Thursday, September 01, 2016

કાશ્મીર : મુગ્ધ ‘રાષ્ટ્રવાદ’ અને વ્યવહારુ પગલાં

છેલ્લા થોડા સમયથી વડાપ્રધાન અને ગૃહપ્રધાને કાશ્મીર મુદ્દે  આવકારદાયક નિવેદનો કર્યાં છે. વડાપ્રધાને એકથી વધુ વાર કહ્યું કે કાશ્મીરમાં સૈનિક મરે કે સ્થાનિક, એ દેશનું જ નુકસાન છે. આ વલણ પૂરતું ન હોવા છતાં, નવી શરૂઆત માટે અત્યંત જરૂરી છે. વડાપ્રધાન અને સત્તાધારી ભાજપની નેતાગીરીની અત્યાર લગીની કાશ્મીરનીતિ જોતાં, આ તેમાં આવેલું મોટું પરિવર્તન છે.

વર્ષો સુધી ભાજપી નેતાગીરીએ કાશ્મીરમુદ્દે મુગ્ધ અને કંઇક બાળબોધી કહેવાય એવા રાષ્ટ્રવાદીઉભરાનો સહારો લીધો હતો. આવો ઉભરો પેદા કરવો અને પછી તેનું ફીણ ટકાવી રાખવું, એ ભાજપની કાશ્મીરનીતિનું મુખ્ય અંગ હતું. શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવવો એ જાણે દેશપ્રેમનું અને કાશ્મીર પ્રત્યે ભારતીય પ્રતિબદ્ધતાનું સર્વોચ્ચ શીખર હોય, એવો ભાસ ઊભો કરવામાં આવતો હતો. સત્તામાં આવતાં પહેલાં (બલ્કે, એની જ વેતરણમાં) યાત્રાપુરુષ અડવાણીએ પણ આ સાહસનું બીડું ઝડપ્યું હતું. એ વખતે કે અત્યારે નવેસરથી નવેસરથી-ઉંમરસહજ એ મુગ્ધતામાં લપેટાતા ભોળા લોકોને એ નથી સમજાતું કે એક વાર લાલ ચોકમાં જઇને રાષ્ટ્રધ્વજ ફરકાવી દેવાથી કશું પુરવાર થતું નથી. એકલદોકલ નાગરિકના રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ સાબીત થઇ જવાનું નથી કે કાશ્મીરના અલગતાવાદીઓ-પાકિસ્તાનના ત્રાસવાદીઓ પર કોઇ પ્રકારનું દબાણ આવવાનું નથી. કોઇ વ્યક્તિ શ્રીનગરમાં જઇને ત્રિરંગો ફરકાવે તો, વ્યક્તિગત ચેષ્ટા તરીકે એ બરાબર છે, પણ આ પ્રકારની ચેષ્ટાને દેશભક્તિના અનુકરણીય કે મહાન નમૂના તરીકે રજૂ કરવાનું કેટલું યોગ્ય છે, એ વિચારવું જોઇએ. કારણ કે આવું કરવાથી (કર્તાને મળતી અપ્રમાણસરની પ્રસિદ્ધિ સિવાય) દેશને કે સમસ્યાના ઉકેલની દિશામાં કશો નક્કર ફાયદો થતો નથી.

એક તરફ સરકાર કાશ્મીરમુદ્દે વિરોધ પક્ષ તરીકેની આક્રમકતા છોડીને, સત્તાધારી પક્ષ તરીકેની જવાબદારી સાથે કાશ્મીર મુદ્દે આગળ વધતી હોય એવું લાગે છે, ત્યારે તેનાં વિવિધ સંગઠનો અને ઝનૂની ટેકેદારો માટે કાશ્મીર હજુ પણ રાષ્ટ્રવાદી દેખાવાનો શોર્ટ કટ બની રહ્યો છે. બદલાયેલાં રાજકીય સમીકરણો પછી કાશ્મીરના અલગતાવાદીઓ પ્રત્યે ઉઘાડી સહાનુભૂતિ ધરાવનારાં મહેબૂબા મુફ્‌તી સાથે ભાજપે જમ્મુ-કાશ્મીરમાં આખેઆખી સરકાર રચી છે. છતાં, બીજી તરફ, અલગતાવાદીઓને લગતાં થોડાં સૂત્રો પોકારનારા સામે તો ઠીક, જે કાર્યક્રમમાં એ સૂત્રો પોકારાયાં હોય એના આયોજકો સામે પણ રાજદ્રોહના કેસ થઇ શકે છે. આ વિરોધાભાસ ઘણો જૂનો થયો, છતાં પણ રાજકીય હિંદુત્વ અને રાષ્ટ્રવાદને એકબીજાના સમાનાર્થી ગણાતા ઘણા લોકોને એ પકડાતો નથી. બેંગ્લોરમાં એમેન્સ્ટી ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં થયેલા સૂત્રોચ્ચાર પછી, આયોજકો સામે થયેલી રાજદ્રોહની ફરિયાદ તેનું તાજું ઉદાહરણ છે.

કાશ્મીરની ચર્ચા થાય, ત્યારે એક નાનું જૂથ કાશ્મીરની આઝાદીની માગણી સાથે તૈયાર જ હોય છે. તેમની માગણીનો વિરોધ વળતા સૂત્રોચ્ચાર સાથે કરી શકાય--ખાસ કરીને એવા સંજોગોમાં, જ્યારે કાશ્મીરની આઝાદી માગનારા કાર્યક્રમના સ્થળે સૂત્રોચ્ચાર સિવાય બીજું કંઇ કરતા ન હોય. તેમની ધાંધલથી ખલેલ પડે તો ચેતવણી આપીને તેમને અટકમાં લઇ શકાય, કામચલાઉ બેસાડી રાખીને રવાના કરી શકાય, તોફાન કરે તો એની ગંભીરતા પ્રમાણે પગલાં લઇ શકાય...પરંતુ કાશ્મીરની આઝાદીના સૂત્રોચ્ચાર માત્રથી કાર્યક્રમના આયોજકો સામે રાજદ્રોહનો આરોપ મૂકવો, એ રાષ્ટ્રવાદ નથી. એ લાગણીદુભાવ છે--અને તેની તથા રાજદ્રોહની ગંભીરતામાં આભજમીનનો ફરક ન હોવો જોઇએ?

લાગણીદુભાવનો ખ્યાલ કેટલો સાપેક્ષ હોય છે, તેનો ખ્યાલ આપતો એક બનાવ ગયા અઠવાડિયે બન્યો. જરા કલ્પના કરી જુઓ :  કાશ્મીરમાં માર્યા ગયેલા યુવા ત્રાસવાદી બુરહાન વાનીના પિતા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના કાર્યક્રમમાં હાજર રહ્યા હોત અને એમ્નેસ્ટીના વડાએ એવું નિવેદન આપ્યું હોત કે વાની સિનિયર અમારે ત્યાં આવ્યા હતા અને અમે કાશ્મીરની સમસ્યાનાં વિવિધ પાસાં વિશે ચર્ચા કરી’--તો? એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ માનવ અધિકારો માટે કામ કરતી સંસ્થા છે અને તેને ભારતવિરોધી કે ભારતદ્રોહી કહી શકાય નહીં. છતાં, બુરહાન વાનીના પિતા એ સંસ્થાને મળ્યા હોત, તો કહેવાતા રાષ્ટ્રવાદીઓની લાગણી કેવી દુભાઇ હોત? મૃત ત્રાસવાદીના પિતાને સાંભળવાનો ગુનોકરવા બદલ એમ્નેસ્ટીના માથે કેવાં માછલાં ધોવાયાં હોય? (એ જુદી વાત છે કે હવે માછલાં ધોવાતાં નથી, સીધા રાજદ્રોહના આરોપ જ થાય છે. )

પરંતુ આર્ટ ઓફ લિવિંગવાળા શ્રીશ્રી રવિશંકરે શાનથી વાનીના પિતા સાથે પોતાની તસવીર ટિ્‌વટર પર મૂકી અને સાથે લખ્યું કે એ બે દિવસ માટે અમારા આશ્રમમાં હતા. એમની સાથે ઘણા મુદ્દે ચર્ચા થઇ.શ્રીશ્રીની કાર્યપદ્ધતિથી વાકેફ લોકો જાણે છે કે તેમને પેચીદા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં મધ્યસ્થી કરીને, આંતરરાષ્ટ્રીય શાંતિદૂત તરીકે રજૂ થવાનો શોખ છે. તેમના સ્યુડો-ધાર્મિક દેખાવ અને રંગઢંગને કારણે અને ખાસ તો સમૃદ્ધ ભક્તસમુદાયને કારણે સત્તાધીશો પણ તેમને ભાવ આપે છે અને બીજાં જૂથો તેમને ભાવ ન આપતા હોય, તો પણ તેમનો દેખીતો અનાદર કરતાં નથી.

શ્રીશ્રી જેવા મધ્યસ્થીઓનો આશય સાત્ત્વિક લાગે એવી વાતો કરીને, સરવાળે સમસ્યાના ઉકેલ કરતાં વધારે પોતાની શાખ (બ્રાન્ડ) જમાવવાનો હોય, એવી છાપ અત્યાર સુધીના એમના પ્રયાસોથી પડે છે. તેમના ભક્તોને આવું નહીં લાગતું હોય, પણ આ પ્રકારની કોઇ પણ કથિત નેતાગીરીનો પ્રભાવ યુનોજેવો નબળો જ હોય છે. એમાં વ્યક્તિ કરતાં વધારે દોષ મધ્યસ્થીના એ મોડેલનો છે, જેમાં મધ્યસ્થી કરનાર એવો સાત્ત્વિક ભ્રમ (કે ફાંકો) રાખે છે કે આપણે તો એવા પવિત્ર છીએ કે આપણી દરમિયાનગીરીથી ભલભલી કઠણ સમસ્યાઓ ઉકલી જશે ને દાયકાઓથી જડ રહેલા લોકોનાં વલણ બદલાઇ જશે.  શ્રીશ્રીની નહીં, આપણી માનસિકતા સમજવા માટે વિચાર એ પણ કરવા જેવો છે કે કોઇ મુસ્લિમ ધર્મગુરુએ વાનીના પિતા સાથે આવો ફોટો મૂક્યો હોત તો? કેટલી સહેલાઇથી તેમના દેશપ્રેમ વિશે શંકા કરી શકાત અને તેમની પાસે એ કેમ દેશદ્રોહી નથી તેના પુરાવા માગી શકાત?


કાશ્મીર સમસ્યા, રાજકીય હિંદુત્વ, સગવડીયો રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ--આ બધાને એક માળામાં પરોવીને તેનું સતત રટણ કરનારાં જૂથોની સામે પક્ષે આશ્વાસન એક જ વાતનું છે કે વડાપ્રધાનથી માંડીને કાશ્મીરનાં મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્‌તી યોગ્ય ભાષામાં બોલી રહ્યાં છે. મહેબૂબાએ પણ પાકિસ્તાનની ઝાટકણી કાઢીને, થોડા હિંસાખોરોને કારણે બાકીના કાશ્મીરીઓએ વેઠવું પડે છે, એવું ખોંખારીને કહ્યું છે. ભારતના બંધારણની હદમાં રહીનેવાતચીત કરવાનું અલગતાવાદીઓને મંજૂર નથી. પરંતુ ભારત સરકાર સાથેની વાતચીત ભારતના બંધારણની હદમાં રહીને નહીં, તો બીજી કેવી રીતે થઇ શકે? ઉભરાવાળા રાષ્ટ્રવાદનો ખેલ ખેલનારા ભાજપી નેતાઓ સત્તામાં આવ્યા પછી જેમ વાસ્તવિકતા સ્વીકારીને વ્યવહારુ બન્યા, તેમ કાશ્મીરના અલગતાવાદીઓ પાસે પણ વ્યવહારુ બન્યા સિવાય છૂટકો નથી. ફક્ત ભારતીય સૈન્યના અત્યાચારોને આગળ ધરવાથી, પાકિસ્તાન સાથેની તેમની ભાઇબંધી વાજબી ઠરી જવાની નથી.

5 comments:

  1. આપનો લેખ વાચી ને એવું લાગે છે કે આપને હિંદુત્વ વાદી લોકો થી અને ધાર્મિક સંતો થી તકલીફ છે.

    1. શ્યામાપ્રશાદ મુખર્જી, કે મોદીજી કે આડવાની જી કશ્મીર માં તિરંગો ફરકવે તે આપ નો કોઈ વિશેષ ઘટના ના લાગતી હોય તો દુખદ છે કેમ કે, કશ્મીર માં 370 ના લીધે પણ જે અલગતાવાદ ઊભો થવા માં મદદ થઈ છે તેને પ્રતિક રૂપે જે સરકાર નહોતી કરતી કે કશ્મીર ભારત નું અતૂટ અંગ છે એ ભાવ ઊભો કરવો એ ધ્યેય હતું. આજ કાર્ય માં શ્યામાપ્રશાદ મુખર્જી એ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

    અત્યાર ની સરકાર નું અને પક્ષ નું કાર્ય અલગ છેં, મોદીજી અને સરકાર એ સરકાર ની રિતેજ કામ કરવું જોય એ એમની માત્રુસંસ્થા ના જ સંસ્કારો છે, પછી ભલે એની માતૃસંથા કે પક્ષ કઈક એના થી વિશેષ આ બાબતો માં વિચારો ધરાવતા હોય, કેમ કે વાસ્તવિક વિચારો થી ને સફળ બનાવવા સરકારે વધુ વાસ્તવિક રહેવું પડે, જ્યારે આદર્શ સૈદ્ધાંતિક વિચાર પક્ષ અને સંસ્થા હોય એજ પણ એટલું જ જરૂરી છે. આને પક્ષ અને માત્રુસંસ્થા ના કશ્મીર પ્રત્યે ના પ્રશ્ન ને દૂર કરવાની પ્રતિબધ્દ્તા ના લીધે જ આ પ્રશ્ન દૂર થાસે, અને તે આપ જરૂર થી જૉસો.

    2. શ્રી શ્રી ને શોખ છે એવું આપે કહ્યું, ખરેખર શ્રી શ્રી એ જે લોકો ને માનસિક શાંતિ આપવા માટે જે કઈ કાર્ય કર્યું છે એની અગત્યયતા આપને ખ્યાલ માં નથી, આપને તો શ્રી ની ધાર્મિક સંસ્થા ની સમૃદ્ધિ ની ઈર્ષા જ આવું કહેવડાવે છે, આપ કદાચ વળતી દલીલ માં એમ કહેસો કે ધાર્મિક સંસ્થા ને આર્થિક બાબતો માં પાડવાની સુ જરૂર?
    તો ધાર્મિક સંસ્થા પણ મનુષ્યો સાથે જ કામ કરતી હોય છે, એ કઈ મફત માં નથી થતું.

    ટૂકમાં આપના લેખો વાચી ને મને એવું લાગે છે કે આપને હિંદુત્વ વાદીયો અને હિન્દુઑ ના ધાર્મિક સંતો પ્રત્યે કઈક વિશેષ મનોરોગ છે કે કયાં તેને કઈ રીતે શબ્દો ની રમત કરી ને એમને ખોટા પાડવા એવો આપનો પ્રયત્ન વિશેષ લાગતો હોય છે.


    બાકી તટસ્થતા ના નામે વ્યક્તિગત વિચારો ને લોકો પર થોપવા એ દુર્ભાગ્ય પૂર્ણ છે.

    ReplyDelete
    Replies
    1. kya hata prabhu tame aaj sudhi ?

      Delete
    2. kem bhai hindutav vadi loko ke dharmik santo harry porter na wold mort chhe ? emna pratye vandho n uthavi shakay ? emnu naam n lai shakay ?

      Delete
  2. જે મુદ્દે જેની સામે તકલીફ છે એ લેખમાં ચોખ્ખું લખ્યું છે. એનાથી તમને તકલીફ થાય તો એમાં લાચાર છું.
    હિંદુત્વવાદીઓ એટલે કે હિંદુ ધર્મના નામે રાજકારણ રમતા લોકો સામે નહીં, એમના રાજકારણ સામે મને વાંધો છે. લોકો સામે વાંધો હોત તો વડાપ્રધાનના વ્યવહારુ અભિગમ વિશે ન લખ્યું હોત.
    શ્રીશ્રી વિશેનો તમારો અભિપ્રાય બીજા ઘણા લોકો હિંદુઓ સાથે જરા ચેક કરી જોજો. પછી રોગ અને મનોરોગ વિશે વધારે સમજાશે.

    ReplyDelete
  3. વ્યક્તિઓ સાથે વાંધો હોય એ એક વાત છે, વિચારધારા સાથે વાંધો હોય એ બીજી વાત છે. કોઈ એક વિચારધારા ને માનતા હોય તો એ વિચારધારા ને જબરજસ્તી થી બીજા ને મનાવવી એ પણ એક હિંસા જ છે. આ વાત તટસ્થતાવાદી માટે પણ લાગુ પડે.

    કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ પુર્ણ ના હોય સકે એ સ્વીકાર્ય છે, પણ લેખક ને કટાક્ષ નું પલ્લું જ્યારે કોઈ એક તરફ વધારે નમેલું હોય તો એ યોગ્ય નથી. એના માટે મનોમંથન આવશ્યક છે.

    બાકી શ્રી શ્રી વિષે ના દૂર થી અભિપ્રાયો પર થી એના પર કટાક્ષ કરીયે તો એ ભૂલ છે, શ્રી શ્રી નું કાર્ય ધર્મ, સમાજ અને થોડું આધ્યાત્મ ને સાથે લઈ ને કરવાનું છે, આપ બીજા હિન્દુઑ ના અભિપ્રાય ની વાત કરો છો, પણ મે તો પુષ્કળ અહિંદુ જોયેલા, મળેલો છુ જે શ્રી શ્રી ના કાર્ય થી લાભ પામેલા છે અને ધર્મ બદલ્યા વગર યોગ અને આધ્યાત્મ થી લાભન્વિત થયા છે.

    ભારત માં કટાક્ષવાદી ઑ માં હિન્દુ સંતો જ્યારે રાજકારણ અને સમાજ ની વધારે નજીક આવે ત્યારે ખૂબ ટીકા થાય છે, પણ અન્ય ધર્મો ના સંતો ની રાજકારણ અને સમાજ ની સાથે ની નિકટતા બાજુ ધ્યાન દેવા માટે એમની પાસે સમય નથી હોતો, ઘણા સંજોગો માં એ નિકટતા ધર્મ પરીવર્તન જેવા કર્યો થી સમાજ ને અસ્થિર પણ કરતાં હોય છે, પણ એના વીસે લખવાની કે વિચારવાની કા હિમ્મત નથી કે પછી ઈચ્છા નથી હોતી.

    ReplyDelete