Wednesday, August 13, 2008

આતંકવાદનો સામનો છેતરામણી નારાબાજીથી

બોમ્બવિસ્ફોટ પછીના ગુજરાતમાં શાણપણ અને સ્વસ્થતાની સાથોસાથ શીખામણો, ઉપદેશો અને પડ્યા પછી ટંગડી ઉંચી રાખવાની ફેશનનો વાયરો પણ વાયો છે. સ્થાપિત - અને વિસ્થાપિત- હિતો પોતપોતાના એજેન્ડાને સદભાવના અને સામાજિક જવાબદારીમાં વીંટાળીને રજૂ કરી રહ્યાં છે.

‘એનડીટીવી ઇમેજિન’ની એક સિરીયલના કાલ્પનિક પાત્રથી માંડીને રાજકારણમાં સંદેહાસ્પદ ભૂમિકા ધરાવતાં વાસ્તવિક પાત્રો સહિત સૌ કોઇ ગુજરાતની પ્રજાને શાબાશી - શીખામણ- ઉપદેશ આપવા અને લગે હાથ પોતાનું કામ સાધી લેવા પ્રયત્નશીલ છે. ‘ગુજરાત-એક જોઇન્ટ ફેમિલી’ અને ‘આતંકવાદ નહીં તોડી શકે આપણા પ્રદેશને’ એવા સંદેશા સાથે સિરીયલનું જસુબેન નામનું પાત્ર મહાત્મા ગાંધીના ઓતારમાં કહે છે,‘સમય છે એકત્ર થવાનો.’ ‘એક’ થવા (સંપ કેળવવા) અને ‘એકત્ર’ થવા (એકઠા થવા) વચ્ચેનો ફરક ન જાણતા લોકોએ ઉપદેશ આપવામાં જરા સાવચેતી રાખવી જોઇએ અથવા પોતાની મૂળ ભાષા (અંગ્રેજી)માં જ ઉપદેશ આપવો જોઇએ એવું નથી લાગતું?
નાક કપાવાથી તંદુરસ્તી બગડે?
થોડા વખત પહેલાં ઓઆરજી-માર્ગ સર્વેક્ષણ ટાંકીને ગુજરાતના મુખ્ય મંત્રીને બિરદાવતાં ટચૂકડી સાઇઝનાં હોર્ડંિગ અમદાવાદમાં ઠેર ઠેર ફૂટી નીકળ્યાં હતાં. ખાસ ઊભાં કરાયેલાં આ હોર્ડંિગ પર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓથી માંડીને ખાનગી ક્લબો અને જાહેર ફિક્સરો સહિત ઘણા મુખ્ય મંત્રીને અભિનંદન પાઠવતા હતા. એક જાણીતા ગાયક કલાકારના ફાઉન્ડેશને ઉત્સાહમાં આવીને મુખ્ય મંત્રીની તસવીર સાથે લખાવ્યું હતું ‘મંદિરોમેં ઘંટ બાજે, મસ્જિદોંમેં હો અજાન, શેખ કા હરમ ઔર દિન-એ-બરહમન આઝાદ હૈ/ અબ કોઇ ગુલશન ના ઉજડે, અબ વતન આઝાદ હૈ’. વતન કોનાથી ઉજડ્યું હતું અને કોનાથી ‘આઝાદ’ છે, તેના વિશે ખુલાસો કરવાની ૨૦૦૨ પછીના ગુજરાતમાં જરૂર જોવામાં આવી ન હતી.

મુખ્ય મંત્રીના જયકાર માટે અસ્તિત્ત્વમાં આવેલાં અને આવ્યાં એવી જ રીતે પોતાનું કામ પૂરૂં કરીને અદ્રશ્ય થઇ ગયેલાં હોર્ડંિગ બોમ્બ વિસ્ફોટ પછી ફરી જોવા મળે છે. આ વખતે તેમનું કામ જરા વધારે પેચીદું છે. અગાઉની જેમ મુખ્ય મંત્રીનો સીધો જયજયકાર થઇ શકે તેમ નથી.

સૌથી પહેલું કામ કપાયેલા નાકની પ્લાસ્ટિક સર્જરી કરવાનું છે. એ કેવી રીતે થાય, તેનો એક નમૂનો ‘ચેમ્બર ઓફ કોમર્સ’ના એક હોર્ડંિગમાં જોવા મળે છે. તેમાં લખ્યું છેઃ ‘આતંકવાદ ગુજરાતની પ્રગતિ રોકી શકશે નહીં.’ આ વિધાન ‘નાક કપાવાથી શરીરની તંદુરસ્તીમાં કશો ફરક પડવાનો નથી ’ એ પ્રકારનું લાગે છે. કોણ કહે છે કે બોમ્બવિસ્ફોટ ગુજરાતની પ્રગતિ રોકવાના આશયથી કરવામાં આવ્યા છે? આતંકવાદીઓના સાચા ઇરાદાને બદલે પોતાને અનુકૂળ થાય એવા ઇરાદા જાહેર કરવા અને પછી એ ઇરાદામાં આતંકવાદીઓ નિષ્ફળ ગયા છે, એવી બડાશો હાંકવી, તેમાં ગુજરાતની પ્રજાની બેવડી કુસેવા થાય છે- અને આ બધાં હોર્ડંિગ જનહિતમાં પ્રકાશિત થાય છે!

‘સલામ છે ગુજરાતને’ એવું મથાળું ધરાવતા એક હોર્ડંિગનું લખાણ છેઃ ‘ન કરી શક્યા ગુજરાતને ભયભીત, ન તોડી શક્યા ગુજરાતની એકતા, ન રોકી શક્યા ગુજરાતનો વિકાસ. આતંકવાદનો કરશે સામનો ગુજરાતની હિંમતવાન અને નીડર જનતા.’ પહેલી નજરે પૌષ્ટિક અને નિર્દોષ લાગતા આ લખાણ વિશે સહેજ વિચાર કરતાં, તેનો ઘ્વનિ અને તેમાં રહેલો સંદેશો સમજી શકાય છે. ‘સલામ છે ગુજરાતને’ એ બરાબર, પણ કઇ ખુશીમાં સલામ? તેનો જવાબ છેઃ ‘ન કરી શક્યા ગુજરાતને ભયભીત.’ આ દાવાનું કોઇ માપ નથી. ગુજરાત ભયભીત થયું હતું કે નહીં, એ અમદાવાદ અને સુરતના રહીશો વધારે સારી રીતે કહી શકે.

છતાં, એ અભિનંદન સ્વીકારવા હોય તો બીજું વિધાન છેઃ ‘ન તોડી શક્યા ગુજરાતની એકતા.’ એ માટે ગુજરાતની જનતાને ખરેખર સલામ છે. થોડા ગુનેગારોનો ગુનો આખી કોમ પર ઓઢાડવાની ભૂલનું પુનરાવર્તન ન કરીને ગુજરાતે નવી આશા જગાડી છે. પરંતુ આ સિદ્ધિ માટે અત્યારે અભિનંદન આપવા નીકળી પડેલા લોકોએ ૨૦૦૨માં કઇ ભૂમિકા ભજવી હતી? એ વખતે તેમણે ગુજરાતની એકતાને જોડવાનું કામ કર્યું હતું કે તોડવાનું? ગુજરાતની એકતાની આટલી જ ચિંતા તેમણે એ વખતે સેવી હોત, તો ગુજરાતની તાસીર, ગુજરાતની સ્થિતિ જુદી હોત. ગુજરાતનાં ઘણાં શહેરો-ગામડાંનું કોમી ધોરણે વિભાજન થયું ત્યારે મૂક અથવા સક્રિય ટેકો આપનારા હવે ગુજરાતની એકતા વિશે હરખ કરે, ત્યારે પ્રજાને મળતાં અભિનંદન સાચાં હોવા છતાં આપનારની ગેરલાયકાતને કારણે એ સ્વીકારી શકાય તેમ નથી.

ત્રીજો દાવો છે ‘ન રોકી શક્યા ગુજરાતનો વિકાસ.’ વિસ્ફોટ થયે હજુ માંડ પખવાડિયું થયું, ત્યાં આ દાવો કેટલો હાસ્યાસ્પદ લાગે તે સમજાવવાની જરૂર લાગે છે? અને આગળ જણાવેલો મુદ્દો ઊભો જ રહે છે ઃ ત્રાસવાદીઓ ગુજરાતનો વિકાસ રોકવા પ્રયાસ કરે છે એવું કોણે કહ્યું?
પ્રજાને પટાવવાનો પ્રયાસ
મોટા ભાગનાં હોર્ડંિગમાં છૂપાયેલો ઘ્વનિ જોકે વધારે ચિંતાજનક છે અને તે રૂપાળા શબ્દોમાં પ્રજાના ગળે ઉતારી દેવાનો પ્રયાસ એથી પણ વધારે ગંભીર છે. એક હોર્ડંિગ કહે છે,‘ગુજરાતના વિકાસને આગળ વધારીએ. આતંકવાદનો સામનો કરીએ.’ ગુજરાતને સલામ કરતું હોર્ડંિગ કહે છે,‘આતંકવાદનો કરશે સામનો ગુજરાતની હિંમતવાન અને નીડર જનતા.’ ગુજરાતની પ્રજાને ‘ચણાના ઝાડ પર’ ચડાવતું આ વિધાન ઘ્યાનથી વાંચવા જેવું છે.

એક સમય હતો, જ્યારે ગુજરાતની પ્રજાને ફક્ત એક જ રાત જાગવાનું હતું અને બાકીના દિવસ મુખ્ય મંત્રી જાગતા રહેવાના હતા. એક સમય હતો, જ્યારે મુખ્ય મંત્રી મોતના સોદાગરોને ચુન ચુન કે મારવાના હાકોટા કરતા હતા અને ગુજરાતની પ્રજા પોતાના મુખ્ય મંત્રીનું વાણીશૌર્ય જોઇને પોરસાતી હતી. હવે એ મુખ્ય મંત્રી કયા મોઢે કહે કે ‘આતંકવાદનો સામનો તમારે કરવો પડશે?’ એટલે મુખ્ય મંત્રીની લાગણીનો પડઘો પાડતા હોય તેમ આ બધા શીખામણીયા શાંતિદૂતો પ્રજાને છાપરે ચડાવતાં કહે છે,‘તમે તો બહુ નીડર છો. તમે તો બહુ હિંમતવાન છો. આગળનું બઘું ભૂલી જાવ અને આતંકવાદનો સામનો તમે જ કરો.’

બુલેટપ્રૂફ બખ્તર નેતાઓ પાસે હોય, સુરક્ષા કર્મચારીઓના કાફલા નેતાઓ પાસે હોય, આખેઆખું પોલીસતંત્ર અને ગુપ્તચર તંત્ર નેતાઓ પાસે હોય અને આતંકવાદનો સામનો પ્રજા કરે! કેવી રીતે? તેનો જવાબ પ્રજાએ હોર્ડંિગ મુકનારા પાસેથી માગવો રહ્યો. હોર્ડંિગ પર મુકાયેલાં લખાણોનું ઝીણવટથી પીંજણ કરવાનું જરૂરી છે. સમસ્યાની ઓળખ જ સાચી નહીં હોય, તો તેનો મુકાબલો કરવા માટેની શીખામણો કે ઉપદેશો ગેરમાર્ગે દોરનારાં અને પ્રજા માટે ઉપયોગીને બદલે નુકસાનકારક સાબીત થશે. અહીં કરેલાં ‘વિચારવિસ્તાર’ પછી હવેથી રસ્તા પરનાં હોર્ડંિગ નજરે પડે ત્યારે તેમાં પ્રજાની બહાદુરીની કદર જરા ઘ્યાનથી વાંચજો. તેમાં જવાબદાર સત્તાધીશોનું બચાવનામું પણ વાંચી શકાશે.
આતંકવાદના મુકાબલાની માયાજાળ
આતંકવાદના મુકાબલાને નાકનો કે ગૌરવનો કે મિથ્યાભિમાનનો મુદ્દો બનાવવા જેવો નથી. ગુજરાતમાં બોમ્બધડાકા થયા, એવા જ ધડાકા બીજાં રાજ્યોમાં પણ થયા છે. (બધાં રાજ્યો પાસે ૨૦૦૨ જેવો, એક યા બીજી રીતે મન પર બોજ બની રહેનારો ભૂતકાળ નથી હોતો એ જુદી વાત છે)

ભારત જેવા દેશમાં આતંકવાદીઓને પહોંચી વળવું અઘરૂં છે. એટલે ગુજરાતમાં બોમ્બધડાકા થાય તે સામાન્ય સંજોગોમાં મુખ્ય મંત્રી માટે નાલેશીનું કારણ ન બન્યું હોત. પણ પોતાની કલ્પી લીધેલી તાકાતના પ્રભાવ હેઠળ તે બોલવામાં પ્રમાણભાન ચૂકતા રહ્યા, હવામાં તલવારો વીંઝતા રહ્યા અને ગુજરાતની શાંતિ માટે અપ્રમાણસરનો જશ લેતા રહ્યા. બોમ્બવિસ્ફોટથી તે વાસ્તવિકતાની ધરતી પર આવે, તો સ્વસ્થ મનોદશામાં ખોટા નિર્ણયો લેવાતા અટકશે અને વાતાવરણમાં સામાન્યતા જળવાઇ રહેશે. પરંતુ હજુ સુધી એ દિશાના સંકેત મળ્યા નથી.

બોમ્બવિસ્ફોટ પછી તરતના દિવસોમાં સુરતની મુલાકાતે ગયેલા મુખ્ય મંત્રીએ ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું,‘આતંકવાદ પ્રોક્સીવોર છે. દેશમાં યુદ્ધ જેવો માહોલ ઊભો ન થાય ત્યાં સુધી તેનો અસરકારક રીતે સામનો ન થઇ શકે.’ ‘યુદ્ધ જેવો માહોલ’ અને ‘અસરકારક સામનો’ આ બન્ને શબ્દપ્રયોગો સાંભળવામાં બહુ અકસીર, પણ અસલમાં બહુ છેતરામણા છે. યુદ્ધ જેવા માહોલમાં ખરેખર સર્જાય તો પ્રજા ખોફ, શંકા, આંધળુકીયાં, અવિશ્વાસ અને ઉચાટના મહોલમાં સરી પડે, પછી આતંકવાદને વચ્ચે વચ્ચે છમકલાં કરવા સિવાય બીજું કંઇ કરવાનું રહેતું નથી. પ્રજાના હૃદયમાં દહેશત ફેલાવવાનું કામ આપમેળે ‘ઓટો મોડ’માં થતું રહે છે.

અમેરિકા જેવો સમૃદ્ધ, સાધનસજ્જ અને સુરક્ષા પાછળ અબજોડોલર ખર્ચનારો દેશ તેના નાગરિકોને આતંકવાદ સામે શાંતિ કે સુરક્ષાનો અહેસાસ કરાવી શક્યો નથી, ત્યારે આતંકવાદના મુકાબલાના દાવા કરતી વખતે શાસકોના પગ ધરતી પર રહે તે જરૂરી છે. બાકી, શાસકો અને શીખામણશૂરા કહે કે ન કહે, આતંકવાદનો મુકાબલો કરવાનું પ્રજાના ભાગે જ આવે છે અને આવવાનું છે.

7 comments:

  1. Anonymous6:55:00 PM

    ઉર્વિશભાઇ, હવે તો ૨૦૦૨ની લમણાઝીંક છોડો. બધા રાજ્યો પાસે ૨૦૦૨ જેવો બોજ બનનારો ભૂતકાળ નથી -- મુંબઇનાં રમખાણો, બિહારની પરિસ્થિતિ, કાશ્મીરમાં પંડિતોની હાલત વગેરે કંઇ દેખાતું નથી?

    ReplyDelete
  2. Anonymous7:06:00 PM

    kartik, badhu eni jagya e barabar pan vaat ahi gujarat ni chale chhe baju na rajyo ma je thay pan 2002 e naa bhuli sakay evi ghatna che. kem america 9/11 loko ne bhulva natih deti ane kem every year tya function rakhe chhe. reason is they dont want people to forgot. people have tendency to forgot the things. 2002 ne etle yaad karvano ke je thayu hatu e bahu kharab thayu hatu ane fari thi na thay. uvrishbhai jordar lakho chho yaar. salaam chhe tamne.

    ReplyDelete
  3. Anonymous9:56:00 PM

    ૯/૧૧ની ઘટના અલગ છે અને શા માટે લોકોને યાદ કરાવવામાં આવે છે તે માટે ફેરનહીટ ૯૧૧ મુવી જોઇ લેજો. પણ, વાંદરાની જેમ ઝખ્મ ખોતરી-ખોતરીને જોવામાં કોઇ મજા નથી..

    ReplyDelete
  4. Anonymous2:21:00 AM

    e movie joyeli chhe ane 2002 ni je movie aavi hati tahelka.com par e pan joyi hase aapda pyara mukhyamatri ni kartoot. upar thi sting operation karnara ne taklif thai. atyar sudhi koi e pan 2002 ni ghatna o sharam janak hati ke bhul hati evu nathi kidhu. jyare pan eni vaat aave to e vaat ne bija rajya ma su thay chhe ke bija country ma su thay chhe ena example aapvama aave chhe. hu pan manu chhu ke past bhuli ne agal vadhvu joiye pan bhulo sudharvani vaat pan karvi joiye. 2001 earth quacke vakhte hu vs hospital ma hoto ane e vakhte jyare khakhi chhadi ane muslims sathe mali ne kaam karta hata tyare loko vaato karta hata ke have ahi komvaad no danav ubho nahi thay pan next year j thayo ane e pan goverment supported.

    ReplyDelete
  5. Fully agree with u, Urvishbhai. When I saw these hoardings ('Chalo sau maline aatankwaad no saamno karie'), I said at the very first moment that 'terrorism kai shraavan maas na ektana thoda chhe k sau kare!'

    On 'Jasuben Jayantilal Joshi ki Joing Family' serial hoardings: It's 'Aatankwaad' of 'Aantakwaad'!!! (Besides 'Ekatra' is wrongly written instead of 'Ek', 'Aatankwaad' is misspelled as 'Aantakwaad')

    ReplyDelete
  6. It is very difficult to read as to what the Anti-Modi-s expect the way in which Modi should act!
    Are these people are qualified to abuse Modi?
    How emmergency was presented to the public. What were the posters?How the Nationalisation of Banks and Maruti was presented to public? The Congresses and the pseudo Journalists are still proud of Nehruvians whose record is poor at all level.
    However it appears that among so-called good and "Holier than Thou" people wants to maintain the fashion of critisizing Modi.
    It is not new for Gujaratis and English media. They behaved in the same way for Morarji Desai.

    ReplyDelete
  7. "કોણ કહે છે કે બોમ્બવિસ્ફોટ ગુજરાતની પ્રગતિ રોકવાના આશયથી કરવામાં આવ્યા છે?" ઉર્વિશભાઇ કેટલા આત્મવિશ્વાસથી કહે છે કે લોકોને આતંકવાદીઓનો આશય ખબર નથી. સારુ ઉર્વિશભાઇ આપ જ્યારે અંદરની વાત જાણો જ છો તો જરા બતાવો ને! અને હા, તેમનો ઇરાદો તમને મારવાનો ન હોય અને તમારા પર ગોળી છોડે તો તમે મરો નહીં? આ તો મને થયું કે ગુજરાતની પ્રગતિ આતંકવાદીઓને પુછવા જતી હોય કે હું તમારા બોમ્બ બ્લાસ્ટને કારણે અટકું કે નહી?

    ReplyDelete