Showing posts with label umashankar joshi. Show all posts
Showing posts with label umashankar joshi. Show all posts

Thursday, July 09, 2015

કટોકટી : સત્તાવાર અત્યાચારોની સીઝન (૨)

જૂન, ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ સુધી ચાલેલી કટોકટીમાં ઇંદિરા ગાંધી સત્તાવાર રીતે સરમુખત્યાર નહીં, ફક્ત વડાપ્રધાન હતાં. આ ગાળા દરમિયાન તેમણે લોકશાહીનું ગાણું સતત ચાલુ રાખ્યું. આંતરિક કટોકટી કેવળ લોકશાહી સામેના પડકારોને ખાળવા આણવી પડી, એવો એેમનો દાવો હતો. રાષ્ટ્રનિર્માણ અને નાગરિકઘડતરનું જે કામ ગાંધીજી સહિતના નેતાઓ દાયકાઓમાં ન કરી શક્યા, તે ઇંદિરા ગાંધી-સંજય ગાંધી આપખુદશાહી દ્વારા કરવા ઇચ્છતાં હતાં, પણ રાષ્ટ્રઘડતરની વાતો તળે ફુંફાડા મારતી તેમની સત્તાલાલસા કોઇને પણ દેખાઇ જાય એવી સ્પષ્ટ હતી.
Indira Gandhi- Sanjay Gandhi/ ઇંદિરા ગાંધી-સંજય ગાંધી
કટોકટીની પ્રશંસામાં ઘણી વાર એવું કહેવામાં આવે છે કે ત્યારે ટ્રેનો નિયમિત ચાલતી, લોકો બસ સ્ટેશને લાઇનમાં ઊભા રહેતા, દુકાનદારો કાળાં બજાર અને સંઘરાખોરી કરતાં ગભરાતા. એવું પણ કહેવામાં આવે છે કે ‘સામાન્ય માણસને’ (એટલે કે નાગરિક અધિકારો માટે સજાગ ન હોય- રાજકારણ કે જાહેર બાબતોથી દૂર રહેતા હોય એવા લોકોને) કટોકટીની કોઇ અસર થઇ ન હતી. સહેજ વઘુ વિચારતાં સમજાશે કે એ બધી ‘સિદ્ધિઓ’ રાષ્ટ્રઘડતરનું કે લોકોમાં જાગેલી ટકાઉ સારપનું નહીં, પણ કટોકટીની આપખુદશાહીએ લોકોમાં પ્રેરેલા ભયનું પરિણામ હતી--અને મોટા ભાગના ‘સામાન્ય માણસ’ તેમાંથી બાકાત ન હતા. કટોકટી વખતે સૌ કોઇને એટલી ખબર પડી ચૂકી હતી કે સરકાર પાસે અમર્યાદ સત્તાઓ છે, જે કોઇ પણ નિર્દોષની સામે વાપરતાં સરકાર જરાય ખચકાશે નહીં. આવી ધાકનાં થોડાંઘણાં-ટૂંકા ગાળાનાં-મર્યાદિત અને ઉપરછલ્લાં સુપરિણામોને ‘કટોકટીના ફાયદા’ તરીકે ગણાવવામાં પ્રમાણભાન જળવાતું નથી. એ તો માથું કાપ્યા પછી પહેરાવાયેલી પાઘડીની બાંધણીની ડીઝાઇનનાં વખાણ કર્યા જેવું ગણાય.

ગયા સપ્તાહે કટોકટીનાં બે મોટાં અનિષ્ટ (‘મિસા’ અને સેન્સરશીપ) વિશે વાત કર્યા પછી, આ વખતે ફરજિયાત નસબંધી અને  વિવિધ પ્રકારની તોડફોડની વાત.

વસ્તીની સમસ્યાનો સંજય ગાંધીવાદી ‘ઉકેલ’
ઇંદિરા ગાંધીએ દેશના ઉદ્ધાર માટે કટોકટી દરમિયાન વીસ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો. સ્વદેશી ‘પીપલ્સ કાર’ એવી ‘મારુતિ’ના પ્રૉજેક્ટમાં ગોથાં ખાતા તેમના પુત્ર સંજય ગાંધી કટોકટી દરમિયાન ખરા સત્તાધીશ હતા. કહેવા પૂરતા તો તે યુવા કૉંગ્રેસની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય હતા. (પ્રમુખ પણ નહીં. અંબિકા સોની યુવાકૉંગ્રેસનાં પ્રમુખ હતાં) પરંતુ તેમનો પાવર વડાપ્રધાન-સમકક્ષ. વી.સી.શુક્લ, બંસીલાલ જેવા કેન્દ્રિય મંત્રીઓ મોંએ ચડાવેેલા અને સરવાળે માથે ચડી ગયેલા બાબાશેઠ સંજય ગાંધીની તહેનાતમાં હતા, તો દિલ્હીમાં જગમોહન, રુખસાના સુલતાના, નવીન ચાવલા જેવાં ઘણાં પાત્રો સંજય ગાંધીના દરબારી-હજુરિયા બન્યાં. સંજય ગાંધીના આશીર્વાદ હેઠળ યુવાકૉંગ્રેસને પહેલી વાર લોકો પાસેથી સીધા (કૉંગ્રેસને બાજુ પર રાખીને) રૂપિયા ઉઘરાવવાની સત્તા મળી.
Sanjay Gandhi- Ambika Soni
Rukhsana Sultana

માતાના વીસ મુદ્દાના કાર્યક્રમની સમાંતરે સંજય ગાંધીએ પોતાનો પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો : ૧) કુટુંબનિયોજન ૨) વૃક્ષારોપણ ૩) જ્ઞાતિપ્રથાનાબૂદી ૪) પ્રૌઢશિક્ષણ અને ૫) દહેજનાબૂદી. (કેટલાક અહેવાલ પ્રમાણે પાંચમો મુદ્દો ‘દહેજનાબૂદી’નો નહીં, પણ ‘ઝૂંપડપટ્ટીનાબૂદી’નો હતો).  આ પાંચે મુદ્દામાંથી પહેલા મુદ્દા વિશે સંજય ગાંધી અતિઉત્સાહી હતા. કુટુંબનિયોજન વાસ્તવમાં ‘ફરજિયાત નસબંધી’નો મુસ્લિમવિરોધી કાર્યક્રમ હતો. પરિણામે, આઝાદી પછી એકંદરે કૉંગ્રેસભણી ઢળેલો મુસ્લિમ સમુદાય પહેલી વાર કૉંગ્રેસથી ભડક્યો. ફરજિયાત નસબંધીના અત્યાચાર ભલે દિલ્હી-ઉત્તર પ્રદેશ-હરિયાણામાં થયા, પણ તેની ભયાનક કથાઓ દેશભરમાં ફેલાઇ.

ઘણા સમીક્ષકો માને છે કે ફરજિયાત નસબંધીના નામે મુસ્લિમો પર કરાયેલી જબરદસ્તી કટોકટીનું સૌથી મોટું પાતક હતી. તેના મુખ્ય સૂત્રધાર સંજય ગાંધી અને હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલ હતા. એ પણ નોંધપાત્ર છે કે મુસ્લિમદ્વેષને ‘સંસ્કૃતિ’નું અભિન્ન અંગ લેખાવતા સંઘ પરિવારના બહુમતી લોકો માટે સંજય ગાંધી ‘હીરો’ હતા. કારણ કે તેમની ‘મનકી બાત’ને સંજય ગાંધીએ અમલમાં મૂકી દીધી હતી. મલ્ટિનેશનલ કંપનીના માર્કેટિંગ વિભાગના અંદાજમાં સંજય ગાંધી રાજ્યોના મુખ્ય મંત્રીઓને નસબંધી માટેનાં લક્ષ્યાંકો આપતા. એ લક્ષ્યાંકો યેનકેનપ્રકારે હાંસલ કરવા માટે મુખ્ય મંત્રીઓ અને તેમના ઉત્સાહી અફસરો માણસાઇ નેવે મૂકીને ભરપૂર પ્રયાસ કરતા. એટલું જ નહીં, સંજય ગાંધીને વહાલા થવા માટે તેમની વચ્ચે ઊંચાં- વધુ ઊંચાં લક્ષ્યાંકોની હરીફાઇ ચાલતી અને એ પાર પાડવા માટે પોલીસ તથા વહીવટી તંત્રને છૂટો દોર આપી દેવાયો.
Sanjay Gandhi / સંજય ગાંધી
ભારતની વસ્તીસમસ્યા એ વખતે ઘણા લોકો માટે ચિંતાનો વિષય હતી, પરંતુ સંજય ગાંધીએ શોધેલો તેનો ઉકેલ એકદમ સરમુખત્યારી ઢબનો હતો, જેનાથી મૂળ સમસ્યા ઉકલે નહીં અને બીજી અનેક સમસ્યાઓ પેદા થાય. સંજય ગાંધી એક રાજ્યની મુલાકાતે ગયા હોય અને ત્યાંના મુખ્ય મંત્રીને કહે કે ફલાણા રાજ્યના મુખ્ય મંત્રીએ ‘એક મહિનામાં અમુક હજાર ઑપરેશનનું લક્ષ્યાંક રાખ્યું છે’, એટલે યજમાન મુખ્ય મંત્રી સંજય ગાંધીને વહાલા થવા માટેે પોતાના તરફથી તેનાથી પણ ઊંચું લક્ષ્યાંક આપે. એ લક્ષ્યાંકનું દબાણ મુખ્ય મંત્રી પોતાની નીચેના અધિકારીઓ પર અને એ લોકો પોતાની નીચે, એમ છેક ગામડાના સ્તર સુધી પહોંચાડે. છેક ગામડાના સ્તરે એવા પણ નિયમ કાઢવામાં આવ્યા કે જમીનના દસ્તાવેજો કે કોઇ પણ સરકારી યોજનાના લાભ જોઇતા હોય તો નસબંધી કરાવેલી હોવી જોઇએ. નસબંધીના ઑપરેશનના પ્રમાણપત્ર વિના સાત-બારનો ઉતારો ન મળે, ટ્રક ડ્રાયવરોનાં લાયસન્સ રીન્યુ ન થાય કે ઝૂંપડાવાસીઓને કોઇ ફાયદા ન મળે એવી કરુણ રીતે હાસ્યાસ્પદ સ્થિતિ ઉત્તર પ્રદેશનાં ઘણાં ગામોમાં ઊભી sથઇ.
(A crude parody of 'de di hamein azadi', from IS Johar's fim 'Nasbandi')

નસબંધીનાં ઑપરેશન માટે ‘લાયક’ મુરતિયાઓને શોધી લાવવા માટે સરકારી કર્મચારીઓની મદદ લેવાતી અને ઑપરેશન કરાવનારને વળતર આપવામાં આવતું. સમજાવટથી કામ ન ચાલે ત્યારે પોલીસબળ હંમેશાં હાથવગું હોય. ‘મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ’ (મિસા) --જે ગમ્મતમાં ‘મેઇન્ટનન્સ ઑફ ઇન્દિરા એન્ડ સંજય ઍક્ટ’ કહેવાતો હતો- તેની અંતર્ગત કોઇની પણ ધરપકડ કરવાની, તેને પોલીસ સ્ટેશને લઇ જવાનો અને ત્યાંથી એક ટોળું ભેગું કરીને ‘દાક્તરી તપાસ’ના બહાને આરોગ્યકેન્દ્રમાં લઇ જઇને તેમની નસબંધી કરી નાખવાની. ફરજિયાત નસબંધી અને કટોકટીના અત્યાચાર એ હદે સમાનાર્થી બન્યા કે મોરારજી દેસાઇ જેવા નેતાએ કટોકટીને ‘લોકશાહીની નસબંધી’ તરીકે ઓળખાવી હતી.
Amul Ad covering the issue of compulsory sterilisation

ઝૂંપડપટ્ટીનાબૂદી અને ‘વિકાસ’ 
Jagmohan 
કટોકટી દરમિયાન થયેલા અત્યાચારનો બીજો સિલસિલો એટલે શહેરને ‘સ્વચ્છ’ કરવાના નામે દિલ્હીની મુસ્લિમ વસ્તીઓમાં આચરાયેલી તોડફોડ. દિલ્હીની પ્રખ્યાત જામા મસ્જિદની આસપાસના વિસ્તાર હોય કે પછી તુર્કમાન ગેટ જેવા વિસ્તાર, શહેરને રળિયામણું બનાવવાના ઇરાદે ત્યાંનાં ઝૂંપડાં પર બુલડોઝર ફેરવી દેવાયાં. આશય  ફક્ત એટલો ન હતો કે ઝૂંપડાંવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ વસાવવા. મૂળ વાંધો, દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટીના ઉપપ્રમુખ  (અને આગળ જતાં કાશ્મીરના રાજ્યપાલ બનેલા) જગમોહને આ શબ્દોમાં મૂક્યો હતો, ‘હું અહીં બીજું પાકિસ્તાન ઇચ્છતો નથી.’ મુસ્લિમો રહેતા હોય એ જગ્યાને ‘બીજું પાકિસ્તાન’ કે ‘મિની પાકિસ્તાન’ ગણવા-ગણાવવાની પદ્ધતિ સંજય ગાંધી અને તેમની ગેંગને તો ઠીક, સંઘ પરિવારને પણ બહુ માફક આવે એવી હતી.

દિલ્હીમાં ઝૂંપડપટ્ટીની સફાઇના નામે મુસ્લિમોનાં પાકાં ઘર ઉપર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યાં. તેમાં સૌથી કુખ્યાત બનાવ તુર્કમાન ગેટનો હતો. ત્યાં પાકાં ઘરો તોડી પાડવાની કાર્યવાહીનો લોકોએ વિરોધ કરતાં પોલીસની મદદ લેવામાં આવી. પોલીસે પહેલાં ટીઅરગેસ અને પછી ગોળીબારથી કામ લીઘું અને મોટી સંખ્યામાં જાનહાનિ થઇ. અલબત્ત, તેનો ચોક્કસ આંકડો જાણવા મળતો નથી. કેમ કે, સરકારી સેન્સરશીપના કારમા સકંજાને કારણે અખબારો તુર્કમાન ગેટના બનાવની વિગતો પ્રગટ કરી શક્યાં નહીં.
Turkman Gate Demolition
એ સમયે સરકારથી બચીને ખાનગી રાહે નીકળતાં ચોપાનિયાંમાં તુર્કમાન ગેટ અત્યાચારોની વિગત છપાઇ અને થોડા લોકો સુધી પહોંચી. તેમાંના એક કાશ્મીરના મુખ્ય મંત્રી શેખ અબ્દુલ્લા હતા. ઇંદિરા ગાંધી સાથે સારાસારી ધરાવતા - તેમના કૃપાપાત્ર શેખ અબ્દુલ્લા દિલ્હી આવ્યા અને તુર્કમાન ગેટની મુલાકાત લઇને આંસુ સારી ગયા. પણ તેનાથી સ્થાનિક રહીશોને કશો ફાયદો થયો નહીં. ઉલટું, શેખની મુલાકાત પછી પોલીસ તેમને એ મતલબના ટોણા મારવા લાગી કે ‘મકાન જોઇતાં હોય તો જાવ તમારા શેખ અબ્દુલ્લા પાસે.’

બાહ્ય તોડફોડની સાથે કટોકટી વખતે ભારતના બંધારણમાં કરાયેલી તોડફોડ અક્ષમ્ય હતી. એ અરસામાં રાજ્યસભાના નિયુક્ત સભ્ય ઉમાશંકર જોશીએ ગૃહમાં માર્મિક રીતે કહ્યું હતું તેમ, સરકાર બંધારણનું ગળું ‘બંધારણીય’ રીતે દબાવી રહી હતી. રામચંદ્ર ગુહાએ તેમના દળદાર પુસ્તક ‘ઇન્ડિયા આફ્‌ટર ગાંધી’માં નોંઘ્યું છે કે આચાર્ય કૃપાલાણી બિમાર હતા અને તેમનું શરીર નળીઓથી વીંટળાયેલું હતું. એક મિત્ર તેમની ખબર જોવા માટે પહોંચ્યા, ત્યારે આચાર્યે તેમની વિખ્યાત, ધારદાર રમૂજવૃત્તિનો પરચો આપતાં કહ્યું હતું,‘આ શરીરમાં હવે મૂળ બંધારણ જેવું કશું બચ્યું જ નથી. ફક્ત ફેરફારો જ રહ્યા છે.’ (I have no constitution left- All that is left are amendments)

કટોકટીના ચાર દાયકા પછી બંધારણના હાર્દનું ગળું બહુમતીના જોરે, બંધારણીય રીતે દબાવવામાં ન આવે અને ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’નું સૂત્ર નવાં પાત્રો સાથે, નવા સ્વરૂપે વહેતું ન થાય, એ ઘ્યાન નાગરિકોએ રાખવાનું છે.       (સમાપ્ત)

--------
નોંધ - ’ગુજરાત સમાચાર’માં છપાયેલા મૂળ લેખમાં સરતચૂકથી શેખ અબ્દુલ્લાને બદલે ફારુક અબ્દુલ્લા લખાયું હતું. બિનીત મોદીએ ચૂક તરફ ધ્યાન દોર્યું, એટલે અહીં એ સુધારી લીધી છે. બિનીત સાથે આભાર માનવાનો સંબંધ નથી, પણ સરતચૂક બદલ દિલગીરી. 

Sunday, September 02, 2012

દોઢ સદીનાં સાહિત્ય-સામયિકોની ‘અંતર્યાત્રા’

‘સામયિકોનાં પૃષ્ઠો એ કંઇ ઊગતા લેખકો માટે આળોટવાની ધર્મશાળા નથી’

સફળતા હંમેશાં કે પૂરેપૂરી કદી આંકડાથી માપી શકાતી નથી. વાત સામયિકોની-સાહિત્યિક સામયિકોની હોય ત્યારે વેચાણસંખ્યાની સાથોસાથ ફેલાવો, સંસ્કારજીવન પર પ્રભાવ, તેનાથી થયેલું વાચકોનું ઘડતર વગેરે મુદ્દા પણ મહત્ત્વના બને છે. ઉદાહરણ તરીકે હાજી મહંમદ અલ્લારખિયા શિવજીએ ૧૯૧૬માં શરૂ કરેલું માસિક ‘વીસમી સદી’. તેના મૂળ સ્વરૂપમાં આ માસિક માંડ ચારેક વર્ષ ચાલ્યું. એ દરમિયાન તેની પાંચેક હજાર નકલ વેચાતી હતી. મુંબઇ અને ગુજરાતના વાચકવર્ગને ઘ્યાનમાં રાખતાં વેચાણનો આંકડો ઘણો ઓછો અને બિનપ્રભાવશાળી લાગે, પરંતુ ‘વીસમી સદી’ થકી ગુજરાતી વાચકોને લે-આઉટ, ડીઝાઇનિંગ અને આકર્ષક સચિત્ર રજૂઆતનો પરિચય થયો, તો ગુજરાતી લેખકોને તેમની કદર જાણે અને લાડ લડાવે એવો તંત્રી મળ્યો.
http://www.gujarativisamisadi.com/

વ્યાવસાયિક દૃષ્ટિએ ‘વીસમી સદી’ નિષ્ફળ ગણાય, પણ ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક વારસામાં તે મોખરાનું સ્થાન ધરાવે છે. તેની ગુણવત્તામાંથી પ્રેરણા લઇને  અમદાવાદમાંથી રવિશંકર રાવળે ‘કુમાર’, કલકત્તાથી ચાંપશીભાઇ ઉદ્દેશીએ ‘નવચેતન’ અને મુંબઇથી કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત’ જેવાં સામયિકો ગુજરાતી વાચકોને આપ્યાં. આ સામયિકો પણ કંઇ હજારોની સંખ્યામાં ખપતાં ન હતાં. છતાં, તેમનું ચિરંજીવ મૂલ્ય એવું કે ‘વીસમી સદી’  અને ‘કુમાર’ એ બન્ને સામયિકોના તમામ જૂના અંક નવી પેઢીના વાચકો-અભ્યાસીઓ માટે ડિજિટલ સ્વરૂપે (વેબસાઇટ પર અને સીડી અવતારમાં) ઉપલબ્ધ બન્યા છે.

આ બધાં સામયિકોથી પહેલાં ઇચ્છારામ સૂર્યરામ દેસાઇએ ૧૮૮૦માં ‘ગુજરાતી’ સામયિક કાઢ્‌યું ત્યારે પહેલા ચાર મહિના પ્રચાર માટે સામયિકની આશરે બે હજાર નકલો મફત વહેંચ્યા પછી, તેને માંડ ૧૪૫ ગ્રાહકો મળ્યા હતા. ધીમે ધીમે વેચાણ વઘ્યું. ૧૮૮૪માં ૧૭૫૦ નકલ, ૧૮૯૫-૯૬માં ૩ હજાર નકલ અને પાંચ આંકડામાં વેચાણ પહોંચતાં ૧૯૧૩-૧૪નું વર્ષ આવી ગયું. ત્યારે એનો ફેલાવો ૧૧,૫૦૦ નકલનો હતો અને ૧૯૨૦-૨૧માં તે ૧૯ હજાર નકલે પહોંચ્યો.
(સંદર્ભઃ ‘જીવનમાઘુરી’ ઓગસ્ટ, ૧૯૬૧ના અંકમાં ત્રિભુવન વીરજીભાઇ હેમાણીનો લેખ ‘સામયિક પત્રોનો ફેલાવો’)

ખરો પડકાર શરૂઆતનો કપરો કાળ પસાર કરવાનો હોય છેએ ખરું. સાથોસાથ, કડવી હકીકત એ પણ છે કે ‘ગુજરાતી’ના વેચાણની બરાબરી વીસમી સદીનું ભાગ્યે જ કોઇ સાહિત્યિક સામયિક કરી શક્યું હશેઃ બચુભાઇ રાવતનું ‘કુમાર’ કે ઉમાશંકર જોષીનું ‘સંસ્કૃતિ’ જેવાં બહુપ્રતિષ્ઠિત સામયિકો પણ નહીં. ૧૯૭૯માં ‘સંસ્કૃતિ’નું લવાજમ ભરનારા માંડ ચારસો હોવાનું નોંધાયું હતું. તેમાં સંચાલકોનો-તંત્રીઓનો-સંપાદકોનો દોષ કેટલો અને પ્રજાકીય માનસિકતા કેટલી જવાબદાર, તે અલગ ચર્ચા અને વિચારનો વિષય છે.

સારું-ગુણવત્તાસભર સામયિક કાઢવું એ આજકાલથી નહીં, પહેલેથી ખોટનો ધંધો મનાયો છે. એટલે જ તેના સંચાલનને લગતી બાબતો, સંચાલકો-તંત્રી-સંપાદકોની માનસિકતા, તેમનાં મૂલ્યો-વિચારસરણી-સંઘર્ષ જેવી બાબતો છેવટે વ્યક્તિગત કે સંસ્થાગત ન બની રહેતાં, ગુજરાતના સાંસ્કૃતિક-સાહિત્યિક ઇતિહાસનો હિસ્સો બને છે. એવા ઇતિહાસનું ભાગ્યે જ થતું દસ્તાવેજીકરણ ‘બુંદ બુંદની સૂરત નિરાલી’ (પાર્શ્વ પબ્લિકેશન)માં જોવા મળે છે. રમણ સોની અને કિશોર વ્યાસ દ્વારા સંપાદિત આ પુસ્તકમાં સામયિકની સંપાદનપ્રક્રિયા, તેમાં સંપાદકની ભૂમિકા, નિસબત, સંપાદક-લેખક વચ્ચેના સંબંધો, સામયિક સાથે ગ્રાહકોના સંબંધો, સામયિકોને નડતી સમસ્યાઓ જેવા અનેક વિષયો અંગેનાં અવતરણો, ખડકલો કરીને નહીં પણ સૂઝપૂર્વક-આયોજનપૂર્વક, મૂકવામાં આવ્યાં છે. તે વાચકોને છેલ્લી એક-દોઢ સદીનાં સામયિકો અને તેના સંચાલકોના આંતરિક જગતમાં મજેદાર સફર કરાવે છે. ઉપરાંત, વર્તમાન સ્થિતિ સાથે એ જમાનાની સરખામણીની તક પણ પૂરી પાડે છે.

‘હમણાંહમણાં દરેક જણને કવિ થવાનું મન થાય છે. પરિણામે કુંવાડીઆના જેટલો કવિતાનો કચરો ફૂટી નીકળે છે...’ આવું આપણને અત્યારે લાગતું હોય, પણ ‘સાહિત્ય’ માસિકના તંત્રી મટુભાઇ કાંટાવાળાએ છેક ૧૯૧૬માં આ વાક્યો લખ્યાં હતાં. રવીન્દ્રનાથ ટાગોરના (આગળ જતાં નોબેલ પારિતોષિક મેળવનાર) કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’નો અનુવાદ જેમને બહુ રુચ્યો ન હતો એવા મટુભાઇએ ‘સાહિત્ય’ના ડિસેમ્બર, ૧૯૧૬ના અંકમાં લખ્યું હતું, ‘હાલમાં માસિકોની સંખ્યામાં ગભરાટ ફેલાય તેટલો બધો વધારો થતો જાય છે. કોઇને એક ક્ષણ એમ લાગે કે મારે તંત્રી થવું- અગર કોઇનો લેખ એકાદ વર્તમાન માસિકે લેવાની ના પાડી એટલે થઇ ચૂક્યો નવા માસિકનો જન્મ...તંત્રી, પ્રકાશક, વ્યવસ્થાપક, પ્રૂફરીડર, જાહેરખબરના મેનેજર, કારકુન બઘું શ્રીયુત પોતે, એટલે કામ કેવું થાય એ વિચારી જોવું મુશ્કેલ નથી...’

સામયિકોની ગુણવત્તા વિશેની ચિંતા એકાદ સદી દરમિયાન અવિરત ચાલતી રહેલી પ્રક્રિયા છે. ‘નવચેતન’ તંત્રી ચાંપશીભાઇ ઉદ્દેશીએ લખ્યું હતું, ‘સાહિત્યજગત કે સામયિકોનાં પૃષ્ઠો એ કંઇ ઊગતા લેખકો માટે આળોટવાની ધર્મશાળા નથી. એ તો છે જ્યાંથી પ્રજાને કંઇક અનુભવ-નવનીત લાધે એવાં પવિત્ર યાત્રાધામો. એ તો છે પ્રજાને દોરવણી આપવા માટેનાં અમૂલ્ય સાધનો. એ સાધનોને અધકચરી દશામાં કે પ્રયોગદશામાં સર્જાયેલાં સર્જનોથી નિર્બળ અને નિર્માલ્ય બનાવી, એ રીતે સાહિત્યનું અને પરિણામે પ્રજાનું ધોરણ નીચે લઇ જવું એ એક પ્રકારનું અતિસૂક્ષ્મ અને નૈતિક પાપ જ છે, એવી મારી માન્યતા છે.’

સામયિકોના આડેધડ નીકળતા દિવાળી અંકો અને ખાસ અંકો માટે ઝવેરચંદ મેઘાણીએ છેક ૧૯૪૭માં બળાપો કાઢ્‌યો હતો,‘વાર્ષિકોને માટે જાહેરખબરો? કે જાહેરખબરોને માટે વાર્ષિકો? વર્ષાંકો કાઢવાની પ્રથા પાછળ  પ્રેરણા કઇ છે એ તપાસીએ તો ત્રાસી ઊઠીશું...મોટાં નામોની મીઠાશને માટે હવે સમય જતો લાગે છે. વાચકસમૂહને નામોના કરતાં વાચનસામગ્રીના ગુણને, એની એકઘ્યેયતાને માગતો ન કરી શકાય? કે પછી ખરું જોતાં વાર્ષિકોનો ખરીદદાર પણ દિવાળીના ટેટા, ફટાકિયા, લવંગિયા, ભંભોટિયા વગેરેની જોડે એકાદ અંક પણ ખરીદી લેવાની પ્રથાને જ ભજે છે?’

ટકી રહેવા માટે, ગ્રાહકો મેળવવા માટે સામયિકોનાં તરફડિયાં  કરૂણ વાસ્તવિકતાનો ચિતાર આપે છે. વિજયરાય વૈદ્યે ‘માનસી’ શરૂ કર્યા પછી મફત નકલની અપેક્ષા રાખનારા લોકોને ઉદ્દેશીને લખી દીઘું હતું, ‘મેં મારું લવાજમ આજરોજ ભરી દીધું છે. જેનો અર્થ એ કે મારા એકએક મિત્રે, હિતેચ્છુએ અને મુરબ્બીએ પોતપોતાના પાંચ રૂપિયા મારા તર્ફની પ્રત્યક્ષ અંગત વિનંતીની રાહ જોયા વિના સત્વરે મોકલવા કૃપા કરવી. માનસીની ભેટનકલ મને પણ મળવાની નથી.’ (સપ્ટેમ્બર, ૧૯૩૮)

આવી જ સમસ્યા ગુજરાતના પહેલા મુખ્ય સામયિક ‘બુદ્ધિપ્રકાશ’ને પણ નડતી હતી. તેના જૂન, ૧૮૮૬ના અંકમાં ઠપકાના સૂરમાં જાહેરાત કરવામાં આવી હતી, ‘ચાલતા વર્ષના છ માસ થયા છતાં કેટલાક ગ્રાહકોનું લવાજમ હજુ સુધી આવ્યું નથી. તેમને વિનયપૂર્વક જણાવવામાં આવે છે કે આ અંક પહોંચેથી તુરત તે મોકલી દેવા મહેરબાની કરશો. દોઢ- પોણા બે રૂપિયા માટે વારેવાર ઉઘરાણી કરવી એ સજ્જનોને ઘટારત નથી.’

ઝઝૂમતાં સામયિકો આખરે બંધ થાય ત્યારે તેના તંત્રી-સંપાદકો કે બીજા વિદ્વાનોની  જુદી જુદી પ્રતિક્રિયા જોવા મળતી હતી. પુસ્તકોની સમીક્ષાનું સામયિક ‘ગ્રંથ’ બંધ થયું એ વિશે ભોળાભાઇ પટેલે લખ્યું હતું, ‘ગ્રંથની જ્યારે સૌથી વધારે જરૂર છે ત્યારે ગ્રંથ હવે બંધ થાય છે...‘ગ્રંથ’ તો બંધ થાય છે, ગુજરાતના સારસ્વત સમાજની ઉદાસીનતાભરી વૃત્તિથી. ગુજરાતમાં કેટલી કોલેજો છે, કેટલી શાળાઓ- ઉચ્ચ માઘ્યમિક શાળાઓ છે, કેટલાં જાહેર ગ્રંથાલયો છે...ગુજરાતી શીખવતા અઘ્યાપકોની સંખ્યા પણ હજારે પહોંચવા થાય. આ સૌ પણ ઉત્તરદાયી છે, ગ્રંથ બંધ થાય છે તેમાં.’

પરંતુ ‘સંસ્કૃતિ’ના તંત્રી ઉમાશંકર જોશીએ પૂર્ણાહુતિ વિશેષાંક (૧૯૮૪)માં જુદો અભિગમ વ્યક્ત કર્યોઃ ‘આ જાતનાં (‘સંસ્કૃતિ’ જેવાં સામયિકો ચલાવનારા પ્રત્યે દયા દાખવવાની- ખાસ કરીને સામયિક દુર્બળ થાય કે બંધ થાય ત્યારે- એક રસમ પડી ગઇ છે...ગુજરાતને બેકદર શી રીતે કહીએ?..આપણે ગુજરાતમાં ભણતર કેટલું વિસ્તાર્યું છે? અને આવા વિષયમાં રસ લેનારાઓ ઓછા જ હોય. રસ હોય છતાં ખરીદશક્તિ ન હોય એવું પણ બનવાનું...આપણને ગુજરાત કહેવા આવ્યું નથી, સ્વેચ્છાએ આપણે આવી પ્રવૃત્તિ ઉપાડી, પછી પ્રજાને દોષ દેવાપણું ક્યાં રહ્યું?..’
Bachubhai Rawat/ બચુભાઇ રાવત

ગણેશ દેવીએ ગુણવત્તાનો મુદ્દો આગળ ધરીને કહ્યું હતું, ‘લધુ સામયિકો (લીટલ મેગેઝિન્સ) અલ્પજીવી હોય તે જ સારું. શરૂઆતનો ઉત્સાહ ઓછો થયા પછી સામયિકને થાક લાગે છે અને આવાં થાકેલાં સામયિકો પાસેથી વાચકોને કશું નવું મળતું બંધ થાય છે. એથી સેતુ બંધ થવાનો મને ખેદ નથી.’

ઓછા ફેલાવા છતાં ‘કુમાર’ નવી પેઢીઓનું ઘડતર કરનારું   બની રહ્યું, તેનું મુખ્ય કારણ હતું : તંત્રી બચુભાઇ રાવત. તેમની સજ્જતા અને અપેક્ષા વિશે વાસુદેવ મહેતાએ લખ્યું હતું,‘તંત્રી-સંપાદકનં બઘું કામ બચુભાઇ પોતે કરતા. મદદ કોઇ શિખાઉ લેખક જેવા પાસેથી હાથ-પગ હલાવવા પૂરતી જ લે. એવા માણસની જગ્યા ખાલી પડે ત્યારે મેં ઉમેદવારી કરી. બચુભાઇએ મને ટપાલ લખી કે રૂબરૂ મળવા આવો ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલના જીવન વિશે લખવા માટે જે-જે પુસ્તકોની જરૂર પડે તેની યાદી લેતા આવજો. એ જોયા પછી નોકરીની વાત. આટલી સજ્જતા આજે રીસર્ચમાં પણ કદાચ નહીં માગતા હોય.’

આવાં સામયિકો બંધ થયાનો વસવસો કરીને બેસી રહેવાને બદલે, તેમના તરફથી જેટલું ઉત્તમ મળ્યું તેનો ઓચ્છવ કરવો અને તેને ભાવિ પેઢી સુધી પહોંચાડવું, એ પણ કોઇ સારું સામયિક કાઢવા જેવું જ ઉમદા કામ નથી?

Friday, December 30, 2011

ઉમાશંકર જોશીની કવિતા, નિરંજન ભગતના કંઠે

'શેક્સપીયરના ઘરમાં તેનાં નાટકોનું પઠન' કે 'માર્ક ટ્વેઇનના ઘરમાં તેની કૃતિઓનું પઠન' પ્રકારના સમાચાર ગુજરાતી-ભારતીય વાચકોને ઘણી વાર વાંચવા મળે છે. પરંતુ કોઇ ભારતીય સર્જક અને તેમાં પણ કવિના બંગલાના ચોગાનમાં તેની કવિતાઓનું પઠન થાય, એવું જલ્દી સાંભળવા મળતું નથી. તેનાં કારણ ઘણાં હોઇ શકેઃ કવિને બંગલો હોય? જો હોય તો તેમાં સો માણસ બેસી શકે એવું ચોગાન હોય? એ પણ જો હોય તો તેમાં કવિની કૃતિઓનો કાર્યક્રમ યોજી શકવાનાં વૃત્તિ-દૃષ્ટિ-તૈયારી-સમજણ હોય? અને એ બધું હોય તો પણ, નિરંજન ભગત જેવા કવિની કૃતિઓ વાંચવા આવે એવું એ કવિનું કદ હોય? આ બધા સુખદ સંયોગોના સરવાળા જેવો વીરલ પ્રસંગ 19 ડિસેમ્બર, 2011- સોમવારના રોજ અમદાવાદમાં બન્યો.

સી.જી.રોડ પાસે આવેલા ઉમાશંકર જોશીના 'સેતુ' બંગલામાં કવિની પુણ્યતિથી નિમિત્તે તેમનાં પુત્રી સ્વાતિબહેને ઉમાશંકરનાં કાવ્યોનું પઠન યોજ્યું હતું. કાવ્યપઠનની કળાના મરમી નિરંજન ભગત ઉમાશંકરનાં ચુનંદા કાવ્યો વાંચવાના હતા.



સાંજે સાડા પાંચે બંગલાના મોટા ચોગાનના હરિયાળા વાતાવરણમાં, પ્રાકૃતિક લાગે એટલી ઉબડખાબડ પણ ખુરશી હાલકડોલક ન થાય એટલી સમથળ ભોંય પર પ્લાસ્ટિકની ખુરશીઓ ગોઠવાઇ. કાર્યક્રમ પહેલાં એક ખૂણે ચા-બિસ્કિટની વ્યવસ્થા હતી. ભગતસાહેબ આવી ગયા હતા. બંગલાનો વરંડો એ સાંજ પૂરતો તેમનો ‘મંચ’ હતો. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં એ નીચે આગળની હરોળમાં પ્રો.જયંત જોશી અને તેમનાં પત્ની (નીચેની તસવીર) સાથે વાતો કરતા હતા. વચ્ચે સ્વાતિબહેન પણ જોડાતાં હતાં.



પ્રકાશભાઇ-નયનાબહેન, મિત્ર અશ્વિન ચૌહાણ, મનીષી જાની અને બીજા ઘણા ઓળખીતા- પરિચિત લાગતા ચહેરા આસપાસ દેખાતા હતા. ઓચિંતા નારાયણભાઇ દેસાઇ આવી પહોંચ્યા. પરદેશથી સવારે જ આવેલા નારાયણભાઇની અપેક્ષા ન હતી. એટલે સ્વાતિબહેને આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કર્યાં, તે દૂરથી દેખાયું.



ચા-પાણીનો દૌર પૂરો થયા પછી સ્વાતિબહેન ‘મંચ’ પર ગયાં, ટૂંકમાં ભૂમિકા બાંધી અને ભગતસાહેબને માઇક સોંપીને નીચે આવીને બેસી ગયાં.



85 વર્ષના ભગતસાહેબ આ કાર્યક્રમ માટે પાકી તૈયારી કરીને આવ્યા હતા. સ્વાતિબહેન સાથે પછી થયેલી વાતચીતમાં તેમણે કહ્યું કે ભગતસાહેબ કોઇ પણ સમયે કશી તૈયારી વિના ઉમાશંકરની કવિતા વિશે સરસ બોલી શકે તેમ હોવા છતાં, તેમણે નવેસરથી કવિતાઓ વાંચી હતી, 18 કવિતાઓ પસંદ કરી અને તેને લગતા સંદર્ભો પણ તૈયાર કર્યા હતા. એ રીતે, કશી તૈયારી વગર આવીને, પોતાના વડીલપણાનો કે વિદ્વત્તાનો ગેરલાભ લઇને, ફેંકાફેંક કરી જવાની સાહિત્યિક પરંપરાનો ભગતસાહેબે ભંગ કર્યો. ભગતસાહેબ જે કવિતાઓ વાંચવાના હતા, તેના થોડા સેટ પણ શ્રોતાઓ માટે રાખવામાં આવ્યા હતા. તેમણે બુલંદ અને ભાવસભર કંઠે કવિતા વાંચવાનું શરૂ કરતાં પહેલાં થોડી પૂર્વભૂમિકા બાંધી અને દરેક કવિતા વાંચતાં પહેલાં તેના વિશે થોડી વાત કરવાનો ઉપક્રમ રાખ્યો.

માંડણી કરતાં તેમણે કહ્યું, ‘ઉમાશંકરના સાઠ વર્ષના કવિજીવન (1928-88)માં તેમના દસ કાવ્યસંગ્રહો. એક હજુ તૈયાર થઇ રહ્યો છે...પહેલું કાવ્ય છે ‘મંગલ શબ્દ’. 1931ના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાત વિદ્યાપીઠમાં વીસ દિવસમાં તેમણે ‘વિશ્વશાંતિ’ રચ્યું. તેનો આ પ્રથમ ખંડ છેઃ મંગલ શબ્દ. કવિ જો મહત્ત્વાકાંક્ષી- મોટા ગજાનો કવિ હોય તો તેની કવિતામાં માત્ર આત્મલક્ષી સ્વાનુભવનાં કાવ્યો ન હોય. જો પચીસ વર્ષની વય પછી તેને કવિતા લખતા રહેવું હોય તો તેનામાં પરલક્ષી સર્વાનુભવનાં કાવ્યો હોવાં જોઇએ. ઉમાશંકરભાઇએ ‘વિશ્વશાંતિ’ લખ્યું ત્યારે તેમનું વય વીસ જ વર્ષનું હતું. પછી એ લગભગ 58 વર્ષ સુધી કાવ્યો રચવાના હતા. એટલે આ પ્રથમ કાવ્યમાં જ આપણે જોઇશું કે તેમનામાં ઇતિહાસદૃષ્ટિ છે. સેન્સ ઓફ હિસ્ટરી, જે મોટા ગજાના કવિમાં હોવી જ જોઇએ. નહીં તો એ કવિ મોટા ગજાનો કવિ થાય જ નહીં. થયો જ નથી જગતમાં ક્યાંય.’

નિરંજનીય શૈલીમાં ભગતસાહેબે કહ્યું કે ‘એ ઇતિહાસદૃષ્ટિ ગુજરાતમાં ગોવર્ધનરામમાં હતી, બળવંતરાયમાં હતી, નાનાલાલમાં હતી. ત્યાર પછી ઉમાશંકરમાં છે અને ત્રીસ પછીના જે કવિઓ છે એમાંથી એકેયમાં ઇતિહાસદૃષ્ટિ નથી.


‘તેમણે ‘વિશ્વશાંતિ’ રચ્યું, વિદ્યાપીઠમાં રચ્યું, ગાંધીજી વિશે રચ્યું એ તો બધું ઠીક છે. પણ એમાં ઇતિહાસદૃષ્ટિ છે.’ એ વાત પર ભગતસાહેબે સૌથી વધારે ભાર મૂક્યો. એનો બીજો અને પાંચમો ખંડ એમાં એમણે સ્મરણ કર્યું છે બુદ્ધનું, મહાવીરનું અને ઇસુનું. પછી એમની ઇતિહાસદૃષ્ટિ કાવ્યમાં સક્રિય છે. શસ્ત્ર, વિકાસ, હિંસા, યુદ્ધો અને લખ્યું 1931માં- ગાંધીજી આવ્યા 1915માં ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું. પછી રશિયન ક્રાંતિ થવાની હતી. એના બસો વર્ષ પૂર્વે 1889માં ફ્રાન્સમાં ક્રાંતિ થઇ હતી. આ ત્રણે ઘટનાઓ જે તાજેતરમાં થઇ છે, હજાર-બે હજાર વર્ષ પહેલાં નહીં, બસો વર્ષ પહેલાં કે દસ-પંદર વર્ષ પહેલાં. આટલું પૂરતું નથી. એથી વિશેષ કંઇક જોઇએ. આ તો ભૂતકાળની વાત થઇ. પછી વર્તમાનનું શું? એનામાં સમકાલીન સમાજની સભાનતા હોવી જોઇએ. એનામાં જીવાતા જીવનની સંવેદના હોવી જોઇએ, જે અહીંયા કંકાલતાંડવ ખંડમાં છે.'

'દાંડીકૂચના લગભગ દોઢ વર્ષ પછી ઉમાશંકરે વિશ્વશાંતિ રચ્યું છે. દાંડીકૂચ જગતના ઇતિહાસમાં સર્વપ્રથમ એવી અહિંસક ક્રાંતિ છે (જે પહેલાં) ક્યારેય થઇ નથી મનુષ્યજાતિના ઇતિહાસમાં. તે વિશ્વશાંતિના કેન્દ્રમાં છે. એક વીસ વરસનો છોકરડો..(ને) હંહ...આ બધું? એની સંવિદમાં સંચિત થયું એ બધું પ્રગટ થયું છે. છંદો કાચા હશે, સુશ્લિષ્ટ એકતા નહીં હોય, વિદ્વાનો-વિવેચકોને જે વાંધાવચકા પાડવા હોય તે પાડે, પણ પહેલો જ કૂદકો મારીને માણસ એવરેસ્ટ પર જઇને ઉભો રહે એવું (આ કવિતામાં)થયું છે. વિષય પણ કેવો મોટો છે? વિષયની સાથે સ્પર્ધા કરે એવી કવિતા કદાચ નહીં હોય. વીસ વરસના છોકરા પાસેથી વધુ પડતી અપેક્ષા નહીં રાખવી આના કરતાં. અન્યાય થાય એને. આવું કેટલુંક મેં પણ બાફ્યું છે ભૂતકાળમાં. ઉમાશંકર સામે બેઠા હતા ને મેં કહ્યું છે કે આમાં મુગ્ધતા છે ને આમ છે ને તેમ છે. અરે ભાઇ, પણ વિષય તો જુઓ. આમાં એમની ઇતિહાસદૃષ્ટિ તો જુઓ, એમની સંવેદના- સભાનતા જુઓ. વીસ વર્ષની ઉંમરે તો હું માનું છું ગુજરાતી કવિતાના ઇતિહાસમાં કોઇ કવિ પાસે નહીં હોય, જે ઉમાશંકર પાસે હતું.’

સામાજિક ન્યાય અને સમાનતા- આ બે મુદ્દે માર્કસને યાદ કરતાં ભગતસાહેબે કહ્યું કે ‘આ માર્કસનો મનુષ્ય જાતિને અમર વારસો છે. ઉમાશંકરના હૃદયને ગાંધીજીની અપીલ હતી, પણ તેમની બુદ્ધિને માર્કસની અપીલ હતી. 1930માં એમણે યરવડા જેલમાં પહેલી વાર ‘દાસ કેપિટલ’ વાંચ્યું. પછી 1931માં વિદ્યાપીઠમાં હતા ત્યારે ધર્માનંદ કોસંબી તાજા રશિયાથી આવ્યા હતા. એ વાતો કરતા હતા માર્કસની. દિનકર મહેતા તેમના મિત્ર-સહાધ્યાયી હતા. ત્યાં જે ચર્ચાઓ ચાલી, જે ચર્ચા જામી તેનો પણ પ્રભાવ ઉમાશંકર પર હતો. પછી 1932માં વિસાપુર જેલમાં ‘દાસ કેપિટલનો સઘન અભ્યાસ કર્યો.’ માર્કસના વિચારોની પ્રેરણાથી 1932માં જ, વિસાપુર જેલમાં જ, આ અભ્યાસ થતો હતો ત્યારે જ, ‘જઠરાગ્નિ’ કાવ્ય રચ્યું.’

ભગતસાહેબ કહે,’ઉમાશંકર ગાંધીવાદી નહોતા. માર્કસવાદી નહોતા. એમ તો માર્કસ ક્યાં માર્કસવાદી હતા ને ગાંધીજી ક્યાં ગાંધીવાદી હતા? એ તો ગાંધી હતા. વાદી તો આપણે બધા મુઆ છીએ. ઉમાશંકરે એક મહેફિલમાં વાર્તાલાપ દરમિયાન કહ્યું હતું: મારામાં કંઇક એવું છે કે ગમે તેવો મોટો ચમરબંધી હોય તેની કંઠી ન બાંધું. તેને તાબે ન થઉં. આમ તો ‘જઠરાગ્નિ’ કાવ્યમાં ઉમાશંકરનો લય - જે પ્રબળ લય છે તે - ન હોત, તો કદાચ કાવ્ય પ્રચારકાવ્યમાં સરી પડ્યું હોત. પોએમને બદલે પ્રોપેગન્ડા. પણ એવું ન થયું.'

'આ કોઇ માર્કસવાદીનું કાવ્ય નથી, પણ એક જેને હાડોહાડ વ્યાપી ગઇ છે ન્યાયવૃત્તિ-સમાનતાવૃત્તિ, એવા કવિનું કાવ્ય છે. આ કોઇ પ્રચારકનું કાવ્ય નથી. (કાવ્યના પઠનની વિડીયો)

.

કાર્યક્રમમાં છેવટ સુધી હાજર રહેવાનું મારા માટે શક્ય ન હતું, પણ અડધો-પોણો કલાક સુધી એ લાભ લીધો એનું આ પરિણામ આ પોસ્ટ.

Thursday, May 05, 2011

ભાષા આધારિત રાજ્યોઃ ભાગ કે ભાગલા?

ગુજરાત-મહારાષ્ટ્રનો સ્થાપના દિન ૧ મે બન્ને રાજ્યોની સત્તાવાર ઉજવણીના માહોલમાં વીતી જાય છે. પરંતુ ૧ મે, ૧૯૬૦ પહેલાં અને ત્યાર પછી પણ ભાષાના આધારે રાજ્યોની વહેંચણીનો મુદ્દો તીવ્ર પ્રતિક્રિયા જગવતો રહ્યો છે.

ગુજરાત આઝાદી વખતે મુંબઇ રાજ્યનો હિસ્સો હતું, એ વાત છેલ્લી એકાદ-બે પેઢીને ‘હા, એવું કંઇક સાંભળ્યું છે ખરું’ પ્રકારની લાગી શકે. ભાષાકીય બહુમતી માટે જુદું રાજ્ય માગવાના મુદ્દે દલીલો અને આક્ષેપો, રાજકારણ ને અર્થકારણના કેવા આટાપાટા ખેલાયા હશે, તેનો અત્યારે ભાગ્યે જ અંદાજ આવે.

પરંતુ લેવાનારા નિર્ણયો વિશેની ગરમાગરમ ચર્ચા અને અભિપ્રાયો, એ નિર્ણયો અમલમાં મૂકાયાના પાંચ-છ દાયકા પછી ફરી તપાસવાની જુદી જ મઝા છે.

આઝાદીની આસપાસ
આઝાદી પહેલાંના મુંબઇ રાજ્યમાં હાલના ગુજરાત-મહારાષ્ટ્રના ઘણા પ્રાંતનો સમાવેશ થતો હતો, પણ રજવાડાંથી છવાયેલું સૌરાષ્ટ્ર અને કચ્છ તેમાંથી બાકાત હતાં. મુંબઇ રાજ્યમાંથી ગુજરાતીભાષી ગુજરાત અને મરાઠીભાષી મહારાષ્ટ્રના અલગ પડવાનો પ્રશ્ન આઝાદી પછીના દાયકામાં ઉભો થયો. તેની સાથેનો, બલ્કે વધારે સળગતો સવાલ હતોઃ મુંબઇને મહારાષ્ટ્ર સાથે જોડવું કે તેને અલગ ‘સીટી સ્ટેટ’ બનાવવું?

મુંબઇ રાજ્યના વિભાજનો વિખવાદ જાગ્યો તેના દાયકાઓ પહેલાં, ૧૯૧૩થી ભાષા આધારિત પ્રાંતોનો ખ્યાલ માથું ઉંચકવા લાગ્યો હતો. તેલુગુભાષીઓને પોતાનું અલગ આંધ્ર જોઇતું હતું. કોંગ્રેસનો એ વખતે ચડતો સિતારો હતો. ગાંધીજીના આગમન પછી નાગપુર અધિવેશન (૧૯૨૦)માં ફક્ત વકીલો-બેરિસ્ટરોને બદલે આમજનતા માટે પણ કોંગ્રેસના દરવાજા ખુલી ગયા. એ અધિવેશનમાં કોંગ્રેસે પક્ષના વહીવટની સરળતા ખાતર આખા દેશને ભાષા આધારિત ૨૧ ભાગ (રાજ્યો)માં વહેંચ્યો. અખંડ ભારતના એ સમયના નકશામાં બર્મા (અત્યારના મ્યાંમાર)નો સમાવેશ પણ થતો હતો.

તેલુગુભાષીઓની ૧૯૧૩થી શરૂ થયેલી માગણી સમય જતાં મોળી પડવાને બદલે મજબૂત બની, પરંતુ અંગ્રેજોનું રાજ હતું ત્યાં સુધી સિધ અને ઓરિસ્સા સિવાય બીજો કોઇ નવો પ્રાંત રચાયો નહીં. આઝાદી હાથવેંતમાં હતી અને ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભા નીમાઇ ત્યારે ભાષાકીય પ્રાંતોની રચના માટેની માગણી સતત ચાલુ રહી. કોંગ્રેસ એ માગણીનો સ્પષ્ટ વિરોધ કરી શકે એમ ન હતી. કારણ કે તેણે પોતે એ સિદ્ધાંતના આધારે પ્રાંતો પાડીને પ્રાદેશિક સમિતિઓ નીમી હતી. એટલું જ નહીં, અંગ્રેજી શાસનમાં થયેલી પહેલી ચૂંટણી (૧૯૩૫)ના ઢંઢેરામાં કોંગ્રેસે જાહેર કર્યું હતું કે ‘રાષ્ટ્રમાં દરેક જૂથ અને પ્રાદેશિક વિસ્તારની સ્વતંત્રતા જળવાઇ રહે તથા રાષ્ટ્રના વિશાળ માળખામાં તેનો વિકાસ થાય...એ માટે ભાષાકીય અને સાંસ્કારિક ધોરણે આ પ્રકારના પ્રદેશો અને પ્રાંતોનો વિચાર થવો ઘટે.’

ગાંધીજીને પ્રાંતોની પુનઃરચના માટે ભાષાકીય પાયો સાચો લાગતો હતો. પણ આઝાદીની આસપાસના અરસામાં તેમનું વલણ એ જાતનું હતું કે ‘અત્યારની અશાંત પરિસ્થિતિ પ્રાંતોની પુનઃરચના કરવાનો યોગ્ય સમય નથી.’ રાજ્યો લડવા-ઝઘડવાને બદલે અંદરોઅંદર સમજીને સરહદો નક્કી કરે એવું તેમનું સૂચન હતું. (જેનો અમલ ત્યારે પણ અશક્ય લાગે એટલી હુંસાતૂંસીનું વાતાવરણ હતું.)

આઝાદી પછી ભાષાઆધારિત પ્રાંતોની લોકલાગણી-માગણી સંતોષવા માટે એસ.કે.ધારની આગેવાની હેઠળ ભાષાવાર પ્રાંત પુનઃરચના માટેનું ‘ધાર કમિશન’ રચાયું. તેનો અહેવાલથી અસંતોષમાં ઘટાડો ન થતાં, એ જ વર્ષે, ૧૯૪૮માં કોંગ્રેસે જવાહરલાલ, વલ્લભભાઇ અને પટ્ટાભિ સીતારમૈયા- એમ ત્રણ વરિષ્ઠ નેતાઓનું બનેલું ‘જેવીપી કમિશન’ નીમ્યું. ૧૯૪૯માં આ કમિશને રજૂ કરેલા અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે ‘ભાષા કેવળ એકતાનું નહીં, વિખવાદનું કારણ પણ છે.’ અને ‘કોંગ્રેસે ભાષાવાર પ્રાંતોના સિદ્ધાંતને બહાલી આપી ત્યારે તેના વ્યવહારુ સવાલોનો અને બધાં પરિણામોનો ખ્યાલ કર્યો ન હતો.’ ભાષા આધારિત વિભાજનની વાત કરતી વખતે દેશની એકતા, સુરક્ષા અને આર્થિક સ્થિતિને પ્રાથમિકતા આપવી જોઇએ, એવું જાહેર કરવા છતાં, લોકલાગણીને માન આપવાનો વિકલ્પ તેમાં રખાયો હતો.

એ દિવસ માટે ઝાઝાં વર્ષ રાહ ન જોવી પડી. ૧૯૫૨માં તેલુગુભાષી આંધ્રપ્રદેશની માગણી સાથે પોટ્ટી સીરામુલુએ આમરણ ઉપવાસ કર્યા. ૫૬ દિવસના ઉપવાસ પછી તેમનું મૃત્યુ થતાં તોફાનો ફાટી નીકળ્યાં, પરિસ્થિતિ બેકાબૂ બની અને કેન્દ્ર સરકારે તરત અલગ આંધ્ર પ્રદેશનું વચન આપી દીઘું. તેનો અમલ પણ કરી દીધો.
આઝાદ ભારતમાં ભાષા આધારિત પ્રાંતરચનાનો આ પહેલો પ્રસંગ હતો.

ગુજરાતીઓ, મુંબઇ અને ડો.આંબેડકર

બંધારણની ડ્રાફિ્‌ટંગ કમિટીના અઘ્યક્ષ, પ્રખર વિદ્વાન અને તેજસ્વી ધારાશાસ્ત્રી ડો.આંબેડકરે ૧૯૪૮માં રચાયેલા ધાર કમિશન માટે એક અભ્યાસપૂર્ણ આવેદનપત્ર તૈયાર કર્યું હતું. ‘મહારાષ્ટ્ર એઝ એ લિગ્વિસ્ટિક પ્રોવિન્સ’ મથાળું ધરાવતી એ રજૂઆતમાં મુખ્ય બે વિવાદાસ્પદ મુદ્દા ચર્ચવામાં આવ્યા હતાઃ મરાઠીભાષીઓના મહારાષ્ટ્રમાં કયા પ્રદેશો લેવા અને મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવું કે સાથે.

અલગ ગુજરાતની રચનામાં વિખવાદો હતા- ખાસ કરીને ડાંગ અને આબુને ગુજરાતમાં ભેળવવા બાબતે. પરંતુ ગુજરાતીઓ-મરાઠીઓ વચ્ચેનો વઘુ આકરો સંઘર્ષ મુંબઇના મુદ્દે જાગ્યો. ભૂગોળની રીતે મુંબઇને ગુજરાત સાથે ભેળવવાનું શક્ય ન હતું. પણ ગુજરાતીઓમાં પ્રવર્તતી સામાન્ય છાપ એવી હતી કે ‘મુંબઇની જાહોજલાલીમાં ગુજરાતીઓનો મોટો હિસ્સો છે. મુંબઇ મહારાષ્ટ્રમાં ભળી જશે તો મુંબઇના ગુજરાતીઓને વેઠવાનું આવશે.’ તેમની માગણી હતી કે મુંબઇનું અસ્તિત્ત્વ મહારાષ્ટ્ર અને ગુજરાત બન્નેથી અલગ રહેવું જોઇએ, જેથી ગુજરાતીઓનું હિત અને ખાસ તો તેમની મુંબઇ પરની પકડ જળવાઇ રહે.

આ હિલચાલથી મરાઠીભાષીઓ ઉકળી ઉઠ્યા હતા. ડો.આંબેડકરે નેતાના ઉકળાટને બદલે વકીલની ટાઢકથી ૧૯૪૮માં ભાષાવાર પ્રાંત પુનઃરચના કમિશન સમક્ષ પોતાની દલીલો રજૂ કરી. આગળ જતાં ૧૯૫૫માં તેમણે ‘થોટ્‌સ ઓન લિગ્વિસ્ટિક સ્ટેટ્‌સ’ નામે અભ્યાસલેખ દ્વારા ફરી એક વાર આંકડા સહિત દાખલાદલીલો ટાંકીને પોતાની સજ્જતા-વિદ્વત્તાનો પરિચય આપ્યો. ભાષાવાર પ્રાંતો અંગે પોતાના અગાઉના કેટલાક વિચારો, પૂરતી માહિતી અને વિગતો મળ્યા પછી બદલાયા છે, એવું જાહેર કરીને ડો.આંબેડકરે લખ્યું હતું કે ‘ભાષાવાર રાજ્યો જરૂરી છે, પણ તે ધાકધમકી કે મવાલીગીરીથી નક્કી થવાં ન જોઇએ. એ જ પ્રમાણે, સાંકડાં પક્ષીય હિતોને ઘ્યાનમાં રાખીને પણ આ સવાલ ઉકેલાવો ન જોઇએ.

પ્રાંત પુનઃરચના કમિશન મુંબઇ રાજ્યને ‘આદર્શ’ પ્રકારનું મિશ્રભાષી રાજ્ય ગણાવતું હતું, પરંતુ ડો.આંબેડકરના મતે ગુજરાતી-મરાઠી ભાષીઓના મિશ્રણ જેવું મુંબઇ સદંતર નિષ્ફળ હતું. તેમણે લખ્યું હતું કે ‘છેલ્લાં વીસ વર્ષમાં ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે જે જાતની શત્રુવટ ઉભી થઇ છે, એ જોતાં ભાગ્યે જ મુંબઇ રાજ્યને કોઇ આદર્શ ગણી શકે.’

‘એક ભાષા લોકોને જોડે છે અને બે ભાષા તેમના ભાગલા પાડે છે’ એમ જણાવીને ડો.આંબેડકરે કહ્યું હતું કે ભાષાવાર રાજ્યો ભલે અલગ પડે, પણ તેમની સત્તાવાર ભાષા એક જ (હિદી) હોવી જોઇએ...જે ભારતીય આ દરખાસ્તને ભાષાવાર પ્રાંતના અભિન્ન અંગ તરીકે સ્વીકારે નહીં, તે કદાચ સો ટકા મરાઠી, સો ટકા ગુજરાતી કે સો ટકા તમિલ હોઇ શકે, પણ સો ટકા ભારતીય કદાપી ન હોય.’ ભાષાવાર રાજ્યોમાં સ્થાનિક ભાષાને સત્તાવાર દરજ્જો આપવાનું પગલું તેમને ભારતની અખંડિતતા માટે વિઘાતક લાગ્યું હતું.

‘મુંબઇ ગુજરાતીઓનું છે’ એવી દલીલને ડો.આંબેડકરે અનેક તાર્કિક જવાબો સાથે ફગાવી દીધી હતી. મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવાના મુદ્દે એ કહેતા હતા કે મદ્રાસ કે કલકત્તા અલગ ‘સીટી સ્ટેટ’ ન હોય તો ફક્ત મુંબઇ જ શા માટે? ગુજરાતીઓના દાવાનો અસ્વીકાર કર્યા પછી જોકે, તેમણે મુંબઇને અલગ રાખવું જ હોય તો તેની આર્થિકથી માંડીને વીજળી સહિતની કઇ જરૂરિયાતોનો વિચાર થવો જોઇએ, તેની વાત કરી હતી. ‘એક રાજ્ય, એક ભાષા’નો ખ્યાલ તેમને મંજૂર હતો, પણ ‘એક ભાષા, એક (જ) રાજ્ય’ તેમને કબૂલ ન હતું. તેમણે મુંબઇ રાજ્યમાંથી અલગ પડેલા મરાઠીભાષી મહારાષ્ટ્રને ચાર ભાગમાં વહેંચવાની યોજના રજૂ કરી હતી. તેમના મતે એક જ ભાષા ધરાવતા પ્રદેશને કેટલાં રાજ્યોમાં વહેંચવો જોઇએ, એ નક્કી કરવા માટે વહીવટી અસરકારકતા, વિવિધ વિસ્તારોની ખાસ જરૂરિયાતો, જુદા જુદા વિસ્તારોની લાગણી અને બહુમતી-લધુમતીનું પ્રમાણ ઘ્યાનમાં લેવાં જોઇએ. ભાષાકીય લધુમતીના હકો જોખમાય નહીં એ માટે તેમણે બંધારણમાં ફેરફાર કરવાનું પણ સૂચવ્યું હતું.

મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવા સામે મરાઠીઓનો વાંધો દૂર કરવા માટે તેમણે મુંબઇને ‘મહારાષ્ટ્ર સીટી સ્ટેટ’ જેવું નામ પણ સૂચવ્યું હતું, જેથી તે મહારાષ્ટ્રનો જ ચોથો હિસ્સો બની રહે. તેમની દૃઢ પ્રતીતિ હતી કે એક ભાષા બોલતા રાજ્યના જુદા જુદા હિસ્સા વચ્ચે પણ અનેક પ્રકારની અસમાનતા હોય છે. (ગુજરાતમાં પણ તે અનુભવી શકાય છે.) તેમને એક છત્ર નીચે લાવવાથી પ્રભુત્વ ધરાવનારા પ્રદેશના લોકો વધારે મજબૂત બનશે અને વંચિત પ્રદેશના લોકો વધુ ને વઘુ ખૂણામાં ધકેલાશે. ડો.આંબેડકરે તો આખા દેશ માટે એક પાટનગર અપૂરતું ગણાવીને, હૈદ્રાબાદ-સિકંદરાબાદ વિસ્તારમાં બીજું પાટનગર સ્થાપવાનું સૂચવ્યું હતું. તેનાથી બીજા ફાયદા ઉપરાંત ‘ઉત્તર ભારતીયો અમારી પર રાજ કરે છે’ એવી દક્ષિણના લોકોની ફરિયાદ પણ દૂર થશે એવી તેમની દલીલ હતી.

આશા અને આશંકા
ભાષાવાર પ્રાંતરચનાનાં જોખમોથી પૂરેપૂરા વાકેફ એવા ડો.આંબેડકર મુંબઇના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાત-મહારાષ્ટ્ર છૂટાં પડી જાય એમ ઇચ્છતા હતા, ત્યારે ઉમાશંકર જોશી કે દાદા ધર્માધિકારી જેવા અગ્રણીઓએ ભાષા આધારિત પ્રાંતોનો કડક વિરોધ કર્યો હતો. ભાષા પુનઃરચના પંચની કામગીરીની આકરી ટીકા કરીને, ડો. આંબેડકરે જે સંયુક્ત મુંબઇ રાજ્યને ‘સદંતર નિષ્ફળ’ નિષ્ફળ ગણાવ્યું હતું, તેના વિશે ઉમાશંકરે લખ્યું હતું, ‘(પંચ) દ્વારા રાજકારણીઓએ દેશની રહીસહી એકતાને છેક ચૂંથી નાખી. તેમાંથી મુંબઇનું બૃહદ રાજ્ય એક આશાસ્પદ અપવાદરૂપે બચી જવા પામ્યું છે. ભવિષ્યમાં પશ્ચિમ મંડળ (વેસ્ટર્ન ઝોન) તરીકે એ વિકસશે અને હિદમાં એવાં બીજાં બેચાર મંડળોની રચના માટે પ્રેરણારૂપ બનશે, એવી આશા રાખીએ. (સંસ્કૃતિ, નવેમ્બર, ૧૯૫૬)

ગુજરાત અને મુંબઇ સહિતનું મહારાષ્ટ્ર ૧ મે, ૧૯૬૦ના રોજ અલગ પડ્યાં, તેના પછીના વર્ષે કંઠી વગરના ગાંધીવાદી વિદ્વાન દાદા ધર્માધિકારીએ કહ્યું હતું, ‘આજે આપણે બહુરાજ્યવાદ અને બહુરાષ્ટ્રવાદમાં ચકચૂર છીએ...આજે દેશમાં...નર્યો ઉદ્દંડ ભાષાવાદ છે. એમાંથી ભાષાવાર રાજ્યોનો જન્મ થયો છે. અહીંનું એ દુર્ભાગ્ય છે કે અહીંની સંસ્કૃતિ, ઇતિહાસ, ભાષા, લિપિ બઘું સંપ્રદાય સાથે ચાલે છે.’

ભાષાવાર પ્રાંતરચનાનો મુદ્દો મોટા ભાગના પ્રાંતો પૂરતો હવે ઉકલી ગયો છે. પરંતુ ‘સંસ્કૃતિ’ (ઓગસ્ટ, ૧૯૫૬)માં ઉમાશંકર જોશીએ આપેલી ચેતવણી, વર્તમાન ગુજરાતના શાસકોના વલણને ઘ્યાનમાં રાખતા યાદ રાખવા જેવી લાગે છે. તેમણે લખ્યું હતું,‘અત્યારે આપણો સૌથી મોટો દુશ્મન છે ઉપરાષ્ટ્રવાદ (સબનેશનાલિઝમ). તેને દૂર કરવા માટે જે કંઇ કરીએ તે ઓછું છે.’

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના પક્ષીય ઝઘડામાં પ્રાંતવાદ અને ઉપરાષ્ટ્રવાદનું ઝેર રેડવાથી સરવાળે રાષ્ટ્રનું હિત થશે કે અહિત, તે સૌએ વિચારવાનું છે.