Wednesday, January 07, 2009

જૂનાં સામયિકની જાદુઇ સૃષ્ટિ અને બીજી વાતો



(photolone 1: Mahendra Meghani (in topi), Narayan Desai, Hasit Maheta 2) L to R : Jaydev Shukla, Dipak Maheta 3) Narayan Desai (speaking), Raman Soni 4) All the guests proceeding towards seminar hall 5) Mahendra Meghani 6) Raghuvir Chaudhary : a 'rear' portrait
જ્યારે પણ જૂનાં સામયિકો જોવાનાં થાય છે- અધ્યાપકીય શૈલીમાં કહું તો, ‘જૂનાં સામયિકોમાંથી પસાર થવાનું બને છે’- ત્યારે ભારે રોમાંચ અને ઝીણા અફસોસની લાગણી થાય છે. જૂની ફિલ્મો અને જૂની જાહેરખબરોથી માંડીને મુદ્દે નોસ્ટાલ્જિયામાં તીવ્ર રસ હોવાને કારણે, જૂનાં સામયિકો જોતી વખતે મારી મનોદશા ગુફામાં પ્રવેશેલા અલાદ્દીન જેવી કે ચોતરફ સોનું ધરાવતી જગ્યાએ આવી પહોંચેલા ‘મેકેનાઝ ગોલ્ડ’ જેવી ફિલ્મના ચરિત્ર જેવી થાય છે. ખજાનાથી ઘેરાયેલા હોવાનો રોમાંચ અને તેમાં ડૂબેલા રહેવાનું મળતું નથી એનો ઝીણો અફસોસ.
જૂનાં સામયિકો પ્રત્યેના આવા ખેંચાણને કારણે પરમ દિવસે (5 જાન્યુઆરી, 2009) નડિયાદમાં એક સેમિનાર સાંભળવા ગયો હતો. નડિયાદના પરમ મિત્ર, પ્રિન્સિપાલ – અને મોક કોર્ટમાં પ્રોસીક્યુશનના એક વકીલ- હસિત મહેતાએ તેમની મહિલા આર્ટસ કોલેજમાં આ સેમિનાર યોજ્યો હતો. તેમાં ગુજરાતી સાહિત્યના સુધારક યુગથી આધુનિક યુગ સુધીનાં સાહિત્યિક સામયિકો વિશે વક્તાઓ વાત કરવાના હતા. વક્તાઓની યાદી ધોરણસરની હતી.. સેમિનારનો ઉઘાડ નારાયણ દેસાઇ કરવાના હતા અને અંત મહેન્દ્ર મેઘાણી-રઘુવીર ચૌધરીનાં વક્તવ્યોથી થવાનો હતો. અભ્યાસ-પ્રવચનોમાં ‘પ્રત્યક્ષ’ના તંત્રી રમણ સોની, ‘સમીપે’ના એક સંપાદક અને સાવલી કોલેજના જયદેવ શુક્લ, મુંબઇથી દીપક મહેતા, હસિત પોતે- આ લોકો વાત કરવાના હતા.
સવારે નવ વાગ્યાથી સાંજના સાડ પાંચ વાગ્યા સુધી આ સેમિનારમાં નિરાંતે બેઠો, મહેન્દ્ર મેઘાણી, નારાયણ દેસાઇની કેટલીક સરસ તસવીરો લીધી, મારા (જ્યોતીન્દ્ર દવે વિશે સંશોધનના) સ્વાર્થની બે વાતો જાણી. 85 વર્ષના મહેન્દ્ર મેઘાણી અને 84 વર્ષના નારાયણ દેસાઇની તાજગી અને તરવરાટ માણ્યાં.
મહેન્દ્રભાઇની નમ્રતા બીજા અનેક ગાંધીવાદીઓ જેવી કૃત્રિમ ન લાગતાં, અંતરમાંથી સ્ફુરતી લાગે. તેમના પત્રોમાં લિખિતંગ ‘સેવક મહેન્દ્ર મેઘાણી’ લખે છે, તે સેવકભાવ તેમણે આત્મસાત્ કર્યો હોય એવું તેમના વર્તનમાંથી, તેમની બોડી લેન્ગ્વેજમાંથી સતત લાગે. સંસ્થામાં આવ્યા પછી એ થોડી લટાર મારવા નીકળે, સામાન્ય કર્મચારીઓ સાથે વાત કરવા ઊભા રહે, ‘સંસ્થામાં કેટલા વિદ્યાર્થીઓ છે?’ એવી બધી પૂછપરછ કરે, પરિસંવાદ પૂરો થયા પછી વિદ્યાર્થીઓ ઓટોગ્રાફ લેવા આવે ત્યારે સાફ ભાષામાં, હાથ જોડીને ટાળી જાય અથવા બાજુમાં ઉભેલા રઘુવીર તરફ આંગળી ચીંધીને, કટાક્ષના કોઇ પણ ભાવ વિના કહેઃ ‘રઘુવીરભાઇ પાસે જાવ. એ આપશે.’
સાંજે સીધા અમદાવાદ જવાનું હોવાથી હું મહેન્દ્રભાઇ-રઘુવીરભાઇ-રમણ સોની- કિન્નરી ભટ્ટ (ગાંધી આશ્રમમાં ડોક્યુમેન્ટેશનના કામ સાથે સંકળાયેલાં) સાથે જોડાયો. રસ્તામાં મહેન્દ્રભાઇ સાથે થોડી સટરપટર વાતો કરી. મને યાદ છે, બાર-તેર વર્ષ પહેલાં ‘નવજીવન’માં હું એમને મળવા ગયો ત્યારે એ ફોટો પાડવા દેવા માટે રાજી ન હતા. હવે એ થોડા ‘સુધર્યા’ છે.
મહેન્દ્રભાઇ અમેરિકા જાય ત્યારે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ વાંચીને તેમાંથી મારા કે સંજય ભાવે જેવા બીજા થોડા લોકો માટે અમારા દાવનાં હોય એવાં કટિંગ મોકલતા રહે છે.’ન્યૂયોર્ક ટાઇમ્સ સિવાય બીજું કોઇ છાપું વાંચો?’ એવું પૂછતાં એમણે કહ્યું,’ના, પણ ન્યુયોર્ક ટાઇમ્સનું સવારે એક કલાક સુધી સેવન કરું.’ ભારતમાં તે વર્ષો સુધી ફક્ત ‘સ્ટેટ્સમેન’ લવાજમ ભરીને મંગાવતા હતા, પણ હવે એમણે એનું ધોરણ પણ પહેલાં જેવું ન જળવાતાં બંધ કર્યું છે. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં મહેન્દ્રભાઇ બીજાં લખાણ ઉપરાંત ‘વર્લ્ડ ઇઝ ફ્લેટ’વાળા થોમસ ફ્રીડમેનની કોલમના પ્રેમી છે. સમારંભોમાં એ પોતે પોતાનું પ્રવચન કરતા નથી. અગાઉ પ્રગટ થયેલાં લખાણમાંથી ચૂંટેલાં લખાણ કે અનુવાદ વાંચે છે.
અધ્યાપક આલમમાં સામાન્ય રીતે એવો રિવાજ હોય છે કે પરિસંવાદમાં પોતાનું વક્તવ્ય હોય એ સમય તાકીને જવાનું અને વક્તવ્ય ફેંકીને સડસડાટ નીકળી જવાનું. પણ અહીં નારાયણભાઇનું વક્તવ્ય પહેલું હોવા છતાં એ લગભગ છેવટ સુધી બેઠા અને મહેન્દ્રભાઇ-રઘુવીર ચૌધરીનાં વક્તવ્ય સાવ છેલ્લાં હોવા છતાં એ સવારના નવ વાગ્યાથી હાજર થઇ ગયા. સાથે કોલેજના ટ્રસ્ટી અને હસિતના સ્નેહી, પ્રામાણિક અને કાર્યક્ષમ અમલદાર તરીકે જાણીતા, એંસી આસપાસના કુલીનકાકા (કુલીનચંદ્ર યાજ્ઞિક) પણ હતા.
રમણભાઇ સોનીએ એક-બે મઝાના કિસ્સા યાદ કર્યા હતા. યશવંત શુક્લ ‘પરબ’ના તંત્રી અને જયંત કોઠારી સહતંત્રી હતા ત્યારે એક પ્રતિષ્ઠિત લેખકની નબળી કૃતિ આવી અને જયંતભાઇની જાણબહાર છપાઇ ગઇ. જયંતભાઇએ વાંધો પાડ્યો, ત્યારે યશવંતભાઇ કહે, ‘મોટા લેખકોની પ્રતિષ્ઠાનો વિચાર એમણે જ કરવાનો હોય.’ જયંતભાઇએ તરત પૂછ્યું ‘પણ સંપાદકની પ્રતિષ્ઠાનું શું?’
સુરેશ જોષી ‘ક્ષિતિજ’ કરતા હતા, ત્યારે આદિલ મન્સુરીએ તેમને એક પત્ર લખ્યો હતો. તેની પર ‘આદિલશાઇ’ શૈલીમાં લખ્યું હતું- સુરેશ જોષી, સંપાદક, લેખક, વાચક, ‘ક્ષિતિજ’.
મુંબઇના અભ્યાસી દીપક મહેતાએ ઓગણીસમી સદીના પૂર્વાર્ધનાં કેટલાંક સામયિકોનો નામોલ્લેખ કરીને કહ્યું કે આ સામયિકોનાં ફક્ત નામ મળ્યાં છે. સદેહે તેનાં દર્શન થયાં નથી. કોઇને પણ તેનો અતોપતો મળે તો એ આ બ્લોગ પર જાણ કરી શકે છે. એ સામયિકોનાં નામઃ વિદ્યાસાગર, ખોજદોસ્ત, જ્ઞાનપ્રસારક, જ્ઞાનદીપક, બુદ્ધિવર્ધક, સ્ત્રીબોધ, પારસી પંચ, સત્યદીપિકા. આ તમામ 1840 થી 1860 વચ્ચેનાં છે.
મિત્ર હસિતે રમણલાલ નીલકંઠના સામયિક ‘જ્ઞાનસુધા’ વિશેની વાતમાં ભદ્રંભદ્ર વિશે જે કહ્યું તેની અલગથી પોસ્ટ લખવા ધારું છું.

ભદ્રંભદ્ર અને ‘પોસ્ટ’? શિવ. શિવ. શિવ. આર્યધર્મની નીતિરીતિગીતિપ્રીતિ...ના ઉપાસકના કર્તૃત્વ માટે આંગ્લભાષાનો પ્રયોગ? ભદ્રંભદ્ર આ વાંચે તો એમણે સ્નાન કરવું પડે. હસિત મહેતા એમને કોઇ શાસ્ત્રનો હવાલો આપીને સ્નાનમાર્ગેથી પાછા વાળે એ જુદી વાત થઇ.

No comments:

Post a Comment