Friday, October 27, 2017

ફેરી સર્વિસ અને વિગતોની હેરાફેરી

ઘોઘા-દહેજ વચ્ચે ફેરી સર્વિસના આરંભથી ગુજરાતમાં જળમાર્ગનું નવું પ્રકરણ શરૂ થયું છે. તેનાથી ભાવનગર-સુરત વચ્ચેનું અંતર ઘટીને લગભગ દસમા ભાગનું થઈ જાય છે. ગુજરાતમાં ઘેરાયેલાં ચૂંટણીનાં વાદળ વચ્ચે, વડાપ્રધાને આ સેવા શરૂ કરતાં તેમના અંદાજમાં ઘણી વાતો કરી. ‘તેમનો અંદાજ’ એટલે એવી રજૂઆત, જાણે ગુજરાતની પ્રગતિને લગતા તમામ વિચાર પહેલી વાર તેમને જ આવ્યા છે અને તેમના મુખ્ય મંત્રી બનતાં પહેલાં ગુજરાતમાં--તેમના વડા પ્રધાન બનતાં પહેલાં દેશમાં--અંધકારયુગ હતો.

વડાપ્રધાને કહ્યું કે અગાઉની કેન્દ્ર સરકારોએ ફેરી સર્વિસ શરૂ કરવાનું મુશ્કેલ બનાવ્યું હતું. ‘હું મુખ્ય મંત્રી હતો ત્યારે તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતની પ્રગતિ રૂંધવાનો પ્રયાસ કર્યો હતો.’ તેમણે કહ્યું કે તેમનું વિઝન ‘પી ફોર પી’ (પોર્ટસ ફોર પ્રોસ્પરિટી, બંદરો દ્વારા સમૃદ્ધિ) છે અને તે ‘બ્લુ ઇકોનોમી’માં માને છે. ‘બ્લુ ઇકોનોમી’ એટલે શું? તો કહે, ઇકોનોમી (અર્થતંત્ર) અને ઇકોલોજી (પર્યાવરણ)નો મેળાપ. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયામાં આ સૌથી મોટી ફેરી સર્વિસ છે. આ નિમિત્તે તેમણે મેરીટાઇમ યુનિવર્સિટીની પણ જાહેરાત કરી.

તથ્યો સાથે છૂટછાટો લેવા માટે અને દરેક બાબત પર પોતાના સિક્કા મારવા માટે વડાપ્રધાન જાણીતા કે નામીચા છે. એટલે, નવી ફેરી સર્વિસ વિશે આનંદ અને તેના ભવિષ્ય વિશે ઉજળી આશા વ્યક્ત કર્યા પછી, તેને લગતી કેટલીક જૂનીનવી હકીકતો તપાસીએ.

સમજણા થયા ત્યારથી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જોતાં આવેલાં સૌને જણાવવાનું કે 1950ના દાયકાથી કંડલા ગુજરાતનું મુખ્ય બંદર રહ્યું છે. (હવે આખેઆખા બંદરનું નામ ‘કંડલા’ને બદલે ‘દીનદયાળ’ કરી નાખવામાં આવ્યું છે. ન રહે ઇતિહાસ, ન રહે બીજા કોઈની ક્રેડિટ). ફેરી સર્વિસની વાત કરીએ તો, એ ફક્ત ઘોઘા-દહેજ વચ્ચે જ નહીં, કુલ પાંચ રૂટ પર ચાલતી હતીઃ નવલખી-કંડલા, ભાવનગર-કાળા તળાવ અને ભાવનગર-માઢીયા, જાફરાબાદ-પીપળી કાંઠા અને જાફરાબાદ-બેલાબંદર, ઓખા-બેટ અને ભરૂચ-ઘોઘા. 1958-59માં આ પાંચેય રુટ પર ફેરી સર્વિસ દ્વારા બધું મળીને આશરે પોણા સાત લાખ યાત્રાળુઓની અવરજવર થઈ હતી.

1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના પ્રસંગે ગુજરાત સરકારના પ્રકાશન વિભાગે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તેમાં ફેરી સર્વિસ અને યાત્રાળુઓ ઉપરાંત ગુજરાતમાં બંદરોનું કેટલું મહત્વ છે, એ (‘પી ફોર પી’ જેવા કોઈ સૂત્ર વિના) સ્પષ્ટ રીતે આંકવામાં આવ્યું હતું. પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, પહેલી પંચવર્ષીય યોજનાનાં પાંચ વર્ષ અને બીજી પંચવર્ષીય યોજનામાં 1958-59 સુધી કુલ આઠેક વર્ષમાં, ગુજરાતનાં બંદરોના વિકાસ પાછળ કુલ રૂ. 3.54 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આ વ્યવસાયમાં કુશળ નાવિકોને તૈયાર કરવા માટે યુનિવર્સિટી નહીં, તાલીમશાળાની જરૂર પિછાણીને કેન્દ્ર સરકારે નવલખી બંદરે નાવિક તાલીમશાળા પણ શરૂ કરી હતી. મતલબ, વર્તમાન વડા પ્રધાનનું દરિયાઈ વિકાસનું વિઝન નવું કે પહેલી વારનું નથી અને બીજી ઘણી બાબતોની જેમ, તેનાં પણ નીવડ્યે જ વખાણ થઈ શકે.

આ વાતો બહુ દૂરની લાગતી હોય તો, વધારે નજીકના ભૂતકાળમાં આવીએ. ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં વર્ષ 1998માં પર્યાવરણ વિભાગ (એન્વાયર્નમેન્ટ સેલ)ની સ્થાપના થઈ. તેનું કામ હતું બંદરો અને તેના માળખાકીય વિકાસની સાથોસાથ દરિયાઇ અને કાંઠાના પર્યાવરણની જાળવણી, સાચવણી અને સંરક્ષણ... યાને 2017ની કથિત ‘બ્લુ ઇકોનોમી’. આ હકીકતનો ઉલ્લેખ ગુજરાત મેરીટાઇમ બોર્ડના 30મા એડમિનિસ્ટ્રેટિવ રીપોર્ટ, 2011-12માં છે. (એક આડવાતઃ વર્તમાન ચૂંટણી કમિશનર એ. કે. જોતિ એ વખતે ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધ્યક્ષ હતા)  એ જ અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે દહેજ-ઘોઘા ફેરી સર્વિસ માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન—દરિયાકાંઠાના સુરક્ષિત વિસ્તારોમાં ડ્રેજિંગનું-કાંપ કાઢવાનું- કામ કરવું પડે. તેના માટેની જરૂરી પરવાનગી તત્કાલીન (યુપીએ) કેન્દ્ર સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય તરફથી મળી ગઈ છે.

ઘોઘા-દહેજ ફેરી સર્વિસ વિશેનો એક ઉલ્લેખ CAGના અહેવાલમાં પણ મળે છે. નાણાંકીય વર્ષ 2012-13ના આ અહેવાલના બીજા પ્રકરણમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની કામગીરીની ચર્ચા કરવામાં આવી છે. CAG એટલે કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના યુપીએ સરકારની ટીકા કરતા અહેવાલોને તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ ઉત્સાહપૂર્વક ઉપયોગમાં લીધા હતા. પરંતુ એ જ CAGની ગુજરાત વિશેના અહેવાલ વેળાસર વિધાનસભામાં રજૂ કરવામાં તેમણે કરેલા અખાડા જાણીતા છે.

CAGના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, 2012-13માં ઘોઘા-દહેજ ફેરી પ્રોજેક્ટના બાંધકામ માટે એ વર્ષે રૂ.192 કરોડની કેપિટલ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી ગુજરાત મેરીટાઇમ બોર્ડે રૂ.40.16 કરોડ વાપર્યા અને રૂ. 151.84 કરોડ પડી રહ્યા. (તેમાં કેન્દ્ર સરકારની કોઈ દખલગીરી ન હતી) મેરીટાઇમ બોર્ડે CAG સમક્ષ એવો ખુલાસો કર્યો કે ગુજરાત સરકારની સૂચના પ્રમાણે, ગ્રાન્ટની રકમ બીજા પ્રોજેક્ટમાં ફાળવી દેવામાં આવી હતી. ગુજરાત સરકારે પણ એ દાવાનું સમર્થન કર્યું. પરંતુ CAGએ આ ખુલાસો માન્ય રાખ્યો નહીં. કારણ કે ગ્રાન્ટ બીજે ફાળવવા અંગેનો ગુજરાત સરકારનો સત્તાવાર પત્ર કે દસ્તાવેજ સરકાર તરફથી CAGને મળ્યો નહીં. (પૃ.16)

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ભૂમિકાનો અછડતો ખ્યાલ આપતી, વધુ એક હકીકતઃ માઇનર ફિશિંગ હાર્બર—નાનાં સ્તરનાં બંદરોના વિકાસ માટે તત્કાલીન (યુપીએ) કેન્દ્ર સરકાર તરફથી 2008માં ગુજરાતને રૂ.16.67 કરોડની સહાય મળી, જે જાફરાબાદ બંદર વિકસાવવા માટે હતી. તેમાં પણ ગુજરાત મેરીટાઇમ બોર્ડની નિષ્ફળતાને કારણે કેન્દ્ર સરકારે ફાળવેલાં નાણાં વાપરી શકાયાં નહીં. (પૃ.17) આ બે ઉદાહરણ વર્તમાન વડાપ્રધાનના દાવાની અને દાવપેચની અસલિયત સમજવામાં ઉપયોગી થઈ પડે એમ છે.

છેલ્લી વાત દક્ષિણ એશિયાની સૌથી મોટી કે સૌથી સારી ફેરી સર્વિસના દાવાની. કશા સરખામણીસૂચક આંકડા કે વિગતો વિના આ દાવો કરવામાં આવ્યો છે. એટલે,  બાંગલાદેશમાં ચાલતી રો-રો ફેરી સહિતની બીજી અનેક ફેરી સેવાઓ કરતાં ઘોઘા-દહેજ સેવા કેવી રીતે મોટી કે કેવી રીતે ચડિયાતી છે, એ સ્પષ્ટ થતું નથી. પરંતુ આડેધડ દાવા કરવામાં એક સુખ હોય છેઃ તેની સચ્ચાઈ શોધવાની જવાબદારી બીજા લોકો પર આવે છે અને એ લોકો વિગતમાં ઉતરીને દાવાની અસલિયત બહાર આણે, ત્યાં સુધીમાં તો પ્રિન્ટ, ટીવી ને વેબ એમ ત્રણે લોકમાં દાવા અને દાવા કરનારનો જયજયકાર થઈ ચૂક્યો હોય છે. 

2 comments:

  1. સરખામણી તો માત્ર ગોબેલ્સ સાથે જ કરવા જેવી છે અને એમાં ચડિયાતા છીએ.

    ReplyDelete
  2. The govt is hot air

    ReplyDelete