Tuesday, September 19, 2017

બુલેટ ટ્રેનની ચર્ચા આડા પાટે?

ગયું અઠવાડિયું બુલેટ ટ્રેન/bullet trainનું હતું. તેના વિરોધમાં અને તેની તરફેણમાં ઘણું લખાયું-બોલાયું. તેમાં રહેલી પ્રશંસાનો મુખ્ય સૂર એવો હતો કે બુલેટ ટ્રેન આવશે એટલે ભારતની પ્રગતિને વેગ મળશે અને વિદેશોમાં ભારતનો વટ પડી જશે. ટીકાનો મુખ્ય સૂર એવો હતો કે હજુ કેટકેટલી બાબતોનાં ઠેકાણાં નથી ને બુલેટ ટ્રેન લાવવાની શી જરૂર છે? બન્ને પ્રકારના અભિપ્રાય એટલી આક્રમકતાથી વ્યક્ત થયા કે થોડા વખત માટે બુલેટ ટ્રેન દેશની પ્રગતિ-અધોગતિ નક્કી કરનારો મુખ્ય મુદ્દો બની ગઈ હોય એવું લાગ્યું.

સૌથી પહેલાં બન્ને પક્ષે ઠંડા કલેજે એ સ્વીકારવાનું છે કે બુલેટ ટ્રેન જેમ પ્રગતિ માટેનું જાદુઈ તાવીજ નથી, તેમ અધોગતિ કે પાયમાલીનું મૂળ પણ નથી.  દેશની મહત્ત્વની, મૂળભૂત, પ્રાથમિક સમસ્યાઓ (શિક્ષણમાં મોંઘવારી, શિક્ષણની ગુણવત્તા-તેનું કથળેલું સ્તર, જાહેર આરોગ્ય સુવિધાઓના પ્રશ્નો) સાથે બુલેટ ટ્રેનને કશો સંબંધ નથી. બુલેટ ટ્રેન આવવાથી ભારતની રોજગારીનો પ્રશ્ન હળવો થશે, એવો દાવો પણ, ખાસ કરીને ઓટોમેશનના યુગમાં, અતિશયોક્તિથી ભરપૂર જણાય છે.

આ બધામાં બુલેટ ટ્રેનનો કશો વાંક નથી. જાપાનના વડાપ્રધાને એવું નથી કહ્યું કે તમારે ત્યાં બુલેટ ટ્રેન ચાલુ કરો એટલે તરી જશો. એવો આભાસ આપણા વડાપ્રધાન ઊભો કરી રહ્યા છે. બુલેટ ટ્રેનના આગમનથી મુંબઈ-અમદાવાદ વચ્ચેની માળખાકીય સુવિધામાં મહત્ત્વનો ઉમેરો થશે એવું કહેવાયું હોત તો બરાબર. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટેની 80 ટકા રકમ જાપાને 0.1ના દરે આપી છે, જે દેશ માટે બોજારૂપ નથી, એ વાત પણ સાચી.  જાપાનમાં અર્થતંત્રની પરિસ્થિતિ એવી છે કે ત્યાં નેગેટીવ ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે: બેન્કોમાં નાણાં મૂકનારને વ્યાજ મળે નહીં, તેણે બેન્કને સામેથી રૂપિયા આપવા પડે. એ સંજોગોમાં આ સોદાથી જાપાનના અર્થતંત્રને પણ ફાયદો છે, જેમાં કશો વાંધો નથી. બન્નેને લાભ હોય તો જ કરાર થાય. બસ, ‘મિત્ર’  જાપાને ભાઈબંધીમાં આટલા ઓછા દરે લોન આપી, એવો દાવો માનવો નહીં.

‘લડતાં લડતાં શિવાજી રંગમાં આવી ગયા’ એવી જૂની ઉકતિ પ્રમાણે, બોલતાં બોલતાં વડાપ્રધાન એટલું બધું બોલી નાખે છે કે સાંભળનારને બુલેટ ટ્રેનના આગમનથી બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે એવું લાગે. તેમણે બુલેટ ટ્રેનના રસ્તામાં આવતાં બધાં સ્ટેશનના વિકાસથી માંડીને રોજગારીની અઢળક તકો સુધીનાં કંઈક સપનાં બુલેટ ટ્રેન નિમિત્તે બતાવ્યાં. એમાં તેમનો શો વાંક કાઢવો? તે સપનાં બતાવવાના ધંધામાં છે અને બુલેટ ટ્રેનથી અનેક ગણી મામૂલી ચીજોને પણ વર્તમાન વિકાસ-ઉજ્જવળ ભવિષ્યના પ્રતીક તરીકે રજૂ કરવાનું તેમને ફાવે છે. તે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે હવાઈ સહેલ કરી શકાય એવો ટીથર્ડ બલુન કાંકરિયામાં આણીને એવો સીન ઉભો કરેલો કે ઘણા એ બલુનને વિકાસનું પ્રતીક ગણતા થઈ ગયેલા.

અમદાવાદમાં બીઆરટીની સેવા શરૂ થઈ, ત્યારે ગંગાનું અવતરણ કરનારા ભગીરથની મુદ્રામાં મુખ્ય મંત્રીએ અમદાવાદની ધરતી પર બીઆરટીનું અવતરણ કર્યું હોય એવો માહોલ ઉભો કરવામાં આવ્યો. (જેવું અત્યારે નર્મદા બંધના મુદ્દે પણ ચાલી રહ્યું છે.) બીઆરટી શરૂ થયા પછી,  કેટલીક પ્રાથમિક સુવિધાઓને બાદ કરતાં એ સેવા ધીમે ધીમે કથળતી ચાલી. અત્યારે એવી સ્થિતિ છે કે બીઆરટીની ઘણી બસો ઉપર ઇલેક્ટ્રોનિક ડીસ્પ્લે ચાલતાં નથી, મોટી પટ્ટીઓના ટુકડા કાપીને ઘણી બસોના કાચ પર તેના રૂટ નંબર ચોંટાડવામાં આવે છે (જે ઉખડી પણ જાય છે). તોતિંગ ખર્ચે તૈયાર કરાયેલાં બીઆરટીનાં સ્ટેન્ડમાંથી ઘણાં પર કાર્ડ રીડર મશીન ચાલતાં નથી. (ડિજિટલ ઇન્ડિયા, ઝિંદાબાદ). કઈ બસ ક્યાં આવશે અને કયા નંબરની બસ ક્યાં જશે, એટલી સાદી વિગતો મોટા ભાગનાં સ્ટેન્ડ પર લખેલી નથી. બીઆરટીથી કેટલાક ફાયદા બેશક થયા છે, પણ તેની સામે ગેરવહીવટ અને દૃષ્ટિ વગરના આયોજનને કારણે ઉભી થયેલી અરાજકતાનો પાર  નથી. પણ બીઆરટીથી જે વટ પાડવાનો હતો, તે પાડી લીધો. ખેલ ખતમ.

હવે અમદાવાદમાં મેટ્રો આવી રહી છે. અમદાવાદ એ મુંબઈ, દિલ્હી કે કોલકાતાની જેમ વસ્તીથી ફાટી પડતું શહેર નથી. (ટ્રાફિકની અંધાધૂંધીને કારણે એવું લાગે, તે જુદી વાત છે.) તેમાં વર્તમાન સેવાઓ લોકોની સુવિધા ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે તથા દીર્ઘ દૃષ્ટિથી, રાજકીય જયજયકારની ગણતરી કર્યા વિના, નવા ઉમેરા કરવામાં આવે તો? ધોળા હાથી જેવી ખર્ચાળ મેટ્રોની  જરૂર ન પડે. પરંતુ મેટ્રો હોય કે બુલેટ ટ્રેન, બધી ચર્ચા છેવટે ‘મોદીતરફી કે મોદીવિરોધી?’ના ખાનામાં ફંટાઈ જાય છે. પછી ચિંતાના મુળ મુદ્દા બાજુ પર રહી જાય છે અને કોઈ પણ ફાલતુ મુદ્દે થઈ શકે એવાં યુદ્ધ ચેનલો પર ને સોશ્યલ મિડીયામાં શરૂ થઈ જાય છે.

બુલેટ ટ્રેન સામે વાંધો પાડનારે પણ નક્કી કરવાનું છે કે તેમને વાંધો કઈ બાબતનો છે? (૧) બુલેટ ટ્રેનની જરૂર નથી (૨) અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ-ટ્રેન કેમ? ને બીજાં કોઈ શહેરો વચ્ચે કેમ નહીં? (૩) બુલેટ ટ્રેનના રસ્તામાં જમીનો સંપાદિત થશે. (૪) બુલેટ ટ્રેનનું વ્યાજ વિદેશી હુંડિયામણમાં ચૂકવવાનું મોંઘું પડશે. (૫) આટલા રેલવે અકસ્માતો થાય છે ને બુલેટ ટ્રેન કેવી રીતે ચલાવશો?.. આવા બધા વાંધાને એકબીજામાં ભેળવવા જેવા નથી. તે એકબીજાથી જુદા મુદ્દા છે અને તેમને જુદા રાખીને જ સમજી શકાય—તેના સાચા જવાબ મેળવી શકાય. વાંધાની ભેળસેળ કરીને તેને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સામે --કે એ નિમિત્તે થયેલા રાજકીય દેખાડા સામે--વીંઝવામાં આવે ત્યારે તે વિરોધ પણ મહદ્ અંશે રાજકીય બની જાય છે અને સમસ્યા સમજવામાં કે તેના સાચા ઉકેલ ચીંધવામાં મદદરૂપ બનતો નથી.

બુલેટ ટ્રેનની સમૂળગી ટીકા કરવાને બદલે, એ કહેવું વધારે જરૂરી છે કે બુલેટ ટ્રેન આવે ને સાવ સસ્તી લોનથી આવે, તો ભલે આવતી. તેનું સ્વાગત છે. પણ તે સુશાસનનો વિકલ્પ નહીં બની શકે. બુલેટ ટ્રેન એની જગ્યાએ ને ભ્રષ્ટાચારથી માંડીને બીજી બધી સમસ્યાઓ એની જગ્યાએ રહેવાની જ છે. રસ્તાનાં ઠેકાણાં નથી ને બુલેટ ટ્રેન લાવે છે--એ દલીલ ટેકનિકલ દૃષ્ટિએ સાચી નથી. બન્ને જુદી બાબતો છે. છતાં એ દલીલમાંથી સરકાર માટેનો બોધપાઠ એ છે કે બુલેટ ટ્રેનને મોંઘા રમકડાની માફક આણી દેવાથી બાકીના ગેરવહીવટો પર પડદો નહીં પડી જાય. બુલેટ ટ્રેન લાવવી હોય તો લાવો, ચલાવવી હોય તો ચલાવો ને માપસરના રાજી થવું હોય તો થાવ,  પણ આંખ મીંચીને વિજયઘોષ મચાવવાની જરૂર નથી--સરકારે પણ નહીં ને નાગરિકોએ પણ નહીં. ગુજરાતના મોટા ભાગના નાગરિકોને જેમ વિમાનની, તેમ બુલેટ ટ્રેનની જરૂર પડવાની નથી. એટલે, બુલેટ ટ્રેનના રેશમી રુમાલ થકી નાગરિકોની આંખે પાટા બાંધી દેવાનો ઇરાદો હોય તો એ નહીં ફળે, એટલું સમજવું પડે અને કહેવું પણ પડે

No comments:

Post a Comment