવે છે?

અટકળના પ્રદેશમાં ન જવું હોય તો ફ્રેન્ચ ક્રાંતિનો વાસ્તવિક દાખલો હાથવગો છે. ક્રાંતિ સફળ થઇ તેનાં ચાર જ વર્ષમાં લશ્કરી વડા નેપોલિયને લોકશાહી ઢબે નીમાયેલી સમિતિને ઉથલાવી પાડી અને પોતે સત્તા હસ્તગત કરી લીધી. સાવ નજીકના ભૂતકાળમાં, ઇજિપ્તના તહરીર ચોકમાં મોટા પાયે અને મોટા ઉપાડે સામાન્ય માણસો ઉમટી પડ્યા. એ ક્રાંતિમાં વાએલ ગૂનીમ નામના યુવાને બનાવેલા ફેસબુક પેજનો મોટો ફાળો હતો. ત્રણ જ દિવસમાં એ પેજ પર એકાદ લાખ લોકો સભ્ય બન્યા. ફેસબુક-ઇન્ટરનેટ લોકક્રાંતિનું માધ્યમ બન્યું. અદૃશ્ય રહીને પેજનું સંચાલન કરતા ગૂનીમ વિશે સરકારને જાણ થતાં તેમને રસ્તામાંથી ઉપાડીને ૧૧ દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા. આખરે, લોકોની જીત થઇ, ગૂનીમને છોડી મૂકવા પડ્યા અને સરમુખત્યાર મુબારકની સત્તાનો અંત આવ્યો. ક્રાંતિની સફળતાથી અભિભૂત ગૂનીમે એ વખતે કહ્યું,‘સમાજને મુક્ત કરવા માટે ફક્ત ઇન્ટરનેટની જ જરૂર છે.

પરંતુ સફળ ક્રાંતિ પછી ઇજિપ્ત અને તેનું સોશ્યલ મિડીયા ઇસ્લામી અને લશ્કરતરફી એમ બે સામસામી છાવણીમાં વહેંચાઇ ગયું. (જેમ ભારતમાં પણ સોશ્યલ મિડીયા પર દરેક ટિપ્પણીને મોદીતરફી અને મોદીવિરોધી એમ બે ખાનાંમાં જોવામાં આવતી હતી-- અને હજુ એમાં ખાસ ફેર પડ્યો નથી.) તેમાં ગૂનીમ જેવા મધ્યમમાર્ગી સૂર માટે કોઇ જગ્યા ન રહી. એકેય છાવણીઓમાં સામેલ ન થવાને કારણે સોશ્યલ મિડીયા પરથી ગૂનીમ અને તેમના જેવા લોકોની સામે એવી ધીક્કારઝુંબેશો ચાલી કે તે હેબતાઇ ગયા.

ક્રાંતિ પછી લોકશાહી ઢબે ચૂંટાયેલા પહેલા પ્રમુખને  ઇજિપ્તના લશ્કરે સત્તા પરથી દૂર કર્યા, ત્યારે ઇન્ટરનેટ-ક્રાંતિના સૂત્રધાર ગૂનીમે હાર કબૂલીને સોશ્યલ નેટવર્ક પરથી સન્યાસ લઇ લીધો. બે વર્ષ કરતાં પણ વધુ સમય સુધી તેમણે પોતાના જીવનમાં આવેલી ઉથલપાથલ ઉપરાંત સોશ્યલ નેટવર્કિંગની મર્યાદાઓ વિશે વિચાર કર્યો. ડિસેમ્બર, ૨૦૧૫માં આપેલી ટેડ ટૉકમાં તેમણે પોતાનો અનુભવ વર્ણવ્યા પછી કહ્યું કે જૂઠાણું ચલાવવું કે કોઇની સાથે ઝગડો કરવો એ માણસની મૂળભૂત પ્રકૃતિ છે, પણ ટેકનોલોજીના પ્રતાપે તેનું આચરણ એકદમ આસાન થઇ જાય છે...સોશ્યલ મિડીયા તેનો પ્રભાવ અનેક ગણો વધારી મૂકે છે.

સોશ્યલ નેટવર્કિંગના નામે ચાલતી એન્ટી-સોશ્યલ (અસામાજિક) પ્રવૃત્તિઓ -- જેમ કે, શાબ્દિક હુમલા, ધમકીઓ, ટોળકી બનાવીને કોઇની પાછળ પડી જવું, વિચારવિરોધીઓ વિશે છેલ્લી કક્ષાએ ઉતરી જઇને લખવું, પેઇડ કે વિકૃત કે  જૂઠાણાં ફેલાવવાં--આ બધું વધુ ને વધુ પ્રમાણમાં ચિંતાનો વિષય બની રહ્યું છે. તેનાથી માનવજાતને અર્થપૂર્ણ રીતે જોડવાના સોશ્યલ નેટવર્કિંગ કંપનીઓના દાવા સામે પણ મોટું પ્રશ્નાર્થચિહ્ન ઊભું થયું છે. કંપનીઓ આ અનિષ્ટને અપવાદરૂપ ગણીને આંખ આડા કાન કરવાનું વલણ રાખે છે, પરંતુ ઉમર હક નામના એક અભ્યાસીએ જરા અતિશયોક્તિ સાથે લખ્યું હતું તેમ, ઇન્ટરનેટની ખરી સમસ્યા સેન્સરશીપ કે નિયંત્રણો કે કમાણી કેવી રીતે કરવી એ નથી. તેની અસલી અને સૌથી મોટી- કેન્દ્રવર્તી સમસ્યા તેના અસભ્યતાપૂર્ણ- શાબ્દિક હિંસાથી ભરપૂર એવા દુરુપયોગની છે. કેટલીક વેબસાઇટોએ બેફામ કમેન્ટ્‌સથી ત્રાસીને વાચકોની કમેન્ટ્‌સનો વિભાગ સદંતર કાઢી નાખવાનું કે તેની પર ભારે નિયંત્રણો રાખવાનું વલણ અપનાવ્યું છે.

ગયા અઠવાડિયે એક સમાચાર હતા કે જૉર્ડનમાં ત્રાસવાદી હુમલાનો ભોગ બનેલા એક અમેરિકનનાં પત્નીએ ટિ્‌વટર સામે દાવો માંડ્યો છે. તેમની દલીલ છે કે ત્રાસવાદીઓની ભરતી અને નાણાનું ઉઘરાણું કરવામાં ISISએ ટિ્‌વટરનો ભરપૂર ઉપયોગ કર્યો છે. ટિ્‌વટર ન હોત તો છેલ્લાં થોડાં વર્ષોમાં ISISનો વ્યાપ આટલો વધ્યો ન હોત. તેમણે નાણાંકીય વળતર ઉપરાંત એવી પણ માગણી કરી છે કે ટિ્‌વટર સામે ત્રાસવાદવિરોધી કાયદાના ભંગ બદલ કાર્યવાહી થવી જોઇએ.

ચિંતા ફક્ત ISIS પ્રકારના પ્રગટ ત્રાસવાદને સોશ્યલ નેટવર્કિંગ પર મળતા પ્રોત્સાહનની નથી. વૈચારિક અંતિમવાદથી પ્રેરાઇને ચાલતી ઝુંબેશો પણ પૂરતી ચિંતાજનક અને સૂક્ષ્મ-શાબ્દિક હિંસાથી ભરપૂર હોય છે. ઉદાહરણ તરીકે, ભારતીય ટીવી જગતના સૌથી વિશ્વસનીય પત્રકાર ગણાતા રવીશકુમાર સામે ચાલેલી ધીક્કારઝુંબેશ. ટીવીના માધ્યમમાં અને સત્તાના કેન્દ્રથી સાવ નજીક-- બહોળો પ્રભાવ ધરાવતા હોવાને કારણે, રવીશકુમારના પ્રામાણિક-તલસ્પર્શી અહેવાલોની રાજકીય પક્ષો અને તેમના વફાદારો-વિશ્વાસુઓ-લાભાર્થીઓ-પ્રચારકો પર મોટી અસર પડે છે. તેનો મુકાબલો સચ્ચાઇથી કે હકીકતોથી કરવાનું શક્ય ન હતું--અને સોશ્યલ મિડીયાના જમાનામાં સચ્ચાઇ કરતાં જૂઠાણું વધારે સહેલું અને ઘણા કિસ્સામાં વધારે અસરકારક પણ સાબિત થાય છે. રવીશકુમાર સામે અંગત, ગલીચ આરોપોનો સોશ્યલ મિડીયા પર એવો મારો ચાલ્યો કે તેમણે (ગૂનીમની જેમ) ટ્‌વીટર-ફેસબુક પરથી સન્યાસ લઇ લીધો ને ફક્ત પોતાના બ્લોગ પર લખવાનું ચાલુ રાખ્યું. એ પછી પણ તેમની સામે ઝનૂની ટોળાના કે ભક્તોના શાબ્દિક-વિકૃત હુમલા બંધ થયા નથી.

ઉમર હકે લખ્યું છે કે સોશ્યલ નેટવર્કિંગ પરનો ખરો પ્રશ્ન કોડ’ (સોફ્‌ટવેર)નો નહીં, પણ કન્ડક્ટ’ (વર્તણૂંક)નો છે. અહીં ટેકનોલોજીનો ઉપયોગ લોકોમાં રહેલી સંભાવનાઓને વિસ્તારવા માટે નહીં, પણ તેમને સંકુચિત બનાવવા માટે થાય છે. સોશ્યલ નેટવર્ક પર પહેલી તકે તકરાર-હૂંસાતૂંસી-અપમાન-સુધરેલી ભાષામાં ગાળાગાળી- ટોળકીના માધ્યમથી શાબ્દિક હુમલા કે બેફામ લખાણો માટે તલપાપડ રહેતા લોકો આવું કેમ કરે છે, તેનાં ઘણાં આર્થિક, સામાજિક અને સરવાળે માનસશાસ્ત્રીય કારણ હોય છે. સાવ ટૂંકમાં કહેવું હોય તો, આંતરિક અસલામતી, હતાશા, લઘુતાગ્રંથિ, પોતાના વિશે પ્રયત્નપૂર્વક ઊભી કરેલી આભાસી મર્દાના છબિ સતત ટકાવી રાખવાની મજબૂરી --અને પોતે આવાં તિકડમ નહીં કરે તો નકલી છબિ ભૂંસાઇ જવાનો ડર...આવાં ઘણાં પરિબળોને સોશ્યલ નેટવર્કિંગ પરની પરોક્ષતાથી--બે આંખની શરમના અભાવથી—ઓર પ્રોત્સાહન મળે છે. ત્યાં અસભ્યતાઓને બહાદુરી કે મર્દાનગી કે રાષ્ટ્રવાદ કે દેશભક્તિ તરીકે બિરદાવનાર ટોળું મળી રહે છે. તેનો અહેસાસ અને બહુમતી લોકોએ આ વર્તણૂંકને સ્વીકાર્ય (બલ્કે ઘણાએ તો પ્રશંસનીય) ગણી લીધી છે, એવી કીક’--આવાં પરિબળોએ સોશ્યલ નેટવર્કિંગની સંભાવનાઓને વિકૃતિના વાઇરસથી દૂષિત કરી છે. ઇજિપ્તના ગૂનીમે મિત્રો સાથે મળીને એવો પ્રયાસ શરૂ કર્યો છે, જેમાં લોકો વચ્ચે વિસંવાદિતા નહીં, સંવાદ વધે. સોશ્યલ નેટવર્ક માટે એ ભવિષ્યની દિશા હશે--અથવા હોવી જોઇએ.

Monday, January 18, 2016

‘મંટો : મેરા દુશ્મન’ના લેખક ‘અશ્ક’ની નજરે મંટો

S H Manto / સઆદત હસન મંટો
જાન્યુઆરી, ૧૮, ૧૯૫૫. ભારતના ભાગલાની પ્રચંડ કારુણીને આઠ વર્ષ પણ થયાં- ન થયાં, અને ઉર્દુ વાર્તાકાર સઆદત હસન મંટો મૃત્યુ પામ્યા. મંટો ગયા, પણ તેમની પાછળ રહી ગયેલી તેમની વાર્તાઓ હજુ પણ પીછો છોડતી નથી. કારણ કે એ માનવમનના  વણખેડાયેલાં કે ઘણું ખરું અંધકારમાં રહેલાં પાસાં પર નિષ્ઠુરતાથી પ્રકાશ ફેંકે છે--જાણે કાંઠલો પકડીને વાચકને એ બતાવતા હોય, ‘જુઓ, જુઓ, આ માણસ. આ પણ માણસ. સભ્યતાનાં પૂંછડાં થઇને ફરનારા દંભીઓ, જુઓ, આ તમારું અસલી રૂપ અને જુઓ, આ એવા માણસોનું માણસાઇભર્યું પાસું, જેને ધુત્કારતાં- તુચ્છકારતાં તમે થાકતા નથી.માણસની મૂળભૂત કહેવાય એવી જાતીય વૃત્તિ, તેનાં ગલગલિયાં કરાવે એવાં નહીં, પણ હચમચાવે એવાં વર્ણન, માણસની હેવાનિયત અને હેવાનિયતે ચડેલા માણસમાં ક્યાંક ટમટમતી ઇન્સાનિયત--આવી કંઇક અકળાવનારી, ઝકઝોરનારી વાર્તાઓનો સર્જક એટલે એક મંટો.

આ મંટો હજુ જીવે છે, અંગ્રેજી સહિતની અનેક ભાષાઓમાં અનુવાદ પામે છે અને નવા નવા વાચકો-અભ્યાસીઓને ફીદા કરતો રહે છે. (મંટો જેવા મહાન સર્જક માટે માનાર્થે બહુવચન વાપરવું જોઇએ, પરંતુ માનાર્થે આત્મીયતાર્થે એકવચનની પણ જોગવાઇ હોય છે.)

બીજો મંટો એટલે ગંજે ફરિશ્તે’ (હિંદીમાં મીનાબજારતરીકે અનુવાદિત)નો લેખક. તેમાં ૧૯૪૦ના દાયકાની ઘણી જાણીતી હસ્તીઓ વિશે મંટોએ મસાલેદાર લખ્યું. પ્રકારની રીતે એ વ્યક્તિચિત્રો કહેવાય, પણ એવાં કે જેમાં મંટોએ શીર્ષકમાં જ સ્પષ્ટ કર્યું છે તેમ, ભલભલાને મુંડી નખાયા હોય--ખાસ્સા મૈત્રીભાવે, થોડા અંગત ભાવે, થોડા તોર ને તોફાનમાં. તેમાં નૂરજહાં, અશોકકુમાર, હીરો શ્યામ, કુલદીપકૌર, ગુજરાતી હાસ્યકલાકાર વી.એચ.દેસાઇ, ગાયક-સંગીતકાર રફીક ગઝનવી, મસાલેદાર ફિલ્મમાસિક ફિલ્મ ઇન્ડિયાના માલિક બાબુરાવ પટેલ (જેમના ઉર્દુ સામયિકમાં મંટોએ થોડો સમય નોકરી કરી હતી)...આ કોઇને છોલવામાં મંટોએ કશી કચાશ નથી રાખી.તેની પ્રેમ કરવાની રીત પણ એકદમ તોફાની કૉલેજિયન છોકરા જેવી છે.

આ ચરિત્રો ઉપરાંત મંટોએ કેટલાક અંગત પ્રસંગો પણ લખ્યા છે. એમાંથી ઉપસતું મંટોનું ચરિત્ર વિદ્રોહી, લાગણીસભર, બિનગણતરીબાજ, કહેવાતા સભ્ય સમાજ દ્વારા સતત સતાવાયેલા, ઇચ્છે તો ધૂમ સફળતા મેળવી શકે એટલા પ્રતિભાશાળી, પણ વ્યાવસાયિક રીતે ઘણુંખરું નિષ્ફળ રહેલા, આજીવન સંઘર્ષરત, કોમી વિખવાદ-ભાગલાથી હાલી ગયેલા, પાક્કા શરાબી, પરિવાર તરફ ધ્યાન નહીં આપનારા એક જિનિયસનું છે. એ સાચું છે, પણ સંપૂર્ણ નથી. ન જ હોઇ શકે. કારણ કે મંટો કે સાહિર પ્રકારના ઉચ્ચ કોટિના લેખકો-શાયરો પોતાની કૃતિઓમાં જે લાગણી વ્યક્ત કરતા હોય, તેવા અંગત જીવનમાં પણ હોય, એ બિલકુલ જરૂરી નથી. દરેક માણસની જેમ મંટોની પણ અનેક બાજુઓ છે, જેમાંથી સમય વીત્યે કેટલીક જ ટકી છે ને બાકીની લગભગ ભૂલાઇ ગઇ છે. મંટોની એવી કેટલીક બાજુઓ ઉજાગર કરતું પુસ્તક એટલે ઉપેન્દ્રનાથ અશ્કનું મંટો : મેરા દુશ્મન’.
 
Upendranath 'Ashk' / ઉપેન્દ્રનાથ 'અશ્ક'
પોકેટ બુક સાઇઝનાં ૧૧૬ પાનાં (લેખકનાં નિવેદન સહિતનાં) ધરાવતા આ પુસ્તકનું અર્પણમંટોના સમકાલીન, તેમની સાથે નજીકથી કામ કરનાર વિખ્યાત લેખક ઉપેન્દ્રનાથ અશ્કેઆમ લખ્યું છે : ઉન બુદ્ધિમાનોંકે નામ, જિન્હોંને ઇસ સંસ્મરણકો મંટોકે ખિલાફ સમઝા.ઉઘડતા પાને તેમણે સાહિત્યનું નૉબેલ સન્માન મેળવનાર ફ્રેન્ચ લેખક ઑંદ્રે જિદેનું એક અવતરણ ટાંક્યું છે : ના, બીજા કોઇને દુઃખી કરવા માટે હલકા થવાની જરૂર નથી. અને તેની સૌથી કરૂણ બાબત પણ એ જ છે : એકબીજાને પ્રેમ કરતા સારા માણસો દુનિયાભરની સારપ છતાં એકબીજાને પીડા અને વેદના આપી શકે છે.

આ બન્ને વિધાનો પુસ્તક વાંચતી વખતે યાદ ન રહે તો કોઇને એવું લાગી શકે કે અશ્કેમંટો સામેનું વેર વાળ્યું. જે દંભ મંટોને આજીવન નડ્યો, એ તેમના મૃત્યુ સાથે મરી પરવાર્યો ન હતો. અશ્કેઆ પુસ્તક અંગેની પોતાની કેફિયત (સંસ્મરણકા સંસ્મરણ’)માં નોંધ્યું છે કે, જે દરવાજા જીવતા મંટો માટે બંધ હતા, એ બધા તેના મૃત્યુ પછી ખુલી ગયા. મંટોના અકાળે (૪૩ વર્ષે) થયેલા મૃત્યુ પછી તેના માટે બધાને જાણે પ્રેમ ઉભરાઇ આવ્યો. જે પાકિસ્તાન રેડિયો પર મંટોની કથાઓનું પ્રસારણ પ્રતિબંધિત હતું, એ જ રેડિયો સ્ટેશન પર મંટોની યાદમાં અડધા કલાકનો કાર્યક્રમ પ્રસારિત થયો.

મંટો : મેરા દુશ્મનવિશે જાતજાતની વાતો થઇ, પણ બે પ્રતિભાવ બહુ મહત્ત્વના છે. એક, મંટો-અશ્કના સમકાલીન-મિત્ર રાજિન્દરસિંઘ બેદીનો. તેમણે લખ્યું, ‘(તારો લેખ વાંચીને થયું કે) મંટોના કહેવાતા દોસ્તો કરતાં તું દુશ્મન હોવા છતાં એનાથી કેટલો નજીક હતો.મંટોનાં પત્ની સફિયા મંટોએ પાકિસ્તાનમાં બે હપ્તામાં છપાયેલો લેખ વાંચીને રાજીપો વ્યક્ત કર્યો. પહેલા હપ્તા વિશે તેમણે લખ્યું,‘અગરચે સઆદતસાહબકી બહનકો તો પસન્દ નહીં આયા, લેકિન મુઝે બડા અચ્છા લગા. આપને સબ બાતેં સચ્ચી-સચ્ચી લિખી હૈં.બીજો હપ્તો વાંચ્યા પછીનો તેમનો પત્ર, ‘...દૂસરા હિસ્સા હમ સબને સાથ મિલકર પઢા. બહુત અચ્છા લગા. બહનકી આંખોંમેં તો આંસૂ આ ગયે.

મંટો-અશ્કના સંબંધોનો (ખરેખર તો કોઇ પણ સંબંધનો) તાગ ફક્ત કાળા-ધોળા એમ બે રંગમાં પામી શકાય નહીં. અશ્કેલખ્યું છે કે અમારા પરિચયની શરૂઆત જ દુશ્મનીથી ન થઇ હોત, તો અમે બહુ સારા મિત્રો હોત. અને મંટો? એણે પોતે અશ્કને દિલ્હીથી મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા બોલાવ્યા. એ વાતને માંડ બે-ત્રણ દિવસ થયા હશે. બન્ને જણા ઘોડાગાડીમાં બેસીને ક્યાંક જતા હતા અને અચાનક મંટોએ અશ્કને અંગ્રેજીમાં કહ્યું,‘આઇ લાઇક યુ, ધો આઇ હેટ યુ.’ (હું તને ધીક્કારું છું, છતાં તું મને ગમું છું.)

બન્ને વચ્ચે દુશ્મનીનો આરંભ ૧૯૪૦માં દિલ્હી રેડિયો સ્ટેશનની નોકરીથી થયો. મંટો ત્યાં પહેલેથી કામ કરતો હતો. તેની એક વાર્તા ખુશીયા’ ‘અશ્કને અવાસ્તવિક લાગી. એટલે મિત્ર રાજિન્દરસિંઘ બેદી સાથે વાતવાતમાં અશ્કેએના વિશે કહ્યું,‘બે બદામની વાર્તા છે.’  બેદીએ આ અભિપ્રાય મંટો સુધી પહોંચાડ્યો. મંટોને ચાટી ગઇ, પણ ત્યારે અશ્કરેડિયોમાં કામ કરવા આવ્યા ન હતા. તેમને અંદાજ પણ ન હતો કે આ ટીપ્પણી જીવનભરની દુશ્મનીનાં મૂળીયાં નાખશે. કૃષ્ણચંદ્રના બોલાવ્યા અશ્કદિલ્હી રેડિયોમાં પહોંચ્યા. ત્યાં તો મંટોનો દબદબો હતો. અને થોડા લોકો એવું પણ વિચારનારા હતા કે હવે મંટોને બરાબર જવાબ મળશે.

અશ્કહિંદી વિભાગના સલાહકાર તરીકે નીમાયા હતા. તે વિવાદથી બચવા ઇચ્છતા હતા. એટલે ખુશિયાવિશે ચર્ચા કરવાના મંટોના પ્રયાસની શરૂઆતમાં તેમણે મંટોને વારી જોયો. કહ્યું કે આપણે લડીશું ને લોકોને તમાશો થશે. આપણે તમાશો નથી બનવું.પણ મંટોએ જીદ ન છોડી. છેવટે બન્ને વચ્ચે ગરમાગરમી થઇ. અશ્કેકહ્યું કે તારી વાર્તામાં આવતો દલાલ જેવી રીતે વિચારે છે, એવું કોઇ ભણેલોગણેલો લેખક-કવિ વિચારી શકે--અભણ દલાલ નહીં.એટલે ક્ષણભર ચૂપ રહ્યા પછી મંટોએ તમતમીને કહ્યું,‘હા, હા, હું એ દલાલ છું. મંટો જ એ દલાલ છે. તમને વાર્તા લખતાં આવડે છે ખરું? તું પોતે શું લખે છે?’

બસ, ‘દુશ્મનીના ધૂમધડાકા શરૂ થઇ ગયા.


***

મંટોનો એક શબ્દપ્રયોગ તેના પ્રેમીઓને યાદ હશે. એક પાત્ર વિશે તેણે લખ્યું હતું, ‘વો રણછોડ કિસ્મકે આદમી થે.ગુજરાતી ફિલ્મનિર્માતાઓના સંપર્કને કારણે મંટોને રણછોડશબ્દનો પરિચય થયો હશે, પણ તેણે એને જરા જુદા સંદર્ભમાં--શબ્દાર્થમાં-- રણમેદાન છોડી જનાર વ્યક્તિ માટે પ્રયોજ્યો. આ જ પ્રયોગ અશ્કેમંટો માટે વાપર્યો છે અને કહ્યું છે કે મંટોને લડવાનું કે બીજા વિશે કટુ મશ્કરી કરવાનું બહુ જોર હતું, પણ કોઇ એની આવી મશ્કરી કરે અથવા એને કોઇ માથાનું મળે ત્યારે એ જોરદાર લડત આપવાને બદલે, ‘રણછોડબની જતો હતો.

અશ્કેતેનાં બે મોટાં ઉદાહરણ આપ્યાં છે : દિલ્હી રેડિયો સ્ટેશનમાં મંટોને તેમની અને બીજા અધિકારીઓની સાથે ખટરાગ થયો અને મંટોને લાગ્યું કે તેનું ધાર્યું નહીં થાય, ત્યારે એ દિલ્હી છોડીને બીજી નોકરીની વ્યવસ્થા કર્યા વિના, પત્નીને દિલ્હી મૂકીને મુંબઇ જતો રહ્યો. ત્યાં ગયા પછી ફિલ્મકંપનીમાં સંવાદલેખક તરીકે નોકરી કરી, બીજા લેખકોનાં પત્તાં કાપ્યાં, પરંતુ થોડા વખતમાં ત્યાં પણ એવી નોબત આવી કે તેણે જેને કઢાવ્યા હોય એવા લેખકોની વાર્તાઓ પસંદ થાય ને તેની વાર્તા પસંદ ન થાય. એ સ્થિતિ સહન ન થતાં, તેણે વહાલું મુંબઇ છોડીને પાકિસ્તાન જતા રહેવાનું પસંદ કર્યું. આ બન્ને વાતો અશ્કેવિગતે આલેખી છે.

અશ્કમંટોના દુશ્મન ન હતા, તો મંટોને પણ અશ્ક માટે લગાવ હતો. એક તો બન્ને વચ્ચેનો પ્રકૃતિભેદ અને પછી સંજોગો એવા પેદા થયા કે બન્ને એકબીજાના જિગરી બની શક્યા નહીં. છતાં અશ્કમંટોની વાર્તાકલાના મરમી પ્રેમી હતા. તેમને ચીઢ ચડતી મંટોની દેખાડાબાજી પર, તેના પ્રચંડ અહમ્‌ પર અને તેનાથી દોરવાઇને થતી મંટોની વર્તણૂંક પર. તેમનું લખાણ વાંચતાં મંટો પ્રત્યેનો દ્વેષ ક્યાંય અનુભવાતો નથી. પોતાની મર્યાદાઓ પણ અશ્કેબરાબર નોંધી છે. છતાં, એ વાંચ્યા પછી લેખક મંટો નહીં, પણ વ્યક્તિ મંટો વિશે ઊભી થયેલી દૈવી છબી જરા વધુ માનવીય- વધુ માનવા યોગ્ય લાગે છે. મંટો પ્રત્યેના ભાવમાં જરાય ઘટાડો થતો નથી, પરંતુ તેનું વ્યક્તિત્વ વધારે વાસ્તવિક લાગે છે.

અશ્કેએવા પણ કિસ્સા નોંઘ્યા છે, જ્યારે ખુદ્દારીની છાપ ધરાવતા મંટોએ પોતાનો દબદબો ટકી રહે એ માટે ઉપરીઓને રાજી કરવાના પેંતરા કર્યા હોય. દિલ્હી રેડિયો સ્ટેશન પર પ્રોગ્રામ ડાયરેક્ટર સુરેન્દ્ર ચોપડાને ખુશ કરવા તેમની વર્ષગાંઠે મંટોએ તેમને મોંઘો સૂટ ભેટમાં આપ્યો હતો. મંટોની સળીનો એ જ પદ્ધતિથી જવાબ આપવા માટે અશ્કેમંટોના રેડિયોનાટકમાં મોટા પાયે સુધારા કર્યા અને મંટો પ્રત્યે ખાર ધરાવતા પ્રોગ્રામ ડાયરેક્ટરે એ સુધારા મંજૂર રાખ્યા, ત્યારે મંટોએ માહિતી પ્રસારણ ખાતાના સચિવની લાગવગ લગાડીને, તેમની પાસે ફોન કરાવ્યો હતો અને પોતાનું નાટક કોઇ પણ જાતના ફેરફાર વગર જ રજૂ કરાવ્યું હતું. કારણ કે વાત નાટકની નહીં, અહમ્‌ની હતી. એ બનાવ પછી દિલ્હીમાં પોતાનો વટ નહીં ચાલે એવું લાગતાં, થોડા જ દિવસમાં મંટોએ મુંબઇની વાટ લીધી.

મુંબઇમાં ફિલ્મીસ્તાનના માલિક (અશોકકુમારના બનેવી) એસ.મુખર્જીને ખુશ રાખવા માટે મંટો તેમને ગાલિબના શેરથી માંડીને છીછરી રમૂજો પણ સંભળાવતો હતો. મુખર્જી પોતાના કામમાં માહેર હોવા છતાં, ગાલિબ સાથે તેમને નહાવાનીચોવવાનો સંબંધ ન હતો. અશ્કેનોંધ્યું છે તેમ, બંગાળી મુખર્જીને બંગાળનો મામુલી કવિ પણ ગાલિબથી મોટો લાગતો હતો. છતાં, ફિલ્મીસ્તાનના લેખનવિભાગમાં પોતાની હાક વાગતી રહે, એ માટે તે શેઠિયાઓની નજીક રહેતો હતો-- શેઠિયાઓ વિશે તેનો અભિપ્રાય એકદમ નીચો હોવા છતાં. ફિલ્મીસ્તાનમાં નજીર અજમેરી, પી.એસ.(પ્યારેલાલ) સંતોષી, શાહિદ લતીફ જેવા લેખકો સંવાદ લખે, પછી મંટો તેમના સંવાદ વાંચે, તેમને નાપાસ કરે અને પોતે સંવાદ લખે, જે સ્વાભાવિક રીતે જ ફાઇનલ હોય. આ લોકોએ ફિલ્મીસ્તાનછોડવું પડ્યું, તેમાં મંટોનો ફાળો હોવાનું અશ્કેજણાવ્યું છે.

આ લોકોના ગયા પછી, દિલ્હીમાં અશ્કસાથે તકરારો થઇ હોવા છતાં, મંટોએ અશ્કને મુંબઇ ફિલ્મીસ્તાનમાં લેખક તરીકે જોડાવા આગ્રહપૂર્વક બોલાવ્યા. આઇ લાઇક યુ, ધો આઇ હેટ યુ.’ (હું તને ધીક્કારું છું, છતાં તું મને ગમું છું) એવું પણ કહ્યું. ફિલ્મીસ્તાનની આઠ દિનફિલ્મમાં અશ્ક’  અને મંટો’  બન્નેએ નાની ભૂમિકાઓ કરી હતી. તેમાં અશ્કના ભાગે પંડિત તોતારામનો રોલ આવ્યો હતો. તેમાં મંટોના સંવાદો અશ્ક’  પોતાની રીતે વધારી દેતા હતા, તેણે એક સીન લખ્યો હોય તો બે સીન કરી દેતા હતા. તેમાં પંડિતના ભાગે ઝખ મારવા’  એવો શબ્દપ્રયોગ આવ્યો, એટલે અશ્કને મસ્તી સૂઝી. તેમણે અશોકકુમારને કહ્યું,‘આ હિંસક પ્રયોગ છે. પંડિત આવું ન બોલે.’ 


'8 days' booklet : Read Manto's and Ashk's credit with other actors 

પોતાના લખેલામાં ફેરફારની વાત આવે એટલે મંટો ઉકળી ઉઠે. એણે કહ્યું, ‘આ મુહાવરો (શબ્દપ્રયોગ) છે. અને એનો અર્થ પણ હિંસક નથી.

એટલે અશ્કે’  મસ્તી ચાલુ રાખી. ઝખ એટલે શું? માછલી. એ મારવી, એ હિંસા નથી?’ વાત આગળ વધી, એટલે અશ્કે’  કહ્યું, ‘ચોરીમાં બેઠેલો બ્રાહ્મણ આવું ન બોલે.’ 

મંટોએ કહ્યું,‘હુંય બ્રાહ્મણ છું.

અશ્કે’  ફટકો માર્યો,‘બ્રાહ્મણ તારા વડવા હશે. અત્યારે તો તું અહીં ઝખ મારી રહ્યો છું.

પછી તો વાત એટલી વધી કે અશોકકુમારે શૂટિંગ મોકૂફ રાખીને સમાધાન કરાવવું પડ્યું. મંટોએ અશ્કનો હાથ દાબીને ખેદ વ્યક્ત કર્યો અને અશ્ક’  ઝખ મારવાવાળી લાઇન બોલ્યા.

અશ્કઅને મંટો વચ્ચે મામુલી બાબતોને લઇને દુર્ભાવ પેદા થવાના પ્રસંગ બન્યા કરતા હતા. તેમાં સૂટનું મોંઘું કપડું ખરીદવાથી માંડીને કાગળને બદલે સીધું ટાઇપરાઇટર પર લખવા જેવી બાબતમાં લોકો અશ્કને મંટોના હરીફ તરીકે, તેમનો એકાધિકાર સમાપ્ત કરનાર જણ તરીકે રજૂ કરતા હતા.

અછાંદસ કવિતા લખતા રાશિદ’  સામે મંટોને એટલો વાંધો હતો કે તેમણે એક નાટકમાં રાશિદની કવિતા અને તેમની ઉપમાઓની ઠેકડી ઉડાડી. કમનસીબે, એ જ રાશિદ’  થોડા વખત પછી દિલ્હી રેડિયોમાં સાહેબ તરીકે આવ્યા. એક દિવસ મંટોએ રેડિયો નાટક લખીને રાશિદને વાંચવા આપ્યું. તેમણે એ વાંચીને મંટોને પાછું આપ્યું.

કેવું છે?’ મંટોએ પૂછ્‌યું.  

રાશિદેસલુકાઇથી કહ્યું,‘નિહાયત અચ્છા ટાઇપ હુઆ હૈ. (એકદમ સરસ ટાઇપ થયું છે.)

એટલે મંટો એટલો ખફા થયો કે ત્યાર પછી દિવસો સુધી તેણે રાશિદ’  અને એની નઝમોને ગાળો દીધી અને કોઇ દોસ્ત પાસે રાશિદની કવિતા વિરુદ્ધ લેખ પણ લખાવ્યો.

મંટોએ ગંજે ફરિશ્તેપુસ્તકમાં ફિલ્મી જીવનના ઘણા સમકાલીનો વિશે દિલથી લખ્યું છે અને દિલથી તેમની ફિલમ પણ ઉતારી છે. પરંતુ એ શ્રેણીમાં મંટોનું પોતાનું મુંડન બાકી રહ્યું હતું. એ કામ  અશ્કેપ્રેમથી અને પ્રામાણિકતાથી મંટો : મેરા દુશ્મનમાં પૂરું કર્યું.   દોસ્તી-દુશ્મનીના ઉત્તમ દસ્તાવેજ જેવું આ પુસ્તક મંટોના ચાહકોએ અચૂક વાંચવું રહ્યું.