Friday, July 12, 2013

...એન્ડ પ્રાણ : પ્રાણ જાયે પર...

(૯૩ વર્ષની વયે લાંબી બિમારી પછી પ્રાણનું અવસાન થયાના સમાચાર આવ્યા છે. તેમને અંજલિ તરીકે ગુજરાત સમાચાર, શુક્રવાર-૧૯-૪-૧૩નો તંત્રીલેખ, જે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવા નિમિત્તે લખ્યો હતો.)
Pran/ પ્રાણ
હિંદી ફિલ્મોમાં સુપરસ્ટાર બન્યા વિના પોતાની અમીટ છાપ છોડી જનારા કલાકારોમાં પ્રાણનું સ્થાન વિશિષ્ટ છે. છેક ૧૯૪૦ના દાયકાથી હીરો બનવા માટે આવેલા પંજાબી યુવક પ્રાણકિશન સિકંદે વીતતાં વર્ષોની સાથે સફળતાપૂર્વક વિલન અને પછી ચરિત્ર અભિનેતા તરીકે એવી ભૂમિકાઓ ભજવી કે ફિલ્મોના ટાઇટલમાં મુખ્ય અભિનેતા-અભિનેત્રીઓનાં મોટાં નામ અને બીજા કલાકારોનાં નાનાં નામ પછી છેક છેલ્લે મોટા અક્ષરે લખવામાં આવતું હતું, ‘એન્ડ પ્રાણ’. હા, ફિલ્મી દુનિયાની સિતારાપરસ્તીને કારણે પ્રાણનું નામ પહેલું ભલે ન આવી શકે, પણ છેલ્લું આવે ત્યારે ‘લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ’ તરીકે આવતું હતું. પ્રાણનું મહત્ત્વ સૂચવતા આ શબ્દો તેમના અંગ્રેજી જીવનચરિત્રનું મથાળું પણ બન્યા.

નિર્વિવાદ મહાનતા ધરાવતા કલાકાર અને નખશીખ સજ્જન પ્રાણને છેક નેવું વર્ષ વટાવી ચૂક્યા પછી દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળે ત્યારે એક સાથે આનંદ અને નિરર્થકતાની લાગણી થાય. તેમનાં પરિવારજનો અને શત્રુઘ્ન સિંહા જેવા અભિનેતાએ ફાળકે એવોર્ડની ચેષ્ટાને ‘ટુ લીટલ, ટુ લેટ’ (મોડી ને મોળી) ગણાવી છે. ત્યાર પહેલાં પ્રાણના જીવનચરિત્રની પ્રસ્તાવના લખનાર અમિતાભ બચ્ચને પણ પ્રાણસા’બનાં સન્માન બાબતે કેમ કચાશ દાખવવામાં આવી છે, એ વિશે સખેદ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સન્માનિત વ્યક્તિ સન્માનનો કશો સવાદ લઇ શકે એમ ન હોય ત્યારે તેને સન્માન આપવાનો શો અર્થ, એવો સવાલ સતત થતો રહે છે. પ્રાણને જાહેર થયેલો ફિલ્મી દુનિયાનો સર્વોચ્ચ એવોર્ડ પણ એ અણી સાથે જ આવ્યો છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ એટલું આશ્વાસન લઇ શકે છે કે તે પ્રાણને ન મળવાની (વઘુ એક) નામોશીમાંથી ઉગરી ગયો.

મહાન અભિનેતાઓ માટે કહેવાય છે કે એ પડદા પર આવે ત્યારે સ્ટાર તરીકે નહીં, પણ જે તે પાત્ર બનીને આવે છે. અમિતાભ જેવા મેગાસ્ટાર માટે ભાગ્યે જ આવું કહી શકાય. કારણ કે અમિતાભ કે શાહરુખ પ્રકારના અભિનેતાઓ પડદા પર આવે ત્યારે પણ અમિતાભ કે શાહરૂખ જ રહે છે. પ્રાણ એવા મહાન અભિનેતા હતા જેમણે અસંખ્ય ચરિત્રો કર્યાં અને દરેક ચરિત્રોની બારીકીઓને એવો ઉઠાવ આપ્યો કે તેમનું પ્રાણ હોવું પછી યાદ આવે. હકારાત્મક-નકારાત્મક, અરે ‘વિક્ટોરિયા નં.૨૦૩’માં અશોકકુમાર સાથે પ્રાણે કરેલી અદ્વિતિય ધમાલ- આ બધામાં સૌથી પહેલું યાદ આવે તો તેમનું પાત્ર. સામાન્ય રીતે આ બાબતનું શ્રેય (યોગ્ય રીતે જ) દિગ્દર્શકોને આપવામાં આવે છે, પણ પ્રાણ એક અભિનેતા તરીકે અત્યંત જાગ્રત અને શિસ્તબદ્ધ હતા. અમિતાભ બચ્ચને લખ્યું છે કે એ કદી સેટ પર મોડા આવતા નહીં અને પોતાનું કામ પૂરું થયા પછી બાકીનું કામ જોવા પણ રોકાતા, જેથી તે પોતે આખી ફિલ્મ સાથે ઓતપ્રોત રહી શકે.  કપરામાં કપરા સંજોગોમાં પણ તે (ફિલ્મી દુનિયા માટે દુર્લભ ગણાતાં) સમયપાલન કે શિસ્ત છોડતા નહીં. સગા ભાઇના અવસાન પછી, ભલે ગુમસુમ થઇને પણ, પ્રાણ શૂટિંગ માટે હાજર થઇ ગયા હતા.

એક તરફ રાજ કપુર, દેવ આનંદ અને દિલીપકુમાર જેવા સિતારાઓ તો બીજી તરફ બલરાજ સાહની પ્રકારના પ્રચંડ પ્રતિભાશાળી બૌદ્ધિક અભિનેતાઓ વચ્ચે પ્રાણ જેવા કેટલાકનો એક વર્ગ હતો, જેમની પર સ્ટાર હોવાનો બિલ્લો ન હતો અને એ નીતાંત વ્યાવસાયિક ફિલ્મો કરતા હતા, પરંતુ અભિનયક્ષમતા અને લોકચાહના- કે પ્રાણ જેવા પૂર્વાશ્રમના વિલનની બાબતમાં લોકધિક્કાર-ની બાબતમાં તે સ્ટાર કરતાં જરાય કમ ન હતા. અમિતાભ બચ્ચને નોંઘ્યું છે કે પ્રકાશ મહેરાના ‘ઝંઝીર’માં તેમને કારકિર્દીની પહેલી મોટી ભૂમિકા અપાવવામાં પ્રાણનો મોટો ફાળો હતો. નવોદિતો પ્રત્યે લાગણી અને મદદનો હાથ લંબાવવાનું ફિલ્મજગતમાં સામાન્ય નથી. પ્રાણ અસામાન્ય સજ્જન હતા. છતાં, દંતકથા પ્રમાણે, પડદા પરનાં તેમનાં કાતીલ કારનામાં જોઇને એક આખી પેઢીએ બાળકોનું નામ ‘પ્રાણ’ પાડવાનું બંધ કરી દીઘું હતું.

ખરજદાર અવાજ અને વિશિષ્ટ લહેકો પ્રાણનું એક આઇ-કાર્ડ હતું, જેની નકલ હજુ પણ ‘તુમ્હારે મનમેં લડ્ડુ ફુટા?’ જેવી જાહેરખબરમાં કરવામાં આવે છે. પરંતુ પ્રાણને આટલું મોડું સન્માન મળવાથી, આ સમાચાર સાંભળીને તેમના ચાહકોના મનમાં લડ્ડુ નહીં, અફસોસવચનો ફૂટે છે. 

2 comments:

  1. What does one say? It's truly a tragedy that we don't recognise the greats until it's ridiculously late!

    ReplyDelete
  2. પ્રિય ઉર્વિશભાઇ,

    દર વખતની જેમ ઉમદા લેખ. પ્રાણ, પ્રાણ હતાં. He was retire, but not tire at all. અને રહી વાત દાદા સાહેબ ફાળકે એવોર્ડની તો આપણી સરકાર આ કહેવતને પુર્ણતઃ સાર્થક કરવામાં માને છે કે 'દેર આયે દુરસ્ત આયે...' Be late better then never.

    બરખુરદાર! Iconic dialog of Late Pran Saab.

    May God give his soul rest and peace.

    ReplyDelete