Monday, December 13, 2021

જમવા જવા વિશે

લગ્નની મોસમમાં કેટલાક સળગતા સવાલ ઉભા થાય છે. ના, લગ્ન તેમાંનો એક નથી. કારણ કે તેમાં એ તબક્કો થોડો પછી આવે છે. અહીં તો જેમનાં અથવા જેમના ઘરે લગ્ન નથી, એવા લોકો માટે સર્જાતા સવાલની વાત છે. તેમાંનો એક છેઃ જમવા જવું કે નહીં.

આટલું વાંચીને મોટા ભાગના લોકોને થશે કે ‘એંહ, આ તે કંઈ સમસ્યા છે? આપણે જમવા જઈએ તે સામા માણસ માટે કદાચ સમસ્યા હોઈ શકે, પણ આપણો તો જઈને, બૅટિંગ કરીને પાછા આવવાનું છે. તેમાં ક્યાં કશી મુશ્કેલી છે?’ આવો વિચાર ખોટો નથી અને લાગે છે એટલો સર્વવ્યાપી પણ નથી. અમુક ઉંમર સુધી જમવા જવા વિશે બહુ ઉત્સાહ રહેતો હોય છે. સ્માર્ટ ફોન પહેલાંના યુગના કેટલાક સ્માર્ટ લોકો સીઝનમાં આવેલી કંકોત્રીઓમાં ક્યાં કયા દિવસે, કયા ટંકે (સવારે કે સાંજે) જમવા જવાનું છે, તેની અલગથી યાદી બનાવી રાખતા હતા. તેમની દલીલ હતી, ’યજમાનને ખોટું લાગે ને આપણે ખાધા વગરના રહીએ—એવો ધંધો શું કામ કરવો?’

ત્રણેક દાયકા પહેલાં સુધી બુફે સર્વવ્યાપી બન્યાં ન હતાં, ત્યારે પંગતભોજનનો યુગ હતો. એટલે, ‘હી કેમ, હી સૉ એન્ડ હી કૉન્કર્ડ’ની જેમ, જઈને, જમીને, જોતજોતાંમાં નીકળી જવાનું શક્ય ન હતું. પહોંચીએ ત્યારે પંગત પડી ચૂકી હોય તો પછી અડધો-પોણો કલાક રાહ જોવી પડે. ક્યારેક નિમંત્રીતોની સંખ્યા વધારે હોય તો પંગતમાં દાળ-ભાત પીરસાય, ત્યારે આગામી પંગતમાં જગ્યા રોકવા માટે જમનારની પાછળ જઈને ઊભા પણ રહેવું પડે. છતાં, એ વખતે બહાર હૉટેલમાં કે લારી-ખુમચા પર જમવાના પ્રસંગો જૂજ રહેતા. બહાર જમવું એ પોતે એક ઘટના ગણાતી અને તેનું આકર્ષણ સામાન્ય ગણાતું હતું.  

છેલ્લાં થોડાં વર્ષોમાં પોસાય કે ન પોસાય, છતાં સૌ કોઈ જમણવારો રાખતા થઈ ગયા. સાથોસાથ, બહાર ખાવાનું જોર પણ વધ્યું. સ્વીગી-ઝૉમેટોના જમાનામાં ઘરે રહીને બહાર ખાવાનું પણ શરૂ થઈ ગયું. એટલે હવે સામાન્ય જમણવારોમાં જમવા જવા માટે સૌ કોઈ એકસરખા ઉત્સાહી નથી હોતા. યજમાનો જેને લગ્નનું અને મહેમાનો જેને જમણવારનું આમંત્રણ ગણે છે, તે કંકોત્રી આવતાં ઘરમાં નીતિવિષયક ચર્ચાઓ શરૂ થઈ જાય છે. કેટલાંક નિમંત્રણો ચર્ચાથી પર હોય છે. કેમ કે, તે એટલાં નિકટનાં અથવા એટલા સમૃદ્ધ યજમાનોનાં હોય છે કે ત્યાં જવા વિશે કોઈ અવઢવ નથી હોતી. પણ એ સિવાયના નિમંત્રણો મહેમાનોને મૂંઝવણમાં મુકી શકે છે. તેમાં પણ એક ટંકનાં આવાં એકથી વધુ નિમંત્રણ ભેગાં થાય, ત્યારે મહેમાનો અટવાઈ શકે છે. ‘મૈં ઇધર જાઉં યા ઉધર જાઉં?’ એવા વિચારમાં તે લશ્કરી વ્યૂહબાજની જેમ મુદ્દાસર ચર્ચાવિચારણા કરી જુએ છે.

ઘણાંખરાં ઠેકાણાં એવાં હોય છે કે જ્યાં જમવા ન જવાથી યજમાનને ખરાબ લાગવાનો પ્રશ્ન હોતો નથી. પણ ન જઈએ તો પેટને કે સ્વાદરસિકતાને અન્યાય થાય, એ શક્યતા તો ચકાસવાની રહે છે. તેથી સૌ પહેલાં ‘પાર્ટી’ (યજમાન)ની સદ્ધરતા, આયોજનશક્તિ, અગાઉના પ્રસંગોની છાપ જેવાં પરિબળ ધ્યાનમાં લેવાય છે.  તેમાંથી એક કે વધુમાં યજમાનનો ટ્રેક રેકોર્ડ નબળો હોય, તો તેમને ત્યાં જમવા જવાની ઇચ્છા મંદ પડે છે. ભૂતકાળમાં એ યજમાનને ત્યાં રસોઈ ખૂટી હોય, બટાટાવડાં ખૂટતાં સમોસા મંગાવાયાં હોય, દાળમાં પાણી કે શાકનો રસો રેડાયાં હોય, ગાજરનો હલવો ખુટતાં દુધીનો હલવો આવ્યો હોય, પાણીપુરીના કાઉન્ટર પર સર્જાયેલી ધક્કામુક્કીમાં બે-ચાર જણ ઘાયલ થયાં હોય...તો એવાં ઠેકાણે જમવા જવાની ઇચ્છા મોળી રહે છે. વડીલોનું વલણ સામાન્ય રીતે સમાધાનકારી હોય છે. તે આશ્વાસન આપતાં કહે છે, ‘આ વખતે તો સાંભળ્યું છે કે ‘એ લોકો પાણીપુરી રાખવાના જ નથી.’ પણ નવી પેઢી વડીલોને જ્ઞાન આપતાં કહે છે,‘એમનો ભત્રીજો મારા ગ્રુપમાં છે. એ કહેતો હતો કે લાઇવ પિત્ઝાનું કાઉન્ટર છે. એટલે બધું એકનું એક જ.’

પાણીપુરી અને લાઇવ પિત્ઝા ધક્કામુક્કીના મામલે એકસરખાં હોઈ શકે, તે જૂની પેઢીને સમજતાં તકલીફ પડી શકે છે. પણ તે સમાધાનકારી રસ્ત કાઢતાં કહી શકે છે, ’હશે. પિત્ઝા તો તું આડેદહાડે ક્યાં નથી ખાતો? એવું હોય તો આપણે લાઇવ કાઉન્ટરોમાં નહીં જવાનું. એ સિવાય પણ બધું હશે તો ખરું ને.’ હા, હોય તો ખરું જ. એક લાલ શાક (પંજાબી), એક લીલું શાક, એક ચાઇનીઝ ફરસાણ, બે-ત્રણ સ્વીટ. કેમ કે, હવેના જમણવારોમાં વાનગીઓની સંખ્યાનો પ્રશ્ન ભાગ્યે જ હોય છે અને એ વાનગીઓના સ્વાદનો પ્રશ્ન ન હોય, એવું ભાગ્યે જ બને છે. યજમાન તો ડીશની સંખ્યાનો ઑર્ડર અને વાનગીઓની યાદી આપીને પરવારી જાય છે. પછી તે કેવું બન્યું, તેના અખતરા મહેમાનોના પર હોય છે. યજમાનો સૌથી છેલ્લા કેમ જમે છે તેનાં કારણો વિશે સંશોધન કરતાં, ઉપરના કારણની પણ આશંકા ગઈ હતી. અલબત્ત, તે આરોપમાં વજૂદ જણાતું નથી. છતાં ભોજનની ગુણવત્તાથી દુઃખી લોકો એવું માનવા પ્રેરાય છે.
 

આ પ્રકારની વૈચારિક કવાયત અને મૂંઝવણનો અંત લગભગ નક્કી હોય છેઃ અનેક વિચારો કર્યા પછી, ‘મેલ કરવત, મોચીના મોચી’ ન્યાયે જમવા તો જવાનું અને પાછા આવીને, ફરી એવા ઠેકાણે જમવા નહીં જવાની પ્રતિજ્ઞા પણ લેવાની.

2 comments:

  1. Hiren Joshi USA11:45:00 PM

    I enjoyed your described details of marriage-food functions; but we have very limited amount of invitations here so we attend (and eat!) everything that comes across.

    ReplyDelete
  2. Hilarious!!Reminded me of my childhood days of 75 years ago where my grandmother would tell us not to eat big lunch because of invitation for dinner in evening. In those days "ladu" was the main item.

    ReplyDelete