Wednesday, February 26, 2020

જ્યારે મોટેરા માધવબાગ બન્યું અને ‘સુધારાવાળા’ પરાસ્ત થયા

A hoarding of Namaste Trump event

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત નિમિત્તે બે મહાન લોકશાહીના મિલનથી માંડીને બે પ્રતિભાશાળી વ્યક્તિત્વના મિલન જેવાં સંખ્યાબંધ હોર્ડિંગ અમદાવાદમાં ઉભરાતાં હતાં. પરંતુ મુલાકાત પૂરી થયા પછી, તેના વિશે એટલુ જ કહેવાનું થાય કે તે તમાશાબાજ, ભપકાપ્રેમી, પ્રસિદ્ધિકેન્દ્રી, આત્મરતિગ્રસ્ત એવા બે નેતાઓનું પરસ્પર પીઠખંજવાળક મિલન હતું. દુનિયાના સૌથી મોટેરા સ્ટેડિયમમાં, છતી લોકશાહીએ મોટેરા ભાઈઓ (બીગ બ્રધર)ની જેમ વર્તતા બંને નેતાઓ મળ્યા ને પ્રાયોજિત દર્શકગણે જયજયકાર કર્યો. તેની સરખામણી ભદ્રંભદ્ર હાસ્યનવલમાં આવતી માધવબાગની સભામાં, રૂઢિચુસ્તો જે રીતે જાતે ને જાતે સુધારાવાળાની હાર અને પોતાની જ્વલંત જીત જાહેર કરે છે, તેની સાથે થઈ શકે. વધુ કલ્પનાશક્તિ ધરાવતા સિનેમાપ્રેમીઓને ચાર્લી ચેપ્લિનની અમર ફિલ્મ ધ ગ્રેટ ડિક્ટેટરમાં હિટલરે કરેલું મુસોલિનીનું સ્વાગત અને તેમાં દેખીતા ભપકા-કડપ તળે છુપાયેલી હાસ્યાસ્પદતા પણ સાંભરી શકે. 
(નોંધઃ અહીં મોદી-ટ્રમ્પને ક્રૂરતા કે શાસનપદ્ધતિના મામલે હિટલર મુસોલિની સાથે સરખાવ્યા નથી, પણ બે આત્મરતિગ્રસ્ત નેતાઓના ભપકા તળે કેવી હાસ્યાસ્પદતા છુપાયેલી હોઈ શકે છે, તેની વાત છે.) 

પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહીને તેના માળખામાં રહીને કેટલી હદે તોડીફોડી શકાય તેનો નમૂનો જેમ ટ્રમ્પે પૂરો પાડ્યો છે, એવી જ રીતે સંસદીય લોકશાહીના માળખામાં રહીને લોકશાહીના અર્ક અને મિજાજને કઈ હદે રફેદફે કરી શકાય છે તેનો દાખલો બીજી મુદતમાં નરેન્દ્ર મોદીએ પૂરો પાડ્યો છે. એ દૃષ્ટિએ બન્ને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ગણાય એની ના નહીં. તેમની વચ્ચેની દોસ્તીને હોર્ડિંગમાં ઘણું પ્રાધાન્ય અપવામાં આવ્યું અને ટ્રમ્પ પણ તેમના ગ્રેટ ફ્રેન્ડ મોદીનાં વખાણ કરતા રહ્યા. તે એટલી હદે કે ગાંધીજીના આશ્રમની વિઝિટર્સ બુકમાં પણ ટ્રમ્પે ગાંધીજી વિશે કશું લખવાને બદલે ફ્રેન્ડને જ અંજલિ આપી.
Trump's note in Gandhi Ashram's visitor book
આશ્રમમાં ભારતના વડાપ્રધાને અમેરિકી પ્રમુખને ગાંધીજીના પ્રિય એવા ત્રણ વાંદરાના રમકડાની પ્રતિકૃતિ ભેટ આપી. ત્યારે બંનેએ આંખોઆંખોંમેં એકબીજા સાથે શી વાત કરી હશે? કલ્પના તો એવી જ આવે કે લિન્ચિંગ વખતે બોલવાનું નહીં, નક્કર ટીકાઓ સાંભળવાની નહીં અને શાહીનબાગ જેવાં વિરોધ પ્રદર્શનો જોવાનાં નહીં. ટ્રમ્પની મુલાકાત પછી આશ્રમની વિઝિટર્સ બુકમાં તેમણે લખેલી ગાંધીજીના ઉલ્લેખ વગરની બે લીટી તથા તેમની સહી ચર્ચામાં રહ્યાં, તો મુલાકાત પહેલાં ગરીબ ઝુંપડાવાસીઓને ઢાંકવા માટે બનાવાયેલી દીવાલનો મુદ્દો, બંને પ્રતિભાઓને પ્રિય એવા સોશ્યલ મિડીયા પર ગરમાગરમ ચર્ચામાં રહ્યો અને ઘણાં કાર્ટૂનોમાં સ્થાન પામ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એવી ચોખવટ કરવામાં આવી કે આ દીવાલ અમસ્તી પણ બાંધવાની જ હતી. પરંતુ એ ખુલાસા ખાતરનો ખુલાસો હતો, જેને લોકો પોતાના હિસાબે ને જોખમે જ માની શકે. એવું જ સ્ટેડિયમના ઉદ્ઘાટનનો કાર્યક્રમ માંડવાળ કરવાના અને નાગરિક અભિવાદન સમિતિ રચવાના નિર્ણય તથા તેના ખુલાસા વિશે પણ કહી શકાય.

ટ્રમ્પની મુલાકાત નિમિત્તે થયેલી ભપકાબાજીને વાજબી ઠરાવવા માટે આખા તમાશાને રાબેતા મુજબ માસ્ટર સ્ટ્રોક ગણાવવામાં આવ્યો. ટ્રમ્પના ભાષણમાં ઓડિયન્સ તરીકે એકથી સવા લાખ માણસને એકઠાં કરવામાં આવ્યાં (જેમાંથી ઠીક ઠીક સંખ્યામાં લોકોએ ટ્રમ્પના પ્રવચનમાં અધવચ્ચેથી ચાલતી પકડી હોવાના અહેવાલ છે). તેનાથી ટ્રમ્પ-મોદી દોસ્તી જ નહીં, ભારત-અમેરિકા દોસ્તીમાં નવો અધ્યાય ઉમેરાયો હોવાનાં વિશ્લેષણ થયાં. જગતજમાદાર ગણાતા અમેરિકાના પ્રમુખ સાથે ભારતના વડાપ્રધાનનું સમીકરણ સારું હોય, તેનાથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારતને ચોક્કસ ફાયદો થાય. પણ આવા સંબંધોને મૈત્રી તરીકે દર્શાવવા અને ભેટાભેટી કરીને એવી મૈત્રીની જાહેર પહોંચો દેખાડવી—એમાં નક્કરતા ઓછી ને જોણું વધારે હોય છે. કેમ કે, બે નેતાઓ વચ્ચેનાં વ્યક્તિગત સમીકરણો મહત્ત્વનાં હોવા છતાં, આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં છેવટે આવી કથિત દોસ્તી નહીં, પણ વ્યક્તિગત કે દેશનું કે બંનેનું હિત જ સૌથી મહત્ત્વનાં હોય છે. ગાલાવેલા થઈને ઉભરાઈ જઈને, બધી વખતે કથિત દોસ્તીનું કે સંબંધોની નિકટતાનું પ્રદર્શન કરવાથી નક્કર ઉપલબ્ધિ થાય એ જરુરી નથી અને નક્કર ઉપલબ્ધિ માટે આવું કરવું પડે એ પણ જરૂરી નથી.

ટ્રમ્પે પાકિસ્તાન વિશે નકારાત્મક ટીપ્પણી કરી, તે સ્ટેડિયમમાં બેઠેલે સરકારી ઓડિયન્સે વધાવી લીધી ને પાકિસ્તાન વિશેની તેમની સકારાત્મક વાત પાકિસ્તાની મિડીયાએ માથે મૂકીને નાચવાનું શરૂ કર્યું. આ બંને પ્રતિક્રિયા આપનારાં જૂથો એક વાત સગવડપૂર્વક ભૂલી જાય છે કે ટ્રમ્પ માટે ભારત કે પાકિસ્તાન કરતાં ઘરઆંગણે પોતાની સત્તા ને પોતાનો સ્વાર્થ વધારે મહત્ત્વનાં છે. એવી જ રીતે, ભારતના વડાપ્રધાનને હાઉડી (કેમ છો?) કહેવા માટે હ્યુસ્ટન નજીક લાગે છે અને શાહીનબાગ દૂર. આ બંને નેતાઓ ભારતની લોકશાહીના પાયામાં રહેલી, તેની તાકાત જેવી સર્વસમાવેશકતા અને વૈવિધ્યને ભાષણોમાં અંજલિઓ આપે છે, પણ શાસક તરીકે તેમનો વ્યવહાર સાવ સામા છેડાનો રહ્યો છે. બંને પોતપોતાના દેશમાં ધીક્કાર, ઝેર અને જૂઠાણાં ફેલાવતાં પ્રચારયંત્રોના પ્રેરક કે પ્રેરણાસ્રોત ગણાય છે. સોશિયલ મિડીયાનો અવિરત ઉપયોગ બંનેની ખાસિયત છે. લોકશાહીના હાર્દના પાયામાં ઘા કરતા નિર્ણયો લેવાની હરીફાઈ ટ્રમ્પ અને મોદી વચ્ચે થાય તો તેમાં ટ્રમ્પ જીતી જાય, પણ મોદી તેમને મજબૂત ટક્કર આપી શકે તેમ છે. અને હા, ટ્રમ્પ પાસે અમિત શાહ નથી.

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતની બિનસત્તાવાર જાહેરાત ગુજરાતના મુખ્ય પ્રધાને દિલ્હી ચૂંટણીની પ્રચારરેલીમાં કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાનનું નામ વિજય રુપાણી છે--કદાચ નામ યાદ ન હોય તો. કારણ શું કે ટ્રમ્પ-મોદી હોર્ડિંગબાજીમાં યજમાન રાજ્યના મુખ્ય મંત્રીનું ક્યાંય નામોનિશાન ન હતું. (અગાઉ ચીનના વડા શી જિનપિંગ આવ્યા ત્યારે નહેરુ બ્રિજના છેડે લાગેલાં તોતિંગ હોર્ડિંગોથી માંડીને ઠેકઠેકાણે જિનપિંગ અને મોદી સાથે તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને સ્થાન મળ્યું હતું.) 
Modi, Xi Jinping, Anandiben Patel in a hoarding. Courtesy : rediff.com
અમદાવાદમાં વિદેશી વડાઓ આવે તેનાથી ઘણા ગુજરાતીઓને ગૌરવ થાય છે, તો ઘણા બિનગુજરાતીઓને લાગે છે કે ભૂવો ધૂણીને નારિયેળ ઘર ભણી ફેંકે છે. આ બંને લાગણીઓ અસ્થાને છે. સરકારી તંત્રમાં કામ કરતા માણસોથી માંડીને એરપોર્ટ પર સલવાઈ ગયેલા મુસાફરો સુધીના લોકોને પૂછી જોજો. સરકારી તંત્રમાં કલેક્ટર કે મામલતદાર નહીં, તેથી પણ નીચલા સ્તરે ટ્રમ્પના સ્વાગત માટે કેટલા લોકો લાવવાની ને તેમના આખા દિવસ માટે સાચવવાની કેટલી તૈયારી કરાઈ હતી અને તેના માટેનાં નાણાંનો વહીવટ દરેક નીચલા હોદ્દેદારે કેવી રીતે પોતાની જાતે કરી લેવાનો હતો, તેની પણ કથાઓ સાંભળવા મળશે.

આખા તમાશાને બંને દેશો વચ્ચેના સંબંધની મજબૂતીની દૃષ્ટિએ વાજબી ઠરાવવા ઉત્સુક લોકોને જણાવવાનું કે બે દેશો વચ્ચેના સંબંધ મજબૂત બનાવવાના બીજા સન્માનજનક રસ્તા પણ હોય જ છે. તેના માટે લોકોને અપાર અગવડ પડે અને જેમાં જાહેર નાણાંનો અઢળક ધુમાડો થાય એવા અન્યોન્યઆત્મરતિમાં ડૂબેલા ચીતરીચઢાઉ તમાશા યોજવાનું ફરજિયાત નથી હોતું. આ વાત સમજવી હોય તો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા ત્યાર પહેલાં પણ દેશનો ઈતિહાસ હતો એટલું સ્વીકારવું પડે અને તેનો ઉપરછલ્લો પણ અભ્યાસ કરવાની તૈયારી રાખવી પડે.

Monday, February 24, 2020

ગાંધીજી અને અમેરિકા : Detox Time


ગાંધીજીના સાબરમતીના આશ્રમે જનારા  ટ્રમ્પ અમેરિકાના પહેલા ચાલુ પ્રમુખ બન્યા. જોકે, તેમના માટે એ કોઈ પવિત્ર સ્થળની મુલાકાત  કરતાં વધુ, 'મિત્ર મોદી'એ કરાવેલી ટૂંકી પિકનિક હોય એવું તેમણે વિઝિટર્સ બુકમાં લખેલી નોંધ પરથી વધારે લાગે છે.

ઝેર અને જૂઠાણાંનાં જથ્થાબંધ વેપારીઓની વાત બાજુ પર રાખીને, ગાંધીજી નિમિત્તે એક એવા અમેરિકન નેતાની વાત કરીએ, જેમણે અમેરિકામાં રંગભેદની અહિંસક લડતમાં ગાંધીજીની પદ્ધતિને આદર્શ ગણી હતી. એ નેતા એટલે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર / Martin Luther King Jr.. તેમણે સજોડે ૧૯૫૯માં ભારતની મુલાકાત લીધી, ત્યારે તે ચહીને સાબરમતીના આશ્રમે આવ્યા હતા, મુંબઈના મણિભવનમાં ગયા હતા અને રાજઘાટ પર અંજલિ તો આપી જ. આ મુલાકાતો પછી તેમણે ગાંધીજી વિશે જે વાત કરી, તે તેમના જ અવાજમાં વિડીયોમાં સાંભળી શકાય છે. તે જે બોલ્યા તેનું મૂળ લખાણ અને તેનો મેં કરેલો ગુજરાતી અનુવાદ અહીં આપું છું. (મૂળ લખાણ અને ઓડિયોનું સૌજન્યઃ



ભારતમાં આવ્યો ત્યારથી, અગાઉ કરતાં પણ વધારે પ્રતીતિપૂર્વક મને લાગે છે કે ન્યાય અને માનવગરીમા કાજેની લડતમાં અહિંસક પ્રતિકારની પદ્ધતિ, કચડાયેલા લોકો પાસે રહેલું સૌથી અસરકારક હથિયાર છે. મહાત્મા ગાંધીએ વિશ્વના નૈતિક માળખામાં નિહિત એવા અમુક વૈશ્વિક સિદ્ધાંતો તેમના જીવનમાં ચરિતાર્થ કર્યા હતા અને તે સિદ્ધાંતો ગુરુત્વાકર્ષણના નિયમ જેટલા જ અફર છે...

ઘણાં વર્ષો પહેલાં અબ્રાહમ લિંકનની ગોળી મારીને હત્યા કરવામાં આવી, અને યોગાનુયોગે ગાંધીજીને જે કારણસર ગોળી મારવામાં આવી હતી એ જ કારણસર—વિભાજિત દેશના ઘા રુઝાવવાનો ગુનો કરવા બદલ-- ત્યારે સેક્રેટરી સ્ટેન્ટને મહાન નેતાના મૃતદેહ પાસે ઊભા રહીને આ શબ્દો ઉચ્ચાર્યા હતાઃ 'હવે તે (વર્તમાનના મટીને) યુગોના થઈ ગયા.’ ગાંધીજી વિશે ખરા અર્થમાં આપણે એવું કહી શકીએ અને તે પણ વધારે ભારપૂર્વક કે તે યુગોના થઈ ગયા. વર્તમાન યુગે ટકવું હશે તો ગાંધીજીએ તેમના જીવન થકી ચીંધેલા પ્રેમ અને અહિંસાના રસ્તે જ અનુસરવું પડશે. અને મહાત્મા ગાંધી આ પેઢી માટે તો દૈવી સંદેશ જેવા બની શકે છે. કેમ કે, સ્પુતનિક (રશિયાએ સફળતાપૂર્વક છોડેલો દુનિયાનો પહેલો ઉપગ્રહ) અને અવકાશયાનો બાહ્યાવકાશમાં ધસી રહ્યાં છે અને ગાઇડેડ બેલિસ્ટિક મિસાઇલ પૃથ્વીના વાતાવરણમાં મોતની કેડીઓ આંકી રહ્યાં છે, ત્યારે કોઈ દેશ યુદ્ધ જીતી શકે તેમ નથી. આજે આપણી સમક્ષ રહેલી પસંદગી અહિંસા કે હિંસાની વચ્ચેની નથી. એ પસંદગી અહિંસા અને અસ્તિત્વ વચ્ચેની છે.

Since being in India, I am more convinced than ever before that the method of nonviolent resistance is the most potent weapon available to oppressed people in their struggle for justice and human dignity. In a world since Mahatma Gandhi embodied in his life certain universal principles that are inherent in the moral structure of the universe, and these principles are as inescapable as the law of gravitation.

Many years ago, when Abraham Lincoln was shot - and incidentally, he was shot for the same reason that Mahatma Gandhi, was shot for, namely, for committing the crime of wanting to heal the wounds of a divided nation - and when he was shot, Secretary Stanton stood by the dead body of the great leader and said these words: Now he belongs to the ages. And in a real sense, we can say the same thing about Mahatma Gandhi, and even in stronger terms: Now he belongs to the ages. And if this age is to survive, it must follow the way of love and nonviolence that he so nobly illustrated in his life. And Mahatma Gandhi may well be God's appeal to this generation, for in a day when sputniks and explorers dash through outer space and guided ballistic missiles are carving highways of death through the stratosphere, no nation can win a war. Today, we no longer have a choice between violence and nonviolence; it is either nonviolence or nonexistence.

Thursday, February 06, 2020

તટસ્થ હોવું એટલે? તમે કેવા તટસ્થ છો?

તટસ્થ શબ્દનો શાબ્દિક અર્થ છેઃ તટ પર રહેનારએટલે કે પ્રવાહની સાથે અથવા સામે તરનાર નહીં, પણ પ્રવાહથી દૂર રહેનાર.

તેનો વ્યાવહારિક અને પ્રચલિત અર્થ એવો હતો કે કોઈ પણ બાબત નક્કી કરતી વખતે, એક યા બીજા પક્ષ તરફ ઢળવાને બદલે, ફક્ત હકીકતોના આધારે, સ્વતંત્ર બુદ્ધિથી નિર્ણય કરનાર.

આ વ્યાખ્યા સ્પષ્ટ હોવા છતાં, તેના પાયામાં ગુંચવાડાની એક જગ્યા છેઃ તેમાં એક યા બીજા પક્ષ તરફ ઢળવાનું નથી. પણ ક્યારે?  

યાદ રાખવા જેવો જવાબ છેઃ હકીકતોની ચકાસણી કરતી વખતે.

નોટબંધી જાહેર થાય કે સીએએ આવે ત્યારે વિગતો જાણ્યા વિના તત્કાળ ટીકા કે પ્રશંસા ન કરી શકાય. માહિતી મેળવવી પડે. હકીકતો તપાસવી પડે. તેનો તોલ કરવો પડે. એ તટસ્થતાનો તકાદો છે. એમ ન કરે તે તટસ્થતા ચૂક્યા ગણાય.

પણ આવી રીતે વિગતો જાણ્યા પછી અને તોલ કર્યા પછી, ટીકા કરવા જેવી લાગે અને ટીકા કરવામાં આવે, ત્યારે સામેની છાવણી જરૂર કહેશે, તમે તટસ્થ નથી.

તો તટસ્થ ની એક વ્યાખ્યા છેઃ અમારા જેવા અભિપ્રાયવાળા.

તટસ્થતા એટલે પાંચ ગ્રામ ટીકા, પાંચ ગ્રામ પ્રશંસા?
તમે તેમના પ્રચારમાં સૂર પુરાવતા નથી, તો તમે તટસ્થ નથીભલે ને તમે જાણેલી સાચી હોય, ભલે ને તમે બંને પક્ષો તપાસ્યા પછી નિર્ણય પર આવ્યા હો.

પણ તમે તેમના અભિપ્રાયથી જુદો, કદાચ સામા છેડાનો અભિપ્રાય ધરાવો છો, એટલે તમને તટસ્થતાએ ને તટસ્થતાએ ઝૂડવામાં આવશે. જોયા મોટા...તટસ્થતાની વાતો કરે છે...અને સંસદમાં પસાર થયેલા કાયદાનો તો વિરોધ કરે છે...આને તે કંઈ તટસ્થતા કહેવાય?’

તો, તમારી પાસેથી એવી તટસ્થતા અપેક્ષિત છે કે તમે અમારા પ્રચારમાં સામેલ થઈ જાવપ્રચાર ગમે તે હોય.
એ શક્ય ન હોય તો ચૂપ રહો. તો પણ અમે તમને તટસ્થ ગણીશું
પણ તમારી પાસેથી એવી તટસ્થતા અપેક્ષિત નથી કે તમે બંને પક્ષોની હકીકતો જાણીને-સમજીને, સાચ-જૂઠ, પ્રચાર-કુપ્રચાર વચ્ચેનો ફરક કરીને, તમારા નિર્ણય પર આવો.

તટસ્થતાનું સૌથી સૌથી અન્યાયી-સૌથી વિરોધાભાસી સરલીકરણ એવું કરવામાં આવ્યું કે તમે પાંચ ગ્રામ મોદીની ટીકા કરો, તો પાંચ ગ્રામ મોદીવિરોધીઓની ટીકા કરવાની. તો જ તમે તટસ્થ.

આવી પોલિટિકલી કરેક્ટ, તકલાદી તટસ્થતાના આશકો તટસ્થતાનાખરું જોતા, ન્યાયીપણાનાપાયામાં રહેલો ખ્યાલ જ ચૂકી જાય છે કે તટસ્થતા વિગતોની જાણકારી મેળવતી વખતે અને તેમનું વિશ્લેષણ કરતી વખતે રાખવાની હોય. પણ બરાબર જાણ્યા અને તોલ કર્યા પછી, જે લાગે એ તો કહેવાનું જ હોય. તેમાં તોલી તોલીને પાંચ ગ્રામ ટીકા ને પાંચ ગ્રામ વખાણ કરવાનાં ન હોય. એવું કરવાને તટસ્થતા ન કહેવાય..

તટસ્થતા સુધી પહોચવાની પ્રક્રિયા
હવે સવાલ આવે વિગતોની તપાસ વખતે તટસ્થતા રાખવાનો.
તેમાં સીએએના વર્તમાન દાખલાથી વાત કરીએ. સીએએનો મૂળ ખ્યાલ આ પ્રમાણે છેઃ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ પહેલાં પાકિસ્તાન-બાંગલાદેશ-અફઘાનિસ્તાનમાં આવેલા અને ભારતમાં ગેરકાયદે રહેતા હિંદુ-ખ્રિસ્તી-શીખ-જૈન-બૌદ્ધ-પારસીઓને કાયદેસરની નાગરિકતા મળી જાય.
આવું કાયદો કહે છે. તેમાં કશો મતભેદ નથી.

તે વિશે સીએેએના ટીકાકારોનું અર્થઘટન છેઃ પાડોશી દેશોમાંથી આવેલા પીડિતોની વ્યાખ્યામાં શ્રીલંકાના પીડિત તમિલ હિંદુ-ખ્રિસ્તીઓને, બર્માના પીડિત મુસ્લિમોને, પાકિસ્તાનના પીડિત અહમદીયા મુસ્લિમોને નાગરિકતામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

સચ્ચાઈ સમજતો કોઈ પણ માણસ આ અર્થઘટનને ખોટું નહીં ઠરાવી શકે. તે એવું કહી શકે કે આવું કરવાની શી જરૂર છે? પણ તે એવું નહીં કહી શકે કે આ વાત ખોટી છે.

હવે આવું કરવાની શી જરૂર છે? ત્યાં તટસ્થતાનો નહીં, દૃષ્ટિબિંદુનો, વિચારનો, સમજનો, થોડો મોટો શબ્દ વાપરીને કહું તો વર્લ્ડ વ્યુનો ફરક આવે છે.

સમર્થકો કહે છે કે મુસલમાનોને બાકાત રાખ્યા તેમાં ખોટું શું છે? આ હિંદુઓનો દેશ છે.
અને ટીકાકારો કહે છે કે ગેરકાયદે રહેતા લોકોની નાગરિકતા નક્કી કરતી વખતે ધર્મને માપદંડ તરીકે ન રખાય અને તેને કાયદાનું સ્વરૂપ ન અપાય. તે સંકુચિતતા, છીછરાપણું અને ધર્મદ્વેષને કાયદેસર માન્યતા આપવા બરાબર થાય.

સમર્થકોને લાગે છે કે મુસલમાનોને બાકાત રાખ્યા તેમાં આટલો હોબાળો શાનો? એ તો એ જ દાવના છે. અને બાકીના દેશોને બાકાત રાખ્યા એમાં તમારું શું જાય છે? એમને ઠીક લાગે તે કરે.
ટીકાકારોને લાગે છે કે આ કાયદો ભારતને સંકુચિત, ધર્મના આધારે વિભાજન કરનાર અને એવો કાયદો કરવામાં ગૌરવ અનુભવનાર દેશ બનાવે છે. અમારો દેશ આવો સંકુચિત ન હોય. તેમાં દેશની મૂળભૂત સર્વસમાવેશકતાના પાયામાં કાયદેસર રીતે ઘા વાગે છે. (કાયદેસર રીતે-એ શબ્દ ખાસ નોંધવો) અને શાસકો તેમને ઠીક લાગે તે કરે એ તો તેમણે કરી જ દીધું છે. પણ ત્યાર પછી નાગરિકો તેનો જોરદાર વિરોધ પણ કરે. જેટલો શાસકોને, તેટલો જ નાગરિકોને અધિકાર છે.

સીએએ-તરફીઓ કહે છે કે સીએએ-વિરોધીઓ ગેરકાયદે મુસલમાનોની તરફેણ કરે છે. તેમને નાગરિકતા અપાવવાની વાત કરે છે. એટલે કે વિરોધીઓ તટસ્થ નથી. મુસ્લિમતરફી છે. વડાપ્રધાનથી માંડીને સીએએ-તરફીઓ એમ પણ કહે છે કે વિરોધીઓ પાકિસ્તાનના પીડિત હિંદુઓને નાગરિકતા આપવાનો વિરોધ કરે છે. હિંદુ-શીખોને નાગરિકતા આપવાનું તો ગાંધીજીએ પણ કહ્યું હતું
સીએએના વિરોધીઓ કહે છે કે અમે કોઈની તરફેણ, કોઈનો વિરોધ કરતા નથી. અમારી વાત એટલી છે કે નાગરિકતા આપતી વખતે ધર્મના આધારે ભેદભાવ પાડીને, અમુકને આપો ને અમુકને ન આપો, એવું ન ચાલે. એટલે ટીકાકારો પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા આપવાનો વિરોધ કરે છે, એ વડાપ્રધાનનું જૂઠાણું છે. વાતને બીજા પાટે લઈ જવાની તરકીબ છે. (તે વારે ઘડીએ પાકિસ્તાનનું રટણ કેમ કરે છે અને બાંગલાદેશ-અફઘાનિસ્તાનનો ઉલ્લેખ જ કેમ નથી કરતા, એ વળી જુદો સવાલ છે.) એવી જ રીતે, ગાંધીજીનું વડાપ્રધાને-ભાજપે ટાંકેલું અવતરણ પણ જૂઠાણું હતુ. આ અભિપ્રાય નથી. અધિકૃત ગાંધીસાહિત્યના આધારે પુરવાર થયેલી હકીકત છે.

સીએએ-તરફીઓ અને તરફીઓના નેતાઓ કહે છે કે આ કાયદાથી કોઈ ભારતીયની નાગરિકતા છીનવાતી નથી. વિરોધીઓ ખોટો પ્રચાર કરે છે.
સીએએ-વિરોધીઓ કહે છે કે ૧) આ કાયદો ભારતીય નાગરિકો માટે હતો જ નહીં. એટલે તેમાં ખોટેખોટો ખુલાસો આપીને ધ્યાન બીજે ખેંચવાની જરૂર નથી. જે લોકો ગેરકાયદે રહે છે તેમને નાગરિકતા આપવા માટે તે હતો અને તેમાં તમે ધર્મના આધારે ભેદભાવ પાડ્યા કે નહીં? મૂળ મુદ્દો એ છે. તેને ગુપચાવો નહીં. ૨) સીએએને એનઆરસી સાથે જોડવામાં આવે ત્યારે તેની દેશવ્યાપી ભેદભાવકારી અસરોની સંભાવના રહે છે. (સંભાવના એટલા માટે અને ખાતરી એટલા માટે નહીં, કારણ કે એક તો સરકાર ફોડ પાડતી નથી અને ફોડ પાડ્યા પછી ગૃહપ્રધાન-વડાપ્રધાન કક્ષાના લોકો ફરી જાય છે.) સરકાર કહે છે કે સીએએ-એનઆરસી વચ્ચે સંબંધ નથી, પણ સંસદની ચર્ચામાં બંને વચ્ચેનો સંબંધ સ્પષ્ટ રીતે સ્થાપિત થયેલો છે. આમ સરકાર આ બાબતે પણ જૂઠું બોલે છે.
આ અભિપ્રાય નથી, ઉપલબ્ધ હકીકતોની તટસ્થ તપાસનું તારણ છે, જે કોઈ પણ વ્યક્તિ ચકાસી શકે છે.

વર્લ્ડ વ્યૂની ઓવરહેડ ટાંકી, તટસ્થતાની ચકલી 
તમે જોશો કે ઉપર મુકેલી તરફીઓ અને વિરોધઓની સામસામી દલીલો સાવ જુદા પ્રકારની છે. તેમની વચ્ચે કશી સામાન્ય ભૂમિકા નથી. તેના મૂળમાં તટસ્થતાનો મુદ્દો આવતો જ નથી. તટસ્થતા એ રસોડામાં મૂકેલી પાણીની ચકલી છે. તેમાં પાણી તો ઓવરહેડ ટાંકીમાંથી આવે છે ને એ ટાંકી એટલે વ્યક્તિનો વર્લ્ડ વ્યૂ, વિચારવલણો, સમજ, સંવેદનશીલતા, ગમા-અણગમા... ઓવરહેડ ટાંકીમાં પાણી બદલાશે એટલે ચકલીમાં આવતું પાણી આપોઆપ બદલાશે. વિચારવલણો બદલાશે એટલે તટસ્થતાની સમજ પણ બદલાશે. (હા, ટીકા કે પ્રશંસા કરનારા બધા વર્લ્ડ વ્યૂની સ્પષ્ટતા ધરાવે છે, એવું કહેવાનો કોઈ આશય નથી. પરંતુ સારા લખનારાનું કામ લોકોનાં વિચારવલણો-વર્લ્ડ વ્યૂ માનવતા-સામાજિક ન્યાય-સંવેદનશીલતાની દિશામાં ઢળતાં હોય તે માટે પ્રયાસ કરવાનું હોવું ઘટે. અગાઉની પોસ્ટમાં પિઝાના ઢળતા મિનારાની વાત કરી હતી તે.)

તો મામલો છે બે (કે વધુ) વર્લ્ડ વ્યૂના ટકરાવનો. તેના ગુણદોષ નક્કી કરવા માટે તટસ્થતાનું ત્રાજવું નહીં ચાલે. એ તો ફૂટપટ્ટીથી દૂધ માપવા જેવું થશે. તેના માટે દેશભક્તિ, રાષ્ટ્રવાદ, ન્યાયીપણું, માનવતા, ધર્મદ્વેષ, જાતિદ્વેષ, વ્યક્તિપૂજા જેવા ઘણા ખ્યાલ તપાસવાના થશે. સીએએ વિશે જુદા અભિપ્રાય ધરાવનારા લોકો પોતે આ બધી બાબતોમાં ક્યાં ઊભા છે, તેના આધારે તે વિગતોનો તોલ કરશે (અથવા નહીં કરે) અને પોતાના તટસ્થ અભિપ્રાય બાંધશે.

એકથી વધુ વાર સીએએના મુદ્દે સરકાર જૂઠું બોલતાં પકડાશે, ત્યારે પણ મોટા ભાગના સરકારતરફીઓ કે સરકારના ટીકાકારોના ટીકાકારો તે સ્વીકારશે નહીં કે સરકાર આ મુદ્દે જૂઠી છે.
એ લોકો આ મુદ્દો ગુપચાવીને બીજો મુદ્દો લઈ આવશે. કારણ કે તેમની ઓવરહેડ ટેન્કમાં કંઈક જુદું ભરેલું છે. તેનાથી દોરવાઈને એ લોકો આક્રમક બનશે. જૂઠા સાબીત થઈ ચૂકેલા વડાપ્રધાન-ગૃહપ્રધાનને જે જૂઠા કહેશે, તેમને તરફીઓ કહેશે,તમે તો પૂર્વગ્રહયુક્ત છો. તટસ્થ નથી..

એવા તટસ્થ નથી થાવું, ઠાકોરજી...

તરફીઓ-વિરોધીઓ વચ્ચેનો તફાવત
નરેન્દ્ર મોદીના પ્રેમીઓ કે ડાબેરીઓના-કોંગ્રેસીઓના વિરોધીઓ સરવાળે એક જ ખાનામાં ગોઠવાઈ જાય ને એવી રાજકીય ધ્રુવીકરણની રચના છે. સામે પક્ષે નરેન્દ્ર મોદીના ટીકાકારો કોઈ એક ખાનામાં ગોઠવાતા નથી. તેમનામાં અનેક પેટાપ્રકાર હોય છે અને રહે છે. તેમને સગવડ પ્રમાણે અને શબ્દોના અર્થ સમજવાની પળોજણમાં પડ્યા વિના કોંગ્રેસી, આપવાળા, ડાબેરી, લેફ્ટ લિબરલ, અર્બન નક્સલ, દેશદ્રોહીઓના સાથી—જેવાં લેબલ આપી દીધાં, એટલે પત્યું. પછી તેમણે જે મુદ્દે ટીકા કરી, તેની ખરાઈમાં કે ગંભીરતામાં ઉતરવાની જરૂર પડતી નથી.

તેના કારણે કેવો ફરક પડે છે, તે સમજુ, સ્વસ્થ (કે એવા રહેવા ઇચ્છતા) લોકોએ સમજવા જેવું છેઃ ઉત્સાહથી કે જાણેઅજાણે મોદીછાવણીમાં પહોંચી ગયેલા લોકો છેવટે યોગી આદિત્યનાથ જેવાની સંકીર્ણ અને લગભગ ગુનાઇત માનસિકતાનો બચાવ કરતા નજરે પડે છે. ફક્ત ડાબેરી કે કોંગ્રેસી જેવા વિરોધી રાજકીય મતની ટીકાથી મોટા ભાગના લોકો અટકી શકતા નથી. તે ધીમે ધીમે કરતાં આટલા તળીયે પહોંચી જાય છે. તેમના પ્રિય નેતાઓનું જૂઠાણું ગમે તેટલું પકડાઈ જાય, તો ચૂપ રહેવા જેટલી સામાન્ય સમજ પણ તેમનામાં બચતી નથી. શરમના માર્યા બચાવ કે વળતો પ્રહાર ન કરે ત્યાં સુધી તેમને ચેન પડતું નથી. તેમને પોતાની છાવણી દ્વારા આચરાયેલાં મસમોટાં અનિષ્ટોથી તકલીફ નથી પડતી કે અકળામણ નથી થતી, પણ ટીકાકારોની છાવણીમાંથી પ્રહાર કરવા માટે કંઈક મળે, ત્યારે સારું લાગે છે. ટીકાકારો કેવા અ-તટસ્થ છે, એમ કહેવાથી તેમને પોતે તટસ્થ હોવાની કીક આવે છે. જમણેરી છાવણીમાં રહેલા મોટા ભાગના લોકો આ સ્થાનેથી શરૂઆત કરે છે અથવા થોડા વખતમાં ત્યાં પહોંચે છે.

બીજી તરફ, પ્રમાણભાન ભૂલેલા જમણેરી-વિરોધીઓ (તથાકથિત લેફ્ટ લિબરલો)માથી કોંગ્રેસ-આપ-ડાબેરીઓ કે મમતાની ભૂલોનો બચાવ કરનારાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. એ સાવ શૂન્ય હોવું જોઈએ અને જેટલું છે તેની ટીકા થવી જોઈએ. પણ તેને બદલે એવા થોડા હોય તેમને આખા સમુહના પ્રતિનિધિ ગણાવીને, બધા કથિત લેફ્ટ લિબરલોને શાબ્દિક ધોકા મારવાની જમણેરી જૂથોને મઝા પડી જાય છે.

તે એ નથી સમજી શકતાં કે મોદી-શાહ-આદિત્યનાથ એન્ડ કંપનીની કડક ટીકા કરનારામાંથી મોટા ભાગના લોકો રાહુલ ગાંધી-સોનિયા ગાંધીનો કે મમતાનો કે કેજરીવાલનો બચાવ કરવા દોડી જતાં નથી. જમણેરી વિચારધારાના ટીકાકારોમાંથી મોટા ભાગના મોદી-શાહની સાયબરગેંગની જેમ, એક જૂથ તરીકે વર્તતા નથી-વર્તી શકતા નથી. તેનો સૌથી મોટો ફાયદો ભાજપને થાય છે. છતાં (કે એટલે જ) તે આ વાતને જાહેરમાં પ્રસરવા દેતા નથી અને બધા વિરોધીઓને એક રંગમાં રંગવાનું ચાલુ રાખે છે.  

જમણેરી જૂથો ટીકાકારોને શરમમાં નાખવા માટે તટસ્થતાના નામે વિવિધ જૂની અને જાણીતી તરકીબો અપનાવે છે. તે પણ સમજી લેવા જેવી છે.
૧) તમે કાયમ મોદીની ટીકા જ કર્યા કરો છો. એટલે તમે તો પૂર્વગ્રહપ્રેરિત છો.
આવી દલીલ બે પ્રકારનાં જૂથો દ્વારા થાય છેઃ સર્ટિફાઇડ મોદીપ્રેમીઓ કે જમણેરીઓ અને પોતાની તટસ્થતાના પ્રેમમાં પડેલા લોકો.
આવી દલીલનો સાદો જવાબ એટલો જ છેઃ મારી વાત તથ્યાત્મક રીતે ખોટી છે કે સાચી? ખોટી હોય તો કહો. પાછી ખેંચી લઈશ. અને સાચી હોય તો તમે સ્વીકારશો?

૨) તમને કોંગ્રેસનું ખરાબ તો દેખાતું જ નથી.
ચોક્કસ ઉદાહરણથી વાત કરું. મારા કિસ્સામાં આવું કહેનારાં લોકો પહેલેથી નક્કી કરીને બેઠેલા છે કે હું કોંગ્રેસ પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવું છું.
આવું તેમણે શા પરથી નક્કી કર્યું હશે? સિમ્પલઃ હું મોદીની આપખુદશાહી, ઉદ્ધતાઈ, ભપકાબાજી અને કોમવાદી નીતિઓની સતત ટીકા કરતો હોઉં, એટલે હું તો કોંગ્રેસી જ હોઉં ને?
આવું કહેનારા લોકો કેન્દ્રમાં યુપીએની સરકાર વખતે થયેલાં કૌભાંડો વિશેનાં મારાં લખાણ કે એ સિવાય રાહુલ ગાંધીની અનિર્ણાયકતા સહિતનાં બીજાં ટીકાત્મક લખાણ વાંચવા માગતા નથી ને વાંચે તો એ યાદ રાખવા માગતાં નથી. કેમ કે, (અત્યારે, શરૂઆત તરીકે) તેમની અપેક્ષા એવી છે કે હું મોદીની કરું એટલી જ ટીકા બીજા પક્ષોની કરું.
હું એવું નથી કરતો એટલે હું તટસ્થ નથી. પણ આવા લોકોની તટસ્થતાનાં પ્રમાણપત્રો મેળવવાના રવાડે ચડ્યા તો ખોવાઈ ગયા સમજવું. કેમ કે તેમને રીઝવવાના મિથ્યા પ્રયાસમાં ૯૦ વાર મોદીનાં વખાણ કર્યા પછી ૧૦ વાર ટીકા કરશો તો પણ તમને તટસ્થતાનું પ્રમાણપત્ર નહીં જ મળે. ત્યારે તમારી ટીકાના સંદર્ભે તે તમને રાષ્ટ્રહિત ને કોણ જાણે શું નું શું સમજાવશે.ગુલાબી હાથી કરડ્યો હોય તે જ આવાં પ્રમાણપત્રોની ચિંતા કરે ને તે મેળવવાની કોશિશ કરે.  

૩) તમે મોદીસાહેબની સરખામણીમાં બીજાની ટીકા સાવ થોડી કરો છો. એ દર્શાવે છે કે તમે તટસ્થ નથી.
કેટલાક વળી એવું સ્વીકારનારા નીકળે છે કે તમે ટીકા તો બંનેની કરો છો, પણ ભાજપની બહુ ટીકા કરો છો.
આ વાત સાચી છે. કારણ કે, મારે રાજકીય લખાણો લખવાનું નરેન્દ્ર મોદીના સમયગાળામાં થયું. તેમાં એ સૌથી મોટા વિભાજક બનીને ઉભર્યા. એટલે તેમની વિભાજક નીતિઓ વિશે સૌથી વધારે લખવાનું થાય. નરેન્દ્ર મોદી કદાચ બિહાર કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી હોત તો તેમના વિશે એટલું લખવાનું ન થાત. પણ એ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ને હું ગુજરાતનો નાગરિક. એમાં એ શું કરે ને હું પણ શું કરું? એ તમામ સમયગાળામાં કદી કોંગ્રેસનાં વખાણ કરવાનું થયું નથી. કેન્દ્ર વિશે લખવાનું થાય ત્યારે યુપીએ સરકારની નીતિઓની ટીકા કરવાની થતી જ રહી છે.  
સાથોસાથ, આવું કહેનારાએ એ યાદ રાખવું જોઈએ કે નજીકના ભૂતકાળ વિશે લખવાનું થયું, ત્યારે વિશ્લેષણના આધારે ઇંદિરા ગાંધી કે રાજીવ ગાંધીની કડક ટીકા કરતાં કદી ખચકાટ થયો નથી. (મઝાની વાત એ છે કે નરેન્દ્ર મોદી ઇંદિરા ગાંધીના મોડેલ પ્રમાણે ચાલે છે અને કેટલા બધા કોંગ્રેસીઓને તેમણે ભાજપમાં લઈ લીધા છે. તે તટસ્થતાના પ્રેમીઓના મનમાં ભાગ્યે જ વસે છે.)

૪) તમને તો આ સરકારનું કશું સારું દેખાતુ્ં જ નથી. તમે બહુ નેગેટીવ છો.
તેમને એ વાંધો નથી કે આ સરકારના હાથી જેવડા દુર્ગુણ તેમને દેખાતા નથી. તેમની તટસ્થતાને એવી અપેક્ષા છે કે હું સરકારના છૂટાંછવાયાં કીડી જેવડાં સારાં પગલાંની પણ પ્રશંસા કરતી પોસ્ટ લખું.

એક વાત છેઃ મારે રોજેરોજ લખવાનું થતું હોય, ત્યારે મારે સરકારની રોજિંદી બાબતો વિશે કંઈક કહેવાનું થાય. જેમ કે, તંત્રીલેખ લખતી વખતે. એ સમયે એવું બન્યું જ છે કે સરકારના કોઈ પગલાની સાથે ઊભા રહેવાનું થાય. પરંતુ એવી રોજેરોજની, દરેક બાબતો વિશે ન લખતો હોઉં (અરે, ટીકાને લાયક બધી બાબતો વિશે પણ ન લખતો હોઉં) ત્યારે, તટસ્થ દેખાવા ખાતર રોજિંદી કામગીરીની સારપો શોધી કાઢવાનો કશો મતલબ નથી. એને તટસ્થતા ન કહેવાય. એને લોકલાગણી સંતોષવાની કવાયત કહેવાય. હું એ ધંધામાં નથી.

--અને તથ્ય આધારિત વિશ્લેષણ સાચું છે કે ખોટું, એ કહેવાને બદલે તેને નેગેટીવ કહેવું એ સાદા અરીસાને કદરૂપો કહેવા જેવું છે. પણ એવી ફેશન નીકળી છે કે જે ટીકા અનુકૂળ ન હોય તેને નેગેટીવનું લેબલ મારી દેવું.
તેનાથી બે કામ થાયઃ એક, આપણે બહુ પોઝીટીવ છીએ એવું દેખાડી શકાય. બીજું, અણગમતી સચ્ચાઈ સ્વીકારવામાંથી બચી જવાય અથવા અણગમતી સચ્ચાઈથી અકળાતા વર્ગને નારાજ કરવામાંથી બચી જવાય. એ થઈ ધંધો બગાડ્યા વગરની, માર્કેટિંગ-ફ્રેન્ડલી તટસ્થતા

માર્કેટિંગ ફ્રેન્ડલી તટસ્થતા
લખવામાં એ કેવી રીતે અપનાવાય? એક રીત કંઈક આવી છેઃ
મોટી સંખ્યામાં રહેલા વાચકો નારાજ ન થાય તેનું ધ્યાન રાખીને, સતિ સાવિત્રીના સંવાદો બોલતાં બોલતાં સ્ટ્રીપટીઝ ચાલુ રાખવાની. કોઈ કાંઠલો પકડે તો સતિના સંવાદ સંભાળાવી દેવાના. કાંઠલો ન પકડે તો સ્ટ્રીપટીઝ જોઈને વાહ વાહ કરનારાની ક્યાં કમી છે?
સરકારી રાહે એન્કાઉન્ટર ચાલતાં હોય ત્યારે એન્કાઉન્ટરબાજ વણઝારા પર શાબ્દિક ફુલ વેરી આવવાનાં ને બીજી ઓક્ટોબર આવે એટલે ગાંધીને પણ અંજલિઓ આપી દેવાની. આપણે તો ભાઈ મૂલ્યોની સાથે ને સ્ટેન્ડની સાથે શી લેવાદેવા? આપણે ભલા ને આપણી લોકપ્રિયતાની દુકાન ભલી. આપણો ધંધો ચાલતો રહેવો જોઈએ.
આ તરકીબને બજારુપણું કહેવાય, એવી ઝાઝા લોકોને ખબર ન પડવી જોઈએ. એટલા માટે, જાતે જ તેને તટસ્થતા તરીકે ઓળખાવી દેવાની.
પણ પોતાના મનમાં તો ખબર છે કે આ તટસ્થતા નથી, સ્ટ્રીપટીઝ છે. એટલે પછી પોતાની જાતનું નિયમીત રીતે, સતત, અવિરત વીર સાચું કહેવાવાળા તરીકે પ્રોજેક્શન કરતા રહેવાનું.
દેશમાં આટલાં મોટાં મોટાં જૂઠાણાં ચાલી જાય છે, તો આટલું જૂઠાણું નહીં ચાલે?
ચાલશે જ. ચાલે જ છે ને...
સવાલ તમારે એ ચલાવવું છે કે નહીં એનો છે.
તમે એ ચલાવી લો તો તમે તટસ્થ,
પણ એ જૂઠાણાને તમે જૂઠાણું કહો તો...
સોરી, તમે પૂર્વગ્રહપ્રેરિત છો, બાયસ્ડ છો, નેગેટીવ છો, તટસ્થ નથી.