Thursday, July 25, 2013

દીપપ્રાગટ્ય : સમારંભોની સળગતી સમસ્યા

કોઇ પણ સમસ્યાના ઉકેલની દિશામાં આગળ વધવા માટે સૌથી પહેલાં તેના અસ્તિત્ત્વનો સ્વીકાર કરવો પડે. જ્ઞાતિભેદની જેમ સમારંભોમાં દીવો સળગાવવાના - એટલે કે દીપ પ્રગટાવવાના -મુદ્દાને મોટા ભાગના લોકો સમસ્યા જ ગણતા નથી. એટલે, તેની મુશ્કેલીઓથી વાકેફ હોવા છતાં, મોટા ભાગના ભારતીયોએ તેને પોતાની નીયતી ગણી લીધી છે.

મંચ પર મુકાયેલો દીવો પ્રગટાવતી વેળાની અડચણોથી ભાગ્યે જ કોઇ વક્તા કે સુજ્ઞ શ્રોતા અજાણ હશે. આરંભિક ચહલપહલ પછી માઇકધારી સંચાલકે માંડ હોલમાં વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડી હોય (કાયદો-વ્યવસ્થા વણસવાની શક્યતા તો ભાષણબાજી પછી ઊભી થાય), સમારંભનો માહોલ બનવાની શરૂઆત થઇ હોય, ત્યાં જ કાર્યક્રમના વિધિવત્‌ પ્રારંભ માટે, ‘પરંપરા મુજબ દીપપ્રાગટ્ય’ની જાહેરાત થાય. મંચ પર બેઠેલા લોકો પોતપોતાના ‘વરદ હસ્ત’ને અદૃશ્ય મ્યાનમાંથી બહાર કાઢીને દીપ તરફ આગળ વધે. શ્રોતાઓ વિચારે કે એકાદ છીંક-બગાસું ખાઇને પરવારી રહીશું, ત્યાં સુધીમાં ‘સ્ટાર્ટર’ જેવો આ વિધિ પૂરો થઇ જશે અને મુખ્ય કાર્યક્રમ આગળ વધશે.

પરંતુ શ્રોતાઓ ધારે છે કંઇ અને (મોટા ભાગના) સમારંભોમાં થાય છે કંઇ. શ્રોતાઓ માનસિક રીસેસમાંથી પરવારીને આશાભરી નજરે મંચ ભણી જુએ, ત્યારે દીવડાની આસપાસનું ટોળું વિખરાવાને બદલે ગુંચવાયેલું દેખાય. પાંચ-સાત વક્તાઓ દીવડાની ફરતે વીંટળાઇને શ્રોતાઓના વશીકરણ માટે કોઇ તાંત્રિક વિધિ કરતા હશે કે શું? એવી શંકા પણ જાગ્રત નાગરિકોને જાય. પરંતુ મંચ પરના મુંઝાયેલા અને મુરઝાયેલા ચહેરા તાંત્રિક વિધિના લાભાર્થી નહીં, શિકાર હોય એવા લાગે. એટલે શ્રોતા નવેસરથી, સહાનુભૂતિપૂર્વક તેમની સમસ્યા વિશે વિચારવાનું શરૂ કરે.

એ સાથે જ તેમને સમજાય કે મહાનુભાવોની રૂપિયાભારની શરમ રાખ્યા વિના દીવડો ગાંધીયુગના સત્યાગ્રહીની માફક અડીખમ-અવિચલિત ઊભો છે. વરણાગીયા જુવાનિયાના માથેથી નીકળતી છ-આઠ સાંકળિયા ચોટલીઓની જેમ, દીવાના માથેથી જુદી જુદી દિશામાં છ-આઠ દીવેટો નીકળી હોય. દીવેટો ખરેખર માથે ચડાવેલી હોય એવી લાગે. કારણ કે આસપાસ ઉભેલા મહાનુભાવોના સન્નિષ્ઠ પ્રયાસ પછી પણ તે સળગવાનું નામ લેતી નથી અને વક્તવ્ય પહેલાં જ તેમને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે છે. વૈદકની પરિભાષામાં આવતા હઠીલા રોગોની જેમ, આ દીવેટો પણ જાણે ન સળગવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય એવી હઠીલી જણાય.

પહેલી વાર સૌ મહેમાનો દીવા પાસે પહોંચે ત્યારે ‘નથી જાણ્યું પંથ શી આફત ખડી છે’ જેવી તેમની દશા હોય છે. તેમને લાગે છે કે એક દીવેટ સળગાવવામાં શી ધાડ મારવાની છે? અને એ પણ દીવાસળીથી નહીં, પણ મીણબત્તીથી સળગાવવામાં? આ કાર્યની છેતરામણી સરળતા તેમને ભૂલાવામાં નાખે છે અને ગાફેલ બનાવે છે. નજીક પહોંચ્યા પછી, પહેલો જણ દીવાસળી સળગાવવાની કોશિશ કરે ત્યારે અમંગળની પહેલી એંધાણી મળવા લાગે છે અને કસોટીનો પ્રારંભ થાય છે.

ગેસ લાઇટરને કારણે મોટા ભાગના દીપપ્રાગટ્યકારોને દિવાસળી સળગાવવાનો મહાવરો રહ્યો નથી. છતાં બાળપણમાં લાલપીળાં બપોરિયાં સળગાવવાના સંસ્કારવશ તે એવું માની લે છે કે આપણે તો સળીને ખોખા સાથે અડધી ઘસીએ, ત્યાં અગ્નિ પેટી જાય. એમાં કેટલી વાર. પરંતુ ‘અડધી કીકે’ સ્કૂટર ચાલુ કરી દેવા આવેલા બંકાની બાર-પંદર વંઘ્ય કીક માર્યા પછી જેવી હાલત થાય, એવું જ દીપ પ્રગટાવનારનું થાય છે.

‘એમાં કેટલી વાર’ એ વાક્યની પાછળ રહેલું અદૃશ્ય ઉદ્‌ગારચિહ્ન ધીમે ધીમે પ્રશ્નાર્થમાં પલટાવા લાગે છે. એક-બે વાર દિવાસળી સળગાવવાના પ્રયાસ નિષ્ફળ જાય, દિવાસળી બટકાઇ જાય કે પછી સળગીને તરત હોલવાઇ જાય, એટલે મહાનુભાવ જરા ક્ષોભ અનુભવે છે અને હાથમાં મીણબત્તી ધરાવનાર ‘એમાં તમારો કશો વાંક નથી’ એવી મુદ્રા સાથે આગળ આવે છે. ‘લાવો, હું તમારું અઘરૂં કામ આસાન કરી દઉં અને તમને મીણબત્તી સળગાવી આપું. પછી તમે તો શું, નાનું છોકરું પણ દીવો સળગાવી શકશે.’ એવા અવ્યક્ત ભાવ સાથે એ દીવાસળી પેટાવે છે અને જીવન વીમા નિગમના લોગોની જેમ, દીવાસળીની જ્યોત આડે હાથની આડશ કરીને મીણબત્તી સળગાવવામાં સફળ થાય છે.

એ જોઇને મહાનુભાવોને ‘હાશ’ની સાથે થોડો ક્ષોભ પણ થાય છે કે ‘આપણે મંચ પર બેસીએ એવા જાણીતા થયા, પણ દીવાસળી સળગાવતાં ન આવડ્યું.’ કેટલાક મનોમન ‘આપણને બીડી-સીગરેટનું વ્યસન નહીં, એટલે આવું ન ફાવે’ એમ વિચારીને, પોતાની અણઆવડતને (ધારી લીધેલી) સાત્ત્વિકતા તળે ઢાંકવાનો પ્રયાસ કરે છે. પરંતુ ‘હવે મીણબત્તી આવી ગઇ છે, એટલે ચિંતા નહીં’ એવું વિચારનારા માટે આગલી કસોટી મોં ફાડીને- કે દીવેટ ધરીને- ઊભેલી હોય છે. હાથમાં મીણબત્તી ધારણ કર્યા પછી સમજાય છે કે મીણબત્તી અને દીવેટ વચ્ચેનું અંતર ઘણા કિસ્સામાં હોઠ અને પ્યાલા વચ્ચે રહી જતા અંતર જેટલું નીવડી શકે છે.

મીણબત્તીને દીવેટ સુધી લઇ જતાં અધરસ્તે તે અસહકારનું આંદોલન છેડે છે અને હોલવાઇ જાય છે. એક ક્ષણ માટે મીણબત્તી સળગાવી આપનારના મનમાં મહેમાન માટે ‘તમારાથી તો શેક્યો પાપડ પણ ભાંગે એમ નથી’ એવો ઠપકો જન્મે છે, પણ પોતાનો ધર્મ યાદ આવતાં તે ચહેરા પર ‘કશો વાંધો નહીં’ પ્રકારનું સ્મિત ઓઢી લે છે અને ફરી, દીવાથી નજીક જઇને મીણબત્તી સળગાવે છે અને તેને મહેમાન પાસે લઇ જવાને બદલે, મહેમાનને દીવાની પાસે બોલાવે છે. પરંતુ નળના હાથમાં આવતાં જ સજીવન થઇ જતાં માછલાંની જેમ, મીણબત્તી મહેમાનના હાથમાં આવતાંની સાથે હોલવાઇ જાય છે. મહેમાન લાચાર નજરે ઉપર તરફ જુએ છે- ના, ઇશ્વરને ફરિયાદ કરવા માટે નહીં, પણ પંખા ચાલુ છે કે નહીં એ જોવા અને જો ચાલુ હોય તો, વારંવાર હોલવાતી મીણબત્તી માટે પંખાને દોષ દેવા માટે.

સામે બેસીને આ ઘટનાક્રમ જોતા લોકોને સમજાતું નથી કે આ બઘું શું - અને કેમ- ચાલી રહ્યું છે. સાધનશુદ્ધિની પંચાતને બદલે પરિણામ સાથે નિસબત રાખનારા લોકોને થાય છે કે ‘દીવાસળી-મીણબત્તી હોલવાઇ જતાં હોય તો લાઇટરથી દીવા સળગાવો- લાઇટર ન હોય તો હું આપું- પણ મહેરબાની કરીને પાર લાવો, જેથી સમારંભ આગળ વધે.’ પરંતુ સળગેલી મીણબત્તી ફૂંક મારીને હોલવવામાં લોકલાજ અને પરંપરા નડતાં હોય, ત્યારે મીણબત્તી કે દીવા સળગાવવામાં લાઇટર વાપરવા માટે દયાનંદ સરસ્વતી પ્રકારના ક્રાંતિકારી પરંપરાભંજક થવું પડે. કમ સે કમ, દીવા સળગાવનારાને એવું જ લાગે છે.

દીવા પ્રગટાવતી વખતે પગરખાં પહેરેલાં રાખવાં કે નહીં, એ પણ વિવાદાસ્પદ મુદ્‌ો ગણાય છે. દીવાસળી-મીણબત્તી વારેઘડીએ હોલવાઇ જતાં હોય ત્યારે એકાદ રૂઢિવાદી જણ આજુબાજુ ઊભેલા લોકોના પગ ભણી નજર કરી લે છે : પગરખાં પહેરીને આવી પડેલા કોઇ અણઘડને કારણે તો અગ્નિદેવ નારાજ નથી થઇ ગયા ને.

શ્રોતાગણાં કોઇ શાસ્ત્રીય ગાયક મોજુદ હોય તો, દીપપ્રાગટ્ય કરવા જતાં સલવાઇ ગયેલા મહાનુભાવોને જોઇને તેમને થાય છે કે ‘આના કરતાં મને કહ્યું હોત તો, હું રાગ દીપક ગાઇને વધારે ઝડપથી દીવા પ્રગટાવી શકત.’ દીવાસળી-મીણબત્તીની અનિશ્ચિતતા પર મહાપરાણે કાબુ મેળવ્યા પછી દીવડાની દીવેટો એક વાર પ્રગટાવી દેવાય, ત્યાર પછી પણ વાત પૂરી થઇ જતી નથી. ઘણી વાર દીવેટો જાણે ખો રમતી હોય તેમ એક સળગે ને બીજી હોલવાય છે. એક-બે વાર તેમને સહેજ બહાર તરફ ધકેલવા છતાં, દીવેટો હોલવાઇ જવાની વૃત્તિ દાખવે એટલે મહેમાનો હારે છે. તેમને ઉગારવા માટે યજમાનપક્ષનો કોઇ દીવાનિષ્ણાત ફટાફટ બધી દીવેટો સળગાવી પાડે છે અને તે હોલવાઇ જાય ત્યાર પહેલાં બધા મહેમાનો દીવાની આસપાસ ઊભા રહીને ફોટો પડાવી લે છે. એ સાથે જ દીપપ્રાગટ્ય પાછળનો મુખ્ય આશય સિદ્ધ થતાં સમારંભ આગળ વધે છે. 

No comments:

Post a Comment