Sunday, November 28, 2010

દરેક ગીત મારા માટે ઇબાદત જેવું હતું: શમશાદ બેગમ


shamshad begum in conversation with urvish and biren kothari


જૂના હિંદી ફિલ્મસંગીતના પુરાણા અને પાકા પ્રેમી તરીકે શમશાદ બેગમનું સ્થાન અમારા (મારા અને બીરેનના) મનમાં એટલું ઊંચું છે કે પરમ દિવસે અને ગઇ કાલે તેમને મળવાનું થયું- ગઇ કાલે તેમની સાથે વીસ-પચીસ મિનીટ વાતચીત કરી, થોડા સવાલ પૂછ્યા, એ અંગત રીતે જીવનનો ધન્ય સમય બની ગયો. મુંબઇ પણ કોઇને ન મળતાં શમશાદ બેગમને અમદાવાદ બોલાવીને અમારા જેવા તેમના ચાહકો સાથે ભેટો કરાવવા બદલ અને 'ગંગાસ્નાન જેવી અનુભૂતિ' કરાવવા બદલ ગ્રામોફોન ક્લબના મિત્રો-વડીલો અને અમારા ગુરુવત સંગીતપ્રેમી સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનો કયા શબ્દોમાં આભાર માનવો? ગ્રામોફોન ક્લબ કે રજનીભાઇ કોઇની સાથે આભાર માનવા જેવા ઔપચારિક સંબધો નથી, એટલે બસ તેમનું દિલથી સ્મરણ અને આજે પ્રગટ થયેલો શમશાદ બેગમનો ઇન્ટરવ્યુ. (એ સિવાયની થોડીઘણી વાતો- અનુભવો-અનુભૂતિઓ પણ ટૂંક સમયમાં મૂકીશ.)

હિંદી ફિલ્મસંગીતનો સુવર્ણયુગ સર્જનારાં કલાકારોમાં ગાયિકા શમશાદ બેગમનું નામ પહેલી હરોળમાં લેવાય છે. ‘સૈંયા દિલમેં આના રે’ જેવાં મસ્તીભર્યાં ગીતો, ‘ધરતીકો આકાશ પુકારે’ અને ‘છોડ બાબુલકા ઘર’ જેવાં ગંભીર ગીતો તથા ‘મિલતે હી આંખે દિલ હુઆ’ જેવાં પ્રણયગીતો શમશાદ બેગમના કંઠ વિના કલ્પી શકાય નહીં. સંગીતકાર ઓ.પી.નૈયરે જેમના અવાજને કાંસાના રણકાર જેવો ગણાવ્યો હતો, એવાં શમશાદ બેગમ પોતાના જમાઇ (નિવૃત્ત) કર્નલ રાત્રા સાથે ‘ગ્રામોફોન ક્લબ’નો ‘લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ’ સ્વીકારવાના નિમિત્તે અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં. ૯૨ વર્ષનાં શમશાદ બેગમે ઉંમરસહજ શારીરિક મર્યાદાઓ છતાં ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં કેટલાંક જૂનાં સંભારણાં તાજાં કર્યાં.

‘મેં જીવનમાં ફક્ત એક જ વાર ઓડિશન ટેસ્ટ આપ્યો છે.’ એમ કહીને શમશાદ બેગમે પોતાના ઉસ્તાદ અને મશહૂર સંગીતકાર ગુલામહૈદરને યાદ કર્યા હતા.‘મને મળ્યા વિના, મારો અવાજ સાંભળીને માસ્ટરજીએ (ગુલામ હૈદરે) રેકોર્ડકંપની માટે મારી સાથે ૧૨ ગીતોનો કોન્ટ્રાક્ટ કરી લીધો. ત્યાર પછી તેમણે મને તાલીમ આપી અને બધા સંગીતકારો સાથે ગાવાની મોકળાશ પણ આપી. તેમણે મને શીખવ્યું કે જે સંગીતકાર સાથે ગાવાનું હોય તેના અંગમાં (શૈલીમાં) ગાવું. માસ્ટરજીની તાલીમને કારણે હું દરેક પ્રકારનો ભાવ ધરાવતાં ગીત ગાઇ શકી. મારા માટે એ પંજાબી શબ્દ વાપરતાં કહેતા હતા કે તે ‘ચૌમુખીયા’(બહુમુખી) ગાયિકા છે- કોઇ પણ ગીત ઉત્તમ રીતે ગાઇ શકે એવી. ’

ફિલ્મસંગીતમાં દંતકથા જેવું સ્થાન ધરાવતા ગાયક-અભિનેતા કે.એલ.સાયગલ વિશે પૂછતાં શમશાદ બેગમે કહ્યુ,‘મૈં ઉનકી, વો ક્યા કહતે હૈ, ફેન થી.’ ૧૪ એપ્રિલ, ૧૯૧૯ના રોજ જન્મેલાં શમશાદ બેગમે ૧૯૩૫માં આવેલી સાયગલની સુપરહિટ ફિલ્મ ‘દેવદાસ’ દસ વાર જોઇ હતી!. ‘થોડા પૈસા આવે કે તરત હું બહેનપણી સાથે દેવદાસ જોવા ઉપડી જાઊં.’ ગાયિકા બન્યા પછી સાયગલને મળવાનું પણ થયું. ‘રણજિત સ્ટુડિયોમાં (સંગીતકાર ખેમચંદ પ્રકાશના સહાયક) બુલો સી રાનીનું રેકોર્ડિંગ હતું. એ વખતે મારૂં નામ ગાયિકા તરીકે જાણીતું બની ચૂક્યું હતું, પણ હું તેમને કેવળ ચાહક તરીકે મળવા ગઇ. તે બહુ સરસ રીતે મળ્યા. પછી કોઇકે કહ્યું કે આ શમશાદ બેગમ છે. એટલે તેમણે બુલો સી રાની પર ‘મુઝે પહેલે ક્યોં નહીં બતાયા’ એવો મીઠો ગુસ્સો કર્યો અને મને કહ્યું,‘તુમ આના. તુમ્હે પંજાબકી બોલિયાં સુનાઊંગા.’

શમશાદ બેગમની જેમ નૂરજહાં પણ ગુલામ હૈદરની શોધ. નૂરજહાંને યાદ કરતાં શમશાદ બેગમે કહ્યું,‘અમારી વચ્ચે કોઇ પાર્ટીબાજી ન હતી. એકબીજાનાં સારાં ગીતો સાંભળીને અમે દિલથી વખાણ કરતાં હતાં.’ સંગીતકાર નૌશાદનું નામ પડતાં જ તેમણે સાયગલ અભિનિત ‘શાહજહાં’માં પોતે ગાયેલું ગીત ‘જબ ઉસને ગેસુ બિખરાયે’ યાદ કર્યું હતું અને કહ્યું કે પહેલી વાર મેં ‘અનમોલ ઘડી’માં નૌશાદ માટે ગાયું.

હિંદી અને પંજાબી ઉપરાંત દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ શમશાદ બેગમે ગીતો ગાયાં હતાં. ગુજરાતીમાં તેમણે ગાયેલું કોઇ આખું ગીત નથી, પણ કેટલાંક ગીતોમાં થોડી ગુજરાતી કડીઓ શમશાદ બેગમના અવાજમાં છે. એનું સૌથી જાણીતું ઉદાહરણ છે ફિલ્મ ‘શબનમ’નું ગીત ‘યે દુનિયા રૂપકી ચોર’. ‘આ પ્રકારનાં કે ‘આના મેરી જાન સન્ડે કે સન્ડે’ જેવાં નખરાળાં ગીતો ગાતાં તમને સંકોચ થતો હતો?’ એવા સવાલના જવાબમાં, શરમાળ અને પ્રસિદ્ધિથી દૂર રહેવા માટે જાણીતાં શમશાદ બેગમે કહ્યું હતું,‘બિલકુલ નહીં. કારણ કે ગાવાનું - દરેક ગીત મારા માટે ઇબાદત જેવું હતું. માઇક આગળ જતાં પહેલાં અમે ચપ્પલ બહાર કાઢીને જતાં હતાં.’

શમશાદ બેગમનાં મસ્તીભર્યાં ગીતોમાં બીજી ખાસિયત હતી તેમના ‘અરરર, ઉઇ, છઇ, હાય’ જેવા નખરાળા ઉદગારો. ‘આ ઉદગારો કાઢવાનું પણ સંગીતકારો સૂચવે કે ગાતી વખતે તમારી મસ્તીમાંથી એ નીપજે?’ તેમનો જવાબ હતોઃ ‘સંગીતકાર ફક્ત ઘૂન આપે. આ બઘું હું મારી જાતે કરતી હતી અને મારા કામમાં કોઇ દખલ કરતું નહીં.’

Friday, November 26, 2010

માણસનું મગજ કેટલાંક કામોનું ‘આઉટસોર્સિંગ’ કરે છેઃ રોબોટિક્સના નિષ્ણાત પ્રો.ફાઇફર

Prof. Rolf Pfeifer, Expert of Artificial Intelligence & Robotics, Uni. of Zurich

મનુષ્ય અને પ્રાણીઓની જેમ ભવિષ્યમાં
રોબોટના અધિકારનો મુદ્દો પણ ઉભો થઇ શકે છેઃ પ્રો.ફાઇફર

મગજ શરીરનું ‘બોસ’ છે અને શરીર કેવળ મગજના આદેશોનું ગુલામ- આવી માન્યતા અત્યાર સુધી પ્રચલિત રહી છે. તેને કારણે રોબોટ (યંત્રમાનવ) વિકસાવવામાં ઘણુંખરૂં ઘ્યાન તેના ‘મગજ’ (પ્રોગ્રામિંગ) ઉપર આપવામાં આવે છે. ‘શરીર’ વિશે બહુ વિચાર કરવામાં આવતો નથી. પરંતુ અમદાવાદની મુલાકાતે આવેલા સ્વિસ પ્રોફેસર રોલ્ફ ફાઇફર ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં કહે છે,‘માત્ર ને માત્ર મગજ સર્વસ્વ છે એ માન્યતા સાચી નથી. મગજ પોતાની કેટલીક કામગીરીનું મોર્ફોલોજીને (શરીરના પૂરજાઓને) ‘આઉટસોર્સિંગ’ કરી નાખે છે.’

સાદી ભાષામાં કહીએ તો, દરેક વાતમાં મગજને તસ્દી આપવાને બદલે, કેટલાંક કામ શરીરના સાંધા કે સ્નાયુઓ આપમેળે, પોતાની વિશિષ્ટ ક્ષમતાના જોરે કરી નાખે છે. જેમ કે, ઉબડખાબડ જમીન પર ચાલતી વખતે નાના-મોટા ખાડા ટેકરા આવે ત્યારે પગ મગજના આદેશની રાહ જોતા નથી. સંતુલન જાળવવાના મગજના કાયદાનો ભંગ ન થાય એ રીતે, પણ મગજને પૂછ્યા વિના પગ આપમેળે ખાડાટેકરા સંભાળી લે છે. અંગોની સ્વતંત્ર ‘વિચારશક્તિ’નું બીજું ઉદાહરણ આપતાં પ્રો.ફાઇફર કહે છે,‘ સામે પડેલો પ્યાલો ઉપાડવા માટે માણસ હાથ અવળો વાળતો નથી. કારણ કે એવું કરવાથી સ્નાયુને સ્પ્રિંગની જેમ વળ ચડાવવો પડે. આ સ્થિતિમાં હાથનો સ્નાયુ પોતે જ નિર્ણય લઇને ઓછામાં ઓછી શક્તિ ખર્ચાય એ રીતે પ્યાલો પકડે છે. તેમાં મગજના આદેશની જરૂર પડતી નથી.’

આ વાત સાંભળવા-વાંચવામાં જેટલી ક્રાંતિકારી લાગે, એટલી જ તેની અસરની રીતે પણ મહત્ત્વની છે. સ્વિસ એલચી કચેરી તરફથી યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શન અને વ્યાખ્યાન નિમિત્તે અમદાવાદ આવેલા પ્રો.ફાઇફર કહે છે,‘અત્યાર સુધી રોબોટ બનાવનાર લોકોએ માણસના બુદ્ધિયુક્ત વર્તનમાં શરીરની ભૂમિકાને સાવ નજરઅંદાજ કરી છે. મગજનું કામ બેશક સૌથી મહત્ત્વનું છે, પરંતુ માત્ર મગજની કામગીરી સમજવાથી સંપૂર્ણ ચિત્ર મળતું નથી. એ માટે શરીરની ખૂબીઓને પણ ઘ્યાનમાં લેવી પડે. મગજની નહીં, પણ અંગોની ખાસિયતને લીધે થતાં કામ ઘ્યાનમાં રાખવાં પડે.

‘એમ્બોડીમેન્ટ’ તરીકે ઓળખાતા આ નવા શાસ્ત્રના ટોચના નિષ્ણાતોમાં પ્રો.ફાઇફરની ગણના થાય છે. પચીસ વર્ષથી કમ્પ્યુટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે સક્રિય પ્રો. ફાઇફર અમેરિકાની એમ.આઇ.ટી. સહિત અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સાથે સંકળાઇ ચૂક્યા છે અને અને હાલમાં યુનિવર્સિટી ઓફ ઝુરિક (સ્વિત્ઝર્લેન્ડ)ના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિભાગના વડા છે. તેમના મતે, માણસની ચામડી દબાણ, તાપમાન, પોતાનો આકાર બદલવાની ક્ષમતા જેવી અસંખ્યા ખાસિયતો ધરાવે છે. આઘુનિક રોબોટ બનાવવામાં નડતા સૌથી મોટા પડકારોમાંનો એક પડકાર ચામડી જેવું ‘બત્રીસ લક્ષણું’ મટીરિયલ તૈયાર કરવાનો છે. એટલે જ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના ક્ષેત્રમાં પ્રગતિ માટે એન્જિનિયિરિંગથી માંડીને નેનો ટેકનોલોજી સુધીનાં ક્ષેત્રોનો સમન્વય જરૂરી છે.

પ્રો.ફાઇફર માને છે કે યંત્રમાનવોની ક્ષમતા વધે, તેમ નૈતિકતાના પણ સવાલ ઉભા થઇ શકે છે. સાથોસાથ, મનુષ્ય અને પ્રાણીઓની જેમ ભવિષ્યમાં રોબોટના અધિકારનો મુદ્દો પણ ઉભો થઇ શકે છે. તેનું એક ઉદાહરણ આપતાં પ્રો.ફાઇફર કહે છે, ‘કોરિયામાં થોડાં વર્ષ પહેલાં સંશોધકો અને સરકારના સહયોગથી એક સંગઠન રચાયું હતું. તેમાં એવો મુદ્દો ઉભો થયો હતો કે રોબોટ અમુકથી વધારે સમજણ ધરાવતો થાય, ત્યાર પછી તેનો પાવર ઓફ કરી દેવામાં આવે તો તે અનૈતિક ગણાય કે કેમ?’

Thursday, November 25, 2010

અંધેરી નગરીમાં સ્પેક્ટ્રમ કૌભાંડની કથા

એક હતી અંધેરી નગરી. તેમાં એક રાજા હતો જે રાજા ન હતો અને એક સિંહ હતો જે સિંહ ન હતો. અંધેરી નગરીના નાગરિકોને તેનાથી કશો ફરક પડતો ન હતો. કારણ કે એ પણ કહેવા પૂરતા- પાનના ગલ્લે કે ઘરનાં દીવાનખાનામાં બેસીને તડાકા મારવા પૂરતા જ - નાગરિક હતા.

અંધેરી નગરીમાં લોકશાહી છે એવી અફવા હતી. લોકશાહી વિશે વિવાદ થાય ત્યારે સ્થાનિક ચિંતકો અને ગુરૂઓ પ્રજાને કહેતા હતા, ‘કુંજામાં ફરતી કીડી જેમ કુંજો જોઇ શકતી નથી, તેમ તમને આપણી લોકશાહી દેખાતી નથી. એક વાર બહાર નીકળો અને આપણા રાજની આજુબાજુ નજર કરો. પછી તમને ખબર પડશે કે આપણે ત્યાં કેવી સ્વર્ગીય લોકશાહી છે!’ એક નાનો વર્ગ લોકશાહી સ્વર્ગીય છે કે સ્વર્ગસ્થ, એ વિશે જોશપૂર્વક ચર્ચા કરતો હતો.

અંધેરી નગરીમાં બઘું - એટલે કે હિંસા, ભ્રષ્ટાચાર, આંતરવિગ્રહ, સંસદમાં ધમાલ એ બઘું- સમુંસૂતરૂં ચાલતું હતું. અચાનક એક દિવસ એક મોટો ગોટાળો પ્રકાશમાં આવ્યો. વિરોધ પક્ષો તેને ‘સ્પેક્ટ્રમ કૌભાંડ’ કહેતા હતા. કારણ કે તે મોબાઇલ ફોનના સ્પેક્ટ્રમની ફાળવણી અંગેનું હતું. રાજા ન હતા એવા એક રાજાએ રાજની માલિકીનો સ્પેક્ટ્રમ ઓછા ભાવે કંપનીઓને આપી દીધો. એનાથી રાજને અમુક લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો એવી વાત હતી.

અંધેરી નગરીમાં લોકશાહી કાલ્પનિક હોઇ શકે, પણ અંધેર સો ટકા વાસ્તવિક હતો. કોઇ પણ કૌભાંડ થાય, એટલે કેટલાક નિયમો આપમેળે કામે લાગી જાય એવો જડબેસલાક અંધેર. જેમ કે, કૌભાંડ જાહેર થાય એટલે એક પક્ષ ઇન્કાર કરે અને બીજો પક્ષ ઉગ્ર આરોપો કરે. આશય એટલો જ કે પ્રજાને કરમુક્ત મનોરંજન મળી રહે.

માત્ર સફળતાના જ નહીં, કૌભાંડના પણ અનેક પિતા હોય છે. તેમાંથી એકાદનું નામ જાહેર થાય એટલે કરમુક્ત શો સુખરૂપ ચાલ્યા કરે. કૌભાંડની આગળ તપાસ થાય, બાકીના લોકોનાં નામ જાણવા મળે અને તેમના ‘પિતૃત્વ’ની ચકાસણી થઇ રહે ત્યાં સુધીમાં અંધેરી નગરીના નાગરિકો કંટાળીને આખી વાતમાંથી રસ ગુમાવી ચૂક્યા હોય. પછી એકાદ ક્રિકેટ ટુર્નામેન્ટ કે ફિલ્મી વિવાદ કે ત્રાસવાદી હુમલો થાય, એટલે આખું કૌભાંડ અંધેરી નગરીના સમૃદ્ધ ઇતિહાસમાં વઘુ એક સોનેરી પ્રકરણ તરીકે ઉમેરાઇ જાય.

સ્પેક્ટ્રમ કૌભાંડમાં બહુ મોટી રકમનો આંકડો ઉછળ્યો હોવાથી, તેને ઇતિહાસમાં દફનાવતાં પહેલાં એક તપાસસમિતિ નીમવામાં આવી. અંધેરી નગરીમાં તપાસસમિતિની ઉજ્જવળ પરંપરા છેઃ દિવસે નીમાયેલી તપાસસમિતિઓ સૂરજ શોધવાના કામમાં રાત પાડી નાખે. ત્યાર પછી ચંદ્રના અજવાળામાં સૂરજની સાંઠગાંઠની આશંકા તરફ આંગળી ચીંધે અને પૂરતા પુરાવાના અભાવે સૂરજનું અસ્તિત્ત્વ સાબીત થતું નથી એવું તારણ આપે.

સ્પેક્ટ્રમ કૌભાંડ માટે નીમાયેલી તપાસસમિતિ અંધેરી નગરીની પરંપરા પ્રમાણે તપાસ આદરે તો?

***

એક ખંડમાં તપાસસમિતિના સભ્યો બેઠા છે. ચોતરફ ફાઇલોના ઢગ ખડકાયેલા છે. પાછળ એક બેનર લટકે છે, જેની પર મોટા અક્ષરે ‘સ્પેક્ટ્રમ (કૌભાંડ) તપાસસમિતિ’ લખાયેલું છે. બાકીની જગ્યામાં ‘આ તપાસસમિતિના પ્રાયોજકો’ એવા મથાળા હેઠળ તમામ મોબાઇલ કંપનીઓનાં નામ વાંચવા મળે છે.

સભ્ય ૧: હવે આપણે કંઇક કરવું જોઇએ.

સભ્ય ૨: તમે આવું ન બોલો. કોઇ સાંભળે તો કેવું લાગે, જાણે ક્યારના આપણે હાથ જોડીને બેસી રહ્યા હોઇએ.

સભ્ય ૫: પણ આપણી નિમણૂંકને ૧૨ વર્ષ થઇ ગયાં...

સભ્ય ૩: શું વાત કરો છો! હજુ તો ગઇ કાલે જ સમિતિની રચના થઇ હોય, આપણને ઓફિસ ફળવાઇ હોય અને ભાડાં-ભથ્થાં શરૂ થયાં હોય એવું લાગે છે...સમય કેટલો જલ્દી જતો રહે છે, નહીં?

સભ્ય ૪: મને તો હવે તપાસ કરવાની એવી ટેવ પડી ગઇ છે કે આ તપાસ પૂરી થઇ જશે તો મારૂં શું થશે, એની ચિંતા થાય છે.

સભ્ય ૩: એમ ઢીલા ન થઇ જાવ. સૌ સારાં વાનાં થશે. કૌભાંડોની ક્યાં ખોટ છે? બસ, વિપક્ષોને જરા ટાઇટ કરવાના કે સમિતિ નીમવાની માગણી પકડી રાખે.

સભ્ય ૧: પણ આપણા કામનું શું? આપણે જે કામ માટે નીમ્યા છે...સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસ માટે...

સભ્ય ૨: હા, તેની કોણ ના પાડે છે? અને તમે આટલો અપરાધભાવ શા માટે અનુભવો છો? આપણે પ્રતિષ્ઠિત માણસો છીએ. એમ કંઇ ગામ છોડીને નાસી થોડા જવાના છીએ કે કોઇ આપણી પાસે અહેવાલની ઉઘરાણી કરે!

સભ્ય ૪: નાસી જવાનો સવાલ નથી, પણ બાર-બાર વર્ષ થઇ ગયાં.

સભ્ય ૩: મહાભારતમાંથી કંઇક તો શીખો! વનવાસ પૂરો થવા આવ્યો હોય ત્યાં જ એવો વાંધો નીકળવો જોઇએ કે વનવાસની નવી મુદત ફરી શરૂ થઇ જાય. ભલે થતાં બીજાં બાર વર્ષ ટૂંકાં!

સભ્ય ૧: ના, મારે હવે એક્સ્ટેન્શન નથી જોઇતું. મારો અંતરાત્મા ડંખે છે.

સભ્ય ૨: છાના રહો, મિત્ર. બાર વર્ષે અંતરાત્મા ડંખ્યો નહીં, જાગ્યો કહેવાય. આ બધી સોનિયા ગાંધીગીરી મને ના શીખવશો.

સભ્ય ૫: તમે એમ બળજબરીથી અમારો અવાજ દબાવી ન શકો. પાંચ જણની સમિતિમાંથી અમે ત્રણ જણ કંટાળ્યા છીએ. હવે કંઇક કરવું જ પડશે. કમ સે કમ આ સમિતિમાંથી તો અમારે નીકળવું જ છે. હમણાં જ ‘બિગ બોસ’ ટીવી શો અશ્વ્લીલ છે કે નહીં, તેની તપાસસમિતિ રચાઇ ગઇ. આપણે આ કામ વેળાસર પૂરૂં કર્યું હોત તો એમાં નંબર લાગી ગયો હોત. મેં સાંભળ્યું છે કે એમાં પામેલા એન્ડરસનની પણ જુબાની લેવાના છે.

સભ્ય ૧: આપણે વિષયાંતર ન કરવું જોઇએ, પણ મૂળ મુદ્દો સાચો છે. એક કામ પૂરૂં થાય તો આગળ કંઇક સૂઝ પડે. તપાસસમિતિમાં નવેનવી નિમણૂંક થઇ ત્યારે લોકોમાં આપણો વટ પડતો હતો. તપાસમિતિની બત્તીવાળી ગાડીમાંથી ઉતરીએ એટલે લોકો ગાર્ડ ઓફ ઓનરની માફક લાઇનબંધ સ્વાગત કરવા ઉભા થઇ જતા હતા.

સભ્ય ૫: અને હવે? ક્યાંક જઇએ તો લોકો મોઢામોઢ તો નથી કહેતા, પણ પીઠ ફેરવીએ કે તરત ઠેકડી ઉડાડે છે. કેટલાક તો પૂછી પણ નાખે છે કે ‘શું પછી સ્પેક્ટ્રમમાં કંઇ તાળો મળ્યો? કે વહીવટ થઇ ગયો’

સભ્ય ૪: હવે નથી સહન થતું. હવે આ કૌભાંડમાં અપરાધીનું નામ પાડો અને વાત પૂરી કરો.

સભ્ય ૨ અને ૩: સારૂં. તમારો આટલો આગ્રહ છે તો હવે અમે કહી જ દઇએ...

સભ્ય ૧: એટલે, તમે તપાસ પૂરી કરી નાખી છે?

સભ્ય ૪ : આરોપી શોધી નાખ્યા છે?

સભ્ય ૨: અત્યાર સુધી હોય? ખરેખર તો અમે અંધેરી નગરીના અમારા લાંબા અનુભવને કારણે કૌભાંડ જાહેર થયું એ જ દિવસથી અસલી આરોપી વિશે જાણતા હતા.

સભ્ય ૫: શું વાત કરો છો! તમે તો છુપા રૂસ્તમ નીકળ્યા.

સભ્ય ૪: અમને કહ્યું પણ નહીં! હવે વધારે રાહ ન જોવડાવશો. જલ્દી કહી દો. કોણ છે સ્પેક્ટ્રમ કૌભાંડનો અસલી આરોપી?

સભ્ય ૨ અને ૩ (એક અવાજે): માર્ટિન કૂપર.

સભ્ય ૧,૪,૫ (સામુહિક રીતે): એ કોણ? આવા કોઇ માણસનું નામ આજ લગી સાંભળ્યું નથી. ટ્રાઇમાં હતો? ટેલીકોમ મંત્રાલયમાં હતો? કે વડાપ્રધાનની કચેરીમાં?

સભ્ય ૨: એ અમેરિકાનો છે.

સભ્ય ૧: તો એમાં શું થઇ ગયું? અમેરિકા સાથે આપણે સારા સંબંધ છે. એમને કહીશું તો એ કૂપરને ભારત મોકલી આપશે.

સભ્ય ૩: પણ કૂપર બહુ હોંશિયાર માણસ છે. સ્પેક્ટ્રમ કૌભાંડમાં એનો ગુનો સાબીત કરવો અઘરો છે.

સભ્ય ૧: સ્વાભાવિક છે. આટલા મોટા કૌભાંડ માટે જવાબદાર માણસ ચાલાક જ હોય, પણ એણે ગુનો કર્યો કેવી રીતે?

સભ્ય ૨: કૂપરનો સૌથી મોટો ગુનો એ હતો કે એણે પહેલો મોબાઇલ ફોન શોઘ્યો.

સભ્ય ૩: એણે મોબાઇલ ફોન શોઘ્યો ત્યારે સ્પેક્ટ્રમની ફાળવણીનો અને તેમાં કૌભાંડ થવાનો સવાલ પેદા થયો ને!

સભ્ય ૨ અને ૩: એટલે આપણે અહેવાલમાં મોબાઇલ ફોનના શોધક માર્ટિન કૂપરને મુખ્ય ગુનેગાર ઠેરવીએ તેમાં તમને કોઇ વાંધો નથી. બરાબર?

સભ્ય ૧, ૪, ૫: હા, એકદમ બરાબર.

સભ્ય ૨ અને ૩: અંધેરી નગરીની ન્યાય પરંપરા...

સભ્ય ૧, ૪, ૫: ઝિંદાબાદ, ઝિંદાબાદ

(સૂત્રોચ્ચાર સાથે તપાસ પૂરી થાય છે.)

Tuesday, November 23, 2010

જન ગણ મન કળાનાયક...

Nobel Prize Citation

Gandhiji & tagore at Shantiniketan

translations of Geetanjali

Hellen Keller with Tagore; her 'touching' impression of Tagore in her own handwritings

Sanskriti yatra train

રવીન્દ્રનાથ ટાગોરની 150મી જન્મજયંતિ નિમિત્તે રેલવેએ પાંચ ડબ્બાની એક ખાસ ટ્રેનમાં પ્રદર્શન તૈયાર કર્યું છે. દેશમાં ફરતું ફરતું એ પ્રદર્શન ત્રણ દિવસ માટે અમદાવાદ આવ્યું હતું. આજે છેલ્લો દિવસ હતો. (એ યાદ કરાવતો મુ.મહેન્દ્રભાઇ મેઘાણીનો ફોન પણ એમની રાબેતા મુજબની ભાર વગરની ચોક્સાઇ સાથે આવી ગયો.) એટલે આજે સવારે અમદાવાદ સ્ટેશનના એક નંબર પ્લેટફોર્મ પર ગોઠવાયેલું ‘એક્ઝિબિશન ઓન વ્હીલ્સ’ જોયું.

રવીન્દ્રનાથ ટાગોર જેવી કળાક્ષેત્રની હસ્તીને યાદ કરીને તેમના માટે આવું પ્રદર્શન વિચારવામાં આવે, એ અભિનંદનને પાત્ર છે. પ્રદર્શનમાં રવીન્દ્રનાથ, તેમનાં પરિવારજનો અને શાંતિનિકેતન ઉપરાંત વિવિધ મહાનુભાવો સાથે રવીન્દ્રનાથની ઘણી તસવીરો જોવા મળી. ‘ગીતાંજલિ’ના વિવિધ ભાષામાં પ્રકાશિત અનુવાદોનાં મુખપૃ્ષ્ઠ બહુ રસ પડે એવાં હતાં.

એક ડબ્બો રવીન્દ્રનાથનાં ચિત્રોનો જ હતો. પાંચે ડબ્બામાં ફરતી વખતે બંગાળી અવાજોમાં રવીન્દ્રસંગીતની સુરાવલિઓ સંભળાતી હતી. છેલ્લા ડબ્બામાં રવીન્દ્રનાથની છબી કે ચિત્રો ધરાવતી કેટલીક ચીજો ઉપરાંત શાંતિનિકેતનની હસ્તકલા તરીકે શોપિંગપ્રિય પ્રજાને ગમે એવી કેટલીક ચીજો –પર્સ ઇત્યાદિ- પણ હતી. ભલું થાવ આયોજકોનું કે શાંતિનિકેતનમાં બનેલાં સંદેશ-રસગુલ્લાં વેચાતાં ન હતાં.

આ પ્રકારના ઉપક્રમને આવકાર્યા પછી પણ તેમાંથી કેટલીક મૂળભૂત અપેક્ષાઓ મોટે ભાગે સંતોષાયા વગરની રહેતી હોય છે. ટાગોર-ટ્રેનમાં પણ એવું જ બન્યું.

  • ઇ.સ.2010નું પ્રદર્શન હોય અને તે ઇન્ટરએક્ટિવ કેમ ન હોય?
  • આખા પ્રદર્શનમાં ક્યાંય રવી્ન્દ્રનાથનો અવાજ અને ફિલ્મ (હાલતાચાલતા રવીન્દ્રનાથ) ક્યાંય ન દેખાય એ કેમ ચાલે? એક જાણીતી ડોક્યુમેન્ટરીમાં રવીન્દ્રનાથ ટાગોરના અવાજમાં રેકોર્ડ થયેલું જનગણમન... છે. પ્રદર્શનમાં ચારે અંતરાવાળું આખું જનગણમન... મૂકેલું હતું. તેની નીચે બટન દબાવવાથી રવીન્દ્રનાથના અવાજમાં એ સાંભળવા મળે એવી વ્યવસ્થા ન થઇ શકે? ટેકનોલોજીની રીતે એ કરવું અઘરું નથી.
  • આપણાં ઘણાં સંગ્રહસ્થાનોમાં બને છે તેમ, તસવીરોની નીચે ફોટોલાઇન ન હોય અથવા અધૂરી હોય એવું શા માટે? શાંતિનિકેતનની એક તસવીરમાં વિદ્યાર્થીઓ એક વડીલને વીંટળાઇને બેઠા હોય અને એની કશી ફોટોલાઇન જ ન હોય (- અને એ વડીલ શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેન હોય)...
  • આ પ્રકારનાં પ્રદર્શનોની કક્ષા જોતાં એવું લાગે, જાણે તે સ્કૂલનાં બાળકોને ધ્યાનમાં રાખીને યોજાતાં હશે. જો એમ જ હોય તો આયોજકોએ સ્કૂલનાં બાળકોની કક્ષા વિશે નવેસરથી વિચાર કરવો રહ્યો. કેમ કે ડિજિટલ યુગનાં બાળકોને આવાં પ્રદર્શનોથી કેટલી હદે આકર્ષી શકાય એ સવાલ., આ જાતનાં પ્રદર્શનમાં કોઇ ઉત્સાહી જ નહીં, જાણકાર પણ હોય એવા શિક્ષક સાથે હોય તો જ વિદ્યાર્થીઓને પણ કંઇક જાણવા મળે- અને વડીલો માટે તો એ વિકલ્પ પણ નથી
Photo Reproductions : courtesy : Sanskriti Yatra Train Exhibition

Sunday, November 21, 2010

લોકશાહીની ઝીણી પણ જ્વલંત જ્યોતઃ સૂ ચી


આંતરરાષ્ટ્રિય સમાચારોમાં ગયા અઠવાડિયે માંડ ગુજરાત રાજ્ય જેટલું કદ ધરાવતો બર્મા ઉર્ફે બ્રહ્મદેશ ઉર્ફે મ્યામાં છવાયેલો રહ્યો. સમાચારના કેન્દ્રમાં હતાં ૬૫ વર્ષનાં નેતા સૂ ચી, જેમણે છેલ્લા ૨૧ વર્ષના સમયમાંથી ૧૫ વર્ષ એક યા બીજી રીતે કારાવાસમાં ગુજાર્યાં છે.

સાત વર્ષની છેલ્લી નજરકેદ પછી ૧૩ નવેમ્બર, ૨૦૧૦ના રોજ લશ્કરી શાસને મુક્ત કરેલાં સૂ ચી તેમના નામના અવળચંડા અંગ્રેજી સ્પેલિંગને કારણે ‘સુ કી’ તરીકે ઉલ્લેખાતાં હોય છે, પણ બર્મીઝ ભાષામાં તેમના આખા નામનો (સાચાથી સૌથી નજીકનો ઉચ્ચાર) ‘આંવ સાન સૂ ચી’ છે. કારાવાસમાંથી મુક્ત થયા પછી ખુદ સૂ ચીએ બીબીસી સાથે કરેલી વાતચીતમાં એ મતલબનું કહ્યું હતું કે ‘(કેટલાક લોકો) મને ‘ધ લેડી વિથ અનપ્રોનાઉન્સિએબલ નેમ’/નામનો અટપટો ઉચ્ચાર ધરાવતાં મહિલા તરીકે ઓળખે છે, પણ ખરૂં મહત્ત્વ તેમની શુભેચ્છાઓનું છે.’

અંગ્રેજી હકુમતની એડી તળે કચડાયેલો બ્રહ્મદેશ લાંબા સમય સુધી ભારતના એક હિસ્સા જેવો ગણાતો હતો. તેના પાટનગર રંગૂન સાથે અનેક ગુજરાતીઓનો કારોબાર ચાલતો હતો. સામાન્ય વ્યવહારમાં કઠોળના રંગૂની વાલથી માંડીને ‘મેરે પિયા ગયે રંગૂન’ જેવાં ગીતોમાં બ્રહ્મદેશ-ભારતની નિકટતા દેખાતી હતી.

ભારત આઝાદ થયું તેના બીજા જ વર્ષે, સૂ ચીના પિતા જનરલ આંવ સાનની આગેવાની હેઠળ ચાલતી આઝાદીની લડતમાં બર્મા સ્વતંત્ર થયું. પરંતુ ભારતની જેમ બર્મા એક લોકશાહી તરીકે સ્થિર થઇ શકે તે પહેલાં જ, આઝાદીના માંડ છ મહિના પછી જનરલ આંવ સાનની હત્યા થઇ. ત્યારથી ખરાબે ચડેલું બર્માની લોકશાહીનું નાવ હજુ ભટક્યા કરે છે.

૧૯૬૦માં બર્મામાં ચૂંટણી થઇ ત્યારે જનરલ આંવ સાનના સાથીદાર ઉ નુ ફરી એક વાર વિજેતા થયા. એ વખતે આંવ સાનનાં પત્નીને ભારતનાં રાજદૂત તરીકે નીમવામાં આવ્યાં. તેમની સાથે ૧૫ વર્ષનાં સૂ ચી પણ ભારત આવ્યાં. તેમને રહેવા માટે જવાહરલાલ નેહરૂએ ૨૪, અકબર રોડ પર આવેલો બંગલો ફાળવ્યો અને એ બંગલાનું નામ ‘બર્મા હાઉસ’ રાખવામાં આવ્યું. હાલ કોંગ્રેસની ઓફિસ ધરાવતા ૨૪, અકબર રોડના બંગલાની તવારીખ પુસ્તક સ્વરૂપે આલેખનાર ‘ધ ટેલીગ્રાફ’ના રશીદ કિડવાઇની નોંધ પ્રમાણે, ‘સૂ ચીએ ૨૪, અકબર રોડના બંગલામાં રહેવા માટે જે રૂમ પસંદ કર્યો હતો, ત્યાં અત્યારે કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે રાહુલ ગાંધી બેસે છે.’
બર્માના રાજદૂત ઉપરાંત જનરલ આંવ સાનનાં પરિવારજનો તરીકે માતા-પુત્રીનું બરાબર ઘ્યાન રાખવામાં આવતું હતું. સૂ ચીના સમવયસ્ક, વડાપ્રધાન નેહરૂના પૌત્રો રાજીવ અને સંજય સાથે સૂ ચી રમ્યાં હતાં અને ભારતના રાષ્ટ્રપતિભવનના અંગરક્ષકો પાસે તે ઘોડેસવારી શીખ્યાં હતાં. ભવિષ્યમાં શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર અને પોતાના અહિંસક રાજકારણ માટે વિશ્વભરમાં વિખ્યાત થનાર સૂ ચીએ દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો. મહાત્મા ગાંધીનો અહિંસક પ્રતિકાર અને સત્યાગ્રહ તેમના ભાવિ સંગ્રામ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં.

પરંતુ આવનારાં વર્ષોમાં સૂ ચીના અને ભારતના રાજકીય રસ્તા અલગ ફંટાવાના હતા. બર્મામાં લોકશાહીનાં બે વર્ષ માંડ વીત્યાં, ન વીત્યાં અને જનરલ નેવિને લશ્કરી વિદ્રોહની મદદથી સત્તા આંચકી લીધી. ત્યાર પછીના બે દાયકા સુધી સૂ ચી બર્માની બહાર રહ્યાં, પીએચ.ડી. થયાં, તિબેટી સંસ્કૃતિના અભ્યાસી ડો.માઇકલ એરીસ સાથે લગ્ન કરીને બે સંતાનોનાં માતા બન્યાં. તેમની જિંદગીમાં આવનારા રાજકીય વાવાઝોડાનો એ અઢી દાયકા દરમિયાન વખતે અણસાર સરખો ન હતો.

૧૯૮૮માં તે બર્મા પાછા ફર્યાં ત્યારે તેમનો આશય ફક્ત પોતાનાં વૃદ્ધ માની દેખભાળ રાખવાનો હતો. પરંતુ એ વખતે બર્મામાં વર્ષોથી ભારેલો વિરોધનો અગ્નિ ભભૂક્યો હતો. લશ્કરી શાસનની શરૂઆતનાં વર્ષોમાં ‘સંપત્તિના રાષ્ટ્રિયકરણ’ના નામે બર્માના ન હોય એવા લોકોની કનડગત શરૂ કરી. ૧૯૯૧ સુધી બર્માના રાજકારણમાં સક્રિય રહ્યા પછી બર્મા છોડીને ભારત આવી ગયેલા રામજિત વર્માએ તેમના પુસ્તક (ગુજરાતી અનુવાદઃ ‘બર્મામાં સળિયા પાછળની આઝાદી’, હીરાલક્ષ્મી મેમોરીયલ ફાઉન્ડેશન, મુંબઇ)માં નોંઘ્યા પ્રમાણે, ‘૧૯૬૪થી ૧૯૭૨ દરમિયાન છ લાખ ભારતીયો બઘું છોડીને ભારત હિજરત કરી ગયા. તેમાંથી ૭૫ ટકા બર્મામાં જન્મ્યા હતા. એમના બર્મામાં રહેલા વંશજોને સ્વતંત્ર બર્માની નાગરિકતાના કાનૂન પ્રમાણે બર્માની નાગરિકતા મેળવવાનો અધિકાર છે, પરંતુ લશ્કરી શાસનને કારણે એ લોકો અધિકારથી વંચિત રહ્યા છે.’

‘બહારના’ કહેવાતા ભારતીયો તો ઠીક, ખુદ બર્માની પ્રજા પણ લશ્કરી શાસનની જોહુકમીથી ત્રાસી ગઇ હતી. આખરે ૧૯૮૮માં બૌદ્ધ ભિખ્ખુઓ અને વિદ્યાર્થીઓ સહિતની પ્રજાએ લશ્કર સામે બળવો કર્યો. રાજ્યશાસ્ત્ર ભણેલાં અને ચાર દાયકા પહેલાં રાજકીય અશાંતિમાં પિતાને ગુમાવી ચૂકેલાં સૂ ચી શાંત બેસી ન શક્યાં. વૃદ્ધ માને બદલે આખા દેશની જવાબદારી તેમને પોકારતી હતી. તેમણે ૪૩ વર્ષની વયે પહેલી વાર સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું. ત્યારથી આજ લગી એ પાછાં હઠ્યાં નથી.

એક વાર લશ્કરી શાસકોની સામે પડ્યા પછી સફળતા ઝાંઝવાં જેવી બની જાય છે અને કૌટુંબિક જિંદગી વેરવિખેર. બર્મા આવ્યા પછી સૂ ચી તેમના પતિને માંડ પાંચ વાર મળી શક્યાં. ૧૯૮૮ના પ્રચંડ વિરોધ પ્રદર્શનો પછી ૧૯૯૦માં ચૂંટણી જાહેર કરવામાં આવી. તેમાં સૂ ચીના પક્ષ ‘નેશનલ લીગ ફોર ડેમોક્રેસી’નો ભવ્ય વિજય થયો. ચૂંટણીટાણે સૂ ચી નજરકેદ હોવા છતાં તેમના પક્ષને ૪૮૫માંથી ૩૭૨ બેઠકો મળી હતી. પરંતુ લશ્કરી શાસને ચૂંટણીનાં પરિણામો સ્વીકારવાની ના પાડી દેતાં લોખંડી શાસન અનંત કાળ સુધી લંબાઇ ગયું અને સૂ ચી માટે કારાવાસ-નજરકેદનો સિલસિલો શરૂ થયો.

પતિ ડો.એરીસને પ્રોસ્ટેટનું કેન્સર હોવા છતાં, બર્માની લશ્કરી સરકારે તેમને બર્મામાં પ્રવેશની મંજૂરી ન આપી. લશ્કરી શાસકો ઇચ્છતા હતા કે સૂ ચી પોતાના કેન્સરગ્રસ્ત પતિની સારવાર માટે દેશ છોડી જાય, તો બલા ટળે. પણ નાજુક-નમણો બાંધો ધરાવતાં સૂ મક્કમ મનોબળનાં નીવડ્યાં. તેમણે દેશને પહેલી પસંદગી આપી. ૧૯૯૯માં ડો.એરીસનું અવસાન થયું, ત્યારે સૂ ચી બર્મામાં નજરકેદ હતાં.

૧૯૮૮થી શરૂ થયેલી રાજરમતમાં સૂ ચીને વચ્ચેવચ્ચે કેદમુક્ત કરાતાં રહ્યાં છે, પરંતુ વિરોધનું વાતાવરણ થોડું જામતું લાગે કે તરત તેમને ફરી કેદ કરી લેવામાં આવે છે. છેલ્લે ૨૦૦૩માં તેમના કાફલા પર લશ્કરી શાસકોના મળતીયાઓ દ્વારા થયેલા મનાતા હુમલા પછી ‘સલામતીનાં કારણોસર’ સૂ ચીને નજરકેદ કરવામાં આવ્યાં. ત્યાં ઇન્ટરનેટ તો શું, ટેલીફોનની સુવિધા પણ ન હતી. છતાં, ગયા સપ્તાહે બહાર આવેલાં સૂ ચીએ કહ્યું હતું કે નજરકેદ દરમિયાન તેમને અંગત રીતે કશી તકલીફ ન હતી અને લશ્કરના અફસરો માટે તેમના મનમાં કોઇ દુર્ભાવ નથી. પણ તે કાયદાના અને ન્યાયના શાસન માટે લડી રહ્યાં છે.

કાયદાના શાસનની આ લડાઇમાં ભારતની ભૂમિકા, માનો કે ન માનો પણ, લશ્કરી શાસકોના પક્ષે રહી છે. તેનું એક મુખ્ય કારણ છેઃ એશિયાનું રાજકારણ. ચીન બર્માના લશ્કરી શાસકો સાથે સાંઠગાંઠ કરીને પોતાનો લોખંડી પંજો વિસ્તરે એવા અનેક કરારો અને કામો કરી ચૂક્યું છે. તેમાં ભારતના આંદામાન-નિકોબાર ટાપુઓથી સાવ નજીક આવેલા અને બર્માના કબજામાં રહેલા કોકો ટાપુઓ પર રડાર મથક સ્થાપવાનો પણ સમાવેશ થાય છે. આ દોટમાં પાછળ રહી ગયું હોવા છતાં, વઘુ પાછળ રહી ન જવાય એ માટે ભારત પણ બર્માના શાસકોને અળખામણું થતું નથી. એટલે જ, ભારતના રાષ્ટ્રપિતાની લડત સૂ ચી માટે આદર્શ હોવા છતાં, ભારત સૂ ચીના અને લોકશાહીના વિરોધીઓના પક્ષે દેખાયું છે.

સૂ ચી છૂટ્યાં તેના અઠવાડિયા અગાઉ લશ્કરી શાસકોએ ચૂંટણી યોજી હતી. તેમાં મોટા પાયે ગોલમાલના આરોપ સાથે લશ્કરી પીઠબળ ધરાવતા પક્ષની જીત થઇ. પરંતુ સૂ ચીની મુક્તિ પછી હવે લોકશાહીનો જંગ નવેસરથી મંડાય એવી શક્યતા ઉભી થઇ છે- કમ સે કમ, સૂ ચીને વઘુ એક વાર નજરકેદ ન કરવામાં આવે ત્યાં સુધી તો ખરી જ.

Friday, November 19, 2010

વ્યાપાર અને ભક્તિ

ગ્રાહકમાં ઇશ્વરનાં દર્શન કરવામાં આવે તો વ્યાપાર એ પણ ભક્તિ છે.....

અને ભક્તમાં ગ્રાહકનાં દર્શન કરવામાં આવે તો ભક્તિ એ પણ વ્યાપાર છે.

Wednesday, November 17, 2010

સામુહિક શુભેચ્છા અનલિમિટેડ

(Dedicated to dear friend Ayesha Khan)

ઓબામાની જેમ દિવાળી ગઇ, પણ ઘણા સવાલ પાછળ છોડતી ગઇ.

દરેક દિવાળીએ અમદાવાદીઓએ કે ગુજરાતીઓએ કેટલા કરોડ રૂપિયાના ફટાકડા ફોડ્યા કે કેટલા કરોડ રૂપિયાની મીઠાઇ ખાધી, એવા ‘ભૌતિકવાદી’ સવાલોની વાત નથી.

દિવાળીમાં કેટલા ગુજરાતીઓ બહાર ફરવા ગયા, તેમાં કેટલા ટકા ડોક્ટરો હતા, ડોક્ટરોના બહાર જતા રહેવાને કારણે કેટલા લોકો સ્વર્ગસ્થ થયા અને ખાસ તો, કેટલા લોકો બચી ગયા- એવા આંકડાકીય સવાલોની પણ ચર્ચા નથી.

વાત છે દિવાળીની શુભેચ્છા સાથે સંકળાયેલા સવાલોની. દિવાળી-બેસતા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવવાનો જૂનો રિવાજ છે. રૂપિયાની જેમ શુભેચ્છા મોટા ભાગના લોકો-અમીર કે ગરીબ, નાના કે મોટા સૌ- માટે આવકાર્ય હોય છે. પણ દિવાળીમાં શુભેચ્છાની ખાસ જરૂર પડે એ સમજાય એવું છે : નવું વર્ષ બેસે છે એ કારણ તો ખરૂં જ, એ સિવાય બીજાં વધારે મહત્ત્વનાં કારણો પણ છેઃ

દિવાળી ટાણે બોમ્બ અને ટેટાને કારણે થતા ધડાકા કાનમાં ધાક પાડી દે એવા હોય છે. તેમ છતાં, ધડાકા કરનાર સામે ‘ભડાકા’ કરી શકાતા નથી. ઉલટું, ‘બુરા ન માનો, દિવાલી હૈ’નો દેખાવ રાખવો પડે છે. કાનમાં ધાક અને પેટમાં ફાળ સહન કરવા માટે વધારાની શુભેચ્છાઓ જોઇએ કે નહીં?

ખાવાપીવામાં કાળજી રાખનારા લોકોની દશા દિવાળીના દિવસોમાં વિશ્વામિત્ર જેવી થાય છે. ચોતરફ ફેલાયેલી નાસ્તા અને મીઠાઇની મોહજાળને કારણે, આખું વર્ષ રાખેલી કાળજી અને પાળેલી પરેજી ઘૂળમાં નહીં તો ઘી-તેલમાં મળી જશે એવી આશંકા જાગે છે. તે સાચી ન પડે એ માટે વધારાની શુભેચ્છા જોઇએ કે નહીં?

દિવાળીના દિવસોમાં બહાર જમવા જવું હવે દેખાડો નહીં, જરૂરિયાત કે સ્વાભાવિકતા બની ગયું હોય એવું રેસ્ટોરાંમાં ઉમટેલી ભીડ જોઇને લાગે છે. એ દિવસોમાં સદાવ્રત કરતાં રેસ્ટોરાંમાં વધારે લાંબી લાઇન અને વધારે ભીડ રહેતી હશે. આવી હડિયાપાટીમાં બનાવાતું અને પીરસાતું ભોજન વખાણીને ખાવાનું તો બધાને ફાવી ગયું છે (કારણ કે ઘણા લોકોને ભોજનમાંથી નહીં, રૂપિયા ખર્ચવામાંથી સ્વાદ આવતો હોય છે) પણ એ ભોજન પચાવવા માટે વધારાની શુભેચ્છા જોઇએ કે નહીં?

જોઇએ. જોઇએ. જોઇએ.

હવે બીજો તાર્કિક પ્રશ્ન છેઃ શુભેચ્છા કામ કરે છે ખરી?

જેવો સવાલ તેવો જવાબઃ સરકાર કામ કરે છે ખરી? છતાં સરકાર ચૂંટવામાં આવે છે. સંસ્થાઓ કામ કરે છે ખરી? છતાં તેમને ચલાવવામાં આવે છે. તો પછી શુભેચ્છાઓ માટે જુદાં કાટલાં શા માટે? સંસ્થાઓને અને સરકારોને શંકાનો લાભ અપાતો હોય, તો શુભેચ્છાને તે સૌથી વધારે પ્રમાણમાં મળવો જોઇએ. કારણ કે તેમાં ઓછામાં ઓછો ખર્ચ થાય છે.

શુભેચ્છા આપવા માટે પહેલાં દિવાળી કાર્ડ લખવામાં આવતાં હતાં: કુદરતી દૃશ્યો, શહેરોનાં પિક્ચર પોસ્ટકાર્ડ, સિનમાસ્ટાર કે દેવીદેવતાઓના ચહેરા, ફૂલ, દીવડા, સુવાક્યો- આ હતાં દિવાળી કાર્ડનાં મુખ્ય આકર્ષણ. ‘જેમ દિવાળી કાર્ડ વઘુ રંગીન કે ચમકતું, તેમ એ વધારે સારૂં’ એવું પ્રચલિત ધોરણ હતું. એ વખતે રૂપિયા સિવાયની ચીજો સંઘરવાનો પણ મહિમા હોવાથી ઘણા લોકો સારાં દિવાળી કાર્ડના સંગ્રહ કરતા હતા. ગુજરાતીઓની એક આખી પેઢી દિવાળી પરદેશી સગાંના કાર્ડમાં આવતા લંડનના ટાવર બ્રિજના અને ન્યૂયોર્કના ટાઇમ સ્ક્વેરના ફોટા જોઇને મોટી થઇ.

ખરીદેલાં દિવાળી કાર્ડને બદલે સાદા પોસ્ટકાર્ડ પર એકાદ સારી પંક્તિ કે સુવાક્ય લખીને શુભેચ્છા પાઠવવામાં કાર્ડનો ખર્ચ બચી જતો હતો અને કંઇક જુદું કર્યાનો આનંદ પણ મળતો હતો. ત્યારે ‘બલ્ક મેઇલ’નો અર્થ હતોઃ દિવાળીના ખાસ્સા દિવસ પહેલાં જથ્થાબંધ દિવાળી કાર્ડ અથવા પોસ્ટકાર્ડ ખરીદવાં, લાલ-લીલી પીન લાવવી અને સરનામાંની ડાયરી લઇને રોજ થોડાં થોડાં કાર્ડ પર સરનામાં લખવાં. કેટલાક જાગ્રત સંબંધીઓનાં દિવાળી કાર્ડ એટલાં વહેલાં આવી જતાં કે ‘તે ગઇ દિવાળીનાં અવગતે ગયેલાં તો નહીં હોય!’ એવો વિચાર આવી જતો હતો. એ જ રીતે, લાભપાંચમના ઘણા દિવસ પછી પણ છૂટાછવાયાં દિવાળી કાર્ડની આવક ચાલુ રહેતી હતી- અને એ સત્યની યાદ અપાવતી રહેતી હતી કે તમારાં કાર્ડની આ ગતિ ન જોવી હોય તો આવતા વર્ષે વેળાસર દિવાળી કાર્ડ લખી કાઢજો.

લગ્નના ચાંલ્લાની જેમ દિવાળી કાર્ડની પણ નોંધ લેવાતી અને રખાતી હતીઃ આ સાલ કોનું નથી આવ્યું? કોણ કવર પરથી પોસ્ટકાર્ડ પર આવ્યું? કોણે જરૂર કરતાં વધારે ટિકિટ લગાડી? ને કોના કાર્ડમાં ટિકિટ ન હોવાને કારણે દંડ ભરીને શુભેચ્છાઓ લેવી પડી? દિવાળીની શુભેચ્છા કાર્ડના જમાનામાં પણ વ્યવહાર જ હતી. છતાં આગળ વર્ણવેલી બાબતોને કારણે તેમાં યાંત્રિકતાનું પ્રમાણ સો ટકા સુધી પહોંચ્યું ન હતું.

ઇ-મેઇલ સર્વિસ આવી અને જોતજોતાંમાં દિવાળી શુભેચ્છા ‘બલ્ક મેઇલ’માં મોકલવાની ચીજ બની ગઇઃ એક સંદેશો ટાઇપ કરો, તેમાં કશી સજાવટ કરવી હોય તો કરો અને એડ્રેસ બુકમાંથી સરનામાંનો ઢગલો પસંદ કરીને એક જ ક્લીક કરો, એટલે એક જ કાંકરે અનેક પક્ષી! અથવા તેમાં ફેરફાર કરીને કહી શકાયઃ એક જ ફૂલથી અનેકને શુભેચ્છા!

મોબાઇલ ફોનમાં એ પરંપરા આગળ વધી અને ફૂલી-ફાલી-ફાટી. દિવાળી જેવા તહેવારોના દિવસોમાં રોજેરોજ શુભેચ્છાઓનાં ગાડાં ઇનબોક્સના બારણે ઠલવાવા લાગ્યાં. ઇનબોક્સ અને ડસ્ટબીન/રીસાયકલ બીન વચ્ચેનું અંતર દિવાળીના દિવસોમાં ઘટવા લાગ્યું. સવારે પાંચ વાગ્યાથી માંડીને રાત્રે એક- બે વાગ્યા સુધી ગમે ત્યારે સંદેશાઓ દરવાજો ખટખટાવવા લાગ્યા. શુભેચ્છામાં એક ફૂલ હોય, ફૂલનો ગુચ્છો હોય, પણ ઘરના બારણે ફૂલ ભરેલી ટ્રક શુભેચ્છાના પ્રતીક તરીકે ઠલવાઇ જાય તો? પહેલી વ્યવસ્થા તેને સુંઘવાની નહીં, સાફ કરવાની ગોઠવવી પડે.

હવે દિવાળી પહેલાં લોકો ઘરની સફાઇ કરીને થાકે છે અને દિવાળી પછી કમ્પ્યુટરનાં-મોબાઇલ ફોનનાં ઇનબોક્સની સાફસૂફી કરીને હાંફી જાય છે. કારણ કે ઇન બોક્સમાં ખડકાયેલો ઢગલો સાફ કરવાના ઉત્સાહમાં એકાદ કામનો સંદેશો ડીલીટ થઇ જાય તો નવેસરથી શુભેચ્છાઓની જરૂર પડી શકે.

દિવાળી પછીના દિવસો માટે, ‘અઢળક જથ્થામાં ઠલવાતી શુભેચ્છાઓની ઝડપી સફાઇ કરવાનું બળ મળે’ એવા શુભેચ્છાસંદેશનો રિવાજ ટૂંક સમયમાં શરૂ થાય તો નવાઇ નહીં. એવું થાય તો પછી એ સંદેશાથી ઇન બોક્સ છલકાઇ જશે.

Tuesday, November 16, 2010

સ્ટીફન હોકિંગ, સૃષ્ટિ અને સર્જનહાર

ખગોળશાસ્ત્ર કે ભૌતિકશાસ્ત્રને લગતાં સંશોધનો નાનાં-મોટાં-દેશી-વિદેશી સૌ પ્રસાર માઘ્યમો માટે ‘સમાચાર’ બને એવું ક્યારેક જ બને છે. કારણ કે બ્લેકહોલ, ડાર્ક એનર્જી, હિગ્સ પાર્ટિકલ જેવી જણસોનું અસ્તિત્ત્વ પુરવાર થાય કે ન થાય, તેના વિશેની પ્રચલિત સમજણમાં સુધારોવધારો થાય કે ન થાય, તેનાથી માણસોની રોજેરોજની જિંદગીમાં કશો ફરક પડતો નથી.

આ સચ્ચાઇ સમજતા કેટલાક સંશોધકો - અથવા તેમના એજન્ટો- સામાન્ય માણસ સુધી પહોંચવાના બીજા રસ્તા અપનાવે છેઃ તે સામાન્ય માણસોની ગમતી કે દુઃખતી નસ પર હાથ મૂકે છે. એટલે, બે મહિના પહેલાં ‘સ્ટીફન હોકિંગ કહે છે કે ઇશ્વરનું અસ્તિત્ત્વ નથી’ એવું વિધાન જાણવા મળ્યું, ત્યારે જ શંકા ગઇ હતી કે આ તેમના નવા પુસ્તકની આડકતરી જાહેરાત હોવી જોઇએ.

પ્રચારની ‘ગ્રાન્ડ ડીઝાઇન’
સ્ટીફન હોકિંગના પુસ્તક ‘બ્રીફ હિસ્ટરી ઓફ ટાઇમ’ની લાખો નકલો વેચાઇ છે. (તેમાંથી કેટલી વંચાઇ હશે તે આડસવાલ છે.) સમર્થ ભૌતિકશાસ્ત્રી હોકિંગને પ્રસાર માઘ્યમોએ ફક્ત વૈજ્ઞાનિક તરીકે ન બિરદાવતાં. તેમને ‘સેલિબ્રિટી’- જાણીતા હોવા બદલ જાણીતા- બનાવી દીધા છે.

બે મહિના પહેલાં હોકિંગનું નવું પુસ્તક ‘ધ ગ્રાન્ડ ડીઝાઇન’ પ્રગટ થયું. અન્ય એક સંશોધક લિઓનાર્ડ મ્લોડિનોવ સાથે મળીને હોકિંગે લખેલા આ પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભૌતિકશાસ્ત્ર હવે બ્રહ્માંડ અને તેને લાગુ પડતા કુદરતી નિયમો વિશે બધેબઘું સમજાવી શકે છે. ગુરૂત્વાકર્ષણ બળના પ્રતાપે શૂન્ય/નથિંગમાંથી બ્રહ્માંડનો જન્મ થયો અને કુદરતી નિયમો બ્રહ્માંડના જે હિસ્સામાં આપણે રહીએ છીએ ત્યાં થયેલા સુખદ અકસ્માતોને આભારી છે.

તેમનો દાવો છે કે ‘(બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેના નિયમોને લગતા) તમામ સવાલોના જવાબ, કોઇ દૈવી તત્ત્વને વચ્ચે લાવ્યા વિના, ભૌતિકશાસ્ત્રની હદમાં રહીને આપવાનું શક્ય છે.’ આ વિધાનમાં પ્રસાર માઘ્યમોને ખપ લાગે એવો મસાલો ખૂટતો હોવાથી, તેનું સરળીકરણ કરીને જાહેર કરવામાં આવ્યું: ‘ઇશ્વરનું અસ્તિત્ત્વ નકારતા સ્ટીફન હોકિંગ.’

ભગવાન નહીં હોવાની ‘વૈજ્ઞાનિક જાહેરાત’ સાંભળીને ઘણા નાસ્તિકો ગેલમાં આવી ગયા અને ધાર્મિકોમાં રોષ વ્યાપ્યો. ઇન્ટરનેટ પર અને તેની બહારની દુનિયામાં સામસામી દલીલબાજીના દૌર પર દૌર ચાલ્યા અને ભૌતિકશાસ્ત્રને બદલે આસ્તિકતા-નાસ્તિકતાની જૂની લડાઇનું વઘુ એક રાઉન્ડ છેડાઇ ગયું. તેનું એક પરિણામ એ આવ્યું કે હોકિંગના પુસ્તકને ભરપૂર પ્રસિદ્ધિ મળી.

માન્યતાઓના જંગની સાથોસાથ થયેલી થોડીઘણી તાત્ત્વિક ચર્ચામાં જો કે ઇશ્વરના અસ્તિત્ત્વનું ‘વૈજ્ઞાનિક ખંડન’ ટકી સકે એમ ન હતું. ‘સૃષ્ટિકા કૌન હૈ કર્તા/ કર્તા હૈ વા અકર્તા’ નો છેવટનો જવાબ હજુ સુધી તો ‘હૈ કિસી કો નહીં પતા’ રહ્યો છે. કેમ કે, બ્રહ્માંડની ઉત્પત્તિ પહેલાંના અને પછીના ઘણા સવાલોના જવાબ સ્ટીફન હોકિંગ કે ભૌતિકશાસ્ત્ર પાસે પણ નથી. બને કે આજે નથી ને કાલે એ મળે. ત્યારની વાત ત્યારે. પણ એ ‘કાલ’ ન આવે ત્યાં લગી સૃષ્ટિના સર્જનમાં ઇશ્વરી તત્ત્વની ભૂમિકા વૈજ્ઞાનિક રીતે સદંતર નકારવાનું શક્ય નથી.

ખુદ સ્ટીફન હોકિંગે ‘લેરી કિંગ લાઇવ’ નામના શોથી જાણીતા સી.એન.એન.ના લેરી કિંગને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘ભગવાનનું અસ્તિત્ત્વ હોઇ શકે છે, પરંતુ (અમારો મુદ્દો એટલો છે કે) વિજ્ઞાન કોઇ સર્જનહારની મદદ વિના બ્રહ્માંડની સમજૂતી આપી શકે એમ છે.’

પુસ્તકના સહલેખક મ્લોડિનોવે વધારે સ્પષ્ટતાથી કહ્યું,‘અમે એવું પણ સાબીત નથી કર્યું કે ભગવાને બ્રહ્માંડનું સર્જન કર્યું નથી.’ તેમના મતે ઘણા લોકો ભૌતિકશાસ્ત્રના નિયમોને ‘ભગવાન’ ગણે છે. ‘જો તમને લાગતું હોય કે ભગવાન એ ક્વોન્ટમ થિયરીનું મૂર્તિમંત સ્વરૂપ છે તો ધેટ્સ ફાઇન.’ (સાયન્ટિફિક અમેરિકન ઇન્ડિયા, નવેમ્બર, ૨૦૧૦) મતલબ, ભગવાનના અસ્તિત્ત્વ અંગે લેટેસ્ટ અને આખરી મનાતા ચુકાદા પર ટાઢું પાણી!

હોકિંગ અને ‘ધ ગ્રાન્ડ ડીઝાઇન’ના મામલે આસ્તિકોએ જીત અને નાસ્તિકોએ હાર અનુભવવાની જરૂર નથી. તેમાં ખરેખર જીત થઇ હોય તો તે પુસ્તકનો પ્રચાર કરનારની થઇ છે. બાકી, ઇશ્વરને માનનારા કે નકારનારા તો ફક્ત પોતાને અનુકૂળ હોય એવાં તારણો માનવા અથવા દરેક તારણનું પોતાને અનુકૂળ અર્થઘટન કરવા ટેવાયેલા છે.

દૈવી તત્ત્વઃ અમારી ઘણી શાખાઓ છે
બ્રહ્માંડથી નીચે ઉતરીને પૃથ્વીની- ‘મર્ત્યલોક’ની વાત કરીએ તો ભગવાનની ચર્ચાની આખી ધરી બદલાઇ જાય છે. પૃથ્વીલોકના સામાન્ય માણસને ભગવાનમાં સૃષ્ટિના કર્તા તરીકે ઓછો ને સૃષ્ટિના માલિક કે મેનેજર તરીકે વધારે રસ હોય છે. ધારો કે ભગવાને સૃષ્ટિ બનાવીને સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી હોય અને વર્તમાન સૃષ્ટિમાં તેમનું કશું ઉપજતું ન હોય તો? ભૌતિકશાસ્ત્રીઓ માટે ભગવાનનું મહત્ત્વ ન ઘટે. કેમ કે તેમનો રસ સૃષ્ટિને સમજવામાં છે, પરંતુ મોટા ભાગના ભક્તોનો ભગવાનમાંથી રસ ઓછો થઇ જાય. કારણ કે તેમનો રસ ભગવાન સાથે સારો સંબંધ રાખીને તેનો પોતાના લાભ માટે કે પોતાના કપરા વખત માટે ઉપયોગ કરવામાં હોય છે.

પૃથ્વીલોકમાં દૈવી તત્ત્વના કે ઇશ્વર અંગેના ખ્યાલના કેટલાક મુખ્ય પ્રકારો આ પ્રમાણે છેઃ

ઇશ્વરઃ પરમ તત્ત્વ
કોઇ પણ ધર્મના પરમ તત્ત્વની આદર્શ કલ્પના. આ પ્રકારનું દૈવી તત્ત્વ સર્વ જ્ઞાનનું આદિ અને અંત ગણાય છે. સૃષ્ટિ તેની લીલા છે અને જે સર્વશક્તિમાન છે. જેનું સ્મરણ કરવાથી મનુષ્યને પોતાની પામરતા અને તુચ્છતાનો અહેસાસ થતો રહે છે. ‘હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાનતા’ જેના થકી દૂર થાય અને સૃષ્ટિનું પાંદડું પણ તેની ઇચ્છા વિના ફરકી શકતું નથી- હું તો નિમિત્તમાત્ર છું, એવો ભાવ ભક્તમાં જેના થકી પેદા થાય, એવું આ પરમ તત્ત્વ સર્જન, સંચાલન, નિયંત્રણ અને છેવટે સર્વનાશ પ્રેરે છે. આ પ્રમાણેની કલ્પનાના પરમ તત્ત્વ સાથે એકરૂપ થવું એ ભક્તોનું આખરી ઘ્યેય હોય છે.
પરંતુ ભક્તોમાં ઇશ્વરનું આ સ્વરૂપ એક રૂપિયાની નોટની જેમ ચલણમાંથી લગભગ નીકળી ગયું છે.

ઇશ્વર: માનસિક આધાર
સૃષ્ટિમાં દુઃખદર્દોનો પાર નથી. દરેકને પોતાની સમસ્યાઓ છે. બહુ થોડા લોકો પોતાની સમસ્યાઓનું જાતે નિવારણ કરી શકે છે. પોતાના વાંકગુના વગર આવી પડેલાં આકસ્મિક દુઃખો પણ માણસને હચમચાવી મૂકે છે. તેની સાથે પનારો પાડવાની માનસિક દૃઢતા ન હોય એવા લોકોને એક મજબૂત ટેકણલાકડીની જરૂર પડે છે, જેના સહારે ચાલવાની હિંમત અને તાકાત મળતાં રહે. પોતાનો સઘળો ભાર જેની પર ટેકવીને, તેના ટેકે ટેકે આગળ વધવાનું બળ પ્રાપ્ત થતું રહે. આવા ઇશ્વર ઘણા ભક્તોની માનસશાસ્ત્રીય જરૂરિયાત પૂરી કરે છે, પરંતુ માત્ર આ એક જ પ્રકારના ઇશ્વરમાં માનતા હોય એવા ભક્તોનું પ્રમાણ પણ બહુ ઓછું છે. આ પ્રકારના ઇશ્વરમાં માનવું એ મોટે ભાગે પસંદગી નહીં, પણ લાચારી હોય છે.

ઇશ્વરઃ વણમાગ્યો વિલન
કેટલાક લોકોને ઇશ્વર સાથે ગાળાગાળીના સંબંધ હોય છે. તેમને પોતાના ખરાબ સંજોગોમાં આગળ વધવાના ટેકા તરીકે નહીં, પણ એવા સંજોગો માટે જેની પર દોષનો ટોપલો ઢોળી શકાય એવા ઇશ્વરની જરૂર પડે છે. પોતાની ખરાબ હાલતમાં પોતાનો નહીં, પણ ઇશ્વર તરીકે ઓળખાતા શખસનો વાંક છે, એવું માનવાથી માણસનો પોતાનો અપરાધભાવ ઓછો થાય છે અને તેના પ્રેશરકૂકરની સીટી વારેવારે વાગતી રહેતી હોવાથી કૂકર ફાટતું નથી. આ પ્રકારના ભક્તો મોટે ભાગે બીજા પ્રકારોના ભક્તોમાં ભળી ગયેલા અને બીજા પ્રકારોમાંથી પણ મિશ્ર લક્ષણો ધરાવતા હોય છે.

ઇશ્વર: ભ્રષ્ટ સર્વશક્તિમાન શાસક
સર્વશક્તિમાનનું આ સ્વરૂપ ભક્તોમાં સૌથી લોકપ્રિય, પ્રચલિત અને જાણીતું છે. આ સ્વરૂપ સાથે ભક્તોનો સંબંધ બિલકુલ ‘વ્યવહારૂ’ હોય છે, જાણે તે આ સ્વરૂપને કહેતા હોયઃ ‘હું તમારૂં સમજું છું, તમે પણ મારૂં સમજજો.’ આ સ્વરૂપને વિના સંકોચે લાંચ આપી શકાય છે, જે અગિયાર રૂપિયા અને નારિયેળથી માંડીને અગિયાર કરોડ રૂપિયાના હીરાજડિત સોનાના મુગટ સુધીની હોઇ શકે છે. ઇશ્વરના આ સ્વરૂપને ઘણા ધનવાનો વીમાકંપનીની માફક પૂજે છે : ‘તમારૂં ઉંચું પ્રીમિયમ ભરીએ છીએ. બદલામાં અમને નુકસાન ન થાય તેનું ઘ્યાન રાખજો.’

દુન્યવી ફાયદા મેળવવા માટે અને આફતોથી બચવા માટે આ ઇશ્વરની ‘ભક્તિ’ કરવામાં આવે છે- પૂજા, અર્ચના, ભેટ ધરવામાં આવે છે. એટલી જ અપેક્ષા સાથે કે ‘ભૂલો ભલે બીજું બઘું, પણ મારૂં હિત ભૂલતા નહીં.’

ઇશ્વર : મલ્ટીનેશનલ કંપની
એકલદોકલ ચબરાક ધર્મધંધેશ્વરોથી માંડીને સંસ્થાગત ધર્મો સુધીના ઘણાને ઇશ્વરનું આ સ્વરૂપ બહુ ફાવે છે. કેમ કે, મલ્ટીનેશનલ કંપની જેવા ઇશ્વરની ફ્રેન્ચાઇઝી મેળવીને દેશ-પરદેશમાં દુકાનો ખોલી નાખવાથી નાણાંની ટંકશાળ પડે છે. તેનાથી પ્રભાવ, પવિત્રતા, પૂજનીયતા બઘું જ ખરીદી શકાય છે. પછી તો વિષચક્ર શરૂ થઇ જાય છે અને ભક્તો પણ ભૂલી જાય છે કે પોતે શાનાથી અંજાય છેઃ પ્રભાવથી કે પ્રભાવ ખરીદી શકવાની ક્ષમતાથી, ધર્મથી કે ધર્મની ભવ્ય સંસ્થાથી, સાદગીથી કે કરોડ રૂપિયાની ગાડીમાંથી ઉતરીને અપાતા સાદગીના ઉપદેશથી. ભારતમાં ઘણી સંસ્થાઓ બાકાયદા ધંધાની જેમ જ ધર્મસ્થાનો ચલાવે છે, વાર્ષિક સભ્યપદનાં ‘ગોલ્ડકાર્ડ’ કાઢે છે, જેથી વર્ષે પચાસ હજાર રૂ. ખર્ચનારને ઓછી (ચાર-પાંચ કલાકની) લાઇનમાં ઉભા રહેવું પડે. પૂજારીને પાંચસો પકડાવીને નજીકથી દર્શન કરવાં કે પચાસ હજાર રૂ.નું ગોલ્ડકાર્ડ ખરીદવું બન્નેમાં આંકડા સિવાય કશો ફરક નથી, પરંતુ ‘મલ્ટીનેશનલ ઇશ્વર’ દુનિયાદારી સમજીને માઠું નહીં લગાડે, એવી ભક્તોને ખાતરી હોય છે.

ઇશ્વર : ઘાતકી સરમુખત્યાર
એક ઇશ્વર આ પણ છે, જેના ઉદાર સ્વરૂપની કલ્પના થઇ શકતી નથી. કેમ કે, વિશ્વમાં તેનું શાસન ટકાવવાના અને ફેલાવવાના નામે તેમના અનુયાયીઓ જરાય ખચકાટ વિના હજારો નિર્દોષોનું લોહી વહાવે છે અને સર્વશક્તિમાનના નામે પોતાની બધી પાશવતા વાજબી ઠરાવે છે.

ભવિષ્યમાં સ્ટીફન હોકિંગ કે બીજો કોઇ ભૌતિકશાસ્ત્રી ‘બ્રહ્માંડના સર્જનમાં ઇશ્વરની ભૂમિકા નથી’ અથવા ‘ઇશ્વરનું અસ્તિત્ત્વ જ નથી’ એવું વૈજ્ઞાનિક રીતે સાબીત કરી બતાવશે તો પણ આગળ જણાવેલા ‘દુન્યવી ઇશ્વરો’નું અસ્તિત્ત્વ અડીખમ રહેવાનું છે. કારણ કે તે ભૌતિકશાસ્ત્રના નહીં, માનસશાસ્ત્રના- માણસના મનના તકાદાને આધીન છે.

Monday, November 15, 2010

સંગીતની બરાબરીનાં લાડકોડ મેળવનાર સંગીતસામગ્રી: રેકોર્ડ, કેસેટ, સીડી, સેલફોન, ડિજિટલ પ્લેયર...

એકવીસમી સદીના પહેલા દાયકાના અંતે સંગીતની કશી નવાઇ નથી. સહેજ ગ્રામ્ય શબ્દપ્રયોગ વાપરીએ તો, સંગીત ગધેડે ગવાય છે. હવે તે ગીતોની સંખ્યામાં કે મિનીટમાં મપાવાને બદલે, એમબી અને જીબી/ મેગાબાઇટ અને ગીગાબાઇટમાં ખડકાય છે. પચીસ વર્ષ પહેલાંના કોઇ ઘુરંધર સંગીતપ્રેમીએ કાંતી કાંતીને કેસેટ પર જેટલાં ગીતો એકઠાં કર્યાં હોય, એટલાં ગીતો (અઢી-ત્રણ હજાર ગીતો) ૪.૭ ગીગાબાઇટની ક્ષમતા ધરાવતી એક ડીવીડીમાં સમાઇ જાય છે. રમેશ પારેખની પંક્તિ ‘ગીત હાળાં ધક્કામુક્કી ધક્કામુક્કી થાય’ અત્યારે જરા જુદી રીતે સાચી પડી છે.

સેલફોનમાં ગીતો, આઇ-પોડ પ્રકારનાં પોકેટ-પ્લેયરમાં ગીતો, માચિસના બાકસ (એને ‘બોક્સ’ કહેવામાં શી મજા?) કરતાં પણ નાનાં રમકડાંમાં સો-બસો ગીતો- આ બધાની સરખામણીમાં, ત્રણ દાયકા પહેલાં ‘ક્રાંતિકારી’ ગણાયેલું વોકમેન મોટી મ્યુઝિક સીસ્ટમ જેવું લાગે!

સંગીત આટલું ખિસ્સાવગું થઇ ગયું એટલે તેની નવાઇ નીકળી ગઇ ને અગવડની તો વાત જ ક્યાં? શું સારૂં ને શું ખરાબ, એવી દૃષ્ટિથી સરખામણી નિરર્થક છે, પણ જૂનાં થાળીવાજાં- રેકોર્ડપ્લેયરની પીનો જે ડબ્બીમાં આવતી હતી, એ સાઇઝનાં પ્લેયરમાં સો-બસો ગીતો ગજવે ઘાલીને ફરનારાને રેકોર્ડ પ્લેયરના રસકસનો ક્યાંથી અંદાજ આવે?

શરૂઆત થઇ હતી ચૂડીવાજાથી. તેનું અંગ્રેજી નામ ફોનોગ્રાફ. તેમાં એક નળાકાર પર સાઉન્ડનું રેકોર્ડિંગ થાય. પણ એ ટેકનોલોજી ઠરે ને આમજનતા તેનો ભરપૂર કસ કાઢે તે પહેલાં ગ્રામોફોન તરીકે ઓળખાતાં થાળીવાજાં આવી પહોંચ્યાં: પહેલાં હેન્ડલ વડે ચાવી ભરીને ચલાવાય એવાં અને પછી ઇલેક્ટ્રિકથી ચાલતાં રેકોર્ડ પ્લેયર તરીકે. ચૂડીને બદલે લાખમાંથી બનેલી રેકોર્ડ વપરાવા લાગી. મિનીટના ૭૮ આંટા/આર.પી.એમ.ની ઝડપ ધરાવતી હોવાથી તે લાડમાં ‘સેવન્ટી એઇટ’ તરીકે ઓળખાતી હતી. તેની એક બાજુ પર ત્રણ મિનીટ કરતાં પણ ઓછું રેકોર્ડિંગ થાય. એક ગીત સમાય અને ગીત જો ‘એક તેરા સહારા’ જેવું લાંબું હોય તો તેને બે કકડે એક રેકોર્ડની આગળપાછળ સમાવવું પડે.

સિક્કાની જેમ રેકોર્ડની પણ બે બાજુ હોય અને ઘણુંખરૂં બન્ને બાજુ જુદાં જુદાં ગીત હોય. તેની પરથી જ રેકોર્ડયુગમાં ચવાઇ જનારી જોક બનેઃ ‘એક દારૂડિયો ચત્તાપાટ પડીને ગીત ગાતો હતો. થોડી વાર પછી તે ઊંધો પડ્યો ને બીજું ગીત ગાવા લાગ્યો. કોઇએ કારણ પૂછ્યું તો એણે જવાબ આપ્યો,‘આ રેકોર્ડની બીજી બાજુ છે.’
૭૮ની રેકોર્ડ વગાડવા માટે પ્લેયરમાં જે વપરાય તેને ‘પીન’ કહેવામાં પીનની નજાકતનું અપમાન થાય. લગભગ નાના ખીલા જેવી પીન હોય, જે થોડાં ગીત વગાડ્યા પછી બદલવી પડે. પીનનો જથ્થો રાખવો જ પડે. આ પ્લેયરની કમાલ એટલી કે તેમાં ઇલેક્ટ્રિક રચના નહીં. ફક્ત મિકેનિકલ/યાંત્રિક રીતે ચાલે. એટલે સંગીત આઉટડોર બન્યું. બહાર ફરવા જતી વખતે સાથે વાજું અને થાળીઓ લીધી હોય એટલે થયું. આ ખૂબીને લીધે ભગાભાઇ જેવાં બાળવાર્તાનાં પાત્રોમાં અહોભાવપૂર્વક રેકોર્ડપ્લેયરનો ઉલ્લેખ આવે અને તેમના કોઇ મહેમાનની દીકરી ‘સોજા રાજકુમારી સોજા’ ગીત સાંભળ્યા વિના ઊંઘતી ન હોવાથી, તેનાં માતાપિતા એ રેકોર્ડ સાથે રાખતાં હતાં એવી વાત પણ આવે.

ઘરમાં થાળીવાજું હોવું એ મોભો કહેવાય અને ફક્ત વડીલો જ તેને હાથ અડાડી શકે. (ચાવીવાજાનો મોભો કેતન મહેતાએ ‘મિર્ચમસાલા’ ફિલ્મના ફોજદાર નસીરૂદ્દીન શાહના પાત્રમાં બરાબર દર્શાવ્યો છે.) ચાવીવાજામાંથી આવતા અવાજમાં વધઘટ થઇ શકે નહીં. અડધા ગીતે ચાવી પૂરી થઇ જાય તો સ્પીડ ઘટી જાય ને નૂરજહાંનો અવાજ સાયગલની પીચે પહોંચી જાય. છતાં,વાજામાંથી માણસ ગાતું હોય એ કૌતુક જ એટલું મોટું કે તેની સઘળી મર્યાદાઓ નજરમાં ન આવે.

૧૯૩૧થી શરૂ થયેલા ફિલ્મસંગીતના પહેલા બે દાયકા લગી ૭૮ આરપીએમની રેકોર્ડની બોલબાલા રહી. સાયગલ, પંકજ મલિક, નૂરજહાં, કાનનદેવી, ખુર્શીદ, શમશાદ બેગમ જેવા અનેક અમર સ્વરો એક જ માઇક્રોફોન પર રેકોર્ડ થઇને, બારીકીથી બાર ગાઉનું છેટું ધરાવતી ૭૮ પર અંકિત થયા. બન્ને બાજુ એક-એક ગીતની મર્યાદા હળવી થઇ ઇ.પી./એક્સ્ટેન્ડેડ પ્લે તરીકે ઓળખાતી ૪૫ આર.પી.એમ.ની રેકોર્ડથી. તેમાં એક બાજુ પર બે ગીત આવતાં થયાં. પચાસના દાયકામાં કેટલીક ફિલ્મોની કે ગાયકોની ચાર ગીત ધરાવતી ઇ.પી. બહાર પડવા લાગી. તેનું વધારે મોટું સ્વરૂપ એટલે ૩૩ ૧/૩ આર.પી.એમ. સ્પીડ ધરાવતી લોંગપ્લે/એલ.પી.

ઈ.પી. અને એલ.પી.નાં પ્લેયર ૭૮ના મુકાબલે થોડાં સુવિધાજનક બન્યાં હતાં. પ્લેયરના દાંડામાં ટચૂકડી પીન વપરાતી હતી, જેને અગાઉના ‘ખીલા’ની જેમ દર પાંચ-સાત ગીતે બદલવી પડતી ન હતી. ઇલેક્ટ્રીક એમ્પ્લીફાયર સાથે જોડાણ થયા પછી રેકોર્ડ પ્લેયરમાંથી અવાજ મોટો/એમ્પ્લીફાય કરતું ભૂંગળું નીકળી ગયું- જાણે રેકોર્ડ પ્લેયરના માથેથી માથાબંધણું જતું રહ્યું ને નવા જમાના પ્રમાણે તે ઉઘાડમથ્થું થઇ ગયું.

લોંગ પ્લે ૭૮ કરતાં સુવિધાજનક હતી, પણ અત્યારના કે કેસેટયુગના હિસાબે સુદ્ધાં તેમાં કડાકૂટનો પાર નહીં. એ કડાકૂટ જો કે પોતાના બાળક માટે લેવાતી જહેમત જેવી વહાલી લાગેઃ જમણા હાથમાં કાપડનો ઝીણો કકડો રાખવો, પૂંઠાના મોટા બોક્સમાંથી કાળી રેકોર્ડના ચકચકાટ પર આંગળાંની છાપ ન પડે એવી કાળજીથી, કાપડના કકડા વડે રેકોર્ડ બહાર કાઢવી, મુગલેઆઝમના દિલીપકુમારની મુલાયમિયતથી રેકોર્ડ પર ઝીણો કકડો ફેરવવો જેથી સપાટી પર ચોંટેલી ઘૂળ દૂર થઇ જાય, પછી બાળકને પારણામાં સુવાડવાનું હોય એટલી હળવેથી રેકોર્ડને ટર્નટેબલ પર ગોઠવવી, પ્લેયરની પીન રેકોર્ડની ધાર ઉપર લાવવી, ‘સ્ટાર્ટ’નું બટન દબાવવું જેથી રેકોર્ડ ગોળગોળ ફરવા લાગે અને છેલ્લે એક દાંડો નીચે કરવો, જેથી પ્લેયરની પીન ધીમી ચચરાટી સાથે રેકોર્ડની સપાટી પર ‘લેન્ડ’ થાય. સંગીત શરૂ થતાં પહેલાંની આ ક્ષણો પણ ઓછી સંગીતમય ન હતી.

મેગ્નેટીક ટેપ ધરાવતી ઓડિયો કેસેટ અને ટેપરેકોર્ડરની સાથે સુવિધા અને સંગીતનો મેળાપ આરંભાયો. ટેપ રેકોર્ડર કે પ્લેયર કે ટેપ વીથ રેડિયોના આકારપ્રકાર અત્યારે ચિત્રવિચિત્ર લાગી શકે- (કેટલાંક ટેપરેકોર્ડરની એક સ્વીચ જેટલા કદમાં અત્યારે એમપી-૩ પ્લેયર મળે છે) પરંતુ કેસેટ મૂકતાં પહેલાં કોઇ વિધી કરવાની જરૂર ન રહી અને માનસિક ભૂમિકા તૈયાર થાય એટલો સમય ન રહ્યો. પ્લાસ્ટિકીયું ખોખું ખોલીને કેસેટ ચડાવો એટલે સંગીત હાજર.

લાખ,પીવીસી અને મેગ્નેટિક ટેપ પછી સંગીતનો મુકામ ડિજિટલ બન્યો. નવી ટેકનોલોજી માટે સંગીત સાત સૂરમાં નહીં, બીજા ‘ડેટા’ની જેમ ૦ અને ૧માં ફેરવાઇ ગયું. કેસેટની જગ્યાએ આવેલી કોમ્પેક્ટ ડિસ્કમાં શરૂઆતના અરસામાં કેસેટ જેટલાં જ ગીત સમાતાં હતાં, પણ તેમાં ઊંચી ગુણવત્તાનું રેકોર્ડિંગ શક્ય હતું. એ સમયે સીડીની કોપી કરવાનું શક્ય ન હતું અને ઇન્ટરનેટ ક્ષિતિજ ઉપર પણ ડોકાતું ન હતું. લતા મંગેશકરે જૂના ગાયકોનાં ગીતો ગાઇને તેમને અંજલિ આપવાનું દુઃસાહસ ‘શ્રદ્ધાંજલિ’નામે કર્યું, તેની બે સીડીનો ભાવ હતોઃ રૂ.૪૯૦. અને સીડી વગાડવા માટે ચાળીસ-પચાસ હજાર રૂપિયાની કિંમતનું કમ્પ્યુટર એકમાત્ર સાધન હતું.

પરંતુ એક જ દાયકામાં ઇન્ટરનેટનો ફેલાવો, મોંઘાં કમ્પ્યુટરને તેનાથી દસમા-પંદરમા ભાગની કિંમતે મળતાં સીડી પ્લેયર, ડિજિટલ મ્યુઝિકની કદાવર ફાઇલને સંકોચી નાખતું એમ.પી.-૩ ફોર્મેટ, સેલફોનમાં સમાઇ ગયેલું મ્યુઝિકપ્લેયર- આવાં અનેક પરિબળોને લીધે મ્યુઝિક હવે શબ્દાર્થમાં સાંભળનારના ખિસ્સામાં આવી ગયું છે. દાયકાઓ પહેલાં ગ્રામોફોને સંગીતને સંગીતપ્રેમીઓ સુધી પહોંચાડ્યું હતું. હવેનાં ડિજિટલ પ્લેયર તેમના વજનદાર પૂર્વજ વોકમેનની જેમ કાનનાં ભૂંગળાં/ઇયરફોન વડે સાંભળનારના કાનમાં સંગીત રેડે છે. તેમાંથી થોડુંઘણું આજુબાજુના લોકો માટે પણ ઢોળાય છે. ‘પાણી માગતાં દૂધ’ની જેમ એમબી માગતાં જીબીમાં સંગીતનો પુરવઠો હાજર છે, પણ શાંતિથી સંગીત સાંભળવાની મોકળાશ અને સંગીત સાંભળીને શાંતિ મેળવવાની માનસિક મોકળાશ...એ જુદી વાત છે.

Saturday, November 13, 2010

માઉસ વગરનું ‘પાંજરૂં’


પહેલી નજરે ઊંદર પકડવાના ઊંદરીયા/માઉસટ્રેપ જેવી લાગતી આ પ્રાગૈતિહાસિક ચીજ ૧.૪૪ એમ.બી.ની ફ્લોપી મુકવાનું બોક્સ છે, એ તો જાણે કે ફોટામાં સ્પષ્ટ દેખાય જ છે. જેમાં એક ગીત પણ ન સમાઇ શકે એવી આ ફ્લોપીને વળી આવાં લાલનપાલન શા માટે? ફાઇલો મુકવા માટે ગોદરેજનો ઘોડો કે કબાટ વસાવ્યાં હોય, તેમ ફ્લોપીને જાળવવા માટે તાળા-કુંચીવાળાં બોક્સ ખરીદવાનાં!

‘ઇસ ભોજન પે દ્વાદશ ટીલાં’ એવી કહેવત જો કે ૧.૪૪ની ફ્લોપી સાથે કામ પાડી ચૂકેલા લોકોને બિલકુલ નહીં યાદ આવે. કારણ કે આ જ ફ્લોપીની અનંત હારમાળામાંથી વિન્ડોઝની ઓપરેટિંગ સીસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડતી હતી. આ ફ્લોપી પોતાનું નામ ઉજાળે એવી, ખરેખરી ફ્લોપી હતી. તેનો મિજાજ ક્યારે અને કયા કારણથી વણસે એ કહેવાય નહીં. એટલે દસેક વર્ષ પહેલાં ‘સંદેશ’માં મારી કોલમનું મેટર હું ઘરેથી લખીને આવી બે-ત્રણ ફ્લોપીમાં લઇ જતો હતો. છતાં એક વાર એવું બન્યું હતું કે ત્રણમાંથી એકેય ફ્લોપી ન ખુલતાં મારે ઘરે ફોન કરીને, પત્નીની મદદથી ટેલીફોન પર આખું મેટર ફરી લખવું પડ્યું હતું.

આ ઊંદરીયાછાપ પાંજરાનો હજુ પણ ડિજિટલ ચીજો માટે ઉપયોગ કરવો હોય તો મોબાઇલ ફોન, ડિજિટલ કેમેરા, ટચૂકડાં મ્યુઝિક પ્લેયર, પેન ડ્રાઇવ જેવી ૧.૪૪ એમ.બી.થી અનેક ગણી વધારે ક્ષમતા ધરાવતી ચીજો મૂકવાના કબાટ તરીકે તેને વાપરી શકાય.

Thursday, November 11, 2010

દિવાળી પછી નાસ્તાની ડબ્બા પરિષદ

દિવાળીની વિદાય પછી નવરા પડેલા નાસ્તાના ડબ્બા ભેગા થઇને ટોળટપ્પાં મારતા હોય અને એ સાંભળતાં આવડી જાય તો?
***
(થોડા ખખડાટ-પછડાટ, ‘ઠણિંગ ઠીંગ ઠણણણ’ અવાજો પછી શાંતિ સ્થપાતાં મોટો દેખાતો મઠિયાંનો ડબ્બો વાત શરૂ કરે છે.)
મઠિયાંનો ડબ્બોઃ મિત્રો...

નજીક પડેલા બે ડબ્બા (અંદરોઅંદર) : મુખ્ય મંત્રીનું જોઇને ગુજરાતના બધા ડબ્બા ‘મિત્રો..મિત્રો...’ કરતા થઇ ગયા છે.

મઠિયાંનો ડબ્બોઃ મિત્રો...સૌને નવા વર્ષની શુભેચ્છા

બધા ડબ્બા પોતપોતાના રણકાદાર, બોદા, ઠાલા, અધભરેલા, નક્કર અવાજો કાઢીને સામે વળતી શુભેચ્છા પાઠવે છે.

મઠિયાંનો ડબ્બોઃ હવે આપણા દહાડા ભરાઇ ચૂક્યા છે. લાભપાંચમ તો ગઇ. ટૂંક સમયમાં આપણને બધાને ચૂંટણી હારેલા નેતાની જેમ કે જેલમાં ગયેલા મંત્રીની જેમ સાફ કરી નાખવામાં આવશે અને અભરાઇ પર ચડાવી દેવાશે. તો મને થયું કે એ પહેલાં આપણે સૌ મળીને એકબીજા સાથે દિલની વાત કરીએ.

ચોળાફળીનો ડબ્બોઃ સારો આઇડીયા છે. કોનો ચોર્યો? આઇ મીન, કોણે આપ્યો?

મઠિયાંનો ડબ્બોઃ એય, તારી જીભ પણ ચોળાફળી જોડે રહીને લાંબી થઇ ગઇ છે. જરા સભ્યતા શીખ. ચોળાફળી તો આજ છે ને કાલ નથી. આપણે ડબ્બાઓએ સદાકાળ સાથે રહેવાનું છે. રાજકીય પક્ષો જોડેથી કંઇક તો શીખ!

સેવનો ડબ્બોઃ આપણે એનજીઓવાળાની જેમ આવી ફાલતુ બાબતોમાં અંદરોઅંદર ઝઘડવાના હોઇએ તો ભેગા થવાનો કશો અર્થ નથી.

બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ યુ આર રાઇટ. અને તમને લોકોને નવો રૂલ્સ ખબર છે?

ઘરે બનાવેલી મીઠાઇનો ડબ્બોઃ રૂલ્સ નહીં, રૂલ. એક હોય તેને રૂલ કહેવાય.

બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ ઓહ, શટ અપ. તારૂં ગ્રામર તારી જોડે રાખ. આજકાલ સાચું અંગ્રેજી તારા જેવા ગામડિયા જ બોલે છે. યુથના ટ્રેન્ડ્ઝની તને શી ખબર પડે!

મઠિયાંનો ડબ્બોઃ તું પેલા રૂલ્સની શું વાત કરતો હતો?

બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ હું એ જ કહેતો હતો, પણ આ લોકો..જોયું? ગ્રામરની ફાલતુ વાત કેવી વચ્ચે ધુસાડી દીધી ને મુખ્ય વાત ભૂલાવી દીધી. મને ખબર છે...આ લોકોથી આપણી સફળતા ને આપણો વિકાસ જોવાતો નથી એટલે...

ચોળાફળીનો ડબ્બોઃ તું યાર બહુ ભાવ ખાય છે. મૂળ વાત કર ને!

બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ ઓકે, ઓકે. અત્યારે રૂલ્સ એવો ચાલે છે કે ખેડે તેની જમીન, અટકાવે તેની ફાઇલ, વાપરે તેનું હથિયાર અને બોલે તેનો આઇડીયા. આખ્ખેઆખ્ખી સરકાર આવી રીતે ચાલે છે, તો આપણને એ રીતે વાત ચલાવવામાં શું વાંધો છે?

મઠિયાંનો ડબ્બોઃ હં...મને હતું જ કે આટલો મોટો મંડપ બાંઘ્યા પછી તું કંઇક ફાલતુ વાત કરીને જ ઉભો રહીશ. એક કામ કર...છાપામાં કોલમ ચાલુ કરવી છે?

(આ ઓફર છે કે અપમાન, એ નક્કી કરવામાં બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બો ગૂંચવાય છે. બાકીના ડબ્બા ખખડાટ સાથે હસી પડે છે.)

તળેલા ચેવડાની બરણીઃ ચાલો, હું તમને મારા દિલની વાત કહું. મારામાં જે ચેવડો ભરેલો તેમાં એટલું તેલ હતું કે મને લાગ્યું, દિવાળી પછી મારે એન્જીયોગ્રાફી કરાવવી પડશે. એ ચિંતામાં ને ચિંતામાં એક-બે વાર તો હું કોઇના હાથમાંથી પડતાં પડતાં બચી ગઇ. હાર્ટની બિમારીમાં થાય છે તેમ, મારી માલિકણને છેક સુધી ખબર જ ન પડી. છેલ્લે તળીયું આવ્યું અને તળીયે મૂકેલું કાગળ ચીકટથી લથપથ જોયું ત્યારે તેમને સમજાયું કે એ ચીકટ ન કહેવાય, પણ હાર્ટના પ્રોબ્લેમને કારણે મને- બરણીને- વળેલો પરસેવો કહેવાય.

મુખવાસની ટ્રેઃ ટૂંકમાં, આ દિવાળીએ તું ‘જાર’માંથી ‘આજાર’ થઇ ગઇ.

બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ અમારે તો બધા હેલ્થમાં બહુ માને. બધા પ્યોર ઘીની મીઠાઇ જ ખાય અને ઘી વગરની!

ચોળાફળીનો ડબ્બોઃ એટલે? હું સમજ્યો નહીં.

બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ તને નહીં સમજાય. આ બધી લેટેસ્ટ ટ્રેન્ડની વાતો છેઃ ચોખ્ખામાં ચોખ્ખું ઘી વાપરતા હોય એવા મીઠાઇવાળાને ત્યાંથી મીઠાઇ લેવાની, પણ મીઠાઇ ઘી વગરની કે સાવ ઓછા ઘીની હોવી જોઇએ.

મઠિયાંનો ડબ્બોઃ વધારે રૂપિયા ખર્ચીને ઓછા ઘીની મીઠાઇ લેવાની. એ તો મૂર્ખામી કહેવાય. ‘ટ્રેન્ડ’નું ગુજરાતી ‘મૂર્ખામી’ થાય છે?

બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ કમ ઓન! ઘી વગરની મીઠાઇ ઘીવાળી મીઠાઇ કરતાં વધારે મોંઘી ને વધારે હાઇફાઇ કહેવાય. એટલે એ મીઠાઇના ડબ્બા અને તેના ખરીદનાર પ્રત્યે લોકો માનથી જુએ કે વાહ! આ લોકો કેટલા હેલ્થ કોન્શ્યસ છે. ડાયેટ મીઠાઇ ખાય છે.

મુખવાસની ટ્રેઃ ડાયેટ મીઠાઇ! હા! હા! હા! સાંભળવામાં ‘ઇમાનદાર નેતા’ જેવું લાગે છે.

મઠિયાંનો ડબ્બોઃ અલ્યા, તું કોને ઊઠાં ભણાવે છે. ડાયેટ મીઠાઇવાળાને તબિયતની એટલી પરવા હોય તો દૂધમાં રોટલો ચોળીને ખાય ને! મોંઘા ભાવની મીઠાઇઓ પર શું કામ તૂટી પડે છે!

બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ એ તમને નહીં સમજાય. જનરેશન ગેપ.

મુખવાસની ટ્રેઃ જનરેશન ગેપ કે ભેજું ગેપ?

ખારી પુરીનો ડબ્બોઃ મારામાંથી ખારીને બદલે ખોરી વાસ આવવા માંડે તે પહેલાં હું તમને બધાને કંઇક કહેવા માગું છું.

મુખવાસની ટ્રેઃ સત્ય હંમેશાં ખોરૂં હોય છે. કારણ કે સદીઓ જૂનું છે.

મઠિયાંનો ડબ્બોઃ એય મુખવાસ, તારો બકવાસ બહુ વધી ગયો છે.

મુખવાસની ટ્રેઃ હા, કારણ કે આ દુનિયાથી મારે કશું છુપાવવાનું નથી. મારામાં ભરેલો મુખવાસ ક્યારનો ખલાસ થઇ ચૂક્યો છે.

ચોળાફળીનો ડબ્બો : ભાઇ ખારી પુરીના ડબ્બા, તું આનો બકવાસ કાને ધર્યા વિના તારે જે કહેવું હોય તે કહે. અમે તારી આખરી ઇચ્છા ગણીને તે સાંભળીશું અને બનશે તો અમલ કરીશું.

ખારી પુરીનો ડબ્બોઃ હિંદીમાં ‘પુષ્પકી અભિલાષા’ એવી એક કવિતા છે. એમાં એક ફૂલ બાકી બધો વૈભવ અને સાહ્યબી ઠુકરાવીને એવી ઇચ્છા વ્યક્ત કરે છે કે જ્યાંથી માતૃભૂમિ પર શહીદ થનારા વીરો જવાના હોય એ રસ્તા પર મને ફેંકજો.

બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ જૂનવાણી લોકોનો આ જ પ્રોબ્લેમ છે. ટાઇમ જોયા વિના ગમે ત્યારે લેક્ચર આપવા બેસી જાય.

મઠિયાંનો ડબ્બોઃ એય નવવાણી. ઓછી સ્ટાઇલ માર અને એટલું યાદ રાખજે કે તને તો કોઇ જૂનવાણી થતાં સુધી કોઇ સંઘરતું પણ નથી. ટૂંક સમયમાં તારૂં સ્થાન કચરાટોપલીમાં હશે અને અમે બધા ધોવાઇને નવા અવતાર માટે કબાટમાં ગોઠવાઇ જઇશું.

ખારી પુરીનો ડબ્બોઃ મારી બાકી બચેલી ખારી પુરીઓ મહેમાનોની ડીશમાં પીરસાય એવી મને લાલચ નથી. મારી છેલ્લી ઇચ્છા એવી છે કે એ પુરીઓ ખોરી થઇ જાય ત્યાર પહેલાં તેના ટુકડા કરીને ભેળમાં નાખી દેવી. છેલ્લે છેલ્લે પણ આપણે ખપમાં લાગીએ તો એનાથી ઉત્તમ શું?

બાકીના ડબ્બા (એક અવાજે) : વાહ. અમે પણ તારી ઇચ્છામાં સામેલ છીએ.

મુખવાસની ટ્રેઃ ફક્ત એક જ શરતે...એ ભેળ મહેમાનોના માથે નહીં મારવાની.

Wednesday, November 10, 2010

બક્ષિસ કોડીની, હિસાબ લાખનો

દિવાળી નિમિત્તે આપવાની થતી બક્ષિસ ઉર્ફે બોણી લેનારનો હક કહેવાય કે આપનારની ફરજ? આવા સવાલનો સંતોષકારક જવાબ ભારતના દળદાર બંધારણમાંથી પણ ન મળે.

સીધી વાત છેઃ કોને ત્યાં લગ્નમાં કેટલો ચાંલ્લો કરવો એવું બંધારણમાં લખેલું હોય? એ યજમાન અને મહેમાન વચ્ચેના સંબંધો પર આધારીત છે. દિવાળીની બોણી પણ એ જ ખાનામાં આવે. તેમાં ‘સરકારશ્રીએ નક્કી કરેલાં ધારાધોરણો અનુસાર, કલમ ફલાણી ને પેટાકલમ ઢીકણી અન્વયે’ કશું નક્કી થયેલું હોતું નથી. બોણી આપનાર-લેનાર વચ્ચે જેવો સંબંધ, જેવી મીઠાશ, પોતાની જીદ પર અડી રહેવાની જેવી મક્કમતા (સામેવાળાની દૃષ્ટિએ જડતા).

ઓફિસમાં કામ કરતા લોકોને મળતું બોનસ એક વાત છે. બોણીમાં આપનાર અને લેનાર વચ્ચે બોસ-કર્મચારી કે માલિક-કારીગર જેવા કાયમી સાંસારિક બંધનો હોતાં નથી. ટપાલી, ટેલીફોન ઓફિસના કર્મચારી, સફાઇ કામદાર, પાર્કિંગવાળા, દૂધવાળા અને આ પ્રકારની સેવાઓમાં જેમને ગણી શકાય એવા બીજા ઘણા બોણીની માગણી કરી શકે છે. દિવાળી નજીક આવે ત્યારે સામેથી કોઇ અકારણ મઘુર સ્મિત કરે ત્યારે મનમાં ફાળ પડે છે. કારણ કે ભારતમાં સામાન્ય રીતે લોકો એકબીજાની સાથે કારણ વગર ઝઘડી શકે છે, પણ સ્મિત કરી શકતા નથી. અસહકાર આંદોલન ગાંધીજીએ ભલે દાયકાઓ પહેલાં સમેટી લીઘું, પણ ભારતવર્ષના નાગરિકોના ડીએનએમાં અસહકાર બહુ ઉંડે સુધી ઉતરી ગયો છે. અભ્યાસીઓ ભલે સહકારી ચળવળની વાહવાહ કરતા હોય, પણ ભારતમાં સહકારી ચળવળથી માંડીને સહકારી/કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સુધી નાનામાં નાના મુદ્દે અસહકાર કેમ કરવો તેની વણકહી ઝુંબેશ ચાલુ જ હોય છે.

તેમ છતાં, પાર્કિંગવાળા કે ટેલીફોનવાળા વડચકું ભરવાને બદલે હસીને વાત કરે ત્યારે ઘણા ગ્રાહકોને પહેલી વાર ઝબકારો થાય છેઃ ‘શું વાત છે! દિવાળી આવી ગઇ?’

યૌવનના પહેલા અહેસાસને લીધે મનમાં થાય, એના કરતાં જરા જુદા પ્રકારની મૂંઝવણ દિવાળીના ભણકારા સાંભળીને થાય છે. કહો કે બોણી આપનાર અને લેનાર વચ્ચે શીતયુદ્ધનો પ્રારંભ થાય છે. તેની ખાસિયત એ છે કે જેમ બોણી આપનાર માટે લેનારા એક નહીં, અનેક હોય છે, તેમ બોણી લેનાર માટે પણ આપનાર ઘણા હોય છે. એટલે બન્ને પક્ષે માણસ એટલા મોરચા ખુલી જાય છે.

બોણી આપનારા પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે અને બોણી માગનારના મહત્ત્વ મુજબ રણનીતિ અપનાવે છે.

ટાળનારા (ટાળકો)
બોણી આપનાર-લેનાર વચ્ચે રીઢાપણાની સ્પર્ધા થાય ત્યારે બન્ને પક્ષોની ટાઢક જોવાલાયક હોય છે. દિવાળી આડા પંદર દિવસ હોય ત્યારે પહેલી વાર બોણી લેનાર અકારણ હસીને કે વાતવાતમાં બોલીને ગ્રાહકનું ઘ્યાન દોરે છે કે હવે દિવાળી આવી પહોંચી. બોણી તૈયાર રાખજો. અઠવાડિયું બાકી રહે એટલે પહેલી વાર બોણીની સ્પષ્ટ માગણી થાય છે. જેવા અકારણ હાસ્ય સાથે માગણી થાય, એવા જ અકારણ હાસ્ય સાથે એ માગણી ટાળી દેવામાં આવે છે. કારણ કે આ વર્ગમાં આવતા લોકો માને છે કે ‘રૂપિયાનો સવાલ નથી, પણ બોણીવાળા લેણદારની જેમ માગે શાના? રાજીખુશીથી રૂપિયા આપવાના છે, તે આપીશું. આપણે નાસી થોડા જવાના છીએ?’

એમ કરતાં ધનતેરસ આવે છે, પણ બોણીવાળાની ધનતેરસ થતી નથી. કાળીચૌદસે તે મરણીયા બને છે અને કહે છે,‘કાલે દિવાળી આવી ગઇ.’ પણ બોણી આપનારના પેટનું પાણી હાલતું નથી. એ કહે છે,‘મારી ઓફિસ બેસતા વર્ષની બપોર સુધી ચાલુ છે.’ અથવા ‘અમે ભાઇબીજ સુધી ઘરે જ છીએ. એ પહેલાં બોણી મળી જશે.’

દિવાળીના દિવસે બોણી માગનાર હાથમાં નોટ લઇને, ઢાંકણ પેનની પાછળ ખોસીને ખુલ્લી પેન સાથે રાહ જોતો હોય છે, પરંતુ ઉતાવળમાં ન માનતા ગ્રાહકો કહે છે,‘બહુ ઉતાવળો ભાઇ તું તો. દિવાળી પછી હજુ તો પડતર દિવસ છે. જરા કેલેન્ડર તો જો.’

આખરે બેસતું વર્ષ આવે છે. તેની બપોર પડે છે, પણ ગ્રાહકનો પતો નથી. તેમનાં દર્શન છેક લાભપાંચમ પછી થાય છે. બોણી માગનાર સહેજ નારાજગી દર્શાવે ત્યારે તે ખિસ્સામાંથી પાકિટ કાઢે છે અને ‘આવતા વર્ષે તો રજાઓ પૂરી થયા પછી પણ બોણી આપવાનું ટળાય એટલું ટાળીશ’ એવું મનોમન આશ્વાસન લઇને ખચકાતા હાથે આ વર્ષની બોણી આપી દે છે.

રકઝકીયા
‘આપણને મોડું કરવું ન ગમે. એ શું! એક વાર બોણી આપવી તે આપવી!’ આવું કોઇ કહે ત્યારે ઓડિયન્સનું અંજાઇ જવું સ્વાભાવિક છે. પણ આવું કહેનારામાં એક વર્ગ એવો હોય છે, જે બોણીના સમય અંગે નહીં, પણ રકમ અંગે ‘ધીરજથી’ કામ લે છે.

દિવાળીના ચાર-પાંચ દિવસ પહેલાં અત્યંત મઘુરતાથી બોણીની માગણી થાય એ સાથે જ આ પ્રકારના લોકો પોતાનું પાકિટ કાઢે છે. બોણી માગનાર આ ધન્ય દૃશ્ય જોઇ જ રહે છે. તેને થાય છે કે આ પાવન દૃશ્યમાંથી વહેતી પુનિત લાગણીના ધોધમાં હું નાહ્યા જ કરૂં. પરંતુ એ અહેસાસ લાંબું ટકતો નથી. પાકિટબહાદુર પોતાના પાકિટમાંથી દસની એક કડકડતી નોટ કાઢે છે અને બોણી માગનાર તરફ ધરે છે.

માગનાર ‘શું મજાક કરો છો?’ એવા ભાવથી જોઇને, ફિલ્મી ભગવાનોની જેમ મરક મરક હસે છે. એટલે બીજી એક દસની નોટ કાઢીને ‘બસ, હવે તો હદ થઇ’ એવા ભાવ સાથે આપનાર પાકિટ મ્યાન કરે છે. બોણીવાળો દસની બે નોટો જોઇને કકળી ઉઠે છે અને સંસદમાં વિપક્ષી નેતાઓની માફક મોંઘવારી અને ભાવવધારા અંગે કકળાટ કરે છે. એટલું ખરૂં કે મોંઘવારીનો કકળાટ મચાવ્યા પછી વિપક્ષી નેતાઓની માફક તેને સરકારી સગવડોમાં મહાલવાનું નથી હોતું. એટલે તેનો કકળાટ વધારે પ્રાણવંતો હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની ફોજોને રશિયાએ દરેક મોરચે ભારે લડત આપી હતી તેમ, બોણી આપનાર અને લેનાર વચ્ચે દરેક દસની નોટ ઉપર ઘમાસાણ જંગ થાય છે. છેવટે જંગની સમાપ્તિ થાય ત્યારે વિશ્વયુદ્ધની માફક બન્નેમાંથી કોઇ પક્ષને વિજેતાપણાનો અહેસાસ થતો નથી.

ફરિયાદી
ફક્ત દિવાળી આવી રહી છે એવા નજીવા કારણસર ચૂપચાપ બોણી આપી દેવામાં ઘણા લોકોને અપમાન અથવા બેદરકારી અથવા ડફોળાઇ લાગે છે. એવા લોકો માને છે કે બોણી માગનારા તેમને મૂરખ બનાવીને તેમની પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. આ માન્યતાથી દોરવાઇને તે મનોમન ગાંઠ વાળે છે કે મંદિરોમાં કે બાવાઓ જોડે હું ભલે ગમે તેટલો મૂરખ બનું, પણ બોણી માગનારના હાથે હું કદી મૂરખ બનીશ નહીં.

બોણીવાળો પહેલી વાર અકારણ હસે ત્યારે તે ‘ટાળક’ની જેમ ઉપેક્ષાભાવ સેવે છે, પરંતુ બોણીની સ્પષ્ટ માગણી થતાં સાથે પ્રતિજ્ઞાના અમલની ઘડી આવી પહોંચે છે. તે બોણી માગનારની નિષ્ક્રિયતા, બેદરકારી, બેકાળજી, દાંડાઇ, આળસ, નઘરોળપણું, ઉદ્ધતાઇ જેવા અનેક અવગુણોનું સવિસ્તર અને ઉદાહરણો સહિત આખ્યાન કરવા બેસી જાય છે. વર્ષમાં ક્યારે કયા પ્રસંગે બોણી માગનારનું વર્તન અપેક્ષા કરતાં અનેક ગણું ઉણું ઉતર્યું હતું, તેની એક પછી એક યાદી તેમના શ્રીમુખેથી અસ્ખલિત ઝરવા લાગે છે. બોણી માગનાર એ ઝરણામાં સ્નાન કરીને પવિત્ર થતો નથી. બલ્કે, તેને બીક લાગે છે કે આ ઝરણામાં તેની બોણી ક્યાંક તણાઇ ન જાય.

ઘણા ફરિયાદીઓ પોતાની વૃત્તિનો પરચો આપવા માટે દિવાળી સુધી રાહ જોતા નથી. મહિને એક વાર સફાઇ કામદારને પાંચ-દસ રૂપિયા જેટલી મામૂલી રકમ આપવાની થાય ત્યારે પણ તે પોતે ચીંધેલાં અને નહીં થયેલાં કામોની યાદી રજૂ કરે છે. ત્યાર પછી પણ રૂપિયા આપવાના હોય છે, પણ ‘હું જાગ્રત છું. આંખ મીંચીને રૂપિયા આપી દેતો નથી’ એવો સંતોષ તેમની આંતરડી ઠારે છે.

Friday, November 05, 2010

થોડી આતશબાજી

બ્લોગ થકી સંપર્કમાં રહેતા સૌ મિત્રોને નવા વર્ષની શુભેચ્છા

  • બોમ્બ થકી થતા અજવાળાનાં વખાણ ન થાય
  • બધું શાંત હોય ત્યારે ટીકડી ફૂટવાનો અવાજ પણ ધડાકો લાગે છે
  • ટેટાને પાછળથી બરાબર ભીંસમાં રાખ્યો હોય તો મોટા ભાગના ટેટા હાથમાં ફોડી શકાય એવા કહ્યાગરા થઇ જાય છે. (આ હાથમાં ટેટા ફોડવાની ટીપ નથી.)
  • ધોળા દિવસે બપોરિયાં ફોડીને અજવાળું કરવાનો સંતોષ લેવા માટે તમારે ‘સંસ્થા’ શરૂ કરવી પડે.
  • ગુજરાતનું પ્રવાસનસૂત્રઃ દિવાળીમાં દારૂખાનું, બાકીનું વર્ષ મયખાનું, યહી તો હૈ ‘ખુશ્બુ’ ગુજરાતકી
  • ‘આતશબાજી’ તરીકે ઓળખાતા ફટાકડા એટલા મોંઘા આવે છે કે ભારતમાં આટલા રૂપિયામાં તો માણસ આખી રાત ધાબે મશાલ પકડીને ઉભો રહેવા તૈયાર થઇ જાય.
  • કોઠી આડી ફૂટે એટલે એ ભોંયચકરડી નથી બની જતી અને તારામંડળને હવામાં ઉછાળવાથી એ હવાઇ નથી બની જતો.

Thursday, November 04, 2010

ફટાકડામાં ફાટફૂટ: ચર્ચાની આતશબાજી

નવરાત્રિ વીતે અને ઘોંઘાટમુક્તિનો આનંદ હજુ ઠર્યો પણ ન હોય, તે પહેલાં રાત પડ્યે ફટાકડાના અવાજથી દિવાળીની છડી પોકારાવાની શરૂઆત થઇ જાય છે. ફટાકડા વિશે, તેનાથી થતા અવાજ અને તેના થકી દાઝવાની શક્યતા વિશે માણસો શું ધારે છે એ છૂપું નથી. પરંતુ જાણીતા ફટાકડા પોતપોતાના વિશે, એકબીજાના વિશે એને માણસો વિશે શું ધારતા હશે?
***
(પ્લાસ્ટિકના એક મોટા ઝભલામાં જાતજાતના ફટાકડાનો ખડકલો થયેલો છે. રાત પડવાની અને પોતાની કમાલ બતાવવાની હજુ વાર છે. એટલે નવરા પડેલા ફટાકડા વાતે વળગ્યા છે.)

તારામંડળઃ હેલો એવરીબડી. જાગો છો?
બાકીના બધાઃ આ ઘોંઘાટીયા માણસો ક્યાં ઊંઘવા દે છે?
તારામંડળઃ ઠીક છે, પણ આપણે ક્યાં એમની સાથે જિંદગી કાઢવી છે. હું તો અમસ્તું પૂછતો હતો. વાત કરવાની ખબર પડે ને.
કોઠીઃ બોલ, શું વાત કરવી છે તારે?
તારામંડળઃ આ તો એક અફવા ઉડતી ઉડતી મારા કાને આવી છે. મને થયું કે તમારી સાથે શેર કરૂં.
ચકરડીઃ કહી નાખને ભાઇ સીધેસીઘું જે કહેવું હોય તે! બધાને ખબર છે કે તું સળગાવવામાં બહુ હોંશિયાર છે.
તારામંડળઃ મેં એવું સાંભળ્યું કે ગુજરાતમાં બધા ફટાકડા એકસરખા જ ફૂટે છે.
બાકીના બધાના મિશ્ર અવાજઃ શું વાત કરે છે! એવું કેવી રીતે બને? એટલે તું કહેવા શું માગે છે? ના હોય!
તારામંડળઃ હું કહેતો હતો ને કે વાત બહુ નાજુક છે. મને કોઇએ એવું કહ્યું કે ગુજરાતમાં કોઠી ફોડો કે ચકરડી, સાપ ફોડો કે હીરો, હવાઇ ફોડો કે પેરાશૂટ- બધાં એકસરખી રીતે જ ફૂટે છે. ફટાકડો ફૂટતો જોઇને તમને ખબર જ ન પડે કે આ કોઠી ફૂટી કે બોમ્બ. જ ઘૂમધડાકા કરે છે.

પેરાશૂટ (માથા પર ચોટલીની જગ્યાએ આવેલી દીવેટ પંપાળતાં, ચાણક્ય શૈલીમાં) : પણ એ સંભવ નથી. એ તર્કબદ્ધ નથી. એ કેવી રીતે...(ફરી દીવેટ પંપાળે છે)
ચકરડી (વિચારને કારણે તેનાં ગુંચળાંમાં એક-બે આંટા વધી જાય છે) ઃ આવું તો આજ પહેલાં મેં કદી સાંભળ્યું નથી. મારો એક કઝિન શિવાકાશી રહે છે ને એક તો ‘નાસા’માં રોકેટ ડીપાર્ટમેન્ટમાં બહુ મોટી પોસ્ટ પર છે. એમની પાસે પણ મેં કદી આવી શોધ વિશે સાંભળ્યું નથી. બધા ફટાકડા...એકસરખા ફૂટે?
ટેટાની લૂમઃ રબીશ. હું ભૂતપ્રેતમાં, સુરસુરિયાંમાં અને આવી બધી હમ્બગ વાતોમાં માનતો નથી. ભાઇ તારામંડળ, તારા પીવામાં કંઇક આવી ગયું લાગે છે.
ટેટીની લૂમ (ટહુકો કરે છે) : તમે ભૂલી ન જશો, આપણે ગુજરાતમાં છીએ.
ટેટાની લૂમ (સહેજ છેડાઇને) : આપણે ગુજરાતમાં છીએ એટલે તો ખાસ પૂછવું પડે!
રમકડું: આમ તો હું તારામંડળની વાત માની શકતો નથી. બધા ફટાકડા એકસરખા ફૂટે...હંઅઅઅ...ના, એવું બને નહીં, પણ કહેવાય નહીં. જમાનો એવો ખરાબ છે ને...ગયા વર્ષે મારો એક કઝિન હજુ ફૂટે એ પહેલાં જ કોઇએ એની દીવેટ કાઢી નાખી...
બોમ્બ (ગરમ થઇ જતાં) : આ રમકડું...ક્યાંથી શરૂ કર્યું ને ક્યાં પહોંચી ગયું...મોં બંધ કરે છે કે ખેંચી કાઢું તારી દીવેટ?
દોરી (પોતાના ગૂંચળામાંથી મોંવાળો ભાગ બહાર કાઢીને) : મને તો આ કલ્પનામાત્રથી જ એટલો રોમાંચ થાય છે! વાઉ! હું હવાઇની જેમ આસમાનને આંબી શકીશ! ટેટાની લૂમની જેમ ધડબડાટી બોલાવી શકીશ! હીરાની જેમ ઝળહળી શકીશ...
બપોરિયું: મને નથી લાગતું કે આવું કંઇ થાય. જોકે, થાય તો પણ થાય પણ ખરૂં.
તડતડિયો તારામંડળ (ચિઢાઇને): જો પાછો,બદલ્યો રંગ! તારે તો રાત સિવાય કે રાજકારણ સિવાય બોલવું જ નહીં. તારા બદલાતા રંગ ત્યાં જ ચાલે.
ટીકડીઃ પણ તમને શું લાગે છે, તારામંડળ? તમે સાંભળેલી અફવાનો અર્થ શું હોઇ શકે? આપણા પર તેની શી અસર હોઇ શકે?
તારામંડળઃ ટીકડીના સવાલમાં કંઇક સ્પાર્ક/ચમકારો છે. ખરેખર આપણે લોકોએ આ બાબતે વધારે વિચારવું જોઇએ.
બાકીના બધાઃ પણ વિચારવું કેવી રીતે? આપણે ગુજરાતમાં નથી? અને અફવા તો એવું કહે છે કે આપણે બધા એકસરખા જ ફૂટવાના છીએ.
તારામંડળઃ હા, પણ આપણે આપણા વિશે ફેલાવાતી અફવાઓને માની લઇશું તો...
રમકડું (અવળચંડાઇ દાખવતાં) : ..તો શું? આપણે ગુજરાતી કહેવાઇશું.
હવાઇ (દાઢીની જગ્યાએ આવેલી દીવેટ ખંજવાળતાં): આપણે ખરેખર ગંભીરતાથી વિચારવું જોઇએ. બઘું દારૂખાનું એકસરખું ફૂટે એવું શા માટે થવું જોઇએ? એવું કેવી રીતે બની શકે? એવું વૈજ્ઞાનિક રીતે શક્ય છે? કેવા પ્રકારનાં ચેડાં થાય તો આ શક્ય બને? અને આવું શક્ય બને તો એમાં આપણને ફાયદો થાય કે નુકસાન?
મિર્ચીબોમ્બ (અત્યાર સુધી ચૂપચાપ બેસી રહીને સાંભળવાનો કંટાળો વ્યક્ત કરતાં)ઃ આ શું લમણાંઝીંક લઇને ક્યારના મચ્યા છો? આ હવાઇ એની જાતને શું સમજે છે? તપાસપંચની અઘ્યક્ષ?
હવાઇ: હા, કારણ કે મેં થોડા વખત પહેલાં માણસોની વાતચીતમાં એવું સાંભળ્યું હતું કે બધાં તપાસપંચો છેવટે હવાઇ જાય છે...
ટાઇમબોમ્બઃ બસ, બહુ થયું. પક્ષના કાર્યકર્તાઓની માફક અંદરોઅંદર ઝઘડવાની જરૂર નથી. વિરોધપક્ષો સાથે વહેંચીને ખાતા હોઇએ એવી રીતે, શાંતિપૂર્વક ચર્ચા કરીએ.
હીરોઃ ભાઇ, તું તારૂં પોલિટિક્સ તારી સાથે રાખ ને અહીં કંઇક અગત્યની વાત થાય છે એની પર અજવાળું પાડ.
પેન્સિલ (સફાળી જાગીને): અજવાળું પાડવાનું છે? લાવો, મને બહુ સરસ આવડે છે, ને મારૂં ડ્રેસિંગ પણ મસ્ત છે ને ઝીરો ફીગર છે.
તારામંડળઃ એય ઝીરો ફિગર, શાંતિ રાખ. એકાદ બોમ્બનું છટકશે તો તારૂં ફિગર ને ફિઝીક બઘું ઝીરો થઇ જશે. પછી તું સૂરસૂરિયાને લાયક પણ નહીં રહે.
કોઠી (તારામંડળને): આ તે સળગાવ્યું છે તો તું જ ઓલવ.
તારામંડળઃ મેં તો ફક્ત સાંભળેલી વાત કરી છે. મારી પાસે કોઇ ખાતરી નથી.
હવાઇઃ એમ તો મેં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વિશે પણ આવું સાંભળ્યું હતું કે ગુજરાતમાં ઘણાં વોટિંગ મશીનમાં એકસરખાં જ ફૂટતાં હતાં...ગમે તે બટન દાબો, વોટ એક જ જગ્યાએ પડે.
તારામંડળઃ સામાન્ય રીતે હું પોલિટિક્સમાં પડતો નથી...પણ મને આ ક્ષણે વિચાર આવે છે કે આપણે પોલિટિક્સમાં ભલે ન પડીએ, પોલિટિક્સ આપણામાં પડે તો?
મિર્ચીબોમ્બઃ (ફૂટતાં ફૂટતાં રહી જાય છે) તું કંઇ સમજાય એવી વાત કર.
તારામંડળઃ બસ, આપણે સૌ એટલું જ નક્કી કરીએ કે આપણે દરેકે પોતપોતાની ક્ષમતા પૂરેપૂરી ખર્ચવી અને પોતપોતાનો ધર્મ ઇમાનદારીથી અદા કરવો. સમગ્ર ફટાકડાજગતની અસ્મિતાના નામે કે સમરસતાના નામે કોઇ આપણને ગમે તેટલા છાપરે ચડાવે તો પણ આપણે આપણું કામ છોડવું નહીં. ટૂંકમાં, માણસગીરીના ચાળે ચડવાને બદલે ફટાકડાગીરી જાળવી રાખવી.

(આટલું વાક્ય પૂરૂં થાય ત્યાં તો બાળકોનું એક ટોળું કિલ્લોલ કરતું ધસી આવે છે અને ફટાકડાની કોથળી ઉપાડીને બહાર લઇ જાય છે.)

Wednesday, November 03, 2010

દવા-દારૂ?

અમદાવાદમાં ઘણા વખતથી ફેન્સી સોડાની બોલબાલા થઇ છે. લારી પર મળતી લખોટીવાળી સોડાને બદલે બાકાયદા દુકાનોમાં, જુદી જુદી ફ્લેવરમાં ફાઉન્ટેન પર મળતી સોડાની સાથે ફ્લેવરનું લાંબુંલચક લીસ્ટ હોય છે- અને 'જે ચીજ હાજર હશે તે મળશે' એવું પાટિયું નથી હોતું.

ઉપરનું પાટિયું જો કે જરા જુદું છે. ગુજરાતમાં બચ્ચા-બચ્ચાને નહીં તો પણ ઘણા બચ્ચાઓ 'બીયર દારૂ કહેવાય કે નહીં' એ શાસ્ત્રાર્થમાં શ્રોતા કે વક્તા તરીકે ભાગ લઇ ચૂક્યા હશે. 'બીયર પીએ તો ચડે ?' એ સવાલ એક જમાનામાં સામાન્ય જ્ઞાનના ટોચના દસ સવાલોમાં સ્થાન પામે એટલો લોકપ્રિય હતો. તેને કારણે ઘણા બધા લોકો એ દલીલ સાંભળી ચૂક્યા હશે કે 'બીયરમાં કંઇ ન હોય. એ તો જવનું પાણી હોય.'

ઉપરના પાટિયામાં બીજા બધા સોડા-પ્રકારોની યાદી પછી મોટા અક્ષરે 'જવનું પાણી' (અને તેનો બમણો ભાવ) વાંચીને બત્તી થઇઃ વાહ, હવે બીયર પણ સોડા સાથે. જય બાપા સીતારામ.

Tuesday, November 02, 2010

અરૂંધતિ રોય, અભિન્નતા અને ‘આઝાદી’ : કાશ્મીર સમસ્યાનો નવો ક્રમ?

બુકર પ્રાઇઝ વિજેતા લેખિકા અરૂંધતિ રોય લેખન ક્ષેત્રમાં ન હોત તો કદાચ એ વકીલાત કરતાં હોત. અત્યાર સુધી માઓવાદથી અણુધડાકા સુધીના અનેક મુદ્દે તેમના લાંબા, આવેગયુક્ત, દલીલાત્મક નિબંધો વાંચ્યા પછી એવું સહેજે ધારી શકાય.

અગાઉ નર્મદા બચાવો આંદોલનની તરફેણમાં તેમણે લખેલા લાંબા લેખથી ખીજાઇને, ધોરણસરના અભ્યાસીની છાપ ધરાવતા રામચંદ્ર ગુહાએ તેમને ‘અરૂણ શૌરી ઓફ ધ લેફ્ટ’ (અરૂણ શૌરીની ડાબેરી આવૃત્તિ) ગણાવ્યાં હતાં. રોય વકીલાત કરતાં હોત તો કદાચ તેમને ‘રામ જેઠમલાણી ઓફ ધ લેફ્ટ’ ગણવાં પડત.
(ગુહા-રોયનું શબ્દયુદ્ધ આખો જુદો વિષય છે. રસ ધરાવતા વાચકો http://www.narmada.org/debates/ramguha/ પર તે વાંચી શકે છે.)

લેખનની કુદરતી પ્રતિભા ધરાવતાં અરૂંધતિ રોય બીજી ઘણી પ્રતિભાઓ ધરાવે છે. તેમાંની એક વિવાદ સર્જવાની પણ ખરી. વંચિતો-શોષિતો-પીડિતોના મુદ્દા હાથ પર લઇને, તેમાં જાતે ઉંડા ઉતરીને તે વિગતો મેળવે છે અને તેમની નવલકથાઇ બાનીમાં વાચકોને પીરસે છે, ત્યારે કેટલાક વાચકો ગુસ્સાથી તો કેટલાક આઘાતથી ખળભળી ઉઠે છે. સ્પષ્ટવાદિતાની સાથે ચબરાકી, નિસબતની સાથે છટા, ઉંડાણની સાથે આત્યંતિકતા, ઝીણવટની સાથે અતિશયોક્તિ- આવાં અનેક વિરોધાભાસી લક્ષણોનું સંયોજન તેમના લખાણને અને તેમના વ્યક્તિત્વને વખતોવખત ચર્ચામાં ગાજતાં રાખે છે.

ગુજરાતની વાત જુદી છે, બાકી તેમના કડક ટીકાકારો પણ તેમને વાંચ્યા વિના રહી શકતા નથી. તેમના મહાલાંબા લેખ એક કે અનેક બેઠકે પૂરા કરવાનું અઘરૂં પડે છે. તેમની સાથે અસંમત થતા બૌદ્ધિકો ઘણા છે. છતાં, અરૂંધતિને અવગણવાનું અઘરૂં છે. કારણ કે, તેમનાં અંગ્રેજી લખાણો પ્રતિષ્ઠિત અને બહુ ફેલાવો ધરાવતાં રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સામયિકો-અખબારોમાં પ્રગટ થાય છે.

એટલા માટે જ, કાશ્મીર મુદ્દા સાથે ઘણા વખતથી સંકળાયેલાં અરૂંધતિ રોય દિલ્હીમાં અને શ્રીનગરમાં જઇને અલગતાવાદી નેતાઓની તરફેણમાં બોલે, ત્યારે તેના પડવા જોઇએ એના કરતાં ઘણા વધારે પડઘા પડે છે. અરૂંધતિએ આ મહીને કાશ્મીરની પ્રજાની આઝાદીની માગણીને પૂરો ટેકો આપતાં કહ્યું કે ‘શ્રીનગરની રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી પ્રજાએ પોતાને શું જોઇએ છે તે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીઘું છે : પ્રજાને જોઇએ છે આઝાદી. આ પ્રજાને કોઇ પ્રતિનિધિનો ખપ નથી. તેમનું પ્રતિનિધિત્વ કોણ કરે છે એ પણ આઝાદી પહેલાંથી ચાલતો વિવાદ છે.’

આટલેથી ન અટકતાં અરૂંધતિએ તેમની પ્રખ્યાત શૈલીમાં એમ પણ કહ્યું કે ‘કાશ્મીર કદી ભારતનો અભિન્ન હિસ્સો ન હતું. તે ઐતિહાસિક તથ્ય છે. ખુદ ભારત સરકારે આ તથ્યનો સ્વીકાર કરેલો છે.’ એટલું જ નહીં, અરૂંધતીએ કહ્યું કે ‘અંગ્રેજી રાજ પછી તરત ભારત કાશ્મીરમાં ‘કોલોનાઇઝિંગ પાવર’/ સંસ્થાનવાદી સત્તા બની ગયું.’

રાજદ્રોહ : અંગ્રેજ ચલે ગયે...
ભારતની એકતા-અખંડિતતા માટે દુઃખતી નસ બની ચૂકેલા કાશ્મીર માટે અરૂંધતિ રોયના મોઢેથી આવાં વચનો સાંભળીને આશ્ચર્ય અને આઘાતથી માંડીને નારાજગી જેવા અનેક પ્રતિભાવો પેદા થયા. પરંતુ તેમાં સૌથી વિચિત્ર અને સૌથી બિનલોકશાહી પ્રતિભાવ હતો : અરૂંધતિ રોય સામે રાજદ્રોહનો કેસ કરવાનો!

રાજદ્રોહનો આરોપ અંગ્રેજોનું પ્રિય હથિયાર હતો. આઝાદી પછી ‘કાળા અંગ્રેજો’એ વખતોવખત એ હથિયાર પ્રજાકીયને બદલે પક્ષીય કે રાજકીય હિત માટે વાપરવાનું ચાલુ રાખ્યું છે. અંગ્રેજી રાજમાં ‘વેજિંગ વોર અગેઇન્સ્ટ ક્રાઉન’ (તાજ સામે બંડ)ના આરોપ હેઠળ તમામ કાયદા નેવે મૂકીને, આરોપીઓને અમર્યાદ સજા થઇ શકતી હતી. આઝાદી મળ્યા પછી, ભારત સરકારને ઉથલાવી પાડવાના કે તેની સામે બંડ કરવાના આરોપ જૂજ અને અપવાદરૂપ રહેવા જોઇતા હતા. પરંતુ સરકારોએ આ ગંભીર આરોપને ઘણી વાર એટલો સસ્તો કરી નાખ્યો કે તે પત્રકારો અને લેખકો પર પણ લાગુ પડાતો થયો.

પત્રકારો કે લેખકો નિર્દોષ જ હોય એવું બિલકુલ જરૂરી નથી. પરંતુ તેમની પર રાજદ્રોહ જેવો અંતીમ કક્ષાનો આરોપ મૂકતાં પહેલાં ઘણો વિચાર કરવો પડે. તેને પહેલા વિકલ્પ તરીકે અપનાવી શકાય નહીં. સારૂં થયું કે અરૂંધતિ રોયના કિસ્સામાં સરકારે ધીરજથી કામ લીઘું અને તેમની પર રાજદ્રોહનો આરોપ લગાડવાનું મૂર્ખામીભર્યું બિનલોકશાહી પગલું લીઘું નહીં. અલબત્ત, પોતાની પર રાજદ્રોહનો આરોપ લાગવાની સંભાવના જાણ્યા પછી અરૂંધતિ રોયે કહી દીઘું હતું કે ‘જે દેશમાં લેખકોને પોતાના મનની વાત કહેવા દેવાને બદલે ચૂપ કરી દેવાતા હોય એ દેશની દયા ખાવી જોઇએ.’

કમ સે કમ, આ વખત પૂરતી, અરૂંધતિની ધરપકડ ન થતાં, દેશની દયા ખાવાનું ટળી ગયું.

પરંતુ અરૂંધતિ રોયે ‘ઐતિહાસિક તથ્ય’ તરીકે કરેલાં વિધાનોનું શું? અને કાશ્મીરની પ્રજાની આઝાદીની માગણીની બીજી વાસ્તવિક બાજુ કઇ છે? અરૂંધતીને શાબ્દિક રીતે ઝૂડી પાડવાનો ઉત્સાહ બાજુ પર રાખીને, મુખ્ય મુદ્દા વિશે વાત થાય તે વધારે જરૂરી છે.

અરૂંધતિનો દાવો અને ઐતિહાસિક સચ્ચાઇ
કાશ્મીર કદી ભારતનું અવિભાજ્ય અંગ ન હતું, એવું ઇતિહાસને ટાંકીને કહી શકાય નહીં. અરૂંધતિ રોયનું આ વિધાન સાવ ખોટું છે. કારણ કે :

૧) ઇતિહાસમાં ‘ભારત’નો એક ભૌગોલિક એકમ તરીકેનો ખ્યાલ ક્યારે આવ્યો, તે વિવાદનો વિષય છે. આજના ભારતનો જન્મ ૧૯૪૭માં થયો એવું સ્વીકારીએ, તો ફક્ત કાશ્મીર જ નહીં, ભારતનાં ૫૫૦થી પણ વઘુ રજવાડાં ભારતનાં ‘છૂટાં’ અને ‘પાછળથી જોડાયેલાં’ અંગ બની જાય.

૨) ૧૯૪૭ પહેલાંના, જૂના ભારતની વાત હોય તો ગુપ્ત સામ્રાજ્ય અને મોગલ સામ્રાજ્ય (ઔરંગઝેબના સમયનું)- આ બન્ને ગાળામાં ‘ભારત’નો ભૌગોલિક વિસ્તાર સૌથી મોટો હતો અને એ બન્ને વખતે કાશ્મીર તેનો હિસ્સો હતું.

એ ખરૂં કે ભારતના ભાગલા વખતે બીજાં સરહદી રાજ્યોની જેમ કાશ્મીર પાસે પણ ભારત અને પાકિસ્તાન- બન્નેમાંથી કોઇ પણ દેશ સાથે જોડાવાનો વિકલ્પ ખુલ્લો હતો. એ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રાજકીય શતરંજનાં મુખ્ય ત્રણ મહોરાં હતાં : હિંદુ બહુમતિ-મુસ્લિમ શાસક ધરાવતું જૂનાગઢ, મુસ્લિમ બહુમતિ- હિંદુ શાસક ધરાવતું કાશ્મીર અને મુસ્લિમ શાસક ધરાવતું અતિસમૃદ્ધ હૈદરાબાદ.

ઝીણાએ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાવા પટાવી લીઘું, ત્યારે તે જાણતા હતા કે ભૌગોલિક રીતે આ જોડાણ લાંબું ટકશે નહીં, પણ વસ્તીની બહુમતિના જે મુદ્દે જૂનાગઢ ભારતને પાછું આપવાનું થશે, એ જ મુદ્દે કાશ્મીર મેળવી પણ શકાશે.

આટલે સુધી બરાબર હતું, પણ ઝીણાની દાનત કાશ્મીર ઉપરાંત હૈદરાબાદ ઉપર પણ બગડી. સરદાર કાશ્મીર આપીને હૈદરાબાદ જાળવી રાખવા તૈયાર હતા. એટલે ઝીણાએ કાશ્મીરમાં લોકમત લેવાની વાત કરી, ત્યારે સરદારે હૈદરાબાદમાં લોકમત લેવાની વાત કરી.

ઝીણાને લાગતું હતું કે કાશ્મીરનો લોકમત પાકિસ્તાનની તરફેણમાં ને હૈદરાબાદનો લોકમત ભારતની તરફેણમાં જશે. હૈદરાબાદ આટલી સહેલાઇથી ખોવાનું તેમને મંજૂર ન હતું. એટલે લોકમતની દરખાસ્ત પર તેમણે ચોકડી મારી અને કાશ્મીરમાં પણ લોકમતનો આગ્રહ તેમણે પડતો મૂક્યો.

આ તબક્કા સુધી કાશ્મીરના મહારાજાએ ભારત સાથે કે પાકિસ્તાન સાથે પણ જોડાણ કર્યું હોત, તો કાશ્મીર તકરારી મુદ્દો ન બનત. પરંતુ જૂનાગઢ-હૈદરાબાદ ગુમાવનાર ઝીણા કાશ્મીરને કોઇ પણ ભોગે ગુમાવવા તૈયાર ન હતા. આખરે, પાકિસ્તાનના સ્પેલિંગમાં આવતો ‘કે’ કાશ્મીરનો હતો!

ઝીણાએ ધારી લીઘું હતું કે મુસ્લિમ બહુમતિને લીધે કાશ્મીર સીધેસીઘું પાકિસ્તાનને મળી જશે. એવું બન્યું નહીં એટલે તેમણે છૂપા વેશે લશ્કર મોકલ્યું. ગણવેશ વગરના પાકિસ્તાની સૈનિકો અને બીજા ભાડૂતી સૈનિકો શ્રીનગર તરફ આગળ વઘ્યા. એ લોકો રસ્તામાં લૂંટફાટ કરવા ન રહ્યા હોત તો તેમણે શ્રીનગર જીતી પણ લીઘું હોત.
પાણી સાવ માથા પરથી જતું રહ્યું ત્યારે મહારાજા સફાળા જાગ્યા અને તેમણે ભારત સાથેના જોડાણખત પર સહી કરી. ત્યાર પછી સરદાર પટેલની ત્વરા અને મક્કમતાને લીધે ભારતીય સૈનિકો હવાઇ માર્ગે શ્રીનગર પહોંચ્યા અને હુમલાખોરોને હટાવ્યા. છતાં યુદ્ધવિરામ વખતે કાશ્મીરનો નોંધપાત્ર હિસ્સો પાકિસ્તાનના કબજામાં રહ્યો જે ભારતમાં ‘પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર’ અને પાકિસ્તાનમાં ‘આઝાદ કાશ્મીર’ તરીકે ઓળખાયો.

ત્યાર પછીનાં વર્ષોમાં કાશ્મીર કેટલીક બાબતોમાં વિશિષ્ટ રહેવા છતાં, તે કઇ હદે ભારતનું અભિન્ન અંગ બન્યું એ જાણવા માટે ઇતિહાસનાં થોથાં વાંચવાની જરૂર નથી. સિત્તેરના દાયકાની હિંદી ફિલ્મો જોવાનું જ પૂરતું છે. કાશ્મીરમાં ત્યારે લશ્કર પણ ન હતું, અત્યાચાર પણ ન હતા અને હિંસા પણ ન હતી. એ ગાળાના કાશ્મીરની વાત અરૂંધતી રોય કરતાં નથી.

પાકિસ્તાનમાં જનરલ ઝીયાના શાસનકાળ દરમિયાન ‘પ્રોક્સી વોર’ તરીકે કાશ્મીરમાં નવેસરથી હિંસા અને ત્રાસવાદની આગ ભડકી, ભારતીય લશ્કર તૈનાત થયું, તેની સાથે લશ્કરી સખ્તાઇ અને અત્યાચારો પણ આવ્યા. સાથોસાથ, અનેક જવાનો ગુમનામ રીતે શહીદ થયા. આ ઘટનાક્રમમાં ભારતીય લશ્કરના અત્યાચારો યાદ કરતાં અરૂંધતિ પાકિસ્તાને અને જનરલ ઝીયાએ ભજવેલી ભૂમિકાને કેમ ભૂલી જતાં હશે?

બીજો અગત્યનો મુદ્દો ‘આઝાદી’ને લગતો છેઃ કાશ્મીરની પ્રજાનો આઝાદીનો ખ્યાલ છે : નહીં ભારત, નહીં પાકિસ્તાન. બસ, કાશ્મીરનું સ્વતંત્ર અસ્તિત્ત્વ હોય.

આ ખ્યાલ ગમે તેટલો આદર્શ લાગતો હોય, તો પણ તેની વ્યવહારૂતાના ગંભીર પ્રશ્નો છે. એક તરફ ચીન જેવો વિસ્તારવાદી, જમીનભૂખ્યો અને બળુકો પાડોશી જે મળે તે પચાવી પાડવા તત્પર બેઠો છે. અલગ કાશ્મીર તેના માટે સૌથી સહેલો કોળીયો બની જાય. બીજી તરફ, કાશ્મીરની આઝાદીનો વર્તમાન પ્રવાહ પાકિસ્તાન પ્રેરિત મુસ્લિમ અંતિમવાદથી પણ ઠીકઠીક રંગાયેલો છે. ખુદ અરૂંધતિ રોયે બે વર્ષ પહેલાં નોંઘ્યું હતું કે આઝાદ કાશ્મીરમાં ફક્ત અલ્લાહ અને કુરાનની જ બોલબાલા રહેવાની હોય તો તેમાં ન માનતા બાકીના ધર્મના લોકોનું શું થશે?

ભારત સરકારના અવિચારી-અત્યાચારી વલણનો વિરોધ અરૂંધતિ રોય કડકમાં કડક શબ્દોમાં કરી શકે છે, પરંતુ વાસ્તવિકતા ભૂલીને કાશ્મીરની પ્રજાને ‘આઝાદી’ના મૃગજળ પાછળ દોડવામાં પ્રોત્સાહન આપીને અરૂંધતિ જાણેઅજાણે કાશ્મીરની પ્રજાને જ ખોટી આશા બંધાવી રહ્યાં છે અને તેમને વઘુ હતાશાના રસ્તે ધકેલી રહ્યાં છે.