Tuesday, May 24, 2011

અહોભાવનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

મહાન વિજ્ઞાની તરીકે પ્રતિષ્ઠિત આલ્બર્ટ આઇન્સ્ટાઇને આપેલા બે સિદ્ધાંત વઘુ એક કસોટીમાંથી પાર ઉતર્યા હોવાનું આ મહિને જાહેર થયું. સાપેક્ષવાદના હિસ્સા જેવા એ સિદ્ધાંતોની ખરાઇ સામે અત્યાર સુધી અનેક વાર શંકા વ્યક્ત થઇ છે. એ સાચા છે કે ખોટા તેની આકરી અને અહોભાવ વગરની ચકાસણી કરવામાં આવી છે. છતાં, આ મુદ્દે કોઇ ‘વિજ્ઞાનવાળા’ની લાગણી દુભાઇ હોય એવું જાણવા મળ્યું નથી.

‘આઇન્સ્ટાઇનને પડકારનાર તમે કોણ? તમને એનાથી પણ વધારે ખબર પડે? આખી દુનિયા જેની પ્રચંડ પ્રતિભા આગળ માથું નમાવતી હોય, વીસમી સદીના ‘ટોપ ૧૦૦’ મહાનુભાવોની દરેક યાદીમાં જેનો બિનચૂક સમાવેશ થતો હોય, તેની કોઇ વાત અંગે શંકા કરી જ કેવી રીતે શકાય? આ આઇન્સ્ટાઇનનું જ નહીં, વિજ્ઞાનજગતનું અને સમસ્ત બ્રહ્માંડનું અપમાન છે...’ આવો ઉકળાટ કદી સાંભળવા મળ્યો નથી.

જરા કલ્પી જુઓઃ આઇન્સ્ટાઇનના સિદ્ધાંતને બદલે કોઇ ‘સિદ્ધપુરૂષ’ના ચમત્કારોને ચકાસવાની હિલચાલ થઇ હોત તો? ખરેખર તો કલ્પના કરવાની પણ જરૂર નથી. ચમત્કારના મોટા દાવા કરનારાઓને ભૂતકાળમાં અનેક વાર તેમના ચમત્કારો સાબીત કરવા અથવા તેની તટસ્થ ચકાસણી માટે કહેવાયું છે. પરંતુ બહાનાં કાઢીને કે અમુક કિસ્સામાં નકરી ઉદ્ધતાઇથી એવી દરખાસ્તો ફગાવી દેવામાં આવી છે. ચકાસણીની વાત કરનારાઓને ચમત્કારી બાવાઓના અનુયાયીનો રોષ વહોરવો પડ્યો હોય તે અલગ.

આઇન્સ્ટાઇન જેવા વિજ્ઞાની અને વિવિધ ધર્મો-સંપ્રદાયોના બાવાબાપુઓ વચ્ચેનો આ તફાવત યાદ રાખવા જેવો અને ગાંઠે બાંધવા જેવો છે ઃ ધર્મ-અઘ્યાત્મના ધંધામાં શંકા અને ચકાસણી પ્રત્યે તિરસ્કાર સેવવામાં આવે છે, જ્યારે એ જ બાબતો વિજ્ઞાનમાં ક્ષમ્ય નહીં, જરૂરી અને લગભગ અનિવાર્ય ગણાય છે.

દસ મહાન સિદ્ધાંત આપનાર વિજ્ઞાની અગિયારમો સિદ્ધાંત આપે ત્યારે તેના મૂલ્યાંકનમાં આગળના દસ સિદ્ધાંત થકી મળેલી પ્રતિષ્ઠા કે મોભો કામ લાગતાં નથી. પ્રત્યેક સિદ્ધાંતની ખરાઇ સ્વતંત્ર રીતે, વિજ્ઞાની પ્રત્યે અહોભાવ રાખ્યા વિના કે એ ભાવને બાજુ પર મૂકીને કરવાનો વિજ્ઞાનનો તકાદો છે- અને એમ કરવાથી વિજ્ઞાનીના માનમાં ઘટાડો થતો નથી. વિજ્ઞાનમાં સંશય અને જિજ્ઞાસા એકબીજા સાથે અભિન્ન રીતે સંકળાયેલાં છે. સંશય વિનાની જિજ્ઞાસા ઘણી વાર મુગ્ધતાથી આગળ વધી શકતી નથી અને જિજ્ઞાસા વિનાનો સંશય ઘણે ભાગે વાંકદેખાપણું નોતરે છે.

સંશય અને સજ્જતા
‘પણ લોકો બિચારા અહોભાવ ન રાખે તો શું કરે? બધા લોકો પાસે ક્યાં એવો વિચારવાનો સમય કે એ માટેની સજ્જતા હોય છે!’ એવી દલીલ ઘણી વાર અહોભાવના બચાવમાં નહીં તો, તેની સમજૂતી આપવા માટે પણ થાય છે.

વિશિષ્ટ જ્ઞાન-જાણકારી-માહિતી માગતા અનેક વિષયોમાં જાતે વિચારીને અભિપ્રાય બાંધી શકાય, એટલી સજ્જતા થોડા લોકો પાસે જ હોય છે એ ખરું. પણ સવાલ ફક્ત ક્ષમતાના અભાવનો હોય તો એનો રસ્તો કાઢવો અશક્ય નથીઃ લોકો આંખ મીંચીને બઘું માની લેવાને બદલે સંશય અને ચકાસણીનું મહત્ત્વ સમજે-સ્વીકારે, તેને ‘નકારાત્મક અભિગમ’માં ખપાવી ન દે, તથ્ય અંગે કરાયેલી શંકાને વ્યક્તિગત આરોપ ન ગણે અને લાગણીદુભાવની આળી માનસિકતાથી દૂર રહે... આ બઘું કરવા માટે વિશિષ્ટ જ્ઞાનની નહીં, સામાન્ય સજ્જતાની જરૂર પડે છે, જેનો પ્રયોગ ભાવતાલની રકઝકથી માંડીને સામાજિક વ્યવહારોમાં છૂટથી થતો હોય છે.

પરંતુ મુખ્ય પ્રશ્ન અભિપ્રાય બાંધવાની ક્ષમતાનો નહીં, એ માટે જરૂરી વૃત્તિનો પણ છે. અંગત સ્વાર્થ કે વેર વિના, સમાજના વ્યાપક હિત કે સાચી જાણકારી માટે શંકા કરવી હોય, તો વિચારવાનું કષ્ટ લેવું પડે. ઘણા લોકો પોતાની વિચારી શકવાની શક્તિથી અજાણ હોય છે અથવા સુવિધાપૂર્વક અજાણ રહે છે. (‘આપણે ક્યાં માથાકૂટમાં પડવું! એ બઘું આપણને ના ફાવે.’) હવામાં તરતો અહોભાવ વગર વિચાર્યે અપનાવી લેવાનો ટૂંકો રસ્તો ઘણાખરાને માફક આવી જાય છે. તેમાં વિચારવાનું કષ્ટ લીધા વિના ગાડરિયા પ્રવાહની સાથે વહેવાની અને તેના જોરે ઊંચે ચડવાની સુવિધા મળી રહે છે.

લોકોને તેમની પોતાની વિચારશક્તિની યાદ અપાવવાની- વિચારતા કરવાની જેમની ફરજ છે, એવા વિચારકો પ્રચારક બનીને સાર્થકતા અનુભવતા હોય, ત્યારે શંકા, તપાસ અને ચકાસણીનું મહત્ત્વ ઘણું વધી જાય છે. જાહેર બાબતોમાં તેનો અભાવ ઘણો સાલે છે પણ ખરો.

સેલિબ્રિટી માર્કેટિંગ માટે, માર્કેટિંગ દ્વારા
કોઇના વિશેનો અહોભાવ હવામાંથી પકડી લેવો કે એક ક્ષેત્રમાં કુશળ વ્યક્તિને બાકીની બાબતોમાં નિષ્ણાત ધારી લેવી, એને પણ એક જાતની અંધશ્રદ્ધા ગણી શકાય. માર્કેટિંગના ધોધમાર આક્રમણમાં અંધશ્રદ્ધાનો આ બિનધાર્મિક પ્રકાર વઘુ ને વઘુ વકરી રહ્યો છે. એક ક્ષેત્રની મહાન વ્યક્તિને કેવળ ‘સેલિબ્રિટી’ના દરજ્જે લાવી દેવાની રીત પણ આ અંધશ્રદ્ધાનું પરિણામ છે.

એક ચોટદાર વ્યાખ્યા પ્રમાણે, સેલિબ્રિટી એટલે એવી વ્યક્તિ જે (પોતાના કામ કે પ્રદાનથી નહીં પણ ફક્ત) જાણીતી હોવા બદલ જાણીતી હોય. પહેલાં આ વ્યાખ્યા ‘પેજ-૩’ નાં પાત્રોને લાગુ પડતી હતી. કારણ કે તેમના ચહેરા અને સમાચાર અવારનવાર જોવા મળે, પણ એ લોકો ખરેખર શું કામ કરે છે અને શા માટે પ્રસિદ્ધિમાં ચમકે છે, એ બહુ ઓછા લોકો જાણતા હોય. એ હરોળમાં ક્રિકેટરો અને ફિલ્મી સિતારાનો પણ સમાવેશ થતો હતો. તેમની સિદ્ધિઓ નક્કર હોવા છતાં, મોટા ભાગના લોકો તેમની સિદ્ધિ કરતાં પ્રસિદ્ધિથી વઘુ અંજાતા હતા. એ અર્થમાં તે સેલિબ્રિટી ગણાતા હતા. (દા.ત. ‘સેલિબ્રિટી’ સચિનથી અંજાતા લોકોને કરોડો કમાતા અને જાહેરખબરોમાં છવાતા સચિનની જેટલી અપીલ હોય છે, એટલી ઉત્તમ ખેલાડી બનવા માટે અને એ સ્થાને ટકી રહેવા માટે મહેનત કરતા સચિનની કદર હોતી નથી.) હવે પ્રસાર માઘ્યમો અને ટીવી ચેનલોની કૃપાથી કોઇ પણ ક્ષેત્રની વ્યક્તિ અચાનક ઉંચકાઇને સેલિબ્રિટી બની જાય છે. તેમના વિશેનો અહોભાવ જાણે હવામાં ઓક્સિજનની જેમ ભળી જાય છે અને લોકોના દિલોદિમાગનો કબજો લઇ શકે છે. આ બાબતમાં ભ્રષ્ટાચારવિરોધી લડતમાં અન્ના હજારેનાં સાથી, નિવૃત્ત મહિલા પોલીસ અધિકારી કિરણ બેદીનું ઉદાહરણ લઇએ.

કિરણ બેદીએ પોતાના ક્ષેત્રમાં નક્કર કામગીરી કરીને ચોક્કસ ઊંચાઇ હાંસલ કરી છે, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં જાહેર ક્ષેત્રમાં પથરાયેલો તેમનો પ્રભાવ જોઇને સહેજે સવાલ થાય કે તેમના પ્રત્યે અહોભાવ અનુભવતા લોકોમાંથી કેટલા તેમની કામગીરીથી પરિચિત હશે? અને કેટલા લોકોએ ‘કિરણ બેદી? એ તો બહુ જોરદાર છે બાકી.’ એવો અભિપ્રાય, ઝાઝી પડપૂછમાં પડ્યા વિના કે વઘુ જાણવાની પરવા કર્યા વિના, હવામાંથી ડાઉનલોડ કરી લીધો હશે? આવું થાય એમાં કિરણ બેદીનો દોષ કેટલો (અથવા એમનો દોષ ખરો કે નહીં?) એ વળી જુદો સવાલ છે, પણ વાત આવીને ઉભી રહે છે લોકોમાં રહેલા સંશય અને ચકાસણીના અભાવ ઉપર.

પોતાનો ઉદ્ધાર બીજું કોઇ કરી નાખશે એવી આશા રાખતા લોકો સંશયથી અસુખ અનુભવે છે. ‘શ્રદ્ધાળુ’ બનીને છેતરાવાનું તેમને વઘુ ફાવે છે. એટલે જ, એકના ડબલ કરી આપનારા ગઠિયાઓથી માંડીને અસ્મિતાની વાત કરનારા નેતાઓ સુધી અનેક જાતના ઉદ્ધારકો તેમને છેતરે છે. બહુમતી લોકો પણ એટલી હોંશથી છેતરાય છે, જાણે છેતરાવું એ તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય અને કોઇ પણ હિસાબે એનો ભોગવટો કરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હોય.

‘હું બધામાં ચાલું’
વ્યક્તિની એક ક્ષેત્રની આવડતને બાકીનાં ક્ષેત્રોમાં ‘પ્રસિદ્ધિની રૂએ’ લાગુ પાડવી, એ સેલિબ્રિટી-પૂજકોની સૌથી મોટી ખાસિયત હોય છે. સરસ કપડાં સીવનારને સીવણના એસોસિએશનનો પ્રમુખ બનાવી શકાય. એ બહુ પામતો-પહોંચતો હોય તો તેને ફેશન ડિઝાઇનરોના સમારંભમાં મંચ પર બેસાડી શકાય, પણ તેને સાહિત્ય, સંગીત કે સમાજકારણના મંચ પર મોખરાના સ્થાને શી રીતે સ્થાપી શકાય?

એવી જ રીતે, સફળ કથાકાર અને સફળ યજમાનના ગુણધર્મો ધરાવનારને સાહિત્ય પરિષદના મંચ પર, ફિલ્મઉદ્યોગના સમારંભમાં કે એવા બીજા કોઇ પણ સમારંભના મંચ પર કેવી રીતે બેસાડી શકાય? પરંતુ સેલિબ્રિટી-ઇફેક્ટને કારણે મોટા ભાગના લોકોને તેમાં કશું અજૂગતું લાગતું નથી. ઉલટું, ‘(લોકપ્રિયતા અને સમૃદ્ધિને કારણે) સેલિબ્રિટીને તો આપીએ એટલું માન ઓછું છે’ એવો અહોભાવ સતત વહેતો કરવામાં આવે છે.

સેલિબ્રિટી બની ગયેલા લોકોમાંથી ઘણા સિદ્ધિને બદલે પ્રસિદ્ધિના ચાળે ચડે એટલે તે સ્વધર્મ અને પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે. સેલિબ્રિટીને લાયકાતના કોઇ માપદંડ લાગુ પડતા નથી. તે દરેક ક્ષેત્રમાં ચંચુપાત કરી શકે છે અને કોઇ પણ સ્થાન શોભાવી શકે છે. ‘હું આમાં ન ચાલું’ એવું કહેવા જેટલું વિવેકભાન તેમનામાંથી જતું રહે છે અને જો એ રહે તો પણ ‘મારું કોઇ સાંભળતું નથી’ એવી ભવ્ય મજબૂરી તરીકે જ હોય છે. સામે પક્ષે, ઔચિત્ય જોયા વિના સેલિબ્રિટીને આગળ કરનારા લોકોને પણ, તેમનો ઉપયોગ કરીને પોતાનો ધંધો કરવામાં રસ હોય છે. એટલે બન્નેનું ગાડું સુખેથી ગબડતું રહે છે

- અને અકારણ અહોભાવ સામે ઔચિત્ય- પ્રમાણભાનની વાત કરનાર માટે ‘વિઘ્નસંતોષી’, ‘વાંકદેખા’ જેવાં વિશેષણોની ક્યાં ખોટ છે?

2 comments:

  1. "સેલિબ્રિટી બની ગયેલા લોકોમાંથી ઘણા સિદ્ધિને બદલે પ્રસિદ્ધિના ચાળે ચડે એટલે તે સ્વધર્મ અને પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે."

    આપનું આ વિધાન સંપૂર્ણપણે બંધબેસતું છે... પરંતુ આપણા ભારતીય માનસમાં ઘુસી ગયેલી અહોભાવની બીમારીને કારણે આ બધું ચાલ્યા જ કરે છે... અને આ અહોભાવની બીમારીનો હાલ પુરતો તો કોઈ ઇલાજ દેખાતો નથી...

    ReplyDelete
  2. Ashok Patel7:13:00 PM

    You wrote a similar article a week ago. Then you thought that it was not convincing to people, so you wrote the same thing with an analogy to Einstein's theories! But you still didn't get the point!

    1. Just to prove Einstein's any of the theories wrong, they don't provide false evidences in the court !
    2. If some layman say that 'Einstein's x-theory is wrong', then s/he is also laughed away! These kind of laymen are called conspiracy theorists, crackpots etc.
    And at that time, these laymen say the same thing to the scientists who laughed him/her away: "you have 'ahobhaav' for Einstein and so you don't see he is wrong. Instead you call me 'vighna-santhoshi' and 'vaank-dekhaa' ".

    ReplyDelete