Wednesday, August 04, 2010

જૂના શબ્દો, નવા અર્થ : શેતાની શબ્દકોશ

અંગ્રેજીમાં ડેવિલ્સ ડિક્શનેરીતરીકે ઓળખાતા એક પ્રકારમાં શબ્દોના કેવળ પુસ્તકીયા કે ઐતિહાસિક જ નહીં, વાસ્તવિક-વર્તમાન અર્થ પણ આપવામાં આવે છે. ગુજરાતમાં ગાંધીજીએ માથે રહીને સાર્થ જોડણીકોશતૈયાર કરાવ્યો હતો. ગુજરાત સરકારે ગાંધીજીની ઉજ્જવળ પરંપરા આગળ ધપાવી છે. ભાષાપ્રેમીઓ ધારે તો વર્તમાન સરકાર સાથે મળીને નવા અર્થો ધરાવતો નવો શબ્દકોશ તૈયાર કરી શકે છે. વિરોધી તત્ત્વો-કોંગ્રેસીઓ-ડાબેરીઓ-સ્યુડોસેક્યુલારિસ્ટો-દેશદ્રોહીઓ વગેરેનું મોઢું પહેલેથી જ તોડી લેવા માટે, નવા શબ્દકોશનું નામ શેતાની શબ્દકોશરાખવું જોઇએ. તેમાં શબ્દોના નવા બદલાયેલા અર્થ આપી શકાય. (જેમ કે શેતાનીએટલે જીનીયસ, બુદ્ધિશાળી, ચતુર, આવડત ધરાવતું...)

ગુજરાતનાં પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે સાબરમતી જેલમાં એક કાર્યક્રમ યોજીને શેતાની શબ્દકોશનું લોકાર્પણ થઇ શકે. સાબરમતી જેલમાં કાર્યક્રમ યોજવાનું એક કારણ એ પણ ખરૂં કે સર્જક સાથે સાંજપ્રકારનો કાર્યક્રમ અલગથી ગોઠવવો ન પડે. શેતાની શબ્દકોશતૈયાર થઇ જાય અને વાંચે ગુજરાતઅંતર્ગત તેને તરતો મૂકવામાં આવે ત્યારે ખરો, પણ તેમાં સ્થાન પામે એવા ઘણા શબ્દો અને તેના અર્થ અત્યારથી તરતા થઇ ગયા છે. કારણ? (વાંચતાં પહેલાં) સાંભળે છે ગુજરાત અને જુએ છે ગુજરાત.સાર્થ જોડણીકોશ માટેનો જશ જેમ મહાત્મા ગાંધીને આપવામાં આવે છે, એવું શેતાની શબ્દકોશના કિસ્સામાં થઇ શકે? ગુજરાતમાં જે કંઇ બને છે- ખાસ કરીને સારૂં બને છે- તેના ડીફોલ્ટ પ્રેરકપુરૂષને આ કાર્યનો યશ આપવામાં કોઇ હરકત નથી.

ગુજરાતી ભાષાની આવતી કાલની ચિંતા આજે કરનારા અને આજની ચિંતા ગઇ કાલે છોડી ચૂકેલા સૌને માટે આ રહ્યા કેટલાક કાચીંડાછાપ શબ્દો, જે વાતાવરણ જોઇને રંગ બદલે છે અને શેતાની શબ્દકોશને સમૃદ્ધ કરે છે. અસહકારઃ આઝાદી પહેલાં અસહકારનું આંદોલન કરનારને જેલ થતી હતી અને તે મોટા માણસ ગણાતા હતા. હવે આખો ક્રમ ઉલટાઇ ગયો છે. મોટા માણસ જેલમાં જાય છે અને જેલમાં જઇને અસહકારનું આંદોલન કરે છે. ભક્તહૃદયી લોકો તેમની સરખામણી આઝાદી પહેલાંની જેલોમાં ભૂખહડતાળો કરનારા ક્રાંતિકારીઓ સાથે તેમની સરખામણી કરી શકે. જોકે, ‘ખાવાનીબાબતમાં અત્યારના મોટા માણસો અસહકાર કરે એવા નથી. કારણ કે આખી મોંકાણ જ ખાવામાંથી ઉભી થયેલી હોય છે.

ખાવું: અસલના જમાનામાં ખાય અને ખાવા દે એવા માણસો મહાન ગણાતા હતા. સમૃદ્ધ માણસો માટે ખાધેપીધે સુખીએવો શબ્દપ્રયોગ થતો હતો. પરંતુ કળીયુગમાં માણસનો ખોરાક ઘટ્યો ને ભૂખ વધી. પરિણામે ન ખાય, ન ખાવા દે એવા માણસો સારા ગણાવા લાગ્યા. કેટલાકને લાગ્યું કે આ તો ગાંધીજી કરતાં પણ ચડિયાતા કહેવાય. કારણ કે ગાંધીજી તો ફક્ત ન ખાવાના-ઉપવાસના સ્પેશ્યાલિસ્ટ હતા. સામેવાળાને ન ખાવા દેવા અંગે તેમનો કોઇ દાવો ન હતો.

ભૂખ પહેલાં વધી ને પછી વકરી. કોઇને ઉધઇની જેમ (રિઝર્વ બેન્કે છાપેલાં) કાગળીયાંની ભૂખ ઉપડી, તો કોઇને કીડામંકોડાની જેમ જમીનની ભૂખ ઉઘડી. કોઇ મધમાખીની જેમ મધની આસપાસ ગણગણવા વાગ્યા તો કોઇ માખીની જેમ ગંદકીની આજુબાજુ બણબણવા લાગ્યા. ખાવાનું જાણે ખાવાનું મટી ગયું અને એક ફુલટાઇમ ૨૪ કલાક-૩૬૫ દિવસની પ્રવૃત્તિ બની ગયું.

વીફોર વિક્ટરીઃ ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારો બે આંગળી વડેવીફોર વિક્ટરી (વિજય)ની સંજ્ઞા બતાવે એ વાત કૌરવો-પાંડવોના જમાનાની હોય એવી લાગે છે. ટ્વીટર-ફેસબુક યુગમાં જેલમાં જતા મહાનુભાવો પોતાના ચાહક સમુદાય સમક્ષ વીની નિશાની બતાવે છે અને વીફોર વિક્ટિમ’ (શિકાર) તરીકે સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરે છે.

કાયદો અને વ્યવસ્થાઃ બ્રિટિશરાજના ઘણાબધા કાયદા જ નહીં, કેટલાક શબ્દો પણ હજુ આપણો પીછો છોડતા નથી. ગુલામીકાળનું માનસ ધરાવતા લોકો માને છે કે કાયદો અને વ્યવસ્થા એટલે સરકારી તંત્ર અને તેની દેખરેખ નીચે બાકીનાં તંત્રો તથા પ્રજાજીવન સુખરૂપ ચાલવાં જોઇએ. કાયદો-વ્યવસ્થાની નવી વ્યાખ્યા પ્રમાણે મોટાં રમખાણો, પોલીસ અધિકારીઓ દ્વારા ઉઘરાવાતી ખંડણી, તેમના દ્વારા લેવાતી સોપારી, તેમની પર થતા બળાત્કારના આરોપ...આ બઘું કાયદો-વ્યવસ્થાનો નહીં, પણ સરકારનો આંતરિક મામલો છે. તેની સાથે આમજનતાને કશી લેવાદેવા ન હોવી જોઇએ. પ્રજા સરકારની નહીં, પણ સરકાર પ્રજાની ચિંતા કરવા માટે છે. એટલે પ્રજાએ ફક્ત એટલું જ જોવાનું કે બધા તહેવારો બરાબર ઉજવાયા? એકેય વાર કરફ્યુ નંખાયો? પોલીસં હજુ સુધી તમારી પાસે ખંડણી માગી? તમારી સોપારી લીધી? ના? તો પછી કાયદો-વ્યવસ્થાની બૂમો પાડવાની ક્યાં જરૂર છે? કાયદો-વ્યવસ્થાની અભૂતપૂર્વ સ્થિતિ ધરાવતા ગુજરાતમાં આપનું સ્વાગત છે.

ટોર્ચરઃ અત્યાર સુધી આરોપી પાસેથી માહિતી કઢાવવા માટે તેને ઇલેક્ટ્રિક કરન્ટ આપવાની, ઊંધા લટકાવવાની કે ઊંઘવા ન દેવાની પદ્ધતિઓ ટોર્ચરમાં સ્થાન પામતી હતી. પરંતુ ભૂલકણા આરોપીઓ સાથે પનારો પડ્યા પછી ટોર્ચરની વ્યાખ્યા બદલાઇ શકે છે. જેટલી વાર આરોપી મને યાદ નથીએવો જવાબ આપે એટલી વાર તેને શંખપુષ્પી જેવાં ઔષધ કે અખરોટ-બદામ જેવાં યાદશક્તિવર્ધક મનાતા સૂકા મેવા પરાણે ખવડાવવામાં આવે તો અખરોટ-બદામ ને શંખપુષ્પીની શીશી પણ ટોર્ચરનાં સાધન ગણાય.

વિડીયો રેકોર્ડિંગ: વીસમી સદીમાં વિડીયો શૂટિંગ એટલે લગ્ન તેમ જ શુભ પ્રસંગો માટેવિડીયો શૂટિંગ કરનારા યાદ આવતા હતા, પણ નવા યુગમાં વિડીયો રેકોર્ડિંગની વાત થાય એટલે હાઇ પ્રોફાઇલ આરોપી સામે ચાર-છ તપાસ અધિકારીઓ જુદી જુદી મુદ્રામાં બેઠા હોય અને બે બાજુથી વિડીયો કેમેરા દ્વારા રેકોર્ડિંગ ચાલતું હોય એવાં દૃશ્ય મનમાં સર્જાય છે. આ વિડીયો રેકોર્ડિંગમાં અશુભ પ્રસંગના ઓર્ડર પર પૂરતું ઘ્યાન આપવામાં આવે છે અને સ્પેશ્યલ ઇફેક્ટ્સની જરૂર રહેતી નથી.

ખંડણી: ગુંડાઓ વેપારીઓ પાસેથી કે બીજા લોકો પાસેથી ધાકધમકીથી જે નાણાં ઉઘરાવે એ તો લૂંટ કહેવાય. ખંડણી સાથે જવાબદારીનું તત્ત્વ ભળેલું છે. ખંડણી ઉઘરાવનાર સામા પક્ષને એવી નૈતિક બાંહેધરી આપે છે કે જ્યાં લગી મને ફરી ખંડણી લેવાનું મન નહીં થાય, ત્યાં લગી હું તમને ખાલીપીલી હાથ નહીં અડાડું. પ્રોમિસ.પરંતુ આ જ કામ પોલીસ કરે ત્યારે સોનામાં સુગંધ ભળવી જોઇએ. કારણ કે આમ કરીને પોલીસ પોતે પોતાના સંયમિત વર્તનની ખાતરી આપે છે.

ખરેખર તો પોલીસ દ્વારા ઉઘરાવાતી ખંડણી માટે સંયમ-કરકે અહિંસાવેરોજેવો કોઇ શબ્દ પ્રયોજાવો જોઇએ. અકારણ હિંસા ન કરવાના બદલામાં પોલીસ વેરો વસૂલે તો કલ્યાણરાજ્ય અને રામરાજ્યની સ્થાપના માટે નાગરિકો આટલું બલિદાન આપી ન શકે? લાખો કરોડોનાં રોકાણ ધરાવતા ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યના નાગરિકો જરાઅમથી રકમો માટે કેસો કરે ને બધાને પકડાવે એ ગુજરાતને શોભે છે? શું આપણે ગાંધીજીને આટલી હદે ભૂલી ગયા કે અહિંસાતો ઠીક, ‘અહિંસાવેરોપણ આપણને અકારો લાગે?

મોરલ: અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશોમાં આ અંગ્રેજી શબ્દના પર્યાય તરીકે નીતિમત્તા કે નૈતિકતા જેવા શબ્દો વાંચવા મળશે. પણ નવા પ્રસ્તાવિત શબ્દકોશમાં એ શબ્દોનો સ્વતંત્ર ગુજરાતી શબ્દો તરીકે સમાવેશ કરવાનું ગુજરાતના હિતમાં નથી. તેમને શબ્દકોશમાં સામેલ કરવાનું કહેનારા ગુજરાતના હિતશત્રુઓ અને ગુજરાતના વિરોધીઓ છે, જે દુનિયા સમક્ષ ગુજરાતને બદનામ કરવા અને તેને નીચું દેખાડવા ઇચ્છે છે

1 comment:

  1. Jabir A. Mansuri10:25:00 AM

    For perils of Gujarati society all 5.5+- crores citizens are responsible.

    Expecting justice & healthy have both right & responsibility pre-condition/s. As a citizen, religionis/t we missed chance to knock right time & place.

    My old English teacher (1975), who always started his class with 'Every-one is responsible for his own tragedy', who is now MP from a largest opposition party of our democracy, would have saved his party from national catastrophe & political margin his party is experiencing, if he would have mentored its Party's cadre in the State.

    Minority's phobia: Their fore-fathers who expelled Britishers and contributed Quit India Movement, surprisingly, generation allowed mafia culture supported by political leadership of Gujarat. Sudden shift in leadership paradigm allowed 'ping-pong' experience and become political compulsion.

    ReplyDelete