Tuesday, July 09, 2013

અન્નસુરક્ષા : વટહુકમ અને વાસ્તવિકતા

લોકસભાની ચૂંટણીનાં ઘેરાતાં વાદળ વચ્ચે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર અન્નસુરક્ષા કાયદાનું પત્તું ઉતરી છે. માઘ્યમિક શાળાના નાગરિકશાસ્ત્રમાં આવે છે કે ખરડો સંસદના બન્ને ગૃહોમાં પસાર થાય અને તેની પર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ એ કાયદો બને છે. પરંતુ પાઠ્યપુસ્તકમાં એવું તો ન જ આવતું હોય કે વિરોધ પક્ષો મહત્ત્વના મુદ્દાની ચર્ચા બાજુએ રાખીને, કેવળ રાજકીય ગણતરીઓ ખાતર સંસદની કામગીરી ખોરવી નાખતા હોય અને સત્તાધારી પક્ષને રાજકીય લાભ ખાતર કોઇ કાયદો તત્કાળ પસાર કરી દેવાની જરૂર હોય ત્યારે શું કરવું?

પરંતુ માઘ્યમિક શાળામાં આવતું નાગરિકશાસ્ત્ર પાઠ્યપુસ્તકની બહાર ભાગ્યે જ કામ લાગે છે. રાજકીય પક્ષો એ બરાબર જાણે છે. એટલે કોંગ્રેસે અન્નસુરક્ષાને લગતા કાયદાની ઉતાવળનો પોતાની રીતે રસ્તો કાઢી લીધો : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અન્નસુરક્ષાને લગતા વટહુકમ/ Food Security Ordinance પર સહી કરીને તેને કાયદેસર રીતે કાયદાનું સ્વરૂપ આપી દીઘું. આ કાયદા વિશે સાવ સાદી ભાષામાં સમજૂતી આટલી જ આપી શકાય કે તેના થકી ગરીબોને ત્રણ રૂપિયે કિલો ચોખા, બે રૂપિયે કિલો ઘઉં અને એક રૂપિયે કિલો જાડું ધાન મળશે. સસ્તા ભાવનું આ અનાજ મહિને પાંચ-પાંચ કિલો મળી શકશે. એટલું જ નહીં, આ કાયદાના માપદંડમાં બંધબેસતા લોકો દયાદાન પેટે નહીં, અધિકાર તરીકે આ લાભ મેળવી શકશે અને તેનાથી વંચિત રહેલા લોકો અદાલતમાં સરકાર સામે ફરિયાદ કરી શકશે.

ગરીબકલ્યાણના નામે 

કોંગ્રેસની ગરીબી દૂર કરવાની વ્યાખ્યા અને બૌદ્ધિક સમજણ આવી લહાણીથી આગળ વધી શકતી નથી એ ખેદની વાત છે. (ભારતના બીજા રાજકીય પક્ષો પણ આ બાબતમાં કોંગ્રેસ કરતાં ખાસ જુદા નથી.) અગાઉ કોંગ્રેસે ‘ધ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમ’- ટૂંકમાં ‘મનરેગા’-નો ખેલ પાડ્યો હતો. તેની પાછળ કોંગ્રેસે રજૂ કરેલો આશાવાદ એવો હતો કે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની મોટી સમસ્યા છે. એ દૂર કરવામાં આવે તો ગરીબોનું કલ્યાણ થાય. એટલે આ યોજનાના લાભાર્થી બનતા પરિવારના પુખ્ત વયના સભ્યોને નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસની ખાતરીબંધ રોજગારી આપવી. આ પ્રકારે રોજગારી ન મળે તો વ્યક્તિ સરકાર સામે દાવો માંડી શકે એવી પણ જોગવાઇ ‘મનરેગા’ના કાયદામાં હતી.

કોંગ્રેસની ‘ફ્‌લેગશિપ’ - સૌથી મોખરાની - યોજના તરીકે ઓળખાયેલી ‘મનરેગા’ની અનેક આંટીધૂંટી અને તેના અભ્યાસો અલગ લેખનો વિષય છે. તેના આખરી પરિણામ વિશે શું કહેવું? એ યોજનાનાં સાત-આઠ વર્ષ પછી પણ કેન્દ્ર સરકારને અન્નસુરક્ષા યોજના કરવી પડે છે. એટલે કે ખુદ કેન્દ્ર સરકાર સ્વીકારે છે કે ‘મનરેગા’ સહિતની યોજનાઓ સફળ થઇ હોય તો પણ, હજુ મોટી સંખ્યામાં એવાં પરિવારો છે જે બે ટંક ખાવાભેળાં થવા જેટલું પણ કમાતાં નથી. રીઢા રાજકારણીઓ જોકે આ જાતના વિરોધાભાસથી શરમાવાને બદલે, નવી યોજનાનો ગાઇવગાડીને પ્રચાર કરે છે અને માની લે છે કે લોકો આટલી ઉઘાડી સચ્ચાઇ સમજી નહીં શકે. (આવો ભરોસો ન હોત તો ગુજરાતના વિકાસનાં અવિરત ગુણગાન ગાનારા મુખ્ય મંત્રી કયા મોઢે મોટા પાયે ગરીબમેળા યોજતા હોત?)

કોંગ્રેસી નેતાઓ અન્નસુરક્ષાના વટહુકમને ‘ગેમચેન્જર’ ગણાવી રહ્યા છે. આ પ્રકારના શબ્દપ્રયોગો ચૂંટણીનો માહોલ જામે તેમ વઘુ ને વઘુ પ્રમાણમાં સાંભળવા મળશે. કોંગ્રેસી નેતાઓ એવું પણ કહે છે કે ‘આ યોજના સોનિયા ગાંધીને પ્રિય છે.’ તેનું ‘ગુજરાતી’ એવું થાય કે ‘સોનિયા ગાંધી મહાન ગરીબતરફી છે અને તેમના મનમાં તો હંમેશાં ગરીબોની ચિંતા રહે છે, પણ આવા અપવાદોને બાદ કરતાં દુષ્ટ સરકાર તેમને ગાંઠતી નથી.’

કોંગ્રેસની કામગીરીનો અછડતો પણ અંદાજ હોય એવા સૌ કોઇ જાણે છે કે કોંગ્રેસમાં સોનિયા ગાંધીની ઇચ્છા કે સંમતિ વિના પાંદડું પણ ફરકતું નથી. એટલે ‘મનરેગા’ કે ‘અન્નસુરક્ષા’ જેવી યોજનાઓ ઉપરાંત બીજું જે કંઇ થાય એમાં પણ સોનિયા ગાંધીની સક્રિય કે નિષ્ક્રિય સંમતિ માનવી રહી. અસંમતિ હોય તો તેમણે કદી જાહેર કરી નથી- અને એ સોનિયા ગાંધી છે, મહાત્મા ગાંધી નહીં. એટલે કોંગ્રેસને તેમની હોય એટલી જ જરૂર તેમને કોંગ્રેસની છે. (સીધી વાત છેઃ કેવળ અનુમાન ખાતર વાત કરીએ તો, સોનિયા કે ગાંધી પરિવાર વિનાની કોંગ્રેસ કલ્પી શકાય, પણ કોંગ્રેસ વગર રાજકારણમાં સક્રિય સોનિયા ગાંધીની કલ્પના થઇ શકે?) ઘણા કોંગ્રેસીઓને આ સચ્ચાઇનો અહેસાસ થતો નથી એ જુદી વાત છે.

સડેલી માનસિકતા

અન્નસુરક્ષા વટહુકમ દ્વારા ફરી કોંગ્રેસે ગરીબો પ્રત્યે ટૂંકા રસ્તે અને ઉપલકિયા સહાનુભૂતિ દર્શાવવાનો રાજકીય ખેલ શરૂ કર્યો છે. પરંતુ અન્નના અભાવના મામલે યુપીએ સરકાર મુલ્લા નસીરૂદ્દીનની જેમ, રૂપિયો જ્યાં ખોવાયો છે ત્યાં નહીં પણ, જ્યાં અજવાળું છે ત્યાં ફાંફાં મારે છે. ‘અન્નસુરક્ષા’ - એ શબ્દ સાંભળતાં જ ઘણા ભારતીયોના મનમાં ‘ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા’ના ગોદામોમાં સડતા સેંકડો ટન અનાજની યાદ તાજી થાય તો નવાઇ નહીં.

વર્ષ ૨૦૧૧માં કરોડો રૂપિયાની કિંમતનું ૧૦ લાખ ટન અનાજ ફુડ કોર્પોરેશનનાં ગોદામોમાં સડી ગયું. સમાચાર પ્રમાણે, કોર્પોરેશને ગોદામોમાં સંઘરેલું અનાજ બગડી ન જાય એ માટે રૂ. ૨૪૨ કરોડનો ખર્ચ કર્યો હતો. તેમ છતાં અનાજ સડ્યું એટલે સડેલા અનાજનો નિકાલ કરવા માટે રૂ.૨.૫૯ કરોડ ખર્ચ્યા. ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ અખબારના ૨૦ જૂન, ૨૦૧૩ના એક અહેવાલ પ્રમાણે, છેલ્લા પાંચ વર્ષમાં અનાજના બગાડને કારણે સરકારને રૂ.૪૫ કરોડ રૂપિયાની ખોટ ગઇ છે ઃ રૂ.પ કરોડની કિંમતના ઘઉં અને રૂ.૪૦ કરોડની કિંમતના ચોખાનો મુખ્યત્વે સ્ટોરેજ અને હેન્ડલિંગમાં બગાડ થયો છે. એ જ અહેવાલ સાથે ‘ઇન્સ્ટિટ્યુટ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ’નો અભ્યાસ ટાંકીને જણાવાયું છે કે આખા ઓસ્ટ્રેલિયામાં જેટલા ઘઉં પાકે છે, એટલા ઘઉંનો તો ભારતમાં ફક્ત બગાડ થાય છે. તેમાં જણાવ્યા પ્રમાણે, દર વર્ષે કુલ ઉત્પાદનના આશરે ૨૪ ટકા ઘઉં માણસના મોં સુધી પહોંચવાને બદલે બગડી જાય છે અને તેમને ફેંકી દેવા પડે છે.

આ બગાડને ભારતમાં મોટા પ્રમાણમાં કુપોષણથી પીડાતાં બાળકો અને બે ટંક ખાવા ભેળાં ન થતાં પરિવારોની સાથે મુકવામાં આવે ત્યારે તેની કરૂણતા છતી થાય છે. પરંતુ સરકારો જાણે આ બન્ને બાબતો સાવ અલગ હોય એ રીતે વર્તે છે અને અન્નસુરક્ષાના મોટા દાવા કરતી વખતે બગાડના પ્રાણપ્રશ્નના ઉકેલ વિશે વિચારતી નથી. સરકારી ગોદામોમાં સડતા અનાજ અને બહાર ભૂખે મરતા લોકોની વિસંગતતાથી વ્યથિત સર્વોચ્ચ અદાલતે બે વર્ષ પહેલાં સરકારને ઠપકો આપ્યો હતો અને અનાજ બગડી જાય તે પહેલાં જરૂરતમંદો સુધી પહોંચાડવા હુકમ કર્યો હતો. પરંતુ અનાજના ગેરવહીવટની વ્યવસ્થા એટલી મજબૂત બની ચૂકી છે કે નિષ્ઠાવાન પ્રયાસ વિના તેમાં સુધારો શક્ય નથી. ખરી વાત એ પણ છે કે ફુડ કોર્પોરેશનનાં ગોદામો અને જાહેર વિતરણ પ્રણાલિનો વહીવટ સુધારવાનું કામ લાંબું અને શુષ્ક છે. તેનાં પરિણામ આવતાં વાર લાગે અને કદાચ પોતાના શાસનકાળમાં ન પણ આવે. ‘તરત દાન અને મહાપુણ્ય (કે મતપુણ્ય)માં માનતા રાજકીય પક્ષોને એ રસ્તો માફક આવતો નથી. એટલે તે અન્નસુરક્ષા જેવા ટૂંકા અને મત ઉઘરાવવામાં મદદરૂપ થાય એવા રસ્તા શોધી કાઢે છે.

આર્થિક બોજ અને અસરકારકતા

દેશના નાગરિકોનો ભૂખમરો દૂર કરવાના કામમાં રૂપિયા ગણવાના ન હોય. એની પ્રાથમિકતા સૌથી પહેલી હોવી જોઇએ. અન્નસુરક્ષા વટહુકમ અંતર્ગત દેશના ૧.૨ અબજ લોકોમાંથી આશરે ૮૦ કરોડ લોકો આવરી લેવાય એવી સરકારની ધારણા છે. સાંભળવામાં આ બહુ સારું લાગે છે, પણ અમલની વાત આવે ત્યારે આ જાતની યોજનાઓમાં અઢળક નાણાં ખર્ચાય છે અને મૂળ સમસ્યા મહદ્‌ અંશે ઠેરની ઠેર રહે છે. આ પ્રકારની યોજના માટે ફાળવાતા અને વપરાતા તોતિંગ બજેટની દેશના અર્થતંત્ર પર અવળી અસર પડે છે, જે પડતા-આખડતા અર્થતંત્રને વાગેલા પાટુ જેવી નીવડે છે.

વર્ષ ૨૦૧૩-૧૪ના બજેટમાં ફુડ સબસિડીનો અંદાજ રૂ.૯૦ હજાર કરોડ જેટલો માંડવામાં આવ્યો હતો, પરંતુ નવા કાયદા પછી એ રકમ રૂ.૧.૨૪ લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. સુરજિત ભલ્લા જેવા અભ્યાસીએ ગણતરી માંડીને લખ્યું છે કે અન્નસુરક્ષાનો કાયદો અમલમાં આવ્યા પછી પહેલા જ વર્ષે ફુડ સબસિડીનો બોજ વધીને રૂ.૩.૧૪ લાખ કરોડ થશે. ભારતના કુલ જીડીપી-કુલ ઘરેલુ ઉત્પાદન-નો એ ત્રણ ટકા હિસ્સો છે.

નવા કાયદાના અમલ માટે ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મોટા પાયે (આશરે ૧૧ હજાર કર્મચારીઓની) ભરતીઝુંબેશ હાથ ધરશે એવા પણ સમાચાર છે. એ બધો ખર્ચ કર્યા પછી પણ જે મૂળભૂત હેતુસર આ કાયદો બનાવ્યાની વાત થાય છે, એ હેતુ સરશે કે કેમ એ અબજો રૂપિયાનો સવાલ છે.

સરકારોની અત્યાર સુધીની મથરાવટી જોતાં તેનો જવાબ ‘ના’ માં મળે એવી સંભાવના ઘણી મોટી છે. 

5 comments:

  1. અન્નસુરક્ષા વટહુકમના અમલથી હવે ગરીબોને ઘંઉ ચોખા સસ્તા ભાવે મળશે. આવી સીધી સાદી સમજ વીરોધ પક્ષોને કેમ ન આવી એ સંશોધન વીષય છે. ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં આ મુદ્દો જ ચર્ચાશે. બધા કૌભાંડો, હોનારતો, જાત પાત પ્રદેશ અને ભાષાના યુદ્ધો ભુલાઈ જવાશે. ફરજીયાત શીક્ષણ અને અન્નસુરક્ષા વટહુકમ આ દેશની ગરીબાઈ નીર્મુલન માટે જરુરી હતા.

    ReplyDelete
  2. સચોટ,સ-રસ અને સરળ. તીર નિશાને વાગ્યું છે. આવનારી પેઢીઓ હવે પાછળની પેઢીઓની જેમ 'સરકાર પાસે પૈસા જ નથી' એવું નથી સાંભળવાની. મુખ્ય ચર્ચા હવે એમ થાય છે - થશે કે સરકાર પૈસા ક્યાં વાપરે છે. જાહેર ખર્ચે અને જોખમે ખાનગી ફાયદા લેવાનો ખેલ કેટલો ચાલે છે, તે સમય જ કહેશે પણ વિવિધ પક્ષના રાજકારણીઓ કુપોષણની વ્યાખ્યા સમજે તો ય ઘણું. કુપોષણ માટે સ્ત્રીઓનો વિકૃત રીતે દોષ કાઢવાથી કે કલાવતીને ઘરે જમવાથી કુપોષણની સમસ્યા જતી નથી રહેતી. દેશમાં વધતી જતી સરેરાશ આવક સાથે વધે છે. અને શું ફૂડ સિક્યોરીટી એ વોટ-સિક્યોરીટી બની જશે?

    ReplyDelete
  3. The relief of reading a truly analytical piece on food security without it being viewed from a party lens is breathtaking in these idiotic times.

    ReplyDelete
  4. કોઈ પાસે અન્નસુરક્ષા કાયદો અને અન્નસુરક્ષા વિશે કોઈ માહિતી હોય તો,તે બધી માહિતી....મારી Website પર મોકલી....મારી મદદ કરો....please please

    ReplyDelete