Saturday, September 03, 2016

વડાપ્રધાનની વાતો અને જમીની વાસ્તવિકતા

(દિવ્ય ભાસ્કર, તંત્રીલેખ, 3-9-16)

વડાપ્રધાને ગઇ કાલે વધુ એક વાર આ શૈલીનો પરિચય આપતાં કહ્યું કે મોદી દલિતો સાથે છે...મોદી આદિવાસીઓ પ્રત્યે સમર્પિત છે... એ પોતાની જાતે બની બેઠેલા રક્ષકોથી સહન થતું નથી. તેમણે કહ્યું કે (મારા આ વલણને કારણે) જેમના રાજકારણને નુકસાન પહોંચે છે એવા લોકો બધી ધાંધલ કરી રહ્યા છે. શાણપણની સિરીઝમાં લગે હાથ તેમણે એમ પણ કહ્યું કે સામાજિક સમસ્યાને રાજકીય સ્વરૂપ અપાઇ રહ્યું છે અને જે લોકોએ આ દેશને જ્ઞાતિવાદી ભેદભાવનું ઝેર પાયું તેમણે આ દેશનું સત્યાનાશ કર્યું છે. તેમણે સામાજિક સમસ્યાને રાજકીય સ્વરૂપ આપવાનું બંધ કરવું જોઇએ.

વડાપ્રધાનની વાતો વિશે ઇતિહાસનિરપેક્ષ રીતે એટલે કે ભૂતકાળ ભૂલીને વિચારવામાં આવે, તો તેમની પર વારી જવાનું મન થાય. લાગે કે વાહ, કેવા પ્રગતિશીલ નેતા ભારત દેશને મળ્યા છે. ફિલ્મ ‘ગોલમાલ’માં ‘જૈસે પવિત્ર વિચાર, વૈસા હી પવિત્ર વાતાવરણ’ એવો સંવાદ અભિભૂત થઇને બોલતા ઉત્પલ દત્તની જેમ થઇ જાય કે વાહ, નેતા હોય તો આવા., જે સરેઆમ કહેતા હોય કે હું દલિતોની સાથે છું. પરંતુ અંગ્રેજીમાં એક પ્રયોગ છે, ‘વોક ધ ટોક’. એનું સાદું ગુજરાતી થાય, કહેણી એવી કરણી. લાખો રૂપિયાનો સવાલ આ જ છેઃ વડાપ્રધાન જેટલી નાટ્યાત્મક રીતે, પોતાના વિશે ત્રીજા પુરુષ એકવચનમાં વાતો કરીને દલિતોની સાથે હોવાનો દાવો કરે છે, એને અનુરૂપ તેમનું વર્તન રહ્યું છે? સત્તાધીશ તરીકે પહેલાં મુખ્ય મંત્રીના હોદ્દે ને પછી વડાપ્રધાન તરીકેની તેમની કારકિર્દીમાં હજુ સુધી દલિતો કે આદિવાસીઓ પ્રત્યેની તેમની લાગણીના નક્કર પુરાવા મળ્યા નથી. (સરકારી રાહે જાહેર થતી અને જેના અમલીકરણ વિશે કંઇ ન કહેવામાં જ સાર હોય, એવી યોજનાઓની વાત નથી.)

મૂળ વાત એટલી છે કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવે છે. ત્યાં દલિતો મતદારોનું પ્રમાણ મોટું છે અને વડાપ્રધાનના ગૃહરાજ્ય ગુજરાતમાં દલિતો પ્રત્યેના વ્યવહારના મુદ્દે જુદાં જુદાં દલિત સંગઠનો વ્યાપક અસંતોષ વ્યક્ત કરીને દેખાવો કરી રહ્યા છે. પરંતુ પોતાના વિરોધીઓને રાજ્યના કે દેશના વિરોધીઓ તરીકે ઓળખાવવાની જૂની અને નીવડેલી શૈલી પ્રમાણે, વડાપ્રધાન એ સૌને એક જ પીંછીએ ચીતરી રહ્યા છે અને તેમની પર રાજકારણ ખેલવાનો આરોપ મૂકી રહ્યા છે. દુષ્યન્ત કુમારના અત્યંત જાણીતા શેર ‘વો સલીબોંકે કરીબ આયે તો/ કાયદેકાનૂન સમઝાને લગે હૈ’ની જેમ, અથવા તો જાણીતી કહેણી પ્રમાણે સો ઉંદર મારીને હજ કરવા જતી બિલ્લીની જેમ, અત્યાર લગી આ મુદ્દે સંવેદનશીલતા દર્શાવવામાં (દેખાડવામાં નહીં, આચરવામાં) નિષ્ફળ ગયેલા વડાપ્રધાન પર હવે ઉત્તર પ્રદેશની ચૂંટણી જેવું રાજકીય દબાણ આવ્યું ત્યારે તેમને શાણપણ સાંભર્યું છે. હિંસા સહિત કોઇ પણ મુદ્દાનો રાજકીય લાભ ખાટવા રાજનેતાઓમાં વડાપ્રધાન અપવાદ નથી. કમ સે કમ, અત્યાર સુધી તો એવું લાગ્યું નથી. હવે એ જ વડાપ્રધાન રાતોરાત ડહાપણની દાઢની અણી વડે વિરોધીઓને ઘાયલ કરવા જાય, ત્યારે તેમની વાતને ગંભીરતાથી લેવાનું અઘરું થઇ પડે છે.

નાટ્યાત્મક દાવાબાજીમાં પ્રમાણભાન ભાગ્યે જ જળવાતું હોય છે. વડાપ્રધાને જાહેર કર્યું છે કે તેમણે ડો.આંબેડકરની સવાસોમી જયંતિ ઉજવી ને સંયુક્ત રાષ્ટ્રસંઘે અને 102 દેશોએ પણ તેની ઉજવણી કરી, સંસદે તેમના જીવન-કાર્ય વિશે બે દિવસ સુધી ચર્ચા કરી, ત્યારથી ઘણા લોકોને સમસ્યા થઇ પડી છે.’ પહેલાં સરદાર, સત્તામાં આવ્યા પછી ગાંધી અને હવે આંબેડકરને પણ ઓળવી લેવાના આ પ્રયાસો રાબેતા મુજબના રાજકારણનો જ એક ભાગ છે, જેમાં મહાનુભાવોના જીવનકાર્ય વિશેની અર્કરૂપ-સાચી માહિતીને બદલે, તેમાંથી પોતાના રાજકારણે અનુકૂળ-અનુરૂપ એક ટુકડો ઉપાડી લેવાનો અને તેના આધારે આખેઆખા મહાનુભાવ પર પોતાનો દાવો ફટકારી દેવાનો. ડો.આંબેડકરે આ સાંભળ્યું હોત તો તેમની કેવી પ્રતિક્રિયા હોત, એ ચિંતા કરતાં પણ વધારે રમુજનો વિષય હોઇ શકે છે.

7 comments:

  1. મીડિયા થી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે
    'ચાપલુસી' સરળ રસ્તો અને ઉગતા સૂર્યને નમસ્કાર નો સિદ્ધાંત રહ્યો છે,
    દેશ ની જે દુર્દશા છે તેના માટે
    રાજકારણ
    હિન્દૂ મુસ્લિમ કટ્ટરવાદ
    જ્ઞાતિ અને જાતિ ભેદ
    કરતા વધારે જવાબદાર
    મીડિયા છે
    એમ હું ચોક્કસ પણે મનુ છું
    સત્ય અને મીડિયા ને
    દૂધ માં સાકાર ના મિશ્રણ જેવો સબંધ નથી
    પરંતુ દૂધમાં ઝેર ના મિશ્રણ જેવો સબંધ
    રહ્યો છે ...
    વાચકો આ બધું જાણે છે
    પણ નેતાની સભામાં માઈક ઉપરથી સફેદ જૂઠ રોકી
    કોઈ સ્ત્રોતા પોતાનો અવાજ રજુ કરી શકતો નથી
    તેમ છાપામાં છપાયેલું લખાણ વાચક બદલી શકતો નથી
    બહુ બહુ તો એ છાપું બદલી નાખશે
    પણ તેમાંયે આજ પરિણામ મળવાનું
    એટલે છાપાના કોઈક ખૂણામાં એકલ દોકલ
    સાચું - સારું લખાણ - સમાચાર હશે તે વાંચવાની
    આશાએ આખું છાપું ફમ્ફોડે રાખે છે ને સંતોષ
    ન મળે એટલે પેલું ન ગમતું પણ વાંચી નાખે છે
    આમ ચાલે છે આ પ્રિન્ટ મીડિયા ની ભક્તિ
    ત્યારે ગાડરિયા પ્રવાહ માં આખા દેશ ની માફક
    મોદી ચાલીશા ના રટણ સાથે મોદીજી ની આરતી
    ઉતારવા ના બદલે સત્ય લખવાની હિંમત
    આજના ભારત માં કાબિલે દાદ છે
    ભક્તિ કે વિરોધ પસંદગી પ્રમાણે ની રાજનીતિ નો વિષય છે
    પરંતુ સત્ય સામે લાવવું દેશ ના હિતમાં
    ( ખુદ મોદીના હિતમાં ) છે ,
    આ દેશ ના બહાદુર રજવાડાઓ ને બિલકુલ નિર્બળ અને માયકાંગલા
    એશો - આરામ ને અય્યાશી કરતા બનાવી દેનાર તેમની સતત પ્રશંસા કરતા ભાટ-ચરણો અને દરબારી 'રત્નો' હતા
    આજે એ ભૂમિકા દેશ નું મીડિયા નિભાવી રહ્યું છે ,
    તેમાં આવા લેખો અપવાદ બની ને સામે આવે છે જે મીડિયાની લાજ રાખે છે .... આ અપવાદ ને જીવંત રાખવા બદલ આપનો ખુબ આભાર સાહેબ

    ReplyDelete
  2. ઉર્વીશભાઈ પણ એજ મીડિયાના ભાગ છે!

    ReplyDelete
    Replies
    1. સાહેબ મારો દાવો એવો ક્યાં છે ?
      કે , ઉર્વીશભાઈ મીડિયાના માણસ નથી

      Delete
  3. પચ્ચા રૂપિયે દાળ મળતી હતી એ જમાનામાં લોકો નિરાશાના નર્કાગારમાં ડૂબી ગયા હતા.. અને હવે બસ્સો રૂપિયે મળતી દાળ ખાઈને લોકોમાં એક નવી ઉર્જા અને આશાનો ઉદય થયો છે.... આવા મતલબની અચ્છેદીનની વ્યાખ્યા તેમની ભૂતકાળની જુમલેબાજી જોતા અપેક્ષિત હતી જ... પણ સામે બેઠેલો પત્રકાર પોતાની મુંડી હલાવીને તેમાં સહમતીનો સુર મિલાવે .. તે સાલું મારા માટે આઘાતજનક હતું...
    બીજા બધાથી પોતે બહુધા જુદી માટીના છે એ બતાવવાની એક પણ તક જતી ન કરનાર હાલના પ્રધાનમંત્રીએ સિલેક્ટીવ પત્રકાર અને સિલેક્ટીવ સવાલ જવાબવાળા બે ઇન્ટરવ્યું અત્યાર સુધી આપ્યા છે પરંતુ હજુસુધી તે શા માટે ઓપન પ્રેસ કોન્ફરન્સને લાઈવ ફેસ કરતા નથી..??

    ReplyDelete
  4. Hiren Joshi11:44:00 PM

    Frequently talking in third person about yourself is arrogant, inappropriate and personally shows PM Modi in bad light. Probably Indian surrounding is conducive of such talk, that needs to be changed with him!

    ReplyDelete
  5. In my college days in Anand Arts college a term "yellow journalism"I couldn't understand I thank pm for giving me a live demonstration of it

    ReplyDelete
  6. Anonymous5:32:00 PM

    Tamne Twitter upar kon roke 6e pu6o ne pm ne daal na questions?

    ReplyDelete