Wednesday, April 29, 2015

એક ડમી ચર્ચા

મથાળામાં એક ડમીએવો પ્રયોગ વાંચીને કોઇને અકાદમીએટલે કે ગુજરાત સાહિત્ય અકાદમીયાદ આવી હોય તો નવાઇ નહીં.  સાહિત્યથી દૂર ન થઇ જવાય એ માટે સાહિત્યિક સંસ્થાઓથી દૂર રહેતા, આમ અજ્ઞ છતાં ખરેખર સુજ્ઞ લોકોને જણાવવાનું કે ગુજરાતમાં એક સાહિત્ય અકાદમી છે. તેના એક મુખિયા--મહામાત્ર--હોય છે. મહામાત્રશબ્દના અર્થમાં વજન મહાપર છે કે માત્રપર, એ ચર્ચનીય મુદ્દો છે. એ તરફ ફંટાવાને બદલે, જનહિતાર્થે એ સ્પષ્ટતા કરવી જોઇએ કે સાહિત્ય અકાદમી એટલે સાહિત્ય પરિષદ નહીં.

બન્ને સાહિત્યસંસ્થાઓ દૂરના ગાંધીસંબંધે જોડાયેલી છે. પરિષદ અમદાવાદમાં આશ્રમમાર્ગ પર આવેલી છે, જ્યાંથી કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરુંએવી પ્રતિજ્ઞા સાથે ગાંધી દાંડી જવા નીકળ્યા હતા. અકાદમી ગાંધીનગરમાં છે. તેની સ્વાયત્તતાને પહેલાં સાહિત્યકારોની જૂથબંધીએ અને પછી સરકારે કાગડા-કૂતરાના મોતે ઑલરેડી મારી દીધેલી છે. હવે  ‘...અકાદમીની સ્વાયત્તતા લીધા વિના પાછો નહીં ફરુંએવી પ્રતિજ્ઞા સાથે આશ્રમરોડથી ગાંધીનગર સુધીની કૂચ થાય, તેની રાહ જોવાઇ રહી છે.

ઘણાને સવાલ થાય છે : સાહિત્ય અકાદમી સ્વતંત્ર શા માટે હોવી જોઇએ?’ કેટલાકને તેનાથી પણ વધારે પાયાનો સવાલ થાય છે : અકાદમી શા માટે હોવી જોઇએ? હોવી જ શા માટે જોઇએ?’ તેના એકાધિક જવાબ છે : સાહિત્યની સંસ્થાઓ--અને સાહિત્યની સરકારી સંસ્થાઓ તો ખાસ--લોકોને થાળે પાડવા અને ક્યારેક ઠેકાણે પાડવા માટે ઉપયોગી નીવડી શકે છે. અકાદમી હોય કે પરિષદ, સ્વાયત્ત હોય કે પરાધીન, તેમની સૌથી મોટી સામાજિક સેવા એ છે કે તેના કારણે ઊંચા ગજાની રાજકીય પ્રતિભા ધરાવનારા લોકોને, સક્રિય રાજકારણમાં ગયા વિના જ, રાજકાજના દાવપેચની કીકમળી જાય છે-- જેમ નિર્દોષબીડી પીવાથી નિકોટીન વિના ધુમ્રપાનનો આનંદ પ્રાપ્ત થાય છે. સાહિત્યસંસ્થાઓનું રાજકારણ નિકોટીનરહિત બીડી જેવું નિર્દોષહોતું નથી, એ જુદી વાત છે.

નો લન્ચ ઇઝ ફ્રીએવી અંગ્રેજી કહેણી પ્રમાણે, સાહિત્યના રાજકારણની સીધી--એટલે કે અવળી--અસરો સમાજ પર જરૂર પડે છે. પરંતુ તુલનાત્મક અઘ્યયનના અંદાજમાં જોઇએ તો, સાહિત્ય સંસ્થાઓના રાજકારણથી સમાજને થતા નુકસાન કરતાં, સાહિત્યિક રાજકારણના ખેલાડીઓ સક્રિય રાજકારણમાં ન ગયા તેના લીધે સમાજને થયેલો ફાયદો વધારે હોય છે. સાર : સાહિત્યિક સંસ્થાઓમાં ચાલતાં ખટપટ, જૂથબંધી અને રાજકારણ સમાજના સ્વાસ્થ્ય માટે ઉપકારક છે. તેની ટીકા કરનારને સમાજના હિતશત્રુ ગણવા જોઇએ.

ફેસબુકના જમાનામાં સૌ જાણે છે કે સાહિત્યતો કોઇ પણ લખી શકે છે, પરંતુ સાહિત્યનું રાજકારણ ખેલવા માટે અને એ રાજકારણ નહીં, પણ સાહિત્યસેવા છે, એવું સિદ્ધ કરવા માટે જરૂરી સર્ગશક્તિ-સર્જકતા બધામાં નથી હોતાં. આવી શક્તિ ધરાવતા પ્રતિભાવંતો અકાદમીની સ્વાયત્તતાને અને તેના અભાવને સમદૃષ્ટિથી જોઇ શકે છે. તેમના માટે સ્વાયત્તતા નહીં, પણ સ્વાર્થ અગત્યનો છે. અહીં સ્વાર્થશબ્દને પ્રબુદ્ધ સ્વાર્થ’ (એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ)ના અર્થમાં લેવાનો. કારણ કે આ સજ્જનો હરહંમેશ સાહિત્યનું, સાહિત્યિક સંસ્થાઓનું અને તેમાં પોતાના પ્રભાવનું  ચિંતવન કરતા રહે છે. તેમનું આખું અસ્તિત્ત્વ સંસ્થામય થાય કે ન થાય, પણ સંસ્થાનું આખું અસ્તિત્ત્વ તેમના મય થઇ શકે છે. મહિમા તો અંતે એક થયાનો છે. સંસ્થા વ્યક્તિ બને કે વ્યક્તિ સંસ્થા, એ ગૌણ ભેદ છે.

ઘણાને ખ્યાલ નથી હોતો કે અકાદમી જેવું કંઇક છે. પરંતુ તેના અસ્તિત્ત્વથી વાકેફ લોકોમાંથી કેટલાકને લાગે છે કે અકાદમી સ્વાયત્ત હોવી જોઇએ. ઘણા સંતોષી જીવોની લાગણી, એક શેરમાં થોડા ફેરફાર સાથે, કંઇક આ રીતે મૂકી શકાય :હું ક્યાં કહું છું, અકાદમી સ્વાયત્ત હોવી જોઇએ/ પણ જો હોય એ સરકારી, તો બસ વ્યથા થવી જોઇએ’. સ્વાયત્તતાની માગણી કરનારામાંથી કેટલાક સજ્જનો અકાદમીમાં કે પરિષદમાં એકહથ્થુ વર્ચસ્વસામે બાંયો ચડાવવા ઉત્સુક હોય છે. તેમના અંતઃસ્થલમાં વહેતા પ્રવાહોનું ધીરગંભીર ચિત્તે અવગાહન કરતાં -- એટલે કે વિચારતાં-- શંકા જાગે છે કે તેમને વાંધો શાની સામે છે? ‘એકહથ્થુ વર્ચસ્વસામે કે પોતાના જૂથનું એકહથ્થુ વર્ચસ્વ નથી એની સામે?

વ્યંગસાહિત્યમાં શિરમોર હિંદી નવલકથા રાગ દરબારીમાં કેટલાક અસંતુષ્ટ જૂથના અઘ્યાપકો કૉલેજના ટ્રસ્ટીને જઇને કહે છે,‘લોકોના રૂપિયા આવી રીતે બરબાદ થાય, એ અમારાથી ખમાતું નથી.જમાનો જોઇ ચૂકેલો ટ્રસ્ટી વળતો સવાલ કરે છે,‘આવી રીતે નહીં, તો કેવી રીતે બરબાદ થવા જોઇએ? લોકોના રૂપિયા બરબાદ થવાના એ તો નક્કી છે.સાહિત્યિક સંસ્થાઓમાં જૂથબંધી ચાલવાની એ પણ નક્કી જ છે. સવાલ એ છે કે કયા જૂથને જૂથબંધી ચલાવવાની સ્વાયત્તતામળવી જોઇએ?

અણુમતીમાં રહેલો એક વર્ગ ઇચ્છે છે કે અકાદમી અને પરિષદ પર કોઇનું --અમારું સુદ્ધાં--વર્ચસ્વ ન હોવું જોઇએ. બહોળું સામાજિક પ્રતિનિધિત્વ ધરાવતા, ચૂંટાયેલા સભ્યો લોકશાહી ઢબે કામ કરે એટલે ઘણું. પણ આવી બોરિંગવાતના ખાસ લેવાલ ન મળે એ સ્વાભાવિક છે.

અકાદમીની સ્વાયત્તતા માટેની ઝુંબેશ સરકારી તંત્રને (કલમના) સિપાહીઓનો બળવોલાગી શકે અને ઝુંબેશકારો તેને સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે ખપાવે છે. એટલા જૂના ઇતિહાસમાં ન જવું હોય અને ભાજપી પરંપરા પ્રમાણે, ઇતિહાસની શરૂઆત ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીથી કરવી હોય, તો અકાદમીની સ્વાયત્તતા છીનવી લેવાના પગલાને અકાદમીના બરની અને તેના સ્તરની કટોકટી કહી શકાય.

ખરું પૂછો તો રાજ્ય સરકારના પેટમાં પાપ નથી. સરકાર જાણે છે કે અકાદમી સ્વતંત્ર કરીશું, તો સાહિત્યકારો ફરી એક વાર અકાદમીના રાજકારણમાં સક્રિય બનશે. એના બદલે સરકાર ઇચ્છે છે કે સાહિત્યકારો કેવળ સાહિત્યસેવા કરે, સરકારી રાહે ઇનામો લે, સરકારી અકાદમીની આર્થિક મદદથી રાષ્ટ્રિય (એટલે કે એકાદ હિંદી ભાષી વક્તા ધરાવતા) અને આંતરરાષ્ટ્રિય (એકાદ બિનનિવાસી ગુજરાતી વક્તા ધરાવતા) સેમિનાર યોજે, તેમાં ભાગ લેનારાને જમાડે અને ટીએ-ડીએ આપીને એવા સંતુષ્ટ કરે કે સરકાર તેમને સગી મા લાગે ને સ્વાયત્તતા સાવકી.

અકાદમી સ્વાયત્ત થાય, તો તેમાં ચૂંટાયેલા સાહિત્યકારોને સરકાર સામે ઊભા થવાના કે બોલવાના--ટૂંકમાં મનદુઃખ થાય એવા પ્રસંગ આવે. આપણી સાહિત્યકારવત્સલ સરકાર સાહિત્યકારોને દુઃખી જોવા માગતી નથી--સ્વાયત્તતા આપીને તો નહીં જ. એ સ્વાયત્તતા આપે ને પછી અકાદમીમાં કંઇ આડુંઅવળું થાય, તો એવું કહેવાય કે સરકારે સ્વાયત્તતા આપી ને આ થયું.એને બદલે ન કહીં જનાજા ઉઠતા, ન કહીં મજાર હોતાએવી ગાલિબપંક્તિની જેમ, ન હોય સ્વાયત્તતા, તો ન થાય એનું દુઃખ.

હા, અકાદમી સ્વાયત્ત નથી એનું દુઃખ કોઇને થઇ શકે. પણ એવા લોકોને દુઃખી થવાની ટેવ હોય છે. સરકારે પાણીના ભાવે તાતાને જમીન આપી દીધી ત્યારે પણ એ લોકો દુઃખી થયા હતા, ગુજરાતમાં કોમી હિંસા વખતે પાઠ શીખવાડી દેવા બદલરાજી થવાને બદલે, એ લોકો દુઃખી થાય છે, ગુજરાતના ઉદ્યોગપતિઓનું નામ દેશવિદેશમાં થાય એમાં પણ આ લોકોને પેટમાં દુઃખે છે...આ લોકો તો સ્યુડો સેક્યુલરિસ્ટ, હિંદુવિરોધી અને ગુજરાતવિરોધી છે. તેમને ધમકાવીને કહી શકાય કે જાવ, પહેલાં કાશ્મીરની સાહિત્ય અકાદમી સ્વાયત્ત કરાવીને લાવો.

અકાદમીના સરકારીકરણથી નારાજ લોકો સવાલ કરે છે : સરકારને સાહિત્ય સાથે શી લેવાદેવા? એને સાહિત્યમાં શી ખબર પડે? એણે શા માટે આ બાબતમાં માથું મારવું જોઇએ?’

આ સવાલો પહેલી નજરે લોકશાહીમિજાજના પરિચાયક લાગી શકે, પણ તેમાં ભારોભાર બાલીશતા અને લોકશાહી વિશેની અણસમજ ભરેલાં છે. આવા સવાલ પૂછનારાને ખબર નથી કે લોકશાહીમાં પૂર્ણ બહુમતી ધરાવતી સરકાર સર્વશક્તિમાનથી જરાક જ ઉતરતી ગણાય. આ સૃષ્ટિ મઘ્યે એવો કયો વિષય હશે, જેમાં સરકારને ખબર ન પડતી હોય? આખરે, સિવિલ સર્વિસના અફસરોની પરીક્ષાઓ આટલી અઘરી કેમ રાખવામાં આવે છે? અને તેમાં ભણતર દરમિયાન નકામોગણાયેલો ભાષાનો વિષય પણ કેમ રાખવામાં આવે છે? કારણ કે દીર્ઘદૃષ્ટા સરકાર જાણે છે : જતા દિવસે આ જ અફસરોને સાહિત્ય, સંગીત, નૃત્ય અને કળાની અકાદમીઓનો વહીવટ કરવાનો આવે, તો ગુણવત્તાભાસ ટકી રહેવો જોઇએ.


ભવિષ્યમાં સિવિલ સર્વિસમાં અકાદમી કૅડરઅલગ પાડવામાં આવે અને તેના ઉમેદવાર માટે (નબળી) કવિતાશક્તિ અનિવાર્ય બનાવવામાં આવે તો નવાઇ ન લાગવી જોઇએ.

Saturday, April 25, 2015

નેટ ન્યૂટ્રાલિટી : વિવાદોમાં અટવાયેલી વાસ્તવિકતા

રેડિયો અને ટીવી જેવી શોધો થયા પછી તેમાં ‘ઉત્ક્રાંતિ’ની, સુધારા-વધારાની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલુ રહી. તેની ઝડપ એવી હતી કે આ શોધોનાં પરિણામો, અસરો અને આડઅસરો સમજવાનો ઠીક ઠીક સમય મળે. તેમની ઉત્ક્રાંતિની દિશા પણ અણધારી કે ઉંઘતા ઝડપી લેનારી ન હતી.

ઇન્ટરનેટ એ બાબતમાં જુદું પડ્યું છે. ૧૯૯૦ના દાયકામાં મોટા પાયે તેનો પહેલો વિસ્ફોટ થયો. ત્યારથી શરૂ થયેલી નેટની ઉત્ક્રાંતિ ગતિ સમય જતાં (રેડિયો કે ટીવીની જેમ) ધીમી પડવાને બદલે, વઘુ ને વઘુ ઝડપી તેમ જ અકળ બની રહી છે. સહેજ અતિશયોક્તિ સાથે કહી શકાય કે અગાઉની શોધોનું કામ બંદૂકની ગોળી કે બહુ તો અંધાઘૂંધ ગોળીબાર જેવું હતું. તેની ક્યાં, કેવી અસર થઇ એ શોધવાનું પ્રમાણમાં ઓછું કપરું હતું. પણ ઇન્ટરનેટને આ બાબતમાં મહાવિસ્ફોટક બૉમ્બ સાથે સરખાવી શકાય. તેની કરચો કેટલી, કઇ દિશામાં ઉડી હશે ને તેણે કોને ‘ઘાયલ’ કર્યા હશે, એ સમજવું-શોધવું અઘરું પડે. આ ‘ધડાકા’ એક વારના હોય તો સમજ્યા, ઇન્ટરનેટના મામલે તો આગલા ધડાકાની અસરો વિશે સરખું જાણી શકાય, તે પહેલાં નવો ‘ધડાકો’ થાય છે--ટૅક્‌નોલોજી આગળ  વધે છે--અને તેની અસરોનો પાર પામવા માટે માથું ખંજવાળીને નવેસરથી શરૂઆત કરવી પડે છે.

બદલાતી ઇન્ફર્મેશન ટેક્‌નોલૉજી સાથે તાલ મિલાવીને નિયમો અને માળખાં ઊભાં કરવાનું સહેલું નથી. દા.ત. ૧૯૯૦ના દાયકાના અંતમાં ઇન્ટરનેટની પહેલી તેજી (‘ડૉટ કૉમ બૂમ’) આવી. ત્યારે વેબસાઇટો શરૂ કરવાની સાથોસાથ તેમનાં નામ નોંધાવી લેવાનો કસદાર ધંધો ચાલ્યો. કોઇ પણ વ્યક્તિ ફી ભરીને ‘વહેલા તે પહેલા’ના ધોરણે કોઇ પણ નામની વેબસાઇટ મેળવી શકે. ઘણા લોકોએ  જાણીતી કંપનીઓ અને હસ્તીઓનાં નામે સાઇટો રજિસ્ટર કરાવી દીધી. ‘સાયબર સ્ક્વેટિંગ’ તરીકે ઓળખાયેલી એ પ્રવૃત્તિને અટકાવતો કોઇ કાયદો ત્યારે ન હતો. મોડેથી જાગેલાં કંપની કે હસ્તી પોતાની વેબસાઇટ રજિસ્ટર કરાવવા જાય ત્યારે તેમને જાણ થતી કે તેમનું નામ વેચાઇ ચૂક્યું છે. ત્યાર પછી કેસ અદાલતમાં જાય કે ન જાય, મોટે ભાગે તો તોતિંગ રકમ ઢીલી કર્યા પછી જ પોતાના નામની સાઇટનો કબજો મળતો હતો.

નામોની ચાંચિયાગીરી અટકાવતી કાનૂની જોગવાઇ થોડા સમય પછી બની. ત્યાં સુધી ‘પીર ટુ પીર શૅરિંગ’ (વિવિધ વ્યક્તિઓ વચ્ચેની મફત આપ-લે)ના નામે ઇન્ટરનેટ પર ગીતો મફત ફરતાં થઇ ગયાં હતાં. ‘નૅપસ્ટર’ જેવી સાઇટની ઘૂમ હતી અને મ્યુઝિક કંપનીઓ રાતીચોળ થઇ રહી હતી. અદાલતમાં છેવટે ‘નૅપસ્ટર’ની હાર થઇ ને તેનાં પાટિયાં પડી ગયાં. પણ એ વાતના એકાદ દાયકા પછી, આજે ઇન્ટરનેટ પરથી ગીતો ખરીદનારા કેટલા? અને મફતમાં તેની મઝા માણનારા કેટલી મોટી સંખ્યામાં છે?  

સહેજ વિગતે આ ઉદાહરણો મૂકવાનું કારણ એ કે ઇન્ટરનેટનો પ્રસાર વઘ્યો, તેમ આ પ્રકારના અવળચંડા કિસ્સા વધતા રહ્યા છે. ઇન્ટરનેટની અણધારી દિશાઓ ઓછી હોય તેમ, એની સાથે મોબાઇલની ઉત્ક્રાંતિ ભળી. તેમની જુગલબંદીનાં એવાં પરિણામ આવી રહ્યાં છે કે તેનો પૂરેપૂરો તાગ પામવામાં - તેની સાથે પનારો પાડવામાં સરકારોને અને સમાજોને ફાંફાં પડી જાય. જેટલું સમજાય તેને અનુરૂપ કાયદા બને, પણ એ કાયદા ઠર્યા- ન ઠર્યા, ત્યાં તો ઉત્ક્રાંતિનો વઘુ એક કૂદકો આવે અને કાયદાની કેટલીક જોગવાઇઓ ટાંચી લાગવા માંડે. કેટલાક મુદ્દા એવા ઊભા થાય કે જેના વિશે કાયદા ઘડનારા કે નિયમન કરનારાઓએ વિચાર્યું જ ન હોય.

‘નેટ ન્યૂટ્રાલિટી’નો મુદ્દો તેનું તાજું ઉદાહરણ છે. ભારતમાં  થોડા સમયથી તેના વિશે ગરમાગરમ ચર્ચા ચાલે છે, પણ હજુ તેનાં બન્ને બાજુનાં પાસાં પૂરેપૂરાં ઉઘડ્યાં કે સ્પષ્ટ થયાં નથી. બન્ને પક્ષો પોતપોતાની અટકળોના આધારે પોતાનો કક્કો ખરો કરવાનો અને સામા પક્ષને ખોટો ચીતરવાનો પ્રયાસ કરે છે.

સબ ડેટા સમાન
‘નેટ ન્યૂટ્રાલિટી’/Net Neutrality એટલે સાદા શબ્દોમાં એવો સિદ્ધાંત કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ બધો ડેટા (બધી વેબસાઇટો) એકસમાન ગણાવો જોઇએ--બધી વેબસાઇટોને એકસરખું મહત્ત્વ મળવું જોઇએ. ઇન્ટરનેટ કનેક્શન આપતી કોઇ કંપની વેબસાઇટો વચ્ચે ‘ભેદભાવ’ પાડી શકે નહીં. અત્યારે થઇ રહેલી ચર્ચા મુખ્યત્વે મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટને લાગુ પડે છે. તેની વાત કરીએ તો, ઍરટેલ, રિલાયન્સ કે તાતા જેવી કંપનીઓનું કામ ગ્રાહક પાસેથી રૂપિયા લઇને, તેને ‘ડેટા પૅક’ આપવાનું છે. તેના વડે ગ્રાહક ફોન પર ઇન્ટરનેટ વાપરી શકે. કંપનીની ભૂમિકા રૂપિયા લઇને ઇન્ટરનેટ કનેક્શન પૂરું પાડવામાં પૂરી થઇ જાય છે. પછી ગ્રાહક ઇન્ટરનેટ પર કઇ સાઇટ જુએ છે, એ કંપનીનો વિષય નથી.

પરંતુ કેટલીક કંપનીઓને એટલાથી સંતોષ નથી. ‘ઍરટેલ’ કંપનીએ થોડા દિવસ પહેલાં ‘ઍરટેલ ઝીરો’ નામે એક યોજના જાહેર કરી. તેનો ખ્યાલ એવો છે કે દોઢસો વેબસાઇટ આ યોજનામાં સામેલ થાય. વેબસાઇટો ‘ઍરટેલ’ને નક્કી કરેલી રકમ ચૂકવે. તેમના પ્રતાપે ‘ઍરટેલ’ તેનું ‘ઝીરો’ ડેટા પૅક લેનારને ઇન્ટરનેટ મફતમાં વાપરવા આપે. ટૂંકમાં, ‘ઝીરો’ સ્કીમનું ‘ડૅટા પેક’ ગ્રાહકે રૂપિયા આપીને ખરીદવાનું નહીં. ફક્ત નોંધાવવાનું. (તેની ફુદડીવાળી શરતો હોય તો એ વિશે હજુ પૂરી માહિતી નથી.)

તો પછી ગ્રાહકને ઇન્ટરનેટ પૂરું પાડવાનો ખર્ચ કોણ ભોગવે? પેલી દોઢસો વેબસાઇટો.
તેમનો આ સોદામાં શો ફાયદો?
તેમનો ફાયદો એ કે ‘એરટૅલ ઝીરો’ ખરીદનારના કનેક્શનમાં એ દોઢસો વેબસાઇટોને પ્રાધાન્ય કે પ્રાથમિકતા મળે. ધારો કે, ‘ઍમેઝોને’  રૂપિયા ખર્ચીને ‘ઍરટેલ’ સાથે કરાર કરી લીધા છે અને તે દોઢસો સાઇટમાંની એક છે, પણ ધારો કે ‘સ્નેપડીલે’ એ કરાર કર્યા નથી. આ સંજોગોમાં રૂપિયા ખર્ચીને ‘ઍરટેલ’નું ‘ડેટા પૅક’ ખરીદનારને આ બન્ને વેબસાઇટો સુધી પહોંચવામાં કશો ફરક ન લાગે, પણ ‘ઍરટેલ ઝીરો’નું ડેટા પૅક હોય એવા લોકોના ફોનમાં ‘ઍમેઝોન’ તરત ખુલી જાય અને ‘ફિ્‌લપકાર્ટ’ને ખુલતાં વાર લાગે.

ટૅક્‌નિકલી ‘ઍરટેલ’ એવો દાવો કરી શકે--અને તે સાચો પણ ગણાય-- કે તેણે કોઇ વેબસાઇટને ‘બ્લૉક’ કરી નથી. તેની પર ચોકડો માર્યો નથી. પણ તેની સાથે કરાર ન કરનાર વેબસાઇટને કંપની પોતાની વહનક્ષમતા ફાળવવામાં કસર કરે, તો એ વેબસાઇટને ખુલતાં બહુ વાર લાગી શકે. અધીરાઇનું પ્રધાન લક્ષણ ધરાવતા ઇન્ટરનેટપ્રેમીઓને બે-ત્રણ વાર કોઇ સાઇટનો આવો અનુભવ થાય  અને એવી જ સુવિધઓ ધરાવતી બીજી સાઇટ ઝડપથી ખુલી જતી હોય, તો સ્વાભાવિક છે કે તે ‘ધીમી’ સાઇટ પર જવાનું બંધ કરી દે.

દેશમાં ઇ-કૉમર્સ તેજી ચાલતી હોય અને કંપનીઓ કરોડો ડૉલરનાં રોકાણ કરીને બેઠી હોય, ત્યારે તેમના ગ્રાહકો ખોવાનું શી રીતે પાલવે? સરવાળે, બને એવું કે ભરેલી નાણાંકોથળી ધરાવતી કંપનીઓ  સર્વિસ પ્રોવાઇડર સાથે કરાર કરીને, પોતાની સાઇટ ઝડપથી દેખાય એવું ગોઠવી દે. પણ તેમના જ ક્ષેત્રની નાની, ઓછું મૂડીરોકાણ ધરાવતી પણ ગ્રાહકને ઉપયોગી નીવડી શકે એવી વેબસાઇટોને ફટકો પડે. મોબાઇલ પર ઇન્ટરનેટ કનેક્શન મફત મળતું હોય અને તેની પર ‘મોટી મોટી’ વેબસાઇટો ફટાફટ જોવા મળતી હોય, તો કેવળ પસંદગીની આઝાદી માટે કોણ ‘ડેટા પૅકેજ’ના રૂપિયા ખર્ચે?

સામસામી દલીલો
પહેલી નજરે આખો કેસ દેખીતા ભેદભાવનો છે. માટે તેની સામે ઇન્ટરનેટ પર મોટા પાયે ઝુંબેશ ચાલી છે. વિરોધને પગલે ‘ફિ્‌લપકાર્ટ’ જેવી તોતિંગ ઇ-કૉમર્સ કંપની ‘ઍરટેલ ઝીરો’ની યોજનામાંથી ખસી ગઇ છે. ‘ઍરટેલ’ની યોજનાનો  વિરોધ કરનારાની દલીલ છે કે મફત ડેટા પૅકવાળા માટે કંપનીની પ્રાથમિકતા ધરાવતું ઇન્ટરનેટ અને રૂપિયા ખર્ચીને ડેટા પૅક લેનારને કોઇ પ્રાથમિકતા વગરનું ઇન્ટરનેટ- એવો વહેરોઆંતરો યોગ્ય નથી. તેમાં ઇન્ટરનેટના મૂળભૂત એવા સમાનતાના આદર્શનો ભંગ થાય છે. આ મુદ્દાને ઘણાએ ‘ઇન્ટરનેટનું સ્વાતંત્ર્ય જાળવી રાખવાના સંગ્રામ’નું રૂપ આપ્યું છે.

સામેના પક્ષની દલીલ એવી છે કે ભારત જેવા દેશમાં ‘નેટ ન્યૂટ્રાલિટી’ જેવા આદર્શો કરતાં વધારે અગત્યનો ઇન્ટરનેટનો પ્રચારપ્રસાર છે. તેમાં સગવડે ‘વડાપ્રધાનશ્રીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન’ને પણ જોડી દેવામાં આવે છે. આ છાવણી કહે છે કે જેમને ઇન્ટરનેટ પોસાતું નથી, એવા લોકોને આ યોજનાથી મફતમાં ઇન્ટરનેટ મળવાનું છે, એ તો વિચારો. ‘ફેસબુક’ના માર્ક ઝકરબર્ગ પણ ‘ઇન્ટરનેટ.ઓઆરજી’ નામે આવી યોજના ચલાવે છે. તેમનો દાવો પણ વંચિતોની સમાજસેવા કરવાનો અને તેમને મફત ઇન્ટરનેટ પહોંચાડવાનો છે. ‘અમે અમારી સાથે ન જોડાયેલી સાઇટો સાથે કોઇ જાતનો ભેદભાવ રાખતા નથી’ એવો પણ તેમનો દાવો છે.

પરંતુ અત્યાર સુધીના અનુભવો પરથી, મોટી કંપનીઓ ‘વંચિતોની મદદ’ કે તેમની સેવાના દાવા કરે ત્યારે શંકા પેદા થાય છે.   ઇન્ટરનેટથી સશક્તિકરણ થાય છે એ સાચું, પણ ભારતમાં ફોન પર ઇન્ટરનેટ વાપરનારની સંખ્યા મોટા પાયે વધી રહી છે. એ ફક્ત માથાં નથી, એ ‘બજાર’ પણ છે. એટલે ‘કૅચ ધેમ યંગ’ના ધોરણે, ‘વંચિતો’ ઇન્ટરનેટ વાપરવાનું શરૂ કરે ત્યારથી અમુક જ સાઇટો સાથે તેમનો નાતો જોડાઇ જાય, તો ધંધાદારી સાઇટોનું કામ થઇ જાય.

ગ્રાહકોને મફત કનેક્શન, વેબસાઇટોને સંભવિત ગ્રાહકોનાં ઝુંડ અને સર્વિસ પ્રોવાઇડર કંપનીને વેબસાઇટો તરફથી કમાણી. તો પછી ‘નેટ ન્યૂટ્રાલિટી’ને કોણ રડે? છતાં, તેનો કકળાટ મોટા પાયે ચાલ્યો છે.

(વધુ આવતા સપ્તાહે.)

Tuesday, April 21, 2015

ચૉકલેટચિંતન

મોટા ભાગના ચિંતનલેખો ચૉકલેટી (એટલે કે ગળચટ્ટા) હોય છે એ ખરું, પણ અહીં વાત જરા ગંભીર વિષયની છે. ભારતીય સંસ્કૃતિ પરનું સૌથી મોટું- અને મહદ્‌ અંશે સંસ્કૃતિરક્ષકોના ઘ્યાન બહાર રહેલું- આક્રમણ કયું? સંસ્કૃતિના રક્ષકો વેલેન્ટાઇન ડેના દિવસે માતાપિતાની પૂજા કરવાનું કહે છે (તેમનો આભાર કે હનીમુનને બદલે ચાર ધામની જાતરા કરવાનું નથી કહેતા), ગિફ્‌ટ શૉપમાં તોડફોડ કરે છે ને પાશ્ચાત્ય સંસ્કૃતિની ભર્ત્સના કરે છે. (‘ભર્ત્સના’ શબ્દનો ધ્વનિ એટલો સૂચક છે કે તેનો ચોક્કસ અર્થ ખબર ન હોય તો પણ ‘કવિ શું કહેવા માગે છે’ તે સમજાઇ જાય.) પરંતુ આમાંથી કોઇએ હજુ સુધી ચૉકલેટનો વિરોધ કર્યો નથી અથવા એવી રીતે વિરોધ નથી કર્યો કે જેથી તેની ગંભીર નોંધ લેવાય.

આજ સુધી કદી એવું સાંભળ્યું કે કોઇ સંગઠને ચૉકલેટને વેદસંસ્કૃતિ પરનું ગંભીર આક્રમણ ગણાવીને, તેના બહિષ્કારનો કાર્યક્રમ આપ્યો હોય? ભેટમાં ચૉકલેટને બદલે ચીકી આપીને પ્રેમ વ્યક્ત કરવો જોઇએ, એવું મુઠ્ઠી પછાડીને કહ્યું હોય? કે પછી ‘આવો, આપણે વિદેશી સંસ્કૃતિના પ્રતીક જેવી ચૉકલેટોનો ઢગલો કરીને તેમની હોળી કરીએ અને તેના ઘટ્ટ પ્રવાહી વડે ધૂળેટી ઉજવીએ’ એવું એલાન કર્યું હોય? આવું નથી થયું, એ જ સૂચવે છે કે ચૉકલેટ ભારતની (બહુવિખ્યાત ગંગાજમની સંસ્કૃતિની જેમ) ગંગા-થેમ્સ કે ગંગા-મિસિસિપી સંસ્કૃતિનું પ્રતીક છે. આ દલીલ ગ્રાહ્ય રાખનારાં સાંસ્કૃતિક સંગઠનો ચૉકલેટને ‘કૉકૉની ચીકી’ તરીકે ઓળખવાનો આગ્રહ રાખી શકે- અને અસલમાં ચૉકલેટની શોધ ભારતમાં ૨૭,૫૪૦ વર્ષ પહેલાં થઇ હતી તથા તેનું નામ ‘મધુરપટ્ટિકા’ હતું, એવું પણ (બીજાની) છાતી ઠોકીને કહી શકે. કૃષ્ણ ભગવાનની બાળલીલામાંથી ચૉકલેટને ગાયબ કરી દેવામાં આવી અને તેના સ્થાને ગોરસ મૂકી દેવામાં આવ્યું, એ ચોકલેટનાં ભારતીય મૂળીયાંને નેસ્તનાબુદ કરવાનો પ્રયાસ છે, એવું બિનધાસ્ત કહી શકાય. સાંસ્કૃતિક સંગઠનોના ‘ઇતિહાસકારો’ સિદ્ધ કરી શકે કે મથુરાનું મૂળ નામ ‘મધુરપટ્ટિકાપુરી’ (એટલે કે ચૉકલેટ સિટી) હતું, જે ટૂંકાઇને ‘મધુરા’ અને તેમાંથી કળિયુગમાં મથુરા થયું. ભલું હોય તો આવતી સાયન્સ કૉંગ્રેસમાં એ મતલબનું એકાદ પેપર પણ ઠપકારી દેવાય.

ભારતમાં અત્યારે જેમ ‘નેતાઓ’ અને ‘ભ્રષ્ટ આચાર’ સમાનાર્થી શબ્દો ગણાય છે તેમ, વર્ષો સુધી ચૉકલેટ અને ‘કૅટબરી’ (કૅડબરી) સમાનાર્થી શબ્દો ગણાતા હતા. મોટા ભાગના લોકો દાંતે ચોંટે એવી, લાલ-સફેદ રૅપરવાળી  ચગળવાની ટૉફી કે પછી ખાટીમીઠી ગોળીઓ ખાતા અને ખવડાવતા હતા. ત્યારે ચૉકલેટના ‘બાર’નું અસ્તિત્ત્વ કલ્પનાનો અને ઇંગ્લેન્ડ-અમેરિકા પર સરેરાશ ભારતીયોની શ્રદ્ધાનો વિષય હતું.

મિથુન ચક્રવર્તી કે ગોવિંદા જેમ ગરીબોના અમિતાભ ગણાતા હતા, તેમ ચોમાસામાં હવાઇ ગયેલા બોર્નવિટાના ગઠ્ઠા, ચૉકલેટના મામલે ‘ગરીબ’ ગણી શકાય એવા મઘ્યમ વર્ગ માટે ‘ગરીબોની ચૉકલેટ’ની ગરજ સારતા હતા. મઘ્યમ વર્ગીય માતાઓ કોઇ પણ ગળી અને કડક વસ્તુ માટે ‘એ તો ચૉકલેટ જેવી લાગે છે’ એવું કહી શકતી હતી અને એવી આશા રાખતી હતી કે સાચી ચૉકલેટ ન જોઇ હોવાનો લાભ ધરાવતાં તેમનાં બાળકો એ દાવો માની લેશે. ઘણી માતાઓ તેેમનાં સંતાનોને બીવડાવતી હતી કે ‘ચૉકલેટ ન ખવાય, પેટમાં કીડા પડે.’ વર્ષો પછી જાણીતી મલ્ટીનેશનલ કંપનીની ચૉકલેટમાંથી કીડા નીકળ્યાના સમાચાર સાંભળીને ઘણાની આંખમાં -મલ્ટીનેશનલ કંપનીની બેદરકારીથી નહીં, પણ પોતાની માતાને યાદ કરીને- ઝળઝળિયાં આવ્યાં હશે. (‘મા બહુ ભણેલી નહીં, પણ એની વાત તો સાચી હતી. જુઓ ને, ચૉકલેટ ખાવાથી કીડા પડતા હોય, તો ચૉકલેટમાં કીડા હોય તેમાં શી નવાઇ?’)

વગર ચૉકલેટે મગજમાં જ્ઞાતિપ્રથાના કીડા ધરાવતા ભારતીયોને  કાળી કે ડાર્ક વસ્તુ ભાગ્યે જ ગમે- અને એ ગમે ત્યારે તેનું છાપરે ચડીને ગૌરવ પણ લેવામાં આવે. ગૌરવજ્વરથી પીડાતા એક ગુજરાતી લેખક તો ગુજરાતી વાર્તાઓમાં પહેલી વાર પોતે ડાર્ક નાયિકા લઇ આવ્યા, એ વાતનું પણ ભારે ગૌરવ ધરાવતા હતા. (ગૌરવ લેવાનું  આગોતરું નક્કી કરી નાખ્યું હોય, એમને મનોચિકિત્સક સિવાય બીજું કોઇ ભાગ્યે જ પહોંચી શકે.) પરંતુ લગભગ ભારતીયોની ‘સંસ્કૃતિ’ કે ‘પરંપરા’ બની ગયેલા શ્યામદ્વેષમાં શ્રીકૃષ્ણના દૈવી અપવાદ પછી, આકર્ષણની દૃષ્ટિએ બીજું સ્થાન ચૉકલેટને આપવું પડે. સફેદ ચૉકલેટ તો બહુ પછીથી આવતી થઇ. ત્યાર પહેલાં ભારતમાં મિલ્ક ચૉકલેટનો રંગ પણ ભારતીયોની ત્વચા જેવો રહેતો. છતાં, ભારતીયોને તે ગમતી હતી. અલબત્ત, ચૉકલેટની ઊંચી કિંમતને લીધે તેનો સામાજિક મોભો અને ભારતનો શ્યામદ્વેષી સામાજિક કોટિક્રમ ટકી રહ્યો.

કેટલાક લોકો કવિતાને વાંચવા કરતાં તેને કાનેથી સાંભળવાની કળા લેખે છે. એવી રીતે ચૉકલેટ માટે પણ કહી શકાય કે એ ગમે તેમ ચગળી જવાનો મામલો નથી, પંચેન્દ્રિયથી માણવાની ચીજ છે. ચૉકલેટના બારનું રૅપર ખોલનાર માણસને અકારણ કોઇ પૂતળાંનું અનાવરણ કરનાર વીઆઇપી જેવી અનુભૂતિ થાય છે. થોડું રૅપર ખોલ્યા પછી અંદરથી ચૉકલેટ દેખાય, એટલે માનસરોવર પાસેથી કૈલાસ પર્વત દેખાયા પછી યાત્રાળુના મનમાં જાગે એવી અધીરાઇ અને ચટપટી ચૉકલેટપ્રેમીને ઉપડે છે. ક્યારે કૈલાસ પહોંચી જઉં - ક્યારે ચૉકલેટ મોંમાં પધરાવું?

ચૉકલેટના ભાગ પાડવાનું કામ ભલભલા મુનિવરને ચળાવે એવું હોય છે. એક ચૉકલેટમાં એકથી વઘુ (અ)ભાગીયા હોય, ત્યારે ભાગ પાડનારને પહેલો વિચાર એ જ આવે છે કે ‘એક કામ કરીએ. આ આખો બાર હું પતાવી દઉં છું. પછી આપણે બીજો બાર લઇએ ને એના આપણે સરસ રીતે, સરખા ભાગ પાડીએ.’ આ દૃષ્ટિએ ચૉકલેટને કળિયુગીન ખાદ્યસામગ્રી ગણવામાં વાંધો નથી, પરંતુ તેના ભોક્તાઓને તે કળિયુગને બદલે કળિયુગમાં અવતરવાનું વચન આપી ગયેલા ભગવાનની વચનપૂર્તિ જેવી લાગે છે. (‘આપણને તો ચૉકલેટ મળે એટલે ભગવાન મળ્યા’ એવું કેટલાક શોખીનો કહે છે, તે આ જ સંદર્ભમાં હશે) ચૉકલેટની આ દિવ્યતાને ઘ્યાનમાં લઇને જ ઘણાં મોડર્ન મંદિરોમાં ચૉકલેટનો પ્રસાદ ધરાવાતો હશે. તેના વિશેની બીજી થિયરી એવી છે કે ધર્મ હોય કે ચૉકલેટ, બન્નેનો એક ઉપયોગ (તમામ ઉંમરનાં) બાળકોને પટાવવા માટે થાય છે. તો પછી તેમનું સંયોજન કરીને પટાઉશક્તિ બમણી કેમ ન કરવી?

કવિ બચ્ચને ‘મઘુશાલા’માં ‘ઔર ઔરકી રટન લગાતા જાતા હૈ હર પીનેવાલા’ એમ કહ્યું હતું. ચૉકલેટ ખાનારની સ્થિતિ પણ  ‘ઔર ઔરકી રટન’ લગાવતા માણસ જેવી જ થાય છે. ચૉકલેટ ખાધા પછી ‘બસ, મને સંતોષનો ઓડકાર આવી ગયો. હવે બીજી નહીં જોઇએ.’ આવું કહેનારા લોકો, ચૂંટણીખર્ચનો પ્રામાણિક હિસાબ આપનારા નેતાઓ જેવા વીરલ હોય છે. રૅપર ખોલ્યા પછી ચૉકલટનો સ્પર્શ, તેની સુગંધ,  તેની સહેજ પ્રવાહીતાનો અણસાર ધરાવતી ઘટ્ટતા, તેનો સ્વાદ - આ બધાને કારણે પંકજ મલ્લિકના ગીતમાં આવતી ‘આગ લગાકર આગ બુઝા દે’ એવી પંક્તિ યાદ આવે છે. સહવે ભારતમાં દેશી-પરદેશી અનેક જાતની ચૉકલેટ મળે છે, (જેમની બ્રાન્ડનાં નામ લખીને ‘જોયું? આપણે મોંઘી બ્રાન્ડનાં નામ જાણીએ છીએ ’ એવી ગુજરાતી લેખનની ઉજ્જવળ પરંપરાને આગળ વધારવાનો કોઇ ઇરાદો નથી.) ચૉકલેટ આઇસક્રીમ, ચૉકલેટ હલવાથી માંડીને ચૉકલેટ સેન્ડવિચ જેવી ચીજો પ્રચલિત બની ચૂકી છે. શહેરોમાં આખેઆખા સ્ટોર ને રેસ્તોરાં એવાં ખુલ્યા છે કે તેમાં ચૉકલેટમાંથી બનેલાં કે ચૉકલેટનો મોટો હિસ્સો ધરાવતાં વ્યંજનો મળે છે. એવાં ઠેકાણે બિલ પણ ચૉકલેટના બાર પર લખીને આપે છે કે નહીં, એ જાણવા મળ્યું નથી. રૂપિયા ખર્ચતાં પણ કશું ન મળતું હોય તો એ છે ચૉકલેટની તાલાવેલી સાથે સંકળાયેલું બાળપણ. 

Sunday, April 19, 2015

અમદાવાદમાં ઑલિમ્પિક : કેટલીક ખાસ રમતો

ભારતના સ્વપ્નવિક્રેતા વડાપ્રધાન મોદી ભારતમાં ઑલિમ્પિક રમતોત્સવ યોજાય એ માટે પ્રયાસ કરવાના છે. હજુ તેમની સત્તાનું પહેલું વર્ષ છે, એટલે તે સમર ઑલિમ્પિક માટે જ વાત કરશે. બાકી, તેમનું ચાલે તો એ અમદાવાદની ચાળીસ ડિગ્રી ગરમીમાં વિન્ટર ઑલિમ્પિક રમાડે. શરમને ગૌરવ તરીકે ખપાવી શકાતું હોય, તો ઉનાળાને શિયાળા તરીકે ખપાવવામાં શી ધાડ મારવાની?

ધારો કે અમદાવાદમાં-ભારતમાં ઑલિમ્પિક યોજવાના પ્રયાસ સફળ થાય તો, તેમાં કેટલીક (અમદાવાદ માટે જૂની, પણ ઑલિમ્પિક માટે) નવી રમતો ઉમેરવાનું વિચારી શકાય. તેમાંથી મોટા ભાગની રમતો (‘ટ્રેક એન્ડ ફિલ્ડ’ની જેમ) ‘ટ્રેક, ફિલ્ડ એન્ડ રોડ’  વિભાગમાં આવે એવી છે.

સિગ્નલ-જમ્પિંગ
હાઇ-જમ્પ અને લૉન્ગ જમ્પની રમતો હવે જૂની થઇ. એ બન્ને કરતાં વધારે કૌશલ્યની જરૂર સિગ્નલ-જમ્પિંગમાં પડે છે. આ રમતમાં દ્વિચક્રી વાહનચાલકોએ એક પૉઇન્ટથી નક્કી થયેલા રૂટ પર બીજા પૉઇન્ટ સુધી પહોંચવાનું રહેશે. આ માર્ગમાં વચ્ચે તેર સિગ્નલ આવતા હશે અને એ દરેક પર ટ્રાફિક પોલીસ ઊભા હશે. વાહનચાલકે ટ્રાફિક પોલીસને હટાવીને, પટાવીને કે ખટાવીને બને એટલી ઝડપે અંતિમ પૉઇન્ટ સુધી પહોંચવાનું રહેશે. ટ્રાફિક પોલીસ રસ્તા વચ્ચે આડા હાથ દઇને ઊભો રહેવાથી માંડીને હાથમાં રહેલો દંડો છૂટો ફેંકી શકે છે. તેની સાથે કેવી રીતે પનારો પાડવાનો, એ ચાલકે નક્કી કરવાનું રહેશે. કહેવાની જરૂર છે કે આ રમતમાં અમદાવાદી ચાલક જ વિશ્વવિજેતા બનશે?

ઓવરટેકિંગ
સાયકલ રેસિંગ જેવી રમતો માટે ઑલિમ્પિકમાં અલગથી મોંઘાદાટ સ્ટેડિયમ બનાવવામાં આવે છે, જ્યાં સ્પર્ધકો પોતાની ખાસ સાયકલો સાથે જોર અને તકદીર અજમાવવા ઉતરી પડે છે. અમદાવાદની ઑલિમ્પિકમાં આ સ્પર્ધાને નવું રૂપ આપી શકાય છે. સાયકલના સ્થાને રિક્ષા લઇને સ્પર્ધકો અમદાવાદના નક્કી કરેલા રૂટ પર ઉતરી પડે. એ રૂટમાં તે જેટલા વઘુ લોકોને ઓવરટેક કરી શકે, એટલા તેમના વધારે પોઇન્ટ. સ્પર્ધાને વઘુ કઠણ બનાવવી હોય તો એવો નિયમ રાખી શકાય કે દરેક વખતે હૉર્ન વાગે એટલે એક પોઇન્ટ કપાય અને દરેક ઓવરટેકે પોઇન્ટ ઉમેરાય.

આ શરતો પરદેશી ચાલકોને પહેલાં સાવ સહેલી લાગશે, પણ અમદાવાદના રસ્તા પર વાહનની આગળ બિલાડીથી હાથી સુધીની કોઇ પણ સાઇઝનું પ્રાણી ચાલતું હોય ત્યારે વિદેશી ખેલાડીઓના હાંજા તો એવાં દૃશ્યો જોઇને જ ગગડી જશે, પણ-- દેશી અને ખાસ કરીને અમદાવાદી-- ખેલાડીઓ હાથીને રિક્ષા સમકક્ષ, રિક્ષાને બિલાડી સમકક્ષ અને બિલાડીને ઉંદર જેવી ગણીને તેમને સહેલાઇથી ઓવરટેક કરી જશે.

હર્ડલ-રેસ
ગુજરાતીમાં ‘વિઘ્નદોડ’ તરીક ઓળખાતી આંતરરાષ્ટ્રિય રમતમાં અવરોધો કૂદીનેેેેેેેેેેેે દોડવાનું હોય છે. એમાં ખાસ ધાડ મારવાની હોતી નથી. તેમાં રોમાંચ ભેળવવો હોય તો અમદાવાદના રસ્તાઓ પર સાયકલચાલકોને રેસમાં ઉતારવા જોઇએ. રસ્તામાં આવતા નાના-મોટા-મહા સાઇઝના ખાડા, ભૂવા, ખોદકામ, ડાયવર્ઝન, ‘આ કામ આપની સુવિધા વધારવા માટેનું છે’ એવાં પાટિયાં-- આ બઘું વટાવીને ચાલક જેટલી ઝડપથી અંતિમ સ્થાન સુધી પહોંચી શકે, એમાં તેના અનેકવિધ કૌશલ્યની કસોટી થશે.

બસ-રાઇડિંગ
પહેલી નજરે કોઇને લાગે કે આમાં વળી રમત જેવું શું છે? પણ મોટા ભાગની ઑલિમ્પિક રમતો જીવનથી વિમુખ હોય છે, ત્યારે આ રમતને જીવનાભિમુખ રમત તરીકે સ્થાન આપી શકાય. તેના માટે પણ અમદાવાદમાં અલગ સ્ટેડિયમ બાંધવાની જરૂર નહીં પડે. એ.એમ.ટી.એસ.નાં બસ સ્ટેન્ડ પર બાર સ્પર્ધકોને બીજા મુસાફરો સાથે ઊભા રાખી દેવાના. બસ આવે અને સ્ટેન્ડની આગળ કે પાછળ ઊભી રહે ત્યારે દોડાદોડ અને ધક્કામુક્કીમાં, મારામારી કર્યા વિના, જેટલા સ્પર્ધકો ચડી શકે એટલા બે સ્ટેન્ડ પછી ઉતરી જાય અને આગળના રાઉન્ડમાં પ્રવેશે. દરેક રાઉન્ડમાં સ્ટેન્ડ પર ઊભેલા મુસાફરોની સંખ્યા વધતી રહે. ત્રણ-ચાર રાઉન્ડ પછી એક તબક્કો એવો આવે કે જ્યારે એક જ માણસ બસમાં ચડી શક્યો હોય. એ ગોલ્ડ મેડાલિસ્ટ. (આ રમતમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ ન રાખવા પડે. એટલે એ ખર્ચો પણ બચી જાય.)

રોડ-ક્રૉસિંગ
અમદાવાદમાં એવા અનેક ચાર કે ત્રણ રસ્તા છે, જ્યાંથી રસ્તો ક્રોસ કરતી વખતે ઇશ્વર સિવાય બીજા કોઇનો સહારો હોતો નથી. કોઇ પણ દિશામાંથી, કોઇ પણ પ્રકારનાં વાહનો, કોઇ પણ ઝડપે આવી શકે છે અને રાહદારીને રસ્તાની આ બાજુથી પેલી બાજુને બદલે આ લોકમાંથી પેલા લોકમાં પહોંચાડી શકે છે. આવા કેટલાક ચુનંદા રસ્તા પર, સવારના કે સાંજના ભરચક ટ્રાફિકમાં ખેલાડીઓને રસ્તો ક્રોસ કરવાનું કહેવાનું. સમયમર્યાદા આપવાની નહીં. જે સૌથી ઓછા સમયમાં, સૌથી ઓછા ખચકાટ સાથે અને કોઇ પણ પ્રકારની ઇજા વગર રસ્તો ક્રોસ કરે, તે આગલા રાઉન્ડમાં જાય.

એન્કાઉન્ટર-શૂટિંગ 
બાકીની સ્પર્ધાઓની સરખામણીમાં આ જરા અલગ છે. તે ‘ટ્રેક, ફિલ્ડ એન્ડ રોડ’ શ્રેણીની પણ નથી. તેમાં રમતમાં શારીરિક ક્ષમતાનું ઝાઝું પ્રદર્શન આવતું નથી. શૂટિંગ સાથે તેનું કશું સીઘું સામ્ય પણ નથી. મુખ્યત્વે આ ‘ઇનડોર’ રમત છે, જે એક સમયે વાયબ્રન્ટ ગુજરાતના પોલીસ અફસરોમાં અત્યંત લોકપ્રિય હતી. ઑલિમ્પિકમાં બીજા દેશના પોલીસ અફસરો પણ તેમાં ભાગ લઇ શકે. આ રમતમાં સ્પર્ધકે એન્કાઉન્ટર માટેની સૌથી ફળદ્રુપ કાલ્પનિક વાર્તા કહેવાની રહેશે. બીજા હરીફો આ વાર્તાની વચ્ચે વચ્ચે સ્પર્ધકને ગૂંચવનારા પ્રશ્નો પૂછી શકે છે. તેના સંતોષકારક જવાબો અને પોતાની વાર્તાની નક્કરતા પર સ્પર્ધકની જીતનો આધાર રહેશે. આ રમતનું સૌથી મોટું માહત્મ્ય એ દર્શાવી શકાશે કે ઑલિમ્પિકમાં ટૅક્‌નૉલોજીની બોલબાલા વધી પડી છે, ત્યારે આ રમત કેવળ કલ્પનાશક્તિ અને દિમાગની ઉડાનને લક્ષમાં રાખે છે.

ફૂલિંગ-રેસ
આવી કોઇ સ્પર્ધા ઑલિમ્પિકમાં નથી હોતી, પણ એ સિવાય બધે જ હોય છે : પ્રજાને વઘુમાં વઘુ કેટલા સમય માટે મૂર્ખ બનાવી શકે, તેની હોડ. તેની સામે ઑલિમ્પિકની સ્પર્ધાઓની કશી વિસાત નથી. કેમ કે, દર ચાર વર્ષે યોજાતી ઑલિમ્પિકમાં જીતનારાને વધી વધીને ગોલ્ડ મેડલ મળે છે, જ્યારે દર પાંચ વર્ષે યોજાતી આ ‘સ્પર્ધા’માં જીતનારાને રાજ્યનું કે દેશનું રાજપાટ મળે છે. 

Tuesday, April 14, 2015

ડૉ.આંબેડકરનું ધર્મમંથન : અધૂરો એજેન્ડા

દલિતોનો ધર્મ કયો કહેવાય? ડૉ.આંબેડકરના જમાનામાં અને ત્યાર પછી પણ ઘણા લોકો તેમને ‘સ્વાભાવિક હિંદુ’ ગણવા પ્રેરાય છે.  હિંદુ ધર્મની માન્યતા ધરાવતી ચાતુર્વર્ણ વ્યવસ્થામાં દલિતોનું સ્થાન શુદ્ર તરીકેનું પણ નથી. તે પંચમ વર્ણ--અતિશૂદ્ર ગણાયા. એક હિંદુને તો ઠીક, એક માણસને મળવા જોઇએ એવા મૂળભૂત અધિકારોથી તેમને વંચિત રાખવામાં આવ્યા. ગાંધીજી દલિતોને હિંદુ ધર્મનો ‘પાર્ટ’ (હિસ્સો) ગણતા હતા, પણ ડૉ.આંબેડકર દલિતો માટે ‘એ પાર્ટ અપાર્ટ’- (અલગ હિસ્સો) જેવો શબ્દપ્રયોગ વાપરતા હતા.

પૂનાકરાર અને ગાંધીજીના પ્રયાસ પછી હિંદુઓ ‘સુધરી જશે’ અને દલિતો માટે કમ સે કમ મંદિરના દરવાજા ખુલી જશે, એવી આશા ખાસ ફળી નહીં. પ્રાંતોની ધારાસભામાં મંદિરપ્રવેશને લગતા ખરડા  નામંજૂર થવા લાગ્યા. અલબત્ત, ડૉ.આંબેડકરને તો એ પસાર થયા હોત તો પણ સંતોષ ન થાત. તેમની દલીલ હતી કે ખરડામાં મૂળભૂત અસ્પૃશ્યતાનો વિરોધ ન હતો. અસ્પૃશ્યતા પર પ્રહાર કર્યા વિના કેવળ મંદિરના દરવાજા ખોલાવવાનો કશો અર્થ ન હતો. મંદિરપ્રવેશની માગણી  હિંદુ ધર્મમાં રહીને માન્યતા મેળવવાનો પ્રયાસ હતી. હિંદુઓ એટલું પણ ન કરી શક્યા. આખરે, ૧૯૩૫ની યેવલા પરિષદના અંતે મંદિરપ્રવેશની ઝુંબેશો બંધ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

‘હું હિંદુ તરીકે મરીશ નહીં’ એવી આંબેડકરની યેવલા પરિષદની ઘોષણાની ગુજરાતના પી.જી.સોલંકી, મહારાષ્ટ્રના રાજભોજ, કાજરોળકર, બાલુ અને એ સિવાય શ્રીનિવાસન, જગજીવનરામ, એમ.સી.રાજા જેવા દલિત અગ્રણીઓએ ટીકા કરી. તેમને ધર્મપરિવર્તનનો વિકલ્પ જચ્યો નહીં. પરંતુ ડૉ.આંબેડકરને બીજો કોઇ વિકલ્પ લાગતો ન હતો. આંબેડકર કહેતા હતા કે દલિતોનું ધર્મપરિવર્તન અટકાવવાનું હિંદુઓના હાથમાં છે. તે ચોક્કસ સમયમર્યાદામાં અસ્પૃશ્યતા દૂર કરવાની બાંહેધરી માગતા હતા અને એ માટે તે પાંચ-દસ વર્ષથી વધુ રાહ જોવા તૈયાર ન હતા. દરમિયાન, તત્કાળ લઇ શકાય એવા પગલા તરીકે તેમણે ‘નમૂનેદાર હિંદુ’ તરીકે ઓળખાવાયેલા એક દલિતને શંકરાચાર્ય બનાવવા કહ્યું હતું. તેમની શરત એ હતી કે મહારાષ્ટ્રના ચિતપાવન બ્રાહ્મણો એ દલિતને શંકરાચાર્ય તરીકે સ્વીકારે.

પંડિત મદનમોહન માલવિય જેવા સનાતની નેતાએ અસ્પૃશ્યો સાથે થતો અન્યાય દૂર કરીને ધર્મનું રક્ષણ કરવા હિંદુઓને અપીલ કરી.  દલિતોને હિંદુ ધર્મમાં સ્વીકૃતિ અપાવવા માટે તેમણે ‘મંત્રદીક્ષા’નો વિચાર મૂક્યો અને તેના માટે ભંડોળ ઉઘરાવવાની વાત કરી. પણ આ પવિત્ર વિચારોમાંથી સહભોજન અને આંતરજ્ઞાતિય લગ્નના મુદ્દા તેમણે નામજોગ બાકાત રાખ્યા હતા.

વિકલ્પની મૂંઝવણ

આંબેડકરે હિંદુ ધર્મ છોડવાની ગાંઠ તો વાળી, પણ તેના બદલે કયો ધર્મ અપનાવવો એ નિર્ણય કઠણ હતો. ઇસ્લામ સાથે કોમી સંઘર્ષ સંકળાયેલો હતો અને ખ્રિસ્તી ધર્મનો સીધો સંબંધ અંગ્રેજો સાથે હતો. આંબેડકરને લાગતું હતું કે ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ તેમાં દાખલ થનારને ‘ડીનેશનલાઇઝ’ કરી નાખે છે. એ ધર્મો અપનાવવાનો અર્થ ફક્ત હિંદુ ધર્મ નહીં, પણ ભારત દેશ છોડવા બરાબર હતો, એવું તે માનતા હતા. આ બેમાંથી કોઇ ધર્મ અપનાવ્યા પછી, ધર્માંતરિત લોકોને અને ખાસ તો બીજા લોકોને એ મુખ્ય ધારાના ભાગ નહીં લાગે, એવો આંબેડકરનો ખ્યાલ હતો.

૧૯૩૫માં ડૉ.આંબેડકરે કહ્યું, ‘નવો પંથ શરૂ કરવા માટે હું રાજી નથી. બૌદ્ધ ધર્મ અપનાવવામાં કેટલીક મુશ્કેલીઓ છે અને આર્યસમાજમાં ન જોડાવાનું અમે નક્કી કર્યું છે. શીખ ધર્મ અંગીકાર કરવા અંગે અમે વિચાર કરીશું.’ શીખ ધર્મ પ્રત્યે તેમને આકર્ષણ થવાનાં ઘણાં કારણ હતાં : એ ધર્મ મૂલતઃ ભારતીય હોવાથી, તેમાં  ભારતીયતા ગુમાવવાનો સવાલ આવતો ન હતો. આંબેડકર દલિતોને દાસત્વમાંથી મુક્ત કરવા ઇચ્છતા હતા. તેમના નવા અવતાર માટે શીખોની આક્રમક છબી એકદમ માફક આવે એવી હતી. આંબેડકરથી પણ પહેલાં પંજાબમાં શીખોએ દલિતોના ધર્માંતરની વ્યવસ્થિત ઝુંબેશ ચલાવી હતી.

શીખ ધર્મમાં ભળેલા દલિતોને બીજા શીખો કરતાં કઇક અલગ રાખવામાં આવતા હતા. એ રીતે સમાનતાની શરતનું પાલન થતું ન હતું. પણ આ મોટી મર્યાદાની સામે સંભવિત ફાયદો એ હતો કે અલગ સમુદાય માટે શિક્ષણમાં, સરકારી નોકરીઓમાં અને રાજકીય પ્રતિનિધિત્વમાં અલાયદો હિસ્સો માગવાની ગુંજાશ રહેતી હતી. પંજાબમાં શીખોને અલગ મતદારમંડળ માટે પણ લાયક ગણવામાં આવ્યા હતા. એક રાજ્યમાં શીખોને એ દરજ્જો મળે, તો એ ઉદાહરણ પરથી, શીખ બનેલા દલિતો માટે દેશભરમાં અલગ મતદાર મંડળ માગી શકાય.  એટલે કે પૂનાકરારના પગલે દલિતોના હાથમાંથી સરી ગયેલી સ્વતંત્ર રાજકીય પ્રતિનિધિત્વની તક ફરી ઊભી થાય.

ડૉ.મુંજે જેવા હિંદુ મહાસભાના નેતાઓએ ખાનગી રાહે એવો પ્રચાર પણ શરૂ કર્યો હતો કે દલિતો શીખ ધર્મ અપનાવે તો તેમાં હિંદુઓએ ટેકો આપવો જોઇએ. ગાંધીજી અને માલવિય જેવા નેતાઓને આ દલીલ મંજૂર ન હતી. એક સમયે આંબેડકર શીખ ધર્મ તરફ ઢળેલા લાગતા હતા, પરંતુ એ દિશામાં તેમણે કશી નક્કર જાહેરાત ન કરી. શીખો સાથે સંપર્કો ચાલુ રાખ્યા, પણ ધીમે ધીમે શીખ ધર્મ અપનાવવાના મુદ્દે તેમણે મન વાળી લીઘું. તેમના આ પગલા પાછળનું સ્પષ્ટ કારણ જાણવા મળતું નથી.

વિલંબ અને વારસો

ડૉ.આંબેડકરે ધર્મપરિવર્તનની જાહેરાત કર્યા પછી ખરેખર એ પગલું ભરવામાં બે દાયકા કાઢી નાખ્યા. આંબેડકરના અભ્યાસી એલિનર ઝિલીઅટના મતે, ‘એકેય ધર્મ બૌદ્ધિક અને રાજકીય રીતે તેમને જચતો ન હતો. વધારે અગત્યનો મુદ્દો એ પણ ખરો કે તેમને ધર્માંતર વિના, બંધારણીય રાહે સુધારાની દિશામાં કામ કરવા મળ્યું. સામાજિક સુધારની સરખામણીમાં બંધારણીય કામગીરી થકી પરિવર્તન તેમની ફાવટનું ક્ષેત્ર હતું.’

૧૯૩૭માં ડૉ.આંબેડકર બે વર્ષ માટે મુંબઇ ધારાસભાના સભ્ય બન્યા. ત્યારથી શરૂ થયેલી તેમની સક્રિય રાજકીય કારકિર્દીમાં ૧૯૪૨ થી ૧૯૪૬ સુધી વાઇસરોયની એક્ઝિક્યુટીવ કાઉન્સિલમાં શ્રમમંત્રી બન્યા અને ૧૯૪૬થી બંધારણના ઘડતરમાં તથા પહેલા મંત્રીમંડળમાં જોડાયા. આ બધો વખત તેમના મનમાં બૌદ્ધ ધર્મનો વિચાર ધૂંટાતો અને દૃઢ બનતો હશે, એવા ઘણા સંકેત મળે છે. ઔપચારિક રીતે બૌદ્ધ ધર્મ ભલે તેમણે ૧૯૫૬માં અપનાવ્યો, પણ ૧૯૩૪માં તેમણે દાદર (મુંબઇ) માં પોતાના ઘરનું નામ ‘રાજગૃહ’ રાખ્યું, જે બૌદ્ધ યુગના મગધનું શહેર હતું. ૧૯૪૬માં તેમણે સ્થાપેલી પહેલી કૉલેજનું નામ ‘સિદ્ધાર્થ’ હતું, તો ૧૯૫૧માં ઔરંગાબાદમાં સ્થાપેલી બીજી કૉલેજને બૌદ્ધ ધર્મના ઇતિહાસ સાથે સંકળાયેલા ‘મિલિંદ’નું નામ આપ્યું. બુદ્ધને તે પોતાના ત્રણ ગુરુઓમાંના એક ગણતા હતા. (બાકીના બેઃ જોતીબા ફુલે, કબીર)

બૌદ્ધ ધર્મ વિશે આંબેડકરે કહ્યું હતું કે તે મોક્ષદાતા નહીં, પણ માર્ગદાતા છે. તેમણે એવી પણ થિયરી આપી કે અસ્પૃશ્યો અસલમાં બૌદ્ધ હતા અને બૌદ્ધ વિરુદ્ધ બ્રાહ્મણોના સંઘર્ષમાં તેમને અસ્પૃશ્ય બનાવવામાં આવ્યા હતા. એ હિસાબે બૌદ્ધ ધર્મમાં પાછા ફરવું એ એક રીતે મૂળીયાં ભણી પાછા ફરવા જેવું હતું અને બ્રાહ્મણવાદી હિંદુત્વ સાથેનો હિસાબ પણ તેનાથી સરભર થતો હતો.

આમ છતાં, આંબેડકર કોઇ પણ ધર્મસંસ્થાની જેમ બૌદ્ધ ધર્મમાં પ્રવેશેલી મર્યાદાઓ વિશે સભાન હતા અને પોતાના બૌદ્ધ ધર્મમાંથી એ તત્ત્વોને દૂર રાખવા ઇચ્છતા હતા. ૧૯૫૪માં રંગૂનમાં ભરાયેલી ત્રીજી વિશ્વ બુદ્ધ પરિષદમાં તેમણે ભપકાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે નાણાં આ રીતે વેડફવાને બદલે બીજા દેશોમાં ધર્મનો પ્રચાર કરવા માટે અને ધર્મને પુનર્જીવિત કરવા માટે વાપરવાં જોઇએ. તેમણે કહ્યું હતું, ‘(બુદ્ધ ધર્મના પ્રતીક જેવું) અશોકચક્ર ભારતના રાષ્ટ્રઘ્વજ પર ઝળકી રહ્યું છે તે મારે લીધે જ. ભારત સરકારે બુદ્ધજયંતિની રજા જાહેર કરી છે તે મારા પ્રયાસોનું ફળ  છે...આ બઘું માન્ય કરાવતી વખતે લોકસભામાં મેં અસરકારક વિવરણ કર્યું હતું, જેથી તેનો સ્વીકાર થયો. પરિષદમાં ઉપસ્થિત રહેલાં ૧૮માંથી કોઇ રાષ્ટ્રોએ આવી પ્રગતિ કરી નથી.’

મહારાષ્ટ્રના દેહુ રોડ ગામે દલિત સંત ચોખામેળાના મંદિરના સમારંભનું નિમંત્રણ મળતાં, તેમણે શરત મૂકી કે તમે સાથે બૌદ્ધ વિહાર પણ બાંધો તો હું આવું. તેમની શરતનું પાલન થયું. એ પ્રસંગે બુદ્ધની મૂર્તિની સ્થાપના કરતાં કહ્યું,‘બારસો વર્ષ પછી ભારતમાં બુદ્ધની મૂર્તિની  પ્રાણપ્રતિષ્ઠા કરવાનું માન દલિત વર્ગને ફાળે જાય છે.’

૧૪ ઑક્ટોબર, ૧૯૫૬ના રોજ આશરે ત્રણથી પાંચ લાખ લોકોની હાજરીમાં, બૌદ્ધધર્મી નાગલોકોની ભૂમિ નાગપુરમાં આંબેડકરે હજારોની સંખ્યામાં અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. બે મહિના પછી ૬ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ તેમનું અવસાન થયું. તેમની અંતિમ વિધિના પ્રસંગે પણ એકાદ લાખ લોકોએ મુંબઇમાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો.

૧૯૫૧ની વસતી ગણતરીમાં ભારતમાં બૌદ્ધ ધર્મીઓ ૧.૮૦ લાખ હતા. પરંતુ ૧૯૬૧માં બૌદ્ધોની સંખ્યા ૩૨.૫૦ લાખ થઇ, જેમાંથી ૨૭.૮૯ લાખ બૌદ્ધો ફક્ત મહારાષ્ટ્રમાં હતા. (એલિનર ઝિલીઅટે આપેલા આંકડા પ્રમાણે, તેમાંથી ૮૦ ટકા મહાર હતા.) વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરીમાં બૌદ્ધોની સંખ્યા ૭૯.૫૫ લાખ નોંધાઇ છે. પરંતુ આંબેડકર જેવા લડવૈયાને મન ધર્મ એટલે કેવળ સંખ્યાબળ કે બાહ્યાચાર કદી ન હોઇ શકે. તેમનું ધર્માંતર સામાજિક સમાનતા અને રાજકીય અધિકારો માટે હતું. એ હેતુઓ સિદ્ધ ન થાય, ત્યાં સુધી કેવળ એક યા બીજો ધર્મ અપનાવીને બેસી રહેવાથી ડો.આંબેડકરનું સ્વપ્ન સાકાર થવાનું નથી.

(સંદર્ભ : આંબેડકર્સ કન્વર્ઝન- એલિનર ઝિલીઅટ, પ્રો.ભીખુ પારેખનું આંબેડકર મેમોરિયલ લેક્ચર, ધનંજય કીર લિખિત આંબેડકરચરિત્ર)

Wednesday, April 08, 2015

ડૉ.આંબેડકરનું ધર્મમંથન

ઇતિહાસનાં પાત્રો મૃત્યુ પછી પણ સલામત હોતાં નથી. કયા ઇતિહાસપુરૂષ (કે સ્ત્રી)નું કઇ વિચારધારા કે કયો રાજકીય પક્ષ, ક્યારે ‘અપહરણ’ કરી જશે એ નક્કી હોતું નથી. ઇતિહાસનાં પાત્રોમાંથી ઊંડાણ અને સંકુલતા કાઢીને, તેમને મિકી માઉસ કે ડોરમૉન કે પોકેમૉનની જેમ ‘મર્ચન્ડાઇઝિંગ’ માટેનું પ્રતીક બનાવી દેવામાં રાજકીય પક્ષો પાવરધા હોય છે. ગાંધી-નેહરુ-સરદાર અને એ જ હરોળમાં આવતા આંબેડકર સાથે પણ આવું જ થયું છે.

પોતાને આંબેડકરવાદી, આંબેડકરના અભ્યાસી, તેમના અનુયાયી કે ભક્ત ગણાવતા લોકો જે રીતે ભાજપ અથવા સંઘ પરિવારમાં ભળ્યા છે, એ જોતાં લાગે જાણે આંબેડકર પણ સાવરકર અને ગોળવલકર  જેવા જ કોઇ ‘કર’ હશે. કોમવાદી રાજકારણમાં ડૉ.આંબેડકરને સંઘ પરિવારના પક્ષે ઊભા કરી દેતા ઘણા લેખ અને પુસ્તક સુદ્ધાં લખાયાં છે.   ડૉ.આંબેડકરના વિવાદાસ્પદ પુસ્તક ‘થૉટ્‌સ ઑન પાકિસ્તાન’ પરથી તેમને મુસ્લિમદ્વેષી અને મુસ્લિમદ્વેષી એટલે હિંદુત્વના તરફી તરીકે ખપાવાય છે. ડૉ.આંબેડકર ઝનૂનપૂર્વક, વાજબી ખુન્નસથી છતાં અભ્યાસપૂર્વક, લાખો અનુયાયીઓ સાથે હિંદુ ધર્મ છોડી ગયા હતા, એટલી જાણીતી ઐતિહાસિક હકીકતની શરમ પણ આંબેડકરને ‘હિંદુ’ બનાવવા નીકળેલા લોકોને નડતી નથી.

ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મ અપનાવનાર હિંદુઓને પાછા હિંદુ ધર્મમાં લાવવા- તેમની ‘ઘરવાપસી’ કરાવવા ઉત્સુક ‘સવાયા હિંદુઓ’ વિશે ડૉ.આંબેડકરે શું કહ્યું હોત? એ અનુમાનનો વિષય નથી. કારણ કે તેમના જમાનામાં ‘ઘરવાપસી’ માટે વપરાતો, આર્યસમાજી વિધીનો શબ્દ હતો : ‘શુદ્ધિ’. બીજા ધર્મમાં જઇને ‘અશુદ્ધ’ થયેલા હિંદુઓને ફરી પાછા ‘શુદ્ધ’ કરવા માટેના ઉધામા ચાલતા હતા. ત્યારે ડૉ.આંબેડકરે કહ્યું હતું, ‘જ્યારથી આ ધર્મમાં વર્ણભેદ અને જાતિપ્રથા અસ્તિત્ત્વમાં આવ્યાં ત્યારથી હિંદુ ધર્મે મિશનરી શક્તિ ગુમાવી દીધી. નવાગંતુકને કઇ જાતિમાં સ્થાન આપું, એ બીજા લોકોને હિંદુ ધર્મમાં લાવનારાને મૂંઝવતો સવાલ છે. એટલે જાતિ છે ત્યાં સુધી હિંદુ ધર્મ કદાપિ મિશનરી ધર્મ બની શકે નહીં અને શુદ્ધિ આંદોલન માત્ર નાદાની અને નિરર્થક પ્રયાસ સિદ્ધ થાય છે.’

વીસમી સદીના ઉત્તમ વિદ્વાનોમાં જેમની ગણના કરી શકાય, એવા ડૉ.આંબેડકરને બાળપણથી જ ‘અસ્પૃશ્ય’ તરીકેનાં અપમાન સહન કરવાનાં આવ્યાં. વડોદરાના મહારાજા તેમને સ્કૉલરશિપ આપીને પરદેશ અભ્યાસ માટે મોકલી શક્યા, પણ પરદેશથી ભણીને આવેલા આંબેડકરને  પાટનગર વડોદરામાં રહેવા માટે સરખું ઠેકાણું આપી શક્યા નહીં. આંબેડકરના જીવનના સૌથી કરુણ-- અને આજે પણ એ વિશે વાંચતાં આંખ ભીની થઇ જાય એવા--પ્રસંગોમાંનો એક એટલે વડોદરામાંથી તેમની અવિધિસરની વિદાય. સયાજીરાવ જેવા પ્રગતિશીલ રાજા પણ આંબેડકરને ‘આપણા જેવા જ માણસ’ તરીકેનો મૂળભૂત દરજ્જો અપાવી શક્યા નહીં. ચોથા વર્ગના કર્મચારી પરદેશથી ભણીને આવેલા તેજસ્વી આંબેડકરના હાથમાં ફાઇલ આપવાને બદલે, તેમની સામે ફાઇલનો ઘા કરે (જેથી આંબેડકરને અડવું ન પડે). સ્વમાન અને સ્વગૃહ વગર વડોદરામાં રહેવું અકારું થઇ પડ્યું, ત્યારે ડૉ.આંબેડકર એક વૃક્ષ નીચે બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા અને વડોદરા છોડ્યું. સત્યાર પછી નાશિકના કાલારામ મંદિરમાં દલિતોના મંદિરપ્રવેશ અંગેના આંદોલન અને મહાડનું જાહેર તળાવ દલિતો માટે ખુલ્લું મૂકાવવાના સત્યાગ્રહ જેવા ઘણા પ્રસંગોથી ડૉ.આંબેડકરને ખાતરી થઇ કે રૂઢિચુસ્ત સનાતની હિંદુઓ સુધરે એમ નથી. માટે, આ ધર્મ છોડ્યે જ પાર છે.

૧૩ ઓક્ટોબર,૧૯૩૫માં યેવલામાં દસ હજાર ‘અસ્પૃશ્યો’ વચ્ચે ડૉ.આંબેડકરે જાહેર કર્યું કે ’હું હિંદુ તરીકે જન્મ્યો છું, પણ હિંદુ તરીકે મરીશ નહીં.’ અને ખરેખર ધર્મપરિવર્તન તો છેક ૧૯૫૬માં કર્યું, પણ એ ભાંજગડ તેમના મનમાં દાયકાઓથી ચાલતી હતી.  છેક ૧૯૨૯માં જળગાંવમાં આંબેડકરે અસ્પૃશ્યોને એવો કોઇ પણ ધર્મ અંગીકાર કરી લેવાની સલાહ આપી હતી, જે એમનો માનવી તરીકે સ્વીકાર કરે. તેના પરિણામે બાર ‘અસ્પૃશ્યો’એ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. ત્યાર પછી નાસિક નજીકના એક ગામના અસ્પૃશ્યોના એક જૂથે ઇસ્લામ અંગીકાર કરવાનું નક્કી કરી નાખ્યું હતું. પરંતુ આંબેડકરે તેમને થોડો સમય રોકાઇ જવાની અને હિંદુ ધર્મમાં ટકી શકે છે કે નહીં, એ જોવાની સલાહ આપી.

૧૯૩૩માં ડૉ.આંબેડકરને માનપત્ર આપવા માટે યોજાયેલી સભામાં પ્રતિભાવ આપતાં તેમણે પોતાના સમાજના લોકોને ખોંખારીને કહ્યું,‘ઇશ્વર આ જગતમાં છે કે નહીં તે વિશે વિચાર કરવાની તમારે કંઇ જરૂર નથી. જગતમાં જે કંઇ ઉથલપાથલ થાય છે તે મનુષ્યો દ્વારા જ થતી હોય છે- એ જ ખરી વાત છે. તમારો ઉદ્ધાર કરવા કોઇ આવવાનું નથી. હવે પછીનું તમારું ભવિષ્ય રાજકારણ દ્વારા જ ઘડાવાનું છે-- બીજી કોઇ રીતે નહીં. પંઢરપુર, ત્ર્યંબક, કાશી, હરિદ્વાર વગેરે સ્થળોએ યાત્રા કરવાથી, એકાદશી, સોમવાર વગેરે દિવસે ઉપવાસ કરવાથી કે શનિ માહત્મ્ય, શિવલીલામૃત, ગુરુચરિત્ર વગેરે પોથીઓનું પારાયણ કરવાથી તમારો ઉદ્ધાર થવાનો નથી. તમારા વડીલો, પૂર્વજો હજારો વર્ષોથી આ બધું કરતા આવ્યા હતા. પણ તેનાથી તમારી પરિસ્થિતિમાં ફરક પડ્યો છે ખરો?’ (ગુજરાતના દલિતો પંઢરપુર-કાશી-હરદ્વારની યાદીમાં ઝાંઝરકા સહિતનાં બીજાં નામ ઉમેરી શકે છે.)

હિંદુ ધર્મ વિશે તેમનો અભિપ્રાય સ્પષ્ટ અને સકારણ આકરો હતો. તેમણે કહ્યું હતું, ‘હિંદુ ધર્મમાં વ્યક્તિના મહત્ત્વનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. એટલે એ ધર્મને હું સ્વીકારતો નથી...જે ધર્મ એક સમુહને જ્ઞાનનો અધિકાર આપે અને બીજા સમુહને જ્ઞાનથી વંચિત રાખે, કોઇને શસ્ત્રો વાપરવાનો અધિકાર આપે તો કોઇને વેપારવણજ કરવા કહે, એવું હું સ્વીકારતો નથી. દરેક વ્યક્તિને જ્ઞાનની જરૂર પડે છે, શસ્ત્રની જરૂર પડે છે, નાણાંની જરૂર પડે છે. છતાં જે ધર્મ આવા ભેદભાવ પાડતો હોય એ ધર્મ નહીં, બીજાં જૂથોને ગુલામ બનાવવાનું કાવતરું છે.’

મંદિરપ્રવેશ વિધેયક વિશેના નિવેદનમાં તેમણે ૧૯૩૩માં કહ્યું હતું, ‘જે ધર્મ અસમાનતાને સમર્થન આપે છે તેનો વિરોધ કરવાનો અમે નિર્ધાર કર્યો છે. હિદુ ધર્મે જો અસ્પૃશ્યોના પણ ધર્મ તરીકે રહેવું હોય તો તે સામાજિક સમાનતાનો ધર્મ બની રહેવો જોઇએ...તે માટે ચાતુર્વણને નિર્મૂળ કરી નાખીને હિંદુ ધર્મને બનાવવો પડશે.’ એક જ શ્વાસમાં આંબેડકરનાં અને સંઘ પરિવારનાં ગુણગાન ગાનારા કેટલા લોકો તેમના આરાઘ્ય નેતાની આગળની બન્ને વાત તેમના સંઘ-સાથીઓને અથવા જાહેરમાં બીજા લોકોને કહેવા તૈયાર થશે?

હતાશાની ક્ષણોમાં ડૉ.આંબેડકર ઘણી વાર કહેતા, ‘અસમાનતાનું બીજું નામ એટલે હિંદુ...કોઇ હિંદુ વધારે સારો કે વધારે ખરાબ હોઇ શકે, પણ એ સારો કદી ન હોય.’ મતલબ, જે સારા હોય તે અસામાન્ય રીતે સારા હોય અને બાકીના અસામાન્ય રીતે ખરાબ. કોઇ સહજ-સ્વાભાવિક ક્રમમાં, ‘સારા’ (નૉર્મલ) ન હોઇ શકે.

આંબેડકરમાં અભ્યાસ અને કટુતા ભારોભાર ભરેલાં હતાં. કટુતા તેમને રૂઢિચુસ્ત હિંદુ સમાજે આપેલી શરમજનક ભેટ હતી, જ્યારે અભ્યાસવૃત્તિ અને પ્રતિભા તેમનાં પોતીકાં હતાં. એટલે અસ્પૃશ્યતા સામે ઉગ્રતાપૂર્વક ઝુંબેશ ચલાવતી વખતે તેમનો અભ્યાસ અટકી પડ્યો ન હતો. ૧૯૨૦ના દાયકામાં તેમનો ખ્યાલ હતો કે ‘મનુસ્મૃતિ’ અસ્પૃશ્યતાને મંજૂરી આપે છે અથવા તેની આજ્ઞા આપે છે. ૨૪ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ સાથીદારો સાથે તેમણે ‘મનુસ્મૃતિ’નું જાહેર દહન કર્યું, ત્યારે તેમના મનમાં આવો ખ્યાલ હતો. (એમ તો આંબેડકરને પહેલી વાર મળ્યા ત્યાં સુધી ગાંધીજીના મનમાં એવો ખ્યાલ હતો કે ડૉ.આંબેડકર દલિતોની સેવા કરતો કોઇ ઉજળિયાત--અને એ પણ બ્રાહ્મણ-- છે.)  ‘મનુસ્મૃતિ’ના દહન વખતે આંબેડકરની સાથે તેમના બ્રાહ્મણ મિત્ર જી.એન. સહસ્ત્રબુદ્ધે પણ હતા.

પરંતુ અસ્પૃશ્યતાનાં ઐતિહાસિક કારણોનો તાગ મેળવતી વખતે, ધર્મશાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી તેમનો મત બદલાયો. ‘ધ અનટચેબલ્સઃ હુ વેર ધે એન્ડ વ્હાય ધે બીકેમ અનટચેબલ્સ’ નામના પોતાના ગ્રંથમાં તેમણે લખ્યું કે મનુસ્મૃતિ ઇસવી સન પૂર્વેની બીજી સદીમાં લખાઇ હતી, જ્યારે અસ્પૃશ્યતાનો આરંભ ઇસવી સન પૂર્વેની ચોથી સદીની આસપાસ થઇ ચૂક્યો હતો. આ હકીકતના આધારે તેમણે તારણ કાઢ્યું હતું કે ‘મનુસ્મૃતિ’એ અસ્પૃશ્યતાની આજ્ઞા તો શું, તેને મંજૂરી પણ આપી હોઇ શકે નહીં. આંબેડકરે અસ્પૃશ્યતાના ઉદયને ગૌવધ તથા ગૌમાંસ પરના પ્રતિબંધ સાથે સાંકળ્યો. આ બન્નેેને ‘મનુસ્મૃતિ’માં પ્રતિબંધિત ગણાવાયાં નથી, એવું ડૉ.આંબેડકરે નોંઘ્યું છે.

યેવલામાં ડૉ.આંબેડકરે ૧૯૩૫માં કરેલી ઘોષણા (‘હિંદુ તરીકે મરીશ નહીં’) પછી હિંદુ સિવાયની ધર્મસંસ્થાઓને લાલચ થાય એ સ્વાભાવિક હતું. કેમ કે, એ સમયે બંધારણના ઘડવૈયા બન્યા ન હોવા છતાં, ડૉ.આંબેડકરનો દલિત સમાજ પર ઘણો પ્રભાવ હતો. ડૉ.આંબેડકર જે ધર્મમાં જાય તેમાં મોટી સંખ્યામાં દલિતો પણ તેમને અનુસરે એ નક્કી હતું. ધર્મતત્ત્વમાં માનનારાને સંખ્યાની પરવા ન હોય, પણ ધર્મસંસ્થાઓ માટે માથાંનું મૂલ મગજ કરતાં હંમેશાં મોટું હોય. એટલે મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ ફિરકાઓએ તેમનો સંપર્ક કર્યો અને અસ્પૃશ્યોને સમાનતાની ખાતરી આપી. એ વખતે સારનાથની મહાબોધિ સોસાયટીના મહામંત્રીએ આંબેડકરને તાર કરીને આગ્રહપૂર્વક વિનંતી કરી કે ‘એશિયા ખંડમાં સૌથી મોટીં સંખ્યામાં લોકોએ સ્વીકારેલા બૌદ્ધ ધર્મને અસ્પૃશ્ય સમાજે સ્વીકારવો જોઇએ.’

(ડૉ.આંબેડકરના ધર્મપરિવર્તન વિશેના વધુ વિચાર અને વિગતો  આવતા મંગળવારે-- તેમના જન્મદિને)

Monday, April 06, 2015

શિક્ષણક્ષેત્રે અમેરિકાની અવઢવ, ફિનલેન્ડમાં ક્રાંતિકારી પલટો : શિક્ષણ કેવું હોવું જોઇએ?


પહેલાં ટીવી અને પછી ઇન્ટરનેટ આવ્યાં-પ્રચલિત બન્યાં, ત્યારે તેમનો એક સંભવિત ક્રાંતિકારી ઉપયોગ શિક્ષણ માટે વિચારાયો હતો. તેની પાછળનો ખ્યાલ એ હતો કે આટલી મહાન શોધોનો કેવળ મનોરંજન ખાતર ઉપયોગ કરીને બેસી રહેવામાં શાણપણ નથી.

ટીવી પર શિક્ષણના કાર્યક્રમો શરૂ તો થયા ને હજુ ચાલે છે, પણ તે ઝાઝા ઉપયોગી કે અસરકાર નીવડી શક્યા નથી. સરખામણીમાં ઇન્ટરનેટ શિક્ષણ માટે વધારે અસરકારક-અનુકૂળ માઘ્યમ સાબીત થઇ રહ્યું છે. તેની પર લગભગ દરેક વિષયની માહિતી જુદાં જુદાં સ્વરૂપે મળી રહે છે. દા.ત. કોઇને આઇનસ્ટાઇનના સાપેક્ષવાદ વિશે જાણવું હોય તો એ વિશે સાવ પ્રાથમિકથી માંડીને એકદમ માથાભાંગણ પ્રકારનાં લખાણ, ચિત્રો, ગ્રાફિક્સ અને વિડીયો સુદ્ધાં મળે. સાપેક્ષવાદમાં મગજ ખપાવવાને બદલે ગિટાર વગાડતાં શીખવું છે? તો એના પણ ‘ક્લાસ’  ઇન્ટરનેટ પર મફત મળે.

ઇન્ટરનેટના બહોળા વ્યાપ અને સામસામા (ટુ વે) વ્યવહારને ઘ્યાનમાં રાખીને ઘણી નામી યુનિવર્સિટીઓ પોતાના અમુક કોર્સ ઑનલાઇન આપી રહી છે. ‘ખાન્સ ઍકેડેમી’ જેવી વેબસાઇટો પર સેંકડો વિષયોની આઠ-દસ મિનીટની શૈક્ષણિક વિડીયો જોવા મળે છે, જેને ઇચ્છા પ્રમાણે પૉઝ કે રીપ્લે કરી શકાય. આવી સુવિધા હોય ત્યારે  વિદ્યાર્થીઓ ક્લાસમાં ભણીને ઘરે લેસન કરવાને બદલે, પહેલાં (સ્કૂલ કે શિક્ષક દ્વારા ઇન્ટરનેટ પર મુકાયેલી) વિડીયો જુએ અને પછી તેમાં ન સમજાતી બાબતો વિશે સ્કૂલમાં ચર્ચા થાય-- એવું ‘ઇન્વર્ટેડ ક્લાસ’  (અવળીગંગા)નું મૉડેલ ચર્ચામાં છે.

એ બધી વાત સાચી. છતાં અમેરિકાની શિક્ષણપદ્ધતિ સડી ચૂકી હોવાની ફરિયાદો ઘણા વખતથી થાય છે. ‘ફૉર્બ્સ’ સામયિકના અહેવાલ પ્રમાણે, અમેરિકાના પરંપરાગત શિક્ષણમાળખાની ફરતે એવી જડબેસલાક વ્યવસ્થા અને તેનો લાભાર્થી વર્ગ ઊભાં થયાં છે કે સરકારી રાહે શિક્ષણમાં પરિવર્તન માટેની ગુંજાશ રહી નથી. પબ્લિક સ્કૂલના અભ્યાસની ગંભીર મર્યાદાઓ દૂર કરવા માટે કેટલાક ઉદ્યોગસાહસિકો ખાનગી શાળાઓ શરૂ કરીને, ફેરફાર માટે મથી રહ્યા છે. દરમિયાન, ન્યૂયોર્કના ગવર્નરે જાહેર કરેલી નવી શિક્ષણનીતિથી વાલીઓ અને શિક્ષકો  નારાજ છે.

શિક્ષણ અંગેના તાજા સરકારી અહેવાલ પ્રમાણે, ન્યૂયોર્ક શહેરના પચાસ હજાર વિદ્યાર્થીઓ સહિત આખા ન્યૂ યોર્ક રાજ્યના આશરે એક લાખ નવ હજાર વિદ્યાર્થીઓ ૧૭૮ પબ્લિક સ્કૂલોમાં ભણે છે, જમાં ભણતરનાં ઠેકાણાં નથી. દા.ત. ત્રીજાથી આઠમા ધોરણનાં ફક્ત ૩૧ ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાવરધાં છે, પણ તેમને ભણાવનારા શિક્ષકોમાંથી ૯૯ ટકા સરસ રીતે ભણાવે છે--એવો અહેવાલ છે. આવું કેવી રીતે બને? એવી દલીલ કરીને ગવર્નરે શિક્ષકોના મૂલ્યાંકનની પદ્ધતિ બદલવાની દરખાસ્ત કરી છે. નવી પદ્ધતિમાં વિદ્યાર્થીઓના પરીક્ષામાં કેટલા માર્ક આવે છે, તેની પર શિક્ષકના મૂલ્યાંકનનો અડધોઅડધ આધાર રહેશે. ગવર્નરે એમ પણ સૂચવ્યું છે કે ‘માંદી’ શાળાઓનો વહીવટ બીજાં રાજ્યો અથવા સ્વૈચ્છિક સંસ્થાઓને હસ્તક સોંપી દેવો.

શિક્ષકોને લાગે છે કે ગવર્નર પબ્લિક સ્કૂલની વાસ્તવિક સમસ્યાઓ સાંભળવા-સમજવાને બદલે, સાવ બીજા છેડાનું પગલું ભરી રહ્યા છે. પબ્લિક સ્કૂલોનો વહીવટ તે પોતાને ચૂંટણીભંડોળ આપનારા લોકોને (તેમનાં ટ્રસ્ટોને) સોંપી દેવા માગે છે, એવો આરોપ પણ થયો છે. વાલીઓને પરીક્ષાનું મહત્ત્વ વધી જાય (એટલે કે સમજણને બદલે ગોખણપટ્ટીની બોલબાલા થાય) એની સામે વાંધો છે. એટલે ગયા સપ્તાહે ન્યૂયોર્કની કડકડતી ઠંડીમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગવર્નરની ઑફિસ સામે દેખાવ કર્યા.

તેની સરખામણીમાં ફિનલૅન્ડમાં પબ્લિક સ્કૂલ માટે અપનાવાયેલી નવી અને એકદમ ક્રાંતિકારી નીતિને ઘણો આવકાર મળ્યો છે. તેમાં ‘ટીચિંગ બાય સબ્જેક્ટ’ (વિષયવાર શિક્ષણ)ને બદલે ‘ટીચિંગ બાય ટૉપિક’ (મુદ્દાવાર શિક્ષણ) અપનાવવાની વાત છે. તેની પાછળનો ખ્યાલ એવો છે કે વિદ્યાર્થીઓને ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ભાષા જેવા વિષયો આખેઆખા શા માટે શીખવવાં જોઇએ? એને બદલે ચોક્કસ મુદ્દા લઇને તેનાં બધાં પાસાં- તેમાં આવતા બધા વિષય શીખવવાનું વધારે સારું ન પડે?

આપણાં ઉદાહરણ સાથે વાત કરીએ તો, વિદ્યાર્થીને ઇતિહાસ, વિજ્ઞાન કે ભાષાને બદલે ગુજરાત, નર્મદા યોજના, ગાંધીજી- જેવા વિષયો આવતા હોય તો? ગાંધીજીના વિષયમાં તેમનું રાજકારણ પણ હોય ને અર્થકારણ પણ. તેમની ભાષા પણ હોય ને તેમનાં સામયિકોની વાત પણ આવે. તેમના સત્યાગ્રહો પણ આવે ને તેમની નિષ્ફળતાઓ પણ હોય. એવી જ રીતે, ગુજરાતની વાત હોય તો તેમાં ગુજરાતના ઇતિહાસ અને ભૂગોળથી માંડીને વસ્તી, સમાજ, અર્થકારણ, આર્થિક સ્થિતિ- એ બઘું આવે.

આમ કરવાનો મુખ્ય હેતુ એકસરખા વિષયોનાં બીબાંમાંથી બીબાઢાળ બેચ બહાર પાડવાને બદલે, વિવિધ વિષયોમાં પારંગત અથવા કમ સે કમ, એ વિષયની પૂરતી જાણકારી ધરાવતા વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો છે. આ પ્રક્રિયાની શરૂઆત બે વર્ષ પહેલાં થઇ ચૂકી છે અને વર્ષ ૨૦૨૦ સુધીમાં ફિનલૅન્ડ આ પરિવર્તન સંપૂર્ણ કરી દેવા માગે છે. ફિનલૅન્ડના પાટનગર હેલ્સિન્કીનાં શિક્ષણવડાએ એક અખબારી મુલાકાતમાં કહ્યું છે કે ‘અત્યાર લગી આપણી નિશાળો વીસમી સદીના આરંભની શિક્ષણપદ્ધતિ પ્રમાણે ચાલી રહી છે, પણ હવે આપણી જરૂરિયાત એકવીસમી સદીના શિક્ષણની છે, જેથી બાળકો આજે અને આવતી કાલે તેમને ખપ લાગે એવું શિક્ષણ મેળવી શકે.’

‘આ બઘું ભણવાથી શો ફાયદો?’  એવો સવાલ વિદ્યાર્થીઓને ન થવો જોઇએ.’ -- એ ફિનલૅન્ડની નવી શિક્ષણનીતિનું એક ઘ્યેય છે. આ પદ્ધતિ વઘુ પડતી ઉપયોગીતાકેન્દ્રી અથવા વ્યવસાયલક્ષી લાગી શકેે, જે શિક્ષણનો એકમાત્ર આશય નથી. ‘મુક્તિ અપાવે એ જ વિદ્યા’  એવો આદર્શ ધરાવતા ભારતમાં સૈદ્ધાંતિક રીતે આવો સંકુચિત, ‘ભોગવાદી’  અભિગમ કદાચ સ્વીકાર્ય ન બને, પરંતુ સવાલ એ છે કે ભારતમાં મુક્તિ તો ઠીક, સરખું જ્ઞાન આપે એવું શિક્ષણ મળે છે ખરું? શિક્ષણના બેફામ ધંધાદારીકરણને કારણે, ગુણવત્તા ઘસાઇ ચૂકી છે, મોટા ભાગના વિદ્યાર્થીઓ નથી જ્ઞાની કે નથી સારી રોજગારી મેળવી શકે એવા. તેમની ડિગ્રીનું વાસ્તવિક જગતમાં મૂલ્ય સાવ ઘટી ગયું છે.

સરખામણીમાં, ફિનલૅન્ડ અપનાવવા માગે છે એવી રીતમાં, અભ્યાસક્રમ વિચારપૂર્વક ઘડવામાં આવે તો વિષયોના ઓછામાં ઓછા બંધન અને બોજ સાથે, વિદ્યાર્થીઓને વ્યાપક જ્ઞાન મળવાની સંભાવના રહે છે. અહેવાલ પ્રમાણે, ફિનલૅન્ડની ૧૬૭ પ્રાથમિક શાળાઓમાં આ ફેરફાર લાગુ પડશે. દરેક સ્કૂલ વિદ્યાર્થીઓને કયા મુદ્દા શીખવવા છે તે પસંદ કરશે. પાટનગર હેલ્સિન્કીના ૭૦ ટકા હાઇસ્કૂલના શિક્ષકો નવા અભ્યાસક્રમ પ્રમાણે તાલીમ લઇ ચૂક્યા છે અને વિદ્યાર્થીઓને પણ ફાયદો થયો હોવાનું આરંભિક અભ્યાસમાં જણાયું છે. આખી જિંદગી એક જ વિષય શીખવવામાં કાઢનાર શિક્ષકોને નવી પદ્ધતિ સામે વાંધો પડી શકે. એવું થયું પણ છે. છતાં વિવિધ વિષયના શિક્ષકોને સામુહિક રીતે નવા અભ્યાસક્રમની તૈયારી અને તેના શિક્ષણમાં સાંકળવામાં આવ્યા છે.  આ પદ્ધતિ પ્રમાણે તૈયાર થનાર શિક્ષકને આર્થિક ફાયદો આપવાની પણ વાત છે.

ફિનલૅન્ડની શિક્ષણપદ્ધતિમાં ફેરફાર કરવાનું કોઇ દેખીતું કારણ ન હતું. જૂની પદ્ધતિ સાથે પણ તેની ગણતરી ગણિત, વિજ્ઞાન અને વાચન જેવા વિષયમાં ટોચના દસ-પંદર દેશોમાં થતી રહી છે. સ્કૂલમાં મોકળાશ હોવા છતાં અને હાઇસ્કૂલ સુધી બધાં વિદ્યાર્થીઓની એકસરખી કસોટી ન હોવા છતાં, આંતરરાષ્ટ્રિય સરખામણીમાં ફિનલૅન્ડના વિદ્યાર્થીઓ હંમેશાં આગળ હોય છે. એટલે અમેરિકા જેવા દેશોમાં ફિનલૅન્ડની શિક્ષણપદ્ધતિના દાખલા દેવાય છે. છતાં, બાળકોને વીસમી સદીને બદલે એકવીસમી સદીનું શિક્ષણ આપવાની અને તેમને ભવિષ્ય માટે વઘુ સજ્જ બનાવવાની તાલાવેલીમાંથી નખશીખ નવી પદ્ધતિનો જન્મ થયો છે.

‘વૉશિંગ્ટન પોસ્ટ’ ના અહેવાલ પ્રમાણે, શિક્ષણને જીવનલક્ષી બનાવવાનો વિચાર અમેરિકાના વિચારક-શિક્ષણ સુધારક જૉન ડ્યુઇનો હતો. અમેરિકામાં બે વાર એના અખતરા થઇ ચૂક્યા છે, પણ કેટલીક બાબતોમાં અમેરિકા ફિનલૅન્ડની જેમ છૂટછાટ મૂકી શક્યું નહીં. (જેમ કે, સરકારી નિશાળોમાં આગલા ધોરણમાં જવા માટે અમુક માર્ક લાવવા જ પડે) ઉપરાંત, એક વિષય પૂરતી મર્યાદિત જાણકારીને બદલે, એક મુદ્દાની વ્યાપક સમજ ધરાવતા શિક્ષકો તૈયાર કરવાના પણ પ્રશ્નો હતા. એટલે, બન્ને વાર અમેરિકાના પ્રયોગ નિષ્ફળ નીવડ્યા. પરંતુ ફિનલૅન્ડ એ દિશામાં ઘણું આગળ વધી ચૂક્યું છે. તે સફળ થશે તો બીજા દેશો માટે વિચારભાથું અને પ્રેરણા પૂરી પાડનાર બની રહેશે.

૧. ન્યૂ યોર્કમાં શિક્ષણનીતિના મુદ્દે ગવર્નર વિરુદ્ધ દેખાવો
  

Thursday, April 02, 2015

Crowdfunding : A Way of Bringing Unusual Ideas to Life

Urvish Kothari  (Gujarat Samachar, Sunday supplement, 29-3-15),

Translated by Mira Desai


At the end of Rajkumar Hirani’s film 3 Idiots, Aamir Khan plays a genius engineer, Phuntshok Wangdu, who runs a school in Ladakh. Nowhere does the film say that the character is based on a real-life person or that the school really exists. Even after the spectacular success of the film there was no acknowledgement of the fact that a mechanical engineer, Sonam Wangchuk, really runs a school that offers students a unique education in the difficult terrain of Ladakh. (www.secmol.org)

But this unusual school is not the reason why we are remembering Phuntshok Wangdu’s real-life inspiration, Sonam Wangchuk. Wangchuk thought of building “Ice stupas” to address Ladakh’s crippling water shortage. The word “stupa” is used as such for Buddhist structures of a particular shape. But Wangchuk’s stupa was prompted by a different idea. Wangchuk wondered, what if such large ice stupa-structures are built in winter in a dry riverbed when the entire area is snow-clad? When this ice melts in summer, people would be able to use it, wouldn’t they? (www.icestupa.org/news)

Ice stupa by Sonam Wangchuk and team
Not that Wangchuk merely has fanciful ideas; he is an innovative engineer as well. He found out that if ice sheets are formed, they might melt quickly; however if compact ice structures were formed, they would be able to withstand direct sunlight much longer, and in April- May when farmers need water for their crops, such a structure would begin to melt. He successfully experimented in a low-lying part of Ladakh, and proved that his hypothesis worked. He proved that if a “stupa” structure with a 20 meter diameter and 40 meter height were built, it could hold 1.6 crlitres of water. To get bountiful rivers flowing in 1500 acres of icy desert is an expensive proposition. Wangchuk turned to “crowdfunding” to pay for these expenses.

Crowdfunding, in simple terms,is seeking contributions. People put details of their project on the internet and call out for assistance. Some of these efforts receive a response, several may not, but one does have the satisfaction of trying. Wangchuk totaled all his requirements, and put out a call for US $ 1.19 Lakh  over two months(from October 2014 to December 2014) through crowdfunding. He received US$1.25 lac in response. If we use share market language, his issue was 105% oversubscribed.

This is the wonder of crowdfunding. People contribute rupees (or dollars) for projects that range from such people-oriented, large efforts, to ideas that one may even consider frivolous. Films, documentaries, music albums, books, comics, unique innovations—funds can be raised for all of these through crowdfunding. India held its first national crowdfunding conference this year, but internationally, and especially in America, crowdfunding is at the peak of its popularity. This is an exciting use of internet, and several success stories read like fairytales. But if we think about it, crowdfunding is not a totally new idea. One example of a crowdfunded film is Shyam Benegal’s Manthan which was made from funds contributed by Kheda district-farmers, these farmers each contributed Rs.2. Of course, this film was about the White Revolution and this particular crowdfunding was possible because it was from a farmer’s co-operative.

In the same way, Mahendra Meghani had published several of his volumes by collecting funds from subscribers. In crowdfunding, special discounts (or perks) are used to raise funding for innovative products. One extremely successful example is that of a youngster from Canada. Apple Co. launched its smart watch this month, but this youngster had launched a crowdfunding project for a smart watch two years ago. His target was for US $ 1 lakh, but after his interview on a popular TV channel, he was able to raise over US $ 8 lakh. This also proves the point that even though the internet is the platform for crowdfunding projects, news broadcast on traditional media can be extremely helpful in collecting such funds.

Whether it is crowdfunding or the “juicer machines” sold in commuter trains for ten rupees or so, the same psychology is at work. Most people are hesitant about contributing to such causes, but once someone takes the initiative to buy or contribute on the crowdfunding site, other people too, begin to contribute. Hawkers who understand this psychology ensure that their first purchases are made by people planted by them, and usually such first purchases “spread” rapidly. Crowdfunding experts say that most projects run out of steam at the 40% target stage. Once projects cross this threshold, most of them sail through.Each project on a crowdfunding site has a defined time frame, ranging from a few weeks to a month or two.

Websites that offer a crowdfunding platform for projects charge a processing fee of 2% to 10%. Additionally, each of these websites have their own policies and standards. The best website of this kind, www.kickstarter.com, allows people from select countries only to put their projects online—India does not feature among these. So Sonam Wangchuk, whom we mentioned at the beginning of this article, put his Ice stupa project on www.indiegogo.com instead. Information about the project, graphics and a video—all this information is usually put up the crowdfunding website. Someone who wants more information then visits the project’s website or uses other means. When the project is active, the funds raised and the % of target reached are shared publicly, too. Some crowdfunding sites are “all or none” – you receive the funds only if the target is reached. Else, start from scratch. (Kickstarter has this policy). Other sites are “take what you make.”

Crowdfunding sites once again prove that the internet has shrunk geographical boundaries. Causes range from issues like raising lawyer fees for people fighting against injustice, to projects that one would call random or just fun. Kickstarter abounds with projects that one would call non-serious or playful. To protest against ever-increasing adaptation of smartphones, a creative sort put a “no phone” product on Kickstarter—no camera, no Bluetooth.You can’t even make calls with it. So what would one do with this rectangular solid piece? Well, nothing. This is a “no-phone”--feel-good without any interruptions.

Such a playful idea earned US$ 18,000 via crowdfunding in fifteen days. India has a few crowdfunding sites, but for this idea to work one will have to deal with the Indian mentality in addition to other issues. The share market’s public issues too, are in a more methodical way, a manner of crowdfunding. SEBI has still to decide on norms for crowdfunding. Until then, crowdfunding will remain a lesser-used, unusual connect between an individual and society.