Wednesday, December 06, 2017

સામાજીક એકતાનું ગુજરાત મોડેલ

સામાજિક એકતાનું કામ બહુ મહત્ત્વનું હોય છે. તે સ્વાર્થી, મતલબી, પોતાના સ્વાર્થ ખાતર સમાજનું અહિત કરતાં ન ખચકાય એવા રાજકારણીઓ પર છોડવા જેવું નથી હોતું. પરંતુ થાય છે એવું કે સમાજના આગેવાનો લોભમાં કે શેહમાં આવીને રાજકીય પક્ષોના હાથા બની જાય છે. એટલે સામાજિક એકતાની દિશામાં આગેકૂચને બદલે પીછેહઠ થતી હોય એવું આઝાદીનાં આટલાં વર્ષ પછી લાગે છે.

સામાજિક ભેદભાવ કે સામાજિક વિષમતાનો મામલો રાજનેતાઓના હાથમાં આવે એટલે તે ધ્યાન રાખે છે કે ભેદભાવ દૂર ન થઈ જાય. નહીંતર, તેમની દુકાનો શી રીતે ચાલતી રહે? અને પોતાની સત્તા સામે જરાસરખી અસલામતી લાગે કે તરત નેતાઓ સમાજની ફોલ્ટલાઇન્સ (ફાટફૂટો)ને વકરાવવાના કે રુઝાઈ ગયેલા ઘાને ફરી ખોલવાના કારસા શરૂ કરી દે છે.  વિચિત્રતા એ છે કે આ બધું તે સમાજનું હિત કરવાના દાવા-દેખાડા સાથે કરે છે. ગુજરાતના ચૂંટણીપ્રચાર દરમિયાન બીજી આરોપબાજીના ઘોંઘાટ વચ્ચે એક નાનકડા સમાચાર આવ્યાઃ વડાપ્રધાને પાલીતાણામાં તેમના ભાષણમાં પટેલો અને ક્ષત્રિયો વચ્ચેની ત્રણ દાયકા પહેલાંની દુશ્મનાવટની યાદ અપાવી અને સભામાં હાજર રહેલા પાટીદારોને પૂછ્યું કે આપણે માનગઢ હત્યાકાંડના લોકોને આશીર્વાદ આપવા છે?

વડાપ્રધાને જેનો ઉલ્લેખ કર્યો તે 1984નો માનગઢ હત્યાકાંડ પટેલો અને દરબારો વચ્ચેની ચાર વર્ષ જૂની શત્રુવટનું પરિણામ હતો. પરંતુ સમય જતાં બંને સમાજ લોહીયાળ દુશ્મનીનો રસ્તો છોડીને એકબીજા સાથે સંપથી રહેતા થયા. માનગઢ હત્યાકાંડના ઘા સંપૂર્ણપણે રુઝાઈ ગયા અને તેની કડવાશ પણ સાવ મટી ગઈ.

આ થઈ સાચી સામાજિક સમરસતા. પરંતુ ‘વિકાસવાદ’ની વાતો કરતા વડાપ્રધાને આવીને ફરી રૂઝાઈ ગયેલી જગ્યાએ ટપલી મારી જોઈ. મુખ્ય મંત્રી તરીકે ગુજરાતમાં રાજકીય ‘સમરસતા’ને ચલણી બનાવનારે પટેલો-દરબારો વચ્ચેના નમૂનેદાર સંપને બિરદાવીને, દેશના લોકોને આ ‘ગુજરાત મોડેલ’ બતાવવાનું હોય કે તેમાં ભંગ પાડવાની કોશિશ કરવાની હોય?

બંને સમાજની સમજણ પાકી અને તેમની વચ્ચેની એકતા સાચી હતી. એટલે તેમણે આ ચેષ્ટા સામે ઉગ્ર પ્રતિક્રિયા આપી. ‘દિવ્ય ભાસ્કર’ની વેબસાઇટ પર પ્રગટ થયેલા સમાચાર પ્રમાણે, ભાવનગર પાટીદાર સમાજના અને ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપરાંત જિલ્લા ખેડુત સમાજના પ્રમુખે પણ આ પગલાની આકરી ટીકા કરી અને વડાપ્રધાન પર ધાર્મિક-સામાજિક લાગણી દુભાય તેવું ભાષણ કરવાનો આરોપ મૂકીને, કાયદેસર કાર્યવાહીની માગણી કરી. (2-12-2017)

આ બનાવને ચૂંટણીલક્ષી છમકલું ગણીને ભૂલી જવા જેવો નથી. વડાપ્રધાનના આશય કરતાં વધારે અગત્યનો મુદ્દો બે સમાજ વચ્ચેની એકતાનો છે. સમાજના ખટરાગ ધરાવતા સમુદાયો વચ્ચે પરસ્પર અવિશ્વાસ દૂર થાય તો જ સમજપૂર્વકની એકતા થાય. આવી એકતામાં કોઈએ એકબીજામાં ઓગળી જવાપણું ન હોય, પણ રોજબરોજના જીવને-સહઅસ્તિત્વને ઘર્ષણમુક્ત અને તનાવમુક્ત બનાવવાનું હોય. હિંદુ-મુસ્લિમો વચ્ચે, ક્ષત્રિયો-પાટીદારો વચ્ચે કે એવા બીજા કોઈ પણ સમુદાયો વચ્ચે કાયમી તનાવ રહે તો તેમાં સૌથી વધુ ફાયદો રાજનેતાઓને અને ધર્મનેતાઓને થઈ શકે. ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટે જે કંઇ પ્રયાસ કર્યા, તેે બંનેમાંથી એકેય પક્ષના કોઈ પણ ધર્મનેતા કરી શક્યા હોત? (કરવા ધાર્યું હોત કે નહીં એ વળી બીજો મુદ્દો છે)

માનવ ઇતિહાસની ભયંકર ઘટનાઓમાં સ્થાન પામે એવા ભાગલાનાં હુલ્લડો વખતે અવિશ્વાસનો દાવાનળ ભભૂકતો હતો. ગાંધીજી પોતાના વ્યક્તિગત નૈતિક પ્રભાવના અમૃતજળની કૂપી લઈને તેને ઠારવા મથતા હતા અને કમાલની વાત એ છે કે ઘણાં ઠેકાણે તે સફળ પણ થયા. તેમનું મુખ્ય કામ અવિશ્વાસ દૂર કરવાનું હતું. કારણ કે અસલામતીના રાજકારણનો પાયો અવિશ્વાસ છે. ગાંધીજીની જન્મશતાબ્દિના વર્ષે ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોથી શરૂ કરીને છેક 2002 સુધી હિંદુ-મુસ્લિમો વચ્ચેનો આવો અવિશ્વાસ અમુક શહેરોના અમુક વિસ્તાર પૂરતો સીમીત રહ્યો. બાકીના મોટા ભાગના ભારતમાં હિંદુ-મુસ્લિમોનું સહઅસ્તિત્ત્વ સહજતાથી ચાલુ રહ્યું. તેમની વચ્ચે ઝઘડા તો થાય, પણ તે ‘કોમી’ ન હોય. એકબીજા સાથે સુમેળથી રહેવાને ‘સેક્યુલરિઝમ’ કહેવાય એવી પણ તેમને ખબર ન હોય. સામે પક્ષે હિંદુહિતના નામે મુસ્લિમવિરોધી પ્રચારમારો, અવિશ્વાસ વધારવાની કોશિશો ધીમી ધારે સતત ચાલુ રહ્યાં હતાં. તેના લીધે ગાંધીહત્યા પછી આવી રહેલી રુઝનો પોપડો બાઝ્યો- ન બાઝ્યો ને તૂટી ગયો.

એ વખતે કોંગ્રેસે મુસ્લિમોનું ખરેખરું હિત ઇચ્છ્યું હોત તો મુસ્લિમ સમાજમાં રહેલા ભણેલાગણેલા, પ્રગતિશીલ, સમજુ લોકોને સમાજના નેતા તરીકે આગળ કર્યા હોત, પાકિસ્તાન જવાનો વિકલ્પ હોવા છતાં ભારતને પોતાનો દેશ ગણીને અહીં રહી ગયેલા મુસ્લિમોનો બાકીના સમુદાયો સાથે સંવાદ-સુમેળ વધે અને અવિશ્વાસની ખાઈ ધીમે ધીમે પુરાય એવા પ્રયાસ કર્યા હોત, મુસ્લિમોમાં રહેલા ગુનેગારોને ‘મુસ્લિમ’ ગણીને વોટબેન્કના રાજકારણમાં તેમનો ઉપયોગ કરવાની લાલચ છોડીને, ફક્ત ‘ગુનેગાર’ તરીકે તેમની સાથે કામ લીધું હોત... તો તેનાથી બે ફાયદા થયા હોતઃ મુસ્લિમ સમાજમાં રૂઢિચુસ્તોનું વજન ઘટ્યું હોત, ધાર્મિક સિવાયના ભણતરનું પ્રમાણ પણ વધ્યું હોત અને હિંદુ-મુસ્લિમો વચ્ચેનું અતર સતત સંવાદના અભાવે ઘટ્યું હોત. આવું થયું હોત તો હિંદુ-મુસ્લિમોના હિતના નામે તેમની વચ્ચે સતત અવિશ્વાસનું રાજકારણ ખેલનારા બંને પક્ષના અંતિમવાદીઓના હાથ હેઠા પડ્યા હોત.

જે વેરઝેરનું સામાજિક મૂલ્ય નથી રહેતું કે તેનો સામાજિક-વૈચારિક મહિમા નથી થતો, એ સમાજમાં ટકી શકતું નથી. એવા વેરઝેરનું વિષ ચલણમાંથી કાઢી નાખવાનું કામ રાજનેતાઓ કરવા ઇચ્છતા નથી અને કરી શકતા પણ નથી. હા, રાજનેતાઓ તેને વકરાવી શકે છે અને એ ખૂણેખાંચરે પડ્યું હોય તો તેને મુખ્ય મંચ પર લાવી શકે ખરા. લોકો પોતાને ઉદ્ધારક કે સંરક્ષક ગણે તે માટે પણ લોકોના મનમાં અસલામતી અને દહેશત ઉભી કરવી જરૂરી છે. બીક હોય તો જ ઉદ્ધારકની ગરજ પડે. આ સત્ય નાગરિકો સમજતા નથી અને નેતાઓ બરાબર સમજે છે. એટલે નાગરિકોના મનમાં રહેલા અવિશ્વાસ-આશંકા-પૂર્વગ્રહોને સતત મોટા કરવામાં આવે છે અને દાવો એવો કરવામાં આવે છે કે આ બધું તેમના લાભાર્થે થઈ રહ્યું છે.

નેતાઓ આપણા રોજિંદા-કાયમી સંબંધોને અભડાવી ન જાય, એ સામાજિક તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે અને તે આપણા હાથમાં હોય છે. ‘ભાવનગર મોડેલ’ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

Saturday, December 02, 2017

તટસ્થતા એટલે...

'તમે તટસ્થ નથી.'
'હા, નથી જ. મને રાષ્ટ્રવાદના નામે ગુંડાગીરી અને કોમવાદ, હિંદુ ધર્મના નામે રાજકીય હિંદુત્વ, નરેન્દ્ર મોદીની-અમિત શાહની આપખુદશાહી અને અદાલતમાં એક યા બીજા કારણસર સાબીત ન થઈ શકેલાં અનેક કારનામાં, ગુજરાતના મામલે ‘બધું મેં જ કર્યું’ એવી ફાંકાફોજદારી સખત નાપસંદ છે. એની ટીકા તો કદી બંધ નહીં થાય.'

'જોયું? અમે નહોતા કહેતા? અમને તો પહેલેથી જ ખબર છે. તમે કોંગ્રેસી કે ‘આપ’વાળા જ છો. એ લોકોની તમે કદી ટીકા જ કરતા નથી.'
‘અચ્છા? મેં લખેલું બધું તમે વાંચ્યું છે? જો એવું હોત તો કોંગ્રેસ અને ‘આપ’ની ટીકા કરવાના અનેક પ્રસંગ આવ્યા છે અને કોંગ્રેસ વિશે સારું બોલવાનો કે તેની પ્રશંસા કરવાનો એકેય પ્રસંગ હજુ સુધી આવ્યો હોય એવું યાદ નથી. એને શું કહેશો?’

‘હશે. તમે કોંગ્રેસની પ્રશંસા નહીં કરી હોય, પણ જોઈએ તેટલી ટીકા પણ નથી કરી. એટલે તમે તટસ્થ તો નથી જ.’
‘મારે ૨૦૦૨થી ન છૂટકે રાજકારણ વિશે લખવાનું થયું. કારણ કે તે સામાજિક ધીક્કાર મુખ્ય રાજકીય એજન્ડા બન્યો. ત્યારથી ગુજરાતમાં મોદીયુગ શરૂ થયો અને કેન્દ્રમાં યુપીએની સરકાર હતી. એ વખતે ગુજરાતમાં મોદીયુગનું વાતાવરણ એટલું ધીક્કારયુક્ત હતું અને તેને એવું લોકસમર્થન હતું કે તેની વિરુદ્ધમાં લખવું મને ધર્મરૂપ લાગ્યું—અને એ લખી શક્યો એનો મને બહુ જ આનંદ છે. ત્યાર પછી યુપીએનાં કૌભાંડો બહાર આવ્યાં ત્યારે તેના વિશે ટીકાઓ કરી જ છે. એ સિવાય ભૂતકાળ વિશે લખવાનું થયું ત્યારે ઇંદિરા ગાંધીના બેહિસાબ ભ્રષ્ટાચાર, નકલી સમાજવાદ, ભીંદરાનવાલે જેવા નેતાઓના સર્જનમાં તેમની ભૂમિકા, કટોકટીના અત્યાચાર, સોનિયા ગાંધીનો કથિત ત્યાગ, હમણાં સુધી રાહુલ ગાંધીની જવાબદારી નહીં લેવાની અને દૂધપાક ખેલાડી તરીકે રહેવાની મનોવૃત્તિ જેવા ઘણા મુદ્દે કોંગ્રેસ વિશે ટીકા કરતાં કદી ખચકાટ થતો જ નથી.’

‘પણ અમે તો કેટલાં વર્ષથી જોઈએ છીએ. તમે ફક્ત મોદીની જ ટીકા કરો છો.’
‘આગળ કહી ગયો. છતાં ફરીથીઃ મેં ફક્ત મોદીની ટીકા નથી કરી. એ સિવાય ઘણું કર્યું છે. (ખાતરી ન થતી હોય તો બ્લોગ કે ફેસબુકનાં સ્ટેટસ જોઈ લેવાં.) પણ તમને ફક્ત મોદીની ટીકા જ યાદ રહી છે. એ મારો પ્રોબ્લેમ નથી.’

'પણ મોદીએ કશું સારું કર્યું જ નથી? તમને કદી એમનાં વખાણ કરવા જેવું કશું લાગ્યું જ નથી?'
'પહેલા સવાલનો જવાબ છેઃ મોદીએ સારાં કામ કર્યા જ હશે--અને એવાં સારાં કામ અાગળની સરકારોમાં પણ થયાં જ છે. પરંતુ મોદીએ જે રીતે દરેક સરકારી કામો પર પોતાનો વ્યક્તિગત સિક્કો મારવાનું ચાલુ કર્યું, તેવું બીજા લોકોએ પહેલાં કર્યું ન હતું. (અમુક અંશે ચીમનભાઈ પટેલને બાદ કરતાં). એટલે તેમણે જે સારું કર્યું, તેમાં કશી ધાડ નથી મારી. એ તેમનું કામ છે. અને તેનો એમણે અપ્રમાણસરનો વધારે જશ લઈ જ લીધો છે. તેમનાં સાચાં જ નહીં, ખોટાં વખાણ કરવા માટે પણ તોતિંગ તંત્ર નભતું હોય, ત્યારે મારે મારી તટસ્થતા પુરવાર કરવા માટે ત્યાં જઈને પણ બે ફુલ ચડાવી આવવાં, એવું હું નથી માનતો.'

‘ટૂંકમાં, તમે એ તો કબૂલો છો કે તમને મોદી સામે વધારે વાંધો છે.’
‘ચોક્કસ. અને અને કબૂલાત ન કહેવાય-વિધાન કહેવાય. કારણ કે જાહેરમાં મેં કદી એનાથી વિપરીત દાવો નથી કર્યો. નરેન્દ્ર મોદીના રાજકારણ સામે-તેમની નીતિરીતિઓ સામે મને બહુ વાંધો છે અને એનાં કારણો પણ જાહેર છે. (કેટલાંક ઉપર લખ્યાં છે). જેમ મારો વાંધો વ્યક્તિ નરેન્દ્ર મોદી સામે નથી (એવું હોત તો તેમના લગ્નજીવન વિશે પણ મેં બહુ હોંશે હોંશે ટીકાઓ કરી હોત), તેમ મારું વાંધો પડવાનું કારણ વ્યક્તિગત નથી.  હું જેની સામાન્ય સમજ પર અહોભાવની કે પક્ષીય વફાદારીની પટ્ટીઓ બંધાયેલી ન હોય, એવો નાગરિક છું. કોંગ્રેસ મને ઓરિજિનલ સિનર (પુરાણી પાપી) લાગી છે અને ભાજપ? એ તો કોંગ્રેસને બધી બાબતમાં બહુ ઝડપથી ટપી ગયેલી પાર્ટી, જેમાં મોદી-શાહ એન્ડ કંપની તો ‘સર્વશુભોપમાયોગ્ય’ છે.

‘એટલે તમે તટસ્થ તો નથી જ ને?’
‘આ સાંભળીને પેલી જોક યાદ આવીઃ પછી હરણની સીતા થઈ કે નહીં?’ :-)

Friday, December 01, 2017

'ત્રણે લોક'માં ક્રાંતિકારી પરિવર્તનનો સ્વપ્નદૃષ્ટાઃ ઇલન મસ્ક

ઇન્ટરનેટની પ્રચંડ લોકપ્રિયતા અને મહાન સંભાવનાઓ છતાં, તેના વિશે એક ફરિયાદ કાયમી રહે છેઃ તેની મોટી કંપનીઓએ માનવજાતનું વાસ્તવિક કલ્યાણ ઓછું ને પોતાના માટે સત્તા-સંપત્તિનું સર્જન મોટા પાયે કર્યું છે.  ગુગલ સર્ચના વ્યવહારુ ઉપયોગ ઘણા છે. પરંતુ ફેસબુક (અને વોટ્સઅેપ), ટ્વીટર જેવાં સોશિયલ નેટવર્ક અને ગુગલની સર્ચ સિવાયની ઘણી સેવાઓથી સરવાળે સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આ કંપનીઓ કોઈ દેશ જેવો પ્રચંડ અને વાસ્તવિક છતાં અદૃશ્ય પ્રભાવ પાડી રહી છે. તેમની ઘણીખરી નવી સેવાઓ અને નવા આઇડીયા માનવજાતના ભલા માટે નહીં, પોતાનું સામ્રાજ્ય કેમ ટકે અને વિસ્તરે, એ ધ્યાનમાં રાખીને આવે છે.

આ બધા આઇટી-સમ્રાટોની વચ્ચે એક એન્જિનિયર છે, જેને અઢળક રૂપિયા કમાવા અને ખર્ચવા જેટલો જ કે એથી પણ વધારે રસ માનવજાતની આવતી કાલ સુધારવામાં પડે છે. તેનું નામ છે ઇલન મસ્ક / Elon Musk. તેમને સિલિકોન વેલીના અબજપતિ તરીકે ખતવી કઢાય તેમ નથી. તેમની મહત્ત્વાકાંક્ષા બહુ ભારે છે અને તેના કેન્દ્રસ્થાને છે માનવજાતની (રોટી-કપડાં-મકાન પછીના ક્રમે આવતી) સમસ્યાઓ.
 Elon Musk / ઇલન મસ્ક
જેમ કે, મસ્કને ચિંતા છે પેટ્રોલિયમ બળતણોથી થયેલા નુકસાનની. તેને વાળી તો શકાય એમ નથી, પણ તેના ઉકેલ માટે તેની કંપની 'ટેસ્લા' ઇલેક્ટ્રિક કાર બનાવે છે--એવી કાર, જે પેટ્રોલ-ડીઝલથી ચાલતી કાર સમકક્ષ અને કેટલીક બાબતોમાં ચડિયાતી હોય, જેમાં 'પર્યાવરણની રક્ષા ખાતર કારની ક્ષમતા સાથે સમાધાન'નું તત્ત્વ ન હોય. આવી કારનું સફળતાપૂર્વક ઉત્પાદન કર્યા પછી મસ્કને થયું કે સડક પર ચાલતી ટ્રકોનું પ્રમાણ ભલે કારની સરખામણીમાં ઓછું હોય, પણ પ્રદૂષણમાં તેમનો ફાળો ઘણો મોટો હોય છે. એટલે તેમની ટીમે ટ્રકની પરંપરાગત ડીઝાઈન ફગાવીને નવેસરથી, બેટરીથી ચાલતી ટ્રક પર કામ શરૂ કર્યું.

ગયા અઠવાડિયે 'ટેસ્લા'ની ટ્રકનું મોડેલ મસ્કે જાહેરમાં બતાવ્યું અને તે સમાચારમાં છવાયેલું રહ્યું. કેમ કે, તેમાં ટ્રકની ડીઝાઇનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. ડ્રાઇવરની કેબિન ટ્રકની છેક આગળ નહીં, પણ વચ્ચોવચ રખાઈ છે. તેની બેઠક અત્યંત આરામદાયક અને સ્ટીયરિંગની બંને બાજુ એક-એક ટચસ્ક્રીનથી સજ્જ છે. બેટરીના એક ચાર્જિંગથી ટ્રક 500 માઇલ (800 કિલોમીટર) ચાલશે અને બેટરીનું ચાર્જિંગ પણ અડધા કલાકમાં કરી શકાશે, એવો 'ટેસ્લા'નો દાવો છે. ઉપરાંત, હાઈ વે પર આ ટ્રક પોતાની મેળે (ડ્રાઇવર વિના) ચાલી શકે એવી પણ ટેકનોલોજી તેમાં સમાવિષ્ટ છે.

મસ્કને બીજી ચિંતા છે કોઈ કુદરતી કે માનવસર્જિત આફતમાં માણસજાત ખતમ થઈ જવાની. તેને લાગે છે કે માણસે પૃથ્વી સિવાય બીજું ઠેકાણું શોધવું જોઈએ, જેથી ભવિષ્યમાં માણસોની ગતિ ડાયનોસોર જેવી ન થાય. એ માટે તેમણે સ્પેસએક્સ (સ્પેસ એક્સ્પ્લોરેશન) નામે કંપની શરૂ કરી. તેનો આશય ચંદ્ર અને મંગળ પર માનવ વસાહતો સ્થાપવાનો અને માણસોને ત્યાં લાવવા-લઈ જવાનો છે. અવકાશગમન જેવી અત્યંત પેચીદી ટેકનોલોજીમાં સપનાં જોવાં સહેલાં છે, પણ મસ્કે સપનાંને સાકાર કરવાની દિશામાં નક્કર પ્રગતિ (ભલે જરા વિલંબ સાથે) બતાવી છે. તેમની કંપનીનાં રોકેટ સફળતાપૂર્વક અવકાશમાં જઈને પાછાં આવ્યાં છે. (રોકેટમાંથી નીકળતા ધુમાડા પર્યાવરણ માટે હાનિકારક નહીં હોય. બાકી, મસ્કે તેના પણ રસ્તા વિચારવાનું શરૂ કરી દીધું હોત.)

આ જ કંપની હવે પૃથ્વી પરનાં બે દૂરનાં શહેરો વચ્ચે રોકેટસેવા શરૂ કરવાના ઘોડા ઘડી રહી છે. તેમાં સફળતા મળે તો એક છેડાના શહેરથી બીજા છેડાના શહેરમાં એકાદ કલાકમાં પહોંચી જવાય. બાકીનાં ઘણાં શહેરોમાં અડધા કલાકમાં. ક્યાંથી ક્યાં કેટલા ઓછા સમયમાં પહોંચાય, તેના આંંકડા વેબસાઈટ પર આપ્યા છે. અલબત્ત, એ પ્રવાસનો વાસ્તવિક સમય છે. જહાજ દરિયામાં જઈને રોકેટને રવાના કરે, તે માટે રોકેટમાં બેસતાં પહેલાંનો અને ઉતર્યા પછીનો સમય પણ ગણતરીમાં લેવો પડે.

બીજું કોઈ આવા આઇડીયા વહેતા મૂકતું હોત, તો તે તરંગતુક્કામાં ખપી જાત. પણ મસ્કની વાત જુદી છે. એ સુપરમેન નથી, તેમ એક સફળતા મેળવીને બેસી ગયેલો અબજપતિ પણ નથી. સૌથી પહેલાં તેણે કમ્પ્યુટર પર શહેરોના નકશા અને માર્ગદર્શન આપતી સર્વિસ Zip2 ચાલુ કરી. તેની સફળતા પછી એ સર્વિસ વેચીને મસ્કે 'પેપાલ' (PayPal) નામે ઓનલાઈન પેમેન્ટની સર્વિસ ચાલુ કરી. ઓનલાઈન ચૂકવણીના બીજા વિકલ્પ ન હતા ત્યારે તે અત્યંત સફળ નીકળી. Ebay કંપનીએ 2002માં 1.8 અબજ ડોલરમાં 'પેપાલ' ખરીદી લીધી. એટલે મસ્ક પાસે અઢળક નાણાં આવ્યાં. એમાંથી તેણે માનવજાતના ભવિષ્યને ઉજળું બનાવવાના પ્રોજેક્ટ શરૂ કર્યા અને કંપનીઓ ખોલીઃ અશ્મિજન્ય (રમુજમાં 'ડાયનોસોર જ્યુસ' તરીકે ઓળખાતાં) બળતણને બદલે ઇલેક્ટ્રિક બેટરીનો ઉપયોગ કરીને વાહનો બનાવવા માટે ટેસ્લા અને અંતરિક્ષને ખેડવા-મંગળ પર માનવવસાહત સ્થાપવા સ્પેસએક્સ. બેટરીથી ચાલતી, સાવ નવી ડીઝાઈનની ટ્રકના મોડેલ દ્વારા મસ્કે ટ્રક વિશેનો આખો ખ્યાલ બદલી નાખ્યો, એવું જ આ પહેલાં તેણે બે શહેરો વચ્ચેનું અંતર ઘટાડવાના મામલે કર્યું. હાલમાં મોજુદ વિકલ્પોમાં સુધારાવધારા કરવાને બદલે, તેણે હાઇપરલૂપના નામે ઓળખાતી ક્રાંતિકારી ટેકનોલોજીનો વિચાર કર્યો, જેમાં બે શહેરો વચ્ચે એક મોટી, પહોળી પાઇપ ઉભી કરવામાં આવે અને પાઇપમાં રહેલા શૂન્યાવકાશમાં નાના-નાના નળાકાર એક હજાર કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે ઝડપે ગતિ કરે. વાહનવ્યવહારનું આ કદી નહીં વિચારાયેલું સ્વરૂપ છે, પણ મસ્કની કંપની તેમાં પ્રગતિ કરી રહી છે. હાઇપરલૂપનો એક રુટ આંધ્રપ્રદેશમાં પણ નખાવાનો છે. હજુ મસ્કની કંપની ખુદ આ ટેકનોલોજીની ચકાસણી અને તેના પ્રયોગ કરી રહી છે. પરંતુ તેની સફળતા વિશે મસ્ક કે તેમના ઇજનેરોના મનમાં કશી અવઢવ નથી.

જમીન અને આકાશ-અવકાશ જેવા બે લોકમાં ક્રાંતિકારી સંશોધનો આદર્યા પછી મસ્કે હવે 'પાતાળ' તરફ મીટ માંડી છે. તેમને લાગે છે કે રસ્તા ગમે તેટલા પહોળા કરવામાં આવે, પણ ટ્રાફિકની સમસ્યા ઉકલશે નહીં અને લોકોનો અઢળક સમય તેમાં બગડતો રહેશે. (ઉલટું એવું જોવામાં આવ્યું છે કે રસ્તા પહોળા કરવાથી સરવાળે ટ્રાફિક પણ વધે છે અને વધારે ગીચ બને છે.) એટલે મસ્કનો વિચાર છે કે જમીનની નીચે ટનલનાં 30-40  સ્તર બનાવવાં, ટૂંકાં અંતરની ટનલમાં પાટા નાખવા, જેથી ગાડીઓ તેની પર સડસડાટ (400 કિ.મી. પ્રતિ કલાક જેવી ઝડપે) દોડી શકે અને ટ્રાફિકની સમસ્યા ઉકલી જાય. વિજ્ઞાનકથા જેવા લાગતા આ પ્રોજેક્ટ માટે થોડા સમય પહેલાં જ સ્થાનિક કાઉન્સિલે મસ્કની કંપનીને પરવાનગી આપી છે. એટલે તેમની સ્પેસએક્સની ઓફિસના ખુલ્લા ભાગમાં પ્રાયોગિક ટનલ બનાવવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે.

બાળપણમાં આઇઝેક અાસિમોવ સહિત ઘણા લેખકોની વિજ્ઞાનકથાઓથી પ્રભાવિત મસ્ક હવે વિજ્ઞાનકથા જેવી કલ્પનાઓને સાકાર કરવામાં વ્યસ્ત છે. પડકાર ઘણા છે, પણ તેમનો અત્યાર સુધીનો રેકોર્ડ, કાબેલિયત, વિચારવાની રીત જેવી બાબતો તેમને બીજા અબજોપતિઓથી જુદા પાડે છે અને તેમના પ્રયાસોની સફળતા માટે આશા ઉભી કરે છે. 

Wednesday, November 22, 2017

'પ્રસારભારતી'નુું સર્જન પહેલેથી જ રાજકીય ખેલ હતો : મૃણાલ પાંડે

Mrunal Pande
પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયાનાં પ્રતિષ્ઠિત હિંદી પત્રકાર મૃણાલ પાંડે/Mrunal Pande તેમના સક્રિય જીવનમાં ઘણા ચઢાવઉતાર જોઈ ચૂક્યાં છે. તેમાંથી પ્રાપ્ત થયેલો દૃષ્ટિકોણ તેમનાં લખાણની જેમ તેમની અનૌપચારિક વાતચીતમાં પણ વ્યક્ત થતો હતો. ગઈ કાલે મૃણાલ પાંડે 18મા પ્રો.રામલાલ પરીખ મેમોરિઅલ લેક્ચર માટે અમદાવાદ આવ્યાં હતાં. ત્યારે તેમણે પ્રિન્ટ મિડીયાના પ્રભાવથી માંડીને  પત્રકારત્વમાં અંગ્રેજી અને સ્થાનિક ભાષાઓ વચ્ચેના ભેદભાવ, પ્રસારભારતી બોર્ડના સભ્ય તરીકેના તેમના અનુભવ જેવા ઘણા મુદ્દે વાત કરી હતી.

મૃદુભાષી છતાં મક્કમ મૃણાલ પાંડેએ પ્રસારભારતીની કહેવાતી સ્વાયત્તતા અને તેની કામગીરી વિશે એક જ વાક્યમાં કહ્યું, 'પ્રસારભારતી ઇઝ અ જોક.’ એના કરતાં તો એ માહિતી પ્રસારણ મંત્રાલય અંતર્ગત હતું, એ સારું હતું. કમ સે કમ, સરકારની સીધી જવાબદારી તો બનતી હતી. હવે એવું થયું કે તે કંઈક સારું કરે તો જશ સરકારનો--કે સરકારની નિશ્રામાં આવું થયું--અને ખોટું કરે તો અપજશ તેનો. સરકાર તેમાંથી હાથ ખંખેરી કાઢે.

પ્રસારભારતીનું સર્જન સારા આશયથી નહોતું થયું? તેના જવાબમાં તેમણે ચોખ્ખું કહ્યું, 'ના. પહેલેથી એ રાજકીય ખેલ જ હતો. એ ખરડો લોકસભામાં પસાર થયો ત્યારે હું મારું કામ પડતું મૂકીને લોકસભામાં હાજર રહી હતી. ત્યારે જયપાલ રેડ્ડી માહિતી-પ્રસારણ મંત્રી હતા. તે અને વસંત સાઠે બહાર આવ્યા. બન્ને મને કહે,'તમને પ્રસારભારતી બિલથી બહુ આનંદ થયો હશે, નહીં?’ વસંત સાઠેએ રેડ્ડીને કહ્યું પણ ખરું કે 'આ તમે શું કર્યું. હવે તમારી (માહિતી-પ્રસારણ ખાતા) પાસે શું રહ્યું?’  પરંતુ પહેલેથી પ્રસારભારતીના હાથપગ બંધાયેલા હતા. મૃણાલ પાંડેએ કહ્યું કે મારી સાથે બોર્ડમાં બહુ સારા સભ્યો હતા. એ લોકો સારાં સૂચન કરતા હતા, પણ તેમાં આગળ કંઈ થાય તે પહેલાં જ મંત્રાલયમાંથી કાગળ આવી જતો હતો કે કાયદાની ફલાણી ઢીકણી કલમો અનુસાર આ નિર્ણય લેવાની સત્તા તમને નથી.

હિંદી અને અંગ્રેજી પત્રકારત્વના પ્રવાહો વિશે તેમણે કહ્યું કે એક જ કંપનીનાં હિંદી અને અંગ્રેજી અખબાર હોય ત્યારે દેખીતો વહેરોઆંતરો રાખવામાં આવે છે અને હિંદીને વધેલુંઘટેલું જ મળે છે. તેમણે 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના હિંદુસ્તાનનું ઉદાહરણ આપ્યું. 'હિંદુસ્તાન ટાઇમ્સ'નું કુલ સરક્યુલેશન પાંચ લાખ હતું, ને (એ જેનાં તંત્રી હતાં તે) 'હિંદુસ્તાન'ની ફક્ત બિહારની આવૃત્તિનું સરક્યુલેશન છ લાખથી વધારે હતું. એવી તો બીજી ઘણી આવૃત્તિ. છતાં 'હિંદુસ્તાન ટાઇમ્સ'ને જ વધુ મહત્ત્વ મળતું હતું.

તેમણે કહ્યું કે હિંદી પત્રકારો પર કે છાપાં પર હુમલા થાય ત્યારે કશું નથી થતું, પણ એનડીટીવી પર રેડ પડે ત્યારે બધા ભેગા થઈને વિરોધ કરે છે. આવો સિલેક્ટિવ વિરોધ ન ચાલે. હંમેશાં સ્થાનિક અખબારોની પહોંચ વધારે હોય છે. પણ અંગ્રેજી અખબારોને નેતાઓ અને અફસરો એટલો ભાવ આપે છે કે તેમની પહોંચ ઓછી હોવા છતાં, તેમનો દબદબો વધી જાય છે. હિંદી એડિટર મંત્રીને ફોન કરે તો તેમનો સચિવ ફોન ઉપાડીને કહી દે કે સાહેબ બિઝી છે. પણ અંગ્રેજી એડિટર મંત્રીને ફોન કરે તો સચિવ પર્સનલ મોબાઈલ નંબર આપી દે. સ્થાનિક અખબારોએ આ સમજવાની જરૂર છે, પણ એક યા બીજા કારણથી તે દબાયેલાં રહે છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં દસ-બાર પ્રકારનું જુદું જુદું હિંદી બોલાય-લખાય છે. એ વૈવિધ્ય પર ઇસ્ત્રી ફેરવીને એક 'સ્ટાન્ડર્ડ' હિંદી ન બનાવી દેવું જોઈએ, એવો તેમનો સ્પષ્ટ મત હતો. તેમણે જુદી જુદી આવૃત્તિઓના તંત્રીઓ સાથે છ મહિના સુધી વાતચીત કરી. તેમાંથી કેટલાક શબ્દો એવા નીકળ્યા જે બધા વિસ્તારોમાં સર્વસામાન્ય હતા. તેમના આધારે કોમન સ્ટાઈશીટ બનાવવામાં આવી, પણ સ્થાનિક પ્રયોગોને વળગી રહેવાની નીતિ ચાલુ રાખવામાં આવી.

દિલ્હીના અંગ્રેજી મિડીયાની સ્થિતિ વિશે જવાબ આપતાં તેમણે કહ્યું કે 'અંગ્રેજી મિડીયા સંકોચાઈ રહ્યું છે. આવું કહેવા પાછળ આંકડાકીય આધાર નથી, પણ એવું લાગી રહ્યું છે. કેમ કે, તેમનું પ્રિન્ટનું સરક્યુલેશન ઘટી રહ્યું છે અને વેબસાઈટો વધુ ને વધુ ચાલી રહી છે. હવે લાગે છે કે હિંદી કે અચ્છે દિન આનેવાલે હૈં. નેતાઓ પણ હવે હિંદી શીખી ગયા છે.’ એક સમયે દૂરદર્શન, સ્ટાર અને ઝી જેવી ટીવી ચેનલોમાં સક્રિય મૃણાલ પાંડેએ કહ્યું કે 'હું દૂરદર્શન પર કાર્યક્રમ કરતી હતી ત્યારે ઘણા નેતાઓ અંગ્રેજીમાં બોલવાનો આગ્રહ રાખતા. મારો કાર્યક્રમ હિંદીમાં. એટલે હું તેમને કહું કે તમારે અંગ્રેજીમાં જવાબ આપવા હોય તો આપજો. હું તેનું હિંદી કરી દઈશ અને હિદીમાં મારો સવાલ તમને ન સમજાય તો એ પણ અંગ્રેજીમાં સમજાવી આપીશ. શરૂઆતના બે-ત્રણ સવાલના જવાબ તે અંગ્રેજીમાં આપતા, પણ પછી પોતાની ઔકાત પર ઉતરી આવતા. મને એ જ થતું કે ભાઈ આપણી ઔકાત એક જ છે. પછી આ બધું (શોબાજી) શા માટે?’ તેમણે કહ્યું કે સામાન્ય સભાઓમાં તો ઠીક, પ્રબુદ્ધ લોકો આવતા હોય એવા સેમિનારમાં પણ હિંદીમાં બોલીએ ત્યારે લોકોના ચહેરા પર રાહતનો ભાવ જોવા મળે છે.

હવે તો ચિદમ્બરમ્ જેવા પણ હવે હિંદી બોલતા થઈ ગયા છે. બાકી, એ નાણા મંત્રી હતા ત્યારે એનડી ટીવીમાં બજેટ એનાલિસિસ વખતે પ્રણય રોયની સાથે હું પણ હતી. મેં તેમને કશું પૂછ્યું ત્યારે તેમણે એવું મોં બગાડ્યું હતું અને પ્રણયને કહ્યું હતું કે મેં જે કહ્યું, તે તું આને સમજાવી દે ને.

મૃણાલ પાંડે હિંદી દૈનિક 'હિંદુસ્તાન'નાં તંત્રી હતાં. તેમણે હસતાં હસતાં પૂછ્યું, 'તમારે ત્યાં એડિટરો એકલા ફરે છે? અમારે ત્યાં તો એડિટરની સાથે એક માણસ તેની બેગ લઇને ચાલતો હોય. સાથે બે સાઇડ કીક હોય અને તેમની પાછળ પણ તંત્રીવિભાગના થોડા માણસો ઓફિસની વાતો કરતા કરતા ચાલતા હોય. એટલે એડિટર તરીકે હું એકલી જાઉં એ જોઈને ઘણાને નવાઈ લાગતી હતી.’

એકાદ કલાકની વાતચીતમાં ચાર-પાંચ વાર જુદા જુદા સંદર્ભે તેમણે જાતિપ્રથાથી થયેલા નુકસાનનો ઉલ્લેખ કર્યો.  જાતિપ્રથાએ બહુ ખરાબ અસરો કરી છે. એકબીજા કામ કરનારા વચ્ચે વાતચીતનો વ્યવહાર ન રહ્યો. જ્ઞાન પર અમુક લોકોનો અધિકાર રહ્યો. વિચારનારા અલગ ને કામ કરનારા અલગ રહ્યા. એટલે ઘણું બધું ઠેરનું ઠેર રહ્યું.

71 વર્ષનાં મૃણાલ પાંડેની એક ઓળખ જાણીતાં હિંદી નવલકથાકાર 'શિવાની' (ગૌરા પંત)નાં પુત્રી તરીકેની પણ છે.

Tuesday, November 21, 2017

જ્ઞાતિવાદનું રાજકારણ અને આપણે

ચૂંટણી નજીક આવે એટલે જ્ઞાતિવાદી ઓળખોને નવેસરથી ધાર નીકળે છે. આ વખતની ચૂંટણીમાં સત્તાધારી ભાજપની સામે ઉભા થયેલા ત્રણેય પડકારોની પ્રાથમિક ઓળખ જ્ઞાતિઆધારિત છે. તેના લીધે સોશિયલ મીડિયા પર અને તેની બહાર વારંવાર એવું શાણપણ સાંભળવા મળે છે કે ‘જ્ઞાતિવાદ ને એવું બધું ખોટું કહેવાય. જ્ઞાતિવાદી રાજકારણનો વિરોધ કરવો જોઈએ.’

આવું કહેનારાના મુખ્ય બે પ્રકાર પાડી શકાયઃ એક એવા, જેમને ભાજપ સામેના કોઈ પણ પડકાર સામે વાંધો પડે છે. તેમની વફાદારી કે તેમનો ઝુકાવ સત્તાધારી પક્ષ તરફ છે. આ લાગણીને સૈદ્ધાંતિક સ્વરૂપ આપીને, તેને વધુ સ્વીકૃત બનાવવા માટે તે જ્ઞાતિવાદના વિરોધનું ઓઠું રચે છે. બીજા લોકો એવા છે, જે રેતીમાં માથું ખોસીને, આસપાસની વાસ્તવિકતા નજરઅંદાજ કરીને, હવામાં આદર્શવાદના ઉપદેશ આપે છે. આ લોકો માને છે કે તેમના ઇન્કારથી વાસ્તવિકતા બદલાઈ જશે--ચાહે તે વાસ્તવિકતા જ્ઞાતિ આધારિત ભેદભાવો વિશેની હોય કે રાજકીય પક્ષોની દાનત વિશેની.

એમ તો ત્રીજો પણ એક પ્રકાર છે. તે જ્ઞાતિ આધારિત ભેદભાવને રાજકીયને બદલે સામાજિક સમસ્યા ગણાવે છે અને ચૂંટણી સિવાય પણ જ્ઞાતિ આધારિત ભેદભાવ વિશે ધ્યાન દોરતો રહે છે. પરંતુ તેમની વાતને અવગણવામાં આવે છે અથવા ‘ચોર કોટવાળને દંડે’ પ્રમાણે, તેમની પર એવો આરોપ થાય છે કે ‘તમે આવી વાતો કરો છે, એટલે જ જ્ઞાતિવાદ વધે છે. બાકી, લોકો તો આ બધું ક્યારના ભૂલી ચૂક્યા છે.’

અલ્પેશ, હાર્દિક અને જિજ્ઞેશ--આ ત્રણે ભાજપવિરોધના મુદ્દે એકમત છે. એ સિવાય તેમની માગણીઓ અને આકાંક્ષા જુદાં છે. તેમાં જ્ઞાતિવાદનું તત્ત્વ કેટલું અને સમાજની ચિંતાનું તત્ત્વ કેટલું, એ વિવાદનો વિષય છે. પરંતુ આ ત્રણે પર અથવા તો ભાજપ-કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો પર જ્ઞાતિવાદી રાજકારણનો આરોપ મુકનારા લોકો પોતે જ્ઞાતિના મુદ્દે કેવું વલણ ધરાવે છે?

એ તપાસતાં પહેલાં વધુ એક સચ્ચાઈઃ રાજકીય પક્ષો ગમે તેવા દાવા કરે કે ગમે તેટલી સુફિયાણી વાતો કરે, તેમને માત્ર ને માત્ર જીત વહાલી હોય છે. એ માટે જે કરવું પડે એ કરવા માટે બધા રાજકીય પક્ષો તૈયાર હોય છે. તેમાં જ્ઞાતિનું સમીકરણ મુખ્ય હોય છે. સેક્યુલરિઝમની કે હિંદુત્વની, વિકાસની કે ગાંડા વિકાસની--આ બધી વાત કરનારાને ઉમેદવાર પસંદ કરવાના આવે ત્યારે મંડાતા હિસાબ મુખ્યત્વે જ્ઞાતિગણિતના હોય છે. તેમાં પાવરધા હોય એવા વ્યૂહબાજોને ‘ચાણક્ય’નાં બિરુદ પણ અપાય છે. (બિચારા ચાણક્ય) આવા વ્યૂહખોરોની ઘણી મહાનતા એ ગણતરીમાં સમાયેલી હોય છે કે કયા વિસ્તારમાં કઈ જ્ઞાતિઓ સંખ્યાની (મતની) રીતે પ્રભાવી છે અને એવાં પ્રભાવી જ્ઞાતિજૂથોના મતોના સરવાળા કેવી રીતે પાર પાડવા?

ઘણી બેઠકો પર બંને પક્ષો એક જ જ્ઞાતિના બે ઉમેદવાર પક્ષીય વફાદારીના ધોરણે સામસામા ઉભા કરે છે, ક્યાંક પ્રતિસ્પર્ધીના જ્ઞાતિઆધારિત મત તોડવા માટે તેની જ જ્ઞાતિના ત્રીજા ઉમેદવારને ઉભો કરવામાં આવે છે, તો ક્યારેક ચૂંટણી પહેલાં આવી પ્રભાવી જ્ઞાતિસમુહના આગેવાનોને પલાળીને તેમનો પક્ષપલટો કરાવવામાં આવે છે--અને આ બધું કર્યા પછી એવો ભ્રમ પ્રસરાવવામાં આવે છે કે ‘તુષ્ટિકરણ’ તો ફક્ત મુસ્લિમોનું જ થઈ શકે અને ‘વોટબેન્કનું રાજકારણ? એ તો સામેવાળાનું કામ.’

હકીકતમાં, બંને પક્ષો વિવિધ સમુદાયોની વોટબેન્ક પર કબજો જમાવવા ધમપછાડા કરે છે. એવું કરવામાં સફળતા મળે, તો તેને ‘સોશિયલ એન્જિનિયરિંગ’ જેવા રૂપાળા નામે ઓળખાવવામાં આવે છે. ગુજરાતના રાજકારણમાં ભૂતકાળમાં ‘પક્ષ’ (પટેલ-ક્ષત્રિય), KHAM(ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) જેવાં ‘સોશિયલ એન્જિનિયરિંગ’નાં ઉદાહરણ નોંધાયેલાં છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ખ્યાત ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ નહીં આપવા માટે પંકાયેલો છે.

જાગ્રત નાગરિકો નહીં, પણ રાજકીય પક્ષ વોટબેન્કના રાજકારણનો વિરોધ કરે, ત્યારે એ વિરોધ પોતે જુદા પ્રકારના વોટબેન્કના રાજકારણનો હિસ્સો હોય છે. ગુજરાતમાં અને પછી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીના ઉદય બાદ જ્ઞાતિઆધારિત રાજકારણનો અંત આવી ગયો, એવું ઘણા માને છે.  તેમને કાં ખબર નથી અથવા યાદ નથી કે પછી યાદ રાખવાની ઇચ્છા નથી કે ભૂતકાળમાં અનેક વાર નરેન્દ્ર મોદીની પ્રસ્તુતિ ‘ઓબીસી નેતા’ તરીકે થઈ ચૂકી છે.

પરંતુ મુખ્ય સવાલ નરેન્દ્ર મોદીનો કે ભાજપ-કોંગ્રેસનો નથી. તેમની પર જ્ઞાતિવાદના રાજકારણ માટે એક આંગળી ચીંધતી વખતે બાકીની આંગળીઓ આપણી તરફ તકાયેલી નથી? એ લોકો જ્ઞાતિવાદનું રાજકારણ રમે છે. કારણ કે, એમ કરવાથી તેમને સફળતા મળે છે.

શા માટે સફળતા મળે છે? કારણ કે જ્ઞાતિવાદનું રાજકારણ ચાલે છે.
આ રાજકારણ ક્યાં ચાલે છે? અને તેને કોણ ચલાવે છે?
જવાબઃ એ રાજકારણ સમાજમાં ચાલે છે. તેને ચલાવનારા આપણે છીએ.

આપણને જ્ઞાતિવાદ બહુ ફાવે છે, તેમાં બહુ સારું લાગે છે. એટલે રાજકીય પક્ષો આપણને એ રમકડે રમાડે છે. આપણે વિચારપુખ્ત અને સમજુ હોત, તો આપણી વાસ્તવિક સમસ્યાઓ વિશે ચિંતિત હોત અને તેના ઉકેલ શોધતા હોત. પણ બહુમતી લોકોને જ્ઞાતિની ઓળખમાં અને તેના ગૌરવમાં ‘કીક’ આવી જાય છે. ઇતિહાસનો સાદો બોધપાઠ એ સમજતા નથી.  દાખલા તરીકે,  રાજાશાહી દરમિયાન મુસ્લિમ શાસકોના રાજમાં મોટા ભાગના મુસ્લિમોનું જીવનધોરણ સુધરી ગયું ન હતું. અત્યારે તો રાજાશાહી નહીં, લોકશાહી છે. તેમાં કોઈ એક જ્ઞાતિ કે સમુદાયના થોડા લોકો નેતા થઈ જાય, તેનાથી એ સમાજનો સામાન્ય માણસ કેવી રીતે ઉપર આવી જશે? એક દલિતનું રાષ્ટ્રપતિ કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કે યુજીસીના અધ્યક્ષ બનવું અત્યંત આવકાર્ય હોવા છતાં જરાય પૂરતું નથી--અને ફક્ત એટલાથી દલિતોનો ઉદ્ધાર થઈ ગયો કે થઈ જશે, એવું માની લેવાની જરૂર નથી.

એવી જ રીતે, ભારતનું બહોળું જ્ઞાતિવૈવિધ્ય વિધાનગૃહોમાં જોવા મળે, તે આવકાર્ય છે, પરંતુ અમુક જ્ઞાતિના લોકો વિધાનસભામાં પહોંચે એટલા માત્રથી એ જ્ઞાતિના સામાન્ય માણસનો ઉદ્ધાર થઈ જશે, એવી ગેરસમજણમાં રહેવાની જરૂર નથી. આપણે, નાગરિકોએ, સમજવું પડશે કે જ્યાં સુધી આપણે જ્ઞાતિની ઓળખોમાં, વાડાબંધીમાં ને મિથ્યાભિમાનમાં રાચીશું, તેમાં જ આપણી ઇતિશ્રી માનતા રહીશું, ત્યાં સુધી ફાવેલાઓ વધુ ફાવતા રહેશે ને રહી ગયેલાઓ વધુ ને વધુ ખૂણામાં ધકેલાતા રહેશે

--અને એ દોષનો બધો ટોપલો રાજનેતાઓના માથે ઢોળી નહીં શકાય. કેમ કે, તેમનું જ્ઞાતિવાદી રાજકારણ મહદ્ અંશે આપણી જ જ્ઞાતિવાદી માનસિકતાનું પ્રતિબિંબ-કમ-પરિણામ હશે.

Monday, November 13, 2017

રાજકીય ગરમીના માહોલમાં દાદા ધર્માધિકારીનું ચિંતન

Dada Dharmadhakari / દાદા ધર્માધિકારી
ગાંધીજીની એક મોટી કમાલ એ હતી કે પોતાનાથી જુદા વિચાર ધરાવતા ઘણા તેજસ્વી લોકોને તે ચેલા મૂંડ્યા વિના પોતાની સાથે રાખી શક્યા. તેમાં અનેક જાણીતાં નામોથી માંડીને કેદારનાથ જેવા અધ્યાત્મ પંથના પ્રવાસી અને માંડીને દાદા ધર્માધિકારી જેવા ચિંતકનો પણ સમાવેશ થાય. ચિંતક તરીકેની ઓળખ અત્યારે એટલી લપટી પડી ગયેલી અને સમજુ લોકોમાં બદનામ ગણાય છે કે સાચા ચિંતકની ઓળખાણ કયા શબ્દોમાં આપવી, તેની મૂંઝવણ થાય. પણ ખુલ્લા મનથી, કોઈ પણ વિચારધારાની કંઠી બાંધ્યા વિના, માનવહિત અને નાગરિકહિતનો વિચાર કરનાર દાદા ધર્માધિકારીના વિચારોથી તેમની સાચી ઓળખ મળી રહેશે.

દાદાની જે પુસ્તિકાની વાત અહીં કરવાની છે તે હકીકતમાં દાદાએ આપેલાં મરાઠી પ્રવચનનો ગુજરાતી અનુવાદ છે. ‘તરુણોને’ એવું મથાળું ધરાવતી આ પુસ્તિકાની પહેલી આવૃત્તિ વડોદરાના યજ્ઞ પ્રકાશને 1972માં પ્રકાશિત કરી હતી. ચિંતનની જેમ યુવાનોના નામે પણ અત્યારે જે ધંધા ચાલે છે, તે જોતાં દાદાના વિચારો ધર્મ, સમાજ અને નાગરિકચેતનાની જુદી અને સાચી દિશા ચીંધનારા લાગે છે.

તરુણોએ પરિવર્તન આણીને કેવી દુનિયા બનાવવા માટે કામ કરવાનું છે? દાદા ધર્માધિકારીએ તેના ત્રણ મુદ્દા આપ્યાઃ 1) જરૂરિયાતવાળાને વસ્તુ મળવી જોઈએ. જરૂર ન હોય છતાં ખરીદશક્તિના જોરે વસ્તુ મળી જાય ને જરૂરતમંદ નાણાંના અભાવે વંચિત રહી જાય, એ ન ચાલે. આવી વ્યવસ્થા વિશે તેમણે કહ્યું કે વિદ્યા વેચાતી મળે, મોક્ષ વેચાતો લેનારને મળે...દેવ પણ વેચાતા લેનારને મળે. માણસ વેચાય, માણસનો શ્રમ પણ વેચાય, માણસની વિદ્યા પણ વેચાય, માણસના ગુણ વેચાય. જ્યાં માણસ વેચાય ત્યાં રાજ્ય પણ વેચાય, ત્યાં મત પણ વેચાય.’

2) નાણાંની જગ્યાએ શસ્ત્રનું, તિજોરીની જગ્યાએ તલવારનું રાજ પણ ન જોઈએ. ‘ક્રાંતિ કરતા હોઈએ ત્યારે પણ એ કાળજી લેવી જોઈએ કે સમાજમાં હત્યારાની પ્રતિષ્ઠા, હત્યારાની ઇજ્જત ન વધવી જોઈએ. હત્યારાની છત્રી નીચે નાગરિકોએ બિલાડી બનીને ન રહેવું જોઈએ.’

૩) નાગરિક-નાગરિક વચ્ચે રાજ્યની દખલ ઓછામાં ઓછી હોવી જોઈએ. રાજ્યને ઓળખવાની ત્રણ નિશાની છે. ત્રણ સંસ્થા છેઃ પોલીસ, કચેરી અને જેલ… સ્મશાન એ ગામની આવશ્યકતા છે, પણ આશીર્વાદ શું અપાય? ત્યાં જવાનો વખત કોઈને ન આવે એ જ...જેલ, કચેરી, પોલીસ આ સંસ્થાઓ સમાજમાં આવશ્યક હશે, પણ...તેનો ઉપયોગ કરવાનો વારો ન આવવો જોઈએ. એટલે રાજ્યસંસ્થા ક્ષીણ થવી જોઈએ. રાજનીતિ ક્ષીણ થવી જોઈએ અને લોકનીતિ વધવી જોઈએ…રાજકારણ એટલે રાજ્યનો લોકજીવનમાં પ્રવેશ. લોકકારણ એટલે લોકમતનો રાજ્યમાં પ્રવેશ.

આગળ જણાવેલી ત્રણે સત્તાના નાશને તથા માનવતાના વિકાસને દાદાએ 'ક્રાંતિ'ગણાવીને કહ્યું કે 'આ દૃષ્ટિએ તરુણોએ વિચાર કરવો જોઈએ. આવા વિચાર કરે તે તારુણ્ય.’

લોકકારણને બદલે રાજકારણની બોલબાલા થઈ, એટલે લોકશાહી નબળી પડેલી લાગે છે. પરંતુ તેના માટે રાજકારણીઓની સાથોસાથ નાગરિકોની પણ જવાબદારી ઓછી નથી. તે નાગરિક હિત સાથે રાજકારણમાં પ્રવેશવાને બદલે, રાજનેતાઓને પોતાના સ્વાર્થી એજન્ડા લઈને નાગરિકહિતની બાબતોમાં પ્રદૂષણ પેસાડવા દે છે. ઉપરથી પોતે લોકકારણના એ પ્રદૂષણમાં સહભાગી બને છે.

અત્યારનો ઘણો સંઘર્ષ વિચારધારાના નામે પણ ચાલે છે. તેમાં ખરેખરો વિચાર કેટલો હોય છે? દાદા ધર્માધિકારીએ કહ્યું, ‘વિચાર એટલે કોઈ પણ એક વિચાર નહીં, ફક્ત વિચાર. વિચાર કરવાની માણસની ક્ષમતા... વિચાર આધ્યાત્મિક ક્ષેત્રમાં સંગઠિત થાય તેનું નામ ધર્મપંથ. તે જ પ્રમાણે વિચાર બીજા ક્ષેત્રમાં સંગઠિત થાય એટલે તે વિચારસરણીમાં પરિણત થાય છે. વિચારસરણી બને એટલે વિચાર બચતો નથી. વિચાર સંગઠિત થયો એટલે વિચાર પૂરો થયો. સંગઠિત વિચાર એટલે મૃત વિચાર. બીજું, સંગઠિત વિચાર આક્રમણશીલ થાય, એટલે તે વાદ બને છે...આજે જગતમાં વાદોની લડાઈ છે...આ સંગઠિત વિજેયચ્છુક (વિજયી બનવા ઇચ્છતો) વિચાર જ્યારે સત્તાભિમુખ બને છે ત્યારે તે પક્ષ બને છે.’

આ વાક્યોમાં શબ્દચાતુરી નહીં, વાસ્તવિક પરિસ્થિતિ સમજવાની ચાવી છે. એ વાતને આગળ વધારતાં દાદાએ કહ્યું, ‘સંગઠિત વિચાર એ સમ્યક્ વિચારનો વિરોધી છે, ઘાતક છે. જ્યાં સંગઠિત વિચાર આવે છે, ત્યાં વિચાર સિલક રહેતો નથી. ઇટ્સ એ કૉન્સ્પિરસી અગેન્સ્ટ ઇન્ટલેક્ટ—માણસની બુદ્ધિની વિરુદ્ધ કરેલ વ્યૂહ એટલે સંગઠિત વિચાર...કેવી ગમ્મત છે? પક્ષનો આરંભ વિચાર-સ્વાતંત્ર્યની આકાંક્ષામાંથી થાય છે. પક્ષ કેમ બન્યો? આપણે કહીએ છીએ કે અમારો વિચાર ભિન્ન છે માટે અમે જુદો પક્ષ કાઢ્યો, પણ પક્ષમાં સ્વતંત્ર વિચારને સ્થાન જ નહીં. તમે જો વિચાર-સ્વાતંત્ર્ય માગશો તો પક્ષ છોડવો પડશે અથવા તમને પક્ષમાંથી કાઢી મુકીશું. એટલે પક્ષ માટે કહેવાયું...સામાન્ય લોકોની બુદ્ધિની વિરુદ્ધ, બૌદ્ધિક સ્વાતંત્ર્ય વિરુદ્ધ આ વ્યૂહ છે.’ (એ અરસામાં કોંગ્રેસના બે ભાગ પડ્યાની ઘટના પ્રમાણમાં તાજી હતી)

એક સવાલ જુદી જુદી બાબતોમાં આવતો રહે છે--ચૂંટણીઓ વખતે તો ખાસ. ઘણા લોકો કહે છે, ‘બન્ને તરફ અનિષ્ટ છે, તેમાંથી અમે ઓછા અનિષ્ટની પસંદગી કરી.’ પોતાના હેતુ માટે હથિયારો ઉપાડનારામાંથી કેટલાક સિદ્ધાંતવીરો કહે છે, હિંસા 'નેસેસરી ઇવિલ' (અનિવાર્ય પાપ) છે. પરંતુ વાસ્તવમાં શું થાય છે? દાદાએ કહ્યું હતું, ‘ફક્ત અપરિહાર્ય (જેના વગર ન ચાલે એવું) તરફ જ લક્ષ રહે છે...'ઇવિલ'પર જોર નહીં, ફક્ત 'નેસેસરી'પર જ જોર છે.’ આપણે પણ ઓછા અનિષ્ટને ચૂંટ્યા પછી એ યાદ રાખતા નથી કે એ છે તો અનિષ્ટ જ. માટે તેને માથે ન ચડાવાય અને તેની પાસેથી સતત હિસાબ માગતા રહેવું પડે. પરંતુ ઓછું અનિષ્ટ ક્યારે ઉદ્ધારકનું સ્થાન લઈ લે છે, તેની ઘણાને સરત રહેતી નથી.

વર્ગની વિચારસરણી પર મોટાં શાસ્ત્રો રચાયાં છે, પણ દાદાએ તેની બહુ વ્યવહારુ સમજૂતી આપી. તેમણે કહ્યું કે વર્ગ (એટલે કે ગરીબ અને અમીર, માલિક અને મજૂર) એ બાહ્ય પરિસ્થિતિ છે. ‘જેને માટે (રશિયન) ક્રાંતિ કરવામાં આવી એ ક્રાંતિકારી નહોતા. ગરીબ માણસ ક્રાંતિકારી નથી...તેઓ સમાજપરિવર્તન ઇચ્છે છે, પણ ક્રાંતિ નહીં. એનો અર્થ શું? ગરીબને અમીર થવું છે, પણ ક્રાંતિ નથી જોઈતી. એટલે ગરીબ અને અમીરની મનોભૂમિકામાં મૂળભૂત ફરક નથી. ફરક છે પરિસ્થિતિમાં, બાહ્ય ભૂમિકામાં.’ એટલે એક તરફ ગરીબ અમીરને શેતાન ગણતો હોય, શોષક ગણતો હોય, પણ તેને પોતાને (એવા જ) અમીર થવું હોય. આ વિરોધાભાસને કારણે બન્ને બાહ્ય રીતે જુદા વર્ગના થવા છતાં, સરવાળે એક જ માળાના મણકા બની રહે છે. અલબત્ત, આ દલીલથી શોષણખોરોને અવિરત શોષણનો પરવાનો મળી જતો નથી, પણ શોષણ સામે-અન્યાય સામે-અત્યાચાર સામે આંદોલન કરનારાએ વિચારવાનું રહે છે કે તેમને કેવા બનવું છે?

Tuesday, November 07, 2017

નોટબંધીની વરસીએ 'સ્મરણાંજલિ'

આવતી કાલે નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂરું થશે. આટલા સમય પછી ‘તમને વડાપ્રધાનનું આ પગલું મહાન લાગે છે કે નહીં? હા કે ના.’ એવું સરળીકરણ કરવાને બદલે, વિવિધ માહિતી-હકીકતના ટુકડા જોડવાથી ચિત્ર વધારે સ્પષ્ટ રીતે જોઈ શકાશે.

નોટબંધી જાહેર થઈ ત્યારે તેને કાળાં નાણાં પર સર્જિકલ સ્ટ્રાઈક તરીકે ઓળખવામાં આવી હતી. શરૂઆતમાં એવી છાપ ઉભી કરવામાં આવી કે કાળાં નાણાં ધરાવતા લોકોની પાંચસો-બે હજારની નોટો કાગળીયાં થઈ જશે અને એ લોકો રાતા પાણીએ રડશે. બીજું નિશાન હતા ત્રાસવાદીઓ. તે પાંચસો અને હજારની નકલી નોટો દેશમાં ઘુસાડીને તે અર્થતંત્રને ફટકો મારે છે ને તેમનું ભંડોળ પણ મોટી રકમની નોટોમાંથી આવે છે. નોટબંધી પછી ત્રાસવાદીઓ નાણાંકીય ભીંસમાં આવી જશે ને ઢીલા પડશે.

નોટબંધી જેવા આત્યંતિક પગલા પાછળનો મુખ્ય આશય સરકાર એટલે કે વડાપ્રધાન કાળાં નાણાંના મુદ્દે કેટલા ગંભીર છે, તે દર્શાવવાનો હતો. નોટબંધીની અર્થતંત્ર પરની ટૂંકા, મધ્યમ ને લાંબા ગાળાની અસરો નિષ્ણાતો માટે પણ ચર્ચા અને મતભેદનો વિષય છે. દરમિયાન, નોટબંધીનાં હકારાત્મક પરિણામો મુખ્યત્વે આટલાં ગણાવાયાં છેઃ

1) તેનાથી ડિજિટલ લેવડદેવડમાં નોંધપાત્ર વધારો થયો છે. રીઝર્વ બેન્કના આંકડા પ્રમાણે, નવેમ્બર 2016માં ડિજિટલ લેવડદેવડની કુલ સંખ્યા આશરે 70 કરોડથી થોડી ઓછી હતી અને લેવડદેવડની કુલ રકમ રૂ. 94,004 અબજ હતી. માર્ચ, 2017માં એ રકમમાં સૌથી મોટો વધારો નોંધાયો (રૂ.1,49,589 કરોડ) અને ઓગસ્ટ, 2017માં તે આંકડો હતોઃ રૂ.1,09,818 અબજ. એટલે કે નવેમ્બર, 2016 કરતાં 16.8 ટકાનો વધારો. પરંતુ ડિજિટલ લેવડદેવડનો વધારો એ તો નોટબંધીની આડપેદાશ હતી (જેને સમય જતાં મુખ્ય જાહેર કરવામાં આવી) તેના માટે થઈને, ભારતના બહુમતી લોકોને રોજગારી આપતા અસંગઠીત ક્ષેત્રમાં મોટુંં ગાબડું પાડવાનું અને બહુમતી નિર્દોષ લોકોને પારાવાર મુશ્કેલીમાં મુકવાનું વાજબી ઠરાવી શકાય?

2) આવકવેરો ભરનારની સંખ્યામાં વધારો થયો. સરકારના જ ઇકોનોમિક સર્વે 2017માં નોંધાયા પ્રમાણે, 5.7 લાખ નવા કરતાદાતા એવા છે, જે નોટબંધીને કારણે વેરો ભરતા થયા હોવાની સંભાવના છે. (ભારતની વસ્તી અને નોટબંધીના અમલથી કરોડો લોકોને પડેલી તકલીફો ધ્યાનમાં રાખતાં 5.7 લાખનો આંકડો સંતોષકારક લાગે કે ‘ફક્ત’? વિચારી જોજો)

3) સરકારી જાહેરાત પ્રમાણે, આશરે 2 લાખ બનાવટી કંપનીઓનાં રજિસ્ટ્રેશન નોટબંધી પછી રદ કરવામાં આવ્યાં છે.

4) બેન્કોમાં અઢળક નાણાં જમા થવાથી લોનના દર ઘટ્યા.

5) નોટબંધી પછી તરતના અરસામાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે ત્રાસવાદી તથા અશાંતિ જગાડનારી પ્રવૃત્તિઓમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. આટલા વખત પછી કહી શકાય કે નોટબંધીની ત્રાસવાદ પર કશી જ અસર પડી નથી.

6) એવી ધારણા હતી કે 10થી 20 ટકા જેટલી નોટો પાછી નહીં આવે ને સરકારે ભારે ફાયદો (વિન્ડફોલ ગેઇન) થશે. પરંતુ રીઝર્વ બેન્કના આંકડા પ્રમાણે 99 ટકા નોટો પાછી જમા થઈ ગઈ. તીર માર્યા પછી તેની ફરતે કુંડાળું દોરી કાઢવાની પદ્ધતિ પ્રમાણે, એવું જાહેર કરવામાં આવ્યું કે લગભગ બધી નોટો સીસ્ટમમાં આવી ગઈ હોવાથી, નોટબંધી સફળ થઈ છે. હવે ઇન્કમટેક્સ વિભાગ તેમાંથી તપાસ કરીને શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરશે.

પરંતુ મહેશ શાહના કિસ્સા પછી સરકારની દાનત પરનો ભરોસો ટકાવી રાખવો અઘરો છે. વેપારધંધાનો કશો ઠેકાણાસરનો રેકોર્ડ ન ધરાવતા મહેશ શાહે નોટબંધી પછી કાળાં નાણાંની સ્વૈચ્છિક જાહેરાત યોજના અંતર્ગત રૂ. 13,860 કરોડની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી. તેમની સ્વૈચ્છિક જાહેરાતનું સરકારી ફોર્મ જવાબદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે ભરવામાં આવ્યું હતું. આટલી મોટી રકમની જાહેરાત થઈ ત્યારે એવી પાકી આશંકા હતી કે આ નાણાંમાં અનેક મોટાં માથાં સંકળાયેલાં હોવાં જોઈએ. પછીથી ખુદ મહેશ શાહે એક ટીવી ચેનલ પર કહ્યું કે એ નાણાં વગદાર લોકોનાં હતાં. પણ જાહેર કરેલી રકમના આવકવેરાનો પહેલો હપ્તો મહેશ શાહ ભરી શક્યા નહીં. એટલે નિયમ મુજબ તેમની સ્વૈચ્છિક જાહેરાત રદબાતલ ઠરી.

પરંતુ આટલી મોટી અને સ્વૈચ્છિક રીતે જાહેર થયેલી રકમનું શું થયું? તેનું પગેરું કેમ શોધવામાં ન આવ્યું? કાળાં નાણાં બાબતે ગર્જનાઓ કરતી સરકારે, જાહેર કરાયેલાં નાણાં મોટાં માથાંનાં હોવાની મહેશ શાહની જાહેર કબૂલાત પછી પણ, તે દિશામાં કેટલી અને કેટલા ઉત્સાહથી તપાસ કરી? અને કાળાં નાણાંના મુદ્દે ‘ભાંગી નાખું-તોડી નાખું’ કરતા અભિનયસમ્રાટો પાસેથી આ કેસ વિશે છેલ્લું ક્યારે સાંભળ્યું હતું?

બીજો મુદ્દો અત્યંત જરૂરી એવાં આયોજન અને પ્રક્રિયાનો. 1978માં વડાપ્રધાન મોરારજી દેસાઈએ મોટી રકમની નોટો રદબાતલ કરી, તે પહેલાં તેના માટે જરૂરી પ્રક્રિયાઓ બાકાયદા, યોગ્ય રીતે પૂરી કરી હતી. એ વખતે જનતા સરકારના નાણાં મંત્રી અને સરદાર પટેલના વિશ્વાસુ રહી ચૂકેલા એચ.એમ.(હીરુભાઈ) પટેલે તથા રીઝર્વ બેન્કના (ગુજરાતી) ગવર્નર આઇ.જી. પટેલે મોરારજીભાઈને કહ્યું હતું કે કાળું નાણું ધરાવતા લોકો તેને ઘણું ખરું રોકડ સ્વરૂપે રાખતા નથી. થોડા સમય પહેલાં ઇન્કમટેક્સ વિભાગના 2012-13થી ગયા વર્ષ સુધીના આંકડાના અભ્યાસ પરથી એ જ તારણ નીકળ્યું હતુંઃ કાળું નાણું રાખનારા તેમની કુલ બે નંબરી સંપત્તિનો માંડ 5-6 ટકા હિસ્સો રોકડ સ્વરૂપે રાખે છે.

તો કાળા નાણાંની સમાંતર અર્થવ્યવસ્થામાં આટલું ઓછું પ્રમાણ ધરાવતી રોકડ માટે, કુલ ચલણમાંથી 86 ટકા જેટલી રકમની ચલણી નોટો રદબાતલ કરતાં પહેલાં વડાપ્રધાને કઈ ગણતરીઓ માંડી હતી? કયા તર્ક લગાડ્યો હતો? કે પછી તીર માર્યા પછી તેની આસપાસ કુંડાળાં દોરવાની આવડત પર ભરોસો રાખ્યો હતો? માન્યું કે નિર્ણય લેતાં પહેલાં એ પ્રક્રિયા ગુપ્ત હોય, પણ હવે તો એ જાહેર કરી શકાય કે ફાયદો-નુકસાનનો કેવી રીતે તોલ કરીને, કયા નિષ્ણાતોના સૂચન અને કોના વિરોધ વચ્ચે આ નિર્ણય લેવાયો હતો? અથવા, આવી કોઈ પ્રક્રિયા થઈ હતી ખરી?

નોટબંધીનું અણઘડ-અપૂરતું આયોજન, તેના કારણે ઉભી થતી મુશ્કેલીઓ અને તેના આધારે સતત બદલાતું રહેતું નોટબંધીનું લક્ષ્ય, કેવળ ભાષણોથી લોકોના અસંતોષ પર કાબૂ મેળવી લેવાનો આત્મવિશ્વાસ, ગંભીર અસરો ધરાવતા નિર્ણયો ઉતાવળે લઈ લીધા પછી છેવટે, તેનાં પરિણામો સાથે પનારો પાડવા આર્થિક નિષ્ણાતોની સલાહકાર સમિતિ નીમવાનું ‘શાણપણ’—આ બધું સાથે મૂકીને શું દેખાય છે? એ નાગરિકોએ નક્કી કરવાનું છે.
***

નોટબંધીની વાર્તા

Thursday, November 02, 2017

ગાંધીહત્યાની વિચારસરણી અને સરદાર

કેટલાક સમાચાર એટલા બધા જૂના હોય છે કે તે એકદમ નવા અને ‘બ્રેકિંગ’ લાગે. ગુંચવાડો થયો?  તો આ રહ્યો નમૂનો--ઉમાશંકર જોશીના તંત્રીપદે પ્રગટ થતા માસિક ‘સંસ્કૃતિ’ના જાન્યુઆરી, 1951ના અંકમાંથીઃ

‘હિંદુ મહાસભાનું અધિવેશન.
પૂનામાં ભરાયેલું આ અધિવેશન અને તેની સાથે મળેલી નિરાશ્રિતોની પરિષદ દેશમાં અત્યારે કેવાં બેજવાબદાર તત્ત્વો સળવળી રહ્યાં છે તેનો ખ્યાલ આપે છે. રાષ્ટ્રપિતાના હત્યારાની જય પોકારાય અને છબીઓ વેચાય એ તો આપણા દેશમાં જ બની શકે. અધિવેશનની ઘૃણાજનક કાર્યવાહીમાંથી કોઈ સુખદ સમાચાર આવ્યા હોય તો તે એ કે સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન બદલ ખેદ પ્રગટ કરતો ઠરાવ લાંબી રકઝક પછી ઉડાડી દેવામાં આવ્યોઃ સરદાર કોમવાદી હતા એ ખ્યાલને પાયામાંથી ઉખાડી દેનાર આનાથી વધુ સારો પુરાવો બીજો શો મળી શકત?
અધિવેશન ઉપર દિલ્હીથી રાજપ્રમુખનો સંદેશો ગયો હતો! રાબેતા મુજબ કચેરીએ રાજપ્રમુખને પૂછ્યા પણ વગર સંદેશો મોકલી દીધો હતો એમ પાછળથી ખુલાસો કરવામાં આવ્યો છે. કચેરી પાસે આ બાબત જવાબ માગી પગલાં લેવાવાં જોઈએ.’

ઉમાશંકરની નાનકડી નોંધ એકથી વધુ કારણોસર ઘણી મહત્ત્વની છેઃ

૧) અભૂતપૂર્વ કોમી હિંસાનો દૌર તાજો હતો ત્યારે પણ, ગાંધીહત્યારાનો મહિમા ઉમાશંકર જોશીને અકળાવતો હતો. રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રવાદના નામે ચાલતો ગમે તેટલી દલીલોનો ખડકલો ગાંધીહત્યાને 1950ના કપરા કાળમાં વાજબી ઠરાવી શકતો ન હોય, તો ત્યાર પછીના સામાન્ય કહેવાય એવા કાળમાં ગાંધીહત્યાને ‘ગાંધીવધ’ (ધર્મકાર્ય) કેવી રીતે કહી શકાય?  અને ગોડસેની વિચારધારાને યોગ્ય ઠરાવતા સંદેશાઓનું હવે નવા ઉત્સાહથી આદાનપ્રદાન થતું હોય, તેને શું કહેવું? કેવળ કરુણતા? કે ધીક્કારકેન્દ્રી વિચારધારા માટે ચાલુ રહેલું-નવેસરથી ઘટ્ટ બનેલું ચિંતાજનક વાતાવરણ?

૨) ગાંધીહત્યાની નૈતિક જવાબદારી ગૃહ મંત્રી તરીકે સરદારની કહેવાય કે નહીં, એવો બિનજરૂરી અને (સરદારને) અન્યાયી વિવાદ એ વખતે જાગ્યો હતો. સરદારના કેટલાક વિરોધીઓનો એક આરોપ એવો પણ હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રત્યે તે પૂરતા કડક નથી. મૌલાના આઝાદથી માંડીને કેટલાક  વર્તમાન અભ્યાસીઓ દ્વારા પણ એવાં આંગળીચીંધામણાં થતાં રહ્યાં છે. ત્યારે ભાગલા સમયનાં હિંદુ અંતિમવાદી પરિબળો સરદારને ‘પોતાના માણસ’ તરીકે જોતાં ન હતાં, તેનો સ્પષ્ટ ખ્યાલ ‘સંસ્કૃતિ’ની નોંધમાંથી આવે છે.

છેલ્લા ઘણા સમયથી જમણેરી અંતિમવાદી પરિબળો સરદારને એવી રીતે ગજવે ઘાલીને ફરે છે, જાણે સરદાર તેમની વિચારધારાના મશાલચી હોય. ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે ગાંધીહત્યાને ધર્મ્ય ગણતી વિચારધારાને 1950માં સરદાર જરાય આદરણીય લાગ્યા ન હતા. એટલે તેમના મૃત્યુ અંગે શોકઠરાવ પસાર કરવા જેટલા સાધારણ વિવેકમાંથી પણ એ લોકો ગયા. જમણેરી અંતિમવાદી રાજકારણની ઝેરી સંકુચિતતાનો ગાંધીહત્યા પછીના ક્રમે મૂકી શકાય એવો આ નમૂનો. પછીનાં વર્ષોમાં કોંગ્રેસે સરદારની વ્યવસ્થિત ઉપેક્ષા કરી, એટલે જમણેરીઓ દ્વારા તેમનું ‘અપહરણ’ શક્ય બન્યું.

૩) કમનસીબી એ વાતની થઈ કે વિરોધીઓ જે આરોપ મૂકીને સરદારની ટીકા કરતા હતા, એ જ આરોપસર જમણેરીઓને સરદાર માટે આકર્ષણ પેદા થયું. એ દૃષ્ટિએ જોતાં, તેમણે સરદારના ટીકાકારોની (ખોટી) ટીકાને સાચી પાડી અને સરદાર પ્રત્યે આદરના નામે તેમના અપમાનમાં સામેલ થયા. કહેવા પૂરતી તો સરદારની વાત ‘દેશની એકતા અને અખંડિતતાના ઘડવૈયા’ તરીકે કરવાની, પણ એ આદરને સહેજ ખોતરતાં સરદારને મુસ્લિમવિરોધી ગણવાની આ કહેવાતા સરદારપ્રેમીઓની માનસિકતા અચૂક છતી થઈ આવે.

ગાંધીહત્યા પછી સંઘ પરિવાર પર પ્રતિબંધ મૂકનાર અને પ્રતિબંધ ઉઠાવતી વખતે ચોક્કસ શરતો મૂકનાર સરદાર સંઘ પરિવાર વિશે એવું વિચારતા હતા કે તેમણે દેશની સેવા કરવી હોય તો (એ સમયની) કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ. સરેરાશ હિંદુઓ નિર્બળ છે અને વખત આવ્યે સ્વરક્ષા કે સ્વજનોની રક્ષા પણ કરી શકતા નથી, એનો તેમને અફસોસ હતો. ગાંધીજી પણ એવું જ માનતા હતા અને સમયાંતરે તેમણે એકથી વધુ વાર કહ્યું હતું કે અહિંસક પ્રતિકાર કરીને ખપી જવું એ શ્રેષ્ઠ રસ્તો છે, પણ એ ન ફાવે તો કાયરની માફક ભાગી છૂટવાને બદલે સામે લડવું. સરદારની બોલવાની રીત આકરી હતી. તેમની એકંદર કામગીરી, વલણ અને તેમના સમયને ધ્યાનમાં લીધા વિના તેમનાં કેટલાંક વિધાન રજૂ કરવામાં આવે તો તે કોમવાદી લાગી શકે. પરંતુ તેમની સમગ્ર કારકિર્દી અને કામગીરીને તપાસ્યા પછી તેમની પર કોમવાદી કે ‘મુસ્લિમવિરોધી’નું લેબલ લગાડી શકાય નહીં.

૪) ઉમાશંકર જોશીની નોંધમાં છેલ્લે રાષ્ટ્રપ્રમુખ (રાષ્ટ્રપતિ)ની કચેરી વિશે પણ નુક્તચીની કરવામાં આવી હતી. તેનું હાર્દ એ હતું કે ગાંધીહત્યા માટે કારણભૂત વિચારધારા સાથે સંકળાયેલા સંગઠનને ઉચ્ચ સત્તાસ્થાન કે બંધારણીય હોદ્દેદારો તરફથી ઔપચારિક શુભેચ્છા પાઠવવાનું યોગ્ય નથી. એ તેમને માન્યતા કે પ્રોત્સાહન આપ્યા બરાબર ગણાય.

ગાંધીહત્યાની વાત નીકળે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમાં સીધી રીતે સંડોવાયેલો નથી અને ગોડસેને સંઘ સાથે કશો સંબંધ ન હતો, એવી ટેકનિકલ દલીલ આગળ કરવામાં આવે છે. તેની ટેકનિકલ સચ્ચાઈ સ્વીકાર્યા પછી પણ દાયકાઓ સુધી સંઘ પરિવારે ગાંધીહત્યાને ધર્મ્ય કાર્ય તરીકે તરીકે ખપાવ્યા કરી, એ સચ્ચાઈ મટી જતી નથી. સર્વોદયી અગ્રણી હસમુખભાઈ પટેલે હમણાં આલેખેલાં સંભારણાં પ્રમાણે, કટોકટી વખતે જેલવાસ દરમિયાન સંઘ પરિવારના સભ્યો સાથીકેદીઓને  ગોડસે કેટલો રાષ્ટ્રવાદી હતો અને ગાંધીહત્યા કેવી રીતે યોગ્ય હતી, તે સમજાવવા ભરપૂર મહેનત કરતા હતા. ગાંધીહત્યાથી સરદારને ભારે આઘાત પામનાર સરદારને ગાંધીહત્યાનું તાર્કિક સમર્થન કરનારાઓ વિશે શું કહેવાનું હોત, એ કલ્પવું અઘરું નથી.

છેક 1920ના દાયકાથી સરદારને ગાંધીજી વિશે એવું લાગતું હતું કે તેમણે આપણને જે આપવાનું હતું તે આપી દીધું છે અને હવે આપણે તેનો યથાશક્તિ અમલ કરવો જોઈએ. અમલ ન થાય તો સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે એ રસ્તે ચાલવાની આપણી શક્તિ નથી. ગાંધીના નામે ચાલતા દંભની સરદારને સખત ચીડ હતી. તો પોતાના નામે ચાલતા દંભ અને દેખાડાબાજી, મુસ્લિમવિરોધ અને કોમવાદથી સરદારને કેટલી ચીડ ચડતી હોત, એ પણ ધારી શકાય છે. પરંતુ મહાનુભાવોના નામે ચરી ખાનારા માટે તેમની ગેરહાજરી સૌથી મોટી સુવિધા બની રહે છે--પછી તે મહાનુભાવ સરદાર હોય કે ગાંધી, આંબેડકર હોય કે નહેરુ.. 

Monday, October 30, 2017

એક નવી શરૂઆતઃ 'વિકાસગીત'થી

ફેસબુક પરનાં મારાં સ્ટેટસ જોનારા મિત્રો જાણે છે તેમ, થોડા વિચાર પછી અને મિત્ર દીપક સોલિયાના ધક્કા પછી, છેવટે મેં યુટ્યુબ ચેનલ શરૂ કરવાનું વિચાર્યું. તેની આ પહેલી રજૂઆત છે. 

પહેલી વિડીયોનો વિષય રાજકારણ અથવા વધુ સાચી રીતે કહીએ તો, ગુજરાતનું જાહેર જીવન છે. પરંતુ આ ચેનલ પર ફક્ત  રાજકીય ચર્ચા માટે નથી. એ સિવાય ગમતાં પુસ્તકો, સંગીત અને બીજા વિષયો વિશે પણ ટૂંકમાં આ માધ્યમથી વાત કરવાનો ખ્યાલ છે--અઠવાડિયે એક કે બે વાર. 


કેટલાંક મિત્રોએ વ્યક્ત કરેલી વાજબી ચિંતાના અનુસંધાનમાં, ખાસ સ્પષ્ટતા એ કરવાની કે આ કશું લખવાના ભોગે નથી. આપણે જે કહેવું છે, પહોંચાડવું છે, જે શેર કરીને આનંદ કરવો છે, તેના માટે વધુ એક માધ્યમનો ઉપયોગ કરવાનો જ આશય છે.

તમને ગમે તો આનંદ. ચેનલ સબસ્ક્રાઇબ કરજો કે લિન્ક તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. ન ગમે તો વાંધો નહીં. જીવનમાં એવું બધું ચાલ્યા કરે :-)


Friday, October 27, 2017

ફેરી સર્વિસ અને વિગતોની હેરાફેરી

ઘોઘા-દહેજ વચ્ચે ફેરી સર્વિસના આરંભથી ગુજરાતમાં જળમાર્ગનું નવું પ્રકરણ શરૂ થયું છે. તેનાથી ભાવનગર-સુરત વચ્ચેનું અંતર ઘટીને લગભગ દસમા ભાગનું થઈ જાય છે. ગુજરાતમાં ઘેરાયેલાં ચૂંટણીનાં વાદળ વચ્ચે, વડાપ્રધાને આ સેવા શરૂ કરતાં તેમના અંદાજમાં ઘણી વાતો કરી. ‘તેમનો અંદાજ’ એટલે એવી રજૂઆત, જાણે ગુજરાતની પ્રગતિને લગતા તમામ વિચાર પહેલી વાર તેમને જ આવ્યા છે અને તેમના મુખ્ય મંત્રી બનતાં પહેલાં ગુજરાતમાં--તેમના વડા પ્રધાન બનતાં પહેલાં દેશમાં--અંધકારયુગ હતો.

વડાપ્રધાને કહ્યું કે અગાઉની કેન્દ્ર સરકારોએ ફેરી સર્વિસ શરૂ કરવાનું મુશ્કેલ બનાવ્યું હતું. ‘હું મુખ્ય મંત્રી હતો ત્યારે તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતની પ્રગતિ રૂંધવાનો પ્રયાસ કર્યો હતો.’ તેમણે કહ્યું કે તેમનું વિઝન ‘પી ફોર પી’ (પોર્ટસ ફોર પ્રોસ્પરિટી, બંદરો દ્વારા સમૃદ્ધિ) છે અને તે ‘બ્લુ ઇકોનોમી’માં માને છે. ‘બ્લુ ઇકોનોમી’ એટલે શું? તો કહે, ઇકોનોમી (અર્થતંત્ર) અને ઇકોલોજી (પર્યાવરણ)નો મેળાપ. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયામાં આ સૌથી મોટી ફેરી સર્વિસ છે. આ નિમિત્તે તેમણે મેરીટાઇમ યુનિવર્સિટીની પણ જાહેરાત કરી.

તથ્યો સાથે છૂટછાટો લેવા માટે અને દરેક બાબત પર પોતાના સિક્કા મારવા માટે વડાપ્રધાન જાણીતા કે નામીચા છે. એટલે, નવી ફેરી સર્વિસ વિશે આનંદ અને તેના ભવિષ્ય વિશે ઉજળી આશા વ્યક્ત કર્યા પછી, તેને લગતી કેટલીક જૂનીનવી હકીકતો તપાસીએ.

સમજણા થયા ત્યારથી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જોતાં આવેલાં સૌને જણાવવાનું કે 1950ના દાયકાથી કંડલા ગુજરાતનું મુખ્ય બંદર રહ્યું છે. (હવે આખેઆખા બંદરનું નામ ‘કંડલા’ને બદલે ‘દીનદયાળ’ કરી નાખવામાં આવ્યું છે. ન રહે ઇતિહાસ, ન રહે બીજા કોઈની ક્રેડિટ). ફેરી સર્વિસની વાત કરીએ તો, એ ફક્ત ઘોઘા-દહેજ વચ્ચે જ નહીં, કુલ પાંચ રૂટ પર ચાલતી હતીઃ નવલખી-કંડલા, ભાવનગર-કાળા તળાવ અને ભાવનગર-માઢીયા, જાફરાબાદ-પીપળી કાંઠા અને જાફરાબાદ-બેલાબંદર, ઓખા-બેટ અને ભરૂચ-ઘોઘા. 1958-59માં આ પાંચેય રુટ પર ફેરી સર્વિસ દ્વારા બધું મળીને આશરે પોણા સાત લાખ યાત્રાળુઓની અવરજવર થઈ હતી.

1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના પ્રસંગે ગુજરાત સરકારના પ્રકાશન વિભાગે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તેમાં ફેરી સર્વિસ અને યાત્રાળુઓ ઉપરાંત ગુજરાતમાં બંદરોનું કેટલું મહત્વ છે, એ (‘પી ફોર પી’ જેવા કોઈ સૂત્ર વિના) સ્પષ્ટ રીતે આંકવામાં આવ્યું હતું. પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, પહેલી પંચવર્ષીય યોજનાનાં પાંચ વર્ષ અને બીજી પંચવર્ષીય યોજનામાં 1958-59 સુધી કુલ આઠેક વર્ષમાં, ગુજરાતનાં બંદરોના વિકાસ પાછળ કુલ રૂ. 3.54 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આ વ્યવસાયમાં કુશળ નાવિકોને તૈયાર કરવા માટે યુનિવર્સિટી નહીં, તાલીમશાળાની જરૂર પિછાણીને કેન્દ્ર સરકારે નવલખી બંદરે નાવિક તાલીમશાળા પણ શરૂ કરી હતી. મતલબ, વર્તમાન વડા પ્રધાનનું દરિયાઈ વિકાસનું વિઝન નવું કે પહેલી વારનું નથી અને બીજી ઘણી બાબતોની જેમ, તેનાં પણ નીવડ્યે જ વખાણ થઈ શકે.

આ વાતો બહુ દૂરની લાગતી હોય તો, વધારે નજીકના ભૂતકાળમાં આવીએ. ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં વર્ષ 1998માં પર્યાવરણ વિભાગ (એન્વાયર્નમેન્ટ સેલ)ની સ્થાપના થઈ. તેનું કામ હતું બંદરો અને તેના માળખાકીય વિકાસની સાથોસાથ દરિયાઇ અને કાંઠાના પર્યાવરણની જાળવણી, સાચવણી અને સંરક્ષણ... યાને 2017ની કથિત ‘બ્લુ ઇકોનોમી’. આ હકીકતનો ઉલ્લેખ ગુજરાત મેરીટાઇમ બોર્ડના 30મા એડમિનિસ્ટ્રેટિવ રીપોર્ટ, 2011-12માં છે. (એક આડવાતઃ વર્તમાન ચૂંટણી કમિશનર એ. કે. જોતિ એ વખતે ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધ્યક્ષ હતા)  એ જ અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે દહેજ-ઘોઘા ફેરી સર્વિસ માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન—દરિયાકાંઠાના સુરક્ષિત વિસ્તારોમાં ડ્રેજિંગનું-કાંપ કાઢવાનું- કામ કરવું પડે. તેના માટેની જરૂરી પરવાનગી તત્કાલીન (યુપીએ) કેન્દ્ર સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય તરફથી મળી ગઈ છે.

ઘોઘા-દહેજ ફેરી સર્વિસ વિશેનો એક ઉલ્લેખ CAGના અહેવાલમાં પણ મળે છે. નાણાંકીય વર્ષ 2012-13ના આ અહેવાલના બીજા પ્રકરણમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની કામગીરીની ચર્ચા કરવામાં આવી છે. CAG એટલે કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના યુપીએ સરકારની ટીકા કરતા અહેવાલોને તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ ઉત્સાહપૂર્વક ઉપયોગમાં લીધા હતા. પરંતુ એ જ CAGની ગુજરાત વિશેના અહેવાલ વેળાસર વિધાનસભામાં રજૂ કરવામાં તેમણે કરેલા અખાડા જાણીતા છે.

CAGના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, 2012-13માં ઘોઘા-દહેજ ફેરી પ્રોજેક્ટના બાંધકામ માટે એ વર્ષે રૂ.192 કરોડની કેપિટલ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી ગુજરાત મેરીટાઇમ બોર્ડે રૂ.40.16 કરોડ વાપર્યા અને રૂ. 151.84 કરોડ પડી રહ્યા. (તેમાં કેન્દ્ર સરકારની કોઈ દખલગીરી ન હતી) મેરીટાઇમ બોર્ડે CAG સમક્ષ એવો ખુલાસો કર્યો કે ગુજરાત સરકારની સૂચના પ્રમાણે, ગ્રાન્ટની રકમ બીજા પ્રોજેક્ટમાં ફાળવી દેવામાં આવી હતી. ગુજરાત સરકારે પણ એ દાવાનું સમર્થન કર્યું. પરંતુ CAGએ આ ખુલાસો માન્ય રાખ્યો નહીં. કારણ કે ગ્રાન્ટ બીજે ફાળવવા અંગેનો ગુજરાત સરકારનો સત્તાવાર પત્ર કે દસ્તાવેજ સરકાર તરફથી CAGને મળ્યો નહીં. (પૃ.16)

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ભૂમિકાનો અછડતો ખ્યાલ આપતી, વધુ એક હકીકતઃ માઇનર ફિશિંગ હાર્બર—નાનાં સ્તરનાં બંદરોના વિકાસ માટે તત્કાલીન (યુપીએ) કેન્દ્ર સરકાર તરફથી 2008માં ગુજરાતને રૂ.16.67 કરોડની સહાય મળી, જે જાફરાબાદ બંદર વિકસાવવા માટે હતી. તેમાં પણ ગુજરાત મેરીટાઇમ બોર્ડની નિષ્ફળતાને કારણે કેન્દ્ર સરકારે ફાળવેલાં નાણાં વાપરી શકાયાં નહીં. (પૃ.17) આ બે ઉદાહરણ વર્તમાન વડાપ્રધાનના દાવાની અને દાવપેચની અસલિયત સમજવામાં ઉપયોગી થઈ પડે એમ છે.

છેલ્લી વાત દક્ષિણ એશિયાની સૌથી મોટી કે સૌથી સારી ફેરી સર્વિસના દાવાની. કશા સરખામણીસૂચક આંકડા કે વિગતો વિના આ દાવો કરવામાં આવ્યો છે. એટલે,  બાંગલાદેશમાં ચાલતી રો-રો ફેરી સહિતની બીજી અનેક ફેરી સેવાઓ કરતાં ઘોઘા-દહેજ સેવા કેવી રીતે મોટી કે કેવી રીતે ચડિયાતી છે, એ સ્પષ્ટ થતું નથી. પરંતુ આડેધડ દાવા કરવામાં એક સુખ હોય છેઃ તેની સચ્ચાઈ શોધવાની જવાબદારી બીજા લોકો પર આવે છે અને એ લોકો વિગતમાં ઉતરીને દાવાની અસલિયત બહાર આણે, ત્યાં સુધીમાં તો પ્રિન્ટ, ટીવી ને વેબ એમ ત્રણે લોકમાં દાવા અને દાવા કરનારનો જયજયકાર થઈ ચૂક્યો હોય છે. 

Tuesday, October 24, 2017

સ્માર્ટ ફોન લોકોને બુદ્ધુ બનાવે છે?

ઘણી નવી ટેક્નોલોજી આવી, ત્યારે એવી આશંકા વ્યક્ત થતી રહી છે કે તેનાથી માણસજાત ફોગટિયા ટાઇમપાસમાં ડૂબી જશે અને તેની વિચારશક્તિમાં ઘટાડો થતાં સરવાળે તે ડફોળ બનશે.  ઉદાહરણ તરીકે, રેડિયો, ટેપ રેકોર્ડર, ટીવી, વિડીયો, ઇન્ટરનેટ વગેરે.

જોવા જેવી વાત એ પણ છે કે આવાં સંશોધનની સાથે (ડફોળપણાની જેમ) મહાન ક્રાંતિની આગાહીઓ પણ થઈ હતી. રેડિયો, ટેપ રેકોર્ડર, ટીવી, વિડીયો અને છેલ્લે ઇન્ટરનેટથી શિક્ષણક્ષેત્રે કેવું પરિવર્તન આવશે તેના વરતારા નીકળ્યા હતા. થોડાં વર્ષ પહેલાં, મોટે ભાગે ‘ટાઇમ’ (કે ‘ન્યૂઝવીક’)  સાપ્તાહિકમાં એવો લેખ વાંચ્યાનું યાદ છે કે ટૂંક સમયમાં અમેરિકાની શિક્ષણ વ્યવસ્થામાં ‘ફ્લિપ્ડ ક્લાસરૂમ’ આવી જશે. એટલે કે, વિદ્યાર્થીઓ અગાઉથી નક્કી થયેલા મુદ્દા વિશે ઘરેથી (યૂટ્યૂબ જેવી વેબસાઇટ પર) વિડીયો સમજૂતી જોઈને ક્લાસમાં આવશે. પછી ક્લાસમાં શિક્ષક તેમને ફક્ત એ જ શીખવશે, જે વિદ્યાર્થીઓને સમજાયું ન હોય. આમ, શિક્ષણના આખા ખ્યાલનું શીર્ષાસન થશે.

પરંતુ હજુ સુધી આવી ક્રાંતિ આવી હોય એવું જાણમાં નથી. ‘ખાન્સ એકેડેમી’ જેવી કેટલીક વેબસાઇટો પર સેંકડો શિક્ષણ વિષયક વિડીયો મોજૂદ છે. તેની લોકપ્રિયતા અને અસરકારકતા ખાસ્સી છે. ‘માઇક્રોસોફ્ટ’ સહિતની મોટી કંપનીઓનો તેને ટેકો છે. છતાં, હજુ પરંપરાગત સ્કૂલ અને શિક્ષણનું સ્થાન તે લઈ શકી નથી. (ગુજરાતની ખાનગી નિશાળોમાં ‘સ્માર્ટ ક્લાસ’ના નામે વધારાના રૂપિયા ખંખેરવાનું અને બદલામાં કમ્પ્યૂટર પર સાવ પ્રાથમિક કક્ષાનું કંઇક બતાવી દેવાની વેપારી તરકીબ વળી બીજો મુદ્દો છે.)

ઉપર જણાવેલી ઘણી શોધોથી વ્યાપક પરિવર્તન ચોક્કસ આવ્યું, પરંતુ ઇન્ટરનેટથી સજ્જ સ્માર્ટ ફોનથી પહેલી વાર વ્યાપક સ્તરે ક્રાંતિ જેવો માહોલ ઊભો થયો છે. ત્યારે વિરોધાભાસી હકીકત એ પણ છે કે માણસની વિચારશક્તિ ઘટી રહી હોવાનો--સાદા શબ્દોમાં કહીએ તો, તેની ડફોળાઈમાં વધારો કરવાનો-- આરોપ બીજી કોઈ પણ શોધ કરતાં વધારે સ્માર્ટ ફોન પર મુકાઈ રહ્યો છે.

રેડિયો-ટીવી જેવી શોધોને સામાન્ય લોકો સુધી પહોંચતાં ઘણો સમય લાગ્યો. વિડીયો કેસેટ પ્લેયર જેવી શોધ એટલો સમય લઈને લોકો સુધી પહોંચે તે પહેલાં જ તે ટેક્નોલોજી લુપ્ત થઈ.  પરંતુ મોબાઈલ ફોનમાં કમ્પ્યૂટરની ક્ષમતા અને ઇન્ટરનેટનો મેળાપ થવાથી સ્માર્ટ ફોન નામની જે ચીજ પેદા થઈ, તેની શક્તિઓ જાદુઈ હતી. (આ બાબતમાં ‘જાદુઈ’ અને ‘રાક્ષસી’ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે.) ભારતના વિશાળ બજારમાં સ્માર્ટ ફોન અને હવે ડેટા એટલાં સસ્તાં છે કે સામાન્ય સ્થિતિ ધરાવતા લોકો પાસે પણ તે જોવા મળે છે. કોઈ શોધ આટલી ઝડપથી છેક છેવાડાના માણસ સુધી પહોંચે તેનો આનંદ જ હોય, પણ એક સવાલ પ્રાથમિકતાનો હતોઃ છેવાડાના માણસની પ્રાથમિકતામાં સ્માર્ટ ફોન આવે? સ્માર્ટ ફોનથી તેના જીવનધોરણ કે રોજગારીની તકોમાં શો નક્કર ફરક પડ્યો? બીજો સવાલ અસરોનો હતો: સ્માર્ટ ફોન અને તેની સાથે સંકળાયેલી સોશિયલ નેટવર્કિંગથી માંડીને બીજી ટાઇમપાસ બલાઓની સામાજિક અસરોનો કંઈક અંદાજ આવે, તે પહેલાં તો  તેમનો મોટા પાયે પ્રચારપ્રસાર થઈ ચૂક્યો હતો-બાટલીમાંથી જીન બહાર નીકળી ચૂક્યો હતો.

‘શું ગરીબોને મોંઘા સ્માર્ટ ફોન વસાવવાનો ને તેની પર ગેમો રમી ખાવાનો કે વોટ્સએપ પર ટાઇમ પાસ કરીને મનોરંજન મેળવવાનો અધિકાર નથી?’--એવો અવળો વળ ચઢાવવાને બદલે, એ રીતે વિચારવું પડે કે સામાન્ય લોકોની આર્થિક, સામાજિક અને રોજગારીને લગતી કેટલી પ્રાથમિકતાઓ પર સ્માર્ટ ફોને તરાપ મારી છે? કામધંધો કરવાની ઉંમરે ઓટલે બેસી રહેનારા પહેલાંના જમાનાના નવરાઓ કૂકીઓ કે બાજી રમતા હતા. હવે એ સ્માર્ટ ફોન પર ફક્ત બાજી--ગેમ રમીને બેસી નથી રહેતા. વોટ્સએપ ને બીજી કેટલીક એવી ટાઇમપાસ ચીજો વાપરીને કશા સત્ત્વ વગરનું મનોરંજન મેળવે છે. પણ એનો સ્રોત સ્માર્ટ ફોન છે. એટલે લોકોને એવી છાપ પડે છે કે ‘જોયું? આ લોકો આમ બેકાર છે, પણ તેમને કેટલું બધું આવડે છે? કેવા સ્માર્ટ ફોન મચેડે છે?’ ઘણાં માતાપિતા પોતાનાં બાળકોને ફટાફટ સ્માર્ટ ફોન વાપરતાં જોઈને અેવાં અંજાઈ જાય છે, જાણે એડિસન ને ટેસ્લા જેવા મહાન સંશોધકો પછી હવે તેમનો મોબાઈલ-મચડુ ચિરંજીવી એ હરોળમાં નામ કાઢવાનો હોય.

સ્માર્ટ ફોનની સૌથી મોટી એક મુશ્કેલી આ છેઃ એ ડફોળ બનાવતો નથી (કમ સે કમ, પ્રમાણભૂત અભ્યાસોમાં તો એવાં તારણ ખાતરીપૂર્વક મળ્યાં નથી) પણ તેને વાપરતા ઘણા લોકો ‘સ્માર્ટ’ હોવાનો ભ્રમ તેનાથી ઊભો થાય છે. નિકટ તપાસ પછી એ ભ્રમની અસલિયત ખબર પડે છે, ત્યારે પ્રત્યાઘાત તરીકે એવું માનવાનું મન થાય છે કે ‘નક્કી, સ્માર્ટ ફોને જ આની વિચારશક્તિ હણીને તેને ડફોળ બનાવ્યો (કે બનાવી) લાગે છે.’
આટલું ઓછું હોય તેમ, સત્તાધારી ને વિરોધી પક્ષો પણ એવો ભ્રમ ફેલાવે છે કે યુવાનોને સ્માર્ટ ફોન પકડાવી દઈશું એટલે તેમની રોજગારીથી માંડીને બીજી અનેક સમસ્યાઓનો અંત આવી જશે. પ્રશ્ન સ્માર્ટ ફોનમાં રહેલી શક્યતાઓનો નથી. એ તો અપાર હોઈ શકે, પણ એ શક્યતાઓનો કસ કાઢવા જેટલી વિચારશક્તિ કે મૌલિકતા કેટલા લોકો પાસે હોવાની? અને આવી વિચારશક્તિ ખીલે, એવું શિક્ષણ પણ કેટલા લોકો પાસે હોવાનું?

ઝીણવટભર્યો નહીં તો પણ, અછડતો અંદાજ મેળવવા માટે વિચારી જુઓ: તમે સ્માર્ટ ફોન ધરાવતા કેટલા લોકોને તેની પર ગેમ, વોટ્સએપ-ફેસબુક, પાઇરેટેડ ફિલ્મો, સટરપટર વિડીયો સિવાયની બીજી કોઈ બાબત સાથે ગૂંથાયેલા જોયા? કેટલા લોકોને તમે સ્માર્ટ ફોન પર કંઇક ફોરવર્ડિયું રાજકીય, ધાર્મિક કે બીજા પ્રકારનું અનિષ્ટ ન હોય એવું, સાત્ત્વિક ને જ્ઞાનવર્ધક વાચન કરતા જોયા? કેટલા લોકોને સ્માર્ટ ફોનની પ્રચંડ ક્ષમતાનો કસ કાઢતા કે તેનો એ રીતે ઉપયોગ કરતા જોયા? વોટ્સએપ પર ડીઝાઈન કે સેમ્પલ કે બિલ મોકલવાં, એ પ્રકારનો ઉપયોગ એ સુવિધા છે, પણ તેમાં કશી વધારાની સ્માર્ટનેસ નથી. ભારત સાથે સંકળાયેલા ને વધુ પડતા ચગાવાયેલા ‘જુગાડ’નો જ તે એક પ્રકાર છે. તેમાં ખોટું કશું નથી, તેમ કોલર ઊંચા કરવા જેવું પણ કશું નથી. માનસિકતા જૂનવાણી રહે ને શિક્ષણ પછાત, ત્યારે સ્માર્ટ ફોનના ઉપયોગ કરતાં દુરુપયોગની સંભાવના ઘણી વધી જાય છે (જેનો આપણને પૂરતો અનુભવ છે)

સ્માર્ટ એટલે કેવું?  વિચારશક્તિ ઉત્તેજે એવું? કે મગજનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા દે એવું? આ સવાલનો તમારો જવાબ શો છે? તેના આધારે  સ્માર્ટ ફોનના વાપરનારને ‘સ્માર્ટ’ ગણવા કે નહીં, તે નક્કી કરી શકાય. 

Monday, October 16, 2017

ગાંધીહત્યાઃ વાદવિવાદ અને વિકૃતિ

ગાંધી એક એવું પાત્ર છે, જેને મારી નાખ્યા પછી પણ તે પીછો છોડતું નથી. કટ્ટર હિંદુત્વકેન્દ્રી એક સંગઠને કરેલી અપીલ પછી સર્વોચ્ચ અદાલતે ગાંધીહત્યા વિશે નવેસરથી તપાસની દિશામાં ડગ માંડ્યું છે અને તે માટે ‘એમિકસ ક્યુરી’ (અદાલતના મદદકર્તા)ની નિમણૂંક કરી છે.

આવતા વર્ષે ગાંધીને ગોળીએ દીધાનાં સિત્તેર વર્ષ પૂરાં થશે, પણ ચિત્રકથાના ફેન્ટમ જેવા પાત્રની માફક, ગાંધી ‘મરતો’ નથી. પ્રયાસો સતત થાય છે: કોઈ એને ભગવાન બનાવીને મારે છે, તો કોઈ શેતાન તરીકે ચિતરીને. કોઈ એને ધૂર્ત રાજકારણી (ચતુર બનિયા) તરીકે મનોમન મારે છે, તો કોઈ એને દંભી સંત તરીકે. ડાબેરીઓને તે રૂઢિવાદી ને ક્રાંતિવિરોધી લાગે છે, તો જમણેરીઓને તે અસ્પૃશ્યતા-હિંદુ ધર્મની સમજ જેવી ઘણી બાબતોમાં રૂઢિ-પરંપરા ખોરવનાર જણાય છે. જમણેરીઓમાં પણ જે જમણેરી છે અને જેમના માટે મુસ્લિમો અને પાકિસ્તાન વચ્ચે કશો ફરક નથી, તેમને ગાંધી મુસ્લિમતરફી-પાકિસ્તાનતરફી અને ભારતવિરોધી લાગે છે. હા, ભારતવિરોધી અને તેનાથી ઓછું કશું જ નહીં. એવા લોકો હત્યારા નથુરામ ગોડસેની જુબાનીને ધગધગતી દેશભક્તિનો દસ્તાવેજ માને છે.

જે સમયે ગાંધીહત્યા થઈ, તે અરસામાં આવેશનાં પૂર માનવતાનાં બધાં બંધનો તોડીને ફરી વળ્યાં હતાં. ભારતે કદી ન જોયેલા પ્રમાણમાં માનવ હત્યાકાંડ અને અત્યાચાર ત્યારે થયાં. આવા વખતે શાંતિની અને માનવતાની વાત કરનાર વિલન અને દેશદ્રોહી સુદ્ધાં લાગી શકે. (આ હકીકતનો અનુભવ પછીનાં વર્ષોમાં થયેલાં હુલ્લડ વખતે  શાંતિ અને વિશ્વાસ માટે પ્રયાસ કરનાર સૌ કોઈને થયો હશે.) ભાગલા વખતે ઉશ્કેરાટના અભૂતપૂર્વ વાવાઝોડામાં એક માત્ર ધ્રુજતી-ટમટમતી છતાં અવિચળ જ્યોતનું નામ હતું: ગાંધી. હતાશ-નિરાશ-સ્વપ્નભંગ થયેલા, છતાં છેલ્લા શ્વાસ સુધી પ્રયાસ ન છોડનારા ગાંધી.

કપરો સમય હીરો અને વિલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી આપે છે, પણ લોકોની સમજ પર ત્યારે એવો પડદો પડેલો હોય છે કે ખોટું સાચું લાગે ને સાચું ખોટું. ઇચ્છનીય અનિષ્ટ લાગે ને અનિષ્ટ આવકાર્ય. એ વખતે ગાંધી પાકિસ્તાનમાં હોત અને મુસ્લિમ હોત તો ગાંધીહત્યા કોઈ ઝનૂની મુસ્લિમના હાથે થઈ હોત. (આ કલ્પના છે, પણ તેમાં રહેલું તથ્ય સમજવા માટે, પાકિસ્તાનની સરકારોએ ખાન અબ્દુલ ગફ્ફારખાન સાથે કરેલો ક્રૂર વ્યવહાર તપાસી શકાય).

ગાંધી હિંદુ હતા અને તેમના પોતાના કહેવા પ્રમાણે ચુસ્ત, સનાતની હિંદુ. એટલે તેમની હત્યા ભારતમાં હિંદુુના હાથે થાય, તે કરુણ કવિન્યાય તરીકે સમજી શકાય એવું હતું. મુસ્લિમોનો વિરોધ કરીને પોતાની જાતને સવાયા દેશભક્ત સમજનારા ગોડસે અને એની વિચારસરણીવાળા બધાની આંખો પર ત્યારે ધીક્કારની પટ્ટી બંધાયેલી હતી. તેમના માટે દેશની અને દેશભક્તિની વ્યાખ્યાનો પાયો કોઈની તરફેણ કરતાં અનેક ગણો વધારે કોઈના વિરોધ પર આધારિત હતો. હિંદુહિતની બડી બડી વાતો કરનારા હિંદુ મહાસભા અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘવાળાએ આઝાદી પહેલાં કોંગ્રેસ સામે અને મુસ્લિમો સામે ધીક્કાર ફેલાવવા ઉપરાંત અને મુસ્લિમ લીગના હિંદુ અડધીયાની ભૂમિકા અદા કરવા ઉપરાંત, દેશહિતનાં કે અંગ્રેજી રાજના વિરોધનાં બીજાં કયાં કાર્યો કર્યાં?

હવે કેટલાક સંશોધકો શોધી લાવ્યા છે કે ‘અમારી (એટલે કે હિંદુહિતના નામે ધીક્કાર ફેલાવનારી) વિચારધારાવાળા કેટલાકે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો ને ભોગ પણ આપ્યો હતો.’ જાણીને આનંદ થયો, પણ સવાલ એ છે કે કેમ એ તમારાના નાયકોના કે આદર્શના સ્થાને નથી? એ લોકોની આ કામગીરી તમારી સંસ્થા કે વિચારધારાની મુખ્ય ધરી કેમ ન બની શકી? કેમ એ તમારામાં અપવાદ બની રહ્યા? અને કેમ હવે એવા અપવાદોના સાચકલા પ્રદાનનો સ્વાર્થી ઉપયોગ તમે સ્વતંત્રતા સંગ્રામથી અળગા રહ્યાની તમારી શરમ ઢાંકવા કરો છો? માન્યું કે પાઠ્યપુસ્તકો સરકારી હતાં ને સરકારો કોંગ્રેસની, પણ તમારા સમાંતર પાઠ્યપુસ્તકો તમે ક્યાં નથી બનાવ્યાં? તેમાં કેમ શિવાજી-રાણા પ્રતાપથી માંડીને ભલભલા દેશનાયકોને મુસ્લિમવિરોધના સગવડીયા ખાંચા ને ખાનાંમાં પુરીને રજૂ કરવા પડે છે?

ધીક્કારકેન્દ્રી માનસિકતાને દેશભક્તિની પરાકાષ્ઠા સમજનારામાંથી કોઈ 1948માં ગાંધીને ગોળીએ દઈ દે, તે દુઃખદ છે પણ આશ્ચર્યજનક નથી. એ વખતે આ ‘પરાક્રમ’નાં ઉજવણાં થાય, તે શરમજનક છે, પણ આશ્ચર્યજનક નથી. દુઃખ-શરમ-આઘાત-આશ્ચર્ય એ બધું ત્યારે થાય છે, જ્યારે સાત-સાત દાયકા પછી પણ એ ધીક્કાર ઓસરતો નથી, બલ્કે તેને નવાં નવાં સ્વરૂપે, નવા પેકિંગમાં રજૂ કરાતો રહે છે. ગાંધીની હસ્તીને ભૂંસી નાખવાનું અશક્ય લાગ્યા તેને અપનાવવાનો દંભ કરીને, સમાંતરે તેના હત્યારાઓની માનસિકતાને પુનઃ પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે-- કદીક પુસ્તિકાઓ ને ચોપાનિયાં દ્વારા, તો હવેના જમાનામાં વોટ્સઅેપ અને ફેસબુકની પોસ્ટ પર.

લોકોની દેશભક્તિનેે જગાડવા માટે ગાંધીને બદલે ગોડસેનો ઉપયોગ થાય, એવા હીણપતભર્યા સમયમાં આપણે આવી ગયા છીએ? 1947-48માં ચોતરફ ઉશ્કેરાટ અને આવેગનાં પૂર હતાં અને તે સ્થિતિ અસાધારણ હતી. અત્યારે નથી એવા હત્યાકાંડ ને નથી એટલા મોટા પાયાના સંઘર્ષ. છતાં ગાંધી પ્રત્યેનો ધીક્કાર અકસીરપણે શી રીતે ફેલાવી શકાય છે? વર્તમાન સરકાર એવું વાતાવરણ ઉભું કરવામાં અથવા એવું વાતાવરણ ઉભું કરનારને માનસિક હૈયાધારણ પૂરી પાડવામાં મન, વચન ને કાર્યથી કેટલા અંશે જવાબદાર છે? વર્તમાન સત્તાધીશોને ગોડસેના ‘દેશભક્તિ’ના વિચારોના ફેલાવાથી શરમ આવે છે? કે મીઠી ગલીપચી થાય છે? શરમ આવતી હોય તો, ઇન્ટરનેટ પર મસમોટું ભાડૂતી સૈન્ય ધરાવતા સત્તાધીશો દેશભક્તિના નામે ધીક્કાર ફેલાતો અટકાવવા, ગાંધીને બદલે ગોડસેને મહાન દેશભક્ત સાબીત કરનારો પ્રચાર અટકાવવા અને સાચી માહિતી આપવા માટે કેવાં પગલાં લે છે?

ગોડસેને હીરો ગણનારા વાત કરવા બેસે ત્યારે દંભી ગાંધીવાદીઓ ભણી આંગળી ચીંધે છે. નિરપેક્ષ દૃષ્ટિએ વાત સાચી છેઃ દંભી ગાંધીવાદીઓએ દંભ, અણસમજ અને સ્વાર્થથી ગાંધીવિચારની હત્યા કરી છે. પરંતુ આવું કહેવાનો ગોડસેના ચાહકો અને તરફદારોને અધિકાર નથી. ગોડસેની દલીલો વોટ્સએપ પર ફોરવર્ડ કરનારા ગોડસેના જમાનામાં પેદા થયા હોત તો તેમણે પણ ગાંધીહત્યાનો જશ્ન મનાવ્યો હોત. અત્યારે, તેમના દ્વારા ફોરવર્ડ થતા કે પોસ્ટ કરાતા ગોડસેની તરફેણના સંદેશા ગાંધીહત્યાનો પશ્ચાદવર્તી (રેટ્રોસ્પેક્ટિવ) અસરથી મનાવાતો જશ્ન જ છે.

ગાંધી ને ગોડસેની વાત આવે, ત્યારે સુફિયાણી હાંકનારા કહે છે કે ગાંધીનું પણ સત્ય હોય છે ને ગોડસેનું પણ સત્ય હોય છે.

બરાબર છે. પણ તમારું સત્ય કોના સત્યની સાથે છે?

Wednesday, October 04, 2017

પ્રચારનાં બાવાજાળાં વચ્ચે સફાઈઝુંબેશ

વડાપ્રધાનની તસવીરો કે વડાપ્રધાનના ભાષણના ટુકડા સાથે સરકારી સ્વચ્છતા ઝુંબેશનો પ્રચારમારો છેલ્લાં ત્રણ વર્ષથી જોરદાર ચાલે છે. 2014ની ગાંધીજયંતિથી શરૂ થયેલી અને ગાંધીને બાહ્ય સ્વચ્છતામાં ખતવી નાખતી આ ઝુંબેશમાં વડાપ્રધાનને ચમકાવતી જાહેરખબરો પાછળ કેટલા રૂપિયાનો ધુમાડો થયો, તે અલગ મુદ્દો છે. પણ આટલા પ્રચારમારા અને ખર્ચ પછી પરિણામ શું આવ્યું?

આ સવાલના ત્રણ રીતે જવાબ આપી શકાયઃ ૧) સ્વચ્છતાના મામલે કેટલી પ્રગતિ થઈ? ૨) આખેઆખા ગાંધીને સ્વચ્છતા પૂરતા સીમિત કરી નાખવામાં કેટલી સફળતા મળી? ૩) સ્વચ્છતાપ્રેમી તરીકે વડાપ્રધાનનું બ્રાન્ડિંગ કેવું થયું?

જવાબ ૧ઃ કેટલાક અહેવાલ પ્રમાણે, શૌચાલયો બનાવવામાં યુપીએ સરકારની સરખામણીમાં વર્તમાન સરકારના રાજમાં સારી પ્રગતિ થઈ છે. અલબત્ત, ખુલ્લામાં શૌચક્રિયા બંધ કરવાના મામલે ધારી (અને દાવા પ્રમાણેની) સફળતા મળી નથી. શૌચાલય બંધાયાં તે આવકાર્ય છે, પરંતુ તેમની ગુણવત્તાથી માંડીને તેના ઉપયોગ અંગે લોકોની ટેવોને બદલવાની બાબતમાં હજુ ઘણા પ્રશ્નો છે. ટેવ બદલવાનું સહેલું નથી--અને કેવળ અઢળક જાહેરખબરોના મારાથી એ સિદ્ધ થઈ શકે તેમ નથી.

'વેસ્ટ મેનેજમેન્ટ' કહેતાં કચરાના અસરકારક નિકાલની ગંભીર સમસ્યા હજુ ઉભી છે. અમદાવાદ જેવાં મોટાં શહેરોથી માંડીને નાનાં ગામમાં કચરાના પહાડ જેવડા ઢગ જોવા મળે છે. સ્વચ્છતા ઝુંબેશની ઝાકઝમાળમાં તેમને શી રીતે નજરઅંદાજ કરી શકાય?

વર્તમાન સરકારની એક ખાસિયત એ છે કે તે અશક્ય વાયદા કરે છે-આંબાઆંબલી બતાવે છે, પછી તે પૂરા કરવામાં નિષ્ફળ જાય છે અને તે નિષ્ફળતાને ઢાંકવા માટે ઝાકઝમાળ, અર્ધસત્યો, જૂઠાણાં તથા લોકોનું ધ્યાન બીજી તરફ ખેંચવા જેવી તરકીબો અજમાવે છે-- પછી તે કાળાં નાણાંની વાત હોય કે સ્વચ્છતાની.
જાહેરમાં ગંદકી કરવાની ટેવ ભારતમાં લગભગ પરંપરા અને સંસ્કૃતિનું સ્થાન ભોગવે છે. તેમાં એમ શી રીતે સુધારો થાય? પણ વડાપ્રધાન એવું માનવા પ્રેરે છે કે હવે એમણે પ્રચારમોરચો સંભાળી લીધો હોવાથી અસ્વચ્છતા દેશમાંથી ગઈ સમજો.

સાઠના દાયકાના ગ્રામ્ય ભારતનું આબાદ ચિત્રણ કરતી વિખ્યાત હિંદી વ્યંગ નવલકથા 'રાગ દરબારી'માં એક દૃશ્ય છેઃ ગામમાં મેલેરિયાનો ઉપદ્રવ ફેલાય ત્યારે સરકારી ખાતું ભીંતો પર મચ્છરવિરોધી સૂત્રો લખીને રાજી થઈ જાય છે-ફરજઅદાયગીનો સંતોષ માની લે છે. આ શૈલી વિશે ગામલોકો કહે છે, ‘લિખે દેખ અંગરેજી અચ્છર (અક્ષર), ભાગે મલેરિયાકે મચ્છર’. વર્તમાન વડાપ્રધાનના પ્રચારતંત્રને ભીંત સુધી જવું પડતું નથી. ટીવી ચેનલો અને સોશ્યલ મિડીયા હાજર છે. વડાપ્રધાન કે તેમના મંત્રીઓ હાથમાં ઝાડુ પકડીને ફોટા પડાવે તેવાં પ્રચાર-ગતકડાંને પ્રેરણાદાયી તરીકે ખપાવવામાં આવે છે. વડાપ્રધાન તેમનાં ભાષણોમાં મનનીય ચિંતન રજૂ કરે, તેનાથી નાગરિકોએ સ્વચ્છતા વિશે વડાપ્રધાન કેટલા ગંભીર, ઉત્સાહી અને લગભગ ક્રાંતિકારી છે, તે માની લેવાનું છે --અને વડાપ્રધાન કેટલા ગાંધીપ્રેમી છે એ પણ.

જવાબ ૨ઃ ગાંધીજયંતિ કે ગાંધીહત્યાદિવસે સામાન્ય રીતે એટેનબરોની 'ગાંધી' કે ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી ફિલ્મો ટીવી ચેનલો પર આવતી હતી. આ ગાંધીજયંતિએ વડાપ્રધાનના સ્વચ્છતા મિશનના પ્રયાસ ફળ્યા. એક ચેનલ પર 'ટોઇલેટઃ એક પ્રેમકથા' રજૂ થઈ. હા ભાઈ, હવે ગાંધી એટલે સ્વચ્છતા ને સ્વચ્છતા એટલે વડાપ્રધાને ઉપાડેલી સ્વચ્છતા-ઝુંબેશ.  કોંગ્રેસે ગાંધીજીને દારૂબંધી પૂરતા સીમિત કરી નાખવાનું પાપ કરેલું. રચના અને સંઘર્ષનાં કામ એકસરખી તીવ્રતાથી કરતા તથા પ્રવૃત્તિઓને માપવા માટે 'સાધનશુદ્ધિ'નો આકરો છતાં અસરકારક ગજ આપીને ગયેલા ગાંધી કોઈને ખપતા નથી. એટલે રાજકીય પક્ષો પોતાની બોન્સાઈ સાઇઝના ગાંધી શોધી કાઢે છે ને તેને અસલી ગાંધી તરીકે ખપાવે છે. વર્તમાન વડાપ્રધાન તેમાં એક નહીં, ઘણાં ડગલાં આગળ છે. ગુજરાતના મુખ્ય મંત્રીના હોદ્દે હતા ત્યારે સરદારને ઉંચા અને ગાંધીજીને નીચા પાડવાથી તેમણે શરૂઆત કરી હતી. પછી ભારતના અને આંતરરાષ્ટ્રીય ફલક પર ગાંધી એમ પીછો નહીં છોડે એવું લાગતાં, તેમણે સ્વચ્છતામાં ગાંધીજીને પૂરી દીધા અને એ પણ સ્વચ્છતાની કામગીરીમાં નહીં, સ્વચ્છતાની ઝુંબેશના આક્રમક પ્રચારમાં, જેની પર ગાંધી કરતાં વધારે મોટી છાપ વડાપ્રધાનની પોતાની હતી.

જવાબ ૩ઃ વર્તમાન વડાપ્રધાન માટે કોઈ પણ કામગીરીનું અંતિમ ધ્યેય પોતાનો છાકો પાડી દેવાનું હોય છે. એટલે જ, અગાઉથી જાહેર કરેલાં બીજાં ધ્યેય પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. નોટબંધી જેવી કાળાં નાણાંના વિરોધની આખી ઝુંબેશમાં ધ્યેય બદલાઈને છેવટે ડિજિટલ પેમેન્ટ ઉપર ઊભું રહે છે. આવાં પગલાં આખરે ગમે તેટલી અંધાધૂંધીમાં પરિણમે, તેનાથી વડાપ્રધાનને કશો ફરક પડતો નથી કે તેના વિશે એ કદી કબૂલાતના મૂડમાં હોતા નથી. તેમને મન પોતાનો વટ અને કંઇક અંશે પોતાની 'મૌલિકતા'ની ધાક બેસી જાય, એટલે એ પગલું સફળ થયેલું ગણાય છે. પછી લોકોનું જે થવાનું હોય તે થાય. તેમના કોથળામાં એટલાં બધાં અવનવાં બિલાડાં ભરેલાં છે કે તે એક પછી એક બિલાડાં અવિરતપણે કાઢી શકે છે. લોકોની ટૂંકી યાદશક્તિ અને તેમના પ્રત્યેનો અપ્રમાણસરનો અહોભાવ તેમાં મદદરૂપ નીવડે છે, તો સોશ્યલ મિડીયા પર વ્યવસ્થિત રીતે ફેલાવાતાં જૂઠાણાં-અર્ધસત્યો અને જયજયકારો તેમના દરેક પગલાને માસ્ટર સ્ટ્રોક જાહેર કરે છે.

કામ થાય એ માટે નહીં, પણ પોતાનો જયજયકાર થાય એ માટે વડાપ્રધાન કોઈ પણ હદે જતાં અચકાતા નથી. રામચંદ્ર ગુહાએ એક લેખમાં બે સમાચારો ટાંકીને નોંધ્યું છે તેમ, સ્વચ્છતા ઝુંબેશને સફળ દેખાડવા--હા, બનાવવા નહીં દેખાડવા--માટે તેમણે સૈન્યને અને પોલીસતંત્રને પણ તેમાં સંડોવતા ફતવા કાઢ્યા છે. પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓ કચરો પાડીને જાય તે સાફ કરવાની જવાબદારી સૈનિકોને સોંપવામાં આવી છે. 'ગુજરાત મોડેલ'થી પરિચિત લોકોને આ જાણીને નવાઈ નહીં લાગે. કારણ કે, ગુજરાતમાં સરકારી કર્મચારીઓ અને ખાસ કરીને શિક્ષકોના માથે એટલાં કામ નાખવામાં આવ્યાં હતાં કે તેમનું મુખ્ય કામ રઝળી પડે અથવા તેના માટેની વૃત્તિ જ ન રહે. બસ, તત્કાલીન મુખ્ય મંત્રી મોદીનો વટ પડી જવો જોઈએ. ગુજરાતના શિક્ષણની ઘોર ખોદવામાં સરકારની છત્રછાયા હેઠળ થયેલા બેફામ ખાનગીકરણની સાથે આ મુદ્દો પણ જવાબદાર છે. પરંતુ પ્રચારનો મારો અને ગુજરાત મોડેલનો જૂઠો જયઘોષ એવો ચાલતો હોય કે બીજા તો ઠીક, ભોગ બનેલાની આંખો પણ અંજાઈ જાય.

ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં (ઘાંઘા થયેલા) ભાજપે 'આભાર નરેન્દ્રભાઈ’ની ટેગલાઇન ધરાવતી જાહેરખબરો છૂટી મૂકી છે. તેમાંથી એકમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવા માટે (ગુજરાતની જનતા વતી) 'નરેન્દ્રભાઈ'નો આભાર માનવામાં આવ્યો છે. વડાપ્રધાનના હોદ્દાજોગને બદલે નામજોગ અાભાર માનતાં પાટિયાં સૂચવે છે કે ગુજરાત ભાજપ પાસે નરેન્દ્રભાઈના નામ સિવાય બીજું કશું બતાવવા જેવું રહ્યું નથી. 'આભાર નરેન્દ્રભાઈ’નું 'ગુજરાતી' થાય છેઃ (ગુજરાત ભાજપને) ‘બચાવો નરેન્દ્રભાઈ’.

સ્વચ્છતાઝુંબેશ જેવાં નાટકોની રાજકારણમાં નવાઈ નથી હોતી. પણ ભાજપની મુશ્કેલી એ છે કે તેનાં નાટકોને બીજા લોકો રાષ્ટ્રસેવા કે રાષ્ટ્રવાદ ગણે એવો આગ્રહ તેના નેતાઓ રાખે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે નાટકને-તેની તૈયારી, આયોજન, સ્ક્રીપ્ટ, અભિનય, રજૂઆત જેવી બાબતોને બહુ ગંભીરતાથી લે છે અને દેખાડે છે એવું કે તેમણે એ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો છે. સ્વચ્છતા ઝુંબેશમાં પણ ઘણે અંશે આવું જ બન્યું છે.

Monday, October 02, 2017

ગાંધીજીના પહેલું 'જાણીતું છતાં અજાણ્યું'જીવનચરિત્ર

M.K.Gandhi with compatriot Hadji Ojer Ally (1853-1921)
કારણો જુદાં હતાં. છતાં એ હકીકત છે કે ગાંધીજી પરની પહેલી ફિલ્મ એક પરદેશી--અને એ પણ અંગ્રેજ—રિચાર્ડ એટેનબરોએ બનાવી, તેમ ગાંધીજીનું પહેલવહેલું જીવનચરિત્ર પણ જોસેફ ડોકે લખ્યું.  એ વખતે ગાંધીજીની ઉંમર હતી 40  વર્ષ.  (એ જ વર્ષના,1909ના અંત ભાગમાં, ગાંધીજીનું પહેલું અને કદાચ સૌથી મહત્ત્વનું પુસ્તક 'હિંદ સ્વરાજ' લખાયું. )

દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના હકો માટે ઝઝૂમી રહેલા બેરિસ્ટર એમ. કે. ગાંધીની લડત અનોખી હતી. પોતાના દેશવાસીઓના હક માટે તે દુઃખ વેઠવા ને ભોગ આપવા તૈયાર હતા. ધર્મગુરુ રેવરન્ડ જોસેફ ડોક/ Joseph Doke પહેલી વાર 1 જાન્યુઆરી, 1908ના રોજ બેરિસ્ટર ગાંધીને તેમની જોહાનિસબર્ગની ઓફિસે મળવા ગયા અને મુલાકાતની શરૂઆતમાં જ પૂછ્યું, 'તમે તમારા ઉદ્દેશને ખાતર કેટલી હદે ફના થવા તૈયાર છો?’ ગાંધીનો જવાબ હતો, 'મારા માટે એ સંપૂર્ણપણે સમર્પણનો મામલો છે...હું કોઈ પણ સમયે મરવા માટે તૈયાર છું કે એ ઉદ્દેશ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છું. ‘ ('ગાંધી બીફોર ઇન્ડિયા', રામચંદ્ર ગુહા)

ન્યાય મેળવવાના રસ્તે મરી ફીટવાની ગાંધીની તૈયારીને કારણે ડોકને તે ઇસુ ખ્રિસ્તથી નજીક લાગ્યા.  બાઇબલના નવા કરાર ('ન્યૂ ટેસ્ટામેન્ટ') અને ખાસ કરીને ગિરિપ્રવચનો (ધ સર્મન ઓન ધ માઉન્ટ)ને કારણે પોતે 'પેસિવ રેઝિસ્ટન્સ'ની ખરાઈ અને તેના મૂલ્ય અંગે સભાન થયા, એવું ખુદ ગાંધીજીએ ડોકને કહ્યું હતું. પહેલી મુલાકાત પછી બન્ને વચ્ચેનો સ્નેહ વધતો રહ્યો.  દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી પર ઘાતકી હુમલો થયો ત્યારે તેમને હો્સ્પિટલે લઈ જવાને બદલે, જોસેફ ડોક તેમને પોતાના ઘરે લઈ ગયા. ત્યાં છોકરાનો કમરો ખાલી કરાવીને ગાંધીને રાખ્યા અને ભાવથી સેવા કરી.

પહેલી મુલાકાતના માંડ એકાદ વર્ષમાં ડોકને ગાંધીનું જીવનચરિત્ર લખવાની તીવ્ર ઇચ્છા થઈ. નાણાં અને ખ્યાતિ જેવી દુન્યવી એષણાઓથી દૂર જઈ રહેલા ગાંધીને એ માટે રાજી કરવા સહેલા નહીં હોય. પણ દુનિયાના ખૂણે, દક્ષિણ આફ્રિકાના એક ઠેકાણે હિંદી-એશિયાઈ કોમના હકો માટે ચાલતી લડતની વાત બહાર પડવી જરૂરી હતી. ગાંધીનું અખબાર 'ઇન્ડિયન ઓપિનિયન’ એ જ કામ કરતું હતું, પણ તેનો વ્યાપ મુખ્યત્વે સ્થાનિક હતો. જોસેફ ડોકે 1909માં લખેલા પુસ્તક 'એમ. કે. ગાંધી--એન ઇન્ડિયન પેટ્રિઓટ ઇન સાઉથ આફ્રિકા’ (M.K.Gandhi--An Indian Patriot In South Africa) થી બ્રિટન સહિત બહારના દેશોમાં જાગ્રત લોકોને આ લડત વિશે જાણ થવા લાગી. પુસ્તકમાં ગાંધીજીના આરંભિક જીવન વિશે પ્રાથમિક વિગતો હતી, પણ ધાર્મિક જણ એવા ડોકનો મુખ્ય આશય ગાંધીજીની ધર્મભાવના અને હકની લડાઈ સાથે તેનો કેવો સુમેળ સધાયો છે, એ નોંધવાનો હતો. પુસ્તકની પ્રસ્તાવના મદ્રાસ પ્રાંતના ગવર્નર રહી ચૂકેલા બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ એમ્પ્ટહીલે લખી. આરંભે જ તેમણે લખ્યું હતું કે એ લેખકને (ડોકને)  વ્યક્તિગત રીતે કદી મળ્યા નથી. પણ ડોક જે ધ્યેયની હિંમત અને સમર્પણભાવથી હિમાયત કરે છે, એના વિશે તેમની ભાવના સરખી છે.

ગાંધીજીનું પહેલું ચરિત્ર પ્રગટ કરવામાં તેમના પરમ મિત્ર અને સાથી ડો. પ્રાણજીવન મહેતાએ મદદ કરી હતી.  ડો. મહેતા દૃઢપણે માનતા હતા કે ભારતને આઝાદી અપાવવામાં તેમના મિત્ર ગાંધી મહત્ત્વની ભૂમિકા ભજવશે. બેરિસ્ટર ગાંધીને પણ બહુવિધ પ્રતિભાઓ ધરાવતા ડો.મહેતાનો આર્થિક ઉપરાંત માનસિક રીતે મોટો ટેકો હતો.

ગાંધીની1908 સુધીની જીવનકથા પ્રગટ તો થવાની હતી,  પણ પછી તેનું કરવાનું શું? ગાંધી એવા પ્રખ્યાત માણસ તો હતા નહીં કે એ પુસ્તક ચપોચપ વેચાઈ જાય. ઉલટું, અપવાદરૂપ સારા અંગ્રેજોને બાદ કરતાં, બીજામાં તે ઘણા અળખામણા હતા અને જે લોકો માટે તે લડતા હતા, તેમાંથી કેટલા પુસ્તક વાંચી શકે એ સવાલ. એ વખતે ગાંધીની પછીનાં વર્ષોમાં વધારે જાણીતી બનનારી (અને મોટા ભાગના ગાંધીવાદીઓમાં કદી ન આવેલી) ધ્યેયનિષ્ઠ વિવેકબુદ્ધિ પ્રગટ થઈ. વ્યક્તિગત પ્રચારથી દૂર રહેતા ગાંધીએ ભારતની મુલાકાતે ગયેલા તેમના સાથી-મિત્ર પોલાકને લંડનથી એક પત્રમાં લખ્યું, ‘મિ. ડોકનું પુસ્તક હજી પ્રગટ થયું નથી. એ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં પ્રગટ થાય એવો સંભવ છે. હું કેટલાંક કારણોસર, જે આ અઠવાડિયે જણાવવાની જરૂર નથી, આખી આવૃત્તિ ખરીદી લેવાનું વિચારી રહ્યો છું અને તે બીજા કોઈ કારણ કરતાં મિ. ડોકને ખાતર જ. જો આ પ્રકાશન અંગે ફારસ જ થાય તો એ ઘણા જ હતાશ થઈ જશે, અને એવું થાય પણ ખરું. પ્રકાશકે એમાં પોતાનું દિલ રેડીને કામ કર્યું નથી અને એની ઘણી નકલો મફત વહેંચવી પડશે. એટલે મેં વિચાર્યું કે મારે મારી પોતાની અંગત લાગણીઓ બાજુએ મૂકીને એ કામ જાતે જ હાથ ધરવું જોઈએ. હું ધારું છું કે કંઈ ખોટ આવસે તો ડો. મહેતા તે ભરી આપવાની જવાબદારી લેશે. મેં આ બાબતમાં એમની સાથે પત્રવ્યવહાર કર્યો પણ છે. એટલે તમે આ પુસ્તક લઈ લે એવા કોઈ બુકસેલરની ભાળમાં રહેજો...જે બુકસેલરો ઉપર તમારો સંપૂર્ણ ભરોસો ન હોય તેમને પુસ્તક ઉધાર ન આપવાં.’ (પૃ.473, ગાંધીજીનો અક્ષરદેહ-9)

પુસ્તક પ્રગટ થયા પછી ગુજરાતી લોકો સુધી તેની સામગ્રી પહોંચાડવા માટે ડો. પ્રાણજીવન મહેતાએ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના 'ગુજરાતી'પ્રેસે 1912માં એ પુસ્તક પ્રગટ કર્યું. તેમાં મૂળ લખાણના અનુવાદનાં 121 પાનાં ઉપરાંત અનુવાદકર્તા તરફથી 80 પાનાંની, બે ભાગમાં લખાયેલી વિસ્તૃત નોંધ ઉમેરવામાં આવી હતી, જે ગાંધીજી અને તેમના હિંદ સ્વરાજમાં પ્રગટ થયેલા વિચારો વિશે ચર્ચા કરતી હતી. ('હિંદ સ્વરાજ'ના કેન્દ્રમાં 'અધિપતિ'ગાંધીજી અને 'વાચક'ડો. પ્રાણજીવન મહેતા વચ્ચે જુદા જુદા મુદ્દે થયેલી ચર્ચા અને એ વિશે ગાંધીજીની દૃઢ સમજ હતી.)

જે કારણથી ગાંધીજીએ ડોકના પુસ્તકને મંજૂરી આપવાનું જ નહીં, તેની જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું હતું, એ જ કારણથી તેમણે પોતાની જીવનકથાની એક નકલ ગુરુસમાન હસ્તી એવા રશિયન લેખક ટોલ્સ્ટોયને પણ મોકલી આપી. જેમના વિચારોનો પોતાની પર ભારે પ્રભાવ હોય, એવી વ્યક્તિને પોતાની જીવનકથા મોકલવી એ આમ તો ધૃષ્ટતા ગણાય. પરંતુ ગાંધીનો આશય સ્પષ્ટ હતોઃ એ પુસ્તક પોતાના મહિમામંડન માટે નહીં, ટોલ્સ્ટોય સહિતના કેટલાક વિચારકો જેની હિમાયત કરતા હતા, એવા અહિંસક પ્રતિકાર અને અસહકારના મહિમાનું હતું. ટોલ્સ્ટોયે પણ તેને એવી જ રીતે લીધું અને પુસ્તકની સામગ્રી વિશે આનંદની લાગણી પ્રગટ કરી.

ડો. પ્રાણજીવન મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અપ્રાપ્ય બન્યા પછી 1970માં બાલુભાઈ પારેખે આ પુસ્તકનો ફરી અનુવાદ કર્યો, જે નવજીવન દ્વારા પ્રકાશિત થયો. (તેમાં ઉમાશંકર જોષીએ આમુખ લખ્યું હતું) ભાષાકીય સજ્જતાની દૃષ્ટિએ બાલુભાઈનો અનુવાદ ચડિયાતો છે, પરંતુ પહેલો અનુવાદ ડો.પ્રાણજીવન મહેતાએ કરેલો હોવાથી તેનું આગવું મહત્ત્વ છે. ગાંધી હેરિટેજ પોર્ટલ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ એ પુસ્તક 39 વર્ષના ગાંધીની પ્રતિભાનું, જોસેફ ડોક જેવા લોકો પર તેમણે પાડેલા પ્રભાવનું અને પ્રાણજીવન મહેતા સાથેની તેમની દોસ્તીનું થોડું ભૂલાયેલું, છતાં વાસી ન થયેલું પ્રતીક છે.

નોંધઃ 'નવાજૂની'માં છપાયેલા ઉપરના ફોટોની ફોટાલાઇનમાં ગાંધીજી અને દાદા અબ્દુલ્લા--એવું લખ્યું હતું. ગાંધી આશ્રમનાં મિત્ર કિન્નરી ભટ્ટે ધ્યાન દોર્યું કે એ દાદા અબ્દુ્લ્લા નહીં, પણ દ. આફ્રિકાના બીજા સાથીદાર હતા. સરતચૂક બદલ દિલગીરી. 

Tuesday, September 26, 2017

લોકશાહીને ‘વાઇરલ’ થયો છે?

સોશિયલ મીડિયા પરથી ઉછળેલો, પ્રસાર માધ્યમોમાં ચગેલો ને સત્તાધારી પક્ષને બરાબર ચચરેલો મુદ્દો છેઃ ‘વિકાસ ગાંડો થયો છે’. સરકારના ટીકાકારો એ વાતે રાજી થયા છે કે બહુ વખતે ભાજપની નેતાગીરી ઘાંઘી થઈ છે. આ ઝુંબેશ કોંગ્રેસે ચલાવી હોત (કાશ, કોંગ્રેસ આટલી અસરકારક ઝુંબેશ ચલાવી શકે એવું દૈવત ધરાવતી હોત) તો તેને કદાચ સહેલાઈથી તોડી પડાઈ હોત. પણ એ કોંગ્રેસની ઝુંબેશ ન હોવાથી તેનો પ્રતિકાર કરવાનું ભાજપને અઘરું પડી ગયું છે. ચપ્પુથી પાકાં કેળાં કાપવાની પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને પછી એક દિવસ એ જ ચપ્પુથી લીલું નારિયેળ છોલવાનું આવે, એવી દશા ગુજરાત ભાજપની થઈ છે.

શિકારી અને શિકાર વચ્ચેનું સમીકરણ સોશિયલ મીડિયામાં સદાકાળ એકધારું રહેતું નથી. સોશિયલ મીડિયાની આસુરી તાકાતના જોરે દિગ્વિજયનો ફાંકો રાખનારા--મૂછે લીંબું લટકાવીને ફરનારા--‘વિકાસ ગાંડો થયો છે’-જેવા કોઈ મુદ્દે તારક મહેતાના જેઠાલાલની માફક નવર્સ થઈને મૂછો ચાવવા માંડે, તે આવકાર્ય અને ઇચ્છનીય છે, પણ પૂરતું નથી. નાગરિક તરીકે ફક્ત એટલાથી રાજી થઈને બેસી રહેવાય નહીં. આ પ્રકારના ‘વાઈરલ’ પ્રચારને વાસ્તવિક દુનિયામાં કશો નક્કર આધાર નથી, તે આટલો વાઇરલ કેમ થયો તેની સંતોષકારક સમજૂતી નથી અને તેની આવરદા કેટલી તેનો કશો ભરોસો નથી. પોતાની વિચારશક્તિ ગાંધી કે સંઘ--એકેય પરિવારના કે પક્ષના કે નેતાના ચરણે ન મૂકી હોય તે સૌ માટે આ વિચારવાનો મુદ્દો છે.

ભાજપે સોશિયલ મીડિયા પર, મહાભારતના અંદાજમાં કહીએ તો, ‘અઢાર અક્ષૌહિણી સેના’ ઉતારી દીધી. છતાં ‘વિકાસ ગાંડો છે’ના એક તીરે ભાજપની છાવણીમાં ખળભળાટ મચાવ્યો. પછી ભાજપે શું કર્યું? લોકોનાં કામ શરૂ કરી દીધાં? તેમની શી ફરિયાદ છે એ જાણવાના પ્રયાસ આરંભ્યા?   મહત્ત્વની પડતર સમસ્યાઓ ઉકેલવાની શરૂ કરી દીધી? ના, તેમણે સોશિયલ મીડિયા પરના પ્રચાર સામે વળતા પ્રહાર માટે વ્યૂહરચનાઓ આરંભી દીધી.  કારણ કે હવે યુદ્ધનું મેદાન બદલાઈ ગયું છે. હવેનું યુદ્ધમેદાન વાસ્તવિક નહીં, વર્ચ્યુઅલ છે. તેની પર છાશવારે ખેલાતી લડાઈઓના વાઇરલ થયા કરતા મુદ્દા ‘હોવા’ પર નહીં, ‘લાગવા’ પર (હકીકતો પર નહીં, માન્યતા પર) આધારિત હોય છે. તેમાં ઘણી વાર ઉપરીના ઇશારે કાગનો વાઘ કરી શકાય છે ને વાઘનો કાગ. ચર્ચાના મહત્ત્વના મુદ્દા તેમાં બાજુ પર રહી જાય છે અને પ્રચારપુરુષો ઇચ્છે તે મુદ્દા મુખ્ય બની જાય છે.

અગાઉ સરકારનો વિકાસપ્રચાર જેટલો ‘ગાંડો’ (અધ્ધરતાલ, મુખ્યત્વે આક્રમક પ્રચારની પેદાશ) હતો, એટલો જ તેનો સોશિયલ મીડિયા પરનો વિરોધ પણ ‘ગાંડો’ છે. સોશિયલ મીડિયા પર ઓચિંતા વાઈરલ થઈ જતા કોઈ મુદ્દા પાસેથી લોકશાહીની ટકાઉ તંદુરસ્તીની આશા ન રાખી શકાય. તાવ શાના કારણે છે તેનો ખ્યાલ ન આવે તો કેટલાક ડોક્ટર કહી દેતા હોય છે કે આ તો ‘વાઇરલ’ છે. એમ લોકશાહી સોશિયલ મીડિયા પરના ‘વાઇરલ’ના ભરોસે હોય, તો લોકશાહીને પણ વાઇરલ (તાવ) છે કે શું, એવી શંકા થાય.

અતિવિશ્વાસ અને સત્તાના મદમાં રાચતા નેતાઓને વ્યાકુળ જોઈને નાગરિકસહજ આનંદ થાય અને તેમની વ્યાકુળતાનું કારણ જાણીને ચિંતા પણ થાય. કેમ કે, ‘વિકાસ ગાંડો થયો છે’ના પ્રચારનું એક મોટું કારણ ને તેનો એક મોટો આધાર રસ્તા પરના ખાડા છે. વાસ્તવમાં, સરકારની સીધી જવાબદારી ધરાવતી ગુજરાતની મુખ્ય સમસ્યાઓમાં રસ્તાના ભયાનક ખાડાનો નંબર એકથી પાંચમાં પણ આવે તેમ નથી. ખાડાની સમસ્યા એટલી નાની નથી, બીજી સમસ્યાઓ એટલી મોટી છે. છતાં, ઘણા નાગરિકોને રસ્તાના ખાડા સરકારની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા લાગે છે. આ તો ભયંકર ગુનાના આરોપીને રુમાલ ચોરવા બદલ બદનામ કરવા જેવી વાત થઈ.

અત્યારે અચાનક ‘વિકાસ ગાંડો થયો છે’ના વાઇરલ સૂત્રથી પ્રભાવિત અને આંખ ચોળતા બેઠા થયેલા નાગરિકો જરા શાંતિથી વિચાર કરશે તો તેમને સમજાશે કે સચ્ચાઈ આવા એક અધ્ધરતાલ લાગતા સૂત્ર કરતાં ઘણી વધારે ગંભીર ને ચિંતાજનક છે. છેલ્લાં પંદર વર્ષમાં ગુજરાત આગળ વધ્યું જ છે. સાથોસાથ, એ પંદર વર્ષ પહેલાંના ચાર દાયકામાં પણ ગુજરાત અંધારિયા ખૂણે ન હતું. તેમાં કામ થતાં જ હતાં. દરેક સરકાર આવે, તે ઓછેવત્તે અંશે પોતાનું કામ કરતી હોય છે. કોઈ અઢળક ભ્રષ્ટાચાર કરે, કોઈ થોડો ઓછો કરે. કોઈ પોતાના હાથ બગાડે, કોઈ ‘હું તો લક્ષ્મીને સ્પર્શ કરતો નથી’નો ડોળ ઘાલીને બીજાના હાથે એ કરાવે. પણ કામ થતાં રહે છે.

છેલ્લાં પંદર વર્ષમાં ફરક એ પડ્યો કે નાનામાં નાના કામને મુખ્યમંત્રીના વ્યક્તિગત પ્રચારનું નિમિત્ત બનાવવામાં આવ્યું. સરકારી નોકરીમાં અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવા જેવાં કામ પહેલાં ટપાલી કરતા હતા, તે મુખ્યમંત્રી લાખોના ખર્ચે સમારંભો યોજીને કરવા માંડ્યા. વર્ષોથી ગુજરાત ઉત્તરાયણ ને નવરાત્રિ ઉજવતું હતું. એ લોકોનો તહેવાર હતો. છેલ્લા દોઢ દાયકામાં એ સરકારી તહેવાર થઈ ગયો. નાતાલના અઠવાડિયામાં સરકાર પોતે કાર્નિવલ ઉજવવા લાગી. એમઓયુના નામે મીંડાંની ભરતી આવી.

આ બધાની વચ્ચે જે ઓછુંવત્તું કામ થતું હતું, તેને પેલી ઝાકઝમાળની પિછવાઈમાં, આકર્ષક પેકિંગ સાથે ‘વિકાસ’ તરીકે રજૂ કરવામાં આવ્યું. જાપાનને પોતાની બુલેટ ટ્રેન વેચવામાં ‘રસ’ (ગરજ) છે, એવું જાપાનના વડાપ્રધાન આબેની સહી ધરાવતા જાન્યુઆરી, 2014ના દસ્તાવેજમાં લખેલું છે. એટલે તેણે ઉદાર શરતે ભારતને લોન આપી. ગુજરાતના મુખ્યમંત્રીને પોતાની છબિ ઉપસાવવાની ગરજ હતી, એટલે તેમણે તાતાને ઉદાર શરતે લોન આપી- નેનો પ્લાન્ટ ફક્ત એક રૂપિયાના એસ.એમ.એસ.થી બંગાળને બદલે ગુજરાતમાં આવી ગયો, એવો ‘જુમલો’ ગબડાવ્યો ને રોજગારીનાં આંબાઆંબલી દેખાડ્યાં. અત્યારે તેની શી સ્થિતિ છે, તે સૌ જાણે છે.

આ તો એક ઉદાહરણ. સૌથી મોટું એક નુકસાન થયું તે સરકારી સ્કૂલોનો ખાત્મો, લૂંટના પરવાના ધરાવતી હોય એવી ખાનગી સ્કૂલોનો ધમધમાટ અને મોંઘીદાટ ફી પછી પણ શિક્ષણનું તળીયે ગયેલું સ્તર. સરવાળે, ગુજરાતની કિશોર-યુવા પેઢીના ભવિષ્ય સાથે રમત. કહેવાતો વિકાસ ત્યારે જ ગાંડો થઈ ચૂક્યો હતો. પણ બધાં ઝાકમઝોળથી એવા અંજાયેલા હતા કે ન ‘જુમલા’ ઓળખતાં આવડ્યું, ન વિકાસની અસલિયત સમજાઈ.

હવે જેમની આંખો ખૂલી છે તેમનું નવી, વાસ્તવિક દુનિયામાં સ્વાગત છે અને એવી અપેક્ષા કે એક યા બીજા પક્ષની રાજકીય વફાદારી બાજુ પર મૂકીને નાગરિક તરીકે વિચારો અને સરકારની કામગીરીને આગળપાછળ જોઈને મૂલવો. મત આપો તેને માથે ન ચઢાવો. આપણે વફાદારીના પાટા બાંધી દઈશું તો વિકાસને ગાંડો કરવામાં આપણી જવાબદારી ઓછી નહીં ગણાય.

Monday, September 25, 2017

શનિ નડતર કે નવતર? પૂછો કાસિનીને

‘એક યુગનો અંત આવ્યો... વીસ વર્ષના આયખામાં કેટકેટલું કામ કર્યું...તેમના સંશોધને માનવજાતના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારી, સજીવની ઉત્પત્તિના આરંભિક સંજોગોની સંભાવનાઓ વિશે પ્રકાશ ફેંક્યો, આપણી સૂર્યમાળાના બધા ગ્રહોમાં વલયોથી શોભતા શનિ અને તેના ચંદ્રો (ઉપગ્રહો) વિશે એટલી માહિતી આપી કે તેના અર્થઘટનમાં હજુ સમય લાગશે.

...અને કામ માટેની નિષ્ઠા પણ કેવી? છેલ્લી ઘડી સુધી કામ ચાલતું જ રહ્યું.  વિદાય પણ અત્યંત ભવ્ય અને તેમની આજીવન કામગીરીને છાજે એવી. વિદાયનો સમય નક્કી જ હતી. એટલે ઓચિંતાપણાનો આઘાત કોઈને લાગ્યો નહીં. પણ તેનું દુઃખ અનુભવનારા કેટકેટલા લોકો હતા.. અલગ અલગ રીતે કામ કરતા લોકો તેના નિમિત્તે મળ્યા અને તેમનો એક પરિવાર બન્યો. તે આ પરિવારની ધરી સમાન બની રહ્યા. હવે એ પરિવાર પણ વિખરાઈ જશે...’

આવી અંજલિઓ વાંચતાં પહેલી નજરે એવું જ લાગે, જાણે યુવાન વયના કોઈ મહાન વિજ્ઞાનીમૃત્યુ પામ્યા હશે. પણ આ પ્રકારની અનેક લાગણી--હા, નકરી આંકડાકીય માહિતી નહીં, લાગણી-- શનિની પ્રદક્ષિણા કરનારા પહેલા યાન કાસિની/Cassiniની વિદાયના અહેવાલોમાં છલકાતી હતી.  કાસિની હકીકતમાં 22 ફીટ ઉંચું, 13 ફીટ પહોળું, 2,523 કિલો વજનનું યાન હતું.  કાસીની સાથે હગન્સ/Huygens નામના તપાસસાધન/Probeની જોડીને શનિ ગ્રહનાં વિવિધ પાસાંનો અભ્યાસ કરવા માટે 15 ઓગસ્ટ, 1997ના રોજ પૃથ્વી પરથી રવાના કરવામાં આવ્યાં. આ અમેરિકાની અવકાશ સંસ્થા નાસા, યુરોપીઅન સ્પેસ એજન્સી અને ઇટાલીઅન સ્પેસ એજન્સીનું સહિયારું સાહસ હતું.
Cassini spacecraft 
અગાઉ વોયેજર-1, વોયેજર-2 જેવાં યાન સૂર્યમાળાના છેક દૂરના ગ્રહો સુધી મોકલવામાં 'નાસા'ને સફળતા મળી હતી. તે શનિને થપ્પો કરીને પસાર થયાં અને પહેલી વાર શનિ તથા તેના વલયોને લગતી થોડી માહિતી પૃથ્વી સુધી વહેતી કરી, ત્યારે સંશોધકોના રોમાંચનો પાર ન હતો. પણ આ માહિતીથી તરસ છીપવાને બદલે ઉઘડી. તેને શમાવવા માટે કાસિની યાન બનાવવામાં આવ્યું. તેનું જોડીદાર હગન્સ યુરોપીઅન સ્પેસ એજન્સીએ શનિના ઉપગ્રહ ટાઇટન પર ઉતરવા માટે તૈયાર કર્યું હતું. આ બન્નેની જોડી પૃથ્વીથી રવાના થયાનાં સાતેક વર્ષ પછી, આશરે 2.2 અબજ માઇલનું અંતર ખેડીને 30 જુલાઇ, 2004ના રોજ શનિના ઇલાકામાં પહોંચ્યાં.  હગન્સ સફળતાપૂર્વક ટાઇટન પર ઉતર્યું અને આપણી સૂર્યમાળાના (પૃથ્વી સિવાયના) કોઈ પણ ગ્રહના ઉપગ્રહ પર ઉતરનારું તે પહેલું સાધન બની રહ્યું. રેકોર્ડની ભાષામાં વાત કરીએ તો, સૂર્યમાળાના પૃથ્વી સિવાયના ગ્રહની ફરતે આટલા લાંબા સમય સુધી પ્રદક્ષિણા કરનારું કાસિની પહેલું યાન બની રહ્યું.

મંઝિલ સુધી પહોંચ્યા પછી તરત કાસિની યાને પોતાનું કામ શરૂ કરી દીધું. તેનું કામ શનિ અને તેના ઉપગ્રહોની ફરતે સલામત અંતરે રહીને પરિભ્રમણ કરવાનું અને એવા આંટાફેરામાંથી શનિ વિશે પહેલવહેલી વાર મળનારી અઢળક માહિતી પૃથ્વી સુધી પહોંચાડવાનું હતું. ત્યારશી શરૂ કરીને 15 સપ્ટેમ્બર, 2017ના રોજ તેણે શનિના વાતાવરણમાં પ્રવેશીને આત્મવિલોપન કર્યું ત્યાં સુધી  અઢળક માહિતી કાસિનીએ મોકલીઃ આશરે સાડા ચાર લાખ તસવીરો અને 653 ગીગાબાઇટ જેટલી વૈજ્ઞાનિક માહિતી, જેના પૃથક્કરણના આધારે અનેક સંશોધનો થઈ શક્યાં અને હજુ થશે.  (એક અહેવાલ પ્રમાણે કાસિની તરફથી મળેલી વિગતોના આધારે અત્યાર સુધીમાં ચારેક હજાર સંશોધનપત્રો લખાયાં છે.)

કાસિની મિશન વિશે વખાણનાં આટલાં ગાડાં શા માટે? અને તે આટલું મહાન હતું તો તેને આત્મવિલોપનના રસ્તે દોરી જવાની શી જરૂર હતી?

‘નાસા’ના દાવા પ્રમાણે તેના કાસિની યાન અને યુરોપીઅન સ્પેસ એજન્સીના હગન્સ પ્રોબની તપાસનાં પરિણામોથી જીવસૃષ્ટિની ઉત્પત્તિ વિશે માણસજાતની સમજણમાં ઘણો વધારો થયો. વલયધારી શનિ વિશે ઉત્સુકતા જાગવાનું એક મોટું કારણ એ પણ હતું કે તેના એકાદ ઉપગ્રહ પર સજીવ પાંગરેલા કે પાંગરી શકે એમ હોય તો પરગ્રહ પર જીવસૃષ્ટિની શોધમાં એ માહિતી અત્યંત ઉપયોગી થઈ પડે.  કાસિની મિશનના અંતે એ આશા પૂરેપૂરી ફળી નથી, પણ એ દિશામાં આગળ વધવાના સગડ જરૂર મળ્યા. શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઇટન પૃથ્વી સાથે સામ્ય ધરાવતી પરિસ્થિતિ, હવામાન અને ભૂસ્તર જોવા મળ્યાં. (એવી પૃથ્વી, જ્યાં જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ ન હતી) આપણી આખી સૂર્યમાળામાં પૃથ્વી સિવાય ફક્ત ટાઇટન જ એવી જગ્યા છે, જેની સપાટી પર પ્રવાહી સ્વરૂપ સ્થાયી રીતે અસ્તિત્વ ધરાવતું હોય. ફરક એટલો કે ટાઇટનમાં પાણીનો નહીં, પ્રવાહી હાઇડ્રોકાર્બનનો વિશાળ જથ્થો છે. પાણીની જેમ હાઇડ્રોકાર્બનના વહેણને લીધે પણ ટાઇટનની સપાટી પર અવનવી ભાતો રચાય છે--ક્યાંક સરોવર તો ક્યાંક દરિયો, ક્યાંક પ્રવાહીના નાના ફાંટા, તો ક્યાંક કોતરો.

પૃથ્વીને વધારે સારી રીતે સમજવામાં ટાઇટન સાથેની તેની સરખામણી અને તફાવતો ઉપયોગી નીવડી શકે છે. અગાઉ ટાઇટન અને એન્સેલેડસ ઉપરાંતના બીજા ઉપગ્રહો વિશે અગાઉ મોટે ભાગે અટકળો કે પાંખી માહિતી ઉપલબ્ધ હતી. કાસિનીનાં જુદાં જુદાં પરિભ્રમણો અને હગન્સની તપાસને લીધે બીજા ઉપગ્રહોના ચરિત્ર વિશે ઉંડાણભરી માહિતી જાણવા મળી. ઉપરાંત શનિના વલયો સાથે સંકળાયેલી અને તેમના વિશેની સમજને વ્યાપક બનાવતી માહિતી તો ખરી જ.

કાસિની કે વોયેજર પ્રકારનાં પૃથ્વીથી કરોડો-અબજ માઇલ દૂર જતાં યાન ન્યુક્લીઅર બેટરી (રેડિયોઆઇસોટોપ થર્મોઇલેક્ટ્રિક જનરેટર્સ-RTG)થી ચાલે છે. તેમાં રહેલો પ્લુટોનિયમ-238 જેવા બળતણનો જથ્થો કંજૂસની દોલતની જેમ એટલો બધો ચાલે છે કે યાન ખતમ થઈ જાય, પણ બળતણ ન ખૂટે.  કાસિનીએ છેલ્લે આત્મવિલોપન કરવું પડ્યું, તેના માટે બળતણનો અભાવ જવાબદાર ન હતો. અસલી ચિંતા શનિના ઉપગ્રહોને દૂષિત કરવાની હતી.

નક્કી કરેલી મુદત કરતાં વધારે સમય સુધી સફળતાપૂર્વક પરિભ્રમણ કર્યા પછી કાસિની માટે એવી સંભાવનાઓ ઉભી થઈ રહી હતી, જેમાં ટાઇટન કે એન્સેલેડસ જેવા ગુરુના ઉપગ્રહ સાથે તેની ટક્કર થઈ જાય. આ બન્ને ઉપગ્રહો જીવસૃષ્ટિની સંભાવના ધરાવતા મુરતિયા છે.  હાલની પૃથ્વીની સરખામણીમાં સાવ વિષમ લાગતા વાતાવરણમાં બને કે સાવ બીજા અને પૃથ્વીવાસીઓને કલ્પના પણ ન આવે એવા પ્રકારની સૂક્ષ્મજીવસૃષ્ટિ પાંગરી શકે. એવું થયું હોય કે થવાની સંભાવના હોય, તેમાં રેડિયોએક્ટિવ બળતણ ધરાવતું આ યાન ટાઇટન કે અેન્સેલેડસ પર ખાબકે, તો ત્યાં પ્રદૂષણ ફેલાય અને જીવસૃષ્ટિ કે તેના માટેના સંજોગોને નુકસાન પહોંચવાની સંભાવના રહે. તે નિવારવા માટે અને તેને લગતા આંતરરાષ્ટ્રીય કાયદાને માન આપવા માટે કાસિનીને શનિના વાતાવરણમાં મોકલી દેવાનું આયોજન હતું--અને તે સફળતાથી પાર પડ્યું.  શનિના વાતાવરણમાં પ્રવેશતાં જ કાસિનીમાંથી પૃથ્વી સુધી પહોંચતા સિગ્નલ બંધ થઈ ગયા--જાણે ધબકારા સૂચવતા મોનિટર પર ઊંચાનીચા આલેખને બદલે સીધી રેખા થઈ ગઈ.

વોયેજરથી જાગેલી જિજ્ઞાસા કાસિનીએ ભાંગી, તો તેના પગલે ટાઇટન-એન્સેલેડસ પર જીવસૃષ્ટિ અંગેની સંભાવનાઓની ચકાસણી માટે ઓશનસ નામે નવું પ્રોબ મોકલવાની વાત ચાલે છે. પરંતુ કાસિની-હગન્સની જોડીએ બતાવેલાં કારનામાં હજુ ઘણી નવી માહિતી અને શોધોના ખજાના જેવાં બની રહેશે. 

Tuesday, September 19, 2017

બુલેટ ટ્રેનની ચર્ચા આડા પાટે?

ગયું અઠવાડિયું બુલેટ ટ્રેન/bullet trainનું હતું. તેના વિરોધમાં અને તેની તરફેણમાં ઘણું લખાયું-બોલાયું. તેમાં રહેલી પ્રશંસાનો મુખ્ય સૂર એવો હતો કે બુલેટ ટ્રેન આવશે એટલે ભારતની પ્રગતિને વેગ મળશે અને વિદેશોમાં ભારતનો વટ પડી જશે. ટીકાનો મુખ્ય સૂર એવો હતો કે હજુ કેટકેટલી બાબતોનાં ઠેકાણાં નથી ને બુલેટ ટ્રેન લાવવાની શી જરૂર છે? બન્ને પ્રકારના અભિપ્રાય એટલી આક્રમકતાથી વ્યક્ત થયા કે થોડા વખત માટે બુલેટ ટ્રેન દેશની પ્રગતિ-અધોગતિ નક્કી કરનારો મુખ્ય મુદ્દો બની ગઈ હોય એવું લાગ્યું.

સૌથી પહેલાં બન્ને પક્ષે ઠંડા કલેજે એ સ્વીકારવાનું છે કે બુલેટ ટ્રેન જેમ પ્રગતિ માટેનું જાદુઈ તાવીજ નથી, તેમ અધોગતિ કે પાયમાલીનું મૂળ પણ નથી.  દેશની મહત્ત્વની, મૂળભૂત, પ્રાથમિક સમસ્યાઓ (શિક્ષણમાં મોંઘવારી, શિક્ષણની ગુણવત્તા-તેનું કથળેલું સ્તર, જાહેર આરોગ્ય સુવિધાઓના પ્રશ્નો) સાથે બુલેટ ટ્રેનને કશો સંબંધ નથી. બુલેટ ટ્રેન આવવાથી ભારતની રોજગારીનો પ્રશ્ન હળવો થશે, એવો દાવો પણ, ખાસ કરીને ઓટોમેશનના યુગમાં, અતિશયોક્તિથી ભરપૂર જણાય છે.

આ બધામાં બુલેટ ટ્રેનનો કશો વાંક નથી. જાપાનના વડાપ્રધાને એવું નથી કહ્યું કે તમારે ત્યાં બુલેટ ટ્રેન ચાલુ કરો એટલે તરી જશો. એવો આભાસ આપણા વડાપ્રધાન ઊભો કરી રહ્યા છે. બુલેટ ટ્રેનના આગમનથી મુંબઈ-અમદાવાદ વચ્ચેની માળખાકીય સુવિધામાં મહત્ત્વનો ઉમેરો થશે એવું કહેવાયું હોત તો બરાબર. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટેની 80 ટકા રકમ જાપાને 0.1ના દરે આપી છે, જે દેશ માટે બોજારૂપ નથી, એ વાત પણ સાચી.  જાપાનમાં અર્થતંત્રની પરિસ્થિતિ એવી છે કે ત્યાં નેગેટીવ ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે: બેન્કોમાં નાણાં મૂકનારને વ્યાજ મળે નહીં, તેણે બેન્કને સામેથી રૂપિયા આપવા પડે. એ સંજોગોમાં આ સોદાથી જાપાનના અર્થતંત્રને પણ ફાયદો છે, જેમાં કશો વાંધો નથી. બન્નેને લાભ હોય તો જ કરાર થાય. બસ, ‘મિત્ર’  જાપાને ભાઈબંધીમાં આટલા ઓછા દરે લોન આપી, એવો દાવો માનવો નહીં.

‘લડતાં લડતાં શિવાજી રંગમાં આવી ગયા’ એવી જૂની ઉકતિ પ્રમાણે, બોલતાં બોલતાં વડાપ્રધાન એટલું બધું બોલી નાખે છે કે સાંભળનારને બુલેટ ટ્રેનના આગમનથી બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે એવું લાગે. તેમણે બુલેટ ટ્રેનના રસ્તામાં આવતાં બધાં સ્ટેશનના વિકાસથી માંડીને રોજગારીની અઢળક તકો સુધીનાં કંઈક સપનાં બુલેટ ટ્રેન નિમિત્તે બતાવ્યાં. એમાં તેમનો શો વાંક કાઢવો? તે સપનાં બતાવવાના ધંધામાં છે અને બુલેટ ટ્રેનથી અનેક ગણી મામૂલી ચીજોને પણ વર્તમાન વિકાસ-ઉજ્જવળ ભવિષ્યના પ્રતીક તરીકે રજૂ કરવાનું તેમને ફાવે છે. તે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે હવાઈ સહેલ કરી શકાય એવો ટીથર્ડ બલુન કાંકરિયામાં આણીને એવો સીન ઉભો કરેલો કે ઘણા એ બલુનને વિકાસનું પ્રતીક ગણતા થઈ ગયેલા.

અમદાવાદમાં બીઆરટીની સેવા શરૂ થઈ, ત્યારે ગંગાનું અવતરણ કરનારા ભગીરથની મુદ્રામાં મુખ્ય મંત્રીએ અમદાવાદની ધરતી પર બીઆરટીનું અવતરણ કર્યું હોય એવો માહોલ ઉભો કરવામાં આવ્યો. (જેવું અત્યારે નર્મદા બંધના મુદ્દે પણ ચાલી રહ્યું છે.) બીઆરટી શરૂ થયા પછી,  કેટલીક પ્રાથમિક સુવિધાઓને બાદ કરતાં એ સેવા ધીમે ધીમે કથળતી ચાલી. અત્યારે એવી સ્થિતિ છે કે બીઆરટીની ઘણી બસો ઉપર ઇલેક્ટ્રોનિક ડીસ્પ્લે ચાલતાં નથી, મોટી પટ્ટીઓના ટુકડા કાપીને ઘણી બસોના કાચ પર તેના રૂટ નંબર ચોંટાડવામાં આવે છે (જે ઉખડી પણ જાય છે). તોતિંગ ખર્ચે તૈયાર કરાયેલાં બીઆરટીનાં સ્ટેન્ડમાંથી ઘણાં પર કાર્ડ રીડર મશીન ચાલતાં નથી. (ડિજિટલ ઇન્ડિયા, ઝિંદાબાદ). કઈ બસ ક્યાં આવશે અને કયા નંબરની બસ ક્યાં જશે, એટલી સાદી વિગતો મોટા ભાગનાં સ્ટેન્ડ પર લખેલી નથી. બીઆરટીથી કેટલાક ફાયદા બેશક થયા છે, પણ તેની સામે ગેરવહીવટ અને દૃષ્ટિ વગરના આયોજનને કારણે ઉભી થયેલી અરાજકતાનો પાર  નથી. પણ બીઆરટીથી જે વટ પાડવાનો હતો, તે પાડી લીધો. ખેલ ખતમ.

હવે અમદાવાદમાં મેટ્રો આવી રહી છે. અમદાવાદ એ મુંબઈ, દિલ્હી કે કોલકાતાની જેમ વસ્તીથી ફાટી પડતું શહેર નથી. (ટ્રાફિકની અંધાધૂંધીને કારણે એવું લાગે, તે જુદી વાત છે.) તેમાં વર્તમાન સેવાઓ લોકોની સુવિધા ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે તથા દીર્ઘ દૃષ્ટિથી, રાજકીય જયજયકારની ગણતરી કર્યા વિના, નવા ઉમેરા કરવામાં આવે તો? ધોળા હાથી જેવી ખર્ચાળ મેટ્રોની  જરૂર ન પડે. પરંતુ મેટ્રો હોય કે બુલેટ ટ્રેન, બધી ચર્ચા છેવટે ‘મોદીતરફી કે મોદીવિરોધી?’ના ખાનામાં ફંટાઈ જાય છે. પછી ચિંતાના મુળ મુદ્દા બાજુ પર રહી જાય છે અને કોઈ પણ ફાલતુ મુદ્દે થઈ શકે એવાં યુદ્ધ ચેનલો પર ને સોશ્યલ મિડીયામાં શરૂ થઈ જાય છે.

બુલેટ ટ્રેન સામે વાંધો પાડનારે પણ નક્કી કરવાનું છે કે તેમને વાંધો કઈ બાબતનો છે? (૧) બુલેટ ટ્રેનની જરૂર નથી (૨) અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ-ટ્રેન કેમ? ને બીજાં કોઈ શહેરો વચ્ચે કેમ નહીં? (૩) બુલેટ ટ્રેનના રસ્તામાં જમીનો સંપાદિત થશે. (૪) બુલેટ ટ્રેનનું વ્યાજ વિદેશી હુંડિયામણમાં ચૂકવવાનું મોંઘું પડશે. (૫) આટલા રેલવે અકસ્માતો થાય છે ને બુલેટ ટ્રેન કેવી રીતે ચલાવશો?.. આવા બધા વાંધાને એકબીજામાં ભેળવવા જેવા નથી. તે એકબીજાથી જુદા મુદ્દા છે અને તેમને જુદા રાખીને જ સમજી શકાય—તેના સાચા જવાબ મેળવી શકાય. વાંધાની ભેળસેળ કરીને તેને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સામે --કે એ નિમિત્તે થયેલા રાજકીય દેખાડા સામે--વીંઝવામાં આવે ત્યારે તે વિરોધ પણ મહદ્ અંશે રાજકીય બની જાય છે અને સમસ્યા સમજવામાં કે તેના સાચા ઉકેલ ચીંધવામાં મદદરૂપ બનતો નથી.

બુલેટ ટ્રેનની સમૂળગી ટીકા કરવાને બદલે, એ કહેવું વધારે જરૂરી છે કે બુલેટ ટ્રેન આવે ને સાવ સસ્તી લોનથી આવે, તો ભલે આવતી. તેનું સ્વાગત છે. પણ તે સુશાસનનો વિકલ્પ નહીં બની શકે. બુલેટ ટ્રેન એની જગ્યાએ ને ભ્રષ્ટાચારથી માંડીને બીજી બધી સમસ્યાઓ એની જગ્યાએ રહેવાની જ છે. રસ્તાનાં ઠેકાણાં નથી ને બુલેટ ટ્રેન લાવે છે--એ દલીલ ટેકનિકલ દૃષ્ટિએ સાચી નથી. બન્ને જુદી બાબતો છે. છતાં એ દલીલમાંથી સરકાર માટેનો બોધપાઠ એ છે કે બુલેટ ટ્રેનને મોંઘા રમકડાની માફક આણી દેવાથી બાકીના ગેરવહીવટો પર પડદો નહીં પડી જાય. બુલેટ ટ્રેન લાવવી હોય તો લાવો, ચલાવવી હોય તો ચલાવો ને માપસરના રાજી થવું હોય તો થાવ,  પણ આંખ મીંચીને વિજયઘોષ મચાવવાની જરૂર નથી--સરકારે પણ નહીં ને નાગરિકોએ પણ નહીં. ગુજરાતના મોટા ભાગના નાગરિકોને જેમ વિમાનની, તેમ બુલેટ ટ્રેનની જરૂર પડવાની નથી. એટલે, બુલેટ ટ્રેનના રેશમી રુમાલ થકી નાગરિકોની આંખે પાટા બાંધી દેવાનો ઇરાદો હોય તો એ નહીં ફળે, એટલું સમજવું પડે અને કહેવું પણ પડે

Friday, September 15, 2017

ધર્મ-અધ્યાત્મના નામે અવિરત શોષણ

દુનિયાના મોટા ભાગના લોકો રાજકીય ગુલામીમાંથી આઝાદ થઈ ચૂક્યા છે, પણ તેમાંથી ઘણા ધર્મસસ્થાઓની ‘ગુલામી’માંથી મુક્ત થઈ શક્યા નથી. ‘ગુલામી’ શબ્દ પહેલી નજરે બંધબેસતો કે સાચો ન લાગે. કેમ કે, દેખીતી રીતે લોકો સ્વેચ્છાએ ધર્મ-સંપ્રદાયની સંસ્થાઓમાં કે ધર્મગુરુના શરણે જતા હોય છે. આદર્શ રીતે ધર્મ-અધ્યાત્મનો માર્ગ મુક્તિ આપનારો ગણાય છે, પણ અઢળક દાખલા પરથી કહી શકાય કે મોટા ભાગના લોકો માટે તે બંધનકર્તા બની રહે છે.

પરદેશી શાસનના સ્વરૂપમાં આવતી રાજકીય ગુલામી કરતાં પણ ધાર્મિક ગુલામી વધારે આકરી હોય છે. કારણ કે તે ‘પોતાના લોકો’  દ્વારા લાદવામા આવે છે અને તેનો બાહ્ય દેખાવ સાવ વિપરીત-–એટલે કે ઉદ્ધારનો-- હોય છે. ભારતનું અનહદ આર્થિક શોષણ કરનારા અંગ્રેજ રાજકર્તાઓમાંથી ઘણાનો દાવો હતો કે તે ‘અસંસ્કૃત’ ભારતને ‘સુધરેલુંં’ બનાવી રહ્યા છે--તેનો ઉદ્ધાર કરી રહ્યા છે. ઘણા ધર્મગુરુઓ પણ આ બાબતમાં જુદા નથી હોતા. નજીકના ભૂતકાળનો દાખલો લઈએ તો, ડેરા સચ્ચા સૌદાના હવે જેલવાસી ગુરમીત રામરહીમનો દાવો હતો કે તે મનોરંજન અને સંગીતની મદદથી યુવાનોને આડા રસ્તે જતા અટકાવે છે. અદાલતે વીસ વર્ષની સખત જેલની સજા કરી ત્યારે પણ ગુરમીત તરફથી સમાજકલ્યાણની પ્રવૃત્તિઓનો હવાલો આપીને, સજા ઘટાડવાની વિનંતી કરવામાં આવી હતી.

એ તો અદાલત હતી ને વીસ વર્ષની સજા થઈ ચૂકેલી, એટલે વિનંતી. બાકી, ‘એરણની ચોરી ને સોયનુ દાન’ ના ધોરણે કરાતી સેવાપ્રવૃત્તિઓ ધાર્મિક ગુરુઓ બધાં પાપ સંતાડવા માટે હાથવગી હોય છે.  એટલું જ નહીં, સેવાપ્રવૃત્તિની લાકડીથી ટીકાકારને ઝૂડી કાઢવાનું પણ સહેલું છે.

‘શોલે’મા ગબ્બરસિંઘ રામગઢના લોકોને કહે છે, ‘મારા તાપથી તમારું રક્ષણ કરવાના બદલામાં મારા માણસો તમારી જોડેથી થોડું અનાજ લઈ જાય, એ કંઈ જુલમ કહેવાય?’ શોષણ કરતા ધર્મગુરુઓ પણ આવું ‘ગબ્બર-લૉજિક’ વાપરે છે. (હકીકતમાં એમ કહેવુ જોઈએ કે ગબ્બરે આવા ધર્મગુરુઓનું લૉજિક વાપર્યું) ‘અમે તમારો ઉદ્ધાર કરીએ, સમાજની સેવા કરીએ ને બદલામાં તમારાં સંપત્તિ કે શરીરનો ઉપભોગ કરીએ, તેમાં આટલો બધો કકળાટ શો?’

--અને આ દલીલ તો ભક્તોમાંથી કોઈ સામે થવા જેટલી હિંમત બતાવે તેના માટે. બાકીના ટીકાકારોને ‘એ મારો ને મારા ભક્તો વચ્ચેનો મામલો છે. તેમાં સવાલ કરનારા તમે કોણ?’ એટલું કહીને ચૂપ કરી દેવાય છે.

સવાલ એ છે કે બહુમતી લોકોએ ગુલામી સ્વીકારી લીધી હોય ને કેટલાકને તો એમાં સુખભ્રાંતિ પણ થતી હોય, એટલે આઝાદીની વાત પડતી મૂકી દેવાની? કે બાકીના ગુલામોને તેમની ગુલામીનું ભાન કરાવવાનું? ગુરમીતના કિસ્સામાં જોવા મળ્યું તેમ, મહિલાનું શોષણ થતું હોય અને તેનાં ઘરનાં સભ્યો જ એ શોષણને છાવરતાં હોય--તેની ફરિયાદ પર ભરોસો ન મૂકતાં હોય એવું પણ બને. આવા સંજોગોમાં લડત ઓર કપરી બની જાય છેઃ અનુયાયીઓનાં ટોળાં સામે લડવાનું અને ઘરનાં લોકો સામે પણ લડવાનું. ધર્મના નામે સ્ત્રીનુંું તેની કે તેના કુટુંબીજનોની મરજીથી શોષણ નર્મદ-કરસનદાસ મૂળજીના જમાનાથી પણ જૂનું છે. છતાં તે ભૂતકાળ બન્યું નથી એ શરમજનક છે.

ક્યારેક ગુરમીત કે આસારામ જેવા કિસ્સામાં પાઘડીનો વળ છેડે આવે અને તેમને જેલભેગા થવાનો વારો આવે ત્યારે કુદરતી ન્યાયનો આનંદ થાય, પણ એ આશ્વાસનથી વિશેષ કંઈ હોતું નથી. કારણ કે આવી બાબતોમાં કુદરતી ન્યાય કામ કરતો નથી. ન્યાયનો પ્રયાસ માણસે જ કરવો પડે છે. અનુયાયીઓનાં ઝુંડ તથા આર્થિક-સામાજિક-રાજકીય વગની સામે પડીને ન્યાય મેળવવા કરતાં પણ વધારે અઘરું શું? એ કામ છે આવા કિસ્સા બનતા અટકાવવાનું. કેમ કે, તેમાં દુષ્ટ ધર્મગુરુઓ સામે નહીં, સમાજના લોકોમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને કથિત ધાર્મિક લાગણી સામે લડવાનું આવે છે.

આસારામ કે ગુરમીત જેવાના જેલયોગના કિસ્સા થાય ત્યારે હંમેશાં એ જાણવામા રસ પડે--અને ભાગ્યે જ જાણવા મળે--કે પછી તેમના અનુયાયીઓનું શું થયું? ઘણા અનુયાયીઓ પર કશી અસર થતી નથી અને એ પોતાની ભક્તિ ચાલુ રાખે છે, જ્યારે બીજા કેટલાકને આવા કોઈ ટેકાનો ખપ હોય છે. એટલે એ કોઈ બીજો ‘થડો’ શોધી કાઢે છે. અનુયાયીઓમાંથી ઘણા તો પ્રખ્યાત અને જાહેર જીવનનાં મોટાં નામ હોય છે, જે પોતપોતાની અસલામતીથી કે મહત્ત્વાકાંક્ષાઓથી ગ્રસ્ત હોય છે.  એ લાગણી તેમને આવા લોકોના શરણે જાય છે. નેતાઓ તો તેમાં સૌથી પહેલા. ભાજપના નેતાઓને મુસ્લિમ રૂઢિચુસ્તતાની સગવડીયા ટીકા કરવામાં એવી ‘કીક’ આવી જાય કે હિંદુ ધર્મને વગોવતા ને તેના નામે પાખંડ-દુરાચાર ચલાવતા લોકો દેખાય જ નહીં--અને દેખાય તો તે હિંદુ ધર્મના પ્રતિનિધિ લાગે. એટલે એવા લોકોની ટીકામાં તેમને ‘હિંદુ ધર્મને બદનામ કરવાનું કાવતરું’ દેખાય. કૉંગ્રેસ અને બીજા પક્ષો વાતો સૅક્યુલરિઝમની કરે, પણ મુસ્લિમોની રૂઢિચુસ્ત ધાર્મિકતા સામે તેમને વાંધો ન પડે અને વખત આવ્યે બીજા ધર્મના પાખંડી આગેવાનોનું શરણું લેતાં પણ તેમને જરાય સંકોચ ન થાય.

પોલીસ સ્ટેશનોમાં ઇષ્ટ દેવો ને અનિષ્ટ ધર્મગુરુઓના ફોટા હોય એટલું જ નહીં, આખેઆખા પોલીસ સ્ટેશનનના મકાનના પ્રાયોજક તરીકે કોઈ સંપ્રદાયનું કે ધર્મસ્થાનનું નામ લખેલું પણ જોવા મળે. (સરકાર પાસે પોલીસ સ્ટેશનો બાંધવાના પણ રૂપિયા નહીં હોય?) મંટોની એક લઘુકથામાં આવતું હતું કે સર ગંગારામના પૂતળાને જૂતાંનો હાર પહેરાવનાર ઘાયલ થાય ત્યારે તેને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ઘણી વાર એવો વિચાર આવે કે અમુક ધર્મસંસ્થાનું નામ ધરાવતા પોલીસ સ્ટેશનમાં એ જ સંપ્રદાયના કોઈની ધરપકડ કરવાનો વારો આવે તો?

ઘણાં ધર્મસંસ્થાનો સંપત્તિ અને પ્રભાવની રીતે કૉર્પોરેટનાં પણ દાદા જેવાં હોય છે. તેમની વ્યવસ્થા, ભપકો, ટેકનોલોજીનો ઉપયોગ વગેરે જોઈને સામાન્ય માણસ અંજાઈ જાય છે અને એ અંજાવાને ભક્તિ કે શ્રદ્ધા ગણી બેસે છે. આવાં જૂથો ફક્ત સ્થાનિક નહીં, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે પણ વ્યાપ ધરાવતાં હોવાથી, ઘણી વાર તે બિઝનેસ ક્લબ અને ઍમ્પ્લોયમૅન્ટ ઍક્સચેન્જનું કામ પણ કરે છે. બદલામાં અનુયાયીઓએ કૉમન સૅન્સ લખી આપવી પડે છે. તેનાથી ધાર્મિક અને આર્થિક એમ બન્ને જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળતી હોય અથવા એવી આશા ઊભી થતી હોય અને કેટલાક કિસ્સામાં સામાજિક દરજ્જો પણ મળતો હોય, તો શો વાંધો?

ધર્મ-અધ્યાત્મના નામે નીતાંત ભૌતિક સામ્રાજ્યો ઊભાં કરનારા, ગુંડાગીરી કરનારા કે તેને પોષનારા ભારતના આધ્યાત્મિક વારસાના પ્રતિનિધિ નહીં, ભારત માટે ધબ્બારૂપ છે.  આવા ‘ધબ્બા’ને ધર્મ ગણનારાને શું કહેવું?

Sunday, September 10, 2017

બીરેન મહેતાઃ 26 વર્ષ જૂની દોસ્તીનો, બસ એમ જ, આનંદ-ઑચ્છવ

દોસ્તી લંબાઈમાં નહીં, ઘટ્ટતામાં મપાય છે. આશિષ કક્કડ, ઋતુલ જોષી, આરતી નાયર, નિશા પરીખ...આ અધૂરી યાદી એવાં મિત્રોની છે, જે પ્રમાણમાં મોડાં મળ્યાં, પણ એવું લાગે જાણે એ મારાં કૉલેજકાળથી આજીવન અંગત બનેલાં મિત્રો છે. ઉષ્મા શાહ કે હજુ થોડા વખત પહેલાં મળેલાં નૂતન કોટક જેવાં, વાચક તરીકે પરિચયમાં આવનારાં પહેલી જ મુલાકાતમાં વર્ષોથી ઓળખતાં હોય એવાં, એકદમ અનૌપચારિક મિત્રો બની ગયાં. ડિમ્પલ મહેતાને ભૌગોલિક અંતરને કારણે મળવાનું માંડ થતું હોય, પણ વચ્ચે ગમે તેટલો ગાળો પડવા છતાં, મળીએ ત્યારે આત્મીયતાનો તાર તરત જોડાઈ જાય છે અને લાગણીમાં જરાય 'ટ્રાન્સમિશન લૉસ' આવતો નથી.

સંજય ભાવે વિશે હંમેશાં એવું લાગે કે જિજ્ઞેશ મેવાણી-વિજયસિંહ પરમાર-આશિષ વશીની જેમ હું પણ તેમના વિદ્યાર્થીઓની બૅચમાંનો છું,  એ લોકોની જેમ મારી સાથે પણ ભાવેસાહેબ અનન્ય સ્નેહ-આત્મીયતા રાખે છે ને એ લોકોની જેમ હું પણ ભાવેસાહેબ સાથે ભાર વગરનો, મસ્તી થઈ શકે એવો સંબંધ ધરાવું છું.  અપૂર્વ આશરનો પરિચય બારેક વર્ષ જૂનો, છતાં જ્યારે મળું ત્યારે લાગે કે નાનપણમાં ઓટલે બેસીને જેની સાથે સપનાં જોયાં હોય એવા દોસ્તને મળું છું. કેતન રૂપેરા કૉલેજમાં મારાથી એક વર્ષ પાછળ હશે ને અમારી દોસ્તી થઈ ગઈ હશે--એવું લાગે.  એ જુદી વાત છે કે કૉલેજકાળ 1.0 (1987-90)માં કોઈ સાથે એવી આત્મીય દોસ્તી થઈ નહીં. પણ કૉલેજ 2.0 (2012-2014)માં શૈલી ભટ્ટ, દીપક ચુડાસમા જેવાં મિત્રો સાથે ટકાઉ ને કાયમી લાગે એવી દોસ્તી (ઉંમરના મોટા, શૈલી સાથે તો બમણા, તફાવત છતાં) બંધાઈ.

પત્રકારત્વના મિત્રોમાંથી ઘણા બે દાયકા જૂના. ઘરમાં બીરેનવાળું મૉડેલ સૌથી નિકટના મિત્ર એવા મોટા ભાઈનું. દીપક સોલિયા-હેતલ દેસાઈ એ જ પ્રકારનાં લાગે. પ્રશાંત દયાળ,  પૂર્વી ગજ્જર પત્રકારત્વનાં આદિમિત્રો. તેમની સાથેની નિકટતા (જો વધી શકે તેમ હોય તો) વધ્યા જ કરે છે, એવું લાગે. નીલેશ રૂપાપરા, અનિલ દેવપુરકર, મનીષા જોષી પણ 'અભિયાન'માંથી મળેલાં અને જેમની સાથે અવિરત, જીવંત નાતો જળવાઈ રહ્યો હોય એવાં મિત્રો.  હર્ષલ પુષ્કર્ણા વળી સાવ અનોખો મિત્ર. 'અભિયાન'વાળા મિત્રોની જેમ તેની સાથે પણ બે દાયકાની દોસ્તી. તેને મળું ત્યારે મારા કરતાં અનેક ગણા વધારે જ્ઞાની, છતાં જેની સાથે નિરાંતે, હળવાશથી ને આત્મીયતાથી વાતો કરી શકાય એવા નાના ભાઈને મળતો હોઉં એમ લાગે. ફાલ્ગુની (હર્ષલ પુષ્કર્ણા) પણ કેવળ મિત્રપત્ની નહીં. અમારી મિત્રતામાં પૂરક અને અભિન્ન.

બે દાયકાવાળી રેન્જમાં હસિત મહેતા પણ આવે. જીવનની સાર્થકતા અને જીવનનો આનંદ—એ બન્નેનું ફિફ્ટી-ફિફ્ટી નહીં, સો-સો ટકા સંયોજન એટલે હસિત મહેતા અને પિંકી (લિમિષા) મહેતા. તેમને મળીને, તેમનાં અસંખ્ય અને મજબૂત કામ વિશે જાણીએ, એટલે આપણે બહુ કામ કરીએ છીએ એવો થોડો પણ ખ્યાલ પેઠો હોય તો તે નીકળી જાય. જીવનને માણવાના અને નક્કર કામ કરવાના અનેક ઉપક્રમોમાં એમનો સાથ, માર્ગદર્શન, મદદ કે પહેલ હોય. ચંદુભાઈ મહેરિયા અને હરીશભાઈ રઘુવંશી અત્યંત નિકટના મિત્રો. પોતપોતાનાં (એકબીજાથી સાવ જુદાં) તેમનું કામ તપની કક્ષાનું. તેના માટેના આદરને કારણે તેમની સાથે મૈત્રીની હળવી ક્ષણોની તો ખરી જ, સાથોસાથ સતત શીખવાનું મન થાય એવું પણ ઘણું હોય—અને એનો ભાર તેમના પક્ષે જરાય ન વર્તાય એ તેમની ખૂબી.

હિમાંશુ કીકાણી, મનીષ મહેતા, દિલીપ ગોહિલનો પરિચય ગુજરાતી 'ઇન્ડિયા ટુડે'થી. તેમની સાથેના સંબંધમાં જુદી જુદી રીતે બે દાયકાના ચઢાવઉતાર છતાં જૂની સાથીપણાની ખુશ્બુ જળવાઈ છે. હિમાંશુને મળવાનું ઓછું થાય, પણ આત્મીયતાનું જોડાણ 'ફૅવિકોલ' છાપ છે. 'સાર્થક પ્રકાશન'ના સાથી એવા કાર્તિકભાઈને મળીને, મારા કરતાં પણ વધારે મારું હિત ઇચ્છતા-મારી કાળજી રાખતા ને પ્રેમ કરતા મોટા ભાઈને મળતો હોઉં એવું લાગે. (ભલે એ ઉંમરમાં મારાથી એકાદ વર્ષ નાના હોય) અને ધૈવત ત્રિવેદી જેની પ્રતિભા માટે બહુ ભાવ હોય એવો ને વયમાં નાના હોવાની રૂએ રિસામણાં-મનામણાંના પણ હક ધરાવતો મિત્ર લાગે.

બીરેનના અને એ રીતે મારા પણ મિત્ર થયેલા IYC  મિત્રોની વળી જુદી મહાકથા છે. તે કદીક અલગથી લખીશ. હજુ બીજાં કેટકેટલાં નામ આંખ સામે દેખાય છે, પણ 'મિત્રોની સંપૂર્ણ વસતીગણતરી'નો પ્રેમભર્યો ઉપક્રમ ફરી ક્યારેક.  (એક કલાક વાત કર્યા પછી 'ફરી શાંતિથી વાત કરીએ' જેવું લાગે તો પણ વાંધો નહીં. જે છે, તે છે.)

***

કેવળ સમયનું માહત્મ્ય નથી, છતાં જેમની સાથેની દોસ્તી ને આત્મીયતા નાનામોટા ઘસરકા ગણકાર્યા વિના પચીસ-પચીસ વર્ષનો સમયગાળો વટાવી ગઈ છે, એવા મારા આદિમિત્રો ત્રણઃ

સ્કૂલનો મિત્ર પરેશ પ્રજાપતિ, જે 1985થી સાથે હતો ને 1986-7માં એની સાથેની દોસ્તી જામવા માંડી હતી. તે GSFCમાં જોડાયો,  વડોદરા સ્થાયી થયો, બીરેન (કોઠારી)નો પણ નિકટનો મિત્ર બન્યો અને તેના થકી પરિચય થયા પછી, હોમાય વ્યારાવાલાની અંતિમ અવસ્થામાં તેમની અનન્ય લાગણીથી સંભાળ રાખી. હવે તેનો કૉલેજિયન પુત્ર સુજાત અમારો મિત્ર છે.

બીજો મિત્ર બિનીત મોદી, જેની સાથે અમારા પ્રિય લેખક રજનીકુમાર પંડ્યાને કારણે સંપર્ક થયો, પછી પત્રવ્યવહાર અને 15 ઑગસ્ટ, 1992ના દિવસે પહેલી વાર મહેમદાવાદમાં મળ્યા. (હમણાં એ મિલનની પચીસમી વર્ષગાંઠ ગઈ.) લેખન-વાચન-પત્રકારત્વ સાથેના સીધા અને આડકતરા (આડા નહીં) સંબંધોને કારણે તથા વિલક્ષણ-સેવાભાવી પ્રકૃતિને લીધે બિનીત મોદીને આમ, ખાસ અને ખાસમખાસ--એમ અનેક પ્રકારના લોકો અંગત રીતે ઓળખે છે. અમારા બિનપત્રકારી મિત્રો અને નિકટનાં સગાંવહાલાં પણ બિનીતને સારી રીતે ઓળખે અને બીજાં ઘણાં સ્નેહીજનો હોવા છતાં, તેનું ઘર વર્ષો સુધી અમદાવાદમાં મારા રાત્રિરોકાણનું ઠેકાણું હતું એ જાણે..  બિનીત અને શિલ્પા અમારી કૌટુંબિક ઉજવણીઓમાં અચૂક સામેલ હોય. એ બે દાયકા પહેલાં થોડાં વર્ષ માટે દુબઈ ગયો, ત્યારે અમે મહેમદાવાદના ઘરે તેની ફૅરવૅલ પાર્ટી રાખી હતી.

હવે તેને ફરી થોડા સમય માટે ફૅરવૅલ આપવાની થઈ. કારણ કે તે BBCની નવી શરૂ થઈ રહેલી ગુજરાતી સર્વિસમાં જોડાઈને દિલ્હી પહોંચ્યો છે.

અને ત્રીજો મિત્ર, બીરેન મહેતા. મારા મહેમદાવાદ બહારના મિત્રોમાં બીરેન મહેતા સૌથી જૂનો (અમે 1991માં મળ્યા), પણ મારા મિત્રવર્તુળમાંતે એટલો જાણીતો નથી.  એટલે આ પોસ્ટમાં એના વિશે અને અમારા વિશે લખવું છે. કોઈ ખાસ કારણ નથી. પણ હમણાં જ મને ખ્યાલ આવ્યો કે તેની સાથેની મૈત્રી પચીસ વર્ષથી પણ વધારે જૂની થઈ અને જોતજોતાંમાં આટલાં બધાં વર્ષો વીતી ગયાં...
***

અમે મળ્યા ત્યારે એ 22નો ને હું 20નો. અમે બંને ગુજરાત રિફાઇનરીમાં ઍપ્રેન્ટીસ તરીકે પસંદ થયા. બીજા પણ લોકો હતા. તેમાંથી વડોદરાના કેતન ઉપાધ્યાય અને ગાંધીનગરના બીરેન મહેતા સાથે મારી દોસ્તી વધારે જામી. કેતન એકદમ છટાદાર, ફાંકડુ અંગ્રેજી બોલે, ચશ્મા પહેરે, સામેવાળાને આંજી શકે એવું વ્યક્તિત્વ. બીરેન પાતળો, સોટા જેવો. તેના શરીરના પ્રમાણમાં ખાસ્સી ભરાવદાર મૂછો. સરળ. સાલસ. સજ્જન--અને સજ્જનમાં હોય એવી ને એટલી (ખોટું કરવા અંગેની) ભીરુતા પણ ખરી.

રીફાઈનરીમાં અમારો સત્તાવાર હોદ્દો AO,CP (APP) એટલે કે અટેન્ડન્ટ અૉપરેટર, કૅમિકલ પ્લાન્ટ (ઍપ્રેન્ટીસ). તેમાં APP વાળો ભાગ સૌથી ચાવીરૂપ. તેના કારણે ઘણી વાર અમારી સાથે ઉતરતી કોટીનાં મનુષ્યપ્રાણીઓ જેવો વ્યવહાર થાય. રીફાઇનરીમાં આમ રજવાડું. સબસીડાઇઝ્ડ નાસ્તાની અને તેના માટેની કૂપનોની બોલબાલા. પંદર પૈસાની કૂપનમાંમાં ચા ને પંદર-પંદર પૈસામાં ગરમ નાસ્તાનું-સૂકા નાસ્તાનું પડીકું મળે. પચીસ પૈસાની કૂપનમાં અમુલ બટરનું ચકતું...એ વખતે બાદશાહી લાગે. જોકે, નાસ્તાનો ટાઈમ થાય એટલે કૅન્ટિનમાંથી પતરાનો મોટા લંબચોરસ, પટ્ટાવાળો ડબ્બો ખભે લટકાવીને આવતો જણ પહેલાં સાહેબ લોકોની અને કાયમી નોકરિયાતોની પાસે જાય. ત્યાંથી અમારા સુધી પહોંચે ત્યારે ઘણી વાર બટર અને સારો નાસ્તો હોય તો એનો ઘણો હિસ્સો ખાલી થઈ ચૂક્યાં હોય. IPCL, GSFC, રીફાઈનરીના કર્મચારીઓ આવી ઘણી ખાદ્યસામગ્રી કશા ક્ષોભસંકોચ વગર, લગભગ જન્મસિદ્ધ અધિકારની સ્વાભાવિકતાથી, ઘરે લઈ જાય. એ તેમને ફરજ પરના કલાકો દરમિયાન ખાવા-પીવા માટે મળે છે, એવું કોઈને કહેવાય પણ નહીં. (પછી અમે પણ એ નાસ્તો ટ્રેનમાં કરવા માટે લઈ જવા લાગ્યા)
પંદર પૈસાની ચા ને પચીસ પૈસાના બટરની સાખે અમારી દોસ્તી આગળ વધતી ગઈ.
રીફાઇનરીમાં ઍપ્રેન્ટીસશીપ માટે પસંદગી અને મેડીકલ ટેસ્ટનો ટેલીગ્રામ, 1991
ગુજરાત રીફાઇનરીનો ઍપ્રેન્ટીસશીપ માટેનો પત્ર
રીફાઇનરીના જુદા જુદા પ્લાન્ટમાં કામ તો કશું કરવાનું ન હોય. વિષય કે કામમાં મને જરાય રસ પણ ન મળે. બસ,  દોઢ વર્ષ પછી કાયમી થઈ જશું, એવી પૂરી ખાતરી (કારણ કે અમારી પહેલાં સુધી એવું જ બન્યું હતું)  રીફાઇનરીના વિશાળ પ્લાન્ટ એરિયામાં ફરવાનું, તેની વિશિષ્ટ વાસ છેક અંદર ઉતરી જાય. (હજુ પણ રેલવે સ્ટેશને ઉભો હોઉં અને પેટ્રોલનાં કે એલપીજીનાં ટૅન્કરવાળી ગુડ્ઝ ટ્રેઇન પસાર થાય ત્યારે રીફાઇનરીની-પેટ્રોલિયમની વાસ તાજી થાય છે) ઉપરાંત એકાદ ઉત્સાહી મિત્ર મોરપિચ્છ જેવા રંગના એવિએશન ટર્બાઈન ફ્યુલ (વિમાનમાં વપરાતા મોંઘાદાટ ભાવના બળતણ)ના મોટા પાઇપમાંથી ધધુડો પાડીને પોતાના સેફ્ટી શૂઝ સાફ કરે, એવી લીલાઓ જોવાની. હાજરી માટે અમારે કાર્ડ પંચ કરવાનું હોય. ઘણી વાર જવાના અને છૂટવાના ટાઇમે (મારા સહિતની) પ્રજા કાર્ડ પંચ કરી આવે, એટલે થયું. વચ્ચેના સમયમાં નગરચર્યા કે બીજું જે કરવું હોય તે કરે.  બીરેન (કોઠારી) IPCL ટાઉનશીપમાં રહે. એટલે હું અઠવાડિયામાં ત્રણ દિવસ ત્યાં હોઉં. એના લીધે બીરેન મહેતાને પણ બીરેન કોઠારી સાથે પરિચય થયો.

રીફાઇનરીમાંથી અમને ટ્રેનિંગ માટે ATI (Advanced Training Institute), મુંબઇ મોકલવામાં આવ્યા. છ મહિનાની ટ્રેનિંગ. તેમાં વેલ્ડિંગ, ફિટિંગ, લેથ ચલાવતાં શીખવાનું વગેરે. મોટા ભાગના લોકો માટે મુંબઈ નવું. ઇન્સ્ટીટ્યુટ છેક ચેમ્બુર પાસે. હું મારા કાકાને ત્યાં સાંતાક્રુઝ રહું. બીરેન પાસેના જ વિસ્તાર પાર્લામાં ખડાયતા ભવનમાં રહે. રોજ સવારે એક જ લોકલ ટ્રેનમાં અમે હોઈએ. બાંદ્રા ઉતરીને બસ પકડીએ. ATIની બે ટિકિટ લઈએ. ક્યારેક મરાઠી બોલવાનો ચસકો કરવા માટે 'દોન એટીઆઇ' એવું પણ કહીએ ને મનોમન વિચારીએ કે કંડક્ટર મરાઠીમાં ચાલુ પડી જશે તો લેનેકે દેને પડી જશે.

પહેલા જ દિવસે ATIની કૅન્ટિનમાંથી જમવાનું મંગાવ્યું. ખાનાંવાળી થાળી. તેમાંથી ફક્ત તળેલો પાપડ અને છાશ મોંમાં જાય એવાં હતાં. હવે શું કરવું? એ દિવસે તો વહેલા છૂટ્યા એટલે થોડા મિત્રોએ બાંદ્રામાં ઠેકાણાસરની એક રેસ્તોરાંમાં પંજાબી ખાધું. પણ રોજ એ પોસાય નહીં. અમારા મહિને 650 રૂપિયાના સ્ટાઇપેન્ડમાં મુંબઇ હતા ત્યાં સુધી મહિને બે હજાર રૂપિયાનું ભથ્થું મળવાનું હતું. છતાં તેમાંથી રોજ વ્યવસ્થિત રેસ્તોરાંમાં જમવું પોસાય નહીં. બીજી મુશ્કેલી એ કે મન મક્કમ કરીને ખર્ચ કરીએ તો પણ ચેમ્બુર ઇન્ડસ્ટ્રીયલ એરિયા. નજીકમાં સરખું રેસ્તોરાં ન મળે. એક-બે વાર થોડે દૂર આવેલા રેસ્તોરાંમાં થોડા મિત્રો ટેક્સી કરીને પહોંચ્યા. ખાવાનું ઠીક હતું. ભાવ પોસાય એવો હતો. પણ અમારા એક કસરતી મિત્રની ક્ષમતા જોઈને બે-ત્રણ દિવસમાં જ, રેસ્તોરાંવાળાએ રોટલીમાં કાંકરા શરૂ કરી દીધા. એટલે એ ઠેકાણું પણ બંધ થયું.

એ વખતે મેં અને મહેતાએ (એ વખતે બધા એકબીજાને અટકથી બોલાવતા હતા. IPCL, GSFC, રીફાઇનરી--બધે એવો જ રીવાજ હતો. કદાચ હજુ પણ હશે.) ઇન્સ્ટીટ્યુટની નજીકમાં એક નાની ખોલી જેવી દુકાન શોધી કાઢી. સાવ સાંકડી દુકાનમાં બહારના ભાગમાં ચા બનાવવાનો સામાન. અંદર સાવ સાંકડા ભાગમાં બે-ત્રણ ટેબલ ગોઠવેલાં. સ્વચ્છતાથી માંડીને મોકળાશ સુધીની બધી બાબતમાં એ ઠેકાણું નકામું. છતાં, ઇન્સ્ટીટ્યુટની કૅન્ટિનના અખાદ્ય ભોજન કરતાં જે મળ્યું તે ખરું. ત્યાં અમે કાચના ઉભા-લાંબા પ્યાલામાં બે-બે ચા પીતા, બ્રેડનું અડધું પેકેટ લેતા (જે આખા પૅકેટને પૅકિંગ સાથે જ વચ્ચેથી તોડીને આપવામાં આવતું) અને ચવાણું. ચાને લીધે બ્રેડ ગળે ઉતરતી ને ચવાણાને લીધે સ્વાદ લાગતો. આ ગોઠવણમાં હું ને બીરેન બે જ જણ.  ત્રીજા સાથીદાર કેતનને આ જગ્યા બહુ ડાઉનમાર્કેટ લાગી હતી (અને હતી પણ ખરી). એટલે એક વાર આવ્યા પછી એ ફરી ન આવ્યો. એ દુકાનના ગલ્લા પર બેસતા કાકા કાયમ રૂપિયા ગણવામાં ભૂલ કરે અને ઓછા રૂપિયા કાપે. પછી અમારે એમને સાચો હિસાબ સમજાવીને બાકીના રૂપિયા આપવા પડે.

વિષમ પરિસ્થિતિમાં રોજેરોજ ચા-બ્રેડ-ચવાણા સાથે દોસ્તી વધુ ને વધુ પાકી થતી ગઈ. ક્યારેક ઘરની ચા પીવાનું મન થાય ત્યારે બીરેન મારા કાકાના ઘરે આવતો. મારાં કાકી (પુષ્પાબહેન કોઠારી, દિવંગત) પ્રેમથી ચા પીવડાવતાં અને કહેતાં કે 'તને જ્યારે મન થાય ત્યારે તારે આવી જવાનું.’ મારા બીજા બે-ત્રણ, ઘરે આવેલા મિત્રોનો પણ કાકીએ આટલા જ પ્રેમથી સત્કાર કર્યો હતો. એટલું જ નહીં, મધ્યમ વર્ગીય હોવા છતાં અને મારા અત્યંત આગ્રહ છતાં, છ મહિના સુધી તેમણે મારી પાસેથી એક પણ રૂપિયો ન લીધો તે ન જ લીધો.

સ્ટાઇપેન્ડ લેવા માટે અમારે દર મહિને બાંદ્રામાં આવેલી ઇન્ડિયન ઑઇલની મુખ્ય ઑફિસમાં જવાનું. ત્યાંની સરસ કૅન્ટિનમાં બે-ચાર વાર જમ્યા હતા. બુફેની લાઇનમાં એકાદ વાર અમારી આગળ અભિનેતા અચ્યુત પોતદારને પણ જોયા હતા. કૅન્ટિનનું સબસિડાઇઝ્ડ જમવાનું અમને ખાસ્સું વૈભવી લાગ્યું હતું. અેટલે અમારી ગેંગની એવી ભાવના રહેતી કે જમવાના ટાઇમે જ સ્ટાઇપેન્ડ લેવા જઈએ. પણ ત્યાં જમવાના અમારા અધિકાર વિશે અમને શંકા રહેતી હતી અને અપમાન થવાની બીક પણ. એટલે દરેક વખતે એ શક્ય બનતું નહીં.

એ વખતે મુંબઇમાં ફિલ્મસંગીતના ઇતિહાસકાર નલિન શાહ સાથે પરિચય અને પછી આત્મીયતા થયાં. નલિનભાઈ મારાથી લગભગ ચાર દાયકા મોટા. આકરા સ્વભાવ માટે જાણીતા. પણ મારી પર રીઝી ગયા. હું તેમના ઘરે જતો. ‘ફિલ્મ ઇન્ડિયા’ના દુર્લભ અંકો એ મને ઘરે વાંચવા લઈ જવા દેતા. તેમની ગેરહાજરીમાં પણ હું એ અંકો લઈ જઈ શકું, એવો અધિકાર તેમણે આપ્યો.  નલિનભાઈ ત્યારે પણ ઘણા પ્રસિદ્ધ હતા. મારા જેવા, એક સાવ અજાણ્યા, મહેમદાવાદ નામના કોઈ ગામેથી આવતા છોકરાને તેમણે શા માટે આટલો 'ભાવ' આપ્યો, એ મને સમજાતું નહીં. પણ એ મેળવીને હું ધન્ય થતો. એ અવનવી વાતો કરતા. 1930-1940-1950ના ગાળાના ફિલ્મસંગીતની દુનિયા મારાં આંખકાન સામે ખડી કરી દેતા. બીરેનને ફિલ્મસંગીતમાં વિશેષ રસ નહીં. છતાં 'મળવા જેવા માણસ' તરીકે એ નલિનભાઈને ઘરે મારી સાથે એક-બે વાર આવ્યો હશે.

***

મુંબઈથી સુખેદુઃખે છ મહિના પૂરા કરીને પાછા વડોદરા આવી ગયા, એ દરમિયાન અમારી દોસ્તી ખાસ્સી ગાઢ બની ચૂકી હતી. અહીં આવ્યા પછી થોડા વખતમાં ખબર પડી કે આપણી કાયમી થવાની શક્યતા 99 ટકા હતી, તે હવે સાવ ઢચુપચુ છે.

અમારી વ્યથાનો પાર નહીં. રીફાઇનરીની નોકરી માટે થઈને મેં રેલવેની, સાવ હાથમાં આવી ગયેલી--ત્રણ પરીક્ષા પછી ફક્ત મૅડિકલ ચેક-અપ બાકી હતું એવી--નોકરી જતી કરેલી. અને હવે રીફાઇનરીવાળા કહેતા હતા કે તમારે રવાના થવાનું છે. વ્યાકુળ બનેલા અમે શું કરવું તેના ઉચાટમાં રહેતા. કોઈને આઇડીયા સૂઝ્યો કે વકીલની મદદથી ટ્રેનિંગ સૅન્ટરના વડાને એકાદ પત્ર લખવો જોઈએ. કેતન ઉપાધ્યાયને કોઈ વકીલ ઓળખતો હતો. તે વકીલ પાસેથી પત્ર કરાવી લાવ્યો. તેમાં એવો આરોપ પણ હતો કે અમને 'સિસ્ટમેટીકલી બાયપાસ' કરવામાં આવી રહ્યા છે.
કૅનેડાસ્થિત કેતન ઉપાધ્યાય, તેનો પુત્ર અને બીરેન મહેતા,
અમે 'નવસર્જન'ની ઑફિસે મળ્યા હતા ત્યારે. 2009
ટ્રેનિંગ સૅન્ટરના વડા તરીકે તાલુકદાર નામના બંગાળી અફસર હતા. ઍપ્રેન્ટીસ તરીકે અમારું વજૂદ એટલું ગૌણ હતું કે અમને કોઈ ગણતું નહીં. પણ અમારો પત્ર-બૉમ્બ પહોંચ્યો એટલે તાલુકદારે અમને બોલાવ્યા. કેતન, બીરેન, હું અને બીજા થોડા લોકો અંદર ગયા. એટલે તાલુકદારે અમને ભયંકર ફાયરિંગ આપ્યું. ‘સિસ્ટમેટીકલી બાયપાસ્ડ’ એ શબ્દપ્રયોગ પર તાલુકદાર ભયંકર બગડ્યા હતા.
ગુજરાત રીફાઇનરીમાં અમારી ઍપ્રેન્ટીસ-બૅચની યાદી, છૂટા થવાની તારીખ સાથે

***

1993માં બીરેન મહેતા અને હું બન્ને બેકાર થઈ ગયા. બીરેનના પપ્પા પ્રવીણચંદ્ર મહેતા ગાંધીનગરમાં ગૃહ ખાતામાં ઊંચા હોદ્દે હતા. તેમણે ધાર્યું હોત તો બીરેનને સહેલાઈથી ઠેકાણે પાડી શક્યા હોત. પણ તેમણે બીરેનને પ્રેમથી, પોતાની રીતે જે થાય તેના પ્રયાસ કરવા કહ્યું. એટલે બીરેન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મચી પડ્યો.

રીફાઇનરી છોડ્યા પછી અમારી વચ્ચેનો સંપર્ક જળવાઈ રહ્યો હતો. મુખ્યત્વે પત્રવ્યવહારસ્વરૂપે. એ સમયના ઘણા પત્રોમાંથી નમૂનારૂપે અહીં એકાદ-બે મૂકું છું. તેમાંથી બીરેનના સરસ અક્ષર ઉપરાંત એ વખતની મનોસ્થિતિ અને અમારી આત્મીયતાનો પણ થોડો ખ્યાલ આવશે.
બીરેન મહેતાનો પત્ર
બીરેનના કહેવાથી મેં સ્પર્ધાત્મક પરીક્ષાનું ફૉર્મ તો ભર્યું, પણ તેની તૈયારી શી રીતે કરવાની એની કશી ખબર નહીં. એટલે એક વાર બીરેને મને ગાંધીનગર તેના ઘરે આવવા કહ્યું. સૅક્ટર 22/29ના બસ સ્ટેન્ડથી સાવ નજીક એનું ઘર. બીરેનના નિમિત્તે મેં પહેલી વાર ગાંધીનગર જોયું. તેનો નાનો પણ સરસ બંગલો હતો. તેમાંથી ફાટફાટ સમૃદ્ધિની ગુંગળામણ નહીં, પ્રેમાળ કુટુંબજીવનની હૂંફાળી અનુભૂતિ ઘેરી વળતી હતી. પરિવારમાં બીરેનનાં મમ્મી-પપ્પા અને નાની બહેન જિગુ (જિજ્ઞા). બધાંએ મને બહુ ઉષ્માથી આવકાર્યો. જિગુ એ વખતે સાવ નાની. બીરેન સાથે બહુ ફાવે. એની સાથે મારામારી જેવાં તોફાન પણ બહુ કરે. મારી સાથે પણ એ ખૂબ હળીમળી ગઈ.

પરંતુ જે કામ માટે આવ્યો હતો, એ ભારે મૂંઝવનારું પુરવાર થયું.  સ્પર્ધાત્મક પરીક્ષાની મારી તૈયારી સાવ અદ્ધરતાલ હતી, જ્યારે બીરેન અને તેના ગાંધીનગરના મિત્રો ભારે સૂઝ અને દૃષ્ટિથી મહેનત કરતા. 'તેઓ શું કરી રહ્યા છે (ને ખાસ તો, તેઓને શું કરવાનું છે) તેની તેઓને ખબર હતી.’ એ જોઈને મને થયું કે આમાં આપણો ગજ નહીં વાગે. એટલે હું ખાસ ઉત્સાહ વગર પાછો આવ્યો. પણ બીરેનના ઘરના સ્વરૂપમાં ગાંધીનગરમાં એક ઘર મળ્યાનો આનંદ થયો. એ ઘરે પછી ઘણી વાર જવાનું થયું. આજે પણ એ ઘરની અને તેના કૌટુંબિક હૂંફથી છલકાતા વાતાવરણની બહુ મધુર સ્મૃતિ મનમાં સચવાયેલી છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે નોકરી માટેના બીજા પ્રયાસ ચાલુ જ હતા. તેમાં મારે ગાંધીનગર પાસે આવેલી એક કંપની નામે Gujarat Perstorpમાં ઇન્ટરવ્યુ માટે જવાનું થયું. નોકરી મેળવવા માટે હું આતુર હતો. બલ્કે, હું નોકરી મેળવું તે ઘરની આર્થિક સ્થિતિ માટે ઇચ્છનીય હતું. ગાંધીનગર આમ તો દૂર પડે, પણ 'બીરેન છે' એવી હૈયાધારણ સાથે હું ત્યાં ગયો. એ મને તેના LML Vespa સ્કૂટર પર બેસાડીને લઈ ગયો. (બાકી, એ જમાનો 'હમારા બજાજ'નો હતો). એ કંપનીમાં મને અપૉઇન્ટમૅન્ટ મળી, પણ અપડાઉનની રીતે એ ગોઠવાય એમ ન હોવાથી માંડવાળ કર્યું. બીરેનને પણ ત્યાં અપૉઇન્ટમેન્ટ મળી હતી. થોડો સમય તેણે ગાંધીનગરની 'મધર ડેરી'માં કામ કર્યું. એમ તો મારી પાસે એનું 'ડાબર'ના મૅડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકેનું કાર્ડ પણ સચવાયેલું છે.

આ બધા સમયગાળાનો અમારી પાસે એક પણ ફોટો નથી. ફોટો પડે એવો પ્રસંગ 1995માં બન્યો. એ વખતે અમારા રાજસ્થાની ગાયક મિત્રો અમદાવાદ અને પછી મહેમદાવાદ આવ્યા. મહેમદાવાદમાં જૂના ઘરે અમે મહેફિલ રાખી. તેમાં સ્થાનિક મિત્રો અને બિનીત, પરેશ ઉપરાંત બીરેનને પણ કહ્યું હતું. અમે અગાઉ બે વાર રાજસ્થાની સંગીતનો જાદુ માણી ચૂક્યા હતા. એટલે સંગીતમાં ઊંડો રસ ન હોય તેમને પણ જલસો પડશે તેની ખાતરી હતી. એવું જ થયું. બીરેન ગાંધીનગરથી આવ્યો. રાત રહ્યો. મુખ્ય મહેફિલ પછી બીજા દિવસે ચાલેલી સંગીતમય ધમાલમસ્તી અને ડાન્સમાં પણ સામેલ થયો. એ વખતે અમારા કેટલાક ફોટા પડ્યા. આ ફોટામાં ત્રણમાંથી બે આદિમિત્રો- બીરેન અને બિનીત--મોજુદ છે.
(ઉપરથી) બિનીત મોદી, બીરેન મહેતા, બીરેન કોઠારી,
નીલેશ પટેલ (ડાબે) દિલીપ પંચાલ, 1995
ઉર્વીશ કોઠારી, બીરેન મહેતા, 1995
બીરેન અને બિનીત પણ એકબીજાને સારી રીતે ઓળખતા થઈ ગયા હતા.  પત્રકારત્વમાં જોડાવા માટે મુંબઈ ગયો ને બિનીત દુબઈ ગયો. થોડાં વર્ષ પછી બિનીત દુબઈથી કાયમ માટે આવી જવાનો હતો, ત્યારે એને લેવા માટે ઍરપૉર્ટ પર હું અને બીરેન (મહેતા) રજનીભાઇ સાથે તેમની ગાડીમાં ગયા હતા. તેના માટે આગલા દિવસે અમે બન્ને રજનીભાઈના ઘરે રાત રોકાયા હતા.

હું પત્રકારત્વમાં પ્રવેશ્યો તેની આસપાસના ગાળામાં, કદાચ મારાથી થોડોક વહેલો, બીરેન એકથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થયો અને છેવટે કસ્ટમ-ઍક્સાઇઝમાં ઇન્સ્પેક્ટર તરીકે જોડાયો.  અમારા રીફાઈનરીના ગ્રુપમાં બીરેનની 'તંદુરસ્તી' (એકવડિયો બાંધો)ની ઘણી વાર મસ્તી થતી. એ જ બીરેન કસ્ટમ-ઍક્સાઇઝમાં ઇન્સ્પેક્ટર બને અને બંદૂક ચલાવવાની તાલીમ મેળવે (કદાચ એમાં તેનો નંબર પણ આવ્યો હતો), એ અમારે મન બહુ આનંદમિશ્રિત રમુજ પ્રેરે એવી વાત હતી. 'મહેતાજીની બંદૂકબાજી' ઠીક ઠીક વખત સુધી મસ્તીનો વિષય રહી. એવા જ કોઈ સંદર્ભે કદાચ બીરેને તેનો આ ફોટો મોકલ્યો હશે.
બીરેન મહેતા
બીરેનનું લગ્ન પલ્લવી સાથે નક્કી થયું, ત્યારે અમારી દોસ્તી એવી હતી કે અડધો કલાક સુધી મેં પલ્લવી સાથે વાતચીત સ્વરૂપે તેનો 'ઇન્ટરવ્યુ' લઈ પાડ્યો. પલ્લવીએ પણ તેને આત્મીયતાના ભાગ તરીકે જોયો એટલું સારું થયું.  જોતજોતાંમાં પલ્લવી પણ મારી એટલી જ સારી મિત્ર બની. લગ્ન પછી ક્યારેક મિત્ર ખોવાનો વારો આવતો હોય છે. મારે તો 'એકકા દો' જેવું થયું.

હું પત્રકારત્વમાં કામ કરતો હતો તેનો બીરેન-પલ્લવીને રાજીપો હતો અને એ બન્ને સરસ રીતે કામ કરતાં હતાં તેનો મને આનંદ હતો. પલ્લવીના પિતા બૅન્કમાં હતા અને તેમનું અકાળે અવસાન થતાં પલ્લવીને બૅન્કમાં નોકરી મળી હતી. તેમના દાંપત્યજીવનનો હું વખતોવખત સાક્ષી અને સાથી બનતો. થોડો સમય તેમને ગાંધીનગરનો બંગલો છોડીને અલગ રહેવાના સંજોગો થયા અને તે ગાંધીનગર બસ સ્ટેન્ડની સામે ઉપરના માળે, કદાચ એક રૂમમાં રહેતાં હતાં, ત્યારે પણ હું ચહીને તેમને ઘેર ગયો હતો અને અમે ત્રણે રાબેતા મુજબ હસીખુશીથી સમય વીતાવ્યો હતો.

બીરેન અને પલ્લવી બન્ને સામાજિક. ધાર્મિક પણ ખરાં. મને સામાજિકવાળું ઓછું ફાવે ને ફવડાવવામાં રસ પણ નહીં. ધાર્મિકતાનું પણ એવું. છતાં, અમારી આત્મીયતામાં એ ક્યાંય વચ્ચે ન આવે. અમારી વચ્ચે મારા પ્રિય વિષયો એવા ફિલ્મસંગીત કે પુસ્તકોની વાત પણ ભાગ્યે જ થાય. હા, બીરેનને વાંચવાનો શોખ ખરો. રાહુલ સાંકૃત્યાયનનું નામ પહેલી વાર મેં એની પાસેથી સાંભળેલું  અને એણે જ કદાચ મને 'વૉલ્ગાથી ગંગા’ આપેલું. એમ તો હું અમારી રીફાઇનરી ત્રિપુટીના કેતન ઉપાધ્યાયનો પણ એક વાતે આજીવન આભારી રહીશ કે રીફાઇનરીના ગાળામાં એણે મને સ્વામી આનંદનું 'ધરતીની આરતી'  આપ્યું-- મને આવું બધું વાંચવાનો રસ છે એ જાણીને. ત્યાં સુધી મેં સ્વામીનું નામ સુદ્ધાં સાંભળ્યું ન હતું.

***

બીરેન-પલ્લવીને ત્યાં દીકરી આવીઃ રિયા. એ વખતે મેં રિયાને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેનાં માતાપિતા અને ફોઈનો મસ્તીભર્યો પરિચય આપ્યો હતો. એવો જ એક પત્ર તેમના પુત્ર વ્યોમના જન્મસમયે પણ લખ્યો. (આ સિલસિલો ત્યાર પછી મિત્ર અશ્વિન ચૌહાણ-સોનલ પંડ્યાને ત્યાં પુત્રી આવી એવા બીજા એક-બે પ્રસંગે પણ આગળ ચલાવ્યો હોવાનું યાદ આવે છે) અમે બન્ને પોતપોતાના ક્ષેત્રમાં કામ કરતા હતા અને એકંદરે સ્થાયી હતા. બીરેનને સરકારી--ખાસ કરીને તેના વિભાગની નોકરીમાં હોઈ શકે એવી શાંતિ હતી ને હોઈ શકે એવા પ્રશ્નો પણ હતા. પલ્લવીને નોકરીની સાથોસાથ સંતાનો ઉછેરવાની જવાબદારી આવી. પણ એ મજબૂત હતી. એ સિવાય, નાનામોટા ચઢાવઉતાર વેઠ્યા પછી પણ બીરેન-પલ્લવીએ તેમની પુત્ર-પુત્રવધુ તરીકેની ફરજો, જોનારની આંખ ઠરે એ રીતે નિભાવી. દરમિયાન તેમને વડીલોની અને ક્યારેક પોતાની તબિયતના પ્રશ્નો થયા. છતાં, એકબીજાના મજબૂત ટેકે તેમનો સંસાર સરસ રીતે આગળ વધ્યો. ગાંધીનગરમાં મોટો બંગલો થયો.
પલ્લવી- બીરેન મહેતા
પછી બન્ને જણની નોકરી અમદાવાદ થઈ. તેમણે મણિનગરમાં સ્ટેશનની સાવ નજીકમાં ફ્લૅટ લીધો. એ અરસામાં અમારા મળવાના પ્રસંગો ખૂબ વધ્યા. હું ટ્રેન ચૂકી જઉં અને બીજી ટ્રેનને વાર હોય એટલે ત્યાં જતો રહું. બીરેન આવવામાં હોય અને એ ન હોય તો પણ પલ્લવી સાથે ગપ્પાં મારું. ચા-નાસ્તો કરું. એકદમ પોતીકું લાગે.  એ ઘર પછી તેમણે પાંજરાપોળ ચાર રસ્તા નજીક બંગલો લીધો અને ત્યાં રહેવા આવ્યાં. એ ઘણી રીતે મારા રસ્તામાં આવે. બહુ વખત થયો હોય એવું લાગે એટલે હું ત્યાં જઈ આવું. એ બંને એક યા બીજી સાંસારિક જવાબદારીમાં ઉલઝેલાં હોય. વર્ષો સુધી એવું રહ્યું. સંજોગો સામે લડતાં હોય, થાકતાં હોય ને ફરી જુસ્સાથી લાગી પડતાં હોય. તેમને જોઈને હું સોનલને હંમેશાં કહું કે 'આ બંને જણના ભાગે થોડો ઓછો સંઘર્ષ હોત તો કેટલું સારું થાત?’

બીરેનને ટ્રૅકિંગનો ઘણો શોખ. તેનું શરીર પણ આટલાં વર્ષોથી એકધારું એકવડિયું રહ્યું. પચીસ વર્ષમાં એના વાળના રંગ અને જથ્થા સિવાય ઝાઝો ફરક પડ્યો હોય એવું લાગતું નથી. ટ્રૅકિંગના શોખની સાથે, કદાચ સાહસયાત્રાના હિસ્સા તરીકે, તેને મારુતિ જિપ્સી કારનું ઘણું આકર્ષણ હતું. મને વાહનોમાં જરાય રસ કે લગાવ નહીં. છતાં બેકારીના અરસામાં બીરેન ઘણી વાર અડધું ગમ્મતમાં ને છતાં કંઈક ગંભીરતાથી કહેતો, ‘કોઠારી, આપણે પણ જિપ્સી લાવીશું ને એમાં ફૅમિલી સાથે ફરવા જઈશું. થોડાં તારાં છોકરાં હશે. થોડાં મારાં છોકરાં હશે. એ આપણા ખભે ચઢીને મસ્તી કરતાં હશે...’

હમણાં થોડા વખત પહેલાં મળ્યો ત્યારે મેં બીરેનને પૂછ્યું હતું કે 'જિપ્સીનું કેવું?’ ત્યારે પલ્લવીએ હસીને કહ્યું હતું, 'એને હજુ જિપ્સી બહુ ગમે છે.’

હવે તો બીરેન સહેલાઈથી જિપ્સી લાવી શકે એમ છે. (એક કાર તો છે જ) છોકરાં એને બે ને મારે એક છે. એ પણ અમારા ખભે ચઢીને મસ્તી કરવાની ઉંમર વટાવી ગયાં. છતાં, હજુ એ કલ્પનાનો રોમાંચ તાજો કરવો ગમે છે.

બધી કલ્પનાઓ સાકાર કરવી જરૂરી નથી હોતી. પણ તેમને જેટલી વાર યાદ કરીએ એટલી વખત તેની પાછળ રહેલી મૈત્રીની લાગણી અને 26 વર્ષ પછી પણ એ લાગણીની તીવ્રતા ઓછી થઈ નથી તેનો સુખદ અહેસાસ મનને તૃપ્તિથી ભરી દે છે.