Monday, August 01, 2016

આનંદીબહેન પટેલની કાલ્પનિક છતાં અસલી લાગે એવી રાજીનામા-પોસ્ટ

ગુજરાતનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે ફેસબુક પર એક પોસ્ટ મૂકીને રાજીનામું જાહેર કર્યું. તેમની એ પોસ્ટ ઘણી શેર થઇ રહી છે. પરંતુ એ પોસ્ટનું અસલ સ્વરૂપ જુદું હતું અને તેમાં ઘણી કાપકૂપ થઇ હતી, એવું તદ્દન બિનઆધારભૂત વર્તુળોએ જણાવ્યું છે. એટલું જ નહીં, આ બિનઆધારભૂત વર્તુળો બિનઆધારભૂત અસલી લખાણ પણ (પરીક્ષાના પેપરની જેમ) ફોડી લાવ્યાં છે. તે આ પ્રમાણે છે.
------------------------------------------------------------------------------------------------------------

છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં મને અનેકવિધ જવાબદારીઓ સંભાળવાની તક મળી છે. સંગઠન તેમજ સરકારમાં પક્ષે મને ખુબ જ અગત્યની જવાબદારીઓ સોંપી છે. બાકી, કંઇ કેટલાય નિષ્ઠાવાન કાર્યકર્તાઓ સત્તાકેન્દ્રોની નજીક ન હોય, તો એ ક્યાંય ફેંકાઇ જાય છે અથવા આજીવન કાર્યકરથી આગળ વધી શકતા નથી. મારું એવું ન થયું જેને હું મારૂ સદભાગ્ય માનુ છું.

મહીલા મોરચાની જવાબદારીથી લઈ મુખ્યમંત્રી પદ સુધી ગુજરાતના લોકોએ પક્ષના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મુક્યો અને મને ભરપૂર તકો આપી તે માટે હું ઋણી છું. કુશળ સંગઠક, દીર્ધદ્રષ્ટા અને કર્મઠ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે પહેલા સંગઠ્ઠનમાં અને પછી સરકારમાં કામ કરવાની મને તક મળી જેના કારણે એક પણ વાર સાઇડટ્રેક થયા વિના કે અમિતભાઇની ગમે તેટલી નારાજગી હોવા છતાં સાતત્યપુર્વક મારૂ ઘડતર થતું રહ્યું અને મને સત્તા મળતી રહી. છેલ્લા 18 વર્ષથી ગુજરાત સરકારનાં ખુબ જ કસદાર અગત્યનાં વિભાગોની કામગીરી કરતાં કરતાં અનેક રચનાત્મક સુધારાઓ કરી નવી પ્રજાભિમુખ યોજનાઓના સરળ અમલીકરણ દ્વારા પારદર્શિતા લાવવા પ્રામાણિકતા સાથે પરીણામલક્ષી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહી છું. શિક્ષિકા હોવા છતાં આ વાક્ય હું લખી શકું એમ નથી. પણ મારા કોપીરાઇટરનો આગ્રહ હતો કે એણે બહુ મહેનત કરીને ચાર ‘પ’ ગોઠવ્યા છે.  જતાં જતાં એને દુઃખી ક્યાં કરવો? મે, 2014માં ગુજરાત રાજ્યના પ્રથમ મહીલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈને કારણે તથા વરીષ્ઠ નેતૃત્વએ મને સોંપી તેને હું સમગ્ર ગુજરાતની મહીલાઓનું ગૌરવ ગણું છું. આ મહિલાઓમાં જેની સરકારી રાહે જાસુસી કરાવવામાં આવી હતી તે કચ્છની મહિલાનો સમાવેશ કરવો કે નહીં એ નક્કી કરવાનું તમારી ઉપર છોડું છું. શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષથી વધુ સમય સુધી રહ્યાં અને તેમની જગ્યાએ મારી પસંદગી થઈ તે સ્વાભાવિક રીતે જ આકાશ ના તારા તોડી લાવવા જેવું ગણવા જેવું કઠીન કાર્ય હતું પરંતુ, મને એ વાતનો ગર્વ છે કે તેઓએ ગુજરાતના વિકાસની કંડારેલી ખાઇ કેડી એ જ ઝડપથી આગળ વધારવામાં હું ક્યાંય પાછી પડી નથી.

ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સિધ્ધાંતો અને શિસ્તબધ્ધતાથી પ્રેરાઈ હું પક્ષમાં જોડાઈ હતી પણ સત્તા મળ્યા પછી એ બધું રહ્યું નહીં ને એનો અફસોસ પણ નથી રહ્યો. છતાં,જે કંઇ રહ્યું છે અથવા બદલાઇને તેનું જે સ્વરૂપ થયું છે તેનું અને આજ સુધી તેનું પાલન કરતી રહી છું. નરેન્દ્રભાઇને અડવાણીજી નડવા લાગ્યા ત્યારથી છેલ્લા થોડાક સમયથી પક્ષમાંથી પંચોતેર વર્ષની ઉંમર પછી વરિષ્ઠ કાર્યકર્તાઓએ સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્ત થવાનું સ્વીકારી રસ્તામાંથી કાંટા હટાવવાની આગવી પરંપરા ઉભી કરી છે. જે વડીલો સિવાયના સૌ માટે ઉદાહરણીય અને અનુકરણીય છે. જેના કારણે આવનારી પેઢીને કાર્ય કરવાની તક મળે છે. લોકો કહે છે કે પહેલાં પાટીદાર આંદોલનમાં અને પછી દલિત આંદોલનમાં મુખ્ય મંત્રી તરીકેની સત્તાનાં મારાં સો વર્ષ પૂરાં થઇ ગયાં મારા પણ નવેમ્બરમાં પંચોતેર વર્ષ પુરા થનાર છે. પરંતુ 2017ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવવાની હોઈ તેમજ દર બે વર્ષે યોજાતા રાજ્ય માટે મહત્વના વાઈબ્રન્ટ ગુજરાત સમીટ પણ જાન્યુઆરી 2017માં યોજાનાર હોઈ નવનિયુક્ત થનાર મુખ્યમંત્રીને પુરતો સમય મળી રહે અને એ બધી તો કહેવાની વાત  છે, પણ અત્યારના કમઠાણમાંથી મારો છૂટકારો થાય તે માટે મેં બે માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરેલ. હું આજે ફરીથી ફેસબુકના માધ્યમથીઅંગત હોવા જોઇએ એવા જાહેર પત્ર દ્વારા પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મને મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરૂં છું, જેથી ભવિષ્યમાં કોઇ એવું ન કહી જાય કે મારે રવાના થવાની ફરજ પડી.

ગુજરાતની ગૌરવશાળી પ્રજાની સેવા કરવાની મને તક મળી અને છેવાડાના માનવી સુધી સેવાઓનો લાભ પહોંચાડવા માટે મેં શક્ય તમામ પ્રયત્નો કર્યા છે. રાજ્યરૂપી પરીવારનું નેતૃત્વ કરતા મને જે અપાર પ્રેમ, સ્નેહ (યાદ છે? પાટીદાર આંદોલનકારીઓ વહાલથી મને ‘ફોઇ’ કહેતા હતા) અને આંદોલનકારીઓને કારણે ધંધે લાગેલા રહેવાની તથા ઇન્ટરનેટ પર બેન મૂકતા રહેવાની કામ કરતાં રહેવાની સતત પ્રેરણા મળી છે તે માટે હું મારી હાર્દિક હ્દયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી બે હાથ ને ત્રીજું માથું જોડીને વંદન કરૂં છું.

8 comments:

  1. Anonymous10:08:00 PM

    We, the Tax Payers of Gujarat's peaceful society have no objection on your exit, similarly, when you entered, we never raised any objection. We are failed to uncover the choclate of development which is wraped with solid blend of polarization of peaceful Gujarati Society. Satya Mev Jayate.

    ReplyDelete
  2. 😇 બસ, આ ઈમોજી બધું જ કહી દે છે. 😇

    ReplyDelete
  3. excellent Urvishbhai, you said between the lines of out going CM. It's very nicely drafted

    ReplyDelete
  4. Sir, Kalpanik Post to FB par post Kari ae lage chhe.... Sacho letter to tame kyak thi shodhi lavya hoy aevu lage chhe😂

    ReplyDelete
  5. Kyarek aavu sonia gandhi ae sonia gandhi saakhs rajinamu apyu tyare pan lakho.
    Yar press ma lakhava nu ane aatalo nadhi su side levani.
    Thoda ochha bias bano saheb .

    ReplyDelete
  6. Bo j jordar..bhai bhai..!!!!
    Specially 4 'P' vali vaat..!!

    ReplyDelete
  7. Koi sachi vast vachi khotu lagyu hoy to maaf karjo Urvishbhai e kona vishe su lakhvu e aapde nakki karvanu nathi na game to nahin vaachvanu game to vaachi me khush thavanu be shbdo prashnsa na kehvana ok

    ReplyDelete