Saturday, December 02, 2017

તટસ્થતા એટલે...

'તમે તટસ્થ નથી.'
'હા, નથી જ. મને રાષ્ટ્રવાદના નામે ગુંડાગીરી અને કોમવાદ, હિંદુ ધર્મના નામે રાજકીય હિંદુત્વ, નરેન્દ્ર મોદીની-અમિત શાહની આપખુદશાહી અને અદાલતમાં એક યા બીજા કારણસર સાબીત ન થઈ શકેલાં અનેક કારનામાં, ગુજરાતના મામલે ‘બધું મેં જ કર્યું’ એવી ફાંકાફોજદારી સખત નાપસંદ છે. એની ટીકા તો કદી બંધ નહીં થાય.'

'જોયું? અમે નહોતા કહેતા? અમને તો પહેલેથી જ ખબર છે. તમે કોંગ્રેસી કે ‘આપ’વાળા જ છો. એ લોકોની તમે કદી ટીકા જ કરતા નથી.'
‘અચ્છા? મેં લખેલું બધું તમે વાંચ્યું છે? જો એવું હોત તો કોંગ્રેસ અને ‘આપ’ની ટીકા કરવાના અનેક પ્રસંગ આવ્યા છે અને કોંગ્રેસ વિશે સારું બોલવાનો કે તેની પ્રશંસા કરવાનો એકેય પ્રસંગ હજુ સુધી આવ્યો હોય એવું યાદ નથી. એને શું કહેશો?’

‘હશે. તમે કોંગ્રેસની પ્રશંસા નહીં કરી હોય, પણ જોઈએ તેટલી ટીકા પણ નથી કરી. એટલે તમે તટસ્થ તો નથી જ.’
‘મારે ૨૦૦૨થી ન છૂટકે રાજકારણ વિશે લખવાનું થયું. કારણ કે તે સામાજિક ધીક્કાર મુખ્ય રાજકીય એજન્ડા બન્યો. ત્યારથી ગુજરાતમાં મોદીયુગ શરૂ થયો અને કેન્દ્રમાં યુપીએની સરકાર હતી. એ વખતે ગુજરાતમાં મોદીયુગનું વાતાવરણ એટલું ધીક્કારયુક્ત હતું અને તેને એવું લોકસમર્થન હતું કે તેની વિરુદ્ધમાં લખવું મને ધર્મરૂપ લાગ્યું—અને એ લખી શક્યો એનો મને બહુ જ આનંદ છે. ત્યાર પછી યુપીએનાં કૌભાંડો બહાર આવ્યાં ત્યારે તેના વિશે ટીકાઓ કરી જ છે. એ સિવાય ભૂતકાળ વિશે લખવાનું થયું ત્યારે ઇંદિરા ગાંધીના બેહિસાબ ભ્રષ્ટાચાર, નકલી સમાજવાદ, ભીંદરાનવાલે જેવા નેતાઓના સર્જનમાં તેમની ભૂમિકા, કટોકટીના અત્યાચાર, સોનિયા ગાંધીનો કથિત ત્યાગ, હમણાં સુધી રાહુલ ગાંધીની જવાબદારી નહીં લેવાની અને દૂધપાક ખેલાડી તરીકે રહેવાની મનોવૃત્તિ જેવા ઘણા મુદ્દે કોંગ્રેસ વિશે ટીકા કરતાં કદી ખચકાટ થતો જ નથી.’

‘પણ અમે તો કેટલાં વર્ષથી જોઈએ છીએ. તમે ફક્ત મોદીની જ ટીકા કરો છો.’
‘આગળ કહી ગયો. છતાં ફરીથીઃ મેં ફક્ત મોદીની ટીકા નથી કરી. એ સિવાય ઘણું કર્યું છે. (ખાતરી ન થતી હોય તો બ્લોગ કે ફેસબુકનાં સ્ટેટસ જોઈ લેવાં.) પણ તમને ફક્ત મોદીની ટીકા જ યાદ રહી છે. એ મારો પ્રોબ્લેમ નથી.’

'પણ મોદીએ કશું સારું કર્યું જ નથી? તમને કદી એમનાં વખાણ કરવા જેવું કશું લાગ્યું જ નથી?'
'પહેલા સવાલનો જવાબ છેઃ મોદીએ સારાં કામ કર્યા જ હશે--અને એવાં સારાં કામ અાગળની સરકારોમાં પણ થયાં જ છે. પરંતુ મોદીએ જે રીતે દરેક સરકારી કામો પર પોતાનો વ્યક્તિગત સિક્કો મારવાનું ચાલુ કર્યું, તેવું બીજા લોકોએ પહેલાં કર્યું ન હતું. (અમુક અંશે ચીમનભાઈ પટેલને બાદ કરતાં). એટલે તેમણે જે સારું કર્યું, તેમાં કશી ધાડ નથી મારી. એ તેમનું કામ છે. અને તેનો એમણે અપ્રમાણસરનો વધારે જશ લઈ જ લીધો છે. તેમનાં સાચાં જ નહીં, ખોટાં વખાણ કરવા માટે પણ તોતિંગ તંત્ર નભતું હોય, ત્યારે મારે મારી તટસ્થતા પુરવાર કરવા માટે ત્યાં જઈને પણ બે ફુલ ચડાવી આવવાં, એવું હું નથી માનતો.'

‘ટૂંકમાં, તમે એ તો કબૂલો છો કે તમને મોદી સામે વધારે વાંધો છે.’
‘ચોક્કસ. અને અને કબૂલાત ન કહેવાય-વિધાન કહેવાય. કારણ કે જાહેરમાં મેં કદી એનાથી વિપરીત દાવો નથી કર્યો. નરેન્દ્ર મોદીના રાજકારણ સામે-તેમની નીતિરીતિઓ સામે મને બહુ વાંધો છે અને એનાં કારણો પણ જાહેર છે. (કેટલાંક ઉપર લખ્યાં છે). જેમ મારો વાંધો વ્યક્તિ નરેન્દ્ર મોદી સામે નથી (એવું હોત તો તેમના લગ્નજીવન વિશે પણ મેં બહુ હોંશે હોંશે ટીકાઓ કરી હોત), તેમ મારું વાંધો પડવાનું કારણ વ્યક્તિગત નથી.  હું જેની સામાન્ય સમજ પર અહોભાવની કે પક્ષીય વફાદારીની પટ્ટીઓ બંધાયેલી ન હોય, એવો નાગરિક છું. કોંગ્રેસ મને ઓરિજિનલ સિનર (પુરાણી પાપી) લાગી છે અને ભાજપ? એ તો કોંગ્રેસને બધી બાબતમાં બહુ ઝડપથી ટપી ગયેલી પાર્ટી, જેમાં મોદી-શાહ એન્ડ કંપની તો ‘સર્વશુભોપમાયોગ્ય’ છે.

‘એટલે તમે તટસ્થ તો નથી જ ને?’
‘આ સાંભળીને પેલી જોક યાદ આવીઃ પછી હરણની સીતા થઈ કે નહીં?’ :-)

3 comments:

  1. very true sir.
    atyare to evo mahol chhe K PM Modi, BJP viruddh bolo etle tame deshdrohi ganavi jav.

    ReplyDelete
  2. Bilkul Sachi vaat che Urvish Sir,

    I respect Your thoughts, Jo aapne aaje BJP virudhh bolya to kharab, ane congress virudhh bolo to waah...

    ReplyDelete
  3. Anonymous2:49:00 PM

    Rightly said.

    ReplyDelete