Saturday, November 25, 2023

નંદલાલ બોઝના ગાંધીજીઃ એક ચિત્ર, ચાર અવતાર


શાંતિનિકેતનના કળાશિક્ષક અને ઉત્તમ કળાકાર નંદલાલ બોઝે  તૈયાર કરેલું ગાંધીજીનું  લિનોકટ ગાંધીજીનાં સૌથી પ્રખ્યાત ચિત્રોમાં સ્થાન ધરાવે છે. દાંડી કૂચ વખતે લાકડી સાથે, પણ લાકડીના ટેકે નહીં એવી રીતે ચાલતા, 61 વર્ષે પણ અડીખમ ગાંધીજીનું ભવ્ય દર્શન એ ચિત્રમાં થાય છે. તે લિનોકટની નીચે નંદલાલ બોઝની સહી સાથે અંગ્રેજીમાં BAPUJI અને 1241930 (12 એપ્રિલ 1930) લખેલું જોવા મળે છે. 

દાંડી કૂચની શરૂઆત 12 માર્ચ 1930ના રોજ થઈ હતી. તો પછી લિનોકટ નીચે 12 એપ્રિલની તારીખ કેમ? એવો સવાલ થઈ શકે. 12 એપ્રિલનું કોઈ ઐતિહાસિક મહત્ત્વ નથી. (દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ પાંચ મેના રોજ થઈ હતી.) 12 એપ્રિલે પાછળનો સામાન્ય તર્ક એ સૂઝે કે લિનોકટનું કામ તેમણે વહેલું શરૂ કર્યું હોય અને તે 12 એપ્રિલે પૂરું થયુ હોય. 

એ સંભાવનાનો મજબૂત આધાર દેબદત્ત ગુપ્તાના બ્લોગ VISUALISING THE DANDI MARCH AT SANTINIKETAN માંથી મળ્યો. કોલકાતાની રવીન્દ્રભારતી યુનિવર્સિટી સાથે સંકળાયેલા કળા ઇતિહાસકાર ગુપ્તાએ નોંધ્યું છે કે ગાંધીજીની શાંતિનિકેતનની મુલાકાત વખતે રવીન્દ્રનાથની સાથોસાથ કળાકાર નંદલાલ બોઝ (બસુ)ને પણ ગાંધીજી સાથે આત્મીયતા થઈ હતી. શાંતિનિકેતનના કેટલાક વિદ્યાર્થીઓ સ્વદેશી ચળવળમાં ભાગ પણ લેતા હતા અને  બોઝના ખાસ મિત્ર અક્ષયબાબુ દાંડીકૂચમાં જોડાવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. (દાંડીકૂચના યાત્રીઓમાં તેમનું નામ મળતું નથી. એટલે તે અમદાવાદ આવ્યા હોય અને દાંડીયાત્રી તરીકે તે જોડાઈ ન શક્યા હોય તે બનવાજોગ છે.)

દાંડીકૂચ શરૂ થઈ તે દિવસે, 12 માર્ચ 1930ના રોજ, નંદલાલ બોઝે ગાંધીજીનું એક રેખાચિત્ર બનાવ્યું.  તેની નીચે લખાણ હતુંઃ BAPUJI 1231930. આ ચિત્રમાં ગાંધીજીના માથે શિખા અને હાથમાં ટોકરી (ઘંટડી) જોવા મળે છે અને નીચે નંદલાલ બોઝની સહી નથી. 
નંદલાલ બોઝે બનાવેલું મૂળ ચિત્ર, તારીખ 12031930 (દાંડી કૂચનો પ્રારંભ)

દાંડીકૂચના અરસામાં કલકત્તામાં સતીશચંદ્ર દાસગુપ્તાના તંત્રીપદે 'સત્યાગ્રહ સંગબાદ' નામનું અખબાર સાયક્લોસ્ટાઇલ કોપીના સ્વરૂપે નીકળતું હતું. શાંતિનિકેતનના-નંદલાલ બોઝના વિદ્યાર્થી પ્રભાતમોહન બેનરજી એ અખબારના મુદ્રક હતા. તેની પર સરકારની ખફાનજર થયા પછી અખબારની માગ ઓર વધી ગઈ. તે વખતે નંદલાલ બોઝ તેમના દીકરાને જાપાન ભણવા મોકલવાની વ્યવસ્થા માટે કોલકાતા અવરજવર રહેતી. કોલકાતા હોય ત્યારે તે પેપરની ઓફિસે પણ જતા. એ દિવસો યાદ કરીને પ્રભાતમોહન બેનરજીએ બંગાળી સામયિક 'દેશ'ના નવેમ્બર-ડિસેમ્બર 1966ના અંકમાં લખ્યું હતું કે તેમની વિનંતીને માન આપીને નંદલાલ બોઝે તેેમને ગાંધીજીનું રેખાચિત્ર 'સત્યાગ્રહ સંગબાદ'માં છાપવા માટે આપ્યું અને એ તેમણે સાયક્લોસ્ટાઇલ નકલમાં હોંશથી-ગૌરવભેર છાપ્યું પણ ખરું. 

થોડા ઉમેરા સાથેનું નંદબાબુનું ચિત્રઃ
નામ બદલાયું, ઘડીયાળ ઉમેરાયું
એ જ ચિત્ર પ્રભાતમોહન બેનરજીએ 1932માં પ્રકાશિત થયેલા તેમના બંગાળી પુસ્તક 'મુક્તિ-પોથે'ના મુખપૃષ્ઠ પર છાપ્યું. પરંતુ તેમાં કેટલાક ફેરફાર હતા. ચિત્રની નીચે અંગ્રેજીમાં BAPUJIને બદલે બંગાળીમાં 'જોય-જાત્રા' (વિજય-યાત્રા) લખેલું હતું. અગાઉના ચિત્રમાં નંદલાલે ગાંધીજીની કમરે લટકતું ઘડિયાળ ઉમેર્યું હતું. જોકે, તારીખ એ જ રાખી હતીઃ 1231930, પણ એ તેમણે બંગાળીમાં લખી હતી. આ પુસ્તક પણ અંગ્રેજ સરકારે જપ્ત કર્યું હોવાથી, તે દુર્લભ બની ગયું. 

ત્યાર પછી બન્યું પ્રખ્યાત લિનોકટ, જેની નીચે તારીખ હતી 12 એપ્રિલ 1930, જે ચિત્ર પૂરું થયાની તારીખ હોઈ શકે છે. લિનોકટમાં શિખા, ટોકરી, ઘડિયાળ ગેરહાજર છે. બેકગ્રાઉન્ડ પણ કાળુંધબ્બ નથી. મૂળ લિનોકટ કળાત્મક ચીજવસ્તુઓની હરાજી કરનારી કંપની ક્રિસ્ટીઝની વેબસાઇટ પર જોવા મળે છે. (ત્યાં જૂન 2011માં તેની મૂળ પ્રિન્ટ વેચાણ માટે મુકાઈ હતી અને તેના 2,250 પાઉન્ડ ઉપજ્યા હતા.)
નદબાબુએ બનાવેલું લિનોકટ, તારીખ 12041930

સમય જતાં લિનોકટના અગાઉના તબક્કા ભૂલાઈ ગયા અને તેનું છેલ્લું, પ્રચલિત બનેલું સ્વરૂપ જ યાદ રહ્યું. આ  ચિત્રના ચાર તબક્કા એક જ ફ્રેમમાંઃ (મોટું કરીને જોવા માટે તેની પર ક્લિક કરો)




સ્રોતઃ 
1.https://dagworld.com/visualising-the-dandi-march-at-santiniketan.html
2.https://www.christies.com/lot/lot-nandalal-bose-1882-1966-bapuji-5452454/?from=salesummary&intObjectID=5452454&lid=1



 

Tuesday, November 21, 2023

ઉઘડતા વેકેશને

જે આવે છે, તેનું જવાનું નિશ્ચિત હોય છે—આ કરુણ અને અફર સત્ય માણસને કે તેની જિંદગીને ફક્ત એક વાર લાગુ પડે છે, પણ વેકેશનના મામલે દર વર્ષે ઓછામાં ઓછો બે વાર તેનો અનુભવ થાય છે. વડીલશાઈ શૈલીમાં કહી શકાય કે હવે તો વેકેશન પણ પહેલાં જેવાં ક્યાં રહ્યાં છે?’ માણસોની ધીરજની જેમ અને સરકારોની સહિષ્ણુતાની જેમ વેકેશનો પણ ટૂંકાં થઈ ગયાં છે. એક રજા વધારે મળે તો લોકો વેકેશન-વેકેશન કહીને ઝૂમવા લાગે છે. અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરતા—અને એ રીતે વડાપ્રધાન બનવાની રેસમાંથી આપોઆપ બાકાત થઈ ગયેલા—લોકોને એ બે દિવસની આગળ કે પાછળ એક રજા મળે તો તે લોંક વીકએન્ડ મનાવવા ઉત્સુક હોય છે.

બાળપણની મઝા ગુમાવવાની વાત આવે ત્યારે બારીશકા પાની અને કાગઝકી કશ્તીને લોકો યાદ કરી લે છે, પણ બાળપણ અને મોટપણ વચ્ચેનો સૌથી મોટો તફાવત વેકેશનનો હોય છે. મોટા થયા પછી ઉમંગભેર બારીશકા પાનીમાં કાગઝકી કશ્તી તરાવવી હોય તો કોઈ રોકનાર નથી, પણ બાળપણના ઉમંગથી વેકેશન ભોગવી શકાતું નથી. ઉર્દુના એક શાયરે કહ્યું હતું, અબ તો ઉતની ભી મયસ્સર નહીં મયખાનેમેં/ જિતની હમ છોડ દિયા કરતે થે પયમાનેમેં. એવી જ રીતે, બાળપણમાં મુખ્ય વેકેશનની સાથે જેટલા દિવસ લટકાના મળતા હતા, એનાથી ઓછા દિવસનું તો કુલ વેકેશન નોકરીઓમાં હોય છે. પરંતુ મોટા થયાની ખંડણી પેટે મોટું વેકેશન ચૂકવ્યા વિના છૂટકો થતો નથી.

ટૂંકા વેકેશન સાથે સમાધાન સાધી લીધા પછી પણ ઉઘડતા વેકેશનનો ઇમોશન અત્યાચાર સૌથી વસમો નીવડે છે. આમ તો, અઠવાડિયે પાંચ દિવસ કામ કરતા લોકોનીમન્ડે બ્લુઝ—એટલે કે, સોમવારે કામે જવામાં કીડીઓ ચડે તે સ્થિતિ બહુ જાણીતી છે. વેકેશનમાં તે સ્થિતિ વકરી જાય છે. દિવંગતને યાદ કરતાં લોકો જેમ કહે કે, અરે, હજુ ગઈ કાલે તો અમે બજારમાં મળ્યા હતા...કાલે તો એમણે મને બૂમ પાડીને બોલાવ્યો હતો...ગયા અઠવાડિયે તો એમણે મારી સામે જોઈ હાથ ઊચો કર્યો હતો... એવું જ વેકેશનના મામલે ઘણાખરા લોકોને થાય છે. હજુ ગઈ કાલની તો વાત છે. કેવા શાંતિથી સવારે ઉઠ્યા હતા...નિરાંતે ચા પીધી હતી. નહાવાની પણ ઉતાવળ ન હતી, ઓફિસનો તો વિચાર સરખો મનમાં આવ્યો ન હતો. અને આજે એકદમ વેળાસર નાહીપરવારીને ઓફિસે જવાનું પણ આવી ગયું? ખરેખર, આ જિંદગીનો કશો ભરોસો નથી.

સાવ બાળપણમાં સ્કૂલે જતાં બાળકો તેમની અનિચ્છા કે તેમનો વિરોધ વ્યક્ત કરવા માટે ભેંકડા તાણી શકે છે, હાથપગ પછાડી શકે છે અને રસ્તા પર આળોટી શકે છે. પરંતુ નાના કે મોટા વેકેશનના પછીના દિવસે ઓફિસે જવાની અનિચ્છા ધરાવતા લોકો એવું કશું કરી શકતા નથી. કારણ કે તેમને મોટા થઈ ગયેલા જાહેર કરવામાં આવ્યા છે. વિરોધ કરતા બાળકને સ્કૂલે જવા માટે વિવિધ લાલચો આપવામાં આવે છે, પરંતુ મોટેરાંને એવી કોઈ લાલચો આપી શકાતી નથી. કારણ કે, ઓફિસમાં જવાનો ઉત્સાહ થાય એવી લાલચો મોટા ભાગના કિસ્સામાં હોતી જ નથી અથવા હોય તો તેને લાલચની વ્યાખ્યામાં બેસાડવાનું અઘરું હોય છે. 

વેકેશનની સુસ્તી ખંખેરી ન શકતા માણસને શું કહીને પ્રેરિત કરવાના? એવું કહેવાનું કે જા બકા, ઓફિસે બોસ તારી રાહ જોઈને જ બેઠા છે. તું નહીં જાઉં તો લોકોને ખખડાવવાનો તેમનો ક્વોટા પૂરો શી રીતે થશે?’ અથવા તું ઓફિસે નહીં જાય તો જેને ચા કહેતાં ચાનું અને પાણી કહેતાં પાણીનું અપમાન થાય, એવી ઓફિસની ચા તારા વિના સૂની પડી જશે, ભારતમાં રાજકારણમાં જેટલી ઓફિસો હોય છે, એના કરતાં ઓફિસોમાં રાજકારણ ઘણું વધારે હોય છે. તે રાજકારણનાં પાત્રો પણ મોટા ભાગના કિસ્સામાં માણસને ઓફિસ તરફ ખેંચવાને બદલે ઓફિસથી દૂર ધક્કો મારવાનું કામ વધારે કરતાં હોય છે. માણસ પ્રયત્નપૂર્વક મનને ઓફિસે જવા માટે તૈયાર કરતો હોય અને તેને વિચાર આવે કે અરે, મારે ફરી એક વાર ફલાણાનું/ફલાણીનું મોં જોવું પડશે?’ એ સાથે જ, તેના વેરવિખેર ઉત્સાહનો માંડ બંધાતો કિલ્લો કડડભૂસ થઈ જાય છે.

કોરોના પછી વર્ક ફ્રોમ હોમના સમયમાં વગર વેકેશને લોકોને ઓફિસે જવાનું ગમતું નથી. અમેરિકા જેવા દેશોમાં કર્મચારીઓને મનામણાં કરીને, તેમના માટે ઓફિસે અવનવી પાર્ટીઓ યોજીને તેમને ઓફિસે બોલાવવા પડે છે. અનુકૂળ હોય એવી દરેક વાતમાં પરદેશી કંપનીઓના દાખલા દેતા સાહેબલોકો કર્મચારીઓને ઓફિસે બોલાવવાની વાત આવે ત્યારે પાશ્ચાત્યને બદલે પૌર્વાત્ય સંસ્કૃતિનું, ભગવદ્ ગીતાનું અને ફળની આશા વગરના કર્મનો ઉપદેશ આપે છે.

વેકેશન પછી ઓફિસે પાછા ફરવાની બાબતમાં મોટિવેશનલ સ્પીકરો પણ કામ લાગતા નથી. (એ કઈ બાબતમાં કામ લાગે છે, તે એક સવાલ છે. પરંતુ બુદ્ધની જેમ સંસારની--વેકેશનની અને નોકરીની-- નિરર્થકતા સમજાઈ ગયા પછી અને તેનું દુઃખ અનુભવી લીધા પછી માણસને જાતે જ સમજાય છે કે નોકરી માટે વેકેશનનું જેટલું મહત્ત્વ છે, એટલું જ વેકેશન માટે નોકરીનું પણ છે. એટલે, નોકરી વિના કાયમી વેકેશન મળી જવાની આશંકાએ તે ફરી કમર કસીને નોકરીએ જવા તૈયાર થાય છે, જેથી તે બીજા વેકેશનની આતુરતાથી રાહ જોઈ શકે.