Saturday, August 16, 2008
હું, તમે ને ગામ #2: સ્વામી સચ્ચિદાનંદનું ‘એન્કાઉન્ટર’

સચ્ચિદાનંદ સ્વામીને જાણીતા કરવામાં તેમની કોલમ ‘લોકસાગરના તીરે તીરે’ નો મોટો ફાળો છે. ‘સંદેશ’ની રવિવારની ‘સંસ્કાર’ પૂર્તિમાં આ કોલમ પચીસ-ત્રીસ વર્ષથી આવતી હશે. સ્વામી સચ્ચિદાનંદના સ્ટેટસનો અંદાજ એ વાત પરથી આવી શકશે કે ગુજરાતના અખબારજગતમાં ‘ત્રીજા પરિબળ’ તરીકે ‘દિવ્ય ભાસ્કર’નો ઉદય થયો, ત્યાર પછી સ્વામી એકમાત્ર એવા કટારલેખક હતા, જેમનું લખાણ રવિવારનાં ત્રણે છાપાંમાં આવતું હોય. ‘એક્સક્લુઝીવનેસ’નું ક્લોઝ તેમને લાગુ પડતું ન હતું. ‘ભાસ્કર’ અને ‘સંદેશ’માં તેમની કોલમ આવતી હતી અને ‘ગુજરાત સમાચાર’માં સીધેસીધી કોલમ નહીં, તો તેમની સાથે સવાલજવાબ હી સહી, એ રીતે તેમની સાથેનો વાર્તાલાપ શરૂ થયો.
ક્રાંતિકારી સંત, પટેલોના માનીતા, આખાબોલા...જેવાં વિશેષણો સ્વામી માટે વપરાતાં રહ્યાં છે. સ્વાધ્યાય પ્રકરણમાં જયશ્રી ‘દીદી’ વિરોધી પંકજ ત્રિવેદીની હત્યા વખતે સ્વામીએ દીદીવિરોધી સ્ટેન્ડ લઇને ઉપવાસ પણ કર્યા હતા. એ વખતે દીદીને તેમના વહાલા વહાલા ભાઇ- મુખ્ય મંત્રી મોદી સાથે થયેલી મનાતી સમજૂતીના પ્રતાપે દીદી અને તેમના પઠ્ઠાઓને કંઇ થયું નહીં. મોદીવિરોધી પટેલલોબી પૂરજોશમાં હતી. સ્વામીના વિરોધને એ ફોકસમાં પણ જોવામાં આવ્યો. ત્યાર પછી સ્વામીના દંતાલિ આશ્રમમાં રાત્રે ચોર આવ્યા, સ્વામીએ જેનું લાયસન્સ રીન્યુ કરાવવાનું રહી ગયું હતું એવી બંદૂકડીથી ચોર પર ગોળીબાર કર્યા અને ‘બંદૂકધારી બાવાજી’ તરીકેનું બિરૂદ હાંસલ કર્યું.
ગોળીબારના કેસમાં એક માણસ મરી ગયો, એટલે સ્વામી નબળી વિકેટ પર આવ્યા. મુખ્ય મંત્રીની આંખે ચડી ચૂકેલા સ્વામી ત્યાર પછી અન્ડરગ્રાઉન્ડ તો નહીં, પણ બેકગ્રાઉન્ડમાં જતા રહ્યા. આસારામનો વિવાદ થયો ત્યારે બે-ચાર કદખળીયા લોકોએ સ્વામીને પૂછ્યું,’સ્વાધ્યાય વખતે તમે બહુ વિરોધ કરતા હતા. આ વખતે કંઇ કહેવું નથી?’
થોડા દિવસ પછી એક જાહેર સમારંભમાં કેન્દ્રીય કોંગ્રેસી મંત્રી દિનશા પટેલ સાથે સ્વામીને જાહેરમાં ટપાટપી થઇ. સરદારને અન્યાયનું પ્રચલિત – અને સગવડીયું- ગાણું વગાડીને સ્વામીએ ગાંધી પરિવારની અનવોરન્ટેડ અને હાડોહાડ રાજકીય ટીકા કરી. અમુક અંશે ‘ફાઇલ થઇ ગયેલો કેસ’ ગણાતા સ્વામીને દિનશાએ રોકડો જવાબ આપ્યો. આ ઘટનાક્રમ પછી આ પોસ્ટના પ્રારંભે મુકેલી કોલમ ‘સંદેશ’માં છપાઇ. સાથે એક મજાનું કેરિકેચર પણ ખરું.
લખાણ વિશે એટલું જ કહેવાનું કે તેના છેવાડે થયેલી દિનશા પટેલની અતિશયોક્તિભરી પ્રશંસા અને સ્વામી પરના ‘બીલો ધ બેલ્ટ’ પ્રહારોને લીધે, લખાણની અસર મોળી પડી શકે છે અને તેને પત્રકારત્વનો કયો રંગ કહેવો, એ વિશે મૂંઝવણ થઇ શકે છે.
લખાણ સાથે સંમત હોય કે ન હોય તેમણે પણ કેરિકેચર બનાવનારને ફુલ માર્ક આપવા પડે. એક હાથમાં મોબાઇલ, એક હાથમાં બંદૂક અને આંખ પર સનગ્લાસ – ધરાવતા ‘સન્યાસી’.
સ્વામી શું વિચારતા હશે? ‘સંદેશ’ની કમાણી, ‘સંદેશ’માં સમાણી?
Labels:
media,
religion,
swadhyay,
હું તમે ને ગામ
Subscribe to:
Post Comments (Atom)
Urvishbhai.swami sachchiddanand also has double standard.he doesn't has clean image.rajnikumar and some rationalist had experience of swami sachchiddanand.
ReplyDelete